મરણપથારીએ પડેલાં મમીની માવજત થશે?
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
લખનૌના નેશનલ મ્યુઝિયમના મમીને કોહવાટ લાગી ગયો છે એવી જાહેરાત ખુદ નેશનલ મ્યુઝિયમના સત્તાવાળાઓએ કરી છે. લખનૌ ઉપરાંત પણ દેશમાં ક્યાંય મમી છે? જો છે, તો દેશમાં મમીનું આગમન ક્યારે થયું હતું? અત્યારે કયાં કયાં મ્યુઝિયમમાં કેટલાં મમી છે? ઇજિપ્તથી સૌપ્રથમ મમી કોણ લઈ આવ્યું હતું?
લખનૌના નેશનલ મ્યુઝિયમમાં ગરમીને કારણે ૩૦૦૦ વર્ષ જૂનાં મમીની હાલત ખરાબ છે એવી જાહેરાત થઈ એટલે દેશમાં અન્ય સ્થળોએ રહેલાં મમીના હાલ શું છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પ્રાચીન ઇજિપ્તમાં શબને સાચવવાની જે પદ્ધતિ હતી તે આજેય અજોડ છે અને એટલા માટે મમી અત્યારે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. જોકે, હવે મમીને જોવા માટે છેક ઇજિપ્ત જ જવું પડે એવું નથી, કેમ કે વિશ્વભરમાં ઇજિપ્તનાં મમીનાં પ્રદર્શનો યોજાતાં રહે છે અને હવે તો લગભગ તમામ દેશો પાસે પોતાના સંગ્રહાલયમાં એટલિસ્ટ એક મમી તો હશે. ભારતનાં અમુક સંગ્રહાલયોમાં પણ થોડાં મમી છેલ્લા દોઢ-બે સૈકાથી છે. પહેલાં તે રાજા-મહારાજાઓના અંગત સંગ્રહાલયમાં શોભા વધારતાં હતાં, પણ હવે તો દેશના પ્રવાસીઓ પણ મમીને સરળતાથી જોઈ શકે છે.
મમીને ભારતમાં કોણ લાવ્યું હતું?
ઇજિપ્તના મમીને સૌપ્રથમ ભારત લઈ આવનારું નામ એટલે જયપુરના મહારાણા સવાઈ રામસિંહ. જયપુરના રાજવીએ તેમના અંગત સંગ્રહાલયની શાન વધારવા માટે ૧૮૮૬-૮૭ની આસપાસ પહેલી વખત ઇજિપ્તના મમીનો ભારતમાં પ્રવેશ કરાવ્યો હતો. લગભગ આ જ સમયગાળામાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ પોતાના રાજ્યમાં નવા બનેલા મ્યુઝિયમ માટે ઇજિપ્તથી મમીને ખરીદ્યું હતું. મમીને ભારતમાં લઈ આવનારા બીજા એક રાજા એટલે હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાન અલી ખાન. આ નિઝામે પછીથી હૈદરાબાદના મ્યુઝિયમને પોતાના અંગત સગ્રહાલયમાં રહેલું મમી દાનમાં આપી દીધું હતું. આ મમી સૌથી કીમતી હોવાનું કહેવાય છે, કેમ કે હૈદરાબાદના મ્યુઝિયમમાં રહેલું મમી ઇજિપ્તના છઠ્ઠા ફેરોની પુત્રીનું હોવાનું મનાય છે.
ભારતમાં કેટલાં મમી છે?
ભારતનાં ૬ નેશનલ મ્યુઝિયમની શોભામાં મમી અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. લખનૌ મ્યુઝિયમના એક અધિકારી અજય ચૌધરીએ ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે કુલ ૬ મ્યુઝિયમ જેવાં કે લખનૌ, હૈદરાબાદ, વડોદરા, કોલકાતા, જયપુર અને મુંબઈમાં મમી રાખવામાં આવ્યાં છે. કોલકાતામાં બે મમી છે જ્યારે અન્ય તમામ સ્થળોએ એક-એક મમી છે. એ રીતે ભારતભરમાં કુલ ૭ મમી છે. આ સિવાય થોડા સમય પહેલાં લંડન મ્યુઝિયમના મમીનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં પ્રદર્શન યોજાયું હતું, જે દેશમાં યોજાયેલું સૌથી મોટું મમી પ્રદર્શન હતું.
ભારતમાં મમીની હાલત અંગે ઇજિપ્તના નિષ્ણાતો શું માને છે?
વિશ્વભરમાં જ્યાં જ્યાં ઇજિપ્તનાં મમી રાખવામાં આવ્યાં છે તે તમામ સ્થળો પર ઇજિપ્ત સરકાર દ્વારા નિમાયેલા સભ્યો દેખરેખ રાખે છે. લખનૌ મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે મ્યુઝિયમમાં રહેલાં મમીની હાલત જો વધુ ખરાબ થાય કે તેની સાચવણી શક્ય ન બને તો તેની માહિતી ઇજિપ્તના સાંસ્કૃતિક મંત્રાલયને કરવાની હોય છે. ઇજિપ્તની સરકાર તેની સાચવણીમાં મદદરૂપ બને છે. એટલું જ નહીં, થોડા થોડા સમયે મમી કેર એક્સપર્ટ ટીમ વિવિધ દેશોનો પ્રવાસ કરીને મમીની સ્થિતિનો ક્યાસ કાઢે છે. થોડાં વર્ષો પહેલાં ઇજિપ્ત મ્યુઝિયમના ડિરેક્ટર ડો. નસરી યૂસુફ ઇસ્કંદરે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતસ્થિત તમામ સાતેય મમીનું જાતનિરીક્ષણ કરીને પોતાનો મત આપ્યો હતો કે આ તમામ મમીને થોડી વધુ કાળજીની જરૂર છે. તેમણે તો ભારતના મ્યુઝિયમ સત્તાધિશોને એવી સલાહ પણ આપી હતી કે ભારતનાં તમામ મમીને ઇજિપ્તના એક્સપર્ટની એડવાઇઝ (ઇજિપ્તમાં એવા નિષ્ણાતોને તૈયાર કરવામાં આવે છે, જે પોતાના દેશની ઓળખસમાં મમીની યોગ્ય જાળવણી કરી શકે.) મળી રહે તેવી કશીક ગોઠવણ કરવી જોઈએ. ઇસ્કંદરે થોડાં વર્ષો પહેલાં જે સલાહ આપી હતી તેને જો આપણે ગંભીરતાથી લીધી હોત તો કદાચ લખનૌના મમીની હાલત આટલી ગંભીર ન થાત. આશા રાખીએ કે દેશના અન્ય છ મમીની જાળવણીમાં ઇજિપ્તના મ્યુઝિયમ ડિરેક્ટરની પેલી સલાહને અવગણવાને બદલે અનુસરવામાં આવે!
ગુજરાતમાં એકમાત્ર મમી ક્યાં અને કેવી હાલતમાં છે?
ગુજરાતમાં એકમાત્ર મમી 'બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી' વડોદરામાં છે, જે મુલાકાતીઓ માટે હંમેશાં ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે. આ સંગ્રહાલય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૮૮૭માં બનાવ્યું હતું. ઇજિપ્તથી મમી મહારાજાએ જ ખરીદીને આ સંગ્રહાલયમાં રખાવ્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલના જણાવવા પ્રમાણે આ મમીની અત્યારની સ્થિતિ એકદમ સારી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં જ્યારે ઇજિપ્તના એક્સપર્ટ મમીની હાલત જોવા ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મમીની દેખરેખથી સંતોષ વ્યક્ત કર્યો હતો. મમીની રોજિંદી સ્થિતિ મ્યુઝિયમના કેમિસ્ટ તપાસે છે. મુલાકાતીઓ અને મમી વચ્ચે યોગ્ય અંતર જળવાય એની પણ કાળજી રાખવામાં આવે છે. મ્યુઝિયમના કેમિસ્ટ ડો. યજ્ઞોશ દવેએ જણાવ્યું હતું કે, 'કાચની પેટી આસપાસ થોડા થોડા સમયે કેમિકલની પ્રોસેસ કરવામાં આવે છે, જેથી મમી પર બાહ્ય વાતાવરણની અસર ન થાય.' એટલે કે આશરે ૧૨૫ વર્ષથી આ મ્યુઝિયમમાં રહેલા ગુજરાતના એકમાત્ર મમીની અત્યારની હાલત લખનૌની ગરમીથી ત્રસ્ત મમી જેવી નથી.
કઈ રીતે બન્યું હતું વિશ્વનું સૌપ્રથમ વેબ પેજ?
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રથમ વેબ પેજ ક્રિએટ થયું હતું એને ૨૦ વર્ષ થયાં. ઈન્ટરનેટની શરૂઆત તો જોકે એ પહેલાં જ થઈ ગઈ હતી, પણ wwwની શોધ થઈ એ પછી સમગ્ર દુનિયા ઇન્ટરનેટના એક તાંતણે બંધાઈ ગઈ. પ્રથમ વેબ પેજ ક્યાં, કઈ રીતે અને કોણે બનાવ્યું હતું?
૩૦મી એપ્રિલે wwwની શોધ લોકભોગ્ય બની હતી. આ વાતને વીતેલા સપ્તાહે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. આ ઐતિહાસિક ઘટનાના માનમાં વિશ્વનું એ સૌપ્રથમ વેબ પેજ ફરીથી ક્રિએટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ઈન્ટરનેટની શોધ ૨૦મી સદીની સૌથી ક્રાંતિકારી શોધ પૈકીની એક હતી. આ શોધ પછીથી જગતને એક તાંતણે બાંધવામાં કારણભૂત બનવાની હતી.
સમય હતો ૧૯૮૫ આસપાસનો. પરમાણુને લગતાં સંશોધનો માટે પ્રખ્યાત સંસ્થા સીઈઆરએન (ધ યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ)માં એક યુવાન કમ્પ્યુટર એડવાઇઝર તરીકે કામ કરતો હતો. તેનું મુખ્ય કામ હતું અલગ અલગ કમ્પ્યુટરમાં જુદા જુદા સંશોધકોની જે માહિતી એકત્ર થયેલી હોય તેને જરૂરિયાત પ્રમાણે અન્ય લોકો સુધી પહોંચતી કરવી. આ સિવાય સંસ્થામાં કમ્પ્યુટરને લગતી બાબતો તેના દેખરેખ હેઠળ ચાલતી હતી. આ યુવાનને એક દિવસ વિચાર આવ્યો કે દરરોજ આ રીતે માહિતીની હેરફેર કરવાને બદલે એવી કશીક વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી આ સંશોધકોનું કામ પણ સરળ થાય અને પોતાના શિરે આવતી આ હેરફેરની પળોજણમાંથી મુક્ત થવાય. તેણે એવું કશુંક કરવાનો નિર્ધાર કર્યો. સીઈઆરએનમાં પોતાને સોંપાયેલા કામ ઉપરાંત આ યુવાન એવા કામમાં લાગ્યો કે જે સીઈઆરએનની લેબોરેટરીનાં તમામ કમ્પ્યુટર્સને જોડી શકે. કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષોની મહેનત રંગ લાવી અને ૧૩ માર્ચ, ૧૯૮૯માં આ યુવાને સૌપ્રથમ વખત સીઈઆરએનમાં કાર્યરત તમામ કમ્પ્યુટર્સને હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી)ની એક સાંકળથી બાંધી દીધા. ત્યારે જોકે આ યુવાનને પણ ખબર નહોતી કે તેની આ શોધ એક દિવસ આખા વિશ્વને એકસૂત્રતાના બંધને બાંધી દેશે.
આ ઘટનાના બરાબર એક દશકા પછી 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૯૯માં બ્રિટિશ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ટીમ બર્નર્સ લીને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા. ટાઇમે ૨૦મી સદીના ૨૦ 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પીપલ'ની યાદી પણ બહાર પાડી, જેમાં ટીમ બર્નર્સ લીનો સમાવેશ કરવામાં આવ્યો. ટાઇમે ટીમ બર્નર્સ લીને કેમ આવું સન્માન આપ્યું એના ડિસ્ક્રિપ્શનમાં લખેલું હતું. 'જગતને www ની ભેટ ધરીને વિશ્વના અલગ-અલગ પ્રાંતના, અલગ અલગ પશ્ચાદભૂમિ ધરાવતા, અલગ અલગ કલ્ચર ધરાવતા, અલગ અલગ ભાષા ધરાવતા અસંખ્ય લોકો વચ્ચે એક સેતુ રચી આપનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ.'
યસ, આ એ જ પેલો યુવાન હતો જેણે સીઈઆરએનની લેબોરેટરીમાં કાર્યરત તમામ કમ્પ્યુટરને જોડી દીધાં હતાં. આ કામમાં ટીમ બર્નર્સ લીના બીજા પણ બે સાથીદારો હતા. જેમાંના એક એટલે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બેન સેગલ કે જે આખા પ્રોજેક્ટના પરામર્શક હતા અને બીજા રોબર્ટ કેલીલુ કે જેમણે પ્રોજેક્ટમાં ટેકનિકલ સહયોગ આપ્યો હતો. આજે કોઈ એક જગ્યાએથી કોઈ પણ દેશની, કોઈ પણ ક્ષેત્રની માહિતી એક ક્લિકમાં મેળવી શકીએ છીએ. જે માહિતી મેળવતા દિવસો લાગતા હતા તે કામ હવે સેકન્ડોમાં થઈ જાય છે તો એમાં લીની આ શોધ જવાબદાર છે. સોશિયલ મીડિયા, બ્લોગિંગ, ર્સિંફગ અને ઈન્ફર્મેશનનો સંયોગ રચવામાં wwwનો આવિષ્કાર સીમાચિહ્નરૂપ બન્યો હતો.
ટીમ બર્નર્સ લીની આ શોધ પર શરૂઆતમાં સીઈઆરએનનો ઈજારો રહ્યો હતો. આ સંશોધન સંસ્થા પોતાના ઈન્ટરનલ ઉપયોગ માટે જ લીની આ તકનીકનો ઉપયોગ કરતી હતી. લીના પ્રયાસોથી અંતે ૩૦ એપ્રિલ, ૧૯૯૩ના રોજ સમગ્ર વિશ્વ માટે સીઈઆરએન દ્વારા આ તકનીકને પોતાના ઈજારામાંથી મુક્ત કરવામાં આવી હતી અને ત્યારથી જગત ભરની માહિતી યુઆરએલ (યુનિફોર્મ, રિસોર્સ લોકેટર) મારફતે આપણા સુધી પહોંચતી થઈ ગઈ. આજે ઈન્ટરનેટે આ વિશાળ દુનિયાને પોતાના બાહુપાશમાં લઈ લીધી છે.
ઈન્ટરનેટ પરથી મળેલી ઈન્ટરનેટ પરની માહિતી
* ૧૯૯૨ સુધી આખા વિશ્વમાં માત્ર ૨૬ વેબ સર્વર હતાં જે www લોકભોગ્ય બન્યા પછી ઓક્ટોબર, ૧૯૯૩માં ૨૦૦ જેટલાં થઈ ગયાં હતાં.
* અત્યારે એક દિવસમાં આખા વિશ્વના ૩૦ કરોડ લોકો ઓનલાઇન થાય છે. કુલ ઈન્ટરનેટ વપરાશકર્તા છે ૨૫૦ કરોડ લોકો. જેમાં એશિયા ૪૪ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવી જાય છે.
* આ ઈન્ટરનેટ પર મુકાયેલી સૌપ્રથમ તસવીર હતી. સીઈઆરએનમાં ટીમ બર્નર્સ લી સાથે કામ કરતી ચાર યુવતીઓની તસવીર ખુદ ટીમે પહેલી વખત પ્રયોગ માટે ઈન્ટરનેટમાં અપલોડ કરી હતી.
* ઈન્ટરનેટ વપરાશકર્તામાંથી ૬૫ ટકા પુરુષો મહિલાઓની નગ્ન તસવીરો જુએ છે. કુલ યુઝર્સના ત્રીજા ભાગના લોકો માત્ર પોર્નોગ્રાફી જોવા માટે જ ઓનલાઇન થાય છે.
* ૨૦૧૦માં આશરે ૧ કરોડ ૨૦ લાખ જેટલી વેબસાઈટ્સ હતી અને હજુ એમાં સતત વધારો નોંધાતો જાય છે.
ઇન્ડિયન સિનેમા : અરાઉન્ડ ધ વર્લ્ડ
સિનેમા-સન્માન - હર્ષ મેસવાણિયા
સિનેમા સાથે સંકળાયેલા દરેકનું સ્વપ્ન ઓસ્કર સુધી પહોંચવાનું હોય છે. જોકે, ઓસ્કર ઉપરાંત પણ સિનેમામાં મહત્ત્વનાં સન્માનો મળે છે. સો વર્ષની અણનમ ઇનિંગ્સમાં ભારતીય સિનેમાએ ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યાં છે
ભારતીય સિનેમાએ એક સૈકો પૂર્યો કર્યો, પણ ફિલ્મ માટે સર્વોચ્ચ ગણાય એવો ઓસ્કર એવોર્ડ નથી મેળવી શક્યા, છતાં પણ ભારતીય સિનેમાને વૈશ્વિક ફલક પર ઓળખ જરૂર મળી છે. આપણી કેટકેટલી ફિલ્મો અને કેટકેટલા કસબીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આપણું તીર સીધું નિશાન ભેદી શક્યું નથી, એમ કહેવાને બદલે આપણે નિશાન ભેદવાની આસપાસ તો જરૂર પહોંચી શક્યા છીએ એમ કહેવું વધારે યોગ્ય રહેશે.
શરૂઆત કરીએ ઓસ્કરથી. ભારત અને ઓસ્કરનો સંબંધ આમ તો છેક ૧૯૫૭થી બંધાયો હતો. 'મધર ઇન્ડિયા'ને શ્રેષ્ઠ વિદેશી કેટેગરીમાં નોમિનેશન મળ્યું ત્યારથી લઈને છેક 'બરફી' સુધીમાં આપણે ૪૫ ફિલ્મો ઓસ્કરની રેસમાં મોકલી છે, જેમાંથી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭), 'સલામ બોમ્બે' (૧૯૮૮) અને 'લગાન' (૨૦૦૧) વિદેશી કેટેગરીની શ્રેષ્ઠ ફિલ્મમાં નોમિનેશન મેળવી શકી હતી. આ સિવાય શોર્ટ ફિલ્મોના ઇતિહાસમાં પણ ભારતે નોંધપાત્ર નોમિનેશન્સ મેળવ્યાંં છે. જેમ કે, ફેશન ડિઝાઇનર રીતુકુમારના પુત્ર અશ્વિન કુમારે બનાવેલી શોર્ટ ફિલ્મ 'લિટલ ટેરરિસ્ટ' અને વિધુ વિનોદ ચોપરાની શોર્ટ ફિલ્મ 'એન એન્કાઉન્ટર વિથ ફેસીસ'ને ૧૯૮૦માં નોમિનેશન મળ્યું હતું. આ થઈ ફિલ્મોની વાત, પણ જો ભારતીય કલાકારોની વાત કરવામાં આવે તો ઓસ્કરમાં આપણું સ્થાન પ્રતિષ્ઠિત તો રહ્યું જ છે. પ્રથમ વ્યક્તિગત ઓસ્કર વિનર હતા ભાનુ અથૈયા. તેમને ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. તેના બરાબર એક દાયકા પછી ભારતના અગ્રણી ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રેને ૧૯૯૨માં લાઇફટાઇમ અચિવમેન્ટ ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અલબત્ત, ૨૦૦૮માં ભારતે ત્રણ-ત્રણ ઓસ્કર મેળવીને જગતભરમાં પોતાની નોંધ લેવડાવી હતી. બ્રિટિશ ફિલ્મ દિગ્દર્શક ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મના 'જય હો' ગીતની ધૂન બનાવવા માટે સંગીતકાર એ. આર રહેમાનને અને ગીતકાર ગુલઝારને ઓસ્કર મળ્યો હતો, તો આ જ ફિલ્મમાં બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ કરવા બદલ રસુલ પુકુટ્ટીએ પણ ઓસ્કર મેળવ્યો હતો.
વિશ્વ સિનેમામાં અન્ય ગણનાપાત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફિલ્મોએ કાઠું કાઢયું છે. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મો છવાયેલી રહી છે. બિમલ રોયની 'દો બીઘા જમીન', સત્યજિત રેની 'પાથેર પાંચાલી', વી. શાંતારામની 'અમર ભોપાલી', મૃણાલ સેનની 'ખરીજ' ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આ સિવાય 'સંત તુકારામ', સત્યજિત રેની 'અપરાજિતા', કેદાર શર્માની 'જલદીપ' અને મૃણાલ સેનની 'ચલચિત્ર' વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઝળકી હતી. રાજ કપૂરની 'આવારા' અને 'બૂટ પોલિશ' ફિલ્મોએ કાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત આવે ત્યારે ઐશ્વર્યાનો ઉલ્લેખ ન થાય તો વાત અધૂરી રહી ગણાય! ઐશ્વર્યા માટે છેલ્લાં ૧૧ વર્ષથી કાનમાં લાલ જાજમ બિછાવવામાં આવે છે. ઐશ્વર્યા રાય ભારતની એકમાત્ર એવી અભિનેત્રી છે જે એક દશકાથી કાનનું નિમંત્રણ મેળવે છે. જોકે નંદિતા દાસથી વિદ્યા બાલન સુધી ઘણાને કાનના જ્યુરી મેમ્બર બનવાનું સન્માન મળ્યું છે.
બચ્ચન પરિવારના બે સભ્યો અમિતાભ અને ઐશ્વર્યા રાય-બચ્ચનની વૈશ્વિક સ્તરે ખાસ્સી નોંધ લેવાઈ છે. લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મેળવનારા પહેલા ભારતીય ફિલ્મ કલાકાર એટલે અમિતાભ બચ્ચન. એ પછી ઐશ્વર્યા રાય-બચ્ચનની પણ મીણની પ્રતિમા આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ સિવાય માધુરી દીક્ષિત, રિતિક રોશન, સલમાન ખાન, શાહરુખ ખાન અને છેલ્લે કરિના કપૂર સુધીના કલાકારોનાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં પૂતળાં બન્યાં છે.
'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનના કવરપેજ પર ચમકવાનું સૌભાગ્ય પણ ભારતીય સિને કલાકારોને સાંપડયું છે. પરવીન બાબી, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને છેલ્લે આમિર ખાને 'ટાઇમ'ના કવરપેજ પર સ્થાન મેળવ્યું છે. આમિર ખાને તો વૈશ્વિક સ્તરે પોતાની એક આગવી ભાત પાડી છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આમિરને મળીને બ્રિટનમાં પોતાના મહેમાન બનવાનું આમંત્રણ પાઠવ્યું હતું. વિશ્વના એક મહત્ત્વના દેશના વડાપ્રધાન ભારતના અભિનેતાના સામાજિક કામથી પ્રભાવિત થઈને આમંત્રણ પાઠવે એનાથી વિશેષ સિદ્ધિ તો કઈ હોઈ શકે! આમિર ખાનની બે ફિલ્મો 'લગાન' અને '૩ ઇડિયટ્સ'ને આઈએમડીબી જેવી ખ્યાતનામ વેબસાઇટ્સમાં સ્થાન મળે, 'આવારા', 'પ્યાસા', સંજયલીલા ભણસાલીની 'દેવદાસ' (શ્રેષ્ઠ ક્લાસિક ફિલ્મોની યાદીમાં) અને 'લગાન' (શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ફિલ્મ તરીકે) જેવી ફિલ્મો ટાઇમના લિસ્ટમાં હોય એ પણ કંઈ ઓછી સિદ્ધિ તો ન જ કહેવાયને!
(ભારતીય સિનેમાએ 100 વર્ષ પૂર્ણ કર્યા એ અવસરે બનેલી સિને સંદેશ વિશેષ પૂર્તિમાં પ્રકાશિત )
ગોરિલાઃ સ્માર્ટફોનનો સ્માર્ટ ગ્લાસ
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
સ્માર્ટ ફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સી એસ-૪ની વીતેલા સપ્તાહે એન્ટ્રી થઈ. બીજા બધા ફીચર્સ તો બરાબર, પણ મોબાઈલના સ્ક્રીન પર છરી મારો તો પણ કંઈ જ નહીં થાય એવો દાવો કરાયો હોવાથી એ તરફ વધુ ધ્યાન ખેંચાયું છે. એવું તે શું છે એના ગ્લાસમાં? સ્માર્ટ ફોનમાં વપરાતા 'ગોરિલા' કહેવાતા ગ્લાસની ખાસિયત શું છે? આ ગ્લાસ બનાવવામાં કોની હથોટી છે? મોબાઇલ ફોનમાં આ ગ્લાસનો ઉપયોગ ક્યારથી થાય છે?
'ગોરિલા' શબ્દ કાને પડે એટલે આપણી નજર સમક્ષ કાળા ભમ્મર અને માનવીના પૂર્વજ તરીકે માની લેવાયેલા વાનરનું ચિત્ર ઉપસી ન આવે તો જ નવાઈ! જોકે, છેલ્લા થોડા વખતથી આ ગોરિલાની મોનોપોલી તૂટી ગઈ છે અને એક નવા ગોરિલાએ તેનું સ્થાન પચાવી પાડયું છે. આ ગોરિલા એટલે અત્યારે સ્માર્ટ ફોનમાં જેનો છૂટથી ઉપયોગ થાય છે એ ગ્લાસ. છેલ્લાં પાંચેક વર્ષથી અલગ અલગ બ્રાન્ડના મોબાઇલ ફોનની સ્ક્રીન માટે ગોરિલા ગ્લાસનો વપરાશ વધ્યો છે. ગોરિલા ગ્લાસની ખાસિયત એના માટે કારણભૂત છે. આ ગ્લાસનો ગમે એટલો રફ યુઝ કરવામાં આવે તોય તેના પર ઘસરકો (સ્ક્રેચ) પડતો નથી. વળી, ટ્રાન્સપરન્ટ અને ટચિંગ સેન્સિટિવિટીમાં તેનો વિકલ્પ મળવો મુશ્કેલ છે.
સ્માર્ટ ફોનમાં ગોરિલા : ગ્લાસ યે બંધન તો પ્યાર કા બંધન હૈ!
આપણે સ્માર્ટ ફોન ખરીદતા હોઈએ ત્યારે શું વિચારીએ? એક તો દેખાવ ફેન્સી હોવો જોઈએ, મિત્રોના મોબાઈલમાં હોય એવા જરૂરી ને ન જરૂરી હોય એવા બધા ફીચર્સ આવી જવા જોઈએ, કેમેરામાં દમ હોવો જોઈએ...વગેરે વગેરે. આ સિવાય ધ્યાનમાં રાખવા જેવું કંઈ હોય તો એ ગ્લાસ. આમ તો એ જ પહેલાં આવે, કેમ કે ટચિંગ થોડું નબળું હોય તો સ્માર્ટ ફોનની મજા મરી જાય છે. આ જ બધી બાબતોનું ધ્યાન ૨૦૦૬માં એક માણસે રાખ્યું હતું અને એના પ્રતાપે આપણને મળ્યો ગોરિલા ગ્લાસ. એ માણસ એટલે સ્ટિવ જોબ્સ. સ્ટિવ ૨૦૦૬માં આઈફોન પર કામ કરી રહ્યા હતા ત્યારે તે એવા પ્રયાસમાં હતા કે મોબાઈલની બાકીની બધી બાબતોની જેમ સ્ક્રીનનો ગ્લાસ પણ કંઈક અલગ હોવો જોઈએ. એમાં વળી એક દિવસ કોઈએ સ્ટિવને આવીને ગોરિલા ગ્લાસનો ટુકડો આપ્યો. સાથે સાથે તેણે સાંભળેલી વાત કહી કે આ કાચ એવો આવે છે જેમાં સ્ક્રેચ નથી પડતા. ટેક્નોલોજી એક્સપર્ટ અને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના ટેકનોલોજી કોલમિસ્ટ ડેવિડ પોગના નોંધવા પ્રમાણે સ્ટિવ જોબ્સે એ કાચના ટુકડાને સહજ રીતે તેમની પાસે રહેલી લોખંડની ને એવી બધી અન્ય રફ સામગ્રી સાથે મૂકી દીધો. થોડા દિવસો પછી અચાનક કામ કરતી વખતે તેને એ ટુકડો યાદ આવી ગયો. તેણે લોખંડ સાથે રાખેલા એ ટુકડાને જોયો ત્યારે સ્ટિવને થયું કે જો ખરેખર જ આ ગ્લાસમાં સ્ક્રેચ ન પડતા હોય તો તો એ કામની ચીજ છે. સાચા હીરાની પરખ એક સારો ઝવેરી જ કરી શકે એમ સ્ટિવ જોબ્સે તરત જ પોતાના નવા બની રહેલા આઈફોન માટે આ ગ્લાસનું ઉત્પાદન કરતી કોર્નિગ કંપનીના સીઈઓ વેન્ડલ વીક્સ સાથે વાટાઘાટ પણ કરી લીધી. આ સાથે જ સ્માર્ટ ફોનની દુનિયામાં ગ્લાસ એક ફીચર તરીકેનું સન્માન મેળવી ગયો.
ગોરિલાઃ ઇસ નામ મેં કુછ ખાસ હૈ!
ટેક્નોલોજીમાં અગ્રગણ્ય ગણાય એવા એક મેગેઝિન 'સ્માર્ટ પ્લેનેટ'ના તંત્રી એન્ડ્રુ નુસ્કાના જણાવવા પ્રમાણે આ ગ્લાસ ગોરિલા જેવા મજબૂત અને ખડતલ હોવાથી ધીરે ધીરે ગોરિલા ગ્લાસ તરીકે જાણીતા થયા છે. બાકી તેનું સાયન્ટિફિક નામ કેમકોર છે. અમેરિકાની કોર્નિગ કંપની આમ તો છેલ્લી એકાદ સદીથી ગ્લાસના ઉત્પાદનમાં અવ્વલ રહેતી આવી છે, પણ ૬૦ના દશકામાં આ કંપનીએ થોડા પ્રયોગો કરીને નવા વિકસતાં ટેલિવિઝન અને કમ્પ્યુટર જેવાં ઈલેકટ્રોનિક ઉપકરણો માટે તેની લેબોરેટરીમાં ખાસ ગ્લાસ વિકસાવ્યો. શરૂઆતમાં તેને નામ અપાયું મસ્કલેડ ગ્લાસ. ૧૯૭૦ આસપાસ રેસિંગ કારમાં કેમકોર ગ્લાસનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થતો હતો. ૧૯૯૦ સુધીમાં આ ગ્લાસ ટેલિવિઝન સ્ક્રીન, લેપટોપ-કમ્પ્યુટર સ્ક્રીન અને વીડિયો ગેઇમ્સની સ્ક્રીનમાં વપરાવા લાગ્યો. કોર્નિગ કંપની દ્વારા બનતા બીજા ઘણા ગ્લાસનો ઉપયોગ મોબાઇલની સ્ક્રીનમાં થતો હતો, પણ આ કેમકોર ઉર્ફે ગોરિલાની ઓળખાણ મોબાઇલ ફોન સાથે સ્ટિવ જોબ્સે ૨૧મી સદીમાં કરાવી આપી.
મેકિંગ ઓફ ગોરિલાઃ યૂં હી નહીં દિલ લુભાતા કોઈ!
સ્માર્ટ ફોનમાં આપણી આંખ સામે જે સ્મૂધ અને ચકચકતો ગ્લાસ દેખાય છે એ કંઈ એમ જ નથી બની જતો. એના માટે ખાસ જહેમત ઉઠાવાય છે અને એટલી જ કાળજી પણ રાખવામાં આવે છે. કદાચ એટલે જ કોર્નિગ કંપની આટલાં વર્ષેય એમાં મોનોપોલી જાળવી શકી છે. પીગાળેલા મીઠાના ૪૦૦ ડિગ્રી ઊંચા તાપમાને તપેલા દ્રાવણમાં કાચને નાખવામાં આવે છે અને પછી તેના પર કેમિકલ પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ ગ્લાસને ઠંડો પડવા દેવામાં આવે છે અને પછી એવા મશીનમાં મુકાય છે જ્યાં તે નરમ બની જાય છે. ટ્રાન્સપરન્સી માટે આ ગ્લાસને ફરી વખત કેમિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. છેલ્લે તેની સપાટી પર પોટેશિયમ આયનની મેળવણી કરવામાં આવે છે કે જેનાથી આ ગ્લાસમાં જો ખરોંચ આવે તો પણ તેની મેળે તેમાં એવી પ્રક્રિયા થઈ જાય છે કે તે સ્ક્રેચ આપોઆપ ઓગળી જાય છે.
ગોરિલાનો બિઝનેસઃ લાખોં કી શુરૂઆત કરોડોં તક પહુંચી!
સ્ટીવ જોબ્સે ઉપયોગમાં લીધેલા ગોરિલા ગ્લાસની અત્યારે ત્રીજી જનરેશન ચાલી રહી છે. લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એસ-૪માં વપરાયેલો ગ્લાસ ત્રીજી જનરેશનમાં આવે છે. અત્યારે વિશ્વમાં બનતા તમામ સ્માર્ટ ફોનની સ્ક્રીનમાં લગભગ ૪૦ ટકા ગોરિલા ગ્લાસ વપરાય છે. આશરે ૨૦ જેટલી બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ માટે ગોરિલા ગ્લાસને પ્રથમ પસંદગી બનાવે છે. કોર્નિગ કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે માત્ર એક કરોડના ટર્નઓવરથી શરૂ થયેલો બિઝનેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૦૦ કરોડને આંબી ગયો હતો. આજે જે રીતે ગોરિલા ગ્લાસ પોતે જ એક ફીચર તરીકે લોકપ્રિય બન્યો છે ત્યારે હજુ આ બિઝનેસ આસમાનની ઊંચાઈ હાંસલ ન કરે તો જ નવાઈ!
આ પોસ્ટઓફિસ થોડી અલગ છે!
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગત સપ્તાહે મુંબઈ સર્કલની પોસ્ટઓફિસે 'મહિલા પોસ્ટઓફિસ'ની નવી પહેલ કરી. જોકે, આવી પહેલ કરનારું મુંબઈ એક માત્ર શહેર નથી. અગાઉ દિલ્હીએ પણ ભારતના પોસ્ટઓફિસના ઇતિહાસમાં એક તવારીખી પ્રકરણ આલેખ્યું હતું
ગત સપ્તાહમાં ગુજરાતના સિંહને મધ્યપ્રદેશમાં મોકલવાની ચર્ચા, સંજયદત્તને જેલમાં જવાની મુદતમાં વધુ એક માસની રાહત, અમેરિકા અને બેંગલુરુમાં થયેલા બ્લાસ્ટ, પરવેઝ મુશર્રફની ધરપકડ અને ધરતીકંપના આંચકા જેવી ઘટનાઓની સાથે સાથે મુંબઈમાં એક નવી પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. દેશમાં અવારનવાર જરૂરિયાત પ્રમાણે કંઈ કેટલીય નવી પોસ્ટઓફિસ બનતી હોય છે એટલે એમાં કશું નવું નથી, પણ આ પોસ્ટઓફિસની પહેલ દેશમાં નવી શરૂઆત છે અને એટલે તેની નોંધ લેવાઈ રહી છે. ગત ૧૨મી એપ્રિલે પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મહારાષ્ટ્ર અને ગોવા પોસ્ટલ ઝોનની પ્રથમ મહિલા પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહારાષ્ટ્ર ઝોનની અને મેગા સિટી મુંબઈની પ્રથમ મહિલા પોસ્ટઓફિસ છે. જોકે, દેશમાં તો એક મહિના પહેલાં જ દેશની સૌપ્રથમ મહિલા પોસ્ટઓફિસ ખૂલી ગઈ હતી.
મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા
કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન અને આઇટી મિનિસ્ટર કપિલ સિબ્બલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮મી માર્ચે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ કરી હતી. આ પોસ્ટઓફિસને દેશની પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસનું સન્માન મળી ગયું. સિબ્બલે ત્યારે એવું કહ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારને પણ આમાં આવરી લેવાશે. પોસ્ટની તવારીખમાં આ દિવસ ઐતિહાસિક હતો, કારણ કે વિશ્વમાં ક્યાંય આવી મહિલા સંચાલિત પોસ્ટઓફિસ નથી એવો પણ સરકારે દાવો કર્યો છે.
કેવી છે મુંબઈની મહિલા પોસ્ટઓફિસ?
મહારાષ્ટ્રના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ કે સી. મિશ્રાના જણાવ્યા પ્રમાણે સાઉથ મુંબઈમાં આવેલા શહીદ ભગતસિંહ માર્ગ પર નવી ખૂલેલી પોસ્ટઓફિસમાં હાલ પૂરતી ૧૨ મહિલા કર્મચારીઓ સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટની નિગરાની હેઠળ ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંને પ્રકારની સર્વિસ આપશે. જેમાં પોસ્ટ, સ્પીડ પોસ્ટ, ઈ-મનીઓર્ડર, અલગ અલગ બિલનાં ઈ-પેમેન્ટ અને બચત એકાઉન્ટ્સ ખોલી આપવા જેવાં કામો થઈ શકે તેવી સવલત પૂરી પાડવામાં આવી છે. સામાન્ય રીતે મુંબઈ ઝોનમાં ૨૦૧૨ પ્રમાણે ૨૬,૪૬૮ પોસ્ટલ કર્મચારીઓ છે અને એમાંથી ૫,૦૦૮ મહિલા કર્મચારીઓ છે. થોડા સમયમાં મહારાષ્ટ્ર ઝોનમાં હજુ પણ વધુ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ ખૂલશે અને વર્તમાન મહિલા કર્મચારીઓને એની જવાબદારી સોંપવામાં આવશે.
શા માટે મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ થશે?
લોકોને સરળતા રહે તે માટે ડાકઘરોની સંખ્યા વધારી શકાય પણ મહિલા સંચાલિત ડાકઘરો શરૂ કરવા પાછળનો શો હેતુ છે? એના જવાબમાં પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે મહાનગરોમાં સફળતા મળશે એ પછી આગામી એક વર્ષમાં દેશના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ડાકઘરો ઓપન કરવામાં આવશે. એ પાછળનો તર્ક રજૂ કરતાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં પહેલાં આવાં બધાં કામો પુરુષો કરતા હતા, પરંતુ હવે મોટાં શહેરોની જ નહીં ગ્રામીણ મહિલાઓ પણ બેન્કિંગ અને પોસ્ટલને લગતાં કામો કરતી થઈ છે. વળી, ગ્રામીણ મહિલાઓને આવા વહીવટમાં મહિલાઓ જોડે જ કામ કરવાનું થાય તો પોતાની મુશ્કેલી વધારે સરળતાથી મહિલાઓ પાસે રજૂ કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે.
દેશમાં પોસ્ટની સ્થિતિ
આઝાદી વખતે દેશમાં માત્ર ૨૩,૩૪૪ ડાકઘરો હતાં, અત્યારે આ આંકડો ૧,૫૫,૦૧૫ સુધી પહોંચી ગયો છે. દેશમાં સરેરાશ ૭,૧૭૫ લોકોએ એક પોસ્ટઓફિસ છે અને આપણું પોસ્ટલ નેટવર્ક વિશ્વમાં અવલ દરજ્જાનું સ્થાન ધરાવે છે. આ તમામ પોસ્ટઓફિસીસમાં આશરે ૪,૭૪,૫૭૪ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમાં ૩૪,૯૯૪ મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ ઉપરાંત જે ક્ષેત્રોમાં મહિલાઓ વધુ કામ કરવાનું પસંદ કરે છે એમાં પોસ્ટલ વિભાગનો સમાવેશ પણ થાય છે. આગામી દિવસોમાં જ્યારે દેશમાં મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા વધારાશે ત્યારે યુવતીઓ માટે આમાં વધુ તકની શક્યતા છે!
દમદાર ગુનેગાર, વગદાર માફી
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
સામાન્ય માણસ જેવો જ ગુનો કોઈ સેલિબ્રિટી કરે, ભૂલેચૂકે ગુનો સાબિત થાય અને તેને સજા થાય તો માફી અપાવવા માટે એક આખી લોબી કાર્યરત થઈ જતી હોય છે. આવું જ અત્યારે સંજય દત્તની બાબતમાં થઈ રહ્યું હોવાનું લાગે એ સ્વાભાવિક છે. સેલિબ્રિટી હોય અને સજા મેળવી હોય એવો કંઈ સંજય દત્ત પહેલો કિસ્સો નથી. વિશ્વમાં આ પહેલાં પણ આવા તો કેટલાય કિસ્સા બન્યા છે કે જે મોટા ગજાનાં નામો હોવા છતાં કોઈક ગુનામાં સંડોવાયા હોય. ગુનો સાબિત થયો હોય, સજા મળી હોય અને પછી સજા શરૂ થાય તે પહેલા કે અધવચ્ચે જ તેને માફી બક્ષી દેવામાં આવી હોય.
રિચાર્ડ નિક્સનઃ સૌથી વગદાર વ્યક્તિને તેના અનુગામી દ્વારા માફી
ભારતમાં જે પક્ષની સરકાર આવે તેના નેતાઓ પર ચાલતા કેસમાં તેને રાહત મળી જતી હોય છે. જોકે, આવું માત્ર ભારતમાં જ નથી થતું, કાગડા બધે કાળા એ ન્યાયે અમેરિકામાં પણ આ રીતે પોતાના પક્ષના નેતાને માફી આપવામાં આવી હોય તેવા બનાવો બન્યા છે. આવું જ એક નામ એટલે - રિચાર્ડ નિક્સન. રિચાર્ડ નિક્સન એટલે રિપબ્લિક પાર્ટીમાંથી ચૂંટાયેલા અમેરિકાના ૩૭મા પ્રમુખ.
વોટરગેટ સ્કેમમાં તેમની સંડોવણી ખૂલ્યા બાદ રિપબ્લિક પાર્ટી અને નિક્સન માટે મુશ્કેલ સ્થિતિ ખડી થઈ હતી. નિક્સનના અનુગામી અને રિપબ્લિક પાર્ટી વતી ચૂંટાઈને અમેરિકાના ૩૮મા પ્રમુખ બનેલા ગેરાલ્ડ ફોર્ડે પોતાના પુરોગામીને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી. આ ઘટનાના તે સમયે અમેરિકામાં ઘેરા પ્રત્યાઘાતો ઊઠયા હતા અને પછીથી ફોર્ડે નેશનલ ટેલિવિઝનમાં આ માફી અંગે ખુલાસો પણ આપવો પડયો હતો. આજેય એમ મનાય છે કે ૧૯૭૬ની ચૂંટણીમાં ફોર્ડને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જિમ્મી કાર્ટર સામે હારનો સામનો કરવો પડયો એ પાછળ આ નિક્સનનું માફી પ્રકરણ જવાબદાર હતું.
પીટર યેરોવઃ આ સિંગરને જિમ્મી કાર્ટેરે માફી બક્ષી
૧૯૬૦-૭૦ના દશકમાં અમેરિકામાં સિંગર પીટર યેરોવ ખૂબ લોકપ્રિય હતા. અત્યારે તો આ સિંગરની વય ૭૪ વર્ષની છે, પણ જ્યારે તેનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે યુવાનીમાં તેમના પર ૧૪ વર્ષની અને ૧૭ વર્ષની વયની બે બહેનો (જે તેની ફેન હતી અને તેના રૂમમાં ઓટોગ્રાફ લેવા ગઈ હતી) પાસે અણછાજતી માંગણી કરવાનો ગુનો સાબિત થયો હતો. એમ કહેવાય છે કે આ સિંગરની વગ અમેરિકાના મોટા ગજાના નેતાઓ સાથે હતી. તેણે પોતાની વગનો ઉપયોગ કરીને માફી મેળવી હતી એમ પણ કહેવાય છે. જિમ્મી કાર્ટરે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે પીટરને પ્રેસિડેન્સિયલ માફી આપી દીધી હતી.
જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરઃ આ બિઝનેસમેનને રોનાલ્ડ રેગનની કૃપા મળી
અમેરિકન બિઝનેસમેન અને બેઝબોલની ન્યૂ યોર્ક યેન્કિસ ટીમના માલિક જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરે રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિક્સનની ચૂંટણી ઝુંબેશમાં સંદિગ્ધ ભૂમિકા ભજવી હોવાથી તે કાનૂની સકંજામાં સપડાયા હતા. તેમના પર અલગ અલગ ૧૪ ગુનાઓ દર્જ થયા હતા. તેઓ આ મામલે દંડાયા હતા અને પછી રિપબ્લિક પાર્ટીના જ અન્ય પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને પોતાની ટર્મના છેલ્લા દિવસે આ બિઝનેસમેનના બધા ગુનાઓ માફ કરી દીધા હતા.
જુનિયર જોન્સનઃ કાર રેસિંગનો સુપરસ્ટાર બન્યો માફી પાત્ર
૧૯૫૦-૬૦ના દશકામાં જેનો કાર રેસિંગ ક્ષેત્રે દશકો હતો તેવા રોબર્ટ ગ્લેન જ્હોન્સન (કે જે જુનિયર જ્હોન્સન તરીકે ઓળખાતા હતા) પર જૂના ગુનાઓનો ઓછાયો પડયો હતો. આરોપો સાબિત થયા અને તેને ૧૧ માસની જેલની સજા કરવામાં આવી હતી. ૧૯૭૦ સુધીમાં તો આ સુપરસ્ટાર રેસર ધનવાન ટીમ ઓનર પણ બની ગયો હતો અને તેની ગણના એ સમયે અમેરિકાના વગદાર લોકોમાં થતી હતી. કહેવાય છે કે વગનો ઉપયોગ કરીને તેણે અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પાસેથી માફી મેળવી લીધી હતી.ળ
રોજર ક્લિન્ટનઃ સાવકા ભાઈને બિલ ક્લિન્ટને ઉગાર્યો
અમેરિકાના ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટને તેના સાવકા ભાઈને છેલ્લે છેલ્લે માફી આપીને વિવાદ ઊભો કર્યો હતો. બિલનો સાવકો ભાઈ રોજર ક્લિન્ટન કોકેઇનનું વેચાણ કરતો હોવાનો આરોપ ૧૯૮૪મા મુકાયો હતો. તેને જેલની સજા કરવામાં આવી હતી. ક્લિન્ટને તેમની ટર્મ પૂર્ણ કરતી વખતે અન્ય લોકોની સાથે પોતાના નાના ભાઈને પણ માફી બક્ષી દીધી હતી. આ ઘટનાથી ત્યારે અમેરિકામાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. વિરોધીઓએ આ મામલે બિલ ક્લિન્ટનની ટીકા કરી હતી.
જોકે, બિલ ક્લિન્ટને એકસાથે ૧૪૦ લોકોને માફી આપી દીધી હતી. જેમાં ધનવાન વ્યક્તિ માર્ક રિકનો પણ સમાવેશ થયો હતો. અમેરિકાના પ્રમુખો પોતાની ટર્મ પૂરી થાય ત્યારે છેલ્લે ગુનેગારોને માફી આપતા હોય છે. આ ક્રમ ઘણાં વર્ષોથી જળવાય છે. અબ્રાહમ લિંકને ૧૮૬૫માં આર્થર ઓબ્રાયનને ફાંસી આપી હતી. ત્યાર પછી લગભગ તમામ પ્રમુખોએ આ સિલસિલો જાળવી રાખ્યો હતો. સિનિયર બુશે એસ્લામ પી. આદમને માફી આપી ત્યારે પણ વિવાદ થયો હતો. એટલે કે કોર્ટે ગુનેગાર ઠેરવેલાને માફી આપવી કે કેમ એ મુદ્દે હંમેશાં વિવાદ થતો રહ્યો છે. જે તે દેશના સર્વસત્તાધિશ પાસે ગુનેગારને માફી આપવાની સત્તા હોય છે અને વગદાર લોકો આ પાવરનો ઉપયોગ પોતાની તરફેણમાં કેમ કરવો તે સારી રીતે જાણતા હોય છે. કાયદો તો બધા માટે સમાન જ છે, પણ વગ થોડી સમાન હોય! જે વગદાર છે એ આ રીતે માફી મેળવતા રહે છે, જોઈએ સંજુબાબાનું શું થાય છે!
આપણા દેશમાં છેલ્લે માફી મેળવનારા ભાગ્યશાળીઓ
આપણા રાષ્ટ્રપતિઓ અમેરિકન પ્રમુખો જેટલા દયાળુ નથી હોતા! આપણે ત્યાં ગુનેગારોને ભાગ્યે જ માફી મળે છે. એમાંય અમેરિકામાં જેમ ૧૪૦ને એક સાથે માફી આપી દેવાય છે એવું તો ક્યારેય બન્યું નથી, પણ આ મામલે પ્રતિભા પાટિલ થોડાં વધુ ઉદાર સાબિત થયાં છે. પ્રતિભા પાટિલે ફાંસીના ફંદામાં લગભગ આવી જ ગયેલા ચાર ગુનેગારોને છેલ્લે છેલ્લે માફ કરી દીધા હતા. ઉત્તર પ્રદેશના બન્ટુ પર પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યાનો ગુનો સાબિત થયો હતો. પ્રતિભા પાટિલે જૂન ૨૦૧૨માં તેની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. ઉત્તર પ્રદેશના જ અન્ય એક ગુનેગાર સતીશ પર છ વર્ષની બાળકીનો રેપ કર્યા પછી તેનું ખૂન કરી નાખ્યું હોવાનો આરોપ સાબિત થયો હતો. મે, ૨૦૧૨માં પાટિલે તેને માફી આપી હતી. આ સિવાય કર્ણાટકના બન્ડુ બાબુરાવ તિકડે અને રાજસ્થાનના લાલચંદ ઉર્ફે લાલિયો ધૂમને પણ આવા જ ગુના બદલ ફાંસીની સજા કરાઈ હતી. પ્રતિભા પાટિલે આ બંનેની ફાંસીની સજા પણ આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. એક રિપોર્ટ પ્રમાણે તો પ્રતિભા પાટિલે અલગ અલગ ગુનામાં ફસાયેલા કુલ ૩૫ જેટલા ગુનેગારોને માફી આપી હતી.
મત્સ્યોદ્યોગઃ કીડી સંઘરે ને તેતર ખાય
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગુજરાતને ૧૬૬૦ કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો અને ફળ્યો પણ છે. બે દિવસ પછી ૫ચમી એપ્રિલે નેશનલ મેરિટાઇમ ડે ઊજવાશે ત્યારે આપણે ગુજરાતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો ધરાવતા માછીમારી વ્યવસાયની અને માછીમારોના જીવનની ખારી-મીઠી વાતો જાણીએ
૫ એપ્રિલ, ૧૯૧૯ના રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશનના પ્રથમ વહાણ 'લોયલ્ટી'એ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો તેની યાદમાં આ દિવસને ૧૯૬૪થી નેશનલ મેરિટાઇમ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતના માછીમાર ઉદ્યોગની વાત કરવામાં આવે તો આજે એક સૈકા જેટલા સમયગાળામાં આ ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતને એશિયાના અન્ય દેશો હંફાવી શકે તેમ નથી. વિશ્વના કુલ મત્સ્ય ઉત્પાદનમાં ભારત સન્માનનીય સ્થાન ધરાવે છે. ભારતમાંથી મળી આવતી માછલીઓની ડિમાન્ડ વિદેશમાં પણ રહે છે. ભારતની ઈકોનોમીમાં માછીમારી ઉદ્યોગનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, આ ક્ષેત્રે હજુ વધુ અવકાશ છે અને આટઆટલી યોજનાઓ પછી પણ સમસ્યાનો મહાસાગર એટલી જ તીવ્રતાથી ઘુઘવાટા મારે છે.
ગુજરાત અને માછીમારીઃ સંબંધ જૂનો, સમસ્યાઓ નવી
ગુજરાતના સાગરખેડૂતો વર્ષે આશરે બે લાખ ટન માછલીનું ઉત્પાદન કરે છે અને અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. ગુજરાતમાં પાંચેક સ્થળોએ મત્સ્ય ઉત્પાદન થાય છે. વેરાવળ, પોરબંદર, માંગરોળ ઉપરાંત અન્ય બે-ત્રણ નાના એકમોની મળીને બધી નિકાસ પીપાવાવ પોર્ટ પરથી કરવામાં આવે છે. આ તમામમાં વેરાવળ બંદર એકલાનું ૮૦ ટકા ઉત્પાદન છે. વેરાવળમાં ૬૦ ફેક્ટરીઝ છે કે જેમાં માછલીનું પ્રોસેસિંગ થાય છે. પોરબંદરમાં ૮ અને માંગરોળમાં ૪ પ્રોસેસિંગ ફેક્ટરીઝ છે. એટલે કે મત્સ્ય ઉત્પાદનમાં વેરાવળ સૌથી મોખરે છે. વેરાવળ અને આસપાસના વિસ્તારના ૬૦ હજાર લોકો સીધી અથવા આડકતરી રીતે માછીમારી પર નભે છે. વેરાવળસ્થિત મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં નોંધાયેલા આંકડા પ્રમાણે ૧૦૭૮૩ લોકો માછીમારી કરવા દરિયાની ખેપ કરે છે. વેરાવળના યુનિટથી જ ૮થી ૯ હજાર કન્ટેનર માછલીની નિકાસ કરવામાં આવે છે.
માછીમારીને લગતી સમસ્યાઓની વાત કરવામાં આવે તો એમાં પ્રથમ વિલનનું નામ છે - પાકિસ્તાન. પાકિસ્તાનના હાથમાં આપણા માછીમારો પકડાઈ જાય છે. પછી થોડા સમયના જેલવાસ બાદ છૂટી તો જાય છે, પણ બોટ પરત આપવાની કોઈ જ વિધિ થતી નથી એટલે ભારત આવ્યા પછી ફરીથી આજીવિકા માટે નવા પ્રયાસો કરવા પડે છે. પાકિસ્તાનમાં જઈ ચડવાના ડરને કારણે હવે માછીમારો સ્થાનિક માછીમારી જ કરે છે, પરિણામે તેની અસર મત્સ્ય ઉત્પાદનમાં પણ પડે છે. આ અંગે વાત કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર જિજ્ઞોશભાઈ વિસાવાડિયાએ જણાવ્યું હતું કે અત્યારે પાકિસ્તાનના કબજામાં ૭૫૦ જેટલી બોટ છે. એક બોટની કિંમત ત્રીસેક લાખ રૂપિયા ગણીએ તો આ રકમ બે અબજ રૂપિયા જેટલી થવા જાય છે. આ પછીનું મોટું પરિબળ એટલે ગંદકી અને પ્રદૂષણ. દરિયાકાંઠાનાં કારખાનાંઓનું દૂષિત પાણી સીધું જ દરિયામાં ભળે છે એટલે દરિયાઈ સજીવો પર જોખમ વધી જાય છે. દૂષિત પાણીના કારણે દરિયાઈ સપાટીના ૨૦-૩૦ કિલોમીટરના વિસ્તારમાં તો માછલીઓ મળતી જ નથી એટલે માછીમારોને દૂરના અંતરની સફર ખેડવી પડે છે.
માછીમારીમાં ઉપલબ્ધ બની રહી છે નવી ટેક્નિક
પહેલાં માછીમારો માછલી પકડવા માટે ડાયમંડ કણની જાળનો ઉપયોગ કરતા હતા. જેમાં નાની-મોટી બધી જ માછલીઓ જાળમાં ફસાઈ જતી હતી. પરિણામે એવું થતું હતું કે માછલીની સંખ્યા સતત ઘટી જતી હતી. એને બદલે હવે ૪૦ એમ.એમ.ની ચોરસ કણની જાળનો ઉપયોગ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ જાળમાંથી નાનકડી માછલીઓ મુક્ત થઈ જાય છે અને એ રીતે માછલીઓની સંખ્યા બેલેન્સ રહી શકે છે. આ સિવાય જો બોટ દરિયામાં જ થોડા દિવસો વધુ રહે તો ત્યાં માછલીઓ વધારે સમય સુધી સચવાય તેવાં અત્યાધુનિક બોક્સ ઉપલબ્ધ થયાં છે. પ્રોસેસિંગ કરતાં કારખાનાંઓમાં પણ નવી ટેક્નિક્સ આવી ગઈ છે. થોડાં વર્ષો પહેલાં માછલીને માઇનસ ૧૮ ડિગ્રી તાપમાનમાં ફ્રીઝ કરવા માટે ૬-૮ કલાક લાગતા હતા, એના બદલે હવે માત્ર ૨૦ જ મિનિટ્સમાં આ પ્રોસેસ થઈ જાય છે.
માછીમારોની લાઇફ સ્ટાઇલઃ જોખમ વધુ, વળતર ઓછું!
મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉમેશ ગોહેલે માછીમારોની લાઇફ સ્ટાઇલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અન્ય નોકરી-ધંધા કરતાં માછીમારની જિંદગી ઘણી બધી રીતે પડકારજનક છે. પાકિસ્તાન જેવા દુશ્મન દેશની જેલમાં જવા સિવાય પણ ઘણા પડકારોનો સામનો માછીમારો કરે છે. દરિયાની એક સફર માટે ઓછામાં ઓછા મહિનામાં વીસેક દિવસ તો પરિવારથી દૂર રહેવું જ પડે છે. વળી, બધા લોકો પાસે પોતાના પરિવારની બોટ હોતી નથી એટલે બીજાની બોટ પર રોજમદાર તરીકે જ મોટાભાગે કામ કરવાનું આવે છે. એટલે નવી સફર ક્યારે શરૂ થાય એનું કશું જ નક્કી હોતું નથી. ઘણી વખત માત્ર થોડા કલાકોમાં જ નવી સફરે ઊપડવું પડતું હોય છે. ધારો કે એક પરિવારના ત્રણેક સભ્યો આ રીતે અલગ અલગ બોટમાં કામ કરતા હોય તો શક્ય છે કે એ ત્રણેય એક વર્ષ સુધી મળી ન પણ શકે! નવેક માસ દરિયામાં રહ્યા બાદ ચોમાસાના ત્રણેક માસ દરમિયાન ઘરે રહેવાનું બનતું હોય છે. આ વિશે વાત કરતા એક માછીમારે કહ્યું કે જે જહાજ અમને નવ-દસ મહિના સાચવે એને એ ત્રણ માસ દરમિયાન સાચવવાની અમારી પણ ફરજ છે એટલે એ ગાળામાં જહાજની મરામત કરાવવાની જિમ્મેદારી પણ આ માછીમારો નિભાવે છે. સરકારના દાવા પ્રમાણે માછીમારી ઉદ્યોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એટલે આપણને સહેજેય થાય કે જેના ખભા પર આ આખો ઉદ્યોગ નભે છે એવા માછીમારોને તો સારું એવું વળતર મળતું હશે, પણ ખરેખર એવું નથી! પોતાના જીવના જોખમે દરિયામાં જતા માછીમારોને વળતર પેટે મહિનાના ચાર-પાંચ હજાર રૂપિયા મળે છે. અનિલ જુંગી નામના માછીમારે આ અંગે કહ્યું હતું કે, સૌથી વધુ પગાર જહાજના ટંડેલને અને સહટંડેલને મળે છે. ટંડેલને ૧૫ હજાર અને સહટંડેલને ૧૦ હજાર જેવી રકમ મળે છે. વર્ષોના અનુભવ પછી ટંડેલને મળતી આ રકમ ખૂબ જ ઓછી કહી શકાય. અન્ય ઉદ્યોગોની જેમ આ વિશાળ મત્સ્ય ઉદ્યોગ પણ ધીરે ધીરે સ્થાપિત હિતોના સકંજામાં આવી ગયો હોવાની લાગણી માછીમારોએ વ્યક્ત કરી હતી.
લુપ્ત થતી મોંઘેરી માછલીઓને બચાવવી જરૂરી
રત્નાકરના પેટાળમાંથી અવનવી માછલીઓની અસંખ્ય પ્રજાતિઓ મળી આવે છે. માછલીઓની ખાસિયતો પ્રમાણે તેનું વળતર પણ મળે છે. ગુજરાતમાં આશરે અલગ અલગ ૭૦થી ૮૦ જાતની માછલીઓ મળી આવે છે. જેમાંથી અમુક માછલીઓની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે. દરિયામાં વધતી જતી ગંદકીને કારણે માછલીઓ લાંબું જીવતી નથી. વળી, મોંઘેરી માછલીઓના ભાવ વધુ મળતા હોવાથી માછીમારો તેને પકડવાની લાલચ રોકી શકતા નથી અને એ રીતે લોબસ્ટર, કોમ્પ્રેસ, રાણી ફિશ જેવી પ્રજાતિની માછલીઓની સંખ્યા ખૂબ જ ઘટવા લાગી છે. લોબસ્ટર માછલીના એક કિલોનો ભાવ એક હજાર રૂપિયા જેટલો હોય છે, તો કોમ્પ્રેસ ૭૦૦ રૂપિયે કિલો ખપે છે. ટોંટણ, જિંગા અને રાણી ફિશનું પણ સારું એવું વળતર મળી રહે છે. એટલે જો આવી થોડી માછલીઓ પણ મળી જાય તો દરિયાનો ફેરો સફળ થઈ જાય છે. આ મોંઘેરી માછલીઓ જે વિસ્તારમાંથી વધારે માત્રામાં મળતી હોય ત્યાંથી વધુ ને વધુ તેને પકડી લેવામાં આવે છે. પરિણામે તેની સંખ્યામાં વધારો થઈ શકતો નથી. એટલે હવે આમાંની અમુક માછલીઓ તો ક્યારેક જ જાળમાં આવે છે!
ગુજરાતની હોળી ૬૦૦ કરોડની
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
રંગ, પિચકારી, ખજૂર અને ધાણીનો વ્યવસાય સિઝનલ છે. વળી, હોળી માટે વપરાતાં લાકડાં-છાણાંનો હિસાબ કેમ માંડવો, ત્યારે આ પર્વના ખર્ચનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ થઈ પડે છે. અગ્રણી વેપારીઓના મત પ્રમાણે ભારતમાં હોળી-ધુળેટી એ આશરે ૫,૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ છે
હોળી-ધુળેટીના તહેવાર સાથે ધાર્મિક અને સામાજિક ઉપરાંત આર્થિક પાસું પણ જોડાયેલું છે. આ તહેવારો દરમિયાન રંગ, પિચકારી, ખજૂર, ધાણી, દાળિયા, ખારેક વગેરેનું માર્કેટ ઊંચકાય છે. હોળી-ધુળેટીને રંગોત્સવના નામે ઓળખવામાં આવે છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને કપડાંથી લઈને હારડા, ખજૂર, ધાણી, રંગ અને પિચકારી સહિતની સામગ્રીઓ માટે દરેક પરિવાર ખાસ બજેટ ફાળવે છે. એકલા ગુજરાતમાં જ આ તહેવાર દરમિયાન આશરે ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાતા હોવાનો અંદાજ છે.
ભારતમાં ૫,૫૦૦ કરોડનું માર્કેટ
આમ તો રંગ, પિચકારી, ખજૂર અને ધાણીના વેપારીઓનું વ્યવસ્થિત સંગઠન નથી એટલે ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે, પણ અગ્રણી વેપારીઓના મત પ્રમાણે ભારતમાં હોળી દરમિયાન આશરે ૫,૫૦૦ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થાય છે. પાટનગર દિલ્હીથી ભારતભરમાં રંગો પહોંચે છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીના માર્કેટમાં જ હોળી-ધુળેટીના તહેવારમાં ૪૦૦થી ૫૦૦ કરોડના રંગ વેચાય છે. વેપારીઓના મત પ્રમાણે આ વર્ષે સમગ્ર ભારતમાં ૨૦૦૦ કરોડના રંગની હોળી રમાશે. બાકીનું બજેટ ખાદ્યચીજો પર વપરાય છે.
ગુજરાત ખર્ચશે રૂ. ૬૦૦ કરોડ
ઉત્સવપ્રિય ગુજરાતીઓ આમ તો દરેક તહેવારમાં સારું એવું બજેટ ફાળવવા માટે જાણીતા છે, પણ દિવાળી અને હોળીના પર્વમાં આ બજેટ થોડું વધારે હોય છે. હોળી-ધુળેટી દરમિયાન માર્કેટમાં તેજીનો સંચાર થાય છે. ગુજરાતમાં રંગો, પિચકારી, ખજૂર અને ધાણીનું બજાર ઊંચકાઈ જાય છે. અમદાવાદના પ્રથમ હરોળના વેપારીઓના મત પ્રમાણે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હોળી પાછળ વધારે ખર્ચ કરે છે. ગુજરાતમાં હોળીનું બજેટ આશરે ૬૦૦ કરોડ રૂપિયાને આંબી જાય છે. જેમાં સૌથી વધુ ખરીદાતી ચીજ રંગો અને પિચકારી હોય છે. ત્યાર પછીના ક્રમે ખજૂરને મૂકી શકાય. ખજૂર, દાળિયા, ખારેક વગેરેનું વેચાણ કરતા અગ્રણી વેપારી પ્રવીણભાઈ રાઠોડના જણાવવા પ્રમાણે ખજૂરનો એક કિલોનો ભાવ અત્યારે ૬૫ રૂપિયાથી ૧૫૦ રૂપિયા સુધીનો છે જ્યારે દાળિયાનો એક કિલોનો ભાવ ૬૦થી ૯૦ રૂપિયા સુધીનો હોય છે. આ સિવાય ખારેકના ભાવમાં પણ આ દિવસો દરમિયાન તેજી આવી જતી હોવાનું તેમણે જણાવ્યું હતું. રહી વાત હારડાની, તો હારડાનું બજાર પહેલાંની તુલનાએ સાવ નીચું રહે છે.
પિચકારીઃ વૈવિધ્યની રંગોળી
ગુજરાતમાં આવતી પિચકારીઓ મુંબઈથી મગાવવામાં આવે છે. પિચકારીઓનું માર્કેટ ૧૫ રૂપિયાથી શરૂ કરીને છેક ૫૦૦ રૂપિયા કે એનાથી પણ વધારે સુધીનું હોય છે. અલગ અલગ પ્રકારની ફેન્સી પિચકારી પર કાર્ટૂન કેરેક્ટર્સનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. એક વેપારી પરાગભાઈ પટેલના જણાવ્યાનુસાર પિચકારીમાં ખૂબ વૈવિધ્ય રહેલું છે. કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન ઉપરાંત એંગ્રી બર્ડસ, તલવાર, ઢાલ, છોટા ભીમ, શક્તિમાન, એકે-૪૭, એકે-૫૬, રોબોટ ઉપરાંત ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સના ફોટાવાળી પિચકારીઓનું વેચાણ હંમેશાં એવરગ્રીન રહેતું આવ્યું છે. આ સિવાય પરંપરાગત પિચકારીઓ તો ખરી જ. આમ કેટલા બધા આકારની અને કિંમતની પિચકારીઓ બજારમાં મળી રહે છે.
આ સિવાય હોળીમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગુલાલની ખરીદી પણ વધી છે. પાણી બચાવવાના પ્રયાસરૂપે અને સિન્થેટિક રંગોથી ચામડીમાં થતી આડઅસરના કારણે હવે લોકો ગુલાલથી હોળી રમવા લાગ્યા છે એટલે ગુલાલનું માર્કેટ ૩૦ ટકા જેવું વધ્યું છે. ગુલાલ રંગ કરતાં સસ્તો મળે છે, પણ લોકો પોતાની ચામડીની સંભાળ માટે એક કિલો ગુલાલના ૧૩૦થી ૧૫૦ રૂપિયાનો ખર્ચ કરતા પણ ખચકાતા નથી. એટલે કે ગુજરાતીઓ પોતાના મનગમતા તહેવાર માટે ખર્ચ તો કરી જ જાણે છે, પણ શરત એટલી કે વસ્તુ સારી મળવી જોઈએ!
(હોળી સ્પેશિયલ પૂર્તિમાં પબ્લિશ થયેલી સ્ટોરી)
ગુજરાતીઓનાં ગૌરવપૂર્ણ બલિદાન
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
૨૩મી માર્ચે ભારતના અમર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતને ૮૨ વર્ષ થશે. દેશની આઝાદી અને ઉન્નતિમાં આવા અસંખ્ય વીર યુવાનોનાં બલિદાનનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને એમાં ગુજરાતના યુવાનોનું બલિદાન પણ નોંધપાત્ર છે. આજે દેશના ઊગતા સૂરજની લાલિમામાં જેના રક્તનો લાલ રંગ ભળ્યો છે એવા ભુલાઈ રહેલા ગુજરાતી શહીદોની શહાદતને અહીં યાદ કરી લઈએ
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતે તે સમયે દેશના યુવાનોમાં દેશભક્તિની આગ પ્રગટાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને એક સાથે ત્રણ-ત્રણ યુવાનોને ગુપચૂપ અપાયેલી ફાંસીના દેશભરમાં પ્રત્યાઘાતો પડયા હતા. ગુજરાત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. શહાદતની વાત આવે ત્યારે પંજાબ, બંગાળ અને મહારાષ્ટ્રના શહીદોનાં બલિદાનને વધુ યાદ કરવામાં આવતાં હોય છે. આ રાજ્યોના યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં વધુ ઝંપલાવતા હતા એ વાત સાચી છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ એવી પ્રવૃતિ થતી જ હતી. જેના પર કદાચ થોડું ઓછું ધ્યાન પડયું છે.
બીજું કે આ રાજ્યો પાસે તેના શહીદોની માહિતી પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ છે એટલે લખેલું વંચાય એ ન્યાયે તેમને જ વધારે યાદ કરાય છે અને એમાં કશું ખોટું નથી, પરંતુ ગુજરાતમાં ગાંધીજીની અહિંસક ચળવળમાં અને અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ ઘણા બધા વીર યુવાનોએ પોલીસ દમનનો ભોગ બનીને શહાદત વહોરી હતી. આવા શહીદ યુવાનો વિશે વ્યવસ્થિત માહિતી એકત્ર થાય અને એ સચવાય એ માટે એક યાદી તૈયાર કરવાનું આયોજન ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે હાથ ધર્યું છે અને એમાં એમ.એસ. યુનિર્વિસટીના ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. રાજકુમાર હંસ પણ યોગદાન આપી રહ્યા છે. સંશોધન દરમિયાન ડો. હંસના ધ્યાનમાં આવ્યું કે જે સમયગાળામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી એ જ સમયગાળામાં ગુજરાતમાં પણ ૮-૧૦ યુવાનોએ હસતાં મોઢે દેશની આઝાદીની લડતમાં શહાદત વહોરી લીધી હતી. ૧૯૩૦ પહેલાં અને પછી તો ઘણા ગુજરાતી યુવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું, પણ ૧૯૨૯થી ૧૯૩૨ સુધીનાં ત્રણેક વર્ષના ગાળામાં જ જેમણે આઝાદીની લડતના મહાયજ્ઞામાં જાનની આહુતિ આપી છે એવા ગુજરાતી યુવાનો કેવી સ્થિતિમાં, કઈ લડાઈમાં અને ક્યારે શહીદ થયા તેનો થોડો પરિચય કરી લઈએ.
પુરુષોત્તમદાસ શાહઃ પોલીસનો મરણતોલ માર સહ્યો
ગોધરાના પુરુષોત્તમદાસ શાહે વકીલાતનું ભણીને પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રેક્ટિસ જામી ગઈ હોવા છતાં દેશસેવા માટે ધીકતી કમાણી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દીધું. ૧૯૨૮ના સપ્ટેમ્બર માસમાં ગોધરામાં ફાટી નીકળેલાં કોમી હુલ્લડોમાં બ્રિટિશ પોલીસે લોકો પર દમન ગુજાર્યું. અમુક યુવાનોને સખત માર માર્યો અને એ માર સહન કરનારા એક યુવાન એટલે પુરુષોત્તમદાસ શાહ. પોલીસ દમનના અંતે આ તેજસ્વી યુવાન શહીદ થયો.
રતીલાલ શાહઃ ધોલેરા સત્યાગ્રહમાં શહીદ
૧૯૧૦માં અમદાવાદમાં જન્મેલા રતીલાલ સકળચંદ શાહે ધોલેરા સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (દાંડીયાત્રા પછી મીઠાના કાયદાને તોડવા માટે જે અન્ય સવિનય કાનૂનભંગના સત્યાગ્રહ થયા હતા એમાં ધોલેરા સત્યાગ્રહ પણ એક હતો) મીઠાના કાયદાનો ભંગ કરનારા સભ્યો સાથે રતીલાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં પોલીસ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો જેના પરિણામે ૧૯૩૦માં અમદાવાદનો આ યુવાન શહીદ થયો હતો.
સુરેન્દ્ર જેઠમલઃ ધરાસણા સત્યાગ્રહના શહીદ
મીઠાના કાયદાનો સવિનય કાનૂનભંગ કરવા માટે મે, ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહ થયો હતો. ૧૦૦ જેટલા સત્યાગ્રહીઓમાંના એક સુરેન્દ્ર જેઠમલે તેમાં ભાગ લીધો હતો. આ ટુકડી પર મધરાતે પોલીસ ત્રાટકી હતી અને એમાં યુવાનો પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે જખ્મી થયેલા સુરેન્દ્રએ ૧૨-૧-૧૯૩૨ના દિવસે અમદાવાદમાં અંતિમ શ્વાસ લઈને આઝાદીની લડતના મહાયજ્ઞામાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
કાંતિલાલ રામજીભાઈ મહેતાઃ સરસિયાના યુવાનની શહાદત
ભાવનગર નજીકના સરસિયાના શહીદ કાંતિલાલ મહેતાનો જન્મ ૧૯૦૫માં થયો હતો. ૧૯૩૦-૩૧માં ચાલતાં સત્યાગ્રહમાં તેને ૬ માસની જેલની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન તેમના પર મારપીટ કરવામાં આવી હતી અને એમાં ૧૯૩૧માં આ યુવાન શહીદ થયો હતો.
ભાઈલાલ પટેલઃ જેની સ્મશાનયાત્રામાં કસ્તુરબા પણ જોડાયાં હતાં
બોરસદ પાસેના પાલજ ગામના સપૂત ભાઈલાલ દાજીભાઈ પટેલ ૧૯૩૦માં થયેલા ધરાસણા સત્યાગ્રહમાં ભાગીદાર બન્યા હતા. ૨૨ મે, ૧૯૩૦ના રોજ સત્યાગ્રહી છાવણી પર ૫૦ પોલીસ જવાનોએ હુમલો કર્યો જેમાં ભાઈલાલ પટેલ લાઠીઓના મારથી ઘવાયા અને શહીદ થયા. તેમની સ્મશાનયાત્રામાં મોટી માનવમેદની ઉમટી હતી અને કસ્તુરબા પણ સ્મશાનયાત્રામાં હાજર રહ્યાં હતાં.
ઈસ્માઈલ મૂસાજીઃ અસહકારની ચળવળના શહીદ
આણંદના વડોદના વીર ઈસ્માઈલ મૂસાજીએ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. એ દરમિયાન ટેલિફોન-તારની લાઇન કાપવાના ગુના માટે તેમને કેદની સજા કરવામાં આવી હતી. જેલમાં જ પછીથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેલમાં તેમનું નિધન શા માટે થયું છે તેનું કારણ અજ્ઞાત છે, પણ જેલમાં પોલીસ દમનમાં તેઓ શહીદ થયા હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.
ભૂલાભાઈ કસનાજી નાયકઃ નવસારીના સપૂતની શહીદી
ધરાસણા સત્યાગ્રહમાં જે યુવાનોનો ભોગ લેવાયો હતો તેમાં ભૂલાભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે. સવિનય કાનૂનભંગની ચળવળમાં પોલીસે સત્યાગ્રહીઓ પર દમન કર્યું હતું જેમાં નાયક ગંભીર રીતે ઘવાયા બાદ શહીદીને ભેટયા હતા.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકો માહિતી કોશ' અનુસાર ધરાસણા સત્યાગ્રહમાં જેલવાસ થયો હોય કે પછી જે તે વખતે સખત માર પડયો હોય અને ત્યારબાદ શહીદ થયા હોય તેવા થોડા યુવાનોની પણ નોંધ કરી શકાય. ખેડા પાસેના જલસાણના યુવક જેઠાભાઈ ઉમેદભાઈ પટેલે ૯ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ સાબરમતી જેલમાં દમ તોડયો હતો. આ સિવાય કાલિયાવાડીના ઠાકોરભાઈ વસનજી દેસાઈ પોલીસ દમનનો ભોગ બન્યા હતા. મારની અસરના કારણે સત્યાગ્રહના થોડા સમય પછી તેમનું નિધન થયું હતું. દારૂબંધીની પ્રવૃત્તિમાં ભાગીદાર બનનાર સુરતી યુવાન ઈશ્વરદાસ ગોરધનદાસ વેરાગીવાળાનું નિધન ૧૯૩૩માં ધરપકડ બાદ અહમદનગરની જેલમાં થયું હતું.
આ એવા યુવાનો છે જે ભગતસિંહના અરસામાં શહીદીને ભેટયા હતા. આ સિવાય ભગતસિંહના એક દશકા પછી ૧૯૪૩માં ગુજરાત કોલેજના વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી ઝીલીને શહાદતનું એક આખું નવું પ્રકરણ ગુજરાતને આપ્યું. આવા યુવાનોની શહાદતના કારણે જ કદાચ આજે આપણો દેશ વિશ્વના નકશામાં આગવી ભાત પાડી શકવામાં સફળ થયો છે. હમેં નાઝ હૈ ઈન વીરો પર!
અમદાવાદમાં દેશની સૌથી મોટી લોન્ડ્રી
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
નદીકિનારે ચાલતા ધોબીઘાટનો જમાનો ગયો અને વોશિંગ મશીન તથા અત્યાધુનિક સાધનોથી સજ્જ લોન્ડ્રીનો જમાનો આવ્યો. રેલવે, હોસ્પિટલ, મોટી હોટેલ્સ અને મહામેદનીના મેળાવડાનાં કપડાં સ્વચ્છ કરવાની જવાબદારી કોઈ એકલદોકલ ધોબી કે નાનું વોશિંગ મશીન તો ન જ નિભાવી શકે ને! દેશની ધોરી નસ ગણાતી ભારતીય રેલવેનાં કપડાંને ચમકાવતી સૌથી મોટી લોન્ડ્રી આપણા અમદાવાદમાં જ આવેલી છે. અહીં રોજેરોજ આશરે ૧૬,૦૦૦ ચાદરો અને બાકીની વસ્તુઓ ધોવાય છે
રેલવેનો પ્રવાસ કરવાનો થાય ત્યારે રિઝર્વેશન સહિતનું બધું સમુંસૂતરું પાર પડે, પણ જ્યારે આપણને બેડરોલ મળે ત્યારે એ ગંદા બેડરોલને જોઈને થોડો કચવાટ થયા વગર ન રહે. જેને વારંવાર રેલવેનો પ્રવાસ કરવાનું થતું હોય તેણે તો રેલવેના બ્લેન્કેટ્સ અને બેડરોલ યુસ કરવાને બદલે પોતાની વ્યવસ્થા જાતે કરવાની આદત પાડી લીધી હોય છે. આ સ્થિતિમાં રેલવેએ એક નવી પહેલ કરી અને આવા ગંદા-ગોબરા બ્લેન્કેટ્સ અને બેડરોલ્સની સફાઈ વ્યવસ્થિત થાય એ માટે ઠોંસ આયોજન કર્યું. આ આયોજનના પરિણામે અમદાવાદને મળી ભારતની સૌથી મોટી લોન્ડ્રી.
કેવી છે ભારતની સૌથી મોટી લોન્ડ્રી?
પશ્ચિમ રેલવેએ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગત માસમાં ૧૫૦૦ સ્ક્વેર મીટરનો ફેલાવો ધરાવતી એક વિશાળ મિકેનાઇઝ્ડ લોન્ડ્રી શરૂ કરી છે. જેમાં રેલવેના બ્લેન્કેટ્સ અને બેડશીટની સફાઈનું કામ બે શિફ્ટમાં કરવામાં આવે છે. અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને જે બેડરોલ્સ અને બ્લેન્કેટ્સ આપવામાં આવે છે તે હવે આ રેલવે લોન્ડ્રીમાં સ્વચ્છ થશે. આ અંગે અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી જિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યાનુસાર આ લોન્ડ્રીમાં એક કલાકમાં આશરે ૧૨૦૦ બેડશીટ્સ ક્લીન થાય છે. એટલે કે આઠ કલાકની એક પાળીમાં અત્યારે ૮ હજાર બેડ શીટ્સ ક્લીન કરવામાં આવે છે. વળી, આ લોન્ડ્રી દિવસ રાત કાર્યરત રહે છે એટલે કે બે શિફ્ટમાં કામ ચાલુ રાખવામાં આવે છે એ રીતે ગણતરી કરીએ તો એક દિવસમાં ૧૬,૦૦૦ બેડરોલ ક્લીન થાય છે. દરરોજ અંદાજિત ૧૨ ટન લિનન ક્લીન કરવાની ક્ષમતા આ લોન્ડ્રી ધરાવે છે. આ માટે ૯૦ કર્મચારીઓ કાર્યરત રહે છે. લોન્ડ્રીમાં કપડાં ધોવા માટેનું એક અત્યાધુનિક મશીન તૈનાત કરવામાં આવ્યું છે. જેમાં ૧૫-૧૫ બેડશીટનાં બંડલ પ્રેસ થઈને તૈયાર થઈ જાય છે.
આ વિશાળ લોન્ડ્રી શરૂ કરવા પાછળનો તર્ક
રેલવે તંત્ર અત્યાર સુધી બેડરોલ ક્લીનિંગનો કોન્ટ્રાક્ટ આપતું હતું. જેમાં અંદાજે એક બેડરોલ ધોવાનો ખર્ચ સાડા ચાર રૂપિયા જેવો થતો હતો. એમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ ગણાતો ન હતો. એટલે કે લેવા લઈ જવાની સગવડમાં વધુ થોડા પૈસા ચૂકવવા પડતા હતા. આ ખર્ચ કરવા છતાં પણ બેડરોલ ખરાબ હોવાની ગ્રાહકોની વ્યાપક ફરિયાદ ઊઠતી રહેતી. આ અંગે જાણકારી આપતા ડિવિઝનલ રેલવે મેનેજર આલોકકુમાર તિવારીએ કહ્યું હતું કે, 'છેલ્લા થોડા સમયથી અપર ક્લાસ એસી કોચોમાં ગંદા બેડરોલ મળતા હોવાનું વારંવાર સાંભળવા મળતું હતું. ક્યારેક એવી પણ ફરિયાદ ઊઠતી કે બેડરોલ ધોયેલા હોતા નથી અને માત્ર પ્રેસ કરીને જ આપી દેવામાં આવે છે. આ માટે કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત પણ કરાતી હતી છતાં ખાસ કોઈ પરિણામ મળતું નહોતું એટલે આનો કાયમી ઉકેલ લઈ આવવાનાં પગલાં ભરવાનું શરૂ કર્યું. એ કોયડાના ઉકેલરૂપે રેલવેએ પોતાની જ વિશાળ લોન્ડ્રી શરૂ કરવાનું નક્કી કર્યું.' રેલવેને હવે એક બેડરોલનો આશરે સાડા ત્રણ રૂપિયા જેવો ખર્ચ થશે. એટલે એ રીતે રેલવેની તિજોરી પર થોડો બોજો પણ ઘટશે. આ લોન્ડ્રી આમ તો ટ્રાયલરૂપે ઓક્ટોબર માસથી જ શરૂ કરાઈ હતી, પણ લોન્ડ્રીના કારણે ફરિયાદો ઘટવા લાગી એટલે તેને ગત માસમાં વ્યવસ્થિત ધોરણે કાર્યરત કરાઈ છે.
વોટ ઇઝ નેક્સ્ટ?
રેલવેનું આગામી આયોજન એ છે કે દેશભરના પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ મળતા થાય એ માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ આવી લોન્ડ્રી શરૂ કરવી. આવી જ એક લોન્ડ્રી મુંબઈમાં પણ શરૂ કરવાનું આયોજન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. જોકે, એની ક્ષમતા અમદાવાદની તુલનાએ થોડી ઓછી છે. એ લોન્ડ્રીમાં દરરોજના ૧૨,૦૦૦ બેડરોલ્સ સ્વચ્છ થશે. હવે આગામી સમયમાં રેલવે જો આવી મોટી લોન્ડ્રી શરૂ કરશે તો એની ક્ષમતા જૂની લોન્ડ્રીની સરખામણીએ ચોક્કસ વધારે જ હશે. એટલે બની શકે કે કદાચ ભવિષ્યમાં અમદાવાદની આ લોન્ડ્રીનું પ્રથમ નંબરનું સ્થાન પાછળના ક્રમે આવી જાય!
ઇન શોર્ટ પહેલાં એવું થતું હતું કે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લીધા પછી બેડરોલ્સની સફાઈ માત્ર કરવા ખાતર જ કરતા હતા. એના બદલે હવે રેલવે તંત્ર પોતે જ પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ પૂરા પાડશે. વળી, ગંદા બેડરોલ્સની ફરિયાદ વખતે રેલવે તંત્ર પોતાના બચાવ માટે કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળી પણ નહીં શકે. એને બદલે હવે સારી કે ખરાબ બંને ક્રેડિટ રેલવે તંત્રની પોતાની જ ગણાશે એ એક વધુ ફાયદો!
સુકાન અર્થતંત્રના મહારથીઓ પાસે છતાં 'તંત્ર' કાબૂ બહાર!
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
આખી દુનિયા અત્યારે આર્થિક સંકળામણ અનુભવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ તરફ હતી. વડાપ્રધાન મનમોહન સિંહ વિશ્વ સ્તરના અર્થશાસ્ત્રી ગણાય છે અને એની સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ હોય એ સમજી શકાય છે. જોકે, હકીકત એ છે કે ઘણા દેશોમાં સફળ અર્થશાસ્ત્રીઓ સત્તાસ્થાને છે અને દેશની સ્થિતિ દરિયાઈ વાવાઝોડામાં ગંભીર રીતે ફસાયેલી નાવ જેવી થઈ ગઈ છે
વૈશ્વિક મંદીનો પવન ફૂંકાયો ત્યારથી છેક અત્યાર સુધી અમેરિકા જેવા સુપર પાવર સહિતના મહત્ત્વના દેશો આર્થિક રીતે નબળા પડયા છે. બેરોજગારી અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પણ મોટો ફેરફાર થયો છે. આ સ્થિતિ ઘણા ખરા દેશોમાં છે, પણ જે દેશનું સુકાન આપણા દેશની જેમ અર્થશાસ્ત્રીના હાથમાં છે અને છતાં આર્થિક હાલત બેહાલ છે એની વાત અહીં આપણે કરીએ.
ભારતઃ વિદેશી ભણતર દેશને કામ ન લાગ્યું!
વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે ૨૦૧૧માં ભારતના ડેબિટ રેટિંગમાં લોસ જોવા મળ્યો હતો. ભારતની ગણના ખૂબ જ ઝડપથી વિકસતા જતાં દેશ તરીકે થાય છે, પણ દેશમાં મોંઘવારી, બેકારી, ગરીબીની સ્થિતિમાં ઊડીને આંખે વળગે તેવો સુધારો નથી આવ્યો. એમાં પણ એવા સમયે કે જ્યારે છેલ્લાં આઠ-આઠ વર્ષથી દેશની બાગદોર મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રીના હાથમાં હોય! આ એ જ ડો. મનમોહન સિંહ છે જેમણે નાણામંત્રી તરીકે ૧૯૯૧માં દેશની ગંભીર આર્થિક સ્થિતિ વેળાએ મહત્ત્વનાં પગલાં ભરીને ગંભીરતા ખાળવામાં સફળતા મેળવી હતી. મનમોહનસિંહ ઈકોનોમિક્સના અનુસ્નાતક છે અને કેમ્બ્રિજ યુનિર્વિસટીના સ્કોલર પણ રહી ચૂક્યા છે. અત્યારે મનમોહન સિંહની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી છે, જે કૌરવોની વિશાળ સેનાને તો હરાવી શકે છે, પણ એક લૂંટારા સામે પરાસ્ત થઈ જાય છે!
ગ્રીસઃ અર્થતંત્રના નિષ્ણાત પાસેથી વિશેષ અપેક્ષા
આપણે ત્યાં જે સમયે મનમોહન સિંહ નાણામંત્રી હતા બરાબર એ જ સમયગાળામાં ગ્રીસનું નાણામંત્રાલય વિશ્વમાં ગણનાપાત્ર અર્થશાસ્ત્રી એન્ટોનિસ સમરાસ સંભાળતા હતા. મનમોહન સિંહની માફક જ તેમને નાણામંત્રાલય ફળ્યું. આજે તેઓ પણ તેમના દેશના પ્રાઇમ મિનિસ્ટર છે અને એ વાત તો સુવિદિત છે કે ગ્રીસ વિશ્વમાં સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદીમાં શીર્ષસ્થાને રહેલું છે. યુરોઝોનની કટોકટીમાં સપડાયેલા દેવાળિયા થઈ રહેલા આ દેશને અત્યારે કદાચ સમરાસના અર્થશાસ્ત્રના જ્ઞાનનો લાભ મળે એવી વિશેષ આશા સેવાઈ રહી છે. સમરાસે ૧૯૭૪માં અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછીથી વધુ અભ્યાસ હાર્વર્ડ યુનિર્વિસટીમાં કર્યો હતો. જોકે, મનમોહન સિંહની તુલનાએ તેમને સત્તાસ્થાને આવ્યાને હજુ એક વર્ષ પણ માંડ પૂરું થયું છે એટલે તેઓ દેશને કેટલા ઉપયોગી થશે એ તો સમય જ કહેશે!
ઇટાલીઃ અર્થશાસ્ત્રીથી દેશને ખાસ ફાયદો નથી!
ઇટાલી પર પણ જીડીપીના ૧૦૦ ટકા જેવું દેવું તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશનું સુકાન મશહૂર અર્થશાસ્ત્રી મારિયો મોન્ટીને સોંપવામાં આવ્યું છે. મારિયો મોન્ટી ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા હતા. ત્યાર બાદ વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇસ વિનર જેમ્સ ટોબિન પાસેથી તેમણે યેલ યુનિર્વિસટીમાં અર્થશાસ્ત્રમાં મહારથ હાંસલ કરી હતી. નવેમ્બર ૨૦૧૧થી તેમને પીએમ ઓફિસમાં બેસાડાયા છે. જોકે, તેઓ દેશની સ્થિતિને ખાસ ફાયદો નથી કરાવી શક્યા!
બ્રિટનઃ પીએમ 'પીપીઈ' ભણ્યા છે, પણ...
બ્રિટનનું નામ અહીં આ યાદીમાં શું કરે છે એવો પ્રશ્ન થઈ શકે છે, પણ બ્રિટનની આર્થિક તાકાત છેલ્લાં વર્ષોમાં ઘટી રહી છે એવું વર્લ્ડ બેંકના આંકડાઓ કહે છે. ૨૦૦૦ના વર્ષથી બ્રિટનનો ઈકોનોમિક ગ્રોથ ઘટયો છે. ૧૯૭૮ના વર્ષ પછી છેક ગત વર્ષે બ્રિટને તેનું એએએ રેટિંગ (બોન્ડ ક્રેડિટ રેટિંગ) ગુમાવ્યું હતું. આ રેટિંગ ધરાવતા દેશની ગણના સ્ટ્રોન્ગ ઈકોનોમીમાં થાય છે. આ સ્થિતિ વચ્ચે ૨૦૧૦માં ઈકોનોમિસ્ટ અને રાજકારણી ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન વડાપ્રધાન બન્યા હતા. કેમેરોન બ્રિટનના જ નહીં વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓની પેનલમાં સામેલ થાય એવું નામ અને નોલેજ ધરાવે છે. કેમેરોન ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ એન્ડ ઈકોનોમી (પીપીઈ) વિષય સાથે ફર્સ્ટક્લાસ મેળવીને ગ્રેજ્યુએટ થયા છે. ગત વર્ષે દેશના રેટિંગમાં ઘટાડો થયો ત્યારે ડેવિડ કેમેરોન બ્રિટનના વડાપ્રધાન પદે હતા.
અન્ય દેશોમાં પણ એવી હિમાયત કરવામાં આવી રહી છે કે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે અર્થશાસ્ત્રીઓને અગત્યની જવાબદારી આપવી જોઈએ, પણ સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓને દેશનું સુકાન સોંપવાથી ફાયદો થાય છે કે નહીં? જોકે, આ સવાલનો જવાબ અઘરો છે!
લોંગ ડ્રાઇવ પે ચલ!
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રવાસના શોખીનો અને ઝડપનો આનંદ લૂંટવા માંગતા લોકો ઉનાળામાં ડ્રાઇવિંગ કરીને લાંબો પ્રવાસ ખેડવાનું પસંદ કરતા હોય છે. ડ્રાઇવની સાથે સાથે જો પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની તક મળે તો આનંદ બમણો થઈ જાય છે. ઉનાળાની શરૂઆત થવામાં છે ત્યારે દેશ અને દુનિયાનાં બેસ્ટ સમર ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ પર પૂરપાટ ઝડપે એક લટાર મારી લઈએ.
દિલ્હી ટુ મનાલીઃ ઊંચી ઉડાન
પાટનગર દિલ્હીથી હિમાચલ પ્રદેશના મનાલી સુધીનો ૫૨૧ કિલોમીટરનો લાંબો રસ્તો સુંદરતા જોતા ધરાઈએ એ પહેલાં તો પૂરો થઈ જાય એવી ફિલિંગ ન થાય તો જ નવાઈ! આ રસ્તે નવથી દસ કલાકમાં દિલ્હીથી મનાલી પહોંચી શકાય છે. દેવદારના ગાઢ જંગલ વચ્ચેથી પસાર થવાનું હોય છે. વચ્ચેથી થોડા વધુ જટિલ રસ્તાને પણ પસંદ કરી શકાય છે. એવા રસ્તાઓ પર તો વળી સાવ જ નીરવ શાંતિ મળે. પહાડીઓને ચીરીને પસાર થવાનો આનંદ અનેરો હોય છે. એમાંય સ્પીડનો અનુભવ કરવાવાળા લોકોને કોઈ જ રોકી ન શકે એવી ફ્રીડમ તો ખરી જ!
ગુવાહાટી ટુ તવાંગઃ કાર ડ્રાઇવ માટે શ્રેષ્ઠ રસ્તો
આસામના ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશના તવાંગ સુધીનો ૪૭૭ કિલોમીટરનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કારની સફર માટે આ રસ્તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાથી જોજનો દૂર આ રસ્તા પર ડ્રાઇવિંગના અને કુદરતી સૌંદર્યના શોખીનો જ વધુ જોવા મળે છે. એ સિવાયનો ટ્રાફિક અહીં નથી વર્તાતો. આ રસ્તે જતા હોય અને ઇચ્છા થઈ આવે તો કાઝિરંગા નેશનલ પાર્કમાં પણ જઈ શકાય છે.
દિલ્હી ટુ મસૂરીઃ શિયાળાની શીતળતાનો અનુભવ
ઉત્તરાખંડના મહત્ત્વના શહેર મસૂરીને પાટનગર દિલ્હી સાથે જોડતો રસ્તો ૨૮૧ કિલોમીટર લાંબો છે. મેરઠથી સહારનપુર અને ત્યાંથી દહેરાદૂનના માર્ગે નીકળીને આશરે ૫ કલાકની ડ્રાઇવ પછી મસૂરી પહોંચી શકાય છે. બાઈક કરતાં કાર માટે આ વધુ અનુકૂળ માર્ગ છે. ખરબચડા પહાડોની વચ્ચેથી નીકળતો આ રસ્તો પહાડો જેવો ખરબચડો નથી, બલકે એકદમ લિસ્સો છે. વળી, ઠેર ઠેર ઢોળાવોના ઉતાર-ચઢાવનો રોમાંચ પણ આ રસ્તે માણી શકાય છે. શિયાળાની શીતળતાનો અનુભવ આખા રસ્તે થશે એ વાત પણ પાકી!
દહેરાદૂન ટુ નૈનિતાલઃ સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ
ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનથી રાજ્યના મહત્ત્વના પર્યટન શહેર નૈનિતાલનું અંતર ૩૫૫ કિલોમીટર છે. આ રસ્તો ઉત્તરાખંડનો સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ છે. બાઇક કે કાર લઈને આ રસ્તા પર ડ્રાઇવ કરવાનો બેસ્ટ સમય માર્ચથી જુલાઈ વચ્ચેનો ગણાય છે. ગરમી મેં ભી ઠંડી કા અહસાસ કરાવતો આ માર્ગ ૫ કલાકમાં કાપી શકાય છે. રસ્તો પણ એટલો સારો છે કે આટલું અંતર કાપ્યા પછીય થાક ન વર્તાય. દિલ્હીથી નૈનિતાલ વચ્ચેનો ૩૧૦ કિલોમીટરનો રસ્તો પણ બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સમાં સ્થાન ધરાવે છે. પાટનગરથી આવતા નૈનિતાલ રોડ માર્ગે આવતા પ્રવાસીઓ માટે આ એક યાદગાર અનુભવ બની રહે છે.
સિમલા ટુ દિલ્હીઃ સૌંદર્ય અને ઠંડકનો પર્યાય
હિમાચલ પ્રદેશનું કેપિટલ શહેર સિમલા ભારતના હિલસ્ટેશન્સની રાણીનો મોભો ભોગવે છે. હિમાચલ પ્રદેશના કેપિટલને ભારતના કેપિટલ સાથે જોડતો રાજમાર્ગ ૩૬૭ કિલોમીટર લાંબો છે અને આ અંતર સામાન્ય રીતે સાડા છ કે સાત કલાકમાં કાપી શકાય છે. ઉપરોક્ત તમામ માર્ગોમાં સૌથી લોકપ્રિય રસ્તો આ છે. ઉનાળાના દિવસોમાં આ રસ્તા પર થોડી ટ્રાફિકની સ્થિતિ હોય છે, પણ એ ટ્રાફિક આપણા ધમધમતા રસ્તાઓથી તો ક્યાંય ઓછો હોય છે. ટ્રાફિકના કારણે સ્પીડ ડ્રાઇવ માટે કદાચ રસ્તો એટલો અનુકૂળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય અને ઠંડક માટે આનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.
મુંબઈથી ગોવા વચ્ચેનો ૬૭૭ કિલોમીટરનો રસ્તો આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને આવે છે. કર્ણાટક અને કેરાલા વચ્ચે બેંગલુરુથી કાલિકટને જોડતો માર્ગ પણ ભારતના ઓછા ટ્રાફિક અને સુગમ રસ્તા માટે જાણીતો છે. આ સિવાય જયપુરથી રણથંભોરનો રસ્તો ભલે નાનકડો હોય પણ ઉત્તમ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ છે.
ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરિસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે
વિશ્વનાં બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ
ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરીસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે
નેશનલ હાઇવે ૩૧૫: ચીન
ચીનનો નેશનલ હાઇવે ૩૧૫ સિલ્ક રોડ તરીકે જ વધુ જાણીતો છે. શિનિંગ અને ક્વિંઘાઈ વચ્ચેનો ૨,૭૩૫ કિલોમીટર લાંબો આ માર્ગ ડ્રાઇવિંગ માટે સ્વર્ગસમો છે. રસ્તાની બંને તરફ લીલોતરી છવાયેલી છે અને કાર ડ્રાઇવિંગ માટે આ માર્ગ બેસ્ટ ગણાય છે.
અલ્સેસ વાઇન રૂટઃ ફ્રાન્સ
ફ્રાન્સમાં આવેલો અલ્સેસ વાઇન રૂટ ૧૭૦ કિલોમીટર લાંબો છે અને ૧૯૫૩માં તેની રચના કરવામાં આવી હતી. ઉત્તર અલ્સેસથી દક્ષિણ તરફ કેયસરબર્ગ તરફ જતો આ માર્ગ તેની કુદરતી સુંદરતા માટે વિખ્યાત છે.
ધ કેબોટ ટ્રેઇલઃ કેનેડા
૧૯૩૨માં બનેલો આ રૂટ ૨૯૮ કિલોમીટર લાંબો છે. નોવા સ્કોટિયા અને કેપ બ્રિટોન હાઇલેન્ડ નેશનલ પાર્કને જોડતો આ માર્ગ કાર ડ્રાઇવ માટે શોખીનોની પ્રથમ પસંદ બને છે. આસપાસ ગ્રીનરી આ માર્ગને વધુ સુંદરતા બક્ષે છે.
મિલફોર્ડ રોડઃ ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડની દક્ષિણ પર્વતમાળામાં આવેલો મિલફોર્ડ રોડ મેથી સપ્ટેમ્બર સુધી પૂરેપૂરો ખુલ્લો હોય છે એટલે એ દરમિયાન વધુ પ્રવાસીઓ આવે છે. ટે એનાઉથી પસાર થઈને મિલફોર્ડ સાઉન્ડને જોડતો આ રસ્તો બરફાચ્છાદિત વિસ્તારમાંથી પસાર થતો હોવાથી વધુ સુંદર અનુભવ કરાવે છે. આ માર્ગને સ્ટેટ હાઇવે ૯૪ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ૧૮૮૯માં બનાવાયો હતો.
ધ ગ્રેટ ઓસન રોડઃ ઓસ્ટ્રેલિયા
૧૯૧૯માં બનાવાયેલો આ માર્ગ ઓસ્ટ્રેલિયામાં હેરિટેઝ લિસ્ટમાં સામેલ છે. ૨૪૩ કિલોમીટર લાંબો આ રૂટ વિક્ટોરિયા સ્ટેટનાં બે શહેરો વર્નેમ્બોલ અને ટોર્કવેને જોડે છે. આ પરફેક્ટ ડ્રાઇવનો અનુભવ કરાવતો રૂટ માનવામાં આવે છે. આ રસ્તા પર મોકળાશને પૂરતો અવકાશ છે.
રોઝ: યુનિવર્સલ લવ સિમ્બોલ
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
વેલેન્ટાઇન્સ ડે પર ગર્લફ્રેન્ડને કે બોયફ્રેન્ડને આપેલી મોંઘી ગિફ્ટ સાથે જો ગુલાબનું ફૂલ ન હોય તો પ્રેમનો એકરાર અધૂરો રહી જાય છે. પ્રેમનો એકરાર કરવાનો હોય ત્યારે બીજુ કશું આપ્યા વગર માત્ર એક તાજુ ગુલાબ આપી દેવામાં આવે તો અડધો જંગ જીતી શકાતો હોય છે. આધુનિક સમયમાં રોઝ યુનિવર્સલ લવ સિમ્બોલ બની ગયું છે! કોલેજમાં ઊજવાતા વિવિધ ડેઝ હોય કે બર્થ ડે, ક્રિસમસ-ન્યૂ યર હોય કે વેલેન્ટાઈન્સ ડે રોઝ વગર જાણે સેલિબ્રેશન ફિક્કું પડી જાય છે. પણ રોઝ વિશે એવી તો ઘણી બાબતો છે જેની આપણને ભાગ્યે જ ખબર હોય છે.
ગુલાબ સાથે માણસનો નાતો બહુ પુરાણો છે
પ્રાચીન ઈજિપ્તમાં મમીના અવશેષોમાં ગુલાબ મૂકવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. ઈજિપ્તના પ્રાચિન અવશેષોમાંથી રોઝના પેઇન્ટિંગ્સ પણ મળ્યાં હતા. પ્રાચિન રોમમાં લોકો પોતાના સ્નાન કરવાના પાણીમાં ગુલાબ ઝબોળતા હતા, એટલે સુધી કે આ લોકો ગુલાબમાંથી સુગંધીદાર દ્રવ્ય બનાવીને તેનો વાર-તહેવારે ઉપયોગ કરતા હતા. રાજા નેરો ગુલાબની પાંખડીઓ પાણીમાં નાખેલી હોય એવા પાણીથી જ સ્નાન કરવાનો આગ્રહ રાખતા હતા.
ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની પ્રથમ પત્ની જોસેફાઇનને વિશ્વનો સૌપ્રથમ રોઝ ગાર્ડન બનાવવાનું શ્રેય મળે છે. જોસેફાઇને ૧૭૯૮માં પેરિસની બહાર એક મોટું રોઝ ગાર્ડન બનાવ્યું હતું જેમાં ૨૫૦ પ્રકારનાં ગુલાબ હતાં. અમેરિકાના ૪૦મા પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનનું ફેવરિટ ફૂલ ગુલાબ હતું. તેમણે અમેરિકામાં ગુલાબની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૮૬માં રોઝને રાષ્ટ્રીય ફૂલનો દરજ્જો આપ્યો હતો. બ્રિટન પછી અમેરિકા બીજો એવો મહત્ત્વનો દેશ છે જ્યાં ગુલાબ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ફૂલનું સન્માન મેળવે છે.
ગુલાબ પર ગુજરાતીથી લઈ અંગ્રેજી સહિતની ભાષાઓમાં અઢળક લખાયું છે. શેક્સપિયરે તેમના સાહિત્ય સર્જનમાં ૫૦ વખત રોઝનો ઉલ્લેખ કર્યો છે. તો વળી જર્મનીના હિલ્ડેશિમ કેથરોલમાં આવેલો ગુલાબનો છોડ વિશ્વનો સૌથી જૂનો છોડ છે એમ કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ છોડ ક્ષતિગ્રસ્ત થયો હતો છતાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો અને આજે એક હજાર વર્ષથી આ છોડ અડિખમ ઉભો છે. એટલે કે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં ઠેર ઠેર રોઝ-રોઝ થાય એટલે જ ગુલાબી વાતાવરણ નથી થયું, પણ ગુલાબનું મહત્ત્વ વર્ષોથી સ્વીકારાયું છે.
ભારત અને ગુલાબઃ બાત નિકલી હૈ તો દૂર તલક જાયેગી!
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક વાર ગુલાબ વિશે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ગુલાબને અધ્યાત્મ સાથે શા માટે જોડવું જોઈએ, એનું મૂલ્ય તો એની સુગંધથી કરવું જોઈએ." પૌરાણિક કથામાં વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે રસપ્રદ દલીલો આવે છે. જેમાં બ્રહ્માજી કમળનાં ગુણગાન ગાય છે અને ભગવાન વિષ્ણુએ ગુલાબની પ્રશંસા કરી છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ આસપાસ કશ્યપ નામના રાજા પોતાના રાજ્યમાં ગુલાબને ખાસ સ્થાન આપતા હતા એમ કહેવાય છે. ધ ગ્રેટ એલેકઝાન્ડર કે જેને આપણે સિકંદર કહીએ છીએ તે જ્યારે ભારત સર કરવા આવ્યો ત્યારે તેણે ગુલાબની અલગ અલગ વરાઇટી જોઈ હતી અને ભેટરૂપે થોડાં ફૂલો એરિસ્ટોટલને મોકલ્યાં હતાં. ૧૩મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ પ્રવાસી રશિદ ઉલ દ્દીને ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને તેણે તેમની નોંધમાં લખ્યું હતું કે "અહીંના લોકો ખૂબ ખુશહાલ જીવન જીવે છે અને આ પ્રદેશમાં ૭૦ પ્રકારનાં સુંદર ગુલાબ જોવા મળે છે." પોર્ટુગલના બે પ્રવાસીઓ ડોમિંગ્નો પેસ અને ફેર્નાઓ નૂન્ઝ ૧૫૩૭ આસપાસ ભારતમાં આવ્યા ત્યારે તેમની નોંધ પ્રમાણે વિજયનગરમાં જુદા જુદા પ્રકારના ગુલાબના રોપાઓ વાવવામાં આવતા હતા. ૧૪મી સદીની મધ્યમાં ભારત આવેલા પર્સિયાના પ્રવાસી અબ્દુલ રઝાકે લખ્યું હતું કે, "અહીં ઠેર ઠેર સુંદર ગુલાબ જોઈ શકાય છે. અહીંના લોકો ગુલાબનો ઉપયોગ ખોરાકમાં પણ કરે છે." મુઘલ સુલતાનોને ગુલાબ ખૂબ જ વ્હાલાં હતાં. બાબરે તેની દીકરીઓનાં નામ ગુલાબ પરથી પાડયાં હતાં. બાબરની દીકરીઓનાં નામ ગુલચિહરા, ગુલરૂખ, ગુલબદન અને ગુલરંગ રાખ્યાં હતાં. બાબર ભારતમાંથી અસંખ્ય ગુલાબો ઊંટ પર મૂકીને પર્સિયા રવાના કરતા હતા તો બાબરના પૌત્ર અકબર પણ તેના ખંડિયા રાજાઓને અને પડોશી રાજ્યના રાજાઓને શુભેચ્છારૂપે ઊંટની સાથે ગુલાબ મોકલવાનું પસંદ કરતા હતા.
ભારતમાં ગુલાબ અંગ્રેજો થકી આવ્યાં એ વાત એટલી સાચી નથી, પણ હા, ગુલાબને પોપ્યુલર કરવામાં અંગ્રેજોનો ફાળો વિશેષ રહ્યો છે એમ કહી શકાય. આપણે જ્યારે આ વિદેશી તહેવારને પોતીકો માની લીધો છે ત્યારે છેલ્લા એક વીકથી અલગ અલગ પ્રકારનાં રોઝની આપ-લે શરૂ થઈ છે. હજુ એક બે દિવસ દુનિયા રોઝમય રહેવાની છે ત્યારે વેલેન્ટાઇન્સ ડેની સાથોસાથ ગુલાબનાં ફૂલોની સુગંધ મુબારક!
શાસન વિહોણા સમ્રાટો : રાજ ખરું, રજવાડું ગાયબ
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
નેધરલેન્ડનાં ૭૫ વર્ષનાં મહારાણી બિટ્રિક્સે ૩૩ વર્ષ શાસનધૂરા સંભાળ્યાં પછી સત્તાનાં સૂત્રો તેમના પુત્ર વિલેમ એલેક્ઝાન્ડરને સોંપી દીધાં છે. બીજી તરફ ૮૬ વર્ષનાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય આજે તેમના શાસનનાં ૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે અહીં પેશ છે વિશ્વમાં સત્તા વગર રાજ કરતાં રાજા-રાણીઓની વાત
રાજાની વાત કરીએ ત્યારે આપણી કલ્પનામાં ભવ્ય ઠસ્સો ધરાવતા, પળવારમાં હુકમો છોડતા અને એકહથ્થું નિર્ણય લઈ શકવા સક્ષમ એવા રાજાઓનાં ચિત્રો આંખ સામે તરવરી આવે. આ કલ્પનાચિત્રો જોકે એક-બે સદી પહેલાંનાં હોય એ સ્વાભાવિક છે, કેમ કે ૨૧મી સદીનાં રાજા-રાણીઓનો ઠાઠમાઠ ભલે એવો ને એવો રહ્યો હોય, પણ હુકમો છોડવાની સત્તા હવે ભૂતકાળ બની ગઈ છે. વિશ્વમાં આજે પણ ૪૩ જેટલા દેશોમાં રાજા બંધારણીય હોદ્દો ધરાવે છે, પણ દેશના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તેમનો કોઈ જ ભાવ પુછાતો નથી. માત્ર પાંચ જ રાજાઓ એવા છે જેની પાસે નિર્ણયો લેવાની અબાધિત સત્તા છે, તો ૯ રાજાઓ આંશિક સત્તા ભોગવે છે. નોંધપાત્ર બાબત એ છે કે આવી અબાધિત કે આંશિક સત્તા ધરાવતા રાજાઓનાં રાજ્યો વળી વિશ્વના નકશામાં ધ્યાન દઈને શોધવાં પડે એવડાં નાનકડાં છે. એટલે આમ જુઓ તો એમની સત્તાનો એવો કોઈ પ્રભાવ હોતો નથી. બીજી તરફ શક્તિશાળી દેશોના રાજાઓ શાહી જિંદગી જરૂર જીવે છે છતાં પણ સત્તાશૂન્ય હોય છે.
રાજ્ય ભલે નાનું હોય, પણ સલ્તનત તો અમારી જ ચાલે!
પોતાના દેશના નિર્ણયો પોતે કોઈના જ દબાવમાં આવ્યા વગર લઈ શકે એવા પાંચ રાજવીઓમાંથી ચાર તો એશિયા ખંડમાં જ આવેલા છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા ટચૂકડા દેશ બ્રુનેઈમાં સુલતાન હસ્સાનલ બોલ્કિઆ તમામ પ્રકારની સત્તા ધરાવે છે અને આ સલ્તનત ૧૪મી સદીથી ચાલતી આવે છે. દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલા ઓમાનમાં છેક બીજી સદીથી રાજાશાહીનું ચલણ છે એમ કહેવાય છે. આ દેશમાં કબૂસ બીન સઇદ અલ સઇદની સલ્તનત ચાલે છે. દેશના બધા જ નિર્ણયો આ રાજા લઈ શકવા સક્ષમ છે. પશ્ચિમ એશિયામાં આવેલા દેશ કતારની અબાધિત સત્તા સુલતાન અમીર હામિદ બિન ખલિફ અલ થાનીના હાથમાં છે. પશ્ચિમ એશિયાના જ અન્ય એક દેશ સાઉદી અરેબિયામાં રાજા અબ્દુલ્લાહ બિન અબ્દુલ અઝીઝ શાસન ચલાવે છે. એશિયાના આ તમામ રાજાશાહી દેશોમાં જ નહીં, પણ વિશ્વભરમાં સાઉદી અરેબિયા સમૃદ્ધ દેશ તરીકે અનોખી શાખ ધરાવે છે. અહીંના લોકોને રાજાશાહી કોઠે પડી ગઈ છે અને રાજાની પણ લોકાભિમુખ કામ કરતા હોવાની ઈમેજ છે. અબાધિત સત્તા ભોગવતા રાજાઓનાં રાજ્યોની આ યાદીમાં એક આફ્રિકન દેશ સ્વાઝિલેન્ડનો પણ સમાવેશ કરવો રહ્યો. સ્વાઝિલેન્ડમાં મેસવેટી ત્રીજા તેમના પિતાના ઉત્તરાધિકારી તરીકે ૧૯૮૬થી આ દેશ પર રાજ કરી રહ્યા છે. અબાધિત સત્તાધારી દેશની વાત કરવામાં આવે ત્યારે વેટિકન સિટી અને ઈરાનનો પણ ઉલ્લેખ કરવો પડે. આ બંને દેશોમાં ધાર્મિક નેતાઓ સત્તાસ્થાને છે. વેટિકન સિટીમાં રોમન કેથોલિક ચર્ચના પોપ પાસે તમામ સત્તા હોય છે. અત્યારે પોપ બેનેડિક્સ સોળમાના હાથમાં વેટિકન સિટીની સત્તાની બાગડોર છે. જ્યારે ઈરાનમાં ધાર્મિક નેતા અલી ખમિનઈ સુપ્રીમ લીડર છે.
થોડી તો થોડી પણ સત્તા તો છે
નવ દેશોમાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો પાસે જ આમ તો મોટાભાગના નિર્ણયો કરવાની સત્તા છે. છતાં રાજાને અમુક અધિકારો આપવામાં આવ્યા છે. બહેરાનના રાજા હમિદ બિન ઈસા અલી ખલિફ, ભૂતાનના રાજવી જિગ્મા ખેસર નેમગ્યેલ વાંગચૂક, જોર્ડનના સુલતાન અબ્દુલ્લા દ્વિતીય, કુવૈતના અમીર સબાહ અલ અહમદ અલ ઝાબેર, લિચેન્સ્ટિનના પ્રિન્સ હાન્સ એડમ દ્વિતીય, મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ દ્વિતીય, મોરોક્કોના સુલતાન મહંમદ છઠ્ઠા, ટોન્ગુના રાજા ટુપોઉ છઠ્ઠા અને યુનાઇટેડ આરબ અમિરાતના સુલતાન ખલિફા બિન ઝાયેદ જેવા રાજાઓ આવી જ આંશિક સત્તા ભોગવી શકે છે.
અમે કહેવાઈએ મોટા રાષ્ટ્રોના રાજા, પણ પાસે તો માત્ર અંદાજ જ શાહી છે!
વિશ્વના નકશામાં નોંધપાત્ર અને મોટા ગણાતા રાષ્ટ્રોના રાજાઓ પાસે કહેવાની સત્તા પણ નથી, પણ હા માનપાન તો ખૂબ મળે છે. સૌથી વધુ સન્માન બ્રિટનનાં રાણી અલિઝાબેથ બીજાને મળે છે. તેમને અને તેમના શાહી પરિવારને વિશ્વ આખામાં ખૂબ જ માનની નજરે જોવામાં આવે છે. આ સિવાય ડેન્માર્કનાં રાણી માર્ગારેટ બીજા, નેધરલેન્ડનાં રાણી બિટ્રિક્સ પણ તેમની પ્રજામાં માનવંતુ સ્થાન ધરાવે છે. ઉપરાંત જાપાનના રાજવી અકિહિતો, સ્પેનના રાજા જુલિયન કાર્લોસ પ્રથમ અને સ્વિડનના કિંગ કાર્લ સોળમા સત્તા ન હોવા છતાં પ્રજાહૃદયમાં આજેય તેમનું માન-સન્માન જાળવી શકવામાં સફળ થયા છે. તેમના ઉત્તરાધિરીઓ આ વારસો જાળવી શકશે કે કેમ એ તો સમય જ કહેશે.
એલિઝાબેથ દ્વિતીયનું રાજ ૧૫ રાષ્ટ્રોમાં ચાલે છે
એક સમયે સોળે કળાએ બ્રિટનનો સૂરજ તપતો હતો. અડધોઅડધ ભૂમિ ભાગ પર બ્રિટને વર્ષો સુધી શાસન કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભલે બ્રિટનના વળતા પાણી શરૂ થયા હોય, પણ આજેય ૧૫ રાષ્ટ્રો બ્રિટનનાં મહારાણીના નેજા હેઠળ આવે છે.
બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બાર્બાડોસ, બહેમાસ, પપુઆ ન્યૂ ગિનિયા, સોલોમોન ટાપુ, ટુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વેકેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન, બેલિઝ, એન્ટિગ્યુ એન્ડ બાર્બુડા, સેન્ટ કિટ્ટ એન્ડ નેવિસ જેવા દેશો મહારાણી એલિઝાબેથ દ્ધિતીયના શાસન હેઠળ આવે છે.
વિશ્વના મહત્ત્વના કયા દેશમાં કોનું શાસન?























