લોંગ ડ્રાઇવ પે ચલ!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રવાસના શોખીનો અને ઝડપનો આનંદ લૂંટવા માંગતા લોકો ઉનાળામાં ડ્રાઇવિંગ કરીને લાંબો પ્રવાસ ખેડવાનું પસંદ કરતા હોય છે. ડ્રાઇવની સાથે સાથે જો પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની તક મળે તો આનંદ બમણો થઈ જાય છે. ઉનાળાની શરૂઆત થવામાં છે ત્યારે દેશ અને દુનિયાનાં બેસ્ટ સમર ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ પર પૂરપાટ ઝડપે એક લટાર મારી લઈએ.

દિલ્હી ટુ મનાલીઃ ઊંચી ઉડાન
પાટનગર દિલ્હીથી હિમાચલ પ્રદેશના મનાલી સુધીનો ૫૨૧ કિલોમીટરનો લાંબો રસ્તો સુંદરતા જોતા ધરાઈએ એ પહેલાં તો પૂરો થઈ જાય એવી ફિલિંગ ન થાય તો જ નવાઈ! આ રસ્તે નવથી દસ કલાકમાં દિલ્હીથી મનાલી પહોંચી શકાય છે. દેવદારના ગાઢ જંગલ વચ્ચેથી પસાર થવાનું હોય છે. વચ્ચેથી થોડા વધુ જટિલ રસ્તાને પણ પસંદ કરી શકાય છે. એવા રસ્તાઓ પર તો વળી સાવ જ નીરવ શાંતિ મળે. પહાડીઓને ચીરીને પસાર થવાનો આનંદ અનેરો હોય છે. એમાંય સ્પીડનો અનુભવ કરવાવાળા લોકોને કોઈ જ રોકી ન શકે એવી ફ્રીડમ તો ખરી જ!

ગુવાહાટી ટુ તવાંગઃ કાર ડ્રાઇવ માટે શ્રેષ્ઠ રસ્તો
આસામના ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશના તવાંગ સુધીનો ૪૭૭ કિલોમીટરનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કારની સફર માટે આ રસ્તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાથી જોજનો દૂર આ રસ્તા પર ડ્રાઇવિંગના અને કુદરતી સૌંદર્યના શોખીનો જ વધુ જોવા મળે છે. એ સિવાયનો ટ્રાફિક અહીં નથી વર્તાતો. આ રસ્તે જતા હોય અને ઇચ્છા થઈ આવે તો કાઝિરંગા નેશનલ પાર્કમાં પણ જઈ શકાય છે.

દિલ્હી ટુ મસૂરીઃ શિયાળાની શીતળતાનો અનુભવ
ઉત્તરાખંડના મહત્ત્વના શહેર મસૂરીને પાટનગર દિલ્હી સાથે જોડતો રસ્તો ૨૮૧ કિલોમીટર લાંબો છે. મેરઠથી સહારનપુર અને ત્યાંથી દહેરાદૂનના માર્ગે નીકળીને આશરે ૫ કલાકની ડ્રાઇવ પછી મસૂરી પહોંચી શકાય છે. બાઈક કરતાં કાર માટે આ વધુ અનુકૂળ માર્ગ છે. ખરબચડા પહાડોની વચ્ચેથી નીકળતો આ રસ્તો પહાડો જેવો ખરબચડો નથી, બલકે એકદમ લિસ્સો છે. વળી, ઠેર ઠેર ઢોળાવોના ઉતાર-ચઢાવનો રોમાંચ પણ આ રસ્તે માણી શકાય છે. શિયાળાની શીતળતાનો અનુભવ આખા રસ્તે થશે એ વાત પણ પાકી!

દહેરાદૂન ટુ નૈનિતાલઃ સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ
ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનથી રાજ્યના મહત્ત્વના પર્યટન શહેર નૈનિતાલનું અંતર ૩૫૫ કિલોમીટર છે. આ રસ્તો ઉત્તરાખંડનો સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ છે. બાઇક કે કાર લઈને આ રસ્તા પર ડ્રાઇવ કરવાનો બેસ્ટ સમય માર્ચથી જુલાઈ વચ્ચેનો ગણાય છે. ગરમી મેં ભી ઠંડી કા અહસાસ કરાવતો આ માર્ગ ૫ કલાકમાં કાપી શકાય છે. રસ્તો પણ એટલો સારો છે કે આટલું અંતર કાપ્યા પછીય થાક ન વર્તાય. દિલ્હીથી નૈનિતાલ વચ્ચેનો ૩૧૦ કિલોમીટરનો રસ્તો પણ બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સમાં સ્થાન ધરાવે છે. પાટનગરથી આવતા નૈનિતાલ રોડ માર્ગે આવતા પ્રવાસીઓ માટે આ એક યાદગાર અનુભવ બની રહે છે.

સિમલા ટુ દિલ્હીઃ સૌંદર્ય અને ઠંડકનો પર્યાય
હિમાચલ પ્રદેશનું કેપિટલ શહેર સિમલા ભારતના હિલસ્ટેશન્સની રાણીનો મોભો ભોગવે છે. હિમાચલ પ્રદેશના કેપિટલને ભારતના કેપિટલ સાથે જોડતો રાજમાર્ગ ૩૬૭ કિલોમીટર લાંબો છે અને આ અંતર સામાન્ય રીતે સાડા છ કે સાત કલાકમાં કાપી શકાય છે. ઉપરોક્ત તમામ માર્ગોમાં સૌથી લોકપ્રિય રસ્તો આ છે. ઉનાળાના દિવસોમાં આ રસ્તા પર થોડી ટ્રાફિકની સ્થિતિ હોય છે, પણ એ ટ્રાફિક આપણા ધમધમતા રસ્તાઓથી તો ક્યાંય ઓછો હોય છે. ટ્રાફિકના કારણે સ્પીડ ડ્રાઇવ માટે કદાચ રસ્તો એટલો અનુકૂળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય અને ઠંડક માટે આનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.

મુંબઈથી ગોવા વચ્ચેનો ૬૭૭ કિલોમીટરનો રસ્તો આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને આવે છે. કર્ણાટક અને કેરાલા વચ્ચે બેંગલુરુથી કાલિકટને જોડતો માર્ગ પણ ભારતના ઓછા ટ્રાફિક અને સુગમ રસ્તા માટે જાણીતો છે. આ સિવાય જયપુરથી રણથંભોરનો રસ્તો ભલે નાનકડો હોય પણ ઉત્તમ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ છે.

ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરિસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે

વિશ્વનાં બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ
ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરીસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે

નેશનલ હાઇવે ૩૧૫: ચીન
ચીનનો નેશનલ હાઇવે ૩૧૫ સિલ્ક રોડ તરીકે જ વધુ જાણીતો છે. શિનિંગ અને ક્વિંઘાઈ વચ્ચેનો ૨,૭૩૫ કિલોમીટર લાંબો આ માર્ગ ડ્રાઇવિંગ માટે સ્વર્ગસમો છે. રસ્તાની બંને તરફ લીલોતરી છવાયેલી છે અને કાર ડ્રાઇવિંગ માટે આ માર્ગ બેસ્ટ ગણાય છે.

અલ્સેસ વાઇન રૂટઃ ફ્રાન્સ
ફ્રાન્સમાં આવેલો અલ્સેસ વાઇન રૂટ ૧૭૦ કિલોમીટર લાંબો છે અને ૧૯૫૩માં તેની રચના કરવામાં આવી હતી. ઉત્તર અલ્સેસથી દક્ષિણ તરફ કેયસરબર્ગ તરફ જતો આ માર્ગ તેની કુદરતી સુંદરતા માટે વિખ્યાત છે.

ધ કેબોટ ટ્રેઇલઃ કેનેડા
૧૯૩૨માં બનેલો આ રૂટ ૨૯૮ કિલોમીટર લાંબો છે. નોવા સ્કોટિયા અને કેપ બ્રિટોન હાઇલેન્ડ નેશનલ પાર્કને જોડતો આ માર્ગ કાર ડ્રાઇવ માટે શોખીનોની પ્રથમ પસંદ બને છે. આસપાસ ગ્રીનરી આ માર્ગને વધુ સુંદરતા બક્ષે છે.

મિલફોર્ડ રોડઃ ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડની દક્ષિણ પર્વતમાળામાં આવેલો મિલફોર્ડ રોડ મેથી સપ્ટેમ્બર સુધી પૂરેપૂરો ખુલ્લો હોય છે એટલે એ દરમિયાન વધુ પ્રવાસીઓ આવે છે. ટે એનાઉથી પસાર થઈને મિલફોર્ડ સાઉન્ડને જોડતો આ રસ્તો બરફાચ્છાદિત વિસ્તારમાંથી પસાર થતો હોવાથી વધુ સુંદર અનુભવ કરાવે છે. આ માર્ગને સ્ટેટ હાઇવે ૯૪ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ૧૮૮૯માં બનાવાયો હતો.

ધ ગ્રેટ ઓસન રોડઃ ઓસ્ટ્રેલિયા
૧૯૧૯માં બનાવાયેલો આ માર્ગ ઓસ્ટ્રેલિયામાં હેરિટેઝ લિસ્ટમાં સામેલ છે. ૨૪૩ કિલોમીટર લાંબો આ રૂટ વિક્ટોરિયા સ્ટેટનાં બે શહેરો વર્નેમ્બોલ અને ટોર્કવેને જોડે છે. આ પરફેક્ટ ડ્રાઇવનો અનુભવ કરાવતો રૂટ માનવામાં આવે છે. આ રસ્તા પર મોકળાશને પૂરતો અવકાશ છે.
Wednesday, 20 February 2013
Posted by Harsh Meswania

રોઝ: યુનિવર્સલ લવ સિમ્બોલ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

વેલેન્ટાઇન્સ ડે પર ગર્લફ્રેન્ડને કે બોયફ્રેન્ડને આપેલી મોંઘી ગિફ્ટ સાથે જો ગુલાબનું ફૂલ ન હોય તો પ્રેમનો એકરાર અધૂરો રહી જાય છે. પ્રેમનો એકરાર કરવાનો હોય ત્યારે બીજુ કશું આપ્યા વગર માત્ર એક તાજુ ગુલાબ આપી દેવામાં આવે તો અડધો જંગ જીતી શકાતો હોય છે. આધુનિક સમયમાં રોઝ યુનિવર્સલ લવ સિમ્બોલ બની ગયું છે! કોલેજમાં ઊજવાતા વિવિધ ડેઝ હોય કે બર્થ ડે, ક્રિસમસ-ન્યૂ યર હોય કે વેલેન્ટાઈન્સ ડે રોઝ વગર જાણે સેલિબ્રેશન ફિક્કું પડી જાય છે. પણ રોઝ વિશે એવી તો ઘણી બાબતો છે જેની આપણને ભાગ્યે જ ખબર હોય છે.

ગુલાબ સાથે માણસનો નાતો બહુ પુરાણો છે
પ્રાચીન ઈજિપ્તમાં મમીના અવશેષોમાં ગુલાબ મૂકવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. ઈજિપ્તના પ્રાચિન અવશેષોમાંથી રોઝના પેઇન્ટિંગ્સ પણ મળ્યાં હતા. પ્રાચિન રોમમાં લોકો પોતાના સ્નાન કરવાના પાણીમાં ગુલાબ ઝબોળતા હતા, એટલે સુધી કે આ લોકો ગુલાબમાંથી સુગંધીદાર દ્રવ્ય બનાવીને તેનો વાર-તહેવારે ઉપયોગ કરતા હતા. રાજા નેરો ગુલાબની પાંખડીઓ પાણીમાં નાખેલી હોય એવા પાણીથી જ સ્નાન કરવાનો આગ્રહ રાખતા હતા.

ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની પ્રથમ પત્ની જોસેફાઇનને વિશ્વનો સૌપ્રથમ રોઝ ગાર્ડન બનાવવાનું શ્રેય મળે છે. જોસેફાઇને ૧૭૯૮માં પેરિસની બહાર એક મોટું રોઝ ગાર્ડન બનાવ્યું હતું જેમાં ૨૫૦ પ્રકારનાં ગુલાબ હતાં. અમેરિકાના ૪૦મા પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનનું ફેવરિટ ફૂલ ગુલાબ હતું. તેમણે અમેરિકામાં ગુલાબની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૮૬માં રોઝને રાષ્ટ્રીય ફૂલનો દરજ્જો આપ્યો હતો. બ્રિટન પછી અમેરિકા બીજો એવો મહત્ત્વનો દેશ છે જ્યાં ગુલાબ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ફૂલનું સન્માન મેળવે છે.

ગુલાબ પર ગુજરાતીથી લઈ અંગ્રેજી સહિતની ભાષાઓમાં અઢળક લખાયું છે. શેક્સપિયરે તેમના સાહિત્ય સર્જનમાં ૫૦ વખત રોઝનો ઉલ્લેખ કર્યો છે. તો વળી જર્મનીના હિલ્ડેશિમ કેથરોલમાં આવેલો ગુલાબનો છોડ વિશ્વનો સૌથી જૂનો છોડ છે એમ કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ છોડ ક્ષતિગ્રસ્ત થયો હતો છતાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો અને આજે એક હજાર વર્ષથી આ છોડ અડિખમ ઉભો છે. એટલે કે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં ઠેર ઠેર રોઝ-રોઝ થાય એટલે જ ગુલાબી વાતાવરણ નથી થયું, પણ ગુલાબનું મહત્ત્વ વર્ષોથી સ્વીકારાયું છે.

ભારત અને ગુલાબઃ બાત નિકલી હૈ તો દૂર તલક જાયેગી!
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક વાર ગુલાબ વિશે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ગુલાબને અધ્યાત્મ સાથે શા માટે જોડવું જોઈએ, એનું મૂલ્ય તો એની સુગંધથી કરવું જોઈએ." પૌરાણિક કથામાં વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે રસપ્રદ દલીલો આવે છે. જેમાં બ્રહ્માજી કમળનાં ગુણગાન ગાય છે અને ભગવાન વિષ્ણુએ ગુલાબની પ્રશંસા કરી છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ આસપાસ કશ્યપ નામના રાજા પોતાના રાજ્યમાં ગુલાબને ખાસ સ્થાન આપતા હતા એમ કહેવાય છે. ધ ગ્રેટ એલેકઝાન્ડર કે જેને આપણે સિકંદર કહીએ છીએ તે જ્યારે ભારત સર કરવા આવ્યો ત્યારે તેણે ગુલાબની અલગ અલગ વરાઇટી જોઈ હતી અને ભેટરૂપે થોડાં ફૂલો એરિસ્ટોટલને મોકલ્યાં હતાં. ૧૩મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ પ્રવાસી રશિદ ઉલ દ્દીને ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને તેણે તેમની નોંધમાં લખ્યું હતું કે "અહીંના લોકો ખૂબ ખુશહાલ જીવન જીવે છે અને આ પ્રદેશમાં ૭૦ પ્રકારનાં સુંદર ગુલાબ જોવા મળે છે." પોર્ટુગલના બે પ્રવાસીઓ ડોમિંગ્નો પેસ અને ફેર્નાઓ નૂન્ઝ ૧૫૩૭ આસપાસ ભારતમાં આવ્યા ત્યારે તેમની નોંધ પ્રમાણે વિજયનગરમાં જુદા જુદા પ્રકારના ગુલાબના રોપાઓ વાવવામાં આવતા હતા. ૧૪મી સદીની મધ્યમાં ભારત આવેલા પર્સિયાના પ્રવાસી અબ્દુલ રઝાકે લખ્યું હતું કે, "અહીં ઠેર ઠેર સુંદર ગુલાબ જોઈ શકાય છે. અહીંના લોકો ગુલાબનો ઉપયોગ ખોરાકમાં પણ કરે છે." મુઘલ સુલતાનોને ગુલાબ ખૂબ જ વ્હાલાં હતાં. બાબરે તેની દીકરીઓનાં નામ ગુલાબ પરથી પાડયાં હતાં. બાબરની દીકરીઓનાં નામ ગુલચિહરા, ગુલરૂખ, ગુલબદન અને ગુલરંગ રાખ્યાં હતાં. બાબર ભારતમાંથી અસંખ્ય ગુલાબો ઊંટ પર મૂકીને પર્સિયા રવાના કરતા હતા તો બાબરના પૌત્ર અકબર પણ તેના ખંડિયા રાજાઓને અને પડોશી રાજ્યના રાજાઓને શુભેચ્છારૂપે ઊંટની સાથે ગુલાબ મોકલવાનું પસંદ કરતા હતા.

ભારતમાં ગુલાબ અંગ્રેજો થકી આવ્યાં એ વાત એટલી સાચી નથી, પણ હા, ગુલાબને પોપ્યુલર કરવામાં અંગ્રેજોનો ફાળો વિશેષ રહ્યો છે એમ કહી શકાય. આપણે જ્યારે આ વિદેશી તહેવારને પોતીકો માની લીધો છે ત્યારે છેલ્લા એક વીકથી અલગ અલગ પ્રકારનાં રોઝની આપ-લે શરૂ થઈ છે. હજુ એક બે દિવસ દુનિયા રોઝમય રહેવાની છે ત્યારે વેલેન્ટાઇન્સ ડેની સાથોસાથ ગુલાબનાં ફૂલોની સુગંધ મુબારક!
Wednesday, 13 February 2013
Posted by Harsh Meswania

શાસન વિહોણા સમ્રાટો : રાજ ખરું, રજવાડું ગાયબ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નેધરલેન્ડનાં ૭૫ વર્ષનાં મહારાણી બિટ્રિક્સે ૩૩ વર્ષ શાસનધૂરા સંભાળ્યાં પછી સત્તાનાં સૂત્રો તેમના પુત્ર વિલેમ એલેક્ઝાન્ડરને સોંપી દીધાં છે. બીજી તરફ ૮૬ વર્ષનાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય આજે તેમના શાસનનાં ૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે અહીં પેશ છે વિશ્વમાં સત્તા વગર રાજ કરતાં રાજા-રાણીઓની વાત

રાજાની વાત કરીએ ત્યારે આપણી કલ્પનામાં ભવ્ય ઠસ્સો ધરાવતા, પળવારમાં હુકમો છોડતા અને એકહથ્થું નિર્ણય લઈ શકવા સક્ષમ એવા રાજાઓનાં ચિત્રો આંખ સામે તરવરી આવે. આ કલ્પનાચિત્રો જોકે એક-બે સદી પહેલાંનાં હોય એ સ્વાભાવિક છે, કેમ કે ૨૧મી સદીનાં રાજા-રાણીઓનો ઠાઠમાઠ ભલે એવો ને એવો રહ્યો હોય, પણ હુકમો છોડવાની સત્તા હવે ભૂતકાળ બની ગઈ છે. વિશ્વમાં આજે પણ ૪૩ જેટલા દેશોમાં રાજા બંધારણીય હોદ્દો ધરાવે છે, પણ દેશના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તેમનો કોઈ જ ભાવ પુછાતો નથી. માત્ર પાંચ જ રાજાઓ એવા છે જેની પાસે નિર્ણયો લેવાની અબાધિત સત્તા છે, તો ૯ રાજાઓ આંશિક સત્તા ભોગવે છે. નોંધપાત્ર બાબત એ છે કે આવી અબાધિત કે આંશિક સત્તા ધરાવતા રાજાઓનાં રાજ્યો વળી વિશ્વના નકશામાં ધ્યાન દઈને શોધવાં પડે એવડાં નાનકડાં છે. એટલે આમ જુઓ તો એમની સત્તાનો એવો કોઈ પ્રભાવ હોતો નથી. બીજી તરફ શક્તિશાળી દેશોના રાજાઓ શાહી જિંદગી જરૂર જીવે છે છતાં પણ સત્તાશૂન્ય હોય છે.

રાજ્ય ભલે નાનું હોય, પણ સલ્તનત તો અમારી જ ચાલે!
પોતાના દેશના નિર્ણયો પોતે કોઈના જ દબાવમાં આવ્યા વગર લઈ શકે એવા પાંચ રાજવીઓમાંથી ચાર તો એશિયા ખંડમાં જ આવેલા છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા ટચૂકડા દેશ બ્રુનેઈમાં સુલતાન હસ્સાનલ બોલ્કિઆ તમામ પ્રકારની સત્તા ધરાવે છે અને આ સલ્તનત ૧૪મી સદીથી ચાલતી આવે છે. દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલા ઓમાનમાં છેક બીજી સદીથી રાજાશાહીનું ચલણ છે એમ કહેવાય છે. આ દેશમાં કબૂસ બીન સઇદ અલ સઇદની સલ્તનત ચાલે છે. દેશના બધા જ નિર્ણયો આ રાજા લઈ શકવા સક્ષમ છે. પશ્ચિમ એશિયામાં આવેલા દેશ કતારની અબાધિત સત્તા સુલતાન અમીર હામિદ બિન ખલિફ અલ થાનીના હાથમાં છે. પશ્ચિમ એશિયાના જ અન્ય એક દેશ સાઉદી અરેબિયામાં રાજા અબ્દુલ્લાહ બિન અબ્દુલ અઝીઝ શાસન ચલાવે છે. એશિયાના આ તમામ રાજાશાહી દેશોમાં જ નહીં, પણ વિશ્વભરમાં સાઉદી અરેબિયા સમૃદ્ધ દેશ તરીકે અનોખી શાખ ધરાવે છે. અહીંના લોકોને રાજાશાહી કોઠે પડી ગઈ છે અને રાજાની પણ લોકાભિમુખ કામ કરતા હોવાની ઈમેજ છે. અબાધિત સત્તા ભોગવતા રાજાઓનાં રાજ્યોની આ યાદીમાં એક આફ્રિકન દેશ સ્વાઝિલેન્ડનો પણ સમાવેશ કરવો રહ્યો. સ્વાઝિલેન્ડમાં મેસવેટી ત્રીજા તેમના પિતાના ઉત્તરાધિકારી તરીકે ૧૯૮૬થી આ દેશ પર રાજ કરી રહ્યા છે. અબાધિત સત્તાધારી દેશની વાત કરવામાં આવે ત્યારે વેટિકન સિટી અને ઈરાનનો પણ ઉલ્લેખ કરવો પડે. આ બંને દેશોમાં ધાર્મિક નેતાઓ સત્તાસ્થાને છે. વેટિકન સિટીમાં રોમન કેથોલિક ચર્ચના પોપ પાસે તમામ સત્તા હોય છે. અત્યારે પોપ બેનેડિક્સ સોળમાના હાથમાં વેટિકન સિટીની સત્તાની બાગડોર છે. જ્યારે ઈરાનમાં ધાર્મિક નેતા અલી ખમિનઈ સુપ્રીમ લીડર છે.

થોડી તો થોડી પણ સત્તા તો છે
નવ દેશોમાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો પાસે જ આમ તો મોટાભાગના નિર્ણયો કરવાની સત્તા છે. છતાં રાજાને અમુક અધિકારો આપવામાં આવ્યા છે. બહેરાનના રાજા હમિદ બિન ઈસા અલી ખલિફ, ભૂતાનના રાજવી જિગ્મા ખેસર નેમગ્યેલ વાંગચૂક, જોર્ડનના સુલતાન અબ્દુલ્લા દ્વિતીય, કુવૈતના અમીર સબાહ અલ અહમદ અલ ઝાબેર, લિચેન્સ્ટિનના પ્રિન્સ હાન્સ એડમ દ્વિતીય, મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ દ્વિતીય, મોરોક્કોના સુલતાન મહંમદ છઠ્ઠા, ટોન્ગુના રાજા ટુપોઉ છઠ્ઠા અને યુનાઇટેડ આરબ અમિરાતના સુલતાન ખલિફા બિન ઝાયેદ જેવા રાજાઓ આવી જ આંશિક સત્તા ભોગવી શકે છે.

અમે કહેવાઈએ મોટા રાષ્ટ્રોના રાજા, પણ પાસે તો માત્ર અંદાજ જ શાહી છે!
વિશ્વના નકશામાં નોંધપાત્ર અને મોટા ગણાતા રાષ્ટ્રોના રાજાઓ પાસે કહેવાની સત્તા પણ નથી, પણ હા માનપાન તો ખૂબ મળે છે. સૌથી વધુ સન્માન બ્રિટનનાં રાણી અલિઝાબેથ બીજાને મળે છે. તેમને અને તેમના શાહી પરિવારને વિશ્વ આખામાં ખૂબ જ માનની નજરે જોવામાં આવે છે. આ સિવાય ડેન્માર્કનાં રાણી માર્ગારેટ બીજા, નેધરલેન્ડનાં રાણી બિટ્રિક્સ પણ તેમની પ્રજામાં માનવંતુ સ્થાન ધરાવે છે. ઉપરાંત જાપાનના રાજવી અકિહિતો, સ્પેનના રાજા જુલિયન કાર્લોસ પ્રથમ અને સ્વિડનના કિંગ કાર્લ સોળમા સત્તા ન હોવા છતાં પ્રજાહૃદયમાં આજેય તેમનું માન-સન્માન જાળવી શકવામાં સફળ થયા છે. તેમના ઉત્તરાધિરીઓ આ વારસો જાળવી શકશે કે કેમ એ તો સમય જ કહેશે.     

એલિઝાબેથ દ્વિતીયનું રાજ ૧૫ રાષ્ટ્રોમાં ચાલે છે
એક સમયે સોળે કળાએ બ્રિટનનો સૂરજ તપતો હતો. અડધોઅડધ ભૂમિ ભાગ પર બ્રિટને વર્ષો સુધી શાસન કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભલે બ્રિટનના વળતા પાણી શરૂ થયા હોય, પણ આજેય ૧૫ રાષ્ટ્રો બ્રિટનનાં મહારાણીના નેજા હેઠળ આવે છે.

બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બાર્બાડોસ, બહેમાસ, પપુઆ ન્યૂ ગિનિયા, સોલોમોન ટાપુ, ટુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વેકેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન, બેલિઝ, એન્ટિગ્યુ એન્ડ બાર્બુડા, સેન્ટ કિટ્ટ એન્ડ નેવિસ જેવા દેશો મહારાણી એલિઝાબેથ દ્ધિતીયના શાસન હેઠળ આવે છે.

                         વિશ્વના મહત્ત્વના કયા દેશમાં કોનું શાસન?

Wednesday, 6 February 2013
Posted by Harsh Meswania

ગાંધી સ્મારકોની સફર



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ - કર્મભૂમિ છે. આશરે ૩૮ વર્ષ તેઓ ગુજરાતમાં રહ્યા હતા. જ્યાં જ્યાં તેમની યાદો સચવાયેલી છે તેવાં સ્થળોનો ગાંધી નિર્વાણદિન નિમિત્તે અહીં શાબ્દિક પ્રવાસ ખેડી લઈએ...

અમદાવાદ
સાબરમતી આશ્રમઃ દેશ-વિદેશના લાખો પર્યટકો અહીં આવીને તસવીરોમાં, પ્રદર્શનોમાં કે પુસ્તકોમાં ગાંધીને ખોજે છે. આ આશ્રમની સ્થાપના ૧૯૧૭માં કરવામાં આવી હતી. ગાંધીજી અહીં ૧૯૩૦ સુધી રહ્યા હતા. તેમણે સ્વરાજની પ્રતિજ્ઞા પણ આ આશ્રમમાંથી જ લીધી હતી. એ સમયે સાબરમતી આશ્રમની પ્રવૃત્તિ દેશમાં કેન્દ્રસ્થાને હતી. ગાંધીજીના નિવાસસ્થાનને કાકાસાહેબે 'હૃદય કુંજ' નામ આપ્યું હતું.

કોચરબ આશ્રમઃ ભારતમાં આવીને સાદગીપૂર્ણ જીવન જીવવાની ખેવના સાથે 'હું ગુજરાતી છું એટલે ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ' એમ કહીને તેમણે ૨૫ મે, ૧૯૧૫ના રોજ કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરેલી.

ગુજરાત વિદ્યાપીઠ: રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિરૂપે અમદાવાદમાં ૧૫ નવેમ્બર,૧૯૨૦ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ આ પ્રસંગે કહ્યું હતું કે "જો વણિકપુત્ર કરી શકતો હોય તો મેં ઋષિનું કાર્ય કર્યું છે."

સર્કિટ હાઉસ: ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ અમદાવાદના સર્કિટ હાઉસમાં જસ્ટિસ આર. એસ. બ્રુમફિલ્ડની કોર્ટમાં ગાંધી વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. જેમાં ગાંધીજીને છ વરસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.

મજૂર મહાજન: અમદાવાદમાં ગાંધીજીએ મજૂરોના હિતમાં 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાયેલું આંદોલન કર્યું હતું. આ આંદોલન સાથે ૧૯૨૦માં 'મજૂર મહાજન સંઘ'ની સ્થાપના થઈ હતી. 

નવજીવન પ્રકાશન મંદિરઃ નવજીવન પ્રકાશન મંદિર એટલે ગાંધીજીના પત્રકારત્વ અને પુસ્તકનું સરનામું. નવજીવન ટ્રસ્ટની સ્થાપના ૧૯૨૯માં થઈ હતી. ભારતમાં આવ્યા પછી ગાંધીજીનું પત્રકારત્વ અહીં પાંગર્યું હતું.

દાંડી
સૈફી વિલાઃ નવસારીથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા દાંડી ગામનું આઝાદીની ચળવળના સંદર્ભમાં ઐતિહાસિક મૂલ્ય છે. ગાંધીજી દાંડી આવ્યા ત્યારે એક મુસ્લિમ સજ્જન વાસીસાહેબે 'સૈફી વિલા' નામના બંગલામાં તેમની રહેવાની વ્યવસ્થા કરી હતી. આ બંગલો આજે આ ઐતિહાસિક ઘટનાની સાક્ષીરૂપે ઊભો છે.

રાજકોટ
કબા ગાંધીનો ડેલો: કરમચંદ ગાંધીની રાજકોટના દીવાન તરીકે નિમણૂંક થતાં ૧૮૭૬માં તેઓ પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્યા હતા. કબા ગાંધીની સ્મૃતિ સમિતિના સેક્રેટરી ઉષાકાંતભાઈ માંકડના જણાવ્યા પ્રમાણે ગાંધીજીએ રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજકોટમાં ૧૮૮૧માં કબા ગાંધીનો ડેલો બનાવાયો હતો અને એ રાજકોટના દીવાનનું મકાન હતું. આજે આ સ્થળને 'ગાંધી સ્મૃતિ' તરીકે રક્ષિત કરાયું છે.

રાષ્ટ્રીય શાળાઃ શિક્ષણ ક્ષેત્રે રચનાત્મક કામગીરીના ભાગરૂપે રાજકોટમાં ગાંધીજીની પ્રેરણાથી રાષ્ટ્રીય શાળાનો પાયો નંખાયો. ૧૯૨૧માં રાજકોટના રાજવી લાખાજીરાજે ગાંધીજીની શિક્ષણ ક્ષેત્રની આ પહેલમાં જમીન ફાળવી આપી અને એ રીતે ૧૯૨૪થી રાષ્ટ્રીય શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ થયો. આ શાળામાં ગાંધીજીએ ઉપવાસ આંદોલન કર્યું હતું અને એ દરમિયાન તે શાળામાં જ રહ્યા હતા.

આલ્ફ્રેડ હાઈસ્કૂલ: આલ્ફ્રેડ હાઈસ્કૂલ બ્રિટિશરાજના સૌરાષ્ટ્રમાં ઈંગ્લિશ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા હતી. આ શાળાને હવે ગાંધીજીની સ્મૃતિરૂપે 'મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ' એવું નામ આપવામાં આવ્યું છે.

પોરબંદર
કિર્તિ મંદિરઃ પોરબંદરની જે હવેલીમાં ગાંધીજીનો જન્મ થયો હતો તે આજે કિર્તિ મંદિર તરીકે જાણીતું છે. ઉત્તમચંદ ગાંધી એટલે કે ઓતા ગાંધીની હવેલીમાં ગાંધીજીએ બાળપણ વીતાવ્યું હતું. અહીં ગાંધીજી ૧૮૭૬ સુધી રહ્યા હતા.

કસ્તુરબા સ્મારકઃ પોરબંદરમાં ગાંધીજીના સ્મારકથી આશરે સો ફીટના અંતરે બીજું એક ઐતિહાસિક મકાન આવેલું છે, જે કસ્તુરબા ગાંધી સ્મારક તરીકે ઓળખાય છે.
Wednesday, 30 January 2013
Posted by Harsh Meswania

અત્યારે ભલે ઠંડી હોય, પણ વર્ષ તો ગરમ હતું!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

અત્યારે અચાનક જ ગાત્રો થિજવી દે એવી ઠંડી પડવા લાગી છે, પણ ભરશિયાળે ક્યારેક ઉનાળા જેવી ગરમી પણ પડતી હોય છે. હવામાનની સ્થિતિ વિચિત્ર થતી જાય છે. પૃથ્વીના તાપમાનને લઈને વિજ્ઞાનીઓ ચિંતિત થાય એવા સમાચાર આવ્યા છે. નાસા અને નોઆએ ૨૦૧૨માં પૃથ્વીના તાપમાનના આંકડા રજૂ કર્યા, જેમાં ૧૮૮૦થી આજ સુધીનાં ટોપ ટેન ગરમ વર્ષમાં ૨૦૧૨નો પણ સમાવેશ થયો છે

છેલ્લા એક દાયકાથી પૃથ્વીનું તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ટોપ ટેન ગરમ વર્ષોમાં મોટા ભાગનાં વર્ષો ૨૧મી સદીનાં છે. પ્રતિ વર્ષ અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા નાસા અને બીજી એક એટમોસ્ફિયરની સંસ્થા નોઆ (નેશનલ ઓસનિક એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન) વર્ષ આખાના સરેરાશ તાપમાનના આંકડા રજૂ કરે છે અને એના પરથી નક્કી થાય છે કે પૃથ્વીનું તાપમાન કેટલું સ્થિર રહ્યું છે. આ બંને સંસ્થાઓએ આપેલા આંકડા પ્રમાણે ૨૦૧૨નું વર્ષ ૧૮૮૦થી આજ સુધીના સૌથી ગરમ વર્ષમાં સમાવેશ પામ્યું.

ખરેખર તો છેલ્લા થોડા દાયકાઓથી વાતાવરણમાં વિચિત્ર ફેરફારો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને આપણે પણ તેનો અનુભવ કરીએ છીએ. જેમ કે, અચાનક જ શિયાળામાં પણ ઉનાળા જેવું વાતાવરણ થઈ જાય છે. તો ઋતુઓ જે રીતે તેના સ્વાભાવિક ક્રમમાં પહેલા જોવા મળતી તેમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે ત્યારે નાસા અને નોઆ દ્વારા જાહેર થયેલા તાપમાનના રિપોર્ટથી ફરી પાછી પૃથ્વીના વાતાવરણને લઈને વિજ્ઞાનીઓમાં ચર્ચા શરૂ થઈ છે.

કઈ રીતે નક્કી થાય છે ગરમ વર્ષ?
હવામાનનાં નક્કી કરાયેલાં ધારાધોરણો પ્રમાણે પૃથ્વીનું વાર્ષિક સરેરાશ તાપમાન જો ૧૪ ડિગ્રી સેલ્સિયસ હોય તો એ વર્ષ તાપમાનની દૃષ્ટિએ એકદમ યોગ્ય કહેવાય, પણ તાપમાનમાં ૧૪ ડિગ્રી સેલ્સિયસથી વધારો નોંધાય તો એ વર્ષ ગરમ વર્ષ ગણાય છે. એ પ્રમાણે જોવા જઈએ તો ૨૦૧૨ના વર્ષમાં સરેરાશ તાપમાન નાસાના કહેવા પ્રમાણે ૦.૫૬ સેલ્સિયસ જેટલું ઊંચું હતું જ્યારે નોઆના આંકડા મુજબ તાપમાન ૦.૫૮ સેલ્સિયસ વધારે હતું. એટલે કે વર્ષનું એવરેજ તાપમાન ૧૪.૪૭ ડિગ્રી રહ્યું હતું.

૨૧મી સદીમાં તાપમાનમાં થઈ રહેલો વધારો
ગ્લોબલ વોર્મિગ ૨૧મી સદીમાં સૌથી મોટી સમસ્યા છે એ વાતના પુરાવાઓ વૈશ્વિક તાપમાનમાંથી સતત મળતા રહે છે. ૨૧મી સદીનાં આ તમામ ૧૨ વર્ષ ૨૦મી સદીનાં વર્ષોના સરેરાશ તાપમાન કરતાં વધારે ગરમ રહ્યાં છે એવું નાસા અને નોઆ બંને સંસ્થાના ધ્યાનમાં આવ્યું છે. નાસા અને નોઆ બંનેના ટોપ ટેન ગરમ વર્ષની યાદીમાં ૨૦મી સદીનું એકમાત્ર ૧૯૯૮નું વર્ષ જ દેખાય છે એ સિવાયનાં બાકીનાં તમામ વર્ષો ૨૧મી સદીનાં છે. ૧૩૨ વર્ષના તાપમાનના આંકડાનો અંદાજ કાઢયા પછી નોઆના ડિરેક્ટર થોમસ કાર્લના જણાવવા પ્રમાણે જો ૧૪ ગરમ વર્ષની યાદી બનાવવામાં આવે તો ૨૧મી સદીનાં તમામ ૧૨ વર્ષોનો આ યાદીમાં સમાવેશ કરવો જ પડે તેમ છે. વળી, ૨૦મી સદીના છેલ્લા દશકામાં પણ સરેરાશ તાપમાનમાં બહુ વધારો નોંધાયો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. એ દાયકામાંથી માત્ર એક ૧૯૯૮ના વર્ષનો જ એમાં સમાવેશ થાય છે.

 બીજી મહત્ત્વની વાત એ છે કે ૧૯૭૬થી ૨૦૧૨ સુધીના છેલ્લાં ૩૬ વર્ષના ગાળામાં એવરેજ ટેમ્પરેચર ગત એક સદીની તુલનાએ ઊંચું રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકામાં સરેરાશ ૦.૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધ્યું છે. ભારતની જ વાત કરીએ તો ભારતનું વાર્ષિક સરેરાશ તાપમાન અત્યારે છેલ્લા એક-બે દશકામાં ૨૫થી ૨૭ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયું છે. હવામાન ખાતાના એક રિપોર્ટ પ્રમાણે માત્ર અડધી સદી પહેલાં આ સરેરાશ તાપમાન ૨૨થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી માંડ પહોંચી શકતું હતું. જો આમ ને આમ વૈશ્વિક તાપમાનમાં વધારો થતો રહેશે તો ઠંડા પ્રદેશોમાં ઠીક પણ ભારત જેવા પ્રમાણમાં ગરમ પ્રદેશોમાં ઉનાળા દરમિયાન રહેવું મુશ્કેલ બનતું જશે.          

વિશ્વનાં ટોપ ટેન ગરમ વર્ષ
૧૮૮૦થી પૃથ્વીના એવરેજ તાપમાનનો ક્યાસ કાઢવાની શરૂઆત થઈ હતી. આ ૧૩૨ વર્ષમાં ક્યારેક તાપમાન નોર્મલ રહ્યું છે તો અમુક વર્ષો ઠંડાં રહ્યાં હતાં. તાપમાનનો પારો ઊંચો આવ્યો હોય એવાં દસ વર્ષોની યાદી અહીં રજૂ કરવામાં આવી છે.

Wednesday, 23 January 2013
Posted by Harsh Meswania

વામનનાં ૩ ડગલાં જેવા ઇન્ટરનેટના ૩ દાયકા



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ઇન્ટરનેટે આયુષ્યની ત્રીસી પાર કરી છે. આજના યુગમાં ઇન્ટરનેટ વગરની દુનિયા સાવ બેરંગી લાગે તો એમાં કંઈ નવાઈ નથી પણ એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે વિશ્વમાં કેટલા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરતા હશે? કયા દેશના લોકોને ઇન્ટરનેટનું ઘેલું છે અને કયા દેશના લોકો હજુ પણ ઇન્ટરનેટમાં ડોકિયું કરવાને પ્રાધાન્ય નથી આપતા? તો વળી અમુક દેશોએ અમુક કારણસર હજુ પણ ઇન્ટરનેટ સાથે જોડાવવાનું ટાળ્યું છે! ઇન્ટરનેટનો બિઝનેસ પણ આજે અબજોએ પહોંચ્યો છે

ઈન્ટરનેટના આવિષ્કારને આ મહિનામાં ૩૦ વર્ષ પૂરાં થયાં. કોમ્યુનિકેશન ક્ષેત્રે છેલ્લી બે સદીથી જે કામ નહોતું થયું તે કામ છેલ્લી અડધી સદીમાં થયું છે અને એમાં ઈન્ટરનેટનો બહુ મોટો ફાળો રહ્યો છે. વિશ્વ આખું જાણે ઓનલાઇન હોય એવી સ્થિતિ છે. ઈન્ટરનેટનો જન્મ ૧૯૮૩માં થયો હતો. થોડાં વર્ષો સુધી તેની અસર સીમિત રહી હતી પણ wwwની શોધ થઈ પછી તો ઈન્ટરનેટની દુનિયા સતત વિસ્તરતી જ રહી છે. ઈન્ટરનેટની શોધને એક દશકા પછી ૧૯૯૩માં યુઝર્સની સંખ્યા હતી ૧ કરોડ. માત્ર બે જ વર્ષમાં આ સંખ્યા ત્રણ ગણી વધી ગઈ અને ૧૯૯૫માં કુલ ઈન્ટરનેટ યુઝર્સ થયા ૪ કરોડ. ઈન્ટરનેટના બે દશકા પછી આ સંખ્યા હતી ૭૦ કરોડ અને ગત વર્ષે આ આંકડો વધીને ૨૪૫ કરોડના આંકડાને પણ પાર કરી ગયો. જો ઈન્ટરનેટના વપરાશમાં આ રીતે વધારો નોંધાતો રહેશે તો ૨૦૨૦ સુધીમાં કદાચ આ સંખ્યા હશે ૫૦૦ કરોડ!

ભારતમાં ઇન્ટરનેટ
એકમેક સાથે જોડાઈ રહેવાના આશયથી શરૂ થયેલા ઈન્ટરનેટે આજે એક મસમોટા બિઝનેસનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હોસ્પિટાલિટી અને સેવા ક્ષેત્ર જેવાં સેક્ટર્સને અત્યારે ઈન્ટરનેટ હંફાવી રહ્યું છે. વિશ્વમાં ઈન્ટરનેટ અને તેને લગતી નોકરીઓનું પ્રમાણ વધી રહ્યું છે એટલે તેનો બિઝનેસ વિકસે તે સ્વાભાવિક છે. ૨૦૧૫ સુધીમાં ઈન્ટરનેટ વિશ્વમાં એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર કરતાં પણ આગળ વધી ગયું હશે! ભારતમાં ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૪ના દિવસે નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટરે પહેલી વખત ઈન્ટરનેટ જોડાણ મેળવ્યું હતું. આજે એકલા ભારતમાં જ ઈન્ટરનેટ પર આધારિત ૮૦ લાખ નોકરીઓ છે અને ૨૦૧૫ સુધીમાં બીજી ૨૫૦ લાખ નોકરીઓનું સર્જન થશે. આગામી ત્રણ વર્ષમાં ઈન્ટરનેટનો બિઝનેસ ભારતના કુલ જીડીપીના ૩.૩ ટકાએ પહોંચી જશે. આગામી ૨ વર્ષમાં ભારતના નેટ યુઝર્સની કુલ સંખ્યા ૪૦ કરોડ સુધી પહોંચી જશે. ભારત એકમાત્ર ચીન (૫૦ કરોડ કરતાં વધુ) કરતાં આ મામલે પાછળ રહેશે એટલે કે વિશ્વમાં નેટ વપરાશકર્તા તરીકે ભારત બીજા નંબરે આવી જશે.

ઈન્ટરનેટની વૈશ્વિક સ્થિતિ
૧૬ દેશોમાં એક યા બીજાં કારણસર ઈન્ટરનેટની સુવિધા નથી. અમુક ગરીબ દેશોને ઈન્ટરનેટ સાથે નહીં પણ બે ટંકનું ખાવાનું કેમ મળે તે જોવામાં રસ છે! જ્યારે થોડા એવા દેશો પણ છે જ્યાં ઈન્ટરનેટ પર વત્તા-ઓછા અંશે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેલોરૂસ, બર્મા, ચીન, ક્યૂબા, ઈજિપ્ત, ઈરાન, નોર્થ કોરિયા, સાઉદી અરેબિયા, સિરિયા, ટયુનિશિયા, તૂર્કમેનિસ્તાન, વિએતનામ જેવા દેશો પૈકી અમુકમાં ઈન્ટરનેટને સેન્સરશિપનો સામનો કરવો પડી રહ્યો છે તો અમુક દેશોને નેટની જરૂરિયાત જણાઈ નથી.

વધુ આંકડાની ઈન્દ્રજાળમાં ઊતરવું હોય તો ઈન્ટરનેટની દુનિયાની સ્થિતિ કંઈક આવી છે. ૨૫ કરોડ ઉપરાંતની વેબસાઇટ્સ છે અને એમાં પણ પ્રતિમાસ ૬ લાખ વેબસાઇટ્સનો ઉમેરો થતો રહે છે. એક મહિનામાં ૧૦૦ કરોડ માથાંઓ ઈન્ટરનેટમાં ડોકિયું કરે છે. વિશ્વમાં સૌથી વધુ નેટરસિયા નોર્થ અમેરિકન લોકો છે. ૧૦૦માંથી ૭૦ નોર્થ અમેરિકન દિવસમાં એક વાર તો ઈન્ટરનેટની સુવિધાનો લાભ લે જ છે. નેટનો સાવ ઓછો ક્રેઝ આફ્રિકન્સમાં છે. ૧૦૦માંથી માત્ર ૩ જ આફ્રિકન્સ ઈન્ટરનેટમાં સમય વીતાવે છે તો વળી નોર્થ કોરિયાનો કોમ્યુનિકેશન વિભાગ પોતાના દેશમાંથી કેટલા લોકો ઈન્ટરનેટ યુઝ કરે છે એ વાતને જાહેર કરવાનું જ ટાળે છે. વિશ્વના મોટા ભાગના ટિનેજર્સ ૫ કલાકમાંથી ૨ કલાકનો સમય ઈન્ટરનેટમાં પોર્નોગ્રાફી જોવામાં ગાળે છે. ઈન્ટરનેટના કુલ વપરાશકારોમાંથી ૫૩ ટકા યુઝર્સની વય ૨૧થી ૩૫ વર્ષની વચ્ચે છે. મજાની વાત એ છે કે ઈન્ટરનેટ પર પુરુષો કરતાં મહિલાઓ વધુ સમય ફાળવે છે. ફેસબુક, ટ્વિટર, યુ ટયૂબ જેવી મોસ્ટ પોપ્યુલર સાઇટ્સ કોણે બનાવી એની કે ઈવન નો આવિષ્કાર કોણે કર્યો એ ખબર ન હોય તો એની ચિંતા હવે નથી થતી, કારણ કે દરેક સવાલનો એક જ જવાબ છે, ડોન્ટ વરી ઈન્ટરનેટ છેને યાર શોધી લઈશું!
Wednesday, 16 January 2013
Posted by Harsh Meswania

ભારતભરમાં માત્ર ૪૪૨ મહિલા પોલીસ સ્ટેશન!




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રેપ કેપિટલ તરીકે કુખ્યાત થઈ ગયેલા દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટના ઉપરાંત દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર-છેડતીના બનાવો પછી મહિલા પોલીસની સંખ્યામાં વધારો કરવાની માંગણી ઊઠી છે. એમાં પણ દિલ્હીમાં પ્રદર્શનકારી મહિલાઓ પર પોલીસ જવાનો દ્વારા યુવતીઓ પર કરાયેલા લાઠીચાર્જ અને દમનનાં દૃશ્યો જોવા મળ્યાં એટલે મહિલા સંગઠનોને એક મહત્ત્વનો તેમજ નોંધપાત્ર મુદ્દો મળી ગયો. આ બધી ઘટનાઓ પછી ચર્ચાતો સવાલ સામે આવ્યો કે શું યુવતીઓનાં પ્રદર્શનને કાબૂમાં લેવા માટે મહિલા પોલીસની સંખ્યા પર્યાપ્ત નથી?

આ પેચિદા સવાલનો જવાબ પણ કદાચ 'હા'માં જ આપવો પડે એવી સ્થિતિ છે, કારણ કે આ મુદ્દાએ ગરમાવો પકડયો એટલે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા મહિલા પોલીસમથકોની વિગતો આપવામાં આવી ત્યારે સામે આવ્યું કે ખરેખર મહિલા પોલીસથાણાંની સંખ્યા ખૂબ જ ઓછી છે. મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો માટે અલગથી પોલીસથાણાં હોય અને એનો બધો જ સ્ટાફ મહિલાઓનો હોય તો મહિલાઓ તેની આપવીતી સરળતાથી વર્ણવી શકે અને અપરાધીઓ સામે યોગ્ય પગલાં લઈ શકાય એવા આશયથી દેશમાં મહિલા પોલીસ સ્ટેશન્સની શરૂઆતકરવામાં આવી હતી, પણ રિપોર્ટ પ્રમાણે એની સ્થિતિ એટલી સારી નથી કે જેટલી હોવી જોઈએ.

દેશમાં આશરે ૧૫,૦૧૫ પોલીસ સ્ટેશન્સ છે અને એમાંથી મહિલા પોલીસથાણાંની સંખ્યા અત્યારે ૪૪૨ છે. દેશમાં આજે પણ ૧૩ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જ્યાં મહિલા પોલીસ સ્ટેશન નથી. આશ્ચર્યની વાત તો એ છે કે દેશમાં જ્યાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે તેવા રેપ કેપિટલ દિલ્હીમાં એક પણ મહિલા પોલીસ સ્ટેશન નથી. વળી, દિલ્હીમાં કુલ પોલીસ જવાનોની સંખ્યા ૮૨,૦૦૦ છે અને એમાંથી મહિલા પોલીસની સંખ્યા છે માત્ર ૫,૨૦૦. નવાઈ પમાડે એવી વાત તો એ પણ છે કે મહિલા સંગઠનોના ધ્યાનમાં એ આવ્યું કે પોલીસ જવાનો મહિલા પ્રદર્શનકારીઓ પર અત્યાર ન કરી શકે, પણ એ વાત કેમ યાદ નહીં આવી હોય કે ભારતની રાજધાની દિલ્હીમાં મહિલા પોલીસથાણું કેમ નથી? જોકે, આ મામલે બહુ હોબાળો થયો એટલે ગૃહ મંત્રાલયે જાહેરાત કરી કે દિલ્હીના તમામ ૧૬૬ પોલીસમથકોમાં મહિલા પોલીસનો સ્ટાફ વધારાશે. એક પોલીસ સ્ટેશન દીઠ બે મહિલા સબ ઈન્સપેક્ટર અને ૭ મહિલા કોન્સ્ટબલ ફાળવવાની વાત હાલ પૂરતી તો કરવામાં આવી છે, પણ આ તો માત્ર દિલ્હી પૂરતી વ્યવસ્થા થઈ કહેવાય. ભારત આખામાં મહિલા પોલીસ સ્ટેશન્સ તો ઓછાં છે જ, પણ મહિલા પોલીસ સ્ટાફની પણ અછત છે. દેશમાં અત્યારે આશરે ૧૬ લાખ જેટલો પોલીસ સ્ટાફ છે અને એમાંથી મહિલા પોલીસનો હિસ્સો છે ૩.૪ ટકા. દેશમાં પહેલાંથી પોલીસ જવાનોની અછત પ્રવર્તતી હોય ત્યારે અલગથી મહિલા પોલીસની ભરતી થવાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય! ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ડિમાન્ડ પ્રમાણે દેશમાં ૨૧ લાખ જેટલો સ્ટાફ હોય એ સ્થિતિ યોગ્ય કહી શકાય? એની સામે હવે છેક આ આંકડો ૧૬ લાખ સુધી માંડ પહોંચી શક્યો છે અને આમાંથી પાછા વીઆઈપીના સ્પેશિયલ બંદોબસ્તમાં ગોઠવાતા સ્ટાફની બાદબાકી થાય તે અલગ. ૨૦૧૦ના આંકડા મુજબ દેશના ૧૬,૭૮૮ વીઆઈપી મહાનુભાવોના રક્ષણ માટે ૫૦,૦૫૯ પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવે છે. હજુ પણ આ લોકાના રક્ષણ માટે ૨૧ હજાર પોલીસ જવાનોની જરૂર છે. બધી ગણતરી માંડીને કહેવું હોય તો સ્થિતિ કંઈક એવી છે કે દેશમાં કુલ એક લાખ લોકોએ માંડ ૧૦૦ જેટલા પોલીસ જવાનોનો સ્ટાફ કામ કરે છે. એમાંય વળી વીઆઈપીની સુવિધામાં રહેતા સ્ટાફને અલગ કરીએ તો સંખ્યા હજુ પણ વધારે નીચી આવી જાય. ૧૬ હજાર વીઆઈપી સામે ૫૦ હજાર પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો હોય અને એક અબજ ઉપરાંતની વસ્તી સામે માત્ર ૧૬ લાખ પોલીસ જવાનો ફાળવવામાં આવ્યા છે! આવી વિરોધાભાસની સ્થિતિ હોય ત્યારે તો મહિલા પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસમથકો વધે એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય!

મુખ્ય રાજ્યોમાં મહિલા પોલીસથાણાંની સંખ્યા

Wednesday, 9 January 2013
Posted by Harsh Meswania

૨૧ ડિસેમ્બરે પ્રલય થશે? આ આગાહી પહેલી નથી અને છેલ્લી પણ નહીં હોય!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૧ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પૃથ્વી પર પ્રલય આવશે એવી એક માન્યતા ઘણા સમયથી પ્રવર્તતી હતી અને એમાં રોનાલ્ડ એમરિક દિર્ગ્દિશત ફિલ્મ '૨૦૧૨' રિલીઝ થઈ ત્યારથી લોકોની ધારણા થોડી વધુ બળવત્તર બની હતી. જોકે, આવી પ્રલયની ધારણાઓ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે અને આગળ પણ થતી રહેશે. દુનિયાને કશું જ નથી થયું અને ૨૧મી ડિસેમ્બરે પણ કંઈ જ નહીં થાય.

માયા કેલેન્ડર પર થોડો વધુ પડતો વિશ્વાસ રાખનારા લોકોનું માનવું છે કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ માયા કેલેન્ડરનો છેલ્લો દિવસ છે. આ પ્રલયમાંથી બચવા માટેના ઉપાયો પણ આવા લોકોએ ક્યારના શરૂ કર્યા છે. શું ખરેખર આ દિવસે પ્રલય થશે? કે પછી આ એકમાત્ર માન્યતા જ છે? આ અગાઉ પણ સદીઓથી પ્રલયની આવી અસંખ્ય ધારણાઓ થતી આવી છે અને તમામ ખોટી સાબિત થઈ ચૂકી છે,

૧૯મી સદીમાં કયામતની થયેલી ધારણાઓ
૧૯મી સદીની શરૂઆતમાં આવી કેટલીય ધારણાઓ થતી હતી કે હવે દુનિયાનો સમય પૂરો થઈ રહ્યો છે. એમાંથી કોઈકના તર્ક તરફ લોકોએ લક્ષ્ય આપ્યું તો કોઈકની વાતને હસી કાઢી. આવી જ મહત્ત્વની એક આગાહી ૧૮૦૯માં મેરી બેટમેન નામના ત્યારના બહુ આધારભૂત મનાતા ભવિષ્યવેત્તાએ કરી હતી. તેમના મતે એ વર્ષે પૃથ્વી પર ઈશ્વરનું આગમન થવાનું હતું અને એટલે દુનિયા નષ્ટ થઈ જવાની હતી. આ ધારણા પછીથી સદંતર ખોટી પડી હતી. ત્યાર પછી ૧૮૧૪માં જ્હોન સાઉથકોટ નામના એક અધ્યાત્મવાદીએ અને ૧૮૩૬માં જ્હોન વેસ્લી નામના માણસે વધુ એક ભવિષ્યકથન કર્યું હતું કે હવે દુનિયાનો અંત નક્કી છે. આ બંને આગાહીઓ પાયાવિહોણી ઠરી હતી.

ઈંગ્લેન્ડના એક ખેડૂત વિલિયમ મિલરે બાઇબલનાં થોડાં વર્ષોના અભ્યાસ પછી ધારણા કરી હતી કે ૨૩ એપ્રિલ, ૧૮૪૩નો દિવસ પૃથ્વીના પ્રલયનો દિવસ છે. એ જમાનામાં તેની આ વાત માનનારો બહુ મોટો વર્ગ હતો. પ્રલયની ધારણાને સ્વીકારતા આ વર્ગને મિલિરિટાઇસ તરીકે ઓળખવામાં આવતા હતા. લોકો આ આગાહીથી ખૂબ જ ડરી ગયા હતા પણ પછી એ દિવસે એવું કશું જ નહોતું બન્યું કે જેનાથી આ વાત સાચી સાબિત થાય!

૧૮૫૯માં થોમસ પાર્કર અને ૧૮૮૧માં સિમ્ટોન વગેરેએ કયામતની ધારણાઓ બાંધી હતી, પરંતુ એની ખાસ નોંધ લેવાઈ ન હતી. ત્યારપછી છેક ૧૮૯૧માં એક આગાહી થઈ હતી જેનાથી લોકોમાં ભયનું મોજું ફેલાયું હતું. જોસેફ સ્મિથે મર્મન ચર્ચની સ્થાપના કરી હતી અને ત્યાં આવતાં લોકોને તેણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે મહાવિનાશક પ્રલયમાં માનવસભ્યતાનો નાશ થશે. જોકે, આટ-આટલી ધારણાઓ છતાં ૧૯મી સદીમાં એવું કશું જ નહોતું થયું.

૨૦મી સદીમાં થયેલી વિનાશની નિષ્ફળ આગાહીઓ
૧૯૧૦માં કોઈકે એવું ગપ્પું ચલાવ્યું કે પૃથ્વીના પેટાળમાંથી એક ગેસ છૂટશે જેનાથી લોકો મૃત્યુ પામશે અને પૃથ્વી માનવસંસ્કૃતિ વિહીન થશે. ત્યારપછી વચ્ચે વિશ્વયુદ્ધના કારણે હોય કે અન્ય કોઈ કારણ હોય, થોડો વખત આવા આગાહીકર્તાઓએ આગાહી કરવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ડોરોથી માર્ટિન નામના એક અધ્યાત્મવાદીની ૨૧ ડિસેમ્બર,૧૯૫૪ના દિવસે મહાભયાનક પૂર આવશે અને એમાં દુનિયાભરના લોકો તણાઈ જશે એવી આગાહીથી લોકોમાં ફફડાટ ફેલાયા હતો.

૧૯૮૨માં એક ખગોળવિદ્ ક્રિસ્ટોફર રેપ્ચરે અવકાશી અથડામણની આગાહી કરી હતી. તેના મતે અવકાશમાં એવી ઉથલપાથલ મચવાની છે કે જેનાથી પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં આવી જશે અથવા તો પૃથ્વી નાશ પામશે. આ આગાહીને ગંભીરતાથી લેવાનું કારણ હતું અવકાશી અથડામણ. અત્યાર સુધીની આગાહીઓમાં ક્યાંક ને ક્યાંક ર્ધાિમક માન્યતા જવાબદાર હતી, પણ અહીં એમાં વૈજ્ઞાનિક તર્ક ભળ્યો હતો. આ અથડામણની ધારણા પણ અંતે ધ્વસ્ત થઈ. પછી તો ૧૯૯૭ અને ૧૯૯૯માં પણ આવી ર્ધાિમક માન્યતાઓના બળે એક બે આગાહીઓ થઈ હતી, પણ જેમ દરેક વખતે બને છે એમ આ આગાહીઓ પણ ખોટી પડી હતી.

આ પૃથ્વી પર અવકાશી આફતો, સુનામીનો ભય, ધરતીકંપનો ડર, અણુયુદ્ધનો ખતરો, કોઈક અજાણ્યા રોગના ઇન્ફેક્શનનો ઓથાર વગેરે અવારનવાર આવ્યા છે અને કદાચ આવતા રહેશે છતાં પૃથ્વીના પ્રલયની શક્યતા વૈજ્ઞાનિકો સતત નકારતા રહ્યા છે, કેમ કે પૃથ્વી આ પહેલાં જ આવી તો કેટલીય અથડામણની સાક્ષી રહી છે એટલે આવી કોઈ નાનકડી ઘટનાથી પૃથ્વી પર પ્રલય આવી જાય એ વાત માત્ર ભય ફેલાવી શકે, પણ સત્યથી વેગળી છે એ વાતના પુરાવા અને શીખ ભૂતકાળમાંથી મળી જ રહે છે.

નાસાની હૈયાધારણ
વિજ્ઞાન અને અવકાશની બાબતોમાં સૌથી ઓથેન્ટિક મનાતી સંસ્થા નાસાએ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પ્રલય આવશે એવી માન્યતાને પાયાવિહોણી ગણાવી છે. કોઈ સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થવાની બાબતને પ્રલય સાથે સંબંધ જોડવાની બાબતને હાસ્યાસ્પદ ગણાવીને નાસાએ પ્રલયની શક્યતાને ગંભીરતાથી ન લેવાની અપીલ કરી હતી. નાસાના મતે આ વર્ષે નથી સોલાર સુનામીનો ખતરો કે નથી અન્ય અવકાશી અથડામણોની શક્યતા. પૃથ્વીનું ૪૦૦ કરોડ વર્ષનું આયુષ્ય હજુ બાકી છે અને એ પહેલાં પ્રલય થવાની વાતમાં કોઈ જ દમ નથી એવી હૈયાધારણ પણ નાસા દ્વારા આપવામાં આવી છે.
Tuesday, 18 December 2012
Posted by Harsh Meswania

ઈલેક્શન સિમ્બોલ્સ: પક્ષનો મિજાજ બતાવીને મત મેળવી આપતા સૈનિકો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રાજકીય પક્ષ માટે તેનાં ચૂંટણી પ્રતીકો ખૂબ જ મહત્ત્વનાં હોય છે. જે તે પાર્ટીનું ચૂંટણી પ્રતીક પક્ષનો મિજાજ છતો કરે છે. એમાં પણ આપણા દેશમાં કે જ્યાં અસાક્ષર કે અલ્પસાક્ષર લોકોની સંખ્યા ઠીક ઠીક મોટી હોય ત્યારે તો પક્ષ માટે સિમ્બોલ જ તેની ઓળખ પ્રસ્થાપિત કરે છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અહીં પ્રસ્તુત છે પોલિટિકલ પાર્ટીઝના સિમ્બોલ્સ અંગે થોડી રસપ્રદ જાણકારી.

૧૯૬૮માં ઇલેક્શન કમિશને ખાસ ચૂંટણી પ્રતીકો અંગેના સુધારા કર્યા પછી આમાં વિશેષ ફેરફાર જણાયો છે. બાકી પહેલા મોટા ભાગના પક્ષો ફ્રી સિમ્બોલ રાખતા હતા. સ્થિતિ એવી હતી કે એક વાર પક્ષનું ચિહ્ન છત્રી હોય તો બીજી વખત એ જ પક્ષને એ ચિહ્ન ન પણ મળે અને એને બીજા કોઈક પ્રતીક પર પસંદગી ઉતારવી પડતી! આજે આશરે ૬૦૦ જેટલા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પક્ષોનું અસ્તિત્વ છે અને એમાંથી મોટાભાગના પક્ષોએ કાયમી ધોરણે પોતાનું પ્રતીક નક્કી કરી લીધું છે.

... તો આજે હાથી બીએસપીનું નહીં, પણ કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક હોત!
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે વર્ષો સુધી ગાય-વાછરડાનાં ચિહ્ન પર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસનું આજનું હાથનું પ્રતીક ૧૯૬૨ સુધી ફ્રી સિમ્બોલ હતું અને તે એક સમયે અકાલીદળનું સિમ્બોલ રહ્યું હતું.

સંસ્થા કોંગ્રેસથી અલગ થઈને ઇન્દિરા ગાંધીએ જ્યારે કોંગ્રેસ (આઈ) સ્થાપી ત્યારે ચૂંટણી પ્રતીકની ખોજ ચલાવી હતી. પત્રકાર અને લેખક રશિદ કિડવાઇના પુસ્તક '૨૪ અકબર રોડ'માં તેમણે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે અમુક રાજ્યોમાં નાનકડી ચૂંટણી વેળાએ કોંગ્રેસે હાથીને પણ સિમ્બોલ બનાવ્યો હતો. ૧૯૮૦ની ચૂંટણીઓ પહેલાં ઇન્દિરા ગાંધીએ ઘણા સિમ્બોલ્સ પર વિચાર્યા પછી અંતે હાથ અને હાથી એમ બેમાંથી કોઈ એકને પાર્ટીનું ચિહ્ન બનાવવાનું નક્કી કર્યું. એ દરમિયાન તેમણે કેરળના એક મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં એક હિન્દુ દેવતાના હાથની મુદ્રા તેમને ગમી ગઈ. એ મૂર્તિ પાછળનું લોજિક એવું હતું કે માણસના શરીરમાં હાથ એકમાત્ર એવું અંગ છે કે જેની તમામ આંગળીઓ એકસાથે કરવામાં આવે તો યુનિટી દર્શાવે છે અને જો ઉપર ઉઠાવવામાં આવે તો આશિર્વાદની મુદ્રા સર્જાય છે. આ વાતથી પ્રભાવિત થઈને ઇન્દિરા ગાંધીએ પક્ષ માટે જમણા હાથને ચૂંટણી પ્રતીક બનાવ્યું. હાથીના ચિહ્નને પછીથી ૧૯૮૪માં નવા ગઠિત થનારા બહુજન સમાજ પક્ષે (બીએસપી) પોતાના ચૂંટણી પ્રતીક તરીકે રિઝર્વ કરી લીધું. એ પાછળનો તર્ક રાજકીય નિષ્ણાત બદ્રી નારાયણે 'ધ મેકિંગ ઓફ ધ દલિત પબ્લિક ઇન નોર્થ ઇન્ડિયા' પુસ્તકમાં જણાવ્યો છે. પુસ્તકમાં લખ્યું છે એ મુજબ આઝાદી પછીનાં વર્ષોમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ નામના પક્ષનું અસ્તિત્વ હતું, જેનો સિમ્બોલ હાથી હતો એટલે બીએસપીએ ખૂબ ઝડપથી લોકો સ્વીકારી લે એવા એક તર્ક સાથે હાથીને ઇલેક્શન સિમ્બોલ તરીકે પસંદ કર્યો હતો. બીજું કારણ થોડું ધાર્મિક હતું. બૌદ્ધ ધર્મમાં હાથીને મહત્ત્વનું પ્રાણી ગણાવાયું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને બીએસપીએ હાથી પર પસંદગી ઉતારી હતી.

પક્ષના સિદ્ધાંતો અને ચૂંટણી પ્રતીકો
હિન્દુત્વની વિચારધારા સાથે શરૂ થયેલા ભારતીય જનતા પક્ષના પ્રતીક તરીકે કમળ જ વધુ યોગ્ય સિમ્બોલ રહે તે સ્વાભાવિક છે. કેમ કે, હિન્દુ દેવી-દેવતાઓનાં હાથમાં કમળ શોભા તરીકે રહે છે. વળી, ત્યારની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ કહેવાતું કે કમળ કાદવમાં ખીલે છે એટલે ભારતીય જનતા પક્ષ લોકો માટે કાદવમાં કમળની જેમ ખીલીને મજબૂત વિકલ્પ પૂરો પાડશે.

આ સિવાયનાં નોંધપાત્ર પ્રતીકોમાં શિવસેનાનું ધનુષ-બાણ આક્રમક મિજાજ અને હિન્દુત્વની વિચારધારા દર્શાવતું પ્રતીક છે. આ ઉપરાંત સાઇકલનો સિમ્બોલ ઉમેદવારો માટે હંમેશાં આકર્ષક રહ્યો છે. ભારતના ત્રણ-ત્રણ પ્રાદેશિક પક્ષોએ સાઇકલને ચૂંટણી પ્રતીક બનાવ્યું છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી, આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી અને જમ્મુ-કશ્મીરની નેશનલ પેન્થર પાર્ટીએ સાઇકલને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરી છે. મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને નાગાલેન્ડની પિપલ્સ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ છે. ચૂંટણી ચિહ્ન પસંદ કરવાની બાબતને મોટાભાગના પક્ષો ખૂબ જ ગંભીરતાથી લે છે અને પોતાના પક્ષની ઓળખ મુજબ જ ચૂંટણી ચિહ્ન રાખે છે. 

ચૂંટણી પંચ પાસે પ્રતીકો ખૂટી પડયાં
૧૯૯૬માં તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં મોડાકુરીચીની બેઠક પર ૧૦૩૩ ઉમેદવારો જંગે ચડયા. ચૂંટણીપંચ પાસે માત્ર ૩૫૦ જ ફ્રી સિમ્બોલ્સ હતા. પ્રતીકો ખૂટી પડતાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી!
Wednesday, 12 December 2012
Posted by Harsh Meswania

વિશ્વભરમાં થઈ રહ્યો છે ઈવીએમનો વ્યાપક ઉપયોગ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇવીએમનો ઉપયોગ થશે. મતદારો હવે એનાથી ટેવાઈ ગયા છે. પહેલાં કાગળના બેલેટપેપર પર હાથેથી નિશાની કરી મતદાન બોક્ષમાં ગડી વાળીને નાખવા પડતાં. બેલેટ પેપર ગણતરી કરી પરિણામ જાહેર કરતા પરિણામ આવતા ઘણીવખત બેથી ત્રણ દિવસ નીકળી જતા, જ્યારે ઈવીએમમાં બટન દબાવતાં જ મત નોંધાય છે ને મતગણતરીના દિવસે બપોર સુધીમાં તો પરિણામો જાહેર થઈ જાય છે. વિવાદી અને ફેરમતગણતરીના કંટાળાજનક બનાવો ઈવીએમથી મોટેભાગે ઘટયા છે. આપણે ત્યાં પરંપરાગત મતકેન્દ્રોમાં ઈવીએમ દ્વારા મત આપવાનું ચલણ છે પણ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ઘેર બેઠાં કે દુનિયાના કોઈ પણ ખૂણેથી ઇન્ટરનેટ દ્વારા મત આપવાનું ચલણ હજુ સ્વીકૃત થયું નથી. અમેરિકા ને યુરોપના દેશો ખાસ કરીને ઇસ્ટીવિયામાં ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ વધુ વ્યાપક ને પ્રચલિત છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિના ઉદ્ભવ, એના વિકાસ અને તેના પ્રકારની વિગતો જાણવા જેવી છે...

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સંક્ષિપ્ત ઈતિહાસ
ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે વિજાણુ મતદાન. ઇલેક્ટ્રોનિક વોટિંગ ટેક્નોલોજીમાં કાર્ડ્સ ઓપ્ટિકલ સ્કેન વોટિંગ સિસ્ટમનો તેમજ વોટિંગ કિઓસ્ક સીધા જ મતદાનનું રેર્કોડિંગ કરતી ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો (ડીઆરઈ) સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં મતદાન એક સ્થળેથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર ટેલિફોનથી તેમજ ખાનગી કોમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ થકી થાય છે. એકંદરે ઇ-વોટિંગના બે મુખ્ય પ્રકાર ગણવામાં આવ્યા છે. પ્રથમ પ્રકારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) જે મતદાન કેન્દ્ર પર ગોઠવાયું હોય ત્યાં સરકારના પ્રતિનિધિઓ કે સ્વતંત્ર ચૂંટણી આયોગના પ્રતિનિધિઓ દ્વારા ઇ-વોટિંગનું રૂબરૂમાં સુપરવિઝન કરવામાં આવે છે.

બીજો પ્રકાર રિમોટ ઇ-વોટિંગનો છે, કે જેમાં મતદાતા પોતાના તાબા ક્ષેત્રમાંથી, પોતાના પર્સનલ કોમ્પ્યુટરમાંથી કે મોબાઈલ ફોનથી કે ટેલિવિઝન પરથી ઇન્ટરનેટના માધ્યમથી ઇ-વોટિંગ કરે છે એમાં સરકારી પ્રતિનિધિઓ કે ચૂંટણીપંચના પ્રતિનિધિઓ રૂબરૂમાં એનું સુપરવિઝન કરતા હોતા નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગનો ફાયદો એ છે કે એમાં મતપત્રકોની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે અને વિકલાંગ મતદારો બહુ સરળતાથી મતદાન કરી શકે છે. જો કે અમેરિકામાં એવો વિરોધ ઊઠયો હતો કે ડીઆરઈ પ્રકારના ઇલેક્ટ્રોનિક વોટિંગમાં ઇલેક્ટ્રોનિક ઠગાઈ, છેતરપિંડી થવાની પણ શક્યતા રહે છે.

મતદારો માટેની આ ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિ ૧૯૬૦થી અમલમાં આવી છે. જ્યારે અમેરિકામાં પંચ કાર્ડની પદ્ધતિનો પ્રારંભ થયો હતો. અમેરિકામાં ૧૯૬૪માં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ૭ રાજ્યોએ પંચ કાર્ડ સિસ્ટમ અપનાવતા એનો વ્યાપક ઉપયોગ થયો હતો. એ પછી ઓપ્ટિકલ સ્કેન વોટિંગની નવી સિસ્ટમ આવી. મતપત્રક પર મતદાતાની નિશાની કોમ્પ્યુટર દ્વારા ગણવામાં આવે છે.

ડીઆરઆઈ વોટિંગ મશીન મતદાતાના મતોને એકત્ર કરીને એક જ મશીનમાં કોષ્ટકમાં ગોઠવે છે. આ પ્રકારનાં વોટિંગ મશીન બ્રાઝિલ અને ભારતમાં તમામ ચૂંટણીઓમાં તેમજ વેનેઝુએલા અને અમેરિકામાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. નેધરલેન્ડમાં આ મશીનો ચૂંટણીમાં વ્યાપકપણે વપરાયાં હતાં પણ લોકોના વિરોધને કારણે એનો ઉપયોગ પડતો મુકાયો હતો. જો કે ઇન્ટરનેટ આધારિત રિમોટ વોટિંગ સિસ્ટમને યુકે, ઇસ્ટોનિયા, અને સ્વિટ્ઝરલેન્ડમાં સરકારી ચૂંટણીઓ તેમજ લોકમત માટે જ્યારે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે કેનેડામાં અને પક્ષની પ્રાઈમરી ચૂંટણીઓ માટે અમેરિકા અને ફ્રાન્સમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત

ઇ-વોટિંગ માટે હાઈ બોન્ડ સિસ્ટમ પણ છે કે જેમાં ડીઆરઈ જેવી ટચ સ્ક્રીન સિસ્ટમવાળા ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કિગ મશીનનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ પ્રિન્ટ કરવા માટે સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. એમાં મતગણનાના કોષ્ટક માટે અલગ મશીન વપરાય છે.

કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ
આ પ્રક્રિયાને ડોક્યુમેન્ટ બેલેટ વોટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં કાગળ પર છપાયેલાં મતપત્રકો મતદાન માટે વપરાય છે અને હાથેથી એની ગણતરી થાય છે. એમાંથી કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉદ્ભવ થયો હતો. આ પદ્ધતિમાં કાગળનાં મતપત્રકો હાથેથી નિશાની કરીને નાખવામાં આવે છે પણ એની ગણતરી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરાય છે. આ સિસ્ટમમાં પંચ કાર્ડ વોટિંગ અને માર્ક સેન્સનો તથા બાદમાં ડિજિટલ પેન વોટિંગ સિસ્ટમનો આવિષ્કાર થયો, પરંતુ તાજેતરમાં જ આ સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કર (ઇબીએમ)નો સમાવેશ કરાયો છે. જેમાં મતદાતાને ઇલેક્ટ્રોનિક ઇનપુટ ડિવાઈસના ઉપયોગથી પસંદગીની તક મળે છે. આ ટચ સ્ક્રીન સિસ્ટમ ડીઆરઈ જેવી જ છે.

ડીઆરઈ વોટિંગ સિસ્ટમ
પબ્લિક નેટવર્ક ડીઆરઈ વોટિંગ સિસ્ટમ એ એવી ચૂંટણી પદ્ધતિ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક મતપત્રકનો ઉપયોગ થાય છે. જેમાં પડેલા મતને મતકેન્દ્ર પરથી પબ્લિક નેટવર્કના અન્ય દૂરના સ્થળે ટ્રાન્સમીટ) મોકલવામાં આવે છે. આ રીતે નોંધાયેલા મતોને આખા દિવસ દરમિયાન કે વોટિંગ સમાપ્ત થયે બૂથ પરથી અન્ય સ્થળે બેચવાઈઝ મોકલાય છે. આ પદ્ધતિમાં ઇન્ટરનેટ દ્વારા થયેલા વોટિંગ અને ટેલિફોન દ્વારા થયેલા વોટિંગનો સમાવેશ થાય છે. જાહેર નેટવર્કમાં ડીઆરઈ વોટિંગ સિસ્ટમમાં કેન્દ્રિયકૃત મતગણના પદ્ધતિનો ઉપયોગ થાય છે. જુદાં જુદાં મતકેન્દ્રો પરથી ટ્રાન્સમીટ થઈ આવેલા મતોને મધ્યસ્થ કેન્દ્રમાં ડિજિટલ પદ્ધતિથી કોષ્ટકમાં ગોઠવાય છે.

ઇન્ટરનેટ વોટિંગમાં દૂર દૂર છૂટાછવાયા રહેલા ઇન્ટરનેટની ફેસિલિટી ધરાવતાં કમ્પ્યુટરો દ્વારા વોટિંગ કરવામાં આવે છે અથવા તો ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ ધરાવતાં પરંપરાગત મતદાનકેન્દ્રો પરથી ઇન્ટરનેટ વોટિંગ થઈ શકે છે. કોર્પોરેટ હાઉસો અને વ્યાપારગૃહો કે અન્ય કંપનીઓ, સંગઠનો, સંસ્થાઓમાં બોર્ડ મેમ્બરો તેમજ હોદ્દેદારોની ચૂંટણી માટે કે પ્રોક્સી ઈલેક્શન માટે આ ઇન્ટરનેટ વોટિંગ પદ્ધતિ વપરાય છે. ઘણા આધુનિક દેશોમાં ખાનગી ધોરણે બિનસરકારી હેતુ માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

તે અમેરિકા, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ઇસ્ટોનિયામાં આ ઇન્ટરનેટ વોટિંગનો જાહેરમાં સરકારી હેતુ માટે ઉપયોગ થાય છે જ્યાં સ્થાનિક લોકમત માટે એ સ્વીકૃત પદ્ધતિ છે. આ દેશોમાં મતદારને ઇલેક્ટ્રોનિક મતદાનપત્રક સુધી પહોંચવા માટે પાસવર્ડ અપાય છે. ઇસ્ટોનિયામાં મતદારો ઇન્ટરનેટ દ્વારા સ્થાનિક તેમજ સંસદની ચૂંટણીમાં મત આપે છે. યુરોપિયન યુનિયનના અન્ય કોઈ દેશ કરતાં ઇસ્ટોનિયામાં આ ચલણ વધારે છે. એનું કારણ એ છે કે ઇસ્ટોનિયાના નાગરિકોને કોમ્પ્યુટર દ્વારા વાંચી શકાય એવું માઈક્રોચીપ આધારિત નેશનલ આઈડેન્ટિટી કાર્ડ અપાય છે. આ કાર્ડના આધારે તેઓ ઓનલાઈન મતપત્રકમાં મતદાન કરી શકે છે. આ માટે મતદાર પાસે એક કોમ્પ્યુટર, આઈ.ડી. કાર્ડ અને તેના પિન નંબર હોવા જોઈએ, તો તેઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી મતદાન કરી શકે છે. ઇસ્ટોનિયા મતદારો એડવાન્સ વોટિંગના દિવસોમાં જ ઇ-વોટિંગ કરી શકે છે. જ્યારે મતદાનના દિવસે તો મતદારે મતદાન કેન્દ્ર પર રૂબરૂ જઈ કાગળનું મતપત્રક માર્ક કરવું પડે છે.

ઈ-વોટિંગનો પ્રથમ પ્રયોગ ગુજરાતમાં થયો
સમગ્ર ભારતમાં પહેલી જ વાર ગુજરાતમાં ભારે ક્રાંતિકારી પ્રયોગરૂપે શાંત રીતે ઇન્ટરનેટ આધારિત ઇ-વોટિંગનો અમલ દાખલ કરાયો હતો એ માટે ૨૦૧૦ના જાન્યુઆરી મહિનામાં આ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે રાજ્યના તત્કાલીન ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે આ કાર્ય હાથ ધર્યું હતું. નિષ્ક્રિય કે ઉદાસીન લોકો ઘેર કે ઓફિસમાં બેઠા બેઠા મતદાન કરવા પ્રેરાય તે માટે તેમણે આ પહેલ કરી હતી. યુરોપના ઇસ્ટોનિયા સિવાયના પશ્ચિમમાં ટેક્નોલોજીમાં એડવાન્સ દેશોમાં પણ ઇ વોટિંગ બહુ પ્રચલિત થયું નથી એ બહુ આશ્ચર્યની વાત છે.

ગુજરાતમાં ઇ-વોટિંગ માટે કે.સી. કપૂરે પ્રયાસો હાથ ધરી ૩૦ સરકારી સચિવોનું એક ટાસ્કફોર્સ રચી, ગુજરાત ઇન્ફર્મેટિકલ લિ. ને સલાહકાર ને ટીસીએલને સોફ્ટવેર સપ્લાયર તરીકે પસંદ કર્યા. વડોદરાની એક ઇન્ફર્મેશન સિક્યુરિટી એજન્સીનો પણ ટીમમાં સમાવેશ કરાયો. ગાંધીનગરમાં તમામ વોર્ડનું બાયોમેટ્રિક્સ ડેટા સેન્ટર સ્થપાયું. સચિવાલયના ૯મા માળે આવેલા ડેટા સેન્ટરમાં ૩૨ સર્વર છે. મતદારયાદી પર જેનું નામ દેખાય તે વ્યક્તિ ઇ-વોટિંગ કરી શકે છે. એ માટે મતદારે રાજ્ય ચૂંટણીપંચને ઓનલાઈન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે જેમાં મોબાઈલ નંબર ને કોમ્પ્યુટરની વિગતો આપવાની રહે છે. ત્યાર પછી મતદારને રજિસ્ટ્રેશન આઈન્ડેન્ટિંગ અને ટેમ્પરરી પાસવર્ડ ઇ-મેઈલ એસએમએસથી મોકલાય છે.

આ માટે મતદારે પોતાની આઈડેન્ટિટી ૭ દિવસમાં એક્ટિવેટ કરી દેવી પડે છે. બોગસ મતદાન અટકાવવા ચૂંટણીપંચ મતદાનના દિવસે નવો પાસવર્ડ મોકલે છે જેના દ્વારા મતદાર વેબસાઈટ સાથે લોગઓન થઈ શકે છે અને મત આપી શકે છે. ઓક્ટોબર ૧૦, ૨૦૧૦માં સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને અમદાવાદની મ્યુનિ. ચૂંટણીઓમાં ઇ-વોટિંગનો પ્રથમ ઉપયોગ થયો હતો. જો કે ચિત્ર બહુ નિરાશાજનક રહ્યું, કેમ કે ૮૬.૧૦ લાખ રજિસ્ટર્ડ મતદારો પૈકી ત્યારે માત્ર ૧૮૩ મતદારોએ ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. એ પછી ચૂંટણીપંચે એપ્રિલ ૨૦૧૧માં ગાંધીનગર મ્યુ. ચૂંટણીમાં ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. જો કે ૬૭૦ રજિસ્ટર્ડ મતદાતા પૈકી ૫૦૦ જણાએ એનો ઉપયોગ કર્યો હતો. આ બાબતો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે ઇસ્ટોવિયા જેવું ઇ-વોટિંગ પ્રચલિત બનાવવા હજુ આપણે ત્યાં ઘણો અવકાશ છે.
Posted by Harsh Meswania

આરોપ ભલેને સાબિત થતાં જવાબ તો તૈયાર જ છે!



(સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિની વિશેષ કોલમમાં પબ્લિશ થયેલો આર્ટિકલ)
જાહેરજીવનની વ્યક્તિઓને અને વિવાદને ખૂબ નજીકનો સંબંધ રહેતો આવ્યો છે. જાહેરજીવન સાથે સંકળાયેલી હોવાથી તેના વિવાદની નોંધ પણ ગંભીરતાથી લેવામાં આવતી હોય છે અને વળી, વિરોધીઓના ટાર્ગેટ પર હોવાથી સ્વાભાવિક રીતે જ જે તે સેલિબ્રિટી વિવાદમાંથી જલદી બહાર નીકળી જવાનું વધુ મુનાસિબ માને છે. અહીં એવી જાહેરજીવનની વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જે કોઈ ને કોઈ વિવાદમાં સપડાયા હતા અને એમાંથી બહાર નીકળવા માટે તેણે પોતે નિર્દોષ હોવાનાં નિવેદનો આપ્યાં હતાં. કોઈએ તેના પર લાગેલા ગંભીર આક્ષેપને ષડયંત્ર ગણાવ્યું હતું, તો કોઈએ ભૂલથી આવું વર્તન થઈ ગયું છે તેમ કહીને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. ગમે તેમ કરીને બહાના બાજી કરવા છતાં પણ અંતે આ તમામ જાહેરજીવનની વ્યક્તિઓ પર આક્ષેપો હોવાનું ક્યાંકને ક્યાંક પૂરવાર પણ થયું હતું. વિવાદમાંથી હેમખેમ પાર ઊતરવા માટે અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોએ મારેલા હવાતિયા અને નિવેદનો અહીં પ્રસ્તુત છે.

એ. રાજા, રોબોર્ટ વાડ્રા
નહેરુ-ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર અરવિંદ કેજરીવાલ દ્વારા મૂકવામાં આવેલા ગંભીર આક્ષેપો પછી તેને નિર્દોષ ઠેરવવા માટે સરકારના જ અમુક પ્રધાનોએ બીડં ઝડપ્યું હતું અને આગળ પડતો ભાગ ભજવ્યો હતો. દિગ્વિજય સિંહના પ્રયત્નોને અંતે વાડ્રાનું ચેપ્ટર જોકે હાલ પૂરતું બંધ જરૂર થયું છે. આ અગાઉ પણ યુપીએ સરકારના પૂર્વ ટેલિકોમ મંત્રી રાજા પર ટેલિકોમ કૌભાંડના ગંભીર આક્ષેપો થયા હતા ત્યારે આ જ રીતે તેને બચાવવા માટે એક આખી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ખુદ રાજાએ પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપ બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે

૨-જીની ફાળવણીમાં વડાપ્રધાન અને નાણામંત્રીનો પણ હાથ હતો. સમગ્ર પ્રક્રિયા તેમની નજર તળે જ થઈ હતી. ભારતની જ જાહેરજીવનની વ્યક્તિઓ આવા નિવેદનો કરીને છટકી જવાની કોશિશ કરે છે એવું નથી. કાગડા બધે જ કાળા છે એ ન્યાયે વિશ્વભરની ખૂબ જાણીતી અને વગદાર વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો થયા બાદ તેમણે અલગ-અલગ પ્રકારનાં કારણો આપતાં નિવેદનો આપીને ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી છે.

લાન્સ આર્મસ્ટ્રોંગ
કેન્સરમાંથી સાજા થયેલા સાઇકલિંગ લિજેન્ડ લાન્સ આર્મસ્ટોંગ વિશ્વભરમાં મક્કમ મનોબળનો પર્યાય ગણાતા હતા. તેમના પર ડોપિંગનો આરોપ મુકાયો ત્યારે રમતજગતમાં ખળભળાટ મચી ગયો હતો. તેમના પર આરોપ હતો કે કેન્સરમાંથી સાજા થયા બાદ ૧૯૯૮ પછી ફરીથી તેણે જેટલાં ટાઇટલ મેળવ્યાં હતાં, એ તમામ ડોપિંગના કારણે મળ્યાં હતા. કેન્સરની ગંભીર માંદગીમાંથી સાજા થયા પછી તેમણે જીતવા માટે ડ્રગ્સનો સહારો લીધો હોવાનો આક્ષેપ તેમના પર થયો હતો.

મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી
ફ્રાન્સના એક મેગેઝિને આર્મસ્ટોંગ પર આરોપ મૂક્યો હતો કે ૧૯૯૯માં ફ્રાન્સમાં યોજાયેલી સ્પર્ધામાં આર્મસ્ટોંગે પ્રતિબંધિત દવાઓનું સેવન કર્યું હતું. જે સામે લાન્સ આર્મસ્ટોંગે પ્રતિ નિવેદન આપ્યું હતું કે, "મેગેઝિને તેના આર્ટિકલમાં રજૂ કરેલા સાયન્ટિફિક કારણો ધડ-માથા વગરનાં છે. હું આ પહેલાં પણ કહી ચૂક્યો છું અને ફરી કહેવા માંગું છું કે મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી." જોકે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિ ડોપિંગ એજન્સી સામેની લડત બાદ આર્મસ્ટોંગને ૧૯૯૮ પછીનાં તમામ ટાઇટલ પરત આપવાની ફરજ પડી હતી.

બિલ ક્લિન્ટન
બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં કામ કરતી મોનિકા લેવિન્સ્કી સાથેના તેમના અફેરે વિશ્વ આખામાં ખૂબ ચર્ચા જગાવી હતી. ૧૯૯૮માં કેનેથ સ્ટાર નામની કાઉન્સિલે આ પ્રકરણને જગજાહેર કર્યું હતું. આ ઘટનાથી બિલ ક્લિન્ટનની જાહેર પ્રતિભા પર બહુ મોટી અસર થઈ હતી. વિશ્વભરના રાજનેતાઓએ પણ આ મુદે્ ક્લિન્ટ પર નિશાન સાધ્યુ હતું. આ પ્રકરણ બહુ ગાજ્યં. પછી તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને ખુલાસો આપ્યો હતો.

મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો પાયાવિહોણા
જાન્યુઆરી ૧૯૯૮માં બિલ ક્લિન્ટને આ પ્રકરણના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે, "મારે મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને આ વાતમાં કોઈ જ તથ્ય નથી." ત્યાર પછી જુલાઈ ૧૯૯૮માં પુરાવારૂપે મોનિકા લેવિન્સ્કીએ બિલ ક્લિન્ટન સાથે જાતીય સંબંધ બાંધતી વખતે પહેરેલાં કપડાંને પુરાવારૂપે રજૂ કર્યાં હતાં. એ પછીના એક મહિના બાદ કમિટી સમક્ષ બિલ ક્લિન્ટને મોનિકા સાથેના જાતીય સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું.

શેન વોર્ન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને લિજેન્ડ સ્પિનર શેન વોર્ન પર ડોપિંગનો ગંભીર આક્ષેપ ૨૦૦૩માં મુકાયો હતો. ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં વિશ્વ કપ યોજાવાનો હતો, એ પહેલાં થયેલા ખેલાડીઓના ડોપિંગ ટેસ્ટમાં શેન વોર્નનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ક્રિકેટના બોલને કોઈ જાદુગરની માફક ટર્ન કરાવી શકતા આ સ્પિનર બોલર સામે પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પર ચોમેરથી દબાણ લાવવામાં આવ્યં હતું. આ મામલે શેન વોર્નની ટીકા પણ ખૂબ થઈ હતી.

મારી માતાએ આપેલી ગોળીઓનું જ હું સેવન કરું છું
શેન વોર્ન પર ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમણે ખુલાસો આપ્યો હતો કે, "મારો આત્મવિશ્વાસ વધે એ માટે મારી માતાએ આપેલી પ્રવાહી જેવી ગોળીઓનું જ હું સેવન કરું છું, એ ડ્રગ કઈ રીતે હોઈ શકે?" વોર્ને એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, તે રાત્રે મેં ખૂબ વાઇન પીધો હતો અને પછી સૂતા પહેલાં ગોળીઓ ગળી ગયો હતો. કદાચ આ બંને વસ્તુઓ ભેગી થઈ હોવાથી મારો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હશે." જોકે, એ પછી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે શેન વોર્ન પર એક વર્ષનો પ્રતિબંધ મૂકયો હતો.

આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર
કેલિફોર્નિયાના પૂર્વ ગર્વનર અને એક્ટર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરને મે ૨૦૧૧માં તેના ઘરની નોકરાણી સાથેના સંબંધથી એક બાળક હોવાની વાત બહાર આવતાં કેલિફોર્નિયાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ૯ મે, ૨૦૧૧ના દિવસે તેની પત્ની મારિયા શરીવેર ૨૫ વર્ષના લગ્નજીવન પછી આર્નોલ્ડ સાથે છેડો ફાડીને બ્રેન્ડવૂડ મેન્શનમાંથી દૂર રહેવા જતી રહી હતી. આ ઘટનાને લોસ એન્જલસ ટાઇમ્સમાં છપાયા પછી આર્નોલ્ડે તેનો લેખિતમાં ખુલાસો પણ આપ્યો હતો.

મારા અફેરની વાત મેં મારી પત્નીને જણાવી જ હતી!
આર્નોલ્ડે તેના લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું કેલિફોર્નિયાનો ગર્વનર હતો ત્યારે લગભગ એક દશકા પહેલાં જ એક વાર મેં આ બાબતે મારી પત્નીને બધી વાત જણાવી દીધી હતી.' આર્નોલ્ડના આ ખુલાસા પછી અભિનેત્રી બ્રિટની નેલ્સને પણ દાવો કર્યો હતો કે, 'આર્નોલ્ડને મારિયા સાથે સંબંધો હતા, તે દરમિયાન જ તેને પણ આર્નોલ્ડ સાથે સંબંધો હતા.' અભિનેત્રીના આ આરોપનો આર્નોલ્ડે કશો જ જવાબ આપ્યો નહોતો. આ ઘટના પછી આર્નોલ્ડનું લગ્નજીવન ડામાડોળ થયું હતું.

પાકિસ્તાની ખેલાડીઓ
આક્ષેપ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ૨૦૧૦માં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો ત્યારે સમાચાર માધ્યમોએ એવો ગંભીર આક્ષેપ કર્યો કે સલમાન બટ્ટ, મોહંમદ આસિફ અને મોહંમદ આમિર સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. આ આક્ષેપો બાદ ક્રિકેટ જગત પર એક દશકા પછી ફરીથી મેચ ફિક્સિંગના ઓછાયા પડયા હતા.

આ અમારા વિરુદ્ધનું કાવતરું છે
આરોપ પછી આ ત્રણેય ક્રિકેટરનું રિએક્શન અલગ અલગ અને શંકાસ્પદ હતું. આસિફ અને બટ્ટે પોતાનાં નિવેદનોમાં જણાવ્યું હતું કે અમે નિર્દોષ છીએ અને અમને ફસાવવામાં આવી રહ્યા છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની તરફેણ કરતા કહ્યું કે, આ પાકિસ્તાનના ક્રિકેટરોને બદનામ કરવાનું ષડયંત્ર છે. જોકે, એક માત્ર આમિરે તે વખતે મૌન સેવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ મેચ ફિક્સિંગમાં ક્યાંકને ક્યાંક ભાગ ભજવ્યો હોવાનું પુરવાર થતાં ત્રણેયની ક્રિકેટ કારકિર્દી પર મોટી અસર થઈ હતી.
Wednesday, 5 December 2012
Posted by Harsh Meswania

નવરાશની પળોને હળવાશમાં ફેરવી દેતી વીડિયો ગેઇમ્સ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે ગેઇમ્સ ન હોય એવો એક પણ મોબાઇલ કે કમ્પ્યુટર શોધવાનું કામ લગભગ અશક્ય બન્યું છે. અવનવી ગેઇમ્સ હાથવગી થઈ છે. ગેઇમિંગની દુનિયા હવે ખૂબ જ વિસ્તરી ગઈ છે. પ્રથમ કમર્શિયલ કહી શકાય તેવી 'પોંગ ગેઇમ'ને થોડા દિવસ પહેલાં ૪૦ વર્ષ થયાં. 'પોંગ ગેઇમ' ભલે કમર્શિયલ રીતે પ્રથમ ગેઇમ હતી, પણ એ પહેલાંના બે દશકાથી એ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ શરૂઆત તો થઈ જ ગઈ હતી

વીડિયો ગેઇમ નવરાશની પળોને હળવાશની ક્ષણો બનાવી દે છે. આ બિઝનેસ આજે ૨૫૦૦ કરોડ ડોલરને આંબી ગયો છે. અમેરિકા અને યુરોપના કુલ કમ્પ્યુટર-સ્માર્ટફોન યુઝર્સમાંથી ૭૦ ટકા લોકો ગેઇમ્સ રમવાનું પસંદ કરે છે. આ ગેઇમ્સની દુનિયાનો આવિષ્કાર આમ તો ૪૦-૫૦ના દશકમાં થયો હતો પણ તેણે ખરી લોકપ્રિયતા બે દાયકા પછી મેળવી હતી. વીડિયો ગેઇમ જ્યારથી કમ્પ્યુટરમાં અને સ્માર્ટ ફોનમાં અવેલેબલ થઈ પછીથી તેની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત ને સતત ઉપર જ ચડતો રહ્યો છે.

કઈ રીતે થઈ હતી શરૂઆત?
૧૯૪૦-૪૭ની વચ્ચે થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકને 'કેથડ રે ટયૂબ અમુસમેન્ટ ડિવાઇસ વીડિયો ગેઇમ બનાવી હતી, પણ એ બહુ જ પ્રાથમિક તબક્કાની હોવાથી લોકપ્રિયતા મેળવી શકવાનો સવાલ જ ઊભો થતો નહોતો.

૧૯૪૯-૫૦માં ચાર્લી એડમ નામના કમ્પ્યુટર ઈજનેરે બાઉન્સિંગ બોલ નામની ગેઇમ બનાવીને એક ડગલું આગળ વધાર્યું. જોકે, આ ગેઇમ પણ લોકભોગ્ય બની નહીં. ત્યાર પછી ક્રિસ્ટોફર સ્ટ્રેચી, એ.એસ ડગ્લાસ વગેરેએ આ ક્ષેત્રે નાના-મોટું ખેડાણ કર્યું. આ દરમિયાન બૂકહેવેનની નેશનલ લેબોરેટરીમાં એક મહત્ત્વપૂર્ણ ગેઇમનું સોફ્ટવેર તૈયાર થઈ રહ્યું હતું. વિલિયમ હિજિન્બોથમે ટેનિસ ફોર ટુ નામની વીડિયો ગેઇમ તૈયાર કરી હતી. એ ગેઇમના ક્રિએટરે પછીથી પોન્ગ ગેઇમ બનાવીને ગેમિંગ ક્ષેત્રે એક નવું પ્રકરણ લખ્યું હતું જે ખૂબ જ દૂરગામી અસર ઉપજાવનારું રહ્યું હતું.

પોન્ગ ગેઇમઃ સ્ટાર્ટ ધ ગેઇમ
કમ્પ્યુટરના ક્રમિક વિકાસને જેમ જનરેશન પ્રમાણે વહેંચવામાં આવ્યો છે. એ જ રીતે ગેઇમ્સના ક્રમિક ડેવલપમેન્ટને પણ જનરેશન મુજબ જ વહેંચવામાં આવ્યો છે. ૧૯૬૭ પછી આ ક્ષેત્રે જે વિકાસ થયો તેને પ્રથમ જનરેશન કહેવામાં આવે છે. જર્મન-અમેરિકન રાફ બિઅરને પાયોનિયર ઓફ ધ ગેઇમ ગણવામાં આવે છે. રાફ બિઅર અને તેની ટીમે 'બ્રાઉન બોક્ષ' નામની વીડિયો ગેઇમની રચના કરી હતી. તેમનું આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાય છે, પણ લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો વિલિયમ હિજિન્બોથમ આ બાબતે તમામ લેવલ પાર કરનારા પ્રથમ ખેલાડી કહી શકાય. ૨૯ નવેમ્બર, ૧૯૭૨ના દિવસે વિલિયમ હિજિન્બોથમે પોન્ગ ગેઇમને સૌપ્રથમ વખત રજૂ કરી ત્યારે તરત જ આ ગેઇમ લોકપ્રિયતાને વરી. અત્યાર સુધી આવેલી તમામ ગેઇમ્સ એકતરફી જ રમી શકાતી હતી, પણ આ ગેઇમમાં બંને તરફનું સંતુલન કરી શકાતું હતું. એટલે કે ગેઇમ રમનાર પોતે જ બટનની મદદથી બંને તરફ પર કાબૂ કરી શકે એવો આ સોફ્ટવેર હતું. આ પ્રયોગથી ગેઇમિંગ ક્ષેત્રે ક્રાંતિ થઈ ગઈ. ત્યારબાદની મોટાભાગની વીડિયો ગેઇમ્સની મેથડ પોન્ગ ગેઇમ પરથી ક્યાંક ને ક્યાંક પ્રભાવિત રહી છે. કદાચ એટલે જ ગેઇમ્સ જગતની ખરી શરૂઆત ૪૦ વર્ષ પહેલાં થઈ હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય.

...અને એક પછી એક લેવલ પાર થતાં જ રહ્યાં!
૧૯૭૮થી ૧૯૮૬ સુધીના સમયગાળાને ગેઇમ્સ ક્ષેત્રના વિકાસનો ગોલ્ડન પિરિયડ ગણવામાં આવ્યો છે. આ સમયમાં એક્શન, એડવેન્ચર, કાર-બાઇક રેસિંગ, ફાઇટ ગેઇમ્સ, શૂટિંગ, રિધમ, રન એન્ડ ગન, સહિતની અલગ અલગ થીમવાળી અઢળક ગેઇમ્સની વિશાળ દુનિયા ખડી થઈ રહી હતી. ગેઇમિંગ જગતમાં આ પિરિયડને સેકન્ડ જનરેશન નામ આપવામાં આવ્યું છે. ત્યારપછી ૧૯૮૩થી ૧૯૯૫ સુધીનો સમયગાળો આવ્યો જેને થર્ડ જનરેશન નામ મળ્યું અને આજે આપણે અઢળક વેબસાઇટ્સ પર બીજા ગેઇમ્સ પ્લેયરની સાથે જે ઓનલાઇન ગેઇમ્સ રમીએ છીએ એનો પાયો આ ટાઇમમાં નખાયો. ૧૯૯૯ સુધીમાં તો ગેઇમ્સની દુનિયા મસમોટી થઈ ગઈ હતી, કેમ કે ઈન્ટરનેટનો આવિષ્કાર થવાથી હવે ગેઇમ્સ રમવાનું વધુ સરળ બન્યું હતું. આ તબક્કો એટલે ફોર્થ જનરેશન.ફોર્થ જનરેશન સુધી આ થોડી ધીમી ગતિએ પણ પાયાની કામગીરી થઈ હતી. ત્યાર પછી તો જાણે પ્રતિદિન કશુંક નવું નવું આવવા લાગ્યું હતું. શરૂઆતમાં ગેઇમ્સની દુનિયાને માત્ર બે ઘડી રમત ગણતા લોકો પણ હવે તેમાંથી રોકડા કેમ રળી શકાશે એનો વિચાર કરતા થયા હતા. અત્યારે જે લેવલ ચાલે છે તેને એઇટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો ૩ડી અને પ્લેસ્ટેશન વિસ્ટા સહિત આ સફર લંબાઈ છે. પોન્ગથી શરૂ થયેલી આ યાત્રા આજે ૪૦ વર્ષોમાં આઠ જનરેશન ઓળંગીને સતત નવો નવો લિબાશ ધારણ કરે છે, પણ તેનાં મૂળિયાં તો હજુ પેલી પ્રથમ એન્ટરટેઇન ગેઇમ પોન્ગ સુધી લંબાયાં છે. પ્રારંભના ક્રિએટર્સે પાયો મજબૂત તૈયાર કર્યો હતો કદાચ એટલે જ આજે ઈમારત બુલંદ છે!
Posted by Harsh Meswania

એનસીસી : અહીં થાય છે યુવા પ્રતિભાનું ઘડતર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી ઘડતર થાય તે માટે શરૂ થયેલી આ સંસ્થામાં જોડાવવા માટે યુવાનો પહેલાં જેવો ઉમળકો હવે દાખવતા ન હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે

એકતા અને અનુશાસનના મૂળ મંત્ર સાથે ૧૯૪૮ના જુલાઈ માસની ૧પમી તારીખે એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આમ તો આ સંસ્થાની શરૂઆત આના ત્રીસેક વર્ષ પહેલાં અંગ્રેજ શાસન દરમિયાન જ થઈ ગઈ હતી. ત્યારે દેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લશ્કરી ઢબની તાલીમ આપવામાં આવતી હતી. આ સંસ્થા ૧૯૨૦ આસપાસ યુટીસી (યુનિવર્સિટી ટ્રેઇનિંગ કોર)ના નામે ઓળખાતી હતી. એનસીસી એ જમાનામાં આર્મીમાં જોડાવવા માટેનું પ્રથમ પગથિયું ગણાતું હતું. એનસીસીમાં જોડાનારા મોટાભાગના સ્ટુડન્ટ્સ પછીથી આર્મીમાં ફરજ બજાવવાનું પસંદ કરતા હતા. ૧૯૪૨માં અંગ્રેજ સરકારે થોડા સમય માટે યુનિવર્સિટી ઓફિસર્સ ટ્રેનિંગ કોર (યુઓટીસી) નામ પણ આપ્યું હતું. ભારત આઝાદ થતાં જ આ સંસ્થાને યુવાનોના વિકાસ માટે સત્તાવાર કામ સોંપવામાં આવ્યું હતું.

એનસીસીનો શરૂઆતી દૌર
જુલાઈ ૧૯૪૮માં એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સમાવ્યા પછી તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નવેમ્બર માસના છેલ્લા રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને એનસીસીનું સન્માન કર્યું હતું. ત્યાર પછીથી એનસીસી પ્રતિવર્ષ આ દિવસે એનસીસી દિવસ ઊજવે છે. પહેલાં એનસીસીમાં માત્ર આર્મીની જ તાલીમ આપવામાં આવતી હતી પછીથી ૧૯૫૦માં એરફોર્સનો સમાવેશ કરવામાં આવ્યો. અમુક શાળા-કોલેજોમાં આર્મીની સાથે એરફોર્સની તાલીમ શરૂ થઈ. એરફોર્સમાં યુવાનોનો ઉમળકો જોઈને એ જ વર્ષે નૌસેનાની ટ્રેનિંગ પણ એનસીસીના યુવાનોને આપવાનું શરૂ કરાયું. ત્રણેય પાંખની અલગ અલગ તાલીમ લેતા એનસીસી કેડેટ્સ તેના જુદા જુદા પોશાકથી ઓળખી શકાય છે. જેમ કે, આર્મીની તાલીમ લેતા કેડેટ્સ ખાખી ડ્રેસ પરિધાન કરે છે જ્યારે નેવીના તાલીમાર્થીઓ તેના શ્વેત વસ્ત્રોથી ઓળખાઈ જાય છે. એરફોર્સની તાલીમ મેળવતા કેડેટ્સ લાઇટ બ્લૂ ગ્રે કલરના યુનિફોર્મથી આર્મી અને નેવીથી અલગ પડી જાય છે. ત્રણેય પાંખોમાં કરિયર બનાવવા માંગતાં યુવાનો અને યુવતીઓ માટે એનસીસીની આ તાલીમ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.

યુવતીઓ પણ બની એનસીસીનો ભાગ
 ૧૯૪૮ સુધી માત્ર યુવાનો જ એનસીસીમાં જોડાઈ શકતા હતા, પણ આઝાદીની ચળવળમાં દેશની યુવતીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આગળ જતા અનુશાસન-એકતાનો મંત્ર યુવતીઓ પણ હસ્તગત કરે એ હેતુથી ૧૯૪૯માં યુવતીઓને એનસીસીની તાલીમ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. યુવાનો માટે જે રીતે શાળા-કોલેજોમાં બે વર્ષનો તાલીમ પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો એ જ માળખાથી કિશોરીઓ અને યુવતીઓ માટે બે વર્ષની તાલીમ શરૂ કરવામાં આવી હતી. યુવતીઓ તરફથી શરૂઆતી સમયમાં એટલો બધો ઉત્સાહ દાખવવામાં આવતો નહોતો, પણ ધીરે ધીરે એનસીસીની તાલીમ લેવાનો ઉમળકો યુવતીઓ પણ દાખવવા લાગી. જોકે, આજેય સ્થિતિ સમોવડી ગણી શકાય એવી તો નથી જ. યુવતીઓમાં યુવાનોની તુલનાએ એનસીસી જોઇન કરવાનું વલણ ઓછું તો જોવા મળે જ છે.

આજે ક્યાં છે એનસીસી?
આજે દેશમાં ૧૪ લાખ જેટલાં યુવક-યુવતીઓ એનસીસીની તાલીમ લઈ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં કુલ વસ્તીના ૫૪ ટકા યુવાનો છે. આવડી મોટી સંખ્યામાં જ્યારે યુવા વસ્તી હોય અને અલગ અલગ પ્રવાહના અભ્યાસક્રમો ચાલતા હોય ત્યારે માત્ર ૧૪ લાખ જ યુવાધન એનસીસીમાં ભાગ લે એ સ્થિતિ એટલી સારી તો ન જ કહેવાય. એનસીસીની તાલીમનું પ્રમાણપત્ર જ્યારે જુદી-જુદી નોકરીઓ મેળવવામાં કામ લાગતું હોય અને ખાસ તો ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે એનસીસીનું ર્સિટફિકેટ ઉપયોગી બનતું હોય ત્યારે પણ એનસીસીના કેડેટ્સની સંખ્યા ઓછી રહેતી હોય તો યોગ્ય આયોજનનો અને માહોલનો અભાવ એ પાછળ કારણભૂત હોઈ શકે! વચ્ચે ૧૯૬૩થી ૧૯૬૮ સુધીનાં વર્ષોમાં પ્રયોગરૂપે યુનિવર્સિટીઓમાં એનસીસીની તાલીમ ફરજિયાત બનાવાઈ હતી, પણ પછીથી ફરીથી આ તાલીમ સ્વૈચ્છિક બનાવી દેવામાં આવી હતી. એનસીસીની ફરજિયાત તાલીમ આપવાનો વિકલ્પ યુવાનોને આ તરફ વાળવાનો યોગ્ય ઉપાય તો ન જ હોઈ શકે, પરંતુ એવું આયોજન તો કરવું જ રહ્યું કે જેથી યુવાધન એકતા અને અનુશાસનના પાઠ ભણે! આમ પણ આપણા આવડા વિશાળ દેશમાં આ બંને મૂળ મંત્રોની કદાચ સવિશેષ જરૂરિયાત પણ વર્તાય છે.

 આ મહાનુભાવો રહી ચૂક્યાં છે એનસીસીનાં કેડેટ

* ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વના નેતા ગણાતા નેતાજી સુભાષચંદ્ર બોઝ એનસીસી કેડેટ હતા. તેમણે એનસીસી પાસેથી એકતા અને અનુશાસનના સિદ્ધાંતો શીખ્યા હતા, જે તેમને પછીથી કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે કોંગ્રેસને એક તાંતણે બાંધી રાખવામાં તેમજ આઝાદ હિંદ ફૌજના સૈનિકોને અનુશાસિત રાખવામાં કામે લાગ્યા હતા.


* પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એનસીસીમાંથી અનુશાસનનો પાઠ ભણ્યો હતો જે પછીથી તેમણે એક દશકા સુધી મુખ્યમંત્રી પદે બેસતી વખતે પક્ષની એકસૂત્રતાની સાંકળ રચવામાં મદદરૂપ બન્યો હતો.


* ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી પણ એનસીસીનાં કેડેટ હતાં. કિરણ બેદી કેદીઓને હકારાત્મકતા તરફ વાળવાના કામ માટે જાણીતાં બન્યાં હતાં.



* ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને રાજયસભાને સાંસદ જયા બચ્ચન શાળામાં એનસીસીનાં કેડેટ હતાં. પછીથી તેમણે અનુશાસનમાં રહીને બોલીવૂડમાં અને સંસદમાં લાંબી ઇનિંગ ખેલી છે.





* લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ એનસીસી કેડેટ રહી ચૂક્યાં છે તો ભારતનાં મહિલા શૂટર અંજલિ ભાગવત પણ એકતા-અનુશાસનનો બોધ એનસીસીમાંથી શીખ્યાં હતાં.





એનસીસી અને ગુજરાતઃ ઊલટી ગણતરીમાં આગળ!
બીજી ઘણી બધી બાબતોમાં અવ્વલ રહેતા ગુજરાતના યુવાનો એનસીસીની તાલીમ બાબતે સૌથી વધુ ઉદાસીન છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય, કેમ કે આંકડાઓ કહી બતાવે છે કે આપણો નંબર છેક છેલ્લેથી બીજો છે! કુલ ૧૬ વિભાગમાં ચાલતી આ પ્રવૃત્તિમાં આપણા રાજ્યનો ક્રમાંક ૧૪મો છે. મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સીનિયર અને જુનિયર એમ બંને કેટેગરી મળીને કુલ ૫૨ હજાર કેડેટ્સ છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ તમામ પાંખોનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ એમ ચાર ભાગ પાડવામાં આવ્યા છે.      
Wednesday, 28 November 2012
Posted by Harsh Meswania

સપાટ શબ્દોમાં ભાવ ભરવાનું કામ કરતા : ઇમોશનલ આઇકોન્સ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે આપણે વાતે વાતે સ્માઇલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ રમૂજી વાત પર તરત જીભ બહાર કાઢતાં સ્માઇલીની મદદથી મેસેજમાં આપણો રમૂજી મિજાજ છતો કરીએ છીએ, તો ક્યારેક કોઈકની વાતે ગુસ્સે થઈને નાક ચઢાવતા સ્માઇલીથી એન્ગ્રી ફિલિંગ વ્યક્ત કરીએ છીએ. મોબાઇલમાં થતી મેસેજ ચેટ હોય કે ફેસબુકની ઓનલાઇન ચેટ હોય, આ ઇમોટિકોન્સ આપણા ટેક્સ્ટ કોમ્યુનિકેશનનો અવિભાજ્ય હિસ્સો બન્યા છે, ત્યારે આ ઇમોટિકોન્સની દુનિયામાં મારીએ એક લટાર...

દિવાળી-નૂતનવર્ષે નવા વર્ષની શુભકામના પાઠવતા મેસેઝીસ કે ઈ-મેલના સંદેશાઓમાં સ્માઇલીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થયો. હસતો ચહેરો સૌને ગમતો એ ન્યાયે હવે શુભકામના પાઠવવા અથવા બર્થ ડે, મેરેજ એનિવર્સરી ડે વિશ કરતી વખતેના સંદેશાઓમાં કે પછી વાતચીતમાં અલગ અલગ ભાવ સ્પષ્ટ કરવા માટે આવા આઇકોન્સનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. તેને ઇમોટિકોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સપાટ મેસેઝીસમાં વાતનો ભાવ સ્પષ્ટ થતો હોતો નથી એટલે વાત કેવા મૂડમાં કહેવાઈ છે તે બતાવવા માટે આવા ઇમોટિકોન્સ સગવડતાભર્યા થઈ પડે છે. ઇમોટિકોન્સની દુનિયા ખરેખર વિશાળ અને મજેદાર થઈ છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે હવે શબ્દો જાણે આવા ઇમોટિકોન્સ વિના ઠાલા લાગવા માંડયા છે. પ્રેમ, રમૂજ, ગુસ્સો, તિરસ્કાર સહિતની લાગણીઓ વ્યક્ત કરવામાં વિવિધ દેખાવના અને કલર્સના ઇમોટિકોન્સ કે જેને સામાન્ય રીતે સ્માઇલી કહીને ઓળખવામાં આવે છે તેની શોધને ૩૦ વર્ષ પૂરાં થયાં છે. જોકે, સત્તાવાર રીતે સૌપ્રથમ થયો હતો તેના વિશે એકમત નથી, મોટા ભાગે મેસેઝીસમાં ઇમોટિકોન્સને સૌપ્રથમ વખત વાપરવાનું સન્માન કાર્નેગી મેલન યુનિવર્સિટીના પ્રોફેસર સ્કોટ ઈ. ફોલમેન નામના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ખાટી જાય છે. તેમણે ૧૯૮૨માં ઇન્ટરનલ મેસેન્જરમાં આ પ્રકારના સ્માઇલીનો ઉપયોગ કર્યો હતો, અલબત્ત તેમાં કલર્સનો ઉપયોગ નહોતો થયો. બે ટપકાં, ડેશની આડી લીટી અને અર્ધકૌંસ વડે તેમણે :-) કમ્પ્યુટરના કી-બોર્ડની મદદથી હસતા ચહેરાનો આભાસ ઊભો કરીને સૌપ્રથમ સફળ પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. ત્યાર પછી તેમણે જ મેસેજમાં ઉદાસી બતાવવા માટે :-( આ ચિહ્ન શોધી કાઢયું હતું. ૩૦ વર્ષ પહેલાં તેમણે કરેલા આ પ્રયોગને પછીથી વ્યાપક પ્રતિસાદ મળ્યો. મોબાઇલ ફોનમાં શરૂઆતમાં આ સુવિધા દરેક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ન હતી, પણ પછીથી ૧૯૯૫ આસપાસ મોટાભાગની મોબાઇલ ફોન પ્રોવાઇડર કંપનીઓએ 'ઇન્સર્ટ સ્માઇલી' જેવા નામથી મેસેજમાં ઇમોટિકોન્સનો ઉપયોગ કરી શકાય તેવી સવલત આપવા માંડી હતી. ધીરે ધીરે દેશ-વિદેશના ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે સ્માઇલી સાવ પોતીકો ઓપ્શન બની ગયો. મેસેજના ટેક્સ્ટ સાથે તાલ મિલાવીને સ્માઇલીનો ઉપયોગ કરનારા કદાચ ફોલમેન પ્રથમ હતા, પણ સ્માઇલીનો વપરાશ એ પહેલાં પણ થયો હતો અને ઘણી વખત થયો હતો.

ઇમોટિકોન્સની શરૂઆતી દુનિયા
પ્રોફેસર ફોલમેને સ્માઇલી ફેસને ડિજિટ ફોમ આપ્યું હતું, પણ ડિરેક્ટર ઇન્ગમર બર્ગમેને તેમની ફિલ્મ 'હામસ્ટેડ'માં ૧૯૪૮માં સૌ પહેલાં આ સ્માઇલી ઇમોટિકોનને બતાવ્યો હતો. ત્યાર પછીનાં વર્ષોમાં જોકે, સ્માઇલી ફેસ એટલો બધો લોકપ્રિય બન્યો નહોતો, પણ છૂટોછવાયો ઉપયોગ શરૂ થયો હતો. ૧૯૫૩માં આવેલી 'લીલી' ફિલ્મમાં ચાર્લી વોલ્ટર સ્માઇલી દેખાડયું હતું. પછી ૧૯૫૮માં દિગ્દર્શક વિન્સેન્ટ મિનેલીએ પણ સ્માઇલી ફેસને 'ગિગિ' ફિલ્મમાં બતાવ્યો હતો. આ સિવાય ૧૯૫૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફની ફેસ'માં ડિરેક્ટર સ્ટેન્લી ડેનિને ફિલ્મના પોસ્ટરમાં જ પીળા રંગના આવા ફની ફેસની આભા ઊભી કરી હતી. આ ફિલ્મોમાં સ્માઇલી ફેસનો ઉપયોગ વત્તાઓછા અંશે થયો હોવાથી લોકપ્રિયતાને વર્યા ન હતા, પણ શરૂઆત થઈ ગઈ હતી. સ્માઇલી ફેસની નોંધ લેવાનું શરૂ થયું ૧૯૬૩થી. ૧૯૬૩માં હાર્વે બોલ નામના અમેરિકન કોર્મિશયલ આર્ટિસ્ટે પીળા રંગનો સ્માઇલ ફેસ સ્ટેટ મ્યુચ્યુઅલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ઓફ વોર્સેસ્ટર (કે જે પછીથી હેનોવર ઇન્સ્યોરન્સના નામે જાણીતી બની હતી) ની એક જાહેરાત માટે ક્રિએટ કર્યો હતો. પીળા રંગમાં બનેલા આ સ્માઇલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને એકાએક સ્માઇલીનો વપરાશ ટી-શર્ટ વગેરેમાં પણ થવા લાગ્યો. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને આ સ્માઇલી આજના પચ્ચીસ સો રૂપિયામાં પડયું હતું. યસ, આ સ્માઇલી માટે હાર્વે બોલને ૪૫ ડોલર આપવામાં આવ્યા હતા. આ જ અરસામાં ન્યૂયોર્કના WMCA રેડિયો સ્ટેશને એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનારને રેડિયો સ્ટેશન વતી 'WMCA good guy’ લખેલું યલો ટી-શર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં હેપ્પી ફેસ બતાવવામાં આવ્યો હતો.

૧૯૭૨ના વર્ષમાં ફ્રેન્ક્લીન લોફ્રાનીએ યુરોપિયન ઓડિયન્સનો પરિચય સ્માઇલી સાથે કરાવ્યો હતો. ૧લી જાન્યુઆરીએ તેમણે 'ફ્રાન્સ સોઇર' નામના સાંધ્ય દૈનિક અખબાર માટે બનાવેલી એક જાહેરાતમાં હેપી ફેસ વાપર્યો હતો. આ અખબારે એટલા માટે જાહેરાતમાં સ્માઇલી ફેસનો ઉપયોગ કર્યો હતો કે તેમનાં છાપાંમાં ક્રાઇમના ન્યૂઝને બદલે હકારાત્મક સમાચારો અને લેખો આવશે તેવી વાત લોકોના ગળે ઉતારવી હતી. આ પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં નોવેલ્ટીનો વ્યાપાર કરતા બે ભાઈઓ બર્નાડ અને મૂરે સ્પેઇને પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે સ્માઇલીનો નવો નુસખો અખત્યાર કર્યો હતો. આમાં આ બંને વેપારીઓનો મેસેજ હતો કે અમારે ત્યાંથી ખરીદેલી વસ્તુઓમાં પૂરતો સંતોષ મળશે.

હવે તો જાતજાતના રંગોમાં સ્માઇલી અવેલેબલ છે, છતાં ખબર નહીં કેમ, પણ હાર્વે બોલ દ્વારા ડિઝાઇન કરાયેલા યલો સ્માઇલીને આજ સુધી લોકો સ્વીકારે છે. હાર્વેએ પ્રથમ આઇકોન ક્રિએટ કર્યાને ભલે ૫૦ વર્ષ વીત્યાં હોય છતાં સ્માઇલી અને પીળો રંગ એકબીજાના પર્યાય બની રહ્યા છે. એ જ રીતે કમ્પ્યુટરની ટાઇપોગ્રાફી આજ સુધી પ્રોફેસર સ્કોટ ફેલમાનની મેથડને ફોલો કરે છે. પછી તો ઘણા નવા નવા આઇકોન્સ એમાં ઉમેરાતા રહ્યા છે. આજની મોબાઇલ જનરેશન પ્રેમ, ગુસ્સો, તિરસ્કાર, ચુંબન, રુદન, ઠઠ્ઠા-મશ્કરી, પરેશાની, ઉદાસી જેવી અનેકાનેક લાગણી અભિવ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરવાને બદલે એના સિમ્બોલથી કામ ચલાવી લે છે. આ જાણે ચેટ જનરેશન માટે નવી બારાખડી છે કે જે ક્યાંય શીખ્યા વગર આપોઆપ હસ્તગત થઈ જાય છે! આમ પણ, જ્યાં અનહદ લાગણી હોય ત્યાં સરહદ બાંધી પણ કોણ શકે? લાગણી તો બસ વ્યક્ત થતી રહે છે, ક્યારેક શબ્દોથી તો ક્યારેક સિમ્બોલથી!

ચેટ શોર્ટ બારાખડી
મોબાઇલ ચેટ કે ઓનલાઇન ચેટિંગમાં સિમ્બોલ ઉપરાંત મહત્ત્વનો વપરાશ ટૂંકાક્ષરોનો થાય છે. વાત એકાદ બે અક્ષરોથી થઈ જતી હોય તો પછી લાંબાં લાંબાં વાક્યોની પળોજણમાં પડવાની અહીં નવરાશ પણ કોને છે? સીધી બાત નો બકવાસ!

ટૂંકાક્ષર- ટૂંકાક્ષરોનો અર્થ
2G4U - ટુ ગૂડ ફોર યુ

4E - ફોરેવર

911 - ઇમર્જન્સી કોલ મી

AML - ઓલ માય લવ

ATB - ઓલ ધ બેસ્ટ

BTW - બાય ધ વે

BOL - બેસ્ટ ઓફ લક

CUL- સી યુ લેટર

DUR?- ડોન્ટ યુ રિમેમ્બર?

EOD- એન્ડ ઓફ ડિસ્કશન

F2F- ફેસ ટુ ફેસ

GTSY- ગ્રેટ ટુ સી યુ

HAND- હેવ અ નાઇસ ડે

IWALU- આઇ વિલ ઓલ્વેઝ લવ યુ

KIT- કીપ ઇન ટચ

LYSM- લવ યુ સો મચ

MGB- મે ગોડ બ્લેસ યુ

OTO- આઉટ ઓફ ધી ઓફિસ

PCM- પ્લીઝ કોલ મી!

PXT- પ્લીઝ એક્સપ્લેઇન ધેટ

POV- પોઇન્ટ ઓફ વ્યૂ

SRY- સોરી

T+- થિંક પોઝિટિવ

THX- થેન્ક્સ!
Wednesday, 21 November 2012
Posted by Harsh Meswania

નૂતન વર્ષ : નવી આશા, નવા ઉમંગ અને નવાં સપનાંઓ સાથે નવા વર્ષનો પ્રારંભ



પર્વ વિશેષ - હર્ષ મેસવાણિયા

ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂરા કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે. ટેક્નોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે. શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઇ-મેલ અને એસએમએસે લઈ લીધું છે. સોશ્યલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. ગત વર્ષની કડવાશ કે મનદુઃખ પર બેસતા વર્ષના દિવસે પૂણવિરામ મુકાઈ જાય છે. કોઈ બાબતે એકમેક સાથે થયેલું મનદુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરૂઆત થાય છે. માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબકિતાબ પતાવીને નવા વર્ષે નવી શરૂઆત કરવાનો પણ રિવાજ છે. સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં, પણ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજા તહેવારોમાં નવાં કપડાં કદાચ ન ખરીદે તો ચાલે, પણ નવા વર્ષે નવો પોશાક પહેરવાનો જાણે વણલખ્યો નિયમ છે. વહેલી સવારથી નવાં કપડાંમાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક માહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજા-પાઠ કરીને ભગવાનનાં ચરણોમાં શીશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું માહાત્મ્ય છે. ભગવાનને ૩૨ જાતનાં ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ પ્રથમ વખત ભગવાનનાં ચરણોમાં ધરે છે. કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે. ફસલની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતા નથી.

આમ, સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. નૂતન વર્ષ નવાં સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે. નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવાં સપનાંઓ સજાવવાનું સામર્થ્ય આપે છે. ચુકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષ આપે છે. વીતેલાં વર્ષોની નિષ્ફળતાને વિસારે પાડીને સફળતાનાં શિખરો સર કરવાનું બળ એટલે નૂતન વર્ષ. વીતેલાં વર્ષમાં કરાયેલા સંકલ્પો કે આશાઓની જેમ આ વર્ષના સંકલ્પો પણ માત્ર સંકલ્પો બનીને ન રહી જાય એ વાતની પ્રતીતિ કરાવતો દિવસ એટલે પણ નૂતન વર્ષ.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)   
Thursday, 8 November 2012
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -