વિશ્વનું સર્વાધિક લોકપ્રિય સોંગ : 'હેપી બર્થ ડે ટુ યુ'


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગના કોપીરાઇટ માટે અત્યારે બરાબરની લડત ચાલી રહી છે. આ સોંગના કોપીરાઇટ ધરાવતી કંપની સામે એક ફિલ્મમેકરે બાંયો ચડાવી છે. તેમનો દાવો છે કે આ પબ્લિક સોંગ છે. દાવામાં દમ છે કે પછી ખરેખર પેલી કંપની પાસે કોપીરાઇટ છે એ તો કોર્ટના નિર્ણય પછી જ ખબર પડશે, પરંતુ આ સોંગના કોપીરાઇટનો મામલો પહેલાંથી વિવાદિત રહ્યો છે. સોંગ લોકપ્રિય પણ રહ્યું છે અને વિવાદિત પણ રહ્યું છે

વેરાવળથી લઈને વ્હાઇટહાઉસ સુધી કોઈનો બર્થ ડે મનાવાતો હોય અને એમાં 'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગની ગેરહાજરી હોય તો કદાચ બર્થ ડે ફિક્કો લાગે! પણ આ સોંગ ગાતી વખતે આપણે ભાગ્યે જ સોંગ કોણે લખ્યું હશે? અને કોણે કંપોઝ કર્યું હશે? એનો વિચાર કરતા હોઈએ છીએ. આ બર્થ ડે સોંગ પર છેલ્લાં ૧૨૦ વર્ષથી એક કંપનીનું આધિપત્ય છે અને એ કંપની વર્ષે કરોડો ડોલરની કમાણી આ એકમાત્ર સોંગના બલબૂતા પર કરે છે એની પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. અત્યારે આ સોંગ એક નોખા કારણથી વિશ્વભરનાં સમાચાર માધ્યમોમાં ચમક્યું છે. હેપી બર્થ ડે સોંગ પર કોઈ એક કંપનીનો એકહથ્થુ અધિકાર હોઈ ન શકે એવી એક અરજી કોર્ટ પાસે નિર્ણય માટે પેન્ડિંગ પડી છે. આ દાવાને ચોમેરથી સમર્થન પણ મળી રહ્યું છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે 'હેપી બર્થ ડે સોંગ' પર અને શબ્દો પર કોઈનો અધિકાર ન હોવો જોઈએ, કેમ કે તે વિશ્વનું સૌથી લોકપ્રિય બર્થ ડે સોંગ છે. ગીતની અન્ય રસપ્રદ બાબતો જાણતા પહેલાં તેના લેટેસ્ટ વિવાદ તરફ એક નજર કરવા જેવી છે.

લેટેસ્ટ વિવાદ : મહિલા ફિલ્મમેકર કંપની પર ભારે પડી રહી છે
ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગમાં સારી એવી ખ્યાતિ ધરાવતાં અમેરિકન મહિલા ફિલ્મમેકર જેનિફર નેલ્શને 'હેપી બર્થ ડે' નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ત્યારથી આ વિવાદનો મધપૂડો છેડાયો છે. જેનિફરની કંપનીએ કોપીરાઇટ ધરાવતી કંપની વાર્નર-ચેપલને આ નામ વાપરવા માટે વળતર પેટે આશરે ૮૭ હજાર રૂપિયા ચૂકવ્યા છે. જોકે, ફિલ્મમેકરે ન્યૂ યોર્કની કોર્ટમાં એવો દાવો કર્યો છે કે કંપનીને રોયલ્ટીની રકમ આપી હોવા છતાં તેના પર માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેનિફરના કહેવા પ્રમાણે સોંગના સર્જનને ૧૨૦ વર્ષનો સમય વીતી ગયો છે એટલે નિયમ મુજબ એમાં કોપીરાઇટ શક્ય નથી. બીજી તરફ બચાવમાં એવી દલીલ થઈ રહી છે કે સોંગની સર્જક બે બહેનો પૈકી એક પેટ્ટી હિલનું નિધન ૧૯૪૬માં થયું છે એટલે અમેરિકન કાયદા પ્રમાણે સર્જકના નિધન પછી ૭૦ વર્ષ સુધી કોપીરાઇટ જીવંત રહે છે એ રીતે આ સોંગના હકો ૨૦૧૬માં મુક્ત થશે.

બે બહેનોએ બાળકો માટે સોંગનું સર્જન કર્યું હતું!
બે અમેરિકન બહેનો પેટ્ટી હિલ અને મિલ્ડ્રેડ હિલ કેન્ટુકીની એક બાળવાડીમાં શિક્ષકની નોકરી કરી રહ્યાં હતાં ત્યારે બાળકો માટે તેમણે એક ગીત લખ્યું હતું - 'ગુડ મોર્નિંગ ટુ યુ'. મિલ્ડ્રેડ હિલ સંગીતની શોખીન હતી અને તેણે આ ચાર લીટીના સોંગને સંગીતબદ્ધ પણ કર્યું. આ બંને બહેનો સવારે શાળામાં જાય ત્યારે ભૂલકાંને આ હૂંફાળું ગૂડ મોર્નિંગ સોંગ ગાઈ સંભળાવે. શાળામાં અને શહેરમાં આ સોંગ ખૂબ લોકપ્રિય બની ગયું. ત્યાર પછી એ જ અરસામાં ગૂડ મોર્નિંગની જ સ્ટાઇલથી તેમણે વધુ એક સોંગ લખ્યું - 'હેપી બર્થ ડે ટુ યુ...'. ચાર લીટીનું સોંગ આ બંને બહેનોએ પછી પોતાની સોંગ બુક 'સોંગ સ્ટોરીઝ ફોર ધ કિન્ડરગાર્ટન'માં સમાવ્યું હતું. બર્થ ડે સોંગની લોકપ્રિયતાની શરૂઆત ૧૯૨૦ આસપાસ થઈ. કાર્ટૂન શ્રેણીઓથી લઈને રેડિયો સુધી આ સોંગ લોકપ્રિય બન્યું. આ દરમિયાન પેલી સર્જક બહેનોમાંથી એકનું નિધન થઈ ચૂક્યું હતું અને એના તરફથી કોપીરાઇટનો દાવો કરાયો નહોતો એટલે બધાને લોકપ્રિય સોંગની લોકપ્રિયતા અંકે કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. દરમિયાન આ બંનેની બહેન જેસિકા હિલે પોતાની બહેનો વતી કોર્ટમાં ઘા નાખી અને પૂરતા પુરાવાઓ રજૂ કરીને લડત ચલાવી. અંતે ૧૯૩૪માં તેમને સોંગના તમામ હકો મળ્યા. અત્યારની લડતનાં મૂળિયાં છેક અહીં રોપાયાં હતાં. એક્ચુઅલી હિલ સિસ્ટર્સે જેમને આ સોંગના રાઇટ્સ આપ્યા હતા તે કંપની બીર્ચ ટ્રી લિમિટેડને ૧૯૯૮માં અમેરિકાની જાણીતી મ્યુઝિક કંપની વાર્નર-ચેપલે ખરીદી લીધી. ખરેખર તો બીર્ચને ખરીદવા પાછળ વાર્નર-ચેપલની ગણતરી આ સોંગની લોકપ્રિયતાની રોકડી કરવાની જ હતી. આ કંપની હેપી બર્થ ડે સોંગ દ્વારા વર્ષેદહાડે બે મિલિયન ડોલર એટલે કે આશરે ૧૨ કરોડ રૂપિયાનો ધીકતો ધંધો કરે છે અને એટલે જ તેના હકો પોતાની પાસે રાખવાની સતત કોશિશ કરે છે.

મૂળ સોંગ પણ અન્ય લોકપ્રિય ગીતોની ઉઠાંતરી છે?
ઘણાં અમેરિકન માને છે કે મૂળ સોંગ પર ૧૯મી સદીનાં લોકપ્રિય ગીતોની ગાઢ અસર છે. તે સમયે અમેરિકામાં હોરાસ વોટર નામના સંગીતકારની એક ધૂન 'હેપી ગ્રીટિંગ્સ ટુ ઓલ' ખૂબ લોકપ્રિય થઈ હતી. આ ગીતની અસર હેપી બર્થ ડે ગીતના શબ્દો પર અને ધૂન પર પડી હતી. આ સિવાય 'ગૂડ નાઇટ ટુ ઓલ', 'હેપી ન્યૂ યર ટુ ઓલ' વગેરે ગીતોથી આ બંને પ્રભાવિત હોય એવું બની શકે છે!

વિવાદ ગમે તેવો મોટો હોય પ્રચંડ લોકપ્રિયતા સામે બધું ફિક્કું!
ગીત સામે વિવાદ ભલે ગમે એટલો મોટો હોય, પણ તેની પ્રચંડ પોપ્યુલારિટી સામે બધું જ શમી જાય છે. 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૮૯માં સૌથી લોકપ્રિય ગીતોમાં આ ગીતને પહેલા નંબરે મૂક્યું હતું. તો વળી, બીબીસીએ ડિસેમ્બર, ૨૦૧૨માં વિશ્વના સંગીત ઇતિહાસનું સૌથી વધુ કમાણી કરનારા ગીત અને ટ્રેક તરીકે તેને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. આ એકમાત્ર ગીત છે કે જે સ્પેસમાં પણ ગુંજ્યું છે. ૮ માર્ચ, ૧૯૬૯માં નાસાના વિજ્ઞાની ક્રિસ્ટોફર ક્રાફ્ટનો બર્થ ડે તેમના સાથીઓએ આ ગીત ગાઈને મનાવ્યો હતો. હોલિવૂડની ઓલટાઇમ પોપ્યુલર અભિનેત્રી મેરેલિન મનરોએ ૧૯૬૨માં અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના બર્થ ડે પર આ બર્થ ડે ગીત રજૂ કર્યું હતું. એક અમેરિકન પિયાનિસ્ટ વિક્ટર બોર્ગ આ ગીત રજૂ કરીને સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એમ તો આપણે ત્યાં પણ આ સોંગનો ક્યાં ઓછો ઉપયોગ થયો છે! રફી સાહેબનું 'હેપી બર્થ ડે ટુ યુ' સોંગ આજેય બર્થ ડે પર ખાસ પેશ થતું હોય છે. આ સિવાય ઉદિત નારાયણનું હેપી બર્થ ડે મિ. પેડ્રો, હેપી હેપી બર્થ ડે ટુ યુ...જેવાં ગીતો ભારતીય ફિલ્મી સંગીતમાં લોકપ્રિય ગીતોની શ્રેણીમાં સ્થાન પામે છે. જોકે, બર્થ ડે સોંગની કમાણી કરવા ભલે જંગ જામતો, આપણે એમાં એક રૂપિયો પણ નહીં આપવો પડે, કેમ કે તમે તમારા દોસ્તોની બર્થ ડે પાર્ટીમાં આ ગીત ગાતાં હશો તો કોઈ જ કોપીરાઇટ નહીં બને. ડોન્ટ વરી!     

Wednesday, 26 June 2013
Posted by Harsh Meswania

મોરચંગ : વિસરાતા સૂર અને ભૂંસાતો વારસો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા.

૨૧મી જૂને 'વર્લ્ડ મ્યુઝિક ડે' છે. સંગીતને અને માણસને અતૂટ નાતો છે. એમાં પણ લોકસંગીત જે તે સમાજ કે સંસ્કૃતિની ઓળખ વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. ગુજરાત લોકસંગીત અને લોકવાદ્યોની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે, પણ હવે દિવસે દિવસે લોકસંગીત-લોકવાદ્યો તરફની લોકોની રુચિ ઘટી રહી છે. અહીં આપણે કચ્છના વિસરાતાં જતાં સુરીલાં લોકવાદ્ય મોરચંગ વિશે થોડી વાતો કરીએ

લોકવાદ્યો અને લોકસંગીતની બાબતમાં આપણે ત્યાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. અમુક લોકવાદ્યો જે તે પ્રદેશની ઓળખ સમા હોય છે. કચ્છની ઓળખ આપતું આવું જ એક વિસરાતું લોકવાદ્ય એટલે મોરચંગ. મોર જેવો આકાર હોવાથી તેને મોરચંગ કહેવામાં આવે છે. કચ્છના માલધારીઓ તેને ટૂંકમાં ચંગ કહે છે.

ગુજરાતમાં તેને મોરચંદ પણ કહે છે. છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં વાંસમાંથી બનતા મોરચંગને ઘોઘરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં મોરશીંગ કે મુરઝાંગ કહેવામાં આવે છે. કચ્છનું આ લોકવાદ્ય વિશ્વભરમાં લોકપ્રિય છે. ભલે નામ બદલાઈ જતું હશે, થોડો આકાર અને દેખાવ પણ બદલાઈ જતો હશે, પરંતુ સૂર તો એ જ રહે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં મોરચંગનાં એક હજાર જેટલાં નામો મળે છે. એક સમયે મોરચંગ કચ્છના માલધારીઓનું પ્રિય વાદ્ય ગણાતું હતું. મોરચંગને એકાંત સાથે સંબંધ છે અને એટલે જ તેને એકલતાના વાદ્ય તરીકે વધુ ઓળખવામાં આવે છે. વગડો, એકલતા અને મોરચંગ એકબીજાના પૂરક બની જતા હતા. લોકસાહિત્યકાર મંગલ રાઠોડના માનવા પ્રમાણે મોરચંગ બે કામ સરસ રીતે કરે છે. એક વાતાવરણને સૂરમય બનાવી દે છે અને બીજું લોકસંગીતમાં જેને ખાલીજગ્યા (લોકગીતોમાં બે કડી વચ્ચે આવતી જગ્યા) કહે છે એને એ ભરી દે છે. જોકે, ગુજરાતમાં હવે મોરચંગની સુરાવલી રેલાવનારા કલાકારો ગણ્યાગાંઠયા જ રહ્યાં છે.

આંગળીના વેઢા પણ વધી પડે એટલા જ બચ્યા છે મોરચંગના કલાકારો
મોરચંગમાંથી સૂર રેલાવી શકતા કલાકારોની વાત કરવાની હોય તો માંડ પાંચ-છ નામ લઈ શકાય એવી સ્થિતિ છે. ભારતભરમાં મોરચંગના કાર્યક્રમો આપતા કલાકાર ઉમેશ જડિયાના જણાવવા પ્રમાણે મોરચંગ સારી રીતે વગાડી શકતા છએક કલાકારો છે. જેમાં ઉમેશભાઈ ઉપરાંત સામતભાઈ સાજણ પઠાણ, મુસા ગુલામ જત, મકબ હાસન જત, ભગુભાઈ ભીલ અને ઈસ્માઇલ જતને મુખ્ય ગણાવી શકાય. બાકીના થોડા એવા લોકો પણ છે જે અત્યારે શીખી રહ્યાં હોય. લોકો મોરચંગ શીખવામાં ઉમળકો દાખવતા ન હોવાનાં ઘણાં કારણો છે. એક તો આ વાદ્ય સરળતાથી શીખી શકાતું નથી. શીખવામાં અને વગાડવામાં જોખમ છે. મોરચંગ વગાડવાનું કઠિન એટલા માટે છે કે તેનાથી શ્વાસની બીમારી થઈ શકે છે. આ ઉપરાંત ફેફસાં અને ગળામાં પણ તેનાથી અસર થાય છે. ક્યારેક હોઠ, દાંત અને જીભમાં ઈજા થઈ શકે છે તો ક્યારેક મૂછો કપાઈ જાય છે. બીજું કે પહેલાં માલધારીઓ પશુધન લઈને વગડામાં જતા ત્યારે સાથે મોરચંગ રાખતા અને એ તેનું મનોરંજનનું સાધન બની રહેતું. એની સામે અત્યારે એવી નવરાશ જ મળવી મુશ્કેલ છે. જોકે, જેમ વગાડનારા ઘટયા છે એમ બનાવનારા પણ ઘટયા છે.

કચ્છમાં મોરચંગ બનાવનારા માત્ર બે કારીગરો
કચ્છમાં વલીમામદ અને અંજિયાના જુમા લુહાર નામના બે કારીગરો અત્યારે મોરચંગ બનાવવામાં માહેર ગણાય છે. સામાન્ય રીતે આ વાદ્ય ૫૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનું મળી રહે છે. માલધારીઓ પોતાના શોખ માટે એમાં કંઈક નવું ઉમેરે તો એ મુજબ તેની કિંમત વધતી રહે છે. મોરચંગ લોખંડ, સ્ટીલ અને પિત્તળમાંથી પણ બને છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જે મોરચંગ વગાડે છે તે વાંસમાંથી બને છે. બે-ત્રણ ઈંચથી લઈને એક મીટર સુધીનાં મોરચંગ બને છે. મોરચંગમાં જિહ્વા બેસાડતી વખતે કારીગરની કુશળતાનો ક્યાસ નીકળી જાય છે. ચોક્કસ માપ લીધા પછી જિહ્વાને ભઠ્ઠીમાં ગરમ કર્યા બાદ ટીપીને મોરચંગમાં બેસાડવાની હોય છે. મોરચંગ બની જાય ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવે છે. જેમાં કારીગરના દાંતની મજબૂતીની પરીક્ષા થાય છે. તેના પરીક્ષણ વખતે કંકુ-ચોખાનો ચાંલ્લો કરવાનો રિવાજ છે.

ઘાટ ઘડયા પછી નામરૂપ જૂજવાં, પણ છે તો બધે મોરચંગનો જ જાદુ
ગુજરાતમાં મોરચંગની ઓળખ કચ્છી લોકવાદ્ય તરીકેની રહી છે, પણ આમ તો આ વાદ્ય આખા ભારતમાં લોકપ્રિય રહ્યું છે. કચ્છથી લઈને છેક પાકિસ્તાનના સિંધ સુધીના રણ પ્રદેશમાં આ વાદ્યમાંથી સૂરો રેલાતા રહ્યા છે. આ ઉપરાંત પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળ સુધી અલગ અલગ નામે આ વાદ્ય લોકસંગીતમાં ભાગીદાર બન્યું છે. જાણીતા સંગીતકાર અને કચ્છના કલાકારો સાથે લાંબો વખત કામ કરનારા દેવલભાઈ મહેતાના જણાવવા પ્રમાણે આ માત્ર કચ્છનું જ લોકવાદ્ય નથી, પણ જુદા જુદા દેશોના સંગીતમાં તે મહત્ત્વનું રહ્યું છે. તેમના માનવા પ્રમાણે આ વાદ્ય કચ્છમાંથી કે ઈવન સિંધ પ્રદેશમાંથી ઉદ્ભવ્યું છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. યુરોપ અને અમેરિકન દેશોમાં મોરચંગ લોકસંગીતનું અગત્યનું વાદ્ય છે. અલબત્ત, ત્યાં તે 'જો હાર્પ'ના નામે ઓળખાય છે. મોંગોલિયા, ચીન, જાપાન, ઈરાન, થાઈલેન્ડ જેવા દેશોના લોકસંગીતમાં તેનો વિશિષ્ટ વાદ્ય તરીકે ઉપયોગ થાય છે. મોંગોલિયાની મોંગ જાતિમાં મૃત્યુ વખતે મોરચંગવાદન થાય છે. તો ઈન્ડોનેશિયા, બાલી, જાવા અને સુમાત્રાના આદિવાસીઓ કબ્રસ્તાન બનાવવા ફાળો એકત્ર કરવા માટે મોરચંગમાંથી સુરાવલીઓ રેલાવે છે. એટલું જ નહીં પોતાના વિશેષ ઉત્સવો વખતે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ મોરચંગના તાલે આ આદિવાસીઓ નૃત્ય કરે છે. મોંગોલિયાની આદિવાસી મહિલાઓ તો વાદ્યની મદદ વગર મોં અને આંગળીઓની કરામત કરીને મોરચંગ જેવો અવાજ કાઢી શકે છે. આ રીતે અવાજ કાઢવાનું કામ ખૂબ જ કષ્ટદાયક હોય છે. કહેવાય છે કે કચ્છના ઈશાકભાઈ નામના એક કલાકાર આવી જ રીતે વાદ્ય વિના ગળામાંથી અદ્લ આવો જ અવાજ કાઢી શકતા હતા.

નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મોરચંગ મહોત્સવ દર ત્રણ વર્ષે યોજાય છે. જેમાં દુનિયાના ગણનાપાત્ર મોરચંગ કલાકારો સૂર રેલાવે છે તો 'તુવા'માં આ વાદ્ય રાષ્ટ્રીય વાદ્ય તરીકેનો માન-મોભો ધરાવે છે. આપણે ત્યાં ભલે આ કલા, કલાકારો અને વાદ્ય બધું લુપ્ત થઈ રહ્યું છે, પણ દુનિયા આખીમાં આ વિશિષ્ટ વાદ્ય મોરચંગની કળા હજુ જીવે છે.
 કલાકાર ઉમેશ જડિયા

Wednesday, 19 June 2013
Posted by Harsh Meswania

ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ

ગોરખનાથજીની ગુફા

તીર્થાટન - હર્ષ મેસવાણિયા

આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે. કામરુ દેશમાં જઈ ચડેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને આ પ્રતાપી શિષ્ય પાછા લાવ્યા હોવાની કથા તેમની સાથે જોડાયેલી છે અને 'જાગ મછન્દર ગોરખ આયા' એ બહુ જાણીતી ઉક્તિ તેમની સાથે જોડાયેલી છે. ગોરખનાથે આખા ભારતમાં અલગ-અલગ જગ્યાએ તપસ્યા કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો. આજે પણ તેમની યાદમાં જુદાં જુદાં સ્થળે ગોરખધૂણો, ગોરખગુફા વગેરે મોજૂદ છે, પણ તેમના નામથી આખા ગામનું નામ પડયું હોય એવું કદાચ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાને બાદ કરતાં આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં જ બન્યું છે. ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખમઢીના નામે જાણીતું છે. સોમનાથથી કોડિનાર તરફ જતાં બારેક કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે. સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમયે નિર્જન જગ્યા હતી. એક કથા પ્રમાણે ૧૦મી કે ૧૧મી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળને તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું. તપસ્યા માટે જગ્યાની શોધ કરી રહ્યાં હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું. તેમણે અહીં પોતાની મઢી સ્થાપી હતી. એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ-અલગ સ્થળોએ લગભગ ૩૧ જેટલી મઢીઓ બનાવી હતી, પણ આ એકમાત્ર મઢી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી. બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી. પછીથી ગોરખમઢી નાથ સંપ્રદાયનું મુખ્ય મથક જ બની ગયું હતું. અહીં નાથ સંપ્રદાયોના સંતો-મહંતોએ વર્ષો સુધી તપસ્યા કરી હતી.

કેવી છે ગુરુ ગોરખનાથની તપોભૂમિ?
ગોરખમઢી ગામની વચ્ચે ગુરુ ગોરખનાથે બનાવેલી જગ્યા છે. જેમાં આશરે એક હજાર વર્ષ પહેલાં બનેલું ભોયરું છે. જમીનથી ૨૦ પગથિયાં ઊતરીએ એટલે નીચે ૨.૭૦ મીટર લાંબી અને ૨.૬૦ મીટર પહોળી એક ગુફા આવેલી છે. ગુફામાં એક ઊંચું આસન છે જેના પર ગોરખનાથ બેસીને તપ કરતા હતા. અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન, અન્નપૂર્ણાદેવી અને નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે. ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે, જ્યાં યજ્ઞાદિ કાર્યો થતા હતા. ધૂણાની એકદમ પાછળ ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું નાનકડું મંદિર આવેલું છે, જેમાં મત્સ્યેન્દ્રનાથની મુર્તિ છે. ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોનાં સમાધિસ્થાન છે. આ ઉપરાંત મહંત, તેમનો પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક મોટી હવેલી છે. એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી જેવું સન્માન મળતું હતું. આ આખી જગ્યાને સરકારે પુરાતત્ત્વ વિભાગમાં આવરી લઈને તેને રક્ષિત સ્મારકો ઘોષિત કર્યાં છે.

ગોરખનાથની ગુફાનું પ્રવેશદ્વાર
મહંતોનું રજવાડું: ૧૨ ગામનો ગરાસ
ગોરખમઢી નાથ સંપ્રદાયના સાધુ-સંતોનું મુખ્ય મથક બન્યું હતું અને અહીં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહેતી હતી, જેને ધ્યાનમાં રાખીને ગોરખમઢીના મહંતને જૂનાગઢ નવાબના તાબા હેઠળ આવતા ગોરખમઢી સહિતનાં ૧૨ ગામડાંઓ આપવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાંઓની આવક ગોરખમઢીની આ જગ્યાને મળતી હતી.

મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ૨૦૦ વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં 'કરણઘેલો' સહિતની નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને બંગાળી ભાષાનાં પુસ્તકોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે. અહીં આવતા ભાવિકો માટે અન્ય એક આકર્ષણ 'પાડાઘંટી'નું હોય છે. એક જમાનામાં જ્યારે અહીં ધર્મોત્સવ થતો ત્યારે પાડાઘંટી બધાનું અનાજ દળવાનું કામ કરતી હતી. ૧.૨૦ મીટર વ્યાસ ધરાવતું પડ અને ૧.૬૦ મીટર થાળાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે ધૂંસરી સાથે પાડાને જોડવામાં આવે છે. એ પાડો ૨.૨૫ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે. આ મોટી પાડાઘંટી આજેય હવેલીમાં જોઈ શકાય છે.

લગભગ એકાદ સૈકા પહેલાં થયેલા મહંત સુંદરનાથજી બાપુ આસપાસના વિસ્તારમાં સવિશેષ લોકપ્રિય હતા અને તેમણે આ જગ્યાનો વિકાસ કર્યો હતો. આ મહંતની યાદમાં ગોરખમઢીની સાવ નજીકમાં આવેલા એક ગામને સુંદરપરા નામ આપવામાં આવ્યું છે. આજેય ગુરુ ગોરખનાથની ગુફા, ધૂણો, હવેલી, મહંતોનાં સમાધિસ્થાનો અને મહંતોનાં ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યાં છે.


મહંતોનો મહેલ

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

ત્રણ પેઢી નહીં, ત્રણ સદી જોઈ ચૂકેલા માનવીઓ!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રેકોર્ડ બુક્સમાં નોંધ ટપકાવનારા લોકોની નજર અત્યારે જિરોમોન કિમૂરાના શ્વાસ તરફ મંડાઈ છે. ગત સપ્તાહે ૧૯મી સદીમાં જન્મેલા જેમ્સ સિસ્નેટ્ટનું ૧૧૩ વર્ષની વયે નિધન થયા બાદ જિરોમોન દુનિયામાં એકમાત્ર એવા પુરુષ છે કે જેનો જન્મ ૧૯મી સદીમાં થયો હતો. તેમણે દુનિયામાં સૌથી વધુ દિવાળીઓ જોઈ છે!

"મેં ચાર રાજાઓનું શાસન જોયું છે. ૬૦ વડાપ્રધાનોની તાજપોશી થતી જોઈ છે. અમેરિકાએ જાપાન પર કરેલા પરમાણુ હુમલાનો હું સાક્ષી છું, તો જાપાને ફિનિક્સ પક્ષીની જેમ ખાખમાંથી ઊભા થઈને ટેક્નોલોજી ક્ષેત્રે કરેલી ક્રાંતિને મેં નજરે નિહાળી છે. જાપાન પર અવારનવાર ત્રાટકતા કેટકેટલા સુનામીઓ અને ધરતીકંપનો કહેર મેં જોયો છે અને આ સિવાય આ દુનિયાએ ત્રણ સદીમાં જે રીતે કરવટ બદલી છે તેનો હું ગવાહ છું. હું ૧૯મી સદીમાં જન્મેલો વિશ્વનો છેલ્લો પુરુષ છું અને મારી ઉંમર ૧૧૬ વર્ષ છે."

જાપાનમાં જન્મેલા જિરોમોન કિમૂરા જો અત્યારે પોતાની આત્મકથા લખવાનું નક્કી કરે તો કદાચ આ તેમની આત્મકથાના શરૂઆતના શબ્દો હોઈ શકે. ૧૯ એપ્રિલ, ૧૮૯૭માં ખેડૂત ફુઝા મિયાકેનાં ત્રીજા સંતાન તરીકે તેમનો જન્મ થયો હતો. જન્મ સમયે તેમનું નામ હતું કિન્જિરો મિયાકે. તેમણે ૧૯૨૦માં યે કિમૂરા સાથે લગ્ન કર્યાં. કિમૂરા પરિવારમાં વંશને આગળ ચલાવી શકે એવો એક પણ પુરુષ બચ્યો ન હતો એટલે કિન્જિરોએ તેમની પત્નીની સરનેમ સ્વીકારી અને એ પછી તેમનું નામ થયું જિરોમોન કિમૂરા. આ વાત અહીં માંડવાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલાં ૧૯મી સદીમાં જન્મેલા બાર્બાડોસના જેમ્સ સિસ્નેટ્ટનું ૧૧૩ વર્ષની ઉંમરે નિધન થયું હતું અને એ કિમૂરા પછી બીજા એવા પુરુષ હતા જેનો જન્મ ૧૯મી સદીમાં થયો હતો અને તેમણે ત્રણ સદી જોઈ હતી. જેમ્સના અવસાન પછી તેમના તરફ સ્પોટલાઇટ રાખવાનું એક કારણ એ છે કે તે અત્યારે સૌથી વયસ્ક જીવિત ઇન્સાન છે અને જો તેઓ વધુ પાંચ વર્ષ જીવશે તો આ પૃથ્વી પર સૌથી વધુ વર્ષ જીવેલા માનવી બની જશે.

દુનિયામાં વધુ વર્ષ જીવિત રહેનારા માનવીઓ
કિમૂરાએ પોતાના નામે રેકોર્ડ દર્જ કરવા માટે હજુ આઠ પગથિયાં ચડવાં પડશે. પૃથ્વી પર વધુ સમય જીવિત રહેનારા માનવી તરીકે જીન્ની કેલ્મેટ નામની મહિલાનો રેકોર્ડ છે. ફ્રાન્સમાં ૧૯૭૫માં જન્મેલી આ મહિલાનું નિધન ૪ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ થયું ત્યારે તેની ઉંમર હતી ૧૨૨ વર્ષ અને ૧૬૪ દિવસ. ત્યાર પછી અમેરિકન મહિલા સારાહ નૌસ ૧૧૯ વર્ષ સાથે બીજા ક્રમાંકે છે. તેનું અવસાન ૧૯૯૯માં થયું હતું. અન્ય એક અમેરિકન મહિલા લ્યુસી હન્નાના નામે ૧૧૭ વર્ષ લાંબા આયુષ્યનો રેકોર્ડ છે. આ ક્રમમાં કેનેડાના મેરી લુઈસ મિલર ૧૧૭ વર્ષ, મારિયા કેપોવિલા ૧૧૬ વર્ષ ૨૩૦ દિવસ, જાપાનની ટેને ઈકાય ૧૧૬ વર્ષ ૧૭૫ દિવસ,અમેરિકાની મહિલા એલિઝાબેથ બોલ્ડન અને અમેરિકાની જ બેસ્સી કૂપર નામની મહિલા ૧૧૬ વર્ષ જીવિત રહી છે. કિમૂરા આ વિક્રમ તોડી શકે એવી શક્યતા એટલા માટે છે કે તેમનાથી આગળ રહેલા બાકીનાં તમામ લોકોનાં નિધન થઈ ચૂક્યાં છે.

બીજું કે કિમૂરા અત્યારે એકદમ હેલ્ધી છે. જોકે, આમાં અનેક દાવાઓ થતા રહે છે. થોડા સમય પહેલાં ચીનની એક મહિલા લુઓએ પોતે ૧૨૬ વર્ષની હોવાનો દાવો કર્યો હતો, પણ તેની પાસેથી જન્મના પૂરતા પુરાવા મળ્યા નથી.

૧૬૮ વર્ષનો એક અજીબ દાવો!
ઈરાનની બોર્ડર પાસે આવેલી પર્વતીય તળેટી અઝરબૈજાનીમાં જન્મેલા શિરાલી મુસ્લીમોવની નોંધ પ્રતિષ્ઠિત 'ટાઇમ' અને 'નેશનલ જિયોગ્રાફિક' મેગેઝિને લીધી હતી. ૧૯૭૩માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમની ઉંમર ૧૬૮ વર્ષ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શિરાલી પાસે એક પાસપોર્ટ હતો જેમાં તેમનો જન્મ ૧૮૦૫માં થયો હોવાનું લખવામાં આવ્યું હતું. આ સિવાય તેમની પાસે જન્મનું ઓથેન્ટિક પ્રમાણ ન હોવાથી તેને સૌથી વધુ સમય જીવિત રહેનારા માનવીનું સન્માન આપવામાં આવ્યું નથી. જોકે,આજેય ઘણા લોકો તેમને પૃથ્વી પર વધુ સમય વિતાવનારા માનવી માને છે.

અત્યારે વિશ્વમાં ૧૧ માનવીઓ છે જેમણે ૩ સદી જોઈ છે
સાયન્સનાં વિવિધ સંશોધનો પછી એમ કહેવાય છે કે પુરુષો કરતાં સ્ત્રી લાંબું આયુષ્ય ભોગવે છે. આ વાત અહીં સાચી ઠરતી જણાય છે. વિશ્વમાં અત્યારે ૧૯મી સદીમાં જન્મેલા ૧૧ લોકો છે. જિરોમોન કિમૂરાને બાદ કરીએ તો બાકીની તમામ ૧૦ મહિલાઓ છે. બીજા નંબરે જાપાનની જ મહિલા મિસાઓ ઓકાવા છે. પછીની ૬ મોટી ઉંમરની મહિલાઓ અમેરિકન છે. જેરેલિયન ટેલ્લી,સુસાન્હ મુશેટ્ટ જોન્સ, બેર્નિસ મેડિગન, સોલેડેન મેક્સિઆ, એવિલ્યન કોઝેક અને નાઓમી કોર્નર. નવમાં ક્રમે ફરી એક જાપાની મહિલા મિટ્સે મેગાસ્કી છે. ૧૦મા ક્રમે ઇટાલીની મહિલા ઇમ્મા મોરાનો માર્ટીનુઝી અને છેલ્લા નંબરે બ્રિટનની ગ્રેસ જોન્સ છે. તમામમાં એક સમાનતા એ છે કે આ બધાનો જન્મ ૧૮૯૯માં થયો હતો.

આ ઉપરાંત ત્રણ સદી જોયેલા પણ અત્યારે જીવિત ન હોય તેવા ૧૦ લોકોનાં નામ ઇતિહાસમાં દર્જ થયાં છે. જેમાં ત્રણ મહિલાઓ અને સાત પુરુષો છે. સૌથી વધુ જીવિત રહેલા લોકોની યાદીમાં જે ત્રણ નામો છે તેમાંથી મારિયા કેપોવિલા (૧૮૮૯-૨૦૦૬),એલિઝાબેથ બોલ્ડન (૧૮૯૦-૨૦૦૬) અને બેસ્સી કુપર (૧૮૯૬-૨૦૧૨)નો અહીં સમાવેશ થાય છે. આ સિવાય સાત પુરુષો એટલે એમિલિનો ટોરો (૧૮૯૧-૨૦૦૭), વોલ્ટર બ્રેઉનિંગ (૧૮૯૬-૨૦૧૧), યુકિંચી ચુગાન્જી (૧૮૮૯-૨૦૦૩), જોન રિડાવેટ્સ (૧૮૮૯-૨૦૦૪),ફ્રેડ એચ. હેલ (૧૮૯૦-૨૦૦૪), ટોમોજી ટેનેબી (૧૮૯૫-૨૦૦૯) અને જ્હોન મેક્મેરન (૧૮૮૯-૨૦૦૩). આ યાદીમાં ક્યાંય પણ એકેય ભારતીય નથી. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઈએ છીએ કે પેલા દાદાની ઉંમર બહુ છે કે પેલી દાદીની ઉંમર તો કોઈને ખબર નથી, તેમણે તો પાંચ પેઢી જોઈ છે. એ વાત કદાચ સાચી પણ હોઈ શકે, પણ આપણે ત્યાં એ સમયે જન્મનાં પ્રમાણપત્રોની બાબતમાં ઉદાસીનતા હતી એ પણ કદાચ આ પાછળ કારણભૂત હોઈ શકે. ગમે ત્યારે ગમે તે રોગોમાં સપડાઈ જતી માનવજાતિમાં ત્રણ પેઢી પણ જોવી મુશ્કેલ છે ત્યારે ત્રણ-ત્રણ સદી જોઈ લેવી એ બહુ મોટી વાત છે.

જિરોમોન કિમૂરાના લાંબા આયુષ્યનું રહસ્ય
જિરોમોન કિમૂરાની દેખભાળ તેના મોટા પુત્રની ૮૩ વર્ષીય વિધવા અને તેના પૌત્રની ૫૯ વર્ષની વિધવા કરી રહી છે. તેઓ અત્યારે જાપાનના ક્યોટો સ્ટેટના ક્યોટેંગો નામના કસબામાં રહે છે. તેઓ ૯૦ વર્ષ સુધી એકદમ એક્ટિવ હતા. ૧૯૬૨માં ૬૫ વર્ષની વયે પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ખેતી કરતા હતા. એક વખત લાંબા આયુષ્યનું રહસ્ય છતું કરતાં તેમણે જણાવ્યું હતું તે મુજબ તેમણે ક્યારેય આલ્કોહોલનું સેવન નથી કર્યું. ખોરાક ઓછો આરોગવો અને પેટ ભરાઈ જાય એટલું ક્યારેય ન ખાવું. આ ઉપરાંત ફળો પર તેઓ વધુ આધાર રાખે છે. બિસ્તર પર સમય વિતાવવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તેમણે ૬૦ સભ્યોનો પરિવાર જોયો છે. જેમાં તેમના ૭ સંતાનો, ૧૪ પૌત્ર-પૌત્રીઓ, ૨૫ પ્રપોત્ર અને ૧૪ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનનો સમાવેશ થાય છે.
Wednesday, 12 June 2013
Posted by Harsh Meswania

ટપકેશ્વર મહાદેવ : જ્યાં પાણીને બદલે પહેલાં દૂધ ટપકતું હતું


તીર્થાટન - હર્ષ મેસવાણિયા

ભારતમાં ટપકેશ્વર મહાદેવ નામ હોય એવાં ઘણાં મંદિરો છે અને એમાંથી મોટાભાગનાં મંદિરોનાં શિવલિંગ પર સ્વયંભૂ જલાભિષેક થતો હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ બન્યાં હશે, પરંતુ કુદરતી સૌંદર્ય વચ્ચે દહેરાદૂનમાં આવેલું

ટપકેશ્વર મહાદેવ મંદિર થોડું અલગ છે. ઉત્તરાખંડની અને એમાંય દહેરાદૂનની મુલાકાત કરતા પ્રવાસીઓ ભાગ્યે જ ટપકેશ્વર જવાનું ચૂકે છે. ગુફામાં આવેલા શિવલિંગ પર ટપકતું દૂધ જેવું દેખાતું પાણી અહીંનું ખાસ આકર્ષણ છે. ટૌંસ નદીના (જેને પુરાતનકાળમાં તમસા નદીના નામથી ઓળખવામાં આવતી હતી. એક માન્યતા પ્રમાણે આ નદી દેવધારાના નામથી પણ જાણીતી હતી) કિનારે આવેલા આ મંદિર સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ પણ એટલી જ રોચક છે અને શિવલિંગ પર ટપકતી ધારા વિશે પણ રસપ્રદ લોકકથાઓ પ્રવર્તે છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
આ મંદિર સાથે બે કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણ આ સ્થળ પર ૧૨ વર્ષ રહ્યા હતા અને ભગવાન શિવની તપસ્યા કરી હતી. ધનુવિદ્યામાં મહારત હાંસલ કરવા તેમજ ભગવાન શંકરનો સાક્ષાત્કાર કરવાની ખેવના સાથે ગુરુ દ્રોણાચાર્યે આ સ્થળ પસંદ કર્યું હતું. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરીને આકરી આરાધના કરી હતી. અંતે ભગવાન શંકરે દ્રોણની ઇચ્છા પૂર્ણ કરી હતી. પછીથી દ્રોણ આ ગુફાની આસપાસમાં જ કુટિર બાંધીને વર્ષો સુધી તેમની પત્ની કૃપી સાથે રહ્યા હતા અને અહીં જ તેમના પુત્ર અશ્વત્થામાનો જન્મ થયો હતો.

બીજી એક કથા મુજબ દ્રોણ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ઋષિ મળ્યા. ઋષિએ તેમને હિમાલયની તળેટીમાં તમસા નદીના કિનારે જઈને તપ કરવાનું સૂચવ્યું. ઋષિએ એમ પણ કહ્યું કે તમસાના કિનારે એક ગુફામાં સ્વયં સ્ફુરિત શિવલિંગ પાસે જઈને આરાધના કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે. ગુરુ દ્રોણે પછીથી તમસા નદીના કાંઠે આ સ્થળની શોધ ચલાવી અને શિવલિંગની ખોજના અંતે તેમને જે સ્થળ મળ્યું એ આજની ટપકેશ્વર મહાદેવની ગુફા. ટપકેશ્વર શિવલિંગની સ્થાપનાની કથા જેટલી રસપ્રદ પૌરાણિક કથા શિવલિંગ પર ટપકતી ધારાની પણ છે. એ કથા દ્રોણ અને તેના પુત્ર અશ્વત્થામાની સાથે જોડાયેલી છે.

બાળક અશ્વત્થામાના તપથી શિવલિંગ પર ફૂટી દૂધની ધારા
દ્રોણના નાના પુત્ર અશ્વત્થામાને દૂધ મળી રહે તે માટે ગુરુ દ્રોણે તેમના મિત્ર અને ગુરુભાઈ રાજા દ્રુપદ (આ બંને ભગવાન પરશુરામના શિષ્ય હતા) પાસે એક ગાયની યાચના કરી. દ્રુપદે ગાય આપવાની ના પાડી અને દ્રોણને અપમાનિત કર્યા. અશ્વત્થામા માટે દૂધની વ્યવસ્થા ન થતાં માતા કૃપી ભાતમાં પાણી નાખીને દૂધ જેવું પ્રવાહી તૈયાર કરતાં અને અશ્વત્થામાને પીવડાવતાં. એક વાર અશ્વત્થામા દ્રોણ સાથે હસ્તિનાપુર ગયો અને ત્યાં તેણે ગાયનું દૂધ પીધું. ઘરે આવીને એવું જ દૂધ પીવાની તેણે હઠ પકડી. ગુરુ દ્રોણે નાનકડા પુત્રને ખૂબ સમજાવ્યો પણ તે ન માન્યો. અંતે દ્રોણે પુત્રને એમ જ સમજાવવાના આશયથી કહી દીધું કે જો તું ભગવાન શિવની આરાધના કરીશ તો તને એવું દૂધ જરૂર મળશે. અશ્વત્થામાએ તે દિવસથી જ આ ગુફામાં જઈને શિવલિંગ સામે બેસીને ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી. નાનકડા બાળકના તપથી ભગવાન શંકર એક ઋષિના વેશમાં આ ગુફામાં આવ્યા અને બાળકને તપ કરતો જોઈને તપ કરવાનું કારણ પૂછયું. અશ્વત્થામાએ દૂધ માટે તપ કરતો હોવાનું જણાવ્યું એટલે ઋષિએ બાળકને કહ્યું કે થોડા દિવસમાં આ શિવલિંગ પર દૂધ ટપકશે. શિવલિંગ પર ટપકતા દૂધમાંથી જે શેષ રહે તે તું પીજે એમ કહીને ઋષિ તો જતા રહ્યા. બાળકને પણ આશ્વાસન મળ્યું એટલે તેણે તપ પૂર્ણ કર્યું. બીજા દિવસે જ્યારે દ્રોણ શિવલિંગની પૂજા કરવા ગુફામાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે શિવલિંગ ઉપર ખડકમાંથી દૂધ ટપકી રહ્યું હતું એટલે દ્રોણે આ શિવલિંગને દુગ્ધેશ્વર મહાદેવ એવું નામ આપ્યું હતું. જોકે, ત્યાર પછી સમયાંતરે આ શિવલિંગનું નામ ટપકેશ્વર મહાદેવ પડી ગયું.

લોકમાન્યતા પ્રમાણે કળિયુગમાં હવે દૂધને બદલે દૂધ જેવું શ્વેત પ્રવાહી ટપકી રહ્યું છે. આ પૌરાણિક કથાઓના કારણે ભાવિકોમાં ઓટપકેશ્વર મહાદેવ મંદિરનું માહાત્મ્ય વધી જાય છે. મહાશિવરાત્રિના સમયગાળા દરમિયાન અહીં પાંચ દિવસનો મેળો ભરાય છે. વિશેષ પૂજા, રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજયના જાપ પણ થાય છે. પ્રતિ માસ તેરસના દિવસે દૂર-દૂરથી ભાવિકો ટપકેશ્વર મહાદેવ આવીને વિશેષ પૂજા કરે છે. વળી, શ્રાવણ માસમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર સદીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે.

ટપકેશ્વર મહાદેવની આસપાસનાં અન્ય મંદિરો
ટપકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ અન્ય મહત્ત્વનાં મંદિરો પણ છે. ટપકેશ્વર મંદિર પાસે પહોંચતાં પહેલાં પરિસરમાં રાધાકૃષ્ણ મંદિર છે. આ મંદિરની સામેના રસ્તા પર જ હરસિદ્ધ દુર્ગામાતાનું મંદિર આવેલું છે. બાજુમાં જ એક ટેકરી પર શનિદેવનું મંદિર છે. અહીં નિઃસંતાન દંપતીઓ ખાસ પૂજન કરવા આવે છે. આ ઉપરાંત નજીકમાં ગણેશ ભગવાનનું મંદિર છે. પુલની પેલી તરફ સંતોષીમાતાનું મંદિર પણ આવેલું છે. સંતોષીમાતાના મંદિરની પાસે સપ્તમુખી હનુમાનજીનું મંદિર છે. ટપકેશ્વર મહાદેવ સૌથી પૌરાણિક મંદિર છે, પણ એ સિવાયનાં મંદિરોનું પણ અનેરું માહાત્મ્ય છે.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Thursday, 6 June 2013
Posted by Harsh Meswania
Tag :

ગીધઃ માંસ આરોગનારા આ સજીવો લાશ બની રહ્યા છે!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ગીધ પ્રકૃતિની ખરેખરી સફાઈ કરી જાણે છે. જોકે, છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગુજરાત આ સજીવો માટે થોડાં વર્ષોથી સેફ ઝોન તરીકે ઉભર્યું છે

રામાયણમાં એક પ્રસંગ છે. સીતાજીનું હરણ કરીને રાવણ તેમને લંકા તરફ લઈ જતો હતો ત્યારે એક ગીધે સીતાજીને બચાવવા માટે બળવાન રાવણ સામે ઝીંક ઝીલી હતી. વૃદ્ધ થઈ ગયેલા એ ગીધનું નામ હતું જટાયુ. પછી તો રાવણ જટાયુની પાંખો કાપીને લંકા તરફ જતો રહ્યો હતો, પણ ભગવાન રામ જ્યારે અરણ્યમાં આવ્યા ત્યારે જટાયુએ સીતાજીની ભાળ આપી હતી અને પછી પ્રાણ છોડી દીધા હતા. ભગવાન રામે જટાયુની અંતિમવિધિ કરીને તેને સન્માન આપ્યું હતું. ભગવાન રામની કૃપાપાત્ર બનેલા આ ગીધના વંશજોનું છેલ્લા થોડા દશકાઓમાં મોટી સંખ્યામાં ક્રિયાકર્મ કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મૃત પશુઓનું માંસ આરોગીને વાતાવરણને દૂષિત થતું અટકાવનારાં ગીધોની ઘટતી જતી સંખ્યા આપણે અટકાવી નથી શક્યા! ૧૯૮૦ પછી ભારતમાં જ નહીં આખા એશિયામાં ગીધો ઘટવા લાગ્યાં છે. થોડા વધુ પ્રયાસો કરવામાં નહીં આવે તો કદાચ આ સજીવ માત્ર વાર્તાઓમાં અને તસવીરો જ જોવા મળશે!

ગીધ શું કામ ઘટી ગયાં, એની વાત કરતા પહેલાં ગીધની હાલની સ્થિતિ અંગે થોડું જાણી લઈએ. રોયલ સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ બર્ડ્સના એક અંદાજ મુજબ ૧૯૮૦માં ભારતમાં ૬ પ્રજાતિના મળીને ગીધની કુલ સંખ્યા આઠ કરોડ કરતાં પણ વધારે હતી. આજે આ સંખ્યા હજારોમાં આવીને પણ અટકી નથી, સતત ને સતત ઘટી રહી છે. માત્ર ત્રણ દશકામાં ગીધની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ૯૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. વિશ્વમાં કદાચ આ પ્રથમ એવું સજીવ હશે કે જે આટલી ઝડપથી લુપ્ત થવાની કગાર પર ઊભું છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં અત્યારે માત્ર ચાર હજાર ગીધ જ શેષ રહ્યાં છે. અલબત્ત, પાકિસ્તાન, ચીન સહિતના અન્ય એશિયન દેશોમાંથી થોડા માસ માટે ભારતનો પ્રવાસ ખેડતા ગીધની આમાં ગણતરી કરવામાં આવતી નથી.

ગીધ અચાનક ઘટી ગયાંનું કારણ?
૧૯૮૦ સુધી બધું બરાબર હતું એટલે એ તરફ તરત ધ્યાન ન પડયું, પણ '૯૦ના દશકમાં થયેલી ગણતરીઓ પરથી જાણવા મળ્યું કે એક જ દશકમાં આ સજીવોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. જંગલ વિસ્તારોમાંથી ગીધના થોડા મૃતદેહ મળવા લાગ્યા. સંશોધનને અંતે ખબર પડી કે જીવન માટે જરૃરી એવો આહાર જ અહીં મોતનું કારણ બની રહ્યો છે. આ સિવાય ગીધની પ્રકૃતિ પણ કંઈક અંશે એમાં જવાબદાર ઠરે છે.

• ખોરાકમાં અનાયાસે ઝેર ખાઈ બેસે છે : ૧૮ વર્ષ પહેલાં પક્ષીવિજ્ઞાનીઓએ જાણ્યું કે પાલતુ પશુઓને શરીરમાં સોજા આવી જાય ત્યારે અપાતી ડાઇક્લોફેનિક નામની દવામાં C22H3805નું રાસાયણિક બંધારણ હોય છે. આ રસાયણ પ્રાણી મરી જાય પછી પણ તેના શરીરમાં રહી જાય છે. ગીધ માટે આ ઝેરનું કામ કરે છે. આ દવાથી જે પ્રાણીની સારવાર કરવામાં આવી હોય અને તેનું માંસ ગીધ આરોગે એટલે તેનું મોત નિશ્ચિત થઈ જાય છે. જોવાની વાત એ છે કે ગીધના મોતનું મુખ્ય કારણ આશરે અઢારેક વર્ષ અગાઉ જ જાણવા મળી ગયું હોવા છતાં આ દવા પર સરકારે પ્રતિબંધ છેક પાંચેક વર્ષ પહેલાં જ મૂક્યો છે અને એમાંય આપણે ત્યાં જેમ બધી બાબતોમાં બને છે તેમ પ્રતિબંધ મૂકીને સરકાર રાહતનો શ્વાસ લઈ લે છે, અમલીકરણનો અભાવ આ બાબતેય ઊડીને આંખે વળગે છે.

• ગીધની પ્રજનનક્ષમતા : પક્ષીવિદેનું નિરીક્ષણ એવું છે કે જે સજીવની પ્રજનનક્ષમતા સ્ટ્રોંગ હોય અને એના પર આવી આફત આવી હોય તો એને ખૂબ ઝડપથી બચાવી શકાય છે, પણ ગીધની સંખ્યામાં તુરંત વધારો શક્ય નથી, એમાં ગીધની પ્રજનનક્ષમતા પણ કારણભૂત છે. નર અને માદાની એક જોડી વર્ષમાં સરેરાશ એક જ બચ્ચાને જન્મ આપવા સક્ષમ છે. એટલે ધારો કે ભારતમાં ચાર હજાર ગીધ હોય અને દરેક જોડી એક એક બચ્ચાને જન્મ આપે તો પણ વધારો તો માંડ બે હજારનો જ થઈ શકે. એમાં વળી સામાન્ય મૃત્યુદરને પણ ગણતરીમાં લેવો પડે. બીજું, કે ટોળામાં રહેવાનું પસંદ કરતા ગીધનું ખોરાક આરોગવાની આડઅસરથી મૃત્યુ નીપજે ત્યારે પણ સંખ્યા ટોળાંમાં જ હોય છે.

• ટોળામાં જવાનો સ્વભાવ : આપણે ત્યાં કહેવત છે કે 'એક કરતાં બે ભલા.' ગીધને આ કહેવત વધુ લાગુ પડે છે, કેમ કે ખોરાક માટે કે સ્થળાંતર માટે એકલા સફર ખેડવાને બદલે તે એકસામટાં નીકળી પડે છે. આ કારણે તેના પર ખતરો પણ એક સાથે આવે છે. જેમ કે, ડાઇક્લોફેનિક દવાથી સારવાર પામેલા કોઈ મૃત પ્રાણીનું માંસ સફરમાં નીકળેલાં બધાં ગીધ આરોગે છે એટલે બધાં પર સામૂહિક અસર થાય છે. ભારતમાં એવા તો કેટલાંય કિસ્સા નોંધાયેલા છે કે જેમાં ગીધના મૃતદેહ કોઈ એક જગ્યાએથી એકસામટા મળ્યા હોય.

મોડા પણ મક્કમ પ્રયાસો
૨૦૦૬માં કેન્દ્ર સરકારે વલ્ચર એક્શન પ્લાન અમલી બનાવ્યો હતો. જેમાં મુખ્યત્વે પાલતુ પ્રાણીઓની સારવારમાં ડાઈક્લોફેનિક દવાઓ વાપરવા પર પ્રતિબંધ મૂકવાનું મુખ્ય આયોજન હતું. આ દવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા પણ સૂચવવામાં આવી હતી. જોકે, પક્ષી નિષ્ણાતોએ એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે પ્રતિબંધ બાદ પ્રાણીઓ માટે ડાઇક્લોફેનિક દવાનું ઉત્પાદન બંધ જરૃર કરવામાં આવ્યું છે, પરંતુ હ્યુમન મેડિસિનમાં પણ તેનો સમાવેશ થાય છે. એટલે થાય છે એવું કે માણસના રોગોમાં કામ આવતી દવા આજેય પશુઓ માટે વાપરવામાં આવે છે અને સરવાળે ભોગવવાનું ગીધના ભાગે આવે છે! સારી વાત એ છે કે ભારતભરમાં અલગ અલગ સંસ્થાઓની ઝુંબેશના કારણે લોકો જાગૃત થયા છે. છેલ્લાં વર્ષોમાં ગીધને બચાવી લેવા ઘણાં બધા લોકોએ કમર કસી છે. એના પરિણામ સ્વરૃપ ગીધને માન-મરતબો અને સુરક્ષા બંને મળતાં થયાં છે. ગીધની છેલ્લી ગણતરીઓએ નવી આશા જન્માવી છે. મધ્યપ્રદેશના પન્ના અભયારણ્યમાં જ ૧૧૦૦ જેટલાં ગીધ હોવાનું નોંધાયું છે. વર્ષોથી થતો ઘટાડો કાબૂમાં આવ્યો છે અને ધીમી છતાં સંગીન ગતિએ વધારો થઈ રહ્યો છે. જો આ સ્થિતિમાં ઓટ આવશે તો કદાચ ભગવાન રામે તો એક ગીધની અંતિમક્રિયા કરી હતી, પણ આપણે તો આખી પ્રજાતિની કરવાનો વખત આવશે! આશા રાખીએ કે એવી સ્થિતિ ન આવે અને પ્રકૃતિના આ સુંદર પક્ષીનું અસ્તિત્વ નામશેષ નહીં થાય.

ગુજરાત : ગીધ માટે ઉભરી રહેલો નવો સેફ ઝોન
ગુજરાતમાં થોડીક સંસ્થાઓ આ માટે નક્કર પ્રયાસો કરી રહી છે, પણ મજાની વાત એ છે કે લોકો સ્વયંભૂ ગીધ બચાવવાના અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. ભાવનગર-અમરેલી જિલ્લામાં ગીધ બચાવો અભિયાનમાં કાર્યરત ઓનરરી વાઇલ્ડ લાઇફ વોર્ડન રુચિ દવેના જણાવ્યા પ્રમાણે તેઓ અને તેમની સાથે જોડાયેલા લોકોએ મળીને રાજુલા નજીકના આસરાણા ગામની પાસે એક વલ્ચર ફીડિંગ સાઇટ બનાવી છે જેમાં પશુપાલકો પોતાનાં મૃત પ્રાણીઓને ગીધના ખોરાક માટે દાનમાં આપી દે છે. એટલું જ નહીં પ્રાણીઓની સારવારમાં ડાઇક્લોફેનિક દવા ન વપરાય તેનું ધ્યાન પણ લોકો જ રાખવા લાગ્યા છે. આ સિવાય ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગીધ વસવાટ કરે છે એ બધે અલગ અલગ સંસ્થાઓ આ માટે કાર્યરત થઈ છે. જેનું પરિણામ ૨૦૧૨ની ગણતરીમાં દેખાયું હતું. ૨૦૧૦ની ગણતરી વખતે ૧૦૬૫ જેટલાં ગીધ

ગુજરાતમાં હતાં. જે બે વર્ષમાં ૩૬૧ જેટલાં વધીને કુલ સંખ્યા ૧૪૦૦ આસપાસ થવા જાય છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગીધની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક પણ સાઇટ પર ઘટાડો નોંધાયો નથી. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં બે વર્ષમાં ગીધની સંખ્યા આટલી વધી છે.
Wednesday, 5 June 2013
Posted by Harsh Meswania

નો ટોબેકો : હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

બે દિવસ પછી 'વર્લ્ડ નો ટોબેકો ડે' છે. આ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની 'નો ટોબેકો' ઝુંબેશને પણ ૨૫ વર્ષ થશે. 'તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવી ચેતવણીઓને તો ધુમાડાના ગોટામાં ઓગાળી દેવામાં આવે છે ત્યારે અહીં ઝુંબેશના અઢી દાયકા બાદ દેશ અને દુનિયામાં તમાકુના ઉત્પાદન-સેવનની સ્થિતિ પર એક નજર કરી લઈએ

સ્પ્રિંગને જેટલી વધારે પ્રેસ કરો એટલી એ વધારે જોરથી ઉછળશે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. આ વાત તમાકુની બાબતમાં ખરેખર બંધબેસતી છે. વિશ્વને એન્ટિ ટોબેકો કરવા માટે જેટલા પ્રયાસો થઈ રહ્યા છે તે બધાને જાણે તમાકુએ એટલા જ જોશથી જવાબ આપવાનું નક્કી કર્યું હોય એમ તેના ચાહકો ઘટવાને બદલે વધી રહ્યા છે. ફિલ્મોમાં ધૂમ્રપાનનાં દૃશ્યો બતાવવા પર પ્રતિબંધ છે, જાહેરાતો કે પ્રમોશન પર પ્રતિબંધ છે. તમાકુના વિરોધમાં અઢળક જાહેરાતો થાય છે, તમાકુ વિરુદ્ધ ચેતવણી છપાય છે છતાં તેની બધી બનાવટ વટથી ખપી જાય છે. તમાકુ બદનામ થઈને પણ નામ કમાય છે! 

વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં વધારો
ડબલ્યુ.એચ.ઓ.ના અભ્યાસ પ્રમાણે ૨૦૦૯માં ૧૨૪ દેશોએ ૪૦ લાખ હેકટર્સ જમીન પર તમાકુનું વાવેતર કર્યું હતું. જેમાંથી આશરે ૭૨ લાખ ટન તમાકુનું ઉત્પાદન થયું હતું. તમાકુની ઝુંબેશની અસર નથી થતી એની સાબિતી જોઈતી હોય તો એ વાત પરથી મળી રહે છે કે ૧૯૭૧માં તમાકુનું કુલ ઉત્પાદન ૪૨ લાખ ટન હતું જે વધીને ૧૯૯૭માં ૫૯ લાખ ટન સુધી પહોંચી ગયું હતું. બધા દેશોને 'તમાકુનું ઉત્પાદન ઘટાડો'નો સતત પોકાર કરવા છતાં ૨૦૧૦ની સ્થિતિ પ્રમાણે વિશ્વમાં ૭૧ લાખ ટન તમાકુનું ઉત્પાદન ૧૨૪ દેશોએ મળીને કર્યું હતું. જેમાં ચીન બાદ તરત જ ભારત પણ બીજો નંબર શોભાવે છે! બ્રાઝિલ, પાકિસ્તાન અને ફિલિપાઇન્સ આ મામલે આગળ પડતું સ્થાન ધરાવે છે.

તમાકુમાં ભારત બે-નંબરી
કુલ ૪૦ લાખ હેકટર્સમાંથી ૨૧ લાખ હેકટર્સ જમીન પર એકલું ચીન વાવેતર કરે છે. ચીન પોપ્યુલેશનની જેમ આ મામલે પણ પહેલા નંબરે આવે છે. ચીનમાં ૨ કરોડ લોકો ટોબેકોના વાવેતર અને ઉત્પાદનમાં જોડાયેલા છે. એટલે કે તમાકુના કુલ ઉત્પાદનમાં ૪૦ ટકા હિસ્સો ચીનનો છે. પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં ૯૬,૮૬૫ રજિસ્ટર થયેલા ખેડૂતો છે જે તમાકુની ખેતી કરે છે અને નોંધાયેલા ન હોય તેવા અલગ. ભારતમાં ૩,૧૨૦ ટોબેકો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ રજિસ્ટર્ડ થયેલી છે. કુલ ભૂભાગના ૦.૨૫ ટકા હિસ્સો તમાકુના વાવેતરમાં વપરાય છે. ભારતનો ઉત્પાદન હિસ્સો ૧૦.૨ ટકા છે અને અહીંથી ૮૦ દેશોમાં તમાકુની નિકાસ કરવામાં આવે છે. આપણે માત્ર નિકાસ જ નથી કરતા, પરંતુ સેવન કરવામાં પણ આગળ છીએ. ભારતમાં ૨૦ કરોડ લોકો એક યા બીજા પ્રકારે તમાકુનું સેવન કરે છે. બીડી વાટે તમાકુ લેતા લોકોની સંખ્યા ખાસ્સી મોટી છે. ૨૦ કરોડમાંથી ૧૦ કરોડ કરતાં પણ વધુ લોકો બીડી મારફત તમાકુ સેવે છે. વિશ્વમાં તમાકુનું સેવન કરતા લોકો પૈકી ૮૫ ટકા લોકો સિગારેટ પીએ છે.

ગુજરાતમાં ગુટકા પર પ્રતિબંધ, તમાકુનું ધૂમ વાવેતર
ગુજરાતમાં ગુટકા પર પ્રતિબંધ છે, પણ તમાકુના ઉત્પાદનમાં આપણે ભારતમાં મહત્ત્વનું સ્થાન ધરાવીએ છીએ. હા, ચાલુ વર્ષે જે ઉત્પાદન થયું છે તે પ્રમાણમાં ગત વર્ષોની તુલનાએ થોડું ઓછું જરૂર છે. ૨૦૧૨-૧૩ની સીઝન માટે ગુજરાતમાં ૮૫,૪૦૦ હેકટર્સમાં તમાકુનું વાવેતર થયું છે. ગત વર્ષે ૯૫,૪૦૦ હેકટર્સમાં વાવેતર થયું છે એ રીતે જોઈએ તો થોડો ઘટાડો નોંધાયો છે. જોકે, ૨૦૧૦ની તુલનાએ વાવેતરમાં ખાસ્સો એટલે કે ૨૦ હજાર હેકટર્સનો વધારો થયો છે. જ્યારે 'નો ટોબેકો'ની ઝુંબેશ પૂરજોશમાં ચાલતી હતી તે દરમિયાન એટલે કે ૧૯૯૨-૯૩માં આપણા રાજ્યમાં વાવેતર પણ પૂરજોશમાં હતું. ૧૯૯૨ના વર્ષમાં ગુજરાતમાં ૧,૩૯,૧૦૦ હેકટર્સમાં તમાકુનું વાવેતર થયું હતું અને ૨,૫૧,૬૦૦ મેટ્રિક ટનનું ઉત્પાદન પણ થયું હતું. આણંદ તમાકુના વાવેતરમાં હબ ગણાય છે. ૫૭,૪૦૦ હેકટર્સનું વાવેતર તો એકલા આણંદ વિસ્તારમાં થાય છે. એ પછી ખેડા અને મહેસાણાને મૂકી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તમાકુના વાવેતરમાં ઉમળકો દાખવતા નથી. ભારતના કુલ ૪ લાખ હેકટર્સ જેટલા ભૂભાગમાંથી આપણા રાજ્યનો હિસ્સો જ એકાદ લાખ આસપાસ હોય છે. એના પરથી કલ્પી શકાય કે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે! ૨૫-૨૫ વર્ષથી પ્રયાસો હાથ ધરવા છતાં નો ટોબેકોની ઝુંબેશને ધારી સફળતા અપાવવામાં ડબલ્યુ.એચ.ઓ.ને પણ નાકે દમ આવી ગયો છે. આ સ્થિતિ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં વિશ્વને ટોબેકોના વ્યસનથી મુક્ત કરવું મુશ્કેલ છે. મંઝિલ અભી બહોત દૂર હૈ મેરે દોસ્ત!

* કેન્સર જેવા ગંભીર રોગ માટે મુખ્ય કારણ મનાતા તમાકુથી ૨૦મી સદીમાં ૧૦ કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

* ભારતમાં જાફરાની જર્દા કહેવાતી તમાકુનો કિલોનો ભાવ રૂપિયા ૧,૨૦૦થી ૧,૫૦૦ સુધીનો હોય છે. દેશી પત્તીનો કિલોનો ભાવ માત્ર રૂપિયા ૧૦૦ જેટલો હોય છે. આટલો તફાવત છતાં જાફરાની જર્દાનું વેચાણ સતત વધી રહ્યું છે.

* ભારતમાં ૩૫ ટકા લોકો તમાકુનું વ્યસન માત્ર ૧૫ વર્ષથી નીચેની વયે શરૂ કરી દે છે.

* અત્યારે વર્ષે ૫૦ લાખ લોકોનાં મોતનું કારણ તમાકુ બને છે. એમાં પણ આપણા દેશના ૧૦ લાખ લોકો તમાકુના સેવનથી મોતને ભેટે છે.

Wednesday, 29 May 2013
Posted by Harsh Meswania

પોખરણઃ ધાકના ચાર દાયકા


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ભારતે પોખરણમાં પહેલી વખત પરમાણુધડાકો કરીને વિશ્વને ચોંકાવી દીધું. એને ગત સપ્તાહે ૪૦મું વર્ષ બેઠું. બીજી વાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એને પણ આ મહિને ૧૫ વર્ષ પૂર્ણ થયાં. સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ-૯૮ દરમિયાન કરેલા શક્તિ પ્રપાતનો ભવ્ય ભૂતકાળ અહીં વાગોળી લઈએ...

બે દિવસ પછી બુદ્ધ જયંતી છે. બરાબર ૩૯ વર્ષ પહેલાં બુદ્ધ જયંતીએ જ ભારત વિશ્વનો પરમાણુશક્તિથી સજ્જ એવો માત્ર છઠ્ઠો દેશ બન્યો હતો. આમ તો ભારતે પરમાણુ પરીક્ષણના પ્રયોગો માટે પ્રયાસો છેક ૧૯૪પ આસપાસથી આદર્યા હતા. હોમી ભાભાએ સ્થાપેલી 'ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' નામની વૈજ્ઞાનિક સંસ્થા આ માટે કાર્ય કરતી હતી. આઝાદી પછી પરમાણુશક્તિ માટે વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરાયા અને આખા કાર્યક્રમને એટોમિક એનર્જી એક્ટ-૧૯૪૮ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જોકે, વર્ષો સુધી પ્રયોગો કર્યા બાદ ભારતને સૌપ્રથમ વાર ધમાકેદાર સફળતા પોખરણ-૧ પરીક્ષણમાં મળી હતી. આ આખો પ્રોજેક્ટ 'સ્માઇલિંગ બુદ્ધા' તરીકે જાણીતો થયો હતો. બીજું પરીક્ષણ 'ઓપરેશન શક્તિ' ૧૯૯૮માં કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષણો વિશે થોડી સમાનતા પણ હતી. બંને વખતે બુદ્ધ જયંતી જ હતી, બંને પરીક્ષણો પોખરણ રેન્જમાં જ કરવામાં આવ્યાં હતાં. પરીક્ષણ માટે પોખરણ શા માટે પસંદ કરાયું તે પણ રસપ્રદ છે.

પરમાણુ પરીક્ષણ માટે અને એમાંય ખાસ કરીને અન્ડરગ્રાઉન્ડ પરમાણુપ્રયોગ કરવાનો હોય ત્યારે જમીનમાં પાણીનું તળ જેટલું ઊંચું હોય એટલો રેડિએશન ફેલાવાનો ખતરો વધી જાય છે. પોખરણમાં (સ્થાનિક લોકો આ સ્થળને પોકરણ પણ કહે છે) પાણીની વિકટ તંગી છે. પોખરણની આસપાસના ૫૦ ચોરસ કિલોમીટર સુધી સ્થિતિ એવી છે કે ૨૦૦૦ મીટર ઊંડે સુધી પાણી નથી હોતું. ખેતોલિયા, ભાણિયાના, દન્તાલ, ઉજાલા, નાનીયાર, નચાલતા વગેરે પાણીવિહોણાં ગામડાંઓ છે. આ ગામડાંઓમાં પાણી લાઠીથી પહોંચાડવામાં આવે છે. જ્યારે પહેલી વખત પરમાણુ પરીક્ષણ માટે સ્માઇલિંગ બુદ્ધા પ્રોજેક્ટ હેઠળ પરમાણુ પરીક્ષણ કરવાની વાત આવી ત્યારે એવી જગ્યાની તલાશ શરૂ કરવામાં આવી કે જ્યાં ભૂતળ ખૂબ ઊંડું હોય. સંશોધનને અંતે લોહારકી નામના ગામની આસપાસની જગ્યાને પ્રયોગ માટે પસંદ કરવામાં આવી. આ જ ગણિત ૨૫ વર્ષ પછી ૧૯૯૮ના પરીક્ષણ વખતે પણ કામે લગાડવામાં આવ્યું હતું. પ્રથમ પરીક્ષણની નજીકનું જ સ્થળ એટલે કે ખેતોલિયા ગામ. આ ગામની બાજુમાં ઊંડા ભૂતળનો તર્ક લગાવીને જ બીજું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૮ના પરીક્ષણ પછી સ્થાનિક લોકોએ એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે ધડાકાનું સ્થળ માત્ર ૩ કિલોમીટરના અંતરે હોવા છતાં છેલ્લી ઘડી સુધી તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ મુદ્દે વિવાદ પણ થયો હતો.

બંને પરીક્ષણોથી દેશ બન્યો મજબૂત
દુનિયાના મહત્ત્વના દેશોએ ભારતનાં આ બંને પરીક્ષણોને ખૂબ ગંભીરતાથી લીધાં હતાં. ખાસ કરીને આપણા પાડોશી દેશ પાકિસ્તાને બંને વખતે ઉગ્ર પ્રતિઘાતો આપ્યા હતા. બંને વડાપ્રધાનોની જાહેર ઇમેજ વધુ મજબૂત કરવામાં અને ચૂંટણીમાં પક્ષનો દેખાવ સંગીન કરવામાં આ પરીક્ષણો મહત્ત્વનાં રહ્યાં હતાં એમ પણ વ્યાપક રીતે મનાય છે.

ઇન્દિરાજીની ઇમેજ બની પોલાદી
૧૮ મે, ૧૯૭૪ના દિવસે સવારે ૮.૦૫ મિનિટે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એ સાથે ભારતનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે આ શક્તિ પ્રદર્શન નહોતું, પણ શાંતિપૂર્વકનું પરીક્ષણ જ હતું. જોકે, પાકિસ્તાન સામે ભારતે ૧૯૭૧માં ખેલેલા જંગ બાદ આ પરીક્ષણને વિશ્વભરમાં ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. આ ઘટનાની દૂરગામી અસરોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધ બાદ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની લોખંડી મહિલા તરીકેની ઇમેજ વધુ મજબૂત બની હતી.

વાજપેયીને ફરી સત્તાનો સરપાવ
૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે બીજી વખત પોખરણમાં પરમાણુપ્રયોગ કર્યો. એક સાથે ૫ ધડાકા કરીને ખરેખર જ 'ઓપરેશન શક્તિ-૯૮' નામ પ્રમાણે ભારતે શક્તિપ્રદર્શન કરીને વિશ્વને અચંબામાં પાડી દીધું. રશિયા અને ફ્રાન્સે ભારતના આ શક્તિ પ્રદર્શનનું સમર્થન કર્યું, પણ અમેરિકા, કેનેડા, જાપાન, પાકિસ્તાન અને બ્રિટન સહિતના યુરોપિયન યુનિયનમાંથી વિરોધનો ગણગણાટ પણ થયો હતો અને ભારત પર આર્થિક પ્રતિબંધ લદાયા હતા. ૧૯૯૯ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ફરીથી ભારતીય જનતા પક્ષે કેન્દ્રમાં સત્તા મેળવી એ પાછળ પણ આ પરીક્ષણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

પાકિસ્તાનની પ્રતિસ્પર્ધા
ભારતે ૧૯૯૮માં પરીક્ષણ કર્યા પછીના સપ્તાહે જ પાકિસ્તાને પણ રાતોરાત પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર પછી ભારત-પાક વચ્ચે કારગિલ યુદ્ધ થયેલું, જેમાં સામસામા પરમાણુ હુમલાને ટાળવાની વૈશ્વિક પહેલ થઈ હતી.

પરમાણુસત્તા તરીકે ધાક
આ બંને શક્તિ પ્રદર્શનો પછી વાંધાવિરોધ છતાં ભારતનો પરમાણુ સત્તા તરીકે સ્વીકાર થયો હતો અને દેશની ધાક વધી છે. પરીક્ષણ કરીને ભારતે પૈસાનું પાણી કર્યું એમ પણ કહેવાવાળા કહેતા હતા, પણ આ પરીક્ષણોથી ભારત એક બળુકા રાષ્ટ્ર તરીકે ઊભર્યું એ કંઈ નાનીસૂની સિદ્ધિ તો ન જ કહેવાય!  
Wednesday, 22 May 2013
Posted by Harsh Meswania

મરણપથારીએ પડેલાં મમીની માવજત થશે?


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

લખનૌના નેશનલ મ્યુઝિયમના મમીને કોહવાટ લાગી ગયો છે એવી જાહેરાત ખુદ નેશનલ મ્યુઝિયમના સત્તાવાળાઓએ કરી છે. લખનૌ ઉપરાંત પણ દેશમાં ક્યાંય મમી છે? જો છે, તો દેશમાં મમીનું આગમન ક્યારે થયું હતું? અત્યારે કયાં કયાં મ્યુઝિયમમાં કેટલાં મમી છે? ઇજિપ્તથી સૌપ્રથમ મમી કોણ લઈ આવ્યું હતું?

લખનૌના નેશનલ મ્યુઝિયમમાં ગરમીને કારણે ૩૦૦૦ વર્ષ જૂનાં મમીની હાલત ખરાબ છે એવી જાહેરાત થઈ એટલે દેશમાં અન્ય સ્થળોએ રહેલાં મમીના હાલ શું છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પ્રાચીન ઇજિપ્તમાં શબને સાચવવાની જે પદ્ધતિ હતી તે આજેય અજોડ છે અને એટલા માટે મમી અત્યારે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. જોકે, હવે મમીને જોવા માટે છેક ઇજિપ્ત જ જવું પડે એવું નથી, કેમ કે વિશ્વભરમાં ઇજિપ્તનાં મમીનાં પ્રદર્શનો યોજાતાં રહે છે અને હવે તો લગભગ તમામ દેશો પાસે પોતાના સંગ્રહાલયમાં એટલિસ્ટ એક મમી તો હશે. ભારતનાં અમુક સંગ્રહાલયોમાં પણ થોડાં મમી છેલ્લા દોઢ-બે સૈકાથી છે. પહેલાં તે રાજા-મહારાજાઓના અંગત સંગ્રહાલયમાં શોભા વધારતાં હતાં, પણ હવે તો દેશના પ્રવાસીઓ પણ મમીને સરળતાથી જોઈ શકે છે.

મમીને ભારતમાં કોણ લાવ્યું હતું?
 ઇજિપ્તના મમીને સૌપ્રથમ ભારત લઈ આવનારું નામ એટલે જયપુરના મહારાણા સવાઈ રામસિંહ. જયપુરના રાજવીએ તેમના અંગત સંગ્રહાલયની શાન વધારવા માટે ૧૮૮૬-૮૭ની આસપાસ પહેલી વખત ઇજિપ્તના મમીનો ભારતમાં પ્રવેશ કરાવ્યો હતો. લગભગ આ જ સમયગાળામાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ પોતાના રાજ્યમાં નવા બનેલા મ્યુઝિયમ માટે ઇજિપ્તથી મમીને ખરીદ્યું હતું. મમીને ભારતમાં લઈ આવનારા બીજા એક રાજા એટલે હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાન અલી ખાન. આ નિઝામે પછીથી હૈદરાબાદના મ્યુઝિયમને પોતાના અંગત સગ્રહાલયમાં રહેલું મમી દાનમાં આપી દીધું હતું. આ મમી સૌથી કીમતી હોવાનું કહેવાય છે, કેમ કે હૈદરાબાદના મ્યુઝિયમમાં રહેલું મમી ઇજિપ્તના છઠ્ઠા ફેરોની પુત્રીનું હોવાનું મનાય છે.

ભારતમાં કેટલાં મમી છે?
ભારતનાં ૬ નેશનલ મ્યુઝિયમની શોભામાં મમી અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. લખનૌ મ્યુઝિયમના એક અધિકારી અજય ચૌધરીએ ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે કુલ ૬ મ્યુઝિયમ જેવાં કે લખનૌ, હૈદરાબાદ, વડોદરા, કોલકાતા, જયપુર અને મુંબઈમાં મમી રાખવામાં આવ્યાં છે. કોલકાતામાં બે મમી છે જ્યારે અન્ય તમામ સ્થળોએ એક-એક મમી છે. એ રીતે ભારતભરમાં કુલ ૭ મમી છે. આ સિવાય થોડા સમય પહેલાં લંડન મ્યુઝિયમના મમીનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં પ્રદર્શન યોજાયું હતું, જે દેશમાં યોજાયેલું સૌથી મોટું મમી પ્રદર્શન હતું.

ભારતમાં મમીની હાલત અંગે ઇજિપ્તના નિષ્ણાતો શું માને છે?
વિશ્વભરમાં જ્યાં જ્યાં ઇજિપ્તનાં મમી રાખવામાં આવ્યાં છે તે તમામ સ્થળો પર ઇજિપ્ત સરકાર દ્વારા નિમાયેલા સભ્યો દેખરેખ રાખે છે. લખનૌ મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે મ્યુઝિયમમાં રહેલાં મમીની હાલત જો વધુ ખરાબ થાય કે તેની સાચવણી શક્ય ન બને તો તેની માહિતી ઇજિપ્તના સાંસ્કૃતિક મંત્રાલયને કરવાની હોય છે. ઇજિપ્તની સરકાર તેની સાચવણીમાં મદદરૂપ બને છે. એટલું જ નહીં, થોડા થોડા સમયે મમી કેર એક્સપર્ટ ટીમ વિવિધ દેશોનો પ્રવાસ કરીને મમીની સ્થિતિનો ક્યાસ કાઢે છે. થોડાં વર્ષો પહેલાં ઇજિપ્ત મ્યુઝિયમના ડિરેક્ટર ડો. નસરી યૂસુફ ઇસ્કંદરે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતસ્થિત તમામ સાતેય મમીનું જાતનિરીક્ષણ કરીને પોતાનો મત આપ્યો હતો કે આ તમામ મમીને થોડી વધુ કાળજીની જરૂર છે. તેમણે તો ભારતના મ્યુઝિયમ સત્તાધિશોને એવી સલાહ પણ આપી હતી કે ભારતનાં તમામ મમીને ઇજિપ્તના એક્સપર્ટની એડવાઇઝ (ઇજિપ્તમાં એવા નિષ્ણાતોને તૈયાર કરવામાં આવે છે, જે પોતાના દેશની ઓળખસમાં મમીની યોગ્ય જાળવણી કરી શકે.) મળી રહે તેવી કશીક ગોઠવણ કરવી જોઈએ. ઇસ્કંદરે થોડાં વર્ષો પહેલાં જે સલાહ આપી હતી તેને જો આપણે ગંભીરતાથી લીધી હોત તો કદાચ લખનૌના મમીની હાલત આટલી ગંભીર ન થાત. આશા રાખીએ કે દેશના અન્ય છ મમીની જાળવણીમાં ઇજિપ્તના મ્યુઝિયમ ડિરેક્ટરની પેલી સલાહને અવગણવાને બદલે અનુસરવામાં આવે!

ગુજરાતમાં એકમાત્ર મમી ક્યાં અને કેવી હાલતમાં છે?
ગુજરાતમાં એકમાત્ર મમી 'બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી' વડોદરામાં છે, જે મુલાકાતીઓ માટે હંમેશાં ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે. આ સંગ્રહાલય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૮૮૭માં બનાવ્યું હતું. ઇજિપ્તથી મમી મહારાજાએ જ ખરીદીને આ સંગ્રહાલયમાં રખાવ્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલના જણાવવા પ્રમાણે આ મમીની અત્યારની સ્થિતિ એકદમ સારી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં જ્યારે ઇજિપ્તના એક્સપર્ટ મમીની હાલત જોવા ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મમીની દેખરેખથી સંતોષ વ્યક્ત કર્યો હતો. મમીની રોજિંદી સ્થિતિ મ્યુઝિયમના કેમિસ્ટ તપાસે છે. મુલાકાતીઓ અને મમી વચ્ચે યોગ્ય અંતર જળવાય એની પણ કાળજી રાખવામાં આવે છે. મ્યુઝિયમના કેમિસ્ટ ડો. યજ્ઞોશ દવેએ જણાવ્યું હતું કે, 'કાચની પેટી આસપાસ થોડા થોડા સમયે કેમિકલની પ્રોસેસ કરવામાં આવે છે, જેથી મમી પર બાહ્ય વાતાવરણની અસર ન થાય.' એટલે કે આશરે ૧૨૫ વર્ષથી આ મ્યુઝિયમમાં રહેલા ગુજરાતના એકમાત્ર મમીની અત્યારની હાલત લખનૌની ગરમીથી ત્રસ્ત મમી જેવી નથી.
Wednesday, 15 May 2013
Posted by Harsh Meswania

કઈ રીતે બન્યું હતું વિશ્વનું સૌપ્રથમ વેબ પેજ?


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રથમ વેબ પેજ ક્રિએટ થયું હતું એને ૨૦ વર્ષ થયાં. ઈન્ટરનેટની શરૂઆત તો જોકે એ પહેલાં જ થઈ ગઈ હતી, પણ wwwની શોધ થઈ એ પછી સમગ્ર દુનિયા ઇન્ટરનેટના એક તાંતણે બંધાઈ ગઈ. પ્રથમ વેબ પેજ ક્યાં, કઈ રીતે અને કોણે બનાવ્યું હતું?

૩૦મી એપ્રિલે wwwની શોધ લોકભોગ્ય બની હતી. આ વાતને વીતેલા સપ્તાહે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. આ ઐતિહાસિક ઘટનાના માનમાં વિશ્વનું એ સૌપ્રથમ વેબ પેજ ફરીથી ક્રિએટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ઈન્ટરનેટની શોધ ૨૦મી સદીની સૌથી ક્રાંતિકારી શોધ પૈકીની એક હતી. આ શોધ પછીથી જગતને એક તાંતણે બાંધવામાં કારણભૂત બનવાની હતી.

સમય હતો ૧૯૮૫ આસપાસનો. પરમાણુને લગતાં સંશોધનો માટે પ્રખ્યાત સંસ્થા સીઈઆરએન (ધ યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ)માં એક યુવાન કમ્પ્યુટર એડવાઇઝર તરીકે કામ કરતો હતો. તેનું મુખ્ય કામ હતું અલગ અલગ કમ્પ્યુટરમાં જુદા જુદા સંશોધકોની જે માહિતી એકત્ર થયેલી હોય તેને જરૂરિયાત પ્રમાણે અન્ય લોકો સુધી પહોંચતી કરવી. આ સિવાય સંસ્થામાં કમ્પ્યુટરને લગતી બાબતો તેના દેખરેખ હેઠળ ચાલતી હતી. આ યુવાનને એક દિવસ વિચાર આવ્યો કે દરરોજ આ રીતે માહિતીની હેરફેર કરવાને બદલે એવી કશીક વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી આ સંશોધકોનું કામ પણ સરળ થાય અને પોતાના શિરે આવતી આ હેરફેરની પળોજણમાંથી મુક્ત થવાય. તેણે એવું કશુંક કરવાનો નિર્ધાર કર્યો. સીઈઆરએનમાં પોતાને સોંપાયેલા કામ ઉપરાંત આ યુવાન એવા કામમાં લાગ્યો કે જે સીઈઆરએનની લેબોરેટરીનાં તમામ કમ્પ્યુટર્સને જોડી શકે. કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષોની મહેનત રંગ લાવી અને ૧૩ માર્ચ, ૧૯૮૯માં આ યુવાને સૌપ્રથમ વખત સીઈઆરએનમાં કાર્યરત તમામ કમ્પ્યુટર્સને હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી)ની એક સાંકળથી બાંધી દીધા. ત્યારે જોકે આ યુવાનને પણ ખબર નહોતી કે તેની આ શોધ એક દિવસ આખા વિશ્વને એકસૂત્રતાના બંધને બાંધી દેશે.

આ ઘટનાના બરાબર એક દશકા પછી 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૯૯માં બ્રિટિશ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ટીમ બર્નર્સ લીને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા. ટાઇમે ૨૦મી સદીના ૨૦ 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પીપલ'ની યાદી પણ બહાર પાડી, જેમાં ટીમ બર્નર્સ લીનો સમાવેશ કરવામાં આવ્યો. ટાઇમે ટીમ બર્નર્સ લીને કેમ આવું સન્માન આપ્યું એના ડિસ્ક્રિપ્શનમાં લખેલું હતું. 'જગતને www ની ભેટ ધરીને વિશ્વના અલગ-અલગ પ્રાંતના, અલગ અલગ પશ્ચાદભૂમિ ધરાવતા, અલગ અલગ કલ્ચર ધરાવતા, અલગ અલગ ભાષા ધરાવતા અસંખ્ય લોકો વચ્ચે એક સેતુ રચી આપનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ.'

યસ, આ એ જ પેલો યુવાન હતો જેણે સીઈઆરએનની લેબોરેટરીમાં કાર્યરત તમામ કમ્પ્યુટરને જોડી દીધાં હતાં. આ કામમાં ટીમ બર્નર્સ લીના બીજા પણ બે સાથીદારો હતા. જેમાંના એક એટલે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બેન સેગલ કે જે આખા પ્રોજેક્ટના પરામર્શક હતા અને બીજા રોબર્ટ કેલીલુ કે જેમણે પ્રોજેક્ટમાં ટેકનિકલ સહયોગ આપ્યો હતો. આજે કોઈ એક જગ્યાએથી કોઈ પણ દેશની, કોઈ પણ ક્ષેત્રની માહિતી એક ક્લિકમાં મેળવી શકીએ છીએ. જે માહિતી મેળવતા દિવસો લાગતા હતા તે કામ હવે સેકન્ડોમાં થઈ જાય છે તો એમાં લીની આ શોધ જવાબદાર છે. સોશિયલ મીડિયા, બ્લોગિંગ, ર્સિંફગ અને ઈન્ફર્મેશનનો સંયોગ રચવામાં wwwનો આવિષ્કાર સીમાચિહ્નરૂપ બન્યો હતો.

ટીમ બર્નર્સ લીની આ શોધ પર શરૂઆતમાં સીઈઆરએનનો ઈજારો રહ્યો હતો. આ સંશોધન સંસ્થા પોતાના ઈન્ટરનલ ઉપયોગ માટે જ લીની આ તકનીકનો ઉપયોગ કરતી હતી. લીના પ્રયાસોથી અંતે ૩૦ એપ્રિલ, ૧૯૯૩ના રોજ સમગ્ર વિશ્વ માટે સીઈઆરએન દ્વારા આ તકનીકને પોતાના ઈજારામાંથી મુક્ત કરવામાં આવી હતી અને ત્યારથી જગત ભરની માહિતી યુઆરએલ (યુનિફોર્મ, રિસોર્સ લોકેટર) મારફતે આપણા સુધી પહોંચતી થઈ ગઈ. આજે ઈન્ટરનેટે આ વિશાળ દુનિયાને પોતાના બાહુપાશમાં લઈ લીધી છે.


ઈન્ટરનેટ પરથી મળેલી ઈન્ટરનેટ પરની માહિતી

* ૧૯૯૨ સુધી આખા વિશ્વમાં માત્ર ૨૬ વેબ સર્વર હતાં જે www લોકભોગ્ય બન્યા પછી ઓક્ટોબર, ૧૯૯૩માં ૨૦૦ જેટલાં થઈ ગયાં હતાં.

* અત્યારે એક દિવસમાં આખા વિશ્વના ૩૦ કરોડ લોકો ઓનલાઇન થાય છે. કુલ ઈન્ટરનેટ વપરાશકર્તા છે ૨૫૦ કરોડ લોકો. જેમાં એશિયા ૪૪ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવી જાય છે.

* આ ઈન્ટરનેટ પર મુકાયેલી સૌપ્રથમ તસવીર હતી. સીઈઆરએનમાં ટીમ બર્નર્સ લી સાથે કામ કરતી ચાર યુવતીઓની તસવીર ખુદ ટીમે પહેલી વખત પ્રયોગ માટે ઈન્ટરનેટમાં અપલોડ કરી હતી.

* ઈન્ટરનેટ વપરાશકર્તામાંથી ૬૫ ટકા પુરુષો મહિલાઓની નગ્ન તસવીરો જુએ છે. કુલ યુઝર્સના ત્રીજા ભાગના લોકો માત્ર પોર્નોગ્રાફી જોવા માટે જ ઓનલાઇન થાય છે.

* ૨૦૧૦માં આશરે ૧ કરોડ ૨૦ લાખ જેટલી વેબસાઈટ્સ હતી અને હજુ એમાં સતત વધારો નોંધાતો જાય છે.

Wednesday, 8 May 2013
Posted by Harsh Meswania

ઇન્ડિયન સિનેમા : અરાઉન્ડ ધ વર્લ્ડ



સિનેમા-સન્માન - હર્ષ મેસવાણિયા

સિનેમા સાથે સંકળાયેલા દરેકનું સ્વપ્ન ઓસ્કર સુધી પહોંચવાનું હોય છે. જોકે, ઓસ્કર ઉપરાંત પણ સિનેમામાં મહત્ત્વનાં સન્માનો મળે છે. સો વર્ષની અણનમ ઇનિંગ્સમાં ભારતીય સિનેમાએ ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યાં છે

ભારતીય સિનેમાએ એક સૈકો પૂર્યો કર્યો, પણ ફિલ્મ માટે સર્વોચ્ચ ગણાય એવો ઓસ્કર એવોર્ડ નથી મેળવી શક્યા, છતાં પણ ભારતીય સિનેમાને વૈશ્વિક ફલક પર ઓળખ જરૂર મળી છે. આપણી કેટકેટલી ફિલ્મો અને કેટકેટલા કસબીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આપણું તીર સીધું નિશાન ભેદી શક્યું નથી, એમ કહેવાને બદલે આપણે નિશાન ભેદવાની આસપાસ તો જરૂર પહોંચી શક્યા છીએ એમ કહેવું વધારે યોગ્ય રહેશે.

શરૂઆત કરીએ ઓસ્કરથી. ભારત અને ઓસ્કરનો સંબંધ આમ તો છેક ૧૯૫૭થી બંધાયો હતો. 'મધર ઇન્ડિયા'ને શ્રેષ્ઠ વિદેશી કેટેગરીમાં નોમિનેશન મળ્યું ત્યારથી લઈને છેક 'બરફી' સુધીમાં આપણે ૪૫ ફિલ્મો ઓસ્કરની રેસમાં મોકલી છે, જેમાંથી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭), 'સલામ બોમ્બે' (૧૯૮૮) અને 'લગાન' (૨૦૦૧) વિદેશી કેટેગરીની શ્રેષ્ઠ ફિલ્મમાં નોમિનેશન મેળવી શકી હતી. આ સિવાય શોર્ટ ફિલ્મોના ઇતિહાસમાં પણ ભારતે નોંધપાત્ર નોમિનેશન્સ મેળવ્યાંં છે. જેમ કે, ફેશન ડિઝાઇનર રીતુકુમારના પુત્ર અશ્વિન કુમારે બનાવેલી શોર્ટ ફિલ્મ 'લિટલ ટેરરિસ્ટ' અને વિધુ વિનોદ ચોપરાની શોર્ટ ફિલ્મ 'એન એન્કાઉન્ટર વિથ ફેસીસ'ને ૧૯૮૦માં નોમિનેશન મળ્યું હતું. આ થઈ ફિલ્મોની વાત, પણ જો ભારતીય કલાકારોની વાત કરવામાં આવે તો ઓસ્કરમાં આપણું સ્થાન પ્રતિષ્ઠિત તો રહ્યું જ છે. પ્રથમ વ્યક્તિગત ઓસ્કર વિનર હતા ભાનુ અથૈયા. તેમને ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. તેના બરાબર એક દાયકા પછી ભારતના અગ્રણી ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રેને ૧૯૯૨માં લાઇફટાઇમ અચિવમેન્ટ ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અલબત્ત, ૨૦૦૮માં ભારતે ત્રણ-ત્રણ ઓસ્કર મેળવીને જગતભરમાં પોતાની નોંધ લેવડાવી હતી. બ્રિટિશ ફિલ્મ દિગ્દર્શક ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મના 'જય હો' ગીતની ધૂન બનાવવા માટે સંગીતકાર એ. આર રહેમાનને અને ગીતકાર ગુલઝારને ઓસ્કર મળ્યો હતો, તો આ જ ફિલ્મમાં બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ કરવા બદલ રસુલ પુકુટ્ટીએ પણ ઓસ્કર મેળવ્યો હતો.

વિશ્વ સિનેમામાં અન્ય ગણનાપાત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફિલ્મોએ કાઠું કાઢયું છે. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મો છવાયેલી રહી છે. બિમલ રોયની 'દો બીઘા જમીન', સત્યજિત રેની 'પાથેર પાંચાલી', વી. શાંતારામની 'અમર ભોપાલી', મૃણાલ સેનની 'ખરીજ' ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આ સિવાય 'સંત તુકારામ', સત્યજિત રેની 'અપરાજિતા', કેદાર શર્માની 'જલદીપ' અને મૃણાલ સેનની 'ચલચિત્ર' વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઝળકી હતી. રાજ કપૂરની 'આવારા' અને 'બૂટ પોલિશ' ફિલ્મોએ કાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત આવે ત્યારે ઐશ્વર્યાનો ઉલ્લેખ ન થાય તો વાત અધૂરી રહી ગણાય! ઐશ્વર્યા માટે છેલ્લાં ૧૧ વર્ષથી કાનમાં લાલ જાજમ બિછાવવામાં આવે છે. ઐશ્વર્યા રાય ભારતની એકમાત્ર એવી અભિનેત્રી છે જે એક દશકાથી કાનનું નિમંત્રણ મેળવે છે. જોકે નંદિતા દાસથી વિદ્યા બાલન સુધી ઘણાને કાનના જ્યુરી મેમ્બર બનવાનું સન્માન મળ્યું છે.

બચ્ચન પરિવારના બે સભ્યો અમિતાભ અને ઐશ્વર્યા રાય-બચ્ચનની વૈશ્વિક સ્તરે ખાસ્સી નોંધ લેવાઈ છે. લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મેળવનારા પહેલા ભારતીય ફિલ્મ કલાકાર એટલે અમિતાભ બચ્ચન. એ પછી ઐશ્વર્યા રાય-બચ્ચનની પણ મીણની પ્રતિમા આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ સિવાય માધુરી દીક્ષિત, રિતિક રોશન, સલમાન ખાન, શાહરુખ ખાન અને છેલ્લે કરિના કપૂર સુધીના કલાકારોનાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં પૂતળાં બન્યાં છે.

'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનના કવરપેજ પર ચમકવાનું સૌભાગ્ય પણ ભારતીય સિને કલાકારોને સાંપડયું છે. પરવીન બાબી, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને છેલ્લે આમિર ખાને 'ટાઇમ'ના કવરપેજ પર સ્થાન મેળવ્યું છે. આમિર ખાને તો વૈશ્વિક સ્તરે પોતાની એક આગવી ભાત પાડી છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આમિરને મળીને બ્રિટનમાં પોતાના મહેમાન બનવાનું આમંત્રણ પાઠવ્યું હતું. વિશ્વના એક મહત્ત્વના દેશના વડાપ્રધાન ભારતના અભિનેતાના સામાજિક કામથી પ્રભાવિત થઈને આમંત્રણ પાઠવે એનાથી વિશેષ સિદ્ધિ તો કઈ હોઈ શકે! આમિર ખાનની બે ફિલ્મો 'લગાન' અને '૩ ઇડિયટ્સ'ને આઈએમડીબી જેવી ખ્યાતનામ વેબસાઇટ્સમાં સ્થાન મળે, 'આવારા', 'પ્યાસા', સંજયલીલા ભણસાલીની 'દેવદાસ' (શ્રેષ્ઠ ક્લાસિક ફિલ્મોની યાદીમાં) અને 'લગાન' (શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ફિલ્મ તરીકે) જેવી ફિલ્મો ટાઇમના લિસ્ટમાં હોય એ પણ કંઈ ઓછી સિદ્ધિ તો ન જ કહેવાયને!




(ભારતીય સિનેમાએ 100 વર્ષ પૂર્ણ કર્યા એ અવસરે  બનેલી સિને સંદેશ વિશેષ પૂર્તિમાં પ્રકાશિત )

Friday, 3 May 2013
Posted by Harsh Meswania
Tag :

ગોરિલાઃ સ્માર્ટફોનનો સ્માર્ટ ગ્લાસ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સ્માર્ટ ફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સી એસ-૪ની વીતેલા સપ્તાહે એન્ટ્રી થઈ. બીજા બધા ફીચર્સ તો બરાબર, પણ મોબાઈલના સ્ક્રીન પર છરી મારો તો પણ કંઈ જ નહીં થાય એવો દાવો કરાયો હોવાથી એ તરફ વધુ ધ્યાન ખેંચાયું છે. એવું તે શું છે એના ગ્લાસમાં? સ્માર્ટ ફોનમાં વપરાતા 'ગોરિલા' કહેવાતા ગ્લાસની ખાસિયત શું છે? આ ગ્લાસ બનાવવામાં કોની હથોટી છે? મોબાઇલ ફોનમાં આ ગ્લાસનો ઉપયોગ ક્યારથી થાય છે?

'ગોરિલા' શબ્દ કાને પડે એટલે આપણી નજર સમક્ષ કાળા ભમ્મર અને માનવીના પૂર્વજ તરીકે માની લેવાયેલા વાનરનું ચિત્ર ઉપસી ન આવે તો જ નવાઈ! જોકે, છેલ્લા થોડા વખતથી આ ગોરિલાની મોનોપોલી તૂટી ગઈ છે અને એક નવા ગોરિલાએ તેનું સ્થાન પચાવી પાડયું છે. આ ગોરિલા એટલે અત્યારે સ્માર્ટ ફોનમાં જેનો છૂટથી ઉપયોગ થાય છે એ ગ્લાસ. છેલ્લાં પાંચેક વર્ષથી અલગ અલગ બ્રાન્ડના મોબાઇલ ફોનની સ્ક્રીન માટે ગોરિલા ગ્લાસનો વપરાશ વધ્યો છે. ગોરિલા ગ્લાસની ખાસિયત એના માટે કારણભૂત છે. આ ગ્લાસનો ગમે એટલો રફ યુઝ કરવામાં આવે તોય તેના પર ઘસરકો (સ્ક્રેચ) પડતો નથી. વળી, ટ્રાન્સપરન્ટ અને ટચિંગ સેન્સિટિવિટીમાં તેનો વિકલ્પ મળવો મુશ્કેલ છે.

સ્માર્ટ ફોનમાં ગોરિલા : ગ્લાસ યે બંધન તો પ્યાર કા બંધન હૈ!
આપણે સ્માર્ટ ફોન ખરીદતા હોઈએ ત્યારે શું વિચારીએ? એક તો દેખાવ ફેન્સી હોવો જોઈએ, મિત્રોના મોબાઈલમાં હોય એવા જરૂરી ને ન જરૂરી હોય એવા બધા ફીચર્સ આવી જવા જોઈએ, કેમેરામાં દમ હોવો જોઈએ...વગેરે વગેરે. આ સિવાય ધ્યાનમાં રાખવા જેવું કંઈ હોય તો એ ગ્લાસ. આમ તો એ જ પહેલાં આવે, કેમ કે ટચિંગ થોડું નબળું હોય તો સ્માર્ટ ફોનની મજા મરી જાય છે. આ જ બધી બાબતોનું ધ્યાન ૨૦૦૬માં એક માણસે રાખ્યું હતું અને એના પ્રતાપે આપણને મળ્યો ગોરિલા ગ્લાસ. એ માણસ એટલે સ્ટિવ જોબ્સ. સ્ટિવ ૨૦૦૬માં આઈફોન પર કામ કરી રહ્યા હતા ત્યારે તે એવા પ્રયાસમાં હતા કે મોબાઈલની બાકીની બધી બાબતોની જેમ સ્ક્રીનનો ગ્લાસ પણ કંઈક અલગ હોવો જોઈએ. એમાં વળી એક દિવસ કોઈએ સ્ટિવને આવીને ગોરિલા ગ્લાસનો ટુકડો આપ્યો. સાથે સાથે તેણે સાંભળેલી વાત કહી કે આ કાચ એવો આવે છે જેમાં સ્ક્રેચ નથી પડતા. ટેક્નોલોજી એક્સપર્ટ અને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના ટેકનોલોજી કોલમિસ્ટ ડેવિડ પોગના નોંધવા પ્રમાણે સ્ટિવ જોબ્સે એ કાચના ટુકડાને સહજ રીતે તેમની પાસે રહેલી લોખંડની ને એવી બધી અન્ય રફ સામગ્રી સાથે મૂકી દીધો. થોડા દિવસો પછી અચાનક કામ કરતી વખતે તેને એ ટુકડો યાદ આવી ગયો. તેણે લોખંડ સાથે રાખેલા એ ટુકડાને જોયો ત્યારે સ્ટિવને થયું કે જો ખરેખર જ આ ગ્લાસમાં સ્ક્રેચ ન પડતા હોય તો તો એ કામની ચીજ છે. સાચા હીરાની પરખ એક સારો ઝવેરી જ કરી શકે એમ સ્ટિવ જોબ્સે તરત જ પોતાના નવા બની રહેલા આઈફોન માટે આ ગ્લાસનું ઉત્પાદન કરતી કોર્નિગ કંપનીના સીઈઓ વેન્ડલ વીક્સ સાથે વાટાઘાટ પણ કરી લીધી. આ સાથે જ સ્માર્ટ ફોનની દુનિયામાં ગ્લાસ એક ફીચર તરીકેનું સન્માન મેળવી ગયો.

ગોરિલાઃ ઇસ નામ મેં કુછ ખાસ હૈ!
ટેક્નોલોજીમાં અગ્રગણ્ય ગણાય એવા એક મેગેઝિન 'સ્માર્ટ પ્લેનેટ'ના તંત્રી એન્ડ્રુ નુસ્કાના જણાવવા પ્રમાણે આ ગ્લાસ ગોરિલા જેવા મજબૂત અને ખડતલ હોવાથી ધીરે ધીરે ગોરિલા ગ્લાસ તરીકે જાણીતા થયા છે. બાકી તેનું સાયન્ટિફિક નામ કેમકોર છે. અમેરિકાની કોર્નિગ કંપની આમ તો છેલ્લી એકાદ સદીથી ગ્લાસના ઉત્પાદનમાં અવ્વલ રહેતી આવી છે, પણ ૬૦ના દશકામાં આ કંપનીએ થોડા પ્રયોગો કરીને નવા વિકસતાં ટેલિવિઝન અને કમ્પ્યુટર જેવાં ઈલેકટ્રોનિક ઉપકરણો માટે તેની લેબોરેટરીમાં ખાસ ગ્લાસ વિકસાવ્યો. શરૂઆતમાં તેને નામ અપાયું મસ્કલેડ ગ્લાસ. ૧૯૭૦ આસપાસ રેસિંગ કારમાં કેમકોર ગ્લાસનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થતો હતો. ૧૯૯૦ સુધીમાં આ ગ્લાસ ટેલિવિઝન સ્ક્રીન, લેપટોપ-કમ્પ્યુટર સ્ક્રીન અને વીડિયો ગેઇમ્સની સ્ક્રીનમાં વપરાવા લાગ્યો. કોર્નિગ કંપની દ્વારા બનતા બીજા ઘણા ગ્લાસનો ઉપયોગ મોબાઇલની સ્ક્રીનમાં થતો હતો, પણ આ કેમકોર ઉર્ફે ગોરિલાની ઓળખાણ મોબાઇલ ફોન સાથે સ્ટિવ જોબ્સે ૨૧મી સદીમાં કરાવી આપી.

મેકિંગ ઓફ ગોરિલાઃ યૂં હી નહીં  દિલ લુભાતા કોઈ!
સ્માર્ટ ફોનમાં આપણી આંખ સામે જે સ્મૂધ અને ચકચકતો ગ્લાસ દેખાય છે એ કંઈ એમ જ નથી બની જતો. એના માટે ખાસ જહેમત ઉઠાવાય છે અને એટલી જ કાળજી પણ રાખવામાં આવે છે. કદાચ એટલે જ કોર્નિગ કંપની આટલાં વર્ષેય એમાં મોનોપોલી જાળવી શકી છે. પીગાળેલા મીઠાના ૪૦૦ ડિગ્રી ઊંચા તાપમાને તપેલા દ્રાવણમાં કાચને નાખવામાં આવે છે અને પછી તેના પર કેમિકલ પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ ગ્લાસને ઠંડો પડવા દેવામાં આવે છે અને પછી એવા મશીનમાં મુકાય છે જ્યાં તે નરમ બની જાય છે. ટ્રાન્સપરન્સી માટે આ ગ્લાસને ફરી વખત કેમિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. છેલ્લે તેની સપાટી પર પોટેશિયમ આયનની મેળવણી કરવામાં આવે છે કે જેનાથી આ ગ્લાસમાં જો ખરોંચ આવે તો પણ તેની મેળે તેમાં એવી પ્રક્રિયા થઈ જાય છે કે તે સ્ક્રેચ આપોઆપ ઓગળી જાય છે.

ગોરિલાનો બિઝનેસઃ લાખોં કી શુરૂઆત કરોડોં તક પહુંચી!
સ્ટીવ જોબ્સે ઉપયોગમાં લીધેલા ગોરિલા ગ્લાસની અત્યારે ત્રીજી જનરેશન ચાલી રહી છે. લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એસ-૪માં વપરાયેલો ગ્લાસ ત્રીજી જનરેશનમાં આવે છે. અત્યારે વિશ્વમાં બનતા તમામ સ્માર્ટ ફોનની સ્ક્રીનમાં લગભગ ૪૦ ટકા ગોરિલા ગ્લાસ વપરાય છે. આશરે ૨૦ જેટલી બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ માટે ગોરિલા ગ્લાસને પ્રથમ પસંદગી બનાવે છે. કોર્નિગ કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે માત્ર એક કરોડના ટર્નઓવરથી શરૂ થયેલો બિઝનેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૦૦ કરોડને આંબી ગયો હતો. આજે જે રીતે ગોરિલા ગ્લાસ પોતે જ એક ફીચર તરીકે લોકપ્રિય બન્યો છે ત્યારે હજુ આ બિઝનેસ આસમાનની ઊંચાઈ હાંસલ ન કરે તો જ નવાઈ!
Wednesday, 1 May 2013
Posted by Harsh Meswania

Ardha-Saptahik Column by Harsh Meswania


Sunday, 28 April 2013
Posted by Harsh Meswania
Tag :

આ પોસ્ટઓફિસ થોડી અલગ છે!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગત સપ્તાહે મુંબઈ સર્કલની પોસ્ટઓફિસે 'મહિલા પોસ્ટઓફિસ'ની નવી પહેલ કરી. જોકે, આવી પહેલ કરનારું મુંબઈ એક માત્ર શહેર નથી. અગાઉ દિલ્હીએ પણ ભારતના પોસ્ટઓફિસના ઇતિહાસમાં એક તવારીખી પ્રકરણ આલેખ્યું હતું

ગત સપ્તાહમાં ગુજરાતના સિંહને મધ્યપ્રદેશમાં મોકલવાની ચર્ચા, સંજયદત્તને જેલમાં જવાની મુદતમાં વધુ એક માસની રાહત, અમેરિકા અને બેંગલુરુમાં થયેલા બ્લાસ્ટ, પરવેઝ મુશર્રફની ધરપકડ અને ધરતીકંપના આંચકા જેવી ઘટનાઓની સાથે સાથે મુંબઈમાં એક નવી પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. દેશમાં અવારનવાર જરૂરિયાત પ્રમાણે કંઈ કેટલીય નવી પોસ્ટઓફિસ બનતી હોય છે એટલે એમાં કશું નવું નથી, પણ આ પોસ્ટઓફિસની પહેલ દેશમાં નવી શરૂઆત છે અને એટલે તેની નોંધ લેવાઈ રહી છે. ગત ૧૨મી એપ્રિલે પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મહારાષ્ટ્ર અને ગોવા પોસ્ટલ ઝોનની પ્રથમ મહિલા પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહારાષ્ટ્ર ઝોનની અને મેગા સિટી મુંબઈની પ્રથમ મહિલા પોસ્ટઓફિસ છે. જોકે, દેશમાં તો એક મહિના પહેલાં જ દેશની સૌપ્રથમ મહિલા પોસ્ટઓફિસ ખૂલી ગઈ હતી.

મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા
કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન અને આઇટી મિનિસ્ટર કપિલ સિબ્બલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮મી માર્ચે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ કરી હતી. આ પોસ્ટઓફિસને દેશની પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસનું સન્માન મળી ગયું. સિબ્બલે ત્યારે એવું કહ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારને પણ આમાં આવરી લેવાશે. પોસ્ટની તવારીખમાં આ દિવસ ઐતિહાસિક હતો, કારણ કે વિશ્વમાં ક્યાંય આવી મહિલા સંચાલિત પોસ્ટઓફિસ નથી એવો પણ સરકારે દાવો કર્યો છે.

કેવી છે મુંબઈની મહિલા પોસ્ટઓફિસ?
મહારાષ્ટ્રના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ કે સી. મિશ્રાના જણાવ્યા પ્રમાણે સાઉથ મુંબઈમાં આવેલા શહીદ ભગતસિંહ માર્ગ પર નવી ખૂલેલી પોસ્ટઓફિસમાં હાલ પૂરતી ૧૨ મહિલા કર્મચારીઓ સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટની નિગરાની હેઠળ ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંને પ્રકારની સર્વિસ આપશે. જેમાં પોસ્ટ, સ્પીડ પોસ્ટ, ઈ-મનીઓર્ડર, અલગ અલગ બિલનાં ઈ-પેમેન્ટ અને બચત એકાઉન્ટ્સ ખોલી આપવા જેવાં કામો થઈ શકે તેવી સવલત પૂરી પાડવામાં આવી છે. સામાન્ય રીતે મુંબઈ ઝોનમાં ૨૦૧૨ પ્રમાણે ૨૬,૪૬૮ પોસ્ટલ કર્મચારીઓ છે અને એમાંથી ૫,૦૦૮ મહિલા કર્મચારીઓ છે. થોડા સમયમાં મહારાષ્ટ્ર ઝોનમાં હજુ પણ વધુ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ ખૂલશે અને વર્તમાન મહિલા કર્મચારીઓને એની જવાબદારી સોંપવામાં આવશે.

શા માટે મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ થશે?
લોકોને સરળતા રહે તે માટે ડાકઘરોની સંખ્યા વધારી શકાય પણ મહિલા સંચાલિત ડાકઘરો શરૂ કરવા પાછળનો શો હેતુ છે? એના જવાબમાં પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે મહાનગરોમાં સફળતા મળશે એ પછી આગામી એક વર્ષમાં દેશના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ડાકઘરો ઓપન કરવામાં આવશે. એ પાછળનો તર્ક રજૂ કરતાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં પહેલાં આવાં બધાં કામો પુરુષો કરતા હતા, પરંતુ હવે મોટાં શહેરોની જ નહીં ગ્રામીણ મહિલાઓ પણ બેન્કિંગ અને પોસ્ટલને લગતાં કામો કરતી થઈ છે. વળી, ગ્રામીણ મહિલાઓને આવા વહીવટમાં મહિલાઓ જોડે જ કામ કરવાનું થાય તો પોતાની મુશ્કેલી વધારે સરળતાથી મહિલાઓ પાસે રજૂ કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

દેશમાં પોસ્ટની સ્થિતિ
આઝાદી વખતે દેશમાં માત્ર ૨૩,૩૪૪ ડાકઘરો હતાં, અત્યારે આ આંકડો ૧,૫૫,૦૧૫ સુધી પહોંચી ગયો છે. દેશમાં સરેરાશ ૭,૧૭૫ લોકોએ એક પોસ્ટઓફિસ છે અને આપણું પોસ્ટલ નેટવર્ક વિશ્વમાં અવલ દરજ્જાનું સ્થાન ધરાવે છે. આ તમામ પોસ્ટઓફિસીસમાં આશરે ૪,૭૪,૫૭૪ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમાં ૩૪,૯૯૪ મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ ઉપરાંત જે ક્ષેત્રોમાં મહિલાઓ વધુ કામ કરવાનું પસંદ કરે છે એમાં પોસ્ટલ વિભાગનો સમાવેશ પણ થાય છે. આગામી દિવસોમાં જ્યારે દેશમાં મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા વધારાશે ત્યારે યુવતીઓ માટે આમાં વધુ તકની શક્યતા છે!

Wednesday, 24 April 2013
Posted by Harsh Meswania

દમદાર ગુનેગાર, વગદાર માફી



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સામાન્ય માણસ જેવો જ ગુનો કોઈ સેલિબ્રિટી કરે, ભૂલેચૂકે ગુનો સાબિત થાય અને તેને સજા થાય તો માફી અપાવવા માટે એક આખી લોબી કાર્યરત થઈ જતી હોય છે. આવું જ અત્યારે સંજય દત્તની બાબતમાં થઈ રહ્યું હોવાનું લાગે એ સ્વાભાવિક છે. સેલિબ્રિટી હોય અને સજા મેળવી હોય એવો કંઈ સંજય દત્ત પહેલો કિસ્સો નથી. વિશ્વમાં આ પહેલાં પણ આવા તો કેટલાય કિસ્સા બન્યા છે કે જે મોટા ગજાનાં નામો હોવા છતાં કોઈક ગુનામાં સંડોવાયા હોય. ગુનો સાબિત થયો હોય, સજા મળી હોય અને પછી સજા શરૂ થાય તે પહેલા કે અધવચ્ચે જ તેને માફી બક્ષી દેવામાં આવી હોય.

રિચાર્ડ નિક્સનઃ સૌથી વગદાર વ્યક્તિને તેના અનુગામી દ્વારા માફી

ભારતમાં જે પક્ષની સરકાર આવે તેના નેતાઓ પર ચાલતા કેસમાં તેને રાહત મળી જતી હોય છે. જોકે, આવું માત્ર ભારતમાં જ નથી થતું, કાગડા બધે કાળા એ ન્યાયે અમેરિકામાં પણ આ રીતે પોતાના પક્ષના નેતાને માફી આપવામાં આવી હોય તેવા બનાવો બન્યા છે. આવું જ એક નામ એટલે - રિચાર્ડ નિક્સન. રિચાર્ડ નિક્સન એટલે રિપબ્લિક પાર્ટીમાંથી ચૂંટાયેલા અમેરિકાના ૩૭મા પ્રમુખ.

વોટરગેટ સ્કેમમાં તેમની સંડોવણી ખૂલ્યા બાદ રિપબ્લિક પાર્ટી અને નિક્સન માટે મુશ્કેલ સ્થિતિ ખડી થઈ હતી. નિક્સનના અનુગામી અને રિપબ્લિક પાર્ટી વતી ચૂંટાઈને અમેરિકાના ૩૮મા પ્રમુખ બનેલા ગેરાલ્ડ ફોર્ડે પોતાના પુરોગામીને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી. આ ઘટનાના તે સમયે અમેરિકામાં ઘેરા પ્રત્યાઘાતો ઊઠયા હતા અને પછીથી ફોર્ડે નેશનલ ટેલિવિઝનમાં આ માફી અંગે ખુલાસો પણ આપવો પડયો હતો. આજેય એમ મનાય છે કે ૧૯૭૬ની ચૂંટણીમાં ફોર્ડને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જિમ્મી કાર્ટર સામે હારનો સામનો કરવો પડયો એ પાછળ આ નિક્સનનું માફી પ્રકરણ જવાબદાર હતું.

પીટર યેરોવઃ આ સિંગરને જિમ્મી કાર્ટેરે માફી બક્ષી
૧૯૬૦-૭૦ના દશકમાં અમેરિકામાં સિંગર પીટર યેરોવ ખૂબ લોકપ્રિય હતા. અત્યારે તો આ સિંગરની વય ૭૪ વર્ષની છે, પણ જ્યારે તેનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે યુવાનીમાં તેમના પર ૧૪ વર્ષની અને ૧૭ વર્ષની વયની બે બહેનો (જે તેની ફેન હતી અને તેના રૂમમાં ઓટોગ્રાફ લેવા ગઈ હતી) પાસે અણછાજતી માંગણી કરવાનો ગુનો સાબિત થયો હતો. એમ કહેવાય છે કે આ સિંગરની વગ અમેરિકાના મોટા ગજાના નેતાઓ સાથે હતી. તેણે પોતાની વગનો ઉપયોગ કરીને માફી મેળવી હતી એમ પણ કહેવાય છે. જિમ્મી કાર્ટરે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે પીટરને પ્રેસિડેન્સિયલ માફી આપી દીધી હતી.

જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરઃ આ બિઝનેસમેનને રોનાલ્ડ રેગનની કૃપા મળી
અમેરિકન બિઝનેસમેન અને બેઝબોલની ન્યૂ યોર્ક યેન્કિસ ટીમના માલિક જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરે રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિક્સનની ચૂંટણી ઝુંબેશમાં સંદિગ્ધ ભૂમિકા ભજવી હોવાથી તે કાનૂની સકંજામાં સપડાયા હતા. તેમના પર અલગ અલગ ૧૪ ગુનાઓ દર્જ થયા હતા. તેઓ આ મામલે દંડાયા હતા અને પછી રિપબ્લિક પાર્ટીના જ અન્ય પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને પોતાની ટર્મના છેલ્લા દિવસે આ બિઝનેસમેનના બધા ગુનાઓ માફ કરી દીધા હતા.

જુનિયર જોન્સનઃ કાર રેસિંગનો સુપરસ્ટાર બન્યો માફી પાત્ર
૧૯૫૦-૬૦ના દશકામાં જેનો કાર રેસિંગ ક્ષેત્રે દશકો હતો તેવા રોબર્ટ ગ્લેન જ્હોન્સન (કે જે જુનિયર જ્હોન્સન તરીકે ઓળખાતા હતા) પર જૂના ગુનાઓનો ઓછાયો પડયો હતો. આરોપો સાબિત થયા અને તેને ૧૧ માસની જેલની સજા કરવામાં આવી હતી. ૧૯૭૦ સુધીમાં તો આ સુપરસ્ટાર રેસર ધનવાન ટીમ ઓનર પણ બની ગયો હતો અને તેની ગણના એ સમયે અમેરિકાના વગદાર લોકોમાં થતી હતી. કહેવાય છે કે વગનો ઉપયોગ કરીને તેણે અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પાસેથી માફી મેળવી લીધી હતી.ળ

રોજર ક્લિન્ટનઃ સાવકા ભાઈને બિલ ક્લિન્ટને ઉગાર્યો
અમેરિકાના ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટને તેના સાવકા ભાઈને છેલ્લે છેલ્લે માફી આપીને વિવાદ ઊભો કર્યો હતો. બિલનો સાવકો ભાઈ રોજર ક્લિન્ટન કોકેઇનનું વેચાણ કરતો હોવાનો આરોપ ૧૯૮૪મા મુકાયો હતો. તેને જેલની સજા કરવામાં આવી હતી. ક્લિન્ટને તેમની ટર્મ પૂર્ણ કરતી વખતે અન્ય લોકોની સાથે પોતાના નાના ભાઈને પણ માફી બક્ષી દીધી હતી. આ ઘટનાથી ત્યારે અમેરિકામાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. વિરોધીઓએ આ મામલે બિલ ક્લિન્ટનની ટીકા કરી હતી.

જોકે, બિલ ક્લિન્ટને એકસાથે ૧૪૦ લોકોને માફી આપી દીધી હતી. જેમાં ધનવાન વ્યક્તિ માર્ક રિકનો પણ સમાવેશ થયો હતો. અમેરિકાના પ્રમુખો પોતાની ટર્મ પૂરી થાય ત્યારે છેલ્લે ગુનેગારોને માફી આપતા હોય છે. આ ક્રમ ઘણાં વર્ષોથી જળવાય છે. અબ્રાહમ લિંકને ૧૮૬૫માં આર્થર ઓબ્રાયનને ફાંસી આપી હતી. ત્યાર પછી લગભગ તમામ પ્રમુખોએ આ સિલસિલો જાળવી રાખ્યો હતો. સિનિયર બુશે એસ્લામ પી. આદમને માફી આપી ત્યારે પણ વિવાદ થયો હતો. એટલે કે કોર્ટે ગુનેગાર ઠેરવેલાને માફી આપવી કે કેમ એ મુદ્દે હંમેશાં વિવાદ થતો રહ્યો છે. જે તે દેશના સર્વસત્તાધિશ પાસે ગુનેગારને માફી આપવાની સત્તા હોય છે અને વગદાર લોકો આ પાવરનો ઉપયોગ પોતાની તરફેણમાં કેમ કરવો તે સારી રીતે જાણતા હોય છે. કાયદો તો બધા માટે સમાન જ છે, પણ વગ થોડી સમાન હોય! જે વગદાર છે એ આ રીતે માફી મેળવતા રહે છે, જોઈએ સંજુબાબાનું શું થાય છે!

આપણા દેશમાં છેલ્લે માફી મેળવનારા ભાગ્યશાળીઓ
આપણા રાષ્ટ્રપતિઓ અમેરિકન પ્રમુખો જેટલા દયાળુ નથી હોતા! આપણે ત્યાં ગુનેગારોને ભાગ્યે જ માફી મળે છે. એમાંય અમેરિકામાં જેમ ૧૪૦ને એક સાથે માફી આપી દેવાય છે એવું તો ક્યારેય બન્યું નથી, પણ આ મામલે પ્રતિભા પાટિલ થોડાં વધુ ઉદાર સાબિત થયાં છે. પ્રતિભા પાટિલે ફાંસીના ફંદામાં લગભગ આવી જ ગયેલા ચાર ગુનેગારોને છેલ્લે છેલ્લે માફ કરી દીધા હતા. ઉત્તર પ્રદેશના બન્ટુ પર પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યાનો ગુનો સાબિત થયો હતો. પ્રતિભા પાટિલે જૂન ૨૦૧૨માં તેની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. ઉત્તર પ્રદેશના જ અન્ય એક ગુનેગાર સતીશ પર છ વર્ષની બાળકીનો રેપ કર્યા પછી તેનું ખૂન કરી નાખ્યું હોવાનો આરોપ સાબિત થયો હતો. મે, ૨૦૧૨માં પાટિલે તેને માફી આપી હતી. આ સિવાય કર્ણાટકના બન્ડુ બાબુરાવ તિકડે અને રાજસ્થાનના લાલચંદ ઉર્ફે લાલિયો ધૂમને પણ આવા જ ગુના બદલ ફાંસીની સજા કરાઈ હતી. પ્રતિભા પાટિલે આ બંનેની ફાંસીની સજા પણ આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. એક રિપોર્ટ પ્રમાણે તો પ્રતિભા પાટિલે અલગ અલગ ગુનામાં ફસાયેલા કુલ ૩૫ જેટલા ગુનેગારોને માફી આપી હતી.
Wednesday, 10 April 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -