...અને એ રીતે નિવૃત્તિનો સમયગાળો નક્કી થયો!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી અમલદારો અને ખાનગી કંપનીના કામદારો માટે નિવૃત્તિનો સમય અને પેન્શનની ટકાવારી અમલી બનાવાઈ હતી.
 
રામાયણમાં એક પ્રસંગ છે. અયોધ્યાના રાજા દશરથ એક દિવસ દર્પણમાં જોઈ રહ્યાં હતા ત્યારે તેમને કાનના ઉપરના ભાગે શ્વેત થયેલા થોડા વાળ દેખાયા. સફેદ કેશ જોઈને તેમણે એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હવે અવધની રાજગાદી યુવાન થયેલા રાજકુમાર રામચંદ્રને સોંપી દેવી જોઈએ. નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા હોવાથી રાજગાદી પુત્રને સોંપી દેવાની પોતાની ઈચ્છા તેમણે ગુરુદેવ વશિષ્ઠને જણાવી. રાજ્યમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી અને નવા રાજા તરીકે રામનો રાજ્યાભિષેક કરવાની પણ તૈયારી કરી.

આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ તો આપણી પ્રાચીન વ્યવસ્થા હતી જે કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારની નિવૃત્તિનો સમયગાળો આપણા આ વાનપ્રસ્થાશ્રમની આસપાસનો જ છે. આપણે ત્યાં જ નહીં, પણ મહદ્દઅંશે સમગ્ર વિશ્વમાં રિટાયર્ડમેન્ટ માટેની પોલિસી ૫૦થી ૭૦ વર્ષ આસપાસ રાખવામાં આવી છે.
                                                                          * * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
શરીરમાં દમ હોય ત્યાં સુધી માણસ ખેતી કે ખેતમજૂરી કરતો રહેતો, પણ સૈન્યમાં કે રાજાઓની વહીવટી કચેરીઓમાં કામ કરતા લોકો પણ સામાન્ય રીતે શરીર કાર્યક્ષમ રહે ત્યાં સુધી કામમાં જોતરાયેલા રહેતા હતા.
બ્રિટને વર્ષો સુધી અલગ અલગ દેશમાં શાસન કર્યું હોવા છતાં તેના અધિકારીઓ કે કર્મચારીઓ માટે એક પણ પ્રકારની નિવૃત્તિ યોજના ઘડી ન હતી. નિવૃત્તિનો સમયગાળો અને નિવૃત્ત કર્મચારીને વળતર આપવા માટેનું યોગ્ય બંધારણ ઘડવાનો યશ જર્મનીને આપવો રહ્યો. આજે આખી દુનિયાની રિટાયર્ડમેન્ટ પોલિસી જર્મનીએ નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અનુસરે છે.
 
સંયુક્ત જર્મનીના પહેલા ચાન્સલર (જર્મનીમાં ચાન્સલર પાસે વડાપ્રધાન જેવી સત્તા હોય છે) ઓટો વૉન બિસ્માર્ક જર્મનીના એકીકરણ માટે જગતભરમાં વિખ્યાત છે. તેઓ તેમની આ સિદ્ધિ માટે જ વધુ જાણીતા છે, પરંતુ તેમના નામે અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ કામ નોંધાયેલું છે. તેઓ આધૂનિક રિટાયર્ડમેન્ટ પોલિસીના જનક કહેવાય છે. આખી જીંદગી નોકરીના નામે કરી દેનારા કર્મચારીઓના અંતિમ દિવસો સુખરૂપ પસાર થાય એવા મુખ્ય ઉદેશ્યથી બિસ્માર્કે નિવૃત્તિ નીતિનું ગઠન કર્યું હતું.
બિસ્માર્કને આ નિવૃત્તિ નીતિને અમલી બનાવવાનો વિચાર પોતાના ૬૫ વર્ષે આવ્યો હતો. બિસ્માર્કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને દેશના વયસ્ક લોકોને નિવૃત્તિ પેન્શન મળે એ માટેની વ્યવસ્થા કરી રાખી હતી. જર્મન લેખક ફેલિક્સ એકરમેને તેમના પુસ્તક 'અર્લી ન્યુ જર્મની'માં ઉલ્લેખ કર્યો છે તે મુજબ જર્મનીના રાજાએ અને સરકારે બિસ્માર્કની આ નીતિનો સ્વીકાર એટલા માટે પણ કરી લીધો હતો કે તે સમયે જર્મનીના કામદારોનું સરેરાશ આયુષ્ય જ માંડ ૬૦ વર્ષ હતું. એટલે બિસ્માર્કે નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અમલી બનાવાય તો પણ એવા કામદારો તો ગણ્યા ગાંઠયા મળે જેની ઉંમર ૬૫ વર્ષ ઉપરની હોય!
આમ છેક ૧૮૮૩થી નિવૃત્તિ નીતિને અમલી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ૧૮૮૯માં અમલી બનાવાઈ હતી. જોકે, જર્મનીએ શરૃઆતમાં થોડા વર્ષો સુધી નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શન માટેની ઉંમર ૭૦ વર્ષ રાખી હતી. પછીથી તેને ઘટાડીને ૬૫ કરી દેવામાં આવી હતી. ૧૯મી સદીમાં કામદારો-અમલદારો માટે લેવાયેલો આ સૌથી મોટો નિર્ણય હતો. જેની અસર દૂરગામી પડવાની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં નિવૃત્તિ નીતિ અમલી બનાવવામાં જર્મનીની આ પહેલ ખૂબ જ ઉપકારક નિવડવાની હતી.
 
જર્મનીએ કાયદાકીય દરજ્જો આપીને રિટાયર્ડમેન્ટ પોલિસીનું યોગ્ય ગઠન કર્યું એ પહેલા જોકે એક માણસ હતો જેણે કામદારોને નિવૃત્ત કરવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડના સુધારાવાદી કોટન મેથેરે ૧૮મી સદીના પ્રારંભે કામદારોએ ઉંમરના અમુક પડાવે રિટાયર્ડ થવું જોઈએ એવી ચળવળ ચલાવી હતી. એ પાછળ એમના બે તર્ક હતા. એક, જો જૂના કામદારો-અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની જગ્યાએ નવા ભણેલા-ગણેલા યુવાનોને તક મળે. બીજુ, અમુક ઉંમર પછી ભારેખમ અને ચિવટવાળુ કામ કરવામાં શરીરને ભારે શ્રમ પડે છે એટલે તેની કામ અને શરીર એમ બંને પર વિપરિત અસર થાય છે એટલે નિવૃત્ત થવાનો વિચાર બંને પક્ષે ફાયદાકારક નીવડશે.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
 
એક અમેરિકા આ બાબતે જર્મનીની લગોલગ ચાલતું હતું. ૧૮૫૦માં સ્થપાયેલી અમેરિકાની ધ અમેરિકન એક્સપ્રેસ કંપનીએ ૧૮૭૫માં કંપનીના કામદારો માટે નિવૃત્તિ પોલિસી ઘડી હતી. આ ખાનગી પોલિસી હતી એેટલે તેને સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં નથી આવતી, પરંતુ તેમાં એવી જોગવાઈ હતી કે કોઈ કર્મચારી મોટી ઉંમરે કામ કરવા સક્ષમ ન હોય તો તેને કંપની પેન્શન આપશે. આ પોલિસીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવામાં નહોતી આવી, પણ કંપનીના અધિકારીઓને એમ લાગે કે કર્મચારી કામ કરવા સક્ષમ નથી તો તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતો હતો.
એ પછી અમેરિકામાં ૧૯મી સદીના અંત સુધીમાં એટલે કે માત્ર ૨૫ જ વર્ષમાં બીજી ૧૩ ખાનગી કંપનીઓએ કર્મચારીઓ માટે નિવૃત્તિ પોલિસીને અમલી બનાવી હતી. અમેરિકન સરકારે તો એ પછી છેક ૧૯૩૫માં કાનૂન બનાવીને નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શનની ટકાવારી નક્કી કરી હતી. એ પાછળ અમેરિકાની વિવિધ ફેક્ટરીઓના માલિકો જવાબદાર હતા.
અમેરિકામાં તે સમયે ફેક્ટરીઓના માલિકો કર્મચારીઓને આ હકો આપવા કોઈ કાળે તૈયાર ન હતા અને એ કારણે મજબૂત ચળવળ છતાં કાયદાનું ગઠન મોડુ થયું. અમેરિકામાં આ પોલિસી આવે તે માટે ફિઝિશન અને મોર્ડન મેડિસિનના ફાધર ગણાતા વિલિયમ ઓસ્લરનું પ્રદાન અનેરું હતું. તેમણે કામદારોની તરફેણમાં નિવૃત્તિ પોલિસી આવે એ માટે મજબૂત લોબિંગ કર્યું હતું. તેમણે અમુક ઉંમરે શરીર કાર્યક્ષમ રહેતું નથી એવી થીઅરી રજૂ કરીને અમેરિકાના નેતાઓને આ વાત ગળે ઉતારી હતી.
                                                                          * * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે. 
ઉંમરનો પાછલો પડાવ ગર્વભેર વીતાવવા માટે નિવૃત્તિ અને વળતર લાકડીનું કામ કરે છે. નિવૃત્તિ સચિન તેંડુલકરની હોય કે પછી ૬૫ વર્ષે પહોંચેલા કોઈ સામાન્ય કર્મચારીની, બધા માટે તેનું ખાસ મહત્ત્વ હોય છે. ઢળતી ઉંમરે બિસ્માર્કે ચાતરેલા ચીલા પર આજે કેટલાય વયસ્કોને વિસામો મળી રહ્યો છે.
Sunday, 24 November 2013
Posted by Harsh Meswania
Tag :

સબ કુછ બિકતા હૈ, બસ દામ સહી હોના ચાહિએ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં થવાની છે. થોડા મહિનાઓ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની કવિતાની નિલામી થઈ હતી. દુનિયામાં એન્ટિક અને હિસ્ટોરિકલ ચીજ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા લોકો ઊંચી બોલી લગાવીને જે તે વસ્તુનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલીક એવી હરાજીઓની વાત કરીએ જેની બોલી સૌથી ઊંચી બોલાઈ હોય અને પછી એક રેકોર્ડ કાયમ થયો હોય...

રોમનકાળની મૂર્તિનો ૨૧મી સદીમાં પણ ચળકાટ
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.

૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.

એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.

મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.

એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.

બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.

કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.

પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.
Sunday, 17 November 2013
Posted by Harsh Meswania
Tag :

એક ખોટા સ્પેલિંગની કિંમત કેટલી? ૪૦૦ કરોડ!

 
 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રોજ-બરોજની જરૂરીયાતના લખાણમાં સાવચેતી રાખવા છતાં કેટલીક ભૂલો થતી રહેતી હોય છે. નાના પાયે થતી ભૂલો એક હદથી વધારે નુકસાન નથી પહોંચાડતી, પણ મોટા પાયે થતી એકાદ ટચૂકડી સ્પેલિંગ એરર પણ કરોડો રૂપિયાના ખાડામાં ઉતારવા સક્ષમ હોય છે. અહીં આવી સ્પેલિંગ એરરની ઝલક મેળવી લઈએ....

 ૧૯૬૨માં નાસાના મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મરિનર-૧ને લોન્ચ કરવાની તૈયારી થઈ રહી હતી. બધી તૈયારીને આખરી ઓપ આપીને લોન્ચિંગ માટે ૨૨, જૂલાઈનો દિવસ પસંદ કરવામાં આવ્યો. અમેરિકાનું આ પહેલું આંતરગ્રહીય મિશન હતું એટલે તેના માટે ઉત્સુકતા પણ ખૂબ હતી. ઉત્સાહના અતિરેકમાં હોય કે પછી અન્ય કોઈ પણ કારણે આરોહણ વખતે કમ્પ્યુટરના ફોરટ્રન લેન્ગવેજના કોડમાં હાયફન (-) જેને ગુજરાતીમાં આપણે સંયોગચિન્હ કહીએ છીએ તે મૂકવાનું રહી ગયું હતું. એના કારણે થયું એવું કે મરિનર-૧ની આખી દિશા બદલાઈ ગઈ.
એક સંયોગચિન્હના કારણે અમેરિકાના મહાત્વાકાક્ષી અવકાશયાન પોતાના નક્કી કરેલા મુકામે જવાને બદલે નવા સરનામે જવા લાગ્યું. છેવટે થોડી મિનિટ્સ પછી આ પ્રોજેક્ટને અસફળ જાહેર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં એક હાયફનના કારણે નાસાને ૪૦૦ કરોડનો ચૂનો લાગી ગયો હતો.
આ કંઈ પહેલી સ્પેલિંગ મિસ્ટેક ન હતી. દુનિયાભરમાં આવી તો કંઈ કેટલીય સ્પેલિંગ મિસ્ટેક્સ ભૂતકાળમાં પણ થઈ છે. આ વાત માંડવાનું કારણ એ છે કે હમણાં થોડા દિવસો પહેલા વેટિકન સિટીએ આવી જ એક મોટી સ્પેલિંગ મિસ્ટેક કરી હતી.

વેટિકન સિટીએ મેડલ્સમાં જિસસનું નામ લિસસ કરી નાખ્યું!
પોપ ફ્રાન્સિસ વેટિકન સિટીમાં સર્વોચ્ચ પોપ બન્યા એની એક વર્ષની ઉજવણીના ભાગરૂપે વેટિકન સિટીએ રૂપકડાં મેડલ બનાવવાનું નક્કી કર્યું. મેડલ બનીને આવી પણ ગયા અને તેની વહેંચણી પણ શરૂ થઈ ગઈ. માત્ર ૪ મેડલ વધ્યા ત્યારે કોઈના ધ્યાનમાં આવ્યું કે મેડલમાં જિસસના સ્પેલિંગમાં Jને બદલે L છપાયો હોવાથી ઉચ્ચાર લિસસ થઈ ગયો છે ત્યારે તમામ મેડલ પાછા મેળવવા દોડધામ મચી ગઈ.

આ મેડલ ઈટાલિયન ટંકશાળામાં બનાવાયા હતા. વેટિકન સિટીએ ભૂલ ભરેલા મેડલ્સ પરત મેળવવાની જાહેરાત પણ કરી દીધી છે. મેડલમાં આવેલી સ્પેલિંગ એરરથી વેટિકન સિટીની તિજોરીને કેટલું નુકસાન થશે એની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ ૨૦૦ ગોલ્ડ કોઈન્સ, ૩,૦૦૦ સિલ્વર કોઈન્સ અને એટલા જ બીજા બ્રોન્ઝ કોઇન્સના નિર્માણમાં વેટિકન સિટીએ લાખો ડોલર્સનો ખર્ચ કર્યો હોય એ સ્વાભાવિક છે અને એટલે તિજોરી પર મોટો ભાર પણ આવશે જ એ નક્કી છે.

શેક્સપિયરની હેમલેટના ખૂબ લોકપ્રિય વાક્યમાં ભૂલ છપાઈ હતી
અંગ્રેજી સાહિત્યના મહાન લેખક શેક્સપિયરની બહુ જાણીતી કૃત્તિ હેમલેટનું 'to be or not to be' વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય વાક્ય કહેવાય છે, પણ ધારો કે કોઈ એમ કહે કે થોડા સમય પહેલા પ્રિન્ટ થયેલી હેમલેટની નવી આવૃત્તિમાં ત્રણ ત્રણ પ્રુફરિડર્સ હોવા છતાં આ વાક્ય ભૂલથી કંઈક આ રીતે 'to be or to be' છપાયું છે અને એટલે તેની નકલોને પાછી ખેંચવી પડે તો કેટલું આશ્ચર્ય થાય? કદાચ આ વાત કોઈ માનવા તૈયાર ન પણ થાય. જોકે, ખરેખર ૨૦૦૫માં આવું બન્યું હતું.

ડિગ્રીમાં અમેરિકન યુનિવર્સિટીએ પોતાના નામમાં જ ભૂલ કરી!
અમેરિકન યુનિવર્સિટી વિસ્કોન્સિને ૧૯૮૮માં વિદ્યાર્થીઓને માર્ક શીટ આપી ત્યારે Wisconsinને બદલે Wisconson છાપ્યું હતું. વળી આ વાતની છ માસ સુધી તો કોઈને ખબર પણ ન પડી. એક વિદ્યાર્થીના ધ્યાનમાં છેક ૬ માસ પછી આવ્યું કે પોતાની ડિગ્રીમાં યુનિવર્સિટીના નામમાં જ મિસ્ટેક છે એટલે તેણે યુનિવર્સિટીને જાણ કરી. પોતાની ગંભીર ભૂલ સમજાતા યુનિવર્સિટીએ તુરંત જ બધી માર્કશીટ પાછી મેળવીને ભૂલ સુધારી લીધી હતી.

ચિલીએ કરન્સીમાં દેશના નામમાં જ ગોટાળા છાપ્યો
દક્ષિણ અમેરિકી દેશ ચિલીએ પણ પોતાના દેશની કરન્સીમાં આવી જ એક મોટી ભૂલ ૨૦૦૮માં કરી હતી. આ ભૂલના કારણે ચિલીની તિજોરીને તો નુકસાન ખમવું જ પડયું હતું, સાથોસાથ કેટલા બધા કામદારોએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી. ચિલીની કરન્સી મુજબ ૫૦ પેસોના કોઇન્સ ૨૦૦૮ના વર્ષમાં બનાવવામાં આવ્યા હતા.

૧૫ લાખ કોઇન્સ બજારમાં મૂકી દીધા પછી ધ્યાનમાં આવ્યું કે તેમાં 'Chileને બદલે 'Chiie' છપાયું છે. એટલે કે Lની જગ્યાએ ભૂલથી I છાપી નાખવામાં આવ્યું હતું અને એના કારણે ચિલીનો ઉચ્ચાર ચીઈ જેવો કંઈક વિચિત્ર થઈ જતો હતો.
પોતાની કરન્સીમાં આવી ગંભીર ભૂલ કરનારા ચિલીની બેદરકારીની વિશ્વભરના અર્થશાસ્ત્રીઓએ ટીકા કરી હતી. દેશની કરન્સીમાં મોટી ભૂલ થયાની દુનિયામાં કદાચ આ સૌથી જાણીતી અને ગંભીર ભૂલ હતી.

અમેરિકાની ચૂંટણી વખતે જ બરાક ઓબામાના નામમાં છબરડો
૨૦૧૨માં અમેરિકામાં થયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ સ્પેલિંગની આવી જ એક મોટી ભૂલ સામે આવી હતી. ન્યુયોર્કના ઓનિડા વિસ્તારના મતદાતાઓ માટે તૈયાર કરાયેલા ૧,૩૦,૦૦૦ મતપત્રોમાં પ્રમુખપદના ઉમેદવાર બરાક ઓબામાના નામમાં C ન હતો. એટલે કે Barack Obamaની જગ્યાએ Barak Obama એવું લખવામાં આવ્યું હતું.
ચૂંટણીના બે દિવસ અગાઉ આ છબરડો ધ્યાનમાં આવ્યો હતો. જોકે, મતદાતાઓ સુધી આ પેપર્સ પહોંચ્યા ન હતા, પણ પછી તત્કાલ આ તમામ પેપર્સ નવા નામ સાથે છાપવામાં આવ્યા હતા. જવાબદાર લોકોને તરત જ ખૂલાસો પૂછવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ સ્પેલિંગ એરરમાં અમેરિકાને ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અમેરિકન ઈલેક્શન ઈતિહાસમાં આવેલી સ્પેલિંગની આ સૌથી મોટી એરર હતી. અગાઉ ક્યારેય પ્રમુખપદના ઉમેદાવારમાં નામની ભૂલ થયાનું બન્યું નથી.
 
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પુસ્તકમાં પણ હતી સ્પેલિંગ મિસ્ટેક
વિવિધ પ્રજાતિઓના ઉદ્ભવ વિશેનું ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસિસ'ના પ્રકાશક જોન મુરીએ પ્રથમ આવૃતિની ૧,૨૫૦ નકલ પ્રકાશિત કરી હતી. આ પુસ્તકની સૌપ્રથમ આવૃત્તિના ૨૦ નંબરના પેજ પર Speciesનો સ્પેલિંગ આ રીતે Speceies છાપવામાં આવ્યો હતો.
જોકે, હવે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ દૂર્લભ મનાય છે. સ્પેલિંગ એરરના આવા તો નાના-મોટા ગંભીર-રમૂજી કિસ્સા દુનિયાભરમાં નોંધાયેલા છે. જેમ કે, અમેરિકાના મિશિગનની એક શાળાએ રોડ પર પોતાની જાહેરાત લખી હતી. જાહેરાતમાં schoolના સ્પેલિંગને આખા રસ્તા પર પથરાય એટલું વિશાળ રીતે લખ્યું હતું, પણ Shcool આ રીતે વંચાતું હતું.
જોકે શાળા વતી એની ભૂલમાં કશો જ સુધારો કરવામાં આવ્યો ન હતો. સ્પેલિંગ કે જોડણીની ભૂલો ત્યારે જ કદાચ સારી રીતે સમજાય જ્યારે તેનાથી ખૂબ મોટું પરિણામ ભોગવવાનું આવે!

એક વખત ટેટુ આર્ટિસ્ટે એવું લખી નાખ્યું કે......
શરીર પર ટેટુ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે ત્યારે એક ટેટુ આર્ટિસ્ટની ગંભીર સ્પેલિંગ એરર પણ જાણવા જેવી છે. બે એક વર્ષ પહેલા શિકાગોમાં રહેતા મિશેલ ડુપલેસિસ નામના યુવાનને પોતાના શહેરનું નામ છાતી પર કોતરાવવાની ઈચ્છા થઈ. તેમણે ટેટુ આર્ટિસ્ટને જઈને ચેસ્ટ પર chi-Town લખી આપવા કહ્યું. પેલા ટેટુ આર્ટિસ્ટે chi-Tonw લખી નાખ્યું. વળી, આ ટેટુ એટલું મોટું હતું કે તેમાં હવે કશો ફેરફાર કરવાનો કોઈ જ મતલબ ન હતો. આખરે મિશેલ પાસે આ ખોટા નામ સાથે ફરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

શિકાગોમાં chi-Town નામના ટેટુનો કેઝ ખૂબ સામાન્ય છે એટલે બની શકે કે આર્ટિસ્ટ થોડા વધુ પડતા આત્મ વિશ્વાસમાં પણ રહ્યો હોય. કારણ જે હોય તે, પણ હવે મિશેલનું આ ટેટુ બધાથી અલગ તો ચોક્કસ પડી ગયું છે.
Sunday, 10 November 2013
Posted by Harsh Meswania
Tag :

સોશ્યિલ એક્ટિવિસ્ટ :પરિવર્તનની ઝંખના હતી, પરલોક મળ્યું!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'શાહિદ'માં શાહિદ આઝમી નામના વકીલ-હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કેવા સંજોગોમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેનું ખૂબી પૂર્વક ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ પહેલો બનાવ નથી, અહીં થોડા એવા લોકોની વાત કરીએ કે જેમણે પોતાનો જીવ દઈને પણ સિસ્ટમ બદલવાની કોશિશ કરી હતી...
પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ 'સત્યાગ્રહ'માં દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન)નો એન્જિનિયર પુત્ર અખિલેશ (ઈન્દ્રનીલ સેનગુપ્તા) સરકારના બાંધકામ વિભાગમાં કામ કરે છે. અચાનક એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. હોનહાર સરકારી ઈજનેરનું અકાળે અવસાન થયું હોવાથી મિનિસ્ટર બલરામ સિંહ (મનોજ વાજપેયી) તેના પરિવારને સહાય આપવાની જાહેરાત કરે છે. સરકાર સહાય આપવામાં ઠાગા ઠૈયા કરે છે એટલે એ મામલે દ્વારકા આનંદ એક ઉચ્ચ અધિકારીને તમાચો મારે છે અને પછી માનવ (અજય દેવગન) સોશ્યિલ મીડિયાને બખૂબી પ્રયોજીને દ્વારકા આનંદને જેલમાંથી છોડાવે છે.
પછી તો ફિલ્મમાં બીજુ ઘણું બધુ બને છે, પણ એક મહત્ત્વની વાત માનવને એ ખબર પડે છે કે અખિલેશને માર્ગ અકસ્માતના બહાને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો, કારણ કે તેની ઈમાનદારી ભ્રષ્ટ અધિકારીઓની પ્રગતિ આડે આવતી હતી.
આ કહાની તો પૂરી ફિલ્મી છે, પરંતુ બિહારમાં આવી એક સાવ સાચુકલી ઘટના બની છે. એક ઈમાનદાર સરકારી ઈજનેર તેના જ ઉચ્ચ અધિકારીઓે અને સડક બાંધતા દલાલોની બેઇમાની સામે લડતો હતો. ભ્રષ્ટ સિસ્ટમની સામે પડેલા આ ઈજનેરનો અંજામ પણ એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યો હતો.
                                                                         * * *
સત્યેન્દ્ર દૂબે : ભ્રષ્ટાચારીઓના માર્ગમાં દિવાલ બનનારા ઓફિસર
વાત ૨૦૦૨ની છે. બિહારના સિવાન જિલ્લાના શાહપુર ગામમાં ઉછરેલો, કાનપુરની પ્રતિષ્ઠિત આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સિટિટયૂટ ઓફ ટેકનોલોજી)માંથી બી.ટેક અને આઈઆઈટી વારાણસીમાંથી એમ.ટેક થયેલો એક ૨૯ વર્ષનો યુવાન નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બિહારના કોડારમા જિલ્લામાં સહાયક પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાય છે.
યુવાને પોતાની નિગરાની હેઠળ ચાલતા દિલ્હી, અલ્હાબાદ, કાનપુર અને વારાણસીને જોડતા ૪૦૦ કરોડના ખર્ચે બની રહેલા રસ્તામાં કેવી લોલમલોલ ચાલે છે તે સાવ નજીકથી નિહાળ્યું. એક તરફ રસ્તો બને અને બીજી તરફ થોડા જ સમયમાં ખાડા પડી જાય! આવી સ્થિતિમાં આ નવનિયુક્ત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે રસ્તો ફરીથી બનાવવા કોન્ટ્રાક્ટરને ફરજ પાડી. તેણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતથી વાકેફ કર્યા, પણ તેની વાતને કાને ધરવાને બદલે થોડા જ સમયમાં તેની બદલી ગયા કરી દેવામાં આવી. ગયા પણ આવી જ હાલત હતી. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કંઈ ખાસ ઉકેલ ન મળતા તેણે વડાપ્રધાનને પત્ર લખ્યો એટલે હવે આ ઈજનેર ભ્રષ્ટ અધિકારીઓની નજરમાં બરાબર આવી ગયો.
બીજી તરફ તેના કામની કદર રૂપે ડિસેમ્બર ૨૦૦૩થી શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે તેની પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી અને એ સાથે જ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ શોભાવતા સ્થાપિત હિતોના પેટમાં તેલ રેડાયું. નવી જવાબદારી નિભાવે એ પહેલા જ ગયામાં ૨૭ નવેમ્બરે ગોલી મારીને આ યુવા હોનહાર-ઈમાનદાર ઈજનેરની હત્યા કરી નાખવામાં આવી.
આ કહાની સત્ય માટે લડત ચલાવતા બિહારના સત્યેન્દ્ર દૂબે નામના ઈજનેરની છે. દૂબેની હત્યાની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી હતી. તેમાં થોડા આરોપીઓને સજા પણ થઈ છે. જોકે, કાયમ ભારતમાં બને છે એવું આ કિસ્સામાં પણ બન્યું. નાની બે ત્રણ માછલીઓને જાળમાં ફસાવી લેવામાં આવી અને મોટા માથાઓ આબાદ બચી ગયા!
મંજુનાથ ષણમુગમ : ઓઇલ માફિયાઓ સામે આગ ઓકનારો યુવાન
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેના પર ફિલ્મ બનાવશે એ મંજુનાથ ષણમુગમ નામના ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના યુવા માર્કેટિંગ અધિકારીનો ગુનો એટલો કે તેણે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જિલ્લાના ઓઇલ માફિયાઓ સામે લડત શરૂ કરી હતી અને એટલે તેણે પોતાના જાનની આહૂતિ આપવી પડી.
લખનઉની ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ૨૦૦૫ના વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરીને મંજુનાથે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કારકિર્દી શરૃ કરી. પ્રારંભે જ મંજુનાથને ઓઇલ માફિયા વિરૃદ્ધ લડવાનું આવ્યું. તેની કામ કરવાની પદ્ધતિથી ઓઇલ માફિયાઓમાં પહેલાથી જ ફફડાટ ફેલાઈ ગયો હતો. ૧૯ નવેમ્બર, ૨૦૦૩ની રાત્રે એક પેટ્રોલપંપમાં તપાસ કરવા ગયા પછી તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા-ત્રીજા દિવસે ખૂબ જ ખરાબ રીતે મારીને ફેંકી દીધેલી તેની લાશ મળી હતી. ૬ ગોલી મારીને મંજુનાથની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપના માલિકના પુત્ર પવનકુમાર મિત્તલ અને તેના બીજા ૬ સાથીદારોએ મળીને મંજુનાથની હત્યા કર્યાનું કોર્ટમાં સાબિત થયું હતું અને પવનકુમારને ફાંસીની સજા ફટકારવામાં આવી. મંજુનાથના મર્ડરમાં ભાગીદાર અન્ય તમામ આરોપીઓને જેલની સજા કરવામાં આવી. હાઇકોર્ટે પવનકુમારની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી છે.
લખનઉ આઈઆઈટીના વિદ્યાર્થીઓએે મંજુનાથના નામ પરથી એક ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ સંસ્થા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા લોકોને પીઠબળ પુરું પાડવાનું કામ કરે છે. માત્ર ૨૭ વર્ષના આ યુવાને ઓઇલ ક્ષેત્રે ચાલતા તિકડમ સામે અવાજ ઉઠાવ્યો હતો એટલેે તેનો અવાજ હંમેશા માટે શાંત કરી દેવામાં આવ્યો હતો.

ડૉ. નરેન્દ્ર દાભોલકર : તાંત્રિકોના તંત્ર સામે તિખારો મૂકનારા તબીબ 
છેલ્લા ત્રણ દશકાથી મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા ડૉ. નરેન્દ્ર દાભોલકરની સંસ્થાની ૨૦૦ જેટલી શાખાઓ રાજ્યભરમાં ફેલાયેલી છે અને એના દ્વારા તેમણે ચમત્કારનો દાવો કરનારા કેટલાય કહેવાતા સિદ્ધોને ઉઘાડા કર્યા હતા. તેમણે ચમત્કારો પાછળનું સાયન્સ લોકો સુધી પહોંચાડયું હતું.
એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી તેઓ દર્દીના ડોક્ટર બનવાને બદલે સમાજના ડોક્ટર બની ગયા. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોના દુઃખ-દર્દ દૂર કરવાનો દાવો કરનારા ઢોંગી બાબાઓ અને તાંત્રિકોની ચૂંગાલમાં ફસાતા સમાજને સાચી સમજ આપવા માટે ડો. દાભોલકરે કામ શરૂ કર્યું. તેમના આ કામથી ઢોંગી તાંત્રિકોની ધીકતી દુકાનો બંધ થવા લાગી અને એટલે ડૉ. દાભોલકર અંધવિશ્વાસ ફેલાવતા તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.
તેમને ધમકીભર્યા પત્રો પણ મળ્યાં હતા કે આ પ્રવૃત્તિને વિરામ આપજો નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો! તાંત્રિકો ઉપરાંત મહારાષ્ટ્રના રૂઢિવાદીઓની નજરમાં પણ તેઓ આવી ચૂક્યા હતા. અંતે ૨૦ ઓક્ટોબર, ૨૦૧૩ની વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવારોએ બે ગોળી મારીને તેમની સરાજાહેર હત્યા કરી નાખી. અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાના પરિણામે ડો. દાભોલકરે જીવ આપી દીધો, પરંતુ ૩૦-૩૦ વર્ષ સુધી આવા તત્ત્વો સામે સંગીન લડત આપીને એક સજ્જડ દાખલો પણ બેસાડયો.

રેમકુમાર ઝા :
બાંધકામના બદમાશોની બદનજરનો શિકાર
ભ્રષ્ટાચાર-અત્યાચાર વિરોધી સમિતિના રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી પ્રેમકુમાર ઝા મહારાષ્ટ્રના બાંધકામ વિભાગમાં ચાલતા ગોટાળા સામે મેદાને પડયા હતા. બાંધકામ વિભાગના અધિકારીઓ અને વચેટિયાઓમાં તેના નામની ધાક હતી. ભ્રષ્ટાચાર રોકવાનું જે કામ સરકાર નહોતી કરી શકતી તે કામ પ્રેમકુમાર એકલા હાથે કરી રહ્યા હતા. ખાસ તો મુંબઈના વિરાર અને વસઈ વિસ્તારમાં ચાલતા કેટલાય બાંધકામોમાં થઈ રહેલી ગેરરીતિ તેમણે ઉઘાડી પાડી હતી.
એટલું જ નહીં, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ગેરકાયદે થઈ રહેલા બાંધકામોને પણ તેમણે પડકાર્યા હતા. થોડાં જ સમયમાં ખાનગી અને સરકારી એમ બંને ક્ષેત્રના ભ્રષ્ટ લોકોએ પ્રેમકુમારને દુશ્મન માની લીધા હતા. ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૩ના રોજ વિરાર પાસે રસ્તામાં પ્રેમકુમાર બાઇક પર જઈ રહ્યાં હતા ત્યારે તેમના માથામાં બૂલેટ ધરબી દઈને તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું.
કમનસીબી તો એ હતી કે પોલીસ કેસને રફેદફે કરવાની વેતરણમાં હતી. શરૂઆતમાં પોલીસ રજિસ્ટરમાં પ્રેમકુમારના મૃત્યુની અકસ્માત તરીકે નોંધ થઈ હતી. તેમના પરિવારે મર્ડર થયાની દહેશત વ્યક્ત કરી ત્યારે અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેમના માથામાંથી એક બૂલેટ મળી આવી ત્યારે છેક પોલીસે અંતે મર્ડરની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, હજુ પણ તેનું ખૂન કોણે કર્યું તે જાણવામાં પોલીસને સફળતા નથી મળી.
                                                                            * * *
આ તો નોંધપાત્ર અને જાણીતા કિસ્સાઓ છે. રસ્તાની બનાવટમાં, બાંધકામમાં, ઓઇલ ક્ષેત્રે અને ધાર્મિક અંધશ્રદ્ધા સામે લડતા એક્ટિવિસ્ટ ઉપરાંત દર વર્ષે આરટીઆઈ (રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ)નો ઉપયોગ કરનારા કેટલા બધા લોકો સામે કશીક મુશ્કેલી ખડી કરવામાં આવતી હોવાના ઘણાં બધા બનાવો બને છે.
એક સરકારી આંકડા પ્રમાણે આરટીઆઈનો કાયદો આવ્યા પછી આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરના દેશભરમાં ૨૫ કિસ્સા નોંધાયા છે. ગુજરાતમાં ૬ આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડર થયાનું કહેવાય છે. દેશભરમાં બહુ ગાજેલા અમિત જેઠવાના કેસમાં પણ થોડા થોડા સમયે નવા નવા ફણગા ફૂટતા રહે છે. આ બધામાં એક સામ્યતા છે કે બધાએ શાહિદ આઝમીની જેમ સિસ્ટમ સામે કે સ્થાપિત હિતો સામે પડવાની કિંમત પોતાની જાન આપીને ચૂકવી છે.
Sunday, 3 November 2013
Posted by Harsh Meswania
Tag :

'10'DULKAR Retired : સચિન અને ૧૦ નંબર બંને નિવૃત્ત

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચીન સાથે સચીનની ૧૦ નંબરની જર્સીને પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિવૃત્ત કરશે. ખેલાડીની સાથે તેના નંબરને પણ રિટાયર્ડ કરવામાં આવ્યા હોય એવા ઘણાં કિસ્સા નોંધાયા છે - વિશ્વભરમાં જુદી જુદી રમતોમાં ખેલાડીની સાથે નંબર્સનું પણ રિટાયર્ડમેન્ટ!
 
તેંડુલકર, આર્જેન્ટિનાના લિજેન્ડરી ફૂટબોલર ડિએગો મેરેડોના અને લિયોનેલ મેસ્સી, બ્રાઝિલના ઓલટાઇમ ગ્રેટ ફૂટબોલર ગણાતા પેલે ઉપરાંત બ્રાઝિલના જ કાકાના હુલામણા નામે ઓળખાતા રિકાર્ડો કાકા ઉપરાંત રોનાલ્ડિન્હો, એક સમયે ફ્રાન્સમાં ફૂટબોલના પર્યાય જેવા બનેલા ઝિનેદિન ઝિદાન અને નેધરલેન્ડના ફૂટબોલર જોહાન ક્રફ જેવા પોત પોતાની રમતમાં એક ઊંચાઈ હાંસિલ કરનારા આ તમામ ખેલાડીઓમાં શું સામ્યતા છે?
 
આ બધા જ રમતવીરો ૧૦ નંબરની જર્સી પહેરીને મેદાનમાં વિરોધી ટીમને ભીંસ પાડવા ઉતરતા (કે અમુક હજુય ઉતરે છે) હતા. રમતપ્રેમીઓના આ ચહિતા ખેલાડીઓ અને તેનો જર્સી નંબર એકબીજાનો પર્યાય જેવા બની ગયા હતા. સચિન તેંડુલકરના સન્માનમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ની તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે હવે પછી જર્સીમાં ૧૦ નંબર કોઈને પણ નહીં અપાય તેવી જાહેરાત કરી છે. વળી, અમુક ક્રિકેટ પ્રેમીઓની તો એવીય લાગણી છે કે નેશનલ ટીમમાં પણ ૧૦ નંબર અન્ય એક પણ ખેલાડીને આપવામાં ન આવે.

 જર્સી, નંબર અને ખેલાડીઓ
ખેલાડીઓ માટે જર્સીમાં નંબર લખવાનો ધારો ફૂટબોલથી આવ્યો છે. ૨૦મી સદીના બીજા દશકાથી ફૂટબોલમાં ખેલાડીની જગ્યા મુજબ નંબર આપવાનું શરૃ થયું હતું. ત્યારે જર્સીમાં ખેલાડીનું નામ લખવાનું શરૃ નહોતું થયું. જે ખેલાડી ટીમનું નેતૃત્વ કરતો હોય તેને ૧ નંબર અપાતો હતો. કોઈક ટીમમાં ગોલકિપરને પણ નંબર ૧ આપવામાં આવતો હતો. દરેક મુકાબલામાં ખેલાડીઓ અલગ અલગ નંબરની ટિ-શર્ટ સાથે મેદાનમાં ઉતરતા હતા. ૧૯૫૪માં સ્વિટ્ઝર્લેન્ડમાં રમાયેલા ફૂટબોલ વિશ્વકપમાં પહેલી વખત ખેલાડીઓ નામ અને નંબર બંને સાથે જોવા મળ્યા હતા. એ પછી ઘણી બધી અન્ય રમતોમાં ફૂટબોલની જેમ યુનિફોર્મમાં નામ અને નંબર લખવાનું શરૃ થયું હતું. ખાસ તો ક્લબ કક્ષાની તમામ રમતોમાં નામ અને નંબર બંને હોય એવા સ્પોર્ટ્સ ડ્રેસને ખૂબ જ લોકપ્રિયતા મળવા લાગી હતી. ખેલાડીઓ પોતાના નંબરને લઈને બહુ ગંભીર નહોતા એટલે થોડા થોડા સમયે જર્સીના નંબર બદલતા રહેતા હતા. ૧૯૭૦ બાદ ખેલાડીઓ કોઈ એક નંબરનો વર્ષો સુધી સાથ નિભાવતા થયા હતા. ત્યાર બાદ તો બાસ્કેટ બોલ, રગ્બી, આઇસ હોકી, ઓટો રેસિંગ, બેઝ બોલ, ફિલ્ડ હોકી અને સાયકલિંગમાં ખેલાડીની જર્સીમાં નામ ઉપરાંત નંબર અગત્યના બની રહેવા લાગ્યા હતા.

 ખેલાડી સાથે નિવૃત્ત થયેલા જર્સી નંબર
અમેરિકાની સિનસિનાટી રેડ્સ નામની બેઝબોલ લીગના એક ખેલાડી વિલાર્ડ હેર્શબર્ગરે ઓગસ્ટ, ૧૯૪૦માં રમત સેશન દરમિયાન જ આત્મહત્યા કરી લીધી હતી એટલે પોતાની ટીમના આ આશાસ્પદ ખેલાડીની યાદમાં સિનસિનાટી રેડ્સે પાંચ નંબરને રિટાયર્ડ કરી દીધો હતો. આ ઘટનાને ૭૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજેય આ ક્લબ દ્વારા કોઈ પણ ખેલાડીને પાંચ નંબર આપવામાં આવતો નથી. કદાચ ખેલાડીની સાથે નંબરને નિવૃત્ત કરવાનો આ પહેલો કિસ્સો હતો.
 
અમેરિકાના ૩૮માં પ્રમુખ જીરાલ્ડ ફોર્ડ કોલેજકાળમાં ફૂટબોલના ખૂબ સારા ખેલાડી હતા. ફોર્ડ ૪૮ નંબરની જર્સી પહેરતા હતા. ફોર્ડ ૧૯૭૪માં દેશના પ્રમુખ બન્યા પછી તેઓ જ્યાં ભણતા હતા તે યુનિવર્સિટી ઓફ મિશિગને ૪૮ નંબરની જર્સીને તેમના સન્માનમાં રિટાયર્ડ કરી દીધી હતી. ક્લબ કક્ષાની રમતોમાં તો ખેલાડીના જર્સી નંબરને નિવૃત્ત કરવાના કંઈ કેટલાય ઉદાહરણો મળી રહે છે. જેમ કે, ઈટાલિયન ફૂટબોલ ક્લબ એસી મિલાને પોતાના બે સ્ટાર ખેલાડીઓ ફ્રેન્કો બરેસી માટે ૬ નંબર અને પાઓલો માલ્ડિની માટે ૩ નંબરને અલવિદા કર્યું છે.

ઈંગ્લેન્ડની અગ્રણી ફૂટબોલ ક્લબ ચેલ્સિયાએ તેમના લોકપ્રિય ખેલાડી જિયાનફ્રેંકો ઝોલાનો ૨૫ નંબર રિટાયર્ડ કર્યો છે. ન્યુયોર્કની બાસ્કેટ બોલ ટીમ બૂ્રકલેન નેટ્સે હમણાં જ પોતાના સુપરસ્ટાર ખેલાડી જેસન કિડને ભાવભરી વિદાય આપવા માટે તેની પાંચ નંબરની જર્સીને નિવૃત્ત કરી છે. જોકે, બાસ્કેટ બોલમાં આ ઘટના પ્રથમ નથી. અગાઉ અમેરિકન બાસ્કેટ બોલના લોકપ્રિય ખેલાડી માઈકલ જોર્ડનને શિકાગો બેલ્સ વતી રમીને નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારે ૧૯૯૩માં તેના ૨૩ નંબરને રિટાયર્ડ કરાયો હતો. ફરી વખત જોર્ડને નિવૃત્તિ પાછી ખેંચીને રમવાનું શરૃ કર્યું ત્યારે પહેલા તેણે ૪૫ નંબરની જર્સી પર પસંદગી ઉતારી હતી, પરંતુ થોડા સમયમાં તેણે ફરીથી ૨૩ નંબર અપનાવી લીધો હતો. હવે ૨૩ નંબરને કાયમ માટે જોર્ડનના સન્માનમાં નિવૃત્ત કરાયો છે.
સામાન્ય રીતે જર્સીને રિટાયર્ડ કર્યા પછી ઘણી વખત કોઈ ટીમ તેના એવા જ બીજા સ્ટાર ખેલાડીને એ નંબર આપતી હોય છે. અથવા તો એનો એ જ ખેલાડી જ્યારે કોચ બને ત્યારે તેના જૂના નંબર સાથે જોવા મળે છે. વિશ્વભરની અલગ અલગ ફૂટબોલ લીગ દ્વારા ૧૪૦ જેટલા નંબર્સને રિટાયર્ડ કરવામાં આવ્યા છે. એ રીતે બાસ્કેટબોલ ટીમ ૧૪૫ નંબર્સ, દુનિયાભરની હોકીની લીગ દ્વારા ૯૭ જેટલા વિભિન્ન નંબર્સ અને બેઝબોલમાં જુદી જુદી ટીમ મારફતે ૧૦૦ જેટલા યુનિફોર્મ નંબરને ગુડબાય કરી ચૂકી છે.
 
ક્રિકેટમાં કોઈ ખેલાડી માટે નંબરને નિવૃત્તિ આપવામાં આવી હોય તેવો સચિનનો પ્રથમ કિસ્સો છે. ક્રિકેટમાં નંબરવાળી જર્સીની શરૃઆત અન્ય રમતોની તુલનાએ મોડી થઈ હતી.

 ક્રિકેટ અને જર્સી નંબર
પહેલા ક્રિકેટર્સની જર્સીમાં માત્ર નામ જ લખવાનું ચલણ હતું. ખેલાડીઓની જર્સીમાં નંબર આપવાની પ્રથા છેક ૧૯૯૫ આસપાસ શરૃ થઈ હતી અને એનો યશ ઓસ્ટ્રેલિયન ટીમને આપવો રહ્યો. ૧૯૯૫માં રમાયેલી વર્લ્ડ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વખત ખેલાડીઓની જર્સીમાં નામ અને નંબર લખ્યા હતા. લિજેન્ડરી સ્પિનર શેન વોર્ન છેક સ્કૂલ ક્રિકેટના સમયથી જ ૨૩ નંબરની જર્સી પહેરવાનું પસંદ કરે છે અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવા સુધી તેમણે ૨૩ નંબરનો સાથ નિભાવ્યો હતો. રિકી પોન્ટિંગે પણ ૧૪ના આંકડા સાથે સાતત્ય જાળવી રાખ્યું હતું.

૧૯૯૯ના વિશ્વકપમાં તમામ ખેલાડીઓ માટે નંબરવાળી જર્સી પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. જોકે, બધા ક્રિકેટર્સ પોતાની જર્સીમાં એકનો એક નંબર રાખવા બાબતે ગંભીર થયા ન હતા. સામાન્ય રીતે સુકાનીઓને ૧ નંબર ફાળવાયો હતો અને બાકીના ખેલાડીઓ અડસટ્ટે જ નંબર પસંદ કરી લેતા હતા. ભારતમાં સચિને ૧૯૯૯માં પ્રથમ વખત તેમની જર્સી પાછળ ૧૦ નંબરને સ્થાન આપ્યું હતું, પણ એક વર્ષ બાદ એને બદલીને ૯૯ નંબર અપનાવ્યો હતો. સામાન્ય રીતે ૯૯ નંબર સાથે સૌરવ ગાંગુલીનું સ્મરણ થઈ આવે, પરંતુ એ પહેલા સચિને ૨૦૦૦ના વર્ષમાં આ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું હતું. જોકે, એક વર્ષ બાદ ૨૦૦૧માં ફરીથી તેમણે ૧૦ નંબર પર પસંદગી ઢોળી હતી. પછીથી તેમણે નિવૃત્તિ સુધી ૧૦ નંબર જાળવી રાખ્યો છે.

બેટિંગમાં ધીરજવાન ગણાતા રાહુલ દ્રવિડે જર્સી નંબરમાં પણ સ્થિરતા જાળવી રાખી હતી. તેનો નંબર પહેલેથી છેલ્લે સુધી ૫ જ રહ્યો હતો. ધોનીએ પણ શરૃઆતથી જ ૭ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું છે. પૂર્વ સુકાની ગાંગુલીએ પ્રારંભમાં ૨ નંબર, કેપ્ટન બન્યા પછી ૧ નંબર અને ત્યાર બાદ ૯૯ અને ૨૧ નંબરને એક પછી એક જર્સીમાં સ્થાન આપ્યું હતું. સચિનની સાથે તેના જર્સી નંબર પણ રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે ફરી એક વખત ફૂટબોલર પાઓલો માલ્ડિનીની વાત યાદ કરી લઈએ. એસી મિલાન ક્લબે એવી જાહેરાત કરી છે કે માલ્ડિનીના બેમાંથી કોઈ એક પણ પુત્ર ભવિષ્યમાં ક્લબ માટે રમશે તો ૩ નંબરની જર્સી તેના માટે ઉપલબ્ધ કરવામાં આવશે. સચિન પુત્ર અર્જુન પણ ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યો છે અને જો ભવિષ્યમાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે તો બની શકે કે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ તેની જર્સી પાછળ '૧૦'ડુલકર લખાવવાનું પસંદ કરે!
Sunday, 27 October 2013
Posted by Harsh Meswania
Tag :

લંચ બોક્સ : ભૂખનું ભાતું!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ગયા મહિને રિલીઝ થયેલી અને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પામેલી બોલિવૂડની ફિલ્મ 'ધ લંચબોક્સ' માં લંચ બોક્સ પોતે જ એક કેરેક્ટર હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ 'ધ લંચબોક્સ'ની વાત નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર જેવો મરતબો ભોગવતા લંચ બોક્સે પોતે જ પોતાની વ્યથા-કથા માંડી છે.....

 મારું નામ લંચ બોક્સ, પણ આમ જૂઓ તો આ મારું એક માત્ર નામ ન કહી શકાય. કોઈ મને ટિફિન કહે છે તો ક્યાંક હું ડિબ્બા કે ડબ્બાના નામે પણ ઓળખાઉં છું. મારા જન્મ વિશે મને કોઈ ખાસ જાણકારી યાદ નથી. વળી, જન્મ સ્થળ વિશે પણ હું કશુંક ચોક્કસ કહી શકું તેમ નથી, પણ હા, ૧૮મી સદીમાં મને લઈને ખેડૂતો ખેતરે જતા એ મને થોડું થોડું સાંભરે છે. મને એનું પણ સ્મરણ છે કે પહેલા મારો દેખાવ આજના જેવો ન હતો. ત્યારે તો હું બાળક હોઈશને એટલે એકાદ કટોરી જેટલી મારી સાઇઝ હતી! પછી ધીરે ધીરે સંખ્યામાં અને કદમાં વધારો થતો ગયો. ભારત જેવા દેશમાં તો પરણેતર મને માથે મૂકીને ખેતરમાં કાળઝાળ તાપમાં કામ કરતા પોતાના પતિને હાથો હાથ થમાવે અને પછી સામે બેસીને તેને જમાડીને મને સાથે લઈને ગામમાં પાછી આવે. આવો તો રોજિંદો ક્રમ.

 વિદેશમાં મને થોડો અલગ અનુભવ થયો છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશોમાં હું કામદારોના સાથીદાર તરીકે તેનો બરાબર સાથ નિભાવતું હતું. એમ તો અમેરિકાના એક લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ ૧૯૬૫માં 'અ મુવેબલ ફિસ્ટ' નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. તેમાં તેણે મારા વિશે ઘણી વાતો કરી છે. એ મુજબ પહેલા પરદેશમાં તમાકુના ખાલી ડબ્બા એ મારો કાયમી પોશાક રહેતો. બોર્સ હેડ ટોબેકો નામની ત્યારની તમાકુ કંપનીના ખાલી ડબ્બામાં ભરીને ખેડૂતો અને કારખાનાઓમાં કામ કરતા મજૂરો બપોરનું ખાવાનું લાવતા. શરૃઆતમાં મારું કામ માત્ર બપોર પુરતું જ મર્યાદિત રહેતું હતું, પણ પછી તો બપોર ઉપરાંત રાત્રે પણ હું કામમાં આવતું હતું. દેશની ખાસિયત મુજબ મારી અંદર મૂકવામાં આવતી વાનગી બદલાતી રહેતી, પણ મારું કામ થાકેલા કામદારોના પેટ ભરવાનું રહેતું હતું. એનું પેટ ભરાય એ સંતોષથી હુંય તૃપ્ત થતું..

 આમ ને આમ ૧૮મી સદી તો વીતી ગઈ. એમાં પછી ખાસ કંઈ નવું ન થયું, પણ ૧૯મી સદી મારા માટે બહુ યાદગાર બની રહેવાની હતી. કેમ કે એ સૈકામાં મારા દેખાવમાં મહત્ત્વના ફેરફાર આવ્યા. ખાસ તો તમાકુના ડબ્બાને બદલે બિસ્કિટના ટીન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત કલાઈના પતરાનો મારા માટે ઉપયોગ થવા લાગ્યો હતો. તો વળી, ક્યાંક ક્યાંક પાતળા લાકડામાંથી મારો દેહ બનાવવામાં આવી રહ્યો હતો. મેટલનો ઉપયોગ પણ આ સદીમાં શરૃ થયો હતો. લંબચોરસ દેખાવમાંથી હું ગોળમટોળ પણ દેખાવા લાગ્યું હતું. હવે ખરેખર જ મારા દેખાવમાં વિભિન્તા આવવા લાગી હતી. એ જોઈને ઘણી વખત મને પણ આનંદાશ્વર્ય થતું હતું. ધીરે ધીરે મારા પર ઉનનું હેન્ડલવાળું બાસ્કેટ ચડાવવાનો ટ્રેન્ડ આવ્યો હતો અને કામદારો એ બાસ્કેટમાં મને ઉંચકીને લઈ જવા લાગ્યા હતા. સાચુ કહું તો મને આ નવો અવતાર ગમવા લાગ્યો હતો, પણ ૨૦ સદી આવતા આવતા તો વળી એવા નાના મોટા કંઈ કેટલાય ફેરફાર થયા હતા. હવે મારી બનાવટ ધાતુમાંથી થવા લાગી હતી. એટલું જ નહીં, અમુક ઉત્પાદકોએ મને નવા રૃપ-રંગ સાથે માર્કેટમાં મૂકવાની ચોક્કસ યોજના પણ ઘડી કાઢી હતી.

 આ સદીમાં મેં ઘણા લિબાસ બદલ્યા. મારી લોકપ્રિયતા પણ વધતી ચાલી. બાળકો બધાને વ્હાલા હોય, પણ બાળકોને હું બહુ વ્હાલું હતું એ જોઈને મને બહુ આનંદ આવતો હતો. એમાં પણ મને લીધા વગર બાળકો શાળાએ ન જવાની જીદ પકડે ત્યારે તો હું મનોમન બહું પોરસાતું હતું.! આ સમયગાળામાં વ્હાલા બાળકોનો મને ખૂબ પ્રેમ મળવા લાગ્યો અને એનો પ્રારંભ થયો ૧૯૦૨ના વર્ષથી. તે વર્ષે પહેલી વખત મારા રંગ-રૃપ બાળકોને અનુરૃપ સજાવવામાં આવ્યા. મને એક પિકનિક બાસ્કેટ જેવું બનાવાયું સાથે એક બાજુ બાળકોને મનોરંજન આપે એવા ચિત્રો પણ મૂકવામાં આવતા હતા. એકધારા દેખાવમાં આવેલો આ પહેલો બદલાવ હતો. ૧૯૩૫માં એક મોટો વળાંક આવ્યો. પહેલી વખત ફ્રે પ્રોડક્શને મને લાઇસન્સ વર્ઝનમાં રજૂ કર્યું. ૧૯૨૮માં સર્જાયેલાં અને ઓલટાઇમ લોકપ્રિય રહેલાં મિકી માઉસ કાર્ટૂન કેરેક્ટરને મારી એક બાજુ મૂકવામાં આવ્યું હતું. મારા આ નવા દેખાવને જોત જોતામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી તો નવા નવા સર્જાતા જતાં કાર્ટૂન કેરેક્ટર્સ સાથે મારી સારી જુગલબંધી જામવા લાગી હતી. આવો જ બીજો મોટો વળાંક ૧૯૫૦ના વર્ષમાં આવ્યો. અલાદિન ઈન્ડસ્ટ્રીએ 'હોપઅલોંગ કેસિડી' નામની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને મને 'હોપી'ના નવા નામે માર્કેટ સર કરવા રજૂ કર્યું અને એ સાથે જ ઈતિહાસ સર્જાય ગયો. મારો આ નવો અવતાર અલાદિન ઈન્ડસ્ટ્રી માટે દૂઝણી ગાય સમાન નિવડયો. એ જમાનામાં બહુ કહેવાય એવા ૧૪૭ રૃપિયા જેવો ભાવ હોવા છતાં એક જ વર્ષમાં મારા પાંચથી છ લાખ નંગ ખપી ગયા. ત્યાર બાદ કાર્ટૂનની જેમ ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને કેટલાય ઉત્પાદકોએ મને નિતનવા અવતારમાં બજારમાં મૂક્યું હતું. મને નવા રૃપ-રંગમાં બજારમાં મૂકનારા દરેક ઉત્પાદકને ફાયદો થાય એવી મારી હંમેશા કોશિશ રહેતી હતી.

 સાથે જ કામદારો માટેના મારા દેખાવમાં પણ પરિવર્તન આવવાનું શરૃ થયું હતું. ભારેખમ તમાકુના ડબ્બાઓ અને બિસ્કિટ ટીનની જગ્યાએ કામદારો પણ સાચવવામાં હળવા થયેલા મારા નવા રંગ-રૃપથી થોડા વધુ આકર્ષાયા હોય એવું મને લાગતું હતું. એટલું જ નહીં, હવે તો કામદારો ઉપરાંત સાહેબોમાં પણ ધીરે ધીરે મારો વટ જામતો જતો હતો. અલબત્ત, એવા સાહેબો મારા થોડા મોંઘા અને લેટેસ્ટ દેખાવને વધુ અપનાવતા હતા. વળી, હવે નવા ઉત્પાદકોએ મારી અંદર રાખેલી સામગ્રી ગરમ રહે તેવી પણ કશીક ટેકનિક શોધી કાઢી હતી. જો હું ન ભૂલ્યું હોઉં તો સ્કોટલેન્ડના વિજ્ઞાાની સર જેમ્સ ડેવરે થર્મોસની ટેકનિક વિકસાવી હતી, જેનો લાભ લઈને ઉત્પાદકોએ મને નવી રીતે બજારમાં મૂકવાનું શરૃ કર્યું હતું.

 ૧૯૫૪ના વર્ષમાં કેનેડાના ઓન્ટારિઓમાં કામ કરતો લિઓ મે નામનો એક કામદાર મને સાથે લઈને કામ પર જતો હતો ત્યારે અકસ્માતે મારું મેટલમાંથી બનેલું જૂનું વર્ઝન તૂટી ગયું એટલે એ કામદારે મને વધુ મજબૂત બનાવવાની કવાયત આદરી. તેણે થોડી મથામણને અંતે મને વળી એક નવું સ્વરૃપ આપ્યું, જે વધારે મજબૂત હોવાથી વર્ષો સુધી ખૂબ પોપ્યુલર રહ્યું. મારો એ નવો દેખાવ એલ્યુમિનિયમમાંથી બનાવાયો હતો. જોકે, એ જ સમયગાળામાં મારા અલગ અલગ ધાતુમાંથી બનાવાયેલા કંઈ કેટલાય સ્વરૃપ હવે બજારમાં દેખાવા લાગ્યા હતા. ૧૯૫૯માં પ્રથમ વખત પ્લાસ્ટિકનું પિતરાઈ કહેવાય એવા વિનાઇલમાંથી મને બનાવાયું. ધીરે ધીરે દેખાવમાં હું થોડું વધારે આધૂનિક લાગતું હતું. જોકે, હજુ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ નહોતો થયો. ૧૯૬૦ના વર્ષમાં પહેલી વખત પ્લાસ્ટિકમાંથી હેન્ડલ બનાવાયું હતું. પ્લાસ્ટિક પ્રમાણમાં સસ્તું હોવાથી અને તેમાંથી ઈચ્છા મુજબ આકાર આપી શકાતો હોવાથી ધીરે ધીરે મારી બનાવટ પ્લાસ્ટિકમાંથી થવા લાગી હતી. શરૃઆતના તબક્કે માત્ર અંદરનો ભાગ પ્લાસ્ટિકથી મઢવામાં આવતો હતો, પણ પછી તો ચોમેર પ્લાસ્ટિકના મારા દેખાવની બોલબાલા થવા લાગી હતી. એક જ દશકામાં કેટલાં બધા ઉત્પાદકો વિશ્વભરમાં મને પ્લાસ્ટિકમાંથી બનાવવા લાગ્યા હતા. હવે તો અંદર પાણી કે પછી અન્ય કોઈ પ્રવાહી સાચવી શકાય એવી જગ્યા રાખવાનું પણ શરૃ થયું હતું. એક ડબ્બાથી શરૃ થયેલી મારી સફર હવે આખો આખો પરિવાર બન્યો હોય એવું મને ક્યારેક ક્યારેક લાગતું હતું. કેમ કે, ખાવાનું રાખવા ઉપરાંત પણ અંદર ઝીણા મોટી વસ્તુઓ રાખી શકાય એવી ગોઠવણ કરવામાં આવવા લાગી હતી. મને એમ પણ લાગતું હતું કે છેલ્લી એક સદીમાં મારામાં જેટલા ફેરફાર નહોતા આવ્યા એટલા તો માત્ર એક જ દાયકામાં આવ્યા હતાં. જોકે, પછી સમજાયું કે મારે તો હજુ કેટલાય પરિવર્તનો જોવાના બાકી હતા! કેમ કે, અલગ અલગ ધાતુના મિશ્રણથી મારા નવા નવા સ્વરૃપને બજારમાં મૂકવામાં આવી રહ્યાં હતા. એમાં સ્ટીલનો પણ સમાવેશ થતો હતો. સ્ટીલ સાથે મારે સૌથી લાંબો સંબંધ કેળવાયો. સ્ટીલમાંથી મારા કંઈ કેટલાય દેખાવ વિકસાવીને વિશ્વભરમાં મૂકવામાં આવ્યા. ક્યાંક માત્ર સ્ટીલ તો ક્યાંક ઉપર પ્લાસ્ટિક અને અંદર સ્ટીલ એવો મેળ પણ બેસાડાયો. લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત અમુક સંસ્થાઓએ મારી પ્લાસ્ટિક કે વિનાઇલની બનાવટ સામે વાંધો દર્જ કર્યો એટલે એમ પણ સ્ટીલના મારા ચળવતા દેખાવ તરફ લોકો વધુ આકર્ષાયા હોઈ શકે છે એમ પણ મને ક્યારેક ક્યારેક લાગે છે. ભારત જેવા ઘણા બધા દેશોમાં તો એકલા સ્ટીલના મારા દેખાવને આજેય ખૂબ પસંદ કરવામાં આવે છે, પણ હા, સ્ટીલની સાથે સાથે બીજા એવા તો કેટલાય સ્વરૃપમાં મારી બોલબાલા છે. ભારતની વધુ એક વાત શેર કરી દઉં કે ભારતની ખૂબ લોકપ્રિય થયેલી 'શોલે' ફિલ્મ રિલીઝ થઈ એ પછી ભારતમાં મારા પર એ ફિલ્મના ચિત્રો પણ મૂકવામાં આવ્યા હતા. મારી સફળતાનું છેલ્લું ઉદાહરણ : મને લગતો એક સર્વે સમગ્ર વિશ્વમાં થયો હતો જેમાં સર્વેકર્તાઓએ નોંધ્યું છે કે હું જગતભરમાં ૪૦૦ કરોડ ઉપરાંત લોકોની દરરોજની પેટની ભૂખ સંતોષવાનું કાર્ય કરું છું!

૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સનું કલેક્શન
અમેરિકાના હિલ્સબોરોમાં રહેતા ફ્રેડ કાર્લસનને લંચ બોક્સ કલેક્શનનો અનોખો શોખ છેક ૧૮૮૦થી વિકસાવ્યો છે. શરૂઆતના વર્ષોથી લઈને અત્યાર સુધીના થોડા અલગ હોય એવા તમામ લંચ બોક્સ ફ્રેડ પાસેથી મળી રહે છે.
છેલ્લા ૩૪ વર્ષમાં તેમણે અલગ અલગ લગભગ ૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સ એકઠા કર્યા છે. તેમનું લંચ બોક્સ કલેક્શન આજે વેંચવા કાઢવામાં આવે તો તેની કિંમત સહેજેય લાખો ડોલર્સે પહોંચી જાય એવા મહત્ત્વના ડબ્બાઓ તેમણે સંઘરી રાખ્યા છે. પોતાના દરેક લંચ બોક્સ પાછળની સ્ટોરી ફ્રેડને અડધી રાતે પૂછો તો પણ તરત કહી સંભળાવે છે. આવો જ શોખ ઈંગ્લેન્ડના બ્રેન્ડન હેમિલ્ટનને પણ છે. ૨૮ વર્ષના આ યુવાન પાસે અલગ અલગ ૭૦ જેટલા દેશોના ઓછામાં ઓછા ૫૦૦ જૂના લંચ બોક્સ છે. તેમનો ઈરાદો બધા જ દેશોના શરૃઆતના તબક્કામાં વપરાતા લંચ બોક્સ એકત્ર કરવાનો છે.

Sunday, 20 October 2013
Posted by Harsh Meswania
Tag :

મોબાઇલ હોમ્સ : ઘર છે, પણ ઠેકાણું નથી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઘર હોય અને એ ઘરને કોઈ સરનામું જ ન હોય એવું બને ખરું? ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. આજે દુનિયામાં લાખો લોકો આવા સરનામા વગરના ઘરમાં રહે છે. આવા રહેઠાંણોને મોબાઇલ હોમ્સ એવા રૃપકડાં નામે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર થયો જેમાં સામે આવ્યું કે વિશ્વભરમાં લોકો એક યા બીજા કારણોસર મોબાઇલ હોમ્સમાં રહેવાનું વધુ પસંદ કરતા થયા છે.

 વેસ્ટવર્જિનિયામાં રહેતા ૨૭ વર્ષના મિશેલ બ્રેડેનના ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો મહેમાનોને રેલ્વે સ્ટેશને લેવા માટે મિશેલ ઘરને પણ સાથે લઈ જાય છે. સામાન્ય રીતે ઘરે પહોંચીને જે આગતા સ્વાગતા મળતી હોય છે એ મહેમાનને રસ્તામાં જ મળવા લાગે છે. જે જગ્યાએ ઘર રાખ્યું હોય છે ત્યાં પહોંચતા સુધીમાં તો મહેમાને ચા-નાસ્તો પણ કરી લીધો હોય છે.
લ્યુસિયામાં ૫૫ વર્ષના સ્ટીવન મિલર જ્યાં રહે છે ત્યાં પાણીની સમસ્યા છે. જો પાણી ન આવે એવી સ્થિતિ સર્જાય તો તેને પાણી ભરવા પાંચેક કિલોમીટર દૂરના વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે ત્યારે તે ઘરને સાથે લઈને પાણી ભરવા જાય છે. તેના ઘરની બધી ટાંકીઓ ભરીને તે ઘરને લઈને પાછા આવી જાય છે! સાંભળવામાં થોડી વિચિત્ર લાગતી આ વાત એકદમ સાચી છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ અને કોઈ મહેમાન આવવાના હોય એ સમયગાળામાં જો બહાર જવાનું હોય તો રમૂજમાં ઘણાં લોકો કહેતો હોય છે કે હું ભલે બહાર છું, પણ ઘર સાથે નથી લઈ જતો, ઘરે બાકીના સભ્યો તો છે જ! જોકે, હવે એવું કહેવાના દિવસો આવ્યા છે કે હું ઘરને સાથે લઈને બહાર ગામ જઈ રહ્યો છું એટલે થોડા દિવસ પછી ઘરે આવજો. દુનિયામાં આવા તો કેટલાય કિસ્સા છે જે અમુક કામ કરતી વખતે ઘરને પણ સાથે ને સાથે રાખે છે. દુનિયામાં આવા હરતા ફરતા ઘર ધરાવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો વધુને વધુ આવા ઘરોમાં રહેવાનું પસંદ કરતા થયા છે.
કહેવાય છે કે ઘર એટલે દુનિયાનો છેડો. ઘર એટલે હાશકારો. માણસ દુનિયા આખી ફરીને ઘરે આવે એટલે સ્વર્ગમાં આવ્યાનો અનુભવ કરે. એમાં પણ જેને સતત ઘરની બહાર જ રહેવાનું થતું હોય એના માટે ઘરમાં થોડા દિવસો પસાર કરવા મળે તો આનંદનો કોઈ પાર નથી રહેતો. બધાની ઈચ્છા હોય છે કે પોતાનું કોઈક કાયમી સરનામું હોય, કોઈક શોધતા આવી ચડે તો એક એવી જગ્યા તો હોય જ કે જ્યાં પોતે મળી જાય. પોતાનું કાયમી રહેઠાણ શોધવા માટે, ખરીદવા માટે કે બનાવવા માટે માણસ આખી જિંદગીની કમાઈ ખર્ચી નાખતા ખચકાતો નથી હોતો. પણ ધીરે ધીરે રહેવા માટેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાય રહ્યો છે. હવે તો લોકો એવા ઘર બનાવીને રહેવાનું પસંદ કરતા થયા છે કે જેને મનફાવે ત્યાં અને ઈચ્છા થાય ત્યારે ખસેડી શકાય. મનફાવે એટલે દૂર સુધી પણ લઈ જઈ શકાય! મરજી થાય ત્યાં સુધી એ જગ્યાએ રહેવાનું અને પછી જગ્યા બદલી નાખવાની આ વાત થોડી અજીબ લાગી શકે, પણ વાત છે તો બિલકુલ સાચી. આમ જોવા જઈએ તો આ બાબત બહુ નવી નથી. છેલ્લા કેટલાંક દાયકાઓથી વિશ્વભરમાં લોકો આ રીતે રહેતા આવ્યા છે. આ વિચાર હજુ ભારતમાં પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં મોબાઇલ હોમ્સ (મોબાઇલ હોમ એટલે હરતું ફરતું ઘર)નો ક્રેઝ અથવા કહો કે જરૃરીયાત વધતી જાય છે. આવા ઘરોને કોઈક વાહન સાથે જોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. શોખથી રહેતા લોકો પાસે તો પોતાની કાર કે ટ્રેઇલર હોય છે એટલે એ પોતાની ઈચ્છા થાય એ રીતે ઘરને ખસેડીને સરળતાથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે.
વિશ્વમાં ૫૦ લાખ લોકો મોબાઇલ હોમ્સ કે જેને મેન્યુફેક્ચર્ડ હોમ્સ પણ કહે છે તેમાં રહે છે. જેમાંથી ૨૦ લાખ તો એકલા અમેરિકન્સ છે. મતલબ કે અમેરિકામાં આ ટ્રેન્ડ વધુ ફૂલ્યો ફાલ્યો છે. મોબાઇલ હોમ્સમાં રહેવાના બે કારણો છે. એક, ઘણાં બધા લોકો એવા છે જેને દુનિયાની ભીડથી થોડા દૂર રહેવું છે અને શાંતિ જોઈએ છે. તેમને ન તો સમાજ સાથે બહુ નિસ્બત રાખવાની પડી છે કે ન તો બહુ કમાણી કરીને મોજ મજા કરવી છે. એટલે આવા મોબાઇલ હોમ્સની મદદથી શહેરની દૂરના અંતરિયાળ વિસ્તારમાં જઈને શાંતિની જિંદગી જીવે છે. આવા રહેવાસીઓ પાસે કોઈક સારા શહેરમાં પોતાનું ઘર પણ છે અને છતાં પોતાની મરજીથી ઈચ્છે તે જગ્યાએ નવા નવા લોકોની સાથે અને નવા માહોલમાં રહી શકાય તે માટે મોબાઇલ હોમ્સ પર પસંદગી ઉતારે છે. બીજુ, કારણ જરૃરીયાત છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં જેમ ગરીબ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે એ જ રીતે વિકસિત રાષ્ટ્રોમાં થોડા ગરીબ કહેવાય એવા લોકો આવા મેન્યુફેક્ચર્ડ ઘરોમાં રહેવાનો વિકલ્પ પસંદ કરે છે. દરેક વખતે જરૃરી નથી કે લોકો વારંવાર ઘરની જગ્યા બદલતા હોય! વર્ષો સુધી ઘર એક જ જગ્યાએ સ્થિર ગોઠવાયેલું રહે છે. ક્યારેક સ્થાનિક સત્તાધિશોને લાગે કે આવા હોમ્સને તેની જગ્યાએથી ખસેડવા છે તો પછી નવી જગ્યાએ જવાનું થતું હોય છે એ સિવાય તો લોકો એક જ સ્થળે ગોઠવાઈ જતાં હોય છે.
અમેરિકામાં વધુ લોકો મોબાઇલ હોમ્સમાં રહે છે એટલે અમેરિકાની જ વાત આગળ ચલાવીએ તો બીજી એક વાત એ સામે આવી કે દેશના સૌથી વધુ મોબાઇલ હોમ્સ ધરાવતા રાજ્યો જ પાછા ગરીબ રાજ્યોના લિસ્ટમાં પણ સુમાર થાય છે. મોબાઇલ હોમ્સની બાબતમાં ૨૦ પ્રતિશત સાથે પ્રથમ નંબરે આવતું રાજ્ય છે - સાઉથ કેરોલિના. જે દેશના ૧૦ ગરીબ રાજ્યોની યાદીમાં નથી આવતું, પણ તેના પછીના ક્રમે આવતા ન્યુ મેક્સિકો, વેસ્ટ વર્જિનિયા, અલ્બામા જેવા રાજ્યોમાં ૧૦થી ૧૫ ટકા મોબાઇલ હોમ્સ આવેલા છે અને આ તમામનો સમાવેશ ગરીબ રાજ્યોની યાદીમાં થાય છે. એટલું જ નહીં મોબાઇલ હોમ્સની સંખ્યા જ્યાં સૌથી વધુ છે એવા ૧૦ રાજ્યોમાંથી ૮ રાજ્યો દેશના ગરીબ રાજ્યોના લિસ્ટમાં સમાવિષ્ટ છે.
વિશ્વભરમાં મોબાઇલ હોમ્સમાં રહેતા લોકોને આવરીને એક સર્વાગી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમુક બાબતો ઉડીને આંખે વળગે એવી હતી, જે મોબાઇલ હોમ્સ કલ્ચરને સમજવા માટે કદાચ થોડી વધુ મદદ કરી શકે છે. આવા સરનામા વગરના ઘરોમાં રહેતા લોકોમાંથી ૨૩ ટકા લોકો એવા છે જે નિવૃત્ત થઈ ચૂક્યા છે અને માત્ર પતિ-પત્ની એકલા જ રહેતા હોય છે. ફ્લોરિડામાં એક આખી રિટાર્મેન્ટ કોમ્યુનિટી છે જે આવા મોબાઇલ હોમ્સમાં જ રહે છે અને એ એટલા માટે નહીં કે તેઓ ગરીબ છે, બલ્કે એટલા માટે કેમ કે તેમને શહેરથી દૂર શાંતિ મળે તેવા કૂદરતી રહેઠાણોમાં રહેવું છે, મોબાઇલ હોમ્સ તેમને શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. આવા રહેઠાણોમાં રહેતા રહેવાસીઓમાંથી ૫૭ પ્રતિશત લોકો ફૂલ ટાઇમ નોકરી કરે છે, પણ તેની આવક દેશની સરેરાશ આવક કરતા અડધી છે અને એટલે જ કદાચ તે પ્રમાણમાં સસ્તા રહેઠાણમાં રહેવાને પ્રાથમિકતા આપે છે. માત્ર ૪૦ પ્રતિશત લોકો પાસે મોબાઇલ હોમ્સ સહિત તેને પાર્ક કરવા માટેની પોતાની પ્રોપર્ટી હોય છે. એ પણ શહેરથી દૂરના એવા વિસ્તારમાં કે જ્યાં પ્રોપર્ટીના સામાન્ય કરતા ઓછા દામ હોય છે. મોબાઇલ હોમ્સમાં રહેતાં લોકોમાંથી ૪૪ ટકા લોકોની ઉંમર ૩૦ વર્ષ કરતા ઓછી છે. આમાં યુવા કપલ્સની સંખ્યા પણ ખાસ્સી મોટી છે.
'અનનોન વર્લ્ડ ઓફ ધ મોબાઇલ હોમ્સ' નામની બૂકના લેખક અને સંશોધક જ્હોન હાર્ટે આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે '૧૯૯૦માં અમેરિકામાં ચાર લાખ જેટલા મોબાઇલ હોમ્સ હતા અને વિશ્વમાં કદાચ આ સંખ્યા ૮ લાખથી વધુ તો નહોતી જ, પણ ધીરે ધીરે લોકોની જીવન શૈલી બદલાઈ છે, જીવન તરફનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે અને એટલે જ આજે શોખથી કે પછી આર્થિક નબળાઈના કારણે લોકો વધુને વધુ મોબાઇલ હોમ્સમાં રહેવા પ્રેરાયા છે.'
લેખકનું આ કારણ કદાચ સાચુ હોય એમ આજે મોબાઇલ હોમ્સમાં જીવન વીતાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે યુએસ હાઉસિંગ સોસાયટીમાં ૬.૪ ટકા હિસ્સો તો આવા સરનામા વગરના રહેઠાણોનો છે. આવા રહેઠાણોને શું કહીશું? ગાડીના છેડે લટકતો ધરતીનો છેડો!
કેવા હોય છે મોબાઇલ હોમ્સ? 
મોબાઇલ હોમ્સમાં શું સુવિધા હોય છે અને સામાન્ય રીતે ક્યાં પાર્ક થતાં હોય છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હરતા ફરતા આ મકાનોમાં સામાન્ય રીતે એક પરંપરાગત ઘરમાં હોવી જોઈએ એવી બધી જ સવલતો ઉપલબ્ધ હોય છે.
૨૫થી ૩૦ ફીટના મોબાઇલ હોમ્સમાં બે બેડરૃમ્સ, કિચન, બાથરૃમ સહિતની સુવિધા ઉપલબ્ધ હોય છે. અમુક મકાનોમાં ઓસરી જેવી જગ્યા બહારથી ગોઠવવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં મકાનને પાર્ક કરવામાં આવતા હોય ત્યાં જ બહાર એવી જાળી બંધ બેસાડી દેવામાં આવે છે.

મોબાઇલ હોમ્સની એવરેજ કિંમત આપણા દોઢથી બે લાખ રૃપિયા થવા જાય છે. પછી એમાં થોડી વધુ સવલત જોઈતી હોય તો થોડા મોંઘા મકાનો પણ મળી રહે છે. મોબાઇલ હોમ્સ શહેરથી થોડે દૂરના ગ્રામ્ય વિસ્તારમાંના વિશાળ મેદાનોમાં પાર્ક થતાં હોય છે. ઘરની નીચે ઈંટ ગોઠવીને કે પછી લોખંડના પાયાની મદદથી આ મકાનોને સ્ટેન્ડ કરવામાં આવતા હોય છે. ખાસ કરીને સરકારી મેદાનો મોબાઇલ હોમ્સનો વિસામો બનતા હોય છે. ચર્ચની ખૂલ્લી જગ્યા, ફૂટબોલના મેદાનની ન વપરાતી જગ્યા પણ ઘણી વખત આવા હરતા ફરતા ઘરનું પાર્કિંગ ઝોન બની જાય છે. હવે રહી વાત પાણી અને ઈલેક્ટ્રિસિટીની. મોબાઇલ હોમ્સની કાયદેસર પરમિશન લેવાની હોય છે એટલે પરમિશનની સાથે જ ઈલેક્ટ્રિસિટી અને પાણીના જોડાણોની નજીકમાંથી ક્યાંકથી વ્યવસ્થા થઈ જતી હોય છે.
અમેરિકાની અમુક રાજ્ય સરકારો જ ૨થી લઈને ૫ વર્ષ માટે પાર્કિંગ ઝોનની જગ્યા ભાડે આપે છે એટલે એમાં પાણીની અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે.
Sunday, 13 October 2013
Posted by Harsh Meswania
Tag :

આ ઈમારતો ખરેખર જોવા જેવી છે!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સ્થાપત્યને આપણે ત્યાં કળા કહીને નવાજવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓ તેની સ્થાપત્ય કળાની વિશેષતાઓને કારણે એકમેકથી જૂદી પડી જાય છે. મતલબ કે સ્થાપત્ય સંસ્કૃતિઓની ઓળખને વધુ મજબૂત બનાવે છે. દરેક સમાજની કે દેશની પોતાની આગવી સ્થાપત્ય કળા છે. સ્થાપત્યને સદીઓથી અનેરું સન્માન મળતું આવ્યું છેે અને આજેય તેનો દબદબો બરકરાર છે. હમણાં જ ૨થી ૪ ઓક્ટોબર દરમિયાન સિંગાપૂરમાં વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ યોજાઈ ગયો. વળી, ઓક્ટોબર માસના પ્રથમ સોમવારને પણ વિશ્વ સ્થાપત્ય દિન તરીકે ઉજવવામાં આવે છે એ સંયોગે આપણે અહીં આધૂનિક સમયમાં બનેલાં અને નવા કિર્તિમાન સ્થાપિત કરનારા ૨૧મી સદીમાં બનેલા આ સ્થાપત્યો અંગે જાણી-અજાણી રસપ્રદ વાતો વાગોળી લઈએ.....

મરિના બે સેન્ડ્સ : કિંમત ઈમારતની અને ભવ્યતાની!
સિંગાપૂરમાં આવેલી આ ઈમારત આમ તો હોટેલ કમ કેસિનો છે. તેના નામે વિશ્વની સૌથી કિંમતી ઈમારત તરીકેનો વિક્રમ બોલે છે. આ કેટલી કિંમતી હશે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેના નિર્માણ દરમિયાન તેને બનાવનારી કંપની લાસ વેગાસ સેન્ડ્સ પણ આર્થિક સંકળામણમાં આવી ગઈ હતી અને બે વખત તો તેની નક્કી થયેલી ઓપનિંગ સેરેમનીની તારીખમાં ફેરફાર કરવો પડયો હતો. કંપનીએ સિંગાપૂરના પર્યટન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને એક ભવ્ય કેસિનો બનાવવાનું વિચાર્યું હતું. એક એવી ઈમારત કે જેમાં પ્રવેશનાર તેની ખૂબસૂરતીથી અંજાય જાય અને કદાચ એમાં કંપની સફળ પણ થઈ છે. ત્રણ ત્રણ કન્સ્ટ્રકશન કંપનીએ સાથે મળીને ત્રણ વર્ષ સુધી સતત કામ કર્યું ત્યારે આ ઈમારતને આ આકાર મળી શક્યો છે. આજે ઈમારતની કિંમત આંકવામાં આવે તો આંકડો સહેજેય ૮-૯ બિલિયન ડોલર (આશરે ૩૪,૦૦૦ કરોડ રૃપિયા)ને આંબી જાય, પણ એનું કામ પૂર્ણ થયું ત્યારે પણ તેની કિંમત ૬ બિલિયન ડોલરના આંકડાને પાર કરતી હતી. હોટેલની ભવ્યતા વિશે પણ નોંધ કરવી જ રહી! ૨,૫૬૧ રૃમ્સ, કેસિનોમાં ૫૦૦ ટેબલ્સ, ૬ સેલિબ્રિટી હોટેલ, હોટેલની અંદર રહેલો દુનિયાનો સૌથી વિશાળ સ્વિમિંગ પૂલ અને આવું તો કેટલું બધું.... ૨૧ સદીની સાત માનવ સર્જિત અજાયબીઓની યાદી તૈયાર કરવાની થાય તો મરિના બે સેન્ડ્સ વગર કદાચ એ યાદી અધૂરી રહે!

ધ બૂર્જ ખલિફા : ઊંચાઈમાં તો આભને આંબે
દૂબઈની બૂર્જ ખલિફા ઈમારતને વિશ્વની સૌથી ઊંચી ઈમારત તરીકેનું સન્માન મળે છે. આ ઈમારતનો દેખાવ એવો છે કે તેને જોઈને લાગે કે જાણે તે આકાશ સાથે મિઠી ગોષ્ઠી કરી રહી છે. ૮૩૦ મીટર ઊૅચી આ બિલ્ડિંગનું બાંધકામ સેમસંગ કન્સ્ટ્રક્શન કંપનીએ ૨૦૦૪માં શરૃ કર્યું હતું. તેની ડિઝાઇન પાછળ એડ્રિયન સ્મિથ નામના એન્જિનિયનું ભેજુ કામ કરતું હતું. જ્યારે ૪ જાન્યુઆરી, ૨૦૧૦માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૧મી સદીમાં બનેલી સૌથી સુંદર ૧૦ ઈમારતોની યાદીમાં પણ આ બિલ્ડિંગને સુમાર કરવામાં આવે છે. મરિના બે સેન્ડ્સની જેમ જ આ બિલ્ડિંગ ૨૧મી સદીમાં માણસે બનાવેલી એક અજાયબી જ ગણાય છે એવું તેની મુલાકાત લેનારા દરેક હોશેં હોશેં સ્વીકારે છે એ જ શું તેની સિદ્ધિ નથી?

ધ ક્લાઉડ : ભવ્યતાને લાગ્યું વિવાદનું ગ્રહણ
નેધરલેન્ડની બાંધકામ કંપની એમવીઆરડીવીએ ૨૦૧૧માં સાઉથ કોરિયામાં એક બિલ્ડિંગ બનાવી હતી. આ બિલ્ડિંગની ભવ્યતા જોવા જેવી હોવા છતાં તેને વિશ્વભરમાંથી ટીકાનો સામનો કરવો પડયો. એ એટલા માટે કે બે બિલ્ડિંગને એવી રીતે જોડવામાં આવી છે ક તેને જોવાથી પહેલી નજરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની ભયાનક યાદ તાજી થઈ જાય છે! એક ઈમારત ૩૦૦ મીટર ઊંચી છે અને એક ૨૬૦ મીટર ઊંચી છે. ૨૭ માળની આ બે ઈમારતોને ૧૧માં માળે જોડવામાં આવી છે. તેનું ૧૧માં માળે થતું જોડાણ પણ ૯/૧૧ની ઘટનાને યાદ કરાવી દે છે. આ ઈમારતમાં હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, કોન્ફરરન્સ સેન્ટર અને થોડી અન્ય ખાનગી કચેરીઓ આવેલી છે. તેના દેખાવના વિવાદને બાદ કરતા આ ઈમારત ખૂબ જ સુંદર છે. તેનું બાંધકામ અને ભવ્યતા અંદર પ્રવેશનારને મોહી ન લે તો જ નવાઈ! પણ આ બધુ હોવા છતાં તેનો બાહ્ય દેખાવ કેમેય કરીને ભૂલાય એન નથી અને એટલે જ તેના પર વિશ્વની સૌથી વિવાદિત ઈમારતનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, હવે કદાચ તે એ જ રીતે જગતભરમાં ઓળખાશે.

કર્ઝવી ડોમેક : વાંકૂ હોવા છતાં વહાલું લાગે!
પોલેન્ડના સોપોટ વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગને તેના દેખાવ અનુરૃપ નામ આપવામાં આવ્યું છે. કર્ઝવી ડોમેકનો અર્થ થાય આડાઅવળું કે વાંકૂચૂંકુ. આ ઈમારતનો દેખાવ ખરેખર જ ખૂબ વિચિત્ર છે. ઝોત્યંસ્કી અને ઝેલેસ્કી નામના બે સ્થપતિઓએ ૨૦૦૪માં રેઝિડેન્ટ શોપિંગ સેન્ટરના ભાગ તરીકે આ ઈમારતનું બાંધકામ કર્યું હતું. આ બિલ્ડિંગનો આકાર વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત કરવામાં આવ્યો છે. ઈમારતને જોનારા લોકો માટે આશ્વર્ય એ વાતનું હોય છે કે બિલ્ડિંગ એટલું આડાઅવળું છે કે હમણાં તેનો એકાદ ભાગ નીચે તો નહીં પડી જાયને! પોલેન્ડની મુલાકાત લેનારા પ્રવાસીઓ ૨૧મી સદીની અજાયબી સમાન આ બિલ્ડિંગને જોવાનો વિશેષ આગ્રહ રાખતા હોય છે.

ધ પિઆનો હાઉસ : જેના દરેક પથ્થરમાં મ્યુઝિક દેખાય છે...
ચીનના હૈનાન શહેરમાં આવેલી આ ઈમારત સંગીત પ્રેમીઓ માટે સ્વર્ગ મનાય છે. પથ્થરના આ પિઆનોમાંથી સંગીત સંભળાય તો છે જ, પણ સાથે સાથે દેખાય પણ છે. આર્કિટેક્ચર એસોસિએશનેે એક એકથી ચડિયાતી ૧૦ બિલ્ડિંગ્સની યાદીમાં આ બિલ્ડિંગને સર્વોચ્ચ સ્થાને મૂકીને તેને વિશ્વની સૌથી ક્રિએટિવ ઈમારત તરીકેનું બહુમાન આપ્યું છે. સ્થાનિક મ્યુનિસિપાલિટીએ ૨૦૦૭માં ધ પિઆનો હાઉસનું નિર્માણ કર્યું હતું. આ બિલ્ડિંગ બનાવવાની કામગીરી ખાસ્સા પાંચ વર્ષ સુધી ચાલી હતી. આ ઈમારત શહેરના સંગીતના સ્ટુડન્ટ્સ માટે ખૂલ્લી મૂકવામાં આવી છે.

એન્ટિલિયા : દુનિયાનું સૌથી મોંઘુ રહેઠાણ
૧૦,૫૦૦ કરોડ રૃપિયાના માતબર ખર્ચે બનેલું એન્ટિલિયા (ઘણાં લોકો તેનો ઉચ્ચાર અંતિલા પણ કરે છે) દુનિયાનું સૌથી ભવ્ય અને સૌથી મોંઘુ રહેણાંક મકાન છે અને એ ભારતમાં આવેલું છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના ૧૭૩ મીટર ઊંચા અને ૨૭ માળના આ ઘરને પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયાની સૌથી કિંમતી અને ભવ્ય રહેઠાણ મકાનનું બિરૃદ આપ્યું છે. એન્ટિલિયામાં ૬૦૦ કર્મચારીઓ અંબાણી પરિવારની સેવામાં તૈનાત રહે છે. પાર્કિંગ્સ એન્ડ વિલ નામની ખૂબ જાણીતી કંપનીએ તેને તૈયાર કર્યું છે.

ધ ગ્રીન રૃફઃ પૃથ્વીના પેટાળમાં એક સુંદર દુનિયા
લંડનમાં આમ તો છેલ્લા કેટલાક વખતથી અંડરગ્રાઉન્ડ હોટેલનું કલ્ચર ખૂબ વિકસતું જાય છે, પણ લંડનથી થોડે દૂર આવેલી ધ ગ્રીન રૃફ અંડરગ્રાઉન્ડ ઈમારત વિશ્વના સુંદર બાંધકામો પૈકીનું એક ગણાય છે. આ હોટેલમાં ૨૦૦ ગેસ્ટને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. રિડનસ્મિથ આકિેટેક નામની કંપનીએ તેની ડિઝાઇન તૈયાર કરી છે. આ ઈમારત નામ પ્રમાણે તેની ગ્રીનરી માટે વિશ્વ વિખ્યાત છે. આર્કિટેક્ચર યુનિયને તેને દુનિયાની ખૂબસૂરત અંડરગ્રાઉન્ડ ફાઇવ સ્ટાર હોટેલનો દરજ્જો આપ્યો છે.
Sunday, 6 October 2013
Posted by Harsh Meswania
Tag :

કેમિકલ વેપન્સ : અણી વગરના હથિયારની ઘોંચ


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સ્થળ : નેધરલેન્ડનું હેગ શહેર
તારીખ : ૧૮ મે, ૧૮૯૯
પ્રસંગ : વિશ્વની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ
હાજરી : ગ્રેટ બ્રિટેન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, હંગેરી, જર્મની, ફ્રાંસ, ઈટાલી, સ્પેન, જાપાન અને ચીનના પ્રતિનિધિઓ.


રશિયન રાજા નિકોલસ દ્વિતીયના જન્મદિન પર વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓનું એક સંમેલન યોજાયું છે. જેમાં યુદ્ધ સામે સતત ઝઝુમતા વિશ્વમાં શાંતિ સ્થાપવાની પહેલ કરવામાં આવી રહી છે. છાશવારે થતાં યુદ્ધો બને ત્યાં સુધી અટકી શકે તો અટકાવવા અથવા મોટા પાયે જાનહાની ન થાય તેની તકેદારી રાખવાના પુરતા પ્રયાસો કરવા સૌ સહમત થઈ રહ્યાં છે. ખાસ કરીને આવા યુદ્ધોમાં નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાતી હોવાથી રાસાયણિક હુમલો ન કરવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. છ જેટલા મહત્વના નિર્ણયો પર લગભગ બધા શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સહમત થવા લાગ્યા છે. એક માત્ર અમેરિકાએ અગત્યની બે સંધી પર સહમતી ન બતાવી, એમાં એક રાસાયણિક હુમલા અંગેની અસહમતી પણ હતી. હાજર રહેલા તમામ દેશો પૈકી એક માત્ર અમેરિકાએ કેમિકલ હુમલાઓની તરફેણ કરી હતી અને યુદ્ધમાં જો જરૃર જણાશે તો દુશ્મનો પર અમેરિકા ચોક્કસ કેમિકલ હુમલો કરશે એવો મત પણ વ્યક્ત કર્યો હતો.
                                                                      *
સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડનું જિનીવા શહેર
તારીખ : ૧૭ જૂન, ૧૯૨૫
પ્રસંગ : યુદ્ધોમાં રાસાયણિક હુમલાઓ ન કરવાની સંધી માટેની બેઠક
હાજરી : ગ્રેટ બ્રિટન, અમેરિકા, રશિયા, સહિતના આશરે ૪૦ દેશોના પ્રતિનિધિઓ.

બીજા વિશ્વયુદ્ધમાં વ્યાપક રીતે થયેલા રાસાયણિક હુમલામાં બંને પક્ષે લાખો લોકોના મૃત્યુ માત્ર રાસાયણિક હુમલાથી થયા હતા. આગામી સમયમાં આ સ્થિતિ ખાળવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મોટા ભાગના રાષ્ટ્રો આગામી યુદ્ધોમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાની ખાત્રી આપી રહ્યાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાની પહેલ કરનારું રાષ્ટ્ર જર્મની પણ હવે પછી કેમિકલ વેપન્સ ન વાપરવાની શર્ત સ્વીકારવા તૈયાર થયું છે. વિશ્વના શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાએ આગામી સમયમાં જો યુદ્ધો થાય તો તેમાં પોતે કેમિકલ હુમલો નહીં જ કરે તેની બાહેંધરી નથી આપી. મોટાભાગના મહત્વના દેશોના પ્રતિનિધિઓએ કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાના સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. એક માત્ર અમેરિકા હેગમાં થયેલી સૌ પ્રથમ શાંતિ પરિષદની માફક આમાં પણ અસહમત રહ્યું છે.
                                                                     * * *
આ બે ઘટનાઓ વચ્ચે લગભગ અઢી દાયકાનો સમય વીતી ગયો હતો. વચ્ચેના સમયમાં વિશ્વમાં ઘણી બધી ઉથલ-પાથલ મચી ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને એમાં લાખો લોકો ખુંવાર થયાં હતા તો લાખો લોકો મોતને ભેટ્યા હતા. આ બંને ઘટનામાં બે બાબત ઉડીને આંખે વળગે એવી છે. એક, બંને બેઠકમાં કેમિકલ વેપન્સથી થતી ખુંવારી અટકાવવાનો પ્રયાસ છે અને બીજું, અમેરિકાએ બંને બેઠકમાં રાસાયણિક હુમલાઓ ન કરવા પર અસહમતી જતાવી હતી.
આજે આ બંને ઘટનાને એક સૈકા જેવો સમય વીતી ચૂક્યો છે. આજે અમેરિકા સીરિયા પર લાલ આંખ કરી રહ્યું છે, કારણ કે સીરિયાએ પોતાના દેશમાં નાગરિકો પર રાસાયણિક હુમલો કર્યો છે અને એમાં ૧,૪૦૦ જેટલા લોકોના મોત થયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ અમેરિકાએ ૧૯૮૮માં સદ્દામ હુસેનના કેમિકલ હુમલાઓ વખતે આંખ આડા કાન કર્યા હતા. અમેરિકાએ તો છેક ૧૯૭૫માં કેમિકલ હુમલાઓ ન કરવાની અને કેમિકલ વેપન્સનું ઉત્પાદન ન કરવાની વાત સ્વીકારી હતી. મૂળે તો અમેરિકાને હવે છેક સમજાયું છે કે અણુ હુમલાઓ કરતા પણ કેમિકલ હુમલાઓથી વિશ્વને ખતરનાક પરિણામો ભોગવવા પડી શકે છે અને એટલે જ હવે સીરિયા સામે ઉગ્રતાથી કામ લેવાની તરફેણ અમેરિકાએ કરે છે. જોકે, બે દેશો વચ્ચેના યુદ્ધોમાં કે આંતરિક બળવાઓમાં કેમિકલ હુમલો થવાનો આ પહેલો બનાવ નથી. હિસ્ટ્રી ઓફ કેમિકલ વેપન્સ નામના પુસ્તકમાં લેખક જોનાથન ટૂકેરના જણાવવા પ્રમાણે તો વિશ્વમાં કેમિકલ હુમલાઓની હારમાળા સર્જાતી આવી છે. શરૃઆત ઈ.સ. પૂર્વેની ચોથી કે પાંચમી શતાબ્દીથી થઈ હોવાનું કહેવાય છે. આ સમયગાળામાં જોકે પ્રાણીઓના શિકારમાં રસાયણનો ઉપયોગ વધુ થતો હતો. અમુક ઈતિહાસકારોના નોંધવા પ્રમાણે કેમિકલ વેપન્સનો ઉપયોગ થવાની શરૃઆત પર્સિયાના સૈનિકોએ કરી હતી. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં પર્સિયાએ રોમનો સામે યુદ્ધ કર્યું હતું અને એ યુદ્ધમાં પ્રથમ વખત રાસાયણિક હુમલાઓ થકી દુશ્મનોને પરાસ્ત કરવાની તકનિક વાપરવામાં આવી હતી. ૯મી સદીમાં ચીને તેના દુશ્મનો સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા મળે છે. ૧૧મી અને ૧૨મી સદીમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ ખૂબ વધવા લાગ્યો હતો. એક માન્યતા એવી છે કે ચંગીઝ ખાને પણ તેના દુશ્મનો વિરૃદ્ધ રાસાયણિક હુમલાઓ કર્યા હતા. ૧૫મી સદીમાં તુર્કોએ વ્યાપક પ્રમાણમાં કેમિકલ વેપન્સનો સહારો લેવા માંડયો હતો. જોકે, ત્યાં સુધી આ હુમલાઓમાં ભયાનક તીવ્રતા નહોતી. એટલે મોટી જાનહાની થવાની શક્યતા પણ નહિંવત હતી. 
વિશ્વએ રાસાયણિક હુમલાના ઘાતક પરિણામો જોવાનું શરૃ કર્યું ૧૮મી અને ૧૯મી સદીમાં. આ સમયગાળામાં થોડાં વધુ શક્તિશાળી તરીકાઓની શોધ થઈ પરિણામે માનવ જાતિએ રાસાયણિક હુમલાઓનું વરવું રૃપ જોયું, પણ તેની ખરી શક્તિનો પરિચય તો ૨૦મી સદીના શરૃઆતી દાયકાઓમાં જ થઈ. ૨૨ એેપ્રિલ, ૧૯૧૫ના રોજ જર્મનીએ બેલ્જિયમના વાયપ્રેસમાં ૬ કિલોમીટરના વિસ્તારમાં ક્લોરિનનો ૧૮૦ ટન જથ્થો ઠાલવ્યો અને એની અસર તળે ૫૦૦૦ સૈનિકોના મોત નિપજ્યા હતા. જર્મનીએ શરૃઆત કર્યા બાદ તો આ સિલસિલો કેમેય કરીને અટકવાનું નામ નહોતો લેતો. યુદ્ધ પૂરું થવા થવામાં તો કેમિકલ હુમલાઓમાં આશરે ૫૦થી ૬૦ હજાર ટન ઝેરિલા ગેસનો ઉપયોગ થઈ ચૂક્યો હતો અને ૧૦ લાખ લોકો તેની અસર તળે આવી ગયા હતા. જેમાંથી ૮૫ હજાર લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. દુખની વાત તો એ હતી કે આમાં સૈનિકોને બદલે વ્યાપક પ્રમાણમાં નાગરિકો મોતના ખપ્પરમાં હોમાયા હતા.
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં થોડા વધુ હુમલાઓ થયા હતા. ખાસ કરીને રશિયન સિવિલ વોરમાં નાગરિકો પર જોખમી કેમિકલ પ્રયોજવામાં આવ્યું હતું. ૧૯૨૫માં જિનીવા સંધી થઈ હોવા છતાં કેમિકલ હુમલાઓ અટક્યા ન હતા. બીજા વિશ્વયુદ્ધ સુધી છૂટા છવાયા હુમલાઓ થતાં રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાઓ ન કરવાની સમજૂતિ લગભગ બંંને પક્ષે સ્વીકારવામાં આવી હતી. ઈવન એડોલ્ફ હિટલરે પણ પોતાના તરફથી કેમિકલ હુમલાઓ નહીં થાય તેવી ખાતરી આપી હતી એટલે આ વિશ્વયુદ્ધમાં પહેલા યુદ્ધ જેટલી ભીષણ જાનહાની કેમિકલ હુમલાના પરિણામે નહીં થાય એવી ધરપત મળી હતી.
જોકે, અત્યાર સુધી જિનીવા પ્રોટોકોલ પ્રમાણે યુદ્ધોમાં કેમિકલ હુમલાઓ ન કરવાની જ શરત હતી. ઉત્પાદન પર કોઈ જ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ નહોતી એટલે લગભગ તમામ શક્તિશાળી રાષ્ટ્રો એક બીજાના ડરથી તો ક્યારેક એક બીજા પર પ્રભાવ પાડવા માટે કેમિકલ વેપન્સનું ઉત્પાદન વધાર્યે જતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પણ એ ઘડી આવી જ પહોંચી જેનો બધાને ડર હતો. ૧૯૪૧માં જાપાને સંધી તોડીને સૌપ્રથમ વખત ચીન પર કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. એમ મનાય છે કે જાપાનની આ અંચઈના કારણે જ પછી અમેરિકાએ અંતે અણુ હુમલો કર્યો હતો. આવા થોડા અપવાદોને બાદ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખાસ કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો, પણ કોલ્ડવોર વખતે સતત છૂટા છવાયા કેમિકલ હુમલાઓ થતાં રહ્યાં હતા. ઈજિપ્તે ૧૯૬૩થી ૧૯૬૭ વચ્ચે યમન પર અસંખ્ય કેમિકલ હુમલા કર્યા હતા. જેમાં એક અંદાજ પ્રમાણે આશરે ૩૦,૦૦૦ હજાર લોકો અસરગ્રસ્ત બન્યા હતા અને એમાંથી ૫,૦૦૦ હજાર તો મોતને ભેટયા હતા. ખૂબ લાંબી ચાલેલી વિયેતનામ વોર વખતે અમેરિકન સૈન્યએ પણ છૂટથી કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. (અમેરિકાએ છેક ૧૯૭૫ સુધી કેમિકલ વેપન્સ ન વાપરવા પર હસ્તાક્ષર નહોતા કર્યા) વળી, અફઘાનિસ્તાનમાં કોલ્ડ વોરના સમયે ખેલાયેલા સોવિયેટ વોરમાં પણ કેમિકલ વેપન્સ વાપરવાનો કોઈ જ પરહેજ નહોતો.ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને ઈરાન સામેની લડતમાં મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરીને હજારો લોકોને મોતને શરણ મોકલ્યા હતા. એટલું જ નહીં પોતાના દેશના નાગરિકો કે જે ઈરાનની તરફેણ કરતા હતા એવું કારણ આગળ કરીને સદ્દામ હુસૈને કુર્દ નામના સ્થળે નાગરિકો પર ઝેરી ગેસ છોડયો હતો જેમાં પાંચેક હજાર નાગરિકોના મોત થયા હતા જ્યારે ૬૦ હજાર જેટલા નાગરિકો ઘાયલ પણ થયાં હતા. છેક
ઈ.સ. પૂર્વેની ચોથી સદીથી લઈને ૧૯૯૦ સુધીના ગલ્ફ વોર સુધી કેમિકલ વેપન્સનો ઉપયોગ માનવ જાતને કનડતો આવ્યો છે. વચ્ચેના થોડા સમયમાં એવા મોટા બનાવો નહોતા બન્યા એટલે લાગતું હતું કે વિશ્વ કેમિકલ વેપન્સથી મૂક્ત થઈ રહ્યું છે, પણ કદાચ ફરી એક વખત એ આશા ઠગારી નિવડી છે. જો સીરિયાનો અત્યારનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાય તો પણ ઓછામાં ઓછા બે વર્ષ તો તેને કેમિકલ વેપન્સ મૂક્ત કરવામાં થાય જ. આ સ્થિતિ લગભગ બધા શક્તિશાળી દેશોની છે. જ્યાં સુધી કેમિકલ વેપન્સનો પ્રહાર નથી થયો ત્યાં સુધી જ દુનિયા સલામત છે. કેમ કે, આંતકવાદી તત્ત્વોના હાથમાં જો આ જથ્થો આવી ગયો તો શું થશે એ તો માત્ર કલ્પના જ કરવી રહી!

ભારત : એક માત્ર દેશ જેમણે પોતાનો જથ્થો નાશ કર્યો છે!
યુએન (યુનાઇટેડ નેશન્સ)ની યાદીમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમણે પોતાની ડેડલાઇનને ધ્યાનમાં રાખીને કેમિકલ વેપન્સનો બધો જ જથ્થો નાશ કરી દીધો છે. ઓર્ગેનાઇઝેશન ફોર ધ ધોહીબિશન ઓફ કેમિકલ વેપન્સ (ઓસીડબલ્યુસી)ના સભ્ય હોવાના નાતે ભારતે આવી પહેલ કરી હતી. ૧૯૯૭માં ભારત પાસે ૧૦૪૪ ટન સલ્ફર મસ્ટર્ડનો જથ્થો હતો જે ૨૦૦૬ના વર્ષમાં ૭૫ ટકા નાશ કર્યો હતો. ૨૦૦૫માં ભારત એક માત્ર એવો દેશ હતો જેમણે ઓસીડબલ્યુસીને પોતાના કેમિકલ જથ્થાને તપાસવાની પરવાનગી પણ આપી હતી. એપ્રિલ, ૨૦૦૯માં ભારતે સત્તાવાર જાહેર કર્યું હતું કે પોતાની પાસે રહેલા કેમિકલ જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.
રાસાયણિક હુમલાઓમાં કયાં રસાયણો વધુ વપરાય છે?
રસાયણને હથિયારના રૃપમાં પ્રયોજવામાં આવે ત્યારે મોટા ભાગે તેનો ઉપયોગ વાયુ સ્વરૃપે જ કરવામાં આવતો હોય છે. ક્યારેક પ્રવાહી સ્વરૃપ પણ પ્રયોજાતું હોય છે. કેમિકલ હથિયારોનો ઉપયોગ શા માટે કરાતો હોય છે એ વિશે મત આપતા બ્રિટનના એક કેમિકલ નિષ્ણાત થોમસ બોયકોટે ઉલ્લેખ કર્યો છે કે આવા હથિયારોની અસર સૈનિકો અને નાગરિકો એમ બંનેમાં વધુ ભય ફેલાવે છે. વળી, લાંબાગાળે તેની અસર ધાર્યા કરતા વધુ તીવ્ર હોય છે, પરિણામે કેમિકલ હથિયારોની મદદથી દુશ્મનોની કમર તોડી નાખવા માટે આવા ઘાતક હથિયારોનો ઉપયોગ થતો આવ્યો છે. કયાં રસાયણો વધુ જોખમી છે અને તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તે પણ જાણી લઈએ.
સારીન : જર્મનીના ગેરહાર્ડ શ્રેડર અને તેની ટીમે ૧૯૩૦ આસપાસ આ રસાયણની શોધ કરી હતી. અલબત્ત તેની શોધ કીટનાશક રસાયણ તરીકે થઈ હતી, પણ પછીથી અસંખ્ય માણસોના જીવ લેવામાં આ રસાયણ કારણભૂત બન્યું હતું. આ કેમિકલ રંગહિન અને ગંધહિન છે, વળી અત્યંત બાષ્પીશીલ હોવાથી તેનો ગેસ સ્વરૃપે જ વધુ ઉપયોગ કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં તે ક્યારેક ક્યારેક પ્રયોજાયું હતું. એ પછી પણ તેના ઉપયોગથી માનવજાતે ઘાતક પરિણામો ભોગવ્યા છે. ખૂબ જ ઓછી માત્રામાં પણ તે તીવ્ર સાબિત થાય છે. આંખ, નાક અને ત્વચા મારફતે સારીન શરીરનો કબ્જો લઈ લે છે અને પછી તેનાથી બચવું મુશ્કેલ થઈ પડે છે.
તાબુન : તેની શોધ પણ ગેરહાર્ડ શ્રેડરે જ કરી હોવાનું કહેવાય છે. તેની સુગંધ ફળો જેવી હોય છે, પણ તેની અસર સારીનની માફક જ મોતને નોતરું આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બોમ્બમાં આ રસાયણ ભર્યું હતું. જોકે, સદનસીબે આવા બોમ્બના ઉપયોગથી જર્મની દૂર રહ્યું હતું.
વીએક્સ : સારીનની જેમ જ વીએક્સની શોધ કીટનાશક રસાયણના રૃપમાં થઈ હતી. બ્રિટનના રસાયણશાસ્ત્રીઓએ તેની શોધ કરી હતી. સારીન અને તાબૂનની તુલનાએ આ રસાયણ વધુ ઝેરીલું હોય છે. ખૂબ જ ઓછી માત્રામાં તેનો પ્રયોગ કરવામાં આવે તો પરંતું તો પણ તેની ઘાતક અસર થાય છે. તેની અસર લાંબાં ગાળા સુધી રહે છે એટલે એક વાર તે માણસની ત્વચાને સ્પર્શી જાય પછી જલ્દીથી તેનો પીછો મૂકતું નથી એટલે એ રીતે તેની અસર બમણી થઈ જાય છે.
મસ્ટર્ડ ગેસ : જર્મનીના રસાયણશાસ્ત્રી વિલહેમ લોમેલ અને વિલહેમ સ્ટાઈંકોપીને મસ્ટર્ડ ગેસને યુદ્ધમાં વાપરવાની સલાહ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આપી હતી. સારીન, તાબૂન અને વીએક્સના મસ્ટર્ડ ગેસ પ્રમાણમાં ઓછી અસર કરે છે, પણ તેનો વધારે માત્રામાં જથ્થો છોડવામાં આવે તો ઘાતક પરિણામો સામે આવી શકે છે. એક વખત તેને છોડી દીધા પછી ૨૪ કલાક સુધી તેની અસર રહે છે. ત્વચા એકદમ લાલ બની જાય છે અને ત્યાં ચકામા પણ પડી જાય છે. આ ગેસ જો નાક વાટે શ્વાસનળીમાં પહોંચી જાય તો મોતને નોતરું આપી દે છે.
Sunday, 29 September 2013
Posted by Harsh Meswania
Tag :

રાયન કેમ્બેલ : સાહસની ઉડાન, સમજણનું લેન્ડિંગ



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૧૯ વર્ષની ઉંમરે ટીનેજર્સ લેટેસ્ટ ફેશન એસસરિઝ કે વેબ એપ્લિકેશનની વાતો કરે એ ઉંમરે રાયન કેમ્બેલ નામનો છોકરડો વર્લ્ડ ટૂર કરીને આવી ગયો. રાયને વર્લ્ડ ટૂર કરી એમાં કશું નવું નથી, પણ જગતભરમાં એકલા હાથે વિમાન ઉડાવીને જે રેકોર્ડ બનાવ્યો છે એ રસપ્રદ છે

ઓસ્ટ્રેલિયાના વોલોન્ગૉન્ગ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જામી છે. કોઇ સેલિબ્રિટી આવવાની હોય એમ લોકો આતુરતા પૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યા છે. એવામાં એક સિંગલ એન્જિન વિમાન ઉતર્યું. એમાંથી ૧૮-૧૯ વર્ષની ઉંમરનો ફૂટડો જૂવાન ભૂરા રંગનો પાયલટી પોશાક પહેરીને બહાર નીકળ્યો અને હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ટીનએજ પાયલટ ૭૦ દિવસના પ્રવાસ દરમિયાન ૧૫ દેશોમાં કુલ ૩૪ વિરામ લઇને ૨૦૦ કલાકનું ઉડ્ડન અને ૪૪,૪૪૮ કિલોમીટરનો હવાઇ પ્રવાસ ખેડીને આવ્યો છે, છતાં તેના ચહેરા પર થાકને બદલે એક ગજબનો આત્મવિશ્વાસ છલકી રહ્યો છે. તેના સ્વાગત માટે ઊભેલા હજારો લોકોને તેણે માત્ર બે શબ્દ કહ્યાં- ''અ રિઅલ એક્સપિરિયન્સ''. તેના આ શબ્દોથી લોકોનો ઉત્સાહ પણ બેવડાઇ ગયો. થોડાંક ઉત્સાહી લોકોએ તેને તોડીને હવામાં ઊંચો કર્યો, પણ તેના માટે હવે આ ઊંચાઇનું ખાસ મહત્ત્વ નહોતું. કેમકે, તે વાદળો વચ્ચેથી આસમાન સાથે સતત ૭૦ દિવસ સુધી ગોષ્ઠી કરીને આવ્યો હતો.
પોતાની સાહસયાત્રા વિશે પણ તેણે અત્યંત ટૂંકું અને કાવ્યાત્મક પ્રવચન આપ્યું, ''હું બરફ અને વાદળોની વચ્ચેથી નીકળ્યો, કલાકો સુધી પાણી પર ઉડતો રહ્યો, ક્યારેક નાના-મોટા પર્વતોની ઉપરથી પણ પસાર થયો. ઘણી મુશ્કેલીઓ આવી. ક્યારેક તો એમ પણ લાગ્યું કે મારું ડ્રિમ સાકાર નહીં થાય, પણ તેમ છતાં પૃથ્વીની આકાશ માર્ગ પ્રદક્ષિણા કરવાનું સ્વપ્ન આજે સાકાર થયું છે. મારા યુવા દોસ્તો તમે કોઇ એક સ્વપ્ન જુઓ અને તેને સાકાર કરવાનું વિચાર્યા રાખો એક દિવસ તમે એ સ્વપ્ન પર તમારો અધિકાર ભોગવી શકશો.'' કોઇ ફિલસૂફની અદાથી બોલાયેલા તેના એ શબ્દોને હાજર લોકોએ ચીચીયારીઓ પાડીને વધાવી લીધા. આ યુવાન એટલે ઓસ્ટ્રેલિયાના મેરિમ્બુલા શહેરમાં રહેતો ૧૯ વર્ષનો રાયન કેમ્બેલ. જેણે સિંગલ એન્જિન વિમાન દ્વારા એકલા હાથે ઉડ્ડયન કરીને સૌથી નાની વયે વિશ્વભ્રમણ કરવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે.
રાયન કેમ્બેલના પરિવારને ઉડ્ડયન સાથે બહુ ગહેરો સંબંધ રહ્યો છે. હવાઇ ઉડ્ડયન તેને વારસામાં મળ્યું છે. તેના દાદાએ બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ઇવન વિમાનની જ્યારે નવી નવી શોધ થઇ તે વખતે તેના પડદાદાની ઈચ્છા હતી કે એ એક વખત હવાઇ મુસાફરી કરે અને પોતાનું ન પૂરું થયેલું શમણું તેણે તેના પુત્રમાં રોપ્યું હતું. રાયનના પિતા લિન્ડસે કેમ્બેલ એક બિઝનેસમેન છે, પણ તેણે ય પોતાના પરિવારનો વારસો આગળ વધારીને પાયલટની ખાનગી તાલીમ મેળવીને લાયસન્સ મેળવ્યું છે. રાયનના કાકા એન્ડી મેરિમ્બુલા વિસ્તારના સફળ અને સાહસી પાયલટ ગણાય છે, તો વળી રાયનના બન્ને ભાઇઓ ક્રિસ અને એડમે વિધિવત્ તાલીમ લઇને પાયલટ તરીકેની કરિઅર પસંદ કરી છે.
પરિવારના ઉડ્ડયનના શોખનો ફાયદો મેળવીને ૬ વર્ષની વયે જીદ કરીને ઉડતી જહાજની પાયલટની સીટ પર બેસીને પ્રથમ વખત તેણે જહાજ ચલાવવા માટે પગ ટેકવ્યા હતા. ૧૦ વર્ષે તેણે તાલીમ પણ શરૃ કરી દીધી હતી. તેની સ્કૂલમાં સમવયસ્ક બાળકો એમ કહીને તેની મશ્કરી કરતા હતા કે પહેલા ડ્રાઇવિંગ શીખ અને તેનું લાયસન્સ મેળવ પછી પાયલટ બનવાનું વિચારજે. આવી મજાક કરનારા પોતાના મિત્રોને તે જવાબ આપવાનું ટાળતો. તે એમ માનતો હતો કે સૌથી નાની ઉંમરે હવાઇજહાજ ઉડાવીશ એટલે બધાને આપોઆપ જવાબ મળી જશે. ત્યારે જોકે તેને વિશ્વભ્રમણ કરવાનો વિચાર નહોતો આવ્યો. આવો વિચાર તેને ૧૪ વર્ષની ઉંમરે એક બાળ સહજ ઈર્ષાથી આવ્યો હતો. રાયન ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે એક સ્થાનિક અખબારમાં ન્યુઝ વાંચ્યા કે ૧૪ વર્ષના એક છોકરાએ વિમાન ઉડાવીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે અને એ છોકરો નાની વયે વિમાન ઉડાવનારો પહેલો ઓસ્ટ્રેલિયન બન્યો હતો. આ વાંચીને રાયન મનોમન છળી ઉઠયો હતો. આ ન્યુઝે તેનું દિલ તોડી નાખ્યું. તેણે વિચારેલો વિક્રમ કોઇ બીજાને નામે ચડી જાય તે વાત રાયન માનવા તૈયાર ન હતો. તેણે એ ન્યુઝ એકાદ ડઝન વખત વાંચ્યા હતા અને પોતાની જાતને સતત પ્રશ્નો પૂછ્યા હતા કે એ છોકરો કરી શકે તો હું કેમ નહીં? બસ તે દિવસથી રાયને નક્કી કરી નાંખ્યું કે ''હવે તો ઓસ્ટ્રેલિયા માટે હું કોઇ નવો કિર્તિમાન જરૃર બનાવીશ!''
૩૦મી જૂને રાયન કેમ્બેલ ઓસ્ટ્રેલિયાના વોલોન્ગૉગ એરપોર્ટથી વિશ્વપ્રવાસ માટે પોતાનું વિમાન હંકારી ગયો એના બરાબર ૭૦ દિવસ પછી ૭ સપ્ટેમ્બરે તે ફરી એક વખત આ જ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેણે અમેરિકન પાયલટ જેક વિગેન્ડે ૨૧ વર્ષની વયે સિંગલ એન્જિન ધરાવતા વિમાનની મદદથી કરેલી વર્લ્ડ ટૂરનો વિક્રમ તોડે નાખ્યો હતો. અમેરિકન પાયલટ જેક જેમ પાસપોર્ટ ભૂલી ગયો હોવાથી મુશ્કેલી ખડી થઇ હતી તેમ રાયન સામે પણ એક સમયે સાવ તય કાર્યક્રમને છેલ્લી ઘડીએ પડતો મૂકવો પડે એવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું.
ઈજિપ્તે પોતાના હવાઇ રૃટ વાપરવાની પરવાનગી છેક સુધી આપી નહોતી. ઈજિપ્તે પોતાની હવાઇ સીમાને બાયપાસ કરી જવા કહ્યું હતું. જો એમ થાય તો રાયનના મૂળ કાર્યક્રમની ડિઝાઇનને સમૂળગી બદલી પડે અને એમ કરવા જતાં તેનો કાર્યક્રમ પડતો મૂકવાની નોબત આવે. અથવા તો જ્યાં સુધી મામલો ખતમ ન થાય ત્યાં સુધી તેને કાર્યક્રમ મોકૂફ રાખવો પડે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન એમ્બેસીની મધ્યસ્થીથી તેને ઈજિપ્તના હવાઇ રૃટ વાપરવાની પરવાનગી મળી હતી. આ સિવાય તેના સામે હવાઇ ટ્રાફિકને મેનેજ કરવાનો પણ મોટો પડકાર હતો. પહેલાથી નક્કી હોવા છતાં તેને હવાઇ ટ્રાફિક મેન્ટેઇન કરવામાં ખાસ્સી મહેનત કરવી પડી હતી. આ બધું ભૂલાય જાય જો આપણે એમ જાણીએ કે રાયન પોતાની આ ડ્રિમ જર્નીમાં ઉપડે એ પહેલા સખત તાવમાં પટકાયો હતો અને તેમ છતાં તેણે કોઇને જાણ કર્યા વગર કાર્યક્રમની તૈયારીને અંતિમ ઓપ આપ્યો હતો. ખરાબ વાતાવરણને કારણે તેને વિમાનને નીચે ઉતારવાની ચેતવણીઓ પણ મળી હતી, પણ જીદ કરીને દુનિયા જોવાની નેમ લેનારા રાયને આવી ચેતવણીઓને ય બહુ ગંભીરતાથી ન લીધી. કેમ કે, ચેતવણીઓને ગંભીરતાથી લે તો મંઝિલને ખોટુ લાગી જાય! એ આખા પ્રવાસ દરમિયાન બ્લોગ મારફતે સતત પોતાના ચાહકો અને મિત્રોના સંપર્કમાં રહ્યો હતો.
છેલ્લા બે દિવસ બાકી રહ્યાં ત્યારે તેણે તેની મમ્મી માટે એક મેસેજ છોડયો હતો જે તેના પ્રવાસ વિશે ઘણું કહી જતો હતો. રાયને ૬૮ દિવસ પૂરા કર્યા બાદ તેના છેલ્લા પડાવ વખતે તેની મમ્મીને સંબોધીને લખ્યું હતું કે ''મને આ વર્લ્ડ ટૂરથી ઘણું શીખવા મળ્યું છે. જેમ કે, એક મેનેજર તરીકે કામ કઇ રીતે કરી સકાય તે મેં ફ્લાઇટના સમય સાથે તાલ મિલાવીને અને મારા મૂળ પ્લાનિંગ સાથે વળગી રહીને શીખ્યું. હવાઇ ટ્રાફિક મેનેજ કરતી વખતે મેં મારામાં એક ટીમ મેમ્બર જોયો. અલગ અલગ પરિસ્થિતિમાં મેં મારી જાતને ઢાળતા પણ શીખી લીધું છે. ઊંચાઇ પર ઉડીને આટલા દિવસોમાં સતત જે જોયું તેનાથી મારી કલ્પનાની દુનિયાને નવી પાંખો મળશે. આ બધાથી વિશેષ મેં એ જાણ્યું કે આ આખી દુનિયાના બધા દેશોમાં ઉપરથી જાણે કોઇ જ સરહદ નથી. બધા જાણે એક તાંતણે બંધાયેલા હોય એવું મને લાગતું હતું. આ સાહસી સફરથી મને નવી સમજણ મળી હોય એમ મને લાગે છે.'' એક ૧૯ વર્ષનો ટીનેજર હવાઇ વિશ્વપ્રવાસથી આનાથી વિશેષ શું શીખી શકે?
Sunday, 22 September 2013
Posted by Harsh Meswania
Tag :

જીવતાં પ્રાણીઓની દાણચોરીનો ખતરનાક કાળો કારોબાર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

કોલકાતાના એરપોર્ટ પરથી દસ હજાર કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર જતાં ચેન્નાઈના બે નાગરિકોને કસ્ટમ અધિકારીઓએ પકડી પાડયા હતા. વિશ્વમાં સજીવોની ગેરકાયદે હેરાફેરીનો કાળો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે તેની એક ઝલક
ચેન્નાઈમાં રહેતા મનિમાલન રામસ્વામી અને શીલામુથુ રામસ્વામી ચીનમાંથી આશરે ૬૦ લાખ રૂપિયાની કિંમતના દસ હજાર ઉપરાંતના કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર લઈ જતા હતા ત્યારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની સૂટકેસની તપાસ કરવામાં આવી હતી. સૂટકેસમાં આટલા બધા કાચબા જોઈને કસ્ટમ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. સૂટકેસમાં કાચબા લઈ જવાનો આ થોડો નવતર પ્રયોગ હતો. વિશ્વમાં સજીવોની દાણચોરી ક્ષેત્રે પ્રવૃત્ત લોકો આવા અવનવા અખતરા કરતા રહેતા હોય છે. માની ન શકાય એવી જગ્યાએ સજીવોને છુપાવીને એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે હેરફેર કરવાના આવા તો કેટલાય પ્રયાસોને વિશ્વભરના કસ્ટમ અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યા છે. આવા થોડા જોખમી અને રમૂજી પ્રયાસો તરફ નજર કરતા પહેલાં સજીવોની દાણચોરીની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે.
ડ્રગ્સ પછીનો સૌથી મોટો કાળો કારોબાર
વાઇલ્ડ લાઇફ સ્મગલિંગની બાબતમાં એશિયન અને આફ્રિકન દેશો વધુ બદનામ રહ્યા છે. આ બે નંબરી પ્રવૃત્તિનો વ્યાપ એશિયા અને આફ્રિકામાં હોવાનું એક કારણ તેની વાઇલ્ડ લાઇફ સમૃદ્ધિ પણ છે. જોકે, એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝ ઉપરાંત પણ આ કાળો કારોબાર વિશ્વભરમાં ઓછા-વત્તા અંશે થાય જ છે. એક અંદાજ પ્રમાણે ડ્રગ્સની દાણચોરી પછીના ક્રમે સજીવોની હેરાફેરીને મૂકવામાં આવે છે અને એ પછી શસ્ત્રોની દાણચોરીને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એ પરથી જ સજીવોના સ્મગલિંગનું આ દલદલ કેટલું વ્યાપ્ત છે તેનો અંદાજ લગાવી શકાય છે. સજીવોની દાણચોરીનું વાર્ષિક ટર્નઓવર એક અબજ રૂપિયા સુધીનું હોવાનું કહેવાય છે. દુર્લભ પ્રજાતિની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિને વેગ મળી રહે છે. પશુ-પક્ષીઓને લઈને લોકોમાં ઘણી બધી ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે અને સજીવોની દાણચોરીના મૂળમાં એ ભ્રામક માન્યતા પણ કંઈક અંશે જવાબદાર ઠરે છે. અમુક સજીવો આરોગવાથી અમુક ચોક્કસ રોગ મટી જશે (ગુપ્ત રોગોની બાબતમાં સવિશેષ ભ્રમણાઓ ફેલાયેલી છે) એવી માન્યતાના બળે ગેરકાયદે સજીવોની આપ-લે થાય છે અને તેને લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. જેમ કે, ચીનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વાઘનું માંસ ખાવાથી લાંબું આયુષ્ય ભોગવી શકાય છે અને શારીરિક-જાતીય ક્ષમતામાં પણ વધારો થાય છે. ક્યાંક માંસની માંગ છે, તો ક્યાંક ચામડીની ડિમાન્ડ છે. વળી કોઈક તંત્રવિદ્યા માટે સજીવોને પ્રયોજે છે. આ બધાં કારણો સજીવોની દાણચોરી માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સજીવોની દાણચોરીમાં પક્ષી કે પશુઓને મોટાભાગે જીવતાં જ વેચવામાં આવતાં હોય છે અને એટલે તેને જીવિત હાલતમાં જે તે જગ્યાએ પહોંચાડવા માટે અવનવા નુસખા અખત્યાર કરવામાં આવે છે. છતાં કોઈ વાર મોટી સંખ્યામાં સજીવો ગૂંગળાઈને મરી જતાં હોય છે.
આ આખું તંત્ર કસ્ટમ અધિકારીઓના સહકાર વગર શક્ય ન બની શકે એટલે જરૂર પડયે કસ્ટમ ઓફિસર્સ પૂરતો સહકાર આપે એવી ગોઠવણ કરવામાં આવતી હોય છે! આ સિવાય સજીવોની હેરાફેરી વખતે કોઈને ખબર ન પડી જાય એ માટે તેને છુપાવવાની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ તો એરપોર્ટ પરથી હેમખેમ નીકળી જવા જાતજાતના તુક્કા લગાવાય છે. તુક્કામાં ક્યારેક સફળતા મળી જાય છે, તો ક્યારેય કોઈ કસ્ટમ અધિકારીની કે સાથી પ્રવાસીઓની નજરથી બચી શકવું મુશ્કેલ બની જાય છે.
સજીવસૃષ્ટિ પર મંડરાતો અસ્તિત્વનો ખતરો
લાંબી મુસાફરી દરમિયાન સજીવોને અપૂરતી હવા અને જગ્યાને કારણે ગૂંગળાઈ મરવાનો વખત આવે છે. એટલે કેટલાંક તો તેના મુકામ સુધી પહોંચે એ પહેલાં જ હરિને પ્યારા થઈ જતા હોય છે, તો કેટલાક બીજા રાઉન્ડમાં સરનામે પહોંચ્યા પછી અંતિમ શ્વાસ લે છે. 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' એટલે કે 'પેટા'ના ટૂંકા નામની ઓળખાતી અને વિશ્વભરમાં સજીવસૃષ્ટિ માટે કામ કરતી સંસ્થાની એક અમેરિકન અંડરગ્રાઉન્ડ ટીમે વર્ષો પહેલાં સજીવોની દાણચોરી બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનાં તારણો ચોંકાવનારાં હતાં. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સજીવોને એવી ગંભીર હાલતમાં હેરફેર કરવામાં આવે છે કે અડધા તો ખરાબ વાતાવરણથી જ મૃત્યુ પામે છે અથવા તો ઠાંસી ઠાંસીને એકસામટા ભર્યા હોવાથી પણ થોડાનું કચુંબર થઈ જાય છે. વળી દાણચોરોને કે તેનો ગેરકાયદે વેપાર કરતા લોકોને સજીવોની સંભાળ રાખતા નથી આવડતું હોતું એટલે અમુક સજીવો મોતને ભેટે છે. વળી એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવાતા સજીવોને જે તે દેશનું વાતાવરણ-તાપમાન માફક ન આવે એટલે પણ દમ તોડી દેતા હોય છે. દાણચોરીના પ્રતાપે જ ઇગ્વાના નામનું અમેરિકામાં વૃક્ષ પરથી મળી આવતું ગરોળી જેવું સજીવ હવે દુર્લભ થતું જાય છે. એક સમયે આ ઇગ્વાના દાણચોરોનું ફેવરિટ સજીવ હતું. આવા તો કેટલાંય પશુ-પક્ષીઓ છે જે દાણચોરોના પ્રતાપે પૃથ્વી પરથી લુપ્ત થવાના આરે છે.
સજીવોની દાણચોરી માટે કેટલાક જોખમી અને ભેજાગેપ પ્રયાસો
વિશ્વભરમાં દાણચોરો સજીવોને લઈને એક દેશમાંથી બીજા દેશમાં ઉડાઉડ કરતા હોય છે. એમાં ક્યારેક એના જોખમી પ્રયાસથી રમૂજી સીન પણ ક્રિએટ થાય છે. અહીં એવા થોડા જોખમી છતાં રમૂજી તુક્કાઓની વાત કરીએ.
મારા ટ્રાઉઝરમાં કોબ્રા છે : આ વાક્ય કોઈ બોલે ત્યારે તેના ચહેરાના ભાવ કેવા હશે એ કલ્પી શકવું અઘરું નથી! સ્વિડનના એક માણસની તલાશી જ્યારે ઓસ્ટ્રેલિયન કસ્ટમ અધિકારીઓએ લીધી ત્યારે તેને આ વાક્યથી ભારોભાર આશ્ચર્ય થયું હતું. એ. સ્મિથ નામના આ માણસે ટ્રાઉઝરમાં ૮ સાપ છુપાવી રાખ્યા હતા, જેમાંથી ૪ તો કિંગકોબ્રા હતા. તેના સદ્નસીબે કિંગકોબ્રા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા!
કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી : અમેરિકન નાગરિક જેરોમ જેમ્સે તેના એક કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી સંતાડી રાખી હતી. અધિકારીઓને શંકા જતાં લોસ એન્જલસના એરપોર્ટ પર તેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તેના નકલી પગમાંથી ગરોળીઓ જપ્ત કરીને તેને જેલહવાલે કરાયો હતો.
મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે : ઓસ્ટ્રેલિયામાં સિડનીના એરપોર્ટ પરના કસ્ટમ અધિકારીઓ જ્હોન એડોલ્ફન નામના માણસને તપાસી રહ્યા હતા ત્યારે તેણે અધિકારીઓને કહ્યું હતું કે મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે. તેના વાક્યથી અધિકારીઓ ચોંકી ગયા હતા. ખરેખર જ તેના જિન્સમાંથી વાંદરાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં.
મારા અંતઃવસ્ત્રમાં સાપ છે : સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં એક મહિલાની ઝડતી લેવાઈ રહી હતી ત્યારે તેણે કબૂલ્યું કે મારા અંતઃવસ્ત્રમાં સાપ છે. અધિકારીઓને પહેલાં તો તેની વાતમાં વિશ્વાસ ન બેઠો, પણ તલાશી લેતાં ખરેખર તેના અંતઃવસ્ત્રમાંથી થોડા સાપ મળ્યા હતા.
મારી સૂટકેસમાં ટાઇગર છે : થાઇલેન્ડના કસ્ટમ અધિકારીઓ એક મહિલાના સામાનની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીએ જેવી સૂટકેસ ખોલવાની કોશિશ કરી કે તરત એ મહિલાએ ઉપરોક્ત વાક્ય ઉચ્ચાર્યું હતું. પહેલાં તો અધિકારીઓને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પણ પછી ખરેખર જ તેની મોટી સૂટકેસમાંથી એક ટાઇગર મળી આવ્યો હતો.
Thursday, 19 September 2013
Posted by Harsh Meswania

સાઉન્ડ સિસ્ટમના બોસ : અમરગોપાલ બોઝ



વિશ્વને અદ્ભુત સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનારા સાઉન્ડ ઇજનેર અને ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગ સાહસિક અમરગોપાલ બોઝનું થોડા દિવસો પહેલાં ૮૩ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું. તેમની ગણના દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં થતી હતી. આ મહાન સંશોધક, પ્રોફેસર અને બિઝનેસમેન વિશે થોડી જાણી-અજાણી વાતો
* અમરગોપાલના પિતા નોનીગોપાલ બોઝ ભારતના સ્વતંત્ર સેનાની હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

* તેમણે બ્રિટિશ શાસનની નીતિ-રીતિથી ત્રાસીને ૧૯૨૦માં અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે અમેરિકા જઈને એક સ્કૂલ અધ્યાપિકા ચાર્લોટે સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીય પિતા અને અમેરિકન માતાને ત્યાં ૨ નવેમ્બર, ૧૯૨૯ના રોજ ફિલાડેલ્ફિયામાં અમરનો જન્મ થયો હતો.

* રમકડાં સાથે રમવાની ઉંમરે અમર બોઝને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રમત કરવી ગમતી હતી. રેડિયોના એ યુગમાં તેમણે ૧૩ વર્ષની વયે પાર્ટ ટાઇમ રેડિયો રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું હતું, તેમાં તેમણે ટૂંકા ગાળામાં મહારત હાંસલ કરી લીધી હતી.

* વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) માંથી તેઓ ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણ્યા. સાથે સાથે સાઉન્ડ એન્જિનિયરિંગમાં પણ નિપુણતા મેળવી લીધી. આ જ ઇન્સ્ટિટયૂૂટમાં તેમણે પીએચડી પણ કર્યું અને જ્યાં ભણ્યા હતા ત્યાં ભણાવવાનું પણ શરૂ કર્યું. તેમણે આ જગવિખ્યાત સંસ્થામાં ૪૫ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સાઉન્ડ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણાવ્યા.

* તેમને ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલો જ રસ પડતો હતો. તેમણે એ વાત નોંધી કે બજારમાં મળતી બધી સાઉન્ડ સિસ્ટમથી અમેરિકન્સ કંટાળ્યા છે, કારણ કે પૂરતા પૈસા ખર્ચવા છતાં બજારમાં સાઉન્ડ સિસ્ટમનો યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી એટલે ૧૯૬૪માં બોઝ કોર્પોરેશન નામની કંપનીના નેજા હેઠળ સાઉન્ડ સિસ્ટમ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

* પછી તો આ કંપની સાઉન્ડ સિસ્ટમનો પર્યાય બની ગઈ. ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિને વિશ્વના ધનાઢય લોકોમાં ઘણી વખત અમરગોપાલ બોઝનો સમાવેશ કર્યો હતો.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 3 August 2013
Posted by Harsh Meswania

પેનિસિલીનની શોધ કોણે કરી?

પેનિસિલીનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.

સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.

પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી.  બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -