નવી ટ્રાફિક ટેકનોલોજી દુનિયાના રસ્તાઓને સલામત બનાવશે



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.


'લોકશાહી પ્રક્રિયા અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘણું સામ્ય છે, દરેક વખતે લોકોને લાગે કે હવે વાંધો નહીં આવે અને ત્યાં ફરીથી એ જ સમસ્યા શરૂ થઈ જાય છે!'

સાઉથ આફ્રિકન લેખિકા લોરેન બ્યુક્સનું આ સ્માર્ટ ક્વોટ દુનિયાભરના ટ્રાફિક નિયમનને એક સરખી રીતે લાગું પડે છે. એક ટ્રાફિક જામમાં ફસાયા પછી માંડ એવી ધરપત બેસે કે હવે વાંધો નહીં આવે, ત્યાં વધુ એક ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ છીએ. લોકશાહીમાં એક પક્ષથી કંટાળીને બીજા પક્ષને ખોબલે ખોબલે મત આપ્યાં પછી ય દુનિયાભરના નાગરિકોને લગભગ આવી જ ફીલિંગ આવે છે. બીજો પક્ષ પણ ફરીથી એની એ સમસ્યામાં સપડાવે છે.

ટ્રાફિકની સમસ્યા દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો બનતો જાય છે અને તેના ઉપાયો શોધવા માટે વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સચોટ ઈલાજ મળતો નથી. વિજ્ઞાન-ટેકનોલોજીએ આપણી લાઈફસ્ટાઈલ સદંતર ચેન્જ કરી નાખી છે. એ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે એવી આશા દર વર્ષે ઉજળી બનતી જાય છે. થોડાંક વર્ષોથી થયેલાં સંશોધનોએ ફરીથી નવી આશા જન્માવી છે.
                                                                             ***

સ્માર્ટ સિગ્નલ : સમય બચાવતી સિસ્ટમ

અત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઈમર સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક તરફનું સિગ્નલ ૨૦થી ૩૦ સેકન્ટ માટે ઓપન થાય છે, પરંતુ હવે ઘણાં નાના શહેરોમાં સ્માર્ટ સિગ્નલના પ્રયોગો શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલવામાં આવે છે.
જે તરફથી વધારે વાહનો આવવા માંડે એ તરફના સિગ્નલનો સમયગાળો વધી જાય અને જે તરફથી ઓછા વાહનો આવતા હોય એ તરફના સિગ્નલનો સમયગાળો ઘટી જાય. એના કારણે આગળના રસ્તાઓમાં ટ્રાફિક વધતો નથી. એના માટે કેમેરાની એક આખી ચેનલ ગોઠવીને તેના ડેટાનું ઓટોએનાલિસિસ થતું રહે છે.

મોડી રાત્રે મોટાં શહેરોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે એક તરફનું સિગ્નલ ચાલુ હોય તો ય વાહનો નથી હોતા અને એ જ વખતે બીજી તરફનું સિગ્નલ બંધ હોય એટલે કારણ વગર વાહનચાલકોને રોકાઈ રહેવું પડે છે. ઓટો સિસ્ટમ સેટ થયેલી હોવાથી તેમાં તુરંત ફેરફાર થતો નથી, પણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના આધારે જો ડેટા એનાલિસિસ થાય તો વધારે ટ્રાફિક ધરાવતા ટ્રાફિક પોઈન્ટ ઉપર આપમેળે વાહનચાલકોને ગ્રીન સિગ્નલ મળી રહે છે. તેના કારણે સમયનો પણ બચાવ થાય છે અને ટ્રાફિક પણ નિયમત થાય છે.

વળી, ટ્રાફિક પોઈન્ટ ઉપર એવી ગ્રીન-રેડ નિશાની પણ દેખાશે કે જેના આધારે ઓછા ટ્રાફિકવાળો રૂટ પસંદ કરી શકાય. કઈ તરફ જવાય અને કઈ તરફ ન જવાય એ નિર્દેશ ટ્રાફિક પોઈન્ટ પરથી જ મળી રહેશે. તેનાથી કદાચ નિયત અંતરે પહોંચતા સરવાળે અડધો કિલોમીટર કે કિલોમીટરનો ફરક પડતો હશે, પરંતુ સરવાળે સમય પણ ઘણો બચી જશે.
                                                                              ***

રોડ-વે લાઈન: રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી

નેધરલેન્ડમાં ચાલતા સ્માર્ટહાઈવે નામના એક પ્રોજેક્ટમાં સંશોધકોએ સ્માર્ટ રોડલાઈન વિકસાવી છે. જ્યાં ડીવાઈડર નથી હોતું ત્યાં સફેદ-પીળાં ચળકતા પટ્ટા પાડીને માર્ગના બે ભાગ પાડવામાં આવે છે. બંને બાજુ જ્યાં રોડ પૂરો થતો હોય છે ત્યાં પણ એવા પટ્ટાથી રસ્તાની મર્યાદા પૂરી થતી હોવાનું સૂચન કરવામાં આવે છે. રોડ માર્કિંગની આ સિસ્ટમમાં સંશોધકોએ થોડીક સ્માર્ટનેસ ઉમેરી છે.
એવી સ્માર્ટ રોડ-વે લાઈન બનાવવામાં સંશોધકોને સફળતા મળી છે કે જે અત્યારની તુલનાએ બહુ ઝડપથી નજરે ચડશે અને વાહનનું પૈડું જેવું વચ્ચેની કે સાઈડની લાઈન ક્રોસ કરશે કે તુરંત સિગ્નલ આપશે. કારની સ્ક્રીનમાં સીટબેલ્ટનો એલાર્મ આવે છે એ જ રીતે લાઈન ક્રોસનો એલાર્મ બતાવશે. સંશોધકોને આશા છે કે લાઈન ક્રોસ કરીને રસ્તાની નીચે ઉતરી જવાના બનાવો આ સ્માર્ટ માર્કિંગથી અટકી જશે.
                                                                               ***

સ્માર્ટ લાઈટ્સ : વીજળીની અછત સામે લડતી ટેકનિક

આજેય અસંખ્ય શહેરોમાં વીજળી અછત હોવાથી હાઈવે લાઈટ્સ બંધ હોય છે. વાહન ચાલકોને રસ્તામાં લાઈટ્સ મળી રહે તે માટે નેધરલેન્ડમાં જ સફળ પ્રયોગો થયાં છે. લાઈટ્સના થાંભલા સાથે એવાં સેન્સર્સ ગોઠવવામાં આવ્યાં છે કે દૂરથી વાહન આવતું જણાય તો લાઈટ ચાલુ થઈ જાય છે. પછી વાહન આવતાં બંધ થાય તો લાઈટ પણ બંધ પડી જાય છે.

વળી, એ લાઈટ્સ થાંભલાની ચારે બાજુ લગાવેલાં પંખાથી ચાલે છે. હવાથી પંખા ફરે અને પંખાથી વીજળી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. જ્યાંથી ઓછા વાહનો પસાર થતાં હોય એવા રસ્તાઓ ઉપર આ ઓટોમેટિક રોડ લાઈટ્સ ઉપયોગી થશે.
                                                                             ***

લીડાર ગન: સ્પીડનો સ્પીડથી અંદાજ મારતી સિસ્ટમ

સ્પીડ માપવા માટે કેમેરા બેઝ્ડ રડાર સિસ્ટમનો ઉપયોગ અત્યાર સુધી થતો આવે છે. હવે ઘણી ટ્રાફિક ફોર્સે લીડાર યાને લાઈટ ડિટેક્શન એન્ડ રેન્ગિંગ ગનનો ઉપયોગ શરૂ કર્યો છે. તેનાથી વાહનની સ્પીડનો અંદાજ કાચી સેકન્ડમાં આવી જાય છે અને વળી તેનો ઉપયોગ બહુ જ સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. લેસરનો શેરડો મારો કે તરત જ આવતા-જતા વાહનની સ્પીડનો આંકડો સ્ક્રીનમાં શો થવા માંડે છે.
ભારતમાં આ સ્પીડ ગનનો ઉપયોગ મર્યાદિત શહેરોમાં પ્રયોગ પૂરતો છૂટોછવાયો થયો છે. ડીઆરડીઓએ સ્વદેશી સિસ્ટમ બનાવવામાં સફળતા મેળવી છે એટલે થોડાંક સમયમાં દેશભરમાં તેનો ઉપયોગ થશે.

ગુજરાત ટ્રાફિક પોલીસને થોડા વખત પહેલાં જ પાંચ સ્પીડ ગન ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનો બહોળો ઉપયોગ થશે એવો સંકેત સરકારે આપ્યો હતો. આ સ્પીડ ગન સરળ અને અસરકારક હોવાથી સ્પીડ લિમિટના નિયમનું પાલન કરાવવામાં બહુ જ કારગત નીવડશે.

                                                                                ***

રોંગ વે ડિટેક્શન સિસ્ટમ

રોંગમાં વાહન ચલાવીને પોતે જોખમમાં પડવું અને બીજાને ય ખતરામાં નાખવા, એ આપણાં દેશની કોમન પ્રોબ્લમ છે. વિદેશમાં પણ ઉતાવળા વાહન ચાલકો આકરા દંડ-સજાની જોગવાઈ છતાં રોંગમાં વાહન ચલાવવાનું જોખમ લેતા હોય છે. એવા વાહન ચાલકોને ઝડપી લેવા માટે ફ્લોરિડાના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે રોંગ વે ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે. એને રોંગ વે એલર્ટ સિસ્ટમ પણ કહે છે.
આ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય અકસ્માતો અટકાવી શકાશે એવો દાવો થાય છે, પણ તેને ઉપયોગમાં લેવામાં હજુ ઘણી એરર્સ દૂર કરવી પડશે. આ ટેકનોલોજી એવી રીતે કામ કરે છે કે રોડ પર ગોઠવાયેલા સેન્સર એક તરફ જતાં વાહનની ગતિ નોંધે છે. જેવું કોઈ વાહન એ રોડ ઉપર અવળી દિશામાં ગતિ કરે કે તુરંત એલર્ટ આપે છે, પરંતુ વાહન રીવર્સમાં લેતી વખતે પણ આ ટેકનોલોજી એલર્ટ આપે છે.

રોંગ વે એલર્ટ માટે એવાં ય પ્રયોગો થઈ રહ્યાં છે કે ક્લાઉડની મદદથી વાહન રોંગમાં જાય છે તેનો અંદાજ લગાવીને વાહનચાલકના રજિસ્ટર નંબરમાં મેસેજ જાય છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ કાર સિવાયના વાહનોમાં લાગુ પાડવી અઘરી છે. ટ્રક-એટોરિક્ષા-બસ જેવા કેટલાય વાહનોમાં એવી સિસ્ટમ જ હોતી નથી કે તેને વોર્ન કરી શકાય.
                                                                          ***
દુનિયાભરના ટ્રાફિક કંટ્રોલ એક્સપર્ટ્સ એકી અવાજે કહે છે કે અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક કંટ્રોલ માટે સ્માર્ટ હાઈવે બનાવવાની ખાસ જરૂર છે. જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે તેને નવી ટેકનોલોજીથી અપગ્રેડ કરી દેવામાં આવે તો દુનિયામાં ૫૦ ટકા અકસ્માતો ઘટી જાય તેમ છે. ટ્રાફિક જામની સમસ્યા ૬૦ ટકા સુધી ઘટી જાય તેમ છે.

વ્હિકલ ટુ વ્હિકલ કોમ્યુનિકેશન ટેકનોલોજી, વ્હિકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્માર્ટ કોરિડોર જેવા કેટલાક નવા વિચારોને ધ્યાનમાં રાખીને નવી નવી ફ્યુચર ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે. આ સંશોધનોએ આશા જગાવી છે કે એકાદ દશકામાં ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી હળવી થઈ જશે.

જે દેશોમાં નવી ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે ત્યાં ૫-૧૦ વર્ષમાં એ ખપમાં પણ આવતી થઈ જશે. ભારત જેવાં દેશો પાસે ત્રણ વિકલ્પો બચશે. એક, જૂની-પૂરાણી સિસ્ટમ પ્રમાણે ચલાવવું અને ટ્રાફિકની સમસ્યાને જેમ છે તેમ રહેવા દેવી. બીજું, જે દેશોમાં સંશોધનો થયા છે તેની પાસેથી સિસ્ટમ ખરીદીને એનો અમલ કરાવવો. ત્રીજું, દેશમાં જ એવાં સંશોધનો થાય તે માટેના પ્રયાસો અત્યારથી જ હાથ ધરવા.

દેશમાં થતાં સંશોધનોના પરિણામો કદાચ તરત નહીં મળે પરંતુ એકાદ દશકામાં એવી કે એનાથી ય ચડિયાતી ટ્રાફિક ટેકનોલોજી દેશી સંશોધકો બનાવી આપશે. પહેલી નજરે હસી કાઢવા જેવું સંશોધન જણાય તો ય જો એને પૂરતું ફંડ ને યોગ્ય પ્રોત્સાહન મળે તો કદાચ એ જ તુક્કો તીર પણ બની શકે.
Sunday, 10 November 2019
Posted by Harsh Meswania
Tag :

હાથે લખેલાં પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્માર્ટફોન સ્ટીકર્સે લઈ લીધું!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દિવાળી-બેસતા વર્ષેની શુભેચ્છા પાઠવવા સ્ટીકર્સની આપ-લે મોટા પ્રમાણમાં થઈ. આ સ્ટીકર્સનો પ્રયોગ મેસેજિંગ એપમાં કોણે સફળ બનાવ્યો એ પણ જાણવા જેવું ખરું!


'Happy New'
'નૂતન વર્ષાભિનંદન'
'સાલ મુબારક'
આવાં સ્ટીકર્સની નવાં વર્ષે ભારે પ્રમાણમાં આપ-લે થઈ હશે. રાઈટ? દિવાળી-નૂતન વર્ષના સ્ટીકર્સનું વોટ્સએપમાં જાણે પૂર આવ્યું હશે!

સ્ટીકર્સ ક્રિએટ કરવાનું ઈઝી થયું હોવાથી ઘણાં મૌલિક સ્ટીકર્સ પણ જોવા મળ્યાં. નવાં વર્ષે તૈયાર સ્ટીકર્સ ફોરવર્ડ કરવાને બદલે ઘણાં સ્નેહીજનો-દોસ્તોએ જાતે બનાવેલાં, અલગ પ્રકારના સ્ટીકર્સ સર્જીને ખાસ પ્રકારે શુભેચ્છાઓ પાઠવી હશે.

વોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતની બધી જ પોપ્યુલર મેસેજિંગ એપ્સ સ્ટીકર્સની સર્વિસ આપે છે. પહેલાં માત્ર ઈમોજીની જ સુવિધા હતી, પણ પછી નવીનતા માટે જીઆઈએફ ફાઈલ અને સ્ટીકર્સ પણ એડ થયાં. હવે જેના વગર મેસેજ એપની કલ્પના પણ મુશ્કેલ છે, એવી આ સર્વિસ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? ઈમોજીના બંચમાં આવતા વિવિધ ફેસ એક્સપ્રેશનથી સંતોષ ન માનીને હટકે આપવાની પહેલ ક્યારે થઈ હતી?
                                                                           ***
ફેસબુકે લાઈક સાથે પ્રેમ, નિરાશા, હાસ્ય, ગુસ્સો જેવી ફીલિંગ્સને રિએક્શન બટનમાં ઉમેર્યા તે પહેલાં ઈમોટિકોન્સ વોટ્સએપમાં પોપ્યુલર થઈ ચૂક્યા હતા. શરૂઆતમાં ડઝનેક ઈમોજીથી કામ ચાલતું હતું, પણ પછી વિશ્વભરના ક્રિએટિવ ક્રિએટર્સ વચ્ચે મેસેજ એપ્સમાં નવું આપવાની હોડ જામી એના પરિણામે કંઈ કેટલીય ફીલિગ્સ વ્યક્ત કરતા ઈમોજી આપણાં સ્માર્ટફોનમાં જોવા મળવા લાગ્યાં. મેસેજિંગ એપમાં ઈમોટિકોન્સની અપાર નવીનતા આવી ગઈ પછી યુઝર્સ ફરી કંઈક નવું ઈચ્છતા હતા.

બરાબર એ જ અરસામાં સાઉથ કોરિયન કંપની નેવર કોર્પોરેશને 'લાઈન'ની શરૂઆત કરી. એપ ડેવલપર્સે લાઈનમાં પ્રથમ વખત નવીનતા ઉમેરવા માટે સ્ટીકર્સ આપ્યાં. શરૂઆતમાં તો યુઝર્સને સ્ટીકર્સ અને ઈમોજી વચ્ચે બહુ ફરક ન દેખાયો. ઈમોજી પોસ્ટ કરતી વખતે સાઈઝમાં બહુ નાનકડાં દેખાતા હતા, જ્યારે સ્ટીકર્સ દેખાવમાં તરત ધ્યાન ખેંચે એવા હતા.

આ જ કંપનીએ જાપાનના યુઝર્સને ધ્યાનમાં રાખીને ટૉક નામની એપ લોંચ કરી. જાપાન જેના માટે જગ વિખ્યાત છે એ એનિમેશન આર્ટવર્કની છાંટ ઉમેરીને એ એપ માટે અલગથી સ્ટીકર્સ સર્જવામાં આવ્યાં. અગાઉ જેમણે સ્ટીકર્સ બનાવ્યા હતા એ જ સેમ ડીઝાઈનર્સેની ટીમે ફરીથી જાપાનને ધ્યાનમાં રાખીને સ્ટીકર્સ બનાવ્યા હતા, પણ તેમાં પહેલી વખત જે ખામી રહી ગઈ હતી એ સુધારી લેવામાં આવી હતી.
આ સ્ટીકર્સ વધારે આકર્ષક વધારે પોપ્યુલર થયાં. જાપાની બોયનું સ્ટીકર્સ તો એ એપની ઓળખ બની ગયું. ૨૦૧૫ પછી સ્ટીકર્સની પોપ્યુલારિટી એટલી વધી ગઈ કે દરેક એપ્સમાં એની હાજરી લગભગ ફરજિયાત થઈ ગઈ. મોટાભાગની મેસેજિંગ એપ્સે થોડાં ઘણાં ફેરફાર કરીને સ્ટીકર્સ સમાવ્યાં.

૨૦૧૭માં કંપનીના બીબાંઢાળ સ્ટીકર્સને બદલે જાતે સ્ટીકર્સ બનાવી શકાય એ દિશામાં કામ શરૂ થયું. ફોટામાં ફેરફાર કરીને થોડાંક શબ્દોમાં મનગમતા શુભેચ્છા સંદેશા આપી શકાય એવી પહેલ થઈ. સ્વીફ્ટ મીડિયાએ એ જ વર્ષે અલગ અલગ કંપની માટે પ્રોફેશનલ ધોરણે ડિમાન્ડ પ્રમાણેના સ્ટીકર્સ બનાવી આપવાનું શરૂ કર્યું. જેમ કે કોઈ લેખકનું પુસ્તક કે કોઈ સિંગરનો એલ્બમ લોંચ થવાનો હોય તો એના સ્ટીકર્સ તૈયાર કરાતા અને એ સ્ટીકર્સથી મેસેજિંગ એપ્સમાં પ્રમોશન થતું.

આ ઘટનાએ સ્ટીકર્સની દુનિયામાં ક્રાંતિ કરી દીધી. અત્યાર સુધી ઈમોજીસના ફોર્મેટમાં કેદ રહેલી સ્ટીકર્સની દુનિયા અચાનક કસ્ટમાઈઝ થઈ ગઈ. સ્વીફ્ટમાંથી પ્રેરણા લઈને કેટલાંય યંગ ડેવલપર્સે એવી એપ્સ જ સર્જી દીધી કે જેમાં યુઝર ધારે એવાં સ્ટીકર્સ બનાવી શકે. ફોટોઝમાંથી સ્ટીકર્સ બનતા થયાં પછી તો રમૂજી સ્ટીકર્સ બનાવવા માટે ય મોકળું મેદાન થયું. દેશ-દુનિયામાં બનતી ઘટનાઓના સ્ટીકર્સ પણ ફની નોટ સાથે તુરંત બની જતાં હોવાથી એનું ફોરવર્ડનું પ્રમાણ પણ દુનિયાભરમાં વધ્યું છે.

ઈંગ્લીશ સિવાયની ભાષાઓમાં સ્ટીકર્સ બનાવવાની મોકળાશ મળી પછી બધી જ ભાષાઓના યુઝર્સ પોત-પોતાની ભાષામાં સ્ટીકર્સ બનાવતા થયાં. હવે તો બ્રાન્ડિંગના હેતુથી ય સ્ટીકર્સનો ઉપયોગ થાય છે. બર્થ-ડેથી લઈને મેરેજ એનિવર્સરી સુધીનાં પ્રસંગોમાં ફોટા સાથે મેસેજ લખીને જાતે સર્જેલા સ્ટીકર્સ મોકલવાનું દુનિયાભરના યુઝર્સ પસંદ કરતા થયા છે, તે એટલી હદે કે હવે ઈમોજી કરતા સ્ટીકર્સ વધુ ફોરવર્ડ થાય છે.
                                                                               ***
અત્યારે ૨૦૦૦ કરતાં વધારે પેઈડ સ્ટીકર્સ પેક અવેલેબલ છે અને એમાંથી ૧૮૦૦ જેટલાં ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વળતર આપીને ય સ્ટીકર્સ ખરીદતા લોકો વધતા જાય છે. ૫૦૦ કરતા વધુ એપ્સ જાતે સ્ટીકર્સ બનાવવાની સુવિધા આપે છે. એક સર્વેક્ષણમાં દાવો થયો હતો એ પ્રમાણે કુલ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૪૮ ટકા યુઝર્સ દરરોજ સ્ટીકર્સનો ઉપયોગ કરે છે.

વિવિધ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૩૨ ટકા યુઝર્સ વીકમાં એક વખત જાતે સ્ટીકર્સ બનાવે છે. ૩૯ પ્રતિશત યુઝર્સ વારે-તહેવારે સ્ટીકર્સ બનાવવાની મહેનત કરે છે અને વારે-તહેવારે ૭૦ ટકા યુઝર્સ સ્ટીકર્સ ફોરવર્ડ કરે છે. મેસેજિંગ એપ્સના ૮૭ ટકા યુઝર્સ તહેવારોમાં સ્ટીકર્સ રીસીવ કરે છે.
વેલ, દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં તમારો સમાવેશ ૭૦ ટકામાં થતો હતો કે ૯૦ ટકામાં?

તહેવારોમાં મીઠાઈ, રંગોળી, નવાં કપડાં વગેરેનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ હવે સ્ટીકર્સ, જીઆઈએફ, ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનું ય છે. અગાઉની જનરેશનને તહેવારોમાં સ્નેહીજનોના હાથે લખેલા રંગ-બેરંગી પોસ્ટકાર્ડ મળે એની રાહ રહેતી. પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્ટીકર્સે લઈ લીધું છે ત્યારથી હવે કોઈએ ખંતપૂર્વક બનાવેલા સ્ટીકર્સની પ્રતીક્ષા રહે છે.
                                                                     ***

GIF : ઈ-ગ્રીટિંગ્સમાં ટ્રેન્ડ સેટર

વોટ્સએપ-ફેસબુકમાં જીઆઈએફ ફાઈલ ફોરવર્ડ કરવાનો ટ્રેન્ડ પણ પેરેલલ ખૂબ ચાલી રહ્યો છે. કેટલીય એપ્સ હવે જીઆઈએફ બનાવવાની પણ સગવડ આપે છે. તેની મદદથી બનેલી જીઆઈએફ તહેવારોમાં શુભેચ્છા પાઠવવામાં વધારે ફોરવર્ડ થાય છે. આ ફાઈલ ફોર્મેટ વિકસાવવાનો યશ સોફ્ટવેર એન્જિનિયર સ્ટીવ વિલ્હિટને મળે છે.

૧૯૮૭માં સ્ટીવે એક ઈમેજમાં ૮ બિટ પર પિક્સેલની ક્ષમતા ધરાવતું ગ્રાફિક ફોર્મેટ બનાવ્યું, જેને ગ્રાફિક્સ ઈન્ટરચેન્જ ફોર્મેટ એવું નામ આપ્યું. એનિમેશન સપૉર્ટેડ આ ઈમેજ ફાઈલ GIFના ટૂંકા નામે જાણીતી બની. એક તસવીર નહીં, પણ ૭-૮ તસવીરોની સિકવન્સથી મોશન GIF ફાઈલ ક્રિએટ થતી હતી. આ ઈમેજનું સ્વરૂપ મોશન હોવાથી એ નાનકડા વીડિયોની ગરજ સારતી હતી.

સ્ટીવે પહેલી GIF ફાઈલ બનાવવા માટે ઉડતા વિમાનની તસવીરો પસંદ કરી હતી. એ તસવીરોને કમ્પ્રેશ કરીને વિમાન ઉડતું હોય એવો આભાસ સર્જ્યો હતો. એ જોઈને તેમના સહકર્મચારીઓ થોડીવાર તો માની નહોતા શકતા કે સ્ટીવને આવી ગ્રાફિક ઈમેજ બનાવવામાં ખરેખર સફળતા મળી ગઈ છે.

આ શોધ પછી કમ્પ્યુ-સર્વમાં સ્ટીવ વિલ્હિટ ઈન્ફર્મેશન મેનેજર બન્યા હતા. સ્ટીવે એ પછી વેબચેટ સોફ્ટવેર વિકસાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. ૯૦ના દશકામાં ઓનલાઈન વેબચેટ સર્વિસ વિકસી રહી હતી ત્યારે સ્ટીવ અને તેની ટીમે કમ્પ્યુ-સર્વ માટે યુઝર્સની તસવીર દેખાય એવું વેબચેટ મોડેલ ડેવલપ કર્યું હતું.
                                                                                ***

ઈ-ગ્રીટિંગ કાર્ડ્સ

પરંપરાગત પ્રિન્ટેડ ગ્રીટિંગ કાર્ડ્સને ઈ-કાર્ડ ફોર્મેટ બનાવીને આપણાં સ્માર્ટફોનમાં લાવવાનું કામ અમેરિકન એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈનર જૂડિથ ડોનાથે કર્યું હતું.

જૂડિથ ડોનાથે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (મીટ)માં મીડિયા આર્ટમાં માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો ત્યારે એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈન કરતી વખતે ડોક્યુમેન્ટના ઈ-ફોર્મેટનું કામ ખંતથી ઉપાડયું હતું. ક્રિસમસ-નવા વર્ષનો તહેવાર નજીક આવી રહ્યો હતો ત્યારે તેને ઈન્ટરનેટના માધ્યમથી શુભેચ્છા સંદેશો પાઠવવાનો વિચાર આવ્યો અને એમાંથી જન્મ થયો ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનો.

તેણે ડિસેમ્બર ૧૯૯૪માં 'ધ ઈલેક્ટ્રિક પોસ્ટકાર્ડ' નામની વેબસાઈટ બનાવી. વેબસાઈટમાં અઢળક ગ્રીટિંગ કાર્ડ્સ મૂક્યાં. વેબસાઈટની મુલાકાત લેનારાને વિખ્યાત પેઈન્ટિંગ્સની ફોટોકોપી, જાણીતા ફોટોગ્રાફરની પ્રકૃત્તિની તસવીરો, પોસ્ટકાર્ડ વગેરે ડાઉનલોડ કરવાની સવલત આપવામાં આવી હતી. યુઝર્સે કોઈ એક ગ્રીટિંગકાર્ડ પસંદ કરવાનું રહેતું. ગ્રીટિંગકાર્ડ પસંદ થઈ જાય એટલે તેમાં કંઈક મેસેજ લખવો હોય તો લખી શકાતો અને પછી જે તે વ્યક્તિને ઈ-મેઈલ કરીને ઈ-ગ્રીટિંગકાર્ડથી શુભેચ્છા પાઠવી શકાતી.

પહેલા વર્ષે તો 'મીટ'માં લાઈન લાગી ગઈ. અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા દરેકને આ નવો અનુભવ કરવો હતો એટલે એ વર્ષે અંદરો અંદર પણ ઈ-કાર્ડ્સની આપ-લે થઈ. પણ એ દિવસોમાં સ્પીડ એટલી ધીમી હતી કે દિવસના માંડ ૧૦ કે ૧૫ ઈ-કાર્ડ્સ એટેચ થઈને સેન્ડ થતાં હતાં.

બીજા વર્ષે ટેકનોલોજી વિકસી હતી અને જૂડિથે વેબસાઈટમાં પણ જરૂરી ફેરફાર કર્યા એટલે ઈ-કાર્ડ્સ મોકલવાની ઝડપ ઘણી વધી હતી. ૧૯૯૬ના ક્રિસમસ-નવા વર્ષ દરમિયાન ૧૯-૨૦ હજાર ઈ-ગ્રીટિંગ કાર્ડ્સની આપ-લે થઈ હતી. એ ટ્રેન્ડ પછી વર્ષભર ચાલ્યો હતો. વેલેન્ટાઈન્સ ડે, ફ્રેન્ડશિપ ડે મળીને એ વર્ષે ૧૭ લાખ ઈ-કાર્ડ્સ યુઝર્સે મોકલ્યા હતા.

પછી તો ઈ-ગ્રીટિંગકાર્ડ્સના ફોર્મેટમાં સતત પરિવર્તન આવતું રહ્યું. જેપીજી ફોર્મેટ પછી સ્માર્ટફોનની સાથે વીડિયો ગ્રીટિંગ મેસેજીસની લોકપ્રિયતા પણ વધી. જીઆઈએફ અને સ્ટીકર્સ પણ એક રીતે તો જૂડિથના ઈ-ગ્રીટિંગ્સનું જ એક્સટેન્શન છે!
Sunday, 3 November 2019
Posted by Harsh Meswania
Tag :

શતાયુ યોગ ટીચર: તાઓ પોર્ચન અને વી. નનમ્મલ


50 વર્ષ પછી યોગ ટીચર બનેલાં વી. નનમ્મલ આજે 100 વર્ષે ય દરરોજ 100 કરતાં વધુ વિદ્યાર્થીઓને યોગાસનો કરાવે છે
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

યોગ દિવસની ઉજવણી હજુ તાજી છે ત્યારે યાદ કરીએ 100 વર્ષના પડાવે પણ અસંખ્ય લોકોને યોગનું પ્રશિક્ષણ આપતાં બે વ્યક્તિત્વો - તાઓ પોર્ચન અને વી. નનમ્મલને.

દેશ-વિદેશમાં યોગનું મહત્વ વધતું જાય છે. બદલાતી જીવનશૈલી વચ્ચે યોગથી લોકોને નિરાંત મળી રહી છે. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની બહાર પહોંચેલા યોગે આજે અમેરિકા-યુરોપમાં વાવટા ફરકાવી દીધા છે. યોગનું પ્રયોજન માત્ર સાધના માટે યોગીઓ કરતા હતા, પણ તેને જીવનશૈલી સાથે જોડીને ૨૦મી સદીની શરૂઆતમાં વિવિધ આસનો ભારતીય યોગીઓએ વિકસાવ્યાં.
તે પહેલાં સામાન્ય લોકો યોગાસનો કરતા હોય એવું નહોતું બનતું. ૨૦મી સદીના શરૂઆતી દશકાઓમાં રોગની સારવાર માટે યોગાસનો પ્રયોજાવા લાગ્યાં. કાળક્રમે પંડિતોની પોથીઓ પૂરતી સીમિત બની ગયેલી યોગવિદ્યાને ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના આરંભે ભારતીય યોગીઓએ લોકોપયોગી બનાવી.
તિરૂમલાઈ કૃષ્ણમાચાર્ય, સ્વામી શિવાનંદ, સ્વામી પ્રભાવનંદ જેવા યોગીઓએ પરંપરાગત યોગાસનોમાં ફેરફાર કરીને લોકોપયોગી નવાં આસનો વિકસાવ્યાં. ટી. કૃષ્ણમાચાર્યની પાઠશાળામાંથી તો બી.કે.એસ. આયંગર, ઈન્દ્રા દેવી, પટ્ટાભી જોઈસ, એ.જી. મોહન જેવા વિશ્વવિખ્યાત યોગગુરુઓ વિશ્વને મળ્યા.
મહર્ષિ મહેશ યોગી સહિતના ભારતના યોગગુરુઓએ વિશ્વમાં યોગને શિખરો સર કરાવ્યાં. ઈન્દ્રા દેવી જેવાં રશિયન યોગિનીએ સેલિબ્રિટીના ફિટનેસ ફંડામાં યોગને માનભર્યું સ્થાન અપાવ્યું. ઈન્દ્રા દેવી પછી એવું જ કામ ભારતમાં જન્મેલાં અમેરિકન નાગરિક તાઓ પોર્ચને કર્યું. હજુ ૧૦૧ વર્ષે ય તાઓ એ કામ કરી રહ્યાં છે.
                                                                 ******
તાઓ પોર્ચનનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. આઠ વર્ષની વયે યોગના પરિચયમાં આવેલાં તાઓ 100 વર્ષે ય નિયમિત વિદ્યાર્થીઓને યોગ શીખવે છે.
ફ્રેન્ચ પિતા અને ભારતીય માતાનાં સંતાન તાઓ પોર્ચનનો જન્મ ૧૯૧૮માં ભારતમાં થયો હતો. આઠ માસનાં હતા ત્યાં જ માતાનું અવસાન થયું. પુડુચેરીમાં રહેતા માતાના પરિવારે તેમનો ઉછેર કર્યો. આઠ વર્ષની વયે તેમણે એક દિવસ દરિયાકાંઠે કેટલાંક યુવાનોને યોગાસનો કરતા જોયા.
તેમને આ નવતર કસરતમાં રસ પડયો. ઘરે જઈને નવા પ્રકારના કરતબોની વાત કરી. ઘરેથી કહેવામાં આવ્યું કે તેને યોગ કહેવાય અને તે મોટાભાગે છોકરાઓ જ કરે છે. થોડા દિવસ તાઓએ દરિયાકાંઠે નિયમિત યોગાસનો જોયાં. તેમને આ પ્રકારની કસરતોમાં બહુ જ રસ પડયો. થોડાંક દિવસ પછી ઘરમાં યોગાસનો શીખવાની હઠ પકડી અને એમ આઠેક વર્ષની વયે તેમણે યોગાભ્યાસ શરૂ કર્યો.
પછી તો મહર્ષિ અરવિંદ પાસેથી પણ યોગાસનો આત્મસાત કરવાની તક મળી. તેમણે બી.કે.એસ આયંગર, પટ્ટાભી જોઈસ, મહેશ યોગી જેવાં યોગીઓ સાથે યોગાભ્યાસ કરીને કુશળતા મેળવી હતી.
યોગાભ્યાસ કર્યા પછી તેમણે અન્યને તાલીમ આપવાનું તો ઘણાં વર્ષો સુધી શરૂ કર્યું ન હતું. તંદુરસ્ત રહેવા માટે દરરોજ યોગની પ્રેક્ટિસ કરતા ખરા, પણ યુવાવસ્થામાં તેમણે ફેશન-અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. મોડલિંગ માટે જગતભરમાં પ્રવાસો કર્યા. બીજાં વિશ્વયુદ્ધ પછી બોલરૂમ ડાન્સિંગમાં કાબેલ બનીને સ્ટેજ શો કર્યા. ૧૯૫૦-૬૦ના થોડાંક વર્ષો બ્રિટનમાં રહ્યાં અને પછી અમેરિકામાં સ્થાઈ થયાં. અમેરિકામાં આવીને ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવી. મોડલિંગ-એક્ટિંગ-ડાન્સિંગમાં સફળ થયા પછી પણ તેમને યોગનું ખેંચાણ થયા કરતું હતું.
એ તક તેમને લગ્ન પછી મળી. લગ્ન પછી તેમણે યોગને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. પહેલાં ફિટનેસ માટે અને નિજાનંદ માટે યોગાભ્યાસ કરતા હતા, પણ હવે તેમણે અન્યોને યોગ શીખવવાના ઈરાદાથી થોડાંક વધુ આસનો શીખ્યાં. બી.કે. એસ આયંગર પાસેથી વધુ તાલીમ લઈને તેમણે લગભગ ૪૫ વર્ષની વયે પ્રોફેશનલ ધોરણે યોગની તાલીમ આપવાનું શરૂ કર્યું.
ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી એટલે ફિલ્મજગતના મોટા ગણાતા નામ સાથે અંગત પરિચય હતો. એમાંથી ઘણી અભિનેત્રીઓ તો તાઓને યોગ શીખવવાનું અગાઉ પણ કહી ચૂકી હતી. તાઓએ સેલિબ્રિટીઝના યોગગુરુ તરીકે કરિઅર શરૂ કરી અને સાથે સાથે ક્લાસિસમાં સામાન્ય લોકોને પણ યોગાસનો શીખવ્યાં.
૧૯૬૪-૬૫થી યોગ ટીચર તરીકે શરૂ કરેલું કાર્ય આજે ૫૫ વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. સૌથી મોટી વયે યોગાભ્યાસ કરાવાનો રેકોર્ડ પણ ગિનેસ બુકમાં તેમના નામે દર્જ થયો છે. ૨૦મી સદીના અંતમાં અમેરિકામાં યોગાસનોને લોકપ્રિય બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા જોતાં આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રી આપીને તેમનું સન્માન કર્યું.
૧૦૧ વર્ષના પડાવે પહોંચેલા તાઓ પોર્ચન ન્યૂયોર્કમાં રહે છે અને હજુ ય સપ્તાહમાં ઓછામાં ઓછા આઠ ક્લાસમાં વિદ્યાર્થીઓને યોગ શીખવે છે. જગતભરમાં થતાં યોગાભ્યાસને લગતા વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બને છે. યોગ ટીચર ઉપરાંત બોલરૂમ ડાન્સર તરીકે તેમની ખ્યાતિ છે અને એ સિવાય યોગ પ્રશિક્ષણને લગતાં તેમના પુસ્તકો બેસ્ટ સેલર બની ચૂક્યા છે.
યોગ ટીચર, બોલરૂમ ડાન્સર અને લેખક તરીકે જાણીતા તાઓ યોગશક્તિ વિશે કહે છે: 'યોગાભ્યાસ કરુ છું એટલે તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષની થઈ છું. યોગાસનોથી જે મનની શાંતિ મળે તેને હું મારા પુસ્તકમાં પણ વ્યક્ત કરી શકી નથી. યોગ કરું છું એ જ પળે હું હિમાલયની ગોદમાં હોઉં એવી શાંતિ અનુભવું છું. મારી પાસે યોગાસનો શીખવા આવનારાઓને હું એક જ મંત્ર આપું છું કે આજે જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ છે એમ માનીને યોગથી દિવસની શરૂઆત કરશો તો ૨૧મી સદીના તણાવભર્યા વાતાવરણમાં ય તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષ જીવશો'.
                                                                       ******
ભારતનાં સૌથી મોટી વયના યોગ ટીચર વી. નનમ્મલ છે. ૧૯૧૯માં તમિલનાડુમાં જન્મેલા નનમ્મલને યોગનો વારસો પિતા-દાદા પાસેથી મળ્યો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલાં નનમ્મલે આઠ-નવ વર્ષે પિતા પાસેથી યોગાસનો શીખ્યાં હતા. તેમના પરિવારમાં પરંપરા હતી કે બધા જ બાળકોએ યોગાસનો ફરજિયાત શીખવાના, પરંતુ તેમાંથી કોઈ જાહેરમાં તેની પ્રક્ટિસ કરતા ન હતા. નનમ્મલે પણ ન કરી. એ સમયની પરંપરા પ્રમાણે ૧૬-૧૭ વર્ષની વયે નનમ્મલના લગ્ન થયાં.
સાસરે જઈને તેમણે યોગાભ્યાસ શરૂ રાખ્યો, પણ માત્ર પોતાના પૂરતો. અન્યને શીખવવાનો વિચાર સુદ્ધાં તેમણે કર્યો ન હતો. તેમના જીવનમાં ૭૦ના દશકામાં વળાંક આવ્યો. એક દિવસ ખેતરમાં કંઈક કામ કરતી વખતે તેમના સાસુની પગની નસ ખેંચાઈ ગઈ. ડૉક્ટરને બતાવ્યાં પછી ય કોઈ ફરક ન પડયો.
નનમ્મલને વિચાર આવ્યો કે તેમનાં સાસુ યોગાસનો કરે તો કદાચ તેમને ઘણી રાહત થઈ જશે. તેમણે સાસુને યોગાસનો શીખવ્યા. થોડાંક દિવસમાં ચમત્કારિક ફેરફાર થયાં અને પગ સાજો થઈ ગયો. તેમનાં સાસુને આ ઘટનાથી એવું સમજાયું કે જો નનમ્મલ મોટી વયની મહિલાઓને આવા સરળ આસનો શીખવે તો એ મહિલાઓને દર્દમાંથી રાહત મળે.
તેમનાં સાસુએ જ નનમ્મલને યોગ ટીચર બનાવવાનું પ્રોત્સાહન આપ્યું. નનમ્મલે બાળકોને યોગાસાનો શીખવીને સત્તાવાર રીતે યોગ ટીચર તરીકે નવી ઈનિંગ શરૂ કરી ત્યારે તેમની વય ૫૦ કરતા વધુ હતી. તેમણે પાડોશીઓને યોગાભ્યાસ કરાવ્યો. ધીમે-ધીમે સંખ્યા વધતી ગઈ. મહિલાઓને યોગાસનો શીખવવા તરફ તેમણે વધુ ધ્યાન આપ્યું. ગર્ભવતી મહિલાઓને સરળ યોગાસનો શીખવવા માટે તેમણે અમુક નવા આસનો પણ વિકસાવ્યાં.
છેલ્લાં ૪૫ વર્ષથી સક્રિય યોગ ટીચર તરીકે કાર્યરત રહીને તેમણે ૧૦ લાખ કરતા વધુ લોકોને યોગાસનો શીખવ્યાં છે. દરરોજ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓને નનમ્મલ જાતે યોગાભ્યાસ કરાવે છે. તેમના ૭૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ તો અત્યારે ભારત ઉપરાંત વિદેશમાં પણ યોગ શિક્ષક તરીકે કાર્યરત છે.
યોગ શિક્ષક તરીકેની આ નવી ઈનિંગે તેમને છેલ્લાં ૪૦-૪૫ વર્ષમાં અનેક સન્માનો અપાવ્યાં છે. રાષ્ટ્રીય નારી શક્તિ પુરસ્કારથી લઈને ૨૦૧૮માં મળેલાં પદ્મશ્રી સુધીના પુરસ્કારોનો એમાં સમાવેશ થાય છે. ૧૦૦ વર્ષના આ દાદીમાને પૌત્રો અને પ્રપૌત્રો સાથે સહજ રીતે યોગાસનો કરતા જોઈનો જોનારાઓ દંગ રહી જાય છે. પ્રેગનેન્સી દરમિયાન અને લગ્ન પછી મહિલાઓને અનેકાનેક શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. યોગાસનો એ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે, તે બાબતે વિશેષ જાગૃતિ આવે એ દિશામાં આ ૧૦૦ વર્ષના દાદીમા છેલ્લાં થોડાંક વર્ષથી કાર્યરત છે.
યોગનું મહત્વ સમજાવતા નનમ્મલ કહેતાં હોય છે: 'ભારતીય જીવનશૈલી એવી છે કે એમાં યોગાસનો જરૂરી છે. આપણાં ખોરાકમાં મસાલેદાર અને ગળપણનું વધુ પડતું મિશ્રણ હોવાથી ૩૦-૪૦ વર્ષે જ શરીર સ્થૂળ બની જાય છે. એમાંથી છૂટકારો મેળવવો હોય અને હોસ્પિટલના ધક્કા ખાવામાંથી બચવું હોય તો નિયમિત ૪૫ મિનિટ યોગાસનો કરવા જોઈએ. યોગ માત્ર આસનો નથી, એક ઉપચાર પદ્ધતિ પણ છે'.
                                                                        ******
બંને શતાયુ યોગ ટીચરમાં કોમન બાબત એ છે કે બંને જીવનના બીજા પડાવમાં યોગ ટીચર તરીકે કાર્યરત થયાં હતાં અને બંનેએ બહુ જ નાની વયે યોગનું શિક્ષણ લીધું હતું. યોગની પ્રેક્ટિસથી તેમનું જીવન લાંબું અને નિરોગી છે અને જે ઉંમરે માણસ પથારીવશ થઈ જાય એ ઉંમરે આ બંને યોગિનીઓ દરરોજ તેમનાં વિદ્યાર્થીઓનો યોગ શીખવે છે.
બાળપણમાં શીખેલી કે બાળપણથી જેની ખ્વાહિશ હોય એવી કોઈ કળા-વિદ્યામાં ધાર કાઢીને મોટી ઉંમરે ન ધારેલી સફળતા મેળવી શકાય છે એનું જીવંત ઉદાહરણ આપવાનું હોય ત્યારે વિશ્વના સૌથી વયસ્ક યોગ ટીચર તાઓ પોર્ચન અને ભારતના સૌથી વયસ્ક યોગ ટીચર વી. નનમ્મલના નામનો ઉલ્લેખ થાય તો જવાબ ૧૦૦ ટકા સાચો માનવો જોઈએ! શું કહો છો?
Sunday, 23 June 2019
Posted by Harsh Meswania
Tag :

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ: ઈન્ટરનેટ સાથે કનેક્ટ લાઈફસ્ટાઈલનાં 20 વર્ષ

'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ'ની વ્યાખ્યા આપનારા સંશોધક કેવિન એશટોન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' સૂત્રનું સર્જન ૧૯૯૯માં થયું હતું. કેવિન એશટોન નામના બ્રિટિશ સંશોધકે એ વાક્ય પ્રચલિત કરીને દુનિયાની 'દુનિયા' બદલી નાખી હતી.

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ.
૨૧મી સદી આ એક શબ્દપ્રયોગ આસપાસ ઘૂમી લઈ રહી છે. આપણને ઉપયોગી બધી જ ચીજવસ્તુઓનું ઈન્ટરનેટ સાથે જોડાણ થાય તેને 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' (આઈઓટી) કહેવાય છે. એકથી વધુ ડિવાઈસનું આંતરિક ઓટોમેટિક જોડાણ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એક રીતે ડિવાઈસનું નેટવર્કિંગ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ.
એનાથી આપણી રોજિંદી જિંદગી વધુ સરળ બને છે. ૨૦મી સદીના અંત સુધી માણસ મશીનને કમાન્ડ આપે ત્યારે ઓટોમેટિક કામ થતું હતું, પરંતુ દુનિયા હવે એટલી બદલાઈ ચૂકી છે કે એક મશીન જ મશીનને કમાન્ડ આપીને કામ કરાવે છે અને એમાં ઈન્ટરનેટની મદદ મળે છે.
ઈન્ટરનેટની કનેક્ટિવિટીથી જેટલી બાબતોને જોડી શકાય એ તમામ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. ધારો કે ફ્રિજમાં ફળ-શાકભાજીનો નિયત જથ્થો રાખ્યો છે. સેટિંગ્સ જ એવું કર્યું છે કે એટલો જથ્થો ઓછામાં ઓછો મેઈન્ટેન થાય. જેવો નિયત થયેલો જથ્થો ઓછો થાય કે તરત ફ્રિજ જાતે જ ફળો-શાકભાજીનો ઓર્ડર કરી નાખે તો એ 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' એક્ટ થઈ કહેવાય!
બીજું એક ઉદાહરણ જોઈએ, ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાનો ભય હતો એ વખતે આપણે કાર લઈને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર તરફ જઈએ ત્યારે કારનો વીમો આપનારી કંપનીના સેન્સર્સ ઓટોમેટિક આપણી કારને એ વિસ્તારમાં ન જવાનો સંકેત આપે તે ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થયું કહેવાય.
કોઈ અવાવરું જગ્યાએ વાહનને અકસ્માત નડે ત્યારે ઈજાગ્રસ્ત બેહોશ હોય અને તેને કોઈની મદદ મળી શકે તેમ ન હોય, પણ વાહનમાં લગાવેલા વિશેષ સેન્સર્સથી નજીકના પોલીસ સ્ટેશનના કંટ્રોલરૂમને જાણ થાય અને એમ્બ્યુલન્સને ય લોકેશનની જાણકારી મળે; થોડાંક સમયમાં ડિવાઈસના આંતરિક કનેક્શનના કારણે મદદ મળી જાય અને માણસનો જીવ બચી જાય. આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી શક્ય બન્યું કહેવાય. આવા તો અનેકાનેક પરિવર્તનો આવ્યા છે, આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય જેવા કેટલાય ક્ષેત્રોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વરદાન બનશે. તેનાથી માણસની સુખાકારીમાં ન ધારેલી ઝડપે પરિવર્તન આવશે.
સ્માર્ટ વિલેજનો કે સ્માર્ટ સિટીનો જે વિચાર છે તે પણ આમ તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડાયેલો છે. ઈન્ટરનેટની મદદથી ઓટોમેટિક પદ્ધતિથી બધું જ થતું રહે તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. આપણે ત્યાં તો હજુ સ્માર્ટસિટીની વાતો થઈ રહી છે, પણ ખરા અર્થમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી ચાલતા શહેરનું ઉદાહરણ આપવાનું હોય તો મસદર શહેરનો ઉલ્લેખ કરવો પડે.
અબુ ધાબીથી ૧૭ કિલોમીટર દૂર આવેલું મસદર શહેર ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી સાકાર થઈ રહ્યું છે. ઝીરો કાર્બનના સંકલ્પ સાથે શહેરમાં વિવિધ સુવિધા મળશે. રણમાંથી આવતી ગરમ હવાને ઠંડી હવામાં પરિવર્તિત કરવા માટે ઊંચા વિંડ ટાવર્સ બનાવાયા છે. એના કારણે આપમેળે ઠંડક થતી રહે છે. છ-સાત બિલ્ડિંગ્સનું મોડેલ તૈયાર થઈ ચૂક્યું છે અને શહેરમાં લગભગ બધું જ સ્વયં સંચાલિત છે. એ માટે સીધી કે આડકતરી રીતે ઈન્ટરનેટની મદદ લેવાઈ છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા બહુ વિશાળ છે. અત્યારે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું જેટલું અસ્તિત્વ છે એનાથી અનેકગણું આવનારા વર્ષોમાં હશે. તેની મદદથી અનેક ક્ષેત્રોમાં ન કલ્પેલી ક્રાંતિ થશે. ટેકનો-એક્સપર્ટ્સ માને છે કે આજે જે દુનિયા દેખાય છે તે આવનારા સમયમાં સદંતર બદલાઈ જશે. કૃષિ, ઔદ્યોગિક, માહિતી પછી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને ચોથીક્રાંતિ ગણવામાં આવે છે. ઔદ્યોગિકક્રાંતિમાં પણ વળી પાંચમી ક્રાંતિ ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થશે.
એક માણસ બીજા માણસ સાથે અલગ અલગ માધ્યમોથી કોમ્યુનિકેશન કરતો હતો. કોમ્યુનિકેશનના કેટલાય મીડિયમ બદલાયા પછી આખરે માણસ મશીન સાથે કોમ્યુનિકેશન કરતો થયો. હવે એક મશીન બીજા મશીન સાથે કોમ્યુનિકેશન કરીને માણસને મદદરૂપ થાય. આ સ્થિતિને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહે છે અને તે સૂત્રના સર્જનનું નામ છે - કેવિન એશટોન.
                                                                     ******
 સ્માર્ટ ઉપકરણોને જોડી શકાય તેવો પહેલો વહેલો વિચાર માણસને ૧૯૮૨માં આવ્યો હતો. એ વર્ષે ઈન્ટરનેટથી કનેક્ટ થયેલું કોલ્ડડ્રિંક્સનું વેન્ડિંગ મશીન કાર્નેગી મેલન યુનિવર્સિટીના કેમ્પસમાં મૂકાયું હતું. મશીનમાં મૂકાયેલું ડ્રિંક્સ ઠંડું છે કે નથી તેનો અહેવાલ ઈન્ટરનેટની મદદથી મળતો હતો.
એક ડિવાઈસથી બીજા ડિવાઈસને જોડવામાં ઈન્ટરનેટની મદદ લેવાઈ હતી એટલે તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો સૌપ્રથમ સફળ પ્રયોગ કહેવાય છે. પરંતુ એ વખતે હજુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા અસ્તિત્વમાં ન હતી એટલે તેને યૂનિક કમ્પ્યુટરિંગ એવું નામ અપાયું હતું.
૧૯૯૧માં અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્ક વેઈઝરે યૂબિક્વિટ્સ કમ્પ્યુટરિંગ નામે ડિવાઈસથી ડિવાઈસને જોડયા પછી અસ્તિત્વમાં આવનારી સ્થિતિનો આછો-પાતળો ખ્યાલ સંશોધનપત્રમાં આપ્યો હતો. યૂબિક્વિટ્સ એટલે સર્વવ્યાપક હોય એવું. યૂબિક્વિટ્સ કમ્પ્યુટરિંગ એટલે બધે જ ઉપલબ્ધ હોય એવી કમ્પ્યુટર સિસ્ટમ. '૨૧મી સદીમાં કમ્પ્યુટરનો વિકાસ' એવાં વિષયના સંદર્ભમાં રજૂ થયેલી આ વ્યાખ્યાએ ખૂબ ચર્ચા જગાવી હતી.
માર્કના સંશોધનપત્ર પછી એ દિશામાં સંશોધન પણ થવા લાગ્યા હતા. થોડાંક વર્ષો પછી અમેરિકી કમ્પ્યુટર એન્જિનિયર બિલ જોયે ડિવાઈસ-ટુ-ડિવાઈસની કલ્પના રજૂ કરી હતી અને તેમાં સાયન્સ ફિક્શન લેખકોની કલ્પના જેવી શક્યતા વ્યક્ત કરી હતી.
૧૯૯૯માં બ્રિટિશ ટેકનો-એક્સપર્ટ કેવિન એશટોને આ બધા જ શબ્દપ્રયોગોનો નિચોડ રજૂ કરીને, તેમાં જરૂરી ફેરફાર સૂચવીને નવો જ વિચાર રજૂ કર્યો હતો અને તેને નામ આપ્યું હતું - ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઓટો-આઈડી સેન્ટરના સહસ્થાપક કેવિને આ શબ્દપ્રયોગ પ્રચલિત કરવાની સાથે સેન્સરિંગ ટેકનોલોજીના સંશોધનનો પણ પાયો નાખ્યો.
રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશનને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે અનિવાર્ય ગણાવીને કેવિને કહ્યું હતું કે ડિવાઈસથી ડિવાઈસને જોડવા માટે મજબૂત વાયરલેસ ટેકનોલોજી વિકસાવવી પડશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સને કોઈન કરવા ઉપરાંત કેવિનનું મહત્વનું પ્રદાન એ છે કે તેણે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનના ગ્લોબલ માપદંડો ઘડયાં.
રેડિયો ફ્રિકવન્સી વગર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વ્યાપક બની શકશે નહીં એવું શરૂઆતથી જ પારખી ગયેલા કેવિને ૧૯૮૯-૯૦માં શોધાયેલી બ્લૂટૂથ ટેકનોલોજીના વ્યાપમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. એટલે જ ૫૧ વર્ષના આ સંશોધકને માત્ર 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' સૂત્રના સર્જક તરીકે જ નહીં, પરંતુ આ વિચારને નવી દિશા આપનારા સંશોધક તરીકે ય જગતમાં માન-સન્માન મળે છે. હવે તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માત્ર બ્લૂટૂથ પૂરતી મર્યાદિત બાબત પણ નથી. તેનો વ્યાપ ઘણો વધારે છે.
બે દશકા પહેલાં જેની માત્ર કલ્પના રજૂ થઈ હતી એ વ્યાખ્યાએ આજે દુનિયા બદલી નાખી છે. કેવિને વિચાર આપ્યો હતો. વિચારનો વિસ્તાર કર્યો હતો અને વિચાર સાકાર કરવામાં પણ ભૂમિકા ભજવી હતી.
                                                                       ******
વર્ષો પછી એ જ દિશામાં સંશોધનો આગળ વધ્યા અને આજે બે ડિવાઈસ જોડવા માટે વાયરલેસ કનેક્શન કોમન થિંગ છે. આજે અમેરિકા-યુરોપમાં ૪૭ ટકા હોમ ડિવાઈસનું સ્માર્ટફોન સાથે જોડાણ છે. વિશ્વના ૨૦ ટકા લોકો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે એક નહીં તો બીજી રીતે જોડાઈ ચૂક્યા છે. વિવિધ સેન્સર્સ ઈન્ટરનેટ ઓફ થિંગ્સના વાહક બની ગયા છે.
સરેરાશ સ્માર્ટફોનધારક સ્માર્ટફોન સાથે અન્ય ડિવાઈસ જોડીને ઈન્ટરનેટ ઓફ થિંગ્સના અસ્તિત્વને આગળ વધારે છે. સર્વેક્ષણમાં એવો ય દાવો થવા લાગ્યો છે કે આગામી પાંચ વર્ષમાં ૫૦ ટકા ઈન્ટરનેટ યુઝર્સ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો હિસ્સો બની જશે.
ઈન્ટરનેટની શોધથી જે સિલસિલો શરૂ થયો હતો તે ડબલ્યુડબલ્યુડબલ્યુની શોધથી વિસ્તર્યો હતો અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા પછી સર્વવ્યાપક-સર્વત્ર બન્યો છે. ૨૧મી સદી આ શબ્દપ્રયોગની પરિક્રમા કરશે તે નક્કી છે!
માનસમાં તુલસીદાસજીએ ઈશ્વરના અસ્તિત્વના સંદર્ભમાં કહ્યું હતું:
હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના
એમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) માટે ય કહેવું જોઈએ,
આઈઓટી વ્યાપક સર્વત્ર સમાના, સેન્સર્સ સે પ્રગટ હોહિ મૈં જાના!

************************

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ: હેકર્સની પહેલી પસંદ

ઈન્ટરનેટ ઓફ થિંગ્સની સુવિધા વરદાનરૂપ છે એમાં બે મત નથી, પરંતુ તેનાથી પ્રાઈવસીની મુશ્કેલી પણ વધવા માંડી છે. એક જ ડિવાઈસ સાથે અનેક બાબતો જોડાયેલી હોવાથી હેકર્સ સરળતાથી આપણો ડેટા મેળવી શકે છે. ભવિષ્યમાં જેમ જેમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો વ્યાપ વધશે તેમ તેમ હેકર્સનો ખતરો પણ વધશે.
સામાન્ય રીતે અન્ય ડિવાઈસને આપણે ઈન્ટરનેટથી જોડી રાખવા માટે સ્માર્ટફોન સાથે જોડીએ છીએ. તેના કારણે હેકર્સનું કામ વધુ સરળ બની જાય છે. તેને માત્ર એક ડિવાઈસ જ હેક કરવાનો રહે છે. એ સાથે જ સ્માર્ટફોનથી જોડાયેલા બધા ડિવાઈસ-સેન્સર્સનો ડેટા હેકર્સના હાથમાં પહોંચી જશે.
જરૂરી નથી કે દરેક વખતે આ હેકિંગનો ઉપયોગ બ્લેકમેઈલિંગ માટે જ થાય, માર્કેટિંગ માટે ય થઈ શકે! ધારો કે સ્માર્ટફોન સાથે જોડાયેલા એસી-ફ્રિજની જાણકારી હેકર્સને મળે અને એનો ડેટા કંપનીઓ સુધી પહોંચે તો કંપનીઓના એસી-ફ્રિજ એક્સચેન્જના મેઈલ-મેસેજ-કોલ શરૂ થઈ શકે.
આવું તો ઘણું થઈ શકે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માણસની સુખાકારીમાં વધારો કરે છે એનો અર્થ એ કે તેનું જોડાણ સીધું ઘર-પરિવાર સાથે હોવાનું, એ જ બાબતનો ગેરલાભ હેકર્સ ઉઠાવી શકે છે. એટલે જ દુનિયાભરના ટેકનો-એક્સપર્ટ્સ અત્યારથી જ ઈન્ટરનેટ ઓફ થિંગ્સને હેકર્સથી પ્રોટેક્ટ કરવા ઉપર વધુ ભાર આપી રહ્યા છે.
Sunday, 16 June 2019
Posted by Harsh Meswania
Tag :

BJP-TMCનું પોસ્ટકાર્ડ વૉર દેશને રૂ. 3.49 કરોડમાં પડશે!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બીજેપી-ટીએમસી વચ્ચે એક-બીજાને જથ્થાબંધ પોસ્ટકાર્ડ મોકલવાની લડાઈ શરૂ થઈ છે. આ વૉર પોસ્ટવિભાગ માટે કેવું પરિણામ લાવશે? સરવાળે તેનાથી ફાયદો થશે કે નુકસાન?

ચૂંટણી પૂરી થઈ જાય પછી પણ ભારતમાં રાજકારણ પૂરું થતું નથી! ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજુય એવું જ રાજકારણ ચાલું છે. તેના ભાગરૂપે બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને પોસ્ટકાર્ડ મોકલીને રાજકીય વૉર આગળ વધારી રહ્યા છે.
પશ્વિમ બંગાળના ભાજપ યુનિટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને 'જય શ્રીરામ' લખેલા ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ પણ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને 'જય હિંદ, વંદે માતરમ્, જય બાંગ્લા' લખેલાં ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની ઘોષણા કરી. દસેક હજાર જેટલાં પોસ્ટકાર્ડ્સનો પહેલો જથ્થો તો નેતાઓને ડિલિવર પણ થઈ ચૂક્યો છે!


જો આમને આમ ચાલ્યું તો ભાજપ-ટીએમસી વચ્ચે ૩૦ લાખ પોસ્ટકાર્ડની આપ-લે થશે. કદાચ વધારે પણ થાય. બાબુલ સુપ્રિયો જેવા ભાજપના અન્ય નેતાઓએ પણ મમતા બેનર્જીને 'ગેટ વેલ સૂન' લખેલા પોસ્ટકાર્ડ્સ મોકલવાની જાહેરાત કરી હતી. એ રીતે જો અલગ અલગ સ્થળેથી ભાજપના નેતાઓ કેમ્પેઈન ચલાવે તો પોસ્ટકાર્ડ્સની સંખ્યા વધી શકે છે. સામે તૃણમૂલ કોંગ્રેસ પણ વળતો જવાબ આપશે જ એટલે પોસ્ટકાર્ડ્સની આપ-લેમાં બીજાં થોડાંક લાખ ઉમેરાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!
આ પોસ્ટકાર્ડ વૉરથી કોને કેટલો ફાયદો થશે અને કોને કેટલું નુકસાન થશે એ તો સમય કહેશે, પરંતુ એનાથી ભારતને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે એ અત્યારથી જ નક્કી છે!
                                                                         ******
૧,૫૪,૯૬૫ પોસ્ટ ઓફિસ સાથે ભારતીય ટપાલ વિભાગ દુનિયાનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં સરેરાશ ૨૧ કિલોમીટરે એક પોસ્ટ ઓફિસ છે. દેશમાં પોસ્ટકાર્ડની સર્વિસ શરૂ થઈ તેને જુલાઈ-૨૦૧૯માં ૧૪૦ વર્ષ થશે. શરૂઆતમાં પોસ્ટવિભાગ કમાણી કરી આપતો વિભાગ હતો. કોમ્યુનિકેશનના માધ્યમો મર્યાદિત હતા ત્યારે ટપાલનું મહત્વ હતું એટલે તેમાંથી સરકારને ઠીક-ઠીક આવક પણ થતી. પછી આવક ઓછી થઈ છતાં થોડાંક વર્ષ નુકસાન થાય એવી સ્થિતિ સર્જાઈ ન હતી.


પરંતુ હવે દર વર્ષે પોસ્ટકાર્ડમાં સરકારને કરોડોનું નુકસાન થાય છે. પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ખૂબ ઊંચી છે, સામે આવક અતિશય ઓછી છે. ટપાલ વિભાગના છેલ્લાં અહેવાલ પ્રમાણે સરકાર એક સાદા પોસ્ટકાર્ડ પાછળ રૂ. ૧૨.૧૫નો ખર્ચ કરે છે. તેની બજાર કિંમત ૫૦ પૈસા છે. પ્રોડક્શન કોસ્ટની તુલનાએ આવક માત્ર ચાર ટકા છે. એક પોસ્ટકાર્ડ પાછળ સરકાર રૂ. ૧૧.૬૫ની ખોટ કરે છે.
સરકારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું એ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં રૂપિયા ૪.૬૬નો વધારો થયો છે. ૨૦૧૦-૧૧ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડના ઉત્પાદન પાછળ રૂપિયા ૭.૪૯નો ખર્ચ થતો હતો. તે વધીને ૧૨.૧૫ રૂપિયા થયો છે. બીજી તરફ વેંચાણ કિંમત તો ત્યારે ય ૫૦ પૈસા હતી અને આજેય ૫૦ પૈસા જ છે.
૨૦૦૩-૦૪ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડનો પ્રોડક્શન ખર્ચ રૂ. ૬.૮૯ હતો અને ત્યારે ય સાદું પોસ્ટકાર્ડ ૫૦ પૈસામાં મળતું હતું. છેલ્લાં દોઢ દશકામાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં ૭૬ ટકાનો વધારો થયો છે, પરંતુ વેંચાણ કિંમતમાં એક પૈસાનો પણ વધારો થયો નથી. કદાચ ભારતની આ એકમાત્ર એવી સરકારી પ્રોડક્ટ છે, જેની કિંમત દાયકાઓથી જરાય વધી નથી.
૨૦૧૬-૧૭ના અહેવાલનો જ આધાર લઈએ તો પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ ૧૧.૭૪ રૂપિયાનો ખર્ચ થાય છે. તેના એક વર્ષ પહેલાં એક પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૯.૨૭ રૂપિયામાં તૈયાર થતું હતું. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે છતાં તેનું વેંચાણ મૂલ્ય વધારાયું નથી.
ખોટ તો એમાં ય આવે જ છે, છતાં ય સાદા પોસ્ટકાર્ડમાં સરકારની તિજોરી ઉપર જેટલો બોજ આવે છે એટલો બોજ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડથી આવતો નથી. કારણ કે તેની વેંચાણ કિંમત ૬ રૂપિયા છે. એક સાદું પોસ્ટકાર્ડ ૯૬ ટકા ખોટ કરે છે, જ્યારે પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૪૯ ટકા ખોટ કરે છે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડનું આશ્વાસન એટલું છે કે તે ૫૧ ટકા ખર્ચ રિકવર કરે છે!
અંતર્દેશીય પત્રની હાલત પણ આમ તો એવી જ છે. ૧૨.૦૭ રૂપિયાના ખર્ચ પછી તે ૨.૫૦ રૂપિયા પાછા લાવે છે. ૨૦૧૫-૧૬માં અંતર્દેશીય પાછળ સરકારને ૯.૬૮ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચમાં અઢી રૂપિયા જેટલો વધારો થયો હતો, પરંતુ તેની વેંચાણ કિંમત યથાવત રાખવામાં આવી હતી.
પ્રતિયોગિતા (કૉમ્પિટિશન પોસ્ટકાર્ડ) પત્ર અને સાધારણ પત્ર એ બે પ્રોડક્ટ એવી છે કે જેમાં ૯૦ ટકા સુધીની રકમ પાછી આવે છે. પ્રતિયોગિતા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૧.૭૫ રૂપિયા છે અને તેની વેંચાણ કિંમત ૧૦ રૂપિયા છે. લેટર પાછળ ૧૩.૩૦ રૂપિયાનો ખર્ચ થાય છે અને તેનું મૂલ્ય ૧૨.૯૧ રખાયું છે. પરંતુ આ બંને પ્રોડક્ટની ખાસ ડિમાન્ડ રહેતી નથી. ઈનશોર્ટ, ભારતીય ટપાલ વિભાગની ઉપરોક્ત એકેય પ્રોડક્ટમાંથી નફો થતો નથી.
                                                                  ******
વેલ, અહીં કદાચ એવો ય સવાલ થાય કે હવે પોસ્ટકાર્ડ કોણ ખરીદતું હશે? ઈ-મેઈલ, મેસેજ, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાના જમાનામાં વધી વધીને કેટલાં પોસ્ટકાર્ડ વેંચાતા હોય? અમુક હજાર? કદાચ અમુક લાખ? પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય એટલે તેના ભાવ વધ્યા નહીં હોય. પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય તો ટપાલ વિભાગને ઝાઝી ખોટ થવાનો ય પ્રશ્ન નથી.
પણ ના. એવું બિલકુલ નથી. છેલ્લા રીપોર્ટ પ્રમાણે ૨૦૧૬-૧૭માં ૯૯.૮૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. જી હા. ઓલમોસ્ટ ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ હજુ ય એક વર્ષમાં વેંચાય છે. તેના આગલા વર્ષે ૧૦૪ કરોડ પોસ્ટકાર્ડ્સનો ઉપયોગ થયો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં પોસ્ટકાર્ડનો ઉપયોગ ઘટયો છે એ વાત સાચી છે છતાં એટલો મોટો ઘટાડો ય નથી આવ્યો.
૨૦૦૯-૧૦ના અહેવાલ પ્રમાણે ૧૧૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. તેનો અર્થ એ કે ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં ૧૬ ટકા જેવો ઘટાડો થયો હતો છતાં ય માતબર સંખ્યામાં પોસ્ટકાર્ડ્સનો વપરાશ થાય છે.
વર્ષે વેંચાતા ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ પાછળ ટપાલ વિભાગ અંદાજે ૧૨૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચે છે અને વળતર માંડ ૫૦-૭૦ કરોડ હશે. કદાચ આ જ કારણ છે કે પોસ્ટ વિભાગ ભારતની ખોટ કરતી સરકારી કંપનીના લિસ્ટમાં પહેલી હરોળમાં છે. ચાલુ વર્ષના અંતે ટપાલ વિભાગની ખોટ ૧૫,૦૦૦ કરોડે પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.
                                                                ******
ધારો કે બીજેપી-ટીએમસી ખરેખર એકબીજાને ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલશે તો કદાચ પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં નોંધપાત્ર વધારો થશે. તે સાથે જ પોસ્ટ વિભાગની ખોટમાં ય વધારો થશે! જો બંને પક્ષ સાદા પોસ્ટકાર્ડ્સ ઉપર પસંદગી ઉતારે તો ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદવા માટે બંને પક્ષે મળીને ૧૫ લાખ રૂપિયા ખર્ચ કરવાનો થાય.
સાદા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૨.૧૫ રૂપિયા છે. તે હિસાબે ટપાલ વિભાગને આ પોસ્ટકાર્ડ્સ પાછળ ૩,૬૪,૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે. તેનો સાદો અર્થ એ પણ થયો કે બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર દેશને ૩.૬૪ કરોડ રૂપિયામાં પડશે! પડતર કિંમતમાંથી ૧૫ લાખ ઘટાડીએ તો ય તો ય સાડા ત્રણ કરોડની ખોટ તો નક્કી જ છે.
માનો કે આ બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ઉપર પસંદગી ઉતારે તો નુકસાન થોડુંક ઘટે. ભાજપ ૧૦ લાખ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ પાછળ ૬૦ લાખ રૂપિયા પાર્ટીએ ખર્ચવા પડે. તૃણમૂલ કોંગ્રેસ ૨૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ માટે ૧.૨૦ કરોડ ખર્ચવાના થાય. થોડાંક પોસ્ટકાર્ડ્સની આપ-લે વધે અને બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ બે કરોડ ખર્ચે તો પણ પોસ્ટવિભાગને ફાયદો તો નથી જ થવાનો. પણ હા નુકસાન ઓછું થશે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૧૧.૭૪માં તૈયાર થાય છે, પરંતુ તેનો ભાવ ૬ રૂપિયા હોવાથી ખોટની ટકાવારી ઘટશે.
                                                                    ******
ચલો, આને જરાક જુદી રીતે વિચારીએ! ભાજપ-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર ધારો કે સોશિયલ મીડિયામાં છેડાય. બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને ટેગ કરીને ભલે 'જય શ્રી રામ', 'જય બાંગ્લા', 'જય હિંદ', 'વંદે માતરમ્'ના સૂત્રો લખે. આમેય ટ્વીટર ઉપર ટેગ કરવામાં કોઈ પાબંદી નથી. ૩૦ લાખ પોસ્ટકાર્ડની જાહેરાત થઈ છે એને બદલે કદાચ દરરોજ કે દર અઠવાડિયે સામ-સામી ૩૦-૩૦ લાખ ટ્વીટ કરીને નારા લખી શકે અને એનો વળી કોઈ ખર્ચ નથી, સિવાય કે સમય અને ડેટા!
જો આવું થાય તો પેલા પ્રિન્ટેડ પોસ્ટકાર્ડની ખરીદી પાછળ બંને પાર્ટીએ ખર્ચવાના થતાં અંદાજિત બે કરોડ રૂપિયાનું શું? દેશમાં હકારાત્મક રાજનીતિ થતી હોત તો આ બે કરોડ રૂપિયાથી કાચા મકાનમાં કે ઝુંપડામાં રહેતા ઘણાં પરિવારો પાકા ઘરમાં રહેવા માંડે.
હા. જરૂરતમંદ પરિવારોને બે લાખની સહાય થાય અને સરકાર જમીન આપે (બંને પક્ષ સત્તામાં છે, ભાજપ શાસિત કેન્દ્ર સરકાર તેમના અધિકારક્ષેત્રમાં અને ટીએમસી પશ્વિમ બંગાળમાં તેમના અધિકારક્ષેત્રમાં જમીન આપી શકવા સક્ષમ છે) તો ૧૦૦ પરિવારો ઉપર છત બની શકે. ટપાલ વિભાગની ૩૦ લાખ ટપાલોમાં થતી ખોટ બચી જાય એ નફામાં, ને હડિયાપટ્ટી કરવામાંથી ઘણાં પોસ્ટમેનને મુક્તિ મળે તે વળી ટપાલવિભાગ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ!
પરંતુ આપણે ત્યાં આવું થતું નથી. આમાં ય નહીં થાય. મતોના ગણિતથી રાજકારણ થતું હોય ત્યાં મતિના ગણિત માંડીને રાજકારણ થશે એવી અપેક્ષા ય રાખી શકાય તેમ નથી.
વેલ, અત્યારે તો બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર જુઓ. આખરે આ તમાશો દેશના ટેક્સપેયર્સની મનીમાંથી જ તો થશે. પોસ્ટવિભાગની વર્ષોવર્ષની ખોટ બીજે તો ક્યાંથી ભરપાઈ થશે?
Sunday, 9 June 2019
Posted by Harsh Meswania
Tag :

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ : નવી જનરેશનને વળગેલી બીમારી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ૨૧૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ. ૨૧મી સદીની નવી જનરેશનને આ વિચિત્ર બીમારીએ ભરડો લીધો છે. ડ્રાઈવિંગ દરમિયાન બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવું તેને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ કહેવાય છે. ડિસ્ટ્રેક્ટ એટલે ગૂંચવણ, વ્યાકૂળતા. ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે વાહન ચલાવતી વખતે બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવાના કારણે ડ્રાઈવિંગમાં થતી ગૂંચવણ-મુંઝવણ-ગરબડ.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે ત્રણ પ્રકારની એક્ટિવિટી: પ્રથમ, આંખથી કંઈક અન્ય દૃશ્ય જોવું. બીજું, શરીરથી ડ્રાઈવિંગ સિવાયની એક્ટિવિટી કરવી અને ત્રીજું, વાહન ચલાવવા સિવાયના કોઈ બીજાં જ સારા-ખરાબ વિચારોમાં ખોવાયેલું રહેવું.

ડ્રાઈવિંગ વખતે જીપીએસમાં જોવું, હોર્ડિંગ્સ તરફ નજર નાખવી એ બધુ વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. ખાવું-પીવું, વાતો કરવી, મોબાઈલમાં કંઈક સર્ચ કરવું કે વિડીયો-ફોટોગ્રાફ્સ જોવા વગેરેને મેન્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. એટલે કે શરીરથી ડ્રાઈવિંગ સિવાયની પ્રવૃત્તિ કરવી. ડ્રાઈવિંગ દરમિયાન શરીર ડ્રાઈવિંગ સીટ ઉપર હોય, પરંતુ મન ક્યાંક બીજે હોય તેને કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન કહેવાય, એટલે કે વાહન ચલાવતી વખતે માનસિક રીતે બેધ્યાન રહેવું.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્ગ અકસ્માતો ભયજનક રીતે વધ્યાં છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગનું સૌથી મોટું કારણ છે:  સ્માર્ટફોન.
                                                                     ***
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડ્રાઈવિંગ દરમિયાન વધતા જતાં સ્માર્ટફોનના વપરાશ બાબતે અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલના કારણે અકસ્માતોનું પ્રમાણ એક ટકાથી લઈને ૧૧ ટકા થયું હતું. મોબાઈલના કારણે થઈ રહેલાં માર્ગ અકસ્માતોમાં પાંચ વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો હતો.

અમેરિકન ટ્રાન્સપોર્ટેેશન વિભાગની નોંધ પ્રમાણે મોબાઈલમાં મેસેજિંગ કરવાના કારણે અકસ્માતની શક્યતા ૨૩ ગણી વધી જાય છે છતાં વાહનચાલકોના વલણમાં ખાસ કોઈ ફરક પડતો નથી. અમેરિકામાં ૩૦ ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મેસેજ કરે છે. કુલ એક્સિડેન્ટ્સમાંથી આઠ ટકા એક્સિડેન્ટ્સ ચાલુ ડ્રાઈવિંગે વોટ્સએપમાં મેસેજ કરવાથી થાય છે.

બ્રિટનમાં ૩૫ ટકા વાહન ચાલકો ચાલુ ડ્રાઈવિંગે મેસેજ-ફોન કરે છે. નિયમો કડક હોવા છતાં મોબાઈલનો ઉપયોગ ઓછો થયો ન હતો તેને આ દેશોએ ચિંતાજનક બાબત ગણાવી હતી. ઈટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈટાલીમાં થતાં ૮૦ ટકા અકસ્માતો પાછળ કોઈને કોઈ રીતે મોબાઈલ જવાબદાર હોય છે. યુરોપિયન સંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે નશો કરીને ડ્રાઈવિંગ કરવું તે યુરોપમાં અકસ્માત થવાનું પહેલું મુખ્ય કારણ હતું અને બીજું કારણ હતું મોબાઈલ.

ફોનમાં વાત કરવી, મેસેજ કરવા કે સોંગ ચેન્જ કરવાના કારણે રોડ ઉપરથી ધ્યાન હટે છે અને તેના કારણે અકસ્માતો થાય છે એવી નોંધ યુરોપિયન સંઘના એ અહેવાલમાં થઈ હતી.

વિશ્વના અડધો અડધ દેશોમાં તો મોબાઈલના કારણે કેટલા અકસ્માતો થાય છે તેનો કોઈ ડેટા જ અવલેબલ નથી. ભારતમાં ય આવો અહેવાલ હજુ બે-ત્રણ વર્ષથી જ તૈયાર થાય છે. અમુક દેશોએ ગંભીર સ્થિતિ પારખીને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. એ પ્રયાસો કરનારા દેશોમાં ભારતનો ય સમાવેશ થાય છે.
                                                                   ***
દેશમાં એક ખાનગી કાર કંપનીના સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. વાહન ચલાવતા ૧૦માંથી ૬ નાગરિકોનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તે હિસાબે માત્ર ૧૦માંથી ચાર વાહનચાલકોનું ધ્યાન ડ્રાઈવિંગ વખતે રસ્તા ઉપર હોય છે.

૪૭ ટકા ભારતીયોને ડ્રાઈવિંગ વખતે ફોન આવે છે અને એમાંથી મોટાભાગના લોકો રિસિવ કરીને જવાબ આપે છે. વળી, ડ્રાઈવિંગ કરનારા ૯૪ ટકા લોકો એ વાત કબૂલે ય છે કે રસ્તા ઉપર મોબાઈલનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેમ છતાં મોબાઈલનો ઉપયોગ ટાળતા નથી.
અચ્છા, એનાથી ય રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જ વાહનચાલકો પેસેન્જર બનીને વાહનમાં બેસે છે ત્યારે એમાંના ૯૬ ટકા તેના ડ્રાઈવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રોકે-ટોકે છે. મતલબ કે પોતે જે કરતા નથી તે બીજા પાસે ભારપૂર્વક કરાવે છે!

આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કાર-બાઈક લઈને નીકળો તો આપણી કાર-બાઈક કોઈને ન ટકરાય તેનું ધ્યાન તો આપણે રાખવું જ પડે છે, પણ બીજો આવીને આપણને ટકરાવી ન જાય એનું ય ધ્યાન આપણે જ રાખવું પડે છે. દરેક વાહન ચાલક પોતાનું વાહન અન્યને ન ટકરાય એટલું ય ધ્યાન રાખે તો દેશમાં ૩૦ ટકા અકસ્માતો તો એક ઝાટકે ઓછા થઈ જાય!

પેલા ખાનગી સર્વેક્ષણમાં ૨૦ રાજ્યોને આવરી લેવાયા હતા અને એમાં વળી એવું તારણ ય નીકળ્યું હતું કે દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાનું વલણ ૧૦ ટકા વધારે છે. પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. દેશના ૨૦થી ૪૦ વર્ષના વાહન ચાલકોમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવાનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું છે. ૪૦થી ૬૦ વર્ષના વાહન ચાલકોમાં માત્ર ૧૦ ટકા જ ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ બાબતે વડીલો પાસેથી આપણી જનરેશને ધડો લેવા જેવું ખરું!

ગયા વર્ષે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં અહેવાલ આપતા કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલમાં વાત કે મેસેજ કરવાના કારણે દેશમાં એક વર્ષમાં ૪૯૭૬ અકસ્માતો થયા હતા અને એમાં ૨૧૩૮ લોકોના મોત થયા હતા. મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની બેદરકારીના કારણે ૨૧૩૮ લોકોએ અકાળે રસ્તા ઉપર જીવ ખોયો હતો એનાથી ય ગંભીર બાબત તો એ હતી કે તેમાંથી ૧૫૦૦ લોકોની વય ૨૦થી ૩૫ની વચ્ચે હતી અને એમાંથી ઘણાં ખરા બાઈકચાલક હતા. બીજા અર્થમાં કહીએ તો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવાનું બાઈકચાલકો માટે વધુ જોખમી છે.
                                                                    ***

ભારત સરકાર સહિત વિશ્વની સંખ્યાબંધ સરકારો ટીવી, અખબારની જાહેરાતોની મદદથી ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની નાગરિકોમાં માનસિકતા કેળવાય તે માટે પ્રયાસો કરે છે. ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓના સેફ્ટી પ્રોગ્રામ હેઠળ ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ બાબતે ઝુંબેશ ચલાવતી થઈ છે.

એમ તો કારમાં સેફ્ટી સિસ્ટમ વધુ પાવરફૂલ થવા લાગી છે. કારમાં બ્લુટૂથથી વાત કરી શકાય એવા ફીચર્સ એડ થયા છે, પરંતુ બાઈકચાલકો માટે જોખમ ઓછું થતા વાર લાગશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ભારપૂર્વક કહ્યું હતું કે વિવિધ સરકારો જે ઝુંબેશ ચલાવે છે તે અપૂરતી છે. માસ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો વધુ સઘન રીતે કરવા જરૂરી છે. જો મોબાઈલનો ઉપયોગ આમને આમ ચાલશે અને કડક કાયદા અમલી નહીં બને તો આગામી દિવસોમાં વિશ્વના એકેય રસ્તા સુરક્ષિત નહીં હોય.

ડ્રાઈવિંગ દરમિયાન થોડોક સમય કોલનો જવાબ નહીં આપીએ કે મેસેજનો જવાબ નહીં આપીએ તો દુનિયા ઊંધી ચત્તી થઈ જવાની નથી એ વાત આપણે સમજવી પડશે. જો એ વલણમાં ફેરફાર નહીં કરીએ તો ક્યારેક આપણાં જીવનું જોખમ ખડું થશે, ક્યારેક બીજાના જીવ ઉપર આપણે જોખમ ખડું કરી કરીશું. આપણી સલામતી માટે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર નીકળવાની મતી આપણે જ કેળવવી પડશે.

દેશમાં વર્ષે ૧૫૦૭૮૫ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતાં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩-૧૪ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા વિશ્વના ૧૪ લાખ કમભાગી લોકોમાંથી દોઢ લાખ લોકો તો એકલા ભારતના હોય છે.

નીતિન ગડકરીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ૪,૮૦,૬૫૨ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં ૧,૫૦,૭૮૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં એક કલાકમાં સરેરાશ ૫૫ અકસ્માતો થયા હતા અને એમાં ૧૭ લોકોના મોત થયા હતા. એટલે કે દરરોજ ૪૦૦ ભારતીયો રસ્તા ઉપર દમ તોડી દે છે.

માર્ગ અકસ્માતોમાં તેના અગાઉના વર્ષ કરતા ઘટાડો થયો હતો, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુદરમાં વધારો થયો હતો. માર્ગ અકસ્માતમાં જેમના મૃત્યુ થયા હતા એમાંથી ૪૬ ટકા લોકોની વય ૧૮થી ૩૫ની વચ્ચે હતી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસના આધારે આ અહેવાલ તૈયાર થાય છે. તે હિસાબે ઘણાં નાના-મોટા કિસ્સા કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી એની સંખ્યા ગણીએ તો માર્ગ અકસ્માતોનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે છે.

રીપોર્ટ મુજબ ૧૩ રાજ્યોમાં ૮૬ ટકા અકસ્માતો થાય છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, હરિયાણા, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અકસ્માતોની બાબતે સૌથી ખતરનાક સાબિત થયા હતા. યુટર્ન અને વળાંકો ઉપર ૩૭ ટકા અકસ્માતો થયા હતા.

ભારતમાં અકસ્માતોથી વધતા મૃત્યુઆંકને જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ૨૦૨૦-૨૧માં ભારતમાં મૃત્યુના વિવિધ કારણોમાં માર્ગ અકસ્માત સૌથી આગળ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ પ્રમાણે ભારતને દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.
Sunday, 24 February 2019
Posted by Harsh Meswania
Tag :

ઈંટનો જવાબ પથ્થરથી ન આપો તો કંઈ નહીં, 'લોહી'નો જવાબ 'પાણી'થી તો આપો!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ફેબ્રુઆરી-2019માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ચેનાબ નદી ઉપરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સમીક્ષા કરી ગઈ. પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે, એટલે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે

૧૯૪૭માં અખંડ ભારતના બે ભાગ પડયા કે તરત જ બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયા હતા. એ કરાર જોકે, ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો, પરંતુ એ કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું.

ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી ભારતે પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો થોડો વખત અટકાવ્યો કે તરત પાકિસ્તાને વૈશ્વિક સ્તરે રજૂઆતો શરૂ કરી. ઘણી વાટાઘાટો પછી આખરે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં ઐતિહાસિક સિંધુ જળ સમજૂતી થઈ હતી.
                                                                        ***
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ, તે પ્રમાણે સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી નક્કી થઈ. કરાર પ્રમાણે ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું.

એ કરારમાં એવી જોગવાઈ હતી કે પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. બીજાં શબ્દોમાં કહીએ તો ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો. સગા બે ભાઈઓ એક ઘરમાંથી જુદા થાય અને મોટોભાઈ ઉદારતાથી નાનાભાઈ માટે જતું કરે એવું ભારતે પણ તે વખતે કર્યું હતું. ભારત પોતાના હિસ્સામાં આવતું ૨૦ ટકા જળ વાપરવાને બદલે મોટું મન રાખીને જતું કરે છે.

પાકિસ્તાનમાં રહેતા લોકો પણ આખરે તો અખંડ ભારતનો હિસ્સો હતા અને જો ભારત પાણીની વહેંચણીમાં આકરા નિયમો મૂકે તો એ નાગરિકોને વેઠવાનું આવે એમ વિચારીને ભારતે થોડું નમતું જોખ્યું હતું. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પછી તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા હતા, પણ ભારતે એકેય વખત સિંધુ જળ સમજૂતી તોડી ન હતી.

બંને દેશોના અધિકારીઓની એક કાયમી સમિતિ બની હતી અને એ સમિતિ શક્ય હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન કરે છે. સિંધુ જળ સમિતિની અત્યાર સુધીમાં ૧૧૯ બેઠકો મળી ચૂકી છે. કરારની જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે અને સમીક્ષા કરી શકે છે. બંને પક્ષે કંઈ કચવાટ હોય તો આ સમિતિ જ શક્ય હોય ત્યાં સુધી તેનું સમાધાન લઈ આવે છે.

૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના યુદ્ધ વખતે ય ભારતે સિંધુ નદીનું પાણી ન અટકાવ્યું. એ પછી તો સરહદે પાકિસ્તાને સતત અવળચંડાઈ શરૂ કરી તો ય ભારતે સિંધુ જળકરાર ન તોડયો. પાકિસ્તાને સાવ નીચલી પાયરીએ બેસીને ભારત સામે લડવા આતંકવાદનો સહારો લીધો તો ય ભારતે પાણી અટકાવીને પાકિસ્તાનના નાગરિકોને પરેશાન કરવાનું વલણ ન બતાવ્યું.

પાકિસ્તાનના અવળચંડા-ભારતદ્વેષી નેતાઓના મોઢા સામે જોયું હોત તો તો ભારતે ક્યારના કરારો તોડી નાખ્યા હોત. પણ ભારતે હંમેશા માનવતાવાદી વલણ અપનાવીને પાકિસ્તાનના એ કરોડો નાગરિકોના દયામણા મોઢા સામે જોયું હતું કે જેને ખરેખર પાણીની વિકટ તંગી વેઠવાની આવતી હતી, પરંતુ હવે વારંવાર સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને, આતંકવાદીઓને સમર્થન આપીને, કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર ઘોળીને અને કાશ્મીર બાબતે વૈશ્વિક સ્તરે જૂઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચતા પાકિસ્તાને સીધું દૌર કરવા માટે ભારતે પાણી મુદ્દે પાણી બતાવવાની નીતિ શરૂ કરી છે.

ભારતે અવળચંડા પાકિસ્તાની નેતાઓને ઘૂંટણિયે પાડવાનો જે વ્યૂહ અપનાવ્યો છે, તે સફળ થાય તો ઘણી સમસ્યા ઉકેલી જાય એવી શક્યતા નકારી શકાય નહીં.
                                                                     ***
ભારતમાં એક મત એવો છે કે સિંધુ જળ કરારના કારણે ભારતને કરોડોનું નુકસાન થાય છે. જમ્મુ-કાશ્મીર સરકાર તો સિંધુ કરારની ફેરવિચારણા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક નિષ્ણાતો તો એવું કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુજળ કરાર કાશ્મીરમાં ઘણાં ખરા અંશે રોષ જન્માવે છે.

ભારતે શાંતિની અપેક્ષાએ પાકિસ્તાનના નાગરિકોના હિતમાં કરારમાં હસ્તાક્ષર કર્યા હતા, પણ એ શાંતિ ક્યારેય આવી નહી. જો શાંતિ આવવાની જ નથી તો પછી શાંતિની અપેક્ષાએ કરાયેલા એ કરારનો ય કોઈ અર્થ નથી એટલે ભારતે કરારનું પાલન કરવું ન જોઈએ એવી ય લાગણી હવે પ્રબળ બનતી જાય છે.

ભારતે એ માટે એક મહત્વનું પગલું ભરીને ૨૦૦૭માં ઝેલમ નદી ઉપર કિશનગંગા હાઈડ્રોલિક પ્લાન્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં વડાપ્રધાને કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું તે સાથે જ પાકિસ્તાન સરકાર હરકતમાં આવી હતી.

૨૦૧૬માં આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈનિકોના કેમ્પ ઉપર હુમલો કર્યો તે પછી ભારતે પાણીનો મુદ્દો વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ભારતે સિંધુ, ચેનાબ, ઝેલમમાંથી પાણીનો વપરાશ વધારવાનો સંકેત આપ્યો તે સાથે જ પાકિસ્તાન તુરંત વર્લ્ડ બેંકમાં ફરિયાદ લઈને પહોંચી ગયું હતું.

૧૯૬૦માં વર્લ્ડ બેંકે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. વર્લ્ડ બેંકે ફરીથી મધ્યસ્થી કરીને લંડનમાં બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ભારત નિયમો તોડીને પાકિસ્તાનને પરેશાન કરે છે તે વાત વર્લ્ડ બેંકને ગળે ઉતરી નહીં. પાકિસ્તાન ખુદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મોટા ડેમ બાંધે છે અને ભારતના પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કરે છે તે વાત જ હાસ્યાસ્પદ સાબિત થઈ હતી.

કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો લઈને ય પાકિસ્તાનને વર્લ્ડ બેંકને ભારતની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય મધસ્થી કોર્ટમાં ભારતની વિરૂદ્ધ તૈયારી કરી હોવાનું વર્લ્ડ બેંકને કહ્યું તો વર્લ્ડ બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 'કિશનગંગા પ્રોજેક્ટમાં પાકિસ્તાન બીજા બધા ધમપછાડા કરવાને બદલે ભારતની નિષ્ણાતોની નિયુક્તિની વાત માનીને આગળ વધે અને સુલેહનો માર્ગ કાઢે. સિંધુજળ મુદ્દે ભારત નિયમોનું પાલન કરતું આવ્યું છે એટલે પાકિસ્તાન ભારતની પાછળ ન પડી જાય'

૨૦૧૩માં જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. ભારતે બહુ જ વ્યૂહાત્મક રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 'પાણી' બતાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમપછાડા શરૂ કર્યા હતા, પણ પાકિસ્તાન માટે સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ખુદ પાકિસ્તાની અખબારોએ પાક. સરકારની ભારત સાથેની જળનીતિને ઢીલી-પોચી ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી. પાક. મીડિયાએ તો ત્યાં સુધી સલાહ આપી હતી કે ભારત સાથે નરમ વલણ બતાવીને પાકિસ્તાન સરકારે નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ.

હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી સહિત ઘણા શહેરોમાં ભારે પાણીની તંગી પ્રવર્તે છે. ભારતમાંથી જતું પાણી પાકિસ્તાનના નાગરિકો માટે કેટલું જરૂરી છે એનો અંદાજ પાકિસ્તાનની સરકારને છે જ, પણ અત્યાર સુધી નિયમોને નેવે મૂક્યા હોવાથી વૈશ્વિક સ્તરે ય ભારતની ફરિયાદથી કંઈ ઉપજે એમ નથી. વળી, ભારતની અત્યાર સુધીની બધી જ સરકારો નિયમો પાળતી આવી છે એટલે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉજળી શાખ છે.

ઉનાળા પહેલાં પાણીની વ્યવસ્થા કરવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે. તેના ભાગરૂપે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ચેનાબ નદી ઉપરના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિતની બાબતોનું નિરીક્ષણ કરી ગયું. એમાં ભારતે કોઈ જ નિયમો તોડયા નથી એ જાણ્યા પછી સિંધુ જળ સમિતિના પાકિસ્તાનના કમિશનર સૈયદ અહમદ અલીએ પાકિસ્તાન સરકારને અહેવાલ આપ્યો કે નિરીક્ષણ સફળ રહ્યું અને એમાં કંઈ જ વાંધાજનક નથી.

બીજી તરફ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પાકિસ્તાનને અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે જો પાકિસ્તાન એનું અક્કડ વલણ નહીં મૂકે તો ૨૦૨૫ સુધીમાં તેનો ઘણો ખરો ભાગ ઉનાળામાં પાણીના એક એક ટીપા માટે વલખા મારશે.
                                                                      ***
વેલ, પાકિસ્તાનના 'ખૂનીખેલ' સામે ભારતે છેલ્લાં દોઢેક દશકાથી 'પાણીદાર' તરિકો અપનાવ્યો છે. જો ભારત સરકાર આક્રમક રીતે આ વ્યૂહરચના ચાલુ રાખશે તો પાકિસ્તાન એમાં આબાદ રીતે સપડાય જાય તેવી ઉજળી શક્યતા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ રોકવામાં છેલ્લાં દાશકાઓમાં ભારતની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.

પાકિસ્તાનની સૈન્ય સતત શસ્ત્રવિરામ ભંગ કરે છે ત્યારે સરકાર રાબેતા મુજબનો જવાબ આપે છે : 'ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'. પરંતુ આ સૂત્રાત્મક વાત સૂત્રમાંથી બહાર ઓછી નીકળે છે, એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેતી આવી છે.
એ બધા વચ્ચે પાણીની આ વ્યૂહરચના પછી આપણે એટલી તો આશા રાખી શકીએ કે સરકાર ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો કંઈ નહીં, આપણા જવાનો-નાગરિકોના 'લોહી'નો જવાબ 'પાણી'થી આપશે તો ય એ એટલો જ અસરકારક સાબિત થશે!

૩૧૮૦ કિલોમીટર લાંબી સિંધુ નદી

સિંધુ નદી. એશિયાની આ સૌથી મોટી પૈકીની એક ગણાતી નદીના કાંઠે એક સમયે- આશરે આઠેક હજાર વર્ષ પૂર્વે જગતની પ્રાચીન એવી એક સિંધુ સંસ્કૃતિનો ઉદય થયો હતો. આજેય સિંધુ નદી અને તેમાંથી ઉપનદીઓના કાંઠે ૩૦ કરોડ લોકો રહે છે. ૧૧.૬૫ લાખ વર્ગ કિલોમીટરમાં તેનો ફેલાવો છે. ભારતમાં સિંધુ નદીનો ૩૯ ટકા હિસ્સો છે. નદીનો સૌથી વધુ ૪૭ ટકા વિસ્તાર પાકિસ્તાનમાં છે. ચીનમાં ૮ ટકા અને અફઘાનિસ્તાનમાં નદીનો ૬ ટકા જેટલો હિસ્સો છે.

માનસરોવર નજીક ઉદ્ગમ સ્થાન ધરાવતી આ નદીની કુલ લંબાઈ ૩૬૧૦ કિલોમીટર છે. સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ - વિતસ્તા (ઝેલમ), ચંદ્રભાગા (ચેનાબ), ઈરાવતી, વિપાસા, રાવી, વ્યાસ, સતલુજ - ભારતીય ઉપખંડમાં વહે છે. તે સિવાયની ઉપનદીઓ પણ ભારત-પાકિસ્તાન-તિબેટ-અફઘાનિસ્તાનમાંથી પસાર થાય છે. પાકિસ્તાનને સિંધુને નેશનલ રીવરનો દરજ્જો આપ્યો છે.
Sunday, 17 February 2019
Posted by Harsh Meswania
Tag :

ટેડી બીઅર : બાળકોના રમકડાંથી ગર્લફ્રેન્ડની ગિફ્ટ સુધીની જર્ની


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વેલેન્ટાઈન વીકમાં આજે 'ટેડી બીઅર ડે' છે. વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ્સમાં માનભેર સ્થાન મેળવનારાં ટેડી બીઅરની જર્ની રસપ્રદ છે. ચાલો, ટેડી બીઅરની દુનિયામાં સાઈન ઈન કરીએ!

૧૪ મી નવેમ્બર, ૧૯૦૨નો દિવસ હતો.
થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને બરાબર બે મહિના થઈ રહ્યા હતા એટલે મિસિસિપીના ગર્વનર એન્ડ્રુ લોંગીનોએ તેમને મહેમાનગતિ માણવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આમંત્રણને માન આપીને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચ્યા. ત્યાં તેમના માટે વિવિધ આયોજનો થયા હતાં, એમાંનું એક આયોજન હતું - શિકાર કરવા જવાનું.

એ વખતે અમેરિકામાં શિકાર કાયદેસરની પ્રવૃત્તિ હતી. એમાંય કાળા રીંછના શિકારે જવું એ પરાક્રમ લેખાતું! પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચીને રીંછના શિકારમાં ઉપડયા. આખા ગ્રુપમાં પ્રેસિડેન્ટ, ગર્વનર ઉપરાંત અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ય હતા. એમાંના ઘણાં રીંછનો શિકાર કરી શક્યા, પરંતુ ઘણી રઝળપાટ પછી ય પ્રમુખ રૂઝવેલ્ટની નજરમાં એકેય રીંછ ન ચડયું.

પ્રેસિડેન્ટના હાથે શિકાર થતો ન હતો એટલે સહાયકો મદદે આવ્યા. હોલ્ટ કોલિનર નામનો એક સહાયક અઠંગ રીંછ શિકારી ગણાતો. પ્રેસિડેન્ટ મિસિસિપી સુધી આવે અને રીંછનો શિકાર હાથ ન લાગે તો તો બદનામી થશે એવા વિચારે હોલ્ટે આખો મામલો હાથમાં લીધો. થોડીવારમાં તે એક રીંછને પકડી લાવ્યો. પ્રેસિડેન્ટ જ્યાં થાક ખાવા ઉભા હતા ત્યાં પહોંચીને હોલ્ટે એ રીંછને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પ્રમુખને કહ્યું : 'સર! આ રહ્યો તમારો શિકાર, વીંધી નાખો!'

જો પ્રેસિડેન્ટ આ રીતે શિકાર કરી નાખે તો શિકારનો કાર્યક્રમ પૂરો જાહેર થાય અને બધા ખાવા ભેગા થાય, એમ વિચારીને બધાએ સહાયક હોલ્ટના આઈડિયાને સમર્થન આપ્યું. ગર્વનરે ય પ્રેસિડેન્ટને પાનો ચડાવ્યો. પરંતુ એ કોઈ શિખાઉ શિકારી નહોતા કે પકડેલા રીંછનો શિકાર કરે, એ થિયોડોર રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ બન્યા તે પહેલાં વિખ્યાત 'બીગ ગેમ હન્ટર્સ'માં તેમનું નામ હતું. દુનિયાભરમાં રઝળપાટ કરીને શિકાર કરનારા રૂઝવેલ્ટને આ રીતે શિકાર કરવો યોગ્ય ન લાગ્યો. તેમણે સહાયક હોલ્ટના આ આઈડિયાને નકારી દીધો અને એ દિવસનો શિકારનો કાર્યક્રમ ત્યાં જ અટકાવી દીધો.
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને સર્જેલું પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ અને રીંછનું કાર્ટૂન
એ ઘટનાની નોંધ બીજા દિવસે અખબારોમાં લેવાઈ. અમેરિકાના અખબારોએ દિવસો સુધી પ્રેસિડેન્ટની એ ખેલદિલીની પ્રશંસા કરી. પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને આ ઘટનાથી પ્રેરાઈને વૉશિંગ્ટન પોસ્ટમાં એક કાર્ટૂન બનાવ્યું, જેમાં સહાયક હોલ્ટ રીંછને પકડીને ઝાડ સાથે બાંધવા જઈ રહ્યો છે અને રૂઝવેલ્ટ હાથના ઈશારાથી પાછળ ફરીને તેને એમ કરતા અટકાવે છે, તે દૃશ્ય ખડું થયું હતું. એ દૃશ્યમાંથી 'ટેડી બીયર'નો વિચાર જન્મ્યો.
                                                                          *** 
બ્રુકલીનમાં રમકડાં અને નોવેલ્ટી શોપ ધરાવતા મોરિસ મિક્ટોમ અને તેની પત્ની રોઝે આ ઘટનાના રમૂજી લેખ્યો વાંચ્યા હતા. એમાં ક્લિફોર્ડ બેરીમેનનું કાર્ટૂન આવ્યું એ ય મોરિસ અને રોઝના ધ્યાનમાં ચડયું. કાર્ટૂન જોયા પછી બંનેને એક રમકડું બનાવવાનો વિચાર આવ્યો.

રેશમી સુતરાઉ કાપડની મદદથી આ દંપતીએ રીંછના આકાર-દેખાવનું એક રમકડું બનાવ્યું. બાહ્મ દેખાવ રીંછ જેવો રાખીને એમાં તકિયામાં નાખવાની બધી સામગ્રી ભરી. ટેકનિકલી જેને આજે સ્ટફ્ડ એનિમલ ટોય કહેવાય છે એવું આ નરમ-મુલાયમ રમકડું મિક્ટોમ દંપતીએ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને મોકલ્યું અને સાથે એ રમકડાંને પ્રેસિડેન્ટનું નામ આપવાની પરવાનગી માગતો પત્ર ય જોડયો. 

રૂઝવેલ્ટના પૌત્ર કીમે મિક્ટોમ દંપતીએ બનાવેલા સૌપ્રથમ ટેડી બીઅરની જાળવણી કરી હતી.
2000માં કીમનું નિધન થયું તે પછી એ ટેડી સ્મિથસોનિયન મ્યુઝિયમમાં સચવાયું છે
પ્રેસિડેન્ટને એ રમકડું ખૂબ ગમ્યું. નવતર પ્રકારના આ રીંછના રમકડાંને પોતાનું નામ આપવાની પણ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટે પરવાનગી આપી દીધી. પ્રેસિડેન્ટની પરવાનગી સાથેનો વળતો પત્ર મળ્યો પછી મિક્ટોમ દંપતીએ એ રમકડાંનું ઉત્પાદન શરૂ કરીને નોવેલ્ટી શોપમાં વેંચવા મૂક્યાં અને તેને પ્રેસિડેન્ટના નામ ઉપરથી નામ આપ્યું : Teddy's bear.

Teddy's bear એટલે કે પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું રીંછ! થિયોડોર રૂઝવેલ્ટનું નિકનેમ 'ટેડી' હતું. આમ તો પ્રમુખ રૂઝવેલ્ટને ટેડી એવું હુલામણુ નામ બહુ ગમતું નહીં, પરંતુ એ દિવસોમાં અખબારો ય રમૂજમાં ટેડી લખતા હતા અને શિકારની એ ઘટના પછી તો પ્રમુખને ટેડી નામથી સંબોધીને ઘણાં હળવા લેખો પ્રસિદ્ધ થયા હતા. રમૂજનો માહોલ સર્જાયો હતો એટલે એ હળવાશને ધ્યાનમાં રાખીને જ કદાચ પોતાને ન ગમતા હુલામણા નામ ઉપરથી રમકડાંનું નામ પાડવાનો પ્રસ્તાવ આવ્યો એ તેમણે સ્વીકારી લીધો.

મિક્ટોમ દંપતીએ નોવેલ્ટી સ્ટોરમાં વેંચવા મૂકેલા રમકડાં Teddy's bear એટલાં તો પોપ્યુલર થઈ ગયાં કે એ સ્ટાઈલથી અન્ય વેપારીઓ પણ એવા રમકડાં બનાવવા માંડયાં. પછી તો ડોગ-કેટ-હાથી વગેરે પ્રાણીઓના આકારના ય રમકડાં માર્કેટમાં મળતા થઈ ગયાં.

પાંચ વર્ષ પછી ૧૯૦૭માં મોરિસ અને રોઝે આઈડીયલ નોવેલ્ટી એન્ડ ટોય કંપની બનાવીને મોટાપાયે ટેડી બીઅરનું ઉત્પાદન શરૂ કર્યું. એને એટલી તો સફળતા મળી કે એક દશકામાં મોરિસ રમકડાંના મોટા બિઝનેસમેન બની ગયા. ૧૯૩૮માં ૬૮ વર્ષની વયે મોરિસ મિક્ટોમનું નિધન થયું ત્યારે તેની કંપની ટેડી બીઅર બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની હતી.

શરૂઆતમાં આવા રમકડાં Teddy's bear નામથી ઓળખાતા હતા, પણ પછી એનું નામ ગ્રાહકોએ એનું અનુકૂળતા પ્રમાણે માત્ર Teddy's bear કરી નાખ્યું.

મોરિસ અને રોઝને જે સમયગાળામાં ટેડી બીઅર બનાવવાનો વિચાર આવ્યો હતો એવો જ વિચાર લગભગ એ જ ગાળામાં આ બંનેથી જોજનો દૂર રહેતા બીજા ય એક ડીઝાઈનરે આવ્યો હતો.
                                                                          ***
જર્મનીમાં દર વર્ષે લીપઝીગ ટ્રેડ ફેર યોજાય છે. ૧૯૦૩માં યોજાયેલા એ ફેરમાં એક રમકડાંએ આકર્ષણ જમાવ્યું હતું. એ રમકડાંનું નામ હતું - સ્ટેઈફ બીઅર. જર્મન ટોય ડીઝાઈનર રીચાર્ડ સ્ટેઈફને ય રીંછ જેવું રમકડું બનાવવાનો વિચાર એ જ ગાળામાં આવ્યો હતો.

આમ તો રીચાર્ડ કિશોરાવસ્થાથી ફઈની ટોય મેકિંગ એન્ટરપ્રાઈઝમાં આવડે એવું કામ કરતો હતો. રીચાર્ડ કોલેજમાં હતો એ ગાળામાં વારંવાર ઝુની મુલાકાતે જતો. એ દરમિયાન આવું રમકડું બનાવવાનો વિચાર તેને આવ્યો. વિચાર પ્રમાણે ડ્રોઈંગ્સ કર્યા પછી એમાંથી તેણે બીઅરનું રમકડું બનાવ્યું હતું.


રીચાર્ડ સ્ટેઈફે બનાવેલા ટેડી બીઅરની પ્રતિકૃતિ જર્મનીના સંગ્રહાલયમાં સચવાઈ છે
 ટ્રેડ ફેરમાં રજૂ થયેલું તેનું આ બીઅર ખૂબ પ્રશંસા પામ્યું. તેણે એ જ અરસામાં સ્ટેઈફ ટોય્ઝ કંપની બનાવી. કંપનીને ધારી સફળતા મળી. બીજા વર્ષે તો તેણે એ મેળામાં હજારો સ્ટેઈફ બીઅર વેંચ્યાં અને સૌથી સફળ બિઝનેસમેન તરીકે ગોલ્ડ મેડલ ય મેળવ્યો.

જ્યારે રીચાર્ડે સ્ટેઈફે બીઅર બજારમાં મૂક્યું ત્યારે તેને ટેડી બીઅર વિશે કોઈ જ અંદાજ નહોતો. જેમ મોરિસ અને રોઝને કાર્ટૂન જોઈને વિચાર આવ્યો હતો, એમ રીચાર્ડને ઝૂમાં રીંછ જોઈને વિચાર આવ્યો હતો. પરંતુ મોરિસ અને રોઝની સ્ટોરી સાથે પ્રેસિડેન્ટનું નામ જોડાયેલું હતું એટલે કદાચ તેમને ટેડી બીઅરના સૌથી પહેલાં ઉત્પાદક તરીકેનું સન્માન મળે છે.

બીજી તરફ રીચાર્ડે ૧૯૦૩માં એટલે કે મોરિસ અને રોઝે વેંચાણ શરૂ કર્યું તેના એક વર્ષ પછી સૌપ્રથમ વખત જાહેરમાં એ ટોયને વેંચવા મૂક્યું હતું એટલે તેની શોધ મૌલિક હોવા છતાં પાછળ હતી. તે હિસાબે ય તેને ટેડી બીઅરના ઉત્પાદક કરતા ટેડી બીઅરને વધુ અસરકારક બનાવનારા ડીઝાઈનર તરીકેનું સન્માન મળે છે.

બંને ડીઝાઈનરોએ એક બીજાની ડીઝાઈન જોઈ હોય એવો રેકોર્ડ ક્યાંક નોંધાયો નથી એટલે બંનેએ પોત-પોતાની રીતે ટેડી બીઅર ટોય બનાવ્યું હતું, એમ ટોય્ઝ હિસ્ટ્રીનું સંશોધન કરનારા સંશોધકોએ સ્વીકાર્યું છે.

પરંતુ જગતભરમાં સ્ટેઈફ બીયર તરીકે આ રમકડું જાણીતું ન થયું, પ્રેસિડેન્ટના નિકનેમથી પ્રેરિત આ રમકડાના નસીબમાં ટેડી બીઅર નામથી પ્રસિદ્ધિ લખી હતી! દુનિયાભરમાં એક સદી પછી આ નામ સ્ટફ્ડ એનિમલ ટોયનો પર્યાય બની ગયું છે. બાળકોને અતિ પ્રિય એવા આ રમકડાંનો વ્યાપ હવે વધ્યો છે. ટેડી બીઅર આજે માત્ર બાળકોનું રમકડું નથી રહ્યું પરંતુ લવ સિમ્બોલ બની ગયું છે.
                                                                   ***
વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલી રહી છે અને આજે ટેડી બીઅર ડે ઉજવાઈ રહ્યો છે. વિભિન્ન રંગ-કદના ટેડી ખરીદીને ગર્લફ્રેન્ડ-વાઈફને આપવાનો આ દિવસ છે! એક સદી પહેલાં તે માત્ર બાળકોનું રમકડું હતું, પણ હવે અસંખ્ય વેરાયટીમાં અવેલેબલ ટેડી બીઅર દુનિયાભરના યંગસ્ટર્સમાં મોસ્ટ પોપ્યુલર ગિફ્ટ ગણાય છે.

વિશ્વમાં બનતા કુલ ટેડી બીઅરમાંથી ૬૦ ટકા બાળકો સુધી પહોંચે છે અને બાકીના ૪૦ ટકા ટેડી ૨૦ વર્ષથી ઉપરની વયના લોકો સુધી પહોંચે છે. કોઈને લવ-સિમ્પથી-શુભેચ્છા પાઠવવી હોય તો ટેડી ઉપર પસંદગી ઉતરે છે.

ટેડીને લગતા કેટલાય વિક્રમો બન્યા છે, કેટલાય તૂટયા છે. બસ્સો-પાંચસો રૂપિયાથી લઈને ટેડીની પ્રાઈઝ હજારો સુધી પહોંચે છે, અરે લાખોમાં ય તેની કિંમત બોલાય છે. હરાજીમાં ય ટેડીની એક અલગ દુનિયા છે. એમ તો ટેડીએ માણસની જેમ અવકાશની યાત્રા કરી લીધી છે. ડિસ્કવરી સ્પેસ શટલમાં એક ટેડી બીઅરને અવકાશની યાત્રા કરવાની તક પણ મળી હતી!

અચ્છા, બાળકોનું આ રમકડું કેવી રીતે લવગિફ્ટ બની ગયું? જવાબ તો કદાચ કોઈ પાસે નથી, પણ એના તાર વધુ એક વખત પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સુધી પહોંચે છે! ટેડી બીઅર પોપ્યુલર બન્યાના થોડાંક વર્ષો પછી એક લગ્ન સમારોહ યોજાયો હતો. એમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હાજર હતા અને લગ્નમંડપ ૩૦૦૦ ટેડી બીઅરથી શણગારવામાં આવ્યો હતો.

એ પછી વિવાહ વખતે ટેડીની હાજરી દર્જ થવા માંડી હતી, જે આજે વેલેન્ટાઈન્સ ડે સુધી પહોંચી છે. ટેડી બીઅરના સર્જનમાં રૂઝવેલ્ટનો આડકતરો ફાળો હતો, એમ લવબર્ડ્સ વચ્ચે ટેડીને સન્માનપૂર્વક બેસાડવામાં ય પ્રેસિડેન્ટ ટેડીનો આડકતરો ફાળો હોય તો કહેવાય નહીં! શું કહો છો?
વેલ, 'ડીઅર'ને ટેડી 'બીઅર' આપવાના દિવસની શુભેચ્છા!
Sunday, 10 February 2019
Posted by Harsh Meswania
Tag :

તીજનબાઈ: છત્તીસગઢની લોકગાયન શૈલીને અનોખી ઊંચાઈ આપનારાં કલાકાર

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
પદ્મવિભૂષણથી સન્માનિત તીજનબાઈ સંગીત-નાટયથી મહાભારતના તમામ પાત્રોને જીવંત કરે છે. છત્તીસગઢની લોકગાયન શૈલી 'પાંડવાની'ને તીજનબાઈએ નવી ઊંચાઈ આપી છે

'ભઈયા હમ ઠહરે નિરચ્છર, અંગૂઠા છાપ. હિંદી બહુત ટૂટી-ફૂટી સી હૈ હમારી. આપ લોગ પઢે લીખે હો, કથા મે કૌનો ગલતી હોએ તો માફ કરના'
૬૨ વર્ષના તીજનબાઈ દર્શકો સમક્ષ પેશ થાય ત્યારે હાથ જોડીને આ શબ્દો અચૂક ઉચ્ચારે છે. આવડાં મોટા કલાકારની આ વિનમ્રતા દર્શકોને ય સ્પર્શી જાય છે. કપાળમાં મોટો લાલ ચાંદલો, લાંબો-ઘાટો સેંથો, કાંડાંમાં વિશિષ્ટ કંગન, બધી જ આંગળીઓમાં ચાંદીની મોટી વીંટી, કાનમાં મોટી બુટ્ટી, નાકમાં નાનકડી નથડી, ગળામાં ટૂંકી પણ મોટા પારાની માળા ને હાથમાં એકતારો લઈને જાજરમાન ઢબે તીજનબાઈ મંચ ઉપર હાજર થાય કે એક માહોલ આપોઆપ સર્જાઈ જાય.
છત્તીસગઢી ગાયનશૈલી પાંડવાની (છત્તીસગઢી પ્રમાણે પાંડવાની એટલે પાંડવોની કથા)માં તીજનબાઈ પોતાની વિશિષ્ટ નાટયશૈલી ઉમેરીને દર્શકોના દિલોદિમાગમાં મહાભારતના દૃશ્યો ખડાં કરે છે. મહાભારતના એક-એક પાત્રને ગાયન-રજૂઆતની જુદી ઢબે પેશ કરવાની તેમની રીત દર્શકોને જકડી રાખવા માટે પૂરતી છે.
૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી નવાજાયા તે પછી તેમના ઉપર અવિરત પુરસ્કારોની વર્ષા થતી રહી છે. ૧૯૯૫માં સંગીત નાટય અકાદમી એવોર્ડ મળ્યો, ૨૦૦૩માં તેમનું સન્માન પદ્મભૂષણથી થયું અને હવે આ વર્ષે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. એક દિવસ પણ શાળાએ ન જનારા તીજનબાઈને બિલાસપુર યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટથી ય નવાજ્યાં છે.
બહુ જ નાની વયે શરૂ થયેલી તેમની આ કલાયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોવાની સાથે સાથે એટલી જ પ્રેરક છે.
                                                                        ***
છત્તીસગઢના ગિનિયારી નામના ગામમાં ૧૯૫૬માં તીજનબાઈનો જન્મ થયો હતો. એ વખતે મોટાભાગની છોકરીઓને શાળાએ મોકલાતી નહીં એટલે તેમના નસીબમાં ય શાળાએ જવાનું લખ્યું નહોતું. તીજનબાઈ કહે છે : 'હમારે જમાને મેં લડકિયોં કો સ્કૂલ જાના અચ્છા નહીં માનતે થે. પરિવાર કે લોગ સોચતે થે કી ઐસે ભી સસૂરાલ જા કે ખાના હી બનાના હૈ, લકડિયાઁ પઢ લીખ કે ક્યા કરેગી? તો હમ કભી સ્કૂલ નહીં ગયે'.
એ સમયના રિવાજ પ્રમાણે ૧૨ વર્ષની વયે તેમના લગ્ન કરી દેવાયાં, પરંતુ તેમનો ઘર-સંસાર ચાલ્યો નહીં. કારણ કે તીજનબાઈ પાંડવાની પ્રસ્તુતિ કરતા હતાં એ તેમના સાસરિયામાં કોઈને ગમ્યું નહીં. તેની સજારૂપે જ્ઞાાતિએ તેમને નાત બહાર મૂકી દીધાં.
તેમણે જાતે નાનકડી ઝૂંપડી બાંધી. આડોશી-પાડોશીના સહકારથી તેમનું ગાડું ગબડવા લાગ્યું. આ ઘટનાએ તેમને પાંડવાની પ્રસ્તુતિ માટે વધુ બળ આપ્યું. કહો કે મનમાં એક વિદ્રોહ જાગ્યો.
એ વિદ્રોહ પેશન બનીને બહાર નીકળ્યો અને તેમણે ૧૩ વર્ષની વયે પહેલી વખત જાહેરમાં, બાજુનાં ગામ ચંદ્રખુરીમાં પાંડવાની ગાયન-નાટય શૈલીનું પર્ફોર્મન્સ આપ્યું. 'પાંડવાની' કથા બે રીતે રજૂ થાય છે - કાપાલિક અને વેદમતી. તીજનબાઈ કાપાલિક શૈલીમાં પ્રસ્તુતિ કરે છે.
જ્ઞાાતિ બહાર મૂકાયા પછી તેમણે સમગ્ર ધ્યાન પોતાની કળાની ધાર કાઢવામાં આપ્યું. દિવસે દિવસે તેમની કળા વધુ નીખરતી ગઈ. એ ઘટના પછી તીજનબાઈ ક્યારેય સાસરિયે ન ગયાં. પછી તો જ્ઞાાતિના પંચની હાજરીમાં પતિથી છૂટા થયા અને ફરીથી લગ્ન પણ કર્યાં. આજે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના આ વહાલા દાદી દેશ-વિદેશમાં પાંડવાની રજૂઆત કરીને અસંખ્ય લોકોની દાદ મેળવે છે.
તીજનબાઈ આ કળા તેમના નાના બ્રજલાલજીને જોઈ-જોઈને શીખ્યા હતાં. બાળપણમાં તીજનબાઈ નાના પાસેથી આ કહાની સાંભળતા. પછી તો તેમને આ કથામાં બહુ રસ પડતો અને ધીમે ધીમે આખી કથા યાદ રહી ગઈ.
એકલા હોય ત્યારે કે બાળસખીઓ સામે તીજનબાઈ આ કથાની રજૂઆત કરતાં. તીજનબાઈનો અવાજ ખૂબ ઊંચો હોવાથી તેમને માઈકની ય જરૂર ન પડતી. ઊંચા-બુલંદ અવાજે જ્યારે તીજનબાઈ ભીમની પરાક્રમગાથા વર્ણવતાં ત્યારે દર્શકો એમાં રસ તરબોળ થઈ જતા.
આમ તેમણે ક્યાંય નાટય-સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ તેમની જન્મજાત ટેલેન્ટને જોઈને ઉમેદસિંહ દેશમુખ જેવા નિષ્ણાતે તેમને ચહેરાના અભિનયની થોડીક આરંભિક ટેકનિક શીખવી હતી.
ત્રણ-ચાર વર્ષમાં તો તીજનબાઈ આસપાસના ગામડાંમાં જાણીતા કલાકાર થઈ ગયાં. કોઈ યુવતી પાંડવાની રજૂઆત કરતી હોય એ આસપાસના લોકો માટે નવી વાત હતી એટલે તેમના કાર્યક્રમમાં દર્શકો વધતા જતા હતા. બીજી તરફ તીજનબાઈની રજૂઆત, દૃશ્યો પ્રમાણે તેમના ચહેરાના બદલાતાં હાવભાવ, બુલંદ અવાજ, સંગીતની જન્મજાત સમજ જેવાં પાસાં દર્શકોમાં આકર્ષણ જગાવતાં હતાં. હાથમાં રહેલાં એકતારાનો ઉપયોગ પણ તીજનબાઈ અનોખી રીતે કરતાં.
જેમ કે, ભીમના પરાક્રમની કથા આવે ત્યારે એ એકતારાને ગદાનું પ્રતીક બનાવી દેતા. અર્જુનની કથા આવે ત્યારે એકતારો જ ધનૂષ હોય એવી સંજ્ઞાા કરતા. તો દ્રોપદીના વાળ ખેંચવાની કથા આવે ત્યારે એકતારાને દ્રોપદીના વાળ બનાવી દેતાં, તો ક્યારેક એકતારાને દુ:શાસનના હાથ બનાવી દેતાં. આ રીતે ચરિત્રચિત્રણ કરવાની તેમની રીત દર્શકોને એ વખતે ખૂબ પસંદ આવતી હતી.
તેમનો પહેલો મોટો બ્રેક મધ્યપ્રદેશના થીયેટરમાં મોટું નામ ગણાતા હબીબ તન્વીરે આપ્યો. હબીબ તન્વીરે તીજનબાઈનો એક કાર્યક્રમ જોયો અને તેમની રજૂઆતથી પ્રભાવિત થયાં. એ પછી હબીબ તન્વીરે તેમને મોટા મંચ ઉપર કળા રજૂ કરવાની તક આપી. એ તેમનાં જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તે પછી તીજનબાઈ સતત નવી ઊંચાઈ સર કરતા જ ગયાં.
૧૦-૧૨ વર્ષમાં તેમણે એવી ઓળખ મેળવી લીધી કે ૧૯૮૦ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પાંડવાની રજૂઆત કરવાનું નિમંત્રણ આપ્યું. ૧૯૮૦-૯૦નો દશકો તેમની કળાના સન્માનનો દશકો બની રહ્યો. એ દશકામાં તેમને એક તરફ વિવિધ એવોર્ડ્સ મળતા હતા, તો બીજી તરફ દુનિયાભરમાં પોતાની કળા રજૂ કરવાની તક મળતી હતી.
છત્તીસગઢના નાનકડાં ગામડાંમાં ઉછરેલી, નાત બહાર મૂકાયેલી ૨૭-૨૮ વર્ષની યુવતીએ છત્તીસગઢની કળાને બ્રિટન, ફ્રાન્સ, સ્વિઝર્લેન્ડ, જર્મની, તૂર્કી, ટયૂનિશિયા, રોમાનિયા જેવા કેટલાંય દેશોમાં ન કેવળ પહોંચાડી, પણ અનેરું સન્માન અપાવ્યું.
જવાહરલાલ નહેરુના પુસ્તક આધારિત શ્યામ બેનેગલ દિગ્દર્શિત ટેલિવિઝન સીરિઝ ભારત એક ખોજમાં ય તેમને કળા રજૂ કરવાની તક મળી હતી.
તેમની દેખરેખ હેઠળ હવે તો પાંડવાની ગાયન-નાટય શૈલીના આ મહાભારતને નવાં કલાકારો મળ્યા છે. તીજનબાઈએ અથાક પ્રયાસો કરીને નવી જનરેશનને ય તૈયાર કરી છે, જે તીજનબાઈની પદ્ધતિ પ્રમાણે દર્શકો સમક્ષ ભારતવર્ષની આ ચિરંજીવી કથા રજૂ કરે છે.
                                                                        ***
આટ-આટલા સન્માનો પછી ય તીજનબાઈ પોતાને દેહાતી મહિલા ગણાવીને કહે છે : મંચ ઉપર હોઉં ત્યાં સુધી હું એક કલાકાર છું, પણ મંચથી નીચે ઉતર્યા પછી મને સેલિબ્રિટી કલાકાર હોવાનો ભાર રાખવો ગમતો નથી. મને બાળકો-વડીલો સૌને મળવું ગમે છે.
હું આજેય ગામડાંની મહિલા જ છું અને હંમેશા એવી જ રહેવા માગુ છું. વાસી ભાત અને ટમેટાની ચટણી જેવું સાદું ભોજન ખાઉં ત્યારે સંતોષ થાય છે. ઊંચ-નીચ જેવા જ્ઞાાતિના બંધનો દૂર કરવા જોઈએ. દીકરીઓને પૂરતું શિક્ષણ મળવું જોઈએ.
તેમની વિનમ્રતા અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છબી દર્શકોમાં હંમેશા પ્રશંસા પામે છે. ઘણી વખત મંચ ઉપરથી પોતાનો પરિચય આપતા તીજનબાઈ કહે છે : 'હમને ચોરી ભી કી હૈ બચપન મે. ખાને કે લીયે. દરવાજા ખીંચકર બચપન મે ખાના ખા લીયા કરતે થે, ફીર ભાઈ-બહેનો કે બીચ ભૂખા બન કે બૈઠે રહેતે થે. યે ચોરી થી હમારી. હમ મેં ભી હર કમી હે, લેકિન હા, મહાભારત કી કથા મે કોઈ કમી નહીં હે.'
૧૩ વર્ષની વયે જ્ઞાાતિમાંથી જાકારો મેળવનારી કિશોરીએ જગતભરમાં આવકાર મેળવ્યો. જ્ઞાાતિની જડ પરંપરા સામે સંઘર્ષ કરીને અસંખ્ય યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે. એક પ્રદેશની કળાને વિશ્વના તખ્તા ઉપર રજૂ કરીને અનોખું સન્માન અપાવનારા દેશમાં બહુ ઓછા કલાકારો છે અને એમાંનું એક નામ છે - તીજનબાઈ.
                                                                          ***
 
'પાંડવાની'નો હીરો ભીમ છે
છત્તીસગઢની આ લોકગાયન શૈલી પાંડવાનીમાં કથા તો મહાભારતની જ છે, પણ તેમાં હીરો ભીમ છે. કથા ભીમની આસપાસ ફરે છે અને વળી, ભીમના મનોરંજક વર્ણનો દર્શકોને બહુ પસંદ પડે છે. આ શૈલીની મહાભારતની કથા એમ તો મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ય ભજવાય છે. આદિવાસી વિસ્તારોમાં પાંડવાનીની કથા સદીઓથી ભજવાતી આવે છે.
કહેવાય છે કે ભીમના પરાક્રમને વર્ણવતી આ ગાયન-રજૂઆત શૈલી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવા વિસ્તારોમાં મહાભારતકાળથી જ પ્રચલિત છે. આદિવાસી કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખતા હતા. હવે બહુ ઓછા કલાકારો આ પદ્ધતિથી મહાભારતની કથા મંચ ઉપરથી રજૂ કરે છે.
પાંડવાની ગીત-નાટય શૈલી પુરુષો દ્વારા જ મંચ ઉપરથી રજૂ કરવાની પરંપરા હતી, મહિલાઓએ જો આ કથા રજૂ કરવાની હોય તો બેસીને ગાયનથી રજૂ કરવાની થતી. તેને પાંડવાની સંગીત-નાટય રજૂઆતમાં વેદમતી શૈલીની રજૂઆત કહેવાય છે. પણ તીજનબાઈએ આમાં નવો કેડો કંડાર્યો અને પુરુષો દ્વારા રજૂ થતી કાપાલિક શૈલી અપનાવી.
એ રીતે ગીત-નાટય શૈલી પાંડવાનીમાં કાપાલિક પદ્ધતિથી મહાભારત રજૂ કરનારાં તીજનબાઈ પ્રથમ મહિલા કલાકાર બન્યાં. પાંડવાનીમાં સ્હેજ નૃત્ય ઢબની રજૂઆતના થોડાંક મૌલિક ઉમેરણો સાથે તીજનબાઈએ તેમાં વધુ તાજગીનો સંચાર કર્યો છે.
તીજનબાઈથી પ્રેરિત થઈને ૧૯૮૦ પછી અન્ય મહિલા કલાકારો પણ પાંડવાનીની કથા મંચ ઉપર જીવંત કરતી થઈ છે. એમાં દર્શકોને ધ્યાનમાં રાખીને કલાકારોએ નૃત્ય જેવાં મનોરંજક પાસાને ય ઉમેર્યા છે. એકતારા કે તાનપુરાની મદદથી આ ગીત-નાટય શૈલી રજૂ થાય છે.
Sunday, 3 February 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -