ગિનેસ રેકોર્ડ બૂકમાં બંધ થઈ જવાની ખ્વાહિશ!



ગિનેસના છ દાયકામાં કેટલાક એવો વિક્રમો પણ નોંધાયા કે જેની કલ્પના પણ ન થઈ શકે, તો કેટલાક પ્રથમ નજરે સાવ સાધારણ-સાદા લાગે એવા વિક્રમો રેકોર્ડ બૂકમાં સ્થાન પામ્યાં. એ વિક્રમોમાં ભારતનો ફાળો પણ ઘણો મોટો છે અને છેલ્લા વર્ષોમાં એ ફાળો નોંધાવવામાં આપણે વધુ મોકળું મન રાખ્યું છે!

૨૦૧૧માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારત સાથે એક અજબ યોગાનુયોગ સર્જાયો હતો. ભારતમાં વધતા જતાં વિક્રમોના ક્રેઝ વચ્ચે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એક પ્રતિનિધિ નિમવાની તજવીજ હાથ ધરી હતી. અસંખ્ય લોકો ગિનેસની લંડન ખાતેની હેડ ઓફિસનો સંપર્ક સાધવામાં મુશ્કેલી અનુભવતા હતા અને છતાં કોઈક રીતે સંપર્ક કરીને નવા નવા વિક્રમો દર્જ કરવા માટે ઉત્સાહ દાખવતા હતા. ભારતના વિકસતા જતાં મોટા માર્કેટને ધ્યાનમાં રાખીને અને અવારનવાર અવનવા વિક્રમોની શક્યતા સર્જાતી હોવાના કારણે એક ઓફિસ ભારતના કોઈ મોટા શહેરમાં સ્થાપવાની તાતી જરૃર વર્તાતી હતી, જેને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં એક ખાનગી કંપનીના વિક્રમ માટે ગિનેસની લંડન ઓફિસનો સંપર્ક કરનારા નિખિલ શુક્લાને પ્રતિનિધિ બનવાની ઓફર કરવામાં આવી. નિખિલે એ ઓફર સ્વીકારી એ સાથે જ સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારતમાં પ્રવેશ થયો.
આ ઘટનાના બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૧માં ૨૧ વર્ષનો એક ફૂટડો અંગ્રેજ યુવાન લંડનમાં અભ્યાસ કરીને બ્રિટનના તાબા હેઠળના ભારતમાં પોલીસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યો હતો. તેણે ભારતમાં દશકો પસાર કર્યો પછી સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ૧૯૨૧માં લંડન પરત ફરીને તેણે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સફળતા મળતી ગઈ એમ તેણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો. સમયાંતરે તેણે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની પણ સ્થાપના કરી હતી, જેણે આગામી વર્ષોમાં વિશ્વભરમાં રેકોર્ડ્સની બાબતમાં એક અનોખો રેકોર્ડ કાયમ કર્યો. ભારતમાં રહેનારા એ ગિનેસના સ્થાપકનું નામ હતું- સર હ્યુ કેમ્બલ બીવર.
બીવરના ભારત આવવાના બરાબર સૈકા પછી અનાયાસે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ભારતમાં સત્તાવાર ઓફિસ ખોલીને એશિયામાં જાપાન પછી ભારતને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઘટનાને સ્થાપક બીવરના ભારત આગમન સાથે ભલે કોઈ સીધો સંબંધ નથી, પણ ભારતમાં પ્રતિનિધિની નિમણૂંકની ઘટનાથી ગિનેસ સાથેનો ભારતનો નાતો વધુ ગહેરો થયો છે એ તો આંકડાઓ બયાઁ કરે છે.
અવનવા વિક્રમો માટેની વિશ્વભરમાંથી આવતી સરેરાશ ૧૦ અરજીઓ પૈકીની એક અરજી ભારતની હોય છે! ભારતમાંથી વિભિન્ન વિક્રમો માટે વર્ષે ૩,૦૦૦ દાવાઓ થાય છે. એટલે કે રજાઓના દિવસોને બાદ કરી દેવામાં આવે તો એક દિવસમાં ૧૦ નવા વિક્રમો માટે દાવો કરવામાં આવે છે. આ સંખ્યા ભારતને ત્રીજા નંબરનો સૌથી વધુ અરજીઓ મોકલતો દેશ બનાવવા માટે પૂરતી છે. ભારતથી આગળના ક્રમાંકે રહેલા અમેરિકા અને બ્રિટનનું સ્થાન પણ હવે તો જોખમમાં છે. જે રીતે આપણે ત્યાં અવનવા વિક્રમો માટેનો ક્રેઝ વધ્યો છે એટલે કદાચ આપણે એકાદ-બે વર્ષમાં સૌથી વધુ અરજી મોકલતો દેશ બની જઈએ તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય!
જોકે, એમાંથી બધા જ વિક્રમો દર્જ નથી થઈ જતાં. ઘણાં ખરાં પૂરાવાઓના અભાવે નોંધાતા નથી, તો ઘણા સ્હેજ માટે ચૂકી જતાં હોય છે. કેટલાકના પ્રયાસો એટલા કમનસીબ હોય છે કે અમુક વિક્રમનો પ્રયાસ ભારતમાં થયો હોય એના માત્ર થોડા દિવસો પહેલા જ એવો વિક્રમ નોંધાઈ ચૂક્યો હોય છે. અહીંથી અરજી તો સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસ પણ હાથ ધરાઈ ગઈ હોય, પરંતુ ૬ સપ્તાહ ચાલતી ચકાસણી પ્રક્રિયામાં ખબર પડે છે કે એવી જ બીજી અરજી માત્ર બે-પાંચ દિવસ પહેલા જ મળી ગઈ હોવાના કારણે પ્રથમને પ્રાથમિકતાના ન્યાયે ભારતની અરજી લાયક ઠરતી નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ૨૦૧૩ના એક સત્તાવાર સ્ટેટમેન્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિભિન્ન રેકોર્ડ નોંધાવવા માટેના દાવાઓમાં ૪૦૦ ગણો વધારો થયો છે અને એમાંથી રેકોર્ડ નોંધાવવાની ટકાવારીમાં પણ ૨૫૦ ગણો વધારો નોંધાયો છે.
વિક્રમોનો દાવો જ થાય છે એવું ય નથી. હવે તો સંખ્યાબંધ વિક્રમો નોંધાય પણ છે. ગિનેસ બૂકના અહેવાલ પ્રમાણે ભારતના દાવાઓમાંથી ૬૦-૭૦ ટકા દાવાઓ વિક્રમ સાબિત થઈ જાય છે. ઈન્ટરનેટના કારણે ક્યો વિક્રમ કોના નામે-ક્યારે નોંધાયો છે એ વિશે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરિણામે વિક્રમો માટે પ્રયાસ કરનારા પહેલાથી જ જાગૃત હોય છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડવાનો હોય તો તો ઘણી સરળતા રહે છે, પણ નવો રેકોર્ડ નોંધાવતી વખતે ય આવી માહિતી અસરકારક ભૂમિકા ભજવે છે.
એક બીજો ફરક એ આવ્યો છે કે એકાદ દશકા પહેલા ભારતની રેકોર્ડ બૂકમાં કોઈ રેકોર્ડને સ્થાન મળે એ પછી ગિનેસ માટે પ્રયાસો શરૃ થતાં હતાં. એટલે કે પ્રથમ ટાર્ગેટ ગિનેસ નહીં, પણ સ્થાનિક રેકોર્ડ બૂક્સ હતી. સ્થાનિક બૂકમાં સફળતા મળે પછી જ આગળનું લેવલ પાર કરીને ગિનેસ સુધી પહોંચવાનું વલણ હતું. એના બદલે હવે 'રેકોર્ડ મતલબ ગિનેસ' એવી સમજ વધુ મજબૂત બની ગઈ છે.
ભારતમાં ગૃપના વિક્રમો નોંધાવવા બહુ આસાન છે અને ગિનેસમાં નોંધાતા રેકોર્ડમાં નજર કરીએ તો એ વાત ધ્યાનાકર્ષક બની રહે છે. રાષ્ટ્રગીતનું સમુહગાયન, રાષ્ટ્રપિતાના લિબાસમાં બાળકોની રેલી, એક દિવસમાં ૨૫ લાખ લોકોની રેલવે મુસાફરી, એક સપ્તાહમાં લાખો નવા બેંક અકાઉન્ટ્સ, મેરેથોન, સાયકલ સ્પર્ધા...વગેરે ગૃપ રેકોર્ડ્સ બનાવવા ભારત માટે સરળ છે. અહીં સમુહ એકત્ર કરવાનું કામ આસાન હોવાના કારણે જ કદાચ આવા વિક્રમો આપણા નામે અઢળક નોંધાયા છે અને હજુ ય નોંધાઈ રહ્યાં છે.
ગિનેસ રેકોર્ડના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુક્લાએ એક વખત કહ્યું હતું ઃ ભારતમાં રેલવે ટિકિટથી લઈને પાર્કિંગ સુધી બધે જ સ્પર્ધાત્મક માહોલ છે. સંખ્યાબંધ લોકો એ આપણી શક્તિ છે અને એટલે જ રેકોર્ડ માટેનો અહીં અવકાશ છે, નવા નવા સમુહ વિક્રમો બને એવો સ્વાભાવિક માહોલ છે. કદાચ એટલે જ સંખ્યાને લગતા વિશ્વ વિક્રમો તોડવા ભારત માટે બીજા દેશોની તુલનાએ વધુ આસાન છે.
સામુહિક વિક્રમોની હરોળ થાય છે એ વાત સાચી, પણ સ્પર્ધા હોવાના કારણે જ અન્યથી અલગ પડી જવાનું સ્હેજ કપરું છે. વળી, ગિનેસનો રેકોર્ડ હોલ્ડર મીડિયા કવરેજ મેળવે છે, લોકોનું અટેન્શન મેળવે છે, ભારતના અસંખ્ય નાગરિકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી અનુભવે છે અને એટલે જ આપણે ત્યાં વ્યક્તિગત રેકોર્ડ નોંધાવવા માટે રેકોર્ડ બ્રેકિંગ યત્નો થતા રહે છે. ગિનેસ રેકોર્ડ પબ્લિકને પબ્લિસિટી અપાવી દે છે. વિશ્વભરમાં નોંધ લેવાતી હોવાના કારણે ય ગિનેસનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં ગિનેસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં મ્યુઝિયમ બન્યું છે અને એશિયામાં ગિનેસ રેકોર્ડે પ્રતિનિધિ નિમ્યો હોય એવો ભારત બીજો દેશ છે. આ જ બતાવે છે કે આપણે ગિનેસને ગંભીરતાથી લઈએ છીએ એટલી જ ગંભીરતાથી ગિનેસ આપણને પણ લે છે!

ભારત સ્થિત પ્રતિનિધિને ગિનેસ રેકોર્ડે કઈ રીતે પસંદ કર્યા?
નિખિલ શુક્લા ઘણી કંપનીઓમાં માર્કેટિંગની જવાબદારી નિભાવતા હતા. એવી જ એક જવાબદારીના ભાગરૃપે એક વખત તેણે લંડન સ્થિત ગિનેસ બૂક ઓફ રેકોર્ડની ઓફિસનો સંપર્ક કર્યો. વાસણ સાફ કરવાનું પ્રવાહી બનાવતી કંપનીએ એક જ બોટલમાં સૌથી વધુ પ્લેટ્સ સાફ કરી નાખવાનો દાવો કર્યો હતો. એ ખરેખર તો રેકોર્ડ કરતા પબ્લિસિટી સ્ટંટ વધુ હતો. ગિનેસને રસ પડયો અને પછી ચેન્નાઈમાં એ રેકોર્ડ પણ નોંધાયો. એ પછી નિખિલે ફિડબેક માટે ફરીથી ગિનેસનો સંપર્ક કર્યો ત્યારે લંડનની ઓફિસમાંથી ભારતમાં પ્રતિનિધિ નિમવાનો હોવાનું કહ્યું અને નિખિલને રસ હોય તો પણ વિચારીને જવાબ આપવાનું કહ્યું. નિખિલે પોતાના માર્કેટિંગના દૃષ્ટિકોણથી વિચારી જોયું અને તેને એમાં તકો પણ દેખાઈ. એમ ૨૦૧૧માં નિખિલને સત્તાવાર રીતે ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂંક મળી. 
ગિનેસના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુકલા

આજે ભારતના વિશાળ માર્કેટને અને રેકોર્ડની વેરાયટીને ધ્યાનમાં રાખીને ગિનેસે અલાયદી વેબસાઇટ બનાવી આપી છે. જેમાં ભારતના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મફતમાં દાવો કરી શકે છે અને કોઈ પણ નાનકડાં ગામડાંઓના દાવાઓને પણ ધ્યાનમાં લઈને નિખિલ સંપર્ક કરે છે અથવા તો રૃબરૃ જઈને તપાસ કરે છે. વળી, ગિનેસ બૂકની ગાઇડ લાઇન્સ પ્રમાણે ૬ સપ્તાહમાં કોઈ પણ દાવાને ખરો કે ખોટો સાબિત કરવો પડે છે એટલે અને ભારતમાં થતાં માતબર દાવાને જોતા નિખિલના ભાગે ઘણી કામગીરી આવે છે.
* વાનગી પ્રિય ભારતમાં વાનગીઓના ઘણા નાના-મોટા રેકોર્ડ નોંધાયા છે. એવો જ એક રેકોર્ડ કે દામોદરન નામના રસોઈયાએ દર્જ કર્યો હતો. તેણે ૨૪ કલાકમાં ૬૧૭ વાનગીઓ બનાવી હતી.
* આરૃષિ ભટનાગર નામની માત્ર આઠ વર્ષની બાળકી વિશ્વમાં સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ પેઇન્ટર છે અને તેના ૩૦૦૦ ચિત્રો પ્રદર્શિત થઈ ચૂક્યાં છે.
* ૧૩ આંકડાંઓનો ૨ સાથે માત્ર ૩૦ સેકન્ડમાં ગુણાકાર કરવાનો વિક્રમ શકુંતલા દેવીએ ૧૯૮૦માં કર્યો હતો અને એ પણ કમ્પ્યુટરે અચાનક આપેલા નંબરોની ગણતરી સેકન્ડોમાં કરવાનો પડકાર ઝીલ્યો હતો. શકુંતલા દેવીને હ્યુમન કેલક્યુલેટર તરીકે પણ નવાજવામાં આવ્યાં હતાં.
* કિશન શ્રીકાંત નામનો છોકરો જે હવે ૧૯ વર્ષનો છે, પણ તેણે ૨૦૦૬માં ફૂટપાથ નામની ફિલ્મ બનાવી ત્યારે તે માત્ર ૯ વર્ષનો હતો. એ સાથે જ તે દુનિયાનો સૌથી નાની વયે ફૂલલેન્થ ફિલ્મ ડિરેક્ટ કરવાનો ડિરેક્ટર બની ગયો હતો.
* ૫૪ લોકોએ નવેમ્બર-૨૦૧૦માં એક જ બાઇક પર બેસીને ૯૨૫ મીટરનું અંતર કાપ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
* ઈન્ડિયન આર્મીની એક ટૂકડીએ ૧૦ બાઇક ઉપર સવાર થઈને ૨૦૧ સૈનિકોએ પિરામિડ બનાવ્યો હતો અને ૨૦૦૧માં જયપુરમાં ૧૨૯ મીટરની દૂરી તય કરી હતી.
* ભારતના નામે ગૌરવપ્રદ રેકોર્ડ્સની સાથે સાથે બીજા એવા રેકોર્ડ પણ નોંધાયા છે જે ખરેખર આપણે ઈચ્છતા ન હોય અને એના માટે ગૌરવ પણ ન લઈ શકીએ. જેમ કે, સૌથી મોટા પ્રમાણમાં બાળમજૂરો ધરાવતો દેશ, સૌથી વધુ અભણ લોકો, અપૂરતા ખોરાકથી પીડાતા લોકો.
Sunday, 8 February 2015
Posted by Harsh Meswania
Tag :

ડૂમ્સડે ક્લોક : સમય વર્તે સાવધાન!


૨૨ જાન્યુઆરીએ ડૂમ્સડે ક્લોક ૨૨મી વખત સેટ થઈ. એમાં રાતના ૧૨ વાગવામાં માત્ર ૩ મિનિટ બાકી છે. ૩૦ વર્ષ પછી ઘડિયાળ કયામતના સમયની આટલી નજીક પહોંચી છે, જે બતાવે છે કે વિશ્વ ભયાનક અરાજકતા તરફ ધકેલાઈ રહ્યું છે અને ગમે ત્યારે દુનિયાના ૧૨ વાગી શકે છે. આ કયામતનો સમય કલ્પનાઓના ઘોડાઓના આધારે નહીં, પણ સાયન્સની લગામ હાથમાં રાખીને નક્કી કરવામાં આવે છે...

બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલો કરીને અમેરિકાએ જાપાનને બેવળ વાળી દીધું ત્યારે દુનિયાને ખબર પડી કે યુદ્ધમાં આવા ભીષણ શસ્ત્રોનો હુમલો ય થઈ શકે છે અને દુનિયા પળવારમાં ખતમ પણ થઈ શકે છે. પરમાણુ શસ્ત્રની શોધ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થનારા સાયન્ટિસ્ટ-સંશોધકો માટે એ સમય વિચાર માંગી લે એવો હતો. જો ભવિષ્યમાં આવા જ ખતરનાક હુમલાઓ થતાં રહ્યાં તો દુનિયાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે એવા એંધાણ બીજા વિશ્વયુદ્ધમાં જ વર્તાઈ ગયા હતાં.
સંશોધન તો થઈ ગયું હતું, ભાથામાંથી તીર છૂટી ગયું હતું એટલે એ પાછું વળે એમ તો નહોતું. પણ જો એની માત્રા વધી જાય ત્યારે પ્રતીકાત્મક રીતે દુનિયાને એની ગંભીરતાનો અહેસાસ કરાવી શકાય તો કદાચ લાંબાં ગાળે એનું પરિણામ મળી શકે એ વિચાર સાથે કેટલાક વિજ્ઞાાનિકોએ ડૂમ્સડે ક્લોકની રચના કરી.એમાં રાતના ૧૨ વાગ્યાનો સમય સિમ્બોલિક રીતે દુનિયાનો કયામતનો સમય છે એમ ધારીને એની આસપાસ ઘડિયાળનો કાંટો સેટ કરવાનું નક્કી થયું. એવી ઘડિયાળ બનવા પાછળ વળી એ જ સાયન્સ જર્નલનું કવર પેજ જવાબદાર હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા-બ્રિટન અને કેનેડા દ્વારા અણુબોંબ બનાવવા માટે પ્રોજેક્ટ મેનહટ્ટન હાથ ધરાયો હતો. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર લેંગ્સડ્રોફ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેમણે જ પછીથી બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલ બનાવવામાં અગત્યનો રોલ પણ અદા કર્યો હતો. તેમના આર્ટિસ્ટ પત્ની માર્ટયલે એ સાયન્સ જર્નલનું ટાઇટલ પેજ બનાવ્યું એમાં સિમ્બોલિક રીતે તેમણે ૧૨ વાગ્યાને દુનિયાનો અંતિમ સમય બતાવીને તે વખત (૧૯૪૭)ની સ્થિતિ દુનિયા માટે ૧૨માં ૭ મિનિટ બાકી છે એવું પ્રતીકાત્મક રીતે બતાવ્યું હતું. વિનાશક શસ્ત્રોની લપેટમાં આવી ગયેલી દુનિયાને વારે-તહેવારે કશોક સંદેશો આપવાનું વિચારતા વિજ્ઞાાનિકોના એ ગૃપને પણ માર્ટયલનો વિચાર ગમી ગયો હતો એટલે પછીથી રાતના ૧૨ વાગ્યાને કયામતનો સમય ગણીને જ અત્યાર સુધીમાં ૨૨ વખત સમયને સેટ કરાયો છે.
બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલના
જૂન, 1947ના અંક માટે માર્ટયલ લેંગ્સડ્રોફે બનાવેલું કવર પેજ

ક્યારેક સમય ૧૨ની સાવ નજીક સરકી ગયો હોય, તો ક્યારેય ભયના વાદળ વિખેરાઈ જતા સમય રાતના ૧૨થી ઘણો દૂર સરકીને વિશ્વમાં બધુ હેમખેમ હોવાનો સંકેત પણ એ કાંટો આપતો રહે છે. શિકાગો યુનિવર્સિટીમાં બૂલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટની ઓફિસ છે. એ ઓફિસની દિવાલમાં ડૂમ્સડે ક્લોક લટકાવી રાખવામાં આવે છે. જે સતત દુનિયા કેટલી સલામત છે કે અસલામત છે એ બતાવતી રહે છે.
સમય જતાં અણુબોંબ, એવા જ બીજા વિનાશક શસ્ત્રો કે કેમિકલ વેપન્સ ઉપરાંતના પરિબળોને પણ ગણતરીમાં લેવામાં આવવા લાગ્યાં. જેમ કે, પર્યાવરણની બદલતી સ્થિતિ, પરમાણુ શક્તિનો વધતો ખતરો, વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના યુદ્ધો અને વિશ્વમાં પ્રભાવ પાડી શકતા દેશોમાં બદલતા રાજકીય સમીકરણો અને સૈન્યબળ અને સુરક્ષાનો અભ્યાસ કરીને વિશ્વમાં કેટલી અરાજકતા છે કે કેટલી શાંતિ છે એના આધારે ઘડિયાળ રાતના ૧૨ આસપાસ સેટ થતી રહે છે.
જોકે, ઘણી વખત ડૂમ્સડે ક્લોકની ટીકા પણ થઈ છે. સાયન્ટિસ્ટ દ્વારા કઈ રીતે રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય? પરમાણુ ખતરો અને મિસાઇલ પાવર ઉપર તો ઠીક છે કે વિજ્ઞાાનિકોની સમજ હોય અને એ ઉપરાંત પર્યાવરણની બાબતમાં પણ વિજ્ઞાાનિકો જાણકારી અંગે સવાલ ન ઉઠાવી શકાય પણ આતંકવાદી સંગઠનો વગેરેનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સામે વિજ્ઞાાનિકોનો ખૂલાસો એવો રહેતો આવ્યો છે કે જે તે વિષય માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને ઘડિયાળ વિશ્વમાં ભય ફેલાવવાનું કામ પણ નથી કરતી. એ તો સિમ્બોલિક રીતે જાગૃતિ ફેલાવવામાં કારણભૂત બને છે. ઘડિયાળનો કાંટો જ્યારે જ્યારે ૧૨ની સાવ નજીક આવી ગયો છે ત્યાર પછી કોઈક કારણોસર વિશ્વ શાંતિની નજીક આવ્યું છે અને ત્યાર પછી કાંટો ૧૨ની દૂર સરકતો રહ્યો છે.
આ ક્લોકના આંકડાંને ગંભીરતાથી લેવાનું એક કારણ સાયન્સ એન્ડ સિક્યુરિટી બોર્ડના વૈજ્ઞાાનિક સભ્યો ઉપરાંત સાયન્સના નોબેલ પ્રાઇઝ વિનર ૧૭ વિજ્ઞાાનિકોનું બનેલું બોર્ડ ઓફ સ્પોન્સર્સ છે. વિશ્વભરના ગણનાપાત્ર ૩૫-૪૦ સાયન્સ-ટેકનોલોજિ-સિક્યુરિટીના મહારથીઓના વિશ્લેષણના આધારે સમગ્ર મુલ્યાંકન થાય છે.
ઘડિયાળનો અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત પોઈન્ટ ૧૯૯૧માં સેટ કરવામાં આવ્યો હતો. અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા કોલ્ડવોરનો અંત આવ્યો ત્યારે ૧૯૯૧માં ઘડિયાળનો સમય ૧૧.૪૩ કરી દેવામાં આવ્યો હતો. રાતના ૧૨થી ૧૭ મિનિટ દૂરનો ઘડિયાળનો એ કાંટો  અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમયગાળો હતો. જોકે, એ સમયગાળો માત્ર ચાર વર્ષ ચાલ્યો હતો. ત્યાર બાદ ફરીથી દુનિયા સતત અરાજકતા તરફ ધકેલાતી જતી હોય એમ ઘડિયાળનો કાંટો રાતના ૧૨ની નજીક સરકતો રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શરૃ થયેલાં શીતયુદ્ધ દરમિયાન એક બીજાને પાછળ પાડી દેવા માટે ભયનજક સપાટી સુધી પહોંચવા લાગ્યું હતું. ત્યારે ૧૯૫૩માં ડૂમ્સડે ક્લોકનો સમય રાતના ૧૨ વાગ્યાથી માત્ર ૨ મિનિટ દૂર કરાયો હતો. એટલે કે જો આ સ્થિતિ રહી તો પૃથ્વીના ૧૨ વાગી શકે એવા સ્પષ્ટ ચિહ્નો જણાતા હતા, પણ ૧૯૬૦ સુધીમાં રાજકીય સ્થિતિ બદલાવા લાગી હતી એટલે ફરીથી કાંટો ૧૨થી ૭ મિનિટ દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.
સમયનો કાંટો ૧૨ વાગ્યાથી જેટલો દૂર એટલો ખતરો ઓછો અને કાંટો ૧૨ની નજીક પહોંચે એટલે દુનિયા જાણે વેન્ટિલેટર પર મૂકાય જાય છે- અલબત્ત સિમ્બોલિક રીતે જ! એમાં કયામતના દિવસની કપોળ-કલ્પિત આગાહીઓ નથી કરવામાં આવતી પણ દુનિયામાં ખતરો વધી રહ્યો હોવાની વિશ્લેષક એંધાણી બતાવવામાં આવે છે.

કાંટો ફેરવનારી ટીમમાં એક ભારતીય
વિજ્ઞાનીઓની વૈશ્વિક ટૂકડી ઘડિયાળનો સમય ક્યારે આગળ કે પાછળ કરવો એ નક્કી કરે છે. એ પેનલમાં ભારતીય સાયન્ટિસ્ટ અને દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ પણ છે. પ્રોફેસર રાજારમણે ૧૯૯૮માં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે અમેરિકા અને ભારતના પરમાણુ કરાર અંગેની દૂરગામી અસરોથી લઈને બંને દેશોના પરમાણુ સિક્યુરિટી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. ૧૯૩૯માં જન્મેલા પ્રોફેસર આર. રાજારમણે ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યા પછી ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ અને વિદેશી અનુભવનો લાભ આપ્યો હતો. તેઓ ડૂમ્સડે ક્લોકની પેનલના એક માત્ર ભારતીય સભ્ય છે. ક્લોકની કાર્યપદ્ધતિ વિશે પ્રોફેસર રાજારમણ સાથે થયેલી વાતચીતના અંશો...
પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ
ક્લોકનો સમય સેટ કરવાનો કોઈ ચોક્કસ સમય ખરો?
આમ તો દર વર્ષે બેઠક મળે છે અને એમાં વર્ષભરની વિશ્વની સ્થિતિ અંગે વિશ્લેષણ થાય છે, પણ દરેક વખતે જરૃર ન હોય તો ક્લોકમાં સમય ફેરફાર નથી કરાતો.

સમય આગળ પાછળ કઈ રીતે લઈ જવાય છે?
દર વર્ષે બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટની બેઠક મળે છે. સામયિકમાં વર્ષભર પબ્લિશ થતા વિચારો અને વિજ્ઞાાનની અલગ અલગ શાખાના નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાાનિકોના મતાનુસાર જે તે વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે ઘડિયાળના સમયને રાતના ૧૨ વાગ્યાની નજીક કે દૂર લઈ જવામાં આવે છે.

વિશ્વમાં ડૂમ્સડે ક્લોકના સમયની કેવી અસર થાય છે?
વિશ્વના ગણનાપાત્ર વિજ્ઞાાનિકો બૂલેટિન ઓફ એટોમિકને પોતાના વિચારો રજૂ કરતા રહે છે અને એના આધારે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. વિભિન્ન દેશોની સરકારો તેમની સુરક્ષા પોલિસીમાં ડૂમ્સડે ક્લોકના કારણે સીધો ફેરફાર કરતા હોય એને એની ક્રેડિટ આપતા હોય એવું તો ભાગ્યે જ બને છે, પણ આડકતરી અસર તો થાય છે. કેમ કે, ૧૨ વાગ્યાની સાવ નજીક આવેલો સમય દરેક વખતે દૂર જાય છે. પરિણામે કટોકટીની પરિસ્થિતિ પછી વિશ્વ વધુ સલામત થયું છે.

ડૂમ્સડે ક્લોક પાછળનો વિજ્ઞાાનિકોનો હેતુ શું છે?
ક્લોક આપણને જાતે વિનાશ ન નોતરવાની ચેતવણી આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શક્તિની ઘાતક અસરો જોયા પછી વિજ્ઞાાનિકોને અહેસાસ થયો હતો કે આ ભયંકર શક્તિ પૃથ્વીનો વિનાશ પણ નોતરી શકે છે. બ્રહ્માસ્ત્રની આધૂનિક આવૃત્તિ જેવા આ વિનાશક શસ્ત્રનો બેફામ ઉપયોગ થાય તો માનવજાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે વિજ્ઞાાનિકોએ મળીને બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પરમાણુ શક્તિના આધારે કયામતનો સમય કેટલો દૂર છે એનો સિમ્બોલિક સમય આપ્યો હતો. એ પછી સમયાંતરે એમાં પર્યાવરણ, આંતરિક યુદ્ધો અને એમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે.

ઘડિયાળના ફેરફારમાં ભારતનો ફાળો કેટલો?

૧૯૬૩માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૨ મિનિટ દૂર હતી. એ પછી વિશ્વમાં બનેલી વિવિધ ઘટનાઓના કારણે ૧૯૬૮માં ક્લોકને સેટ કરવામાં આવી ત્યારે રાતના ૧૨માં ૭ મિનિટનો જ ફાસલો રહ્યો હતો. એમાં ભારત-પાકિસ્તાના યુદ્ધનો ય ફાળો હતો. ૧૯૭૨માં ક્લોકનો સમય ૧૨ વાગ્યામાં ૧૨ મિનિટ ઓછો હતો અને ૧૯૭૪માં ક્લોકનો ટાઇમ ૧૨માં ૯ મિનિટ કમ હતો ત્યારે પણ એક કારણે ભારતનું પરમાણુ પરિક્ષણ હતું. ૧૯૯૫માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૪ મિનિટ દૂર હતી પણ જ્યારે ૧૯૯૮માં ક્લોકના કાંટો પાંચ મિનિટ નજીક આવીને ૧૨માં ૯ ઓછો રહ્યો ત્યારે એમાં ભારત અને પાકિસ્તાને ઉપરા છાપરી કરેલા પરમાણું પરિક્ષણો ય જવાબદાર હતા. ત્રણ વખત ડૂમ્સડે ક્લોકમાં સમય બદલવામાં ભારતનો ઉલ્લેખ થયો છે અને ત્રણેય વખત કાંટો ભયનજક સપાટીની નજીક આવ્યો હતો!
Sunday, 1 February 2015
Posted by Harsh Meswania
Tag :

ટેલિપ્રોમ્પ્ટર : નેતાઓના છટાદાર વકતવ્ય પાછળનું ત્રીજું નેત્ર



વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્ટ ટેલિપ્રોમ્પ્ટરની મદદથી છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપીને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપકરણ ખરેખર તો નાટકોના અભિનેતાઓ લાંબાં સંવાદો ભૂલ વગર બોલી શકે એ માટે ડિઝાઇન થયું હતું

અમેરિકન ટેલિવિઝન-સ્ટેજ એક્ટર ફ્રેડ બાર્ટનને વિચાર આવ્યો કે જો ડાયલોગ્સ ગોખવાને બદલે સામે ટેલિવિઝનની સ્ક્રીન જેવી કોઈ વ્યવસ્થા હોય અને એમાં ડાયલોગ્સ લખાયેલાં હોય તો એક્ટરનું કામ કેટલું સરળ થઈ જાય? એણે પોતાની લાગણી ઈલેક્ટ્રિકલ ઈજનેર મિત્ર હ્યુબર્ટ સ્ક્લાફ્લાય સામે વ્યક્ત કરી અને એવું કશુંક સાધન બનાવી દેવા કહ્યું. હ્યુબર્ટે એમાં જરૃરી સાધનો માટેનું બજેટ માગ્યું. બજેટ આપવાની તૈયારી એ બંનેના બિઝનેસમેન મિત્ર ઈરવિન બર્લિને બતાવી અને કામ શરૃ થયું.
વર્ષ-બે વર્ષની મહેનત પછી અંતે હ્યુબર્ટે એક ડિઝાઇન તૈયાર કરી નાખી. જેમાં ટેલિવિઝન જેવી દેખાતી સ્ક્રીનમાં જરૃરી લખાણ ફરતું રહે અને જેને વાંચવાનું છે એ સામે જોઈને સરળતાથી વાંચી શકે એવી ટેકનિક વિકસાવાઈ હતી. બિઝનેસમેન મિત્ર ઈરવિનને એ ડિવાઇઝમાં ભરપૂર શક્યતાઓ દેખાતી હતી એટલે તેણે એની પેટર્ન રજિસ્ટર કરાવી નાખવાની ભલામણ કરી, સાથે સાથે એમાં કોઈ મોટા રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્કને જોડવાનો પ્લાન પણ બનાવ્યો. કારણ કે, એ દિવસોમાં ન્યૂઝ રીડરને ટેબલ પર જોઈને વાંચવું પડતું હતું અથવા તો સમાચાર ગોખવા પડતા હતાં, જેમાં ભૂલો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હતી.
ટેલિવિઝનમાં ટૂંકાગાળામાં વધુ કામ કરવાનું હોય એટલે મીડિયા પર્સન્સ માટે બધુ યાદ રાખવું મુશ્કેલ હોય. એ સ્થિતિમાં નવા વિકસતા જતાં ટેલિવિઝન ન્યૂઝના ફિલ્ડમાં કમાણી કરવાના હેતુથી ટેલિપ્રોમ્પ્ટરના બિઝનેસમાં વિશાળ તકો છે એમ ઇરવિનનું માનવું હતું. અમેરિકાનું કોઈ મોટું નેટવર્ક એ ડિવાઇઝમાં રોકાણ કરે તો કંઈક વાત બને એમ હતી.
ડિઝાઇન લઈને ત્રણેય મિત્રોએ અમેરિકાના બે વિશાળ રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્ક- સીબીએસ કોર્પોરેશન અને ટેલિવિઝન તેમ જ ફિલ્મમાં મોટું નામ ગણાવા લાગેલા ફોક્સ સ્ટૂડિયોનો સંપર્ક કર્યો. બેમાંથી એકેયને એમાં રોકાણ કરવાનું યોગ્ય ન લાગ્યું. નિરાશ થવાના બદલે અંતે ત્રણેયે હિંમત કરીને કંપની બનાવવાનું નક્કી કર્યું. કંપનીનું નામ રાખ્યું- ટેલિપ્રોમ્પ્ટર. જે પછીથી કંપનીનું જ નહીં, પણ એ સાધનનું જ બ્રાન્ડનેઇમ બની ગયું.
ટેલિપ્રોમ્પ્ટર નામ રાખવા પાછળનો તર્ક કંઈક આવો હતો- ટેલિવિઝનની સ્ક્રીન જેવો દેખાવ હોવાના કારણે આગળનું નામ તો સ્વાભાવિક રીતે જ ટેલિ રાખ્યું, પરંતુ પાછળ ઉમેરાયેલા પ્રોમ્પ્ટરનો અર્થ - 'નાટક દરમિયાન સંવાદો યાદ કરાવનાર સહાયક' એવો થતો હતો. એ રીતે સંવાદો યાદ કરાવનારા સહાયક તરીકે 'ટેલિપ્રોમ્પ્ટર'ને અમેરિકન બજારમાં પ્રવેશ કરાવાયો ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સંવાદો યાદ કરાવવાના હેતુ સાથે ઉપલબ્ધ થયેલું આ સાધન વિશ્વભરના નેતાઓના લાંબાં ભાષણો પણ ગોખી મારશે! પછીથી એ કંપનીએ વિશાળ ટેલિવિઝન નેટવર્ક બનીને ત્રણેય શોધક-સાહસિકોને અઢળક નાણાં ય રળી આપ્યાં.
                                                                              * * *
ટેલિપ્રોમ્પ્ટરનો સૌપ્રથમ ઉપયોગ ધ 'ફર્સ્ટ હન્ડ્રેડ યર્સ' નામના નાટકમાં થયો હતો. ન્યૂઝમાં પહેલી વખત ઉપયોગ ૧૯૫૩માં લુસી બેલ અને ડેસી અર્નાસ નામના પ્રોગ્રામ સંચાલકોએ કર્યો હતો. સીબીએસ કોર્પોરેશનના પ્રોડયુસર ડોન હેવિટને જ્યારે પેલા ત્રણ સંશોધકોએ એ ડિવાઇઝના ઉપયોગની વાત કરી ત્યારે તેણે પોતાના વિખ્યાત એન્કર ડગ્લાસ એડવર્ડ સાથે ઓળખાણ કરાવીને કહ્યું હતું કે અમારો એન્કર બ્રેઇલ લિપિ જાણે છે, એટલે એને કેમેરા સામે નજર રાખતી વખતે ટેબલ પર નીચે જોવાની જરૃર નથી. એટલે જ અમારે તમારા ડિવાઇઝની પણ જરૃર નહીં પડે. જોકે, ડોન હેવિટે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર એક જ દશકામાં જગતભરની સમાચાર ચેનલ્સની ટેલિપ્રોમ્પ્ટર વગર કલ્પના પણ નહીં થાય! આજેય વિશ્વની એકેય ન્યૂઝ ચેનલ ટેલિપ્રોમ્પ્ટર વગર શક્ય જ નથી! હવે સમાચાર ચેનલ શરૃ કરતી વખતે પાયાના સાધન તરીકે ટેલિપ્રોમ્પ્ટરની ગણના કરવી અનિવાર્ય છે.
ન્યૂઝ માટેના ટેલિપ્રોમ્પ્ટરની ડિઝાઇન બનાવવાનો યશ જેસ ઓપનહેમરને મળે છે. તેણે ટેલિપ્રોમ્પ્ટરની સાથે જ કેમેરા લેન્સ ગોઠવી દીધો હતો એટલે ન્યૂઝ રીડર માટે તેનો ઉપયોગ બહુ જ સરળ બની જાય છે. એનાથી કેમેરા સામે જોઈને ન્યૂઝ રીડ થઈ રહ્યાંનો આબાદ આભાસ ઉભો થાય છે.
જોકે, એ સમયે ટેલિપ્રોમ્પ્ટર ખરીદવાનો ઉમળકો ભાગ્યે જ કોઈ દાખવતા હતા. નાટક સાથે જોડાયેલાં હોય અથવા તો ટેલિપ્રોમ્પ્ટરને ભાડે આપવાનો નવો બિઝનેસ કરતાં હોય એ જ ખરીદવાનો ઉત્સાહ બતાવતા! ૫૦'ના દશકામાં એનું એક કલાકનું ભાડું ૧૫૦૦ રૃપિયા કરતા પણ વધારે હતું. કોર્પોરેટ કંપનીના કાર્યક્રમોમાં કે રાજકીય સંમેલનોમાં ટેલિપ્રોમ્પ્ટર ભાડે લેવામાં આવતું હતું. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરની લોકપ્રિયતા સિદ્ધ કરે એવો રસપ્રદ કિસ્સો બન્યો હતો.
૧૯૨૯-૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા અને ૮૦ વર્ષની વયે પહોંચેલા હર્બર્ટ હૂવરે ૧૯૫૨માં શિકાગોમાં યોજાયેલા રિપબ્લિક પાર્ટીના એક સંમેલનને સંબોધવા માટે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું. હૂવરે સ્હેજપણ અકળાયા વગર ટેલિપ્રોમ્પ્ટર ફરીથી ચાલું કરવાની પોતાના સહાયકોને સૂચના આપી અને એટલી વાર સુધી શાંતિથી રાહ જોઈ. એ ઘટનાએ ટેલિવિઝન અને અખબારોમાં સ્થાન મેળવ્યું. જેના કારણે અખબારો-સામયિકો-ન્યૂઝ ચેનલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર કઈ રીતે કામ કરે છે એની સમજૂતિઓ પણ આપવામાં આવી; લોકોને આ નવા ડિવાઇઝનો પરિચય મળ્યો. એ ઘટનાએ એકાએક ટેલિપ્રોમ્પ્ટરની માર્કેટ વેલ્યુ વધારી દીધી. વળી, એ જ સમયગાળામાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિક નેતા અને પછીથી અમેરિકાના ૩૪મા પ્રમુખ બનેલા ડ્વાઇટ એસનહૂવરે પણ પોતાના પ્રચાર ઝુંબેશમાં વ્યાપકપણે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી.
ડ્વાઇટ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા; જેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી-ખાનગી કાર્યક્રમોમાં ટેલિપ્રોમ્પ્ટરની મહત્તમ મદદ લીધી હતી. એ સિલસિલો છેક બરેક ઓબામા સુધી લંબાયો છે. ડ્વાઇનના અનુગામી જ્હોન એફ કેનેડી મહત્ત્વની સરકારી જાહેરાત વખતે આ ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એમના અનુગામી પ્રેસિડેન્ટ એલ.બી. જ્હોનસને સિવિલ રાઇટ્સ એક્ટ ૧૯૬૪ની જાહેરાત કરતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી. રોનાલ્ડ રેગન એક સાથે બબ્બે સ્ક્રીન રાખતા હતા. એ ઉપરાંત કાગળ ઉપર મહત્ત્વની નોંધ ટપકાવીને પણ સાથે રાખવાનું ચૂકતા નહોતા! બુશ પિતા-પુત્રમાં સિનિયર જ્યોર્જ બુશને ટેલિપ્રોમ્પ્ટર વધુ સગવડતાભર્યું લાગતું હતું. એમની તુલનાએ ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશ બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળતા હતા; તેઓ ટેલિપ્રોમ્પટરની મદદ માત્ર મુદ્દા જોવા માટે જ કરતા હતા. અમેરિકાના મોટા ભાગના નેતાઓ પોતાના ભાષણમાં છબરડાં ખાળવા માટે ટેલિપ્રોમ્પ્ટરને સાથે રાખે છે. વર્તમાન પ્રમુખ ઓબામા તો આ સાધનના કારણે એટલા બધા ટીકાપાત્ર બન્યા છે કે હવે તો જોક ફરતા થયા છે કે ઓબામા પત્ની મિશેલ સાથે વાત કરતી વખતે ય ટેલિપ્રોમ્પ્ટર રાખે છે!
ઓબામાના પગલે ચાલીને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન બન્યા પછી; ખાસ તો ઈંગ્લીશમાં ભાષણ આપતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવા માંડી છે. પીએસએલવીના લોચિંગ વખતે જુલાઈમાં મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત
ટેલિપ્રોમ્પ્ટરની મદદથી અંગ્રેજીમાં વકતવ્ય આપ્યું હતું. એ પછી ફરીથી સપ્ટેમ્બર માસમાં મંગળયાનની સફળતા વખતે ઈસરોમાં પ્રવચન કર્યું ત્યારે ટેલિપ્રોમ્પ્ટરનો સાથ મેળવ્યો હતો. અમેરિકાની મુલાકાત વખતે હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં જે પાંચ-સાત વકતવ્યો આપવાના થયા એમાં તેમણે એકાદ-બે વખત આ ટેકનોલોજિની મદદ લીધી હતી. મોદી સામાન્ય રીતે બે સ્ક્રીનની મદદ લેતા હોય છે અને એની ગોઠવણ એવી રીતે કરાવે છે કે ટેલિવિઝનના દર્શકો એ સ્ક્રીન જોઈ શકતાં નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમને છટાદાર રીતે અંગ્રેજી બોલતા જોઈને કોણે વિચાર્યુ હોય કે એ કમાલ તો ટેલિપ્રોમ્પ્ટરનો છે?
છબરડાં ખાળવા માટે ઉપયોગ થાય તો ટીકા ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વટ પાડવા માટે ટેલિપ્રોમ્પ્ટર ઉપયોગમાં લેવાય અને વળી એ વાત ગોપનીય રહે એ માટે સભાન રીતે પ્રયાસ થાય તો ટીકાપાત્ર ન બને તો જ નવાઈ! આ બાબતે પણ ઓબામાના પગલે ચાલવા જેવું ખરું, વધી વધીને ઓબામાની જેમ કાર્ટૂન ફરતા થશે તો એ પણ દેશવાસીઓના મનોરંજન માટે જ હશેને!

ટેલિપ્રોમ્પ્ટરના શોધકે છેક  ૬૦ વર્ષે તેનો ઉપયોગ કર્યો!
ટેલિપ્રોમ્પ્ટરની શોધ સાથે ત્રણ સંશોધકો જોડાયેલા છે. એમાંથી ફ્રેડ બાર્ટર એક્ટર હતા. તેમને એની જરૃર ક્યારેય પડી નહોતી. ઈરવિન બર્લિન મીડિયા સાથે જોડાયેલા હતા અને કેબલ ટેલિવિઝનના સ્થાપક હતા, તેને ય પોતાના માટે ક્યારેય ટેલિપ્રોમ્પ્ટના ઉપયોગની જરૃર જણાઈ નહોતી. 
ત્રીજા અને સૌથી મહત્ત્વના ભાગીદાર એવા હ્યુબર્ટ સ્ક્લાફ્લાયને છેક ૨૦૦૮માં ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવી પડી હતી. જ્યારે તેમનો વિસમી સદીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું એ પ્રસંગે બોલવાનું થયું ત્યારે છેક ૨૦૦૮માં પ્રથમ વખત તેમણે પોતાની શોધ એવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કર્યો હતો. શોધક પોતાની શોધનો લાભ લે એ પહેલા તો વિશ્વભરની ટેલિવિઝન ચેનલોથી લઈને દુનિયાભરના રાજકારણીઓ છૂટથી તેનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. ડગલેને પગલે રાજકીય નેતાઓથી લઈને સિંગર માઇલી સાયરસ સુધી ઉપયોગી થઈ પડેલું ટેલિપ્રોમ્પ્ટર તેના ત્રણ શોધકોમાંથી એકને માત્ર એક વખત ખપમાં આવ્યું હતું!
Sunday, 18 January 2015
Posted by Harsh Meswania
Tag :

ડૉ.વસંત ગોવારિકર : મૌસમને 'વસંત' આપનારા વિજ્ઞાની


ભારતના શરૃઆતી અવકાશ પ્રોગ્રામ્સમાં પાયાની ભૂમિકા ભજવનારા વિજ્ઞાની વસંત ગોવારિકર ભારતના મોર્ડન મોનસૂન મોડેલના જનક કહેવાય છે. વિદેશની લોભામણી તકો છોડીને વતનમાં વસંત ખીલાવવા પાછા આવી ગયેલા આ વિજ્ઞાનીએ સાયન્સ-ટેકનોલોજિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ય નોંધપાત્ર કામગીરી કરી છે
૧૯૪૪નું એ વર્ષ હતું. અંગ્રેજો ભારત છોડીને જતાં રહે એ માટે આખો દેશ એકી અવાજે નારો લગાવતો હતો. ગાંધીજી ચરખાના દોરા વાટે આખા દેશને એકસૂત્રતાના તાંતણે બાંધી રહ્યા હતા ત્યારે એક ૧૧ વર્ષનો છોકરો મુગ્ધ આંખે દેશમાં ચાલી રહેલી આઝાદીની ચળવળના પ્રતીક સમાં ચરખાને તાકી રહ્યો હતો. આઝાદીની ચળવળમાં જોડાયેલાં નાના-મોટા તમામ લોકો યથાયોગ્ય સમય કાઢીને ચરખો કાંતતા હતાં એટલે કોઈ કિશોર આ રીતે ચરખો જૂએ તો સ્વાભાવિક છે કે એને ય એ કળા શીખવી હોય, પરંતુ અહીં આ કિશોરના મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હતાં. એણે વિચાર્યું કે ચરખો જાતે ફરે એવી કશીક ગોઠવણ થાય તો ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે. ચરખો કાંતવાનું શીખવાની ઉંમરે એ કિશોર ચરખો બનાવતા શીખતો હતો એ જોઈને તેની ઉંમરના તરુણો મશ્કરી ય કરતા હતા. 'પહેલા ચરખો કાંતતા શીખી જા, પછી બનાવવાનું વિચારજે..' એવા વાક્યો તેના માટે લગભગ દરરોજના થઈ ગયાં હતાં. થોડા વખતની મહેનત પછી તેણે ગાંધીજી પાસે હતો એવો જ ચરખો બનાવી નાખ્યો, પણ ફરક એટલો હતો કે આપમેળે ફરે એવી તરકીબ તેણે અજમાવી હતી. એમાં રૃ કાંતતી વખતે દોરો પણ ખૂબ લાંબો નીકળતો હતો. લાકડાંની કશીક ગોઠવણથી તેણે એવું કશુંક કર્યું હતું કે એક વખત ચક્ર ફેરવી દીધા પછી ધીમે ધીમે ચરખો આપબળે ચાલતો રહેતો હતો.
એ ચરખો તેણે ગાંધીજીને બતાવવા માટે સાચવી રાખ્યો. દિલ લગાવીને કરેલું પોતાનું કામ ગાંધીજીને બતાવવાની હઠ પકડીને બેઠેલા કિશોરની ઇચ્છાશક્તિ પારખીને કોઈ વડીલે પૂણે ગાંધીજી આવ્યા ત્યારે મળવાનું પણ ગોઠવી આપ્યું.
મહાદેવભાઈ દેસાઈ એ કિશોરને ગાંધીજી પાસે લઈ ગયા. અબાલ-વૃદ્ધ સૌને સહજ રીતે મળતા ગાંધીજી પેલા કિશોરને મળ્યા ત્યારે કિશોરે ઘણા દિવસોની મહેનત પછી બનાવેલો પોતાનો અનોખો ચરખો બતાવ્યો. પહેલી નજરે ગાંધીજીને એ સાધારણ ચરખા જેવો જ લાગ્યો, પણ પછી જ્યારે એ છોકરાએ તળપદી મરાઠી ભાષામાં ગાંધીજીને સમજાવતા જઈને ચરખો કઈ રીતે કામ કરે છે એ બતાવ્યું ત્યારે ગાંધીજીએ પીઠ થાબડીને તેની પ્રશંસા કરી. મહાદેવભાઈને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું કે જો આવા આપબળે ચાલતાં ચરખા હોય તો કેટલાય કિશોર એમાંથી ખાદી વણી શકે. વળી, જે એક હાથે જ કામ કરી શકે તેમ છે એને ય આ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
ગાંધીજીના આટલા શબ્દો પેલા કિશોરને પોરસ ચડાવવા માટે પૂરતાં હતાં. કેમ કે, એને કંઈ આખી જિંદગી ચરખો બનાવવામાં કાઢવાની નહોતી, સમયાંતરે ચરખાની જરૃરીયાત તો મર્યાદિત થવાની હતી. પણ યંત્રો સાથે રચનાત્મક રીતે કામ કરવાની કુશળતા ધરાવતો કિશોર કદાચ ગાંધીજીની પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને જ આવી ટેકનિકલ પ્રવૃત્તિ તરફ વળ્યો અને પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત સાચી પાડતો હોય એમ પોતાના ટેકનિકલ નોલેજના કારણે જ વર્ષો પછી એ કિશોર ભારતને અવકાશ સુધી પહોંચાડવામાં ભાગીદાર થયો!
                                                                               * * *
૨ જાન્યુઆરીએ ૮૧ વર્ષના વિજ્ઞાની ડૉ. વસંત ગોવારિકરનું નિધન થયું. જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? ભારત આવનારા અમેરિકન પ્રમુખ બરેક ઓબામા શું ખાશે અને ક્યાં જશે? પીકેના વિરોધમાં કોણે શું કહ્યું? આયોજન પંચનું નવું નામકરણ કેમ થયું? પોરબંદરના દરિયામાં જે ભેદી બોટને આગ લાગી એમાં આતંકવાદીઓ હતા કે બીજુ કોઈ...? વગેરે વગેરે ઘટનાઓમાં વસંત ગોવારિકરના નિધનની નોંધ ભાગ્યે જ લેવામાં આવી. ગોવારિકરને ભારતના મોર્ડન મોન્સૂન મોડેલના જનક કહેવાય છે. ગોવારિકરને મોટાભાગે એના માટે જ યાદ કરાય છે, પણ ખરેખર તો એ એની અધૂરી ઓળખ આપી કહેવાય. કેમ કે, તેમણે એ સિવાય એવા કેટલાય કાર્યો કર્યા છે; જેના માટે તેમને યાદ કરવા પડે.
૧૯૩૩માં પૂણેમાં જન્મેલા વસંત ગોવારિકરે કોલ્હાપુરમાં બીએસસીનો અભ્યાસ પૂરો કરીને પારિવારિક જરૃરીયાતના કારણે નોકરી કરવા માંડી, પણ હજુયે તેને આગળનો અભ્યાસ પૂરો કરવો હતો. આર્થિક જરૃરિયાતના કારણે નોકરી મૂકી શકાય તેમ ન હતી અને નોકરીના કારણે કોલેજમાં જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું એ સમયે લગભગ અશક્ય જેવું હતું. તેમણે વચ્ચેનો માર્ગ કાઢીને પાર્ટ ટાઇમ નોકરી કરી અને બાકીના સમયમાં એમએસસી પૂરું કર્યું. એ અરસામાં જ બ્રિટન જઈને ભણવાની તક મળી ગઈ. ૫૦-૬૦ના દશકામાં તેમણે પ્રો. એફ.એચ. ગાર્નરના માર્ગદર્શનમાં માત્ર બે વર્ષમાં પીએચ.ડી કર્યું અને એણે જેના પર કામ કર્યું હતું એ તરલ પદાર્થ અને ઘન પદાર્થના વિશ્લેષણને બ્રિટનની ઘણી બધી યુનિવર્સિટીઝના સિલેબસમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં, કેેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ગણનાપાત્ર યુનિવર્સિટીઝ કે જ્યાં એમની વયના યુવાનો એડમિશન મેળવવાનું શમણું સેવતા; ત્યાં આ ૨૮ વર્ષના વિદ્વાન યુવાન પરીક્ષક બની ગયા.
વિદેશી ટેલેન્ટને મોકળા મને આવકારતા અમેરિકાએ ગોવારિકર માટે દ્વાર ખોલ્યાં. મિસાઇલ ક્ષેત્રના સંશોધન માટે ગોવારિકરને અમેરિકાનું ઈજન મળ્યું. ઓક્સફર્ડ-કેમ્બ્રિજમાં ભણતી ટેલેન્ટની પરીક્ષા લઈ શકે એવો ટેલેન્ટેડ યુવક હોય, બ્રિટનની કોલેજોમાં વિદ્યાર્થીઓ તેની થિયરીનો અભ્યાસ કરતા હોય, ૧૯૬૫ આસપાસનો સમય હોય, અવકાશ વિજ્ઞાનમાં અમેરિકાનું આધિપત્ય સિદ્ધ થવું થવું હોય ત્યારે; અમેરિકાનું આમંત્રણ ન સ્વીકારવાની હિંમત કોણ કરે?
પણ એ હિંમત વસંત ગોવારિકરે કરી. સામાન્ય રીતે આપણા ઘણા બધા વિજ્ઞાનિકો-સંશોધકોની બાબતમાં બન્યું છે એમ લગભગ આવી તક ભાગ્યે જ કોઈ જતી કરે. ભારત હજુ તો પ્રાથમિક સવલતોની બાબતમાં સંઘર્ષ કરતું હોય ત્યારે અવકાશ વિજ્ઞાનનું વિચારવાની ફુરસત કોને હોય? નવા નવા આઝાદ થયેલા દેશ સામે ગરીબી-બેકારી-ભૂખમરો જેવી વિકરાળ સમસ્યાઓ મોં ખોલીને ઉભી હોય ત્યારે વિજ્ઞાનના સંશોધન માટે સરકાર પૈસા આપશે એવી અપેક્ષા પણ વધારે પડતી હતી. એટલે ભારત જેવા દેશોના સંશોધકો માટે અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં કે જ્યાં ખરેખર તક હતી અને નામ-દામ બંને મળી શકે એમ હતા; ત્યાં રહીને કામ કરવું વધુ સગવડભર્યું હતું.
જોકે, ભારતમાં અવકાશ વિજ્ઞાનને ગંભીરતાથી લઈને સ્પેસ પ્રોગ્રામ ચલાવનારા વિક્રમ સારાભાઈ જેવા વિચક્ષણ વિજ્ઞાની પણ હતા અને એમના પ્રયાસોથી જ વસંત ગોવારિકર બધી વિદેશી તકો જતી કરીને ભારત પાછા ફર્યા. વૈચારિક રીતે સજ્જ થઈને આવેલા ગોવારિકરે વિક્રમભાઈ સાથે મળીને ભારતના અવકાશ કાર્યક્રમો માટે કામ શરૃ કર્યું. જે આગળ જતાં ગોવારિકરની જ હયાતીમાં મંગળ સુધી પહોંચવાનું હતું!
થુમ્બામાં ૧૯૬૫માં પહેલું સાયન્સ અને ટેકનોલોજિ સેન્ટર બન્યું ત્યારથી જ ગોવારિકર એ સેન્ટર સાથે જોડાયેલા હતા. મિસાઇલમાં વિશેષ કુશળતા ધરાવતા હોવાના કારણે ગોવારિકરની નિગરાની હેઠળ વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ્સ ચાલતાં હતાં. એમાંનો એક એટલે પ્રારંભિક અને સૌથી પાયાનો ગણાય એવો એસએલવી-૩ રોહિણી. ૧૯૮૩માં ભારતીય સેટેલાઇટ એસએલવી-૩ રોહિણીએ ઓરબિટ સુધીની સફર તય કરી ત્યારે થુમ્બાના ચીફ વસંત ગોવારિકર હતા. અવકાશમાં ભારતની હાજરી નોંધાવવાના આ મહત્ત્વપૂર્ણ કામના તેઓ સુકાની હતા એટલે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના એ કામની સરાહના કરીને સન્માનિત કર્યા હતા. આજે આપણે અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીની જેમ વટથી મંગળ સુધી પહોંચી ગયા છે એટલે કદાચ ઉપગ્રહ-પરિક્ષણના એ શરૃઆતી પ્રોગ્રામ્સ અંગે વિચારવાની જરૃરીયાત નહીં પડતી હોય, પરંતુ બૂલંદ ઈમારતના પાયાનું કામ હંમેશા વધારે અઘરું હોય એ રીતે જોઈએે તો ગોવારિકરના માર્ગદર્શનમાં થયેલું એ કામ પાયાનું હતું-ઐતિહાસિક હતું.
વચ્ચે થોડો વખત તેમણે દેશના સાયન્સ અને ટેકનોલોજિ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી જાણી. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ગોવારિકરને વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમ્યા હતા. બે વર્ષ વડાપ્રધાનના સલાહકાર રહ્યા એ અરસામાં તેમણે વિજ્ઞાન વિભાગને પ્રમાણસરનું બજેટ ફાળવવાથી લઈને સાયન્સ-ટેકનોલોજિના સંશોધકો માટે અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું.
વિજ્ઞાનની પોતાની આટલા વર્ષોની યાત્રાને શબ્દસ્થ કરીને તેમણે 'વિજ્ઞાનયાત્રી' નામે આત્મકથા લખી. જેના માટે તેઓ વધુ જાણીતા છે એ મોનસૂન મોડેલ ઉપર 'આઈ પ્રિડિક્ટ' નામે પુસ્તક લખ્યું. મૂળે સંશોધનનો જીવ એટલે ફરીથી સંશોધન તરફ વળ્યા. ૮૦ વર્ષે ય તેઓ એન્સાઇક્લોપીડિયા ઓફ ફર્ટિલાઇઝર નામના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા; જેમાં તેમણે કેમિકલના ૪,૫૦૦ કરતાં વધારે બંધારણની વિગતે સમજ આપી છે. જે નિસંદેહ એ ક્ષેત્રના સંશોધકો માટે દિશાનિર્દેશ કરશે.
સાયન્સ ઉપરાંત શિક્ષણમાં પણ તેમણે એટલું જ કામ કર્યું છે. પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અભ્યાસક્રમોને વધુ જીવંત બનાવવાનું કાર્ય તેમણે ઉપાડયું હતું. પાર્ટ ટાઇમ નોકરી કરીને પોતે ભણ્યા હતા. એ બાબતને બરાબર યાદ રાખીને તેમણે જરૃરતમંદ વિદ્યાર્થીઓ નોકરી કરતાં કરતાં ભણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરી હતી.
ઓટોમેટિક ચરખો બનાવીને જે કિશોરે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા એ જ કિશોરે પછી વિજ્ઞાની તરીકે સેટેલાઇટ દ્વારા ઓટોમેટિક ટેલિવિઝન પ્રસારણ કરાવ્યું હતું, ટેકનોલોજિની મદદથી દેશને વિભિન્ન રીતે ઓટોમેટિક ચાલતો જોયો હતો. ભારત મંગળ સુધી પહોંચ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમે એક એક ઉપગ્રહ છોડતી વખતે મંગળ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું હતું. દેશના સંશોધકોની અથાક મહેનતના કારણે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જ સંશોધકો ભારતનું સમાનવ અવકાશયાન પણ અવકાશ સુધી પહોંચાડશે એમાં બેમત નથી'.
ભારતના મધ્યમવર્ગીય પરિવારના કોઈ પણ ભણેલા-ગણેલા યુવાનને લોભાવી શકે એવી વિદેશી તકો જતી કરીને; સાયન્સના સંશોધનમાં પા-પા પગલી ભરતા પોતાના દેશ માટે પરત આવી ગયેલા વસંત ગોવારિકરે જો વિદેશમાં કામ કર્યું હોત તો ભારતે તેમનું આટલું જ સન્માન કર્યું હોત? કે ભારતીય મૂળના વિજ્ઞાની તરીકે આપણે તેમના પર ઓવારી ગયા હોત?
Sunday, 11 January 2015
Posted by Harsh Meswania
Tag :

આંખ ગુમાવી, આવડત નહીં!



બ્રેઇલ લિપિથી વિશ્વભરના અંધજનોને રોશની પ્રદાન કરનારા લુઇસ બ્રેઇલના જન્મદિને (૪ જાન્યુઆરી, વિશ્વ અંધત્વ દિન) આ વિશેષ સન્માન તેમના માનમાં અપાય છે ત્યારે અહીં કેટલાક ઓછા જાણીતાં નેત્રહિનોની વાત કરીએ કે જેમણે પ્રજ્ઞાને ચક્ષુ બનાવીને અસંભવ જણાતું કામ કરી દેખાડયું!
આંખ ન હોવા છતાં પોતાના કામથી રોશની ફેલાવી ગયેલાં લોકોની વાત આવે એટલે સામાન્ય રીતે હેલન કેલર અને જેના નામ પરથી વિશ્વ અંધત્વ દિનની ઉજવણી થાય છે એ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનું સ્મરણ કરાય છે. બહુ બહુ તો હેલન કેલર પહેલાના હેલર કેલર તરીકે જાણીતાં અને અંધ-બધિર હોવા છતાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવનારી પ્રથમ મહિલા લૌરા બ્રિડમેનને યાદ કરી લેવાય છે, પણ એ સિવાયના કેટલાક એવા ઉદાહરણો પણ છે જે ઓછા જાણીતા છે, પરંતુ તેમના પ્રદાનને જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આંખ હોવા છતાં અઘરું લાગે એ કામ આ નેત્રહિનોએ પોતાની આવડતના જોરે કરી બતાવ્યું. નેત્રહિનો માટે તો એ પ્રેરણારૃપ છે જ છે, પરંતુ દેખતા માટે જ આ પ્રજ્ઞાાચક્ષુઓએ દાખલો બેસાડયો છે.

હેરિટ ટયૂબમેન : ગુલામોને અંધકારમાંથી બહાર કાઢ્યા
૧૮૨૦માં જન્મેલી હેરિટ ટયૂબમેન બાળવયે જ ગુલામીમાં સપડાઈ ગઈ હતી. એમાંયે ટિનએજમાં પ્રવેશે એ પહેલા તો માથામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં તેમણે આંખો પણ ગુમાવી દીધી હતી. જોકે, આંખ ગુમાવી છતાં દૃષ્ટિ નહોતી ગુમાવી એટલે ગુલામીની યાતનામાં સબડતી વખતે જ તેમણે બીજા ગુલામોને ખાસ તો અશ્વેત ગુલામોને આ પીડાદાયક જિંદગીમાંથી બહાર કાઢવાનો મનોમન નિર્ધાર કરી નાખ્યો હતો. તેમણે કેટલાય ગુલામોને ભાગવામાં મદદ કરીને સલામત જગ્યા સુધી પહોંચાડયા હતા. હેરિટે લગભગ ૫૦૦ જેટલાં ગુલામોને આઝાદીનો શ્વાસ લેવડાવ્યો હતો અને સાથે સાથે રહેવા-ખાવા-પીવા સહિતની બધી જ સવલતો આપબળે આપી હતી. જીવનના અંતિમ બે દાયકા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને કેળવણી માટે ફાળવ્યા હતાં. ૧૯૧૩માં જ્યારે વિશ્વમાંથી ગુલામી નાબૂદ થવાની અણી પર હતી ત્યારે ચહેરા ઉપર સંતોષની રેખા સાથે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

જેમ્સ હોલમેન : આંખ વગર પણ દુનિયા જોનારા સાહસિક!

બ્રેઇલ લિપિના શોધક લુઇસના જન્મના ૨૩ વર્ષ અગાઉ ૧૭૮૬માં જન્મેલા જેમ્સ હોલમેનને વિશ્વના પ્રથમ નેત્રહિન પ્રવાસીનું બિરુંદ આપવું પડે. જેમ્સ જન્મથી અંધ નહોતા. એક અકસ્માતના કારણે બીમારીમાં સપડાયા અને પછી હંમેશા માટે આંખની રોશની ગુમાવી દીધી. આંખનો ઉજાસ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં અંધકારને પ્રવેશવા ન દીધો. તેમણે જીવન પોતાની જીદથી યાદગાર બનાવ્યું. ભર યુવાનીમાં આંખ ખોયા પછી જો તેમણે ધાર્યુ હોત તો ઘરમાં બેસીને આરામથી નોકર-ચાકર વચ્ચે જિંદગી પસાર કરી શક્યા હોત એટલા સમૃદ્ધ પરિવારમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ બેસીને બોરિંગ જીવન પસાર કરવા કરતા તેમણે જિંદગીને અજમાવી લેવાનું વધુ યોગ્ય માન્યું અને એના પરિણામે તેમણે ૧૮૧૯માં ગ્રાન્ડ ટૂર નામે પ્રવાસ આરંભ્યો. ફ્રાન્સ, ઈટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં રખડપટ્ટી કરીને તેમણે જીવનમાં યાદગાર અનુભવોનું ભાથું બાંધ્યુ અને પછી પોતાના પ્રવાસ વર્ણનો દુનિયા સમક્ષ રજૂ પણ કર્યાં. એ જ રીતે બીજો પ્રવાસ થયો. પ્રવાસો થતાં ગયા અને ભાથુ બંધાતું ગયુ. ૧૮૩૫માં તેમણે પોતાના દુનિયાભરના પ્રવાસને ચાર વોલ્યુમમાં પ્રગટ કર્યો અને એ સાથે એક નેત્રહિન દ્વારા દુનિયાને દુનિયાનો પરિચય મળ્યો. આજે પોણા બે શૈકા પછી પણ તેમને પ્રથમ નેત્રહિન ટ્રાવેલર તરીકે યાદ કરીને ઉદાહરણો આપવા પડે એવું કામ તેઓ આંખની રોશની ગુમાવી દીધા પછી કરી ગયા!

જ્હોન બ્રેમ્બલિટ : રંગવિહિન જીવન છતાં 'રંગ'રસિયો

૩૦ વર્ષના આ ચિત્રકારનો રંગ સાથે દરરોજનો પનારો પડયો છે. પણ આમ જૂઓ તો તેની આંખો માત્ર અંધકાર જ જોઈ શકે છે. દુનિયા આખી તેના ચિત્રો જોઈને દંગ રહી જાય છે, પણ આ કમનસીબ ચિત્રકાર પોતાના જ દોરેલા ચિત્રોને જોઈ શકતો નથી, છતાં તેને એનો કોઈ જ વસવસો નથી. કહે છે ને કે નેત્રહિનને મનની આંખો હોય છે એમ આ ચિત્રકાર મનની આંખોથી પોતાની કલ્પનાને રંગો આપે છે. ચિત્રોમાં રંગો પૂરવાની તેની કૂનેહ દાદ માંગી લે એવી છે. તે સફેદ અને કાળા રંગો હાથવગા રાખે છે. પોતાની કલ્પના પ્રમાણે ચિત્રમાં જે રંગ પૂરવો હોય એ મુજબ બંને રંગોનું મિક્ષણ કરીને તેમાંથી જાતે રંગ બનાવીને ચિત્રમાં પૂરી દે છે. બધુ જ કામ પીંછીથી અને સ્પર્શથી કરે છે. દેખતા માટે ય પેઇન્ટિંગ ખરેખર અઘરી કળા છે ત્યારે આ તો આંખ વગર સર્જાતી કળા છે, કેટલું અઘરું કામ હશે એ તો માત્ર કલ્પના જ થઈ શકે. આપણે જે વાત કલ્પી પણ નથી શકતા એને આ રંગરસિયો પોતાની કલ્પનાથી સાકાર પણ કરી બતાવે છે.

માર્ક એન્ટોની : મનની આંખોથી કાર ચલાવતો સારથી

૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માર્ક એન્ટોનીએ જે પરાક્રમ બતાવ્યું એનાથી બધા દંગ રહી ગયા. તે રાતોરાત સમાચાર માધ્યમોમાં ચમકી ગયો. તેણે અંધ હોવા છતાં એક પણ ગફલત વગર ટેકનોલોજિની મદદ લઈને કાર ચલાવી જાણી. ડ્રાઇવિંગ વખતે તેનું પરફેક્શન એટલું બધું જોરદાર હતું કે પહેલી નજરે કોઈ માની ન શકે કે એક નેત્રહિન માણસ કાર ચલાવી રહ્યો છે. માર્કની આ કુશળતા સાબિત થઈ પછી અમેરિકાના નેશનલ બ્લાઇન્ડ ફેડરેશને તેની સાથે મળીને સલામત ડ્રાઇવિંગનો કાર્યક્રમ હાથ ધર્યો જેને અમેરિકામાં વ્યાપક સફળતા મળી. સગી આંખોએ જોવા છતાં ડ્રાઇવિંગના નિયમોને નેવે મૂકી દેનારા લોકોને જ્યારે એક નેત્રહિન કુશળ સારથી સલામત ડ્રાઇવિંગના સૂચનો આપે ત્યારે રસપૂર્વક સાંભળવામાં રસ પડે એ સ્વાભાવિક છે!

ડેરેક રેબેલો : ભગવાન ભરોસે સાગર સામે ઝઝુમતો સાહસી

ડેરેલ રેબેલોને જન્મજાત જ ખામીયુક્ત દૃષ્ટિ મળી હતી. ઉંમર વધતી ગઈ એમ એમ આંખની રોશની ઓછી થતી ગઈ. જોકે, તેની અંદરનો સાહસવીર સતત કશુંક કરી છૂટવા આળસ મરડીને તેને જગાડતો હતો. ૩ વર્ષનો હતો ત્યારે જ તેણે સાગર ઉપર ચાલવાનું શમણું આંખમાં આંજી લીધું હતું એટલે પોતાનું તૂટી રહેલું સ્વપ્ન એને કોઈ કાળે મંજૂર ન હતું. બબ્બે આંખોએ પણ જે કામ કપરું છે એ કામ આંખોમાં અંધકાર ઓઢીને કરવાનું હતું એટલે વિશેષ કુશળતા જરૃરી હતી. અથાક પ્રયાસો પછી આખરે તેણે એમાં મહારથ મેળવી લીધી. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે ધસમસતા દરિયાના મોજા સામે કઈ રીતે કામ પાર પાડે છે? જવાબમાં આ ૨૦ વર્ષનો છોકરો કહે છે : 'બધા કરે છે એ જ મેથડથી હું પણ આ કામ કરું છું, પરંતુ ફરક એટલો છે કે મારી રીત થોડી અલગ છે. આંખોના ઊંડાણમાં પણ બીજી આંખો હોય છે અને એટલે જ હું આ મુશ્કેલ લાગતું કામ આસાનીથી કરી શકુ છું.' ડેરેકને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા છે અને એ બહુ દ્રઢતાપૂર્વક માને છે કે તેની એક ઈન્દ્રિય ભગવાને ભલે પાછી લઈ લીધી પણ એના બદલામાં થોકબંધ હિંમતનું ભાથું બાંધી આપ્યું છે.

પેટ એકર્ટ : કેમેરાને આંખ બનાવી નાખનારા તસવીરકાર

પેટ એકર્ટ મૂળે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. અકસ્માતે આંખ ગુમાવી દીધા પછી તેમણે કેમેરાની આંખને પોતાની આંખ બનાવી દીધી. આંખ હોવા છતાં કેમેરાની આંખ પાસેથી કામ લેવું એના માટે કુશળતા હોવી ઘટે. જ્યારે પેટ એકર્ટેને તો આંખ સિવાય જ કેમેરા પાસેથી કામ કઢાવવાનું હતું. એમણે આ કામ માટે તત્પરતા બતાવી અને ધીરે ધીરે સફળતા પણ મળી. સ્માર્ટફોનના યુગમાં વાતે વાતે કેમેરાની ક્લિક કરવી સાવ સહજ બાબત છે ત્યારે એકર્ટ એક એક તસવીર માટે પૂરતું હોમવર્ક કરે છે. અવાજ અને સ્પર્શની મદદથી તે જગ્યા કે વ્યક્તિનું અંતર જૂએ છે અને એના આધારે પોતાનો કેમેરા ગોઠવે છે. જરૃર જણાય તો લાઇટ્સની વ્યવસ્થા પણ જાતે કરે છે. બરાબર ગોઠવણ થઈ રહે પછી જ એ ક્લિક કરે છે. તેમણે તેની ફોટોગ્રાફી માટે એક વખત કહ્યું હતું  : 'હું નેત્રહિન થયો ત્યાં સુધી ફોટોગ્રાફીને ગંભીરતાથી લેતો ન હતો, પરંતુ આંખ ગુમાવ્યા પછી મને કેમેરાની આંખનું મૂલ્ય વધુ સમજાયું છે અને હવે હું ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયો છું. મારી તસવીરના કોઈ વખાણ કરે ત્યારે મને એમ થાય છે કે જાણે એ તસવીર હું મારી આંખોથી જોઈ રહ્યો છું'

માર્લા રેન્યન : ઓલિમ્પિક્સની પ્રથમ મહિલા નેત્રહિન એથ્લેટ

વિશ્વ અંધત્વ દિન સાથે જન્મદિવસનો યોગાનુયોગ ધરાવતી અમેરિકન મહિલા એથ્લેટ માર્લા રેન્યન જગતની પ્રથમ નેત્રહિન એથ્લેટ છે જેણે ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય. તેમણે મહિલાઓની પાંચ હજાર મીટર દોડ સ્પર્ધામાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. લોંગ જમ્પથી લઈને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર સુધીની સ્પર્ધાઓમાં તેના ગોલ્ડ મેડલ બોલે છે. ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી ઓલિમ્પિક ગેઇમ્સમાં ૧૫૦૦ મીટરમાં ભાગીદાર બનીને તેણે વિશ્વ સમક્ષ પોતાની નોંધ લેવડાવી. રેન્યનને માત્ર એથ્લેટ કહેવી એ તેની અધૂરી ઓળખ થઈ કહેવાય. કેમ કે, માસ્ટર્સ ડિગ્રી મેળવીને તેણે એકેડમિક કાબેલિયત પણ પૂરવાર કરી છે અને સાથે સાથે તે પબ્લિક સ્પીકર પણ છે. માત્ર નેત્રહિન લોકો માટે જ પ્રવચનો કરે છે એવું નથી. એ સિવાયના લોકો પણ તેના વકતવ્યથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. આ ઉપરાંત લેખન દ્વારા તે પોતાની સફળતા શેર કરતી રહે છે. એટલે એથ્લેટ ઉપરાંત લેખિકા, પબ્લિક સ્પીકર જેવી કેટલીય ઓળખ તેના નામની આગળ જોડાયેલી છે.
Sunday, 4 January 2015
Posted by Harsh Meswania
Tag :

ડિમાન્ડ, ડોમેન્સ અને ડીલ : ડોટની દુનિયાનો દિલકશ વ્યવસાય!


ડોમેન્સની ડિમાન્ડ પારખીને જેણે શરૃઆતી ડીલ કરી એ આ બિઝનેસમાંથી કરોડો કમાયા. હવે મનગમતા ડોમેન્સ મેળવવાનું અઘરું બન્યું છે એટલે આજે ય પસંદીદા ડોમેન્સનો સરખો દામ લગાવતા આવડે તો કરોડોમાં આળોટી શકાય છે. ઈન્ટરનેટના વ્યાપની સાથે સાથે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફો જેવા જાણીતા ટોપ લેવલ ડોમેનની (વેબ એડ્રેસના નામની પાછળ ઉમેરાતું પૂછડું!) જગ્યાએ નવા ટોપ લેવલ ડોમેન્સની જરૃરીયાત ઉભી થઈ છે, પરિણામે આવતા વર્ષના અંત સુધીમાં બીજા ૬૦૦ ટોપ લેવલ ડોમેન્સ લોંચ થઈ જશે
આજે આપણે આંગળીના ટેરવા કી-બોર્ડ ઉપર ટેકવીને જોઈતી માહિતી સર્ચ કરવા માટે વિભિન્ન વેબ એડ્રેસ ટાઇપ કરી નાખીએ છીએ ત્યારે ક્યારેક વિચાર ઝબકી નથી જતો કે વિશ્વનું સૌ પ્રથમ નોંધાયેલું વેબ એડ્રેસ કયુ હતું? ઈન્ટરનેટની વ્યાપક ગૂંથણી હજુ તેના પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ૧૫ માર્ચ, ૧૯૮૫ના એક દિવસે વિશ્વનું સૌ પ્રથમ ડોમેન મફતમાં નોંધાઈ ગયું હતું. જે પછીથી ડોમેનની દુનિયામાં સિમ્બોલિક રહેવાનું હતું અને કદાચ એટલે જ તેનું નામ પણ હતું-સિમ્બોલિક ડોટ કોમ. સિમ્બોલિક ડોટ કોમથી શરૃ થયેલી સફર આજે ૧૫ કરોડ ડોમેન્સ સુધી પહોંચી છે અને હજુયે એ સતત આગળ વધે છે.
જોકે, શરૃઆતના એક દશકા સુધી ઈન્ટરનેટ ડોમેન્સ ઉપર સીધો કોઈનો અંકુશ નહોતો અને વળી એ આવતા વર્ષોનું સૌથી મહત્વનું પરિબળ બનશે એવી સમજ પણ વિકસી નહોતી એટલે ડોમેનની નોંધણી મફત થતી હતી. જેમ ઈમેઇલ આઈડી મફત ક્રિએટ કરી શકાય છે એમ જ સ્તો! એટલે ત્યારે જે ફાવી ગયા એ બધા રોકડી કરી શક્યા.
સતત એક દશકાથી આ આખી પ્રક્રિયા ઉપર નજર રાખતી ૧૯૭૯માં સ્થપાયેલી અમેરિકન કંપની નેટવર્ક સોલ્યુશન્સને એમાં રસ પડયો. કંપનીને ડોમેન્સમાં કરોડોનો બિઝનેસ દેખાતો હતો જ્યારે બાકીના લોકોને કંપનીના અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગયાનું જણાતું હતું. ડોમેનના નામમાં તો વળી શું બિઝનેસ કરવાનો? બિઝનેસ કરવો હોય તો હાર્ડવેર અને સોફ્ટવેરનો કરવો જોઈએ એવી સલાહ પણ ઘણાએ કંપનીને આપી. પરંતુ નેટવર્ક સોલ્યુશન્સે દીર્ધ દૃષ્ટિ વાપરીને ડોમેન પર નજર રાખવા નવી નવી બનેલી સંસ્થા ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) સામે ડોમેન વેંચવાનો પરવાનો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો. સંસ્થાએ કશું ગુમાવવાનું હતું નહીં અને વળી આ તો લક્ષ્મી સામેથી ચાલ્લો કરવા આવી હતી. પ્રસ્તાવને તરત મંજુરી મળી ગઈ. કંપનીએ શરૃઆતમાં એક રૃપિયાનો બિઝનેસ પણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું ન હતું. જેટલા બને એટલા નવા નવા નામના ડોમેન્સ નોંધીને કમ્પ્યુટરના પટારામાં પૂરી દીધા!
કંપનીએ બિઝનેસ કરી લીધો હતો અને નફો રળવાનો જ ખાલી બાકી હતો. બહુ જ ઓછા સમયમાં નફાની તક પણ મળી ગઈ. ૧૯૯૮ પછી જ્યારે વેબસાઇટ્સ માટે ડોમેનની જરૃરીયાત મોટા પાયે ઉદ્ભવી ત્યારે એ એક માત્ર કંપની હતી કે જેની પાસે આઈસીએએનએન દ્વારા ડોમેન ફાળવણી અને નોંધણીના હકો હતા. મોનોપોલીના એ સમયમાં કંપનીએ બરાબર નફો રળ્યો. નફો નામની નોંધણીમાં નહોતો, પણ અગાઉ નોંધી રાખેલા નામો બે વર્ષથી લઈને પાંચ વર્ષના પટ્ટે ભાડે આપવામાં હતો. મજબૂત પોલિસીના ગઠનનો હજુ અભાવ હતો ત્યારે નેટવર્ક સોલ્યુશન્સે બરાબર નેટવર્ક બિછાવી દીધુ હતું. આઈસીએએનએન દ્વારા ૧૯૯૯માં બીજી પાંચ કંપનીઓને માન્યતા આપીને નેટવર્ક સોલ્યુશન્સની મોનોપોલી તોડી નાખવામાં આવી અને એ સાથે ડોમેન્સનું માર્કેટ ઓપન થઈ ગયું, પણ પેલી કંપનીએ પટારામાં પૂરી રાખેલો ખજાનો એટલો બધો મોટો હતો કે આવનારા દોઢ દશકા સુધી એને હંફાવી શકાય એવી ક્ષમતા ખૂદ આઈસીએએનએન પાસે પણ નહોતી. શું કામ? કારણ કે, એ કંપની પાસે ૬૪ લાખ ડોમેન્સનો જથ્થો હતો. આજેય એ કંપની સૌથી વધુ ડોમેન્સ ધરાવતી વિશ્વની એક માત્ર કંપની છે.
ડોમેન્સ નામ અને તેની ડિમાન્ડના કારણે આ એક જ કંપની કરોડો કમાઈ છે એવું ય નથી. માઇક મેન જેવા ડોમેન કિંગથી લઈને મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન જોન શુલ્ટ્સ સુધી ઘણાએ નામ અને દામ બંને મેળવ્યા છે. ડોટથી જોડાતી આ દુનિયા ઘણી રીતે અલગ છે અને રોચક પણ છે. મોનોપોલી તૂટી હોવા છતાં ઘણી રીતે મોનોપોલી હજુય બરકરાર પણ છે. એક તરફ સાવ પાણીના ભાવે વેબ ડોમેન્સ નોંધાવી શકાય છે તો બીજી તરફ કરોડો રૃપિયા ચૂકવીને પણ અમુક ડોમેન્સ ખરીદી શકાય તેમ નથી. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ, લોકલહોસ્ટ ડોટ કોમ, ઈનવેલિડ ડોટ કોમ, એક્ઝામપલ ડોટ કોમ... યુઝર્સ ટેસ્ટ માટે એનો ઉપયોગ કરી શકે એટલે આઈસીએએનએન દ્વારા વિશેષ કાયદો બનાવીને તેને રિઝર્વ કરવામાં આવ્યા છે.
વળી, ત્રણ કેરેક્ટર ડોટ ડોમેન (જેમ કે xyz ડોટ કોમ પ્રકારના) ૧૯૯૭માં જ બધા રજિસ્ટર થઈ ચૂક્યાં હતાં. અત્યારે ૫૦,૦૦૦ ડોમેન ત્રણ કેરેક્ટર્સથી નોંધાયેલા છે, પરંતુ હવે જો આવું ડોમેન મેળવવું હોય તો જેને વેંચવું છે એની પાસેથી ખરીદીને જ મેળવી શકાય છે. એ જ રીતે A ડોટ કોમ એટલું બધુ લોકપ્રિય બન્યું હતું કે એની છેક ૬૩ A સુધીની સીરિઝ નોંધાઈ ગઈ છે. ૬૩થી વધુ કેરેક્ટર્સ યુઆરએલની મર્યાદાના શક્ય નથી, નહીંતર તો આ આંકડો ક્યાં જઈને અટક્યો હોત! આ બધા મોનોપોલીની કેટેગરીમાં આવે છે. આમાંથી કોઈ એક પણ ડોમેન જોઈતું હોય તો એ માટે વર્ષો સુધી હરાજીઓમાં નજર રાખવી પડે અને એ પછી પણ કરોડો રૃપિયા ચૂકવ્યા વગર તેના ઉપર માલિકી હક ભોગવી શકાય તેમ નથી.
વિભિન્ન દેશોના ટોપ લેવલ ડોમેન્સ (ભારતમાં જેમ ડોટ ઈન અથવા તો ડોટ કો ડોટ ઈન છે એમ દરેક દેશને પોતાના અલાયદા ડોમેન બે દાયકા પહેલા જ ફાળવાયા છે)ની બાબત પણ એટલી જ રસપ્રદ છે. સોવિયેટ યુનિયન ૧૯૯૧ પહેલાના નકશા સિવાય માત્ર વેબ ડોમેનમાં ઉપલબ્ધ છે. સોવિયેટ યુનિયનું ડોમેન (.su) રશિયાના વિઘટન પછી આજે ય એટલું જ લોકપ્રિય છે. એક લાખ વીસ હજાર વેબસાઇટ અત્યારે ડોટ એસયુ ડોમેનથી નોંધાયેલી થયેલી છે, વપરાશમાં છે અને આ આંકડો હજુ પણ સતત વધતો જાય છે. મજાની વાત એ છે કે અત્યારે આઈસીએએનએનના લિસ્ટમાં એસયુને કોઈ પણ દેશ માટે ફાળવવામાં આવ્યું નથી. છતાં વિભાજિત રશિયા આ એક બાબતથી જોડાયેલું રહ્યું છે.
ક્યા દેશનું એક્ટેન્સન ડોમેન સૌથી મોંઘું હશે એવા સવાલનો જવાબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ રશિયા, ચીન જાપાન કે ભારત નથી, પણ સાચો જવાબ છે નાઇજિરિયા. તેના એક્ટેન્સન .ng માટે ડોમેનના આ સ્પર્ધાત્મક યુગમાં પણ ૪૦ હજાર ડોલર એટલે કે આપણાં ૨૫ લાખ રૃપિયા ચૂકવવા પડે છે.
વિશ્વમાં ટોપ લેવલ ડોમેન્સમાં ડોટ કોમ અને ડોટ ઓઆરજી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે જરૃરીયાત સતત વધતી જાય છે એમ એમાં નવા નવા પૂછડાં પણ ઉમેરાતા જાય છે. ડોટ ઈન્ફોથી લઈને ડોટ નેટ સુધી આ દુનિયા સતત વિસ્તરતી જાય છે. હવે તો ડોટ બાઇક, ડોટ ટિપ્સ, ડોટ ઓથર જેવા કેટલાંય છોગા ઉમેરીને નોંધણી શક્ય બની છે. જોકે, વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સ આગ્રહનો તો .com કે .org નો જ રાખે છે. ૨૦૧૩થી શરૃ થયેલો આ સિલસિલો ૨૦૧૫ સુધીમાં અટકશે ત્યારે ૬૧૭ ટોપ લેવલ ડોમેન્સ ઉમેરાઈ ચૂક્યા હશે. આઈસીએએનએનના નવા આયોજન પ્રમાણે અલગ અલગ ક્ષેત્રો માટે ડોમેનની નોંધણી સરળ બનશે. જેમ કે, કેળવણી સાથે સંકળાયેલા ડોટ કોમ કે ડોટ ઓઆરજીના બદલે ડોટ એકેડમી પણ મેળવી શકશે અને એના જે તે દેશના સ્થાનિક નામ તો ખરા જ. ભારતમાં ડોટ શિક્ષા નામ મેળવી શકાશે. વળી, એ જ ક્ષેણીમાં ડોટ ભારત પણ ઉપલબ્ધ બન્યું છે એના યે ઘણા માસ વીતી ચૂક્યા છે. મજાની વાત એ છે કે માત્ર ઈગ્લીશમાં જ નહીં, રાજભાષા હિન્દી અને ગુજરાત સહિતની છ પ્રાદેશિક ભાષામાં વેબસાઇટનું નામ નોંધાવવાનું શક્ય બન્યું છે. એ પણ જે તે ભાષાની લીપીમાં. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ એવું ગુજરાતીમાં નોંધાવી શકાય છે.
ઈન્ટરનેટની માયાજાળ જેમ જેમ વધતી જાય છે એમ એમાં નવા નવા બિઝનેસને પાંખો મળી છે. એવો જ એક વિશાળ બિઝનેસ ડોમેન્સનો પણ છે. જે અપેક્ષા કરતા ઘણો મોટો છે. એટલે જ કહેવાય છે કે ડોટથી દુનિયાને જોડતા ડોમેન્સની દુનિયા ધારણા કરતા ઘણી દિલકશ છે! 

આઈસીએએનએન સામે ઉઠતો રહે છે વિરોધનો સૂર
ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) પાસે વેબસાઇટ ડોમેનના બધા જ હકો છે. જેમ કે, ડોમેન નોંધણી માટે કોઈ બે કંપની બાખડતી હોય તો એનો નિકાલ આઈસીએએનએન લાવી શકે છે. એવી જ રીતે તે જે દેશના ટોપ લેવલ ડોમેન (જેમ કે, ભારતનું ડોટ ઈન)ની ફાળવણી અને કોઈ કારણસર રદ કરવાની સત્તા પણ તેની પાસે છે. ડોમેન નોંધણી ધારક દેશ, સંસ્થા કે વ્યક્તિના ઓળખના કે સંપર્કના બધા જ પૂરાવાઓનો ડેટાબેઝ સાચવવાની જવાબદારી પણ તેની છે. તેને લગતા નિયમોમાં ફેરફાર કરવાની અને નવા ટોપ લેવલ ડોમેન લોંચ કરવાની ઉપરાંત કંપનીઓને પરવાનો આપવા સહિતની કેટલીય સત્તા આઈસીએએનએને પોતાની પાસે રાખી છે. જોકે, આ સત્તા સામે અવારનવાર બળવો થતો રહે છે. ડોમેનના હકો જાળવવાનો ઠેકો તેને કોણે આપી દીધો છે એ વિવાદ વર્ષોથી ચાલે છે. છેલ્લે જૂન ૨૦૧૪માં ફ્રાન્સે તેનો આક્રમક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ફ્રાન્સના કહેવા પ્રમાણે આઈસીએએનએનમાં વૈશ્વિક સંસ્થા જેવા એકેય લક્ષણો નથી જણાતા અને તેના સત્તાધીશો પોતાના મળતિયાઓના હિત જાળવે છે. એ માત્ર અમેરિકાની સંસ્થા હોય એ રીતે વર્તે છે. જોકે, ૨૦૧૦માં અમેરિકન સરકારે પણ તેની ટિકા કરી હતી. તો ૨૦૧૧માં વિશ્વની ગણનાપાત્ર સાત કંપનીઓએ આઈસીએએનએન સામે વિરોધનો સૂર બૂલંદ બનાવ્યો હતો.
Sunday, 21 December 2014
Posted by Harsh Meswania
Tag :

જોન શુલ્ટ્સ : સળગતી સમસ્યાઓનો સોદાગર



એક એવો માણસ છે જેની પાસે બર્ડ ફ્લુ, એચ૧એન૧, ચિકનગુનિયા મળી શકે છે. વળી તેણે પોતાની પાસે ઈબોલા રહેલા ઈબોલાને વેચી નાખવાની તૈયારી પણ દાખવી છે. આ બધા રોગોથી દૂર રહેવાની ભલે
બધા પ્રાર્થના કરતા હોય, પણ આ માણસ તો નવા રોગની શોધમાં હોય છે. કેમ કે, એ રોગ વેંચીને
બિઝનેસ કરે છે

એ દરરોજ નવા નવા રોગોની શોધમાં રહે છે. વિશ્વના ગણનાપાત્ર અને મોંઘા સાયન્સ જર્નલ્સ આવે એની એ રાહ જૂએ છે. બહોળો વ્યાપ ધરાવતા અખબારોથી તેનું ઘર ઉભરાય જાય છે... અને અચૂક સમય કાઢીને એની લીટીએ લીટી તે વાંચી જાય છે. સાયન્સ જર્નલ્સ અને અખબારોનું આટલું વાંચન છતાં એ લેખક નથી, પત્રકાર નથી, સાયન્ટિસ્ટ પણ નથી અને રોગોની સારવાર માટે મથતો કોઈ તબીબ પણ નથી. એ અખબારો-સામયિકો અને વેબસાઇટ્સ ઉપર રોગના નામ શોધે છે. કોઈ નવા રોગના લક્ષણો સંશોધકોના ધ્યાનમાં આવે અને એનું નામકરણ થાય એની તે કાગડોળે રાહ જૂએ છે. રોગનું નામ મળી જાય એટલે એ તરત એના લક્ષણો ઉપરથી ભવિષ્યની શક્યતાઓ ચકાસવા માંડે. જો રોગ તરત સારો થઈ જાય એવા લક્ષણો જણાય તો એ થોડો નિરાશ થાય છે, પણ વિચિત્ર લક્ષણો હોય અને એનો તરત કોઈ ઉપાય જડે એમ ન હોય તો એ ઉત્સાહમાં આવીને તરત આગળનું કામ ચાલુ કરી દે છે. છેલ્લા ૧૦ વર્ષની મહેનતના કારણે હવે તે કરોડો રૃપિયા કમાયો છે અને મૂડી તરીકે હજુય તેની પાસે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા અને ઈબોલા છે. ફૂકુશિમા ન્યુક્લિયર ડિઝાસ્ટર પણ તેની પાસેથી મળી શકે છે. જો સરખો ભાવ મળે તો આ તમામ રોગો વેંચી નાખવાની તેણે તૈયારી દાખવી છે. કેટલાક લોકોએ આ રોગો ખરીદવાની તૈયારી બતાવી છે, પરંતુ તેને આ રોગોની કિંમત બરાબર ખબર છે એટલે એમ સસ્તા ભાવે વેંચી નાખવાની એને કોઈ જ ઉતાવળ નથી. કેમ કે, એના માટે તો આ રોજિંદું છે. નવા નવા રોગ આવશે અને એને એની કિંમત મળતી રહેશે એ વાત એને બરાબર ખબર છે!
                                                                            * * *
રોગના નવા નામની શોધમાં રહેતા એ માણસનું નામ છે- જોન શુલ્ટ્સ. એણે રોગ વેંચીને બિઝનેસ કરવામાં મહારથ મેળવી લીધી છે. આ રોગોને તે કઈ રીતે વેંચે છે? કોઈ તેની પાસેથી રોગ શું કામ ખરીદે? રોગ વેંચીને કમાણી કેમ થાય? આ બધાનો જવાબ છે- વેબસાઇટ ડોમેન. જોન ડોમેનનો બિઝનેસ કરે છે. ખાસ તો રોગોના નામના ડોમેન સમય પારખીને રજિસ્ટર કરાવી નાખે છે અને પછી ઓનલાઇન હરાજીમાં તેની મોટી કિંમત લગાવે છે. અત્યારે ઈબોલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેણે ઈબોલા ડોટ કોમની કિંમત ૯૦ લાખ કરી છે. ૨૦૦૮માં તેણે ઈબોલાના નામે ડોમેન રજિસ્ટર કરાવી નાખ્યું હતું. એની ધારણા હતી કે ૨૦૧૦ સુધીમાં તેને બમણો ભાવ મળી જશે, પણ હવે પાંચ-છ વર્ષ પછી તેને ૧૦ ગણી કિંમત મળે એવી શક્યતા ઉજળી બની છે. એણે દાવો કર્યો છે એ પ્રમાણે ઈબોલાની વેબસાઇટ ઉપર અત્યારે દરરોજના પાંચ હજાર યુઝર્સ મુલાકાત લેતા થયા છે. જો હજુયે થોડો વખત ઈબોલાની આ સ્થિતિ રહી તો વેબસાઇટના વિઝિટર્સ વધશે અને ડોમેનના ભાવ પણ...
રોગના નામના ડોમેન રજિસ્ટર કરી રાખીને તે રોગમાં સપડાયેલા લાખો લોકોને પરેશાની ઉભી કરે છે. લોકો રોગ વિશે તરત જ ઓનલાઇન શોધવા મથતા હોય છે ત્યારે રોગના નામનું ડોટ કોમ કે ડોટ નેટ જેવું ડોમેન ઉપલબ્ધ ન હોવાના કારણે જે તે રોગની માહિતી તેમને મળતી નથી એટલે તેણે આ રોગોના ડોમેન બાબતે અક્કડ વલણ ન રાખવું જોઈએ એવી તેની ટીકા થાય છે. જેનો જવાબ આપતા જોનનું કહેવું છે કે જે તે રોગમાં લાખો-કરોડો લોકો સપડાય છે ત્યારે તબીબો શું તેની મફતમાં સારવાર કરે છે? દવા બનાવતી કંપનીઓ શું તેનો કરોડોનો બિઝનેસ જતો કરે છે? જો એ એમાંથી અબજો  રૃપિયાની કમાણી કરી શકે તો આજની જરૃરીયાત જેવા વેબસાઇટ ડોમેનમાંથી હું શું કામ કમાણી ન કરું? રહી વાત માહિતીની તો જોનના દાવા પ્રમાણે તે જરૃર પડયે પોતાની પાસે રહેલા ડોમેનમાંથી વેબસાઇટ ડિઝાઇન કરીને તેને લગતી વિગતો પણ એમાં સમાવે છે. તેને રોગમાં સપડાયેલા કમભાગી દર્દીઓ માટે ભારોભાર સહાનુભૂતિ હોવા છતાં તેનું માનવું છે કે આ તેનો બિઝનેસ છે અને એમાં તે બાંધછોડ નહીં કરી શકે.
અત્યારે પહેલી નજરે લાગે કે ઈબોલા ડોટ કોમના ભાવ વધુ ઉપજશે, પણ જોનના માનવા પ્રમાણે બર્ડ ફ્લુ તેના માટે સૌથી વધુ કમાણી રળનાર ડોમેન સાબિત થશે. તેનો રોગોનો અભ્યાસ કોઈ સંશોધક જેવો છે અને એના આધારે તે કહે છે કે 'ઈબોલા ધારીએ એવડી મહામારી સાબિત નહીં થાય. થોડાંક વર્ષોમાં તેની દવા શોધાઈ જશે'.
'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો જોન શરૃઆતમાં માત્ર નાના મોટા ડોમેન રજિસ્ટર કરીને ઓનલાઇન હરાજીમાં મૂકતો હતો, પણ હરાજીમાં રોગોના નામના ડોમેનની ડિમાન્ડ ખૂબ હતી. ખરીદનારા સામે વેંચનારા ખૂબ ઓછા હતા ત્યારથી તેણે રોગોના નામે સમયસર ડોમેન રજિસ્ટર કરાવીને કમાણી કરવાનો બિઝનેસ શરૃ કર્યો હતો. માત્ર રોગો જ નહીં, પરંતુ કોઈ દેશમાં આવી પડેલી કુદરતી હોનારતોના ડોમેન પણ તે અણસાર આવતા જ મેળવી લે છે. ઈબોલા, બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ જેવા રોગોને વેંચવા કાઢનારો આ માણસ અગાઉ ટેરર ડોટ કોમ અને આઈએસઆઈએસ ડોટ કોમ પણ વેંચી ચૂક્યો છે. વોટ યુ સે, એને સળગતી સમસ્યાઓ વેંચનારો સોદાગર ન કહી શકાય?
                                                                              * * *
જોન ભલે 'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો હોય, પણ ડોમેનની બાબતમાં તેનાથી ચાર ચાસણી ચડે એવો માણસ છે. જે ડોમેન કિંગ તરીકે વિશ્વવિખ્યાત છે. નામ એનું માઇક મેન. એની પાસે અઢળક ડોમેન રજિસ્ટર થયેલા પડયાં છે. એપ્રિલ ૨૦૧૨માં તેણે એક જ દિવસમાં ૧૪,૯૬૨ ડોમેન રજિસ્ટર કરાવીને રેકોર્ડ બનાવ્યો ત્યારે તે સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો. તે દરરોજના હજારેક ડોમેન રજિસ્ટર કરાવે છે અને એમાંથી ૩૦૦-૪૦૦ વેંચી પણ નાખે છે. તેની કંપની સોશ્યલ કેપિટલ એન્ટરપ્રાઇઝનો મહિનાનો બિઝનેસ ૨ કરોડને આંબી જાય છે. માત્ર ડોમેનની લે-વેંચના ટર્નઓવરનો આ આંકડો જ દર્શાવી દે છે કે તેનું કામ કેટલું મોટું હશે. નવા નવા નામના ડોમેન રજિસ્ટર કરાવવાની પોતાની શરૃઆત અંગે એક વખત તેણે કહ્યું હતું 'મારી પાસે વિભિન્ન નામના ડોમેન હોય તો મને એમ લાગે છે કે મારી પાસે આખું વિશ્વ છે, બસ આ વિચાર માત્રથી મને આ ડોમેનનો બિઝનેસ કરવામાં મજા પડે છે. આજે વિશ્વના કેટલાય મહત્ત્વના ડોમેન મારી માલિકીના છે અને એના કારણે હું કરોડો કમાઈ શકુ છું'.
માઇકે થોડા સમય પહેલા હેપ્પી બર્થ ડે ડોટ કોમ નામનું ડોમેન ૧૨ કરોડમાં વેંચવા મૂક્યું હતું. ડોમેન માર્કેટ ડોટ કોમ, ફોન ડોટ કોમ, વેબડેવલપ ડોટ કોમ, એસઈઓ ડોટ કોમ, ચેન્ડ ધ વર્લ્ડ ડોટ કોમ, ટેસ્ટી ડોટ કોમ.... જેવા કેટલાય ડોમેન તેણે વેંચવા કાઢ્યા છે. એમાંના ઘણા ખરાં તેના નામના કારણે (જેમ કે ફોન ડોટ કોમ) માઇકને કરોડો કમાવી આપશે. માઇકને ખબર કેમ પડે છે કે ક્યા નામનું ડોમેન ખરીદવું જોઈએ? જવાબ છે સતત ઉજાગરા! માઇક ૨૪ કલાકમાં માત્ર ૩-૪ કલાકોની ઉંઘ કરે છે. બાકીનો સમય એ ઓનલાઇન પસાર કરે છે. અખબારો કે ઓનલાઇન સર્ચ થઈ રહેલા શબ્દો પર તેની ચાંપતી નજર હોય છે. વિશ્વના વિભિન્ન શબ્દકોષોમાં ક્યા નવા શબ્દો સમાવાઈ રહ્યાં છે એ પણ તેના ધ્યાન બહાર રહેતું નથી હોતું. જેવું કશુંક નવું લાગે કે તરત જ ડોમેન રજિસ્ટર થઈ જાય છે. જો એ ડોમેન પહેલેથી જ કોઈકના નામે હોય તો માઇક એનો સંપર્ક શોધીને ખરીદી લે છે. જેમ કે, ૨૦૧૦માં તેણે એક હરાજીમાં સેક્સ ડોટ કોમ ડોમેન લગભગ ૬૮ કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ખરીદ્યું હતું. ત્યાર પછી મહિનાઓમાં એ જ ડોમેન તેણે ૮૦ કરોડમાં વેંચી પણ નાખ્યું હતું. આ બધી જ મહેનત પછી તેની પાસે ૪ લાખ ડોમેન નેઇમ્સ ભેગા થયા છે. મોટા ભાગના કંઈક ને કંઈક ખાસિયત ધરાવે છે. સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રોમાં એ બધા ડોમેન પોતાનું વિશેષ મૂલ્ય ધરાવે છે અને એટલે જ માઇક ડોમેન કિંગ કહેવાય છે. પોતે ડોમેન કિંગ છે છતાં એ પોતાની જાત માટે કહે છે કે હું તો માત્ર ડોમેન સટ્ટોડિયો છું, બજાર પારખતા નહીં આવડે ત્યારે કોઈ મારો ભાવ પણ નહીં પૂછે એ વાત હું બરાબર જાણું છું!
                                                                            * * *
મનગમતા ડોમેન મેળવવા એ હવે ખૂબ અઘરું બન્યું છે. એના પરિણામે જ હવે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફોની જગ્યાએ વેબસાઇટના નામમાં નવા પૂંછડાં ઉમેરાતા જાય છે. ડોમેન્ડની ડિમાન્ડ પારખીને જેને બિઝનેસ કરતા આવડયો છે એના માટે તો આ કરોડોનો બિઝનેસ છે. ડોમેનની દુનિયા અંગે થોડું વધુ આવતા સપ્તાહે...

Sunday, 14 December 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતની નોબેલભૂમિ પશ્વિમ બંગાળ


બે દિવસ પછી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમની યોજાશે અને એમાં ભારતીય કૈલાશ સત્યાર્થીને શાંતિનો નોબેલ એનાયત થશે. ભારતમાં જન્મેલા અને ભારતને કર્મભૂમિ બનાવી હોય એવા બધા મળીને આંગળીને વેઢે ગણાય જાય એટલા લોકો નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા છે અને એમાંયે અડધો અડધો પશ્વિમ બંગાળ સાથે એક યા બીજા કારણોથી જોડાયેલા છે.

નોબેલ પ્રાઇઝની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે જ રવીન્દ્રનાથ ઠાકુરથી વાત માંડવી પડે. ગીતાંજલિ માટે ૧૯૧૩માં રવીન્દ્રનાથનું જ્યારે નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું ત્યારે તે સાહિત્યનું આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય તો હતા જ, પરંતુ યુરોપિયન ન હોય અને સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન મેળવ્યું હોય એવા પણ તેઓ જગતના પહેલા સાહિત્યકાર હતા. સાહિત્યથી લઈને સંગીત અને ફિલોસોફીમાં તેમનું પ્રદાન શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એટલું વિશાળ છે. ભારતના એ સમયના ઘણા બધા સાહિત્યકારો-લેખકો ઉપર રવીન્દ્રનાથનો ઊંડો પ્રભાવ પડયો હતો. શાંતિનિકેતન જેવી અનોખી વિશ્વભારતી યુનિવર્સિટી સ્થાપના માટેય તેમને વિશ્વભરમાં ખૂબ યાદ કરવામાં આવે છે. જન્મથી અને કર્મથી પશ્વિમ બંગાળ સાથે જીવનભર અતૂટ નાતો જોડી રાખનારા રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રદાન માત્ર આ ગીતાંજલિ પૂરતું સીમિત નથી એ પણ એટલી જ સાચી વાત છે. તેમણે એ સમયે ભારતની એક આખી પેઢીના ઘડતર કરવામાં શાંતિનિકેતનને માધ્યમ બનાવ્યું હતું. પણ રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલથી સન્માનિત કરાયા એ અગાઉ ૧૨ વર્ષ પહેલા પ્રથમ નોબેલ એવોર્ડ સેરેમનીમાં ભારતમાં જન્મેલા અને ભારતને જ કર્મભૂમિ બનાવનારા એક તબીબને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
કેમ્બેલ રોસ નામના એક અધિકારીને તેમના કામની કદર બદલ બ્રિટને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ ઈન્ડિયન આર્મીના જનરલ પદે નિયુક્ત કરીને ભારત મોકલ્યા હતા. આ કેમ્બેલ રોસના પુત્ર એટલે મેડિસિન માટે પ્રથમ નોબેલ મેળવનારા સંશોધક રોનાલ્ડ રોસ. રોનાલ્ડનો જન્મ ભારતના અલમોરામાં થયો હતો. લંડનમાં અભ્યાસ કર્યા બાદ રોનાલ્ડ ૧૮૮૧માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાઈ ગયા. લંડનની મેડિકલ કોલેજમાંથી સર્જરીનું ભણનારા રોનાલ્ડે આર્મી મેડિકલ હોસ્પિટલમાં કામ શરૃ કર્યું. કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. કોલકાત્તાને જ તેમણે કર્મભૂમિ બનાવી હતી. માદા મચ્છર કરડવાથી મલેરિયા થાય છે એવું સંશોધન તેમણે કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં જ કર્યું હતું. રોનાલ્ડના એ સંશોધનમાં તેમને અન્ય એક બંગાળી તબીબ ડો. કિશોર મોહન બંદોપાધ્યાયનો સાથ પણ મળ્યો હતો. મૂળ બ્રિટિશર પણ ભારતમાં જન્મેલા અને પશ્વિમ બંગાળને કર્મભૂમિ બનાવીને બંગાળમાં જ મલેરિયા અંગે મહત્ત્વની શોધ કરનારા રોનાલ્ડને બ્રિટનની નોબેલ યાદીમાં સમાવાયા છે, પણ તેમની શોધ માટે ભારત મહત્ત્વનું રહ્યું હતું અને જન્મથી તેઓ ભારતીય હતા એટલે તેમને ભારતની નોબેલ યાદીમાં પણ શુમાર કરવામાં આવે છે. ભારતમાં જન્મેલી વ્યક્તિએ નોબેલ મેળવ્યો હોય એવા રોનાલ્ડ પ્રથમ હતા.
ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વની એવી રામન ઈફેક્ટના શોધક સી. વી. રામનનો જન્મ એ સમયના મદ્રાસમાં થયો હતો. તેમણે અભ્યાસ પૂર્ણ કરીને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે યુનિવર્સિટી ઓફ કલકત્તામાં કારકિર્દીની શરૃઆત કરી હતી. કલકત્તા યુનિવર્સિટી વતી તેઓ એક પરિષદમાં ભાગ લેવા વિદેશ જતા હતા ત્યારે તેમણે સમૃદ્રના ભૂરા રંગનું અવલોકન કરીને તેનું રહસ્ય જાણવાનો વિચાર આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેમણે એ તરફ સંશોધન આગળ ચલાવ્યું હતું. સંશોધનમાં જાતે બનાવેલા અને સ્વદેશી સાધનોનો જ ઉપયોગ કરીને તેમણે રામન ઈફેક્ટ તરીકે ઓળખાયેલો સિદ્ધાંત આપ્યો હતો. તેમના આ સિદ્ધાંત માટે તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત કરાયા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે કલકત્તામાં પસાર થયેલો સમય મારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે. વિજ્ઞાાનમાં સર્વોચ્ચ સન્માન મેળવનારા સી. વી. રામન પ્રથમ ભારતીય હતા.
જન્મે વિદેશી પણ કર્મથી સવાયા ભારતીય ગણવા પડે એવા મધર ટેરેસાને પશ્વિમ બંગાળમાં થઈ રહેલા તેમના કામ બદલ ૧૯૭૯માં શાંતિ માટેનો નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેમનું જીવન પશ્વિમ બંગાળના ગરીબ બાળકોની સેવામાં વ્યતીત કર્યું હતું. ૧૩ સભ્યોની મદદથી તેમણે કોલકાત્તામાં જે કામનો પાયો નાખ્યો હતો એનો ફેલાવો આજે ૧૩૩ દેશોમાં થયો છે. ૪૫,૦૦ સિસ્ટર્સ મધર ટેરેસાના મિશનને આગળ વધારે છે, પણ તેના પાયામાં કોલકાત્તા હતું અને એટલે જ મધર ટેરેસાએ કોલકાત્તામાં ૧૯૪૮માં સ્થાપેલા ચેરિટી મિશનને છેક સુધી હેડક્વાર્ટર જેવો દરજ્જો આપ્યો હતો. શાંતિનો નોબેલ મેળવનારા પ્રથમ ભારતીય (ગાંધીજી ૧૯૩૭, ૩૮, ૩૯, ૪૭ અને ૪૮માં નોમિનેટ થયા હતા. તેમને નોબેલ ન આપીને નોબેલ કમિટીએ ઈતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે એવું ખૂદ નોબેલ કમિટીના સેક્રેટરીએ સ્વીકાર્યું હતું એ ઈતિહાસ જાણીતો છે) નાગરિક મધર ટેરેસા હતાં.
શાંતિનિકેતન અને પશ્વિમ બંગાળ સાથે અતૂટ નાતો ધરાવનારા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને તેમની વેલ્ફેર ઈકોનોમીની થિયરી માટે ૧૯૯૮માં અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો. અત્યારે તેઓ ૮૧ વર્ષના છે અને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેમની વિધવિધ આર્થિક થિયરીઓ અને વિચારોને વિશ્વભરના ઘણા દેશોએ સ્વીકારી છે.
આ સિવાય મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાઈ થયેલા હરગોવિંદ ખુરાનાને ૧૯૬૮માં શરીરવિજ્ઞાાન માટે નોબેલ એનાયત થયો હતો. એવા જ બીજા એક મૂળ ભારતીય અને અમેરિકામાં વસી ગયેલા સુબ્રમન્યમ ચંદ્રશેખરને ૧૯૮૩માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો. ભારતમાં જન્મેલા પણ બ્રિટન સ્થાઈ થયેલા વેંકટરામન રામાક્રિષ્નનને ૨૦૦૯મા રસાયણશાસ્ત્રનો નોબેલ મેડલ આપીને તેમના કામનું સન્માન થયું હતું.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વર્ષોથી ભારતના રાજ્યાશ્રયના કારણે રહેતા દલાઈ લામાને ૧૯૮૯માં નોબેલ કમિટીએ શાંતિનો નોબેલ આપ્યો હતો. ગાંધીજીના અહિંસક માર્ગે તિબેટ માટે ચીન સામે ધીરજપૂર્ણ અહિંસક લડત ચલાવી રહેલા ૧૪મા દલાઈ લામાને શાંતિનો નોબેલ આપીને નોબેલ કમિટીએ જાણે ગાંધીજીને સન્માન ન આપી શકાયાનું પ્રાયશ્વિત પણ કર્યું હતું.
વિદેશને કર્મભૂમિ બનાવનારા પણ ભારતમાં જન્મેલા હરગોવિંદ ખુરાના, સુબ્રમન્યમ ચંદ્રશેખર, વેંકટરામન રામાક્રિષ્નન વગેરેનો જન્મ ભારતમાં ભલે થયો હોય. થોડો અભ્યાસ પણ ભારતમાં જ થયો હોવા છતાં નોબેલની યાદીમાં તેઓ અમેરિકા-બ્રિટન જેવા દેશોના લિસ્ટામાં સમાવેશ પામે છે. તો પછી વિદેશના હોય છતાં ભારતને પ્રથમ નોબેલ અપાવનારા રોસને પણ આપણે ભારતીય ગણીને આપણી યાદીમાં સમાવી શકીએ છીએ. કેમ કે, તેમનો જન્મ-ઉછેર અને કાર્ય ભારત સાથે જોડાયેલા છે. એ જ રીતે વિદેશી ભૂમિ ઉપર જન્મેલા મધર ટેરેસા પણ સવાયા ભારતીય છે એટલે બધા મળીને ભારતના નામે કુલ ૧૦ નોબેલ પ્રાઇઝ બોલે છે. કૈલાશ સત્યાર્થી ૧૧મા ભારતીય છે. આંગળીના વેઢા પણ વધી પડે એટલા ભારતીયોમાંથી વળી પાંચને પશ્વિમ બંગાળ સાથે સીધો સંબંધ છે. એક સમયે પશ્વિમ બંગાળ બૌદ્ધિકોની ભૂમિ કંઈ એમ જ થોડી કહેવાતી હશે!

પાંચ-પાંચ નોબેલ મેળવનારો એક માત્ર પરિવાર
ક્યૂરી પરિવારના નામે પાંચ-પાંચ નોબેલ મેળવવાનો વિક્રમ બોલે છે. રેડિયમના શોધક તરીકે જગવિખ્યાત બનેલાં મેડમ મેરી ક્યૂરી અને તેમના પતિ પિયરી ક્યૂરીને ૧૯૦૩માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યાર પછી એક અકસ્માતમાં પિયરીનું નિધન થયું હતું. જોકે, મેરીએ તેની સંશોધન યાત્રા શરૃ રાખી હતી. ૧૯૧૧માં મેરીને રસાયણશાસ્ત્ર માટે ફરીથી નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એ સાથે જ બે અલગ અલગ વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા તેઓ પ્રથમ મહિલા બની ગયાં હતાં. 
મેરી ક્યૂરી
ઈરીન જૂલિયેટ ક્યૂરીએ માતાના રસ્તે ચાલીને રસાયણશાસ્ત્રમાં સંશોધન પ્રક્રિયા ચાલું રાખી હતી. જેના પરિણામે ૧૯૩૫માં તેના પતિ ફ્રેડરિક ક્યૂરી સાથે તેને પણ રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. મેરીની બીજી પુત્રી ઈવાએ માતા-પિતાને પગલે ચાલીને સાયન્ટિસ્ટ બનવાને બદલે જર્નલિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું અને એટલે તે ક્યૂરી પરિવારની એક માત્ર સભ્ય હતી જેના નામે નોબેલ નોંધાયો ન હતો, પરંતુ તેના પતિ હેનરી રિચાર્ડસન લેબોઇસીએ ૧૯૬૫માં યુનિસેફના ડિરેક્ટર તરીકે જ્યારે શાંતિ માટેનો નોબેલ સ્વીકાર્યો ત્યારે અનોખો વિક્રમ સર્જાઈ ગયો હતો. એ સાથે જ ક્યૂરી પરિવારના પાંચ સભ્યોએ મળીને ચાર-ચાર નોબેલ મેડલ્સ પર કબજો મેળવીને નોબેલ પારિતોષિકના ઈતિહાસમાં કાયમ માટે અનેરી સિદ્ધિ હાંસિલ કરી લીધી હતી. આ વિક્રમ આજેય અતૂટ છે અને કદાચ વર્ષો સુધી અતૂટ રહે એવી શક્યતા નકારી શકાય નહીં!
Sunday, 7 December 2014
Posted by Harsh Meswania
Tag :

વૂડ્રો વિલ્સનઃ પ્રથમ ટર્મમાં જોયા કર્યું, બીજી ટર્મમાં જોયા જેવી કરી!


પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા છેક સુધી અળગું રહ્યું હતું અને જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું ત્યારે પરિણામ પણ આવ્યું. અમેરિકાને છેક સુધી પ્રથમ વિશ્વયુદ્ધથી દૂર રાખવા માટે જ અમેરિકન પ્રજાએ ફરીથી દેશનું સુકાન જેમને સોપ્યું હતું એમણે જ પછીથી અચાનક યુદ્ધમાં જોતરાવવાનું કેમ પસંદ કર્યું?

સમય : ૧૯૧૬નો ઉનાળો
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી કરવા માટે પક્ષના મોટા ગજાના નેતાઓની બેઠક મળી હતી. હરિફ રિપબ્લિક પાર્ટીએ ન્યુયોર્કના ગવર્નર તરીકે કામ કરીને લોકપ્રિયતા મેળવનારા ચાર્લ્સ ઈવાન્સ પર પસંદગી ઢોળી હતી એટલે સામે એવા જ ઉમેદવારની પસંદગી કરવી જરૃરી હતી. બેઠકનો માહોલ અતિ ભારે બની ગયો હતો. ૧૬ વર્ષ પછી જે વૂડ્રો વિલ્સનના કારણે ફરીથી ડેમોક્રેટિક પાર્ટીને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ મળ્યો હતો એને રિપિટ કરવામાં હવે હાઇકમાન્ડને ભારોભાર જોખમ લાગતું હતું. છેલ્લા એક વર્ષની તેમની નિષ્ફળતા પક્ષને ડૂબાડી દે એમ હતી, તો સામે એમની ઉજળી છબી પક્ષને તારી શકે એવી શક્યતા ધૂંધળી બની ન હતી. એવી અવઢવ વચ્ચે એ બેઠકમાં ખૂદ વૂડ્રો વિલ્સને હાઇકમાન્ડને મનાવવાની કોશિશ શરૃ કરી હતી...
'૧૯૧૩માં મારી પસંદગી થઈ ત્યારે પક્ષને સત્તા ઉપર આવ્યાને ૧૬-૧૬ વર્ષ વીતી ગયા હતાં અને એ વખતે ન્યુજર્સીના ગવર્નર તરીકે કામ કરવાની મારી ઉજળી છબી જ પક્ષને કામ લાગી હતી. ચાર ચાર ચૂંટણી હાર્યા પછી પક્ષને છેક પાંચમી વખત હાર ખમવી ન પડે એ માટે મેં સખત મહેનત કરીને એ ચૂંટણી જીતી હતી એ યાદ રાખવું જોઈએ' તેમણે પોતાના સબળા પાસા રજૂ કરવા માંડયા.
'યેસ મિ. વિલ્સન! અમને તમારી આવડત પર કોઈ જ શંકા નથી, પણ અત્યારે પક્ષની અને સરકારની પણ નબળી હાલત છે. સામે ધરખમ ઉમેદવાર છે એટલે આપણે કોઈ નબળી કડી છોડવી ન જોઈએ' સામેથી એટલો જ ધારદાર જવાબ આવ્યો.
'પણ હું સત્તા ઉપર આવ્યો ત્યારે દેશ આર્થિક સંકળામણમાંથી પસાર થતો હતો. પ્રારંભના ત્રણ વર્ષમાં દેશની નીતિઓમાં મહત્ત્વના ફેરફારો કરવા ઉપરાંત મેં જનમાનસમાં પક્ષની ઈમેજ મજબૂત બનાવવાનું કામ પણ કર્યું છે' પક્ષને જ નહીં, પણ દેશને ય કટોકટી જેવી પરિસ્થિતિમાં ઉગાર્યા હોવાનું તેમણે ફરીથી યાદ અપાવ્યું.
'ઠીક છે, પરંતુ છેલ્લા દિવસોમાં રેલ કર્મચારીઓની હડતાલ અને દેશભરમાં ચાલી રહેલા કામદારોના દેખાવો અંગે સમાચાર માધ્યમોમાં તમારી ખૂબ ટીકા થાય છે અને પરિણામે પક્ષ પણ ટીકાપાત્ર બન્યો છે. લોકોમાં આપણાં પક્ષ સામે રોષ ભભૂકી રહ્યો છે' પક્ષ તરફથી વિલ્સન સામે વધુ એક મહત્ત્વનો મુદ્દો ખડો કરવામાં આવ્યો.
'રેલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અને કામદારોના આંદોલન અંગે હું માત્ર બે દિવસમાં નિર્ણયો લઈને ઘટતું કરીશ' વિલ્સને પડતર પ્રશ્નોના નિકાલની ખાતરી આપી જોઈ.
'લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે તમે શરૃઆતના ત્રણ વર્ષમાં કરેલા કામ જનમાનસના સ્મરણમાં નહીં હોય, પરંતુ છેલ્લા એક વર્ષની તમારી નિષ્ફળતા લોકોને ઉડીને આંખે વળગે છે. મતદારો ફરીથી તમને મત શું કામ આપશે?' પક્ષે અણિયાળો સવાલ પૂછીને વિલ્સનના ચૂંટણી લડવાના મનસૂબા પર ઠંડુ પાણી રેડવાનું શરૃ કર્યું.
'વિશ્વમાં અત્યારે ચાલી રહેલી અરાજકતા અને હિંસાના માહોલ વચ્ચે આપણો દેશ શાંત અને તટસ્થ રહી શક્યો છે એ વાતે મતદારો મને મત આપશે. મેં ખૂબ પ્રયત્નપૂર્વક આપણા દેશને પ્રથમ વિશ્વયુદ્ધથી બહાર રાખ્યો છે એ વાત દેશના મતદારો નહીં જ ભૂલ્યા હોય' વિલ્સને છેલ્લો પાસો ફેંકી નાખ્યો.
'તો ઠીક છે મિ. વિલ્સન તમે બે દિવસમાં મજૂરો અને રેલ કર્મચારીઓના આંદોલનો અને માંગણીઓ પૂરી કરી દો અને પછી ચૂંટણીની તૈયારી આરંભી દો' વિલ્સનનો છેલ્લો પાસો બરાબર અસરકારક રીતે પડયો હતો અને પાર્ટીએ વિલ્સનની ફરીથી ચૂંટણી લડવાની માંગણીને સ્વીકારી લીધી હતી.
હાઇકમાન્ડ પાસે જે મુદ્દાથી ધાર્યુ કરાવી શકાયું હતું એ મુદ્દો મતદારોને ચોક્કસ આકર્ષશે એવી વૂડ્રો વિલ્સનને પાકી ખાતરી હતી અને ખરેખર એમ જ બન્યું. વિલ્સનનું ચૂંટણી સ્લોગન હતું-'અમેરિકાને ચૂંટણીથી દૂર રાખીને શાંતિ જાળવી રાખનારા પ્રમુખ'. ધારણા મુજબ જ ચૂંટણી કશ્મકશભરી બની રહી. ચાર્લ્સ ઈવાન્સે છેક સુધી ટક્કર આપી પરંતુ અમેરિકાને ત્રણ-ત્રણ વર્ષથી યુદ્ધના નરકથી અળગા રાખીને દેશમાં શાંતિ બરકરાર રાખનારા અને આગામી સમયમાં ભીંષણ યુદ્ધના માહોલમાં પણ તટસ્થ રહેવાના પ્રમુખના વચન પર વિશ્વાસ રાખીને મતદારોએ વિલ્સનને ફરીથી સત્તાની બાગડોર સોંપી દીધી. 
...પણ અમેરિકન પ્રજાને આપેલા એ વચનમાં વિલ્સન ખરા ઉતરી શક્યા નહીં અને માત્ર એક વર્ષના ગાળામાં જ તેમણે યુદ્ધમાં ઝંપલાવી દીધું. શું કામ?
                                                                           * * *
'આપણે સૌ જાણીએ છીએ એમ અત્યારે વિશ્વ ભીંષણ યુદ્ધ સામે લડી રહ્યું છે. માનવજાત માટે વિનાશ વેરે એવા હથિયારો બેફામ પ્રયોજાઈ રહ્યાં છે ત્યારે આપણે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે શાંત બેસીને જોયા કરવું પાલવે તેમ નથી. આ આગ ક્યારે આપણાં દેશ સુધી આવી પહોંચે એ કહી શકાય તેમ નથી એટલે હવે યુદ્ધ મેદાનમાં ઉતર્યે જ છૂટકો છે. જો આ જ સ્થિતિ શરૃ રહી તો આપણે મૂક પ્રેક્ષક બની રહ્યાં એનો વસવસો સદીઓ સુધી રહેશે. આવનારી પેઢી આપણને દોષી ઠેરવે એ પહેલા આપણે વિશ્વશાંતિ માટે યુદ્ધ કરવું પડશે. જો આ સમયે આપણે શાંતિ માટે નહીં લડીએ તો પછી હંમેશા ક્યાંક અશાંતિ સામે ઝઝુંમવું પડશે. એટલે આજથી આપણે વિશ્વયુદ્ધમાં ભાગીદાર બનવાનું નક્કી કરીએ છીએ અને એના પરિણામ માટે આપણે ભાગે આવનારી જવાબદારી પણ ઉપાડશું'
બીજી ટર્મમાં ચૂંટાઈને માંડ હજુ છ-આઠ માસ શાંતિથી પસાર થયા પછી એક દિવસ નેશનલ કોંગ્રેસનું ખાસ સેશન બોલાવીને પ્રમુખ વૂડ્રો વિલ્સને આવી જાહેરાત કરી હતી. અમેરિકન પ્રજા અને અમેરિકન મીડિયા પણ હજુ અવઢવમાં હતાં કે યુદ્ધમાં અમેરિકાએ ઉતરવું જોઈએ કે નહીં. એ અવઢવ વચ્ચે વધુ સમય લીધા વગર પ્રમુખે આ જાહેરાત કરી એટલે સમાચાર માધ્યમોએ શરૃઆતમાં ટીકા પણ કરી. જે પ્રમુખે યુદ્ધથી દૂર રહેવાનો મક્કમ નિર્ધાર જાહેર કરીને વાયદો આપ્યો હતો અને એ કારણે જ પ્રજાના મત મેળવ્યા હતા એ જ હવે દેશને યુદ્ધની અરાજકતા તરફ ધકેલે છે એ વાતે તેમની ચોમેર ટીકા પણ થઈ. જોકે, ત્યાં સુધીમાં સેનાના મુખ્ય કમાન્ડર જ્હોન જે. પાર્સિંગની આગેવાનીમાં સૈન્ય છેક યુરોપની ભાગોળે પહોંચી ગયું હતું. વારંવાર ચેતવણી આપવા છતાં જર્મની પ્રતિબંધિત શસ્ત્રોનો અને સબમરિનનો ઉપયોગ કરી રહ્યું હતું અંતે લોકશાહી માટે દુનિયાને સલામત રાખવાના સુત્ર સાથે ૧૯૧૭માં તેમણે અમેરિકાને યુદ્ધના મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું. તેમનો આ નિર્ણય ઘણી બધી રીતે દૂરગામી બની રહ્યો હતો.
અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રમુખો બહુ ઓછા મળશે કે જેમણે બીજી ટર્મમાં વિલ્સન જેવી આક્રમકતા દાખવી હોય. સામાન્ય રીતે બે ટર્મ સુધી પ્રમુખ હોય એમની બીજી ટર્મમાં આક્રમકતાને બદલે નિરસતા વધુ ભળે. સામે વિલ્સને પ્રથમ ટર્મમાં ધીરજ રાખીને જોયા કર્યું અને બીજી ટર્મમાં જોયા જેવી કરી. પ્રથમ અને બીજાં વિશ્વયુદ્ધના પરિણામમાં સૌથી વધુ મહત્ત્વનું અમેરિકા રહ્યું હતું. બંને વિશ્વયુદ્ધમાં છેલ્લે છેલ્લે જોડાઈને પરિણામમાં પ્રત્યક્ષ ભાગ લેનાર અમેરિકાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિલ્સનના આ અણધાર્યા નિર્ણયના કારણે ચાવીરૃપ ભૂમિકા ભજવી હતી.
જોકે, વિલ્સનના આ નિર્ણયના કારણે પાર્ટીને શું ફરક પડયો? વિલ્સનને બીજી ટર્મ માટે પક્ષનું પ્રતિનિધિત્વ સોંપતા પહેલા પક્ષના હાઇકમાન્ડને જે અંદેશો હતો કે માંડ ૧૬ વર્ષે સત્તા ઉપર આવેલી પાર્ટીને સત્તા ગુમાવવી પડશે. એ અંદેશો સાચો પડયો હતો. ૧૯૨૧માં પ્રમુખ પદની ચૂંટણી થઈ એમાં તો ડેમોક્રેટિક પાર્ટીએ હાર ખમવી જ પડી, પણ પછી સત્તા ઉપર આવતા બીજી બે ચૂંટણી પણ હારી જવી પડી. વિલ્સનના ૧૨ વર્ષ પછી ડેમોક્રેટિક પાર્ટીના ફ્રેન્કલિન રૃઝવેલ્ટે ૧૯૩૩માં ચૂંટણી લડી ત્યારે વિલ્સનની જેમ જ તેમની પોતાની ઉજળી છબીને કારણે ફરીથી પાર્ટી સત્તા ઉપર આવી હતી. એક નિર્ણય પક્ષને પણ ઘણો ભારો પડયો હતો. જોકે, અમેરિકા યુદ્ધ ફિનિશર છે એવી વૈશ્વિક ઈમેજ બિલ્ડ કરવામાં વિલ્સનનો યુદ્ધમાં જોડાવાનો આ નિર્ણય અગત્યનો બની રહ્યો.

જ્હોન જે. પાર્સિંગઃ અમેરિકન લશ્કરી જનરલ-કુશળ યુદ્ધ નીતિજ્ઞ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ યુરોપમાં મોકલાવેલી સેનાના મુખ્ય કમાન્ડર જ્હોન જે. પાર્સિંગ હતા. અમેરિકન સૈના દુશ્મન દેશો પર બરાબર ભારે પડી હતી. જેમાં જ્હોનની યુદ્ધનીતિ કારણભૂત હતી. જ્હોન નીવડેલા લિડર અને કુશળ યુદ્ધ નીતિજ્ઞા હતા. મેદાનમાં ક્યાંથી દુશ્મનોને ઘેરવા જોઈએ અને ક્યાંથી પોતાની સેનાને હેમખેમ બહાર કાઢી શકાય એની રણનીતિ જ્હોન આબાદ રીતે અમલી બનાવી શકતા હતા. 

 જ્હોન જે. પાર્સિંગ
વિશ્વમાં પાંચ યુદ્ધ નીતિજ્ઞા પસંદ કરવાના હોય તો એમાં જ્હોનનો સમાવેશ કરવો જ પડે એવી તેની આવડત હતી. જ્હોનના કારણેે અમેરિકાએ બ્રિટન-ફ્રાન્સની સેનાને બરાબર કવચ આપ્યું હતું. એટલું જ નહીં, પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકાની ધાક બેસાડવામાં ય જ્હોનની આ યુદ્ધનીતિનો અગત્યનો રોલ કહી શકાય. જ્હોન ત્યારે એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે અમેરિકન સૈન્યને મળતા બધા જ રેન્ક મેળવ્યા હતા. યુરોપમાં તેમણે જે રીતે પ્રદર્શન કર્યું હતું એ કદાચ અમેરિકાએ તેમની પાસેથી રાખેલી અપેક્ષા કરતા અનેકગણું વધારે હતું. અમેરિકાએ એ સમયે યુરોપમાં મદદ માટે મોકલેલું સૈન્ય એટલું બધુ વિશાળ નહોતું એટલે મર્યાદિત સંખ્યાબળ ધરાવતા સૈન્ય પાસેથી જ્હોને જ ઉત્તમોત્તમ કામગીરી કરાવી હતી. અમેરિકા યુદ્ધમાં જોતરાયું પછી તરત જ દુશ્મન સૈન્ય ઘૂંટણીએ આવવા લાગ્યું હતું એ પાછળના ખરા ભેજાબાજ આ લશ્કરી જનરલ હતા

Sunday, 30 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતમાં ચોરી : ચોરના લાખ સામે પોલીસના બાર હજાર!

યુએનની ક્રાઇમ અને ડ્રગ્સ પર કામ કરતી સંસ્થાએ ચોરી અંગેનો વૈશ્વિક અહેવાલ રજૂ કર્યા, જેમાં ભારતને પોલીસતંત્રની નિષ્ફળતાના કારણે અગ્રતાક્રમ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોરીનું
પ્રમાણ સતત વધ્યું છે. સામે ભારતભરનું પોલીસતંત્ર ચોરીઓ રોકવામાં અને રિકવરીમાં સરિયામ નાકામ
નીવડયું છે

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમે ચોરી અંગેના એક અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે એ મુજબ ભારતનું પોલીસ તંત્ર ચોરીઓ રોકવામાં વામણું સાબિત થયું છે. આફ્રિકન દેશો અને એશિયન દેશોમાં ઘરફોડી કે પર્સ સહિતની સામગ્રી તફડાવી લેવાનું પ્રમાણ વધતું જાય છે એને ગંભીર બાબત ગણાવીને યુએનની આ સંસ્થાએ સ્થાનિક તંત્રની જાટકણી પણ કાઢી છે. ભારતમાં વધતી જતી ચોરીઓ વિશેના અહેવાલમાં બાઇક અને કાર ચોરીના નવા ટ્રેન્ડ સામે દિશાસૂચન કરવામાં આવ્યું છે. આંતરિક સુરક્ષા છતાં બાઇક અને કારની ચોરીઓ કરવામાં ઠગો ધારણા કરતા અનેકગણા ચડિયાતા સાબિત થાય છે, સામે પોલીસ તંત્રના ઉદાસિન વલણને યુએને આકરા શબ્દોમાં વખોડયું છે. આ અહેવાલની સૌથી આશ્વર્યજનક બાબત એ હતી કે બાઇક ચોરીમાં ભારત આખા વિશ્વમાં પ્રથમ નંબરે રહ્યું છે. સામે રિકવરીમાં પોલીસ છેલ્લેથી બીજા નંબરે! એ સિવાય ફેક્ટરી, એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ્સ, દુકાન અને શો-રૃમમાં થયેલી ચોરીઓનું પ્રમાણ પણ ભારતમાં છેલ્લા એક દશકામાં સતત વધ્યું છે અને આ વર્ષે ટોચ પર પહોંચ્યું છે. યુએનની આ સંસ્થાનું માનીએ તો ભારતના પોલીસતંત્રની ધાક ઓછી થવાના કારણે આવી ગુનાખોરી વધુ ઉત્તેજન મેળવે છે.
આ સંસ્થા વૈશ્વિક રીતે કામ કરે છે અને કદાચ આપણા દેશના અહેવાલમાં ઉણા ઉતર્યા હોય એવી જો જરાકે ય દહેશત હોય તો આપણા જ દેશના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો આ વર્ષનો રિપોર્ટ આ જ વાતને વધુ સારી રીતે સમજવામાં ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ભારતમાં વર્ષે દહાડે થતી ચોરીની સંખ્યા ભયજનક સપાટીએ પહોંચી છે એની આંકડાકીય સાબિતી કંઈક આવી છે.
નેશનલ ક્રાઇમ બ્યુરોના ચાલુ વર્ષના અહેવાલ મુજબ દેશમાં ૨૦૧૩ના વર્ષમાં ૧૩,૨૧૯ કરોડ રૃપિયાની કિંમતની કુલ ચોરીઓ થઈ હતી. છેલ્લા દશકાનો આ હાઇએસ્ટ આંકડો છે અને એનાથી ગંભીર બાબત એ હતી કે પોલીસનો રિકવરી રેસિયો દશકાનો સૌથી નીચો હતો. નીચો એટલે કેટલો નીચો? આ પ્રશ્નના જવાબ રૃપે રજૂ થતો આંકડો મુદ્દાની ગંભીરતા છતી કરવા માટે પૂરતો થઈ પડે તેમ છે. ૧૩,૨૧૯ કરોડની કિંમતની કુલ ચોરીઓ સામે પોલીસે પરત મેળવેલી કિંમત હતી માત્ર- ૧૭૬૨ કરોડ! પરત મેળવેલી કિંમત બાબતે હજુ એક વાત એ ઉમેરવી પડે કે આ રકમમાં જે તે વસ્તુની વર્ષ દરમિયાન વધી ગયેલી કિંમત ગણવામાં આવી છે. ધારો કે, જાન્યુઆરીમાં કોઈ એક ઘરફોડ ચોરી થઈ છે અને એમાં ચોરાયેલા સોનાના દાગીનાની કિંમત એક લાખ રૃપિયા છે અને કુલ દાગીના પાંચ છે. પછી જ્યારે ડિસેમ્બરમાં ચોર પકડાઈ જાય ત્યારે તેની પાસેથી રિકવર કરેલા દાગીના આઠ જ મળે પણ સોનાના ભાવ વધવાને કારણે એ આઠ દાગીનાની કિંમત જ એક લાખ ને વીસ હજાર રૃપિયા થઈ હોય તો રિકવર થયેલી કુલ કિંમત એક લાખ વીસ હજાર ગણાય. ખરેખર તો બે દાગીના પરત લઈ શકાયા નથી એટલે એ નિષ્ફળતા ગણાવી જોઈએ એને બદલે પોલીસ બધી જ કિંમતને રિકવરીમાં ગણી લે છે. આવી વધી ગયેલી કિંમત પ્રમાણેનો આંકડો ૧૭૬૨ કરોડ થાય છે, ખરી રિકવરી એનાથી ઘણી ઓછી હશે. ચોરી થયેલી વસ્તુ પોલીસ ચોપડે મૂળ કિંમતે ચડે છે અને રિકવરી વખતે વધારો થયેલી કિંમત અંકાય છે. જેમ કે, ઘરફોડી વખતે ઘરમાંથી દાગીના ચોરાયા હોય ત્યારે પોલીસ ખરીદી વખતેની કિંમત અડસટ્ટે અને બને એટલી ઓછી લગાવીને તપાસ ચાલુ કરે છે. પણ જેવો ચોર પકડાય ત્યારે રિકવરીમાં લેટેસ્ટ કિંમત ગણાવાય છે. વળી, ભળતો સળતો આરોપી પકડાય ત્યારે ભળતી સળતી (જે તે પોલીસ કર્મચારીઓને માથે તોળાતી હોય એવી તપાસ) તપાસનો ગુનો એની પાસે કબૂલાવી લેવાનું વલણ તો ખરું જ! એટલે ઘણા બધા કેસમાં તો ખરા ગુનેગાર સુધી પહોંચી જ શકાતું હોતું નથી. જે ગુનેગાર વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા જ થાય નહીં એ સ્વાભાવિક રીતે જ અન્ય ગુનાઓ કરવા પ્રેરાય છે.
એટલે કે ચોરીઓનું પ્રમાણ વધુમાં વધુ રહ્યું અને ગુનાખોરીની જડ સુધી પહોંચવાનું પોલીસનું કામ નિમ્નસ્તરનું રહ્યું. બીજી રીતે કહેવું હોય તો ચોર સામે પોલીસ ખૂબ જ કમજોર સાબિત થઈ હતી. આખા વર્ષ દરમિયાન દેશભરના ચોર પોલીસને હંફાવવામાં બરાબર સફળ થયા કહેવાય!
રાજ્ય પ્રમાણે જોઈએ તો ૪,૩૧૫ કરોડની ચોરી એકલા મહારાષ્ટ્રમાં થઈ છે એટલે પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે. બીજા નંબરે રહેલા ગોવામાં ૩,૦૪૮ કરોડની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. ગોવાનો રિકવરી રેસિયો પાછો ભયજનક રીતે નીચલી સપાટીએ છે. ગોવામાં પોલીસનો રિકવરી રેસિયો ૦.૧ ટકા છે! નિમ્ન રિકવરીમાં ૨ ટકા સાથે કેરાલા બીજા સ્થાને અને ૩.૩ પ્રતિશત સાથે મણિપુર ત્રીજા સ્થાને રહ્યું હતું. ગયા વર્ષે સારામાં સારો રિકવરી રેસિયો તમીલનાડુ પોલીસનો રહ્યો હતો. ૭૩ ટકા ચોરીના ભેદ ઉકેલીને ચોરીનો સામાન રિકવર કરવામાં તમિલનાડુ પોલીસ ઉપરાંત સિક્કીમ પોલીસ (૫૧ ટકા) અને આંધ્રપ્રદેશ પોલીસે (૫૧) મહત્ત્વની કામગીરી કરી કહેવાય. પણ આવડાં મોટા દેશમાં ત્રણ રાજ્યોની પોલીસ જ સારી કામગીરી કરી શકે એ તો વળી અતિ ગંભીર બાબત કહેવાય. કેમ કે, એકથી જે કામ શક્ય છે તો અન્ય પણ કરી શકે છે. ભારતના તમામ રાજ્યોની પોલીસને જો નિષ્ફળતા મળી હોય તો એમ વિચારી શકાય કે એ કામ ધારણા જેટલું સરળ નહીં હોય, પરંતુ અહીં ત્રણ રાજ્યોની પોલીસે એટલિસ્ટ ગયા વર્ષે ચોરીની બાબતમાં તો એ બતાવ્યું જ છે કે એને ડામી શકાય છે અથવા તો ચોરાયેલી વસ્તુઓ મોટા પ્રમાણમાં વસૂલી શકાય છે. 
છેલ્લા દશકામાં આખા ભારતની પોલીસનો સારામાં સારો સરેરાશ રિકવરી રેસિયો ૨૦૧૦માં ૨૮ પ્રતિશત નોંધાયો હતો. જો આ હાઇએસ્ટ હોય તો પોલીસની નિષ્ફળતા અંગે કલ્પના કરવી બહુ અઘરી નથી. આવા સાધારણકક્ષાના દેખાવ માટે પોલીસનો બચાવ કેવો છે?
પોલીસનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી બાઇક-જ્વેલરી સહિતની વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થયો છે એટલે ચોરીની મૂળ કિંમત ગણતી વખતે આંકડો ખૂબ મોટો થાય એ સ્વાભાવિક છે. અહેવાલોમાં આંકડો મોટો થાય છે એટલે પોલીસની નિષ્ફળતા મોટી દેખાય છે, નહીંતર પોલીસનો રિકવરી રેસિયો તો સતત વધ્યો છે. ચોરીનું પ્રમાણ વધ્યું નથી, પણ આંકડાઓ વધ્યાં છે.
જોકે, પોલીસે વસૂલાત આંકમાં આ ભાવવધારો ઉમેર્યો જ છે જેને સિફતપૂર્વક ગણતરીમાં લેતી વખતે ભૂલી જવાય છે. ચોરીની કિંમત અંગે તર્ક લગાવીને પોલીસ જવાબદારીમાંથી છટકવાનો ભલે પ્રયાસ કરે, પણ એમાં પોલીસતંત્રની નિષ્ફળતા દેખાયા વગર રહેતી નથી. આટલા વર્ષોથી ચોરીનું પ્રમાણ વધ્યું નથી એને સિદ્ધિ ગણી શકાય નહીં. કેમ કે, ચોરી ડામવામાં પોલીસની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ છે.
ચોરી સામેના આપણાં હળવા કાયદાઓના કારણે ઠગોને ચોરી કરવાનું પ્રોત્સાહક વાતાવરણ અજાણતા જ મળી જાય છે. ચોરી નાની હોય કે મોટી, દરેક સામે એક સરખી કલમ અને એ પછી જામીન મેળવવાની સરળ પ્રક્રિયાના કારણે રીઢા ગુનેગારો એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. વળી, એમાં પોલીસની થોડી નિષ્ક્રિયતા ભળે એટલે ચોરો માટે તો જાણે સ્વર્ગ જેવું વાતાવરણ બની જાય છે. ઉદાહરણરૃપ સજા કરવાની જોગવાઈ ન હોય ત્યારે આવી સ્થિતિમાં તો ચોરીનું પ્રમાણ ન વધે તો જ નવાઈ કહેવાય! અને પોલીસ કરે તો પણ શું કરે? રાજકારણીઓની સભાઓની સુરક્ષામાંથી પરવારે પછી થોડી નવરાશ મળે ત્યારે ચોરીઓની ફાઇલ તરફ ધ્યાન આપવાનું હોય છે. પાર્ટટાઇમમાં તો કરી કરીને કેટલું કામ થાય!

ઓનલાઇન ચોરી હવે સ્માર્ટ તસ્કરો માટે ધીકતો ધંધો
* સાઇબર સોર્સ નામની સંસ્થા વૈશ્વિક ઓનલાઇન માર્કેટ પર નજર રાખે છે અને એમાં થતી ચોરીઓ પર પણ તેમની ચાંપતી નજર હોય છે. તેના કહેવા પ્રમાણે આ આંકડો કુલ બિઝનેસનો ૧૦ ટકા થવા જાય છે. વળી, આટ-આટલી સિક્યુરિટી છતાં આંકડો ઘટવાને બદલે વધી રહ્યો છે. ૨૦૧૧માં ચોરીનું પ્રમાણ ૬ ટકા હતું, ૨૦૧૨માં ૮ ટકા અને હવે ૨૦૧૪ના ૧૦ માસમાં ૧૦ ટકાએ પહોંચ્યું છે.
* વર્ષે દહાડે ૧૦ કરોડ રૃપિયાની ઓનલાઇન ચોરી નોંધાય છે. ઘણા ગ્રાહકો છેતરાયા પછી જતું કરી દે એ આંકડો કદાચ બીજો એટલો પણ હોઈ શકે છે. ઘણા ગ્રાહકો કશીક ખરીદી વખતે અચાનક કપાયેલા પૈસાને પોતાની ભૂલ સમજીને જતું કરે છે. ખરેખર તો ત્યારે કોઈક ઓનલાઇન ચોર કળા કરી ગયો હોય છે.
* એકલા અમેરિકામાં જ ૯ લાખ યુઝર્સ ઓનલાઇન ચોરીનો ભોગ બને છે. જેની સામે અમેરિકન પોલીસે ૧,૨૦૦ આરોપીઓને પકડી પાડયા હતા. ઓનલાઇન ચોરીના આરોપીઓ પાસેથી વસૂલાત કરીને એ રકમ યુઝર્સની સિક્યુરિટી માટે વાપરવાનું અમેરિકાનું આગામી આયોજન છે. આરોપીઓ પાસેથી ઓછામાં ઓછા ૧૦૦થી ૨૦૦ કરોડ રૃપિયા રિકવર થશે એવી ધારણા છે.
* ઓબામાએ એ વખતે વકતવ્યમાં અમેરિકામાં ઓનલાઇન ઉપરાંતની ચોરીઓ ઘટાડવા પર પણ ભાર આપ્યો હતો. આપણે ત્યાં આ આંકડો આંખો આશ્વર્યથી પહોળી થઈ જાય એવડો મોટો છે અને છતાં એક પણ સરકાર એના માટે એટલી ચિંતિત ક્યારેય જણાઈ નથી. હજુ આપણે ચોરી સામે જ એટલા પ્રાથમિક પગલાઓ ભરી રહ્યાં છીએ ત્યારે ઓનલાઇન ચોરી વિશે જાગૃતિ આવતા તો કદાચ બીજો એક દાયકો લાગશે. અમેરિકાએ આ મામલાની ગંભીરતા સમજીને અત્યારથી જ અબજો રૃપિયાનું બજેટ ઓનલાઇન સિક્યુરિટી માટે ફાળવી દીધું છે.
* અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાએ ઓનલાઇન ચોરીઓ રોકવા માટે વિશેષ કન્ઝુમર પ્રોટેક્શન બ્યુરોને હમણાં લીલીઝંડી આપી હતી. સાથે સાથે ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ દ્વારા ગુમાવવી પડતી રકમ અંગે પણ બાય સિક્યુરિટી નામની એક ચિપ અને પીન સિસ્ટમ લોંચ કરી હતી. જે ૨૦૧૫માં કાર્યરત થશે. એ સિસ્ટમ મુજબ હવે કોઈના એટીએમમાંથી કે ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇન ચોરી થશે તો તેની જવાબદારી અમેરિકન સરકાર લેશે. જેના બદલામાં ગ્રાહકોએ એક સુરક્ષા માટે એક સત્તાવાર ચીપ અને પીન ખરીદવા પડશે.
Sunday, 23 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતનું સ્વચ્છતા અભિયાન : આગ કા દરિયા ડૂબ કે જાના...



દિલ્હીના એક નેતાના સફાઈ ઝુંબેશ પહેલા કચરો બિછાવવો પડયો હતો એનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના નામે ૨૫૪ કરોડનું આંધણ કર્યાનો કેગના અહેવાલ આવ્યો છે. સ્વચ્છતા માટે કરોડોનું બજેટ ફાળવાઈ રહ્યું છે છતાં ક્યાં ક્ષતિ રહે છે એ શોધવું કપરું બન્યું છે.

સેન્ટ્રલ પોલ્યુુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) એ થોડા સમય પહેલા ભારતના નાના-મોટા ૨૯૯ શહેરોને આવરી લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટના આંકડા આશ્વર્ય પમાડે એવા હતા. આજની શહેરની ભણેલી-ગણેલી પેઢી આઝાદીકાળની આબાદીની તુલનાએ વધુ શિક્ષિત અને સંસ્કૃત ગણાય છે પણ બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે આજે લોકો માથાદીઠ ૮ ગણો વધુ કચરો ઉત્સર્જિત કરે છે. એટલે કે વસતી વધી છે એટલે કચરો વધે છે એ તર્કને થોડીવાર બાજુ પર રાખીએ તો આ સૌથી મહત્ત્વની બાબત ગણી શકીએ કે ભારતીયોનું ત્યારની તુલનાએ માથાદીઠ કચરો ઉત્પન્ન કરવાનું પ્રમાણ સતત વધ્યું છે. આપણે રોજનો માથાદીઠ ૫૦૦ ગ્રામ કચરો પેદા કરીએ છીએ. એ જ અહેવાલ પ્રમાણે ૨૯૯ શહેરોના માત્ર ૧૩ કરોડ લોકોનો એક દિવસનો કચરો ૫૦ હજાર ટન થાય છે. ભારતમાં શહેરોમાં વસતા લોકોની સંખ્યા ૩૭-૪૦ કરોડ જેટલી છે. એટલે જો એવરેજ કાઢીએ તો શહેરીજનોનો કચરો જ ઓછામાં ઓછો દરરોજનો દોઢ લાખ ટન થાય છે. આ તો સરેરાશ થઈ, પણ આંકડા શું કહે છે?
દેશની ૪૨૪ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓ દરરોજનો ૧.૬ લાખ ટન કચરો એકઠો કરે છે. ચંદીગઢ માથાદીઠ દિવસનો ૪૭૫ ગ્રામ અને તમિલનાડુ માથાદીઠ ૪૬૭ ગ્રામ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતીઓ સરેરાશ દરરોજનો ૪૫૧ ગ્રામ કચરો ઉત્પન્ન કરીને દેશની વધતી જતી સમસ્યામાં પોતાનું યોગદાન નોંધાવે છે. સરકારને સોંપાયેલા અહેવાલના જો આવા ભયાવહ આંકડા હોય તો વાસ્તવિકતા આનાથી ઘણી અલગ અને કચરા કરતા વધુ ગંદી હોય શકે છે!
ગંદકી સામે સ્વાભાવિક રીતે જ મોટો જંગ શહેરોના ભાગે જ આવે છે. એના ય પાછા કારણો છે. શહેરની તુલનાએ ગામડાંઓમાં સ્વયંમ્ સંચાલિત સફાઈ અભિયાન રહેણીકરણીમાં વણાયેલું છે. ઘરની આસપાસ, ફળિયામાં અને ગામની નાની-મોટી ગલીઓની સફાઈ આજુબાજુમાં રહેતા પરિવારની મહિલાઓ કરી જ નાખતી હોય છે અને વળી એ કચરો શહેરની તુલનાએ નાશ ન પામે એવો નથી હોતો. પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને ખાસ તો ઝાડના પાંદડા જેવો સુકો કચરો વધુ હોવાથી એનો નાશ કરવો સરળ છે અથવા તો છાણ વગેરેની સાથે ઉકરડાંઓમાં નાખી દેવામાં આવે તો સડી જાય પછી ખેતરમાં કામ આવતું ઉપયોગી ખાતર પણ બની જાય છે. વળી, ગામડાંઓની વસતીના પ્રમાણમાં એ કચરો ગંજ ખડકાય એટલો નથી હોતો. બીજી તરફ શહેરોમાં એમાંનું કશું જ પ્રેક્ટિકલી શક્ય નથી. આસપાસની સફાઈ કરવી કે એવા ગંજ ન થવા દેવા વગેરે રોજિંદા જીવનમાં વ્યવહારમાં ઉતારવા અઘરા છે. ફરજિયાત સિસ્ટમને ફોલો કરવાની હોય છે. જાહેર કચરા ટોપલીમાં કચરો પધરાવવો, સફાઈ કામદારો એની અનુકુળતાએ આવે અને ત્યાર પછી મહાનગર પાલિકા કે નગરપાલિકાના વાહનો તેની ખૂલ્લા વાહનોમાં હેરફેર કરે. હેરફેર વખતે ય એ વાહનો બદબૂ ફેલાવીને તેની હાજરીની ચાડી ખાશે જ એ વાત તો જાણે પાક્કી! આ બધી જ પ્રક્રિયાના અંતે જેટલી સફાઈ થાય એનાથી સંતોષ મેળવવાનો અને ન થાય તો બળાપો કાઢવાનો એમ બે વિકલ્પ હંમેશા અવેલેબલ હોય જ છે. વર્ષોના વિભિન્ન રિપોર્ટ્સ પછી સ્વચ્છતામાં ઉંણા ઉતર્યા એના કારણો સ્પષ્ટ છે, બજેટ માતબર ફાળવાઈ રહ્યું છે, વ્યવસ્થા પણ ઠીક ઠીક થઈ છે, લોકોમાં સારી એવી જાગૃતિ છે. તો પછી આપણી સ્વચ્છતા સિસ્ટમની આવી ખરાબ હાલત થઈ કેમ?
                                                                             * * *
આખા ભારતમાં મૂળે આપણી સિસ્ટમ શરૃઆતથી જ નિષ્ફળતાના આયામો સર કરતી આવી છે. કચરાના કલેક્શનથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને નિકાલ સુધીના બધા જ સ્તરે આપણું વ્યવસ્થાતંત્ર વામણું શબ્દને પણ વિરાટતાનો અહેસાસ કરાવે એટલું નિમ્નસ્તરનું ઠર્યું છે. તંત્રની બધા જ ક્ષેત્રોમાં જે ઘરેડ રહી છે એવું જ કંઈક આ બાબતે ય થયું, પણ સડો પેસી ગયો ત્યાં સુધી એમાં સુધારા ન થયા એટલે એ વધુ બદબૂદાર લાગે છે. શરૃઆતથી જે મેથડ અપ્લાય થઈ હોય એમાં કશું જ નવું ન કરીને વર્ષો સુધી ચલાવ્યે રાખવાનું વલણ રોગની જેમ ભેળાય ગયું છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મળતિયાઓને મુનાફો કરાવી દેવાના પેંતરા રૃપે છેક કચરાના ટ્રાન્સપોર્ટેશનથી પ્રોસેસિંગ સુધીમાં બધુ લોલમંલોલ ચાલ્યા કરે છે-ચલાવી લેવાય છે.
૨૦૦૦ના વર્ષમાં બનેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે કચરામાં ત્રણ પ્રકારની શક્યતા ચકાસવી ફરજિયાત છે. રિડયુસ, રિયુઝ અને રિસાઇકલઃ કચરો ઓછો કરવો, એમાંથી જેનો ફરી વપરાશ થાય એને અલગ કરીને ઘટતું કર્યા બાદ એનો અમલ કરવો અને તમામ કચરાને બે ભાગમાં (સુકો અને ગળેલો) વહેંચીને તેની રિસાઇક્લિંગની પ્રક્રિયા હાથ ધરવી.
પરંતુ આ બધામાં શ્રમ વધુ પડે એટલે કોઈ માથાકૂટમાં પડવાને બદલે કોન્ટ્રાક્ટ આપી દો, સફાઈ કામદારો એનું કામ કરશે, વાહનો એની રીતે ચાલતા રહેશે અને નક્કી થયેલી જમીન ઉપર જ્યાં સુધી કોઈ(સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ કે અન્ય એજન્સીઓ) વાંધો ન ઉઠાવે ત્યાં સુધી રહેવા દો... પ્રકારનું વલણ સરકારી બાબુઓ અને શાસકોની માનસિકતામાં વણાઈ ગયું છે. આ બધાના પરિણામે આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર જીવાતની માફક ખદબદી રહ્યો છે. કચરો નાખવાની ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યાઓની અછત તો છે જ પણ અછતના પરિણામે તેની સાઇઝ અને વિસ્તાર નિયમોને હડસેલીને ખૂબ ઝડપથી વધારાઈ રહ્યાં છે. દેશમાં ઘણા ડમ્પિંગ ગ્રાઉન્ડ તો ૧૦૦ ફીટ ઊંચા છે અને હવે તેની ઊંચાઈ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી મંજૂરી આપે એની રાહ જોવાઈ છે.
શું કામ કચરો એકઠો કરીને સ્વચ્છતા નથી લઈ આવી શકાતી તેના કેટલાક અવરોધો- ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરી શકાય એવી વ્યાપક વ્યવસ્થાનો અભાવ. મેગાસિટીઝ જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચૈન્નાઈ જેવા શહેરોમાં ઘરે ઘરે જઈને કચરો એકઠો થઈ રહ્યો છે, પણ એમાં સરકાર કરતા એનજીઓનો ફાળો વધુ છે. એટલે એ કામ સરકાર કરે છે એવું કહી શકાય નહીં. બીજું કે કચરો ઉપાડવાથી લઈને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ સિસ્ટમ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. સ્વચ્છતા કરતા એના દ્વારા વધુમાં વધુ કેમ પૈસા રળી શકાય અને કેટલું ખોટું થઈ શકે એ કરવામાં જ વધુ રસ આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં હોય છે.
કચરાના નિકાલ અથવા તો નાશ માટે આપણે ત્યાં એકસૂત્રતાનો અભાવ છે. કોઈક કહે રિસાઇકલ કરીએ તો એને ફંડ આપીને કામની સોંપણી, કોઈ કહે ગેસ બનાવી શકાય છે તો એને પરવાનો, કોઈ કહે ઉર્જા ઉત્પન્ન કરી શકાય તો એેનેય સબસિડી, કોઈ કહે પ્રાણીઓની મદદથી કચરામાંથી કમ્પોસ્ટ કરીએ તો જમીનને ઉપજાઉ બનાવી શકાય તો એનેય પરમિશન, કોઈ કહે વિદેશમાં કચરાના નિકાલ માટે અફતાલુન આઇડિયા છે, તો એનેય આર્થિક સહાય! આ બધાના પરિણામે જે સ્થાનિક સત્તાને જેમ પરવડે એમ કચરાનો મનફાવે તેમ નિકાલ થાય છે. એક રીતે બધી જ પદ્ધતિ અખતિયાર છે અને આમ જૂઓ તો કશું જ અમલી નથી!
દેશભરમાં બાયોગેસ, ઉર્જા માટેના અને અન્ય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિભિન્ન લગભગ ૩૦૦ પ્લાન્ટ્સ કાર્યરત છે અને એ માત્ર કાગળ પર ચાલતા હોય એમ એ પ્લાન્ટ્સમાંથી આટલા વર્ષોમાં દેખીતો ફાયદો થયો હોય એવો એક અહેવાલ મેળવવો મુશ્કેલ છે. એક ટનના કચરા પાછળ અંદાજે રૃપિયા ૫૦૦થી ૧૫૦૦ સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચનો મોટો હિસ્સો એટલે કે ૬૦થી ૭૦ ટકા કચરો એકઠો કરવા પાછળ અને ૨૦-૨૫ ટકા ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચાય છે. કુલ બજેટનો માંડ ૫ ટકા ભાગ તેની પ્રોસેસ માટે વપરાય છે. પ્રોસેસિંગના અભાવે જ કચરાના મહાકાય ગંજનું કદ અવિરત વધી રહ્યું છે.
બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ ભારત સ્વચ્છ છે કે કેમ અને શું ખૂટે છે એનો વાર્ષિક અહેવાલ સીપીસીબીએ આપવાનો હોય છે. સીબીસીબી એ અહેવાલ ભારતના વન્ય અને પર્યાવરણ મંત્રાલયની સાથે સાથે જે તે રાજ્યોને સુપરત કરે છે, પણ રાજ્યોના સત્તાધિશો કોઈક કારણોથી મહાનગરપાલિકા-નગરપાલિકાઓ સુધી એ રિપોર્ટ પહોંચાડતા નથી એવી ફરિયાદ પણ ૨૦૧૧માં ઉઠી હતી. જો અહેવાલમાંથી કશો ધડો દેવાનો હોય જ નહીં તો પછી તૈયાર કરવાનો શું અર્થ છે એવો મત પણ વ્યક્ત થતો રહે છે. વર્ષોથી જેટલા અહેવાલ સરકાર પાસે પહોંચે છે એમાં કચરાના કલેક્શનની સિસ્ટમમાં અને પ્રોસેસિંગ સિસ્ટમમાં ખામી હોવાનું ગાઈ વગાડીને કહેવાય છે. ઘણી ખરી નગરપાલિકાઓ પાસે પ્રોસેસિંગ માટે પોતાની જમીન પણ નથી હોતી એ વાતનો ઉલ્લેખ થતો રહેતો હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી ગંભીર વાતનો છેદ જ ઉડી જાય છે.
અમેરિકા-યુરોપિયન કન્ટ્રિઝની મેથડ અપ્લાય કરવા છતાં ફાયદો થયો નથી. કેમ કે, ત્યાં ડ્રાય કચરો વધુ છે એટલે એ જ મેથડને અહીં આપણે અપ્લાય કરીએ તો ફાયદો થવાનો નથી. જોકે, કરોડોનું આંધણ કરીને પણ આંધળું અનુકરણ થાય છે. જેનું કશું ઠોંસ પરિણામ મળતું નથી. સમસ્યાના તોડની રીત અલગ હોઈ શકે પણ દાનત ખોરાટોપરા જેવી ન હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ અશક્ય નથી. કરોડોનું બજેટ, સરકારની દાનત અને લોકોની ઈચ્છાશક્તિ ભળે તો અને તો જ ભારત સ્વચ્છતા તરફ પગલા માંડી શકશે. નહીંતર આવી હાલતમાં તો શહેર તો શું શેરી પણ સ્વચ્છ કરવી કપરી છે!

કચરો પેદા કરવામાં વાઇબ્રન્ટ ગુજરાત ચોથા સ્થાને!
ગુજરાતમાં મોટા ૨૧ શહેરોમાં દરરોજનો ૩૮૦૫ ટન કચરો એકઠો થાય છે. અને બીજો એટલો જ એકઠો થયા વગરનો પડયો રહેતો હશે. આ મામલે આપણો ચોથો નંબર છે. પહેલા નંબરે રહેલા મહારાષ્ટ્રમાં ૮૫૮૯ ટન કચરો દરરોજનો એકઠો થાય છે. એ પછી ૫૦૨૧ ટનના યોગદાન સાથે તમિલનાડુ બીજો ક્રમ શોભાવે છે, જ્યારે આપણાથી એક પાયદાન આગળ રહેલું રાજ્ય પશ્વિમ બંગાળ ૪૪૭૫ ટનના રોજિંદા કચરા સાથે ત્રીજા ક્રમે છે. જોકે, પાટનગર દિલ્હી પણ દરરોજ ત્રણેક હજાર ટન કચરો આપે છે. આ સરકારી આંકડા છે એટલે ખરી સ્થિતિ આના કરતા ઘણી વધારો હોય એ સ્વાભાવિક છે. ગુજરાતના ૨૧ શહેરો કે જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં માથાદીઠ સરેરાશ ૫૪૧ ગ્રામ કચરો પેદા થાય છે. સીપીસીબીના અહેવાલમાં કહેવાયું છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ૮૬ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે. જેમાં બાયોગેસ અને ઉર્જાના પ્લાન્ટ્સ છે. ભારતમાં મહારાષ્ટ્ર (૧૨૫) પછી ગુજરાત બીજા નંબરે છે છતાં આ મામલે ખાસ નોંધપાત્ર પ્રદાન શોધ્યું જડે તેમ નથી
Sunday, 16 November 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -