માતા-પિતાની જુદી જુદી માતૃભાષા હોય તો બાળકની માતૃભાષા કઈ કહેવાય?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

માતૃભાષા દિવસે વાત કરીએ સતત વિકસી રહેલી 'બાઈલિંગ્વલ' કલ્ચર યાને દ્વિભાષીયતાની. જુદી જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતાનાં સંતાનો માતા અને પિતા બંનેની ભાષા જાણતાં હોય છે,  પણ તેની સામે મુશ્કેલી એ ઊભી થાય છે કે માતૃભાષા કોને કહેવી? કોઈ એકને? બેમાંથી એકેયને નહીં? કે પછી બંનેને?

બીજા વિશ્વયુદ્ધ પછીનો કોઈ એક દિવસ. બે બાળકો પરીક્ષકો સામે મૌખિક પરીક્ષા આપવા બેઠા છે. પરીક્ષા શરૃ થવાની હોય એ પહેલાંનો ડર બંનેના ચહેરા ઉપર કળી શકાય છે. પરીક્ષકોની આખોમાં પણ ગૂંચવણ છૂપી રહેતી નથી. એ પરીક્ષા બંને બાળકોની માતૃભાષા નક્કી કરવા માટે લેવાઈ રહી હતી. ભાષાશાસ્ત્રીઓ પરીક્ષા પછી બાળકોની માતૃભાષા નક્કી કરવાના હતા.
પરીક્ષા શરૃ થઈ. ભાષાનિષ્ણાતોના આશ્વર્ય વચ્ચે પાંચ-સાત વર્ષનાં એ બંને બાળકો બબ્બે ભાષા એકસરખી રીતે જાણતાં હતાં. માતૃભાષામાં હોવી જોઈએ એટલી પક્કડ આ બંને બાળકોની બબ્બે ભાષા પર હતી. આ પહેલાં આવું બન્યું નહોતું એમ નહોતું, પરંતુ ઘણાખરા કિસ્સામાં માતા-પિતા કે પરિવારજનો બાળકની માતૃભાષા નક્કી કરી નાખતાં. બે ભાષા આવડતી હોય તો પણ કોઈ એકને પ્રાથમિકતા આપીને મામલો પૂરો થઈ જતો, પણ અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણતાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટના કિસ્સામાં બબ્બે ભાષા માતૃભાષા હોવાનો દાવો કરાયો હતો અને એ દાવાને માન્ય પણ રખાયો. એ બંનેએ બેય ભાષા ઉપર સંતુલિત ક્ષમતા સિદ્ધ કરી હતી. વિશ્વનો એ પહેલો કિસ્સો હતો અને જન્મથી બબ્બે ભાષા શીખતાં બાળકોના કિસ્સાની એ નવી શરૃઆત હતી.
૨૦ સદીના મધ્યાહ્ને બે અલગ અલગ દેશના જુદી જુદી ભાષા ધરાવતાં યુગલો વચ્ચે લવમેરેજનો નવો ટ્રેન્ડ શરૃ થયો હતો, પરિણામે ભવિષ્યમાં બાળકોની માતૃભાષા અંગે મૂંઝવણ પણ થવાની હતી: બાળક જેના પ્રથમ પરિચયમાં આવે છે; એ માતા શીખવે તે બાળકની માતૃભાષા કહેવાય કે પિતાની ભાષાને? કે બેમાંથી એકેય નહીં? કે પછી બંનેને?
                                                                               ***
ધારો કે, ભારતીય યુવક જાપાની યુવતીને પરણીને અમેરિકા સ્થાયી થાય તો ભારતીય યુવકની હિન્દી, જાપાની યુવતીની જાપાનીઝ અને અમેરિકા સ્થાયી થયા છે એટલે અંગ્રેજી એમ ત્રણ ભાષાનો બાળક પર પ્રભાવ પડે. અમેરિકા રહેવાનું હોય એટલે અંગ્રેજી તો જાણે જરૃરી છે, સ્થાનિક માહોલના કારણે બાળક એ સહેલાઈથી શીખી ય જશે, પણ પછી જો એ પિતાની માતૃભાષા હિન્દી પણ શીખે અને માતાની માતૃભાષા જાપાનીઝ પણ શીખે ત્યારે પ્રશ્ન ઊઠે કે બાળકની માતૃભાષા કોને કહેવી?
માતૃભાષા એટલે માતૃભૂમિની ભાષા. પિતાનું વતન ભારત હોય અને બાળકને સામાન્ય રીતે પિતાનો વારસો મળતો હોય છે એ જોતાં તેની માતૃભાષા હિન્દી થવી જોઈએ. તો માતાની ભાષાનું શું? આ સવાલો દુનિયાને તો થતા થશે, સમજણા થયા પછી બાળકને ખુદને આ સવાલો સતાવે છે. જુદી-જુદી માતૃભાષા ધરાવતા માતા-પિતાનાં સંતાનો ઘણી વખત માતૃભાષા અંગેની ગ્રંથિથી પીડાવા લાગે છે. આવા કિસ્સાઓમાં માતા-પિતા સમજૂતીથી બાળકને કોઈ એક ભાષા શીખવાડીને નિવેડો લઈ આવતાં હોય છે.
વિદેશમાં રહેતાં માતા-પિતા બંનેની ભાષા ન શીખવાડીને જે જરૃરી છે એ અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ જ્યારે એક જ દેશમાં રાજ્યો પ્રમાણે ભાષાનું વૈવિધ્ય હોય અને તેમાં બે રાજ્યોના જુદી જુદી ભાષા ધરાવતા યુગલો લગ્ન કરે પછી બાળકની માતૃભાષા કઈ એ સવાલ ઊઠયા વગર રહેતો નથી. ગુજરાતી યુવક બંગાળી યુવતી સાથે લગ્ન કરે તો બંનેના પરિવારજનોનો આગ્રહ ઘણી વખત બાળકને બબ્બે ભાષા શીખવા તરફ દોરી જાય છે. યુવકનાં પરિવારજનો બાળકને ગુજરાતી શીખવવા આતુર હોય અને યુવતીને ય પોતાના સંતાનને બંગાળી શીખવવાની ઝંખના તો હોય જ. વળી, એમાં હિન્દી અને અંગ્રેજી ભળે એટલે બાળકને ચાર-ચાર ભાષા શીખવાની થાય!
વિદેશમાં વસીને ય પોતાની ભાષાને જીવંત રાખવા મથતાં માતૃભાષાપ્રેમી માતા-પિતાને પોતાને જ ઘણી વખત એ મંજૂર નથી હોતું કે સ્થાયી થયા છે એ દેશની ભાષા જ બાળક શીખી લે અને પોતાનો વારસો ભુલાવી દે! આ સ્થિતિમાં બબ્બે કે ત્રણ-ત્રણ ભાષા બાળકને શિખવાડાય છે. એકથી વધુ ભાષાના કલ્ચરને ભાષાશાસ્ત્રીઓ બાઈલિંગ્વલિઝમ કહે છે. ગુજરાતીમાં જેને દ્વિભાષીયતા કહેવાય. એટલે કે બબ્બે ભાષા ઉપર પેલાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટની જેમ એકસરખી પક્કડ ધરાવવી.
બેથી વધુ ભાષા માટે મલ્ટિલિંગ્વલિઝમ પણ જાણીતો શબ્દ છે. માતા-પિતા પોત-પોતાની સંસ્કૃતિ માટે પોતાની ભાષા શીખવે છે અને પછી બાળક અંગ્રેજી જેવી અનિવાર્ય ભાષા તો શીખે જ શીખે. પરિણામે બે કે તેથી વધુ ભાષા સાથે બાળકને કામ પાર પાડવાનું થાય છે. કોઈ એકને ફર્સ્ટ લેંગ્વેજનો દરજ્જો મળે, બીજી ભાષાને સેકન્ડ લેંગ્વેજનો અને અમેરિકા-બ્રિટનમાં રહેતાં હોય તો ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અનિવાર્ય બની જાય. ઘણા દેશોમાં મધર ટંગ અને ફર્સ્ટ લેંગ્વેજને અલગ અલગ નામ આપીને માતા-પિતા બંનેની ભાષાને માતૃભાષાના ખાનામાં સમાવી લેવાતી હોય છે. એટલે કે જુદી-જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતા અને દુનિયાએ મળીને બાળકની માતૃભાષા કઈ? તેના ઉકેલરૃપે બાઈલિંગ્વલિઝમ કે મલ્ટિલિંગ્વલિઝમ શબ્દો શોધી કાઢ્યા છે.
પરંતુ શું બાળકને આટલી ભાષાનો બોજ આપવો જોઈએ?
                                                                                   ***
આજે વિશ્વમાં કુલ બાળકોમાંથી ૧૯ ટકા બાળકો બાઈલિંગ્વલ છે. બાળવયથી જ બબ્બે ભાષા બોલતાં બાળકોની સંખ્યા સતત વધવા માંડી છે. આંકડો હજુ ય મોટો થશે. નિષ્ણાતો પેરેન્ટ્સને શિખામણ આપે છે કે શક્ય હોય તો બાળકને બબ્બે ભાષા શિખવાડો. માત્ર બોલતાં જ નહીં, લખતાં અને વિચારો વ્યક્ત કરવા જેટલી સજ્જતા ધરાવે એટલી ઊંડાણથી બાળકને બબ્બે કે ત્રણ ભાષા શીખવવાની તરફેણ ભાષાશાસ્ત્રીઓ કરે છે. અભ્યાસોના અંતે તારણ નીકળ્યું છે કે બાળક ઉપર બબ્બે ભાષા શીખવાનો કોઈ જ બોજ નથી હોતો. ૧૦ વર્ષ સુધી બાળક એકથી વધુ ભાષા મુશ્કેલી વગર શીખી જશે અને એમાં પણ ૭ વર્ષ સુધી તો શ્રેષ્ઠ સમય છે. શબ્દો શરૃઆતમાં સેળભેળ થશે, પણ પછી બાળક જાતે જ તેને અલગ તારવશે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે બબ્બે ભાષા જાણતાં બાળકોનો બૌદ્ધિક વિકાસ એક ભાષા જાણતાં બાળકો કરતાં વધારે થાય છે.
એક જ ભાષા શીખવાની હોય ત્યારે અંગ્રેજીને પ્રાથમિકતા આપીને માતૃભાષાને સ્કિપ કરી દવાનો રવૈયો અપનાવાતો હોય છે, પણ તેનાથી ઊલટું વિશ્વમાં અત્યારે બાઈલિંગ્વલિઝમનો ટ્રેન્ડ છે. બાળક ઘરમાં દાદા-દાદી-નાના-નાની સાથે તેમની ભાષામાં અને શાળામાં શિક્ષકો સાથે શિક્ષકોની ભાષામાં કમ્યુનિકેશન કરે છે અને છતાં સહેજ પણ અસહજતા મહેસૂસ નથી કરતો. અલગ અલગ માતૃભાષા ન હોય એવાં કેટલાંય પેરેન્ટ્સ ગુજરાતમાં રહીને પણ માત્ર એ જ કારણે માતૃભાષા લખતાં નથી શિખવતા કે બાળક ઉપર નાહકનો બબ્બે ભાષાનો બોજ આવશે! જ્યાંથી આ સમસ્યાનો ઉદ્ભવ થયો હતો એણે જ તેનું સમાધાન પણ કર્યું છે કે કોરી પાટીમાં જે લખવું હોય એ લખો તેનાથી બાળકને ખાસ કંઈ બોજો નહીં આવે. બાળકની ક્ષમતા આપણા પૂર્વગ્રહ કરતાં ઘણી વધારે છે એ સંશોધનોથી સિદ્ધ થઈ ચૂક્યું છે!
એક સમયે એમ કહેવાતું કે બાળક માતૃભાષા સરખી રીતે શીખી નહીં શકે તો બીજી ભાષા કઈ રીતે શીખશે? ત્યારે બીજી ભાષા શીખવા માટે માતૃભાષા શીખવી જરૃરી હતી. ત્યારે ભારતમાં શિક્ષણનું પ્રમાણ અને સામાજિક રચના જોતા એ વાત એકદમ સાચી પણ હતી. ત્યારે બાળકના શિક્ષણનો બધો આધાર શાળાના શિક્ષકો પર જ રહેતો. હવે સમય બદલાયો છે. આજનાં પેરેન્ટ્સ પૂરતાં એજ્યુકેટેડ અને સજ્જ છે કે બાળકને ઘરે પણ ભણાવી શકે. માતા-પિતા બંનેની ભાષા અલગ હોય અને શાળા-કોલેજમાં અભ્યાસની ભાષા પણ અલગ હોય ત્યારે કોઈ એક ભાષા શીખીને બીજી ભાષા શીખવાની રાહ જોવાની જરૃર નથી. બંને ભાષા એક સાથે શું કામ ન શીખવી શકાય?
વેલ, વોટ યુ સે? માતા-પિતાની માતૃભાષા અલગ અલગ હોય ત્યારે બાળકની માતૃભાષા કઈ કહેવાય? બંનેમાંથી એકેય નહીં કે બંને? તમે જુદી જુદી માતૃભાષા ધરાવતાં પેરેન્ટ્સ હો તો પોતાના સંતાનના માતૃભાષાના ખાનામાં શું ભરવાનું પસંદ કરો?
Sunday, 21 February 2016
Posted by Harsh Meswania
Tag :

સીરિયાના આતંકી અજંપા વચ્ચે પાંગરેલી પ્રેમકથા


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક એવી લવસ્ટોરી જેમાં પહેલી નજરના પ્રેમની મુગ્ધતા ય છે અને અનુભવથી આવેલું શાણપણ પણ. જુદાઈનો ઝૂરાપો ય છે અને મિલનની મહેકતી ક્ષણ પણ. પ્રેમ મેળવવા દુનિયા સામે લડવાનું ઝનૂન ય છે અને લડીને વિજેતા થનારા યોદ્ધાને છાજે એવો હેપ્પી એન્ડ પણ...
--

કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા

આ પ્રેમકથાની શરૃઆત ૨૦૦૯થી થાય છે. ૨૫ વર્ષની રઝાન અલઅકારા નામની ૨૫ વર્ષની યુવતી લંડનમાં ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. તેનો જન્મ અને ઉછેર લંડનમાં જ થયો હતો. તેના માતા-પિતા ૧૯૮૦માં સીરિયાથી લંડન સ્થાઈ થયાં હતાં. સીરિયાનું હોમ્સ શહેર તેના પિતાનું મૂળ વતન. હોમ્સ શહેરમાં વિશાળ અલઅકારા પરિવાર રહેતો હોવાના કારણે વર્ષે-બે વર્ષે રઝાનના પિતા આખા પરિવાર સાથે હોમ્સની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત વખતે ૨૦૦૯માં રઝાનની મુલાકાત અહેમદ અલહમીદ સાથે થઈ.
અહેમદ ડોક્ટર હતો. દમાસ્કસની મેડિકલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરતો હતો. તે હોમ્સના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હતો. પરિવારની પ્રતિષ્ઠા પ્રમાણે અહેમદ પણ મેડિકલનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સીરિયાનો વિખ્યાત તબીબ બનાવાના ખ્વાબ જોતો હતો.
રઝાન અને અહેમદ બંને એક પરિવારના વિશાળ સર્કલનો ભાગ હતાં. જ્યારે પારિવારિક પ્રસંગે બંને મળ્યાં ત્યારે રઝાનને જોતાની સાથે જ અહેમદને પ્રેમ થઈ ગયો, પહેલી નજરનો પ્રેમ. રઝાન તેના દિલમાં આરપાર ઉતરી ગઈ. મારકણી આંખો ધરાવતી સ્માર્ટ, નમણી રઝાન અહેમદના દિલમાં મીઠો ઉઝરડો પાડતી ગઈ. અહેમદને થયું કે રઝાનના પ્રેમ સિવાય દિલમાં પડેલો મીઠો ઉઝરડો ક્યારેય નહીં ભરાય!
રઝાન ફરી લંડન જતી રહે એ પહેલા અહેમદે પોતાના પરિવાર મારફતે રઝાનના પરિવાર સુધી પોતાની લાગણી પહોંચાડી. હોમ્સમાં રહેતા રઝાનના પરિવારે વળી રઝાનના માતા-પિતાના કાને વાત નાખી ને એમ અહેમદના એકતરફી પ્રેમની વાત રઝાન સુધી પણ પહોંચી. રઝાને અહેમદના દિલની હૂંફાળી ખ્વાહિશો પર ઠંડું પાણી રેડું દીધું! અધૂરો અભ્યાસ આગળ વધારવો છે એમ કહીને વાતને ટાળી દીધી. અહેમદની એકતરફી પ્રેમકથા અહીં જ અટકી પડી.
                                                                            ***
૨૦૧૧માં હોમ્સ શહેર આતંકી સકંજામાં આવી ગયું. હજારો લોકો ઘાયલ થતાં હતાં અને તેની બચાવની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હતી. હુમલાખોરોથી બચીને ઘણા ઈજાગ્રસ્તોને ગુપ્ત સ્થળોએ સારવાર અપાતી હતી. ડોક્ટર હોવાના નાતે મરિઝોની સારવાર કરવી એને પોતાનો પહેલો ધર્મ સમજીને અહેમદ એ બચાવ પ્રવૃત્તિમાં જોડાયો. ક્યારેક હોમ્સમાં રહેતા રઝાનના પરિવારજનો પાસેથી લંડન સ્થિત રઝાન વિશે માહિતી મેળવી લેતો.
બીજી તરફ પિતાના મૂળ વતન સીરિયાની વિકટ સ્થિતિમાં સીરિયન લોકો માટે ચાલતી મદદની પ્રવૃત્તિમાં યથાયોગ્ય મદદ કરવાના આશયથી ૨૦૧૨માં રઝાન મીડિયાહાઉસ માટે કામ કરવા લાગી. સીરિયાથી આવતા વીડિયો જોઈને અરેબિકમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરી આપવાનું અને અંડરગ્રાઉન્ડ ચાલતી હોસ્પિટલ્સમાં કાર્યરત તબીબોના ઈન્ટરવ્યૂ કરીને તેને આધારે અંગ્રેજી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપવાનું કામ રઝાન કરતી.
એક દિવસ અહેમદ જે હોસ્પિટલમાં કામ કરતો હતો એ જ હોસ્પિટલની કામગીરીના એક વીડિયો પર રઝાન કામ કરી રહી હતી. તેના ધ્યાનમાં એક જાણીતો ચહેરો આવ્યો. એ અહેમદ હતો. રઝાન આમ તો એ અંડરગ્રાઉન્ડ હોસ્પિટલની વિગતો વારંવાર લેતી રહેતી, પણ ક્યારેય એના વીડિયોઝમાં અહેમદ દેખાયો ન હતો.
પ્રતિષ્ઠિત-સંપન્ન પરિવારો તો ક્યારના પૈસાના જોરે હોમ્સ મૂકીને અન્યત્ર સ્થાઈ થવા લાગ્યા હતા. એવા જ સંપન્ન પરિવારમાંથી આવતો હોવા છતાં અહેમદે લોકસેવાનો આ કઠિન માર્ગ પસંદ કર્યો એ જાણીને રઝાનને અહેમદમાં એક લાગણીશીલ ઈન્સાનના દર્શન થયા. રઝાનને જાણવા મળ્યું કે અહેમદના પિતા અને તેની બહેન આતંકી હુમલાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. રઝાને જૂની ઓળખાણના આધારે અહેમદને મેસેજ કરીને પિતા-બહેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો અને એમ બંને વચ્ચે ત્રણ-ચાર વર્ષ પહેલા તૂટી ગયેલો સંપર્કસેતુ ૨૦૧૨માં ફરી સધાયો.
મેડિકલમાં સમાન રુચિ હોવાથી થોડા સમયમાં બંને સારા મિત્રો ય બની ગયા. હોમ્સ અને લંડનની રૃટિન જિંદગી વિશે વાત કરતા, પોતાના જીવનમાં આવેલા સુખ-દુઃખ શેર કરતા, સતત એક બીજાની વાતો સાંભળતા, એક બીજાને વાતો કરતા. લાઈક-ડિસલાઇક્સથી પરિચિત થયા પછી ફરી વખત અહેમદે ડિસેમ્બર ૨૦૧૨માં દિલની વાત રઝાનને કરી જોઈ. અહેમદ રઝાનને લગ્ન કરવાનું કહેતો હતો, પરંતુ રઝાન એમ ઉતાવળ કરવાના પક્ષમાં નહોતી. રઝાને લગ્નની પ્રપોઝલ પેન્ડિંગ રહેવા દીધી અને અહેમદ સામે મળવાનો પ્રસ્તાવ મૂક્યો. ફેબુ્રઆરી-૨૦૧૩માં બંને લેબેનોનમાં મળ્યાં.
એ મુલાકાતમાં અહેમદ પ્રત્યે રઝાનને પણ લાગણી જન્મી. સીરિયાના વિગ્રહ વચ્ચે લોકોની ફિકર કરતો અહેમદ તેને દિલમાં ઉતરી ગયો. તેનો પ્રેમાળ સ્વભાવ અત્યાર સુધી માત્ર દૂરથી અનુભવ્યો હતો, મુલાકાત પછી તેનો સાક્ષાત્કાર પણ થયો. રઝાનને લાગ્યુ કે ઘરથી હજારો કિલોમીટર દુર પણ તેને કોઈ સમજે છે. રઝાનના સપના રઝાનના નહીં પણ અહેમદ-રઝાનના સહિયારા હોય એમ અહેમદે પોતાપણું દાખવ્યું હતું. રઝાન પીગળી ગઈ. બંનેએ એકબીજા માટેની લાગણીનો એકરાર કર્યો અને સગાઈના પ્રેમપાશથી બંધાવાનું નક્કી કર્યું.
અહેમદ સીરિયા પાછો ફર્યો અને રઝાન લંડન જતી રહી. રઝાને લંડન જઈને સગાઈ માટે પિંક ડ્રેસ ખરીદ્યો અને અહેમદ સગાઈની તારીખ અરેન્જ કરવામાં લાગ્યો. પણ બંનેના ભાગ્યની રેખામાં હજુ એક થવાનું લખ્યું ન હતું. હજુ ઘણી લાંબી દૂરી લખાયેલી હતી. બંનેએ એકબીજાના વિરહમાં ઝૂરવાનું બાકી હતું, એકબીજા માટે રાતોના ઉજાગરા કરવાના બાકી હતા, એકબીજા માટે રડી રડીને આંસુની ખારાશ પીવાની બાકી હતી. બંનેએ એક થતા પહેલા જુદાઈનું આખું પ્રકરણ આલેખવાનું હતું. બંનેએ પ્રેમની આકરી પરીક્ષા આપવાની બાકી હતી. બે પ્રેમીજનો વચ્ચે દુનિયા અવરોધ ઊભો ન કરે એવું તો બને જ શાનું? 
                                                                             ***
એ જ અરસામાં રઝાનના કાકા અને તેનો પિતરાઈ ભાઈ આંતકવાદી હુમલાનો ભોગ બન્યા. કાકા-કઝિનના મૃત્યુ પછી સગાઈની વાત થોડા સમય માટે પાછી ઠેલાઈ એ દરમિયાન ફરી એક નવો વળાંક આવ્યો. અહેમદ ગુપ્ત રીતે ચાલતી હોસ્પિટલમાં રાતપાળી કરતો અને દિવસે અધૂરો રહેલો અભ્યાસ કરતો. બે અલગ અલગ પ્રાંતમાં તેની આવજા રહેતી અને એ બંને પૈકી એક ઉપર સરકારી કબજો હતો, બીજા ઉપર આતંકવાદીઓનો. બંનેમાં પ્રવેશ માટે તેને બબ્બે ઓળખકાર્ડ રાખવા પડતા. ઘાયલોની સારવાર કરવા માટે તેણે આ બેવડી ભૂમિકા સ્વીકારી લીધેલી. અહેમદે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
અહેમદ મુશ્કેલીમાં મૂકાઈ જશે એવો અંદેશો રઝાનને આવી ગયો હતો એટલે એ દિવસ-રાત અહેમદની ફિકર કરતા મેસેજ-કોલ કરતી રહેતી. એક દિવસ એ અંદેશો સાચો પણ પડયો. નવેમ્બર ૨૦૧૩ના એક વીકએન્ડમાં રઝાન ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી એ જ સમયગાળામાં અહેમદના ફોનકોલ્સ અને મેસેજ આવતા બંધ થઈ ગયા. રઝાન દિવસમાં અસંખ્ય વાર ફોન કરતી. સતત મેસેજ કરતી. છેક સવારે પાંચ પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રહીને મોબાઇલ સામે તાક્યા કરતી. દિવસે નોકરી કરતી અને આખી રાત રડી રડીને અહેમદની ચિંતામાં વીતાવતી.
બીજી તરફ અહેમદને સીરિયાની ગુપ્તચર સંસ્થાએ શકમંદ તરીકે પકડયો હતો. આતંકીઓના કબજા હેઠળના વિસ્તારમાં તેની આવજા પર સીરિયન સરકારની નજર હતી. આતંકવાદી જૂથનો સભ્ય ગણીને તેના ઉપર આકરો સિતમ ગુજારાયો. ૪-૫ મહિના સુધી તેના પર શારીરિક-માનસિક ત્રાસ અપાયો. છેક પાંચ મહિના પછી રઝાને અહેમદનો અવાજ સાંભળ્યો.
અહેમદ પર વિવિધ આરોપસર કેસ ચાલતા હતા તેમાં તો તે હેમખેમ પાર ઉતર્યો, પણ એ હવે હતાશામાં સરી પડયો હતો. નિસ્તેજ થઈ ચૂક્યો હતો અને જીવન જીવવાની હામ ખોઈ ચૂક્યો હતો. જે અહેમદને રઝાન ઓળખતી હતી, જે અહેમદને તેણે લાઈફ પાર્ટનર પસંદ કર્યો હતો, જે અહેમદની સેવાપ્રવૃત્તિ માટે તેના દિલમાં સન્માન હતું, એ અહેમદ ક્યાંક ખોવાઈ ગયો હતો. એક તબક્કે તો અહેમદને છોડી દેવા પરિવારજનોએ રઝાનને સમજાવી જોઈ. પણ રઝાન અહેમદને દુનિયા કરતા વધુ જાણતી હતી. તેને એ ખબર હતી કે આ અહેમદ એ નથી જેને એ ઓળખતી હતી, તો જેને ઓળખતી હતી એ અહેમદને તે પાછી લાવીને જ રહેશે. અતડા રહેવા લાગેલા અહેમદ સાથે તેણે ફરીથી બધુ પૂર્વવત્ કરવા માંડયું. તેને સીરિયા છોડીને લેબેનોન જવા મનાવી લીધો. લેબેનોનમાં તેણે શરણાર્થી તરીકે સમય વીતાવવા માંડયો. લગભગ વર્ષે-દોઢ વર્ષે અહેમદ ફરીથી ટ્રેક પર આવતો જણાયો. શારીરિક-માનસિક ત્રાસથી તદ્ન વિખેરાઈ ગયેલા માણસને પ્રેમ આપીને રઝાને ફરીથી જીવતો કર્યો હતો અને એ પણ હજારો કિલોમીટર દૂર રહીને!
સીરિયન નાગરિકને બ્રિટનનું નાગરિકત્વ અપાવવું એ અત્યારે કપરું કામ છે, પરંતુ રઝાને ચાન્સ લેવાનું નક્કી કર્યું. તેણે અહેમદ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અહેમદે સહમતિ આપી પણ આવનારી મુશ્કેલીથી બંને વાકેફ હતાં. લેબેનોનમાં ઈસ્લામિક રસમથી લગ્ન થયા પછી બ્રિટિશ નાગરિક હોવાના કારણે રઝાને અહેમદના વિઝા માટે અપ્લાય કરાવ્યું. લાંબી અને થકાવી નાખતી પ્રોસેસના અંતે એક દિવસ અહેમદને વિઝા મળી ગયા.
૨૦૧૬ના જાન્યુઆરીમાં જે દિવસે અહેમદ લેબોનોનથી લંડનની ફ્લાઇટમાં બેઠો એ આખી રાત રઝાન સૂઈ નહોતી શકી. તેને હજુ ય કંઈક અણધાર્યો વળાંક આવવાનો ડર હતો. અહેમદ લંડનના એરપોર્ટ પર ઉતરે એની કેટલીય કલાકો પહેલા રઝાન એરપોર્ટ ઉપર આવીને તેની રાહ જોતી બેસી ગઈ હતી. લંડનના એરપોર્ટ ઉપર કોઈ ડ્રામા ન થયો. સિક્યુરિટીની પ્રોસેસ પૂરી કરીને અહેમદ જેવો અંદર આવ્યો કે રઝાન તેને વળગી પડી. કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર તેને જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા. કેમ ન ભીંજાય? તીવ્ર વળાંક લેતી ડ્રામેટિક કહાનીનો હેપ્પી એન્ડ જો આવ્યો હતો!

Sunday, 14 February 2016
Posted by Harsh Meswania
Tag :

સાયબર ક્રાઇમ સેલ : સશક્ત ચોર સામે કામ કરતું અશક્ત તંત્ર!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ભારતમાં ઓનલાઇન ગુનાખોરીનું પ્રમાણ ભયનજક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવાથી લઈને ઓનલાઇન છેતરપીંડી સુધી વધી રહેલા સાયબર ક્રાઇમ રોકવા કામ કરતું તંત્ર ભારતીય સાયબર ક્રાઇમ સેલ કેમ કારગત નથી નીવડતું?

સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય.

જોરશોરથી કોઈ પ્રોડક્ટની જાહેરાત શરૃ કરવામાં આવે, કોઈ સેલિબ્રિટીને એ પ્રોડક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે. તેનો બરાબર પ્રચાર થાય, શહેરના ખૂણે ખૂણે હોર્ડિંગ્સ લગાવવામાં આવે, ગ્રાહકોમાં એ પ્રોડક્ટનું નામ ગૂંજવા માંડે, ગ્રાહકો એ પ્રોડક્ટનો ઉમળકો પણ દાખવે અને પછી માર્કેટમાં એ પ્રોડક્ટ મળે નહીં તો શું થાય?
એ જ હાલત થાય જે નબળી સર્વિસ માટે થવી જોઈએ. થોડો સમય ગ્રાહકો એ પ્રોડક્ટની ડિમાન્ડ કરે, પછી વારેવારેની માંગણી છતાં પ્રોડક્ટ ન મળે એટલે ડિમાન્ડ કરવાનું જ મૂકી દે.
બસ, અદ્લ આવું જ ભારતમાં સાયબર ક્રાઇમ સંદર્ભે થયું છે. સાઇબર ક્રાઇમથી ચેતવાનો બરાબર પ્રસાર-પ્રચાર થયો. યુઝર્સને જાગૃત કરાયા, અથવા એમ કહો કે યુઝર્સ આપમેળે વાંચી-વિચારી-સમજી-સાંભળીને જાગૃત થયા. સાવચેતી રાખવા માંડયા અને છતાંય જો ભોગ બને તો જાગૃકતા દાખવીને ફરિયાદ નોંધાવવા સુધી ય પહોંચતા થયા.
પણ પછી રાબેતા મુજબ આપણું સુરક્ષાતંત્ર ફરિયાદનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડવા માંડયું. એવી સ્થિતિ આવતા વાર નહીં લાગે કે પેલી નવી પ્રોડક્ટની જાહેરાત કરાયા પછી પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોય અને લોકો એને ખરીદવાનો ઉમળકો દાખવતા બંધ થાય એમ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવાનું માંડી વાળશે.
ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સ્માર્ટફોન માર્કેટ છે. ફેસબૂક યુઝર્સની બાબતમાં ભારતનો ક્રમ બીજો. ૩ કરોડ ટ્વિટર યુઝર્સ છે. ૧૦ લાખ વોટ્સએપ યુઝર્સ. એક વર્ષ પછી મોબાઇલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૨ કરોડે પહોંચી જશે અને દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા ૫૦ કરોડને પાર થશે.
ઈન્ટરનેટ વપરાશકર્તા અને સોશ્યલ મીડિયા યુઝર્સનું આવડું વિશાળ નેટવર્ક ફેલાયું છે છતાં ભારતમાં સાયબર ક્રાઇમ સેલની સંખ્યા માત્ર ૨૩ છે! સરકારી સંસ્થા નેશનલ ક્રાઇમ બ્યૂરોના અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯,૬૦૦ કેસ નોંધાયા હતા. જોકે, આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે બિનસરકારી આંકડો લગભગ ૩ લાખથી ય વધારે છે. સામાન્ય કેસમાં તો પોલીસે સમજાવી-ધમકાવીને યુઝર્સને અરજી ન નોંધવા દીધી હોય એ શક્ય છે. ધારો કે, સરકારી અહેવાલને જ સચોટ માનીએ તો પણ ૧૦ હજાર કેસ એ કંઈ નાનો આંકડો પણ નથી. આટલા કેસની સામે માત્ર ૨૩ સાયબર ક્રાઇમ સેલ કાર્યરત હોય ત્યારે સંતુલન ન જ જળવાય. સંતુલન નથી જળવાતું એ પાછળ વળી એક કારણ સાયબર ક્રાઇમ વિભાગ પાસેથી અન્ય કામ કઢાવી લેવાની સરકારી નીતિ ય જવાબદાર ખરી!
સાયબર ક્રાઇમ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પાસે આવતી અરજીઓનો નિકાલ કરે તેની સાથે સાથે તેમને ગંભીર ગુનાખોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસને મદદ પણ કરવી પડે છે. ગુનેગારની ફોનકોલ્સ ડિટેઇલ્સથી માંડીને વોટ્સએમ મેસેજીસના આધારે ગુનો ઉકેલવા સાયબર ક્રાઇમ પાસેથી કામ કઢાવવાની (ખરેખર તો પોલીસતંત્ર માટે આવી કામગીરી કરી આપે એવો અલાયદો સ્ટાફ હોવો જોઈએ) સરકારી નીતિ રહી છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસની મદદમાં તૈનાત રહે એમાં સાયબર ક્રાઇમ સેલનો મૂળ હેતુ સિદ્ધ નથી થતો. ઓનલાઇન ગુનાખોરી નિવારવા માટે કામ કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ એને બદલે પોલીસની શાખા હોય એમ ગુનાનો ભેદ ઉકેલવાના કામમાં તેને રોકી રખાય છે.
સાયબર ક્રાઇમ સેલમાં એવરેજ ૫૦ (આ આંકડો મોટો છે, પણ આપણે મોટું મન રાખીને ગણતરી કરીએ)નો સ્ટાફ હોય તો દેેશના ૨૩ સાયબર સેલમાં કુલ ૧૦૦૦-૧૧૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ કાર્યરત હશે. બીજી તરફ યુઝર્સની સંખ્યા કરોડોની છે અને સાયબર ક્રાઈમ સેલની નિસ્ક્રિયતાના કારણે મોકળું મેદાન ભાળીને ઓનલાઇન પરેશાન કરતા ગુનેગારોની સંખ્યા લાખોમાં છે.
ભારતમાં ૧૦ હજાર કેસ નોંધાયા હતા એટલે એ સત્તાવાર આંકડાને વળગી રહીએ તો પણ દેશમાં ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ સાયબર ક્રાઇમ સેલની જરૃર છે. વળી, મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમ સેલની રચના કરી આપવાથી ય કશું વળી નથી જવાનું, તેમાં સજ્જ ટેકનોલોજી અને એ ટેકનોલોજીને અનુરૃપ ટેકનિકલ સ્ટાફ પણ જોઈશે. અત્યારે જે ૨૩ સાયબર ક્રાઇમ સેલ છે તેમાં મોટા ભાગનો સ્ટાફ પોલીસમાંથી તાલીમ પામેલા અધિકારીઓ અને સ્ટાફથી ભરાયો છે. એમાંથી ય અડધોઅડધ અધિકારીઓ-કર્મચારીઓ સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રાથમિક સજ્જ પણ નથી. સરકારી સેમિનાર્સના આધારે સર્ટિફિકેટ મેળવીને બેસાડી દેવાયો હોય એવો સ્ટાફ વધુ છે. સાયબર ક્રાઇમ રોકવાનો ખરેખરો ખંત અને આવડત માંડ ૨૦ ટકા અધિકારીઓ-સ્ટાફમાં છે.
સરકારના આ તંત્રમાં પણ મોટુ દૂષણ ભ્રષ્ટાચારનું છે, જે સાયબર ક્રાઇમ સેલને પોલીસતંત્રમાંથી વારસામાં મળ્યું છે! સાયબર ક્રાઇમ પરત્વે લોકોની જાગૃતિ નથી એવા સમયે કોઈ અમીરજાદો હાથ લાગી ગયો તો દાખલો બેસે એવી રીતે તેના પર કેસ ચલાવવાને બદલે બંને પાર્ટીઓને સામ-સામે બેસાડીને 'સમજાવી' દેવામાં સાયબર ક્રાઇમ સેલ મધ્યસ્થી કરે છે. દેશભરમાં આવા કેટલાય કિસ્સા છેલ્લા બે-ત્રણ વર્ષમાં સામે આવ્યા છે.
જ્યાં મિનિટોમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે ત્યાં સાયબર ક્રાઇમ સેલ સરકારી તંત્રમાં સહજ હોય છે એવી સુસ્તીથી કામ કરે તો તો આખો જન્મારો નીકળી જાય તો ય ક્યાંથી કેસ ઉકેલાય! ક્વિક કામ થવું જોઈએ એના બદલે બેપરવાહીથી કામ થાય તો અમુક સંવેદનશીલ કિસ્સામાં જે નુકસાન થવાનું હોય એ થઈ ચૂક્યું હોય!
સ્ટાફનો અભાવ ઉપરાંત બીજી મુશ્કેલી છે ટેકનિકલ સજ્જતાની. ઓછી સજ્જતા ધરાવતું તંત્ર કે વ્યક્તિ તેનાથી સજ્જ ગુનેગાર સુધી કઈ રીતે પહોંચી શકે? ટાંચાં સરકારી સાધનો ઉપરાંત બીજી એક મુશ્કેલી વિદેશી તપાસ એજન્સીની પણ ખરી. સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ દેશેદેશે બદલી જાય છે. આપણી સાથે રાજદ્વારી સંબંધો હોય એવા દેશો ય ઘણી વખત સાયબર ક્રાઇમના કાયદાના અભાવે સહકાર આપી શકતા નથી. ઘણા કેસમાં વર્ષો પહેલા સર્વિસ પ્રોવાઇડર્સ સહિતની વિગતો માટે જે કેસમાં આપણી પોલીસે ઘણા દેશોને વિનંતી કરી હોય એનો જવાબ આજ સુધી નથી આવ્યો. ખેર, એવા કિસ્સા ય ગણ્યા-ગાંઠયા જ હોય. હાઇપ્રોફાઇલ કેસ વખતે જ આમ તો વિદેશની મદદ લેવી પડતી હોય છે. એ સિવાય સ્થાનિક કનડગતમાં તો જો સજ્જ તંત્ર હોય તો ગુનેગાર સુધી પહોંચવાનું કામ અઘરું નથી.
સાયબર ક્રાઇમ સેલ તુરંત અને સચોટ ગુનો ઉકેલી શકે એ માટે સજ્જ, કાર્યક્ષમ સ્ટાફની જરૃર તો છે જ છે, પરંતુ એ સિવાય ગુનેગારનું પગેરું એની જ સ્ટાઇલમાં શોધી કાઢતા એથિકલ હેકર્સની ય તાતી જરૃર છે. ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ જોતા એટલિસ્ટ ૫૦ હજાર એથિકલ હેકર્સ તૈનાત રાખવા પડે. સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય. પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે એ માટે પૂરતું ફંડ ઉપલબ્ધ નથી. કેટલાક એથિકલ હેકર્સ સોશ્યલ સર્વિસ માટે તૈયાર થાય છે ખરા, પણ પછી ક્યારેક અધિકારીઓના કડક વલણથી તો ક્યારેક મફતમાં પોલીસનો રૌફ ઝેલીને થાકી જાય છે. એથિકલ હેકર્સને બીજી સમસ્યા નડે છે હેકિંગની. સરકારી તંત્ર માટે કામ કરતા એથિકલ હેકર્સ પોતે જ હેકિંગનો ભોગ બન્યા હોવાની ફરિયાદો ઉઠે છે. અગાઉ કહ્યું એમ સરકારી તંત્રની સિસ્ટમ હેકર્સ કરતા પૂઅર હોય છે એટલે એથિકલ હેકર્સનું કામ છૂપું રહેતું નથી.
આ બધાના અભાવનું પરિણામ સાયબર ક્રાઇમ સેલના ઓવરઓલ દેખાવ પર પડે છે. ગયા વર્ષે ૯,૬૦૦ કેસમાંથી માત્ર ૭૨ કેસ ઉકેલી શકાયા. મતલબ કે સફળતા કરતા નિષ્ફળતાનું પલ્લું ભારે છે. પછી 'મધ્યસ્થી' કરીને 'સમજાવટ' કરાવી હોય એ અલગ, પણ એ તો પોલીસતંત્રનો વારસો મળ્યો છે એટલે એ દૂષણને કેમ નિવારી શકાય એનો તોડ હજુ સરકારને ય નથી મળ્યો!
સરકારી આંકડા કહે છે એમ ૨૦૧૩માં સાયબર ક્રાઇમ આચરનારાની વય ૧૮-૩૦ની વચ્ચે હોય એવા આરોપીની સંખ્યા સૌથી વધુ હતી. ૬૦-૭૦ ટકા ક્રાઇમ માત્ર કનડગતના ઈરાદાથી આચરાયો હતો. ડેટા ચોરી, છેતરપીંડી સહિતની ગુનાખોરી સતત વધતી ચાલી છે ત્યારે ભારતમાં સાયબર ક્રાઇમ રોકવા ત્વરિત પગલા ભરાય એ જરૃરી છે.
સોશ્યલ મીડિયા પણ બીજી ઘણી બધી બાબતોની જેમ પશ્વિમની દેન છે. સાયબર ક્રાઇમનેે ડામી દેવામાં તો અમેરિકા જેવા અમેરિકાને ય સફળતા નથી મળી, પરંતુ તેની કાળી બાજુ સામે આવી એટલે તરત સુરક્ષાને લગતા પગલા ભરાયા છે અને ઘણેખરે અંશે તેનું પરિણામ કારગત જણાયું છે. પરિણામનો પ્રશ્ન તો પછી આવશે, પહેલો સવાલ દાનતનો છે. વહેલી તકે પગલા કેમ ભરાય એ પણ આપણે સોશ્યલ મીડિયાને અપનાવ્યું એ જ રીતે પશ્વિમના મોડેલને અપનાવવા જેવું હતું, કમનસીબે એ તક આપણે ચૂકી ગયા.
Sunday, 7 February 2016
Posted by Harsh Meswania
Tag :

મશીનને માણસની લગોલગ બનાવતા શાસ્ત્રના સર્જક માર્વિન મિન્સ્કી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે એવા બુદ્ધિવંત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્વિન મિન્સ્કીનું ગયા સપ્તાહે નિધન થયું. કમ્પ્યુટર સોફ્ટવેરથી લઈને છેક સ્માર્ટફોનની એપ સુધીની ક્રાંતિમાં જેમના સિદ્ધાંતોનો પ્રભાવ છે એવા માર્વિન મિન્સ્કી વિશે થોડું જાણી લઈએ.

મશીન પાસેથી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરાવીને કામ લેવું એટલે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિ. કમ્પ્યુટર અને કમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવીને તેની પાસેથી માણસની બુદ્ધિક્ષમતાની લગોલગ અથવા કહો કે એથીય વધુ કુશળતાથી કામ લેવાની કળાના શાસ્ત્રને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે. બીજી રીતે કહીએ તો એવા રોબોટ કે જે માણસની જેમ કામ કરવા લાગે. ક્યારેક માણસ કરતા પણ ચિવટથી કામ કરે અને પછી માણસ પણ તેની સામે વામણો લાગે એવું કૃત્રિમ ચેતાતંત્ર વિકસાવવાનું હવે પૂરજોશમાં ચાલે છે.
માણસના ચેતાતંત્રની ખામીઓ મશીનના માધ્યમથી પૂરી કરી દેવાની માણસની ખ્વાહિશ આમ તો દશકાઓથી શરૃ થઈ છે. કોઈ નવા શાસ્ત્રનો વિકાસ થાય ત્યારે એ ચોક્કસ કયા સમયે થયો એવું કહી શકાતું નથી હોતું. શાસ્ત્રના સ્વરૃપે પહોંચે એ પહેલા પણ તેને ઘણી સફર ખેડવી પડે છે, પણ હા, કોઈ એક ચોક્કસ સમયે તેને શાસ્ત્ર સ્વરૃપે ઓળખ મળે ત્યારે ખોંખારીને કેટલાક સર્જકોના નામ બોલવા પડે છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની બાબતમાં એવું જ ખોંખારીને બોલી શકાય એ નામ માર્વિન મિન્સ્કીનું છે. મશીનમાં જીવ રેડવાની કળાને થીયરીકલ અને પ્રેક્ટિકલ કરવા માટેના પહેલાવહેલા મજબૂત વિચારો માર્વિન મિન્સ્કીએ આપ્યા હતા અને એના જ પરિણામે તેમના ખાતામાં જ્ઞાાનાત્મક વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, ગણિત, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ફિલોસોફી ઓફ માઇન્ડ જેવા વિજ્ઞાનમાં ખેડાણ બોલે છે.
                                                                                ***
ન્યૂયોર્કમાં આંખના સર્જન પિતાને ત્યાં ૧૯૨૭માં માર્વિનનો જન્મ. પિતાની વિજ્ઞાનરૃચિ પુત્રને પણ પારણામાંથી જ આવી. વિજ્ઞાન તરફનો તેનો જૂકાવ જોઈને પિતાએ ન્યૂયોર્કની વિજ્ઞાન શાળામાં તેના અભ્યાસની વ્યવસ્થા કરાવી. અન્ય બાળકોની તુલનાએ અતિશય તેજસ્વી એવા માર્વિને સાયન્સના વિષયોમાં ઉજળો દેખાવ કર્યો એટલે પોરસાઈને પિતાએ તેને મેસેચ્યુસેટ્સના એન્ડોવરની વિખ્યાત ફિલિપ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. તેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો એ સમયે જ અમેરિકાની નૌસેનામાં હોનહાર યુવાનોની ભરતી થતી હતી, માર્વિને પણ એમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. નૌસેનાની પ્રતિષ્ઠિત નોકરી મળી ગયા પછી એ સમયે યુવાનો માટે ખાસ કશું રહેતું નહીં, તેની લાઇફ સેટ થયેલી ગણાતી. પરંતુ માર્વિનની નિયતીમાં આ સિવાય બીજું ઘણું લખાયું હતું.
નોકરી દરમિયાન તેણે ગણિતનો અભ્યાસ કરવા માટે હાર્વર્ડની પ્રવેશ પરીક્ષા આપી હતી. પ્રવેશ મળી ગયો એટલે તેણે નૌસેનાની નોકરી છોડીને હાર્વર્ડમાં ગણિતના કોયડા ઉકેલવા માંડયા. પછી તો ૧૯૫૪માં વિખ્યાત ગણિતજ્ઞા આલ્બર્ટ ટકરના માર્ગદર્શનમાં પીએચ.ડી થયા. તેજસ્વી કારકિર્દી જોઈને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ એન્ડ ટેકનોલોજિ (મિટ)માં તેમને નોકરી પણ મળી ગઈ. ગાણિતિક ક્ષમતા અને નવા નવા વિકસી રહેલા કમ્પ્યુટર સાયન્સમાં રસના કારણે તેમની દોસ્તી મિટમાં કામ કરતા હમઉમ્ર યુવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોન મેકાર્થી સાથે થઈ. બંનેએ સાથે મળીને ૧૯૫૯માં મીટમાં જ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરી સ્થાપી અને એમ એક ગણિતશાસ્ત્રીની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં સફળ સફર શરૃ થઈ.
'આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ'ના શાસ્ત્રને વિકસાવવામાં માર્વિનની ભૂમિકા અસાધારણ છે પણ એ શબ્દનો ઉપયોગ જોન મેકાર્થીએ કર્યો હતો. ઘણી વખત કોઈ વિજ્ઞાનની વ્યાખ્યાઓ વિધિવત્ શીખી ન હોવાના કારણે તેના વ્યાખ્યાયિત બંધારણથી મુક્ત રહી શકાતું હોય છે અને એ મુક્તિ જ નવી વ્યાખ્યાઓને જન્મ આપે છે. માર્વિન માટે એવી જ સ્વાયતતા આપનારુ શાસ્ત્ર કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ હતું અને તેમાં એણે કેટલાય નવા સમીકરણો રચી બતાવ્યાં.
૭૦ના દશકાની શરૃઆતે જ્યારે માણસે અવકાશભણી દોટ મૂકી હતી ત્યારે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ વાત પામી ગયા હતા કે હવે કોઈ પણ કામને શક્તિશાળી ઢંગથી અજામ આપી શકે એવી મશીનરીની ટૂંક સમયમાં તાતી જરૃર વર્તાશે. મિટ જેવી લેબોરેટરીમાં મશીન કેમ માણસની જેમ કામ કરી શકે એ વિચારવાનું શરૃ પણ થઈ ચૂક્યું હતું. માર્વિને પોતાના કામને એ લેબોરેટરીની બહાર પણ વિકસાવવા માંડયું. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અંગે સંશોધનો ભલે થવા માંડયા હતા, પરંતુ તેને થિયરીમાં ઢાળવાનું કામ બાકી હતું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સીમોર પાપેર્ટ સાથે મળીને માર્વિને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને થિયરીમાં ઢાળવાનું કામ ઝડપી લીધું. બંનેએ મળીને 'પર્સેપ્ટ્રોન' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક કૃત્રિમ ચેતાતંત્રના નેટવર્કને સમજવા માટે ખુબ જ ઉપયોગી થઈ પડયું. એ સમયે કૃત્રિમ બુદ્ધિમત્તાને લગતા જેટલા પણ સંશોધનો થતાં તેમાં આ પુસ્તકનો સંદર્ભ અચૂક ટાંકવામાં આવતો. કૃત્રિમ ચેતાતંત્રનું વિશ્લેષણ એ પુસ્તકમાં એટલું ધારદાર રીતે વ્યાખ્યાયિત કરાયું હતું કે તેનો આધાર લીધા વગર કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં સંશોધન કરવું લગભગ અશક્ય ગણાવા લાગ્યું.
એ પુસ્તકના કારણે બીજા કેટલાક સંશોધકોએ વિરોધનો ગણગણાટ પણ કર્યો. ઘણાના મતે એ પુસ્તકના કારણે કૃત્રિમ ચેતાતંત્રના સંશોધનો એ પુસ્તક કેન્દ્રિત બની રહ્યાં અને તેના કારણે નવી દિશાઓ ન ખૂલી. મતમતાંતર વચ્ચે જાણે વિરોધીઓને જવાબ આપતા હોય એમ માર્વિને ૧૯૭૪માં 'અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકથી પ્રોગ્રામિંગમાં નમૂનેદાર પરિવર્તન આવ્યું. પર્સેપ્ટ્રોન ખરું જોતા પ્રેક્ટિકલ વધુ હતું એટલે સમજવામાં અઘરું ય હતું, જ્યારે અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજમાં સંપૂર્ણપણે થીયરી રજૂ થઈ હતી એટલે તેનો ઉપયોગ તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે ટેક્સ્ટ બૂક જેવો બની ગયો.
એ જ અરસામાં તેમણે 'ધ સોસાયટી ઓફ માઇન્ડ'માં કેટલીક થીયરી રજૂ કરી. માર્વિનના ખુદના કહેવા પ્રમાણે  રોબોટની બનાવટમાં, કમ્પ્યુટર સોફ્ટવેરના સર્જનમાં અને વીડિયો કેમેરામાં તેમના ધ સોસાયટી ઓફ માઇન્ડ પુસ્તકનો આધાર લેવામાં આવે છે. રોબોટિક થિયરી, વર્ચ્યુઅલ દુનિયા અને કમ્પ્યુટરના શક્તિશાળી સોફ્ટવેર બનાવવામાં માર્વિનના આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો પાયાનો વિચાર આજે ય આધાર બને છે.
                                                                             ***
તેમણે માત્ર સિદ્ધાંતો જ રજૂ નથી કર્યાં, ઘણી બાબતોમાં પ્રેક્ટિકલ સંશોધનો પણ કર્યા છે. હેડગ્રાફિક ડિસ્પ્લેની પેટન્ટ તેમના નામે નોંધાયેલી છે. હેડગ્રાફિક ડિસ્પ્લે એટલે માથામાં હેલમેટની જેમ ફિટ થઈ જાય એવું સાધન, જેમાં ફિટ કરાયેલા કાચમાં ડેટા જોઈ શકાય છે. આ પ્રોડક્ટ શરૃઆતમાં એવિએશનમાં ઉપકારક નીવડી હતી. કોન્ફોકલ માઇક્રોસ્કોપ, લેસર સ્કેનિંગ માઈક્રોસ્કોપ જેવા સાધનો તેમણે વિકસાવ્યા હતાં. ૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર માટે તૈયાર કર્યા હતા અને પીએચ.ડી માટે તેમને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
સાયન્સ ફિક્શનના લેખકને પણ વિચારતા કરી દે એવી અદાથી માર્વિને પૃથ્વી ઉપરાંતની સંભવિત દુનિયા વિશે ય કલ્પનાઓ કરીને તક મળ્યે લખ્યું છે. એમ તો આ વિજ્ઞાાની એક ફિલ્મની સર્જનયાત્રા સાથે ય જોડાયેલા હતા. ૧૯૬૮માં બનેલી ફિલ્મ - '૨૦૦૧ : અ સ્પેસ ઓડિસી'ના તેઓ સલાહકાર હતા!
ક્યાંક રોબોટ ન્યૂઝ એન્કર બને કે ક્યાંક રોબોટ રસોઈ બનાવવામાં કુશળતા સાબિત કરે એ તમામની સિદ્ધિ પાછળ માર્વિન મિન્સ્કીની થિયરી નાની-મોટી ભૂમિકા ભજવે છે. દશકાઓ પહેલા તેમણે રજૂ કરેલા સિદ્ધાંતો જ તેેમને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે પાયોનિયર સાબિત કરી આપે છે એવા માર્વિનનું ૨૪મી જાન્યુઆરીએ બોસ્ટનમાં ૮૮ વર્ષની વયે નિધન થયું. તેઓ છેક સુધી આ ક્ષેત્રે પ્રવૃત્ત હતા. કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોથી તેઓ અપડેટ રહેતા અને એ અંગે છેવટના દિવસો સુધી વિવિધ સાયન્સ જર્નલ્સમાં લેખો લખીને પોતાનો મત વ્યક્ત કરતા રહેતા. તેઓ ખુબ સારા પિયાનોવાદક હતા. વિજ્ઞાનની સાથે સાથે ૧૯૮૧માં તેમણે સંગીત પર કનેક્શન બીટવિન મ્યુઝિક, સાયકોલોજી એન્ડ ધ માઇન્ડ નામના પુસ્તકમાં નામનું ખુબ જ ઉપયોગી પુસ્તક લખ્યું હતું. સંગીતજગતમાં એ પુસ્તક આવકાર પામ્યું હતું. અમેરિકાના દિગ્ગજ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઊંડા અભ્યાસી એવા પેટ્રિક વિન્સ્ટને માર્વિન સાથે થોડા વખત મીટમાં કામ કર્યું હતું. તેમના મતે માર્વિન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના જિનિયસ વિજ્ઞાાની હતા.
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિશે આજના સંશોધકો માને છે કે એ ક્ષેત્ર કેટલું વિકસશે એ કહી શકાય નહીં. બની શકે કે કૃત્રિમ ચેતાતંત્ર નેટવર્ક એની મેળે નિર્માણ થતું રહેશે, એની જાતે જ પ્રતિકૃતિઓ બનતી રહેશે અને માનવમન કરતા હજારો-લાખો ગણું જટિલ તંત્ર પણ ખડું થઈ શકે. અમુક સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે લાગણીઓની બાબતમાં પણ કૃત્રિમ બુદ્ધિમત્તા માણસની લગોલગ પહોંચશે. જો ખરેખર એમ થશે તો કાલે ઉઠીને સાયન્સફિક્શન ફિલ્મોમાં બતાવે છે એ વાત સાચી ઠરશે અને મશીન પોતાની જાતે માણસ કરતા પણ વધુ તીવ્રતાથી વિચારી શકશે તો એનો યશ બેશક મશીનને વિચારતા કરવાનું વિચારનારા માર્વિન મિન્સ્કીને આપવો રહ્યો.
Sunday, 31 January 2016
Posted by Harsh Meswania
Tag :

યુવાધનથી છલકતા દેશની કમનસીબી : યુવાનોના આપઘાતમાં ભારત નંબર વન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હૈદરાબાદ યુનિ.ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ કિસ્સાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજકારણ ભળ્યું એટલે દેશભરમાં દિવસો સુધી એ મુદ્દો ચર્ચાયો, નહીંતર દેશમાં દરરોજ ૨૦૦ યુવાનો જીવન ટૂંકાવી નાખે છે અને કોઈના પેટનું પાણી ય નથી હાલતું 

ડબલ્યુએચઓના અહેવાલમાં દાવો કરાયો હતો કે ભારત આપઘાતની બાબતે પહેલા નંબરે છે, યુવાનોની આત્મહત્યાના મુદ્દે ય કમનસીબે ભારત પહેલા નંબરે છે. ખુદ સરકારી આંકડા કહે છે કે દેશમાં વર્ષે ૯૮ હજાર યુવાનો આપઘાત કરે છે!

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી એ વાતે ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોએ જેવી અને જેટલી તક મળી એટલી ઝડપી લીધી છે. સામ સામા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં આખી ય ઘટનાને બરાબર રાજકીય રંગ લાગી ગયો છે, એટલે દિવસો સુધી તેની ચર્ચા ય પૂરજોશમાં ચાલી. જ્ઞાાતિ આધારિત રાજકારણ ખેલવામાં કુશળ આપણા રાજકારણીઓને આ ઘટનામાં ભાવતું મળી ગયું, બાકી જો ક્યારેક આ જ તકવાદી રાજકારણીઓએ આસપાસમાં નજર દોડાવી હોત તો કેટલાય રોહિતો હિજરાઈને મોતને નોતરે છે એ જાણી શકાયું હોત.
આત્મહત્યાનો આ મુદ્દો ચાલતો હશે ત્યાં સુધીના એક સપ્તાહમાં બીજાં ૧૪૦૦-૧૫૦૦ યુવાનોએ આપઘાત કરી લીધો હતો. ના, હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિતે આપઘાત કર્યો એ ઘટનાના વિરોધ કે સમર્થનમાં નહીં, પરંતુ ભારતમાં ચાલતી આપઘાતની રૃટિન ઘટનાના ભાગરૃપે! ડબલ્યુએચઓએ ગયા વર્ષે જાહેર કર્યું હતું એ પ્રમાણે ભારત આપઘાતની બાબતે તો પહેલા નંબરે છે જ છે,  યુવાનોની આત્મહત્યામાં પણ કમનસીબે યુવાધનથી છલકતા ભારતનો પહેલો ક્રમ છે.
ખુદ સરકારી આંકડા જ એ વાત સાબિત કરી આપે છે કે ભારતમાં આપઘાતની સમસ્યા ગંભીર હદે વકરી ચૂકી છે. એમાં પણ ભણેલા-ગણેલા યુવાનો આપઘાત કરીને જીવન ટૂંકાવતા જાય છે એ સંખ્યા ભયજનક રીતે સતત વધી ગઈ છે.
                                                                              ***   
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે વિશ્વમાં વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલા નંબરે છે. મતલબ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે એવું ડબલ્યુએચઓનું કહેવું છે. જોકે, સરકાર આટલો ઊંચો આંકડો હોવાનો ઈન્કાર કરે છે. નેશનલ ક્રાઇમ બ્યૂરો પ્રમાણે છેલ્લા એક દશકામાં એટલે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૦૪ની તુલનાએ ૨૦૧૪ સુધીમાં આત્મહત્યાનો આંકડો ૧૬ ટકા જેટલો વધી ચૂક્યો છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ કેસ નોંધાયા હતા. સામે આપઘાત ખાળવાના સરકારી-ખાનગી આટ-આટલા પ્રયાસો છતાં ૨૦૧૪માં કેસની સંખ્યા વધીને ૧,૩૧,૬૬૬ સુધી પહોંચી હતી. ભારતના સરકારી આંકડા આપઘાતની દૈનિક એવરેજ ૩૭૫ હોવાનું કહે છે.
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં આત્મહત્યાના ૧૬,૩૦૭ કેસ નોંધાયા હતા. આટલી માતબર સંખ્યા સાથે મહારાષ્ટ્રનો દેશમાં પહેલો ક્રમ હતો. આ આપઘાતમાં ખેડૂતોની સંખ્યા ઘણી મોટી હતી. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૬,૧૨૨ કેસ નોંધાયા હતા. ત્રીજા નંબરે ૧૪,૩૧૦ કિસ્સા સાથે પશ્વિમ બંગાળ છે. એ પછી કર્ણાટક અને તેલંગણાનો ક્રમ આવે છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા આ પાંચ રાજ્યોમાં થાય છે. આ પાંચ રાજ્યો દેશના કુલ આત્મહત્યાના કિસ્સામાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. આ તમામ રાજ્યોમાં આત્મહત્યા સૌથી વધુ થઈ રહી છે અને એમાં છેલ્લા વર્ષોમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે એ આઘાતજનક બાબત છે. તેમાં ૫ ટકાના વાર્ષિક વધારા સાથે આંકડો સતત મોટો થતો જાય છે. મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં જે આત્મહત્યા થાય છે તેમાં ખેડૂતો વધારે સંખ્યામાં છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આત્મહત્યા કરવામાં વિદ્યાર્થીઓ મોખરે છે.
૨૦૧૪માં દેશના ૨,૪૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધુ હતું. અભ્યાસ પછી નોકરી મેળવવામાં વિલંબ થયો હોય અને કંટાળીને આપઘાત કર્યો હોય એવા દુર્ભાગી લોકો ગયા વર્ષે ૨,૨૦૭ હતાં. કુલ આપઘાતમાંથી બેરોજગારીના કારણે વર્ષે ૭.૫ ટકા યુવાનો આપઘાત કરે છે. બીજી એક આંખ ઉઘાડનારી બાબત એ છે કે ગ્રામ્ય ભારતની તુલનાએ શહેરી ભારતનો આપઘાતનો દર ઘણો ઊંચો છે. ૧૫ મોટા શહેરો મળીને આપઘાતનો અડધોઅડધ હિસ્સો ધરાવે છે. વિદ્યાર્થી ઉપરાંત નોકરીની તલાશમાં હોય એવા કુલ યુવાનો મળીને ગયા વર્ષે જ ૪,૬૧૦ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ સંખ્યા જ વિદ્યાર્થીઓના આપઘાતની ગંભીરતા બયાઁ કરી આપે છે.
આત્મહત્યા કરનારાની માહિતી એકઠી કર્યા પછી તેના આધારે તારણ કાઢવામાં આવ્યું એ પ્રમાણે આત્મઘાત કરનારા લોકોનો શૈક્ષણિક રેટ દેશના સરેરાશ શિક્ષણ રેટ કરતા ઉજળો હતો. ગ્રેજ્યુએશન કે એનાથી વધુ અભ્યાસ કરનારા ૩ ટકા યુવાનો આત્મહત્યા કરી લે છે. ભણેલા-ગણેલા, જેને સમજાવી શકાય તેમ પણ છે અને એ પોતે સારી-ખરાબ સ્થિતિને બરાબર સમજે છે એ લોકો જ આવું નિરાશાજનક પગલું ભરે ત્યારે આપઘાતનું પ્રમાણ ઓછુ કરવાનું કામ ખૂબ કપરું છે.
આત્મહત્યાને ખાળી શકતા રાજ્યોમાં સૌથી સારો દેખાવ ઉત્તરપ્રદેશનો છે. ઉત્તરપ્રદેશમાં આપઘાતનો દર ૨.૭ ટકા છે. વસતિની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરપ્રદેશનો આ દેખાવ ખૂબ જ સારો કહેવો પડે. આપઘાતની એવરેજ સાધારણ રીતે એક લાખે કેટલી આત્મહત્યા થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. એ એવરેજમાં વળી બિહારનો દેખાવ સૌથી ઉજળો છે. જે બિહારને વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાને જંગલરાજ કહ્યું હતું એ બિહાર એટલિસ્ટ આપઘાતની બાબતમાં તો જંગલરાજ પુરવાર નથી જ થયું! બિહારમાં ૨૦૧૪માં માત્ર ૭૧૯ આપઘાતના કેસ નોંધાયા હતા. બિહારમાં એક લાખે આપઘાતનું પ્રમાણ બહુ જ ઓછુ છે.
ગુજરાતની સ્થિતિ પેલા પાંચ રાજ્યોની તુલનાએ સારી છે, પણ એટલી સારી ય નથી કે ઉત્તરપ્રદેશ કે બિહારની જેમ સારા દેખાવનો યશ લઈ શકાય. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. આ આંકડો ગુજરાતને ૮મો નંબર અપાવે છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતનો શેર ૫.૫ ટકા છે!
યુવાનોના આપઘાતની બાબતમાં ભારતની સ્થિતિ ખરેખર ગંભીર છે. ગયા વર્ષે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી લઈને સારી નોકરીના અભાવ સુધીના તમામ કારણો આવી જાય છે. જે ઉંમર વિકસવાની ઉંમર છે, પાંખો પ્રસરાવીને નવા આકાશને આંબવાની ઉંમર છે, નવા નવા ક્ષેત્રોને જાણવા-સમજવાની ઉંમર છે, સારા-ખરાબ માણસોને ચકાસવાની ઉંમર છે એ ઉંમરે ઘોર નિરાશામાં સપડાઈ જઈને આપઘાત કરતા યુવાનોનો આ આંકડો ખબર નહીં કેમ પણ આપણાં માટે હજુ ય આંખ ઉઘાડનારો નથી બન્યો.
જાપાનમાં જેમ વૃદ્ધો વધી રહ્યાં છે અને તેની ચિંતા સરકારને સતાવી રહી છે એવી ચિંતા આપણે ત્યાં અસંખ્ય યુવાનો સાવ નજીવા કારણે જીવન ટૂંકાવી નાખે છે એ મુદ્દે નથી થતી.
ચિંતામાં વધારો કરે એવો આંકડો તો હજુય ઘણો મોટો છે. ૧૮થી ૩૦ વર્ષની વય જૂથ ઉપરાંત થોડા વર્ષો આગળ અને થોડા વર્ષો પાછળ ઉમેરી દઈએ તો સવાલ એ થવો જોઈએ કે આટલો વિરાટ આંકડો દૂર બેઠા બેઠા ડબલ્યુએચઓને દેખાય છે અને આપણી સરકારોને કેમ નહીંં દેખાતો હોય? ૧૫થી ૪૫ વર્ષની વયજૂથના મળીને ૯૮,૨૦૦ લોકો આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી નાખે છે. બેરોજગારી, લગ્નજીવનમાં સમસ્યા, ગંભીર બીમારી, સાસરિયાનો ત્રાસ, પ્રેમમાં નિષ્ફળતા, બિઝનેસમાં નિષ્ફળતા, ગરીબી, આર્થિક સંકળામણ સહિતના બધા જ કારણોનો તેમાં સમાવેશ થઈ જાય છે, તો બીજી તરફ આપઘાત કરનારામાં દેશની આખી આશાસ્પદ જનરેશનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે!
                                                                                  ***
જીવન સામે હારી જઈને આપઘાત નોતરી દેવાની સમસ્યા માત્ર ભારતમાં જ નથી. બધા દેશોમાં વર્ષે લાખો લોકો નિરાશાના કારણે આપઘાત કરે છે, પણ ભારત એ બધા દેશોમાં સૌથી આગળ છે એ ગંભીર બાબત ગણાવી જોઈએ! આપઘાત માટેનું નિરાશાજનક વાતાવરણ સર્જવા માટે નહીં તો ય એ વાતાવરણને ડામી ન શકવા માટે ય સમાજથી લઈ સરકાર સુધી બધા જ જવાબદાર કહેવાય. વિશ્વમાં આપણે યુવાધનથી ભરપૂર દેશની દુહાઈઓ આપીને વાહવાહી લૂંટીએ છીએ તેની આ કાળી બાજુ નથી તો બીજું શું છે?
આપઘાતનો આંકડો બીજી એક બાબતે પણ દિશાસૂચક છે: ભરજુવાનીમાં આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી લેવાનું પ્રમાણ બહુ જ વધુ છે એટલું જ આપઘાતનું પ્રમાણ ૬૦ વર્ષ પછીની વયજૂથમાં પણ સામે આવ્યું છે. ૪૫થી ૬૦ના વયજૂથમાં ગયા વર્ષે ૩૩ હજાર આપઘાતના બનાવો બન્યા હતાં. આપઘાતથી યુવાધનને ય દૂર નથી રાખી શકાતું અને બીજી તરફ આખી જીંદગીના પરિશ્રમ પછી નિરાંત માણવાની પળ ઝંખતા વડીલોને ય બચાવી નથી શકાતા.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં બનેલા આપઘાતના કિસ્સામાં બન્યું છે એમ આપણે ત્યાં બધે જ ઉકેલ લાવવાને બદલે રાજકીય રંગ ભેળવી દેવાય છે. રાજકારણ કરવામાંથી ફૂરસત મળે તો કદાચ દિવસમાં ચારસોએક જિંદગી બચાવી શકાય, પણ એવી નવરાશ છે કોને?
Sunday, 24 January 2016
Posted by Harsh Meswania
Tag :

એક ૧૫ વર્ષના કિશોરે જગતને ઈયરમફની ભેટ આપી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
૧૭મી જાન્યુઆરી એટલે 'કિડ ઈન્વેન્ટર ડે'. કેટલીય મહત્ત્વપૂર્ણ શોધોની જેમ કાતિલ ઠંડીમાં કાનને રક્ષણ આપતા ઈયરમફની શોધ પણ એક ૧૫ વર્ષના કિશોરે કરી હતી અને પછી પોતાના હોમટાઉનને વિશ્વમાં ઈયરમફના કેપિટલ તરીકે ઓળખાવ્યું હતું.
 

---
યંગસ્ટર્સના પસંદીદા હેડફોન પાછળ પણ ઈયરમફની મૂળ ડિઝાઇન જવાબદાર છે. ગ્રીનવૂડ ઉદ્યોગ સાહસિક તરીકે અમેરિકન ઉદ્યોગજગતમાં સન્માનનીય નામ ગણાય છે

ડિસેમ્બરની કાતિલ ઠંડીના દિવસોમાં અમેરિકાના ફાર્મિંગ્ટન નામના નાનકડા ટાઉનમાં તાપમાન માઇનસ ૧૦-૧૨ ડિગ્રીએ પહોંચી જતું. હાડ ગાળી નાખે એવા શિયાળાના દિવસોમાં ૧૮૫૮માં એક બાળકનો જન્મ થયો, નામ પડયું ચેસ્ટર. ચેસ્ટર ગ્રીનવૂડ, જેમણે કાતિલ શિયાળા માટે જાણીતા ફાર્મિંગ્ટન શહેરને ઠંડી સામે રક્ષણ આપતા સાધનની બનાવટ માટે વિશ્વ વિખ્યાત બનાવી દીધુ.
શરીરને બે-ત્રણ ગરમ કપડાંમાં વીંટળાયેલું રાખીને માંડ ઘરની બહાર નીકળી શકાય એવા શિયાળાના દિવસોમાં ફાર્મિંગ્ટનના સ્થાનિક લોકો કાન વાટે ઠંડી શરીરમાં પેસી ન જાય એ માટે જાત-ભાતના નુસખા કરતા રહેતા. કોઈ માથા ફરતે કપડું વીંટાળીને બહાર નીકળે તો કોઈ વળી રૃના પૂમડાથી રક્ષણ મેળવવાનો કીમિયો અજમાવતા. ઠંડીના કારણે સ્થાનિક લોકોને કાનની ઘણી બીમારીઓ શિયાળામાં થતી. વૃદ્ધો-બાળકોની કાનના દુખાવાની ફરિયાદ પણ ખૂબ વધી જતી.
આવા ઠંડા પ્રદેશમાં રહેતો બાળક ચેસ્ટર અન્ય બાળકોની જેમ આઈસ સ્કેટિંગનો શોખીન હતો. વારંવાર થતી બરફવર્ષાની વચ્ચે બરફમાં સ્કેટિંગ કરવું એ ફાર્મિંગ્ટનનાં બાળકોની મુખ્ય રમત હતી, પણ બરફવર્ષા વચ્ચે ખુલ્લા કાનમાં પેસી જતા ઠંડા પવનના કારણે બાળકોને ઘરમાંથી જ બહાર નીકળવાની રજા ન મળતી. કાન-માથાના ભાગે વજનદાર કપડાં લપેટીને જવાની છૂટ તો મળતી પણ માથા પરનો ભાર સ્કેટિંગની મજા મારી નાખે છે એવી બધાં જ બાળકોની એકસરખી ફરિયાદ રહેતી.
આવી કાતિલ ઠંડીમાં કાન વાટે શરીરમાં પેસી જતી ઠંડીને રોકી શકાય એવું કંઈક હળવું પણ રક્ષણ આપવામાં ઉપયોગી કશુંક મળી જાય તો સ્કેટિંગની મજા પડી જાય એમ બાળક ચેસ્ટર વિચારતો રહેતો. પણ કિશોરાવસ્થામાં પહોંચી ગયેલા ચેસ્ટરને બાળવયે શિયાળામાં કાનને રક્ષણ આપે એવી ટેકનિક વિકસાવવાની વાત વીસરાઈ ગઈ.
શિયાળાની એક સવારે કિશોર વયનો થયેલો ચેસ્ટર અશક્ત અને કાનની બીમારીથી પીડિત દાદી સાથે બહાર ગયો હતો ત્યારે તેને ફરીથી બાળવયે કાનને રક્ષણ આપવાની ટેકનિકનો વિકસાવવાનો વિચાર આવી ગયો. કાનમાં પેસી જતી ઠંડીથી દાદી બીમાર ન પડે એ માટે તેણે કાનના માપનાં બે કપડાંનો ઉપયોગ કરીને માથા ઉપર પટ્ટીથી ટેકો આપીને કશુંક નવું બનાવી શકાય તેમ છે એવો નવતર વિચાર તેના દિમાગમાં ઝબકી ગયો. ઘરે આવીને તેણે દાદીને પોતાનો પ્લાન દોરી બતાવ્યો અને કાપડને એ રીતે સીવી દેવાની દાદીને વિનંતી કરી. વાયરની મદદથી કાનના માપનું લંબગોળ સર્કલ બનાવીને તેની ફરતે તેણે ગરમ કપડું લપેટી દીધું. બંને લંબગોળ સર્કલને જોડતી એક પટ્ટી બનાવી, જે માથાના ઉપરના ભાગને આધાર બનાવીને બંને કાન ઉપર ચપોચપ ગોઠવાઈ જાય. નવતર સંશોધનનું એ પહેલું પગથિયું હતું અને દાયકાઓ સુધી એ નવી બનાવટ ફેશન ટ્રેન્ડ પણ બનવાની હતી.
                                                                                  ***
કાનને રક્ષણ આપનારા એ નવા સાધનને ૧૫ વર્ષના ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૭૩માં બનાવ્યું પછી સ્થાનિક સ્તરે તેની માંગણી ખૂબ વધી ગઈ એટલે આખા પરિવારે એ બનાવવાનું શરૃ કર્યું. ચેસ્ટરે એ એક જ બનાવટથી પોતાના માતા-પિતાની કમાણીની ચિંતા ઘટાડી દીધી. એટલું જ નહીં, આગામી ત્રણ પેઢી સુધી તેમણે કમાણીનો નવો રસ્તો બનાવી દીધો હતો. શરૃઆતમાં તેમણે બાળકોને ધ્યાનમાં રાખીને ઈયરમફ બનાવ્યાં. ધીમે ધીમે મોટી સાઇઝના ઈયરમફની ડિમાન્ડ પણ બહુ થવા લાગી.
વેંચાણ અંદાજ કરતાં અનેકગણું વધી ગયું. સારી કમાણી પણ થવા માંડી. ફાર્મિંગ્ટનમાં ઘણાં પરિવારો ગ્રીનવૂડે બનાવેલા ઇયરમફને આધારે એવા જ ઈયરમફ જાતે બનાવવા લાગ્યાં હતાં. ૧૮૭૭માં ઉંમરના ૧૮ વર્ષના પડાવે પહોંચેલા ગ્રીનવૂડે સમયસૂચકતા વાપરીને એ સાધનની 'ઈયરમફ' નામથી પેટન્ટ રજિસ્ટર કરાવી લીધી. કાનના ઉપરી હિસ્સા માટે કવચનું કામ કરતા આ ઈયરમફ પછી તો વિશ્વભરમાં સ્થાનિક સ્તરે કાન-પટ્ટાથી લઈને ઈયર પ્રોટેક્ટર સહિતના અઢળક નામે ઓળખાય છે. વજનમાં હળવા અને કાનમાં પેસી જતી હવા સામે ઉમદા કામ આપતા ઈયરમફ કોટનથી લઈને ઊન સુધીના કાપડમાં બનવા લાગ્યા, પણ તેની મૂળ બનાવટની તરાહ ગ્રીનવૂડની પેટન્ટ પર જ આધારિત રહી છે.
ડિમાન્ડ પારખીને ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૮૩માં ફેક્ટરી સ્થાપી. સ્થાનિક લોકોને કામે રાખ્યા અને વિભિન્ન સાઇઝ-ડિઝાઇનમાં ઉપલબ્ધ બનેલા ઈયરમફનું મોટા પાયે ઉત્પાદન શરૃ કર્યું. ગ્રીનવૂડની ફાર્મિંગ્ટન સ્થિત ફેક્ટરીમાં વર્ષે ૩૦ હજાર ઈયરમફનું ઉત્પાદન થવા માંડયું. ડિમાન્ડ વધી, ઉત્પાદન વધ્યું એમ નફો વધ્યો અને એમ ગ્રીનવૂડે વૈવિધ્ય પણ આપ્યું. અલગ અલગ મટિરિયલમાંથી તેમણે ઈયરમફ બનાવવાનું શરૃ કર્યું. પછી તો કેપ-સુતરાઉ કાનપટ્ટો અને મફલર ઉપરાંત સ્વેટર્સ સહિતની કેટલીય વસ્તુઓ એ ફેક્ટરીમાં બનવા માંડી. ફાર્મિગ્ટન સ્થિત ચેસ્ટરની એ ફેક્ટરી થોડાં વર્ષોમાં અમેરિકન ઉદ્યોગજગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.
ગ્રીનવૂડ પાસે ઈયરમફની ધીકતી કમાણી હતી છતાં તેમણે એનાથી સંતોષ માની લેવાને બદલે જીવન જરૃરિયાતની બીજી પણ ઘણી બાબતો પર ઊંડું સંશોધન કરીને ૧૦૦ જેટલી પેટન્ટ પોતાના નામે નોંધાવી. કૃષિમાં કામ આવી શકે એવી કોદાળી અને ખંપાળી જેવાં સાધનોમાં તેમણે ફેરફાર કરીને ખેડૂતોને ઉપયોગમાં સરળ પડે એવી સાઇઝમાં તેની નવી ડિઝાઇન સર્જી, તો બાળપણના શોખ એવા આઈસ સ્કેટિંગને સરળ બનાવવા પણ તેમણે કેટલીક કરામતો કરી.
૧૦૦ જેટલી પેટન્ટ અને આવડા મોટા ઉદ્યોગ સાહસિક બન્યા પછી પણ તેમને મળેલા સન્માન પાછળ તો કિશોર વયે થયેલી શોધ ઈયરમફ જ જવાબદાર છે. બાળવયે ક્રાંતિકારક સંશોધનોની વાત થતી હોય ત્યારે ચેસ્ટર ગ્રીનવૂડનું નામ આગળ પડતું મુકાય છે. હવે આ ઈયરમફનો બિઝનેસ તેમના પ્રપૌત્રોના હાથમાં છે અને અમેરિકાના શક્તિશાળી બિઝનેસફેમિલીમાં તેમને શુમાર કરવામાં આવે છે.
૧૯૩૭માં ૭૯ વર્ષે ચેસ્ટરનું નિધન થયું ત્યાં સુધીમાં ફાર્મિંગ્ટનની તેમની ફેક્ટરીમાંથી લાખોની સંખ્યામાં ઈયરમફનું ઉત્પાદન થઈ ચૂક્યું હતું. આટલા માતબર ઉત્પાદનને કારણે જ ફાર્મિંગ્ટનને એ જમાનામાં ઈયરમફ કેપિટલ તરીકે ઓળખવામાં આવતું હતું. આજેય અમેરિકામાં ફાર્મિંગ્ટન નામ પડે એટલે બીજી જ પળે ઈયરમફનું નામ આવ્યા વગર નથી રહેતું!
ચેસ્ટરના નિધનની પોણી સદી પછી ય ફાર્મિંગ્સનમાં દર વર્ષે ૨૧મી ડિસેમ્બરે ચેસ્ટર ગ્રીનવૂડ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરને વૈશ્વિક ઓળખ આપનારા ચેસ્ટરના સન્માનમાં ડિસેમ્બરના પહેલા શનિવારે પરેડ થાય છે અને વિશાળ ઈયરમફ બનાવીને તેનું પ્રદર્શન કરાય છે. જ્યાં તેમનો જન્મ થયો હતો એ ઘરને અમેરિકી સરકારે દેશની ઐતિહાસિક વિરાસતના લિસ્ટમાં સામેલ કર્યું છે.
સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટ દ્વારા જાહેર થયેલા ૧૯મી સદીના ૧૫ ઉત્કૃષ્ટ શોધકોમાં તેમને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો હતો.
                                                                              ***
ઈયરમફની પેટન્ટ પછી તો ઠંડીથી કાનનું રક્ષણ કરતાં બીજાં ઘણાં સાધનો આવતાં ગયાં, પણ ૧૯મી સદીમાં શોધાયેલા ઈયરમફની ડિમાન્ડ ૨૧મી સદીમાં ઓર વધી ગઈ. ઈયરમફની ડિઝાઇન હવે બીજા સ્વરૃપે ફેશનટ્રેન્ડ ગણાય છે. ઠંડીની અસર ઓછી કરવા ઉપરાંત બીજું એક કામ જોડાયું છે - મ્યૂઝિકનું. સંગીતનો આનંદ માણવા માટે યંગસ્ટર્સની પસંદ બનેલા હેડફોનની બનાવટનો મૂળ આધાર ઈયરમફની ડિઝાઇન પર છે. ઈયરમફની પેટન્ટ પરથી જ હેડફોનનું નિર્માણ થયું છે.
ઈયરમફની શોધને દોઢ સદી જેટલો સમય વીત્યો છે. એ દોઢ સદીમાં કંઈ કેટલુંય બદલાયું છે. ઠંડી સામે રક્ષણ આપતાં કેટલાય ફેશનેબલ સાધનો ઉપલબ્ધ બન્યાં છે, પણ ૧૫ વર્ષની કિશોરાવસ્થામાં ગ્રીનવૂડે કરેલી ઈયરમફની મૂળ ડિઝાઇન થોડાઘણાં ફેરફારો સાથે આપણી સમક્ષ હાજર છે અને તેની હાજરી જ ચેસ્ટર ગ્રીનવૂડની યાદ પણ તાજી કરાવતી રહેશે.



Sunday, 17 January 2016
Posted by Harsh Meswania
Tag :

ગિનેસ રેકોર્ડ બૂકમાં બંધ થઈ જવાની ખ્વાહિશ!



ગિનેસના છ દાયકામાં કેટલાક એવો વિક્રમો પણ નોંધાયા કે જેની કલ્પના પણ ન થઈ શકે, તો કેટલાક પ્રથમ નજરે સાવ સાધારણ-સાદા લાગે એવા વિક્રમો રેકોર્ડ બૂકમાં સ્થાન પામ્યાં. એ વિક્રમોમાં ભારતનો ફાળો પણ ઘણો મોટો છે અને છેલ્લા વર્ષોમાં એ ફાળો નોંધાવવામાં આપણે વધુ મોકળું મન રાખ્યું છે!

૨૦૧૧માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારત સાથે એક અજબ યોગાનુયોગ સર્જાયો હતો. ભારતમાં વધતા જતાં વિક્રમોના ક્રેઝ વચ્ચે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એક પ્રતિનિધિ નિમવાની તજવીજ હાથ ધરી હતી. અસંખ્ય લોકો ગિનેસની લંડન ખાતેની હેડ ઓફિસનો સંપર્ક સાધવામાં મુશ્કેલી અનુભવતા હતા અને છતાં કોઈક રીતે સંપર્ક કરીને નવા નવા વિક્રમો દર્જ કરવા માટે ઉત્સાહ દાખવતા હતા. ભારતના વિકસતા જતાં મોટા માર્કેટને ધ્યાનમાં રાખીને અને અવારનવાર અવનવા વિક્રમોની શક્યતા સર્જાતી હોવાના કારણે એક ઓફિસ ભારતના કોઈ મોટા શહેરમાં સ્થાપવાની તાતી જરૃર વર્તાતી હતી, જેને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં એક ખાનગી કંપનીના વિક્રમ માટે ગિનેસની લંડન ઓફિસનો સંપર્ક કરનારા નિખિલ શુક્લાને પ્રતિનિધિ બનવાની ઓફર કરવામાં આવી. નિખિલે એ ઓફર સ્વીકારી એ સાથે જ સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારતમાં પ્રવેશ થયો.
આ ઘટનાના બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૧માં ૨૧ વર્ષનો એક ફૂટડો અંગ્રેજ યુવાન લંડનમાં અભ્યાસ કરીને બ્રિટનના તાબા હેઠળના ભારતમાં પોલીસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યો હતો. તેણે ભારતમાં દશકો પસાર કર્યો પછી સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ૧૯૨૧માં લંડન પરત ફરીને તેણે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સફળતા મળતી ગઈ એમ તેણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો. સમયાંતરે તેણે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની પણ સ્થાપના કરી હતી, જેણે આગામી વર્ષોમાં વિશ્વભરમાં રેકોર્ડ્સની બાબતમાં એક અનોખો રેકોર્ડ કાયમ કર્યો. ભારતમાં રહેનારા એ ગિનેસના સ્થાપકનું નામ હતું- સર હ્યુ કેમ્બલ બીવર.
બીવરના ભારત આવવાના બરાબર સૈકા પછી અનાયાસે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ભારતમાં સત્તાવાર ઓફિસ ખોલીને એશિયામાં જાપાન પછી ભારતને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઘટનાને સ્થાપક બીવરના ભારત આગમન સાથે ભલે કોઈ સીધો સંબંધ નથી, પણ ભારતમાં પ્રતિનિધિની નિમણૂંકની ઘટનાથી ગિનેસ સાથેનો ભારતનો નાતો વધુ ગહેરો થયો છે એ તો આંકડાઓ બયાઁ કરે છે.
અવનવા વિક્રમો માટેની વિશ્વભરમાંથી આવતી સરેરાશ ૧૦ અરજીઓ પૈકીની એક અરજી ભારતની હોય છે! ભારતમાંથી વિભિન્ન વિક્રમો માટે વર્ષે ૩,૦૦૦ દાવાઓ થાય છે. એટલે કે રજાઓના દિવસોને બાદ કરી દેવામાં આવે તો એક દિવસમાં ૧૦ નવા વિક્રમો માટે દાવો કરવામાં આવે છે. આ સંખ્યા ભારતને ત્રીજા નંબરનો સૌથી વધુ અરજીઓ મોકલતો દેશ બનાવવા માટે પૂરતી છે. ભારતથી આગળના ક્રમાંકે રહેલા અમેરિકા અને બ્રિટનનું સ્થાન પણ હવે તો જોખમમાં છે. જે રીતે આપણે ત્યાં અવનવા વિક્રમો માટેનો ક્રેઝ વધ્યો છે એટલે કદાચ આપણે એકાદ-બે વર્ષમાં સૌથી વધુ અરજી મોકલતો દેશ બની જઈએ તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય!
જોકે, એમાંથી બધા જ વિક્રમો દર્જ નથી થઈ જતાં. ઘણાં ખરાં પૂરાવાઓના અભાવે નોંધાતા નથી, તો ઘણા સ્હેજ માટે ચૂકી જતાં હોય છે. કેટલાકના પ્રયાસો એટલા કમનસીબ હોય છે કે અમુક વિક્રમનો પ્રયાસ ભારતમાં થયો હોય એના માત્ર થોડા દિવસો પહેલા જ એવો વિક્રમ નોંધાઈ ચૂક્યો હોય છે. અહીંથી અરજી તો સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસ પણ હાથ ધરાઈ ગઈ હોય, પરંતુ ૬ સપ્તાહ ચાલતી ચકાસણી પ્રક્રિયામાં ખબર પડે છે કે એવી જ બીજી અરજી માત્ર બે-પાંચ દિવસ પહેલા જ મળી ગઈ હોવાના કારણે પ્રથમને પ્રાથમિકતાના ન્યાયે ભારતની અરજી લાયક ઠરતી નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ૨૦૧૩ના એક સત્તાવાર સ્ટેટમેન્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિભિન્ન રેકોર્ડ નોંધાવવા માટેના દાવાઓમાં ૪૦૦ ગણો વધારો થયો છે અને એમાંથી રેકોર્ડ નોંધાવવાની ટકાવારીમાં પણ ૨૫૦ ગણો વધારો નોંધાયો છે.
વિક્રમોનો દાવો જ થાય છે એવું ય નથી. હવે તો સંખ્યાબંધ વિક્રમો નોંધાય પણ છે. ગિનેસ બૂકના અહેવાલ પ્રમાણે ભારતના દાવાઓમાંથી ૬૦-૭૦ ટકા દાવાઓ વિક્રમ સાબિત થઈ જાય છે. ઈન્ટરનેટના કારણે ક્યો વિક્રમ કોના નામે-ક્યારે નોંધાયો છે એ વિશે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરિણામે વિક્રમો માટે પ્રયાસ કરનારા પહેલાથી જ જાગૃત હોય છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડવાનો હોય તો તો ઘણી સરળતા રહે છે, પણ નવો રેકોર્ડ નોંધાવતી વખતે ય આવી માહિતી અસરકારક ભૂમિકા ભજવે છે.
એક બીજો ફરક એ આવ્યો છે કે એકાદ દશકા પહેલા ભારતની રેકોર્ડ બૂકમાં કોઈ રેકોર્ડને સ્થાન મળે એ પછી ગિનેસ માટે પ્રયાસો શરૃ થતાં હતાં. એટલે કે પ્રથમ ટાર્ગેટ ગિનેસ નહીં, પણ સ્થાનિક રેકોર્ડ બૂક્સ હતી. સ્થાનિક બૂકમાં સફળતા મળે પછી જ આગળનું લેવલ પાર કરીને ગિનેસ સુધી પહોંચવાનું વલણ હતું. એના બદલે હવે 'રેકોર્ડ મતલબ ગિનેસ' એવી સમજ વધુ મજબૂત બની ગઈ છે.
ભારતમાં ગૃપના વિક્રમો નોંધાવવા બહુ આસાન છે અને ગિનેસમાં નોંધાતા રેકોર્ડમાં નજર કરીએ તો એ વાત ધ્યાનાકર્ષક બની રહે છે. રાષ્ટ્રગીતનું સમુહગાયન, રાષ્ટ્રપિતાના લિબાસમાં બાળકોની રેલી, એક દિવસમાં ૨૫ લાખ લોકોની રેલવે મુસાફરી, એક સપ્તાહમાં લાખો નવા બેંક અકાઉન્ટ્સ, મેરેથોન, સાયકલ સ્પર્ધા...વગેરે ગૃપ રેકોર્ડ્સ બનાવવા ભારત માટે સરળ છે. અહીં સમુહ એકત્ર કરવાનું કામ આસાન હોવાના કારણે જ કદાચ આવા વિક્રમો આપણા નામે અઢળક નોંધાયા છે અને હજુ ય નોંધાઈ રહ્યાં છે.
ગિનેસ રેકોર્ડના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુક્લાએ એક વખત કહ્યું હતું ઃ ભારતમાં રેલવે ટિકિટથી લઈને પાર્કિંગ સુધી બધે જ સ્પર્ધાત્મક માહોલ છે. સંખ્યાબંધ લોકો એ આપણી શક્તિ છે અને એટલે જ રેકોર્ડ માટેનો અહીં અવકાશ છે, નવા નવા સમુહ વિક્રમો બને એવો સ્વાભાવિક માહોલ છે. કદાચ એટલે જ સંખ્યાને લગતા વિશ્વ વિક્રમો તોડવા ભારત માટે બીજા દેશોની તુલનાએ વધુ આસાન છે.
સામુહિક વિક્રમોની હરોળ થાય છે એ વાત સાચી, પણ સ્પર્ધા હોવાના કારણે જ અન્યથી અલગ પડી જવાનું સ્હેજ કપરું છે. વળી, ગિનેસનો રેકોર્ડ હોલ્ડર મીડિયા કવરેજ મેળવે છે, લોકોનું અટેન્શન મેળવે છે, ભારતના અસંખ્ય નાગરિકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી અનુભવે છે અને એટલે જ આપણે ત્યાં વ્યક્તિગત રેકોર્ડ નોંધાવવા માટે રેકોર્ડ બ્રેકિંગ યત્નો થતા રહે છે. ગિનેસ રેકોર્ડ પબ્લિકને પબ્લિસિટી અપાવી દે છે. વિશ્વભરમાં નોંધ લેવાતી હોવાના કારણે ય ગિનેસનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં ગિનેસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં મ્યુઝિયમ બન્યું છે અને એશિયામાં ગિનેસ રેકોર્ડે પ્રતિનિધિ નિમ્યો હોય એવો ભારત બીજો દેશ છે. આ જ બતાવે છે કે આપણે ગિનેસને ગંભીરતાથી લઈએ છીએ એટલી જ ગંભીરતાથી ગિનેસ આપણને પણ લે છે!

ભારત સ્થિત પ્રતિનિધિને ગિનેસ રેકોર્ડે કઈ રીતે પસંદ કર્યા?
નિખિલ શુક્લા ઘણી કંપનીઓમાં માર્કેટિંગની જવાબદારી નિભાવતા હતા. એવી જ એક જવાબદારીના ભાગરૃપે એક વખત તેણે લંડન સ્થિત ગિનેસ બૂક ઓફ રેકોર્ડની ઓફિસનો સંપર્ક કર્યો. વાસણ સાફ કરવાનું પ્રવાહી બનાવતી કંપનીએ એક જ બોટલમાં સૌથી વધુ પ્લેટ્સ સાફ કરી નાખવાનો દાવો કર્યો હતો. એ ખરેખર તો રેકોર્ડ કરતા પબ્લિસિટી સ્ટંટ વધુ હતો. ગિનેસને રસ પડયો અને પછી ચેન્નાઈમાં એ રેકોર્ડ પણ નોંધાયો. એ પછી નિખિલે ફિડબેક માટે ફરીથી ગિનેસનો સંપર્ક કર્યો ત્યારે લંડનની ઓફિસમાંથી ભારતમાં પ્રતિનિધિ નિમવાનો હોવાનું કહ્યું અને નિખિલને રસ હોય તો પણ વિચારીને જવાબ આપવાનું કહ્યું. નિખિલે પોતાના માર્કેટિંગના દૃષ્ટિકોણથી વિચારી જોયું અને તેને એમાં તકો પણ દેખાઈ. એમ ૨૦૧૧માં નિખિલને સત્તાવાર રીતે ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂંક મળી. 
ગિનેસના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુકલા

આજે ભારતના વિશાળ માર્કેટને અને રેકોર્ડની વેરાયટીને ધ્યાનમાં રાખીને ગિનેસે અલાયદી વેબસાઇટ બનાવી આપી છે. જેમાં ભારતના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મફતમાં દાવો કરી શકે છે અને કોઈ પણ નાનકડાં ગામડાંઓના દાવાઓને પણ ધ્યાનમાં લઈને નિખિલ સંપર્ક કરે છે અથવા તો રૃબરૃ જઈને તપાસ કરે છે. વળી, ગિનેસ બૂકની ગાઇડ લાઇન્સ પ્રમાણે ૬ સપ્તાહમાં કોઈ પણ દાવાને ખરો કે ખોટો સાબિત કરવો પડે છે એટલે અને ભારતમાં થતાં માતબર દાવાને જોતા નિખિલના ભાગે ઘણી કામગીરી આવે છે.
* વાનગી પ્રિય ભારતમાં વાનગીઓના ઘણા નાના-મોટા રેકોર્ડ નોંધાયા છે. એવો જ એક રેકોર્ડ કે દામોદરન નામના રસોઈયાએ દર્જ કર્યો હતો. તેણે ૨૪ કલાકમાં ૬૧૭ વાનગીઓ બનાવી હતી.
* આરૃષિ ભટનાગર નામની માત્ર આઠ વર્ષની બાળકી વિશ્વમાં સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ પેઇન્ટર છે અને તેના ૩૦૦૦ ચિત્રો પ્રદર્શિત થઈ ચૂક્યાં છે.
* ૧૩ આંકડાંઓનો ૨ સાથે માત્ર ૩૦ સેકન્ડમાં ગુણાકાર કરવાનો વિક્રમ શકુંતલા દેવીએ ૧૯૮૦માં કર્યો હતો અને એ પણ કમ્પ્યુટરે અચાનક આપેલા નંબરોની ગણતરી સેકન્ડોમાં કરવાનો પડકાર ઝીલ્યો હતો. શકુંતલા દેવીને હ્યુમન કેલક્યુલેટર તરીકે પણ નવાજવામાં આવ્યાં હતાં.
* કિશન શ્રીકાંત નામનો છોકરો જે હવે ૧૯ વર્ષનો છે, પણ તેણે ૨૦૦૬માં ફૂટપાથ નામની ફિલ્મ બનાવી ત્યારે તે માત્ર ૯ વર્ષનો હતો. એ સાથે જ તે દુનિયાનો સૌથી નાની વયે ફૂલલેન્થ ફિલ્મ ડિરેક્ટ કરવાનો ડિરેક્ટર બની ગયો હતો.
* ૫૪ લોકોએ નવેમ્બર-૨૦૧૦માં એક જ બાઇક પર બેસીને ૯૨૫ મીટરનું અંતર કાપ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
* ઈન્ડિયન આર્મીની એક ટૂકડીએ ૧૦ બાઇક ઉપર સવાર થઈને ૨૦૧ સૈનિકોએ પિરામિડ બનાવ્યો હતો અને ૨૦૦૧માં જયપુરમાં ૧૨૯ મીટરની દૂરી તય કરી હતી.
* ભારતના નામે ગૌરવપ્રદ રેકોર્ડ્સની સાથે સાથે બીજા એવા રેકોર્ડ પણ નોંધાયા છે જે ખરેખર આપણે ઈચ્છતા ન હોય અને એના માટે ગૌરવ પણ ન લઈ શકીએ. જેમ કે, સૌથી મોટા પ્રમાણમાં બાળમજૂરો ધરાવતો દેશ, સૌથી વધુ અભણ લોકો, અપૂરતા ખોરાકથી પીડાતા લોકો.
Sunday, 8 February 2015
Posted by Harsh Meswania
Tag :

ડૂમ્સડે ક્લોક : સમય વર્તે સાવધાન!


૨૨ જાન્યુઆરીએ ડૂમ્સડે ક્લોક ૨૨મી વખત સેટ થઈ. એમાં રાતના ૧૨ વાગવામાં માત્ર ૩ મિનિટ બાકી છે. ૩૦ વર્ષ પછી ઘડિયાળ કયામતના સમયની આટલી નજીક પહોંચી છે, જે બતાવે છે કે વિશ્વ ભયાનક અરાજકતા તરફ ધકેલાઈ રહ્યું છે અને ગમે ત્યારે દુનિયાના ૧૨ વાગી શકે છે. આ કયામતનો સમય કલ્પનાઓના ઘોડાઓના આધારે નહીં, પણ સાયન્સની લગામ હાથમાં રાખીને નક્કી કરવામાં આવે છે...

બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલો કરીને અમેરિકાએ જાપાનને બેવળ વાળી દીધું ત્યારે દુનિયાને ખબર પડી કે યુદ્ધમાં આવા ભીષણ શસ્ત્રોનો હુમલો ય થઈ શકે છે અને દુનિયા પળવારમાં ખતમ પણ થઈ શકે છે. પરમાણુ શસ્ત્રની શોધ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થનારા સાયન્ટિસ્ટ-સંશોધકો માટે એ સમય વિચાર માંગી લે એવો હતો. જો ભવિષ્યમાં આવા જ ખતરનાક હુમલાઓ થતાં રહ્યાં તો દુનિયાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે એવા એંધાણ બીજા વિશ્વયુદ્ધમાં જ વર્તાઈ ગયા હતાં.
સંશોધન તો થઈ ગયું હતું, ભાથામાંથી તીર છૂટી ગયું હતું એટલે એ પાછું વળે એમ તો નહોતું. પણ જો એની માત્રા વધી જાય ત્યારે પ્રતીકાત્મક રીતે દુનિયાને એની ગંભીરતાનો અહેસાસ કરાવી શકાય તો કદાચ લાંબાં ગાળે એનું પરિણામ મળી શકે એ વિચાર સાથે કેટલાક વિજ્ઞાાનિકોએ ડૂમ્સડે ક્લોકની રચના કરી.એમાં રાતના ૧૨ વાગ્યાનો સમય સિમ્બોલિક રીતે દુનિયાનો કયામતનો સમય છે એમ ધારીને એની આસપાસ ઘડિયાળનો કાંટો સેટ કરવાનું નક્કી થયું. એવી ઘડિયાળ બનવા પાછળ વળી એ જ સાયન્સ જર્નલનું કવર પેજ જવાબદાર હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા-બ્રિટન અને કેનેડા દ્વારા અણુબોંબ બનાવવા માટે પ્રોજેક્ટ મેનહટ્ટન હાથ ધરાયો હતો. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર લેંગ્સડ્રોફ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેમણે જ પછીથી બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલ બનાવવામાં અગત્યનો રોલ પણ અદા કર્યો હતો. તેમના આર્ટિસ્ટ પત્ની માર્ટયલે એ સાયન્સ જર્નલનું ટાઇટલ પેજ બનાવ્યું એમાં સિમ્બોલિક રીતે તેમણે ૧૨ વાગ્યાને દુનિયાનો અંતિમ સમય બતાવીને તે વખત (૧૯૪૭)ની સ્થિતિ દુનિયા માટે ૧૨માં ૭ મિનિટ બાકી છે એવું પ્રતીકાત્મક રીતે બતાવ્યું હતું. વિનાશક શસ્ત્રોની લપેટમાં આવી ગયેલી દુનિયાને વારે-તહેવારે કશોક સંદેશો આપવાનું વિચારતા વિજ્ઞાાનિકોના એ ગૃપને પણ માર્ટયલનો વિચાર ગમી ગયો હતો એટલે પછીથી રાતના ૧૨ વાગ્યાને કયામતનો સમય ગણીને જ અત્યાર સુધીમાં ૨૨ વખત સમયને સેટ કરાયો છે.
બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલના
જૂન, 1947ના અંક માટે માર્ટયલ લેંગ્સડ્રોફે બનાવેલું કવર પેજ

ક્યારેક સમય ૧૨ની સાવ નજીક સરકી ગયો હોય, તો ક્યારેય ભયના વાદળ વિખેરાઈ જતા સમય રાતના ૧૨થી ઘણો દૂર સરકીને વિશ્વમાં બધુ હેમખેમ હોવાનો સંકેત પણ એ કાંટો આપતો રહે છે. શિકાગો યુનિવર્સિટીમાં બૂલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટની ઓફિસ છે. એ ઓફિસની દિવાલમાં ડૂમ્સડે ક્લોક લટકાવી રાખવામાં આવે છે. જે સતત દુનિયા કેટલી સલામત છે કે અસલામત છે એ બતાવતી રહે છે.
સમય જતાં અણુબોંબ, એવા જ બીજા વિનાશક શસ્ત્રો કે કેમિકલ વેપન્સ ઉપરાંતના પરિબળોને પણ ગણતરીમાં લેવામાં આવવા લાગ્યાં. જેમ કે, પર્યાવરણની બદલતી સ્થિતિ, પરમાણુ શક્તિનો વધતો ખતરો, વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના યુદ્ધો અને વિશ્વમાં પ્રભાવ પાડી શકતા દેશોમાં બદલતા રાજકીય સમીકરણો અને સૈન્યબળ અને સુરક્ષાનો અભ્યાસ કરીને વિશ્વમાં કેટલી અરાજકતા છે કે કેટલી શાંતિ છે એના આધારે ઘડિયાળ રાતના ૧૨ આસપાસ સેટ થતી રહે છે.
જોકે, ઘણી વખત ડૂમ્સડે ક્લોકની ટીકા પણ થઈ છે. સાયન્ટિસ્ટ દ્વારા કઈ રીતે રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય? પરમાણુ ખતરો અને મિસાઇલ પાવર ઉપર તો ઠીક છે કે વિજ્ઞાાનિકોની સમજ હોય અને એ ઉપરાંત પર્યાવરણની બાબતમાં પણ વિજ્ઞાાનિકો જાણકારી અંગે સવાલ ન ઉઠાવી શકાય પણ આતંકવાદી સંગઠનો વગેરેનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સામે વિજ્ઞાાનિકોનો ખૂલાસો એવો રહેતો આવ્યો છે કે જે તે વિષય માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને ઘડિયાળ વિશ્વમાં ભય ફેલાવવાનું કામ પણ નથી કરતી. એ તો સિમ્બોલિક રીતે જાગૃતિ ફેલાવવામાં કારણભૂત બને છે. ઘડિયાળનો કાંટો જ્યારે જ્યારે ૧૨ની સાવ નજીક આવી ગયો છે ત્યાર પછી કોઈક કારણોસર વિશ્વ શાંતિની નજીક આવ્યું છે અને ત્યાર પછી કાંટો ૧૨ની દૂર સરકતો રહ્યો છે.
આ ક્લોકના આંકડાંને ગંભીરતાથી લેવાનું એક કારણ સાયન્સ એન્ડ સિક્યુરિટી બોર્ડના વૈજ્ઞાાનિક સભ્યો ઉપરાંત સાયન્સના નોબેલ પ્રાઇઝ વિનર ૧૭ વિજ્ઞાાનિકોનું બનેલું બોર્ડ ઓફ સ્પોન્સર્સ છે. વિશ્વભરના ગણનાપાત્ર ૩૫-૪૦ સાયન્સ-ટેકનોલોજિ-સિક્યુરિટીના મહારથીઓના વિશ્લેષણના આધારે સમગ્ર મુલ્યાંકન થાય છે.
ઘડિયાળનો અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત પોઈન્ટ ૧૯૯૧માં સેટ કરવામાં આવ્યો હતો. અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા કોલ્ડવોરનો અંત આવ્યો ત્યારે ૧૯૯૧માં ઘડિયાળનો સમય ૧૧.૪૩ કરી દેવામાં આવ્યો હતો. રાતના ૧૨થી ૧૭ મિનિટ દૂરનો ઘડિયાળનો એ કાંટો  અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમયગાળો હતો. જોકે, એ સમયગાળો માત્ર ચાર વર્ષ ચાલ્યો હતો. ત્યાર બાદ ફરીથી દુનિયા સતત અરાજકતા તરફ ધકેલાતી જતી હોય એમ ઘડિયાળનો કાંટો રાતના ૧૨ની નજીક સરકતો રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શરૃ થયેલાં શીતયુદ્ધ દરમિયાન એક બીજાને પાછળ પાડી દેવા માટે ભયનજક સપાટી સુધી પહોંચવા લાગ્યું હતું. ત્યારે ૧૯૫૩માં ડૂમ્સડે ક્લોકનો સમય રાતના ૧૨ વાગ્યાથી માત્ર ૨ મિનિટ દૂર કરાયો હતો. એટલે કે જો આ સ્થિતિ રહી તો પૃથ્વીના ૧૨ વાગી શકે એવા સ્પષ્ટ ચિહ્નો જણાતા હતા, પણ ૧૯૬૦ સુધીમાં રાજકીય સ્થિતિ બદલાવા લાગી હતી એટલે ફરીથી કાંટો ૧૨થી ૭ મિનિટ દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.
સમયનો કાંટો ૧૨ વાગ્યાથી જેટલો દૂર એટલો ખતરો ઓછો અને કાંટો ૧૨ની નજીક પહોંચે એટલે દુનિયા જાણે વેન્ટિલેટર પર મૂકાય જાય છે- અલબત્ત સિમ્બોલિક રીતે જ! એમાં કયામતના દિવસની કપોળ-કલ્પિત આગાહીઓ નથી કરવામાં આવતી પણ દુનિયામાં ખતરો વધી રહ્યો હોવાની વિશ્લેષક એંધાણી બતાવવામાં આવે છે.

કાંટો ફેરવનારી ટીમમાં એક ભારતીય
વિજ્ઞાનીઓની વૈશ્વિક ટૂકડી ઘડિયાળનો સમય ક્યારે આગળ કે પાછળ કરવો એ નક્કી કરે છે. એ પેનલમાં ભારતીય સાયન્ટિસ્ટ અને દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ પણ છે. પ્રોફેસર રાજારમણે ૧૯૯૮માં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે અમેરિકા અને ભારતના પરમાણુ કરાર અંગેની દૂરગામી અસરોથી લઈને બંને દેશોના પરમાણુ સિક્યુરિટી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. ૧૯૩૯માં જન્મેલા પ્રોફેસર આર. રાજારમણે ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યા પછી ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ અને વિદેશી અનુભવનો લાભ આપ્યો હતો. તેઓ ડૂમ્સડે ક્લોકની પેનલના એક માત્ર ભારતીય સભ્ય છે. ક્લોકની કાર્યપદ્ધતિ વિશે પ્રોફેસર રાજારમણ સાથે થયેલી વાતચીતના અંશો...
પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ
ક્લોકનો સમય સેટ કરવાનો કોઈ ચોક્કસ સમય ખરો?
આમ તો દર વર્ષે બેઠક મળે છે અને એમાં વર્ષભરની વિશ્વની સ્થિતિ અંગે વિશ્લેષણ થાય છે, પણ દરેક વખતે જરૃર ન હોય તો ક્લોકમાં સમય ફેરફાર નથી કરાતો.

સમય આગળ પાછળ કઈ રીતે લઈ જવાય છે?
દર વર્ષે બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટની બેઠક મળે છે. સામયિકમાં વર્ષભર પબ્લિશ થતા વિચારો અને વિજ્ઞાાનની અલગ અલગ શાખાના નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાાનિકોના મતાનુસાર જે તે વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે ઘડિયાળના સમયને રાતના ૧૨ વાગ્યાની નજીક કે દૂર લઈ જવામાં આવે છે.

વિશ્વમાં ડૂમ્સડે ક્લોકના સમયની કેવી અસર થાય છે?
વિશ્વના ગણનાપાત્ર વિજ્ઞાાનિકો બૂલેટિન ઓફ એટોમિકને પોતાના વિચારો રજૂ કરતા રહે છે અને એના આધારે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. વિભિન્ન દેશોની સરકારો તેમની સુરક્ષા પોલિસીમાં ડૂમ્સડે ક્લોકના કારણે સીધો ફેરફાર કરતા હોય એને એની ક્રેડિટ આપતા હોય એવું તો ભાગ્યે જ બને છે, પણ આડકતરી અસર તો થાય છે. કેમ કે, ૧૨ વાગ્યાની સાવ નજીક આવેલો સમય દરેક વખતે દૂર જાય છે. પરિણામે કટોકટીની પરિસ્થિતિ પછી વિશ્વ વધુ સલામત થયું છે.

ડૂમ્સડે ક્લોક પાછળનો વિજ્ઞાાનિકોનો હેતુ શું છે?
ક્લોક આપણને જાતે વિનાશ ન નોતરવાની ચેતવણી આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શક્તિની ઘાતક અસરો જોયા પછી વિજ્ઞાાનિકોને અહેસાસ થયો હતો કે આ ભયંકર શક્તિ પૃથ્વીનો વિનાશ પણ નોતરી શકે છે. બ્રહ્માસ્ત્રની આધૂનિક આવૃત્તિ જેવા આ વિનાશક શસ્ત્રનો બેફામ ઉપયોગ થાય તો માનવજાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે વિજ્ઞાાનિકોએ મળીને બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પરમાણુ શક્તિના આધારે કયામતનો સમય કેટલો દૂર છે એનો સિમ્બોલિક સમય આપ્યો હતો. એ પછી સમયાંતરે એમાં પર્યાવરણ, આંતરિક યુદ્ધો અને એમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે.

ઘડિયાળના ફેરફારમાં ભારતનો ફાળો કેટલો?

૧૯૬૩માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૨ મિનિટ દૂર હતી. એ પછી વિશ્વમાં બનેલી વિવિધ ઘટનાઓના કારણે ૧૯૬૮માં ક્લોકને સેટ કરવામાં આવી ત્યારે રાતના ૧૨માં ૭ મિનિટનો જ ફાસલો રહ્યો હતો. એમાં ભારત-પાકિસ્તાના યુદ્ધનો ય ફાળો હતો. ૧૯૭૨માં ક્લોકનો સમય ૧૨ વાગ્યામાં ૧૨ મિનિટ ઓછો હતો અને ૧૯૭૪માં ક્લોકનો ટાઇમ ૧૨માં ૯ મિનિટ કમ હતો ત્યારે પણ એક કારણે ભારતનું પરમાણુ પરિક્ષણ હતું. ૧૯૯૫માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૪ મિનિટ દૂર હતી પણ જ્યારે ૧૯૯૮માં ક્લોકના કાંટો પાંચ મિનિટ નજીક આવીને ૧૨માં ૯ ઓછો રહ્યો ત્યારે એમાં ભારત અને પાકિસ્તાને ઉપરા છાપરી કરેલા પરમાણું પરિક્ષણો ય જવાબદાર હતા. ત્રણ વખત ડૂમ્સડે ક્લોકમાં સમય બદલવામાં ભારતનો ઉલ્લેખ થયો છે અને ત્રણેય વખત કાંટો ભયનજક સપાટીની નજીક આવ્યો હતો!
Sunday, 1 February 2015
Posted by Harsh Meswania
Tag :

ટેલિપ્રોમ્પ્ટર : નેતાઓના છટાદાર વકતવ્ય પાછળનું ત્રીજું નેત્ર



વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્ટ ટેલિપ્રોમ્પ્ટરની મદદથી છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપીને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપકરણ ખરેખર તો નાટકોના અભિનેતાઓ લાંબાં સંવાદો ભૂલ વગર બોલી શકે એ માટે ડિઝાઇન થયું હતું

અમેરિકન ટેલિવિઝન-સ્ટેજ એક્ટર ફ્રેડ બાર્ટનને વિચાર આવ્યો કે જો ડાયલોગ્સ ગોખવાને બદલે સામે ટેલિવિઝનની સ્ક્રીન જેવી કોઈ વ્યવસ્થા હોય અને એમાં ડાયલોગ્સ લખાયેલાં હોય તો એક્ટરનું કામ કેટલું સરળ થઈ જાય? એણે પોતાની લાગણી ઈલેક્ટ્રિકલ ઈજનેર મિત્ર હ્યુબર્ટ સ્ક્લાફ્લાય સામે વ્યક્ત કરી અને એવું કશુંક સાધન બનાવી દેવા કહ્યું. હ્યુબર્ટે એમાં જરૃરી સાધનો માટેનું બજેટ માગ્યું. બજેટ આપવાની તૈયારી એ બંનેના બિઝનેસમેન મિત્ર ઈરવિન બર્લિને બતાવી અને કામ શરૃ થયું.
વર્ષ-બે વર્ષની મહેનત પછી અંતે હ્યુબર્ટે એક ડિઝાઇન તૈયાર કરી નાખી. જેમાં ટેલિવિઝન જેવી દેખાતી સ્ક્રીનમાં જરૃરી લખાણ ફરતું રહે અને જેને વાંચવાનું છે એ સામે જોઈને સરળતાથી વાંચી શકે એવી ટેકનિક વિકસાવાઈ હતી. બિઝનેસમેન મિત્ર ઈરવિનને એ ડિવાઇઝમાં ભરપૂર શક્યતાઓ દેખાતી હતી એટલે તેણે એની પેટર્ન રજિસ્ટર કરાવી નાખવાની ભલામણ કરી, સાથે સાથે એમાં કોઈ મોટા રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્કને જોડવાનો પ્લાન પણ બનાવ્યો. કારણ કે, એ દિવસોમાં ન્યૂઝ રીડરને ટેબલ પર જોઈને વાંચવું પડતું હતું અથવા તો સમાચાર ગોખવા પડતા હતાં, જેમાં ભૂલો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હતી.
ટેલિવિઝનમાં ટૂંકાગાળામાં વધુ કામ કરવાનું હોય એટલે મીડિયા પર્સન્સ માટે બધુ યાદ રાખવું મુશ્કેલ હોય. એ સ્થિતિમાં નવા વિકસતા જતાં ટેલિવિઝન ન્યૂઝના ફિલ્ડમાં કમાણી કરવાના હેતુથી ટેલિપ્રોમ્પ્ટરના બિઝનેસમાં વિશાળ તકો છે એમ ઇરવિનનું માનવું હતું. અમેરિકાનું કોઈ મોટું નેટવર્ક એ ડિવાઇઝમાં રોકાણ કરે તો કંઈક વાત બને એમ હતી.
ડિઝાઇન લઈને ત્રણેય મિત્રોએ અમેરિકાના બે વિશાળ રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્ક- સીબીએસ કોર્પોરેશન અને ટેલિવિઝન તેમ જ ફિલ્મમાં મોટું નામ ગણાવા લાગેલા ફોક્સ સ્ટૂડિયોનો સંપર્ક કર્યો. બેમાંથી એકેયને એમાં રોકાણ કરવાનું યોગ્ય ન લાગ્યું. નિરાશ થવાના બદલે અંતે ત્રણેયે હિંમત કરીને કંપની બનાવવાનું નક્કી કર્યું. કંપનીનું નામ રાખ્યું- ટેલિપ્રોમ્પ્ટર. જે પછીથી કંપનીનું જ નહીં, પણ એ સાધનનું જ બ્રાન્ડનેઇમ બની ગયું.
ટેલિપ્રોમ્પ્ટર નામ રાખવા પાછળનો તર્ક કંઈક આવો હતો- ટેલિવિઝનની સ્ક્રીન જેવો દેખાવ હોવાના કારણે આગળનું નામ તો સ્વાભાવિક રીતે જ ટેલિ રાખ્યું, પરંતુ પાછળ ઉમેરાયેલા પ્રોમ્પ્ટરનો અર્થ - 'નાટક દરમિયાન સંવાદો યાદ કરાવનાર સહાયક' એવો થતો હતો. એ રીતે સંવાદો યાદ કરાવનારા સહાયક તરીકે 'ટેલિપ્રોમ્પ્ટર'ને અમેરિકન બજારમાં પ્રવેશ કરાવાયો ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સંવાદો યાદ કરાવવાના હેતુ સાથે ઉપલબ્ધ થયેલું આ સાધન વિશ્વભરના નેતાઓના લાંબાં ભાષણો પણ ગોખી મારશે! પછીથી એ કંપનીએ વિશાળ ટેલિવિઝન નેટવર્ક બનીને ત્રણેય શોધક-સાહસિકોને અઢળક નાણાં ય રળી આપ્યાં.
                                                                              * * *
ટેલિપ્રોમ્પ્ટરનો સૌપ્રથમ ઉપયોગ ધ 'ફર્સ્ટ હન્ડ્રેડ યર્સ' નામના નાટકમાં થયો હતો. ન્યૂઝમાં પહેલી વખત ઉપયોગ ૧૯૫૩માં લુસી બેલ અને ડેસી અર્નાસ નામના પ્રોગ્રામ સંચાલકોએ કર્યો હતો. સીબીએસ કોર્પોરેશનના પ્રોડયુસર ડોન હેવિટને જ્યારે પેલા ત્રણ સંશોધકોએ એ ડિવાઇઝના ઉપયોગની વાત કરી ત્યારે તેણે પોતાના વિખ્યાત એન્કર ડગ્લાસ એડવર્ડ સાથે ઓળખાણ કરાવીને કહ્યું હતું કે અમારો એન્કર બ્રેઇલ લિપિ જાણે છે, એટલે એને કેમેરા સામે નજર રાખતી વખતે ટેબલ પર નીચે જોવાની જરૃર નથી. એટલે જ અમારે તમારા ડિવાઇઝની પણ જરૃર નહીં પડે. જોકે, ડોન હેવિટે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર એક જ દશકામાં જગતભરની સમાચાર ચેનલ્સની ટેલિપ્રોમ્પ્ટર વગર કલ્પના પણ નહીં થાય! આજેય વિશ્વની એકેય ન્યૂઝ ચેનલ ટેલિપ્રોમ્પ્ટર વગર શક્ય જ નથી! હવે સમાચાર ચેનલ શરૃ કરતી વખતે પાયાના સાધન તરીકે ટેલિપ્રોમ્પ્ટરની ગણના કરવી અનિવાર્ય છે.
ન્યૂઝ માટેના ટેલિપ્રોમ્પ્ટરની ડિઝાઇન બનાવવાનો યશ જેસ ઓપનહેમરને મળે છે. તેણે ટેલિપ્રોમ્પ્ટરની સાથે જ કેમેરા લેન્સ ગોઠવી દીધો હતો એટલે ન્યૂઝ રીડર માટે તેનો ઉપયોગ બહુ જ સરળ બની જાય છે. એનાથી કેમેરા સામે જોઈને ન્યૂઝ રીડ થઈ રહ્યાંનો આબાદ આભાસ ઉભો થાય છે.
જોકે, એ સમયે ટેલિપ્રોમ્પ્ટર ખરીદવાનો ઉમળકો ભાગ્યે જ કોઈ દાખવતા હતા. નાટક સાથે જોડાયેલાં હોય અથવા તો ટેલિપ્રોમ્પ્ટરને ભાડે આપવાનો નવો બિઝનેસ કરતાં હોય એ જ ખરીદવાનો ઉત્સાહ બતાવતા! ૫૦'ના દશકામાં એનું એક કલાકનું ભાડું ૧૫૦૦ રૃપિયા કરતા પણ વધારે હતું. કોર્પોરેટ કંપનીના કાર્યક્રમોમાં કે રાજકીય સંમેલનોમાં ટેલિપ્રોમ્પ્ટર ભાડે લેવામાં આવતું હતું. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરની લોકપ્રિયતા સિદ્ધ કરે એવો રસપ્રદ કિસ્સો બન્યો હતો.
૧૯૨૯-૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા અને ૮૦ વર્ષની વયે પહોંચેલા હર્બર્ટ હૂવરે ૧૯૫૨માં શિકાગોમાં યોજાયેલા રિપબ્લિક પાર્ટીના એક સંમેલનને સંબોધવા માટે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું. હૂવરે સ્હેજપણ અકળાયા વગર ટેલિપ્રોમ્પ્ટર ફરીથી ચાલું કરવાની પોતાના સહાયકોને સૂચના આપી અને એટલી વાર સુધી શાંતિથી રાહ જોઈ. એ ઘટનાએ ટેલિવિઝન અને અખબારોમાં સ્થાન મેળવ્યું. જેના કારણે અખબારો-સામયિકો-ન્યૂઝ ચેનલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર કઈ રીતે કામ કરે છે એની સમજૂતિઓ પણ આપવામાં આવી; લોકોને આ નવા ડિવાઇઝનો પરિચય મળ્યો. એ ઘટનાએ એકાએક ટેલિપ્રોમ્પ્ટરની માર્કેટ વેલ્યુ વધારી દીધી. વળી, એ જ સમયગાળામાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિક નેતા અને પછીથી અમેરિકાના ૩૪મા પ્રમુખ બનેલા ડ્વાઇટ એસનહૂવરે પણ પોતાના પ્રચાર ઝુંબેશમાં વ્યાપકપણે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી.
ડ્વાઇટ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા; જેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી-ખાનગી કાર્યક્રમોમાં ટેલિપ્રોમ્પ્ટરની મહત્તમ મદદ લીધી હતી. એ સિલસિલો છેક બરેક ઓબામા સુધી લંબાયો છે. ડ્વાઇનના અનુગામી જ્હોન એફ કેનેડી મહત્ત્વની સરકારી જાહેરાત વખતે આ ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એમના અનુગામી પ્રેસિડેન્ટ એલ.બી. જ્હોનસને સિવિલ રાઇટ્સ એક્ટ ૧૯૬૪ની જાહેરાત કરતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી. રોનાલ્ડ રેગન એક સાથે બબ્બે સ્ક્રીન રાખતા હતા. એ ઉપરાંત કાગળ ઉપર મહત્ત્વની નોંધ ટપકાવીને પણ સાથે રાખવાનું ચૂકતા નહોતા! બુશ પિતા-પુત્રમાં સિનિયર જ્યોર્જ બુશને ટેલિપ્રોમ્પ્ટર વધુ સગવડતાભર્યું લાગતું હતું. એમની તુલનાએ ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશ બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળતા હતા; તેઓ ટેલિપ્રોમ્પટરની મદદ માત્ર મુદ્દા જોવા માટે જ કરતા હતા. અમેરિકાના મોટા ભાગના નેતાઓ પોતાના ભાષણમાં છબરડાં ખાળવા માટે ટેલિપ્રોમ્પ્ટરને સાથે રાખે છે. વર્તમાન પ્રમુખ ઓબામા તો આ સાધનના કારણે એટલા બધા ટીકાપાત્ર બન્યા છે કે હવે તો જોક ફરતા થયા છે કે ઓબામા પત્ની મિશેલ સાથે વાત કરતી વખતે ય ટેલિપ્રોમ્પ્ટર રાખે છે!
ઓબામાના પગલે ચાલીને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન બન્યા પછી; ખાસ તો ઈંગ્લીશમાં ભાષણ આપતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવા માંડી છે. પીએસએલવીના લોચિંગ વખતે જુલાઈમાં મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત
ટેલિપ્રોમ્પ્ટરની મદદથી અંગ્રેજીમાં વકતવ્ય આપ્યું હતું. એ પછી ફરીથી સપ્ટેમ્બર માસમાં મંગળયાનની સફળતા વખતે ઈસરોમાં પ્રવચન કર્યું ત્યારે ટેલિપ્રોમ્પ્ટરનો સાથ મેળવ્યો હતો. અમેરિકાની મુલાકાત વખતે હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં જે પાંચ-સાત વકતવ્યો આપવાના થયા એમાં તેમણે એકાદ-બે વખત આ ટેકનોલોજિની મદદ લીધી હતી. મોદી સામાન્ય રીતે બે સ્ક્રીનની મદદ લેતા હોય છે અને એની ગોઠવણ એવી રીતે કરાવે છે કે ટેલિવિઝનના દર્શકો એ સ્ક્રીન જોઈ શકતાં નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમને છટાદાર રીતે અંગ્રેજી બોલતા જોઈને કોણે વિચાર્યુ હોય કે એ કમાલ તો ટેલિપ્રોમ્પ્ટરનો છે?
છબરડાં ખાળવા માટે ઉપયોગ થાય તો ટીકા ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વટ પાડવા માટે ટેલિપ્રોમ્પ્ટર ઉપયોગમાં લેવાય અને વળી એ વાત ગોપનીય રહે એ માટે સભાન રીતે પ્રયાસ થાય તો ટીકાપાત્ર ન બને તો જ નવાઈ! આ બાબતે પણ ઓબામાના પગલે ચાલવા જેવું ખરું, વધી વધીને ઓબામાની જેમ કાર્ટૂન ફરતા થશે તો એ પણ દેશવાસીઓના મનોરંજન માટે જ હશેને!

ટેલિપ્રોમ્પ્ટરના શોધકે છેક  ૬૦ વર્ષે તેનો ઉપયોગ કર્યો!
ટેલિપ્રોમ્પ્ટરની શોધ સાથે ત્રણ સંશોધકો જોડાયેલા છે. એમાંથી ફ્રેડ બાર્ટર એક્ટર હતા. તેમને એની જરૃર ક્યારેય પડી નહોતી. ઈરવિન બર્લિન મીડિયા સાથે જોડાયેલા હતા અને કેબલ ટેલિવિઝનના સ્થાપક હતા, તેને ય પોતાના માટે ક્યારેય ટેલિપ્રોમ્પ્ટના ઉપયોગની જરૃર જણાઈ નહોતી. 
ત્રીજા અને સૌથી મહત્ત્વના ભાગીદાર એવા હ્યુબર્ટ સ્ક્લાફ્લાયને છેક ૨૦૦૮માં ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવી પડી હતી. જ્યારે તેમનો વિસમી સદીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું એ પ્રસંગે બોલવાનું થયું ત્યારે છેક ૨૦૦૮માં પ્રથમ વખત તેમણે પોતાની શોધ એવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કર્યો હતો. શોધક પોતાની શોધનો લાભ લે એ પહેલા તો વિશ્વભરની ટેલિવિઝન ચેનલોથી લઈને દુનિયાભરના રાજકારણીઓ છૂટથી તેનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. ડગલેને પગલે રાજકીય નેતાઓથી લઈને સિંગર માઇલી સાયરસ સુધી ઉપયોગી થઈ પડેલું ટેલિપ્રોમ્પ્ટર તેના ત્રણ શોધકોમાંથી એકને માત્ર એક વખત ખપમાં આવ્યું હતું!
Sunday, 18 January 2015
Posted by Harsh Meswania
Tag :

ડૉ.વસંત ગોવારિકર : મૌસમને 'વસંત' આપનારા વિજ્ઞાની


ભારતના શરૃઆતી અવકાશ પ્રોગ્રામ્સમાં પાયાની ભૂમિકા ભજવનારા વિજ્ઞાની વસંત ગોવારિકર ભારતના મોર્ડન મોનસૂન મોડેલના જનક કહેવાય છે. વિદેશની લોભામણી તકો છોડીને વતનમાં વસંત ખીલાવવા પાછા આવી ગયેલા આ વિજ્ઞાનીએ સાયન્સ-ટેકનોલોજિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ય નોંધપાત્ર કામગીરી કરી છે
૧૯૪૪નું એ વર્ષ હતું. અંગ્રેજો ભારત છોડીને જતાં રહે એ માટે આખો દેશ એકી અવાજે નારો લગાવતો હતો. ગાંધીજી ચરખાના દોરા વાટે આખા દેશને એકસૂત્રતાના તાંતણે બાંધી રહ્યા હતા ત્યારે એક ૧૧ વર્ષનો છોકરો મુગ્ધ આંખે દેશમાં ચાલી રહેલી આઝાદીની ચળવળના પ્રતીક સમાં ચરખાને તાકી રહ્યો હતો. આઝાદીની ચળવળમાં જોડાયેલાં નાના-મોટા તમામ લોકો યથાયોગ્ય સમય કાઢીને ચરખો કાંતતા હતાં એટલે કોઈ કિશોર આ રીતે ચરખો જૂએ તો સ્વાભાવિક છે કે એને ય એ કળા શીખવી હોય, પરંતુ અહીં આ કિશોરના મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હતાં. એણે વિચાર્યું કે ચરખો જાતે ફરે એવી કશીક ગોઠવણ થાય તો ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે. ચરખો કાંતવાનું શીખવાની ઉંમરે એ કિશોર ચરખો બનાવતા શીખતો હતો એ જોઈને તેની ઉંમરના તરુણો મશ્કરી ય કરતા હતા. 'પહેલા ચરખો કાંતતા શીખી જા, પછી બનાવવાનું વિચારજે..' એવા વાક્યો તેના માટે લગભગ દરરોજના થઈ ગયાં હતાં. થોડા વખતની મહેનત પછી તેણે ગાંધીજી પાસે હતો એવો જ ચરખો બનાવી નાખ્યો, પણ ફરક એટલો હતો કે આપમેળે ફરે એવી તરકીબ તેણે અજમાવી હતી. એમાં રૃ કાંતતી વખતે દોરો પણ ખૂબ લાંબો નીકળતો હતો. લાકડાંની કશીક ગોઠવણથી તેણે એવું કશુંક કર્યું હતું કે એક વખત ચક્ર ફેરવી દીધા પછી ધીમે ધીમે ચરખો આપબળે ચાલતો રહેતો હતો.
એ ચરખો તેણે ગાંધીજીને બતાવવા માટે સાચવી રાખ્યો. દિલ લગાવીને કરેલું પોતાનું કામ ગાંધીજીને બતાવવાની હઠ પકડીને બેઠેલા કિશોરની ઇચ્છાશક્તિ પારખીને કોઈ વડીલે પૂણે ગાંધીજી આવ્યા ત્યારે મળવાનું પણ ગોઠવી આપ્યું.
મહાદેવભાઈ દેસાઈ એ કિશોરને ગાંધીજી પાસે લઈ ગયા. અબાલ-વૃદ્ધ સૌને સહજ રીતે મળતા ગાંધીજી પેલા કિશોરને મળ્યા ત્યારે કિશોરે ઘણા દિવસોની મહેનત પછી બનાવેલો પોતાનો અનોખો ચરખો બતાવ્યો. પહેલી નજરે ગાંધીજીને એ સાધારણ ચરખા જેવો જ લાગ્યો, પણ પછી જ્યારે એ છોકરાએ તળપદી મરાઠી ભાષામાં ગાંધીજીને સમજાવતા જઈને ચરખો કઈ રીતે કામ કરે છે એ બતાવ્યું ત્યારે ગાંધીજીએ પીઠ થાબડીને તેની પ્રશંસા કરી. મહાદેવભાઈને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું કે જો આવા આપબળે ચાલતાં ચરખા હોય તો કેટલાય કિશોર એમાંથી ખાદી વણી શકે. વળી, જે એક હાથે જ કામ કરી શકે તેમ છે એને ય આ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
ગાંધીજીના આટલા શબ્દો પેલા કિશોરને પોરસ ચડાવવા માટે પૂરતાં હતાં. કેમ કે, એને કંઈ આખી જિંદગી ચરખો બનાવવામાં કાઢવાની નહોતી, સમયાંતરે ચરખાની જરૃરીયાત તો મર્યાદિત થવાની હતી. પણ યંત્રો સાથે રચનાત્મક રીતે કામ કરવાની કુશળતા ધરાવતો કિશોર કદાચ ગાંધીજીની પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને જ આવી ટેકનિકલ પ્રવૃત્તિ તરફ વળ્યો અને પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત સાચી પાડતો હોય એમ પોતાના ટેકનિકલ નોલેજના કારણે જ વર્ષો પછી એ કિશોર ભારતને અવકાશ સુધી પહોંચાડવામાં ભાગીદાર થયો!
                                                                               * * *
૨ જાન્યુઆરીએ ૮૧ વર્ષના વિજ્ઞાની ડૉ. વસંત ગોવારિકરનું નિધન થયું. જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? ભારત આવનારા અમેરિકન પ્રમુખ બરેક ઓબામા શું ખાશે અને ક્યાં જશે? પીકેના વિરોધમાં કોણે શું કહ્યું? આયોજન પંચનું નવું નામકરણ કેમ થયું? પોરબંદરના દરિયામાં જે ભેદી બોટને આગ લાગી એમાં આતંકવાદીઓ હતા કે બીજુ કોઈ...? વગેરે વગેરે ઘટનાઓમાં વસંત ગોવારિકરના નિધનની નોંધ ભાગ્યે જ લેવામાં આવી. ગોવારિકરને ભારતના મોર્ડન મોન્સૂન મોડેલના જનક કહેવાય છે. ગોવારિકરને મોટાભાગે એના માટે જ યાદ કરાય છે, પણ ખરેખર તો એ એની અધૂરી ઓળખ આપી કહેવાય. કેમ કે, તેમણે એ સિવાય એવા કેટલાય કાર્યો કર્યા છે; જેના માટે તેમને યાદ કરવા પડે.
૧૯૩૩માં પૂણેમાં જન્મેલા વસંત ગોવારિકરે કોલ્હાપુરમાં બીએસસીનો અભ્યાસ પૂરો કરીને પારિવારિક જરૃરીયાતના કારણે નોકરી કરવા માંડી, પણ હજુયે તેને આગળનો અભ્યાસ પૂરો કરવો હતો. આર્થિક જરૃરિયાતના કારણે નોકરી મૂકી શકાય તેમ ન હતી અને નોકરીના કારણે કોલેજમાં જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું એ સમયે લગભગ અશક્ય જેવું હતું. તેમણે વચ્ચેનો માર્ગ કાઢીને પાર્ટ ટાઇમ નોકરી કરી અને બાકીના સમયમાં એમએસસી પૂરું કર્યું. એ અરસામાં જ બ્રિટન જઈને ભણવાની તક મળી ગઈ. ૫૦-૬૦ના દશકામાં તેમણે પ્રો. એફ.એચ. ગાર્નરના માર્ગદર્શનમાં માત્ર બે વર્ષમાં પીએચ.ડી કર્યું અને એણે જેના પર કામ કર્યું હતું એ તરલ પદાર્થ અને ઘન પદાર્થના વિશ્લેષણને બ્રિટનની ઘણી બધી યુનિવર્સિટીઝના સિલેબસમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં, કેેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ગણનાપાત્ર યુનિવર્સિટીઝ કે જ્યાં એમની વયના યુવાનો એડમિશન મેળવવાનું શમણું સેવતા; ત્યાં આ ૨૮ વર્ષના વિદ્વાન યુવાન પરીક્ષક બની ગયા.
વિદેશી ટેલેન્ટને મોકળા મને આવકારતા અમેરિકાએ ગોવારિકર માટે દ્વાર ખોલ્યાં. મિસાઇલ ક્ષેત્રના સંશોધન માટે ગોવારિકરને અમેરિકાનું ઈજન મળ્યું. ઓક્સફર્ડ-કેમ્બ્રિજમાં ભણતી ટેલેન્ટની પરીક્ષા લઈ શકે એવો ટેલેન્ટેડ યુવક હોય, બ્રિટનની કોલેજોમાં વિદ્યાર્થીઓ તેની થિયરીનો અભ્યાસ કરતા હોય, ૧૯૬૫ આસપાસનો સમય હોય, અવકાશ વિજ્ઞાનમાં અમેરિકાનું આધિપત્ય સિદ્ધ થવું થવું હોય ત્યારે; અમેરિકાનું આમંત્રણ ન સ્વીકારવાની હિંમત કોણ કરે?
પણ એ હિંમત વસંત ગોવારિકરે કરી. સામાન્ય રીતે આપણા ઘણા બધા વિજ્ઞાનિકો-સંશોધકોની બાબતમાં બન્યું છે એમ લગભગ આવી તક ભાગ્યે જ કોઈ જતી કરે. ભારત હજુ તો પ્રાથમિક સવલતોની બાબતમાં સંઘર્ષ કરતું હોય ત્યારે અવકાશ વિજ્ઞાનનું વિચારવાની ફુરસત કોને હોય? નવા નવા આઝાદ થયેલા દેશ સામે ગરીબી-બેકારી-ભૂખમરો જેવી વિકરાળ સમસ્યાઓ મોં ખોલીને ઉભી હોય ત્યારે વિજ્ઞાનના સંશોધન માટે સરકાર પૈસા આપશે એવી અપેક્ષા પણ વધારે પડતી હતી. એટલે ભારત જેવા દેશોના સંશોધકો માટે અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં કે જ્યાં ખરેખર તક હતી અને નામ-દામ બંને મળી શકે એમ હતા; ત્યાં રહીને કામ કરવું વધુ સગવડભર્યું હતું.
જોકે, ભારતમાં અવકાશ વિજ્ઞાનને ગંભીરતાથી લઈને સ્પેસ પ્રોગ્રામ ચલાવનારા વિક્રમ સારાભાઈ જેવા વિચક્ષણ વિજ્ઞાની પણ હતા અને એમના પ્રયાસોથી જ વસંત ગોવારિકર બધી વિદેશી તકો જતી કરીને ભારત પાછા ફર્યા. વૈચારિક રીતે સજ્જ થઈને આવેલા ગોવારિકરે વિક્રમભાઈ સાથે મળીને ભારતના અવકાશ કાર્યક્રમો માટે કામ શરૃ કર્યું. જે આગળ જતાં ગોવારિકરની જ હયાતીમાં મંગળ સુધી પહોંચવાનું હતું!
થુમ્બામાં ૧૯૬૫માં પહેલું સાયન્સ અને ટેકનોલોજિ સેન્ટર બન્યું ત્યારથી જ ગોવારિકર એ સેન્ટર સાથે જોડાયેલા હતા. મિસાઇલમાં વિશેષ કુશળતા ધરાવતા હોવાના કારણે ગોવારિકરની નિગરાની હેઠળ વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ્સ ચાલતાં હતાં. એમાંનો એક એટલે પ્રારંભિક અને સૌથી પાયાનો ગણાય એવો એસએલવી-૩ રોહિણી. ૧૯૮૩માં ભારતીય સેટેલાઇટ એસએલવી-૩ રોહિણીએ ઓરબિટ સુધીની સફર તય કરી ત્યારે થુમ્બાના ચીફ વસંત ગોવારિકર હતા. અવકાશમાં ભારતની હાજરી નોંધાવવાના આ મહત્ત્વપૂર્ણ કામના તેઓ સુકાની હતા એટલે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના એ કામની સરાહના કરીને સન્માનિત કર્યા હતા. આજે આપણે અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીની જેમ વટથી મંગળ સુધી પહોંચી ગયા છે એટલે કદાચ ઉપગ્રહ-પરિક્ષણના એ શરૃઆતી પ્રોગ્રામ્સ અંગે વિચારવાની જરૃરીયાત નહીં પડતી હોય, પરંતુ બૂલંદ ઈમારતના પાયાનું કામ હંમેશા વધારે અઘરું હોય એ રીતે જોઈએે તો ગોવારિકરના માર્ગદર્શનમાં થયેલું એ કામ પાયાનું હતું-ઐતિહાસિક હતું.
વચ્ચે થોડો વખત તેમણે દેશના સાયન્સ અને ટેકનોલોજિ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી જાણી. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ગોવારિકરને વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમ્યા હતા. બે વર્ષ વડાપ્રધાનના સલાહકાર રહ્યા એ અરસામાં તેમણે વિજ્ઞાન વિભાગને પ્રમાણસરનું બજેટ ફાળવવાથી લઈને સાયન્સ-ટેકનોલોજિના સંશોધકો માટે અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું.
વિજ્ઞાનની પોતાની આટલા વર્ષોની યાત્રાને શબ્દસ્થ કરીને તેમણે 'વિજ્ઞાનયાત્રી' નામે આત્મકથા લખી. જેના માટે તેઓ વધુ જાણીતા છે એ મોનસૂન મોડેલ ઉપર 'આઈ પ્રિડિક્ટ' નામે પુસ્તક લખ્યું. મૂળે સંશોધનનો જીવ એટલે ફરીથી સંશોધન તરફ વળ્યા. ૮૦ વર્ષે ય તેઓ એન્સાઇક્લોપીડિયા ઓફ ફર્ટિલાઇઝર નામના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા; જેમાં તેમણે કેમિકલના ૪,૫૦૦ કરતાં વધારે બંધારણની વિગતે સમજ આપી છે. જે નિસંદેહ એ ક્ષેત્રના સંશોધકો માટે દિશાનિર્દેશ કરશે.
સાયન્સ ઉપરાંત શિક્ષણમાં પણ તેમણે એટલું જ કામ કર્યું છે. પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અભ્યાસક્રમોને વધુ જીવંત બનાવવાનું કાર્ય તેમણે ઉપાડયું હતું. પાર્ટ ટાઇમ નોકરી કરીને પોતે ભણ્યા હતા. એ બાબતને બરાબર યાદ રાખીને તેમણે જરૃરતમંદ વિદ્યાર્થીઓ નોકરી કરતાં કરતાં ભણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરી હતી.
ઓટોમેટિક ચરખો બનાવીને જે કિશોરે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા એ જ કિશોરે પછી વિજ્ઞાની તરીકે સેટેલાઇટ દ્વારા ઓટોમેટિક ટેલિવિઝન પ્રસારણ કરાવ્યું હતું, ટેકનોલોજિની મદદથી દેશને વિભિન્ન રીતે ઓટોમેટિક ચાલતો જોયો હતો. ભારત મંગળ સુધી પહોંચ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમે એક એક ઉપગ્રહ છોડતી વખતે મંગળ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું હતું. દેશના સંશોધકોની અથાક મહેનતના કારણે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જ સંશોધકો ભારતનું સમાનવ અવકાશયાન પણ અવકાશ સુધી પહોંચાડશે એમાં બેમત નથી'.
ભારતના મધ્યમવર્ગીય પરિવારના કોઈ પણ ભણેલા-ગણેલા યુવાનને લોભાવી શકે એવી વિદેશી તકો જતી કરીને; સાયન્સના સંશોધનમાં પા-પા પગલી ભરતા પોતાના દેશ માટે પરત આવી ગયેલા વસંત ગોવારિકરે જો વિદેશમાં કામ કર્યું હોત તો ભારતે તેમનું આટલું જ સન્માન કર્યું હોત? કે ભારતીય મૂળના વિજ્ઞાની તરીકે આપણે તેમના પર ઓવારી ગયા હોત?
Sunday, 11 January 2015
Posted by Harsh Meswania
Tag :

આંખ ગુમાવી, આવડત નહીં!



બ્રેઇલ લિપિથી વિશ્વભરના અંધજનોને રોશની પ્રદાન કરનારા લુઇસ બ્રેઇલના જન્મદિને (૪ જાન્યુઆરી, વિશ્વ અંધત્વ દિન) આ વિશેષ સન્માન તેમના માનમાં અપાય છે ત્યારે અહીં કેટલાક ઓછા જાણીતાં નેત્રહિનોની વાત કરીએ કે જેમણે પ્રજ્ઞાને ચક્ષુ બનાવીને અસંભવ જણાતું કામ કરી દેખાડયું!
આંખ ન હોવા છતાં પોતાના કામથી રોશની ફેલાવી ગયેલાં લોકોની વાત આવે એટલે સામાન્ય રીતે હેલન કેલર અને જેના નામ પરથી વિશ્વ અંધત્વ દિનની ઉજવણી થાય છે એ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનું સ્મરણ કરાય છે. બહુ બહુ તો હેલન કેલર પહેલાના હેલર કેલર તરીકે જાણીતાં અને અંધ-બધિર હોવા છતાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવનારી પ્રથમ મહિલા લૌરા બ્રિડમેનને યાદ કરી લેવાય છે, પણ એ સિવાયના કેટલાક એવા ઉદાહરણો પણ છે જે ઓછા જાણીતા છે, પરંતુ તેમના પ્રદાનને જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આંખ હોવા છતાં અઘરું લાગે એ કામ આ નેત્રહિનોએ પોતાની આવડતના જોરે કરી બતાવ્યું. નેત્રહિનો માટે તો એ પ્રેરણારૃપ છે જ છે, પરંતુ દેખતા માટે જ આ પ્રજ્ઞાાચક્ષુઓએ દાખલો બેસાડયો છે.

હેરિટ ટયૂબમેન : ગુલામોને અંધકારમાંથી બહાર કાઢ્યા
૧૮૨૦માં જન્મેલી હેરિટ ટયૂબમેન બાળવયે જ ગુલામીમાં સપડાઈ ગઈ હતી. એમાંયે ટિનએજમાં પ્રવેશે એ પહેલા તો માથામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં તેમણે આંખો પણ ગુમાવી દીધી હતી. જોકે, આંખ ગુમાવી છતાં દૃષ્ટિ નહોતી ગુમાવી એટલે ગુલામીની યાતનામાં સબડતી વખતે જ તેમણે બીજા ગુલામોને ખાસ તો અશ્વેત ગુલામોને આ પીડાદાયક જિંદગીમાંથી બહાર કાઢવાનો મનોમન નિર્ધાર કરી નાખ્યો હતો. તેમણે કેટલાય ગુલામોને ભાગવામાં મદદ કરીને સલામત જગ્યા સુધી પહોંચાડયા હતા. હેરિટે લગભગ ૫૦૦ જેટલાં ગુલામોને આઝાદીનો શ્વાસ લેવડાવ્યો હતો અને સાથે સાથે રહેવા-ખાવા-પીવા સહિતની બધી જ સવલતો આપબળે આપી હતી. જીવનના અંતિમ બે દાયકા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને કેળવણી માટે ફાળવ્યા હતાં. ૧૯૧૩માં જ્યારે વિશ્વમાંથી ગુલામી નાબૂદ થવાની અણી પર હતી ત્યારે ચહેરા ઉપર સંતોષની રેખા સાથે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

જેમ્સ હોલમેન : આંખ વગર પણ દુનિયા જોનારા સાહસિક!

બ્રેઇલ લિપિના શોધક લુઇસના જન્મના ૨૩ વર્ષ અગાઉ ૧૭૮૬માં જન્મેલા જેમ્સ હોલમેનને વિશ્વના પ્રથમ નેત્રહિન પ્રવાસીનું બિરુંદ આપવું પડે. જેમ્સ જન્મથી અંધ નહોતા. એક અકસ્માતના કારણે બીમારીમાં સપડાયા અને પછી હંમેશા માટે આંખની રોશની ગુમાવી દીધી. આંખનો ઉજાસ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં અંધકારને પ્રવેશવા ન દીધો. તેમણે જીવન પોતાની જીદથી યાદગાર બનાવ્યું. ભર યુવાનીમાં આંખ ખોયા પછી જો તેમણે ધાર્યુ હોત તો ઘરમાં બેસીને આરામથી નોકર-ચાકર વચ્ચે જિંદગી પસાર કરી શક્યા હોત એટલા સમૃદ્ધ પરિવારમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ બેસીને બોરિંગ જીવન પસાર કરવા કરતા તેમણે જિંદગીને અજમાવી લેવાનું વધુ યોગ્ય માન્યું અને એના પરિણામે તેમણે ૧૮૧૯માં ગ્રાન્ડ ટૂર નામે પ્રવાસ આરંભ્યો. ફ્રાન્સ, ઈટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં રખડપટ્ટી કરીને તેમણે જીવનમાં યાદગાર અનુભવોનું ભાથું બાંધ્યુ અને પછી પોતાના પ્રવાસ વર્ણનો દુનિયા સમક્ષ રજૂ પણ કર્યાં. એ જ રીતે બીજો પ્રવાસ થયો. પ્રવાસો થતાં ગયા અને ભાથુ બંધાતું ગયુ. ૧૮૩૫માં તેમણે પોતાના દુનિયાભરના પ્રવાસને ચાર વોલ્યુમમાં પ્રગટ કર્યો અને એ સાથે એક નેત્રહિન દ્વારા દુનિયાને દુનિયાનો પરિચય મળ્યો. આજે પોણા બે શૈકા પછી પણ તેમને પ્રથમ નેત્રહિન ટ્રાવેલર તરીકે યાદ કરીને ઉદાહરણો આપવા પડે એવું કામ તેઓ આંખની રોશની ગુમાવી દીધા પછી કરી ગયા!

જ્હોન બ્રેમ્બલિટ : રંગવિહિન જીવન છતાં 'રંગ'રસિયો

૩૦ વર્ષના આ ચિત્રકારનો રંગ સાથે દરરોજનો પનારો પડયો છે. પણ આમ જૂઓ તો તેની આંખો માત્ર અંધકાર જ જોઈ શકે છે. દુનિયા આખી તેના ચિત્રો જોઈને દંગ રહી જાય છે, પણ આ કમનસીબ ચિત્રકાર પોતાના જ દોરેલા ચિત્રોને જોઈ શકતો નથી, છતાં તેને એનો કોઈ જ વસવસો નથી. કહે છે ને કે નેત્રહિનને મનની આંખો હોય છે એમ આ ચિત્રકાર મનની આંખોથી પોતાની કલ્પનાને રંગો આપે છે. ચિત્રોમાં રંગો પૂરવાની તેની કૂનેહ દાદ માંગી લે એવી છે. તે સફેદ અને કાળા રંગો હાથવગા રાખે છે. પોતાની કલ્પના પ્રમાણે ચિત્રમાં જે રંગ પૂરવો હોય એ મુજબ બંને રંગોનું મિક્ષણ કરીને તેમાંથી જાતે રંગ બનાવીને ચિત્રમાં પૂરી દે છે. બધુ જ કામ પીંછીથી અને સ્પર્શથી કરે છે. દેખતા માટે ય પેઇન્ટિંગ ખરેખર અઘરી કળા છે ત્યારે આ તો આંખ વગર સર્જાતી કળા છે, કેટલું અઘરું કામ હશે એ તો માત્ર કલ્પના જ થઈ શકે. આપણે જે વાત કલ્પી પણ નથી શકતા એને આ રંગરસિયો પોતાની કલ્પનાથી સાકાર પણ કરી બતાવે છે.

માર્ક એન્ટોની : મનની આંખોથી કાર ચલાવતો સારથી

૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માર્ક એન્ટોનીએ જે પરાક્રમ બતાવ્યું એનાથી બધા દંગ રહી ગયા. તે રાતોરાત સમાચાર માધ્યમોમાં ચમકી ગયો. તેણે અંધ હોવા છતાં એક પણ ગફલત વગર ટેકનોલોજિની મદદ લઈને કાર ચલાવી જાણી. ડ્રાઇવિંગ વખતે તેનું પરફેક્શન એટલું બધું જોરદાર હતું કે પહેલી નજરે કોઈ માની ન શકે કે એક નેત્રહિન માણસ કાર ચલાવી રહ્યો છે. માર્કની આ કુશળતા સાબિત થઈ પછી અમેરિકાના નેશનલ બ્લાઇન્ડ ફેડરેશને તેની સાથે મળીને સલામત ડ્રાઇવિંગનો કાર્યક્રમ હાથ ધર્યો જેને અમેરિકામાં વ્યાપક સફળતા મળી. સગી આંખોએ જોવા છતાં ડ્રાઇવિંગના નિયમોને નેવે મૂકી દેનારા લોકોને જ્યારે એક નેત્રહિન કુશળ સારથી સલામત ડ્રાઇવિંગના સૂચનો આપે ત્યારે રસપૂર્વક સાંભળવામાં રસ પડે એ સ્વાભાવિક છે!

ડેરેક રેબેલો : ભગવાન ભરોસે સાગર સામે ઝઝુમતો સાહસી

ડેરેલ રેબેલોને જન્મજાત જ ખામીયુક્ત દૃષ્ટિ મળી હતી. ઉંમર વધતી ગઈ એમ એમ આંખની રોશની ઓછી થતી ગઈ. જોકે, તેની અંદરનો સાહસવીર સતત કશુંક કરી છૂટવા આળસ મરડીને તેને જગાડતો હતો. ૩ વર્ષનો હતો ત્યારે જ તેણે સાગર ઉપર ચાલવાનું શમણું આંખમાં આંજી લીધું હતું એટલે પોતાનું તૂટી રહેલું સ્વપ્ન એને કોઈ કાળે મંજૂર ન હતું. બબ્બે આંખોએ પણ જે કામ કપરું છે એ કામ આંખોમાં અંધકાર ઓઢીને કરવાનું હતું એટલે વિશેષ કુશળતા જરૃરી હતી. અથાક પ્રયાસો પછી આખરે તેણે એમાં મહારથ મેળવી લીધી. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે ધસમસતા દરિયાના મોજા સામે કઈ રીતે કામ પાર પાડે છે? જવાબમાં આ ૨૦ વર્ષનો છોકરો કહે છે : 'બધા કરે છે એ જ મેથડથી હું પણ આ કામ કરું છું, પરંતુ ફરક એટલો છે કે મારી રીત થોડી અલગ છે. આંખોના ઊંડાણમાં પણ બીજી આંખો હોય છે અને એટલે જ હું આ મુશ્કેલ લાગતું કામ આસાનીથી કરી શકુ છું.' ડેરેકને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા છે અને એ બહુ દ્રઢતાપૂર્વક માને છે કે તેની એક ઈન્દ્રિય ભગવાને ભલે પાછી લઈ લીધી પણ એના બદલામાં થોકબંધ હિંમતનું ભાથું બાંધી આપ્યું છે.

પેટ એકર્ટ : કેમેરાને આંખ બનાવી નાખનારા તસવીરકાર

પેટ એકર્ટ મૂળે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. અકસ્માતે આંખ ગુમાવી દીધા પછી તેમણે કેમેરાની આંખને પોતાની આંખ બનાવી દીધી. આંખ હોવા છતાં કેમેરાની આંખ પાસેથી કામ લેવું એના માટે કુશળતા હોવી ઘટે. જ્યારે પેટ એકર્ટેને તો આંખ સિવાય જ કેમેરા પાસેથી કામ કઢાવવાનું હતું. એમણે આ કામ માટે તત્પરતા બતાવી અને ધીરે ધીરે સફળતા પણ મળી. સ્માર્ટફોનના યુગમાં વાતે વાતે કેમેરાની ક્લિક કરવી સાવ સહજ બાબત છે ત્યારે એકર્ટ એક એક તસવીર માટે પૂરતું હોમવર્ક કરે છે. અવાજ અને સ્પર્શની મદદથી તે જગ્યા કે વ્યક્તિનું અંતર જૂએ છે અને એના આધારે પોતાનો કેમેરા ગોઠવે છે. જરૃર જણાય તો લાઇટ્સની વ્યવસ્થા પણ જાતે કરે છે. બરાબર ગોઠવણ થઈ રહે પછી જ એ ક્લિક કરે છે. તેમણે તેની ફોટોગ્રાફી માટે એક વખત કહ્યું હતું  : 'હું નેત્રહિન થયો ત્યાં સુધી ફોટોગ્રાફીને ગંભીરતાથી લેતો ન હતો, પરંતુ આંખ ગુમાવ્યા પછી મને કેમેરાની આંખનું મૂલ્ય વધુ સમજાયું છે અને હવે હું ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયો છું. મારી તસવીરના કોઈ વખાણ કરે ત્યારે મને એમ થાય છે કે જાણે એ તસવીર હું મારી આંખોથી જોઈ રહ્યો છું'

માર્લા રેન્યન : ઓલિમ્પિક્સની પ્રથમ મહિલા નેત્રહિન એથ્લેટ

વિશ્વ અંધત્વ દિન સાથે જન્મદિવસનો યોગાનુયોગ ધરાવતી અમેરિકન મહિલા એથ્લેટ માર્લા રેન્યન જગતની પ્રથમ નેત્રહિન એથ્લેટ છે જેણે ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય. તેમણે મહિલાઓની પાંચ હજાર મીટર દોડ સ્પર્ધામાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. લોંગ જમ્પથી લઈને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર સુધીની સ્પર્ધાઓમાં તેના ગોલ્ડ મેડલ બોલે છે. ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી ઓલિમ્પિક ગેઇમ્સમાં ૧૫૦૦ મીટરમાં ભાગીદાર બનીને તેણે વિશ્વ સમક્ષ પોતાની નોંધ લેવડાવી. રેન્યનને માત્ર એથ્લેટ કહેવી એ તેની અધૂરી ઓળખ થઈ કહેવાય. કેમ કે, માસ્ટર્સ ડિગ્રી મેળવીને તેણે એકેડમિક કાબેલિયત પણ પૂરવાર કરી છે અને સાથે સાથે તે પબ્લિક સ્પીકર પણ છે. માત્ર નેત્રહિન લોકો માટે જ પ્રવચનો કરે છે એવું નથી. એ સિવાયના લોકો પણ તેના વકતવ્યથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. આ ઉપરાંત લેખન દ્વારા તે પોતાની સફળતા શેર કરતી રહે છે. એટલે એથ્લેટ ઉપરાંત લેખિકા, પબ્લિક સ્પીકર જેવી કેટલીય ઓળખ તેના નામની આગળ જોડાયેલી છે.
Sunday, 4 January 2015
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -