સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનો!


આજે રક્ષાબંધનના દિવસે બે એવા પરિવારની વાત કરીએ જે વિશ્વના સૌથી મોટી વયના ભાઈ-બહેનો હોવાનો વિક્રમ પોતાની પાસે સાચવીને બેઠાં છે. એક પરિવારના ૧૫ ભાઈ-બહેનોની કુલ ઉંમરનો સરવાળો ૧,૦૯૨ વર્ષ થવા જાય છે, તો બીજા એક પરિવારના ૯ ભાઈ-બહેનોની વય ૮૩૨ વર્ષનો આંકડો બતાવે છે.

'શનિવાર અમારા બધા માટે ખાસ રહેતો. એ દિવસે બધા વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મમાંથી મુક્તિ મળતી અને અમને અમારી યુનિટી બતાવવાની તક મળી જતી. અમે દર શનિવારે આખી શાળામાં અલગ પડી જતાં. મા અમને બધા ભાઈ-બહેનોને એક સરખો પોશાક પહેરાવીને-એક સરખી રીતે તૈયાર કરીને શાળાએ મૂકી જતી. બધા અમારી સામે જોઈ રહેતા. અમે ગૌરવથી એક-મેકનો હાથ પકડીને શાળાના પ્રાંગણમાં દાખલ થતાં. શાળામાં દાખલ થઈએ ત્યારે અમને બધા જોઈ રહેતા. કારણ કે, કોઈ રેલી કાઢી હોય એવો ઠસ્સો અમે બતાવતા. અમે ૧૫ ભાઈ-બહેન બધા જ વિદ્યાર્થીઓથી અલગ પડીએ છીએ એ જોઈને હું મનોમન બહુ મલકાતી. વળી, બધા ભાઈ બહેનોમાં મારો નંબર ૮મો હોવાના કારણે ક્રમ પ્રમાણે હું ૧૫ની એ હરોળમાં બરાબર મધ્યમાં આવતી. એના કારણે મને જાણે એવું લાગતું કે હું ક્વિન છું. અમને કોઈ પણ રમતો રમવા માટે પાડોશી હમ-ઉમ્ર મિત્રોની જરૃર ક્યારેય ન પડતી. અમે ઈચ્છીએ એ રમત એક સાથે રમી શકતાં હતાં. વળી, એ રમતોમાં પણ મને વિશેષ મહત્ત્વ મળતું. કેમ કે, સાત-સાત સભ્યોની ટીમ બને એમાં એક વધે! એટલે બધાએ મળીને વચ્ચેનો ઉકેલ શોધી લીધો હતો. ઉકેલ કંઈક એવો હતો કે મારો ૮મો નંબર હતો એટલે બંને ટીમ વતી મારે એક-એક વખત રમવાનું. જેના કારણે બધા જ ભાઈ-બહેનોમાં હું એકલી જ એવી રહેતી જેને સૌથી નાના અને સૌથી મોટા એમ બંને સાથે રમવા મળતું. હું ક્વિન છું એવું માનવાનું મારી પાસે આ વધુ એક મજબૂત કારણ હતું! જોકે, છેલ્લા ૧૫ વર્ષથી બધા એક સાથે મળ્યાં હોય એવો કોઈ સંયોગ બન્યો નથી. હવે ટીમ બનાવીને રમવાની અમારી ઉંમર પણ નથી, છતાં ટીમ બનાવીએ તોયે મને બંનેે તરફ રમવાનું સૌભાગ્ય મળે તેમ નથી. કારણ કે, અમારી ૧૫ની ટીમ તૂટીને ૧૪ થઈ ગઈ છે. સૌથી મોટા ભાઈ જેકનું ૧૪ વર્ષ પહેલા જ ૮૦ વર્ષે નિધન થયું હતું. હવે તો અમે ઉંમરના એ પડાવે પહોંચી ગયા છીએ કે કોણ-ક્યારે હંમેશા માટે સાથ છોડી દે એ કહેવાય નહીં'
સસ્મિત શરૃ થયેલા સંવાદના અંતે તેનાથી ડૂચકું ભરાઈ ગયું હતું. તેની આંખો સામેથી જાણે એક પછી એક દ્રશ્યો પસાર થતાં હોય એમ તેણે આટલા વાક્યો એકધારા બોલ્યા અને છેવટે વાત પૂરી કરી.
લાંબું આયુષ્ય ભોગવતા ૧૫ ક્લિવર પરિવારના ભાઈ-બહેનોને જ્યારે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ત્યારે વચલી બહેન પૌલિન કેવનરે આ ભાવવાહી શબ્દો કહ્યાં હતાં. વિશ્વમાં કદાચ અન્ય ક્યાંય પણ આવું લાંબું આયુષ્ય ભોગવતા ભાઈ-બહેનો હયાત હોઈ શકે, પરંતુ જગતભરમાં પૂરાવાઓને આધારે વિક્રમોની ગણના કરનારી વિખ્યાત ગિનીસ બૂકમાં આ ૧૫ સહોદરને માનભર્યું સ્થાન મળ્યું છે.
આ પરિવારમાં સૌથી નાના સભ્ય માઇકલનું માનવું છે કે 'શરૃઆતમાં ૧૫ ભાઈ-બહેનો હોવાની બાબત મને ક્યારેય મહત્ત્વની લાગતી નહોતી. કારણ કે, આસપાસમાં અને વિશ્વમાં આવા તો કેટલાય ભાઈ-બહેનો હશે. પણ હવે મને લાગે છે કે અમે ખરેખર જ બધાથી અલગ છીએ. ૧૨-૧૫ ભાઈ-બહેનોનો પરિવાર હોવો એ અસાધારણ નથી, પરંતુ આટલા વર્ષેય અમે એક સાથે છીએ એે જ ખરેખર અસાધારણ બાબત છે અને અમને બધાને એનું ખરેખર ગૌરવ હતું!'
બ્રિટનના લેઇસેસ્ટરમાં રહેતા રોવલેન્ડ ક્લિવર અને એમ્માના ૨૬ વર્ષના લગ્ન જીવન બાદ તેમને ૧૫ સંતાનો હતાં. ૫૦ વર્ષની વયે રોવલેન્ડનું અવસાન થયા પછી સંતાનોને ઉછેરવાની જવાબદારી મા એમ્માએ ઉપાડી લીધી. બધા સંતાનોને ભણાવીને મોટા કરવાની સાથે સાથે એમ્માએ તમામને એક તાંતણે બાંધી રાખ્યાં. છેક ૧૯૮૬ સુધી બધા સંતાનો તેમના પરિવાર સહિત એકબીજાને મળે એવું આયોજન પણ એમ્માના કારણે થતું. એમ્માના નિધન પછી એક સાથે બધા જ ભાઈ-બહેન હાજર હોય એવું ભાગ્યે જ બનતું. છેલ્લે ૨૦૦૦ના વર્ષમાં બધા મળ્યાં હતાં. ૧૫ પૈકી બે બહેનો ન્યુઝિલેન્ડમાં સ્થાઈ થઈ ગઈ છે. એ સિવાયના ૧૨ (સૌથી મોટો જેક પણ લેઇસેસ્ટરમાં જ રહેતો હતો) વતન લેઇસેસ્ટરમાં જ રહે છે એટલે વારે-તહેવારે મળતા રહે છે. ખાસ તો ક્રિસમસ વખતે સપરિવાર ઉજાણી થાય છે. આ ભાઈ-બહેનોનો પરિવાર ખૂબ વિશાળ છે. ૩૬ પુત્ર-પુત્રીઓ અને ૫૭ ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે. જેક હયાત હોત તો તેની ઉંમર ૯૫ વર્ષ હોત. હવે બધા ભાઈ-બહેનોમાં ન્યુઝિલેન્ડમાં રહેતી માર્ગારેટની વય સૌથી વધુ ૯૦ વર્ષ છે અને સૌથી નાના માઇકલની ઉંમર ૬૯ વર્ષ છે. બધા ભાઈ-બહેનોની ઉંમરનો સરવાળો એક હજાર વર્ષ કરતા પણ વધુ થાય છે. હયાત ભાઈ-બહેનોની કુલ ઉંમરનો આંકડો છે-૧૦૯૨ વર્ષ.
૯ ભાઈ-બહેનોની સરેરાશ ઉંમર ૯૨ વર્ષ!ઈટાલીના સાર્દિનિયા નામના ટાપુના પરડાસડેફોગુ ગામના રહેવાસી ૯ ભાઈ-બહેનોના નામે થોડો અલગ વિક્રમ બોલે છે. એ બધાની ઉંમરનો સરવાળો ૮૩૨ વર્ષ છે. એટલે કે તેની સરેરાશ વય ૯૦ વર્ષ થાય છે. કોન્સોલાટા મેલિસે ૧૦૬મો જન્મદિન મનાવ્યો ત્યારે ૯ ભાઈ-બહેનોમાં સૌથી નાની બહેન માફોલ્ડાની ઉંમર ૭૮ વર્ષ હતી. ક્લાઉડિના-૧૦૦, મારિયા-૯૮, એન્ટોનિયો-૯૫, કોન્સેટ્ટા-૯૪, એડોલ્ફો-૯૧, વિટ્ટાલિઓ-૮૮ અને વિટ્ટાલિયા-૮૨ વર્ષની વયે સ્વસ્થ આયુષ્ય ભોગવે છે. લાંબાં આયુષ્યની સાથે સારા સ્વાસ્થ્યનું પણ ઈશ્વર પાસેથી વરદાન મળ્યું હોય એમ આ તમામ ભાઈ-બહેનો ઉંમરના શતકીય પડાવે પહોંચવા છતાં નિરોગી છે અને હજુય કાર્યરત છે. ક્લાઉડિના દરરોજ ચર્ચમાં જાય છે, તો એડોલ્ફો ફળિયામાં વાવેલા શાકભાજીની દેખરેખ જાતે રાખે છે. તેનો મોટાભાગનો સમય એ શાકભાજીની દેખરેખ પાછળ ખર્ચે છે.
પરિવારના બે સભ્યો એડોલ્ફો અને એન્ટોનિયો વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલી માટે લડત પણ આપી ચૂક્યા છે. એ બંનેને સૌથી મોટી વયે જીવિત ભાઈ-બહેનોનું સન્માન મળે એ પહેલા ઈટાલીની સરકાર તેમને યુદ્ધમાં સાથ નિભાવવા બદલ માનપત્રો આપી ચૂકી છે.
ભારતના આ ભાઈ-બહેનો પૂરાવા રજૂ કરી શક્યા હોત તો...
ભારત જેવા દેશમાં ૧૦-૧૫ ભાઈ-બહેનો હોવાની વાતની નવાઈ નહોતી. કુંટુંબ નિયોજનની કડક અમલવારી પહેલા દેશમાં એવા તો કેટલાય પરિવારો હતા કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૦-૧૫ તો સ્હેજેય હોય! અત્યારે પણ એવા કેટલાક પરિવાર ખૂબ જ આસાનીથી મળી રહે કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૨-૧૫ હોય અને એ તમામની ઉંમર પણ ૭૦થી ૧૦૦ વર્ષ હોય, વળી, એ તમામ હયાત હોય! જોકે, ભારતમાં જન્મ તારીખના પૂરાવાઓ બાબતે આજે જેવી સ્થિતિ છે એવી એક સૈકા પહેલા નહોતી એ સુવિદિત છે. એના કારણે જન્મના પ્રમાણપત્રો રજૂ કરવાનું કામ કપરું છે. ખાસ તો ગિનીસ બૂક ઓફ રેકોર્ડ્સ વગેરેમાં જેવી બાબતોની જરૃર પડે એવી આપણે ભાગ્યે જ પૂરવાર કરી શકીએ. પરિણામે સૌથી વયસ્ક....પ્રકારના વિક્રમો ભારતના નામે ન નોંધાય એ પણ એટલું જ સહજ છે. સૌથી વધુ રક્ષાબંધન જોઈ ચૂકેલા ભાઈ-બહેનોનો વિક્રમ ભારતના નામે હોત, પરંતુ ઉત્તરપ્રદેશનો ગુપ્તા પરિવાર પોતાનો દાવો સાચો સાબિત કરી શક્યો નહી. જન્મના પૂરતા પ્રમાણ પત્રો ન હોવાના કારણે એ દાવો માન્ય ન રખાયો. નહીંતર ૬ ભાઈઓ અને ૭ બહેનોના નામે વિક્રમ બોલતો હોત. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સંભવતઃ સુરહિયા ગામના ગુપ્તા પરિવારના સૌથી મોટા રામચરણની ઉંમર ૧૦૮ વર્ષ હોવાનો દાવો થયો હતો. સૌથી નાની બહેન ગુલાબની ઉંમર ૮૦ વર્ષ છે. એમની સરેરાશ ઉંમર ૮૪ વર્ષ હોવાનું કહેવાય છે. જોકે, ૧૩ પૈકી માંડ ૪ના જન્મના પૂરાવાઓ માન્ય રાખી શકાય તેમ છે. જો પ્રમાણપત્ર માન્ય રહ્યાં હોત તો સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનોમાં 'સત્તાવાર' રીતે આ ભારતીયોનો પણ સમાવેશ કરી શકાયો હોત!

૨૦૮ દિવસના અંતરે જન્મેલા ભાઈ-બહેન!
ટ્વિન્સના જન્મ વચ્ચેનું અંતર સાવ નજીવું હોય છે, પણ એક વિચિત્ર રેકોર્ડ રોન્ની અને સિન્નાના નામે નોંધાયેલો છે. એ રેકોર્ડ કંઈક એવો છે કે તે બંનેના જન્મ વચ્ચેનું અંતર માત્ર ૨૦૮ દિવસનું છે. એટલે કે ભાઈના જન્મ પછી બહેનનો જન્મ માત્ર ૬ માસમાં થયો હતો. બ્રિટિશ કપલ બુડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ તો નોર્મલ પ્રેગનેન્સી દરમિયાન થયો હતો, પણ પછી બૂડેન તરત જ બીજી વખત ગર્ભવતી થઈ અને રોન્ની ૬ માસનો તો માંડ થયો હતો ત્યાં તેની સાથે રમવા માટે બહેન સિન્નાનો જન્મ થઈ ગયો હતો! આ કિસ્સામાં આશ્વર્યજનક બાબત તો એ હતી કે રોન્નીની પરવરિશમાં પડેલી મમ્મી બૂડેનને પોતાની પ્રેગનન્સીની જાણ છેક ૩ માસ પછી પડી હતી. હજુ બીજા ત્રણ માસ ગયા ત્યાં તો તેના માટે વધુ એક અચરજ હાજર હતું! એ રીતે બે ડિલિવરી વચ્ચે સૌથી ઓછા અંતરે જન્મેલા આ ભાઈ-બહેનના નામે અજાણતા જ રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
Sunday, 10 August 2014
Posted by Harsh Meswania
Tag :

કોર્ટ ડ્રેસ-કોડઃ આખરે વકીલોના કોડ પૂરા થયાં ખરા!


દુનિયાભરના વકીલો કોર્ટરૃમના ડ્રેસ કોડની બાબતમાં બહુધા એકસૂત્રતાના તાંતણે બંધાયેલા જોવા મળે છે. જ્યારથી વકીલાત વ્યવસાય બન્યો છે ત્યારથી જ આમ તો વકીલોએ તેમની ઓળખ સમાન આ કાળો લિબાસ ધારણ કર્યો છે. ભારતની નીચલી અદાલતોમાં જોકે હવે આ ભારેખમ ડ્રેસ પહેરવામાંથી મુક્તિ મળી છે. વિશ્વમાં વકીલોના ડ્રેસ કોડની ક્યાં કેવી સ્થિતિ છે અને એ ક્યારથી શરૃ થયું એની થોડી વાત...

રાજા રાણીને બહુ પ્રેમ કરતા હતા. એક વખત રાણી ખૂબ જ ગંભીર માંદગીમાં સપડાઈ ગયાં. રાજાએ પોતાના રાજ્યના દાક્તરોને બોલાવ્યા અને કોઈ પણ ભોગે જાનથી પણ પ્યારી રાણીને આ જીવલેણ માંદગીમાં બહાર લઈ આવવાનો હુકમ કર્યો. એ માટે જરૃરી બધા જ પગલા ભરવાની છૂટ આપી. જે કંઈ પણ જોઈતું હોય-જ્યાંથી પણ જોઈતું હોય એ હાજર કરવાની બાંહેધરી આપી. હાકેમોની દિન-રાતની મહેનત છતાં રાણીને સારું ન થયું તે ન જ થયું. આખરે રાણીએ થોડા દિવસોની માંદગી પછી અંતિમ શ્વાસ લીધો.
રાજા હૃદયભગ્ન અને શોકમગ્ન થઈ ગયા! રાણીને ખૂબ પ્રેમ કરતા હોવાના કારણે રાજાને બધે જ અંધકારમય લાગતું હતું. તેમણે તેમના રાજમહેલમાંથી રાણીની યાદમાં રંગીન ચીજવસ્તુઓનો અને પોશાકનો ત્યાગ કરી દીધો. રાજ્યમાં પડતર કેસોનો નિકાલ કરતા દરબારીઓ અને જજને રાણીના શોકમાં કાળો પોશાક પહેરવાની સૂચના આપી. રાજાના હુકમનેે તો કોણ અવગણી શકે! એ જ દિવસથી કોર્ટની કામગીરી કરતા સભ્યો કાળો કોટ અને જજ કાળો ગાઉન પહેરીને હાજર રહેવા લાગ્યા. કોર્ટની કામગીરી કરતા સભ્યો અને દરબારીઓએ વિચાર્યું કે રાજા ચાર-છ મહિનામાં શોકમાંથી બહાર નીકળશે એટલે ફરીથી બધુ રાબેતા મુજબ થશે, પણ રાજાએ ફરી વખત એવું કોઈ સૂચન ન કર્યું એટલે થોડા સમયમાં એ પોશાક જજ-વકીલો માટે રોજિંદો ડ્રેસ કોર્ડ બની ગયો. એ પહેરવેશ પછી વિશ્વભરની અદાલતોમાં સ્વીકારી લેવાયો હતો.
                                                                          ***
આ વાત છે ૧૬૯૪ની. ક્વિન મેરી દ્વિતીયના મૃત્યુ પછી રાજા વિલિયમ ત્રીજાએ શોકમગ્ન થઈને કોર્ટની કાર્યવાહી કરતા જજ અને વકીલ સહિતના પોતાના કર્મચારીઓને આ ફરમાન કર્યું ત્યારથી વકીલો અને જજ માટે કોર્ટમાં ડ્રેસ પહેરવો ફરજિયાત થયો હોવાની વ્યાપક માન્યતા છે. ઘણી બધી બાબતોમાં વિશ્વના અસંખ્ય દેશો આજેય બ્રિટિશ શાસન દરમિયાનની તરાહને અનુસરે છે. એ જ યાદીમાં અદાલતી કાર્યવાહી અને તેના એટિકેટનો પણ સમાવેશ બેશક કરી શકાય! ભારતમાં પણ  બ્રિટિશ શાસનની પ્રણાલી અનુસાર જ અદાલતોના કેટલાક નિયમો જાળવી રાખવામાં આવ્યાં છે. જેમાં ડ્રેસ-કોડનો પણ સમાવેશ થાય છે. આખરે આટલા વર્ષો પછી એ નિયમોમાં એક મહત્ત્વનો બદલાવ આવ્યો છે.
ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટને બાદ કરતા બધી જ અદાલતોમાં વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ પહેરવો કે ન પહેરવો તે વકીલો પર છોડી દીધું છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઘણા સમયની પડતર માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતમાં ઘણી બધી નીચલી અદાલતોમાં ઉનાળો સહન કરવો કપરો છે. એમાંયે ભારેખમ ગાઉન અને કોટ પહેરીને પરસેવે રેબઝેબ થઈને કોર્ટની કામગીરી કેમ કરવી એ મોટો સવાલ હતો. એ સ્થિતિ નિવારવા માટે નીચલી અદાલતોમાં મળેલી આ છૂટછાટ ખૂબ જ મહત્ત્વની બની રહેશે. ભારતે બ્રિટિશ શાસનની ઘરેડ પ્રમાણે અદાલતી માળખું સ્વીકાર્યું એની સાથે જ બ્રિટિશ એટિકેટ પણ કોર્ટમાં અપનાવ્યો હતો. ભારતીય વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવાયેલો ડ્રેસ-કોર્ડનો નિર્ણય આવકાર્ય છે. ભારતમાં જોકે ઉચ્ચ ન્યાયાલયમાં એ એટિકેટ જાળવી રખાયો છે. વિશ્વના ઘણા બધા દેશોનું અદાલતી માળખું યુરોપિયન અસર હેઠળ આકાર પામ્યું હતું એટલે ડ્રેસ-કોર્ડમાં દેેશ-કાળ પ્રમાણે કેટલાક ફેરફાર સાથે મોટા ભાગના દેશોએ યુરોપિયન પદ્ધતિને એમાં પણ જાળવી રાખી છે!
કાળો કોટ અદાલતની અંદર કેમ પ્રવેશ્યો એની બીજી પણ ઘણી રસપ્રદ માન્યતાઓ પ્રવર્તે છે.
                                                                       * * *
કોર્ટનું મોર્ડન માળખું બનાવવાનો યશ ઘણા ખરાં લોકો ઈંગ્લેન્ડના રાજા હેનરી આઠમાને આપે છે. ૧૬મી સદીમાં ઈંગ્લેન્ડ ઘણી બધી બાબતોમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કિંગ હેનરીએ અદાલતની વ્યવસ્થા કરીને પોતાના વતી કેસને કોઈ બીજો માણસ સાંભળે અને તેના પરથી તટસ્થ તારણ આપે એવું માળખું બનાવ્યું હતું. જોકે, ત્યારે તેમણે અદાલતમાં અમુક પ્રકારના જ કપડા પહેરવા જોઈએ એવો કોઈ ખાસ નિયમ ઘડયો નહોતો. ત્યાર બાદ યુરોપિયન દેશોમાં પડતર કેસોનો નિકાલ કરવા માટે કાયદાના જાણકાર લોકોની નિમણૂંક થવા લાગી હતી. જજમેન્ટ આપનારા એ લોકોએ કોર્ટરૃમમાં પોતે અલગ પડી જાય અને શિસ્તબદ્ધ માહોલ રહે એ માટે ખાસ પ્રકારના વ્હાઇટ અને બ્લેક પોશાક પહેરવાનું શરૃ કર્યું હતું.
ઈટાલી-બ્રિટન જેવા દેશોમાં કેસોનો નિવેડો આપીને તટસ્થ રીતે કોઈ ચોક્કસ જજમેન્ટ પર પહોંચનારા લોકોની ફાધરની સમકક્ષ ગણના થતી હતી. આ કારણે જ ફાધરના પરંપરાગત ડ્રેસ-કોડને મળતો આવે એવો પહેરવેશ જજ ધારણ કરતા થયા અને ત્યાર પછી કેસ રજૂ કરનારા લોકો જેને આજે આપણે એડવોકેટ કહીએ છીએ, એમણે પણ નિહિત કરાયેલો પોશાક પહેરવાનું શરૃ કર્યું.  
એ સમયગાળામાં લાલ-મરૃન જેવા કલર્સના ગાઉન પહેરવાનો ટ્રેન્ડ ચાલતો હતો. આવા રંગોનો પહેરવેશ ધનવાન સૂબાઓ-જમીનદારો અને વેપારી લોકો માટે સામાન્ય હતો એટલે એનાથી થોડા અલગ પડવા માટે પણ બ્લેક-વ્હાઇટ કલરનો યુનિફોર્મ વકીલાતના વ્યવસાય સાથે અભિન્ન રીતે જોડાવા લાગ્યો હતો.
વકીલાતને ડિગ્રી સાથે સંબંધ નહોતો ત્યારે જે તે રાજ્યના કાયદાનો જાણકાર શાણો માણસ કોઈ બીજી વ્યક્તિની ગૂંચવાયેલી બાબતને જજ સામે રજૂ કરતો હતો. એ માટે તેની કંઈ નિયત ફીનું ધોરણ નહોતું. જેન્ટલમેનની જેમ સામેથી કોઈ જ માંગણી ન કરવા છતાં કોર્ટમાં પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી દેતા માણસને પોતાનું કામ પૂરું થયા પછી ક્લાયન્ટ તેના ગાઉનના વિશાળ પોકેટમાં પોતાની ક્ષમતા પ્રમાણેનું વળતર ચૂકવી દેતો હતો, કદાચ એટલે પણ ગાઉનમાં મોટા પોકેટ રાખવાની પ્રથા પડી હોય!
૧૭મી સદીમાં વિસ્તરતા જતાં ઈંગ્લેન્ડના વિવિધ દેશો માટે નિયત કરેલા સલાહકારો મહેલ ઉપર હાજર થાય ત્યારે તેના ખાસ પ્રકારના કાળા ગાઉનમાં જોવા મળતા હતા. એના પરથી પ્રેરિત થઈને કોર્ટની કામગીરીમાં પણ જજ અને વકીલો સરકાર માટે કામ કરી રહ્યા છે એ દર્શાવવા એવો જ ગાઉન પહેરવા લાગ્યા હોવાનું અમેરિકન કાયદા નિષ્ણાંત પ્રોફેસર એસ.જે. ક્વિનીએ નોંધ્યું છે.
માત્ર ગાઉન-કોટ જ નહીં, પણ પછીથી અન્ય બાબતો પણ નક્કી થઈ ગઈ હતી. જેમ કે, કોટની નીચે સફેદ શર્ટ જેના બધા જ બટન ગળા સુધી બંધ કરેલા હોવા જોઈએ. શર્ટ ફૂલ સ્લિવનો હોવો જોઈએ અને છેક આંગળીઓ સુધી પહેરીને બટન બંધ કરવા ફરજિયાત હોય! બ્લેક ટાઇ અને ગળાનો ભાગ ઢંકાઈ જાય એવો સ્કાર્ફ. ડાર્ક અથવા નેવી કલર્સના પેન્ટ માથે બ્લેક ટોપી. પગમાં જૂતા તો ખરા જ! મહિલાઓ માટે વિશિષ્ટ પહેરવેશ નક્કી કરવામાં આવ્યો નહોતો. મહિલા વકીલો પણ આ જ પોશાક ફરજિયાત પહેરતી હતી.
આવો પહેરવેશ પછીથી વિશ્વભરમાં યુરોપની અસરતળે કોર્ટની કામગીરી દરમિયાન પહેરવાનો શરૃ થઈ ચૂક્યો હતો. એ જ અરસામાં કાયદાઓ બનવા લાગ્યા હતા અને કાયદાનો અભ્યાસ પણ શરૃ થયો હતો. ત્યાર બાદ આ જ ડ્રેસ કોર્ડને સત્તાવાર રીતે વકીલોનો ડ્રેસ-કોર્ડ બનાવી દેવામાં આવ્યો.

પારકા પોશાકની પળોજણ!
* બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો એ પહેલા થોડા વર્ષો પહેલા આવો જ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આપણે ત્યાં પણ બ્રિટનની જેમ ન્યાયધીશને  કાર્યવાહી દરમિયાન 'માય લોર્ડ કે મિ. લોર્ડ' કહીને સંબોધન કરાતું હતું જેને બદલે જજને માત્ર સર કે એવા જ સમકક્ષ સંબોધનની બોલાવી શકાય એવો ફેરફાર કરાયો હતો.
* ભારતમાં મહિલા વકીલો કોર્ટની કાર્યવાહી દરમિયાન સાડી ઉપરાંત સલવાર-કૂર્તા, ચૂડિદાર કૂર્તા, ટ્રાઉઝર્સ-શર્ટ-કોટ પહેરી શકે છે.
* અફઘાનિસ્તાન અને ઈરાનમાં મુખ્ય ન્યાયધીશ શ્વેત ગાઉન પહેર્યા પછી માથે કાળો સાફો વિંટે છે. ઘણી નીચલી અદાલતોના ન્યાયમૂર્તિઓ અને વકીલો શ્વેત ગાઉનની સાથે એવો જ સાફો માથે બાંધતા હોય છે.
* ભાગલા પડયા પછી પાકિસ્તાને પણ ભારતની જેમ બ્રિટિશ અદાલતી માળખું સ્વીકારી લીધું હતું. જોકે, ૧૯૮૦માં પાકિસ્તાને ન્યાયધીશ અને વકીલોના ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરી નાખ્યો હતો. હવે પાકિસ્તાનમાં કાળો કોટ ઉપરાંત સફેદ શેરવાની અને ઉપર ઈસ્લામી સાફો પહેરી શકાય છે.
* અમેરિકાએ બ્રિટનની ઘરેડમાં ભાગ્યે જ કંઈ ફેરફાર કર્યો છે. યુરોપિયન દેશોની જેમ અમેરિકામાં પણ બ્લેક કોટ અથવા બ્લેક ગાઉન જાળવી રાખ્યું છે.
* ચીને કોઈનેય નકલ કરવા કરતા પોતાના દેશની ઓળખ છતી થાય એવો મિલિટરી લૂક વકીલોને પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને વિશેષ દરજ્જો અપાય છે એટલે તેના કોટના સૌથી ઉપર રિપબ્લિક ઓફ ચાઇનાની મુદ્દા ધરાવતું બટન લગાવવામાં આવે છે.
* શિકાગો બાર એસોસિએશને ૨૦૧૦માં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. જેમાં યંગ-બ્યુટિફૂલ ફિમેલ એડવોકેટના હોટ પહેરવેશના કારણે વિવાદ થયો હતો. એ ફેશન શોમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન પહેરાતા કપડાના થોડા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેની અમેરિકામાં ખૂબ ટીકા થઈ હતી. જોકે, ફિમેલ વકીલોએ પોતાનો પક્ષ રજૂ કરીને કહ્યું હતું કે કોર્ટની બહાર શું પહેરવું એ વ્યક્તિગત નિર્ણય છે અને એમાં વકીલાતના નિયમોનો કોઈ જ ભંગ થતો નથી.
* વકીલો માટેના પોશાકની બાબતમાં ભારત અને ઈંગ્લેન્ડમાં એકથી વધારે વિકલ્પો આપવામાં આવ્યાં છે. એ સિવાય ભાગ્યે જ કોઈ દેશમાં કોર્ટના ડ્રેસ-કોડમાં આટલી બધી પળોજણ કરવામાં આવે છે!

...તો ૨૫૦ કરોડ ખીંટીએ લટકશે!
દિલ્હીના એડવોકેટ કુશ કલરાની આરટીઆઈના જવાબમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ૨૦૧૧ પ્રમાણે ભારતમાં ૧૩ લાખ વકીલો પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  સૌથી વધુ વકીલો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ૨ લાખ ૮૮ હજાર વકીલો કોર્ટની કાર્યવાહીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ત્યાર પછી બિહાર અને મહારાષ્ટ્રમાં એક લાખ ઉપરાંતના વકીલો નોંધાયેલા છે. ગુજરાતમાં ૨૦૧૧ મુજબ ૬૪,૨૬૧ વકીલો વિવિધ કોર્ટમાં દલીલો કરે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાત હજાર વકીલો ઉમેરાયા છે.  એ રીતે જોઈએ તો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલોને કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ-ગાઉન પહેરવામાંથી મુક્તિ આપી છે એના કારણે ૨૫૦ કરોડ રૃપિયાના બિઝનેસ પર અસર થઈ છે. જો આ નવા નિયમના કારણે વકીલો ડ્રેસ બનાવવાનું બંધ કરી દે તો વાર્ષિક ૨૫૦ કરોડના વકીલોના કોટ બનાવતા બિઝનેસ પર તેની અસર પડશે. અત્યારે એક વકીલ પાસે સરેરાશ બે કોટ ગણી લઈએ અને એ કોટની કીંમત બે હજાર ધારીએ તો બધા વકીલોના મળીને ૨૫૦ કરોડ રૃપિયા ખીંટીએ લટકશે.
Sunday, 3 August 2014
Posted by Harsh Meswania
Tag :

પિઝાઃ મજૂરો માટે બનેલી વાનગીનું વૈશ્વિક સામ્રાજ્ય!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
 
'પિઝા' નામની એક થ્રિલર ફિલ્મ હમણાં રીલિઝ થઈ છે. જેમાં એક પિઝા હોમ ડિલિવરી બોયના જીવનમાં અચાનક બની જતી ઘટનાની વાત છે. ખેર! એ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર લાંબું ખેંચે એવી શક્યતા નથી જણાતી, પરંતુ એ બહાને પિઝા અને તેના વૈશ્વિક ફૂડ જેવા માનભર્યા અલિખિત હોદ્દા વિશે કેટલુંક જાણ્યુ-અજાણ્યું...

પિઝાને આંતરરાષ્ટ્રીય ખાણું ગણાવીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય! વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે જ્યાં લોકોએ પિઝા વિશે સાંભળ્યુ નહીં હોય. આજે પિઝા દુનિયાભરના લોકોને એક પંગતમાં બેસાડીને જમાડી શકાય એવી સર્વસ્વીકૃત વાનગી છે. પિઝા પર હવે કોઈનો યે એકાધિકાર ચાલે તેમ નથી. અમીર-ગરીબ, ઉચ્ચ-નીચ, અબાલ-વૃદ્ધ, એજ્યુકેટેડ-અભણ બધાની મનગમતી વાનગીમાં પિઝાએ વટ કે સાથ પોતાનું સ્થાન જમાવ્યું  છે. પરંતુ એક સમયે પિઝા માત્ર ગરીબો-મજૂરો અને ખલાસીઓને પરવડે એવી સસ્તી વાનગી લેખાતી હતી. ગલીના નાકે વેંચાતી એવી વાનગી જેનો સદીઓ સુધી કિચનમાં પ્રવેશ નિષેધ હતો. માનભર્યો હોદ્દો ધરાવતા સરકારી અમલદારો, કરડા લશ્કરી અધિકારીઓ અને પાંચમાં પૂછાતા ઉદ્યોગપતિઓ પિઝા જેવી વાનગીને ધૂત્કારતા હતા. 'આ તો મજૂરો માટે છે, આપણે આવું ખવાતું હશે!' એવા વાક્યો ગલીના છેડે પિઝા બનતા જોઈને બોલાતા હોવાની કોઈ જ નવાઈ નહોતી! પિઝાને લોકપ્રિયતાની પ્રથમ બાઇટ ખવડાવવાનો યશ ઈટાલીના નેપલસના મહારાણીને આપવો રહ્યો. એ મહારાણીના કારણે પિઝાની વિવિધ ફ્લેવરની સોડમ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી છે.
 ૧૮મી સદીના અંત ભાગમાં ઈટાલીના નેપલસમાં મજૂરો-ખલાસીઓમાં લોકપ્રિય બનેલી વાનગી પિઝાના છૂટાછવાયા દુકાનદારોએ એકઠાં થઈને રાજ્યના મહારાણી મારિયા કેરોલિનાના જન્મદિવસે પોતાની ખાસ વાનગી તેેમને ભેંટ આપવાનું નક્કી કર્યું. બધાએ ભેગા મળીને કાળજીપૂર્વક ત્રણ પિઝા બનાવીને મહારાણીને આપ્યા. મહારાણીએ આ નાના દૂકાનદારોની લાગણીનું સન્માન કરીને પિઝા ટેસ્ટ કર્યા. સાથે સાથે રાજાને પણ આગ્રહ કરીને ચખાડયા.
મારિયા કેરોલિનાને પિઝાનો સ્વાદ તાળવે ચોંટી ગયો. પિઝા પ્રેમના કારણે તેમણે તેમના મહેલમાં પિઝા બનાવવા માટે એક કૂક અને એક ખાસ પ્રકારની ભઠ્ઠી બનાવી હતી. મહારાણી અને રાજા પણ આ ગલીના નાકે વેંચાતી વાનગી આરોગે એવી ખબર પડે પછી તો કોણ એનો સ્વાદ ન ચાખે! એમ કરતા કરતા ધીમે ધીમે નેપલસ પૂરતું પિઝાનું વળગણ વધુ મજબૂત બન્યું.
૧૮૩૦માં નેપલસમાં સૌપ્રથમ પિઝેરિયા (પિઝાની રેસ્ટોરન્ટને આ નામે ઓળખવામાં આવતી હતી) બની ગઈ. શેરી-ગલીના નાકે બનતા પિઝા હવે રેસ્ટોરન્ટમાં પણ બનવા લાગ્યા હતા. ધીરે ધીરે માત્ર નેપલસમાં જ નહી, પરંતુ આખા ઈટાલીમાં પિઝેરિયા ખૂલવા લાગ્યા હતા. પિઝાની ઉપર પાથરવામાં આવતા વેજિટેબલ્સ જેને ટોપિગ્સ કહેવાય છે એમાં પણ વૈવિધ્ય આવવા લાગ્યુ હતું. નવા નવા વેજિટેબલ્સ અને ગાર્લિક, ઓનિયન સહિતના ફ્લેવર્સના કારણે પિઝાનો ચાહક વર્ગ ખૂબ ઝડપથી વધવા લાગ્યો હતો.
યુરોપિયન પ્રજા અમેરિકન પ્રજા સાથે સંપર્કમાં આવી પછીથી ટમેટા અને ઓઇલનો ઉપયોગ પિઝામાં થવા માંડયો. કારણ કે, ટમેટાને યુરોપિયન પ્રજા ઝેરી ફૂડ માનતી હતી. અમેરિકનો પિઝામાં ટમેટાનો ઉપયોગ કરવા લાગ્યા અને તેના કારણે પિઝાના સ્વાદમાં પણ નાવિન્ય આવ્યું હતું. ૧૯મી સદી પૂરી થવા હતી ત્યાં સુધીમાં આજના લહેજતદાર પિઝાના મૂળિયા બરાબર ઊંડા થઈ ગયા હતા. એમાં વધુ એક મજેદાર બાબત બની.
૧૮૮૯માં ઈટાલીના એક પિઝા મેકર રફેલો એસ્પોસિટોએ ઈટાલીના મહારાણી માર્ગેરિટાના સન્માનમાં એક પિઝા બનાવ્યો. જેને એ પિઝા મેકરે 'માર્ગેરિટા' નામ આપ્યું. પિઝાને મહારાણીનું નામ આપવાની સાથે ઈટાલિયન ફ્લેગના રંગથી સજાવવામાં આવ્યો હતો. એ નામ સમયાંતરે વિશ્વભરમાં ચલણી બન્યું.
૧૯મા સૈકાના ઉતરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધીમાં યુરોપ આખામાં પિઝા પ્રચલિત બની ગયા હતા. એ જ સમયગાળામાં ઈટાલીયન પિઝાએ અમેરિકામાં હળવેકથી પ્રવેશ કરી લીધો હતો. અમેરિકામાં પિઝા શિકાગોના રસ્તે પ્રવેશ્યા હતા. એટલે કે શિકાગોમાં પિઝા નાસ્તારૃપે વેંચાતા હતા. ખાસ તો સ્લાઇસને અલગ પ્રકારના ડબ્બામાં બંધ કરીને ઘણા ફેરિયાઓ વેંચવા નીકળતા હતા. નેપલસની જેમ અમેરિકામાં પણ પિઝાની શરૃઆત કારખાનેદારો અને દુકાનદારોથી થઈ. જોકે, અમેરિકનોએ પોતાને ગમતા સ્વાદ પ્રમાણે તેમાં થોડા ફેરફાર કર્યા. અમેરિકન ફૂડમાં વપરાતા મસાલાઓના કારણે પિઝા વધુ સ્વાદિષ્ટ બન્યાં હતા. એ અરસામાં જ ઘણા બધા ઈટાલિયન્સ અમેરિકામાં આવીને સ્થાઈ થઈ રહ્યાં હતાં. એવો જ એક અમેરિકામાં સ્થાઈ થયેલો ઈટાલિયન યુવાન હતો ગેન્નારો લોમ્બાર્ડી. 
ગેન્નારો લોમ્બાર્ડી ૧૮૯૭માં અમેરિકામાં સ્થાઈ થયો હતો. અમેરિકામાં આવીને તેણે ઘરવખરીની ચીજવસ્તુઓનો નાનકડો સ્ટોર ખોલ્યો. એ સ્ટોર ખાસ ચાલ્યો નહી એટલે તેને ઈટાલીમાં લોકપ્રિય થયેલી વાનગી પિઝાની રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર આવ્યો. લોમ્બાર્ડીએ ન્યુયોર્કમાં પિઝેરિયા ઓપન કરવા માટે લાઈસન્સ મેળવ્યું. જે અમેરિકન ફૂડ ઈતિહાસનું પ્રથમ પિઝા રેસ્ટોરન્ટનું લાઈસન્સ બની રહ્યું. એ વર્ષ હતું ૧૯૦૫નું. ત્યારે હજુ અમેરિકાના શિકાગોમાં છૂટાછવાયા પિઝા વેંચાવાની શરૃઆત થઈ હતી. ગેન્નારો લોમ્બાર્ડીએ 'લોમ્બાર્ડીસ પિઝા' એવું નામ રાખ્યું જે ઐતિહાસિક બની રહ્યું.
લોમ્બાર્ડીની એ નાનકડી રેસ્ટોરન્ટે વિશ્વભરમાં પિઝાના ફેલાવા માટે પાયાના પથ્થરનું કામ કર્યું. જેના ઉપર સવાર થઈને પછીથી અમેરિકામાં જ નહી, પણ જગત આખામાં પિઝાની બહુ મોટી ઈમારતે આકાર લીધો.
એ સમયગાળામાં પિઝાએ અમેરિકાના ફૂડ બજારમાં રીતસર કબ્જો જમાવી દીધો. લોમ્બાર્ડી શરૃ થયુ એના પગલે પગલે ૧૯૧૦ સુધીમાં તો બીજી સંખ્યાબંધ પિઝાની રેસ્ટોરન્ટ ખૂલી ચૂકી હતી. વિખ્યાત અમેરિકન કૂક એન્થનીએ 'ટોટોન્ટોસ પિઝેરિયા' શરૃ કર્યું. તો ઝોય ટોમેટો પિઝેરિયા, પાપાસ ટોમેટો પિઝેરિયા વગેરેના કારણે પિઝા તરફ લોકોનો પ્રેમ વધતો ગયો.
અત્યારે પિઝા હટ, ડોમિનોઝ અને પાપા જોન્સના પિઝાનું વેંચાણ વિશ્વમાં કુલ પિઝાના વેંચાણમાં ૩૦ જેટલું છે. વિશ્વભરમાં પિઝાની અઢળક લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે. જોકે, આ ત્રણેય બ્રાન્ડ વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠા ધરાવે છે. પિઝા હટનો ફેલાવો ૯૪ દેશોમાં છે. બધામાં મળીને તેની કુલ ૧૨ હજાર જેટલી પિઝેરિયા છે. જ્યારે ડોમિનોઝે ૭૩ દેશોમાં તેની હાજરી નોંધાવી છે. ૨૦૧૩ના આંકડા પ્રમાણે ડોમિનોઝના ૧૦, ૫૬૬ સ્ટોર્સ બની ગયાં છે. વિશ્વભરના લોકો ૫ અબજ પિઝા પ્રતિવર્ષ આરોગી જાય છે. દરેક સેકન્ડે ૩૫૦ સ્લાઇસ બને છે અને વેંચાતી રહે છે. આટલો વ્યાપ અન્ય પણ ફૂડનો જવલ્લે જ જોવા મળી શકે! એટલે જ તેને આંતરરાષ્ટ્રીય ફૂડ કહીએ તો જરા પણ ખોટું નથી!

પિઝાના ઓડકાર પછી ડિઝર્ટ...!

- ૧૯૫૦માં અમેરિકામાં પિઝાનો બિઝનેસ પૂરબહારમાં ખીલ્યો હતો. કારણ કે, પિઝા બનાવવાની નવી ટેકનોલોજી પણ વિકસવામાં હતી.
- હવે ઓનલાઇન પિઝા ખરીદવા એ સામાન્ય બાબત છે, પણ પ્રથમ વખત પિઝાનો ઓનલાઇન ઓર્ડર ૧૯૯૪માં પિઝા હટને મળ્યો હતો.
- ફ્રાન્સ અને ઈટાલીના પુરાતત્ત્વ વિદોએ ૭૦૦૦ હજાર વર્ષ જૂના સેકેલા બ્રેડના ટૂકડાઓ શોધી કાઢ્યા છે.
- શરૃઆતમાં એટલે કે ૧૦૦૦-૧૧૦૦ ઈ.સ. આસપાસ ગાર્લિક અને ઓનિયન એમ બે ફ્લેવરના પિઝાનું જ ચલણ હતું.
- મોર્ડન પિઝાનો ઉદ્ભવ ઈટાલીના નેપલસ શહેરમાં થયાનું વ્યાપકપણે કહેવાય છે. એ શહેરમાં મજૂર વર્ગ પોતાના ખાણામાં બ્રેડ અને ટોમેટો સોસનો ઉપયોગ કરીને બનાવાતી વાનગીને પ્રાથમિકતા આપતા હતા. કારણ કે, એ વાનગી પ્રમાણમાં સસ્તી હતી અને પરવડે તેમ હતી.
- નેપલસ એ સમયે ખલાસીઓથી ઉભરતું પોર્ટ હતું. ખલાસીઓને પણ કાંઠે પહોંચીને તરત અને સરળતાથી મળી જાય એવા ફૂડના વિકલ્પ તરીકે સૌથી પહેલા પિઝાનો વિચાર આવતો હતો. એ રીતે નેપલસ પિઝાના ફેલાવા માટે મહત્ત્વનું શહેર બન્યું હતું.
- અત્યારે ટોમેટો ફ્લેવર અને ચિઝ સાથે સર્વ થતા પિઝાનો જે ચટાકેદાર સ્વાદ છે એને બદલે ૨૦મી સદીના પ્રારંભે પિઝા સ્વીટ પ્રકારની વાનગી હતી. પાકશાસ્ત્રના ખ્યાતનામ લેખક પેલેગ્રિનો અર્ટુસીની વિખ્યાત કૂક બૂકમાં પિઝાની ત્રણ ફ્લેવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે ત્રણેય ચટાકેદારને બદલે સ્વીટ હતી.
- ૨૦૦૧ના વર્ષમાં પિઝા હટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પિઝા આપ્યા હતા. જેનું બિલ રશિયન સ્પેસ એજન્સીએ ચૂકવ્યું હતું.
- અમેરિકામાં ડોમિનોઝ પિઝાની ૩૦ મિનિટમાં હોમ ડિલિવરી ડ્રોપ કરવામાં આવી છે. કારણ કે, ઝડપથી પિઝાની સર્વિસ પૂરી પાડવા માટે કંપનીના ડ્રાઇવર્સ દ્વારા અમેરિકામાં સંખ્યાબંધ અકસ્માતો નોંધાયા છે.
- આજે પણ ડોમિનોઝ દ્વારા ૧૦ લાખ પિઝાની હોમ ડિલિવરી થાય છે
- ૩૦૦ કરોડ નંગ પિઝા વર્ષે અમેરિકામાં વેંચાય છે.
- વિશ્વમાં સરેરાશ પિઝામેકર ૨ મિનિટ અને ૩૫ સેકન્ડમાં ૧૪ ફૂલ સાઇઝ પિઝા બનાવે છે.
-૩૬ પ્રતિશત અમેરિકનની સવાર પિઝાથી પડે છે.
- દુનિયાભરના પિઝા ડિલિવરીમેન પર થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે પુરુષો ટીપ આપવામાં કંજૂસ હોય છે. જ્યારે મહિલાઓ ધાર્યા કરતા સારી ટીપ આપી જાણે છે.
- આ વર્ષે યોજાયેલા ઓસ્કર સમારોહમાં ફિલ્મ જગતની મહત્ત્વની વીસેક સેલિબ્રિટીએ સમારોહ દરમિયાનની પેટપુજામાં ખાસ પિઝાનો ઓર્ડર આપ્યો હતો. જેમાં જુલિયા રોબર્ટ, બ્રાડ પિટ, ડેક્સ શેફાર્ડ, જેર્ડ લેટો, જેનિફર લોરેન્જ જેવા લોકપ્રિય કલાકારો સમાવેશ થતો હતો.

રેકોર્ડ બૂકમાં પિઝાનો વ્યાપ!

- વિશ્વનો સૌથી મોટો પિઝા ૧૯૯૦માં સાઉથ આફ્રિકામાં બન્યો હતો. એ પિઝાનો ફેલાવો ૧૨૨ ફીટ અને ૮ ઈંચનો હતો.  જેમાં ૩૯૬૮ પાઉન્ટ ચિઝ અને ૧૯૮૪ પાઉન્ટ ટોમેટો સોસ વપરાયો હતો.
- લંડનની ગોર્ડોન રેમસી મેઝ રેસ્ટોરન્ટે એક ઓર્ડર મુજબ સૌથી મોંઘો પિઝા બનાવ્યો હતો. જેનો ભાવ દોઢલાખ જેવો થવા જતો હતો. એ પિઝામાં ગ્રાહકની ડિમાન્ડ મુજબની તમામ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
- ન્યુયોર્કમાં રહેતા સ્કોટ વીનરે પોતાના શોખ માટે ૫૯૫ કંપનીના પિઝા બોક્સ ભેગા કર્યા છે. જેની નોંધ લઈને તેને ૨૦૧૩માં ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
- ૧૯ ઓગસ્ટ, ૧૯૯૮ના દિવસે વાયએફ કોર્પોરેશનને ૧૩,૩૮૬ પિઝા ડિલિવરીનો ઓર્ડર મળ્યો હતો. જેના માટે ૪૦,૧૬૦ એમ્પલોઈ કામે લાગ્યા હતા અને અમેરિકાના ૧૮૦ લોકેશન પર જઈને હોમ ડિલિવરી કરી હતી. જેનો એક દિવસમાં હોમ ડિલિવરીનો રેકોર્ડ છે.

Sunday, 27 July 2014
Posted by Harsh Meswania
Tag :

મેન ઓન ધ મૂનઃ માનવજાતિના એ વિશાળ પગલાના સાડા ચાર દશકા


માનવજાતિએ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર તય કર્યું હતું એ વાતને આજે બરાબર ૪૫ વર્ષ થયા છે. નીલ આર્મસ્ટ્રોંગના પગની મદદથી માનવજાતિએ ચંદ્ર પર ડગલું માંડયું એ ઐતિહાસિક ઘટના આજે સીમાચિન્હ ગણાય છે અને હંમેશા માટે ગણાતી રહેશે.

૨૫મે, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડી કોંગ્રેસને સંબોધી રહ્યા હતા. એ દેશના આગામી આયોજનો વિશે અને નીતિઓ વિશે તેમનું અને તેમની સરકારનું વલણ સ્પષ્ટ કરી રહ્યા હતા. સાથે સાથે રશિયા સાથેના શીત યુદ્ધના એ સમયે તેમણે રશિયાનું નામ લીધા વગર અમેરિકાએ કેવા અને કેટલા પડકારો ઉપાડવા જોઈએ એની પણ વિગતે છણાવટ કરી. તેમનું એ સંબોધન માત્ર કોંગ્રેસ પૂરતું સીમિત નહોતું રહેવાનું. એ વકતવ્ય ખરેખર તો રાષ્ટ્ર જોગ થઈ રહેલું સંબોધન હતું. એ શબ્દો પછીથી વિશ્વ માટે યાદગાર અને નાસા માટે પ્રેરણારૃપ બનવાના હતા. અવકાશમાં આધિપત્ય જમાવવાની સ્પર્ધાના સંદર્ભમાં તેમના શબ્દો હતા કે 'આપણે વિશાળ કદમ ભરવા પડશે. પૃથ્વીથી ઉપરની દુનિયા સર કરવી પડશે. સૂર્યમાળાના છેડાને સ્પર્શ કરવાનો છે. આ દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીના પગલા અંકિત કરી દેવા જોઈએ. ચંદ્ર પર મોકલાયેલો માનવી સલામતીપૂર્વક પૃથ્વી પર આવી જાય એ આપણી ખરી સફળતા લેખાવી જોઈએ! આ દશકો રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો છે અને આપણે માનવીની વિશાળ છલાંગના રૃપમાં તેને અવિસ્મરણીય બનાવવો જોઈએ' અમેરિકન અવકાશ સંસ્થા નાસા માટે પોતાના પ્રમુખના આ શબ્દો પડકાર અને પ્રેરણા બંને હતા. એ જ દિવસે નાસાએ ચંદ્ર પર પહોંચવાના શમણાંને સાકાર કરવાની તમામ કોશિશ શરૃ કરી દીધી હતી. જે માનવ ઈતિહાસમાં અભૂતપૂર્વ પરિણામ લાવનારી બની રહેવાની હતી.
                                                                             * * *
૧૬ જુલાઈ, ૧૯૬૯ના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે કેનેડી સ્પેસ સેન્ટરમાં ધમધમાટ હતો. વર્ષોથી જેના પર કામ થઈ રહ્યું હતું એ મિશનનો આજે અતિ અગત્યનો દિવસ હતો એટલે વૈજ્ઞાાનિકોમાં ઉત્સાહ હતો. એ જ સમયે ત્રણ અવકાશ યાત્રીઓ કેન્ટિનમાં બેસીને વાતો કરી રહ્યા છે...
'હું ચંદ્ર ઉપર ઉતરીશ એટલે શું બોલીશ એ નક્કી છે. એ શબ્દો તૈયાર કરવામાં મને મારી પત્નીએ મદદ કરી છે' અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે તેના સાથી મિત્રોને જણાવ્યું.
'મને તો ખબર નથી કે હું શું બોલીશ. કશુંક બોલવાની જરૃર પડશે કે કેમ એ પણ ક્યાં ખબર છે?' સાથી અવકાશ યાત્રી બઝ એલ્ડ્રિને આર્મસ્ટ્રોંગની વાત સાંભળીને પ્રતિભાવ આપ્યો.
'તમે બંને જે વિચારવું હોય એ વિચારી લેજો, પણ અંતે તો હું કહીશ એ જ બંનેએ કરવાનું રહેશે એ તો યાદ છેને!' બંનેની વાત સાંભળી રહેલા માઇકલ કૉલિન્સે ટીખળ કરી.
'તમે અમારી સાથે ક્યાં આવવાના છો? તમે તો યાનમાં જ હશો એટલે અમે તમારી વાત થોડા માનીશું!' એલ્ડ્રિને નીલ સામે જોઈને કૉલિન્સની ટીખળનો જવાબ ટીખળથી વાળ્યો.
જેટલી હળવાશથી વાત થઈ રહી હતી એ હળવાશની ક્ષણો થોડીવાર પૂરતી જ છે એની જાણ ત્રણેયને હતી. અવકાશમાં ગયા પછી શું થશે? અમેરિકન અવકાશ ઈતિહાસનો આ સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળ થશે કે કેમ? પાછું ફરી શકાશે કે પછી આ અંતિમ ઉડાન હશે? વગેરે પ્રકારના વિભિન્ન વિચારો આ ત્રણેય અવકાશ યાત્રીઓના દિમાગમાં ધૂમરાઈ રહ્યા હતા. યાનમાં બેસતા પહેલા મનગમતી વાનગીઓ આરોગતી વખતે ત્રણેય વાતો કરતા હતા ત્યારે જ તેમને તેડું આવ્યું. યાન તૈયાર હતું. બધુ બરાબર ચેક થઈ ચૂક્યું હતું. માત્ર અવકાશ યાત્રીઓએ પોશાક પહેરવાનો જ બાકી હતી. એપોલો-૧૧ તેના નિર્ધારિત સમયમાં ઉડાન ભરવા કટિબદ્ધ હતું. નાસા સ્પેસ સેન્ટરની ઘડિયાળ સવારનો ૯.૩૨નો સમય બતાવતી હતી. આ ઈગલ યાન ઉપડયું એની ૧૨મી મિનિટે તો તે પૃથ્વીના વાતાવરણની સપાટીએ પહોંચી ગયું હતું. ૭૬ કલાક સુધીની તેની યાત્રા પર દુનિયાભરની નજર હતી. તે પૃથ્વીથી ૨,૪૦,૦૦૦ માઇલનો મુશ્કેલ પડકાર માર્ગ કાપવા ઉડયું હતું.
                                                                   * * *અમેરિકી સમય મુજબ રાતના ૧૦.૫૬ થયા હતા. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના એ ઐતિહાસિક દિવસે અમેરિકન અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર યાન ઈગલમાંથી બહાર નીકળીને સીડીની મદદથી ચંદ્ર પર ઉતર્યા. ડાબો પર ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો કે આર્મસ્ટ્રોંગે કહ્યું હતું...
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'
તેમના આ વાક્યનો પડઘો પૃથ્વી સુધી પડયો. થોડી વાર પછી એલ્ડ્રિન નીચે ઉતર્યા અને તેમણે ચંદ્ર વિશે બે જ શબ્દોમાં બધુ જ કહી દીધું. એ તેમના વિખ્યાત બનેલા શબ્દો હતા-'ભવ્ય વિરાની'
બંનેએ અમેરિકન યાન ઉતર્યુ હતું ત્યાં અમેરિકન રાષ્ટ્ર ધ્વજ ખોડયો. એ અમેરિકાની યશકલગીનું નવું શિખર હતું.
યાન ઉતર્યું ત્યારે ૩૦ સેકન્ડ ચાલે એટલું ઈંધણ બચ્યુ હતું. (યાનને પરત જવા માટે અલગ ટાંકીમાં ઈંધણ રાખવામાં આવ્યું હતું) કોલંબિયા સાથે જોડાયેલા આ ઈગલ મોડયુલને યાનથી અલગ કરીને ચંદ્રના વાતાવરણથી ચંદ્રની સપાટી સુધી પહોંચાડવાનું હતું. કોલંબિયાથી ઈગલને સફળતાપૂર્વક અલગ કર્યા પછી પડકાર હતો કોઈ જ અડચણ વગર ચંદ્રની સપાટીમાં ઈગલનું લેન્ડિંગ કરાવવાનો. જેમાં શ્વાસ અધ્ધર કરી દે એવી થોડી મિનિટોને બાદ કરતા નીલ અને એલ્ડ્રિને બધુ બરાબર પાર પાડી દીધું હતું.
ચંદ્રની સપાટી પર ઉતર્યા પછીના ત્રણેક કલાક તેમણે સંશોધનને લગતી જરૃરી કામગીરી કરી. માટી અને ખડકોના જરૃરી નમૂના એકઠાં કર્યા. તમામ કામ નિપટાવીને આ બંને પૃથ્વીવાસીઓએ પાછા ફરતી વેળાએ ચંદ્રને છેલ્લી વાર બરાબર નિરખ્યો. એ બંને સારી રીતે વાકેફ હતા કે તે ચંદ્ર પર પગ મૂકવા બડભાગી થયા હતા, બધા મનુષ્યો માટે આ શક્ય પણ નથી. જે ચંદ્રને પૃથ્વી પરથી જોઈને ભાત-ભાતની વાયકાઓ પ્રવર્તે છે, જગતભરના કવિઓને જેમાં પોતાની પ્રેમિકાના દર્શન થાય છે, કોઈને તેમાં કાળો ડાઘ દેખાય છે તો કોઈને કંઈ ભળતું જ ચિત્ર દેખાય છે. એ બધુ જ માત્ર ધારણાઓ હતી. વાસ્તવિકતા તેનાથી અનેકગણી અલગ-રોમાંચક-વિચિત્ર હતી. હજુ બંનેએ એક મહત્ત્વનું કામ કરવાનું બાકી હતું. એ છેલ્લુ કામ પૂરું થાય એટલે તેને માઇકલ કૉલિન્સની પરત આવવાની સૂચના મળવાની હતી. એ કામ હતું તખ્તી મૂકવાનું. 'ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ માસમાં પૃથ્વીવાસી માનવીએ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો, માનવજાતિ તરફથી આ શાંતિનું કદમ છે' આટલું લખેલી પ્લેટ ધ્વજની બાજુમાં મૂકવાની હતી.
થોડી પળો પછી તે ફરી વખત ઈગલમાં પહોંચી ગયા હતા. ચંદ્રને જોવામાં મસ્ત અને કામ કરવામાં વ્યસ્ત થઈ ગયેલા આ બંને અવકાશ યાત્રીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે હવેનું કામ ઈગલનું કોલંબિયા સાથેના જોડાણનું છે અને એ આખા મિશનનું ખરેખરું કપરું કામ છે.
                                                                       * * *
૨૪ જુલાઈએ ચંદ્ર યાન પૃથ્વી ઉપર પરત આવ્યું ત્યારે જ્હોન એફ કેનેડીએ કહેલા શબ્દો અક્ષરસઃ સાચા પડયા હતા. અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું હતું અને ત્યાંથી સલામત રીતે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પરત આવ્યા હતા.
ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનું જે સાહસ અમેરિકાએ ખેડયું હતું એણે અવકાશના સંશોધનને નવી દિશા-નવો વેગ આપ્યો. બીજા ગ્રહ પર માનવજીવન છે કે નહીં તેનો તાગ મેળવવાના પ્રયાસની આ શરૃઆત હતી. આ યાનના કારણે સંશોધકોને હોંશ મળી હતી.
એપોલો પ્રોગ્રામ હેઠળ નાસાને અવકાશમાં સમાનવ યાન મોકલવાની તક મળી. જેના કારણે ચંદ્ર પર જ પછીથી પાંચ સમાનવ યાન મોકલાયા હતા. ૧૯૬૯થી લઈને ૧૯૭૨ સુધીમાં નાસાએ ચંદ્ર પર ૬ સમાનવ યાન મોકલ્યા હતા જેમાં ૧૨ માનવીઓ ચંદ્ર પર ચાલવા નસીબદાર બન્યા હતા. અમેરિકા અવકાશ વિજ્ઞાાનમાં વિશ્વભરમાં અવ્વલ બની ગયું. રશિયા સાથેની તેની અવકાશી સ્પર્ધા લગભગ પૂરી થઈ ચૂકી હતી.  એપોલો-૧થી શરૃ થયેલી સફર એપોલો-૧૭ સુધી લંબાઈ હતી. ચંદ્ર પર માનવજાતિએ પગ મૂક્યો એ ઘટનાએ પૃથ્વી માટે નવી ક્ષિતિજ વિસ્તારી દીધી હતી. ક્ષિતિજ વિસ્તારવા માટે પણ આ ઘટના હંમેશા હંમેશા માટે યાદગાર રહેશે.

ક્યા ક્યા અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી સ્પર્શી શક્યા છે?
એપોલો-૧૧ના બે અવકાશ યાત્રીઓએ પહેલી વખત ૨૦ જુલાઈ ૧૯૬૯ના દિવસે ચંદ્ર પર પગલુ માંડયું એ પછીના ચાર વર્ષમાં બીજા ૧૦ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવા નસીબદાર રહ્યા હતા. અમેરિકાએ અવકાશમાં આણ પ્રવર્તે એ માટે સતત એપોલો પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર યાન મોકલ્યાં હતાં. જે અંતર્ગત એ જ વર્ષે નવેમ્બરમાં એપોલો-૧૨ યાન ચંદ્ર પર લેન્ડ થયું હતું. જેમાં ચાર્લ્સ કોનરેડ અને એલન બીન ચંદ્ર પર વિચર્યા હતા. ચાર્લ્સે ત્યાં જઈને નીલ આર્મસ્ટ્રોંગના પેલા વિખ્યાત વાક્ય 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'ને યાદ કરીને કહ્યું હતું કે નીલ માટે ભલે આ વામન પગલું હોય, પરંતુ મારા માટે તો મેં મૂકેલું આ વિશાળ કદમ છે. ૧૯૭૦માં મોકલાયેલા એપોલો-૧૩માં ખામી સર્જાઈ હતી એટલે એ રીતે નાસાનું લગલગાટ ત્રીજું મિશન કરવાનું સપનું અધુરું રહી ગયું હતું. એપોલો-૧૩ અસફળ થવા છતાં અવકાશ યાત્રીઓનો જીવ બચી ગયો એટલા પૂરતું સફળ થયું તો કહેવાય જ.
 
ત્યાર પછી ૧૯૭૧ના જાન્યુઆરીમાં વધુ બે અવકાશ યાત્રીઓએ મૂન વોક કર્યું હતું. એલન શેફર્ડ અને એડગર મિશેલ ચંદ્ર પર ઉતર્યા એટલે મૂન વોક કરનારા અવકાશ યાત્રીઓની સંખ્યા ૬ થઈ હતી. આ બંનેએ તેમના પૂરોગામી અવકાશ યાત્રીઓ કરતા વધુ વખત ચંદ્રની સપાટી પર પસાર કર્યા હતા. એ બંને ૯ કલાક ૧૭ મિનિટ સુધી ચંદ્ર પર રહ્યા હતા.
અહીં સુધી પહોંચ્યા પછી ચંદ્ર પર પહોંચવું એ નાસા માટે રમત વાત બની ગઈ હતી. એપોલો-૧૪ મોકલ્યાના દોઢ જ વર્ષમાં એપોલો-૧૫, ૧૬ અને ૧૭ મોકલ્યા હતા. જેમાં બીજા ૬ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવાની તક મળી હતી. એ ૬ અવકાશ યાત્રીઓ એટલે ડેવિડ સ્કોટ, જેમ્સ ઈરવિન, જ્હોન યંગ, ચાર્લ્સ ડયૂક, હેરિક્સન સ્કમિટ અને ઈ. કેરનાન.
ચંદ્ર યાનમાં નાસાએ પૈસાનું પાણી કરી દીધું હતું. વળી, અહીં સુધી પહોંચ્યા પછી સંશોધનના દ્રષ્ટિકોણથી તેમ જ અવકાશી સંશોધનના મામલામાં વિશ્વ ઉપર ધાક બેસાડવાના દ્રષ્ટિકોણથી પણ હવે વધુ યાન મોકલાવાનો અર્થ નહોતો રહ્યો. એ રીતે એપોલો-૧૭ છેલ્લું ચંદ્રયાન બની રહ્યું.

નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જઈને પ્રથમ વાક્ય ખોટું બોલ્યા હતા?
નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર મૂકતાની સાથે જે વાક્ય ઉચ્ચાર્યું હતું એ ખોટું હતું એવી ચોમેર ચર્ચા વર્ષો સુધી ચાલી હતી. હજુ પણ એ ઓડિયો વિશેના સંશોધનો થયા રાખે છે. તેઓ “That’s one small step for man, one giant leap for mankind,” વાક્ય બોલ્યા હતા. ચંદ્ર પર જવાનું નક્કી થયું પછી આ વાક્ય નીલ આર્મસ્ટ્રોંગે પહેલાથી જ તૈયાર કર્યું હતું. આ શબ્દો તૈયાર કરવામાં તેમને તેમની પત્નીએ મદદ કરી હતી. આ વાક્ય પછી તો બહુ જ વિખ્યાત થયું હતું, પણ તેમાં ભૂલ એ હતી કે “That’s one small step for man..માં  'a man' એવું હોવું જોઈએ એના બદલે તેઓ ફોર મેન એવું બોલ્યા હોવાનું સંભળાતું હતું. નાસાએ અને આર્મસ્ટ્રોંગે સતત 'a man' બોલ્યા હોવાનું કહેતા રહેતા હતા, પણ અંતે ઓડિયોના અભ્યાસ બાદ નવી ટેકનોલોજીના કારણે તેઓ 'a' બોલ્યા નથી એવા નિષ્કર્ષ પર સંશોધકો આવ્યા છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટથી લઈને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સુધીની ઘણી બધી સંસ્થાઓએ આ વાક્ય પર વિશ્લેષણ કર્યું છે. એ સેન્ટેન્સને લઈને આટલો બધો શોર શું કામ? જવાબ એટલો જ છે કે એ વાક્ય ખૂબ જ પ્રચલિત બન્યું હતું અને એટલે જ કદાચ તેના વિશે આટલું વિશ્લેષણ પણ થયું છે. નીલ આર્મસ્ટ્રોંગ એ વખતે શું બોલ્યા હતા એ અંગે ખૂદ એમણે અવઢવ અનુભવતા બાયોગ્રાફર-લેખક જેમ્સ હેન્સનને તેમણે કહ્યું હતું 'મારો ઈરાદો ખામીયુક્ત વાક્ય બોલવાનો ન જ હોય. કદાચ ઉત્સાહમાં મારું એ તરફ ધ્યાન ન પણ ગયું હોય એવું બને. પરંતુ મારો હેતુ સ્પષ્ટ હતો સમજદાર લોકો સારી રીતે જાણે છે' એક જ વાક્યને લઈને આટલું બધુ થયુ હોય એવું કદાચ છેલ્લા વર્ષોમાં આ એક જ ઉદાહરણ મળશે!
Sunday, 20 July 2014
Posted by Harsh Meswania
Tag :

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ!


વર્ષે દહાડે હવાઈ મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોનો કેટલો બધો બેશકીમતી સામાન આસમાનથી જમીન સુધી પહોંચતા પહોંચતા ગુમ થઈ જાય છે! આટલી વ્યવસ્થા છતાં શું કામ સામાન ગુમ થાય છે? ઉસ્તાદ અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ ક્યાં સેલિબ્રિટીનો સામાન અધ્ધરતાલ રહી ગયો હતો? સામાન ખોવાઈ જાય પછી પાછો મુસાફરોને મળે છે કે કેમ?

'ઈજાઝત'  ફિલ્મ માટે ગુલ્ઝાર સાહેબની કલમમાંથી શબ્દો નીકળ્યા હતાઃ 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' આ શબ્દો કદાચ હમણાં ગુલ્ઝાર સાહેબે જેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી એ સરોદ વાદક ઉસ્તાદ અમઝદ અલી ખાને ગણગણ્યાં હશે. એના ગણતરીના દિવસોમાં જ એ શબ્દો ફિલ્મ મેકર મીરા નાયરને પણ યાદ આવ્યાં હશે. આ બંને મહાનુભાવોને એ શબ્દો એરલાઇન્સના સંદર્ભમાં યાદ આવ્યા હોવા જોઈએ. કેમ કે, ૪૫ વર્ષથી જે સરોદ ઉસ્તાદ અમઝદ અલી ખાન ખૂબ કાળજીપૂર્વક સંભાળીને રાખતા હતા એ સરોદ બ્રિટિશ એરવેઝે કલાકોમાં ગુમ કરી દીધી! જોકે, શોધખોળને અંતે સરોદ તો મળી ગઈ, પણ આ ઘટના હજુ તો માંડ વિસરાઈ જ હતી કે ફિલ્મ મેકર મીરા નાયરનું બેગ એ જ એરલાઇન્સે ખોઈ નાખ્યું. જે પંદરેક દિવસ થવા છતાં હજુ સુધી મળ્યું નથી.
હવાઈ મુસાફરી દરમિયાન ખોવાયેલા લગેજની આ ઘટનાઓએ સમાચારોમાં સ્થાન એટલા માટે મેળવ્યું, કારણ કે સામાન જાણીતી વ્યક્તિઓનો ગુમ થયો હતો. પરંતુ આવો સામાન તો દિવસમાં કંઈ કેટલોય ગુમ થઈ જાય છે. માની ન શકાય એટલા જથ્થામાં અને માની ન શકાય એવી વસ્તુઓ ક્યારેક માનવ સહજ ક્ષતિના લીધે તો ક્યારેક કર્મચારીઓની બેદરકારીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સુધી પહોંચી જતો હોય છે.
વળી, અમઝદ અલી ખાન અને મીરા નાયર પહેલા પણ વિશ્વભરની જાણીતી વ્યક્તિઓએ પોતાનો સામાન ગુમાવ્યો છે. મહારાણીથી લઈને મોડેલ સુધી ઘણા કિસ્સાઓ એવા નોંધાયા છે જેનો સામાન એરલાઇન્સ દ્વારા ખોવાઈ ગયો હોય.
વર્ષે કેટલો સામાન હવાઈ મુસાફરી દરમિયાન ગુમ થઈ જાય છે?
વર્ષે ખરેખર કેટલા મુસાફરો પોતાનો સામાન ગુમાવી દે છે એનો ચોક્કસ આંકડો મેળવવો શક્ય નથી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા તૈયાર થતાં રિપોર્ટમાં જુદા જુદા તારણો મળે છે, પરંતુ એર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી બેગેજનો રિપોર્ટ વધારે સ્વીકૃત મનાય છે. એ રિપોર્ટના આધારે કહીએ તો ૨૦૧૩ના વર્ષેમાં ૨ કરોડ ૯ લાખ નંગ પેસેન્જર બેગ્સ ખોવાઈ ગયા હતા. એમાંના કેટલાક સાવ ડેમેજ થયા પછી તેના માલિક સુધી પહોંચ્યા હતા.
વિશ્વમાં એવરેજ ૧૦૦ પેસેન્જર્સમાંથી ૧.૨ દરરોજ તેનો સામાન ખોવાઈ જવાની ફરિયાદ જે તે એર લાઇન્સ પાસે નોંધાવે છે. ૨૬ લાખ બેગ્સ એરપોર્ટ ચેકિંગ વખતે જ આમથી તેમ થઈ જતા હોવાના બનાવો બને છે. વિભિન્ન અમેરિકન એરલાઇન્સ વર્ષે લગભગ ૫૦ લાખ મુસાફરોના બેગ ખોઈ નાખે છે. ફિલાડેલ્ફિયા એરપોર્ટ આ બાબતે સૌથી વધુ બદનામ છે. આ એરપોર્ટ તેના નિયમિત પેસેન્જરોના બેગ્સ વર્ષમાં એક વખત તો ખોઈ જ નાખે છે. ભારત અમેરિકા કરતા આ મામલે થોડું પાછળ છે. આપણાં દેશમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એરપોર્ટ વર્ષે ૪૩ લાખ બેગ્સ ખોઈ નાખે છે અથવા અલગ જગ્યાએ પહોંચાડી દે છે. જોકે, એ વાત પણ નોંધવી જ પડે કે અમેરિકાની તુલનાએ ભારતના એરપોર્ટ ઓછા વ્યસ્ત હોય છે.
આવી ઘટનાઓ રોકવા માટે એર લાઇન્સ ખાસ કાળજી રાખતી થઈ છે. ઘણી અમેરિકન-બ્રિટિશ એર લાઇન્સે પોતાની સ્માર્ટફોન એપ ક્રિએટ કરી છે જેના દ્વારા પેસેન્જર પોતાનો સામાન ક્યાં પહોચ્યો એ જાણી શકે છે. એટલે પોતાનો સામાન ક્યાં પહોંચ્યો એ અંગે જો મુસાફરો જ સભાન રહે તો ઘણા ખરા અંશે આ સ્થિતિમાં કાબૂ મેળવી શકાય છે. પાંચ વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે પેસેન્જર્સની સંખ્યામાં જેટલો વધારો નહોતો થયો એનાથી અનેક ગણો વધારો લગેજ મિસિંગમાં થયો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી થોડો સુધારો નોંધાયો છે.

કયા સેલિબ્રિટીનો સામાન એરપોર્ટ પરથી ગુમ થયો હતો?
નેધરલેન્ડના મહારાણી બેટ્રિક્સ ૨૦૦૬માં લંડનમાં આવ્યા હતા ત્યારે તેમનું બેગ ગુમ થયું હતું. જેમાં વિક્ટોરિયન એરાનો મહામૂલો ડાઇમંડ સેટ પણ હતો. આ બેગની અંદાજિત કીંમત એક કરોડ રૃપિયા આંકવામાં આવી હતી. પછીથી મહારાણીએ હંમેશા માટે એ સામાનને ભૂલી જવો પડયો હતો. રોકસ્ટાર એલિસ કુપરનું બેગ ૨૦૧૦માં એક બ્રિટિશ એર લાઇન્સની ભૂલના કારણે ગુમ થયું હતું. કુપરનું બેગ મેળવવા એર લાઇન્સે પ્રવાસો તો કર્યા, પણ તેમાં સફળતા હાથ લાગી નહીં. કુપરના કહેવા પ્રમાણે તેમાં તેના મૂલ્યવાન ડોક્યુમેન્ટ્સ હતા. અમેરિકન ડિઝાઇનર અને મોડેલ રિશેલ જોએ સેન્ટ બાર્ટ જતી વખતે એરપોર્ટ પર પોતાનું બેગ ગુમાવ્યું હતું. તેમાં તેણે તૈયાર કરેલો નવી ડિઝાઇનનો સેમ્પલ પોશાક હતો. એ સિવાય ૬૦ હજારની એક એવી ૧૫-૧૭ બ્રાન્ડેડ કપડાની જોડી પણ એ બેગમાં હતી. એમ તો કિમ કાર્ડિયાશિનનું બેગ પણ બે વર્ષ પહેલા ગુમ થયું હતું. કિમના કહેવા પ્રમાણે તેમાં તેના કીંમતી કપડા હતા(જોકે, કિમ ક્યાં બહુ કપડા પહેરે છે કે ચિંતા હોય!) અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ આવા તો કેટલાય બનાવો બનાવો રહે છે, પરંતુ સેલિબ્રિટીની વસ્તુ ગુમ થવાની બદનામીમાંથી બચવા માટે જે તે એર લાઇન્સ મહેનત કરીને પણ તેનો સામાન પરત લાવી આપતી હોય છે.

લગેજ ખોવાય તો વળતર શું મળે?
આમ તો વિભિન્ન એરલાઇન્સના પોતાના અલગ અલગ નિયમો હોય છે. ટર્મ એન્ડ કન્ડિશન્સમાં સામાનની જવાબદારી અંગે એરલાઇન્સે હાથ ઊંચા કરી જ દીધા હોય છે, પણ તેમ છતાં સામાન ખોવાય જાય તો ૨૧ દિવસ સુધી પરત મળવાની શક્યતા હોય છે. ત્રણ સપ્તાહના સમય પછી પણ જો એરલાઇન્સમાંથી સામાન મળી ગયાનો કોલ ન આવે તો સમજવું રહ્યું કે એ સામાન હવે સત્તાવાર રીતે ખોવાય જ ગયો છે. એવા કિસ્સાઓમાં એરલાઇન્સ સામેથી જ બેગમાં શું હતું એની વિગતો મંગાવીને તેનું વળતર આપવાની પ્રક્રિયા હાથ પર લઈ લે છે. ઘણા મુસાફરો રોકડ રકમ મેળવવાને બદલે પોતાની ચીજ-વસ્તુઓ જ પરત મળે એનો આગ્રહ રાખતા હોય છે એવા સમયે એરલાઇન્સ પોતાના ધારા-ધોરણ મુજબ અને સામાનની પાવતીના આધારે ખરીદી કરી આપે છે. જો સામાન ઉસ્તાદ અમઝદ અલી ખાનની સરોદની જેમ બહુ જ મૂલ્યવાન હોય તો પછી એ ગુમાવવો જ રહ્યો! એના માટે આંસુ સારવા એ એક માત્ર વિકલ્પ બચે છે.

સામાન શું કામ ખોવાઈ જાય છે?
બેગ ઉપર લગાડેલું લેવલ ખરાબ થવાથી સામાન ખોવાઈ જવાની કે બીજા કોઈને ભૂલથી અપાઈ જતો હોવાનું બને છે. સામાન જે તે મુસાફર સાથે જ રહે તો તો બહુ વાંધો આવતો હોતો નથી, પરંતુ સામાન વધુ હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૃપે અન્ય મુસાફરોના સામાનની સાથે જ સામાન રાખવામાં આવે અને સામાન પર ઓળખ માટે લગાવેલું લેબલ મુસાફરી દરમિયાન ખરાબ થઈ જાય તો એ સામાન હંમેશા માટે ગુમાવવાનો વખત પણ આવી શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સાવ નવું જ બેગ મુસાફરી માટે ખરીદ્યું હોય અને એનો રંગ આપણને તરત જોતા જ ઓળખવામાં મુશ્કેલી થાય તો પણ સામાનની અદલા-બદલી થઈ શકે છે.
બેગ લેતા ભૂલી જવાય તો એરલાઇન્સ પાસે તપાસ કરીએ ત્યારે એ બેગ મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. ઉતાવળે ઘણો બધો સામાન હોય ત્યારે ખાસ એવું બનતું હોય છે. ક્યારેક મુસાફરીમાં વધુ સામાન લઈ જવાની આદત ન હોય અને માત્ર હેન્ડ બેગથી ચલાવી લેતા હોઈએ અને એમાં જો સૂટકેસ સાથે હોય તો પણ ઘણા ખરાં મુસાફરો સમાનમાંથી સુટકેસ લેવાનું એ સમયે ભૂલી જતાં હોવાના ઘણાં બનાવો વિશ્વભરના એરપોર્ટ પર બનતાં હોય છે. મુસાફરો જ પોતાનો સામાન ભૂલીને જતાં રહેતા હોય એવા કેસમાં એરલાઇન્સ એ સામાનને બિનવારસી જાહેર કરીને એના બિનવારસી સામાન વિભાગમાં મૂકી રાખે છે. આવો સામાન લાંબી કડાકૂટના અંતે પરત મળતો હોય છે. 
સામાનના સ્થળના કોડમાં ભૂલ થઈ હોય તો સામાન અલગ જગ્યાએ પહોંચી જાય છે. જેમ કે, અમદાવાદથી દહેરાદૂન જતા કોઈ મુસાફરના સામાનમાં દિલ્હીનો કોડ લાગી જાય તો સામાન દિલ્હી પહોંચી જાય છે. બેગમાં મુસાફરની ઓળખ સ્પષ્ટ હોય તો બેગ પરત મેળવવામાં સરળતા રહે છે, પણ જો ઉપરના કારણ પ્રમાણે ઓળખનું લેબલ ખરાબ થઈ ચૂક્યું હોય તો સામાન પાછો મેળવવામાં મુશ્કેલી પડે છે. ઓળખ વગરનો સામાન થોડા દિવસમાં એરલાઇન્સના 'બિનવારસી સામાન' વિભાગમાં મોકલી દેવામાં આવે છે.
બેગેજ કાર્ટ બદલાઈ જાય તો પણ સમાન ચોક્કસ જગ્યાએ પહોંચવાને બદલે કોઈ ભળતા-સળતા સ્થળે પહોંચી જાય છે. છેક છેલ્લી ઘડીએ મુસાફરનો સામાન હ્યુમન એરરના કારણે કર્મચારી જે તે પ્લેનને બદલે બીજા પ્લેનમાં ચડાવી દે તો આપણે નિશ્વિત જગ્યાએ પહોંચીએ ત્યાં સુધીમાં સામાન કોઈ બીજા જ એરપોર્ટે પહોંચી ગયો હોય છે. આવી સ્થિતિમાં જો ઓળખ અને કોર્ડમાં ગફલત થઈ ન હોય તો સામાન સરળતાથી થોડી કલાકો પછી કે એકાદ દિવસમાં મુસાફરને મળી જતો હોય છે. નહીંતર જો લેબલમાં કે કોર્ડમાં ભૂલ રહી ગઈ હોય તો સામાનની રાહ જોવી રહી!

આ ઘટનાઓ મુસાફરો ભૂલી નથી શક્યા, એર લાઇન્સ ભૂલવા માંગે છે!
એકલ દોકલ બેગ ચોરાઈ જાય અને પછી તે પરત મેળવવાની કવાયત હાથ ધરાઈ એ તો જાણે રોજિંદો ક્રમ થયો, પરંતુ એવીય દૂર્ઘટનાઓ બની છે જે મુસાફરો માટે ક્યારેય ન ભૂલી શકાય એવું દુઃસ્વપ્ન છે. તો એર લાઇન્સ દુઃ સ્વપ્ન માનીને તેને ભૂલી જવા માંગે છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર ૨૦૧૦માં આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ૨૪૦ સૂટકેસ સફાઈ દરમિયાન કચરામાં અને પછી ગટરમાં ભળી ગઈ હતી. એરપોર્ટ સત્તાધીશોને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે બહુ મોડું થઈ ગયુ હતું. એ તમામ બેગ્સ મેળવીને તેની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી, પણ એ બધુ જ વ્યર્થ હતું. અંતે તમામ મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીએ એક હજાર પાઉન્ડનું વળતર આપવું પડયું હતું. આ જ હિથ્રો એરપોર્ટ પર ૨૦૦૭માં એક મુસાફરને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. સખત વરસાદના કારણે જ્યારે તેનો સામાન એરપોર્ટ સુધી પહોંચ્યો ત્યારે એ હજુ એરપોર્ટે આવ્યો નહોતો. થોડી કલાકો પછી જ્યારે મુસાફર પોતાનો સામાન લેવા આવ્યો તો એનો બધો જ સામાન પલળી ગયો હતો. એરપોર્ટ ઓથોરિટીનો બચાવ હતો કે તમારે હાજર રહેવું જોઈએને!
અમેરિકામાં એક યુવતીએ આનાથી તદ્ન અલગ અનુભવ થયો હતો. એ તેનો સામાન શોધતા શોધતા પ્લેનના એન્જિન પાસે આવી ત્યારે એન્જિયરે તેને પૂછ્યું કે આ બેગ શોધી રહ્યાં છો? યુવતીએ હા પાડી તો તેણે અફસોસ વ્યક્ત કરીને કહ્યું કે એન્જિનની પાસે હોવાથી તમારો બધો જ સામાન બળી ગયો છે, તમે આવ્યા નહીં એટલે કોઈએ અહીંથી સામાન ખસેડયો નહીં!
Sunday, 13 July 2014
Posted by Harsh Meswania
Tag :

એક યુવાને છોડેલી ગોળી અને રક્ત ટપકતી લાખો જોળી...

ગાવરિલો પ્રિન્સિપ

એક માથાફરેલો અને ગેરમાર્ગે દોરાયેલો યુવાન વિશ્વને કેટલું નુકસાન પહોંચાડી શકે? એનો જવાબ શોધવા માટે કદાચ ગાવરિલો પ્રિન્સિપ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ બની શકે તેમ છે. તેની એક ગોળી વિશ્વના કરોડો લોકો માથે મોત બનીને ત્રાટકી અને તેમાંથી વહેલી રક્તની નદીમાં કંઈ કેટલુંય તણાઈને તબાહ થઈ ગયું...

ગાવરિલો  પ્રિન્સિપ એનું નામ. બધા કેદીઓની વચ્ચે ૧ નંબરની અલગ કોટડી એને ફાળવાઈ હતી. એ અન્ય કેદીઓ કરતા અલગ હતો. એક તો એ સગીર હતો એટલે ગંભીર અપરાધ છતાં ફાંસીને માંચડે લટકાવી શકાય તેમ નહોતો. બીજું, કે તેણે એવા માણસની હત્યા કરી હતી કે જેના લીધે જગત અરાજકતા તરફ ધકેલાયું હતું. દુનિયા હજુય અજંપામાંથી બહાર નીકળવાની મથામણ કરી રહી હતી. આ એક માણસના કારણે ભલભલી શાંતિ સ્થાપતિ સંસ્થાઓ નિષ્ફળ નીવડી હતી અને ભવિષ્યમાં પણ નિષ્ફળ નીવડવાની હતી. એની એક ગોળીની આગ હજુ તો વર્ષો સુધી વિશ્વને દઝાડવાની હતી.
એકવડિયો બાંધો. સ્હેજ લાંબો ચહેરો. લગભગ પાંચેક ફીટ ઊંચાઈ. વિખરાયેલા વાંકડિયા કાળા વાળ. નિસ્તેજ કાળી આંખો અને આંખોની આસપાસ પડેલા ઘેરા કાળા કૂંડાળા તેની લથડતી જતી તબિયતની ચાડી ખાતાં હતાં. જેલરે તેના સ્વાસ્થ્ય માટે તબીબોની સેવા લેવાનું શરૃ કર્યું હતું. છતાં બધી જ દવાઓ બેઅસર હતી. ચામડીમાંથી હાડકાં બહાર નીકળવું નીકળવું થતાં હતાં. કુપોષણ અને ક્ષય બંનેએ એના શરીર પર એવો તો અજગરી ભરડો લીધો હતો કે હવે એમાંથી બચવાની કોઈ જ આશા નહોતી. ઉંમરની ગણતરી પ્રમાણે તો એ યુવાન હતો, પરંતુ તેના શરીરની હાલત ૮૦-૯૦ના પડાવે પહોંચેલા કોઈ વૃદ્ધ જેવી થઈ ગઈ હતી. એનું વજન ઘટીને ૪૦ કિલો થઈ ગયુ હતું. એ તેની અંતિમ ક્ષણો ગણી રહ્યો હતો.
અંતે એ દિવસ આવી ગયો જ્યારે તેણે છેલ્લો શ્વાસ લીધો. વિશ્વને હિંસાના રૌરવમાં ધકેલનારો આ લવરમૂછિયો છોકરો વિશ્વના અજંપા વચ્ચે જ હંમેશા-હંમેશા માટે શાંત થઈ ગયો. તે દેખાવે એટલો બધો ભયાવહ પણ નહોતો. જોનારને કલ્પના પણ ન આવે કે આ છોકરાએ આવા હિંસક કામને અંજામ આપ્યો હશે. જગતને સંતાપમાં ધકેલનારા આ છોકરાને પોતાના કારસ્તાન માટે કોઈ જ અફસોસ નહોતો. પરંતુ કદાચ છેલ્લા શ્વાસ લેતા પહેલા તેને એ દ્રશ્ય જરૃર યાદ આવ્યું હશે. જે જગતનો ઈતિહાસ તપાસનારા બધા માટે કાયમ દુઃસ્વપ્ન બનીને ઘૂમરાયા કરવાનું હતું. કાર-પિસ્તોલ-પ્રિન્સ-પ્રિન્સિપ-લોહી-પોલીસ અને ભાગદોડ..
                                                                                * * *
૨૮ જૂન, ૧૯૧૪ના એ દિવસે એક કલાકમાં તો સારાયેવોમાં કેટલીય ઘટનાઓ આકાર પામી ચૂકી હતી. ઓસ્ટ્રિયન રાજકુમાર ફ્રાન્ઝ ફર્ડિનાન્ડે ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને પણ સારાયેવોમાં તેમની પત્ની સોફિયા સાથે પગ મૂક્યો હતો. એ દિવસ ફર્ડિનાન્ડ અને સોફિયા માટે ખૂબ મહત્ત્વનો હતો. એ બંને ૧૪મી મેરેજ એનિવર્સરી મનાવી રહ્યાં હતાં. ફર્ડિનાન્ડ પત્ની સાથે સારાયેવોની મુલાકાતે જઈને એ દિવસને યાદગાર બનાવવા માંગતા હતા અને ખરેખર એમ જ બન્યું. સવારના લગભગ દસ વાગવા આવ્યા હતા. પ્રથમ કારમાં સારાયેવોના મેયર ફેહિમ અને શહેર પોલીસ કમિશ્નર ડૉ. ગેર્ડ બેઠા. બીજી કારમાં રાજકુમાર ફર્ડિનાન્ડ અને તેમના પત્ની સોફિયા ગોઠવાયા. એ જ કારમાં રોયલ દંપતીની સુરક્ષા માટે આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને પણ બેસાડાયા હતા. પાછળ પોલીસ અધિકારીઓની બીજી બે કાર સાથે ચાર ગાડીનો કાફલો રેલવે સ્ટેશનથી શહેર તરફ જવા રવાના થયો. પંદરેક મિનિટની સફર પછી કાર શહેરના થોડા ગીચ વિસ્તારમાં પ્રવેશી. શાહી દંપતીની એક ઝલક મેળવવા માટે શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. એ ભીડની વચ્ચે જ રાજકુમારની હત્યાનો મનસૂબો લઈને બીજા ૬ જણા તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં હતાં. એ છએ છ બળવાખોરો કોઈ પણ ભોગે રાજકુમારનો જીવ લેવા મક્કમ હતા. છમાંથી કોઈએ કોઈના ઓર્ડર કે ઈશારાની રાહ જોવાની નહોતી. જેને મોકો મળે એણે હુમલો કરી જ દેવાની સૂચના પહેલાથી મળી હતી. છમાંથી જે પ્રથમ ગોઠવાયો હતો એ મોહંમ્મદ નામનો યુવાન છેલ્લી ઘડીએ હિંમત જૂટાવી ન શક્યો. તેણે કંઈ જ કર્યા વગર કારને પસાર થતાં જોયે રાખી.
થોડે દૂર ૧૯ વર્ષનો વિદ્યાર્થી નેડેલયેકો કેબ્રિનોવિક હુમલો કરવા તૈયાર જ હતો. તેણે હામ ભેગી કરીને રાજકુમારની કારના રસ્તા વચ્ચે બોંબ ફેંકી દીધો. કારની ઝડપને પારખવામાં તે થાપ ખાઈ ગયો એટલે બોમ્બ છેક ચોથી કારના ટાયરમાં જઈને અથડાયો-ધડાકો થયો અને કારમાં બેઠેલા બે અધિકારીઓ ઉપરાંત અન્ય ૧૦-૧૨ લોકો ઘાયલ થયાં. બોમ્બ ધડાકાના કારણે ભીડમાં ભાગદોડ મચી ગઈ. રાજકુમારની કારના ડ્રાઇવરે સ્થિતિ પારખીને ઝડપ વધારી દીધી. પોલીસે નેડેલયેકો કેબ્રિનોવિકને પકડી પાડયો. એ બધાના કારણે રાજકુમારની હત્યા માટે તૈયારી કરી ચૂકેલા બાકીના ચારેય યુવાનો તક મેળવી ન શક્યા. એક તબક્કે એ બધા હુમલાખોરોને વિચાર આવ્યો કે હવે રાજકુમારની હત્યાનો મોકો જતો રહ્યો. એમાં વળી રાજકુમારે ખૂદે કાળ બોલાવતો હોય એમ ફરી વખત હુમલાખોરો માટે મોકો સર્જી દીધો.
અચાનક રાજકુમારે બોંબ ધડાકામાં ઘાયલ થયેલા લોકોની મુલાકાતે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. આટલી ગંભીર સ્થિતિમાં તેમને ક્યાંય પણ લઈ જવા સુરક્ષિત નહોતા. છતાં તેમને હોસ્પિટલ સુધી લઈ જવાનું નક્કી થયું. એ કામ આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને સોંપાયું. ઓસ્કરે રાજકુમારને અલગ માર્ગે હોસ્પિટલ પહોંચાવાનું વિચાર્યું, પણ રાજકુમારના ડ્રાઇવરને ક્યાં રસ્તે જવું એ અંગે ગેરસમજ થઈ. એમણે જે માર્ગે આવ્યા હતા એ જ માર્ગે કાર હંકારી એટલે ઓસ્કરે તેને વાર્યો. પોતાની ભૂલ સમજાતા ડ્રાઇવરે બ્રેક મારી અને કારને રિવર્સ લેવાનું નક્કી કર્યું.
બસ એ ઘડીમાં ઘણું બધુ બની ગયું. એટલો સમય ગાવરિલો પ્રિન્સિપ માટે પૂરતો હતો. કાર પ્રિન્સિપની બરાબર સામે ઊભી હતી. કોઈ સમજે-વિચારે એ પહેલા પ્રિન્સિપ બે-પાંચ ડગલા આગળ આવ્યો. હવે કાર તેનાથી માંડ પાંચ ફીટના અંતરે હતી. નિશાન સાધવામાં તેને હવે કોઈ અડચણ નહોતી. તેણે પિસ્તોલ કાઢીને રાજકુમાર ફર્ડિનાન્ડ પર ફાયરિંગ કર્યું. રાજકુમારને ગળામાં ગોળી વાગી. પ્રિન્સિપે તરત જ બીજી ગોળી છોડી. તેણે ગોળી તો ફર્ડિનાન્ડને જ મારી હતી, પણ તેની પત્ની સોફિયાએ પતિના આડેથી એ ગોળી ઝીલી લીધી. એ ગોળીએ સોફિયાનું જઠર ચીરી નાખ્યું. કોણ જાણે કેમ પણ હવે પ્રિન્સિપે પોતાના લમણાંમાં ગોળી મારવાના હેતુથી પિસ્તોલ તાકી એ સાથે જ પોલીસમેને તેને પકડી પાડયો. ૧૦ વાગે સારાયેવોમાં પગ મૂકનારાં શાહી દંપતીએ ૧૧ વાગતા સુધીમાં તો ત્યાં જ દમ તોડી દીધો. તેમની ૧૪મી મેરેજ એનિવર્સરી આખા જગતને બરાબર યાદ રહી ગઈ.
                                                                                  * * *
પ્રિન્સિપની ધરપકડ થઈ. કેસ ચાલ્યો. તેણે ગુનો કર્યો ત્યારે ૨૦ વર્ષ ઉંમર ન થતી હોવાથી કાયદા પ્રમાણે દેહાંતદંડ આપી શકાયો નહીં એટલે તેને આજીવન કારાવાસ થયો. ટ્રાયલ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે બ્લેક હેન્ડ નામના બળવાખોર જૂથ સાથે જોડાયો હતો. રાજકુમારની હત્યાના મૂળ પ્લાનિંગમાં ક્યાંય પ્રિન્સિપ હતો જ નહીં. કારણ કે બ્લેક હેન્ડ પોતાના જૂથમાં નવા-સવા જોડાયેલા યુવાનને આવી મહત્ત્વની જવાબદારી આપવા અવઢવમાં હતું. બીજું એક કારણ તેની શારીરિક સ્થિતિ હતી. બ્લેક હેન્ડ માનતું હતું કે તે ઘટનાને અંજામ આપવા જેટલો સક્ષમ નથી. તેને શારીરિક-માનસિક બંને રીતે મજબૂત બનાવવો પડશે એવું નક્કી થયા પછી અચાનક તેની પસંદગી છેલ્લા ૬ હુમલાખોરોમાં કરાઈ હતી. એમાંયે વળી હરોળમાં સાવ છેલ્લે તેને રાખવામાં આવ્યો હતો. એવી વ્યૂહરચના હતી કે આગળના પાંચ રાજકુમારને ખતમ કરવાનું કામ કરી જ નાખશે એટલે પ્રિન્સિપના ભાગે કશું જ કરવાનું નહીં આવે! જગતના ભાગે યુદ્ધ અને રક્ત વહેવાનું લખાયું હશે!
એટલે જ કદાચ થોડા પહેલા જ ફર્ડિનાન્ડના કાકા અને ઓસ્ટ્રિયન રાજા ફ્રાન્ઝ જોસેફ પર હુમલો થયો હોવા છતાં રાજકુમાર ફર્ડિનાન્ડ ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને સારાયેવો આવ્યા. મંઝિલે પહોંચી ગયેલા રાજકુમારને હોસ્પિટલ જવાનો વિચાર આવ્યો. બ્લેક હેન્ડે સાવ છેલ્લી ઘડીએ પ્રિન્સિપને રાજકુમારની હત્યાના ષડયંત્રમાં જોતર્યો અને વળી પ્રિન્સિપની યુગોસ્લાવિયા જવાની મૂરાદ પૂરી ન થઈ અને તે બોર્ડર પાર કરી ન શક્યો એટલે બ્લેક હેન્ડમાં જોડાઈ ગયો. એક ગેરમાર્ગે દોરાયેલો યુવાન પ્રથમ વિશ્વયુદ્ધ માટે પ્રત્યક્ષ રીતે કારણ બન્યો અને એ જ પ્રથમ વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર ઠર્યું.
Sunday, 6 July 2014
Posted by Harsh Meswania
Tag :

૨૦૬ દેશ, ૮૨૦ મેચ, ૨૩૦૩ ગોલ!

રોમાંચક વિશ્વકપ પહેલાના ક્વોલિફાઇંગ મુકાબલા કેવા હતા?

ફિફા વિશ્વકપ રોમાંચના મધ્યાહને પહોંચ્યો છે. દિવસે દિવસે ફૂટબોલ ચાહકોની આતૂરતા વધતી જાય છે. ૩૨ દેશો વચ્ચે એક બીજાથી ચડિયાતા સાબિત થવાની હોડ જામી છે, પણ આ હોડના દોઢ વર્ષ અગાઉ ૨૦૬ દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મુકાબલા ખેલાય છે. જેમાંથી શ્રેષ્ઠ ૩૨ ટીમો પસંદગી પામે છે. વિશ્વકપનો જંગ એટલે રોમાંચક બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવાની હરિફાઈ હોય છે...

ફિફા વિશ્વકપ દરમિયાન મેદાનમાં જેટલો ઉન્માદ હોય છે એટલો જ ઉત્સાહ મેદાનની બહાર લાખો ચાહકોમાં હોય છે. ખેલાડીઓના પગથી મેદાનમાં આમથી તેમ ફંગોળાતો બોલ જેમ જેમ ગતિ પકડે છે તેમ તેમ દર્શકોનું ઝનૂન પણ વેગવંતુ બની જાય છે. એક તરફ ખેલાડીઓ બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા અધીરા બને છે, તો બીજી તરફ મેદાનમાં ચિચિયારીઓ બૂલંદ બનતી જાય છે. એક તરફ બંને ટીમની છાવણીમાં ઘડીક ઉત્સાહનો ઉછાળો આવે છે તો ઘડીક નિરાશાથી મસ્તક નમી જાય છે. બીજી તરફ ટેલિવિઝન સેટ સામે બેસીને લાખો દર્શકો એ બધુ જોવા માટે આંખનું મટકુ મારવાનું પણ ભૂલી જાય છે. ફૂટબોલ માટે આટલી બધી દિવાનગી શા માટે? એનો જવાબ મેળવવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડોકિયું કરવું રહ્યું!

વર્લ્ડકપમાં રમવા માટે ૨૦૮ દેેશો હરોળમાં હોય છે!
ફિફા વિશ્વકપ માટે બે-અઢી વર્ષ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાવાના શરૃ થઈ જાય છે. આ વર્લ્ડકપ માટે છેક ૧૫ જૂન, ૨૦૧૧થી ક્વોલિફાઈંગ રાઉન્ડનો  પ્રારંભ થયો હતો. ક્રિકેટમાં ટેસ્ટ ટીમનો દરજ્જો ધરાવતી બધી જ ટીમોને વિશ્વકપમાં રમવા મળે છે, પણ ફિફામાં એવું નથી હોતું. રેન્કિંગમાં પહેલા નંબરે હોય કે છેલ્લા નંબરે, બધી જ ટીમોના ક્વોલિફાઈંગ રાઉન્ડના દેખાવના આધારે વિશ્વકપમાં પ્રવેશ મળે છે.  ફિફાના નિયમ પ્રમાણે જે દેશ આયોજક હોય તેને સીધો પ્રવેશ મળી જાય છે. બીજો પ્રવેશ ગત વિશ્વકપની વિજેતા ટીમને મળે છે. ૩૨ દેશો વચ્ચે રમાતા આ વિશ્વકપમાં એક આયોજક અને એક ગત ચેમ્પિયનને બાદ કરતા બાકીના ૩૦ દેશોની ટીમોને પ્રવેશ આપવાનો હોય છે. એ માટે ફિફાના ૨૦૬ (કુલ સભ્યો ૨૦૮ દેશ છે, પણ આયોજક અને વિશ્વ ચેમ્પિયન દેશને બાદ કરતા) દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મેચોમાં જ બરાબરનો જંગ જામે છે. એમાં પાણી મપાય જાય કે કોના પગમાં ગોલ કરવાનું અને ગોલ રોકવાનું પાણી છે!
આ વખતના વિશ્વકપ માટે ૮૨૪ મેચો રમાવાની હતી, પરંતુ ભૂતાન, બુ્રનેલ, ગુઆમ અને મોરિટાનિયાએ છેક સુધી ક્વોલિફાઇંગ માટે દાવેદારી ન મોકલતા અંતે ૮૨૦ મેચો રમાઈ હતી. જૂન, ૨૦૧૧થી શરૃ થયેલા ક્વોલિફાઇંગ રાઉન્ડ છેક ૨૦ નવેમ્બર, ૨૦૧૩માં ઉરૃગ્વે-જોર્ડન વચ્ચે મેચ રમાઈ ત્યારે પૂરા થયાં હતાં. ફિફાના ટોચના ૨૪ રેન્કિંગ ધરાવતા દેશોમાંથી ૨૩ દેશોએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સારો દેખાવ કરીને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મેળવીને પોતાના રેન્કિંગને ખરું સાબિત કર્યું હતું. આ વખતેના ક્વોલિફાઇંગ મુકાબલા કેટલા મજેદાર હશે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે કુલ ૮૨૦ મેચોમાં ૨૩૦૩ ગોલ થયા હતા. એટલે કે મેચ દીઠ એવરેજ ૨.૮૦ ગોલ!
ફિફાના સભ્યો દેશોને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન, કન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ નોર્થ-સેન્ટ્રલ અમેરિકા એન્ડ કેરેબિયન એસોસિએશન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ સાઉથ અમેરિકા ફૂટબોલ, ઓસેનિયા ફૂટબોલ કન્ફેડરેશન અને યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન એમ ૬ સંઘોમાં વહેંચવામાં આવ્યા છે.
આ બધા સંઘોની ટીમને બે ગૃપમાં વહેંચીને મેચ રમાડવામાં આવે છે. દરેક ગૃપમાં વિજેતા અને ઉપવિજેતાને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મળી જાય છે. એ પછી બાકી રહેલી ૬ જગ્યાઓ માટે ગૃપમાં ત્રીજા નંબરે રહેલી ટીમો વચ્ચે સ્પર્ધા કરાવીને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રક્રિયા જટિલ છે. જોકે, ફૂટબોલ ચાહકોને જેટલી મજા વિશ્વકપમાં આવે છે એટલો જ આનંદ ક્વોલિફાઇંગ મુકાબલામાં પણ આવે છે. એટલે જ ક્વોલિફાઇંગ મેચમાં પણ દર્શકો ઉમટી પડતા હોય છે. ફૂટબોલ વિશ્વની કદાચ એવી એક માત્ર રમત છે કે જેની ક્વોલિફાઇંગ મેચ પણ કોઈ રસપ્રદ સીરિઝ જેટલી રોમાંચક બની રહે છે.

શકિરાને ભલે સાંભળો,  પણ સત્તાવાર સોંગ નથી!
૨૦૧૦ના ફિફા વર્લ્ડકપ વખતે શકિરાનું સોંગ વાકા વાકા ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ ફિફા દ્વારા રીલિઝ થયેલા બે સત્તાવાર સોંગ પૈકીનું એક હતું. જોકે, આ વખતે શકિરાએ લા લા લા... સોંગ રજૂ કર્યું છે એટલે મોટા ભાગના ફૂટબોલ ચાહકોએ તેને ફિફાનું સત્તાવાર સોંગ માની લીધું છે, પણ ખરેખર એ શકિરા દ્વારા રજૂ થયેલું સોંગ છે. ફિફાને એ સોંગ સાથે કશી જ લેવા દેવા નથી. ફિફાએ તો અન્ય ત્રણ સોંગ રીલિઝ કર્યા છે. જેમાં પિટબુલ-જેનિફર લોપેજનું સોંગ 'વી આર વન',  'વી વિલ ફાઇન્ડ અ વે' અને 'ટાટુ બોમ ડા બોલા'નો સમાવેશ થાય છે. આ સિલસિલો આમ તો ૧૯૬૨થી શરૃ થયો છે. ચીલીમાં યોજાયેલા એ વિશ્વકપ વખતે 'એલ રોક ડેલ મુન્ડિઅલ' સોંગ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ લોકપ્રિય થયું હતું. તેની લોકપ્રિયતાથી પ્રેરાઈને પછીથી દરેક વખતે એક અથવા બે સોંગ રીલિઝ કરીને વિશ્વકપ પહેલા બરાબર માહોલ જમાવી દેવામાં આવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હવે ઓફિશ્યલ થીમ સોંગ, ઓફિશ્યલ એન્થમ અને મેસ્કોટ સોંગ એવા અલગ અલગ નામે વિશ્વભરના લોકપ્રિય પર્ફોર્મર્સને લઈને રોમાંચક મુકાબલાઓ પહેલા રસદાર સોંગ રજૂ કરી દેવામાં આવે છે. આ બધા સોંગના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિશ્વકપ પહેલા જ પૂરતો માહોલ બની જાય છે. ફિફા દ્વારા રજૂ થતાં સત્તાવાર સોંગ સિવાય અલગ-અલગ કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે અને વર્લ્ડકપની લોકપ્રિયતાનો લાભ લેવા માટે સોંગ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શકિરાની જેમ વિશ્વભરના કલાકારો પણ પોતાની જાતે સોંગ રીલિઝ કરતા હોય છે.

વિશ્વકપનો વિરોધ સરકાર માટે માથાનો દુખાવો
ફિફા વિશ્વકપની સાથે સાથે જ વિશ્વકપમાં વપરાતી મોટી રકમ સામે બ્રાઝિલમાં વિરોધનો સૂર ઉઠયો છે. ખાસ તો બ્રાઝિલના આદિવાસીઓએ સરકાર સામે મોરચો માંડયો છે. ગયા વર્ષે બ્રાઝિલમાં ફિફા વિશ્વકપ માટે બેઠક મળી ત્યારે જ આમ તો વિરોધ થયો હતો, પણ એ સમયે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા ન હોવાથી સરકારે એ વિરોધને ગંભીરતાથી લીધા ન હતા. શરૃઆતમાં માત્ર આદિવાસીઓ દ્વારા જ વિરોધ પ્રદર્શનો થતાં હતાં, પરંતુ હવે પાટનગર બ્રાઝિલિયાના નાગરિકો પણ વિરોધમાં જોડાયા છે એટલે સરકાર માટે મુશ્કેલી વધી છે.  વિરોધ બે મુદ્દાને લઈને થઈ રહ્યો છે. એક તો સરકાર મોટો ખર્ચ વિશ્વકપના આયોજન પાછળ કરે છે એને બદલે નાગરિક સુવિધામાં વધારો કરે એવી સ્વાભાવિક માંગણી લોકોની ઉઠી છે.
બીજી તરફ બ્રાઝિલના આદિવાસીઓએ નાગરિક સુવિધા પાછળ ખર્ચ કરવાની સાથે સાથે બ્રાઝિલના જંગલ પરત્વે સરકારની ઉદાસિનતા સામે વિશ્વભરના પ્રચાર માધ્યમોનું ધ્યાન પડશે એ ગણતરી કરીને પણ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન જડબેસલાક સુરક્ષા માટે બ્રાઝિલિયન સરકાર લગભગ ૮૬ કરોડ ડોલર જેવી માતબર રકમ ખર્ચી રહી છે. તો બીજી તરફ આ દેખાવકારોએ માથુ ઉચક્યું છે એટલે એની પાછળ પણ સૈન્ય અને પોલીસને લગાવવી પડી છે. કારણ કે, જો સુરક્ષામાં છિદ્રો હોય એવું જરાક પણ કોઈ દેશને લાગે અને પોતાની ટીમને પાછી બોલાવી લે તો વિશ્વભરના માધ્યમો આવડતનો યશ આપવાને બદલે અણ આવડતનો અપયશ આપી દે. એવો ફફડાટ બ્રાઝિલની આયોજન સમિતિને હોય એ સ્વાભાવિક પણ છે.

Sunday, 22 June 2014
Posted by Harsh Meswania
Tag :

રાતા-પીળા થયેલા ખેલાડીઓને ઠંડા પાડતાં લાલ-પીળાં કાર્ડ્સ



ફિફા વિશ્વકપમાં ૩૨ દેશોના ખેલાડીઓ ઝનૂનપૂર્વક એકમેકને હરાવવા મેદાનમાં ઉતર્યા છે. આ જીતનો આવેગ ખેલાડીઓને આક્રમક બનાવી દે છે ત્યારે મેદાનમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે એ માટે રેફરીના ગજવામાં રહેલાં વિવિધ કાર્ડ્સ સોસાયટીમાં રમતા-ઝઘડતાં બાળકોને ડારો આપતા વડીલની ગરજ સારે છે

ફૂટબોલ જેવી અતિ લોકપ્રિય રમત હોય, સંખ્યાબંધ ચાહકોની ચિચિયારી હોય, કોઈ પણ ભોગે દેશને જીત અપાવવાનું મક્કમ મનોબળ હોય, વિરોધી ટીમ પર તૂટી પડવાનો મજબૂત મનસૂબો હોય અને ફૂટબોલને કિક મારવા થનગનતા યુવા પગ હોય તો આક્રમકતા એની મેળે ભળી જાય છે! ખેલાડીઓ જોમ-જુસ્સાથી કૌવત બતાવીને જીત મેળવવા મરણિયા બને તો રમતને રસપ્રદ બનાવી શકે છે, પરંતુ ખેલાડીઓ કૌવતના સ્થાને કપટ કરવા માંડે ત્યારે રમતમાં ખેલદીલીને બદલે યુદ્ધ જેવી ઉગ્રતા આવી જતી હોય છે. આ સ્થિતિમાં ખેલાડીઓની ઉગ્ર લાગણી પર કાબૂ રહે તે માટે  વિવિધ કાર્ડ્સની મદદ લેવામાં આવે છે. કોઈ ખેલાડીઓનું વર્તન અન્ય ખેલાડીઓને શારીરિક ક્ષતિ પહોંચાડતું લાગે કે તરત જ રેફરી તેને રેડ કાર્ડ દેખાડીને બહાર મોકલી દે છે. વિશ્વકપના ઈતિહાસમાં ચર્ચાસ્પદ બનેલા આવા જ કેટલાક બનાવો...

ડિએગો મારાડોના-મનની અકળામણ મેદાન પર કાઢી
૧૯૮૨માં બ્રાઝિલ સામેની એ મેચમાં આર્જેન્ટિના ગોલની હરીફાઈમાં પાછળ રહી ગયું હતું. વળી, રેફરીએ આર્જેન્ટિનાને મળવી જોઈતી પેનલ્ટી માન્ય ન રાખી. આર્જેન્ટિના પર હારનો ખતરો તોળાતો હતો. ડિએગો મારાડોનાએ ફાઉલ કર્યુ હતું એટલે તે વાંકમાં હતો. મારાડોના ખૂબ ઘૂંઘવાયો હતો. તેણે મનમાં રહેલી અકળામણ અને રોષ મેદાન પર કાઢ્યો. તેનો ભોગ બન્યો બટીસ્ટા, જે હજુ બે મિનિટ પહેલાં જ સબસ્ટિટયુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. મારાડોના સામે રેફરીએ તેના આ વર્તન બદલ રેડ કાર્ડ ધર્યું અને તેણે મેદાન છોડી દેવું પડયું. છેવટે તો આર્જેન્ટિનાએ હારનો જ સામનો કરવો પડયો.

ડેવિડ બેકહમ-લેવા ગયો જો જશ તો અપજશ મળ્યો!
૧૯૯૮ વખતે ડેવિડ બેકહેમે હજુ નામ કમાવવાનું બાકી હતું. મેદાન પર તેના નામની ચિચિયારીઓ નહોતી પડતી કે નહોતો ક્રેઝ તેના જેવી હેર સ્ટાઇલ કરવાનો. એ સમયે ડેવિડ બેકહેમે પણ કાર્ડના કહેરનો સામનો કર્યો હતો. ૧૯૯૮ના વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ આર્જેન્ટિના સામેની મેચમાં બેકહમે આવેશમાં આવી જઈ આર્જેન્ટિનાના મિડફિલ્ડર ડિએગો સાયમનને કિક ફટકારી દીધી હતી.  રેફરીએ બેકહેમની આ નાદાનિયત બદલ રેડ કાર્ડ બતાવીને તેને મેદાનની બહાર કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ છેવટે મેચ હારી ગયું.  સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થયું. ટીમની હાર માટે ડેવિડ બેકહેમને દોષિત ગણવામાં આવ્યો. તેના ભાગે અપયશ આવ્યો કે તેના આવા અલ્લડ વર્તનના કારણે ટીમ પર તેની માનસિક અસર થઈ એટલે છેવટે ટીમને હારનો સામનો કરવો પડયો!

જોશ બટીસ્ટા-ગણતરીની સેકન્ડમાં રેડ કાર્ડની સિદ્ધિ!
૧૯૮૬ના એ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડને જીતવું જ પડે તેમ હતું, જ્યારે ઉરૃગ્વેને ડ્રો થાય તો પણ ખાસ વાંધો આવે એવું નહોતું. કોણ જાણે શું વિચારીને ઉરૃગ્વેનો ડિફેન્ડર જોશ બટીસ્ટા મેદાન પર ઊતર્યો હશે. મેચ ચાલુ થયાની ૫૬મી સેકન્ડે જ તેણે સ્કોટલેન્ડના ગોર્ડન સ્ટ્રેચનને પીઠ પર જ મુક્કો માર્યો. રેફરીએ એક ક્ષણે તેને રેડ કાર્ડ બતાવ્યું. વર્લ્ડ કપ જ નહીં, ફૂટબોલ ઇતિહાસનું આ સૌથી ઝડપી રેડ કાર્ડ હતું. મેચ શરૃ થયાની એક મિનિટ થાય એ પહેલા કોઈ ખેલાડીને રેડ કાર્ડ મળ્યાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. સામાન્ય રીતે રેડ કાર્ડની સ્થિતિ ત્યારે જ આવતી હોય છે. જ્યારે મેચ રસાકસીના માહોલમાં હોય અને જીતવા માટે ખેલાડીઓના દિમાગ તંગ હોય.


વેઈન રૃની-રેડ કાર્ડ સાથે ટીમની હારનો ટોપલો નફામાં
૨૦૦૬માં ઈંગ્લેન્ડની ટીમ સાથે ૧૯૯૮ની એક્શન રિપ્લે જ ભજવાઈ. જેમ બેકહેમને રેડ કાર્ડ મળ્યા પછી ટીમ હારીને બહાર થઈ હતી. એવું જ ફરી વાર થયું. આ વખતે બેકહેમને બદલે નામ હતું-વેઇન રુની. પોર્ટુગલ સામેની એ મેચમાં એવું થયું હતું કે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રૃની સામે જોઈને આંખ મીચકારી અને રોષે ભરાયેલા રુનીએ રિકાર્ડો કરવાલ્હોને નિશાન બનાવ્યો. રુની રિકાર્ડો પર પડયો અને તરત જ રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું. ઇંગ્લેન્ડ પણ ફરી એક વાર વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું. હાર પછી રુની પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.

રુડી-ફ્રેન્ક - હું તો જઈશ, તનેય સાથે લેતો જઈશ!
૧૯૯૦ના વિશ્વકપની એક મેચ વખતે એક સાથે બે-બે ખેલાડીઓને મેદાન છોડવંુ પડે તેવી નહીંવત બનતી ઘટના બની હતી. નેધરલેન્ડ - જર્મની વચ્ચેની મેચમાં આવી એક ઘટના બની હતી. નેધરલેન્ડના ફ્રેન્ક રિકાર્ડે મેદાનમાં આવતાની સાથે જ જર્મન સ્ટ્રાઈકર રુડી વોલરને નિશાન બનાવીને તેને હડફેટે લઈ નીચે પાડયો, રિકાર્ડના એ વર્તન માટે તેને યલો કાર્ડ દેખાડાયું. થોડી પળો પછી ડાઈવ લગાવી તે પાછો વોલર સાથે અથડાયો અને તેના કાન ખેંચી નાખ્યા. આ ઘટનાથી બંને વચ્ચે મેદાનમાં જ જામી પડી. બંને બાખડયા એટલે રેફરીએ બંનેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર જેવાનો હુકમ કર્યો.

ઝીનેડીન ઝીડાન-સ્ટાર ખેલાડીને ઉશ્કેરવાની રણનીતિ
૨૦૦૬ની ફાઈનલમાં ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે તાજ મેળવવા સ્પર્ધા બરાબર જામી હતી. ૧-૧ ગોલ કરીને બંને ટીમોએ તાજ પર સરખી દાવેદારી નોંધાવી દીધી હતી. આગામી ગોલ કરવા જબરી રસાકસીનો માહોલ જામ્યો હતો. વાતાવરણ તંગ હતું. ખેલાડીઓમાં અકળામણ હતી, દર્શકોમાં ઉત્સાહ હતો. એમાં ફ્રાન્સના ઝીડાન પાસે આવી ઈટાલીનો માટેરાઝી કંઈક બોલીને તરત જ જતો રહ્યો. ઝીડાન ઉશ્કેરાટમાં હતો. થોડી વારમાં ફરીથી માટેરાઝી તેની આસપાસ ફરક્યો ત્યારે તેની રાહ જ જોતો હોય એમ ઝીડાન ત્રાટક્યો અને માટેરાઝી કંઈ સમજે એ પહેલા તો તેની છાતીમાં માથુ મારીને તેને નીચે પટકી દીધો. એ સાથે જ ઝીડાનને બહાર જવાનો સંકેત કરતું રેડ કાર્ડ બતાવાયું. અંતે ફ્રાન્સે ફાઇનલમાં હાર ખમવી પડી. પછીથી એવું કહેવાતું હતું કે ઝીડાનને બહાર કરવા ફ્રાન્સે ખાસ વ્યૂહરચના ઘડી હતી.

ક્યા રંગનું કાર્ડ કેવી પરિસ્થિતિમાં બતાવાય છે?
કાર્ડ દ્વારા ખેલાડીઓ પર અંકુશ લાવવાની શરૃઆત ૧૯૭૦ના મેક્સિકો વર્લ્ડ કપથી શરૃ થઈ. આવો પહેલ વહેલો વિચાર બ્રિટિશ રેફરી કેન એસ્ટનને આવ્યો હતો, જેમણે ટ્રાફિકની રૃલ્સની જુદી જુદી લાઈટસના આધારે યલો અને રેડકાર્ડના નિયમની ભલામણ કરી હતી. ખેલાડીનાં વાણી, વર્તનમાં કંઈક વાંધાજનક જણાય તો ખેલાડીને ટપારવા રેફરી યલો કાર્ડ બતાવીને ઓફિશિયલ વોનગ આપી શકે છે. એક વાર યલો કાર્ડ બતાવ્યા પછી પણ જો ખેલાડીના વર્તનમાં કોઈ બદલાવ ન આવે તો રેફરી ફરી વોનગ આપતા યલો કાર્ડ બતાવે, જેનો મતલબ કે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડે. ટીમમાં તેની જગ્યાએ કોઈ સબસ્ટિટયુટ ખેલાડીને રમવા દેવો કે નહીં તે નિર્ણય પણ રેફરી જ લે. ખાસ કિસ્સામાં, મામલો જ્યારે બહુ સંગીન હોય ત્યારે રેફરી સીધું જ રેડ કાર્ડ પણ બતાવી દે છે. રેડ કાર્ડ દેખાડે એટલે જે-તે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડેે. વળી, તેની અવેજીમાં કોઈ અન્ય ખેલાડી પણ રમી ન શકે. જે ખેલાડીને રેડ કાર્ડ બતાવાયું હોય એના પર એકથી લઈને ત્રણ મેચ સુધી પ્રતિબંધ લાગી શકે છે. જોકે, ખેલાડી પોતાના પર લાગેલા પ્રતિબંધ સામે અપિલ કરી શકે છે.
Sunday, 15 June 2014
Posted by Harsh Meswania
Tag :

અપૂર્ણતામાં ઉછરેલી પૂર્ણાનું મિશન એવરેસ્ટ પૂર્ણ!



૧૩ વર્ષની એક આદિવાસી કન્યા એક જ વર્ષની મહેનત પછી એવરેસ્ટ સર કરે છે. એક વર્ષ પહેલા તો તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તે ક્યારેય એવરેસ્ટની ઊંચાઈ આંબશે!

'મને  એમ લાગતું હતું કે હું સ્વર્ગમાં છું. ચોમેર ઊંચા શિખરો. બરફની ચાદર બિછાવીને તૈયાર કરાયેલાં પહાડો. મારી કલ્પનામાં પણ ન આવે એવું મનોરમ્ય વાતાવરણ. દુનિયા ત્યાંથી સાવ નાનકડી લાગતી હતી. સાચ્ચે જ મને લાગતું હતું કે હું કોઈ નવી જ દુનિયામાં આવી ચડી છું, જે આ પૃથ્વી પર છે જ નહીં. મને એમ થતું હતું કે કાર્ટુનની મનોરંજન દુનિયામાં કોઈ કલાકારે કરામત કરીને આ સીન બનાવ્યો લાગે છે. મને જ્યારે ખબર પડી કે અખબારોમાં મારી તસવીર છપાઈ છે ત્યારે તો મારા આનંદનો કોઈ પાર રહ્યો નહોતો. એ સમયે મને તરત જ મારા માતા-પિતાનો ચહેરો યાદ આવી ગયો અને હું ખુશીથી ઉછળી પડી. જ્યારે એમણે જાણ્યું હશે કે મારું નામ અને તસવીર અખબારોમાં આવ્યા છે ત્યારે એમની આંખમાં ચોક્કસ આંસુ આવ્યા હશે. આંસુ તો એમની આંખોમાં ઘણી વખત આવતા મેં જોયા છે...' આટલું બોલતા બોલતા તો તે અટકી ગઈ. તેની આંખો પણ છલકાઈ ગઈ હતી. ચહેરા પર આનંદની લહેરખી તો હતી જ, પરંતુ સાથોસાથ ક્યાંક આછેરી દુઃખની રેખા પણ અંકાઈ ગઈ. એવરેસ્ટ પર પહોંચીને એક રેકોર્ડ કાયમ કરનારી કિશોરીના ચહેરા પર કેમ અપાર આનંદને બદલે ગ્લાની જોવા મળતી હતી?
                                                                       * * *'તારે મોટા થઈને શું બનવું છે?' કોઈએ એને પૂછ્યું.
'આઈપીએસ ઓફિસર' એક પળનો પણ વિચાર કર્યા વગર તેણે જવાબ આપ્યો.
'આઈપીએસ જ કેમ?'
'આઈપીએસ અધિકારીઓની વાત બધા જ માને, એ જે કહે તે બધુ તરત જ થઈ જતું હોય છે!' એટલી જ ત્વરાથી તેણે કહ્યું.
'તો તારે બધા પાસે પોતાની વાત મનાવીને શું કરવું છે?'
'હું મારા વિસ્તારની સમસ્યાઓ બધાને કહીશ અને તેનું સમાધાન કરાવીશ, હું એ અવાજને આગળ સુધી લઈ જવા માંગુ છું' આઈપીએસ બનવાના પોતાના સ્વપ્ન વિશે એ નિર્દોષભાવે એક જ વાક્યમાં રહસ્ય છતું કરી દે છે.
એ માને છે કે એ જ્યાં રહે છે ત્યાં પાણી-વીજળી-રસ્તા-રોજગારી જેવી પ્રાથમિક સમસ્યાઓ સામે લડવા માટે આઈપીએસ ઓફિસર હોવું જરૃરી છે. તેણે સાંભળ્યું છે કે આપણે તો આ રીતે જ જીવવાનું હોય છે, પણ એણે હવે થોડી ઘણી દુનિયા જોઈ છે એટલે તેના મગજમાં એ પ્રશ્ન થાય છે કે બીજે જો આ બધી સવલતો મળતી હોય તો તેનો જ પ્રદેશ એનાથી વંચિત શું કામ રહે?
                                                                        * * *
માત્ર ૧૩ વર્ષની વયે એવરેસ્ટ સર કરીને સૌથી નાની વયની યુવતી તરીકે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવનારી પૂર્ણાને મોટા થઈને પોતાના વિસ્તારનેે સમૃદ્ધ કરવા માટે આઈપીએસ ઓફિસર બનવું છે. સપનામાં પણ વિચાર ન આવે એવું સાહસ કરીને જેવી લાગણી થાય એવી જ લાગણી પૂર્ણાને એવરેસ્ટના સર્વોચ્ચ શિખરે પહોંચીને થતી હતી. પૂર્ણા એવરેસ્ટ પહોંચી એના કરતા વધુ રોચક સફર તો તેની એવરેસ્ટની ટીમમાં પસંદગી થઈ એ હતી. એવરેસ્ટ પહોંચવામાં જેટલો સંઘર્ષ નહોતો કરવો પડયો એટલો સંઘર્ષ એ ટીમમાં સામેલ થવા કર્યો હતો. છેક છેલ્લે સુધી એ નક્કી નહોતું કે બે ગૃપ પૈકી તેને કોની સાથે જવાનું છે. હજુ એકાદ વર્ષ પહેલા તો પાઠય પુસ્તકમાં આવતો બેચેન્દ્રી પાલનો પાઠ ભણ્યો ત્યારે જ એવરેસ્ટ વિશે ઘણું ખરું જાણવા મળ્યું હતું. એ જ્યાં રહેતી હતી ત્યાં તો ક્યાં કોઈને એવરેસ્ટનો સરખો ઉચ્ચાર કરતા પણ આવડતો હતો! અને એવી જરૃરેય નહોતી. કારણ કે, બે ટંકનું ખાવા માટે આખો દિવસ મજૂરી કરવાની હોય એમાં એવરેસ્ટની વાતોની કોને પડી હોય? પણ હવે આખા નિઝામાબાદ જિલ્લામાં એવરેસ્ટ અને પૂર્ણાની વાતો ખૂબ ગર્વભેર કરવામાં થાય છે.
આદિવાસી ગરીબ પરિવારમાં જન્મેલી પૂર્ણા થોડી ઘણી સમજણી થઈ ત્યારથી માતા-પિતાને ઘણી વખત ઘરમાં આંસુ સારતા જોયા છે. ખેતમજૂરી માટે સવારથી નીકળીને સાંજે પાછા ઘરે આવે ત્યારે ઘરનું ગુજરાન ચલાવી શકે એટલું માંડ કમાઈ શકતા હતા. એમાં બાળકોના ભવિષ્ય માટે તો વિચારી પણ કેવી રીતે શકાય? પોતાના સંતાનો માટે કશું જ ન કરી શકવાનો પૂર્ણાના માતા-પિતાનો વસવસો આંસુ વાટે બહાર ડોકાઈ જતો.
ગરીબ માતા-પિતાના બાળકો માટે આંધ્ર પ્રદેશ સોશ્યલ વેલ્ફેર રેસિડેન્સિયલ સ્કૂલ (એપીએસડબલ્યુઆરએસ) નામે બાળકોને રહેવાની-ભણવાની સુવિધા આપવામાં આવે છે. એમાં પૂર્ણાને પણ મોકલી દેવામાં આવી. અભ્યાસમાં તેજસ્વી પૂર્ણા શાળાની અન્ય એક્ટિવિટીમાં પણ અવ્વલ રહેતી. ગામડાંમાં ઉછેર થયો હતો અને ખેત મજૂર માતા-પિતાનો વારસો મળ્યો હતો વળી, માતા-પિતા સાથે ઘણી વખત ખેતરે જઈને કાળા તડકામાં કામ કરવાનું પણ થાય. એટલે પૂર્ણા શરીરથી એકદમ ખડતલ.
એમાં ગયા વર્ષે એપીએસડબલ્યુઆરએસ દ્વારા એક ખાસ પ્રોગ્રામ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રત્યેક શાળામાંથી બે વિદ્યાર્થીઓને પસંદ કરીને તેને પર્વતારોહણ જેવા સાહસો કરવા પ્રેરવા. એ પ્રોજેક્ટ હેઠળ ૯માં ધોરણમાં ભણતી પૂર્ણા પંસદગી પામી. ૨૯૯ શાળાઓમાંથી અંતે ૧૦૮ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી. જેમાંથી માત્ર ૨૦ વિદ્યાર્થીઓને દાર્જિલિંગની તાલીમ સંસ્થામાં મોકલવામાં આવ્યાં. પસંદ થયેલા ૨૦માં પૂર્ણા સૌથી નાની વયની હતી. દાર્જિલિંગમાં શરૃ થઈ એક મહિનાની સખત તાલીમ. એ પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોય એમ કાંચનજંઘાનું આરોહણ થયું. પૂર્ણાના એવરેસ્ટ સર કરવાના મૂળિયા આ પરીક્ષા જેવા આરોહણમાં રોપાયાં હતા. એ સાહસમાં પૂર્ણાએ 'એ' ગ્રેડ મેળવ્યો હતો. ૨૦ના ગૃપમાંથી બે સભ્યોને એવરેસ્ટ સર કરવા જઈ રહેલી ટીમ સાથે મોકલવાના હતા. બાકીના બધાને સીનો-ઈન્ડિયા બોર્ડર પર પર્વતારોહણ માટે મોકલવાના હતા. કોણ ક્યાં જશે એ વિશે કોઈને કહેવાયું નહોતું, પણ પૂર્ણાએ તેના ગૃપની વાતો સાંભળી હતી. ગૃપના ઘણાં સભ્યો ભારપૂર્વક કહેતા કે પૂર્ણાએ જે રીતે એ ગ્રેડ મેળવ્યો છે એ જોતા એને એવરેસ્ટની ટોચે પહોંચવાની તક મળશે જ! અત્યાર સુધીમાં એવરેસ્ટ વિશે ઘણું સાંભળ્યુ હતું એટલે પૂર્ણાને પણ હવે ધીરે ધીરે એવરેસ્ટ સર કરવાની ઈચ્છા જાગી હતી.
છેવટે પૂર્ણા અને સાધનાપલ્લી આનંદ બંને એવરેસ્ટ આરોહણ માટે પસંદ થઈ. એ બેને પસંદ કરવા પાછળના કારણો હતા બંનેમાં રહેલા ધીરજ અને કપરી પરિસ્થિતિ સામે લડવાનો ગુણ, કંઈ પણ નવું શીખવાની તૈયારી. જે દિવસે એવરેસ્ટનું આરોહણ શરૃ કર્યું એના આગલા દિવસે ૧૬ શેરપાઓના આકસ્મિત મૃત્યુના ખબર આવ્યા હતા. એક તબક્કે તો ટીમને મોકલવી કે કેમ એની સામે જ પ્રશ્નાર્થ ખડો થયો હતો. જોકે, અંતે ખરાબ વાતાવરણ વચ્ચે પણ સાહસિકોએ એવરેસ્ટ પર પહોંચવાની હામ બતાવી. બાવન દિવસના સતત સંઘર્ષ પછી ટીમ એ મુકામ પર હતી જ્યાં પહોંચવાની ઝંખના દરેક પર્વતારોહકની હોય. જતાં હતા ત્યારે પૂર્ણાને એવી પણ ખબર નહોતી કે આ તેનું વિક્રમજનક આરોહણ બની રહેશે. અપૂર્ણતા વચ્ચે ઉછરેલી પૂર્ણાએ નામ પ્રમાણે મિશન પૂર્ણ કર્યું.
પોતાના એવરેસ્ટ મિશન વિશે પૂર્ણાએ કહ્યું કે 'ગાત્રો થીજી જાય એટલી ઠંડી હતી. પથ્થર એટલા લચિલા હતા કે જો જરાક પણ સંતુલન ગયું તો એવરેસ્ટ પર પહોંચવાને બદલે સીધા ઉપર...મારે દોરડાનો સહારો ખૂબ લેવો પડતો હતો. ક્યારેક ક્યારેક હું રોઈ પડતી. જોકે, મને ટ્રેનિંગમાં કહેવાયું હતું કે હમ કિસી સે કમ નહીં! બસ જ્યારે મને ડર લાગતો ત્યારે હું આ યાદ કરી લેતી હતી.' ૧૩ વર્ષની ઉંમરે હોય એવો જ ડર હોવા છતાં ૩૧ વર્ષેય માંડ મેળવી શકાય એટલી હિંમત તેણે બતાવી એટલે જ એ મુકામ સુધી પણ પહોંચી શકી.
હવે તેની મહેચ્છા તેના વિસ્તારનો અવાજ બનવાની છે. જો આવું મક્કમ મનોબળ સદૈવ દર્શાવતી રહેશે તો એક દિવસ ચોક્કસ એ અવાજ બૂલંદીએ પહોંચશે!
Sunday, 8 June 2014
Posted by Harsh Meswania
Tag :

અણધાર્યા ઓનલાઈન ઓકશન્સ વેંચવાનો છે એક દેશ, નામ છે ન્યુઝિલેન્ડ!


કોઈ ખેપાનીએ અંગ્રેજીના આર્ટિકલ 'ધ'ને ઓનલાઇન વેચવા મૂકી દીધો. ન્યુઝિલેન્ડથી લઈને સેન્સ ઓફ હ્યુમર સુધી ઘણું બધું અણધાર્યુ ઓનલાઇન ઓક્શનમાં મૂકીને કેટલાક ભેજાગેપ ચર્ચા જગાવતા રહે છે.
 
ભારત અને પાકિસ્તાન જે રીતે પરંપરાગત પ્રતિસ્પર્ધી છે એમ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ પણ એકમેકના કટ્ટર હરિફ છે. રમત-ગમ્મતથી લઈને જોક સુધીની બાબતોમાં કટ્ટર દેશપ્રેમીઓ એકબીજા પર ટિખળ કરવાની એક તક જતી કરતા નથી. ન્યુઝિલેન્ડ પર આવી જ એક મોટી રમૂજ ઓસ્ટ્રેલિયને કરી હતી. ટોચની ઓનલાઇન ઓક્શન વેબસાઇટ ઈ-બે પર ૨૦૦૬માં આખે આખા ન્યુઝિલેન્ડને હરાજીમાં મૂકી દેવામાં આવ્યો હતો. ન્યુઝિલેન્ડ જાણે કોઈ વેંચાણની વસ્તુ હોય એમ તેને ખરીદનારા પણ મળવા લાગ્યા. ત્રણ હજાર ડોલરની બોલી લાગી પછી વેબસાઇટ સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ તો વેબસાઇટની પોલીસી વિરૃદ્ધનું વેચાણ થઈ રહ્યું છે એટલે એ જાહેરાતને વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી હતી! ૨૦૦૪માં એક અનોખી ઓનલાઇન હરાજી થઈ રહી હતી. હરાજીની વસ્તુ હતી પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્નની કેક. આ લગ્ન ૧૯૮૧માં થયા હતા અને એ કેકની હરાજી છેક ૨૦૦૪માં? માન્યામાં ન આવે એવી બાબતની હરાજીની જાહેરાત થઈ હતી. ઓક્શનમાં અંદાજ લગાવાયો હતો કે કેકના એ ટૂકડાના ઓછામાં ઓછા ૬૦૦ ડોલર તો ઉપજશે જ. પછીથી કોઈએ એવું શોધી કાઢ્યું હતું કે એ પણ ન્યુઝિલેન્ડ વેંચવાનો છે જેવા પ્રકારની ટિખળ જ હતી! આ વિચિત્ર ઓક્શને એ સમયે અખબારોમાં સ્થાન મેળવ્યું હતું.
અમુક વધુ સ્માર્ટ ચિટર કે ટિખળખોર વળી ઐતિહાસિક અનુસંધાન લઈને ઓનલાઇન ઓક્શનમાં ઝંપલાવતા હોય છે. જેમ કે, ૨૦૦૫માં એક યુઝરે એવો દાવો કર્યો હતો કે તેની પાસે નેપોલિયન બોનાપાર્ટનો દાંત છે. જે ૧૮૧૫ આસપાસના છે. જોકે, પછીથી સંશોધકોએ એ સાબિત કરી દીધું હતું કે નેપોલિયનનો એવો કોઈ દાંત પેલા યુઝર પાસે નહોતો. તેનો આશય હતો કે જો એ નામે કોઈ લેવાલ મળી જાય તો ઓનલાઇન થોડા પૈસા મેળવી શકાય. દાંત તો ઠીક ઈટાલિયન સાહસિક સફરી ક્રિસ્ટોફર કોલંબસની તો આખી બત્રીસી આ રીતે ૨૦૧૦માં ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવી હતી. વળી, તેની જાહેરાતમાં તો એવું લખવામાં આવ્યું હતું કે 'વેંચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહી, અહીં બીજી ઘણી નકલી વસ્તુની હરાજી થાય છે એટલે નકલથી સાવધાન રહેવું'! ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પ્રથમને ૧૬૪૯ના એક યુદ્ધમાં ઈજા થઈ હતી અને જે રૃમાલમાં તેના લોહીના ડાઘ પડયા હતા તે રૃમાલ પણ થોડા વર્ષો પહેલા હરાજીમાં મૂકાયો હતો. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ખાલી સિગારેટ પેકેટને પણ આ રીતે ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવ્યું હતું. જોકે, એ ખાલી પેકેટ ખરીદવામાં કોઈએ દિલચસ્પી દાખવી નહોતી.
સેલિબ્રિટીના નામે આવું કેટ-કેટલું ઓનલાઇન મૂકાતું રહે છે. લગભગ એકાદ દશકા પહેલા અમેરિકન સિંગર-પર્ફોર્મર બ્રિટની સ્પિઅર્સે ચાવેલી ચ્યુઈંગમ ઓનલાઇન ઓક્શનમાં મૂકાઈ હતી. મજાની વાત એ છે કે એ ચાવેલી ચ્યુઈંગમના પણ ૨૬૩ ડોલર ઉપજ્યા હતા! ગમતા એક્ટર કે એક્ટ્રેસ માટેની ઘેલછા આમ પણ વર્ષો જૂની છે. લિજેન્ડરી કેનેડિયન અભિનેતા અને સ્ટાર ટ્રેકથી વધુ જાણીતા વિલિયમ શેટનરનું થોડા વર્ષો પહેલા     પથરીનું ઓપરેશન થયું હતું. એ કાંકરી સુદ્ધાં હરાજીમાં મૂકાઈ હતી બોલો!
કેવી કેવી વસ્તુઓ સેલિબ્રિટીના નામે ખપી જાય છે અને ન માની શકાય એવી વસ્તુઓ  ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવે છે એના થોડા ઉદાહરણો જોઈ લેવા જેવા છે. માઇકલ જેક્શનના અંડરવિઅરને ૨૦૦૩માં વેંચવા મૂકવામાં આવ્યું હતું તો ૨૦૦૮માં સ્કારલેટ જોન્સન દ્વારા યુસ થયેલા એક ટિસ્યુ પેપરના ઓનલાઇન હરાજીમાં ૫,૩૦૦ ડોલર ઉપજ્યા હતા. અરે બીજુ તો ઠીક શ્વાસના પૈસા પાકે ખરા? પણ ૨૦૧૦માં પાક્યા હતા. બ્રાડ પિટ-એન્જેલિના જોલીએ એક બરણીમાં શ્વાસ લીધા હતા. જે પછીથી વેંચવા મૂકાઈ હતી. માન્યામાં ન આવે એવી વાત છે, પણ પછી એ બરણીના ૫૩૦ ડોલર ભાવ બોલાયા હતા! આવી જ એક બીજી બરણી પણ હરાજીમાં મૂકાઈ હતી. જેમાં એક જમાનામાં અમેરિકામાં બહુ લોકપ્રિય થયેલા સિંગર-એક્ટર એલ્વિસ પ્રિસ્લેના વાળ હતા. તેમના વાળંદ દ્વારા હરાજીમાં મૂકાયેલી એ બરણીની ૧,૧૫૦૦૦ ડોલર જેવી માતબર રકમ ઉપજી હતી. અસિમ સૌંદર્ય ધરાવતી અભિનેત્રી મેરલિન મનરોએ ૧૯૫૪માં ફ્લોરિડાની એક હોસ્પિટલમાં હૃદયના ભાગનો એક્સ-રે કરાવ્યો હતો. જેની હરાજી ૨૦૧૦ના જૂન માસમાં થઈ હતી. એ એક્સ-રે માટે એક ચાહકે ૨૯,૦૦૦ ડોલર ચૂકવ્યાં હતા.
હમણાં ઓસ્ટ્રેલિયાના સ્વિટીમેન તરીકે ઓળખ આપતા માણસે કાગળના એક ટૂકડાં પર 'ધ' લખીને હરાજીમાં મૂક્યો હતો અને તેને ખરીદવા માટે ૧૮ લોકોએ તૈયારી દર્શાવી હતી. એવું જ 'ડિગ્નિટી' શબ્દ માટે થોડા સમય પહેલા બન્યું હતું. ઓનલાઇન ઓક્શનમાં મૂકાયેલા આ શબ્દને ૧૦ ડોલર મળ્યા હતા. બોલી લગાવનારાને વેંચનારા તરફથી 'ડિગ્નિટી' શબ્દ લખેલો પોતાની સહીવાળો એક કાગળ મળ્યો હતો. ૨૦૦૯માં સેન્સ ઓફ હ્યુમરનું ઓનલાઇન વેંચાણ થઈ રહ્યું હતું. વેંચનારાએ ખરીદનારાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ મૂકી હતી. જે સેન્સ ઓફ હ્યુમરની સૌથી ઊંચી બોલી લગાવે તેને એ રકમમાંથી ૧૦ ટકા કાપીને જ મોકલવાના હતા. ડિસ્કાઉન્ટને અંતે સેન્સ ઓફ હ્યુમર ૧૦ ડોલરમાં વેંચાઈ હતી. જોકે, સેન્સ ઓફ હ્યુમર ખરીદનારાની સેન્સ ઓફ હ્યુમર વધી નહોતી ગઈ. કારણ કે એ પણ 'ધ' અને 'ડિગ્નિટી'ની જેમ કાગળ પર લખીને ખરીદનારા સુધી પહોંચાડવામાં આવી હતી!
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબની ઓનલાઇન હરાજી કરવામાં આવે તો શું થાય? ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ-ગુગલ ન્યુઝ બધામાં એ એક જ સમાચારની ચર્ચા હોય. એ પણ માત્ર પાંચ કરોડ રૃપિયામાં જ જો તેનું વેંચાણ થવાનું હોય તો તો તડાકો જ ન પડી જાય! આવી જ જાહેરાત થોડા વર્ષ પહેલા થઈ હતી. જેની કિંમત અબજો રૃપિયામાં પણ આંકી ન શકાય એ વસ્તુ કંઈ પાંચ કરોડમાં થોડી મળી જાય એવું જોકે લોકોને તરત સમજાઈ જતાં એ હરાજીને મળવો જોઈએ એવો હૂંફાળો પ્રતિસાદ મળ્યો નહોતો.
તમારા જીવનનો અર્થ શું છે? આવો પ્રશ્ન કોઈ કથાકાર કરે અને પછી કોઈનાયે જવાબની રાહ જોવા વગર તેની સામાન્ય લોકોને ન સમજાય એવી ભાષામાં સમજૂતી આપે એ તો જાણે સમજી શકાય, પરંતુ કોઈ એવું કહે કે અમુક-તમુક વેબસાઇટમાં જીવનના અર્થની હરાજી થાય છે અને તે ખરીદનારાને તેના જીવનનો અર્થ સમજાવી દેવામાં આવશે તો સામાન્ય લોકોની પ્રતિક્રિયા કેવી હોય? સ્વાભાવિક રીતે જ લોકો એને તુક્કો ગણીને હસી કાઢે, પણ આ જીવનના અર્થની હરાજી જ્યારે ખરેખર થઈ હતી ત્યારે આઠ ખરીદનારા મળ્યા હતા અને વેંચનારાને ૧૦ ડોલરની રકમ મળી હતી. પછી અંતે ખરીદનારાને એક તસવીર મળી હતી જેમાં લખ્યું હતું- જીવનનો ખરો અર્થ આ જ છે દોસ્ત!
ખરીદનારાની કંઈક લેવાની જરાક તૈયારી હોય અને તેમાં થોડી મૂર્ખતા ભળી જાય તો વેંચનારાઓ ધૂળ પણ વેંચી નાખે છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. ઓનલાઇન ઓક્શનમાં એ વાત અક્ષરસઃ સાચી પડે છે. જો થોડીક સાવચેતી રાખવામાં ન આવે તો આપણને ક્યારેય જરૃર નથી પડવાની એવી કોઈક વસ્તુ ખરીદી લઈશું અને પછી ઓનલાઇન ઓક્શનના વિશાળ દરિયામાં વેંચનારાનું વહાણ શોધવું અશક્ય બની જશે.
Sunday, 1 June 2014
Posted by Harsh Meswania
Tag :

તોશાખાનાઃ દરબારી સોગાતોનો રસપ્રદ નજારો


નિવૃત્ત થયેલા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પ્રધાનમંત્રી નિવાસ છોડતા પહેલા તેમને મળેલી કેટલીક ગિફ્ટ્સ તોશાખાનામાં જમા કરાવી દીધી. આપણાં તોશાખાનામાં શું શું પડયું છે? કોણે કઈ વસ્તુ આપી છે? તોશાખાનામાં જમા થતી સોગાતોનું લાંબાંગાળે શું કરવામાં આવે છે?

વિદેશમંત્રાલયની રખેવાળી હેઠળ દિલ્હીની ઈમારતના ત્રણ ઓરડાંમાં વિવિધ મૂલ્યવાન વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવી છે. જે તે વસ્તુ ક્યાંથી-ક્યારે-કોણે-કોને આપી હતી તેની વિગતો પણ સાથે જ લખવામાં આવી છે. બહાર શોકેસમાં સમાવી શકાય એનાથી ઘણી વધારે વસ્તુઓ હાજર છે, પણ જગ્યાના અભાવે કેટલીક મહત્ત્વની વસ્તુઓને જ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રશિયાના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિને આપેલું રશિયન રાજા ઝાર નિકોલસ બીજાનું પેઇન્ટિંગ અને તેમણે ૧૮૯૦-૯૧માં કરેલી ભારતયાત્રાની વિગતો તેમજ ૧૬મી સદીમાં ભારતમાં ચલણી હોય એવા સિક્કાઓ પણ અહીં જોવા મળે છે. તો ભૂતાનના રાજાએ આપેલું લગભગ દોઢેક લાખ રૃપિયાની કિંમતનું ૪૦ ઈંચનું એલસીડી ટીવી પણ એ જ ઓરડાંમાં રખાયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આપેલું કાર્પેટ, ગલ્ફમાંથી મળેલી બ્રાન્ડેડ ઘડિયાળ અને સોનાનો નેકલેસ. આ અને આવી લગભગ એકાદ હજાર મૂલ્યવાન ચીજ-વસ્તુઓનો ખજાનો અહીં રાખવામાં આવ્યો છે. આ ઓરડાંઓને તોશાખાના તરીકે ઓળખવામાં આવે છે.
રાજાશાહીમાં એક બહુ પ્રચલિત રિવાજ હતો કે રાજા-મહારાજને મળવા માટે કોઈ અન્ય દેશના રાજા-મહારાજા આવે અથવા તો કોઈ સંદેશો મોકલાવે ત્યારે સાથે નજરાણામાં રાજાને ગમતો ઉપહાર પણ મોકલાવે. રાજાને ઉપહાર બહુ પસંદ આવી જાય તો ઉપહાર સાથે મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી મળી જાય એવો સ્પષ્ટ આશય ઉપહાર આપવા પાછળનો હતો. રાજાશાહીમાં રાજા-મહારાજાઓને મળતા નજરાણાનું નવું સ્વરૃપ એટલે લોકશાહીમાં મંત્રી-અધિકારીઓને મળતી વિવિધ પ્રકારની સોગાતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી કે અધિકારીઓ બીજા દેશની મુલાકાતે જાય અથવા અન્ય દેશના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી વગેરે આપણા દેશની મુલાકાતે આવે ત્યારે ભેટની આપ-લે થતી હોય છે. આપણે ઘણી વખત વાંચતા-સાંભળતા પણ હોઈએ છીએ કે અમુક દેશના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને ત્યાંની બહુ પ્રચલિત વસ્તુ ભેટમાં આપી અને સામે ભારતના વડાપ્રધાને પણ ભારતની ઓળખ સમી અમુક વસ્તુ તેમને ભેટ ધરી. આ ભેટની આપ-લે તેમના ખાનગી સંબંધોને કારણે નથી થતી, પણ એક-મેકના દેશના પ્રતિનિધિ તરીકે થાય છે એટલે તેમને મળેલી ગિફ્ટ પર પણ તેમનો અધિકાર હોતો નથી એ સ્વાભાવિક વાત છે.
સામાન્ય લોકોને મળતી ગિફ્ટમાં અને દેશના સત્તાધીશોને મળતી ગિફ્ટમાં ફરક એટલો છે કે લોકોને મળેલી ગિફ્ટ તેમની પોતાની છે જ્યારે સત્તાધીશોને સત્તાવાર મળેલી ગિફ્ટ દેશની છે. એટલે આ ગિફ્ટને લઈને એક કાયદો બન્યો છે એ મુજબ દેશના નેતા-અધિકારીઓને તેમની સત્તાવાર વિદેશ મુલાકાત વખતે મળતી સોગાતો અને ભારતમાં વિદેશી મહેમાનોની સત્તાવાર મુલાકાત વખતે મળતી સોગાતો જે-તે નેતા કે અધિકારીઓ પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે એ ગિફ્ટ્સ તોશાખામાં જમા કરાવવી પડે છે. પણ એ ગિફ્ટ પોતાની પાસે રાખવા માટે ય કાયદામાં જોગવાઈ છે.
                                                                        ***
નિવૃત્ત થયેલા વડાપ્રધાને પોતાને મળેલી સોગાતોમાંથી કેટલીક વસ્તુઓ પોતાની પાસે રાખી હતી. ૨૫૦૦ રૃપિયાની કિંમતનો એક ક્રોકરી સેટ તેમણે પોતાની પાસે રાખ્યો હતો. ૪૬૦૦ રૃપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતું કાર્પેટ, ૩ હજારની કિંમતનો એક મેટાલિક સેટ, ૪૮૦૦ રૃપિયાનો વૂડન સેટ અને એના જેટલી જ કિંમતનો શોપીસ. મનમોહન સિંહે આઠ-દસ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી અને એ તમામની કિંમત માંડ પાંચ હજાર થવા જતી હતી. એક રીતે પોતાને સત્તાવાર મળેલી ગિફ્ટ્સ મનમોહન સિંહ પોતાની પાસે રાખી શકે નહીં, પણ તેમ છતાં તેમણે આ સોગાતો પોતાની પાસે રાખી હતી અને તેનો એક પણ રૃપિયો તેમણે તોશાખાનાને ચૂકવવાનો થતો નથી. આવું કેમ?
જવાબ થોડો વિસ્તારથી સમજવો પડે તેમ છે. કાયદાની જોગવાઈ છે એ મુજબ ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારીને જે તે ગિફ્ટ પોતાની પાસે રાખવી હોય તો તેની માર્કેટ પ્રાઇઝ તોશાખાનાને આપી દેવાની હોય છે. એના માટે તેને ૩૦ દિવસનો વિચારવાનો સમય પણ આપવામાં આવે છે. તોશાખાનાની ગિફ્ટને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક એવી ગિફ્ટ કે જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે કે અમૂલ્ય ગિફ્ટ. જ્યારે બીજા પ્રકારમાં એવી ગિફ્ટનો સમાવેશ કરાયો છે જેની બજાર કિંમત નક્કી કરી શકાય છે. જેની માર્કેટ વેલ્યુ નક્કી કરી શકાતી હોય એવી વસ્તુઓ ગિફ્ટ મેળવનારા પોતાની પાસે રાખી શકે છે. ધારો કે અમેરિકા ચંદ્રની માટી આપણા વડાપ્રધાનને ભેટ આપે તો તે એની કોઈ કિંમત આંકી શકાય નહીં એટલે તે તોશાખાનાની શાન બની રહે છે, પણ જો બ્રાન્ડેડ ઘડિયાળ કે જ્વેલરી આપે તો તેની કિંમત આંકી શકાય છે એટલે તેની બજાર કિંમત ચૂકવીને ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. અથવા લાંબાંગાળે હરાજી થાય ત્યારે પણ આવી ચીજ-વસ્તુઓને વેંચવા કાઢવામાં આવે છે. 
આવી જ રીતે બે દશકા પહેલા એક હરાજીમાં તોશાખાનાની ઘણી ખરી વસ્તુઓ વેંચી નાખવામાં આવી હતી. હવે ફરીથી એકાદ હજાર વસ્તુઓ એકઠી થઈ છે. ગત વર્ષે તોશાખાનામાં જમા થયેલી ગિફ્ટમાં સૌથી વધુ ૫૪ ગિફ્ટ મનમોહન સિંહે જમા કરાવી હતી. ત્યાર બાદ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો ક્રમ આવતો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ૧૦ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ૯ અને પી. ચિદમ્બરમ્ે ૭ ગિફ્ટ જમા કરાવી હતી. દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે ૨૦૧૧માં આરટીઆઈથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 'ઘણા ખરા મંત્રીઓ-અધિકારીઓ ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી. કેબિનેટના ટોચના ૧૨-૧૫ મંત્રીઓને બાદ કરતા બાકીના બધા પોતાને મળેલી ગિફ્ટની નોંધ સુદ્ધાં તોશાખાનામાં નથી કરાવતા.'
હવે પ્રશ્ન એ થાય કે તો શું મનમોહન સિંહે પોતાની પાસે  અમુક ઉપહાર રાખીને કાયદાનો ભંગ કર્યો છે? જવાબ છે ના. કારણ કે, કાયદામાં એક એવી જોગવાઈ પણ છે કે કેબિનેટ મિનિસ્ટર્સને મળેલી પાંચ હજારથી ઓછી કિંમતની ગિફ્ટ્સ તોશાખાનાને કશું જ ચૂકવ્યા વગર તે પોતાની પાસે રાખી શકે છે, પણ હા, તોશાખાનામાં એક વખત એ ગિફ્ટ જમા તો કરાવવી જ પડે છે. અધિકારીઓ માટે આ મર્યાદા ત્રણ હજાર રૃપિયાની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મોટા ભાગના અધિકારીઓ ત્રણ હજારથી નીચેની ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી અને નેતાઓ પણ પાંચ હજારથી નીચેની ગિફ્ટ ભાગ્યે જ તોશાખાનામાં આપે છે.' લાખો-કરોડોના કૌભાંડો કરતા નેતાઓ પાંચ હજારની મામૂલી રકમનો ઉપહાર સેરવી લેવાનું  પણ ચૂકતા નથી એ કેવું વિચિત્ર કહેવાય!

ભારત-પાકિસ્તાન વચ્ચે વાટકી વહેવાર!
અમુક સિઝનમાં એકમેકથી દૂર રહેતા સગાંઓ એકબીજાને ખાસ વાનગીઓ મોકલતા હોય છે. આવું જ નેતાઓ પણ કરતા હોય છે. સામાન્ય રીતે સત્તાવાર ગિફ્ટ્સમાં દેશની ઓળખ સમી કોઈ વસ્તુ જ અપાતી હોય છે, પણ ઘણી વખત અપવાદરૃપ કિસ્સાઓમાં દેશના ફળો કે વાનગી પણ મોકલાતી હોય છે. ભારતને પોતાના પાડોશી પાકિસ્તાન સાથે પણ આવો જ વાનગીનો વાટકી વહેવાર છે. ૨૦૦૨માં પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર મંત્રણા માટે આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પાકિસ્તાનથી પ્રખ્યાત કેરી લઈ આવ્યા હતા. એ કેરીના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ કેરી તો નહોતી આપી, પણ પછી એ કેરીનો બદલો વાળતા હોય એમ વાજપેયીના અનુગામી વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૧૦માં યુસુફ રઝા ગિલાની માટે ૨૦ કિલોનું કેરીનું બોક્સ પાકિસ્તાન મોકલ્યું હતું.
Sunday, 25 May 2014
Posted by Harsh Meswania
Tag :

સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતા!


અત્યારે સેલ્ફીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધારો કે મહાભારતનું યુદ્ધ આજે ખેલાઈ રહ્યું હોત તો કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ઉભેલા અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સેલ્ફીના સંદર્ભમાં કેવા સંવાદો થયા હોત? કૃષ્ણ-અર્જુનના કાલ્પનિક સંવાદોની વચ્ચે સેલ્ફીની વાસ્તવિક વાતો....

'હે કેશવ! હું જોઈ રહ્યો છું કે આજકાલ ઘણા બધા લોકો એક યંત્રને પોતાના મુખારવિંદની સામે લઈ જઈને પછી હાસ્ય વેરે છે અને એ સાથે કશોક પ્રકાશ થાય છે. પછી એ યંત્રને હાથમાં લઈને ફરી વખત અકારણ હાસ્ય કરે છે. મેં સાંભળ્યું છે કે એને લોકો સેલ્ફી કહે છે. એ સેલ્ફીની ટ્વિટ થાય છે અને એફબી પોસ્ટ પણ થાય છે. એટલે હે ગોવિંદ મને આ સેલ્ફી, ટ્વિટર, એફબી, યુટયૂબ વગેરે વિશે વિસ્તારથી સમજાવીને મારા મનનું સમાધન કરો!' અર્જુને શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કરીને પૂછ્યુ.
જવાબમાં ભગવાને કહ્યું...
'હે પાર્થ! જો તારે આ બધા વિશે જાણવું હોય તો તો મારે તને આખી 'શ્રીમદ્ સોશ્યલ મીડિયા ગીતા' સમજાવવી પડે, પરંતુ તારી જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને હું તારા પહેલા પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી આપીશ.'
પછી શ્રીકૃષ્ણએ તેમના આગવા અંદાજમાં સેલ્ફી વિશે સમજાવવા માંડયું કે....
'હે પાર્થ, વર્ષો પહેલા જ્યારે લોકો પાસે કેમેરા હોવું એ લક્ઝરી કહેવાતી હતી. એ સમયે આખા પરિવારની તસવીર ખેંચાવવી એ ભવ્યતાનું પ્રતીક ગણાતું હતું. બધા એક સરખું સ્માઇલ આપીને ફોટો પડાવે અને પછી ઘરની દિવાલ પર એ તસવીરને મઢીને રાખે. હવે સેલ્ફી પણ વોલ પર જ મૂકવામાં આવે છે. ફરક એટલો પડયો છે કે એ વોલ ઘરની નહીં, ફેસબૂકની હોય છે.
'પણ પ્રભુ, મારો પ્રશ્ન તો સેલ્ફી વિશે હતો. કેમેરા વિશે તો હું જાણી ચૂક્યો છું. ક્ષમા કરશો ભગવાન પણ તમે કેમેરાની અને પરિવારની વાતોએ ચડી ગયા હોય એવું મને લાગ્યું એટલે વચ્ચે જ તમને અટકાવવા પડયા.
'હે કૌંતેય, જો તને કેમેરા વિશે જ્ઞાાત હોય તો હું સેલ્ફીની જ સીધી વાત કરી દઉં છું. વાત છે ઈ.સ. ૧૮૩૯ના વર્ષની. કેમેરાનો વિકાસ થઈ રહ્યો હતો એ દૌરમાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો રોબર્ટ કોર્નેલિયસ નામનો કેમેરામેન ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ ઉત્સાહ બતાવતો. માણસના કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓના જુદા જુદા ખૂણેથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં તેને મજા પડતી. એ સમયે કેમેરા એટલા બધા વિકસિત નહોતા બન્યાં એટલે ક્લિક કર્યા પછી દ્રષ્ય કેમેરામાં મઢાઈ જાય એ બંને ઘટના વચ્ચે થોડીક પળો એમ જ વીતી જતી. એક દિવસ કેમેરાના અભ્યાસુ રોબર્ટને પ્રશ્ન થયો કે જો સામે કેમેરાને મૂકી દઈએ અને ક્લિક થાય એ પહેલા તેની સામે ગોઠવાઈ જઈએ તો શું થાય છે?
'તો પછી શું થયું હતું ભગવન!' અર્જુને ઉત્સુકતાથી પૂછી નાખ્યું અને ભગવાને અટક્યા વગર આગળ ચલાવ્યું...
'હે સવ્યસાચી, એ તસવીરકારે પોતાને થયેલા પ્રશ્ન પર પ્રયોગ કરવાનું નક્કી કર્યું અને એ સાથે તેનું નામ ફોટોગ્રાફીના ઈતિહાસમાં નોંધાઈ ગયું. રોબર્ટે પોતે ખેંચેલી તસવીરને પછીથી પ્રથમ સેલ્ફી તરીકે સન્માન મળ્યું.'
'હે યદુશ્રેષ્ઠ, તો પછી સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી જ કેમ વધ્યો છે? વચ્ચેના સમયગાળામાં સેલ્ફી ખેંચવાની પ્રથા નહોતી?'
'હા પાર્થ તારી વાત બિલકુલ સાચી છે. સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયમાં જ વધ્યો છે. સેલ્ફીની પ્રથા આ પહેલા આટલી બધી પ્રચલિત તો નહોતી, પણ છૂટાછવાયા થોડા બનાવો બન્યા છે ખરાં!' શ્રીકૃષ્ણ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ફરી આગળ બોલ્યા 'રશિયા દેશની એક રાજકુમારી હતી. પ્રિન્સેસ એનાસ્તારિયા એનું નામ'
'પણ મધુસૂદન મેં તો સાંભળ્યું છે કે એ વખતે તે માત્ર ૧૩ વર્ષની જ હતી અને આજના યંગસ્ટર્સ પળમાં જે કામ કરે છે તે કામ તેને ખૂબ અઘરું લાગ્યું હતું?' અર્જુને પોતાની પાસે એનાસ્તારિયાની જે જાણકારી હતા તે કહી દીધી.
'હે પાંડવ, તારી વાત એકદમ સાચી છે. એ વખતે ઉંમરના ૧૩ વર્ષના પડાવે પહોંચેલી એનાસ્તારિયાએ અરિસા સામે જોઈને પોતાનો સેલ્ફી ખેંચ્યો હતો. આજના યંગસ્ટર્સ જે રીતે ટ્વિટ કરીને કે પોસ્ટ કરીને પોતાના મિત્રોને સેલ્ફી પહોંચાડે છે એ જ રીતે એનાસ્તારિયાએ પોતાના મિત્રને એ તસવીર મોકલી હતી અને સાથે સાથે એમાં લખ્યું હતું કે ''આ તસવીર મેં અરિસામાં જોઈને મારી જાતે પાડી છે. આ કામ ખરેખર અઘરું છે. તસવીર પાડતી વખતે મારા હાથમાં કંપારી છૂટતી હતી''. મધુસૂદને પોતાની વર્ણન શક્તિથી આખુ દ્રષ્ય અર્જુન સામે ખડું કરી દીધું.
'ત્યાર બાદ એનો વ્યાપ કઈ રીતે વધ્યો એ જણાવવા પણ કૃપા કરો વાસુદેવ!' પાર્થે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણને કહ્યું.
'હે શ્રેષ્ઠ ધનુર્ધર, સેલ્ફીની શરૃઆત થઈ ચૂકી હતી, પરંતુ તેનો વ્યાપ થવાને હજુ ઘણી વાર હતી. ક્યારેક ક્યારેક લોકો છૂટાછવાયા સેલ્ફી પાડીને પોતાની યાદોને હંમેશા માટે અવિસ્મરણીય રાખવાનો પ્રયાસ કરતા હતા. તને યાદ છે પાર્થ હિમાલયની સર્વોચ્ચ ચોટી એવરેસ્ટ સર કરવા નીકળેલા એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપાનો કિસ્સો બહુ જાણીતો બન્યો હતો. એમ કહેવાય છે કે શેરપાને તસવીર પાડવાનો કોઈ જ અનુભવ નહોતો પરિણામે હિલેરી એવરેસ્ટની ચોટીએ પહોંચ્યા ત્યારની એક પણ તસવીર ઉપલબ્ધ નથી. કદાચ સેલ્ફીના ઓછા વ્યાપના કારણે હિલેરીને સેલ્ફી ખેંચવાનું સુજ્યું જ નહીં હોય. નહીંતર આજે તેમની તસવીરો પણ હોત. તું આ ઘટના પરથી પણ કલ્પના કરી શકે છે કે ૧૯૫૦-૬૦ના દશકા સુધી સેલ્ફીનો ક્રેઝ નહીં હોય!' કૃષ્ણએ સેલ્ફીના વ્યાપ પર જોરદાર ઉદાહરણ આપીને અર્જુનને વિચારતો કરી દીધો. ભગવાને આગળ કહ્યું, 'પાર્થ આ નશ્વર જગતમાં ઈન્ટરનેટની માયાજાળે વિસ્તાર વધાર્યો ત્યાર પછી ચેટમાં વેબકેમના કારણે સેલ્ફીને બળ મળ્યું હતું. જોકે, તેનો ખરો યશ તો આજકાલ મોબાઈલમાં આવતા શક્તિશાળી કેમેરાને ફાળે જ જાય છે. મોબાઇલના કેમેરા ઉપરાંત સોશ્યલ મીડિયાની ચોમેરથી જે રીતે ગૂંથણી થઈ છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં સેલ્ફી સેલ્ફી અને સેલ્ફીનો માહોલ છે. સેમસંગ નામની મોબાઈલ કંપનીએ એક સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલમાં ખેંચાતી ત્રણ તસવીરોમાંથી એક તસવીર સેલ્ફી હોય છે.' કૃષ્ણએ સેલ્ફીના ઈતિહાસથી વર્તમાન સુધીની શક્ય એટલી સફર પાર્થને કહી સંભળાવી.
'હે અંતર્યામી, અત્યારે પ્રતિદિન કેટલા સેલ્ફી પડતા હશે એનો કોઈ અંદાજ ખરો?' અર્જુને આટલી વાત સાંભળ્યા પછીય હરિ અનંત હરિ કથા અનંતાની જેમ સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતાના સંદર્ભમાં હજુય થોડાં સંદેહ સાથે શ્રીકૃષ્ણ સામે હાથ જોડેલી મુદ્રામાં પૂછી નાખ્યું.
'હે અર્જુન, આકાશ સામે જોઈને મને કહે કેટલા તારલા તને દેખાય છે?' આમ કહીને અત્યાર સુધી ઉત્તરો આપી રહેલા શ્રીકૃષ્ણએ સેલ્ફી પ્રકરણ આટોપવા આખરી પ્રશ્ન અર્જુનને જ કરી નાખ્યો.
'ભગવાન તમે ભૂલી ગયા છો કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યનારાયણ કૃપા વરસાવી રહ્યા છે?' અર્જુને ગૂંચવાઈને કહ્યું.
'દિવસે તારલા ગણવા શક્ય નથી એ જ રીતે સેલ્ફીનો આંકડો આપવો લગભગ લગભગ અશક્ય છે એટલે જ મેં તને એવું પૂછ્યું હતું.' શ્રીકૃષ્ણને અર્જુનના છેલ્લા સવાલનો જવાબ તાર્કિક રીતે વાળ્યો અને એ રીતે સેલ્ફી પ્રકરણનો પણ અંત આવ્યો!
Sunday, 11 May 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -