દેશનું ગંભીર અને ગમાર 'ગન'તંત્ર

- ભારતમાં ૨૦ લાખ નાગરિકો ખાનગી શસ્ત્રોનું લાઈસન્સ ધરાવે છે!

સમાજમાં વટ પાડી દેવા શસ્ત્રો રાખતા લોકોની સંખ્યાનો આંકડો દેશમાં ભયજનક રીતે વધી રહ્યો છે. પોલીસ ફોર્સની સંખ્યા માંડ ૧૬ લાખ છે જ્યારે સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો એનાથી વધારે હોય એ દેશના અમન અને વ્યવસ્થાપન માટે જોખમી કહેવાય...

દેશભરમાં  છેલ્લા ચાર વર્ષોમાં ૭૦૦ આરટીઆઈ માત્ર ખાનગી શસ્ત્રોના લાઇસન્સનો આંકડો મેળવવા માટે થઈ છે. એમાંથી મોટા ભાગના એક્ટિવિસ્ટને સંતોષકારક જવાબ આપવામાં રાજ્ય સરકારો અને જેની નિગરાની હેઠળ આ બધુ આવે છે એ ખૂદ ભારતનું ગૃહ મંત્રાલય ઉણું ઉતર્યું છે. દેશના એક અંગ્રેજી અખબારે એકાદ વર્ષ પહેલા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલા લોકો પાસે ખાનગી શસ્ત્રોના પરવાના છે એનો અહેવાલ ગૃહ મંત્રાલય પાસે માંગ્યો ત્યારે ગૃહ મંત્રાલયે હાથ ઊંચા કરીને રાજ્ય સરકારો પાસેથી આંકડો મેળવવાની ભલામણ કરી હતી. રાજ્ય સરકારો પાસે ય ચોક્કસ આંકડો ન હતો એટલે દેશની મોટાભાગની રાજ્ય સરકારોએ સોગંધનામુ કરાવીને અંદાજિત સંખ્યા જણાવી હતી. આટ-આટલી આરટીઆઈ અને વિવિધ પ્રયાસો પછી પણ સરકાર પાસેથી ચોક્કસ આંકડો તો નથી જ જાણી શકાયો, પણ છતાંય જે છૂટા છવાયા અહેવાલો મળ્યા એ દેશની શાંતિ માટે ખતરાની સાયરન સમાન બની રહ્યા છે.
બધા પરથી એક નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં ૨૦ લાખ લોકો ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધરાવે છે. સત્તાવાર આંકડો આટલો હોય એનો અર્થ એવો થયો કે એનાથી બમણા-ત્રણ-ચાર કે પાંચ ગણા લોકો પાસે પરવાના વગરના શસ્ત્રો હોવાનો સંભવ છે.
હમણાં આ સંખ્યાને સદ્ભાગ્યે હાઇકોર્ટની એક ભલામણને કારણે વધુ બળ મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની અરાજકતાને ધ્યાનમાં રાખીને સરકારને રાજ્યમાં ખાનગી શસ્ત્રોના લાયસન્સ ધારકોની સંખ્યા જણાવવા કહ્યું હતું. જો સરકાર પાસે આંકડો ઉપલબ્ધ ન હોય તો તેનો તાકીદે અહેવાલ તૈયાર કરવાનો હુકમ પણ કર્યો હતો એટલે અંતે ઉત્તર પ્રદેશની સરકારે આઈઆઈએમ લખનૌને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. અહેવાલનો આંકડો સરકાર માટે ય ધારણા કરતા ઘણો મોટો હતો.
ઉત્તર પ્રદેશની પોલીસ પાસે અઢી લાખ હથિયારો છે. જ્યારે નાગરિકો પાસે ૧૧ લાખ લેટેસ્ટ બંદૂકો છે. શસ્ત્રોના પરવાના ધારકોની સંખ્યા પ્રમાણે ભારતના ૫૦ શહેરોનું લિસ્ટ પણ પેલા અહેવાલમાં આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૧ શહેરો એકલા ઉત્તર પ્રદેશના છે. લખનૌમાં સૌથી વધુ ૪૮, ૪૩૬ ખાનગી શસ્ત્રોના પરવાના અપાયા છે અને હજુ ય ૫૦ હજાર અરજી તો પેન્ડિંગ રખાઈ છે. આ યાદીમાં બીજા નંબરે રહેલા પંજાબના ૧૧ શહેરો ટોપ ૫૦ના લિસ્ટમાં છે.
પોલીસ કરતા વધુ શસ્ત્રો નાગરિકો પાસે હોય એ સ્થિતિ લાંબાં ગાળાની શાંતિ માટે જોખમી છે. જો પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થાય તો પોલીસ પાસે નથી એવા અત્યાધૂનિક શસ્ત્રો નાગરિકો પાસે હોવાના કારણે મામલો થાળે પડવાને બદલે વધારે ગંભીર બની શકે છે. શસ્ત્રોનો સામ સામો પ્રયોગ થાય તો કેટલી અને કેવી હિંસા થઈ શકે એની કલ્પના કરવી અઘરી નથી. હાઈકોર્ટે ગંભીરતા પારખીને આ બાબતે સરકાર પાસે ખૂલાસો પૂછ્યો છે.
માત્ર યુપીમાં જ આ હાલત છે એવું નથી, દેશભરમાં બહુધા આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ૨૦૧૩ મુજબ દેશમાં કુલ પોલીસ ફોર્સનો આંકડો ૧૬ લાખ છે. એટલે કે એક લાખ નાગરિકોની સુરક્ષા માટે ૧૩૦ પોલીસ જવાનો ઉપલબ્ધ છે. એમાં વળી, ઈન્ડિયાના સ્પેશ્યલ પીપલ્સ (નેતા-અભિનેતા-સરકારી બાબૂઓ-સામાજિક કાર્યકરો વગેરે વગેરે)માટે ખડેપગે રખાતી પોલીસને બાદ કરીએ તો આંકડો વધુ નીચો આવી જાય. આવી દયનીય હાલત વચ્ચે સુરક્ષાના કારણોથી સરકારે આખા ભારતમાં ૨૦ લાખ નાગરિકોને શસ્ત્રોના પરવાના આપ્યા છે. પરવાનાની બીજી બાજુ એ છે કે એનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને છાકો પાડી દેવા માટે વધુ થાય છે. ભાજપ-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી-બસપા-એનસીપી જેવા રાજકીય પક્ષોના કાર્યકરો પાસે જ પોતાની સુરક્ષા (સુરક્ષા માટે શસ્ત્રો રાખનારાઓ પાછા દેશની સુરક્ષાના ઠાલા વચનોની લ્હાણી કરતા હોય!) માટે પરવાના મેળવેલી બંદૂકોની સંખ્યા ૮થી ૧૦ લાખ થવા જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે આમ જનતા અને મતદારો ઉપર રોફ જમાવવા માટે! એકચ્યુઅલી કેટલા નાગરિકો પાસે હથિયાર છે એ ખૂદ સરકારને ખબર ન હોય ત્યારે ખરી મુશ્કેલી ચૂંટણીઓ વખતે થાય છે. ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ હથિયાર ધારકોને શસ્ત્રો જમા કરાવવાનું ફરમાન છોડે છે. એ ફરમાનનો અમલ કરવાનું કામ પોલીસનું છે. હવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બે કારણોથી બને છે. એક તો પોલીસનું પોતાનું અપર્યાપ્ત સંખ્યાબળ અને બીજું, ચોક્કસ આંકડાઓનો અભાવ. જ્યારે સ્પષ્ટ રીતે ખબર જ નથી કે કોની પાસે શસ્ત્રોનો પરવાનો છે ત્યારે પોલીસ કરે પણ શું?! 'છીંડે ચડે એ ચોર'ના ન્યાયે જેની પાસેથી શસ્ત્રો બરામદ થાય એ લેવાના બાકીના હરિવાલા!
ક્રાઇમમાં લાઇસન્સ ધારક શસ્ત્રોનો બહોળો ઉપયોગ એ તેની બીજી ગંભીર અસર. એનો એક નાનકડો દાખલોઃ ૨૦૧૨માં ભારતમાં ૭૦ હજાર હત્યા થઈ હતી. એમાંથી ૪૨,૯૨૩ હત્યા લાઇસન્સ ધારકોના બંદૂકના નાળચે કરાઈ હતી. ઘણા કેસમાં લાઇસન્સ ધારકની સીધી સંકોવણી ન હોય, છતાં એના શસ્ત્રના પરવાનાથી કોઈકની પરલોકની ટિકિટ ફાટી હોય! વળી, આ સંખ્યા ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહી છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૫,૦૦૦ હત્યા પાછળ પરવાનાવાળી બંદૂક વપરાઈ હતી જેની તુલનાએ છેલ્લા એક દશકામાં આ આંકડો ૧૦ હજાર જેટલો વધ્યો છે. એમાં ય વળી ઈજા પામનારા લોકોની ગણના અલગથી કરવી પડે તેમ છે. ૨૦૦૮માં લાઈસન્સના શસ્ત્રોથી દેશમાં ૬,૫૦૦ નાગરિકોને ઈજા થઈ હતી.
આઈઆઈએમ દ્વારા કેટલાક સૂચનો અહેવાલમાં અપાયા છે. એ મુજબ આ ગંભીર સ્થિતિ ટાળવા માટે એવા શસ્ત્રો અપાય કે જેનાથી જીવલેણ હુમલો ન થઈ શકે, પણ આત્મ સુરક્ષા સંભવ બને, નાગરિકો પાસે પોલીસથી ઓછા શસ્ત્રો હોય એની અહેવાલ દ્વારા સતત નિગરાની રાખવી, સુરક્ષાનો મુદ્દો પૂરો થાય એટલે જરૃર પડયે જે તે વ્યક્તિનું લાઇસન્સ રદ્ કરવું, શસ્ત્ર લાઈસન્સ ધારકો પોલીસની નજર તળે રહે અને આસપાસના પોલીસ મથકોમાં અમુક સમયે સખત હાજરી નોંધાવવી જ પડે એવો કડક નિયમ હોય, તો શસ્ત્ર રાખવાનો ક્રેઝ ઘણે ખરે અંશે ટાળી શકાશે.
આ સૂચનો ઉપર એક સંસ્થાએ લોકમત પણ મેળવ્યો હતો. જેને ખરેખર આમ આદમી કહી શકાય એવા લોકોઃ દુકાનદારો, રોજમદાર-ખાનગી-સરકારી કર્મચારીઓ વગેરેનો એક જ સૂર હતો કે જેની પાસે શસ્ત્રોનું લાઈસન્સ છે એ રોફ જમાવવા માટે જ તેનો ઉપયોગ કરે છે. જો સુરક્ષાનો જ મુદ્દો હોય તો પછી દરરોજ શસ્ત્રોનો દેખાડો કરવાની ક્યાં જરૃર છે? એવો અણિદાર સવાર પણ લોકોએ ઉઠાવ્યો હતો.
મોટાભાગના ખાનગી શસ્ત્રના પરવાનેદારો બેલ્ટમાં બંદૂક ખોંસીને દેખાડો કરતા હોય છે. જરૃર પડયે અમુક પ્રસંગે એકાદ ફાયરિંગ પણ કરી લેતા હોય એ નફામાં! ફાયરિંગનો રિપોર્ટ ભલે સ્થાનિક પોલીસને આપવાનો થતો હોય, પણ જ્યારે સ્થાનિક પોલીસ સાથે જ સેટિંગ હોય ત્યારે છાકો પાડી દેતા ધડાકાને રોકે પણ કોણ?

ગુજરાતમાં ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધારકો કેટલા?

 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કેટલા નાગરિકો પાસે ખાનગી શસ્ત્રનો પરવાનો છે એવો પ્રશ્ન સરકારને પૂછ્યો હતો. ગૃહમંત્રાલયનો વિશેષ હવાલો સંભાળતા હોવાથી મોદીએ જ તેમનો ઉત્તર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૮-૧૦ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં ૨૪૮૪ પરવાના અપાયા હતા. સૌથી વધારે ખાનગી શસ્ત્ર લાઇસન્સ ધરાવતો જિલ્લો સુરત હતો અને અહિંસના પૂજારી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ૬૪ લોકોએ આત્મરક્ષા કાજે લાઈસન્સ મેળવ્યા હતાં! જોકે, ત્યારે સરકાર પાસે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, આણંદ, જામનગર, પંચમહાલ અને નવસારીના આંકડા ઉપલબ્ધ ન હતા એટલે કદાચ આંકડો વધારે મોટો પણ હોઈ શકે! 

ખાનગી શસ્ત્રોના પરવાનામાં ભારત બીજા નંબરે

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક વિશ્વ વ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૭૮ દેશોના આંકડા મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભારત ખાનગી શસ્ત્રોનો પરવાનો આપવામાં બીજા નંબરે છે. ૧૩૬ કરોડની વસતી ધરાવતા દેશ ચીનમાં ખાનગી શસ્ત્ર ધારકો માત્ર ૬.૮ લાખ છે. જાપાને તો એનાથી ય ઓછા લાઇસન્સ ઈસ્યુ કર્યા છે. જાપાનમાં માંડ ૪ લોકો પાસે ખાનગી શસ્ત્ર રાખવાની પરમિટ છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ૧.૮૫ લાખ લોકો સત્તાવાર રીતે શસ્ત્રો ધરાવે છે. જોકે, બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં સરકારની મીઠી નજર હેઠળ બિન સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો આંખો પહોળી થઈ જાય એવડો મોટો છે. ઈન્ડોેનેસિયાની આબાદી ૨૫ કરોડ છે અને ત્યાં ખાનગી શસ્ત્રોના ૩૪ હજાર લાઇસન્સ ધારકો છે. છેલ્લે ૨૦૧૨માં ન્યુયોર્કમાં મળેલી એક બેઠકમાં ખાનગી શસ્ત્રોના નિયંત્રણ પર બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. નાગરિકો પાસે ઓછામાં ઓછા શસ્ત્રો હોય એવો બધા દેશોના પ્રતિનિધિઓએ નિર્ધાર કર્યો હતો, પણ ભારતે એ સંમતિપત્રકમાં હસ્તાક્ષર કર્યા ન હતા. અહીં આપણા ખંધા રાજકારણીઓનો ધંધો જ આવા શસ્ત્રો પર ચાલતો હોય ત્યારે એના પર પાબંદી લગાવવાનું કેમ પરવડે!
Sunday, 28 September 2014
Posted by Harsh Meswania
Tag :

પ્રથમ પ્રયત્ને ભારત મંગળ પર પહોંચશે?



૨૪મીએ ભારતનું મહાત્વાકાંક્ષી મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તો ભારત એક સાથે અનેક વિક્રમો પર નામ નોંધાવી દેશે. મંગળ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ, વિશ્વની માત્ર ચોથી સંસ્થા અને પ્રથમ પ્રયત્ને અચૂક નિશાન ભેદવાની અનોખી સિદ્ધિ તો ખરી જ...

એ ૨૧ તસવીરો આગામી ૨૧મી સદીને નવી દિશા આપવાની હતી અને એટલા માટે જ તે ખૂબ મહત્ત્વની બની રહેવાની હતી. ફોટોગ્રાફી અને ફિલ્મોમાં આવેલા રંગીન પરિવર્તનના એ સંગીન પ્રારંભિક દિવસોમાં પેલી ૨૧ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોએ સંશોધકોની કલ્પનાઓને નવો રંગ આપવાનું મહામૂલું કામ કર્યું હતું. એ તસવીરો તેમના માટે દુનિયાની કોઈ પણ ચીજ-વસ્તુ કરતા મૂલ્યવાન હતી અને હોવી ય જોઈએ. કારણ કે એ તસવીરોએ વિશ્વને પ્રથમ વખત ખરા અર્થમાં નવી દુનિયા બતાવી હતી. સામાન્ય કેમેરાની મદદથી અસામાન્ય સ્થિતિમાં લેવાયેલી એ તમામ ૨૧ તસવીરો પરલોકમાંથી પૃથ્વી ઉપર આવી હતી અને એ ઘટના પૃથ્વીવાસીઓ માટે સાવ નવી હતી. પહેલી વખત બીજી દુનિયાની તસવીરો પૃથ્વી સુધી પહોંચી હતી અને એટલે તે અનેકગણી મૂલ્યવાન હતી.
જેના કારણે પૃથ્વી સિવાયની બીજી દુનિયાના શોધ-સંશોધનનું પોષક-પ્રેરક-પ્રોત્સાહક વાતાવરણ બનવાનું હતું એ ૨૧ તસવીરો નાસાના ઓરબિટ અવકાશ યાન મરિનર-૪ દ્વારા મોકલાયેલી મંગળની સપાટીનો 'આંખે દેખ્યો અહેવાલ' હતો. મંગળ વિશેની કપોળ-કલ્પિત ધારણાઓથી વિપરિત નરી વાસ્તવિકતાનો એ પ્રથમ માનવસર્જિત દસ્તાવેજ હતો.
                                                                           * * *
૧૯ મે, ૧૯૬૪ના દિવસે અમેરિકન અવકાશી સંશોધન સંસ્થા નાસાએ રવાના કરેલું મરિનર-૪ મંગળ ઉપર ૧૫ જૂન, ૧૯૬૫ના રોજ પહોંચીને પોતાની કામગીરી સફળતાપૂર્વક શરૃ કરે એ પહેલા રશિયાના પાંચ અને નાસાના એક મળી મંગળ સુધી પહોંચવાના કુલ છ નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. આ એ વખતનો સમયગાળો હતો જ્યારે હજુ માનવીને ચંદ્ર ઉપર પગ મૂકવાનો બાકી હતો અને રશિયા-અમેરિકા વચ્ચે અવકાશમાં આધિપત્ય સ્થાપવાની કશ્મકશ તેના મધ્યાહને પહોંચી ચૂકી હતી. ૧૯૭૦ સુધીમાં રશિયાએ વધુ પ્રયાસો શરૃ રાખ્યા. રશિયાને સફળતા મળે એ પહેલા નાસાએ સફળતાનું સાતત્ય જાળવી રાખીને મરિનર-૬ અને મરિનર-૭ને મંગળ સુધી પહોંચાડીને પોતાની કુશળતાને ધાર આપી દીધી હતી. દશકો પૂરો થાય એ પહેલા જ નાસાએ નીલ આર્મસ્ટ્રોંગના પગલા મારફતે ચંદ્ર ઉપર પણ પોતાની હયાતિની અમિટ છાપ છોડી દીધી હતી.
પ્રથમ પ્રયાસ તો રશિયાએ છેક ૧૦ ઓક્ટોબર, ૧૯૬૦ના દિવસે 'માર્સ' નામનું મિશન શરૃ કર્યું ત્યારથી થયો કહેવાય, પણ અમેરિકાને હરિફાઈ આપવાની ઉતાવળમાં રશિયાને સફળતા મળી તેના ૧૧ વર્ષના પ્રયત્નો પછી! રશિયાનું મહાત્વાકાંક્ષી મિશન માર્સ-૨ મંગળ ઉપર જઈને પોતાની કામગીરીને અંજામ તો ન આપી શક્યું, પરંતુ તેના નામે મંગળની સપાટી ઉપર પહોંચનારા માનવસર્જિત પ્રથમ પદાર્થ તરીકેનું સન્માન જરૃર નોંધાઈ ગયું. ડસ્ટ અને નબળા વાતાવરણને કારણે તે તેના સમકાલિન નાસાના મરિનર-૯ની લગોલગ કામ કરી શક્યું નહીં, પણ મંગળ ઉપર જઈને તૂટી પડયું અને તેના માથે નિષ્ફળતાનું લેબલ લાગી ગયું.
ધાર્યા પ્રમાણેનું કામ કરનારા પ્રથમ અવકાશ યાનનું શ્રેય મરિનર-૯ને આપવું રહ્યું. આ યાને ૭૦૦૦ તસવીરો સાથે મંગળના ઘણા ખરા ભાગને અને તેની આંતરિક રચનાને સમજવામાં ભાગ ભજવ્યો હતો. મજાની વાત એ છે કે રશિયાના માર્સ-૨થી ૧૧ દિવસ પછી મોકલાયેલું આ યાન તેના કરતા ૧૩ દિવસ વહેલું પહોંચડવામાં નાસાના વિજ્ઞાાનિકોને સફળતા મળી હતી. રશિયા-અમેરિકા વચ્ચે અંતરિક્ષની હોડના એ દિવસોમાં મરિનર-૯એ નાસાના કોલર ઊંચા કરાવી દીધા હતા.
રશિયાએ બીજા ચાર વર્ષમાં ચાર યાન મોકલીને મહેનત ચાલુ રાખી એ દરમિયાન નાસાએ કોઈ જ પ્રયાસો ન કર્યા. ચાર વર્ષના વિરામ બાદ નાસાએ વિકિંગ-૧ નામનું ઓરબિટ અને પ્રથમ લેન્ડર (ભ્રમણકક્ષામાં ફરવાની સાથે સપાટી ઉપર ઉતરાણ કરીને જરૃરી સંશોધન કરે તેવું) યાન ૨૦ જુલાઈ ૧૯૭૬ના દિવસે સફળતાપૂર્વક મંગળ ઉપર ઉતાર્યું. એટલું જ નહીં, તેના એક માસ પછી સપ્ટેમ્બરમાં એવા જ પ્રકારના વિકિંગ-૨નો મંગળની સપાટી સુધી સ્પર્શ કરાવ્યો એ સાથે જ નાસાની અવકાશ ક્ષેત્રની શાખ પણ આસમાનની ઊંચાઈઓને સ્પર્શી ચૂકી હતી. આ બંને યાને મંગળને સમજવા માટે લગભગ ૫૦ હજાર તસવીરો નાસાને મોકલી આપી હતી. અત્યાર સુધીનું સંશોધન મંગળની ભ્રમણકક્ષા સુધી સીમિત રહ્યું હતું જે હવે સપાટી સુધી લંબાયું હતું. જોકે, અચાનક નાસાએ મંગળ ઉપરના મિશનો બંધ કર્યા હતા. સ્પેસ સાયન્સમાં આધિપત્ય સ્થાપી દીધા પછી નાસાએ મંગળ મિશન ઉપર રોક લગાવી સાથે સાથે રશિયાએ પણ લાંબો વિરામ લીધો. ૧૯૮૮થી ૧૯૯૬ સુધીમાં વળી રશિયા-અમેરિકાએ મંગળયાનના છૂટા છવાયા નિષ્ફળ પ્રયાસો કરી લીધા હતા. ૧૯૯૬માં નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયરને ભ્રમણકક્ષામાં છૂટું મૂક્યું અને તેની પાસેથી સાત વર્ષ સુધી કામ લીધું. એ દરમિયાન ૬ પૈડાવાળું પાથફાઇન્ડર (આ યાન રોવર પ્રકારનું હતું કે જે સપાટી ઉપર ભ્રમણ કરીને સપાટીનો ઊંડાણપૂર્વકનો અહેવાલ મોકલી શકતું હતું) મંગળની સપાટી પર મોકલાયું. તેની સાથે છેલ્લે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે સંપર્ક થયો હતો. પછીથી તેનો સંપર્ક નથી થયો, પણ તેના સપાટી અંગેના અહેવાલો સંશોધન માટે દિશાસૂચક બની રહ્યાં. ૨૦મી સદીના એ છેલ્લા વર્ષોમાં અમેરિકા, જાપાન, રશિયા સહિત પાંચેક યાને મંગળ સુધી પહોંચવા ઉડાન ભરી હતી, પણ તમામને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો. એમ તો ચીનને પણ ૨૧મી સદીના પ્રથમ દશકામાં પ્રયાસ કરીને નિષ્ફળતાનો ખારો સ્વાદ ચાખવો પડયો હતો. નાસાએ ઓગસ્ટ ૨૦૦૭માં ફોએનિક્સ માર્સ લેન્ડરે મંગળ ઉપર પહોંચાડયું હતું. બે વર્ષ સુધી નિયત કામગીરી કરીને ૨૪ મે, ૨૦૧૦માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી! છેલ્લે નાસાના માર્સ ઓડિસી, સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, એમઆરઓ અને ફોએનિક્સ તેમજ યુરોપિયન યુનિયનના માર્સ એક્સપ્રેસને મંગળ યાત્રામાં સફળતા મળી હતી.
                                                                          * * *
પાંચ મંગળ યાન અત્યારે એક્ટિવ છે. ભારતનું માર્સ ઓરબિટ મિશન (એમઓએમ) અને એમેરિકાનું માવેન રસ્તામાં છે.
માવેન સંભવતઃ ૨૧મી સપ્ટેમ્બર (આજે) તે મંગળના વાતાવરણમાં પહોંચશે. ભારતના મંગળયાનની જેમ નાસાનું આ માવેન યાન પણ ઓર્બિટર છે. નાસાએ તેને મંગળના વાતાવરણનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું છે.
મંગળ ઉપર અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘ ઉપરાંત ચીન, જાપાનના છૂટાં છવાયા મળીને કુલ ૪૦ જેટલા અંતરિક્ષ યાનો મોકલાયા છે. જેમાંથી ૨૩ યાનો નિષ્ફળ નિવડયા છે. રશિયા આ બાબતે સૌથી કમનસીબ પૂરવાર થયું છે. મંગળ ઉપર સંશોધનનો સિલસિલો રશિયાએ શરૃ કર્યો હતો, આજે ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ચૂક્યો હોવા છતાં તે નાસાની તુલનાએ મંગળ વિશે ખાસ સફળ થયું નથી. આજે મંગળ ઉપર પાંચ એક્ટિવ પ્રોજેક્ટ્સ છે અને એમાં એકેય રશિયાનું નથી.
જો ભારત પ્રથમ પ્રયાસે મંગળ ઉપર પહોંચી જશે તો ચીન-જાપાનને પાછળ રાખીને એશિયાનો પ્રથમ દેશ બની જશે. આ એક જ સિદ્ધિ નથી, અમેરિકા, રશિયા અને યુરોપિયન સંઘ પછી મંગળ સુધી પહોંચનારી ચોથી મોટી શક્તિ તરીકે પણ પ્રસ્થાપિત થશે. આ સિવાયની સૌથી મોટી સફળતા એ પણ નોંધવી રહી કે પ્રથમ ઘાએ નિશાન ભેદી શકાય તો વિશ્વનો એકમેવ દેશ બનશે, જેણે પહેલી જ વખતમાં ધારી સફળતા મેળવી હોય. લેટ્સ હોપ, મંગળયાનની યાત્રા મંગળમય હશે!

મંગળ શા માટે?
પૃથ્વીની જેમ જે ગ્રહો ઉપર માનવજીવન શક્ય છે એના સંશોધનમાં મંગળ સૌથી નજીક માનવામાં આવે છે. ડ્રાય સપાટી, પૃથ્વીની જેમ મૌસમની શક્યતા, હવામાન, ખીણ જેવી ઘણી બાબતોના કારણે મંગળ અવકાશી સંશોધન કરતી સંસ્થા માટે વધુ મહત્ત્વનો અને રસ જગાવતો ગ્રહ રહેતો આવ્યો છે. એ જ કારણ છે કે મંગળ ઉપર મહત્ત્વના બધા દેશોને નવું નવું જાણવાની સતત ઉત્સુકતા રહે છે. માનવ જીવન શક્ય હોય એવી શક્યતા અન્ય ગ્રહો કરતા મંગળ ઉપર વધુ સતેજ મનાય છે. ત્યાં અબજો વર્ષો પહેલા પાણી હોવાની શક્યતા સંશોધકોને લાગે છે. કેમ કે, નદી-નાળાના ચિન્હો પણ જણાયા છે. પૃથ્વી સાથે ઘણી બધી રીતે સરખા મંગળ ગ્રહ વિશે એટલે જ પૃથ્વીના સંશોધકોને વધુ ઉત્સુકતા અને રસ જળવાઈ રહ્યાં છે. જો માણસ મંગળ ઉપર વસવાટ કરે તો તેનું એક વર્ષ પૃથ્વીના બે વર્ષ બરાબર થાય. કેમ કે, મંગળનું એક વર્ષ ૬૮૭ દિવસે થાય છે.

મંગળમય રીતે સક્રિય પંચ

માર્સ ઓડિસીઃ ૨૪ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે નાસાએ માર્સ ઓડિસીને ઓરબિટ પર પહોંચાડયું હતું. એ ૨૦૦૪માં તેનું કામ પૂર્ણ કરે તેમ હતું, પણ ઉમ્મિદથી વધારે તેણે નાસા માટે ઘણા વર્ષો એક્ટિવ રહ્યું. તેના નામે સૌથી વધુ સમય માટે કામ કરવાનો વિક્રમ બોલે છે. આજેય તે કાર્યરત છે. 
ઓપોર્ચ્યુનિટી : ગોલ્ફ કાર્ટની સાઇઝનું નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર એટલે કે ઓપોર્ચ્યુનિટી યાન જાન્યુઆરી ૨૦૦૪માં મંગળ ઉપર લેન્ડ થયું હતું. તેની પાસેથી ૯૦ દિવસ સુધી કામ લેવાની ધારણા હતી, પણ તે લાંબાં ગાળા સુધી કાર્યરત રહ્યું હતું. ૨૦૧૩ના ફેબુ્રઆરી માસ સુધીમાં તેણે મંગળની સપાટી ઉપર ૩૫. ૫૮ કિલોમીટરની સફર ખેડી નાખી હતી.
માર્સ એક્સપ્રેસ : ધ યુરોપિયન સ્પેસ એજન્સીએ (ઈએસએ) માર્સ એક્સપ્રેસ યાન મંગળ પર ૩ જૂન, ૨૦૦૩ના દિવસે રવાના કર્યું હતું. દુર્ભાગ્યે પહોંચ્યા પછી તેનો સંપર્ક સેતુ ખોરવાઈ ગયો હતો. મજાની વાત એ છે કે ઓર્બિટર માર્સ એક્સપ્રેસ સાથે ૨૦૦૫માં ઈએસએનો સંપર્ક થઈ શક્યો હતો અને તેના થકી ઈએસએને હાઈ રિઝોલ્યુશન ધરાવતી કેટલીક તસવીરો પણ પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તે એકાએક વ્યવસ્થિત કામ કરતું થયું હતું અને હજુ ય કામ કરે છે.
માર્સ રિકોન ઓર્બિટર (એમઆરઓ) : નાસા દ્વારા ૨૦૦૫માં મોકલાયા પછી તેણે મંગળ વિશે બનતી પુષ્કળ માહિતી નાસા સુધી પહોંચાડી હતી. મંગળના વાતાવરણની અને રેડિએશનની વિગતો એમઆરઓ દ્વારા મળી હતી. જોકે, એમઆરઓ પાસેથી મળેલી માહિતી નાસાએ બહુ જાહેર કરી નથી. 
માર્સ સાયન્સ લેબોરેટરી (ક્યુરોસિટ) : આ રોવર યાન ૫ ઓગસ્ટ, ૨૦૧૨ના દિવસે મંગળ ઉપર લેન્ડ થયું હતું. અત્યાર સુધીના યાન ભ્રમણકક્ષા (ઓરબિટ) સુધી મોકલાતા હતા અથવા તો લેન્ડિંગ કરાતું હતુ. વળી, રોવર પ્રકારના યાન મોકલીને સપાટીનો અભ્યાસ કરાયો છે ખરો, પણ ક્યુરોસિટીના ભાગે સપાટીના અંતરના ભાગનો અભ્યાસ કરવાનું કઠિન કામ આવ્યું હતું. તેનો પ્રવાસ જ ખાડામાં લેન્ડિંગ કરીને થયો હતો. મંગળમાં જીવસૃષ્ટિ અને પાણી હોવાની અવકાશ સંશોધકોની જે ધારણા હતી તેને ક્યૂરોસિટીએ વધુ મજબૂત બનાવી છે. તેણે ૭૦ હજાર જેટલી તસવીરો મોકલી છે.
Sunday, 21 September 2014
Posted by Harsh Meswania
Tag :

મહાન હો તો તમારા દેશમાં, અમારા દેશમાં ન પ્રવેશતા!


દલાઈ લામાને દક્ષિણ આફ્રિકાએ કોઈ કારણોથી વિઝા ન આપ્યા. હોબાળો મચ્યો એટલે આફ્રિકાએ ગોળગોળ ખૂલાસો પણ કર્યો. દલાઈ લામા પહેલી એવી સેલિબ્રિટી નથી જેની વિઝા અરજી નકારી કાઢવામાં આવી હોય. અગાઉ ઘણા બધા જાણીતા નામો પર અલગ અલગ દેશોનો એન્ટ્રીનો સિક્કો લાગી ચૂક્યો છે.

સેલિબ્રિટી  થઈ ગયા એટલે દુનિયાભરમાં ફરવાનો પરવાનો મળી ગયો એવું માનતા ઘણા મહાનુભાવોની ધારણા એક પળમાં ધ્વસ્ત કરી નાખનારા બનાવોની વાત માંડવાની હોય તો એ યાદી ખૂબ લાંબી થઈ શકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા અને છેક આચાર્ય રજનીશ સુધીના જાણીતા અને જનમાનસમાં પ્રભાવ ધરાવતા મહાનુભાવોને કોઈને કોઈ કારણોથી વિઝા ન મળ્યાના બનાવો બની ચૂક્યા છે.
ક્યારેક વિદેશ ગમન કરવા ઈચ્છુક સામાન્ય લોકોને પોતાની પોલિસી પ્રમાણે કોઈ દેશ એમ સરળતાથી વિઝા ન આપે એ સ્વાભાવિક બાબત છે. વિઝા આપ્યા પછી જે તે વ્યક્તિ એ દેશમાં રહી પડશે તો શું થશે અને સમયાંતરે પરવાના વિના કાયમી વસવાટ કરી લીધાનો આંકડો ખૂબ મોટો થઈ જાય, જેના કારણે બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ મુખ્ય કારણ સામાન્ય લોકોના વિઝા નકાર પાછળ કોઈ પણ દેશનું હોય શકે છે-હોય છે, પરંતુ સેલિબ્રિટીના કેસમાં આ મુદ્દો જ અસ્થાને છે. ખ્યાતનામ વ્યક્તિ દેશમાં હંમેશા માટે રહી જાય એ વાત બહુ શક્ય નથી હોતી. વળી, અમેરિકા જેવા દેશમાં તો એવા કેટલાય વિદેશી મહાનુભાવોને કાયમી વસવાટની પરવાનગી પણ આસાનીથી મળી જાય છે. પણ સેલિબ્રિટીના વિઝા નકારની બાબતમાં અમુક ન ધારેલી બાબતો સામે આવતી રહે છે. ક્યારેક વિઝા ન આપવાનું કારણ મજબૂત હોય છે તો ક્યારેક સાવ વાહિયાત બાબતને આગળ કરીને વિઝા નકારી દેવામાં આવતા હોય છે. કોઈ કલાકારના વિચારો કે શબ્દો સાથે સહમત ન થતો દેશ તેના આવવા ઉપર અંકુશ મૂકી દે છે તો ક્યારેક રાજકીય બાબતો પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દલાઈ લામાને દક્ષિણ આફ્રિકા વિઝા આપવામાં રાજકીય કાવાદાવા કરે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા જ અમેરિકા પોતાના દેશમાં આવવાનું નિમંત્રણ પાઠવે એ બધી જ બાબતો રાજકીય છે, પણ એ સિવાયના એવા યે કારણો આગળ ધરવામાં આવતા હોય છે જે પહેલી નજરે ગળે ઉતરે એવા હોતા નથી!
 
બ્રાડઃ તિબેટીયનોની તરફેણ એટલે ચીનમાં નો એન્ટ્રી
બ્રાડ પિટના વિઝા અને તેની ફિલ્મો પર ચીનમાં પ્રતિબંધ છે. કેમ? કારણ કે તેણે તિબેટીયનોના કથાનક પર આધારિક એક ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તિબેટીયનોના નામથી જ ચીનને તરત વાંકુ પડી જતું હોય છે. એમાં બ્રાડ પિટ નજરે ચડી ગયો હતો એટલે ચીને આ લોકપ્રિય અભિનેતાને પણ વિઝા ન આપીને ચર્ચા જગાવી હતી. ચીન સેલિબ્રિટીને વિઝા ન આપવાની બાબતે ચર્ચામાં વધુ રહેતું હોય છે. બ્રાડ પિટ અગાઉ ડિરેક્ટર માર્ટિન સ્કોર્સિસ ઉપરાંત હેરિસન ફોર્ડ, માઇલી સાયરસ, રિચાર્ડ ગેરે, બોબ ડેેલન વગેરે જેવા કેટલાય જાણીતા નામો ઉપર ચીન વિઝા નકારનો સિક્કો મારી ચૂક્યું છે. એમાંથી મોટા ભાગનાના વિઝા તેની તિબેટીયનો તરફની કૂણી લાગણીના કારણે ચીને નથી આપ્યા.
 
મારાડોના-હિલ્ટનઃ જાના થા જાપાન પહોંચ ગયે ઘર!
૨૦૧૦ના એ દિવસે વહેલી સવારે પેરિસ હિલ્ટન જાપાનના એરપોર્ટ પર પહોંચી એટલે તરત જ જાપાની ઓફિસર્સે તેને ઘેરી લીધી. કારણ કે એરપોર્ટ અધિકારીઓને શંકા થઈ કે પેરિસ ડ્રગ્સનું સેવન કરીને આવી છે. છ કલાક સુધી પૂછપરછ અને તપાસના અંતે અધિકારીઓનો શક સાચો પડયો હતો. પોતાની ફેશન પ્રોડક્ટને પ્રમોટ કરવા ટોકિયો આવેલી પેરિસ હિલ્ટન જાપાન પહોંચતા પહેલા જ નશો કરીને આવી હતી. એટલે અધિકારીઓએ એને ત્યાંથી જ ઘરે પરત કરવાનો હુુકમ કર્યો હતો.
આવો જ અનુભવ ફૂટબોલ સુપરસ્ટાર મારાડોનાને થયો હતો. ફૂટબોલમાં અનોખા વિક્રમો ધરાવતા મારાડોનાને વિશ્વભરમાં જ્યાં જાય ત્યાં અદકેરું સન્માન મળતું હોય છે, પરંતુ જાપાનમાં થયેલા કડવા અનુભવે તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે તેને ઉટપટાંગ સવાલો કર્યા ત્યારે મારાડોનાએ કરેલો બધો જ નશો પળવારમાં ઉતરી ગયો હતો. ડ્રગ્સનું સેવન કરીને જાપાનમાં પ્રવેશવાની ઈચ્છા સેવતા વધુ એક સેલિબ્રિટીને જાપાની અધિકારીઓએ ઘર ભણી વળી જવાનો ઈશારો કરી દીધો હતો.
જાપાન પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં આ બાબતને ખાસ પ્રાધાન્ય આપે છે. ડ્રગ્સનું સેવન કરનારા કેટલાય સેલિબ્રિટીને જાપાની ઈમિગ્રેશન અધિકારીઓએ પોતાની પોલિસીનો અમલ કરાવ્યો છે. ભૂતકાળમાં ધ રોલિંગ્સ સ્ટોન્સ નામના મ્યુઝિકલ ગૃપથી લઈને રસેલ બ્રાન્ડ જેવા જાણીતા નામ સુધીનાનો જાપાન પ્રવેશ ડ્રગ્સના સેવનનું કારણ આગળ ધરીને અટકાવી દેવામાં આવ્યો હતો.
ચીન-જાપાનની જેમ જ શ્રીલંકાએ પણ એક સેલિબ્રિટીના નામ ઉપર પ્રવેશ નિષેધ કર્યો છે. એ નામ છે પોપસ્ટાર એકોન. ચીન-જાપાન કરતા તદ્ન અલગ કારણ આપીને શ્રીલંકાએ એકોન પર પાબંદી મૂકી છે. એકોનના એક વીડિયો સોંગ 'સેક્સી ચિક...'થી શ્રીલંકન સરકારને વાંધો પડયો અને એ સાથે જ એકોન માટે શ્રીલંકાના દરવાજા બંધ થઈ ગયા!
 
ધ બિટલેસઃ લોકપ્રિયતા અને વિઝા નકારનો પ્રારંભિક કિસ્સોધ બિટલેસ મ્યુઝિકલ ગૃપે સાતમા દશકાના યંગસ્ટર્સમાં લોકપ્રિયતાના નવા આયામો સર કર્યા હતા. ચોમેર તેની ધૂનો લોકજીભે રમતી હતી. જોકે, ઈઝરાયેલે ૧૯૬૪માંં એક કાર્યક્રમ માટે આવતા આ ગૃપના મેમ્બર્સને રોકી રાખ્યા હતા. 'ઈઝરાયેલના યંગસ્ટર્સ ઉપર આ ગૃપની નકારાત્મક અસર પડશે' એવું કારણ આગળ ધરીને તે ગૃપના ચાર સભ્યોને ઈઝરાયેલના અધિકારીઓએ દેશમાં પ્રવેશ આપ્યો નહોતો. એ સમયે આ કિસ્સો ખૂબ જ ચર્ચાયો હતો. લોકપ્રિય નામોને દેશમાં નો એન્ટ્રી કરવાનો એ સૌથી ચર્ચાસ્પદ અને સંભવતઃ પ્રથમ મોટો બનાવ હતો. એ પછી ધ બેટલેસ માટે ફિલિપાઇન્સના દરવાજા પણ બંધ થયા હતા. કેમ કે, આ પોપ્યુલર ગૃપના ફેન એવા ફિલિપાઇન્સના ફર્સ્ટ લેડી સાથે બ્રેકફાસ્ટનું ભાવભર્યુ આમંત્રણ ગૃપ મેમ્બર્સને મળ્યું હતું, પણ ધ બિટલેસે તેનો અસ્વીકાર કર્યો હતો એટલે અંતે ફિલિપાઇન્સે તેમના નામ પર હંમેશા માટે ચોકડી મારી દીધી હતી. ફિલિપાઇન્સની લાગણી દૂભાય જાય તો કેવા નિર્ણયો લઈ શકે તેનો એક બીજો નમૂનો...
 
એલેક બેલ્ડવિનઃ ફિલિપાઇન્સ વિરુદ્ધ એક કમેન્ટ આપી અને...અમેરિકન અભિનેતા એલેક બેલ્ડવિને કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ ડેવિડ લેટરમેનના શોમાં આવીને ૨૦૦૯માં ફિલિપાઇન્સની એક ટીખળ કરી હતી. જેને જવાબ આપતા ફિલિપાઇન્સે તેને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એલેકની મજાક કંઈક એવી હતી કે 'જો તમને વધુ બાળકોની જરૃર હોય તો ફિલિપાઇન્સની દુલ્હન સાથે લગ્ન કરી લેવા જોઈએ!' તેની આ મજાકને ફિલિપાઇન્સે ગંભીરતાથી લીધી હતી અને એલેક ફિલિપાઇન્સમાં ક્યારેય પગ ન મૂકે એવી વ્યવસ્થા કરી હતી.
લેડી ગાગા, માઇલી સાયરસ, લીલી એલન, બિયોન્સ નોલેસ, માર્થા સ્ટીવર્ટ, એમી વાઇનહાઉસ, સલમા હાયેક સહિતની કેટલીય સુંદરીઓને તેના વર્તનના કારણે કે પછી અશ્લિલ ફોટોશૂટના કારણેે અલગ અલગ દેશોમાં પ્રવેશ નિષેધ ફરમાવાયો છે. ઘણા કિસ્સાઓમાં તો અધવચ્ચેથી પ્રવાસ ટૂંકાવીને પોતાના દેશમાં ચાલ્યા જવાનો હુકમ પણ છૂટયો છે. જેમ કે, થોડા મહિનાઓ પહેલા લેડી ગાગા દૂબઈમાં જાહેર સ્થળોએ નગ્ન ફોટોશૂટ કરાવતી હતી એટલે તેના વિઝા પરવાનાને ટૂંકાવી દેવામાં આવ્યો હતો.

એક એવી સેલિબ્રિટી જેના માટે વિશ્વના બધા જ દેશોના દરવાજા બંધ છે!
લંડનમાં રહેતા ગેરી ગ્લિટર માટે વિશ્વમાં તમામ દેશોના દરવાજા બંધ છે. ૭૦-૮૦ના દશકમાં રોક સ્ટાર ગેરીએ બ્રિટન-અમેરિકાની નવી પેઢીમાં પોતાના મ્યુઝિકનું ઘેલું લગાડયું હતું. મ્યુઝિક એલબમ્સની સાથે સાથે સ્ટેજ ગજવતા ગેરીની લોકપ્રિયતાની ઈર્ષા ભલભલા ગાયક-સંગીતકાર-ગીતકારને આવે એવો એ સમય હતો, પરંતુ જો સાવચેતી રાખવામાં ન આવે તો સૌથી પહેલું ગ્રહણ પ્રસિદ્ધિને લાગતું હોય છે. એવું જ ગેરીના કેસમાં થયું. ગેરી પર બાળયૌન શૌષણના આરોપ ઉપર આરોપ લાગતા ગયા અને એ વમળમાં ફસાતો ગયો. ડ્રગ્સના સેવનથી લઈને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સુધીની બદીઓમાં તેનું નામ ઉછળ્યું. આરોપો સાબિત થતા ગયા અને ગેરી માટે મુશ્કેલીઓનો પહાડ ખડકાવા લાગ્યો. તેને સજા થઈ, તેણે વળતી અપિલ કરી વગેરે વગેરે ઘણું બનતું રહ્યું. સાથે સાથે બધા દેશોએ એક યા બીજા કારણોથી તેના પ્રવેશ પર પણ પાબંદી મૂકી દીધી. હવે સ્થિતિ એ છે કે ૭૦ વર્ષના ગેરી પાસે બ્રિટન સિવાય બધા જ દેશોના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે.
Sunday, 14 September 2014
Posted by Harsh Meswania
Tag :

દુભાષિયાઃ નેતાઓના વિચારોને શબ્દોના વાઘા પહેરાવતા કીમિયાગરો

રશિયા અને અમેરિકાના નેતા વચ્ચે વિક્તોર સુખોડ્રેવ
જાપાનની યાત્રાએ ગયેલા વડાપ્રધાને મોટાભાગે હિન્દીમાં પ્રવચન કર્યું હતું. બે દેશોના નેતાઓ જ્યારે પોત-પોતાની ભાષામાં જ સંબોધન-વાર્તાલાપ કરવાનું વલણ અપનાવે ત્યારે દુભાષિયાની ભૂમિકા અતિ અગત્યની બની જતી હોય છે. રાજકીય નેતાઓના દુભાષિયા હોવું એટલે...

અમે તમારી કબર ખોદી નાખીશું!' આવું વાક્ય વાંચતા-સાંભળતાની સાથે જ રણમેદાનમાં સામ-સામે ઊભા રહીને એકમેકને પડકારતા દુશ્મનોનું દ્રશ્ય સહેજેય નજર સામે આવી જાય, પણ ખરેખર આ વાક્ય એક નેતાએ મંત્રણાના મંચ પર ઉચ્ચાર્યું હતું એવું કોઈ કહે તો? તો સ્વાભાવિક રીતે જ આશ્વર્યનો કોઈ પાર ન રહે કે આવું વાક્ય અને એ પણ મંત્રણાના મંચ પર! આવી ઘટના ખરેખર ૧૯૫૯માં બની હતી. એ કયા બે દેશો વચ્ચે બની હતી એ જો જાણીએ તો તો આશ્વર્ય એ બાબતે થાય કે ત્રીજું વિશ્વયુદ્ધ કઈ રીતે ટાળી શકાયું હશે! કેમ કે, આ વાક્ય રશિયન પ્રમુખ નિકિતા ક્રુશેવે અમેરિકામાં જઈને ઉચ્ચાર્યું હતું, એ ય પાછું શીતયુદ્ધના ગરમાવા વચ્ચે!
લેકીન, કિંતુ પરંતુ....આ વાક્ય નિકિતા બોલ્યા હતા ખરા, પણ તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો હતો. વાત જાણે એમ હતી કે અમેરિકાની મુલાકાત દરમિયાન નિકિતાએ કહ્યું હતું કે સામ્યવાદ મૂડીવાદને ખતમ કરી નાખશે, (ટૂંકમાં આ મહાશય એમ કહેવા માંગતા હતા કે સામ્યવાદ મૂડીવાદ કરતા વધુ વખત ટકશે અને સ્વીકૃત બનશે!) પણ તેેમના દુભાષિયાએ રશિયનભાષામાંથી અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં સુધીમાં તેણે અમેરિકાની કબર ખોદી નાખી હતી! આ એક વાક્યના કારણે અમેરિકનોને નિકિતા ક્રુશેવ તોછડા લાગ્યા હતા અને અમેરિકન અખબારોએ આ ગુસ્તાખી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રશિયા પહોંચ્યા પછી તેમના દુભાષિયાની અનુવાદની આ ક્ષતિ સામે આવી હતી. જોકે, ત્યાં સુધીમાં મામલો થાળે પડી ચૂક્યો હતો.
આ આખી ઘટનામાં હજુ એક આશ્વર્ય બાકી છે. આ ગંભીર ભૂલ કરનારા માણસનું નામ હતું- વિક્તોર સુખોડ્રેવ. આપણા માટે આ નામ ભલે અજાણ્યું હોય, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચે ભાષાંતરનું કામ કરતા વૈશ્વિક દુભાષિયાઓના આંતરિક વર્તુળોમાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. એટલું જ નહીં વિવિધ રાજદ્વારીઓ પણ તેમને સન્માનની દ્રષ્ટિએ જોતા હતા. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય સમજ એટલી ઉમદા હતી કે રશિયામાં કોઈ વિદેશી નેતાની સત્તાવાર મુલાકાત હોય કે રશિયન નેતાની મહત્ત્વની વિદેશ યાત્રા હોય, વિક્તોરની હાજરી અનિવાર્ય લેખાતી. નિકિતાથી લઈને મિખાઇલ ગાર્બાચોવ સુધીના રશિયન નેતાઓ માટે તેેમણે અસંખ્ય વિદેશ યાત્રાઓમાં અનુવાદકનું કામ કર્યું હતું. વિક્તોર જેવા ગણનાપાત્ર દુભાષિયાથી પણ આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો એ કામ કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી અઘરી નથી.
આવો જ એક કિસ્સો અમેરિકન પ્રમુખ જિમી કાર્ટર સાથે પણ બન્યો હતો. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને હજુ તો માંડ થોડા મહિના થયા હતા ત્યારે તેમણે ૧૯૭૭માં પોલેન્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પ્રમુખના દુભાષિયા તરીકે એક રશિયન દુભાષિયાને રોકવામાં આવ્યો. તે રશિયનની સાથે પોલિશભાષા પણ જાણતો હતો. જોકે, તે રશિયનભાષાનો દુભાષિયો હતો પોલિશભાષા નહીં. એટલે તેણે પ્રમુખના અંગ્રેજીમાંથી જે પોલિશ ટ્રાન્સલેશન કર્યું એ ગંભીર છબરડાવાળું હતું. જેમકે, પ્રમુખ બોલ્યા કે 'જ્યારે હું અમેરિકા છોડીને પોલેન્ડ આવતો હતો ત્યારે મેં આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી'. પેલાએ એનો અનુવાદ કર્યો 'જ્યારે હું અમેરિકા ત્યાગી રહ્યો હતો ત્યારે મને તમારી લાલસા હતી!' આ વાક્યોને પકડીને પોલેન્ડ-અમેરિકા બંને દેશોના મીડિયામાં કાર્ટરની બરાબર ઠેકડી ઉડાડાઈ હતી.
આવો જ એક કિસ્સો ગયા વર્ષે ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલી આપવા ગયા ત્યારે તેમણે મંડેલાને સ્મરાંજલી આપતા કેટલાક શબ્દો કહ્યાં હતાં. જેને થામ્સાંકા જેન્ટજિ નામના આફ્રિકન દુભાષિયાએ અલગ રીતે રજૂ કર્યા હતા. જેને કારણે પછી આફ્રિકન સરકારને પણ ખૂલાસો આપવો પડયો હતો. થામ્સાંકા પર આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા વખતે ય જોવા મળ્યું કે કોઈ વિદેશી નેતા જ્યારે પોતાની ભાષામાં વકતવ્ય આપે ત્યારે એ વકતવ્યને તરત જ જે તે ભાષામાં ઢાળવાનું કામ કેટલું કૂનેહ માંગી લેતું હોય છે. વડાપ્રધાન મોદી એકાદ પેરેગ્રાફ જેટલું બોલીને અટકે એટલે તરત જ દુભાષિયાનું કામ શરૃ થઈ જાય! મોદીએ તેમના પ્રવચનમાં હિન્દીના કેટલાંક શબ્દો પ્રયોજ્યા તેનો તરત થયેલો અનુવાદ જોવા જેવો છેઃ 'દાયિત્વ'નું ઈંગ્લીશ ખરેખર તો લાયેબિલિટી થવું જોઈએ, પણ દુભાષિયાને સુજેલો શબ્દ હતો-કેરફૂલી. એ જ રીતે મોદીએ જાપાનમાં મળેલા માન-પાન માટે પોતાને 'સૌભાગ્યશાળી' ગણાવ્યા તો એનો તરજૂમો થયો 'આઈ એમ લકી!'. પણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની બ્યુટીને સમજનારા દુભાષિયાએ આ શબ્દ માટે 'આઈ એમ પ્રિવિલેજ્ડ', 'આઈ ઓનર્ડ ટુ બી હીઅર' 'આઈ એડ્માઇયર ફોર ધીસ વિઝિટ' કે એવો કોઈક થોડો વધારે મજેદાર અર્થ કાઢ્યો હોત!  
બે દેશો વચ્ચેના ગંભીર કોમ્યુનિકેશનમાં એક એક શબ્દના યે અનેક અર્થ તારવવામાં આવતા હોય ત્યારે શબ્દોની હેરફેર ટાળીને, બોલનારી વ્યક્તિનો કહેવાનો મૂળ ભાવ જાળવી રાખીને એ જ ઘડીએ તરજૂમો કરવાનું કામ ધાર્યા કરતા અનેકગણું પડકારજનક છે અને એટલે આવી નાની મોટી ક્ષતિઓ સ્વાભાવિક પણ છે. આવી હ્યુમન એરર પાછળના કારણ અંગે તારણ કાઢતા વિશ્વના વિખ્યાત દુભાષિયાઓએ પોતાના વિચારો ઘણા પ્રસંગોએ વ્યક્ત કર્યા છે જે તેમના પ્રોફેશનના પડકારોને બખૂબી વાચા આપે છે.
અગાઉ જેનો ઉલ્લેખ થયો છે એ વિક્તોર સુખોડ્રેવ આ વર્ષે મે માસમાં ૮૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે એક વખત કહ્યું હતું કે 'એક તો ગંભીર પ્રકારના નીતિ વિષયક મુદ્દાઓની વાત થતી હોય અને એક કાને સાંભળ્યું જ હોય ત્યાં તરત જ બોલીને બીજી ભાષામાં શબ્દો વહેતા પણ કરવાના હોય છે. ખરેખર તો એક જ ભાષામાં બોલાયેલી વાતને તરત જ એ જ ભાષામાં બીજા શબ્દોમાં ઢાળવી હોય તો ય કપરું કામ છે ત્યારે આ તો આખી ભાષા જ બદલવાની છે. ત્યારે માહોલ જ એવો હોય છે કે દુભાષિયા દ્વારા બોલાતા શબ્દો કરોડો લોકોના ભવિષ્ય માટે કારણભૂત બનવાના હોય, એટલે એ રીતે ય સતર્ક રહેવું પડે છે. એક રીતે પોતાની ભાષામાં વાક્યો બોલતા નેતા કરતા દુભાષિયા દ્વારા બોલાતો અનુવાદ વધુ ઐતિહાસિક મૂલ્ય ધરાવતો હોય છે!'
ડો. બેનેફશેહ કેયનોસે ઈરાનના ચાર પ્રમુખો સાથે કામ કર્યું છે. ઈરાનની રાજકીય તાસિરથી બરાબર વાકેફ આ મહિલાએ એક વખત પોતાના કામ અંગે કહ્યું હતું કે દરેક પ્રમુખ અલગ અલગ માનસિકતા અને જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે તેમણે જે કહ્યું હોય એ પોતાની રીતે સાચું હોય, પણ તેનો સાર્વત્રિક અર્થ નીકળે ત્યારે વાત અલગ થઈ જતી હોય છે. કદાવર અને બોલકા રાજકીય નેતાઓના દુભાષિયા માટે આ બાબત જ સૌથી વધુ પડકારજનક છે.
ચીનના ડેંગ ઝિયાઓપિંગ સાથે કામ કરનારા વિક્ટર ગાઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં જ્યારે બંને નેતાઓ એક બીજા સાથે પોત-પોતાની ભાષામાં વાત કરતા હોય ત્યારે દુભાષિયાએ કરેલા અનુવાદનું મૂલ્ય વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય નીતિ જેવા ભારેખમ વિષય પર શબ્દોની જરાક પણ ચૂક થાય તો મંત્રણા પડી ભાંગવાની શક્યતા પણ ખૂબ પ્રબળ હોય છે. એ રીતે દુભાષિયાનું કામ માત્ર અનુવાદનું નથી, પણ જેમના માટે અનુવાદ કરવાનો છે એમની પોલિસી અને સ્વભાવથી પરિચિત હોવું અનિવાર્ય છે.
૧૮મી સદીના આરંભથી સત્તાવાર રીતે શરૃ થયેલી આ દુભાષિયાની સેવાઓનો ઈતિહાસ અને વર્તમાન ખૂબ રોચક છે. બે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થતી હોય ત્યારે ગણ્યા-ગાંઠયા લોકો હોય છે કે જેને ખરેખર શું વાતચીત થઈ એની જાણકારી હોય છે. એમાં દુભાષિયાનો પણ સમાવેશ થાય છે. હ્યુમન એરરની વાત બાજુ પર રાખીએ તો એવા ય કિસ્સા નોંધાયા છે જેમાં બે દેશના સત્તાધિશો વચ્ચેની શાબ્દિક ઉગ્રતાને ખાળવામાં દુભાષિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. જેમ કે, વિક્ટર ગાઓએ નોંધ્યું છે એમ એક વખત ડેંગની અમેરિકા મુલાકાત વખતે (ડેંગ પ્રાદેશિક ઉચ્ચારણો બોલવામાં માહેર હતા અને તેની ચાઇનિઝભાષા પણ એવી જ પ્રાદેશિક ઉચ્ચારણોથી ભરપૂર રહેતી) તેમણે અમેરિકાના વલણ બાબતે જે શબ્દો કહ્યાં એને અમેરિકન દુભાષિયાએ અલગ રીતે સમજાવ્યા એટલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વોલ્ટર મોન્ડેલ ભડક્યા. વિક્ટરે આખી વાતનો દોર હાથમાં લઈને વોલ્ટરને સમજાવ્યા પછી તેમણે ડેંગ સામે જોઈને સ્મિત આપ્યું!
ડો. બેનેફશેહ કેયનોસના ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારે બે મોટા ગજાના નેતાઓ વાતચીત કરતા હોય ત્યારે તેમની વચ્ચે વારેવારે ઈગોનો ટકરાવ થતો રહેતો હોય છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં પોત-પોતાની ભાષામાં તક મળે તો ટોણો મારવાનું ન ચૂકતા નેતાઓના દુભાષિયા જાણી જોઈને આવી બધી બાબતોને ટાળી દેતા હોય છે. દુભાષિયાને અનુવાદ માટે જરૃરી શબ્દો શોધીને કામ નથી ચલાવવાનું હોતુ, પણ વિચારોનો અર્થ પારખીને પ્રગટ કરવાનો હોય છે. જો એમાં ઉણા ઉતરે તો થામ્સાંકા જેવી નોબત પણ આવી શકે!
Sunday, 7 September 2014
Posted by Harsh Meswania
Tag :

કેપ્ટન ચાર્લ્સઃ બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યૌદ્ધો


- ઈતિહાસમાં બે વખત સર્વોચ્ચ યુદ્ધ સન્માન મેળવનારા લડવૈયાની દાસ્તાન

- યુદ્ધનું પરિણામ યૌદ્ધાઓના પરાક્રમ પર નિર્ભર હોય અને પરાક્રમનું પ્રમાણ પારિતોષિક હોય! બીજા વિશ્વયુદ્ધમાં અપ્રતિમ સાહસ બતાવીને બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત થયેલો આવો જ અનોખો લડવૈયો હતો- ચાર્લ્સ અપહેમ...

'રાજાના આદેશાનુસાર આ વિશેષ એવોર્ડ ન્યુઝિલેન્ડની સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ ચાર્લ્સ અપહેમને એનાયત કરવામાં આવે છે. ચાર્લ્સે દુશ્મન સૈન્ય પર ત્રાટકવાની સાથે સાથે સાથી સૈનિકોને નવજીવન આપવામાં પણ એટલી મહામૂલી ભૂમિકા ભજવી હતી. દુશ્મનોને ત્રણ કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં આગળ વધતા અટકાવવામાં તેણે એકલા હાથે સફળતા મેળવી હતી. પોતાના પરાક્રમના કારણે સાથી સૈનિકોમાં જોમ ભરવાનું કામ પણ તેમણે બખૂબી કર્યું હતું. ૧૩ મીટર સુધી જમીન પર ઘસડાઈને તેણે ચોકીઓની રખેવાળી કરી હતી. વળી, 'બેટલ ઓફ ક્રીટ'માં જીવલેણ હથિયારો ધરાવતા ૨૨ દુશ્મનોને અંતિમ શ્વાસ લેવડાવવામાં તેની ગનમાંથી છૂટેલી ગોળીઓ કારણભૂત બની હતી. તેની આ યુદ્ધ કૂનેેહના કારણે આખી સેનાને પ્રેરણા મળી હતી. દુશ્મનો સામે આક્રમકતાથી તૂટી પડવાનો તેનો મનસૂબો ખરેખર પ્રશંસાને પાત્ર છે. બ્રિટન તેના શૌર્યનું સન્માન કરતા ગૌરવ અનુભવે છે.'
લંડનની યુદ્ધ ઓફિસમાંથી વહેતો થયેલો આ સંદેશો બ્રિટિશ સરકારની સત્તાવાર પત્રિકા 'ધ લંડન ગેજેટ'માં ૧૪ ઓક્ટોબર, ૧૯૪૧ના દિવસે પ્રકાશિત થયો ત્યારે ચાર્લ્સે કલ્પના પણ નહીં કરી હોય કે તે ટૂંક સમયમાં બીજી વખત આવા જ શબ્દો સાંભળવા ભાગ્યશાળી બનશે અને ૧૫૦ વર્ષ પછી ય 'વિક્ટોરિયા ક્રોસ' પારિતોષિક બબ્બે વખત મેળવનારા એક માત્ર સૈનિક તરીકે અવિસ્મરણીય બની રહેશે.
                                                                     * * *
બીજા વિશ્વયુદ્ધની કારમી મરણચીસોના પડઘા આખા વિશ્વમાં ગુંજી રહ્યાં હતાં એ સમયે જર્મની-ઈટાલીની સંયુક્ત સેના વિરુદ્ધ બ્રિટનના નેજા હેઠળ ગ્રીસ-ન્યુુઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયાની  સેના ગ્રીસના ક્રીટ ટાપુ ઉપર જંગે ચડી હતી. ૧૯૪૧માં ૨૦મેથી ૧લી જૂન વચ્ચેના ૧૧ દિવસ ચાલેલા 'બેટલ ઓફ ક્રીટ' નામથી ઓળખાતા એ યુદ્ધમાં જર્મની-ઈટાલીની સેનાનો હાથ સતત ઉપર રહેતો હતો છતાં બ્રિટનના નેજા હેઠળ લડતા ન્યુઝિલેન્ડના ચાર્લ્સ અપહેમે દુશ્મનોના દાંત ખાટાં કરી નાખ્યાં હતાં. અમુક યુદ્ધની જીત મીઠી નથી લાગતી હોતી. 'બેટલ ઓફ ક્રીટ' પણ જર્મની માટે એવી જ એક કડવી જીત હતી. જેમાં વિજય મેળવ્યો હોવા છતાં જર્મની ચાર્લ્સના અનોખા પરાક્રમને કેમેય કરીને ભૂલી શકતું નહોતું. જર્મનીએ દિવસો અગાઉ કરેલી ગણતરીને નવા નવા સૈન્યમાં જોડાયેલા ૩૨ વર્ષના ચાર્લ્સે માત્ર ૮ દિવસમાં ઊંધી પાડી દીધી હતી. ક્રીટમાં વ્યૂહાત્મક રીતે પથરાયેલી મિત્ર રાષ્ટ્રોની ચોકીઓ કબ્જે કરવાની જર્મનીની મૂરાદ મનમાં જ રહી ગઈ હતી. આખી પલટનને નેસ્ત નાબૂદ કરવાની મનેચ્છા પણ અધૂરી રહી. આ એક જ સૈનિક બેખૌફીથી એવો તો ઝઝૂમ્યો હતો કે ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની લડાઈઓમાં મિત્ર રાષ્ટ્રોના સૈનિકો તેના પરાક્રમના ઉદાહરણો આપતા હતા.
જોકે, ત્યારે જર્મનીએ પણ ક્યાં કલ્પના કરી હતી કે બીજા વિશ્વયુદ્ધના આ સૌથી પરાક્રમી સૈનિકનો બીજી વાર સામનો કરવાનો વખત બહુ જલ્દી આવવાનો છે!
                                                                     * * *
બીજી વખતનું તેનું પરાક્રમ માત્ર થોડી કલાકો માટેનું હતું, પણ એ એટલું સજ્જડ હતું કે ઈજિપ્તના 'બેટલ ઓફ અલ એલીમેઇન'માં મિત્ર રાષ્ટ્રોની જીત પાછળ ચાર્લ્સની યુદ્ધનીતિએ અતિ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  
'બેટલ ઓફ ક્રીટ'માં ચાર્લ્સ અપહેમે દાખવેલી યુદ્ધ કૂનેહ અને ચપળતા પછી છએક માસમાં તેને ન્યુઝિલેન્ડની એક પલટનનો કેપ્ટન બનાવાયો અને ઈજિપ્તમાં લડી રહેલી બ્રિટનની સેનાની મદદ માટે મોકલી દેવાયો. ચાર્લ્સની ખરી કસોટી હવે ઈજિપ્તમાં થવાની હતી. રણ પ્રદેશમાં ચાર્લ્સે પોતાની આખી ટીમને જુસ્સો આપીને આગળ વધારવાની હતી. ચાર્લ્સ એક સૈનિક તરીકે તો પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો હતો પરંતુ હવે તેને એક ટીમ લીડર તરીકે ય પોતાની યુુદ્ધ કુશળતા સાબિત કરવાની હતી. એમાં એ બરાબર કામિયાબ નિવડયો હતો.
૧૯૪૨માં ૧થી ૨૭ જુલાઈના દિવસો દરમિયાન ઈજિપ્તમાં બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોની સામે જર્મની અને ઈટાલીએ મોરચો માંડયો હતો. એ યુદ્ધને વિશ્વયુદ્ધના ઈતિહાસમાં 'બેટલ ઓફ અલ એલીમેઇન' નામ આપવામાં આવ્યું હતું. એમાં બ્રિટનની સેનાને કવચ આપીને જર્મનીની શસ્ત્રોથી લદાયેલી એક આખી પલટનને રોકવાનું કામ ચાર્લ્સનું નેતૃત્વ ધરાવતી ન્યુઝિલેન્ડની એ સૈન્ય ટૂકડીએ કરવાનું હતું.
૧૪ અને ૧૫મી જુલાઈનો એ દિવસ કેપ્ટન ચાર્લ્સના નામે હંમેશા માટે નોંધાઈ ગયો. એ દિવસે તેણે ફરીથી જર્મનોને 'બેટલ ઓફ ક્રીટ'નું દુઃસ્વપ્ન યાદ કરાવ્યું હતું. રણમાં ધસમસતી આગળ વધી રહેલી જર્મનીની લશ્કરી છાવણીને ચાર્લ્સની સૈન્ય ટૂકડીએ અધવચ્ચે આંતરી. ચાર્લ્સે જર્મનીની કેટલીક ટેન્ક અને ગનથી ભરેલી જીપ પર હુમલો કરીને જર્મની પર બરાબર પ્રહાર કર્યો હતો. હાથમાં ગોળી ખાવા છતાં તેણે દુશ્મનોને પડકારવાનું ચાલું રાખ્યું. એ એટલી હદે ઘાયલ થયો હતો તો પણ તેણે દુશ્મન સેનાનો સામનો કર્યો. તેનાથી હવે ખસી શકાતું નહોતું છતાં એ ચાલી શક્યો ત્યાં સુધી તેણે જંગ જારી રાખ્યો. ગ્રીસની જેમ ઈજિપ્તમાં પણ તેણે જર્મન સેના વિરુદ્ધ છેક સુધી લડત આપી અને ઘણો યુદ્ધ સરંજામ એકલા હાથે નાબુદ કર્યો. તેના આ પરાક્રમ બદલ તેને બીજી વખત 'વિક્ટોરિયા ક્રોસ' આપવાનું નક્કી થયું. જે ઐતિહાસિક બાબત હતી. કેમ કે, ચાર્લ્સ અપહેમ પહેલા અને એ પછી આજ સુધી 'વિક્ટોરિયા ક્રોસ'ના દોઢસો વર્ષના ઈતિહાસમાં એ સન્માન કોઈ પણ સૈનિકને યુદ્ધમાં લડવા માટે બે વખત એનાયત નથી થયો! આ એવોર્ડે જ તેને બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યોદ્ધા સાબિત કર્યો હતો.
                                                                     * * *
૧૧ મે, ૧૯૪૫ના એ દિવસે સૈનિકોનો ભવ્ય સત્કાર સમારોહ બકિંગહામ પેલેસમાં યોજાયો હતો. સૈનિકાના શૌર્યનું સન્માન કરવા માટે ખૂદ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હાજર હતા. કેટલાકને બ્રિટનનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો તો કોઈને અન્ય મેડલ્સ મળવાના હતાં. એ સમારોહમાં ચાર્લ્સ અપહેમને પણ 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો. આખા સમારોહમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એવું ય નહોતું કે સમારોહમાં વિશેષ સન્માન મેળવનારો એ એક માત્ર યોદ્ધા હાજર હતો. બીજા ઘણાં બધાં લડવૈયાઓ અને યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લોકો હતા કે જેને 'વિક્ટોરિયા ક્રોસ' મળવાનો હતો, પણ તેમ છતાં ચાર્લ્સ એટલા માટે ધ્યાનાકર્ષક બન્યો હતો. કેમ કે, એ એક માત્ર સૈનિક હતો જેણે જીવનના ૩૭મા વર્ષે બબ્બે 'વિક્ટોરિયા ક્રોસ' પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
''કેપ્ટન ચાર્લ્સ ખરેખર બીજાં 'વિક્ટોરિયા ક્રોસ'ને મેળવવા પાત્ર છે ખરા?''
સમારોહમાં ચાર્લ્સને એવોર્ડ આપતી વખતે રાજા જ્યોર્જ પંચમે મેજર જનરલ હોવાર્ડ કિપનબર્ગરને ઉદેશીને પૂછ્યું હતું.
''સર હું ખૂબ આદરપૂર્વક કહીશ કે જો મારી પાસે 'વિક્ટોરિયા ક્રોસ' આપવાની સત્તા હોત તો બેશક એકથી વધુ વખત મેં એ ચાર્લ્સને આપ્યો હોત!'' મેજર જનરલે રાજાના સન્માનમાં મસ્તક નમાવીને તરત રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ઉત્તર અપેક્ષિત હોય એમ એ સાંભળતાની સાથે જ રાજાએ ચાર્લ્સની પીઠ થાબડી હતી. એ દ્રશ્ય ચાર્લ્સની આંખો સામે ૮૬ વર્ષ સુધી સતત તરવરતું હતું અને જ્યારે જ્યારે એ યાદ આવતું ત્યારે તેની આંખોમાં એક અનોખી ખૂમારી આવી જતી હતી.
આમ તો એની યુદ્ધ કારકિર્દી એટલી બધી લાંબી પણ નહોતી. ૧૯૩૯ સુધી સરકારી નોકરી કર્યા પછી બીજાં વિશ્વયુદ્ધના પડઘમ વાગ્યા ત્યારે યુવાનો સૈન્યમાં જોડાતા હતા એમાં ચાર્લ્સે પણ ન્યુઝિલેન્ડની સેનામાં જોડાવાનું મન મનાવ્યું. યુદ્ધ પછી ઈજાના કારણે તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધી. યુવા વયે ખેતી કરી હતી એ જ વ્યવસાય ફરીથી અપનાવ્યો. યૌદ્ધાને સરકાર તરફથી મળતી લોન લીધી, તેમાંથી ખેતર લીધું અને ત્યાર બાદ તો શાળા કોલેજોમાં સ્કોલરશીપ આપીને ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ૧૯૯૪માં ૮૬ વર્ષની વયે ચાર્લ્સે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ઘરમાં કે ખેતરમાં જર્મન બનાવટની એક પણ ચીજવસ્તુ ન હોય એનું ખાસ ધ્યાન રાખતા હતા. ન્યુઝિલેન્ડમાં આજેય ૧૦ નેશનલ હીરોની યાદી તૈયાર કરવાની હોય તો એમાં લોકો ખૂબ ગૌરવપૂર્વક ચાર્લ્સ અપહેમનું નામ શુમાર કરે છે!
-------------------------------------------
ચાર્લ્સ અગાઉ બે વ્યક્તિએ બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યાં છે!
ડો. આર્થર માર્ટિન લીક
ચાર્લ્સ અપહેમ અગાઉ બે વ્યક્તિઓને યુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ કોમનવેલ્થનો આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો છે. બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવનારી પ્રથમ વ્યક્તિ હતા ડો. આર્થર માર્ટિન લીક. ૧૯૦૨ની બોર વોરમાં દુશ્મનોથી માત્ર ૧૦૦ મીટરના અંતરે રહીને સૈનિકોની સારવાર કરી હતી. કેટલાય સૈનિકોનો જીવ બચાવવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવવા બદલ આ તબીબને બ્રિટને વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ માર્ટિને તેની આ બહાદુરી ફરી વખત બતાવી હતી. દુશ્મનોની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયેલા અસંખ્ય સૈનિકોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતાં. ગોળીઓના વરસાદ વચ્ચે તેમણે નિર્ભિક થઈને સારવારની કામગીરી કરી હતી જેના માટે સૈન્યના કમાન્ડરે તેમને 'વિક્ટોરિયા ક્રોસ' આપવા ભલામણ કરી હતી.

 ડો. નોએલ ચાવાસી
આવા જ બીજા તબીબ હતા નોએલ ચાવાસી. રોયલ આર્મી સાથે મેડિકલ ટીમમાં સમાવેશ પામનારા ડો નોએલે બ્રિટનના અસંખ્ય સૈનિકોને નવજીવન આપ્યું હતું. બેટલ ઓફ સોમ વખતે તેણે ૫૦૦ લોકોની સારવાર ગોળીબારી વચ્ચે કરી હતી. જેના માટે તેનું સન્માન 'વિક્ટોરિયા ક્રોસ'થી કરાયું હતું. ૧૯૧૭ના વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં જ બેટલ ઓફ મુડ વખતે તેમણે ફરી વખત સતત બે દિવસ અને બે રાત ખડેપગે રહીને સૈનિકોની સારવાર કરી હતી. તેમણે ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગંભીર રીતે ઘવાયેલા લોકોની સારવાર કરી હતી એટલે તેમને ફરી વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત કરાયા હતા.
જોકે, આ બંને તબીબ હતા અને સૈનિકોની સારવાર માટે તેમને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ચાર્લ્સ અપહેમે એક યોદ્ધા તરીકે આ સન્માન મેળવીને બબ્બે વખત ઈતિહાસ રચનારો વિશ્વનો પ્રથમ લડવૈયો બન્યો હતો.
 ---------------------------------------
સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' ક્યારથી અપાય છે? 
'વિક્ટોરિયા ક્રોસ'એ બ્રિટનના આધિપત્ય હેઠળનો સર્વોચ્ચ યુદ્ધ ચંદ્રક છે. કોમનવેલ્થ તરીકે ઓળખાતા ૫૩ દેશોના સૈનિકોને અને યુદ્ધમાં અન્ય મહત્ત્વની બહાદુરી બતાવવાના સન્માન રૃપે આ એવોર્ડ એનાયત થતો હતો અને હજુ પણ થાય છે.

૧૮૫૦ આસપાસ ઈંગ્લેન્ડનો સુરજ સોળે કળાએ ખીલતો હતો. એ સમયે આર્મી ઓફિસર્સને તેમણે યુદ્ધમાં દાખવેલા શૌર્ય માટે સન્માન કરવામાં આવતું હતું, પણ સૈનિકો માટે એવો કોઈ જ વિશેષ એવોર્ડ એનાયત નહોતો કરાતો. ત્યારે ૧૮૫૪માં એક વિશેષ સમિતિએ આવા એવોર્ડની ભલામણ રાણી વિક્ટોરિયાને કરી હતી. આર્મી અધિકારીઓએ એનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ એવોર્ડની તરફેણ કરી હતી. પરિણામે ૨૯ જાન્યુઆરી, ૧૮૫૬માં 'વિક્ટોરિયા ક્રોસ'ની સમિતિનું ગઠન થયું હતું. નામ અંગે ઘણી અવઢવના અંતે પ્રિન્સ આલ્બર્ટે 'વિક્ટોરિયા ક્રોસ' નામ પર મંજૂરી લગાવી હતી. એ નામને રાણીએ પણ વધાવી લીધું હતું. ત્યાર બાદ ૧૮૫૭થી એ એવોર્ડની શરૃઆત થઈ હતી.

Sunday, 31 August 2014
Posted by Harsh Meswania
Tag :

ટેટુથી અંગને અનંગ જેવું ચીતરતા નંગ!


શરીર પર છૂંદણા કરાવીને નવો લૂક અપનાવવાનું વલણ વર્ષોથી ઈન ટ્રેન્ડ રહ્યું છે, પણ ઘણા ભેજાગેપ શોખીનો અકારણ શરીરને વીંધીને-ચીટરીને ડિફરન્ટ લૂકની લ્હાયમાં બળી મરે છે. એવા જ કેટલાક કિસ્સાઓ પર એક નજર...

રોલ્ફ બુછોલ્ઝ દુબઈના એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ એરપોર્ટ અધિકારીઓ તરફથી તેને પરત ફરવાનું ફરમાન છૂટયું. એની પાસે જરૃરી બધા જ ડોક્યુમેન્ટ્સ હતા. એ તમામ ડોક્યુમેન્ટ્સ બનાવટી પણ નહોતા કે ન એ પોતાના દેશમાંથી ભાગીને આવ્યો હતો. વળી, એ સેલિબ્રિટી પણ નહોતો કે તેની સિક્યુરિટીનું ધ્યાન રાખવું પડે! એ તો દુબઈમાં માત્ર થોડી કલાકો માટે એક કાર્યક્રમ આપવા આવ્યો હતો. એ ન જાય તો આખો કાર્યક્રમ રદ્ કરવો પડે અને પોતાને મળેલી રકમ પણ પાછી આપવી પડે. તેણે અધિકારીઓને સમજાવવા કોશિશ કરી જોઈ, પરંતુ અધિકારીઓ એકના બે ન થયા. અધિકારીઓએ રોલ્ફને કારણ આપતા જણાવ્યું જેની કલ્પના પણ રોલ્ફે ક્યારેય નહોતી કરી. હા, તેના દેખાવના કારણે તેણે ઘણી વખત હાસ્યાસ્પદ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો એ સાચુ, પરંતુ તેને આ રીતે કોઈ જગ્યાએથી પાછા જવાનું ફરમાન ક્યારેય નથી છૂટયું એ તેને બરાબર યાદ હતું. તેને પરત મોકલવાનું કારણ હતું તેનો વિચિત્ર દેખાવ! તેણે પોતાના ૫૩ વર્ષના આયખામાં શરીર પર એટલા બધા છૂંદણાં કરાવ્યાં હતાં કે હવે તેની ચામડીમાં છૂંદણા સિવાય કશું જ દેખાતું નહોતું. તેના શરીર પર ૪૫૩ છૂંદણાં હતા અને એ છૂંદણાએ જ તેને એરપોર્ટ પર રોક્યો હતો! ટેટુ તરફના શોખના કારણે તેનો મૂળ દેખાવ હવે રહ્યો જ નહોતો. જોકે, રોલ્ફ એકલી એવી વ્યક્તિ નથી જેને ટેટુની અનહદ ઘેલછા હોય. આવા તો કેટલાય કિસ્સા છે જેણે શરીરને ધારણા બહાર વીંધી-ચીતરી નાખ્યું છે. ચામડી પર ટેટુની શાહીનું પડ ચડી ગયું છે જે હવે કેમેય કરીને નીકળે એમ નથી!
                                                                        * * *
લુસી ડાઇમંડ રિચ ૧૦૦ ટકા ટેટુ મેન
આ સન્માન તેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આપ્યું છે. લુસીએ ૨૦૦૬માં દાવો કર્યો હતો કે તેના શરીરમાં એક જગ્યા પણ એવી બચી નથી જ્યાં ટેટુ ન હોય! તેના દાવાની ખરાઈ કર્યા પછી તેને વિશ્વનો ૧૦૦ ટકા ટેટુ મેન જાહેર કરાયો હતો. શરીરની ચામડી પર તો લુસીએ ટેટુ કરાવ્યા જ છે, પરંતુ આખા શરીર પર ટેટુ થઈ ગયા પછી કાન, જીભ અને ગુપ્તાંગ પર પણ ટેટુ કરાવ્યાં છે. લુસી ન્યુઝિલેન્ડમાં રહે છે અને પોતાના ટેટુનું પ્રદર્શન કરીને રોજીરોટી મેળવે છે. લોકોની ડિમાન્ડ મુજબના કરતબો કરીને મનોરંજન પૂરું પાડનારા આ કલાકારને મન ટેટુ એક નશો છે. તેને સતત નવા નવા ટેટુ ક્રિએટ કરતા રહેવાની આદત પડી ગઈ છે, પણ હવે શરીર ઉપર એક જગ્યા પણ ટેટુ બનાવવા માટે બચી ન હોવાની વાતથી તે નિરાશ થાય છે.

ઈલેઇન ડેવિડસનઃ ૬૯૨૫ છૂંદણાં કરાવનારી મહિલા!
૨૦૧૧માં સ્કોટલેન્ડની એક મહિલાએ દાવો કર્યો કે તેણે સાતેક હજાર જેટલા છૂંદણાં કરાવ્યાં છે. તેને જોઈને કોઈ પણને તેના દાવામાં દમ લાગે એ સ્વાભાવિક હતું. વિવિધ રેકોર્ડ્સ બૂક્સે તેનું પરિક્ષણ કરાવ્યું અને અંતે ખરેખર જ તેના શરીર ઉપર સાતેક હજાર છૂંદણાં હતાં. ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે વિશેષજ્ઞાો પાસે તેના શરીરને ચેક કરાવ્યું ત્યાર પછીનો આંકડો હતો- ૬૯૨૫. બ્રાઝિલમાં જન્મેલી ઈલેઇને શરૃઆતમાં પરંપરાના ભાગરૃપે ટેટુ કરાવ્યું હતું અને પછી તેને એક પછી એક ટેટુ બનાવવામાં ખૂબ આનંદ મળતો હતો પરિણામે તેણે ટેટુ બનાવવાનું શરૃ રાખ્યું. અત્યારે તે તેના પતિ સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રહે છે. ટેટુ પાછળ પાગલ આ મહિલાના પતિના શરીર પર એકય ટેટુ નથી!

જુલિયા ગ્નુસઃ રોગ ઢાંકવા બનાવ્યું ટેટુ અને...
જુલિયા ગ્નુસ નામની મહિલાને ચામડીનો કોઈક વિચિત્ર રોગ થયો હતો. ચામડીમાં પડેલા ચકામાનો કોઈ જ ઉપચાર નહોતો બચ્યો. અંતે તેને કોઈકે ઉપાય બતાવ્યો કે ટેટુ કરાવવાથી ચામડીના ચકામા ઢંકાઈ જશે. આ ઉપચાર તેને અક્સિર લાગ્યો. તેણે ચકામા પડયાં હતાં ભાગોમાં ટેટુઝ કરાવી નાખ્યાં. ધીમે ધીમે સ્થિતિ એ આવી કે શરીરના જે ભાગમાં પેલો ચામડીનો રોગ માથું ઊંચકે એ ભાગમાં જુલિયા તરત જ ટેટુ કરાવી નાખવા લાગી. થોડા વર્ષો આમ ચાલ્યું અને અંતે જુલિયાના શરીરમાં ટેટુની સંખ્યા ખૂબ વધી ગઈ. એ એટલે સુધી કે શરીર ઉપર સૌથી વધુ છૂંદણાં કરાવનારી વ્યક્તિઓની યાદી તૈયાર કરવાની થાય તો જુલિયાનો એમાં બેશક સમાવેશ કરવો જ પડે!

રિક જેનેસ્ટઃ ધ ઝોમ્બી બોય
૨૦૧૦માં એક તસવીરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. ઝોમ્બીને આખી દુનિયાએ ફિલ્મોમાં જોયા હોય, પરંતુ ખરેખર તેનું અસ્તિત્વ છે એ વાતથી બધાને આશ્વર્ય થયું હતું. વાત એમ હતી કે રિક જેનેસ્ટ નામના એક યુવાને પોતાની તસવીર ઈન્ટરનેટ પર ફરતી કરીને વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સમાં અચરજ પેદા કર્યું હતું. તેણે તેના શરીર પર એવી રીતે ટેટુ ક્રિએટ કરાવ્યાં હતાં કે તેને જોઈને પહેલી નજરે ફિલ્મોમાં જોયેલા ઝોમ્બીની યાદ તાજી થઈ જાય. તેને જગતમાં ઝોમ્બી બોય તરીકેની નવી ઓળખાણ મળી. આ ઝોમ્બી બોયને પોતાના શરીર પર ક્રિએટ કરાવેલા ટેટુનો ફાયદો ત્યારે થયો જ્યારે લેડી ગાગાએ પોતાના એક વીડિયોમાં કામ કરવા માટે તેનો સામેથી સંપર્ક કર્યો. રિકે ૨૦૧૧માં 'બોર્ન ધિસ વે' મ્યુઝિક વીડિયોમાં લેડી ગાગા સાથે કામ કર્યું છે. એ પછી તેના માટે મ્યુઝિકલ શો કરીને કમાણી રળવાની નવી દિશા ખૂલી ગઈ!

કાલા કવાઈઃ સેમ્પલ બતાવીને બન્યો અનોખો નમૂનો!
કાલા કવાઈ તરીકે પોતાને ઓળખાવતો એક લેટિન અમેરિકન ટેટુ આર્ટિસ્ટ વર્ષોથી પોતાના પાર્લરમાં ટેટુ બનાવી આપવાનું કામ કરે છે. ગ્રાહકોને કેવા ટેટુ બનાવવા જોઈએ એ બતાવવા માટે પોતાના શરીર પર જ પહેલા એ સેમ્પલ ટેટુ બનાવતો. એમ કરતા તેના શરીરના ૩૦ ટકા ભાગમાં ટેટુ બની ગયા. વળી અધૂરામાં પૂરું તેણે નવો લૂક ધારણ કરવા માટે શિંગડા પણ બનાવ્યાં. એ રીતે ય તેનો દેખાવ વિચિત્ર બન્યો છે. ગ્રાહકોને સેમ્પલ બતાવીને આકર્ષવાનો કીમિયો સફળ થાય કે ન થાય એની પરવા કર્યા વગર તેણે શરીર પર એટલા બધા છૂંદણાં બનાવ્યા કે હવે એ પોતે જ ટેટુ રસિયાઓ માટે નમૂનો બની ચૂક્યો છે!

પૌલ લોરેન્સઃ એક રહસ્યમય ઈન્સાન
પૌલ દુનિયાનું એવું કોઈ રહસ્ય સંઘરીને નથી બેઠો, પણ તેણે તેના શરીર ઉપર રહસ્ય જરૃર ક્રિએટ કર્યું છે! પૌલ લોરેન્સના શરીર પર અસંખ્ય ટેટુઝ છે. સામાન્ય રીતે ટેટુઝ ક્રિએટ કરવા પાછળનો હેતુ કોઈ કળાને શરીર પર દર્શાવવાનો હોય છે, પણ અહીં વાત થોડી અલગ છે. કેમ કે, પૌલના શરીર પરના બધા જ ટેટુઝ પઝલ સ્વરૃપે છે. એટલે કે તેણે તેના શરીર પર અલગ અલગ પ્રકારની પઝલ્સ બનાવી છે. લગભગ બે હજાર ટેટુ આર્ટિસ્ટને તેણે ટેટુ બનાવવાની તક આપી છે! આટલા આર્ટિસ્ટે તેના શરીર પર ટેટુ બનાવ્યા એ જ વિક્રમ છે. એ કોઈ પાસે જાય ત્યારે તેને જોનારી વ્યક્તિ પઝલ્સ ઉકેલવામાં પડી જાય છે. પૌલના શરીર પરની બધી જ પઝલ્સ ઉકેલવી અશક્ય જણાય છે. આ કારણે તેને દુનિયાનો સૌથી રહસ્યમય માણસ કહેવામાં આવે છે.

શરીર છે કે સાઇનબોર્ડ?
છેલ્લા કેટલાક વર્ષોથી એવા લોકો ય સામે આવ્યા છે જે પોતાના શરીર પર ટેટુ જાહેરાતના હેતુથી બનાવતા હોય. કોઈ કંપની કે વેબસાઇટનું નામ શરીર પર કોતરાવવાના વળતર સ્વરૃપે જે તે કંપની પાસેથી અમુક રકમ વસૂલતા હોય! યુવે ટ્રોશેલ નામના એક જર્મને પોતાના ચહેરા પર ટેટુ બનાવવા માટે કંપનીઓને ઓનલાઇન આમંત્રિત કરી હતી. કપાળ-ગાલ-હડપચી વગેરે પર નામ લખાવીને જે પૈસા મળે તેમાંથી તેને ડોગ મ્યુઝિયમ બનાવવું છે. બ્રાઝિલના એડસન એપેરેસિડો બોરિમે પોતાના શરીર પર ૪૯ જેટલી કંપનીઓની જાહેરાત ચીતરાવી છે. આઠેક વર્ષ પહેલા તેને શરીર પર કોઈક કંપનીનું ટેટુ બનાવીને પૈસા રળવાનો વિચાર આવ્યો હતો. બોરિમ પોતાના શરીર પર ટેટુ રાખવાના એક માસના ૧૫૦૦ રૃપિયાથી લઈને ૧૦ હજાર સુધીનો ચાર્જ વસૂલે છે. જે કંપની પૈસા ન આપે તેની જાહેરાત પર તે ચોકડી કરી નાખે છે! છેલ્લે ૫૦મી જાહેરાત કપાળ પર મૂકાવવા માટે બોરિમે ઓનલાઇન જાહેરાત મૂકી હતી. જેમાં તેને બહુ મોટી રકમ મળવાની આશા છે!
બિલિ ગિબ્બી નામના એક અમેરિકન યુવાને પણ આ ધંધામાં ઝંપલાવ્યું છે. બિલિએ પોતાના બાળકો અને પત્ની માટે આ પગલું ભર્યું છે. ઘર ખરીદવાના પૈસા એકઠાં કરવા તેણે પોતાના શરીર પર ટેટુ બનાવવા માટે કંપનીઓને ઓનલાઇન ઈન્વિટેશન પાઠવ્યું હતું. અત્યારે તેના શરીર ઉપર ૨૦ ટેટુ છે. જેમાં પોર્ન વેબ એડ્રેસનો પણ સમાવેશ થાય છે. શરીર ઉપરની આ એડવર્ટિઝમેન્ટ અત્યારે તેની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે.

દુનિયાના તવંગર ટેટુ આર્ટિસ્ટ
આજે વિશ્વમાં ધીકતી કમાણી રળનારો ટેટુ આર્ટિસ્ટ છે-સ્કોટ કેમ્બલ. તે પોતાના કસ્ટમર્સ પાસેથી એક કલાકના એક હજાર ડોલર એટલે કે ઓછામાં ઓછા સાંઠેક હજાર રૃપિયા વસૂલે છે. એક ટેટુ બનાવવામાં જો બે-ત્રણ કે ચાર કલાક લાગે તો તેને લાખો રૃપિયા ચૂકવવા પડે. હોલિવૂડના કલાકારો તેની પાસે ટેટુ કરાવે છે એટલે એ સેલિબ્રિટીનો આર્ટિસ્ટ ગણાય છે. આવું જ બીજું નામ એટલે એમી જેમ્સ. એમી જેમ્સ જોકે કેમ્બલ જેટલા પૈસા નથી વસૂલતો, પણ તેનાથી અડધી રકમ એટલે કે કલાકના ૩૦ હજાર રૃપિયા તો ગ્રાહકોને આપવા જ પડે છે. આ જ યાદીમાં ભારતીય મૂળના અનિલ ગુપ્તાનો સમાવેશ થાય છે. અનિલ ગુપ્તા ન્યુયોર્કમાં કામ કરે છે અને તેનો કલાકનો ચાર્જ ૪૫૦ ડોલર છે. વિશ્વના પાંચ ધનવાન ટેટુ આર્ટિસ્ટનું લિસ્ટ તૈયાર થાય તો તેમાં કલાકના ૩૦૦ ડોલર લેતા પૌલ બૂથ ઉપરાંત મિયામીની ખ્યાતનામ આર્ટિસ્ટ કેટ વોન ડીને પણ સામેલ કરવી રહી!
Sunday, 24 August 2014
Posted by Harsh Meswania
Tag :

૨૭ હજાર કામદારોની કબર પર વહેતી પનામા કેનાલ


પનામા કેનાલ પર પ્રથમ જહાજે સફર ખેડી હતી એ ઘટનાને ૧૫મી ઓગસ્ટના દિવસે સો વર્ષ થયાં. માનવ સર્જિત બાંધકામોમાં પનામા કેનાલને સાત અજાયબીઓમાં શુમાર કરવામાં આવે છે.

ફર્ડિનાન્ડ  ડી લેસેપ્સની આંખોમાંથી અસફળતાનું પારાવાર દર્દ આંસુ બનીને ટપકતું હતું. એ હજુય માની નહોતો શકતો કે તેની મહાત્વાકાંક્ષી યોજના આ રીતે અકાળે બંધ કરવી પડશે. અસફળતાના કારમા ઘાએે તેને એવો તો શારીરિક-માનસિક ફટકો માર્યો હતો કે એ થોડા સમયમાં જ માંદગીને બિછાને પડી ગયો હતો. સુએઝ કેનાલ જેવું નોંધપાત્ર કામ તેના નામે બોલતું હોવા છતાં તેને આ એક જ બાબતનો અફસોસ રહી ગયો હતો કે દશકા પહેલા જેનું શમણું જોયું હતું એ કામ અધૂરું મૂકવું પડયું. આ નિષ્ફળતાનો ભાર તેને ગૂંગળાવી રહ્યો હતો.
એને ૧૫ વર્ષ પહેલાનો મે મહિનાનો ૧૮૭૯નો એ દિવસ યાદ આવી ગયો. પેરિસમાં પનામા કેનાલ કોંગ્રેસ સમિતિને સંબોધન કરતી વખતે ઉચ્ચારેલા પોતાના શબ્દો જ સતત તેના કાનમાં પડઘાતા હતા. 'આપણે એક એવા કામને આકાર આપવા જઈ રહ્યાં છીએ જેને સદીઓ સુધી લોકો યાદ રાખશે. અશક્ય લાગતું કામ આપણે શક્ય બનાવીશું. એ દિવસો દૂર નથી જ્યારે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે અસંભવ લાગતી કેનાલ શક્ય બની જશે અને એનો યશ આગામી પેઢી સામે આપણે છાતી ફૂલાવીને લઈ શકીશું. આપણે મહાન કેનાલનું નિર્માણ કરવા આગળ વધી રહ્યાં છીએ. સદીઓથી જે કામ દુષ્કર લાગતું હતું એ કરવામાં આપણે બેશક નસીબદાર બનીશું અને એ મહાન કામનું નામ હશે- પનામા કેનાલ!'
આજે તેને એ શબ્દો નિરર્થક લાગતા હતા. જે કામ ત્યારે શક્ય લાગતું હતું એ હવે અસંભવ લાગવા માંડયું હતું. પીળા પડી ગયેલા મજૂરોના ચહેરા પરથી લાચાર આંખો પોતાને અનિમિષ તાકી રહીને કશીક આજીજી કરતી હોય એવું તેને લાગ્યા કરતું હતું. અચાનક તેના કાનમાં કોઈકના અટ્ટહાસ્યનો અવાજ પડઘાતો હોય એમ વાક્યો ગૂંજ્યાં- '૨૨,૦૦૦ કામદારોના મોત...' 'સુએઝની સફળતાના કેફમાં પનામાના આયોજનની ખામી..' 'કરોડો રૃપિયાનું દેવાળું...' 'નિષ્ફળતાનું કલંક...'
                                                                            * * *
૧૯મી સદીના ઉતાર્ધમાં એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર ઓળંગીને ઉત્તર અમેરિકા-દક્ષિણ અમેરિકા પાર કરવા માટે ૧૨,૦૦૦ કિલોમીટરનું અંતર જળમાર્ગે કાપવું પડતું હતું. સુએઝ કેનાલની સફળતા પછી પનામા કેનાલ બનાવવા વિશે પણ જોરશોરથી વિચારણા ચાલી રહી હતી. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે સાંકળી પટ્ટી બંને મહાસાગરોને અને ઉત્તર-દક્ષિણ અમેરિકાને અલગ પાડતી હતી. એને કેનાલ વડે જોડી દેવામાં આવે તો બંને વચ્ચેનું અંતર ઓછું થાય જેના પરિણામે વ્યાપાર-વ્યવહારમાં મોટો ફરક પડી જાય તેમ હતો. આ કેનાલ બાંધવાનો વિચાર સાવ નવો પણ નહોતો.
વાસ્કો ન્યૂનેઝ ડી બોલ્બો નામના સ્પેનિશ સાહસિકે પ્રથમ વખત ૧૫૧૩માં પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચેના આ કેનાલના માર્ગે પ્રવાસ ખેડયો હતો. સૌપ્રથમ વખત ડી બોલ્બોએ કહ્યું હતું કે બંને મહાસાગરો વચ્ચે પાતળો માર્ગ છે જેમાંથી પ્રવાસ થઈ શકે છે અને બંનેને જોડી દેવામાં આવે તો નવો જળમાર્ગ બનાવી શકાય તેમ છે. સ્પેનના રાજાને એ માર્ગને જળમાર્ગ બનાવવો જોઈએ એવો વિચાર આવ્યો પણ હતો. જોકે, ૧૬મી સદીમાં એ કામ કલ્પના કરતા અનેકગણું દુષ્કર હતું.
સુએઝ નહેરના બાંધકામ પછી આ દિશામાં કામ હાથ ધરવાનું ગંભીરતાથી વિચારાયું. જે અંતર્ગત પનામા કેનાલ કોંગ્રેસ સમિતિ બનાવીને તેનું સુકાન સુએઝ બાંધીને નામ કમાનારા ૭૪ વર્ષિય ફર્ડિનાન્ડ ડી લેસેપ્સને સોંપવામાં આવ્યું. એ વિસ્તારનો અપૂરતો પરિચય છતાં વિઘ્નરૃપ બની શકે એવી શક્યતાઓ તપાસવાનું જ વિસારે પડી ગયું એ બાબત નિષ્ફળતા માટે સૌથી વધુ કારણભૂત હતી. માર્ગમાં આવતા ગટુન નામના વિશાળ સરોવરનું શું કરી શકાય એ બાબત અવગણવામાં આવી હતી. વળી, વચ્ચે આવતી નદીઓમાં પૂર આવે ત્યારે શું થાય એના વિશે પણ ઠોસ આયોજન ન હતું. ગાઢ જંગલમાં લેસેપ્સે કામ તો શરૃ કરાવી દીધું, પણ પછી અણધારી આફતો આવવા માંડી. જેમાં સૌથી મોટી આફત હતી-યેલો ફિવર.
મચ્છરો કરડવાથી મજૂરોને યેલો ફિવર નામની બીમારી થવા લાગી. એક પછી એક મજૂરો કાળનો કોળિયો થવા લાગ્યા. બીજી તરફ એ વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે દર વર્ષે પૂરપ્રપાત થાય અને ખોદેલી માટી પર પાણી ફરી વળતું હતું. તબીબો પાસે યેલો ફિવરની સારવાર નહોતી અને એમાંને એમાં મૃત્યુઆંક ખૂબ વધવા લાગ્યો. કામ સમયરેખા કરતા વધારે લંબાતું જતું હતું અને બીમારીનો કોઈ જ ઈલાજ મળતો ન હતો.
ફ્રાન્સના બાંધકામ દરમિયાન ખરેખર કેટલા કામદારો મોતને ભેટયા એ આંકડો કોઈ પાસે નોંધાયો નથી. ફ્રાન્સના સત્તાવાર આંકડામાં તો બહુ ઓછા કામદારો બતાવાયા છે, પણ પછી યેલો ફિવરની સારવાર શોધનારા ડો. ગોર્ગાસના એક અહેવાલ મુજબ લગભગ ૨૨, ૦૦૦ લોકો આ તાવથી અને અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. ચોમેરથી ઘેરાયેલી કંપનીએ અંતે દેવાળું ફૂંક્યું. નાદાર થયેલી કંપની પાસે કામ બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નહોતો. એકાદ દશકા પછી ૧૮૮૯માં કામ બંધ થયું. પનામા કેનાલ ન બનાવી શકવાના સદમામાં પનામા કેનાલ કંપનીના પ્રમુખ અને કેનાલ માટે સવિશેષ આશાવાદી ફર્ડિનાન્ડનું નિધન થયું.
અંતિમ શ્વાસ લેતા પહેલાના તેના આખરી શબ્દો હતા- 'પનામા કેનાલ તો બનવી જ જોઈએ. આજે નહીં તો કાલે પણ એ બનાવ્યે જ છૂટકો છે!' એ સાથે જ પનામા કેનાલનો પ્રોજેક્ટ પણ ગર્તામાં ધકેલાઈ ગયો. ૧૫ વર્ષ પછી ફરીથી એ ફાઇલ અમેરિકાએ ઓપન કરી અને એ સાથે જ ખૂલ્યો વિશ્વ માટે નવો માર્ગ. જે જગતના કેટલાય દેશોના વ્યાપારી હિતો માટે ચાવીરૃપ ભૂમિકા ભજવવાનો હતો.
                                                                           * * *
અમેરિકાએ બાંધકામ શરૃ કર્યું ત્યારે મુખ્ય ઈજનેર તરીકે જ્હોન એફ વોલેસની પસંદગી કરવામાં આવી. વોલેસે ૧૯૦૫ સુધી જવાબદારી નિભાવી એ દરમિયાન તેણે આખી યોજનાને ચોક્કસ આકાર આપી દીધો હતો. ફ્રાન્સની ભૂલોમાંથી અમેરિકાએ બરાબર પાઠ ભણ્યો હતો. ફરીથી ઈતિહાસનું પૂનરાવર્તન ન થાય એ માટે કેનાલની સમાંતર સામાનની હેરફેર અને ખોદકામમાંથી નીકળતી માટીનો યોગ્ય નિકાલ કરવા રેલવે લાઇન નાખી દેવામાં આવી. ૧૫ વર્ષમાં અમેરિકાએ યંત્રોની બાબતમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી લીધી હતી એટલે મજૂરો ઉપરાંત યંત્રોની મદદ લેવાનું પણ ચાલુ રખાયું. ખોદેલી માટી ઉલેચવા માટે મોટા પાવડા, વરાળથી ચાલતી ક્રેઇન્સ, ખડકો ભાંગવાના મશીન્સ, સિમેન્ટ-રેતીના મિક્ષણ માટેના સાધનો વગેરેના કારણે કામ ઝડપી અને ચોકસાઈથી થવા માંડયું.
ફ્રાન્સ કરતા અમેરિકાની યોજનામાં પાયાનો ફરક નહેરના રૃટનો હતો. ફ્રાન્સે પશ્વિમથી પૂર્વ તરફનો સીધો માર્ગ પસંદ કર્યો હતો એના બદલે અમેરિકન પ્રોજેક્ટમાં રૃટ થોડો બદલાયો અને વાયવ્યથી અગ્નિ કરવામાં આવ્યો. અમેરિકાએ પૂરજોશમાં કામ શરૃ કર્યું. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે આવતા ગટુન સરોવર નહેરનો ભાગ બની જાય એવું આયોજન થયું. લોક સિસ્ટમ પ્રમાણે જહાજ નહેરમાંથી પસાર થાય ત્યારે પાણીની સપાટી ઊંચી-નીંચી કરવાનો મજબૂત પ્લાન તૈયાર થયો. પૂર આવે તો વધારાનું પાણી ક્યાં નાખવું અને પાણી ઘટે તો સપાટી ઊંચી લાવવા પાણી ક્યાંથી લઈ આવવું એ બધું જ કાગળ પર અંકિત થયા પછી એ દૂર્ગમ વિસ્તારમાં આખો પ્લાન જમીન પર આકાર પામવા લાગ્યો. પરંતુ ફરી વખત એ છૂપા દૂશ્મન 'યેલો ફિવરે' માથું ઉચક્યું.
કેટલાક મજૂરોના મોત થયા, કેટલાક ગંભીર માંદગીમાં પટકાયા. ફ્રાન્સ જેવું ન થાય એ માટે અમેરિકા તૈયાર હતું. તાબડતોબ સારવારની વ્યવસ્થા થઈ. ડો. ગોર્ગાસના પ્રયાસોના કારણે દર્દીઓ માટે સારવાર-દવા બંને શક્ય બન્યા. સાથે સાથે મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ય ઝેરી દવાનો ઉપયોગ થયો અને એ નૂસખો કારગત નિવડયો. યેલો ફિવર પર અમેરિકાએ અંકુશ મેળવ્યો અને એ સાથે કેનાલના બાંધકામમાં સફળતા પણ...
જ્હોન એફ વોલેસની જગ્યાએ જ્હોન એફ સ્ટીવન્સ અને ત્યાર બાદ જ્યોર્જ ડબલ્યુ ગોથેલ્સે કેનાલ બાંધવામાં કોઈ જ કસર ન છોડી. ગોથેલ્સના કાર્યકાળ દરમિયાન કામની પૂર્ણાહૂતિ થઈ. ૧૫મી ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે 'એસએસ અન્કોન' નામની અમેરિકન કાર્ગો શિપે પનામા કેનાલનો સત્તાવાર પ્રવાસ કર્યો એ સાથે જ વિશ્વના દરિયાઈ માર્ગનો સુંદર અને મહત્ત્વનો એક માર્ગ ખૂલી ગયો હતો.
ત્રણ ઈજનેરો, ૫૬ હજાર કામદારો, ૨૩ અબજ ડોલરનો ખર્ચ અને ૨૩,૮૮,૪૫,૫૮૭ ઘન યાર્ડનું કુલ ખોદકામના પરિણામે નિર્માણ પામી એક એવી કેનાલ જેનો સમાવેશ માનવ સર્જિત અજાયબીઓમાં થવાનો હતો. એ મહાન સર્જનમાં દર એક કિલોમીટરે ૫૦૦ કામદારોના પીળા પડીને હંમેશા માટે કરમાઈ ગયેલા ચહેરાઓ ઉપસીને પાણીને જાણે રક્તવર્ણુ બનાવે છે, પણ કદાચ કેનાલની ભવ્યતામાં ૨૭ હજાર જેટલા કામદારોના મોત એક સૈકા પછી વિસરાઈ ગયા છે!

* અમેરિકાએ પનામા કેનાલનું કામ હાથમાં લીધુ પછી હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે અકસ્માતો અને રોગોના કારણે ૫૬૦૯ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં સૌથી વધુ ૪૫૦૦ કામદારો વેસ્ટ ઈન્ડિઝના હતા.
* પનામાના નિર્માણમાં ૨૩ અબજ ડોલરનો  ખર્ચ થયાનું કહેવાય છે. જેમાંથી ૮૫ ટાઇટેનિક બનાવી શકાય.
* પનામા કેનાલના ખોદકામમાંથી ત્રણ સુએજ નહેર બની જાય!
* નહેરના ખોદકામના વિસ્તારમાં એક પછી એક સમસ્યા આવતી રહેતી હતી. જેમાં યેલો ફિવર (પીળો તાવ)બન્ને બાંધકામ વખતે નડેલી સૌથી મોટી સમસ્યા હતી. જંગલોમાં મચ્છરોના કારણે મજૂરોમાં યેલો ફિવર ખૂબ જ ગંભીર રીતે પ્રસરી ગયો હતો. એ સિવાયની એક બાબત હતી વરસાદ. જંગલોની વચ્ચે નહેરનું કામ ચાલતું હતું અને એ જંગલોમાં વાર્ષિક ૧૦૦-૧૦૫ ઈંચ વરસાદ ખાબકતો હતો. વળી, નદી-નાળા છલકાઈને પૂર આવવું પણ સામાન્ય બાબત હતી. જેનું પરિણામ એ આવતું કે નહેર ખોદીને માટી કિનારે પડી હોય એ પાછી નહેરમાં ભળી ગઈ હોય એટલે એ કામ ફરીથી કરવું પડે!
* કેનાલના બાંધકામમાં સરેરરાશ એક માઇલ (આશરે ૧.૬ કિલોમીટર) દરમિયાન ૫૦૦ લોકોના મોત થયાનો એક અંદાજ છે.
* ૧૯૯૯થી કેનાલ યુએસને બદલે પનામાની માલિકી હેઠળ છે.
* નહેર શરૃ થઈ ત્યારે વર્ષે દહાડે એક હજાર જહાજો એમાંથી પસાર થતાં હતાં. આજે આ આંકડો ૧૭,૦૦૦ જહાજોએ પહોંચ્યો છે.
* સો વર્ષમાં ૯ લાખ જહાજોએ પનામા કેનાલની સફર ખેડી છે. એ રીતે વર્ષે સરેરાશ ૯ હજાર જહાજો પસાર થયા કહેવાય.
* ૮૩ કિલોમીટર નહેર ઓળંગવામાં જહાજને સામાન્ય રીતે ૮થી ૧૦ કલાકનો સમય લાગે છે.
* નહેરની પહોળાઈ ૯૧ મીટર અને ઊંડાઈ ૨૬ મીટર છે.
* લોક સિસ્ટમ પણ જાણવા જેવી છે. દરિયાઈ સપાટીની કેનાલમાંથી જહાજ જેવું ગટુન સરોવરમાં પ્રવેશવાનું થાય કે એ પહેલા એક લોક આવે. જહાજ એમાં પ્રવેશે એટલે પાણીની સપાટી ઊંચકવામાં આવે. ત્યાર બાદ નીચેના સ્તરે ફરીથી જહાજ લોકમાં પ્રવેશે એટલે પાણી ઘટાડીને જહાજને નીચે ઉતારાય છે. એ રીતે ક્રમશઃ ત્રણ સપાટીની ઊંચી-નીચી પાયરી પછી જહાજને ફરીથી દરિયાઈ સપાટીની કેનાલમાં પ્રવેશ આપવામાં આવે છે. રોડમાં જેમ ડિવાઇડર હોય એમ આવી બે જહાજો માટે સામ સામે વ્યવસ્થા કરાઈ છે. 
* ૧૯૨૮માં રિચાર્ડ હેલિબાર્ટન નામનો અમેરિકન સાહસિક આખી કેનાલ તરી ગયો હતો. જોકે, તેને પણ ૩૬ સેન્ટનો ટેક્સ ચૂકવવો પડયો હતો! તો વળી સૌથી વધુ ૩,૩૦,૦૦૦ ડોલરનો ટેક્સ ડિઝની ક્રુઝ નામના શિપે ચૂકવ્યો છે.
* પનામા નહેરમાંથી પસાર થવા માટે પેસેન્જર શિપ પાસેથી પેસેન્જર દીઠ ૧૧૫ ડોલરનો ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે માલવાહક જહાજના ભાગે ૫૦ હજાર ડોલર જેવો ટેક્સ આવે છે
Sunday, 17 August 2014
Posted by Harsh Meswania
Tag :

સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનો!


આજે રક્ષાબંધનના દિવસે બે એવા પરિવારની વાત કરીએ જે વિશ્વના સૌથી મોટી વયના ભાઈ-બહેનો હોવાનો વિક્રમ પોતાની પાસે સાચવીને બેઠાં છે. એક પરિવારના ૧૫ ભાઈ-બહેનોની કુલ ઉંમરનો સરવાળો ૧,૦૯૨ વર્ષ થવા જાય છે, તો બીજા એક પરિવારના ૯ ભાઈ-બહેનોની વય ૮૩૨ વર્ષનો આંકડો બતાવે છે.

'શનિવાર અમારા બધા માટે ખાસ રહેતો. એ દિવસે બધા વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મમાંથી મુક્તિ મળતી અને અમને અમારી યુનિટી બતાવવાની તક મળી જતી. અમે દર શનિવારે આખી શાળામાં અલગ પડી જતાં. મા અમને બધા ભાઈ-બહેનોને એક સરખો પોશાક પહેરાવીને-એક સરખી રીતે તૈયાર કરીને શાળાએ મૂકી જતી. બધા અમારી સામે જોઈ રહેતા. અમે ગૌરવથી એક-મેકનો હાથ પકડીને શાળાના પ્રાંગણમાં દાખલ થતાં. શાળામાં દાખલ થઈએ ત્યારે અમને બધા જોઈ રહેતા. કારણ કે, કોઈ રેલી કાઢી હોય એવો ઠસ્સો અમે બતાવતા. અમે ૧૫ ભાઈ-બહેન બધા જ વિદ્યાર્થીઓથી અલગ પડીએ છીએ એ જોઈને હું મનોમન બહુ મલકાતી. વળી, બધા ભાઈ બહેનોમાં મારો નંબર ૮મો હોવાના કારણે ક્રમ પ્રમાણે હું ૧૫ની એ હરોળમાં બરાબર મધ્યમાં આવતી. એના કારણે મને જાણે એવું લાગતું કે હું ક્વિન છું. અમને કોઈ પણ રમતો રમવા માટે પાડોશી હમ-ઉમ્ર મિત્રોની જરૃર ક્યારેય ન પડતી. અમે ઈચ્છીએ એ રમત એક સાથે રમી શકતાં હતાં. વળી, એ રમતોમાં પણ મને વિશેષ મહત્ત્વ મળતું. કેમ કે, સાત-સાત સભ્યોની ટીમ બને એમાં એક વધે! એટલે બધાએ મળીને વચ્ચેનો ઉકેલ શોધી લીધો હતો. ઉકેલ કંઈક એવો હતો કે મારો ૮મો નંબર હતો એટલે બંને ટીમ વતી મારે એક-એક વખત રમવાનું. જેના કારણે બધા જ ભાઈ-બહેનોમાં હું એકલી જ એવી રહેતી જેને સૌથી નાના અને સૌથી મોટા એમ બંને સાથે રમવા મળતું. હું ક્વિન છું એવું માનવાનું મારી પાસે આ વધુ એક મજબૂત કારણ હતું! જોકે, છેલ્લા ૧૫ વર્ષથી બધા એક સાથે મળ્યાં હોય એવો કોઈ સંયોગ બન્યો નથી. હવે ટીમ બનાવીને રમવાની અમારી ઉંમર પણ નથી, છતાં ટીમ બનાવીએ તોયે મને બંનેે તરફ રમવાનું સૌભાગ્ય મળે તેમ નથી. કારણ કે, અમારી ૧૫ની ટીમ તૂટીને ૧૪ થઈ ગઈ છે. સૌથી મોટા ભાઈ જેકનું ૧૪ વર્ષ પહેલા જ ૮૦ વર્ષે નિધન થયું હતું. હવે તો અમે ઉંમરના એ પડાવે પહોંચી ગયા છીએ કે કોણ-ક્યારે હંમેશા માટે સાથ છોડી દે એ કહેવાય નહીં'
સસ્મિત શરૃ થયેલા સંવાદના અંતે તેનાથી ડૂચકું ભરાઈ ગયું હતું. તેની આંખો સામેથી જાણે એક પછી એક દ્રશ્યો પસાર થતાં હોય એમ તેણે આટલા વાક્યો એકધારા બોલ્યા અને છેવટે વાત પૂરી કરી.
લાંબું આયુષ્ય ભોગવતા ૧૫ ક્લિવર પરિવારના ભાઈ-બહેનોને જ્યારે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ત્યારે વચલી બહેન પૌલિન કેવનરે આ ભાવવાહી શબ્દો કહ્યાં હતાં. વિશ્વમાં કદાચ અન્ય ક્યાંય પણ આવું લાંબું આયુષ્ય ભોગવતા ભાઈ-બહેનો હયાત હોઈ શકે, પરંતુ જગતભરમાં પૂરાવાઓને આધારે વિક્રમોની ગણના કરનારી વિખ્યાત ગિનીસ બૂકમાં આ ૧૫ સહોદરને માનભર્યું સ્થાન મળ્યું છે.
આ પરિવારમાં સૌથી નાના સભ્ય માઇકલનું માનવું છે કે 'શરૃઆતમાં ૧૫ ભાઈ-બહેનો હોવાની બાબત મને ક્યારેય મહત્ત્વની લાગતી નહોતી. કારણ કે, આસપાસમાં અને વિશ્વમાં આવા તો કેટલાય ભાઈ-બહેનો હશે. પણ હવે મને લાગે છે કે અમે ખરેખર જ બધાથી અલગ છીએ. ૧૨-૧૫ ભાઈ-બહેનોનો પરિવાર હોવો એ અસાધારણ નથી, પરંતુ આટલા વર્ષેય અમે એક સાથે છીએ એે જ ખરેખર અસાધારણ બાબત છે અને અમને બધાને એનું ખરેખર ગૌરવ હતું!'
બ્રિટનના લેઇસેસ્ટરમાં રહેતા રોવલેન્ડ ક્લિવર અને એમ્માના ૨૬ વર્ષના લગ્ન જીવન બાદ તેમને ૧૫ સંતાનો હતાં. ૫૦ વર્ષની વયે રોવલેન્ડનું અવસાન થયા પછી સંતાનોને ઉછેરવાની જવાબદારી મા એમ્માએ ઉપાડી લીધી. બધા સંતાનોને ભણાવીને મોટા કરવાની સાથે સાથે એમ્માએ તમામને એક તાંતણે બાંધી રાખ્યાં. છેક ૧૯૮૬ સુધી બધા સંતાનો તેમના પરિવાર સહિત એકબીજાને મળે એવું આયોજન પણ એમ્માના કારણે થતું. એમ્માના નિધન પછી એક સાથે બધા જ ભાઈ-બહેન હાજર હોય એવું ભાગ્યે જ બનતું. છેલ્લે ૨૦૦૦ના વર્ષમાં બધા મળ્યાં હતાં. ૧૫ પૈકી બે બહેનો ન્યુઝિલેન્ડમાં સ્થાઈ થઈ ગઈ છે. એ સિવાયના ૧૨ (સૌથી મોટો જેક પણ લેઇસેસ્ટરમાં જ રહેતો હતો) વતન લેઇસેસ્ટરમાં જ રહે છે એટલે વારે-તહેવારે મળતા રહે છે. ખાસ તો ક્રિસમસ વખતે સપરિવાર ઉજાણી થાય છે. આ ભાઈ-બહેનોનો પરિવાર ખૂબ વિશાળ છે. ૩૬ પુત્ર-પુત્રીઓ અને ૫૭ ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે. જેક હયાત હોત તો તેની ઉંમર ૯૫ વર્ષ હોત. હવે બધા ભાઈ-બહેનોમાં ન્યુઝિલેન્ડમાં રહેતી માર્ગારેટની વય સૌથી વધુ ૯૦ વર્ષ છે અને સૌથી નાના માઇકલની ઉંમર ૬૯ વર્ષ છે. બધા ભાઈ-બહેનોની ઉંમરનો સરવાળો એક હજાર વર્ષ કરતા પણ વધુ થાય છે. હયાત ભાઈ-બહેનોની કુલ ઉંમરનો આંકડો છે-૧૦૯૨ વર્ષ.
૯ ભાઈ-બહેનોની સરેરાશ ઉંમર ૯૨ વર્ષ!ઈટાલીના સાર્દિનિયા નામના ટાપુના પરડાસડેફોગુ ગામના રહેવાસી ૯ ભાઈ-બહેનોના નામે થોડો અલગ વિક્રમ બોલે છે. એ બધાની ઉંમરનો સરવાળો ૮૩૨ વર્ષ છે. એટલે કે તેની સરેરાશ વય ૯૦ વર્ષ થાય છે. કોન્સોલાટા મેલિસે ૧૦૬મો જન્મદિન મનાવ્યો ત્યારે ૯ ભાઈ-બહેનોમાં સૌથી નાની બહેન માફોલ્ડાની ઉંમર ૭૮ વર્ષ હતી. ક્લાઉડિના-૧૦૦, મારિયા-૯૮, એન્ટોનિયો-૯૫, કોન્સેટ્ટા-૯૪, એડોલ્ફો-૯૧, વિટ્ટાલિઓ-૮૮ અને વિટ્ટાલિયા-૮૨ વર્ષની વયે સ્વસ્થ આયુષ્ય ભોગવે છે. લાંબાં આયુષ્યની સાથે સારા સ્વાસ્થ્યનું પણ ઈશ્વર પાસેથી વરદાન મળ્યું હોય એમ આ તમામ ભાઈ-બહેનો ઉંમરના શતકીય પડાવે પહોંચવા છતાં નિરોગી છે અને હજુય કાર્યરત છે. ક્લાઉડિના દરરોજ ચર્ચમાં જાય છે, તો એડોલ્ફો ફળિયામાં વાવેલા શાકભાજીની દેખરેખ જાતે રાખે છે. તેનો મોટાભાગનો સમય એ શાકભાજીની દેખરેખ પાછળ ખર્ચે છે.
પરિવારના બે સભ્યો એડોલ્ફો અને એન્ટોનિયો વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલી માટે લડત પણ આપી ચૂક્યા છે. એ બંનેને સૌથી મોટી વયે જીવિત ભાઈ-બહેનોનું સન્માન મળે એ પહેલા ઈટાલીની સરકાર તેમને યુદ્ધમાં સાથ નિભાવવા બદલ માનપત્રો આપી ચૂકી છે.
ભારતના આ ભાઈ-બહેનો પૂરાવા રજૂ કરી શક્યા હોત તો...
ભારત જેવા દેશમાં ૧૦-૧૫ ભાઈ-બહેનો હોવાની વાતની નવાઈ નહોતી. કુંટુંબ નિયોજનની કડક અમલવારી પહેલા દેશમાં એવા તો કેટલાય પરિવારો હતા કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૦-૧૫ તો સ્હેજેય હોય! અત્યારે પણ એવા કેટલાક પરિવાર ખૂબ જ આસાનીથી મળી રહે કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૨-૧૫ હોય અને એ તમામની ઉંમર પણ ૭૦થી ૧૦૦ વર્ષ હોય, વળી, એ તમામ હયાત હોય! જોકે, ભારતમાં જન્મ તારીખના પૂરાવાઓ બાબતે આજે જેવી સ્થિતિ છે એવી એક સૈકા પહેલા નહોતી એ સુવિદિત છે. એના કારણે જન્મના પ્રમાણપત્રો રજૂ કરવાનું કામ કપરું છે. ખાસ તો ગિનીસ બૂક ઓફ રેકોર્ડ્સ વગેરેમાં જેવી બાબતોની જરૃર પડે એવી આપણે ભાગ્યે જ પૂરવાર કરી શકીએ. પરિણામે સૌથી વયસ્ક....પ્રકારના વિક્રમો ભારતના નામે ન નોંધાય એ પણ એટલું જ સહજ છે. સૌથી વધુ રક્ષાબંધન જોઈ ચૂકેલા ભાઈ-બહેનોનો વિક્રમ ભારતના નામે હોત, પરંતુ ઉત્તરપ્રદેશનો ગુપ્તા પરિવાર પોતાનો દાવો સાચો સાબિત કરી શક્યો નહી. જન્મના પૂરતા પ્રમાણ પત્રો ન હોવાના કારણે એ દાવો માન્ય ન રખાયો. નહીંતર ૬ ભાઈઓ અને ૭ બહેનોના નામે વિક્રમ બોલતો હોત. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સંભવતઃ સુરહિયા ગામના ગુપ્તા પરિવારના સૌથી મોટા રામચરણની ઉંમર ૧૦૮ વર્ષ હોવાનો દાવો થયો હતો. સૌથી નાની બહેન ગુલાબની ઉંમર ૮૦ વર્ષ છે. એમની સરેરાશ ઉંમર ૮૪ વર્ષ હોવાનું કહેવાય છે. જોકે, ૧૩ પૈકી માંડ ૪ના જન્મના પૂરાવાઓ માન્ય રાખી શકાય તેમ છે. જો પ્રમાણપત્ર માન્ય રહ્યાં હોત તો સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનોમાં 'સત્તાવાર' રીતે આ ભારતીયોનો પણ સમાવેશ કરી શકાયો હોત!

૨૦૮ દિવસના અંતરે જન્મેલા ભાઈ-બહેન!
ટ્વિન્સના જન્મ વચ્ચેનું અંતર સાવ નજીવું હોય છે, પણ એક વિચિત્ર રેકોર્ડ રોન્ની અને સિન્નાના નામે નોંધાયેલો છે. એ રેકોર્ડ કંઈક એવો છે કે તે બંનેના જન્મ વચ્ચેનું અંતર માત્ર ૨૦૮ દિવસનું છે. એટલે કે ભાઈના જન્મ પછી બહેનનો જન્મ માત્ર ૬ માસમાં થયો હતો. બ્રિટિશ કપલ બુડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ તો નોર્મલ પ્રેગનેન્સી દરમિયાન થયો હતો, પણ પછી બૂડેન તરત જ બીજી વખત ગર્ભવતી થઈ અને રોન્ની ૬ માસનો તો માંડ થયો હતો ત્યાં તેની સાથે રમવા માટે બહેન સિન્નાનો જન્મ થઈ ગયો હતો! આ કિસ્સામાં આશ્વર્યજનક બાબત તો એ હતી કે રોન્નીની પરવરિશમાં પડેલી મમ્મી બૂડેનને પોતાની પ્રેગનન્સીની જાણ છેક ૩ માસ પછી પડી હતી. હજુ બીજા ત્રણ માસ ગયા ત્યાં તો તેના માટે વધુ એક અચરજ હાજર હતું! એ રીતે બે ડિલિવરી વચ્ચે સૌથી ઓછા અંતરે જન્મેલા આ ભાઈ-બહેનના નામે અજાણતા જ રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
Sunday, 10 August 2014
Posted by Harsh Meswania
Tag :

કોર્ટ ડ્રેસ-કોડઃ આખરે વકીલોના કોડ પૂરા થયાં ખરા!


દુનિયાભરના વકીલો કોર્ટરૃમના ડ્રેસ કોડની બાબતમાં બહુધા એકસૂત્રતાના તાંતણે બંધાયેલા જોવા મળે છે. જ્યારથી વકીલાત વ્યવસાય બન્યો છે ત્યારથી જ આમ તો વકીલોએ તેમની ઓળખ સમાન આ કાળો લિબાસ ધારણ કર્યો છે. ભારતની નીચલી અદાલતોમાં જોકે હવે આ ભારેખમ ડ્રેસ પહેરવામાંથી મુક્તિ મળી છે. વિશ્વમાં વકીલોના ડ્રેસ કોડની ક્યાં કેવી સ્થિતિ છે અને એ ક્યારથી શરૃ થયું એની થોડી વાત...

રાજા રાણીને બહુ પ્રેમ કરતા હતા. એક વખત રાણી ખૂબ જ ગંભીર માંદગીમાં સપડાઈ ગયાં. રાજાએ પોતાના રાજ્યના દાક્તરોને બોલાવ્યા અને કોઈ પણ ભોગે જાનથી પણ પ્યારી રાણીને આ જીવલેણ માંદગીમાં બહાર લઈ આવવાનો હુકમ કર્યો. એ માટે જરૃરી બધા જ પગલા ભરવાની છૂટ આપી. જે કંઈ પણ જોઈતું હોય-જ્યાંથી પણ જોઈતું હોય એ હાજર કરવાની બાંહેધરી આપી. હાકેમોની દિન-રાતની મહેનત છતાં રાણીને સારું ન થયું તે ન જ થયું. આખરે રાણીએ થોડા દિવસોની માંદગી પછી અંતિમ શ્વાસ લીધો.
રાજા હૃદયભગ્ન અને શોકમગ્ન થઈ ગયા! રાણીને ખૂબ પ્રેમ કરતા હોવાના કારણે રાજાને બધે જ અંધકારમય લાગતું હતું. તેમણે તેમના રાજમહેલમાંથી રાણીની યાદમાં રંગીન ચીજવસ્તુઓનો અને પોશાકનો ત્યાગ કરી દીધો. રાજ્યમાં પડતર કેસોનો નિકાલ કરતા દરબારીઓ અને જજને રાણીના શોકમાં કાળો પોશાક પહેરવાની સૂચના આપી. રાજાના હુકમનેે તો કોણ અવગણી શકે! એ જ દિવસથી કોર્ટની કામગીરી કરતા સભ્યો કાળો કોટ અને જજ કાળો ગાઉન પહેરીને હાજર રહેવા લાગ્યા. કોર્ટની કામગીરી કરતા સભ્યો અને દરબારીઓએ વિચાર્યું કે રાજા ચાર-છ મહિનામાં શોકમાંથી બહાર નીકળશે એટલે ફરીથી બધુ રાબેતા મુજબ થશે, પણ રાજાએ ફરી વખત એવું કોઈ સૂચન ન કર્યું એટલે થોડા સમયમાં એ પોશાક જજ-વકીલો માટે રોજિંદો ડ્રેસ કોર્ડ બની ગયો. એ પહેરવેશ પછી વિશ્વભરની અદાલતોમાં સ્વીકારી લેવાયો હતો.
                                                                          ***
આ વાત છે ૧૬૯૪ની. ક્વિન મેરી દ્વિતીયના મૃત્યુ પછી રાજા વિલિયમ ત્રીજાએ શોકમગ્ન થઈને કોર્ટની કાર્યવાહી કરતા જજ અને વકીલ સહિતના પોતાના કર્મચારીઓને આ ફરમાન કર્યું ત્યારથી વકીલો અને જજ માટે કોર્ટમાં ડ્રેસ પહેરવો ફરજિયાત થયો હોવાની વ્યાપક માન્યતા છે. ઘણી બધી બાબતોમાં વિશ્વના અસંખ્ય દેશો આજેય બ્રિટિશ શાસન દરમિયાનની તરાહને અનુસરે છે. એ જ યાદીમાં અદાલતી કાર્યવાહી અને તેના એટિકેટનો પણ સમાવેશ બેશક કરી શકાય! ભારતમાં પણ  બ્રિટિશ શાસનની પ્રણાલી અનુસાર જ અદાલતોના કેટલાક નિયમો જાળવી રાખવામાં આવ્યાં છે. જેમાં ડ્રેસ-કોડનો પણ સમાવેશ થાય છે. આખરે આટલા વર્ષો પછી એ નિયમોમાં એક મહત્ત્વનો બદલાવ આવ્યો છે.
ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટને બાદ કરતા બધી જ અદાલતોમાં વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ પહેરવો કે ન પહેરવો તે વકીલો પર છોડી દીધું છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઘણા સમયની પડતર માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતમાં ઘણી બધી નીચલી અદાલતોમાં ઉનાળો સહન કરવો કપરો છે. એમાંયે ભારેખમ ગાઉન અને કોટ પહેરીને પરસેવે રેબઝેબ થઈને કોર્ટની કામગીરી કેમ કરવી એ મોટો સવાલ હતો. એ સ્થિતિ નિવારવા માટે નીચલી અદાલતોમાં મળેલી આ છૂટછાટ ખૂબ જ મહત્ત્વની બની રહેશે. ભારતે બ્રિટિશ શાસનની ઘરેડ પ્રમાણે અદાલતી માળખું સ્વીકાર્યું એની સાથે જ બ્રિટિશ એટિકેટ પણ કોર્ટમાં અપનાવ્યો હતો. ભારતીય વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવાયેલો ડ્રેસ-કોર્ડનો નિર્ણય આવકાર્ય છે. ભારતમાં જોકે ઉચ્ચ ન્યાયાલયમાં એ એટિકેટ જાળવી રખાયો છે. વિશ્વના ઘણા બધા દેશોનું અદાલતી માળખું યુરોપિયન અસર હેઠળ આકાર પામ્યું હતું એટલે ડ્રેસ-કોર્ડમાં દેેશ-કાળ પ્રમાણે કેટલાક ફેરફાર સાથે મોટા ભાગના દેશોએ યુરોપિયન પદ્ધતિને એમાં પણ જાળવી રાખી છે!
કાળો કોટ અદાલતની અંદર કેમ પ્રવેશ્યો એની બીજી પણ ઘણી રસપ્રદ માન્યતાઓ પ્રવર્તે છે.
                                                                       * * *
કોર્ટનું મોર્ડન માળખું બનાવવાનો યશ ઘણા ખરાં લોકો ઈંગ્લેન્ડના રાજા હેનરી આઠમાને આપે છે. ૧૬મી સદીમાં ઈંગ્લેન્ડ ઘણી બધી બાબતોમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કિંગ હેનરીએ અદાલતની વ્યવસ્થા કરીને પોતાના વતી કેસને કોઈ બીજો માણસ સાંભળે અને તેના પરથી તટસ્થ તારણ આપે એવું માળખું બનાવ્યું હતું. જોકે, ત્યારે તેમણે અદાલતમાં અમુક પ્રકારના જ કપડા પહેરવા જોઈએ એવો કોઈ ખાસ નિયમ ઘડયો નહોતો. ત્યાર બાદ યુરોપિયન દેશોમાં પડતર કેસોનો નિકાલ કરવા માટે કાયદાના જાણકાર લોકોની નિમણૂંક થવા લાગી હતી. જજમેન્ટ આપનારા એ લોકોએ કોર્ટરૃમમાં પોતે અલગ પડી જાય અને શિસ્તબદ્ધ માહોલ રહે એ માટે ખાસ પ્રકારના વ્હાઇટ અને બ્લેક પોશાક પહેરવાનું શરૃ કર્યું હતું.
ઈટાલી-બ્રિટન જેવા દેશોમાં કેસોનો નિવેડો આપીને તટસ્થ રીતે કોઈ ચોક્કસ જજમેન્ટ પર પહોંચનારા લોકોની ફાધરની સમકક્ષ ગણના થતી હતી. આ કારણે જ ફાધરના પરંપરાગત ડ્રેસ-કોડને મળતો આવે એવો પહેરવેશ જજ ધારણ કરતા થયા અને ત્યાર પછી કેસ રજૂ કરનારા લોકો જેને આજે આપણે એડવોકેટ કહીએ છીએ, એમણે પણ નિહિત કરાયેલો પોશાક પહેરવાનું શરૃ કર્યું.  
એ સમયગાળામાં લાલ-મરૃન જેવા કલર્સના ગાઉન પહેરવાનો ટ્રેન્ડ ચાલતો હતો. આવા રંગોનો પહેરવેશ ધનવાન સૂબાઓ-જમીનદારો અને વેપારી લોકો માટે સામાન્ય હતો એટલે એનાથી થોડા અલગ પડવા માટે પણ બ્લેક-વ્હાઇટ કલરનો યુનિફોર્મ વકીલાતના વ્યવસાય સાથે અભિન્ન રીતે જોડાવા લાગ્યો હતો.
વકીલાતને ડિગ્રી સાથે સંબંધ નહોતો ત્યારે જે તે રાજ્યના કાયદાનો જાણકાર શાણો માણસ કોઈ બીજી વ્યક્તિની ગૂંચવાયેલી બાબતને જજ સામે રજૂ કરતો હતો. એ માટે તેની કંઈ નિયત ફીનું ધોરણ નહોતું. જેન્ટલમેનની જેમ સામેથી કોઈ જ માંગણી ન કરવા છતાં કોર્ટમાં પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી દેતા માણસને પોતાનું કામ પૂરું થયા પછી ક્લાયન્ટ તેના ગાઉનના વિશાળ પોકેટમાં પોતાની ક્ષમતા પ્રમાણેનું વળતર ચૂકવી દેતો હતો, કદાચ એટલે પણ ગાઉનમાં મોટા પોકેટ રાખવાની પ્રથા પડી હોય!
૧૭મી સદીમાં વિસ્તરતા જતાં ઈંગ્લેન્ડના વિવિધ દેશો માટે નિયત કરેલા સલાહકારો મહેલ ઉપર હાજર થાય ત્યારે તેના ખાસ પ્રકારના કાળા ગાઉનમાં જોવા મળતા હતા. એના પરથી પ્રેરિત થઈને કોર્ટની કામગીરીમાં પણ જજ અને વકીલો સરકાર માટે કામ કરી રહ્યા છે એ દર્શાવવા એવો જ ગાઉન પહેરવા લાગ્યા હોવાનું અમેરિકન કાયદા નિષ્ણાંત પ્રોફેસર એસ.જે. ક્વિનીએ નોંધ્યું છે.
માત્ર ગાઉન-કોટ જ નહીં, પણ પછીથી અન્ય બાબતો પણ નક્કી થઈ ગઈ હતી. જેમ કે, કોટની નીચે સફેદ શર્ટ જેના બધા જ બટન ગળા સુધી બંધ કરેલા હોવા જોઈએ. શર્ટ ફૂલ સ્લિવનો હોવો જોઈએ અને છેક આંગળીઓ સુધી પહેરીને બટન બંધ કરવા ફરજિયાત હોય! બ્લેક ટાઇ અને ગળાનો ભાગ ઢંકાઈ જાય એવો સ્કાર્ફ. ડાર્ક અથવા નેવી કલર્સના પેન્ટ માથે બ્લેક ટોપી. પગમાં જૂતા તો ખરા જ! મહિલાઓ માટે વિશિષ્ટ પહેરવેશ નક્કી કરવામાં આવ્યો નહોતો. મહિલા વકીલો પણ આ જ પોશાક ફરજિયાત પહેરતી હતી.
આવો પહેરવેશ પછીથી વિશ્વભરમાં યુરોપની અસરતળે કોર્ટની કામગીરી દરમિયાન પહેરવાનો શરૃ થઈ ચૂક્યો હતો. એ જ અરસામાં કાયદાઓ બનવા લાગ્યા હતા અને કાયદાનો અભ્યાસ પણ શરૃ થયો હતો. ત્યાર બાદ આ જ ડ્રેસ કોર્ડને સત્તાવાર રીતે વકીલોનો ડ્રેસ-કોર્ડ બનાવી દેવામાં આવ્યો.

પારકા પોશાકની પળોજણ!
* બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો એ પહેલા થોડા વર્ષો પહેલા આવો જ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આપણે ત્યાં પણ બ્રિટનની જેમ ન્યાયધીશને  કાર્યવાહી દરમિયાન 'માય લોર્ડ કે મિ. લોર્ડ' કહીને સંબોધન કરાતું હતું જેને બદલે જજને માત્ર સર કે એવા જ સમકક્ષ સંબોધનની બોલાવી શકાય એવો ફેરફાર કરાયો હતો.
* ભારતમાં મહિલા વકીલો કોર્ટની કાર્યવાહી દરમિયાન સાડી ઉપરાંત સલવાર-કૂર્તા, ચૂડિદાર કૂર્તા, ટ્રાઉઝર્સ-શર્ટ-કોટ પહેરી શકે છે.
* અફઘાનિસ્તાન અને ઈરાનમાં મુખ્ય ન્યાયધીશ શ્વેત ગાઉન પહેર્યા પછી માથે કાળો સાફો વિંટે છે. ઘણી નીચલી અદાલતોના ન્યાયમૂર્તિઓ અને વકીલો શ્વેત ગાઉનની સાથે એવો જ સાફો માથે બાંધતા હોય છે.
* ભાગલા પડયા પછી પાકિસ્તાને પણ ભારતની જેમ બ્રિટિશ અદાલતી માળખું સ્વીકારી લીધું હતું. જોકે, ૧૯૮૦માં પાકિસ્તાને ન્યાયધીશ અને વકીલોના ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરી નાખ્યો હતો. હવે પાકિસ્તાનમાં કાળો કોટ ઉપરાંત સફેદ શેરવાની અને ઉપર ઈસ્લામી સાફો પહેરી શકાય છે.
* અમેરિકાએ બ્રિટનની ઘરેડમાં ભાગ્યે જ કંઈ ફેરફાર કર્યો છે. યુરોપિયન દેશોની જેમ અમેરિકામાં પણ બ્લેક કોટ અથવા બ્લેક ગાઉન જાળવી રાખ્યું છે.
* ચીને કોઈનેય નકલ કરવા કરતા પોતાના દેશની ઓળખ છતી થાય એવો મિલિટરી લૂક વકીલોને પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને વિશેષ દરજ્જો અપાય છે એટલે તેના કોટના સૌથી ઉપર રિપબ્લિક ઓફ ચાઇનાની મુદ્દા ધરાવતું બટન લગાવવામાં આવે છે.
* શિકાગો બાર એસોસિએશને ૨૦૧૦માં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. જેમાં યંગ-બ્યુટિફૂલ ફિમેલ એડવોકેટના હોટ પહેરવેશના કારણે વિવાદ થયો હતો. એ ફેશન શોમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન પહેરાતા કપડાના થોડા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેની અમેરિકામાં ખૂબ ટીકા થઈ હતી. જોકે, ફિમેલ વકીલોએ પોતાનો પક્ષ રજૂ કરીને કહ્યું હતું કે કોર્ટની બહાર શું પહેરવું એ વ્યક્તિગત નિર્ણય છે અને એમાં વકીલાતના નિયમોનો કોઈ જ ભંગ થતો નથી.
* વકીલો માટેના પોશાકની બાબતમાં ભારત અને ઈંગ્લેન્ડમાં એકથી વધારે વિકલ્પો આપવામાં આવ્યાં છે. એ સિવાય ભાગ્યે જ કોઈ દેશમાં કોર્ટના ડ્રેસ-કોડમાં આટલી બધી પળોજણ કરવામાં આવે છે!

...તો ૨૫૦ કરોડ ખીંટીએ લટકશે!
દિલ્હીના એડવોકેટ કુશ કલરાની આરટીઆઈના જવાબમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ૨૦૧૧ પ્રમાણે ભારતમાં ૧૩ લાખ વકીલો પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  સૌથી વધુ વકીલો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ૨ લાખ ૮૮ હજાર વકીલો કોર્ટની કાર્યવાહીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ત્યાર પછી બિહાર અને મહારાષ્ટ્રમાં એક લાખ ઉપરાંતના વકીલો નોંધાયેલા છે. ગુજરાતમાં ૨૦૧૧ મુજબ ૬૪,૨૬૧ વકીલો વિવિધ કોર્ટમાં દલીલો કરે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાત હજાર વકીલો ઉમેરાયા છે.  એ રીતે જોઈએ તો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલોને કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ-ગાઉન પહેરવામાંથી મુક્તિ આપી છે એના કારણે ૨૫૦ કરોડ રૃપિયાના બિઝનેસ પર અસર થઈ છે. જો આ નવા નિયમના કારણે વકીલો ડ્રેસ બનાવવાનું બંધ કરી દે તો વાર્ષિક ૨૫૦ કરોડના વકીલોના કોટ બનાવતા બિઝનેસ પર તેની અસર પડશે. અત્યારે એક વકીલ પાસે સરેરાશ બે કોટ ગણી લઈએ અને એ કોટની કીંમત બે હજાર ધારીએ તો બધા વકીલોના મળીને ૨૫૦ કરોડ રૃપિયા ખીંટીએ લટકશે.
Sunday, 3 August 2014
Posted by Harsh Meswania
Tag :

પિઝાઃ મજૂરો માટે બનેલી વાનગીનું વૈશ્વિક સામ્રાજ્ય!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
 
'પિઝા' નામની એક થ્રિલર ફિલ્મ હમણાં રીલિઝ થઈ છે. જેમાં એક પિઝા હોમ ડિલિવરી બોયના જીવનમાં અચાનક બની જતી ઘટનાની વાત છે. ખેર! એ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર લાંબું ખેંચે એવી શક્યતા નથી જણાતી, પરંતુ એ બહાને પિઝા અને તેના વૈશ્વિક ફૂડ જેવા માનભર્યા અલિખિત હોદ્દા વિશે કેટલુંક જાણ્યુ-અજાણ્યું...

પિઝાને આંતરરાષ્ટ્રીય ખાણું ગણાવીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય! વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે જ્યાં લોકોએ પિઝા વિશે સાંભળ્યુ નહીં હોય. આજે પિઝા દુનિયાભરના લોકોને એક પંગતમાં બેસાડીને જમાડી શકાય એવી સર્વસ્વીકૃત વાનગી છે. પિઝા પર હવે કોઈનો યે એકાધિકાર ચાલે તેમ નથી. અમીર-ગરીબ, ઉચ્ચ-નીચ, અબાલ-વૃદ્ધ, એજ્યુકેટેડ-અભણ બધાની મનગમતી વાનગીમાં પિઝાએ વટ કે સાથ પોતાનું સ્થાન જમાવ્યું  છે. પરંતુ એક સમયે પિઝા માત્ર ગરીબો-મજૂરો અને ખલાસીઓને પરવડે એવી સસ્તી વાનગી લેખાતી હતી. ગલીના નાકે વેંચાતી એવી વાનગી જેનો સદીઓ સુધી કિચનમાં પ્રવેશ નિષેધ હતો. માનભર્યો હોદ્દો ધરાવતા સરકારી અમલદારો, કરડા લશ્કરી અધિકારીઓ અને પાંચમાં પૂછાતા ઉદ્યોગપતિઓ પિઝા જેવી વાનગીને ધૂત્કારતા હતા. 'આ તો મજૂરો માટે છે, આપણે આવું ખવાતું હશે!' એવા વાક્યો ગલીના છેડે પિઝા બનતા જોઈને બોલાતા હોવાની કોઈ જ નવાઈ નહોતી! પિઝાને લોકપ્રિયતાની પ્રથમ બાઇટ ખવડાવવાનો યશ ઈટાલીના નેપલસના મહારાણીને આપવો રહ્યો. એ મહારાણીના કારણે પિઝાની વિવિધ ફ્લેવરની સોડમ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી છે.
 ૧૮મી સદીના અંત ભાગમાં ઈટાલીના નેપલસમાં મજૂરો-ખલાસીઓમાં લોકપ્રિય બનેલી વાનગી પિઝાના છૂટાછવાયા દુકાનદારોએ એકઠાં થઈને રાજ્યના મહારાણી મારિયા કેરોલિનાના જન્મદિવસે પોતાની ખાસ વાનગી તેેમને ભેંટ આપવાનું નક્કી કર્યું. બધાએ ભેગા મળીને કાળજીપૂર્વક ત્રણ પિઝા બનાવીને મહારાણીને આપ્યા. મહારાણીએ આ નાના દૂકાનદારોની લાગણીનું સન્માન કરીને પિઝા ટેસ્ટ કર્યા. સાથે સાથે રાજાને પણ આગ્રહ કરીને ચખાડયા.
મારિયા કેરોલિનાને પિઝાનો સ્વાદ તાળવે ચોંટી ગયો. પિઝા પ્રેમના કારણે તેમણે તેમના મહેલમાં પિઝા બનાવવા માટે એક કૂક અને એક ખાસ પ્રકારની ભઠ્ઠી બનાવી હતી. મહારાણી અને રાજા પણ આ ગલીના નાકે વેંચાતી વાનગી આરોગે એવી ખબર પડે પછી તો કોણ એનો સ્વાદ ન ચાખે! એમ કરતા કરતા ધીમે ધીમે નેપલસ પૂરતું પિઝાનું વળગણ વધુ મજબૂત બન્યું.
૧૮૩૦માં નેપલસમાં સૌપ્રથમ પિઝેરિયા (પિઝાની રેસ્ટોરન્ટને આ નામે ઓળખવામાં આવતી હતી) બની ગઈ. શેરી-ગલીના નાકે બનતા પિઝા હવે રેસ્ટોરન્ટમાં પણ બનવા લાગ્યા હતા. ધીરે ધીરે માત્ર નેપલસમાં જ નહી, પરંતુ આખા ઈટાલીમાં પિઝેરિયા ખૂલવા લાગ્યા હતા. પિઝાની ઉપર પાથરવામાં આવતા વેજિટેબલ્સ જેને ટોપિગ્સ કહેવાય છે એમાં પણ વૈવિધ્ય આવવા લાગ્યુ હતું. નવા નવા વેજિટેબલ્સ અને ગાર્લિક, ઓનિયન સહિતના ફ્લેવર્સના કારણે પિઝાનો ચાહક વર્ગ ખૂબ ઝડપથી વધવા લાગ્યો હતો.
યુરોપિયન પ્રજા અમેરિકન પ્રજા સાથે સંપર્કમાં આવી પછીથી ટમેટા અને ઓઇલનો ઉપયોગ પિઝામાં થવા માંડયો. કારણ કે, ટમેટાને યુરોપિયન પ્રજા ઝેરી ફૂડ માનતી હતી. અમેરિકનો પિઝામાં ટમેટાનો ઉપયોગ કરવા લાગ્યા અને તેના કારણે પિઝાના સ્વાદમાં પણ નાવિન્ય આવ્યું હતું. ૧૯મી સદી પૂરી થવા હતી ત્યાં સુધીમાં આજના લહેજતદાર પિઝાના મૂળિયા બરાબર ઊંડા થઈ ગયા હતા. એમાં વધુ એક મજેદાર બાબત બની.
૧૮૮૯માં ઈટાલીના એક પિઝા મેકર રફેલો એસ્પોસિટોએ ઈટાલીના મહારાણી માર્ગેરિટાના સન્માનમાં એક પિઝા બનાવ્યો. જેને એ પિઝા મેકરે 'માર્ગેરિટા' નામ આપ્યું. પિઝાને મહારાણીનું નામ આપવાની સાથે ઈટાલિયન ફ્લેગના રંગથી સજાવવામાં આવ્યો હતો. એ નામ સમયાંતરે વિશ્વભરમાં ચલણી બન્યું.
૧૯મા સૈકાના ઉતરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધીમાં યુરોપ આખામાં પિઝા પ્રચલિત બની ગયા હતા. એ જ સમયગાળામાં ઈટાલીયન પિઝાએ અમેરિકામાં હળવેકથી પ્રવેશ કરી લીધો હતો. અમેરિકામાં પિઝા શિકાગોના રસ્તે પ્રવેશ્યા હતા. એટલે કે શિકાગોમાં પિઝા નાસ્તારૃપે વેંચાતા હતા. ખાસ તો સ્લાઇસને અલગ પ્રકારના ડબ્બામાં બંધ કરીને ઘણા ફેરિયાઓ વેંચવા નીકળતા હતા. નેપલસની જેમ અમેરિકામાં પણ પિઝાની શરૃઆત કારખાનેદારો અને દુકાનદારોથી થઈ. જોકે, અમેરિકનોએ પોતાને ગમતા સ્વાદ પ્રમાણે તેમાં થોડા ફેરફાર કર્યા. અમેરિકન ફૂડમાં વપરાતા મસાલાઓના કારણે પિઝા વધુ સ્વાદિષ્ટ બન્યાં હતા. એ અરસામાં જ ઘણા બધા ઈટાલિયન્સ અમેરિકામાં આવીને સ્થાઈ થઈ રહ્યાં હતાં. એવો જ એક અમેરિકામાં સ્થાઈ થયેલો ઈટાલિયન યુવાન હતો ગેન્નારો લોમ્બાર્ડી. 
ગેન્નારો લોમ્બાર્ડી ૧૮૯૭માં અમેરિકામાં સ્થાઈ થયો હતો. અમેરિકામાં આવીને તેણે ઘરવખરીની ચીજવસ્તુઓનો નાનકડો સ્ટોર ખોલ્યો. એ સ્ટોર ખાસ ચાલ્યો નહી એટલે તેને ઈટાલીમાં લોકપ્રિય થયેલી વાનગી પિઝાની રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર આવ્યો. લોમ્બાર્ડીએ ન્યુયોર્કમાં પિઝેરિયા ઓપન કરવા માટે લાઈસન્સ મેળવ્યું. જે અમેરિકન ફૂડ ઈતિહાસનું પ્રથમ પિઝા રેસ્ટોરન્ટનું લાઈસન્સ બની રહ્યું. એ વર્ષ હતું ૧૯૦૫નું. ત્યારે હજુ અમેરિકાના શિકાગોમાં છૂટાછવાયા પિઝા વેંચાવાની શરૃઆત થઈ હતી. ગેન્નારો લોમ્બાર્ડીએ 'લોમ્બાર્ડીસ પિઝા' એવું નામ રાખ્યું જે ઐતિહાસિક બની રહ્યું.
લોમ્બાર્ડીની એ નાનકડી રેસ્ટોરન્ટે વિશ્વભરમાં પિઝાના ફેલાવા માટે પાયાના પથ્થરનું કામ કર્યું. જેના ઉપર સવાર થઈને પછીથી અમેરિકામાં જ નહી, પણ જગત આખામાં પિઝાની બહુ મોટી ઈમારતે આકાર લીધો.
એ સમયગાળામાં પિઝાએ અમેરિકાના ફૂડ બજારમાં રીતસર કબ્જો જમાવી દીધો. લોમ્બાર્ડી શરૃ થયુ એના પગલે પગલે ૧૯૧૦ સુધીમાં તો બીજી સંખ્યાબંધ પિઝાની રેસ્ટોરન્ટ ખૂલી ચૂકી હતી. વિખ્યાત અમેરિકન કૂક એન્થનીએ 'ટોટોન્ટોસ પિઝેરિયા' શરૃ કર્યું. તો ઝોય ટોમેટો પિઝેરિયા, પાપાસ ટોમેટો પિઝેરિયા વગેરેના કારણે પિઝા તરફ લોકોનો પ્રેમ વધતો ગયો.
અત્યારે પિઝા હટ, ડોમિનોઝ અને પાપા જોન્સના પિઝાનું વેંચાણ વિશ્વમાં કુલ પિઝાના વેંચાણમાં ૩૦ જેટલું છે. વિશ્વભરમાં પિઝાની અઢળક લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે. જોકે, આ ત્રણેય બ્રાન્ડ વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠા ધરાવે છે. પિઝા હટનો ફેલાવો ૯૪ દેશોમાં છે. બધામાં મળીને તેની કુલ ૧૨ હજાર જેટલી પિઝેરિયા છે. જ્યારે ડોમિનોઝે ૭૩ દેશોમાં તેની હાજરી નોંધાવી છે. ૨૦૧૩ના આંકડા પ્રમાણે ડોમિનોઝના ૧૦, ૫૬૬ સ્ટોર્સ બની ગયાં છે. વિશ્વભરના લોકો ૫ અબજ પિઝા પ્રતિવર્ષ આરોગી જાય છે. દરેક સેકન્ડે ૩૫૦ સ્લાઇસ બને છે અને વેંચાતી રહે છે. આટલો વ્યાપ અન્ય પણ ફૂડનો જવલ્લે જ જોવા મળી શકે! એટલે જ તેને આંતરરાષ્ટ્રીય ફૂડ કહીએ તો જરા પણ ખોટું નથી!

પિઝાના ઓડકાર પછી ડિઝર્ટ...!

- ૧૯૫૦માં અમેરિકામાં પિઝાનો બિઝનેસ પૂરબહારમાં ખીલ્યો હતો. કારણ કે, પિઝા બનાવવાની નવી ટેકનોલોજી પણ વિકસવામાં હતી.
- હવે ઓનલાઇન પિઝા ખરીદવા એ સામાન્ય બાબત છે, પણ પ્રથમ વખત પિઝાનો ઓનલાઇન ઓર્ડર ૧૯૯૪માં પિઝા હટને મળ્યો હતો.
- ફ્રાન્સ અને ઈટાલીના પુરાતત્ત્વ વિદોએ ૭૦૦૦ હજાર વર્ષ જૂના સેકેલા બ્રેડના ટૂકડાઓ શોધી કાઢ્યા છે.
- શરૃઆતમાં એટલે કે ૧૦૦૦-૧૧૦૦ ઈ.સ. આસપાસ ગાર્લિક અને ઓનિયન એમ બે ફ્લેવરના પિઝાનું જ ચલણ હતું.
- મોર્ડન પિઝાનો ઉદ્ભવ ઈટાલીના નેપલસ શહેરમાં થયાનું વ્યાપકપણે કહેવાય છે. એ શહેરમાં મજૂર વર્ગ પોતાના ખાણામાં બ્રેડ અને ટોમેટો સોસનો ઉપયોગ કરીને બનાવાતી વાનગીને પ્રાથમિકતા આપતા હતા. કારણ કે, એ વાનગી પ્રમાણમાં સસ્તી હતી અને પરવડે તેમ હતી.
- નેપલસ એ સમયે ખલાસીઓથી ઉભરતું પોર્ટ હતું. ખલાસીઓને પણ કાંઠે પહોંચીને તરત અને સરળતાથી મળી જાય એવા ફૂડના વિકલ્પ તરીકે સૌથી પહેલા પિઝાનો વિચાર આવતો હતો. એ રીતે નેપલસ પિઝાના ફેલાવા માટે મહત્ત્વનું શહેર બન્યું હતું.
- અત્યારે ટોમેટો ફ્લેવર અને ચિઝ સાથે સર્વ થતા પિઝાનો જે ચટાકેદાર સ્વાદ છે એને બદલે ૨૦મી સદીના પ્રારંભે પિઝા સ્વીટ પ્રકારની વાનગી હતી. પાકશાસ્ત્રના ખ્યાતનામ લેખક પેલેગ્રિનો અર્ટુસીની વિખ્યાત કૂક બૂકમાં પિઝાની ત્રણ ફ્લેવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે ત્રણેય ચટાકેદારને બદલે સ્વીટ હતી.
- ૨૦૦૧ના વર્ષમાં પિઝા હટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પિઝા આપ્યા હતા. જેનું બિલ રશિયન સ્પેસ એજન્સીએ ચૂકવ્યું હતું.
- અમેરિકામાં ડોમિનોઝ પિઝાની ૩૦ મિનિટમાં હોમ ડિલિવરી ડ્રોપ કરવામાં આવી છે. કારણ કે, ઝડપથી પિઝાની સર્વિસ પૂરી પાડવા માટે કંપનીના ડ્રાઇવર્સ દ્વારા અમેરિકામાં સંખ્યાબંધ અકસ્માતો નોંધાયા છે.
- આજે પણ ડોમિનોઝ દ્વારા ૧૦ લાખ પિઝાની હોમ ડિલિવરી થાય છે
- ૩૦૦ કરોડ નંગ પિઝા વર્ષે અમેરિકામાં વેંચાય છે.
- વિશ્વમાં સરેરાશ પિઝામેકર ૨ મિનિટ અને ૩૫ સેકન્ડમાં ૧૪ ફૂલ સાઇઝ પિઝા બનાવે છે.
-૩૬ પ્રતિશત અમેરિકનની સવાર પિઝાથી પડે છે.
- દુનિયાભરના પિઝા ડિલિવરીમેન પર થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે પુરુષો ટીપ આપવામાં કંજૂસ હોય છે. જ્યારે મહિલાઓ ધાર્યા કરતા સારી ટીપ આપી જાણે છે.
- આ વર્ષે યોજાયેલા ઓસ્કર સમારોહમાં ફિલ્મ જગતની મહત્ત્વની વીસેક સેલિબ્રિટીએ સમારોહ દરમિયાનની પેટપુજામાં ખાસ પિઝાનો ઓર્ડર આપ્યો હતો. જેમાં જુલિયા રોબર્ટ, બ્રાડ પિટ, ડેક્સ શેફાર્ડ, જેર્ડ લેટો, જેનિફર લોરેન્જ જેવા લોકપ્રિય કલાકારો સમાવેશ થતો હતો.

રેકોર્ડ બૂકમાં પિઝાનો વ્યાપ!

- વિશ્વનો સૌથી મોટો પિઝા ૧૯૯૦માં સાઉથ આફ્રિકામાં બન્યો હતો. એ પિઝાનો ફેલાવો ૧૨૨ ફીટ અને ૮ ઈંચનો હતો.  જેમાં ૩૯૬૮ પાઉન્ટ ચિઝ અને ૧૯૮૪ પાઉન્ટ ટોમેટો સોસ વપરાયો હતો.
- લંડનની ગોર્ડોન રેમસી મેઝ રેસ્ટોરન્ટે એક ઓર્ડર મુજબ સૌથી મોંઘો પિઝા બનાવ્યો હતો. જેનો ભાવ દોઢલાખ જેવો થવા જતો હતો. એ પિઝામાં ગ્રાહકની ડિમાન્ડ મુજબની તમામ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
- ન્યુયોર્કમાં રહેતા સ્કોટ વીનરે પોતાના શોખ માટે ૫૯૫ કંપનીના પિઝા બોક્સ ભેગા કર્યા છે. જેની નોંધ લઈને તેને ૨૦૧૩માં ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
- ૧૯ ઓગસ્ટ, ૧૯૯૮ના દિવસે વાયએફ કોર્પોરેશનને ૧૩,૩૮૬ પિઝા ડિલિવરીનો ઓર્ડર મળ્યો હતો. જેના માટે ૪૦,૧૬૦ એમ્પલોઈ કામે લાગ્યા હતા અને અમેરિકાના ૧૮૦ લોકેશન પર જઈને હોમ ડિલિવરી કરી હતી. જેનો એક દિવસમાં હોમ ડિલિવરીનો રેકોર્ડ છે.

Sunday, 27 July 2014
Posted by Harsh Meswania
Tag :

મેન ઓન ધ મૂનઃ માનવજાતિના એ વિશાળ પગલાના સાડા ચાર દશકા


માનવજાતિએ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર તય કર્યું હતું એ વાતને આજે બરાબર ૪૫ વર્ષ થયા છે. નીલ આર્મસ્ટ્રોંગના પગની મદદથી માનવજાતિએ ચંદ્ર પર ડગલું માંડયું એ ઐતિહાસિક ઘટના આજે સીમાચિન્હ ગણાય છે અને હંમેશા માટે ગણાતી રહેશે.

૨૫મે, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડી કોંગ્રેસને સંબોધી રહ્યા હતા. એ દેશના આગામી આયોજનો વિશે અને નીતિઓ વિશે તેમનું અને તેમની સરકારનું વલણ સ્પષ્ટ કરી રહ્યા હતા. સાથે સાથે રશિયા સાથેના શીત યુદ્ધના એ સમયે તેમણે રશિયાનું નામ લીધા વગર અમેરિકાએ કેવા અને કેટલા પડકારો ઉપાડવા જોઈએ એની પણ વિગતે છણાવટ કરી. તેમનું એ સંબોધન માત્ર કોંગ્રેસ પૂરતું સીમિત નહોતું રહેવાનું. એ વકતવ્ય ખરેખર તો રાષ્ટ્ર જોગ થઈ રહેલું સંબોધન હતું. એ શબ્દો પછીથી વિશ્વ માટે યાદગાર અને નાસા માટે પ્રેરણારૃપ બનવાના હતા. અવકાશમાં આધિપત્ય જમાવવાની સ્પર્ધાના સંદર્ભમાં તેમના શબ્દો હતા કે 'આપણે વિશાળ કદમ ભરવા પડશે. પૃથ્વીથી ઉપરની દુનિયા સર કરવી પડશે. સૂર્યમાળાના છેડાને સ્પર્શ કરવાનો છે. આ દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીના પગલા અંકિત કરી દેવા જોઈએ. ચંદ્ર પર મોકલાયેલો માનવી સલામતીપૂર્વક પૃથ્વી પર આવી જાય એ આપણી ખરી સફળતા લેખાવી જોઈએ! આ દશકો રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો છે અને આપણે માનવીની વિશાળ છલાંગના રૃપમાં તેને અવિસ્મરણીય બનાવવો જોઈએ' અમેરિકન અવકાશ સંસ્થા નાસા માટે પોતાના પ્રમુખના આ શબ્દો પડકાર અને પ્રેરણા બંને હતા. એ જ દિવસે નાસાએ ચંદ્ર પર પહોંચવાના શમણાંને સાકાર કરવાની તમામ કોશિશ શરૃ કરી દીધી હતી. જે માનવ ઈતિહાસમાં અભૂતપૂર્વ પરિણામ લાવનારી બની રહેવાની હતી.
                                                                             * * *
૧૬ જુલાઈ, ૧૯૬૯ના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે કેનેડી સ્પેસ સેન્ટરમાં ધમધમાટ હતો. વર્ષોથી જેના પર કામ થઈ રહ્યું હતું એ મિશનનો આજે અતિ અગત્યનો દિવસ હતો એટલે વૈજ્ઞાાનિકોમાં ઉત્સાહ હતો. એ જ સમયે ત્રણ અવકાશ યાત્રીઓ કેન્ટિનમાં બેસીને વાતો કરી રહ્યા છે...
'હું ચંદ્ર ઉપર ઉતરીશ એટલે શું બોલીશ એ નક્કી છે. એ શબ્દો તૈયાર કરવામાં મને મારી પત્નીએ મદદ કરી છે' અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે તેના સાથી મિત્રોને જણાવ્યું.
'મને તો ખબર નથી કે હું શું બોલીશ. કશુંક બોલવાની જરૃર પડશે કે કેમ એ પણ ક્યાં ખબર છે?' સાથી અવકાશ યાત્રી બઝ એલ્ડ્રિને આર્મસ્ટ્રોંગની વાત સાંભળીને પ્રતિભાવ આપ્યો.
'તમે બંને જે વિચારવું હોય એ વિચારી લેજો, પણ અંતે તો હું કહીશ એ જ બંનેએ કરવાનું રહેશે એ તો યાદ છેને!' બંનેની વાત સાંભળી રહેલા માઇકલ કૉલિન્સે ટીખળ કરી.
'તમે અમારી સાથે ક્યાં આવવાના છો? તમે તો યાનમાં જ હશો એટલે અમે તમારી વાત થોડા માનીશું!' એલ્ડ્રિને નીલ સામે જોઈને કૉલિન્સની ટીખળનો જવાબ ટીખળથી વાળ્યો.
જેટલી હળવાશથી વાત થઈ રહી હતી એ હળવાશની ક્ષણો થોડીવાર પૂરતી જ છે એની જાણ ત્રણેયને હતી. અવકાશમાં ગયા પછી શું થશે? અમેરિકન અવકાશ ઈતિહાસનો આ સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળ થશે કે કેમ? પાછું ફરી શકાશે કે પછી આ અંતિમ ઉડાન હશે? વગેરે પ્રકારના વિભિન્ન વિચારો આ ત્રણેય અવકાશ યાત્રીઓના દિમાગમાં ધૂમરાઈ રહ્યા હતા. યાનમાં બેસતા પહેલા મનગમતી વાનગીઓ આરોગતી વખતે ત્રણેય વાતો કરતા હતા ત્યારે જ તેમને તેડું આવ્યું. યાન તૈયાર હતું. બધુ બરાબર ચેક થઈ ચૂક્યું હતું. માત્ર અવકાશ યાત્રીઓએ પોશાક પહેરવાનો જ બાકી હતી. એપોલો-૧૧ તેના નિર્ધારિત સમયમાં ઉડાન ભરવા કટિબદ્ધ હતું. નાસા સ્પેસ સેન્ટરની ઘડિયાળ સવારનો ૯.૩૨નો સમય બતાવતી હતી. આ ઈગલ યાન ઉપડયું એની ૧૨મી મિનિટે તો તે પૃથ્વીના વાતાવરણની સપાટીએ પહોંચી ગયું હતું. ૭૬ કલાક સુધીની તેની યાત્રા પર દુનિયાભરની નજર હતી. તે પૃથ્વીથી ૨,૪૦,૦૦૦ માઇલનો મુશ્કેલ પડકાર માર્ગ કાપવા ઉડયું હતું.
                                                                   * * *અમેરિકી સમય મુજબ રાતના ૧૦.૫૬ થયા હતા. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના એ ઐતિહાસિક દિવસે અમેરિકન અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર યાન ઈગલમાંથી બહાર નીકળીને સીડીની મદદથી ચંદ્ર પર ઉતર્યા. ડાબો પર ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો કે આર્મસ્ટ્રોંગે કહ્યું હતું...
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'
તેમના આ વાક્યનો પડઘો પૃથ્વી સુધી પડયો. થોડી વાર પછી એલ્ડ્રિન નીચે ઉતર્યા અને તેમણે ચંદ્ર વિશે બે જ શબ્દોમાં બધુ જ કહી દીધું. એ તેમના વિખ્યાત બનેલા શબ્દો હતા-'ભવ્ય વિરાની'
બંનેએ અમેરિકન યાન ઉતર્યુ હતું ત્યાં અમેરિકન રાષ્ટ્ર ધ્વજ ખોડયો. એ અમેરિકાની યશકલગીનું નવું શિખર હતું.
યાન ઉતર્યું ત્યારે ૩૦ સેકન્ડ ચાલે એટલું ઈંધણ બચ્યુ હતું. (યાનને પરત જવા માટે અલગ ટાંકીમાં ઈંધણ રાખવામાં આવ્યું હતું) કોલંબિયા સાથે જોડાયેલા આ ઈગલ મોડયુલને યાનથી અલગ કરીને ચંદ્રના વાતાવરણથી ચંદ્રની સપાટી સુધી પહોંચાડવાનું હતું. કોલંબિયાથી ઈગલને સફળતાપૂર્વક અલગ કર્યા પછી પડકાર હતો કોઈ જ અડચણ વગર ચંદ્રની સપાટીમાં ઈગલનું લેન્ડિંગ કરાવવાનો. જેમાં શ્વાસ અધ્ધર કરી દે એવી થોડી મિનિટોને બાદ કરતા નીલ અને એલ્ડ્રિને બધુ બરાબર પાર પાડી દીધું હતું.
ચંદ્રની સપાટી પર ઉતર્યા પછીના ત્રણેક કલાક તેમણે સંશોધનને લગતી જરૃરી કામગીરી કરી. માટી અને ખડકોના જરૃરી નમૂના એકઠાં કર્યા. તમામ કામ નિપટાવીને આ બંને પૃથ્વીવાસીઓએ પાછા ફરતી વેળાએ ચંદ્રને છેલ્લી વાર બરાબર નિરખ્યો. એ બંને સારી રીતે વાકેફ હતા કે તે ચંદ્ર પર પગ મૂકવા બડભાગી થયા હતા, બધા મનુષ્યો માટે આ શક્ય પણ નથી. જે ચંદ્રને પૃથ્વી પરથી જોઈને ભાત-ભાતની વાયકાઓ પ્રવર્તે છે, જગતભરના કવિઓને જેમાં પોતાની પ્રેમિકાના દર્શન થાય છે, કોઈને તેમાં કાળો ડાઘ દેખાય છે તો કોઈને કંઈ ભળતું જ ચિત્ર દેખાય છે. એ બધુ જ માત્ર ધારણાઓ હતી. વાસ્તવિકતા તેનાથી અનેકગણી અલગ-રોમાંચક-વિચિત્ર હતી. હજુ બંનેએ એક મહત્ત્વનું કામ કરવાનું બાકી હતું. એ છેલ્લુ કામ પૂરું થાય એટલે તેને માઇકલ કૉલિન્સની પરત આવવાની સૂચના મળવાની હતી. એ કામ હતું તખ્તી મૂકવાનું. 'ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ માસમાં પૃથ્વીવાસી માનવીએ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો, માનવજાતિ તરફથી આ શાંતિનું કદમ છે' આટલું લખેલી પ્લેટ ધ્વજની બાજુમાં મૂકવાની હતી.
થોડી પળો પછી તે ફરી વખત ઈગલમાં પહોંચી ગયા હતા. ચંદ્રને જોવામાં મસ્ત અને કામ કરવામાં વ્યસ્ત થઈ ગયેલા આ બંને અવકાશ યાત્રીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે હવેનું કામ ઈગલનું કોલંબિયા સાથેના જોડાણનું છે અને એ આખા મિશનનું ખરેખરું કપરું કામ છે.
                                                                       * * *
૨૪ જુલાઈએ ચંદ્ર યાન પૃથ્વી ઉપર પરત આવ્યું ત્યારે જ્હોન એફ કેનેડીએ કહેલા શબ્દો અક્ષરસઃ સાચા પડયા હતા. અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું હતું અને ત્યાંથી સલામત રીતે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પરત આવ્યા હતા.
ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનું જે સાહસ અમેરિકાએ ખેડયું હતું એણે અવકાશના સંશોધનને નવી દિશા-નવો વેગ આપ્યો. બીજા ગ્રહ પર માનવજીવન છે કે નહીં તેનો તાગ મેળવવાના પ્રયાસની આ શરૃઆત હતી. આ યાનના કારણે સંશોધકોને હોંશ મળી હતી.
એપોલો પ્રોગ્રામ હેઠળ નાસાને અવકાશમાં સમાનવ યાન મોકલવાની તક મળી. જેના કારણે ચંદ્ર પર જ પછીથી પાંચ સમાનવ યાન મોકલાયા હતા. ૧૯૬૯થી લઈને ૧૯૭૨ સુધીમાં નાસાએ ચંદ્ર પર ૬ સમાનવ યાન મોકલ્યા હતા જેમાં ૧૨ માનવીઓ ચંદ્ર પર ચાલવા નસીબદાર બન્યા હતા. અમેરિકા અવકાશ વિજ્ઞાાનમાં વિશ્વભરમાં અવ્વલ બની ગયું. રશિયા સાથેની તેની અવકાશી સ્પર્ધા લગભગ પૂરી થઈ ચૂકી હતી.  એપોલો-૧થી શરૃ થયેલી સફર એપોલો-૧૭ સુધી લંબાઈ હતી. ચંદ્ર પર માનવજાતિએ પગ મૂક્યો એ ઘટનાએ પૃથ્વી માટે નવી ક્ષિતિજ વિસ્તારી દીધી હતી. ક્ષિતિજ વિસ્તારવા માટે પણ આ ઘટના હંમેશા હંમેશા માટે યાદગાર રહેશે.

ક્યા ક્યા અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી સ્પર્શી શક્યા છે?
એપોલો-૧૧ના બે અવકાશ યાત્રીઓએ પહેલી વખત ૨૦ જુલાઈ ૧૯૬૯ના દિવસે ચંદ્ર પર પગલુ માંડયું એ પછીના ચાર વર્ષમાં બીજા ૧૦ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવા નસીબદાર રહ્યા હતા. અમેરિકાએ અવકાશમાં આણ પ્રવર્તે એ માટે સતત એપોલો પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર યાન મોકલ્યાં હતાં. જે અંતર્ગત એ જ વર્ષે નવેમ્બરમાં એપોલો-૧૨ યાન ચંદ્ર પર લેન્ડ થયું હતું. જેમાં ચાર્લ્સ કોનરેડ અને એલન બીન ચંદ્ર પર વિચર્યા હતા. ચાર્લ્સે ત્યાં જઈને નીલ આર્મસ્ટ્રોંગના પેલા વિખ્યાત વાક્ય 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'ને યાદ કરીને કહ્યું હતું કે નીલ માટે ભલે આ વામન પગલું હોય, પરંતુ મારા માટે તો મેં મૂકેલું આ વિશાળ કદમ છે. ૧૯૭૦માં મોકલાયેલા એપોલો-૧૩માં ખામી સર્જાઈ હતી એટલે એ રીતે નાસાનું લગલગાટ ત્રીજું મિશન કરવાનું સપનું અધુરું રહી ગયું હતું. એપોલો-૧૩ અસફળ થવા છતાં અવકાશ યાત્રીઓનો જીવ બચી ગયો એટલા પૂરતું સફળ થયું તો કહેવાય જ.
 
ત્યાર પછી ૧૯૭૧ના જાન્યુઆરીમાં વધુ બે અવકાશ યાત્રીઓએ મૂન વોક કર્યું હતું. એલન શેફર્ડ અને એડગર મિશેલ ચંદ્ર પર ઉતર્યા એટલે મૂન વોક કરનારા અવકાશ યાત્રીઓની સંખ્યા ૬ થઈ હતી. આ બંનેએ તેમના પૂરોગામી અવકાશ યાત્રીઓ કરતા વધુ વખત ચંદ્રની સપાટી પર પસાર કર્યા હતા. એ બંને ૯ કલાક ૧૭ મિનિટ સુધી ચંદ્ર પર રહ્યા હતા.
અહીં સુધી પહોંચ્યા પછી ચંદ્ર પર પહોંચવું એ નાસા માટે રમત વાત બની ગઈ હતી. એપોલો-૧૪ મોકલ્યાના દોઢ જ વર્ષમાં એપોલો-૧૫, ૧૬ અને ૧૭ મોકલ્યા હતા. જેમાં બીજા ૬ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવાની તક મળી હતી. એ ૬ અવકાશ યાત્રીઓ એટલે ડેવિડ સ્કોટ, જેમ્સ ઈરવિન, જ્હોન યંગ, ચાર્લ્સ ડયૂક, હેરિક્સન સ્કમિટ અને ઈ. કેરનાન.
ચંદ્ર યાનમાં નાસાએ પૈસાનું પાણી કરી દીધું હતું. વળી, અહીં સુધી પહોંચ્યા પછી સંશોધનના દ્રષ્ટિકોણથી તેમ જ અવકાશી સંશોધનના મામલામાં વિશ્વ ઉપર ધાક બેસાડવાના દ્રષ્ટિકોણથી પણ હવે વધુ યાન મોકલાવાનો અર્થ નહોતો રહ્યો. એ રીતે એપોલો-૧૭ છેલ્લું ચંદ્રયાન બની રહ્યું.

નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જઈને પ્રથમ વાક્ય ખોટું બોલ્યા હતા?
નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર મૂકતાની સાથે જે વાક્ય ઉચ્ચાર્યું હતું એ ખોટું હતું એવી ચોમેર ચર્ચા વર્ષો સુધી ચાલી હતી. હજુ પણ એ ઓડિયો વિશેના સંશોધનો થયા રાખે છે. તેઓ “That’s one small step for man, one giant leap for mankind,” વાક્ય બોલ્યા હતા. ચંદ્ર પર જવાનું નક્કી થયું પછી આ વાક્ય નીલ આર્મસ્ટ્રોંગે પહેલાથી જ તૈયાર કર્યું હતું. આ શબ્દો તૈયાર કરવામાં તેમને તેમની પત્નીએ મદદ કરી હતી. આ વાક્ય પછી તો બહુ જ વિખ્યાત થયું હતું, પણ તેમાં ભૂલ એ હતી કે “That’s one small step for man..માં  'a man' એવું હોવું જોઈએ એના બદલે તેઓ ફોર મેન એવું બોલ્યા હોવાનું સંભળાતું હતું. નાસાએ અને આર્મસ્ટ્રોંગે સતત 'a man' બોલ્યા હોવાનું કહેતા રહેતા હતા, પણ અંતે ઓડિયોના અભ્યાસ બાદ નવી ટેકનોલોજીના કારણે તેઓ 'a' બોલ્યા નથી એવા નિષ્કર્ષ પર સંશોધકો આવ્યા છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટથી લઈને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સુધીની ઘણી બધી સંસ્થાઓએ આ વાક્ય પર વિશ્લેષણ કર્યું છે. એ સેન્ટેન્સને લઈને આટલો બધો શોર શું કામ? જવાબ એટલો જ છે કે એ વાક્ય ખૂબ જ પ્રચલિત બન્યું હતું અને એટલે જ કદાચ તેના વિશે આટલું વિશ્લેષણ પણ થયું છે. નીલ આર્મસ્ટ્રોંગ એ વખતે શું બોલ્યા હતા એ અંગે ખૂદ એમણે અવઢવ અનુભવતા બાયોગ્રાફર-લેખક જેમ્સ હેન્સનને તેમણે કહ્યું હતું 'મારો ઈરાદો ખામીયુક્ત વાક્ય બોલવાનો ન જ હોય. કદાચ ઉત્સાહમાં મારું એ તરફ ધ્યાન ન પણ ગયું હોય એવું બને. પરંતુ મારો હેતુ સ્પષ્ટ હતો સમજદાર લોકો સારી રીતે જાણે છે' એક જ વાક્યને લઈને આટલું બધુ થયુ હોય એવું કદાચ છેલ્લા વર્ષોમાં આ એક જ ઉદાહરણ મળશે!
Sunday, 20 July 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -