મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ!


વર્ષે દહાડે હવાઈ મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોનો કેટલો બધો બેશકીમતી સામાન આસમાનથી જમીન સુધી પહોંચતા પહોંચતા ગુમ થઈ જાય છે! આટલી વ્યવસ્થા છતાં શું કામ સામાન ગુમ થાય છે? ઉસ્તાદ અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ ક્યાં સેલિબ્રિટીનો સામાન અધ્ધરતાલ રહી ગયો હતો? સામાન ખોવાઈ જાય પછી પાછો મુસાફરોને મળે છે કે કેમ?

'ઈજાઝત'  ફિલ્મ માટે ગુલ્ઝાર સાહેબની કલમમાંથી શબ્દો નીકળ્યા હતાઃ 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' આ શબ્દો કદાચ હમણાં ગુલ્ઝાર સાહેબે જેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી એ સરોદ વાદક ઉસ્તાદ અમઝદ અલી ખાને ગણગણ્યાં હશે. એના ગણતરીના દિવસોમાં જ એ શબ્દો ફિલ્મ મેકર મીરા નાયરને પણ યાદ આવ્યાં હશે. આ બંને મહાનુભાવોને એ શબ્દો એરલાઇન્સના સંદર્ભમાં યાદ આવ્યા હોવા જોઈએ. કેમ કે, ૪૫ વર્ષથી જે સરોદ ઉસ્તાદ અમઝદ અલી ખાન ખૂબ કાળજીપૂર્વક સંભાળીને રાખતા હતા એ સરોદ બ્રિટિશ એરવેઝે કલાકોમાં ગુમ કરી દીધી! જોકે, શોધખોળને અંતે સરોદ તો મળી ગઈ, પણ આ ઘટના હજુ તો માંડ વિસરાઈ જ હતી કે ફિલ્મ મેકર મીરા નાયરનું બેગ એ જ એરલાઇન્સે ખોઈ નાખ્યું. જે પંદરેક દિવસ થવા છતાં હજુ સુધી મળ્યું નથી.
હવાઈ મુસાફરી દરમિયાન ખોવાયેલા લગેજની આ ઘટનાઓએ સમાચારોમાં સ્થાન એટલા માટે મેળવ્યું, કારણ કે સામાન જાણીતી વ્યક્તિઓનો ગુમ થયો હતો. પરંતુ આવો સામાન તો દિવસમાં કંઈ કેટલોય ગુમ થઈ જાય છે. માની ન શકાય એટલા જથ્થામાં અને માની ન શકાય એવી વસ્તુઓ ક્યારેક માનવ સહજ ક્ષતિના લીધે તો ક્યારેક કર્મચારીઓની બેદરકારીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સુધી પહોંચી જતો હોય છે.
વળી, અમઝદ અલી ખાન અને મીરા નાયર પહેલા પણ વિશ્વભરની જાણીતી વ્યક્તિઓએ પોતાનો સામાન ગુમાવ્યો છે. મહારાણીથી લઈને મોડેલ સુધી ઘણા કિસ્સાઓ એવા નોંધાયા છે જેનો સામાન એરલાઇન્સ દ્વારા ખોવાઈ ગયો હોય.
વર્ષે કેટલો સામાન હવાઈ મુસાફરી દરમિયાન ગુમ થઈ જાય છે?
વર્ષે ખરેખર કેટલા મુસાફરો પોતાનો સામાન ગુમાવી દે છે એનો ચોક્કસ આંકડો મેળવવો શક્ય નથી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા તૈયાર થતાં રિપોર્ટમાં જુદા જુદા તારણો મળે છે, પરંતુ એર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી બેગેજનો રિપોર્ટ વધારે સ્વીકૃત મનાય છે. એ રિપોર્ટના આધારે કહીએ તો ૨૦૧૩ના વર્ષેમાં ૨ કરોડ ૯ લાખ નંગ પેસેન્જર બેગ્સ ખોવાઈ ગયા હતા. એમાંના કેટલાક સાવ ડેમેજ થયા પછી તેના માલિક સુધી પહોંચ્યા હતા.
વિશ્વમાં એવરેજ ૧૦૦ પેસેન્જર્સમાંથી ૧.૨ દરરોજ તેનો સામાન ખોવાઈ જવાની ફરિયાદ જે તે એર લાઇન્સ પાસે નોંધાવે છે. ૨૬ લાખ બેગ્સ એરપોર્ટ ચેકિંગ વખતે જ આમથી તેમ થઈ જતા હોવાના બનાવો બને છે. વિભિન્ન અમેરિકન એરલાઇન્સ વર્ષે લગભગ ૫૦ લાખ મુસાફરોના બેગ ખોઈ નાખે છે. ફિલાડેલ્ફિયા એરપોર્ટ આ બાબતે સૌથી વધુ બદનામ છે. આ એરપોર્ટ તેના નિયમિત પેસેન્જરોના બેગ્સ વર્ષમાં એક વખત તો ખોઈ જ નાખે છે. ભારત અમેરિકા કરતા આ મામલે થોડું પાછળ છે. આપણાં દેશમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એરપોર્ટ વર્ષે ૪૩ લાખ બેગ્સ ખોઈ નાખે છે અથવા અલગ જગ્યાએ પહોંચાડી દે છે. જોકે, એ વાત પણ નોંધવી જ પડે કે અમેરિકાની તુલનાએ ભારતના એરપોર્ટ ઓછા વ્યસ્ત હોય છે.
આવી ઘટનાઓ રોકવા માટે એર લાઇન્સ ખાસ કાળજી રાખતી થઈ છે. ઘણી અમેરિકન-બ્રિટિશ એર લાઇન્સે પોતાની સ્માર્ટફોન એપ ક્રિએટ કરી છે જેના દ્વારા પેસેન્જર પોતાનો સામાન ક્યાં પહોચ્યો એ જાણી શકે છે. એટલે પોતાનો સામાન ક્યાં પહોંચ્યો એ અંગે જો મુસાફરો જ સભાન રહે તો ઘણા ખરા અંશે આ સ્થિતિમાં કાબૂ મેળવી શકાય છે. પાંચ વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે પેસેન્જર્સની સંખ્યામાં જેટલો વધારો નહોતો થયો એનાથી અનેક ગણો વધારો લગેજ મિસિંગમાં થયો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી થોડો સુધારો નોંધાયો છે.

કયા સેલિબ્રિટીનો સામાન એરપોર્ટ પરથી ગુમ થયો હતો?
નેધરલેન્ડના મહારાણી બેટ્રિક્સ ૨૦૦૬માં લંડનમાં આવ્યા હતા ત્યારે તેમનું બેગ ગુમ થયું હતું. જેમાં વિક્ટોરિયન એરાનો મહામૂલો ડાઇમંડ સેટ પણ હતો. આ બેગની અંદાજિત કીંમત એક કરોડ રૃપિયા આંકવામાં આવી હતી. પછીથી મહારાણીએ હંમેશા માટે એ સામાનને ભૂલી જવો પડયો હતો. રોકસ્ટાર એલિસ કુપરનું બેગ ૨૦૧૦માં એક બ્રિટિશ એર લાઇન્સની ભૂલના કારણે ગુમ થયું હતું. કુપરનું બેગ મેળવવા એર લાઇન્સે પ્રવાસો તો કર્યા, પણ તેમાં સફળતા હાથ લાગી નહીં. કુપરના કહેવા પ્રમાણે તેમાં તેના મૂલ્યવાન ડોક્યુમેન્ટ્સ હતા. અમેરિકન ડિઝાઇનર અને મોડેલ રિશેલ જોએ સેન્ટ બાર્ટ જતી વખતે એરપોર્ટ પર પોતાનું બેગ ગુમાવ્યું હતું. તેમાં તેણે તૈયાર કરેલો નવી ડિઝાઇનનો સેમ્પલ પોશાક હતો. એ સિવાય ૬૦ હજારની એક એવી ૧૫-૧૭ બ્રાન્ડેડ કપડાની જોડી પણ એ બેગમાં હતી. એમ તો કિમ કાર્ડિયાશિનનું બેગ પણ બે વર્ષ પહેલા ગુમ થયું હતું. કિમના કહેવા પ્રમાણે તેમાં તેના કીંમતી કપડા હતા(જોકે, કિમ ક્યાં બહુ કપડા પહેરે છે કે ચિંતા હોય!) અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ આવા તો કેટલાય બનાવો બનાવો રહે છે, પરંતુ સેલિબ્રિટીની વસ્તુ ગુમ થવાની બદનામીમાંથી બચવા માટે જે તે એર લાઇન્સ મહેનત કરીને પણ તેનો સામાન પરત લાવી આપતી હોય છે.

લગેજ ખોવાય તો વળતર શું મળે?
આમ તો વિભિન્ન એરલાઇન્સના પોતાના અલગ અલગ નિયમો હોય છે. ટર્મ એન્ડ કન્ડિશન્સમાં સામાનની જવાબદારી અંગે એરલાઇન્સે હાથ ઊંચા કરી જ દીધા હોય છે, પણ તેમ છતાં સામાન ખોવાય જાય તો ૨૧ દિવસ સુધી પરત મળવાની શક્યતા હોય છે. ત્રણ સપ્તાહના સમય પછી પણ જો એરલાઇન્સમાંથી સામાન મળી ગયાનો કોલ ન આવે તો સમજવું રહ્યું કે એ સામાન હવે સત્તાવાર રીતે ખોવાય જ ગયો છે. એવા કિસ્સાઓમાં એરલાઇન્સ સામેથી જ બેગમાં શું હતું એની વિગતો મંગાવીને તેનું વળતર આપવાની પ્રક્રિયા હાથ પર લઈ લે છે. ઘણા મુસાફરો રોકડ રકમ મેળવવાને બદલે પોતાની ચીજ-વસ્તુઓ જ પરત મળે એનો આગ્રહ રાખતા હોય છે એવા સમયે એરલાઇન્સ પોતાના ધારા-ધોરણ મુજબ અને સામાનની પાવતીના આધારે ખરીદી કરી આપે છે. જો સામાન ઉસ્તાદ અમઝદ અલી ખાનની સરોદની જેમ બહુ જ મૂલ્યવાન હોય તો પછી એ ગુમાવવો જ રહ્યો! એના માટે આંસુ સારવા એ એક માત્ર વિકલ્પ બચે છે.

સામાન શું કામ ખોવાઈ જાય છે?
બેગ ઉપર લગાડેલું લેવલ ખરાબ થવાથી સામાન ખોવાઈ જવાની કે બીજા કોઈને ભૂલથી અપાઈ જતો હોવાનું બને છે. સામાન જે તે મુસાફર સાથે જ રહે તો તો બહુ વાંધો આવતો હોતો નથી, પરંતુ સામાન વધુ હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૃપે અન્ય મુસાફરોના સામાનની સાથે જ સામાન રાખવામાં આવે અને સામાન પર ઓળખ માટે લગાવેલું લેબલ મુસાફરી દરમિયાન ખરાબ થઈ જાય તો એ સામાન હંમેશા માટે ગુમાવવાનો વખત પણ આવી શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સાવ નવું જ બેગ મુસાફરી માટે ખરીદ્યું હોય અને એનો રંગ આપણને તરત જોતા જ ઓળખવામાં મુશ્કેલી થાય તો પણ સામાનની અદલા-બદલી થઈ શકે છે.
બેગ લેતા ભૂલી જવાય તો એરલાઇન્સ પાસે તપાસ કરીએ ત્યારે એ બેગ મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. ઉતાવળે ઘણો બધો સામાન હોય ત્યારે ખાસ એવું બનતું હોય છે. ક્યારેક મુસાફરીમાં વધુ સામાન લઈ જવાની આદત ન હોય અને માત્ર હેન્ડ બેગથી ચલાવી લેતા હોઈએ અને એમાં જો સૂટકેસ સાથે હોય તો પણ ઘણા ખરાં મુસાફરો સમાનમાંથી સુટકેસ લેવાનું એ સમયે ભૂલી જતાં હોવાના ઘણાં બનાવો વિશ્વભરના એરપોર્ટ પર બનતાં હોય છે. મુસાફરો જ પોતાનો સામાન ભૂલીને જતાં રહેતા હોય એવા કેસમાં એરલાઇન્સ એ સામાનને બિનવારસી જાહેર કરીને એના બિનવારસી સામાન વિભાગમાં મૂકી રાખે છે. આવો સામાન લાંબી કડાકૂટના અંતે પરત મળતો હોય છે. 
સામાનના સ્થળના કોડમાં ભૂલ થઈ હોય તો સામાન અલગ જગ્યાએ પહોંચી જાય છે. જેમ કે, અમદાવાદથી દહેરાદૂન જતા કોઈ મુસાફરના સામાનમાં દિલ્હીનો કોડ લાગી જાય તો સામાન દિલ્હી પહોંચી જાય છે. બેગમાં મુસાફરની ઓળખ સ્પષ્ટ હોય તો બેગ પરત મેળવવામાં સરળતા રહે છે, પણ જો ઉપરના કારણ પ્રમાણે ઓળખનું લેબલ ખરાબ થઈ ચૂક્યું હોય તો સામાન પાછો મેળવવામાં મુશ્કેલી પડે છે. ઓળખ વગરનો સામાન થોડા દિવસમાં એરલાઇન્સના 'બિનવારસી સામાન' વિભાગમાં મોકલી દેવામાં આવે છે.
બેગેજ કાર્ટ બદલાઈ જાય તો પણ સમાન ચોક્કસ જગ્યાએ પહોંચવાને બદલે કોઈ ભળતા-સળતા સ્થળે પહોંચી જાય છે. છેક છેલ્લી ઘડીએ મુસાફરનો સામાન હ્યુમન એરરના કારણે કર્મચારી જે તે પ્લેનને બદલે બીજા પ્લેનમાં ચડાવી દે તો આપણે નિશ્વિત જગ્યાએ પહોંચીએ ત્યાં સુધીમાં સામાન કોઈ બીજા જ એરપોર્ટે પહોંચી ગયો હોય છે. આવી સ્થિતિમાં જો ઓળખ અને કોર્ડમાં ગફલત થઈ ન હોય તો સામાન સરળતાથી થોડી કલાકો પછી કે એકાદ દિવસમાં મુસાફરને મળી જતો હોય છે. નહીંતર જો લેબલમાં કે કોર્ડમાં ભૂલ રહી ગઈ હોય તો સામાનની રાહ જોવી રહી!

આ ઘટનાઓ મુસાફરો ભૂલી નથી શક્યા, એર લાઇન્સ ભૂલવા માંગે છે!
એકલ દોકલ બેગ ચોરાઈ જાય અને પછી તે પરત મેળવવાની કવાયત હાથ ધરાઈ એ તો જાણે રોજિંદો ક્રમ થયો, પરંતુ એવીય દૂર્ઘટનાઓ બની છે જે મુસાફરો માટે ક્યારેય ન ભૂલી શકાય એવું દુઃસ્વપ્ન છે. તો એર લાઇન્સ દુઃ સ્વપ્ન માનીને તેને ભૂલી જવા માંગે છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર ૨૦૧૦માં આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ૨૪૦ સૂટકેસ સફાઈ દરમિયાન કચરામાં અને પછી ગટરમાં ભળી ગઈ હતી. એરપોર્ટ સત્તાધીશોને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે બહુ મોડું થઈ ગયુ હતું. એ તમામ બેગ્સ મેળવીને તેની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી, પણ એ બધુ જ વ્યર્થ હતું. અંતે તમામ મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીએ એક હજાર પાઉન્ડનું વળતર આપવું પડયું હતું. આ જ હિથ્રો એરપોર્ટ પર ૨૦૦૭માં એક મુસાફરને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. સખત વરસાદના કારણે જ્યારે તેનો સામાન એરપોર્ટ સુધી પહોંચ્યો ત્યારે એ હજુ એરપોર્ટે આવ્યો નહોતો. થોડી કલાકો પછી જ્યારે મુસાફર પોતાનો સામાન લેવા આવ્યો તો એનો બધો જ સામાન પલળી ગયો હતો. એરપોર્ટ ઓથોરિટીનો બચાવ હતો કે તમારે હાજર રહેવું જોઈએને!
અમેરિકામાં એક યુવતીએ આનાથી તદ્ન અલગ અનુભવ થયો હતો. એ તેનો સામાન શોધતા શોધતા પ્લેનના એન્જિન પાસે આવી ત્યારે એન્જિયરે તેને પૂછ્યું કે આ બેગ શોધી રહ્યાં છો? યુવતીએ હા પાડી તો તેણે અફસોસ વ્યક્ત કરીને કહ્યું કે એન્જિનની પાસે હોવાથી તમારો બધો જ સામાન બળી ગયો છે, તમે આવ્યા નહીં એટલે કોઈએ અહીંથી સામાન ખસેડયો નહીં!
Sunday, 13 July 2014
Posted by Harsh Meswania
Tag :

એક યુવાને છોડેલી ગોળી અને રક્ત ટપકતી લાખો જોળી...

ગાવરિલો પ્રિન્સિપ

એક માથાફરેલો અને ગેરમાર્ગે દોરાયેલો યુવાન વિશ્વને કેટલું નુકસાન પહોંચાડી શકે? એનો જવાબ શોધવા માટે કદાચ ગાવરિલો પ્રિન્સિપ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ બની શકે તેમ છે. તેની એક ગોળી વિશ્વના કરોડો લોકો માથે મોત બનીને ત્રાટકી અને તેમાંથી વહેલી રક્તની નદીમાં કંઈ કેટલુંય તણાઈને તબાહ થઈ ગયું...

ગાવરિલો  પ્રિન્સિપ એનું નામ. બધા કેદીઓની વચ્ચે ૧ નંબરની અલગ કોટડી એને ફાળવાઈ હતી. એ અન્ય કેદીઓ કરતા અલગ હતો. એક તો એ સગીર હતો એટલે ગંભીર અપરાધ છતાં ફાંસીને માંચડે લટકાવી શકાય તેમ નહોતો. બીજું, કે તેણે એવા માણસની હત્યા કરી હતી કે જેના લીધે જગત અરાજકતા તરફ ધકેલાયું હતું. દુનિયા હજુય અજંપામાંથી બહાર નીકળવાની મથામણ કરી રહી હતી. આ એક માણસના કારણે ભલભલી શાંતિ સ્થાપતિ સંસ્થાઓ નિષ્ફળ નીવડી હતી અને ભવિષ્યમાં પણ નિષ્ફળ નીવડવાની હતી. એની એક ગોળીની આગ હજુ તો વર્ષો સુધી વિશ્વને દઝાડવાની હતી.
એકવડિયો બાંધો. સ્હેજ લાંબો ચહેરો. લગભગ પાંચેક ફીટ ઊંચાઈ. વિખરાયેલા વાંકડિયા કાળા વાળ. નિસ્તેજ કાળી આંખો અને આંખોની આસપાસ પડેલા ઘેરા કાળા કૂંડાળા તેની લથડતી જતી તબિયતની ચાડી ખાતાં હતાં. જેલરે તેના સ્વાસ્થ્ય માટે તબીબોની સેવા લેવાનું શરૃ કર્યું હતું. છતાં બધી જ દવાઓ બેઅસર હતી. ચામડીમાંથી હાડકાં બહાર નીકળવું નીકળવું થતાં હતાં. કુપોષણ અને ક્ષય બંનેએ એના શરીર પર એવો તો અજગરી ભરડો લીધો હતો કે હવે એમાંથી બચવાની કોઈ જ આશા નહોતી. ઉંમરની ગણતરી પ્રમાણે તો એ યુવાન હતો, પરંતુ તેના શરીરની હાલત ૮૦-૯૦ના પડાવે પહોંચેલા કોઈ વૃદ્ધ જેવી થઈ ગઈ હતી. એનું વજન ઘટીને ૪૦ કિલો થઈ ગયુ હતું. એ તેની અંતિમ ક્ષણો ગણી રહ્યો હતો.
અંતે એ દિવસ આવી ગયો જ્યારે તેણે છેલ્લો શ્વાસ લીધો. વિશ્વને હિંસાના રૌરવમાં ધકેલનારો આ લવરમૂછિયો છોકરો વિશ્વના અજંપા વચ્ચે જ હંમેશા-હંમેશા માટે શાંત થઈ ગયો. તે દેખાવે એટલો બધો ભયાવહ પણ નહોતો. જોનારને કલ્પના પણ ન આવે કે આ છોકરાએ આવા હિંસક કામને અંજામ આપ્યો હશે. જગતને સંતાપમાં ધકેલનારા આ છોકરાને પોતાના કારસ્તાન માટે કોઈ જ અફસોસ નહોતો. પરંતુ કદાચ છેલ્લા શ્વાસ લેતા પહેલા તેને એ દ્રશ્ય જરૃર યાદ આવ્યું હશે. જે જગતનો ઈતિહાસ તપાસનારા બધા માટે કાયમ દુઃસ્વપ્ન બનીને ઘૂમરાયા કરવાનું હતું. કાર-પિસ્તોલ-પ્રિન્સ-પ્રિન્સિપ-લોહી-પોલીસ અને ભાગદોડ..
                                                                                * * *
૨૮ જૂન, ૧૯૧૪ના એ દિવસે એક કલાકમાં તો સારાયેવોમાં કેટલીય ઘટનાઓ આકાર પામી ચૂકી હતી. ઓસ્ટ્રિયન રાજકુમાર ફ્રાન્ઝ ફર્ડિનાન્ડે ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને પણ સારાયેવોમાં તેમની પત્ની સોફિયા સાથે પગ મૂક્યો હતો. એ દિવસ ફર્ડિનાન્ડ અને સોફિયા માટે ખૂબ મહત્ત્વનો હતો. એ બંને ૧૪મી મેરેજ એનિવર્સરી મનાવી રહ્યાં હતાં. ફર્ડિનાન્ડ પત્ની સાથે સારાયેવોની મુલાકાતે જઈને એ દિવસને યાદગાર બનાવવા માંગતા હતા અને ખરેખર એમ જ બન્યું. સવારના લગભગ દસ વાગવા આવ્યા હતા. પ્રથમ કારમાં સારાયેવોના મેયર ફેહિમ અને શહેર પોલીસ કમિશ્નર ડૉ. ગેર્ડ બેઠા. બીજી કારમાં રાજકુમાર ફર્ડિનાન્ડ અને તેમના પત્ની સોફિયા ગોઠવાયા. એ જ કારમાં રોયલ દંપતીની સુરક્ષા માટે આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને પણ બેસાડાયા હતા. પાછળ પોલીસ અધિકારીઓની બીજી બે કાર સાથે ચાર ગાડીનો કાફલો રેલવે સ્ટેશનથી શહેર તરફ જવા રવાના થયો. પંદરેક મિનિટની સફર પછી કાર શહેરના થોડા ગીચ વિસ્તારમાં પ્રવેશી. શાહી દંપતીની એક ઝલક મેળવવા માટે શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. એ ભીડની વચ્ચે જ રાજકુમારની હત્યાનો મનસૂબો લઈને બીજા ૬ જણા તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં હતાં. એ છએ છ બળવાખોરો કોઈ પણ ભોગે રાજકુમારનો જીવ લેવા મક્કમ હતા. છમાંથી કોઈએ કોઈના ઓર્ડર કે ઈશારાની રાહ જોવાની નહોતી. જેને મોકો મળે એણે હુમલો કરી જ દેવાની સૂચના પહેલાથી મળી હતી. છમાંથી જે પ્રથમ ગોઠવાયો હતો એ મોહંમ્મદ નામનો યુવાન છેલ્લી ઘડીએ હિંમત જૂટાવી ન શક્યો. તેણે કંઈ જ કર્યા વગર કારને પસાર થતાં જોયે રાખી.
થોડે દૂર ૧૯ વર્ષનો વિદ્યાર્થી નેડેલયેકો કેબ્રિનોવિક હુમલો કરવા તૈયાર જ હતો. તેણે હામ ભેગી કરીને રાજકુમારની કારના રસ્તા વચ્ચે બોંબ ફેંકી દીધો. કારની ઝડપને પારખવામાં તે થાપ ખાઈ ગયો એટલે બોમ્બ છેક ચોથી કારના ટાયરમાં જઈને અથડાયો-ધડાકો થયો અને કારમાં બેઠેલા બે અધિકારીઓ ઉપરાંત અન્ય ૧૦-૧૨ લોકો ઘાયલ થયાં. બોમ્બ ધડાકાના કારણે ભીડમાં ભાગદોડ મચી ગઈ. રાજકુમારની કારના ડ્રાઇવરે સ્થિતિ પારખીને ઝડપ વધારી દીધી. પોલીસે નેડેલયેકો કેબ્રિનોવિકને પકડી પાડયો. એ બધાના કારણે રાજકુમારની હત્યા માટે તૈયારી કરી ચૂકેલા બાકીના ચારેય યુવાનો તક મેળવી ન શક્યા. એક તબક્કે એ બધા હુમલાખોરોને વિચાર આવ્યો કે હવે રાજકુમારની હત્યાનો મોકો જતો રહ્યો. એમાં વળી રાજકુમારે ખૂદે કાળ બોલાવતો હોય એમ ફરી વખત હુમલાખોરો માટે મોકો સર્જી દીધો.
અચાનક રાજકુમારે બોંબ ધડાકામાં ઘાયલ થયેલા લોકોની મુલાકાતે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. આટલી ગંભીર સ્થિતિમાં તેમને ક્યાંય પણ લઈ જવા સુરક્ષિત નહોતા. છતાં તેમને હોસ્પિટલ સુધી લઈ જવાનું નક્કી થયું. એ કામ આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને સોંપાયું. ઓસ્કરે રાજકુમારને અલગ માર્ગે હોસ્પિટલ પહોંચાવાનું વિચાર્યું, પણ રાજકુમારના ડ્રાઇવરને ક્યાં રસ્તે જવું એ અંગે ગેરસમજ થઈ. એમણે જે માર્ગે આવ્યા હતા એ જ માર્ગે કાર હંકારી એટલે ઓસ્કરે તેને વાર્યો. પોતાની ભૂલ સમજાતા ડ્રાઇવરે બ્રેક મારી અને કારને રિવર્સ લેવાનું નક્કી કર્યું.
બસ એ ઘડીમાં ઘણું બધુ બની ગયું. એટલો સમય ગાવરિલો પ્રિન્સિપ માટે પૂરતો હતો. કાર પ્રિન્સિપની બરાબર સામે ઊભી હતી. કોઈ સમજે-વિચારે એ પહેલા પ્રિન્સિપ બે-પાંચ ડગલા આગળ આવ્યો. હવે કાર તેનાથી માંડ પાંચ ફીટના અંતરે હતી. નિશાન સાધવામાં તેને હવે કોઈ અડચણ નહોતી. તેણે પિસ્તોલ કાઢીને રાજકુમાર ફર્ડિનાન્ડ પર ફાયરિંગ કર્યું. રાજકુમારને ગળામાં ગોળી વાગી. પ્રિન્સિપે તરત જ બીજી ગોળી છોડી. તેણે ગોળી તો ફર્ડિનાન્ડને જ મારી હતી, પણ તેની પત્ની સોફિયાએ પતિના આડેથી એ ગોળી ઝીલી લીધી. એ ગોળીએ સોફિયાનું જઠર ચીરી નાખ્યું. કોણ જાણે કેમ પણ હવે પ્રિન્સિપે પોતાના લમણાંમાં ગોળી મારવાના હેતુથી પિસ્તોલ તાકી એ સાથે જ પોલીસમેને તેને પકડી પાડયો. ૧૦ વાગે સારાયેવોમાં પગ મૂકનારાં શાહી દંપતીએ ૧૧ વાગતા સુધીમાં તો ત્યાં જ દમ તોડી દીધો. તેમની ૧૪મી મેરેજ એનિવર્સરી આખા જગતને બરાબર યાદ રહી ગઈ.
                                                                                  * * *
પ્રિન્સિપની ધરપકડ થઈ. કેસ ચાલ્યો. તેણે ગુનો કર્યો ત્યારે ૨૦ વર્ષ ઉંમર ન થતી હોવાથી કાયદા પ્રમાણે દેહાંતદંડ આપી શકાયો નહીં એટલે તેને આજીવન કારાવાસ થયો. ટ્રાયલ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે બ્લેક હેન્ડ નામના બળવાખોર જૂથ સાથે જોડાયો હતો. રાજકુમારની હત્યાના મૂળ પ્લાનિંગમાં ક્યાંય પ્રિન્સિપ હતો જ નહીં. કારણ કે બ્લેક હેન્ડ પોતાના જૂથમાં નવા-સવા જોડાયેલા યુવાનને આવી મહત્ત્વની જવાબદારી આપવા અવઢવમાં હતું. બીજું એક કારણ તેની શારીરિક સ્થિતિ હતી. બ્લેક હેન્ડ માનતું હતું કે તે ઘટનાને અંજામ આપવા જેટલો સક્ષમ નથી. તેને શારીરિક-માનસિક બંને રીતે મજબૂત બનાવવો પડશે એવું નક્કી થયા પછી અચાનક તેની પસંદગી છેલ્લા ૬ હુમલાખોરોમાં કરાઈ હતી. એમાંયે વળી હરોળમાં સાવ છેલ્લે તેને રાખવામાં આવ્યો હતો. એવી વ્યૂહરચના હતી કે આગળના પાંચ રાજકુમારને ખતમ કરવાનું કામ કરી જ નાખશે એટલે પ્રિન્સિપના ભાગે કશું જ કરવાનું નહીં આવે! જગતના ભાગે યુદ્ધ અને રક્ત વહેવાનું લખાયું હશે!
એટલે જ કદાચ થોડા પહેલા જ ફર્ડિનાન્ડના કાકા અને ઓસ્ટ્રિયન રાજા ફ્રાન્ઝ જોસેફ પર હુમલો થયો હોવા છતાં રાજકુમાર ફર્ડિનાન્ડ ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને સારાયેવો આવ્યા. મંઝિલે પહોંચી ગયેલા રાજકુમારને હોસ્પિટલ જવાનો વિચાર આવ્યો. બ્લેક હેન્ડે સાવ છેલ્લી ઘડીએ પ્રિન્સિપને રાજકુમારની હત્યાના ષડયંત્રમાં જોતર્યો અને વળી પ્રિન્સિપની યુગોસ્લાવિયા જવાની મૂરાદ પૂરી ન થઈ અને તે બોર્ડર પાર કરી ન શક્યો એટલે બ્લેક હેન્ડમાં જોડાઈ ગયો. એક ગેરમાર્ગે દોરાયેલો યુવાન પ્રથમ વિશ્વયુદ્ધ માટે પ્રત્યક્ષ રીતે કારણ બન્યો અને એ જ પ્રથમ વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર ઠર્યું.
Sunday, 6 July 2014
Posted by Harsh Meswania
Tag :

૨૦૬ દેશ, ૮૨૦ મેચ, ૨૩૦૩ ગોલ!

રોમાંચક વિશ્વકપ પહેલાના ક્વોલિફાઇંગ મુકાબલા કેવા હતા?

ફિફા વિશ્વકપ રોમાંચના મધ્યાહને પહોંચ્યો છે. દિવસે દિવસે ફૂટબોલ ચાહકોની આતૂરતા વધતી જાય છે. ૩૨ દેશો વચ્ચે એક બીજાથી ચડિયાતા સાબિત થવાની હોડ જામી છે, પણ આ હોડના દોઢ વર્ષ અગાઉ ૨૦૬ દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મુકાબલા ખેલાય છે. જેમાંથી શ્રેષ્ઠ ૩૨ ટીમો પસંદગી પામે છે. વિશ્વકપનો જંગ એટલે રોમાંચક બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવાની હરિફાઈ હોય છે...

ફિફા વિશ્વકપ દરમિયાન મેદાનમાં જેટલો ઉન્માદ હોય છે એટલો જ ઉત્સાહ મેદાનની બહાર લાખો ચાહકોમાં હોય છે. ખેલાડીઓના પગથી મેદાનમાં આમથી તેમ ફંગોળાતો બોલ જેમ જેમ ગતિ પકડે છે તેમ તેમ દર્શકોનું ઝનૂન પણ વેગવંતુ બની જાય છે. એક તરફ ખેલાડીઓ બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા અધીરા બને છે, તો બીજી તરફ મેદાનમાં ચિચિયારીઓ બૂલંદ બનતી જાય છે. એક તરફ બંને ટીમની છાવણીમાં ઘડીક ઉત્સાહનો ઉછાળો આવે છે તો ઘડીક નિરાશાથી મસ્તક નમી જાય છે. બીજી તરફ ટેલિવિઝન સેટ સામે બેસીને લાખો દર્શકો એ બધુ જોવા માટે આંખનું મટકુ મારવાનું પણ ભૂલી જાય છે. ફૂટબોલ માટે આટલી બધી દિવાનગી શા માટે? એનો જવાબ મેળવવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડોકિયું કરવું રહ્યું!

વર્લ્ડકપમાં રમવા માટે ૨૦૮ દેેશો હરોળમાં હોય છે!
ફિફા વિશ્વકપ માટે બે-અઢી વર્ષ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાવાના શરૃ થઈ જાય છે. આ વર્લ્ડકપ માટે છેક ૧૫ જૂન, ૨૦૧૧થી ક્વોલિફાઈંગ રાઉન્ડનો  પ્રારંભ થયો હતો. ક્રિકેટમાં ટેસ્ટ ટીમનો દરજ્જો ધરાવતી બધી જ ટીમોને વિશ્વકપમાં રમવા મળે છે, પણ ફિફામાં એવું નથી હોતું. રેન્કિંગમાં પહેલા નંબરે હોય કે છેલ્લા નંબરે, બધી જ ટીમોના ક્વોલિફાઈંગ રાઉન્ડના દેખાવના આધારે વિશ્વકપમાં પ્રવેશ મળે છે.  ફિફાના નિયમ પ્રમાણે જે દેશ આયોજક હોય તેને સીધો પ્રવેશ મળી જાય છે. બીજો પ્રવેશ ગત વિશ્વકપની વિજેતા ટીમને મળે છે. ૩૨ દેશો વચ્ચે રમાતા આ વિશ્વકપમાં એક આયોજક અને એક ગત ચેમ્પિયનને બાદ કરતા બાકીના ૩૦ દેશોની ટીમોને પ્રવેશ આપવાનો હોય છે. એ માટે ફિફાના ૨૦૬ (કુલ સભ્યો ૨૦૮ દેશ છે, પણ આયોજક અને વિશ્વ ચેમ્પિયન દેશને બાદ કરતા) દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મેચોમાં જ બરાબરનો જંગ જામે છે. એમાં પાણી મપાય જાય કે કોના પગમાં ગોલ કરવાનું અને ગોલ રોકવાનું પાણી છે!
આ વખતના વિશ્વકપ માટે ૮૨૪ મેચો રમાવાની હતી, પરંતુ ભૂતાન, બુ્રનેલ, ગુઆમ અને મોરિટાનિયાએ છેક સુધી ક્વોલિફાઇંગ માટે દાવેદારી ન મોકલતા અંતે ૮૨૦ મેચો રમાઈ હતી. જૂન, ૨૦૧૧થી શરૃ થયેલા ક્વોલિફાઇંગ રાઉન્ડ છેક ૨૦ નવેમ્બર, ૨૦૧૩માં ઉરૃગ્વે-જોર્ડન વચ્ચે મેચ રમાઈ ત્યારે પૂરા થયાં હતાં. ફિફાના ટોચના ૨૪ રેન્કિંગ ધરાવતા દેશોમાંથી ૨૩ દેશોએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સારો દેખાવ કરીને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મેળવીને પોતાના રેન્કિંગને ખરું સાબિત કર્યું હતું. આ વખતેના ક્વોલિફાઇંગ મુકાબલા કેટલા મજેદાર હશે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે કુલ ૮૨૦ મેચોમાં ૨૩૦૩ ગોલ થયા હતા. એટલે કે મેચ દીઠ એવરેજ ૨.૮૦ ગોલ!
ફિફાના સભ્યો દેશોને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન, કન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ નોર્થ-સેન્ટ્રલ અમેરિકા એન્ડ કેરેબિયન એસોસિએશન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ સાઉથ અમેરિકા ફૂટબોલ, ઓસેનિયા ફૂટબોલ કન્ફેડરેશન અને યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન એમ ૬ સંઘોમાં વહેંચવામાં આવ્યા છે.
આ બધા સંઘોની ટીમને બે ગૃપમાં વહેંચીને મેચ રમાડવામાં આવે છે. દરેક ગૃપમાં વિજેતા અને ઉપવિજેતાને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મળી જાય છે. એ પછી બાકી રહેલી ૬ જગ્યાઓ માટે ગૃપમાં ત્રીજા નંબરે રહેલી ટીમો વચ્ચે સ્પર્ધા કરાવીને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રક્રિયા જટિલ છે. જોકે, ફૂટબોલ ચાહકોને જેટલી મજા વિશ્વકપમાં આવે છે એટલો જ આનંદ ક્વોલિફાઇંગ મુકાબલામાં પણ આવે છે. એટલે જ ક્વોલિફાઇંગ મેચમાં પણ દર્શકો ઉમટી પડતા હોય છે. ફૂટબોલ વિશ્વની કદાચ એવી એક માત્ર રમત છે કે જેની ક્વોલિફાઇંગ મેચ પણ કોઈ રસપ્રદ સીરિઝ જેટલી રોમાંચક બની રહે છે.

શકિરાને ભલે સાંભળો,  પણ સત્તાવાર સોંગ નથી!
૨૦૧૦ના ફિફા વર્લ્ડકપ વખતે શકિરાનું સોંગ વાકા વાકા ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ ફિફા દ્વારા રીલિઝ થયેલા બે સત્તાવાર સોંગ પૈકીનું એક હતું. જોકે, આ વખતે શકિરાએ લા લા લા... સોંગ રજૂ કર્યું છે એટલે મોટા ભાગના ફૂટબોલ ચાહકોએ તેને ફિફાનું સત્તાવાર સોંગ માની લીધું છે, પણ ખરેખર એ શકિરા દ્વારા રજૂ થયેલું સોંગ છે. ફિફાને એ સોંગ સાથે કશી જ લેવા દેવા નથી. ફિફાએ તો અન્ય ત્રણ સોંગ રીલિઝ કર્યા છે. જેમાં પિટબુલ-જેનિફર લોપેજનું સોંગ 'વી આર વન',  'વી વિલ ફાઇન્ડ અ વે' અને 'ટાટુ બોમ ડા બોલા'નો સમાવેશ થાય છે. આ સિલસિલો આમ તો ૧૯૬૨થી શરૃ થયો છે. ચીલીમાં યોજાયેલા એ વિશ્વકપ વખતે 'એલ રોક ડેલ મુન્ડિઅલ' સોંગ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ લોકપ્રિય થયું હતું. તેની લોકપ્રિયતાથી પ્રેરાઈને પછીથી દરેક વખતે એક અથવા બે સોંગ રીલિઝ કરીને વિશ્વકપ પહેલા બરાબર માહોલ જમાવી દેવામાં આવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હવે ઓફિશ્યલ થીમ સોંગ, ઓફિશ્યલ એન્થમ અને મેસ્કોટ સોંગ એવા અલગ અલગ નામે વિશ્વભરના લોકપ્રિય પર્ફોર્મર્સને લઈને રોમાંચક મુકાબલાઓ પહેલા રસદાર સોંગ રજૂ કરી દેવામાં આવે છે. આ બધા સોંગના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિશ્વકપ પહેલા જ પૂરતો માહોલ બની જાય છે. ફિફા દ્વારા રજૂ થતાં સત્તાવાર સોંગ સિવાય અલગ-અલગ કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે અને વર્લ્ડકપની લોકપ્રિયતાનો લાભ લેવા માટે સોંગ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શકિરાની જેમ વિશ્વભરના કલાકારો પણ પોતાની જાતે સોંગ રીલિઝ કરતા હોય છે.

વિશ્વકપનો વિરોધ સરકાર માટે માથાનો દુખાવો
ફિફા વિશ્વકપની સાથે સાથે જ વિશ્વકપમાં વપરાતી મોટી રકમ સામે બ્રાઝિલમાં વિરોધનો સૂર ઉઠયો છે. ખાસ તો બ્રાઝિલના આદિવાસીઓએ સરકાર સામે મોરચો માંડયો છે. ગયા વર્ષે બ્રાઝિલમાં ફિફા વિશ્વકપ માટે બેઠક મળી ત્યારે જ આમ તો વિરોધ થયો હતો, પણ એ સમયે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા ન હોવાથી સરકારે એ વિરોધને ગંભીરતાથી લીધા ન હતા. શરૃઆતમાં માત્ર આદિવાસીઓ દ્વારા જ વિરોધ પ્રદર્શનો થતાં હતાં, પરંતુ હવે પાટનગર બ્રાઝિલિયાના નાગરિકો પણ વિરોધમાં જોડાયા છે એટલે સરકાર માટે મુશ્કેલી વધી છે.  વિરોધ બે મુદ્દાને લઈને થઈ રહ્યો છે. એક તો સરકાર મોટો ખર્ચ વિશ્વકપના આયોજન પાછળ કરે છે એને બદલે નાગરિક સુવિધામાં વધારો કરે એવી સ્વાભાવિક માંગણી લોકોની ઉઠી છે.
બીજી તરફ બ્રાઝિલના આદિવાસીઓએ નાગરિક સુવિધા પાછળ ખર્ચ કરવાની સાથે સાથે બ્રાઝિલના જંગલ પરત્વે સરકારની ઉદાસિનતા સામે વિશ્વભરના પ્રચાર માધ્યમોનું ધ્યાન પડશે એ ગણતરી કરીને પણ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન જડબેસલાક સુરક્ષા માટે બ્રાઝિલિયન સરકાર લગભગ ૮૬ કરોડ ડોલર જેવી માતબર રકમ ખર્ચી રહી છે. તો બીજી તરફ આ દેખાવકારોએ માથુ ઉચક્યું છે એટલે એની પાછળ પણ સૈન્ય અને પોલીસને લગાવવી પડી છે. કારણ કે, જો સુરક્ષામાં છિદ્રો હોય એવું જરાક પણ કોઈ દેશને લાગે અને પોતાની ટીમને પાછી બોલાવી લે તો વિશ્વભરના માધ્યમો આવડતનો યશ આપવાને બદલે અણ આવડતનો અપયશ આપી દે. એવો ફફડાટ બ્રાઝિલની આયોજન સમિતિને હોય એ સ્વાભાવિક પણ છે.

Sunday, 22 June 2014
Posted by Harsh Meswania
Tag :

રાતા-પીળા થયેલા ખેલાડીઓને ઠંડા પાડતાં લાલ-પીળાં કાર્ડ્સ



ફિફા વિશ્વકપમાં ૩૨ દેશોના ખેલાડીઓ ઝનૂનપૂર્વક એકમેકને હરાવવા મેદાનમાં ઉતર્યા છે. આ જીતનો આવેગ ખેલાડીઓને આક્રમક બનાવી દે છે ત્યારે મેદાનમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે એ માટે રેફરીના ગજવામાં રહેલાં વિવિધ કાર્ડ્સ સોસાયટીમાં રમતા-ઝઘડતાં બાળકોને ડારો આપતા વડીલની ગરજ સારે છે

ફૂટબોલ જેવી અતિ લોકપ્રિય રમત હોય, સંખ્યાબંધ ચાહકોની ચિચિયારી હોય, કોઈ પણ ભોગે દેશને જીત અપાવવાનું મક્કમ મનોબળ હોય, વિરોધી ટીમ પર તૂટી પડવાનો મજબૂત મનસૂબો હોય અને ફૂટબોલને કિક મારવા થનગનતા યુવા પગ હોય તો આક્રમકતા એની મેળે ભળી જાય છે! ખેલાડીઓ જોમ-જુસ્સાથી કૌવત બતાવીને જીત મેળવવા મરણિયા બને તો રમતને રસપ્રદ બનાવી શકે છે, પરંતુ ખેલાડીઓ કૌવતના સ્થાને કપટ કરવા માંડે ત્યારે રમતમાં ખેલદીલીને બદલે યુદ્ધ જેવી ઉગ્રતા આવી જતી હોય છે. આ સ્થિતિમાં ખેલાડીઓની ઉગ્ર લાગણી પર કાબૂ રહે તે માટે  વિવિધ કાર્ડ્સની મદદ લેવામાં આવે છે. કોઈ ખેલાડીઓનું વર્તન અન્ય ખેલાડીઓને શારીરિક ક્ષતિ પહોંચાડતું લાગે કે તરત જ રેફરી તેને રેડ કાર્ડ દેખાડીને બહાર મોકલી દે છે. વિશ્વકપના ઈતિહાસમાં ચર્ચાસ્પદ બનેલા આવા જ કેટલાક બનાવો...

ડિએગો મારાડોના-મનની અકળામણ મેદાન પર કાઢી
૧૯૮૨માં બ્રાઝિલ સામેની એ મેચમાં આર્જેન્ટિના ગોલની હરીફાઈમાં પાછળ રહી ગયું હતું. વળી, રેફરીએ આર્જેન્ટિનાને મળવી જોઈતી પેનલ્ટી માન્ય ન રાખી. આર્જેન્ટિના પર હારનો ખતરો તોળાતો હતો. ડિએગો મારાડોનાએ ફાઉલ કર્યુ હતું એટલે તે વાંકમાં હતો. મારાડોના ખૂબ ઘૂંઘવાયો હતો. તેણે મનમાં રહેલી અકળામણ અને રોષ મેદાન પર કાઢ્યો. તેનો ભોગ બન્યો બટીસ્ટા, જે હજુ બે મિનિટ પહેલાં જ સબસ્ટિટયુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. મારાડોના સામે રેફરીએ તેના આ વર્તન બદલ રેડ કાર્ડ ધર્યું અને તેણે મેદાન છોડી દેવું પડયું. છેવટે તો આર્જેન્ટિનાએ હારનો જ સામનો કરવો પડયો.

ડેવિડ બેકહમ-લેવા ગયો જો જશ તો અપજશ મળ્યો!
૧૯૯૮ વખતે ડેવિડ બેકહેમે હજુ નામ કમાવવાનું બાકી હતું. મેદાન પર તેના નામની ચિચિયારીઓ નહોતી પડતી કે નહોતો ક્રેઝ તેના જેવી હેર સ્ટાઇલ કરવાનો. એ સમયે ડેવિડ બેકહેમે પણ કાર્ડના કહેરનો સામનો કર્યો હતો. ૧૯૯૮ના વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ આર્જેન્ટિના સામેની મેચમાં બેકહમે આવેશમાં આવી જઈ આર્જેન્ટિનાના મિડફિલ્ડર ડિએગો સાયમનને કિક ફટકારી દીધી હતી.  રેફરીએ બેકહેમની આ નાદાનિયત બદલ રેડ કાર્ડ બતાવીને તેને મેદાનની બહાર કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ છેવટે મેચ હારી ગયું.  સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થયું. ટીમની હાર માટે ડેવિડ બેકહેમને દોષિત ગણવામાં આવ્યો. તેના ભાગે અપયશ આવ્યો કે તેના આવા અલ્લડ વર્તનના કારણે ટીમ પર તેની માનસિક અસર થઈ એટલે છેવટે ટીમને હારનો સામનો કરવો પડયો!

જોશ બટીસ્ટા-ગણતરીની સેકન્ડમાં રેડ કાર્ડની સિદ્ધિ!
૧૯૮૬ના એ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડને જીતવું જ પડે તેમ હતું, જ્યારે ઉરૃગ્વેને ડ્રો થાય તો પણ ખાસ વાંધો આવે એવું નહોતું. કોણ જાણે શું વિચારીને ઉરૃગ્વેનો ડિફેન્ડર જોશ બટીસ્ટા મેદાન પર ઊતર્યો હશે. મેચ ચાલુ થયાની ૫૬મી સેકન્ડે જ તેણે સ્કોટલેન્ડના ગોર્ડન સ્ટ્રેચનને પીઠ પર જ મુક્કો માર્યો. રેફરીએ એક ક્ષણે તેને રેડ કાર્ડ બતાવ્યું. વર્લ્ડ કપ જ નહીં, ફૂટબોલ ઇતિહાસનું આ સૌથી ઝડપી રેડ કાર્ડ હતું. મેચ શરૃ થયાની એક મિનિટ થાય એ પહેલા કોઈ ખેલાડીને રેડ કાર્ડ મળ્યાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. સામાન્ય રીતે રેડ કાર્ડની સ્થિતિ ત્યારે જ આવતી હોય છે. જ્યારે મેચ રસાકસીના માહોલમાં હોય અને જીતવા માટે ખેલાડીઓના દિમાગ તંગ હોય.


વેઈન રૃની-રેડ કાર્ડ સાથે ટીમની હારનો ટોપલો નફામાં
૨૦૦૬માં ઈંગ્લેન્ડની ટીમ સાથે ૧૯૯૮ની એક્શન રિપ્લે જ ભજવાઈ. જેમ બેકહેમને રેડ કાર્ડ મળ્યા પછી ટીમ હારીને બહાર થઈ હતી. એવું જ ફરી વાર થયું. આ વખતે બેકહેમને બદલે નામ હતું-વેઇન રુની. પોર્ટુગલ સામેની એ મેચમાં એવું થયું હતું કે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રૃની સામે જોઈને આંખ મીચકારી અને રોષે ભરાયેલા રુનીએ રિકાર્ડો કરવાલ્હોને નિશાન બનાવ્યો. રુની રિકાર્ડો પર પડયો અને તરત જ રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું. ઇંગ્લેન્ડ પણ ફરી એક વાર વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું. હાર પછી રુની પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.

રુડી-ફ્રેન્ક - હું તો જઈશ, તનેય સાથે લેતો જઈશ!
૧૯૯૦ના વિશ્વકપની એક મેચ વખતે એક સાથે બે-બે ખેલાડીઓને મેદાન છોડવંુ પડે તેવી નહીંવત બનતી ઘટના બની હતી. નેધરલેન્ડ - જર્મની વચ્ચેની મેચમાં આવી એક ઘટના બની હતી. નેધરલેન્ડના ફ્રેન્ક રિકાર્ડે મેદાનમાં આવતાની સાથે જ જર્મન સ્ટ્રાઈકર રુડી વોલરને નિશાન બનાવીને તેને હડફેટે લઈ નીચે પાડયો, રિકાર્ડના એ વર્તન માટે તેને યલો કાર્ડ દેખાડાયું. થોડી પળો પછી ડાઈવ લગાવી તે પાછો વોલર સાથે અથડાયો અને તેના કાન ખેંચી નાખ્યા. આ ઘટનાથી બંને વચ્ચે મેદાનમાં જ જામી પડી. બંને બાખડયા એટલે રેફરીએ બંનેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર જેવાનો હુકમ કર્યો.

ઝીનેડીન ઝીડાન-સ્ટાર ખેલાડીને ઉશ્કેરવાની રણનીતિ
૨૦૦૬ની ફાઈનલમાં ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે તાજ મેળવવા સ્પર્ધા બરાબર જામી હતી. ૧-૧ ગોલ કરીને બંને ટીમોએ તાજ પર સરખી દાવેદારી નોંધાવી દીધી હતી. આગામી ગોલ કરવા જબરી રસાકસીનો માહોલ જામ્યો હતો. વાતાવરણ તંગ હતું. ખેલાડીઓમાં અકળામણ હતી, દર્શકોમાં ઉત્સાહ હતો. એમાં ફ્રાન્સના ઝીડાન પાસે આવી ઈટાલીનો માટેરાઝી કંઈક બોલીને તરત જ જતો રહ્યો. ઝીડાન ઉશ્કેરાટમાં હતો. થોડી વારમાં ફરીથી માટેરાઝી તેની આસપાસ ફરક્યો ત્યારે તેની રાહ જ જોતો હોય એમ ઝીડાન ત્રાટક્યો અને માટેરાઝી કંઈ સમજે એ પહેલા તો તેની છાતીમાં માથુ મારીને તેને નીચે પટકી દીધો. એ સાથે જ ઝીડાનને બહાર જવાનો સંકેત કરતું રેડ કાર્ડ બતાવાયું. અંતે ફ્રાન્સે ફાઇનલમાં હાર ખમવી પડી. પછીથી એવું કહેવાતું હતું કે ઝીડાનને બહાર કરવા ફ્રાન્સે ખાસ વ્યૂહરચના ઘડી હતી.

ક્યા રંગનું કાર્ડ કેવી પરિસ્થિતિમાં બતાવાય છે?
કાર્ડ દ્વારા ખેલાડીઓ પર અંકુશ લાવવાની શરૃઆત ૧૯૭૦ના મેક્સિકો વર્લ્ડ કપથી શરૃ થઈ. આવો પહેલ વહેલો વિચાર બ્રિટિશ રેફરી કેન એસ્ટનને આવ્યો હતો, જેમણે ટ્રાફિકની રૃલ્સની જુદી જુદી લાઈટસના આધારે યલો અને રેડકાર્ડના નિયમની ભલામણ કરી હતી. ખેલાડીનાં વાણી, વર્તનમાં કંઈક વાંધાજનક જણાય તો ખેલાડીને ટપારવા રેફરી યલો કાર્ડ બતાવીને ઓફિશિયલ વોનગ આપી શકે છે. એક વાર યલો કાર્ડ બતાવ્યા પછી પણ જો ખેલાડીના વર્તનમાં કોઈ બદલાવ ન આવે તો રેફરી ફરી વોનગ આપતા યલો કાર્ડ બતાવે, જેનો મતલબ કે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડે. ટીમમાં તેની જગ્યાએ કોઈ સબસ્ટિટયુટ ખેલાડીને રમવા દેવો કે નહીં તે નિર્ણય પણ રેફરી જ લે. ખાસ કિસ્સામાં, મામલો જ્યારે બહુ સંગીન હોય ત્યારે રેફરી સીધું જ રેડ કાર્ડ પણ બતાવી દે છે. રેડ કાર્ડ દેખાડે એટલે જે-તે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડેે. વળી, તેની અવેજીમાં કોઈ અન્ય ખેલાડી પણ રમી ન શકે. જે ખેલાડીને રેડ કાર્ડ બતાવાયું હોય એના પર એકથી લઈને ત્રણ મેચ સુધી પ્રતિબંધ લાગી શકે છે. જોકે, ખેલાડી પોતાના પર લાગેલા પ્રતિબંધ સામે અપિલ કરી શકે છે.
Sunday, 15 June 2014
Posted by Harsh Meswania
Tag :

અપૂર્ણતામાં ઉછરેલી પૂર્ણાનું મિશન એવરેસ્ટ પૂર્ણ!



૧૩ વર્ષની એક આદિવાસી કન્યા એક જ વર્ષની મહેનત પછી એવરેસ્ટ સર કરે છે. એક વર્ષ પહેલા તો તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તે ક્યારેય એવરેસ્ટની ઊંચાઈ આંબશે!

'મને  એમ લાગતું હતું કે હું સ્વર્ગમાં છું. ચોમેર ઊંચા શિખરો. બરફની ચાદર બિછાવીને તૈયાર કરાયેલાં પહાડો. મારી કલ્પનામાં પણ ન આવે એવું મનોરમ્ય વાતાવરણ. દુનિયા ત્યાંથી સાવ નાનકડી લાગતી હતી. સાચ્ચે જ મને લાગતું હતું કે હું કોઈ નવી જ દુનિયામાં આવી ચડી છું, જે આ પૃથ્વી પર છે જ નહીં. મને એમ થતું હતું કે કાર્ટુનની મનોરંજન દુનિયામાં કોઈ કલાકારે કરામત કરીને આ સીન બનાવ્યો લાગે છે. મને જ્યારે ખબર પડી કે અખબારોમાં મારી તસવીર છપાઈ છે ત્યારે તો મારા આનંદનો કોઈ પાર રહ્યો નહોતો. એ સમયે મને તરત જ મારા માતા-પિતાનો ચહેરો યાદ આવી ગયો અને હું ખુશીથી ઉછળી પડી. જ્યારે એમણે જાણ્યું હશે કે મારું નામ અને તસવીર અખબારોમાં આવ્યા છે ત્યારે એમની આંખમાં ચોક્કસ આંસુ આવ્યા હશે. આંસુ તો એમની આંખોમાં ઘણી વખત આવતા મેં જોયા છે...' આટલું બોલતા બોલતા તો તે અટકી ગઈ. તેની આંખો પણ છલકાઈ ગઈ હતી. ચહેરા પર આનંદની લહેરખી તો હતી જ, પરંતુ સાથોસાથ ક્યાંક આછેરી દુઃખની રેખા પણ અંકાઈ ગઈ. એવરેસ્ટ પર પહોંચીને એક રેકોર્ડ કાયમ કરનારી કિશોરીના ચહેરા પર કેમ અપાર આનંદને બદલે ગ્લાની જોવા મળતી હતી?
                                                                       * * *'તારે મોટા થઈને શું બનવું છે?' કોઈએ એને પૂછ્યું.
'આઈપીએસ ઓફિસર' એક પળનો પણ વિચાર કર્યા વગર તેણે જવાબ આપ્યો.
'આઈપીએસ જ કેમ?'
'આઈપીએસ અધિકારીઓની વાત બધા જ માને, એ જે કહે તે બધુ તરત જ થઈ જતું હોય છે!' એટલી જ ત્વરાથી તેણે કહ્યું.
'તો તારે બધા પાસે પોતાની વાત મનાવીને શું કરવું છે?'
'હું મારા વિસ્તારની સમસ્યાઓ બધાને કહીશ અને તેનું સમાધાન કરાવીશ, હું એ અવાજને આગળ સુધી લઈ જવા માંગુ છું' આઈપીએસ બનવાના પોતાના સ્વપ્ન વિશે એ નિર્દોષભાવે એક જ વાક્યમાં રહસ્ય છતું કરી દે છે.
એ માને છે કે એ જ્યાં રહે છે ત્યાં પાણી-વીજળી-રસ્તા-રોજગારી જેવી પ્રાથમિક સમસ્યાઓ સામે લડવા માટે આઈપીએસ ઓફિસર હોવું જરૃરી છે. તેણે સાંભળ્યું છે કે આપણે તો આ રીતે જ જીવવાનું હોય છે, પણ એણે હવે થોડી ઘણી દુનિયા જોઈ છે એટલે તેના મગજમાં એ પ્રશ્ન થાય છે કે બીજે જો આ બધી સવલતો મળતી હોય તો તેનો જ પ્રદેશ એનાથી વંચિત શું કામ રહે?
                                                                        * * *
માત્ર ૧૩ વર્ષની વયે એવરેસ્ટ સર કરીને સૌથી નાની વયની યુવતી તરીકે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવનારી પૂર્ણાને મોટા થઈને પોતાના વિસ્તારનેે સમૃદ્ધ કરવા માટે આઈપીએસ ઓફિસર બનવું છે. સપનામાં પણ વિચાર ન આવે એવું સાહસ કરીને જેવી લાગણી થાય એવી જ લાગણી પૂર્ણાને એવરેસ્ટના સર્વોચ્ચ શિખરે પહોંચીને થતી હતી. પૂર્ણા એવરેસ્ટ પહોંચી એના કરતા વધુ રોચક સફર તો તેની એવરેસ્ટની ટીમમાં પસંદગી થઈ એ હતી. એવરેસ્ટ પહોંચવામાં જેટલો સંઘર્ષ નહોતો કરવો પડયો એટલો સંઘર્ષ એ ટીમમાં સામેલ થવા કર્યો હતો. છેક છેલ્લે સુધી એ નક્કી નહોતું કે બે ગૃપ પૈકી તેને કોની સાથે જવાનું છે. હજુ એકાદ વર્ષ પહેલા તો પાઠય પુસ્તકમાં આવતો બેચેન્દ્રી પાલનો પાઠ ભણ્યો ત્યારે જ એવરેસ્ટ વિશે ઘણું ખરું જાણવા મળ્યું હતું. એ જ્યાં રહેતી હતી ત્યાં તો ક્યાં કોઈને એવરેસ્ટનો સરખો ઉચ્ચાર કરતા પણ આવડતો હતો! અને એવી જરૃરેય નહોતી. કારણ કે, બે ટંકનું ખાવા માટે આખો દિવસ મજૂરી કરવાની હોય એમાં એવરેસ્ટની વાતોની કોને પડી હોય? પણ હવે આખા નિઝામાબાદ જિલ્લામાં એવરેસ્ટ અને પૂર્ણાની વાતો ખૂબ ગર્વભેર કરવામાં થાય છે.
આદિવાસી ગરીબ પરિવારમાં જન્મેલી પૂર્ણા થોડી ઘણી સમજણી થઈ ત્યારથી માતા-પિતાને ઘણી વખત ઘરમાં આંસુ સારતા જોયા છે. ખેતમજૂરી માટે સવારથી નીકળીને સાંજે પાછા ઘરે આવે ત્યારે ઘરનું ગુજરાન ચલાવી શકે એટલું માંડ કમાઈ શકતા હતા. એમાં બાળકોના ભવિષ્ય માટે તો વિચારી પણ કેવી રીતે શકાય? પોતાના સંતાનો માટે કશું જ ન કરી શકવાનો પૂર્ણાના માતા-પિતાનો વસવસો આંસુ વાટે બહાર ડોકાઈ જતો.
ગરીબ માતા-પિતાના બાળકો માટે આંધ્ર પ્રદેશ સોશ્યલ વેલ્ફેર રેસિડેન્સિયલ સ્કૂલ (એપીએસડબલ્યુઆરએસ) નામે બાળકોને રહેવાની-ભણવાની સુવિધા આપવામાં આવે છે. એમાં પૂર્ણાને પણ મોકલી દેવામાં આવી. અભ્યાસમાં તેજસ્વી પૂર્ણા શાળાની અન્ય એક્ટિવિટીમાં પણ અવ્વલ રહેતી. ગામડાંમાં ઉછેર થયો હતો અને ખેત મજૂર માતા-પિતાનો વારસો મળ્યો હતો વળી, માતા-પિતા સાથે ઘણી વખત ખેતરે જઈને કાળા તડકામાં કામ કરવાનું પણ થાય. એટલે પૂર્ણા શરીરથી એકદમ ખડતલ.
એમાં ગયા વર્ષે એપીએસડબલ્યુઆરએસ દ્વારા એક ખાસ પ્રોગ્રામ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રત્યેક શાળામાંથી બે વિદ્યાર્થીઓને પસંદ કરીને તેને પર્વતારોહણ જેવા સાહસો કરવા પ્રેરવા. એ પ્રોજેક્ટ હેઠળ ૯માં ધોરણમાં ભણતી પૂર્ણા પંસદગી પામી. ૨૯૯ શાળાઓમાંથી અંતે ૧૦૮ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી. જેમાંથી માત્ર ૨૦ વિદ્યાર્થીઓને દાર્જિલિંગની તાલીમ સંસ્થામાં મોકલવામાં આવ્યાં. પસંદ થયેલા ૨૦માં પૂર્ણા સૌથી નાની વયની હતી. દાર્જિલિંગમાં શરૃ થઈ એક મહિનાની સખત તાલીમ. એ પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોય એમ કાંચનજંઘાનું આરોહણ થયું. પૂર્ણાના એવરેસ્ટ સર કરવાના મૂળિયા આ પરીક્ષા જેવા આરોહણમાં રોપાયાં હતા. એ સાહસમાં પૂર્ણાએ 'એ' ગ્રેડ મેળવ્યો હતો. ૨૦ના ગૃપમાંથી બે સભ્યોને એવરેસ્ટ સર કરવા જઈ રહેલી ટીમ સાથે મોકલવાના હતા. બાકીના બધાને સીનો-ઈન્ડિયા બોર્ડર પર પર્વતારોહણ માટે મોકલવાના હતા. કોણ ક્યાં જશે એ વિશે કોઈને કહેવાયું નહોતું, પણ પૂર્ણાએ તેના ગૃપની વાતો સાંભળી હતી. ગૃપના ઘણાં સભ્યો ભારપૂર્વક કહેતા કે પૂર્ણાએ જે રીતે એ ગ્રેડ મેળવ્યો છે એ જોતા એને એવરેસ્ટની ટોચે પહોંચવાની તક મળશે જ! અત્યાર સુધીમાં એવરેસ્ટ વિશે ઘણું સાંભળ્યુ હતું એટલે પૂર્ણાને પણ હવે ધીરે ધીરે એવરેસ્ટ સર કરવાની ઈચ્છા જાગી હતી.
છેવટે પૂર્ણા અને સાધનાપલ્લી આનંદ બંને એવરેસ્ટ આરોહણ માટે પસંદ થઈ. એ બેને પસંદ કરવા પાછળના કારણો હતા બંનેમાં રહેલા ધીરજ અને કપરી પરિસ્થિતિ સામે લડવાનો ગુણ, કંઈ પણ નવું શીખવાની તૈયારી. જે દિવસે એવરેસ્ટનું આરોહણ શરૃ કર્યું એના આગલા દિવસે ૧૬ શેરપાઓના આકસ્મિત મૃત્યુના ખબર આવ્યા હતા. એક તબક્કે તો ટીમને મોકલવી કે કેમ એની સામે જ પ્રશ્નાર્થ ખડો થયો હતો. જોકે, અંતે ખરાબ વાતાવરણ વચ્ચે પણ સાહસિકોએ એવરેસ્ટ પર પહોંચવાની હામ બતાવી. બાવન દિવસના સતત સંઘર્ષ પછી ટીમ એ મુકામ પર હતી જ્યાં પહોંચવાની ઝંખના દરેક પર્વતારોહકની હોય. જતાં હતા ત્યારે પૂર્ણાને એવી પણ ખબર નહોતી કે આ તેનું વિક્રમજનક આરોહણ બની રહેશે. અપૂર્ણતા વચ્ચે ઉછરેલી પૂર્ણાએ નામ પ્રમાણે મિશન પૂર્ણ કર્યું.
પોતાના એવરેસ્ટ મિશન વિશે પૂર્ણાએ કહ્યું કે 'ગાત્રો થીજી જાય એટલી ઠંડી હતી. પથ્થર એટલા લચિલા હતા કે જો જરાક પણ સંતુલન ગયું તો એવરેસ્ટ પર પહોંચવાને બદલે સીધા ઉપર...મારે દોરડાનો સહારો ખૂબ લેવો પડતો હતો. ક્યારેક ક્યારેક હું રોઈ પડતી. જોકે, મને ટ્રેનિંગમાં કહેવાયું હતું કે હમ કિસી સે કમ નહીં! બસ જ્યારે મને ડર લાગતો ત્યારે હું આ યાદ કરી લેતી હતી.' ૧૩ વર્ષની ઉંમરે હોય એવો જ ડર હોવા છતાં ૩૧ વર્ષેય માંડ મેળવી શકાય એટલી હિંમત તેણે બતાવી એટલે જ એ મુકામ સુધી પણ પહોંચી શકી.
હવે તેની મહેચ્છા તેના વિસ્તારનો અવાજ બનવાની છે. જો આવું મક્કમ મનોબળ સદૈવ દર્શાવતી રહેશે તો એક દિવસ ચોક્કસ એ અવાજ બૂલંદીએ પહોંચશે!
Sunday, 8 June 2014
Posted by Harsh Meswania
Tag :

અણધાર્યા ઓનલાઈન ઓકશન્સ વેંચવાનો છે એક દેશ, નામ છે ન્યુઝિલેન્ડ!


કોઈ ખેપાનીએ અંગ્રેજીના આર્ટિકલ 'ધ'ને ઓનલાઇન વેચવા મૂકી દીધો. ન્યુઝિલેન્ડથી લઈને સેન્સ ઓફ હ્યુમર સુધી ઘણું બધું અણધાર્યુ ઓનલાઇન ઓક્શનમાં મૂકીને કેટલાક ભેજાગેપ ચર્ચા જગાવતા રહે છે.
 
ભારત અને પાકિસ્તાન જે રીતે પરંપરાગત પ્રતિસ્પર્ધી છે એમ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ પણ એકમેકના કટ્ટર હરિફ છે. રમત-ગમ્મતથી લઈને જોક સુધીની બાબતોમાં કટ્ટર દેશપ્રેમીઓ એકબીજા પર ટિખળ કરવાની એક તક જતી કરતા નથી. ન્યુઝિલેન્ડ પર આવી જ એક મોટી રમૂજ ઓસ્ટ્રેલિયને કરી હતી. ટોચની ઓનલાઇન ઓક્શન વેબસાઇટ ઈ-બે પર ૨૦૦૬માં આખે આખા ન્યુઝિલેન્ડને હરાજીમાં મૂકી દેવામાં આવ્યો હતો. ન્યુઝિલેન્ડ જાણે કોઈ વેંચાણની વસ્તુ હોય એમ તેને ખરીદનારા પણ મળવા લાગ્યા. ત્રણ હજાર ડોલરની બોલી લાગી પછી વેબસાઇટ સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ તો વેબસાઇટની પોલીસી વિરૃદ્ધનું વેચાણ થઈ રહ્યું છે એટલે એ જાહેરાતને વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી હતી! ૨૦૦૪માં એક અનોખી ઓનલાઇન હરાજી થઈ રહી હતી. હરાજીની વસ્તુ હતી પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્નની કેક. આ લગ્ન ૧૯૮૧માં થયા હતા અને એ કેકની હરાજી છેક ૨૦૦૪માં? માન્યામાં ન આવે એવી બાબતની હરાજીની જાહેરાત થઈ હતી. ઓક્શનમાં અંદાજ લગાવાયો હતો કે કેકના એ ટૂકડાના ઓછામાં ઓછા ૬૦૦ ડોલર તો ઉપજશે જ. પછીથી કોઈએ એવું શોધી કાઢ્યું હતું કે એ પણ ન્યુઝિલેન્ડ વેંચવાનો છે જેવા પ્રકારની ટિખળ જ હતી! આ વિચિત્ર ઓક્શને એ સમયે અખબારોમાં સ્થાન મેળવ્યું હતું.
અમુક વધુ સ્માર્ટ ચિટર કે ટિખળખોર વળી ઐતિહાસિક અનુસંધાન લઈને ઓનલાઇન ઓક્શનમાં ઝંપલાવતા હોય છે. જેમ કે, ૨૦૦૫માં એક યુઝરે એવો દાવો કર્યો હતો કે તેની પાસે નેપોલિયન બોનાપાર્ટનો દાંત છે. જે ૧૮૧૫ આસપાસના છે. જોકે, પછીથી સંશોધકોએ એ સાબિત કરી દીધું હતું કે નેપોલિયનનો એવો કોઈ દાંત પેલા યુઝર પાસે નહોતો. તેનો આશય હતો કે જો એ નામે કોઈ લેવાલ મળી જાય તો ઓનલાઇન થોડા પૈસા મેળવી શકાય. દાંત તો ઠીક ઈટાલિયન સાહસિક સફરી ક્રિસ્ટોફર કોલંબસની તો આખી બત્રીસી આ રીતે ૨૦૧૦માં ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવી હતી. વળી, તેની જાહેરાતમાં તો એવું લખવામાં આવ્યું હતું કે 'વેંચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહી, અહીં બીજી ઘણી નકલી વસ્તુની હરાજી થાય છે એટલે નકલથી સાવધાન રહેવું'! ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પ્રથમને ૧૬૪૯ના એક યુદ્ધમાં ઈજા થઈ હતી અને જે રૃમાલમાં તેના લોહીના ડાઘ પડયા હતા તે રૃમાલ પણ થોડા વર્ષો પહેલા હરાજીમાં મૂકાયો હતો. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ખાલી સિગારેટ પેકેટને પણ આ રીતે ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવ્યું હતું. જોકે, એ ખાલી પેકેટ ખરીદવામાં કોઈએ દિલચસ્પી દાખવી નહોતી.
સેલિબ્રિટીના નામે આવું કેટ-કેટલું ઓનલાઇન મૂકાતું રહે છે. લગભગ એકાદ દશકા પહેલા અમેરિકન સિંગર-પર્ફોર્મર બ્રિટની સ્પિઅર્સે ચાવેલી ચ્યુઈંગમ ઓનલાઇન ઓક્શનમાં મૂકાઈ હતી. મજાની વાત એ છે કે એ ચાવેલી ચ્યુઈંગમના પણ ૨૬૩ ડોલર ઉપજ્યા હતા! ગમતા એક્ટર કે એક્ટ્રેસ માટેની ઘેલછા આમ પણ વર્ષો જૂની છે. લિજેન્ડરી કેનેડિયન અભિનેતા અને સ્ટાર ટ્રેકથી વધુ જાણીતા વિલિયમ શેટનરનું થોડા વર્ષો પહેલા     પથરીનું ઓપરેશન થયું હતું. એ કાંકરી સુદ્ધાં હરાજીમાં મૂકાઈ હતી બોલો!
કેવી કેવી વસ્તુઓ સેલિબ્રિટીના નામે ખપી જાય છે અને ન માની શકાય એવી વસ્તુઓ  ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવે છે એના થોડા ઉદાહરણો જોઈ લેવા જેવા છે. માઇકલ જેક્શનના અંડરવિઅરને ૨૦૦૩માં વેંચવા મૂકવામાં આવ્યું હતું તો ૨૦૦૮માં સ્કારલેટ જોન્સન દ્વારા યુસ થયેલા એક ટિસ્યુ પેપરના ઓનલાઇન હરાજીમાં ૫,૩૦૦ ડોલર ઉપજ્યા હતા. અરે બીજુ તો ઠીક શ્વાસના પૈસા પાકે ખરા? પણ ૨૦૧૦માં પાક્યા હતા. બ્રાડ પિટ-એન્જેલિના જોલીએ એક બરણીમાં શ્વાસ લીધા હતા. જે પછીથી વેંચવા મૂકાઈ હતી. માન્યામાં ન આવે એવી વાત છે, પણ પછી એ બરણીના ૫૩૦ ડોલર ભાવ બોલાયા હતા! આવી જ એક બીજી બરણી પણ હરાજીમાં મૂકાઈ હતી. જેમાં એક જમાનામાં અમેરિકામાં બહુ લોકપ્રિય થયેલા સિંગર-એક્ટર એલ્વિસ પ્રિસ્લેના વાળ હતા. તેમના વાળંદ દ્વારા હરાજીમાં મૂકાયેલી એ બરણીની ૧,૧૫૦૦૦ ડોલર જેવી માતબર રકમ ઉપજી હતી. અસિમ સૌંદર્ય ધરાવતી અભિનેત્રી મેરલિન મનરોએ ૧૯૫૪માં ફ્લોરિડાની એક હોસ્પિટલમાં હૃદયના ભાગનો એક્સ-રે કરાવ્યો હતો. જેની હરાજી ૨૦૧૦ના જૂન માસમાં થઈ હતી. એ એક્સ-રે માટે એક ચાહકે ૨૯,૦૦૦ ડોલર ચૂકવ્યાં હતા.
હમણાં ઓસ્ટ્રેલિયાના સ્વિટીમેન તરીકે ઓળખ આપતા માણસે કાગળના એક ટૂકડાં પર 'ધ' લખીને હરાજીમાં મૂક્યો હતો અને તેને ખરીદવા માટે ૧૮ લોકોએ તૈયારી દર્શાવી હતી. એવું જ 'ડિગ્નિટી' શબ્દ માટે થોડા સમય પહેલા બન્યું હતું. ઓનલાઇન ઓક્શનમાં મૂકાયેલા આ શબ્દને ૧૦ ડોલર મળ્યા હતા. બોલી લગાવનારાને વેંચનારા તરફથી 'ડિગ્નિટી' શબ્દ લખેલો પોતાની સહીવાળો એક કાગળ મળ્યો હતો. ૨૦૦૯માં સેન્સ ઓફ હ્યુમરનું ઓનલાઇન વેંચાણ થઈ રહ્યું હતું. વેંચનારાએ ખરીદનારાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ મૂકી હતી. જે સેન્સ ઓફ હ્યુમરની સૌથી ઊંચી બોલી લગાવે તેને એ રકમમાંથી ૧૦ ટકા કાપીને જ મોકલવાના હતા. ડિસ્કાઉન્ટને અંતે સેન્સ ઓફ હ્યુમર ૧૦ ડોલરમાં વેંચાઈ હતી. જોકે, સેન્સ ઓફ હ્યુમર ખરીદનારાની સેન્સ ઓફ હ્યુમર વધી નહોતી ગઈ. કારણ કે એ પણ 'ધ' અને 'ડિગ્નિટી'ની જેમ કાગળ પર લખીને ખરીદનારા સુધી પહોંચાડવામાં આવી હતી!
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબની ઓનલાઇન હરાજી કરવામાં આવે તો શું થાય? ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ-ગુગલ ન્યુઝ બધામાં એ એક જ સમાચારની ચર્ચા હોય. એ પણ માત્ર પાંચ કરોડ રૃપિયામાં જ જો તેનું વેંચાણ થવાનું હોય તો તો તડાકો જ ન પડી જાય! આવી જ જાહેરાત થોડા વર્ષ પહેલા થઈ હતી. જેની કિંમત અબજો રૃપિયામાં પણ આંકી ન શકાય એ વસ્તુ કંઈ પાંચ કરોડમાં થોડી મળી જાય એવું જોકે લોકોને તરત સમજાઈ જતાં એ હરાજીને મળવો જોઈએ એવો હૂંફાળો પ્રતિસાદ મળ્યો નહોતો.
તમારા જીવનનો અર્થ શું છે? આવો પ્રશ્ન કોઈ કથાકાર કરે અને પછી કોઈનાયે જવાબની રાહ જોવા વગર તેની સામાન્ય લોકોને ન સમજાય એવી ભાષામાં સમજૂતી આપે એ તો જાણે સમજી શકાય, પરંતુ કોઈ એવું કહે કે અમુક-તમુક વેબસાઇટમાં જીવનના અર્થની હરાજી થાય છે અને તે ખરીદનારાને તેના જીવનનો અર્થ સમજાવી દેવામાં આવશે તો સામાન્ય લોકોની પ્રતિક્રિયા કેવી હોય? સ્વાભાવિક રીતે જ લોકો એને તુક્કો ગણીને હસી કાઢે, પણ આ જીવનના અર્થની હરાજી જ્યારે ખરેખર થઈ હતી ત્યારે આઠ ખરીદનારા મળ્યા હતા અને વેંચનારાને ૧૦ ડોલરની રકમ મળી હતી. પછી અંતે ખરીદનારાને એક તસવીર મળી હતી જેમાં લખ્યું હતું- જીવનનો ખરો અર્થ આ જ છે દોસ્ત!
ખરીદનારાની કંઈક લેવાની જરાક તૈયારી હોય અને તેમાં થોડી મૂર્ખતા ભળી જાય તો વેંચનારાઓ ધૂળ પણ વેંચી નાખે છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. ઓનલાઇન ઓક્શનમાં એ વાત અક્ષરસઃ સાચી પડે છે. જો થોડીક સાવચેતી રાખવામાં ન આવે તો આપણને ક્યારેય જરૃર નથી પડવાની એવી કોઈક વસ્તુ ખરીદી લઈશું અને પછી ઓનલાઇન ઓક્શનના વિશાળ દરિયામાં વેંચનારાનું વહાણ શોધવું અશક્ય બની જશે.
Sunday, 1 June 2014
Posted by Harsh Meswania
Tag :

તોશાખાનાઃ દરબારી સોગાતોનો રસપ્રદ નજારો


નિવૃત્ત થયેલા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પ્રધાનમંત્રી નિવાસ છોડતા પહેલા તેમને મળેલી કેટલીક ગિફ્ટ્સ તોશાખાનામાં જમા કરાવી દીધી. આપણાં તોશાખાનામાં શું શું પડયું છે? કોણે કઈ વસ્તુ આપી છે? તોશાખાનામાં જમા થતી સોગાતોનું લાંબાંગાળે શું કરવામાં આવે છે?

વિદેશમંત્રાલયની રખેવાળી હેઠળ દિલ્હીની ઈમારતના ત્રણ ઓરડાંમાં વિવિધ મૂલ્યવાન વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવી છે. જે તે વસ્તુ ક્યાંથી-ક્યારે-કોણે-કોને આપી હતી તેની વિગતો પણ સાથે જ લખવામાં આવી છે. બહાર શોકેસમાં સમાવી શકાય એનાથી ઘણી વધારે વસ્તુઓ હાજર છે, પણ જગ્યાના અભાવે કેટલીક મહત્ત્વની વસ્તુઓને જ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રશિયાના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિને આપેલું રશિયન રાજા ઝાર નિકોલસ બીજાનું પેઇન્ટિંગ અને તેમણે ૧૮૯૦-૯૧માં કરેલી ભારતયાત્રાની વિગતો તેમજ ૧૬મી સદીમાં ભારતમાં ચલણી હોય એવા સિક્કાઓ પણ અહીં જોવા મળે છે. તો ભૂતાનના રાજાએ આપેલું લગભગ દોઢેક લાખ રૃપિયાની કિંમતનું ૪૦ ઈંચનું એલસીડી ટીવી પણ એ જ ઓરડાંમાં રખાયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આપેલું કાર્પેટ, ગલ્ફમાંથી મળેલી બ્રાન્ડેડ ઘડિયાળ અને સોનાનો નેકલેસ. આ અને આવી લગભગ એકાદ હજાર મૂલ્યવાન ચીજ-વસ્તુઓનો ખજાનો અહીં રાખવામાં આવ્યો છે. આ ઓરડાંઓને તોશાખાના તરીકે ઓળખવામાં આવે છે.
રાજાશાહીમાં એક બહુ પ્રચલિત રિવાજ હતો કે રાજા-મહારાજને મળવા માટે કોઈ અન્ય દેશના રાજા-મહારાજા આવે અથવા તો કોઈ સંદેશો મોકલાવે ત્યારે સાથે નજરાણામાં રાજાને ગમતો ઉપહાર પણ મોકલાવે. રાજાને ઉપહાર બહુ પસંદ આવી જાય તો ઉપહાર સાથે મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી મળી જાય એવો સ્પષ્ટ આશય ઉપહાર આપવા પાછળનો હતો. રાજાશાહીમાં રાજા-મહારાજાઓને મળતા નજરાણાનું નવું સ્વરૃપ એટલે લોકશાહીમાં મંત્રી-અધિકારીઓને મળતી વિવિધ પ્રકારની સોગાતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી કે અધિકારીઓ બીજા દેશની મુલાકાતે જાય અથવા અન્ય દેશના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી વગેરે આપણા દેશની મુલાકાતે આવે ત્યારે ભેટની આપ-લે થતી હોય છે. આપણે ઘણી વખત વાંચતા-સાંભળતા પણ હોઈએ છીએ કે અમુક દેશના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને ત્યાંની બહુ પ્રચલિત વસ્તુ ભેટમાં આપી અને સામે ભારતના વડાપ્રધાને પણ ભારતની ઓળખ સમી અમુક વસ્તુ તેમને ભેટ ધરી. આ ભેટની આપ-લે તેમના ખાનગી સંબંધોને કારણે નથી થતી, પણ એક-મેકના દેશના પ્રતિનિધિ તરીકે થાય છે એટલે તેમને મળેલી ગિફ્ટ પર પણ તેમનો અધિકાર હોતો નથી એ સ્વાભાવિક વાત છે.
સામાન્ય લોકોને મળતી ગિફ્ટમાં અને દેશના સત્તાધીશોને મળતી ગિફ્ટમાં ફરક એટલો છે કે લોકોને મળેલી ગિફ્ટ તેમની પોતાની છે જ્યારે સત્તાધીશોને સત્તાવાર મળેલી ગિફ્ટ દેશની છે. એટલે આ ગિફ્ટને લઈને એક કાયદો બન્યો છે એ મુજબ દેશના નેતા-અધિકારીઓને તેમની સત્તાવાર વિદેશ મુલાકાત વખતે મળતી સોગાતો અને ભારતમાં વિદેશી મહેમાનોની સત્તાવાર મુલાકાત વખતે મળતી સોગાતો જે-તે નેતા કે અધિકારીઓ પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે એ ગિફ્ટ્સ તોશાખામાં જમા કરાવવી પડે છે. પણ એ ગિફ્ટ પોતાની પાસે રાખવા માટે ય કાયદામાં જોગવાઈ છે.
                                                                        ***
નિવૃત્ત થયેલા વડાપ્રધાને પોતાને મળેલી સોગાતોમાંથી કેટલીક વસ્તુઓ પોતાની પાસે રાખી હતી. ૨૫૦૦ રૃપિયાની કિંમતનો એક ક્રોકરી સેટ તેમણે પોતાની પાસે રાખ્યો હતો. ૪૬૦૦ રૃપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતું કાર્પેટ, ૩ હજારની કિંમતનો એક મેટાલિક સેટ, ૪૮૦૦ રૃપિયાનો વૂડન સેટ અને એના જેટલી જ કિંમતનો શોપીસ. મનમોહન સિંહે આઠ-દસ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી અને એ તમામની કિંમત માંડ પાંચ હજાર થવા જતી હતી. એક રીતે પોતાને સત્તાવાર મળેલી ગિફ્ટ્સ મનમોહન સિંહ પોતાની પાસે રાખી શકે નહીં, પણ તેમ છતાં તેમણે આ સોગાતો પોતાની પાસે રાખી હતી અને તેનો એક પણ રૃપિયો તેમણે તોશાખાનાને ચૂકવવાનો થતો નથી. આવું કેમ?
જવાબ થોડો વિસ્તારથી સમજવો પડે તેમ છે. કાયદાની જોગવાઈ છે એ મુજબ ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારીને જે તે ગિફ્ટ પોતાની પાસે રાખવી હોય તો તેની માર્કેટ પ્રાઇઝ તોશાખાનાને આપી દેવાની હોય છે. એના માટે તેને ૩૦ દિવસનો વિચારવાનો સમય પણ આપવામાં આવે છે. તોશાખાનાની ગિફ્ટને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક એવી ગિફ્ટ કે જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે કે અમૂલ્ય ગિફ્ટ. જ્યારે બીજા પ્રકારમાં એવી ગિફ્ટનો સમાવેશ કરાયો છે જેની બજાર કિંમત નક્કી કરી શકાય છે. જેની માર્કેટ વેલ્યુ નક્કી કરી શકાતી હોય એવી વસ્તુઓ ગિફ્ટ મેળવનારા પોતાની પાસે રાખી શકે છે. ધારો કે અમેરિકા ચંદ્રની માટી આપણા વડાપ્રધાનને ભેટ આપે તો તે એની કોઈ કિંમત આંકી શકાય નહીં એટલે તે તોશાખાનાની શાન બની રહે છે, પણ જો બ્રાન્ડેડ ઘડિયાળ કે જ્વેલરી આપે તો તેની કિંમત આંકી શકાય છે એટલે તેની બજાર કિંમત ચૂકવીને ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. અથવા લાંબાંગાળે હરાજી થાય ત્યારે પણ આવી ચીજ-વસ્તુઓને વેંચવા કાઢવામાં આવે છે. 
આવી જ રીતે બે દશકા પહેલા એક હરાજીમાં તોશાખાનાની ઘણી ખરી વસ્તુઓ વેંચી નાખવામાં આવી હતી. હવે ફરીથી એકાદ હજાર વસ્તુઓ એકઠી થઈ છે. ગત વર્ષે તોશાખાનામાં જમા થયેલી ગિફ્ટમાં સૌથી વધુ ૫૪ ગિફ્ટ મનમોહન સિંહે જમા કરાવી હતી. ત્યાર બાદ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો ક્રમ આવતો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ૧૦ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ૯ અને પી. ચિદમ્બરમ્ે ૭ ગિફ્ટ જમા કરાવી હતી. દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે ૨૦૧૧માં આરટીઆઈથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 'ઘણા ખરા મંત્રીઓ-અધિકારીઓ ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી. કેબિનેટના ટોચના ૧૨-૧૫ મંત્રીઓને બાદ કરતા બાકીના બધા પોતાને મળેલી ગિફ્ટની નોંધ સુદ્ધાં તોશાખાનામાં નથી કરાવતા.'
હવે પ્રશ્ન એ થાય કે તો શું મનમોહન સિંહે પોતાની પાસે  અમુક ઉપહાર રાખીને કાયદાનો ભંગ કર્યો છે? જવાબ છે ના. કારણ કે, કાયદામાં એક એવી જોગવાઈ પણ છે કે કેબિનેટ મિનિસ્ટર્સને મળેલી પાંચ હજારથી ઓછી કિંમતની ગિફ્ટ્સ તોશાખાનાને કશું જ ચૂકવ્યા વગર તે પોતાની પાસે રાખી શકે છે, પણ હા, તોશાખાનામાં એક વખત એ ગિફ્ટ જમા તો કરાવવી જ પડે છે. અધિકારીઓ માટે આ મર્યાદા ત્રણ હજાર રૃપિયાની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મોટા ભાગના અધિકારીઓ ત્રણ હજારથી નીચેની ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી અને નેતાઓ પણ પાંચ હજારથી નીચેની ગિફ્ટ ભાગ્યે જ તોશાખાનામાં આપે છે.' લાખો-કરોડોના કૌભાંડો કરતા નેતાઓ પાંચ હજારની મામૂલી રકમનો ઉપહાર સેરવી લેવાનું  પણ ચૂકતા નથી એ કેવું વિચિત્ર કહેવાય!

ભારત-પાકિસ્તાન વચ્ચે વાટકી વહેવાર!
અમુક સિઝનમાં એકમેકથી દૂર રહેતા સગાંઓ એકબીજાને ખાસ વાનગીઓ મોકલતા હોય છે. આવું જ નેતાઓ પણ કરતા હોય છે. સામાન્ય રીતે સત્તાવાર ગિફ્ટ્સમાં દેશની ઓળખ સમી કોઈ વસ્તુ જ અપાતી હોય છે, પણ ઘણી વખત અપવાદરૃપ કિસ્સાઓમાં દેશના ફળો કે વાનગી પણ મોકલાતી હોય છે. ભારતને પોતાના પાડોશી પાકિસ્તાન સાથે પણ આવો જ વાનગીનો વાટકી વહેવાર છે. ૨૦૦૨માં પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર મંત્રણા માટે આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પાકિસ્તાનથી પ્રખ્યાત કેરી લઈ આવ્યા હતા. એ કેરીના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ કેરી તો નહોતી આપી, પણ પછી એ કેરીનો બદલો વાળતા હોય એમ વાજપેયીના અનુગામી વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૧૦માં યુસુફ રઝા ગિલાની માટે ૨૦ કિલોનું કેરીનું બોક્સ પાકિસ્તાન મોકલ્યું હતું.
Sunday, 25 May 2014
Posted by Harsh Meswania
Tag :

સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતા!


અત્યારે સેલ્ફીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધારો કે મહાભારતનું યુદ્ધ આજે ખેલાઈ રહ્યું હોત તો કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ઉભેલા અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સેલ્ફીના સંદર્ભમાં કેવા સંવાદો થયા હોત? કૃષ્ણ-અર્જુનના કાલ્પનિક સંવાદોની વચ્ચે સેલ્ફીની વાસ્તવિક વાતો....

'હે કેશવ! હું જોઈ રહ્યો છું કે આજકાલ ઘણા બધા લોકો એક યંત્રને પોતાના મુખારવિંદની સામે લઈ જઈને પછી હાસ્ય વેરે છે અને એ સાથે કશોક પ્રકાશ થાય છે. પછી એ યંત્રને હાથમાં લઈને ફરી વખત અકારણ હાસ્ય કરે છે. મેં સાંભળ્યું છે કે એને લોકો સેલ્ફી કહે છે. એ સેલ્ફીની ટ્વિટ થાય છે અને એફબી પોસ્ટ પણ થાય છે. એટલે હે ગોવિંદ મને આ સેલ્ફી, ટ્વિટર, એફબી, યુટયૂબ વગેરે વિશે વિસ્તારથી સમજાવીને મારા મનનું સમાધન કરો!' અર્જુને શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કરીને પૂછ્યુ.
જવાબમાં ભગવાને કહ્યું...
'હે પાર્થ! જો તારે આ બધા વિશે જાણવું હોય તો તો મારે તને આખી 'શ્રીમદ્ સોશ્યલ મીડિયા ગીતા' સમજાવવી પડે, પરંતુ તારી જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને હું તારા પહેલા પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી આપીશ.'
પછી શ્રીકૃષ્ણએ તેમના આગવા અંદાજમાં સેલ્ફી વિશે સમજાવવા માંડયું કે....
'હે પાર્થ, વર્ષો પહેલા જ્યારે લોકો પાસે કેમેરા હોવું એ લક્ઝરી કહેવાતી હતી. એ સમયે આખા પરિવારની તસવીર ખેંચાવવી એ ભવ્યતાનું પ્રતીક ગણાતું હતું. બધા એક સરખું સ્માઇલ આપીને ફોટો પડાવે અને પછી ઘરની દિવાલ પર એ તસવીરને મઢીને રાખે. હવે સેલ્ફી પણ વોલ પર જ મૂકવામાં આવે છે. ફરક એટલો પડયો છે કે એ વોલ ઘરની નહીં, ફેસબૂકની હોય છે.
'પણ પ્રભુ, મારો પ્રશ્ન તો સેલ્ફી વિશે હતો. કેમેરા વિશે તો હું જાણી ચૂક્યો છું. ક્ષમા કરશો ભગવાન પણ તમે કેમેરાની અને પરિવારની વાતોએ ચડી ગયા હોય એવું મને લાગ્યું એટલે વચ્ચે જ તમને અટકાવવા પડયા.
'હે કૌંતેય, જો તને કેમેરા વિશે જ્ઞાાત હોય તો હું સેલ્ફીની જ સીધી વાત કરી દઉં છું. વાત છે ઈ.સ. ૧૮૩૯ના વર્ષની. કેમેરાનો વિકાસ થઈ રહ્યો હતો એ દૌરમાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો રોબર્ટ કોર્નેલિયસ નામનો કેમેરામેન ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ ઉત્સાહ બતાવતો. માણસના કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓના જુદા જુદા ખૂણેથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં તેને મજા પડતી. એ સમયે કેમેરા એટલા બધા વિકસિત નહોતા બન્યાં એટલે ક્લિક કર્યા પછી દ્રષ્ય કેમેરામાં મઢાઈ જાય એ બંને ઘટના વચ્ચે થોડીક પળો એમ જ વીતી જતી. એક દિવસ કેમેરાના અભ્યાસુ રોબર્ટને પ્રશ્ન થયો કે જો સામે કેમેરાને મૂકી દઈએ અને ક્લિક થાય એ પહેલા તેની સામે ગોઠવાઈ જઈએ તો શું થાય છે?
'તો પછી શું થયું હતું ભગવન!' અર્જુને ઉત્સુકતાથી પૂછી નાખ્યું અને ભગવાને અટક્યા વગર આગળ ચલાવ્યું...
'હે સવ્યસાચી, એ તસવીરકારે પોતાને થયેલા પ્રશ્ન પર પ્રયોગ કરવાનું નક્કી કર્યું અને એ સાથે તેનું નામ ફોટોગ્રાફીના ઈતિહાસમાં નોંધાઈ ગયું. રોબર્ટે પોતે ખેંચેલી તસવીરને પછીથી પ્રથમ સેલ્ફી તરીકે સન્માન મળ્યું.'
'હે યદુશ્રેષ્ઠ, તો પછી સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી જ કેમ વધ્યો છે? વચ્ચેના સમયગાળામાં સેલ્ફી ખેંચવાની પ્રથા નહોતી?'
'હા પાર્થ તારી વાત બિલકુલ સાચી છે. સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયમાં જ વધ્યો છે. સેલ્ફીની પ્રથા આ પહેલા આટલી બધી પ્રચલિત તો નહોતી, પણ છૂટાછવાયા થોડા બનાવો બન્યા છે ખરાં!' શ્રીકૃષ્ણ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ફરી આગળ બોલ્યા 'રશિયા દેશની એક રાજકુમારી હતી. પ્રિન્સેસ એનાસ્તારિયા એનું નામ'
'પણ મધુસૂદન મેં તો સાંભળ્યું છે કે એ વખતે તે માત્ર ૧૩ વર્ષની જ હતી અને આજના યંગસ્ટર્સ પળમાં જે કામ કરે છે તે કામ તેને ખૂબ અઘરું લાગ્યું હતું?' અર્જુને પોતાની પાસે એનાસ્તારિયાની જે જાણકારી હતા તે કહી દીધી.
'હે પાંડવ, તારી વાત એકદમ સાચી છે. એ વખતે ઉંમરના ૧૩ વર્ષના પડાવે પહોંચેલી એનાસ્તારિયાએ અરિસા સામે જોઈને પોતાનો સેલ્ફી ખેંચ્યો હતો. આજના યંગસ્ટર્સ જે રીતે ટ્વિટ કરીને કે પોસ્ટ કરીને પોતાના મિત્રોને સેલ્ફી પહોંચાડે છે એ જ રીતે એનાસ્તારિયાએ પોતાના મિત્રને એ તસવીર મોકલી હતી અને સાથે સાથે એમાં લખ્યું હતું કે ''આ તસવીર મેં અરિસામાં જોઈને મારી જાતે પાડી છે. આ કામ ખરેખર અઘરું છે. તસવીર પાડતી વખતે મારા હાથમાં કંપારી છૂટતી હતી''. મધુસૂદને પોતાની વર્ણન શક્તિથી આખુ દ્રષ્ય અર્જુન સામે ખડું કરી દીધું.
'ત્યાર બાદ એનો વ્યાપ કઈ રીતે વધ્યો એ જણાવવા પણ કૃપા કરો વાસુદેવ!' પાર્થે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણને કહ્યું.
'હે શ્રેષ્ઠ ધનુર્ધર, સેલ્ફીની શરૃઆત થઈ ચૂકી હતી, પરંતુ તેનો વ્યાપ થવાને હજુ ઘણી વાર હતી. ક્યારેક ક્યારેક લોકો છૂટાછવાયા સેલ્ફી પાડીને પોતાની યાદોને હંમેશા માટે અવિસ્મરણીય રાખવાનો પ્રયાસ કરતા હતા. તને યાદ છે પાર્થ હિમાલયની સર્વોચ્ચ ચોટી એવરેસ્ટ સર કરવા નીકળેલા એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપાનો કિસ્સો બહુ જાણીતો બન્યો હતો. એમ કહેવાય છે કે શેરપાને તસવીર પાડવાનો કોઈ જ અનુભવ નહોતો પરિણામે હિલેરી એવરેસ્ટની ચોટીએ પહોંચ્યા ત્યારની એક પણ તસવીર ઉપલબ્ધ નથી. કદાચ સેલ્ફીના ઓછા વ્યાપના કારણે હિલેરીને સેલ્ફી ખેંચવાનું સુજ્યું જ નહીં હોય. નહીંતર આજે તેમની તસવીરો પણ હોત. તું આ ઘટના પરથી પણ કલ્પના કરી શકે છે કે ૧૯૫૦-૬૦ના દશકા સુધી સેલ્ફીનો ક્રેઝ નહીં હોય!' કૃષ્ણએ સેલ્ફીના વ્યાપ પર જોરદાર ઉદાહરણ આપીને અર્જુનને વિચારતો કરી દીધો. ભગવાને આગળ કહ્યું, 'પાર્થ આ નશ્વર જગતમાં ઈન્ટરનેટની માયાજાળે વિસ્તાર વધાર્યો ત્યાર પછી ચેટમાં વેબકેમના કારણે સેલ્ફીને બળ મળ્યું હતું. જોકે, તેનો ખરો યશ તો આજકાલ મોબાઈલમાં આવતા શક્તિશાળી કેમેરાને ફાળે જ જાય છે. મોબાઇલના કેમેરા ઉપરાંત સોશ્યલ મીડિયાની ચોમેરથી જે રીતે ગૂંથણી થઈ છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં સેલ્ફી સેલ્ફી અને સેલ્ફીનો માહોલ છે. સેમસંગ નામની મોબાઈલ કંપનીએ એક સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલમાં ખેંચાતી ત્રણ તસવીરોમાંથી એક તસવીર સેલ્ફી હોય છે.' કૃષ્ણએ સેલ્ફીના ઈતિહાસથી વર્તમાન સુધીની શક્ય એટલી સફર પાર્થને કહી સંભળાવી.
'હે અંતર્યામી, અત્યારે પ્રતિદિન કેટલા સેલ્ફી પડતા હશે એનો કોઈ અંદાજ ખરો?' અર્જુને આટલી વાત સાંભળ્યા પછીય હરિ અનંત હરિ કથા અનંતાની જેમ સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતાના સંદર્ભમાં હજુય થોડાં સંદેહ સાથે શ્રીકૃષ્ણ સામે હાથ જોડેલી મુદ્રામાં પૂછી નાખ્યું.
'હે અર્જુન, આકાશ સામે જોઈને મને કહે કેટલા તારલા તને દેખાય છે?' આમ કહીને અત્યાર સુધી ઉત્તરો આપી રહેલા શ્રીકૃષ્ણએ સેલ્ફી પ્રકરણ આટોપવા આખરી પ્રશ્ન અર્જુનને જ કરી નાખ્યો.
'ભગવાન તમે ભૂલી ગયા છો કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યનારાયણ કૃપા વરસાવી રહ્યા છે?' અર્જુને ગૂંચવાઈને કહ્યું.
'દિવસે તારલા ગણવા શક્ય નથી એ જ રીતે સેલ્ફીનો આંકડો આપવો લગભગ લગભગ અશક્ય છે એટલે જ મેં તને એવું પૂછ્યું હતું.' શ્રીકૃષ્ણને અર્જુનના છેલ્લા સવાલનો જવાબ તાર્કિક રીતે વાળ્યો અને એ રીતે સેલ્ફી પ્રકરણનો પણ અંત આવ્યો!
Sunday, 11 May 2014
Posted by Harsh Meswania
Tag :

સુપર શેરપાઃ એક પા બધા, બીજી પા અપા


એવરેસ્ટ આરોહણની સિઝન શરૃ થઈ ત્યાં જ એક સાથે ૧૬ શેરપાના મોત થયા છે. સુરક્ષા સહિતની વિભિન્ન બાબતો પર શેરપાઓએ સજીરકાર સામે મોરચો માંડયો છે. જેમાં શેરપાના હકો માટે ખોંખારીનું બોલનારું એક નામ એટલે અપા શેરપા. આ એ જ અપા છે જેના નામે સૌથી વધુ ૨૧ વખત એવરેસ્ટ સર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે.

ખેલ-કૂદની ઉંમરે તેના પર પરિવારની બધી જ જવાબદારી આવી ગઈ હતી. તે સમજણો થયો ત્યારે જ તેને ખબર પડી ગઈ હતી કે ત્રણ ભાઈઓ-બે બહેનો અને વિધવા માતાની જવાબદારી તેના શિરે આવી પડી છે. ૧૨ વર્ષની વયે તેણે શાળાનો અભ્યાસ પડતો મૂકી દીધો. જે મળે એ તમામ ગજા બહારના કામો પણ કરવા લાગ્યો. એવરેસ્ટની તળેટીમાં આવેલું થેમ ગામ તેનું વતન. ત્યાં ખેતી કરી શકાય એવી તેના પૂર્વજોની થોડી જમીન પણ હતી. મજૂરી કરવા ઉપરાંત તે થોડો ઘણો સમય ખેતી કરવામાં પણ વિતાવતો હતો. તે ૨૪-૨૫ વર્ષનો હતો તે સમયગાળામાં એવરેસ્ટ આરોહણ માટે વિશ્વભરમાંથી સાહસિકોના ધાડા હિમાલયની તળેટીમાં આવવા લાગ્યા હતા. તેને હવે મજૂરી માટે ક્યાંય ભટકવાની જરૃર નહોતી. કેમ કે, સાહસિકો સાથે જતા શેરપાઓને સામાન થોડે ઉપર સુધી પહોંચાડવા માટે મજૂરોની ખપ રહેતી.
તે પર્વતારોહણ માટે આવતા સાહસિકોના કૂલી કમ કિચનબોયની જવાબદારી ઉપાડી લેતો અને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતો. એ દરમિયાન પોતે જ્યાં રહેતો હતો તે થેમ ગામમાં ભયંકર પૂર પ્રપાત થયો, જેમાં તેના ખેતરની સ્થિતિ હતી ન હતી જેવી થઈ ગઈ. તે ખૂબ નાસીપાસ થઈ ગયો. તેણે વિચાર્યુ હતું કે સમય મળ્યે ખેતી કરવા તરફ વધુ ધ્યાન આપીને ખેડૂત બની જઈશ, પણ કિસ્મતે કરવટ બદલી હતી. ૧૨ વર્ષનો હતો ત્યારે જીવનનો એક મોડ આવ્યો હતો અને હવે ૨૪ વર્ષનો થયો ત્યારે બીજો મોડ આવ્યો. પર્વતારોહણમાંથી જે મળે તે કમાણી રળવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હોય એવું તેને લાગ્યું.
તેણે એવરેસ્ટ આરોહણ કરવા જતા ગાઇડ શેરપાઓ પાસેથી એવરેસ્ટ ચડવાની બધી બારિકાઈ શીખવા માંડી. પોતે પણ હિમાલયની ગોદમાં તો ઉછર્યો જ હતો એટલે હિમાલયના મિજાજનો તેને બરાબર પરિચય હતો. વળી, તે છેલ્લા કેટલાક વર્ષોથી સાહસિકોના કૂલીની જવાબદારી તો ઉપાડતો હતો એટલે એ રીતે એવરેસ્ટના શિખરો સાથે નાતો બંધાયો હતો. નીચેના શિખરો સુધી સામાન મૂકવા જતી વખતે તેને કેટલી ય વાર વિચાર આવ્યો હતો કે જો એવરેસ્ટ શિખર સુધી પહોંચવાનું થાય તો વળતર સારું મળે અને જેના ખોળામાં ઉછર્યો છે તેની સૌથી ઊંચી ચોટીએ એક વખત પહોંચવું તો છે જ. તેણે સાથી શેરપાઓ પાસેથી સાંભળ્યું હતું એ પ્રમાણે એવરેસ્ટ દુનિયાનું સર્વોચ્ચ શિખર હતું અને એટલે જ વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને એવરેસ્ટ સર કરવા એડી-ચોટીનું જોર લગાવતા હતા. તેણે મનોમન નિર્ધાર કર્યો કે હવે તો એવરેસ્ટ પહોંચ્યે જ પાર!
                                                                         * * *૧૯૯૦ સુધીમાં તો તેણે એવરેસ્ટ સર કરવાના ચાર-ચાર પ્રયાસ કરી જોયા હતા. તેને તમામ પ્રયાસોમાં નિષ્ફળતા મળી. એક-બે નજીકના મિત્રોએ તો તેને થોડા વર્ષોના વિરામ પછી પ્રયત્ન કરવાની સલાહ આપી. જોકે, તેણે હવે મનોમન નક્કી નાખ્યું હતું કે એવરેસ્ટ તો સર કરવો જ પડશે, વળતર અને સાહસ બંને માટે. ૧૯૯૦માં ન્યુઝિલેન્ડની એક ટીમને શેરપાની જરૃર હતી. સિઝન પૂરબહારમાં ખિલી હતી એટલે શેરપા મળવા મુશ્કેલ હતી. એ ટીમમાં વળી પ્રથમ એવરેસ્ટ આરોહકનું સન્માન મેળવનારા એડમંડ હિલેરીના પુત્ર પિટર હિલેરી પણ હતા. બીજા શેરપાની વ્યવસ્થા ન થતાં અંતે ચાર નિષ્ફળ પ્રયાસો છતાં આ શેરપા પર પસંદગી ઉતારાઈ. એ સાથે જ શરૃ થઈ તેની ઐતિહાસિક સાહસ સફર.
એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ.... આ આંકડો તો પછી ખૂબ નાનકડો થવા લાગ્યો. ૧૯૯૦ પછીનું એક પણ વર્ષ એવું ન હોય કે જેમાં આ શેરપાએ એવરેસ્ટ આરોહણ ન કર્યું હોય. પછી તો તેનું નામ જ સુપર શેરપા પડી ગયું. એવરેસ્ટ આરોહણ તેના ડાબા હાથનો ખેલ થઈ ગયો હતો. જેના નામે સૌથી વધુ એવરેસ્ટ ચડવાનો વિશ્વ વિક્રમ બોલે છે એ સુપર શેરપા એટલે અપા શેરપા.
૧૯૯૦થી લઈને ૨૦૧૧ સુધીમાં અપા શેરપાએ ૧૯૯૬ અને ૨૦૦૧ને બાદ કરતા દર વર્ષે એવરેસ્ટના ઊંચા શિખરે પગ મૂક્યો હતો. ૧૯૯૨માં તો બબ્બે વખત એવરેસ્ટની સર્વોચ્ચ ચોટીએ પહોંચ્યા હતા. વચ્ચેના સમયગાળામાં ઘણા વર્ષો એવા ય હતા જેમાં અપાની ટીમે વચ્ચેથી જ પ્રવાસને પડતો મૂકવો પડયો હોય. નહીંતર આ આંકડો કદાચ હજુય મોટો હોત. છેલ્લે તો એવું થઈ ગયું હતું કે પોતે જ પોતાના પૂરાણા રેકોર્ડ્સ ધ્વસ્ત કરીને નવા આયામો સ્થાપિત કરે. જેમ કે, ૧૯૯૦થી ૧૯૯૫ સુધીમાં લગલગાટ સાત વખત એવરેસ્ટ સર કરવાનો વિક્રમ પછીથી તેમણે જ તોડયો. ૨૦૦૨થી ૨૦૧૧ દરમિયાન તે સતત ૧૦ વખત એવરેસ્ટ ઉપર પહોચ્યા હતા. એ વખતે તેમણે પોતાનો વિક્રમ જ તોડયો હતો. એ જ રીતે ૨૦૧૧માં જ્યારે ૨૧મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે ય પોતાની સામે જ સ્પર્ધા કરીને પોતે વિક્રમ નોંધાવ્યો હતો. તેમના રેકોર્ડનું મૂલ્ય એટલા માટે વધી જાય છે કે તેમણે માત્ર રેકોર્ડ નોંધાવવા માટે જ પ્રયાસો નથી કર્યા, પણ શેરપાઓને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે એમાંય તેમનો નોધપાત્ર પ્રદાન છે. હિમાલયના શિખરો પર વધી રહેલો કચરો સાફ કરવાની દરકાર પણ તેમણે કરી છે. અને હવે શેરપાઓના હકો માટે પણ તેમણે પોતાનો સ્પષ્ટ મત ખોંખારીને રજૂ કર્યો છે. જેના કારણે સરકારે પગલા ભરવાની તૈયારી દર્શાવી છે.
                                                                       * * *
'એવરેસ્ટ અને શેરપાઓના કારણે નેપાળની વિશ્વભરમાં ઓળખ છે. બીજા દેશોના લોકો માટે નેપાળ એટલે શેરપાઓનો દેશ, નેપાળ એટલે જગતનું ઉન્નત મસ્તક ધરાવતો દેશ. પરંતુ દેશમાં ખરેખર તો શેરપાઓની હાલત ગંભીર છે. જેના પર વિશ્વાસ મૂકીને દુનિયાના ખૂણે ખૂણેથી સાહસિકો નેપાળમાં આવે છે એ શેરપાઓનો દેશમાં કંઈ જ આધાર નથી. યાત્રા દરમિયાન અવારનવાર નડતા અકસ્માત પછી ન તો તેના પરિવારજનોને મોતનું સરખું વળતર મળે છે કે ન તો અન્ય સુરક્ષા કવચ. આરોહણ કરવા નીકળ્યા પછી ઘરે ન પહોંચે ત્યાં સુધી પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે. રસ્તામાં ગમે ત્યારે ગમે એવી દૂર્ઘટના બની શકે છે. હું આ દૂર્ઘટનાથી હચમચી ગયો છું. એક સાથે ૧૬ સાહસિકોના મોત થયા હોય એવું આજ સુધી બન્યું હોવાનું મને યાદ નથી. શેરપા પાસે આવકનો બીજો કોઈ જ મોટો સ્ત્રોત નથી એટલે સરકારે શેરપાની સુરક્ષા-વીમો-આરોગ્ય ઉપરાંત તેના પરિવાર વિશે પણ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.'
અપા શેરપાએ નેપાળ સરકાર સામે શેરપાઓની તરફેણમાં આવો અભિપ્રાય આપ્યો એટલે વિશ્વભરના મીડિયાએ તેની નોંધ લીધી. જેના કારણે નેપાળ સરકાર પર દબાણ વધ્યું છે. અપાના ઉદાહરણો આપતી નેપાળ સરકાર શેરપાઓ માટે ઉદાહરણીય કશુંક કરે છે કે કેમ એ જોવાનું રહેશે!
અપાએ આ વખતે શેરપાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. અગાઉ હિમાલયના શિખરો ઉપર સાહસિકો દ્વારા થઈ રહેલા કચરા માટે ય તેમણે ઝુંબેશ કરી હતી. તેઓએ પોતાની ટીમ સાથે પાંચ ટન કચરો એકઠો કરીને શિખરોની સફાઈ આદરી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે એવરેસ્ટના શિખરો પર પડતી વિપરિત અસર ખાળવા પણ તેઓ હંમેશા પ્રયત્નરત રહ્યા છે. પહેલા કામ મેળવવા સાહસ ખેડયું હતું. હવે શિખરોના પ્રેમ માટે સાહસ ખેડી રહ્યાં છે.
Sunday, 4 May 2014
Posted by Harsh Meswania
Tag :

રૂબિક્સ ક્યુબ : શોધકની જાણ બહાર સર્જાયેલી પઝલ!


વિશ્વભરમાં વિખ્યાત થયેલી રૂબિક્સ ક્યુબ પઝલની શોધને આ મહિને ૪૦ વર્ષ થયા. ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ ગણાયેલી રૂબિક્સ ક્યુબની શોધ અને તેના વ્યાપની કહાની પણ પઝલ જેટલી જ રોચક છે...

આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનનું ભણાવતો ૩૦ વર્ષનો પ્રોફેસર આર્નો રૃબિક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને ઘરેડથી ચીલો ચાતરીને નવી રીતે વાતને સમજાવવાની કોશિશ કરતો. હંગેરિયન ઈજનેર પિતા અને ચિત્રકાર-કવયિત્રી માતાના સંતાન એવા આર્નોને માતા-પિતાના કોમ્બો જેવું આર્ટિસ્ટિક અને પ્રાયોગિક દિમાગ મળ્યું હતું. જેનો ઉપયોગ તે પોતાના પ્રોફેશનમાં બરાબર કરતો હતો. એ એવું માનતો કે સિલેબસનો અભ્યાસ તો પરીક્ષા પૂરતો જ ખપમાં આવશે, પરંતુ સિલેબલ ઉપરાંતની બાબતો જો વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે દિમાગમાં ઉતારાશે તો અભ્યાસ પછી પણ જીવનભર કોઈ પણ ક્ષેત્રમાં ગૂંચવણ વખતે તરત જ તેમાંથી કંઈક રસ્તો મેળવી શકાશે.
થોડા દિવસોથી તે વિદ્યાર્થીઓને થર્ડ ડાઇમેન્શનનો ખયાલ સમજાવતો હતો. અલગ અલગ ઉદાહરણો આપીને આર્કિટેકમાં તેનું શું મહત્ત્વ છે તે સ્પષ્ટ કરવા મથતો હતો. એમાં તેણે પોતાના આર્કિટેક-આર્ટિસ્ટિક દિમાગને કામે લગાડયું. પોતાના અભ્યાસકાળ દરમિયાન તે શીખ્યો હતો કે ઓબ્જેક્ટ અને સ્પેસ એકમેકના પૂરક છે અને તેનું સંયોજન કશુંક નવુ આપી શકવા સક્ષમ છે. થોડા દિવસો સતત એ વિચાર તેના દિમાગમાં ધૂમરાયા કર્યો. અંતે એક દિવસ થર્ડ ડાઇમેન્શનને બરાબર સમજાવી શકાય એવું એક સાધન બનાવવાનો તેને વિચાર આવ્યો. કોલેજના પિરિયડને બાદ કરતા તે દિવસ અને રાત એ સાધન બનાવવા મચી પડયો. તેને એવું સમતોલ સપાટ ચોકઠું બનાવવું હતું જે બધી બાજુથી ફેરવી શકાય. આર્કિટેક હોવાના નાતે રૃબિકનો બીજો એક આશય એ હતો કે સ્થાપત્યના નિર્માણ વખતે જો કશી ગરબડ થાય તો ઈમારતને પાયામાંથી બદલવા કરતા જે ભાગ ખામીયૂક્ત છે એને હટાવીને બાકીની ઈમારતનું નિર્માણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે એ વાત પણ પોતાના આ હલનચલન થઈ શકતા નાનકડા સાધનથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય. એને ધીરે ધીરે એ પણ સમજાયુ કે વિચારને મૂર્તિમંત સ્વરૃપ આપવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ છે.
તેને પોતાના વિચાર મુજબનું લાકડાનું ચોકઠું બનાવવામાં બીજા એક મિત્રની મદદ મળી. થોડા દિવસ પછી એક એવું ચોકઠું તૈયાર કરવામાં તેને સફળતા મળી જે જાદૂઈ અસર કરતું હતું. ઉપરના કે નીચેના ભાગને ફેરવ્યા પછી ઊભી ગમે તે એક હરોળને ફેરવવી હોય તો ફેરવી શકાતી હતી. વિદ્યાર્થીઓ સામે લાકડાના રંગ વગરના એ ચોકઠાંને રજૂ કરવામાં આવ્યું. રૃબિકને જેમાં થર્ડ ડાઇમેન્શન અને ઈમારતના ક્ષતિગ્રસ્ત ભાગને અલગ કરવાની વાત દેખાતી હતી એ બાજુ પર રહી ગઈ! તેના સ્ટૂડન્ટ્સને એમાં આવું કશું જ નહોતું દેખાતું. એ બધા માટે તો આ એક જાદૂઈ પઝલ હતી, કલાકો સુધી થાક ન લાગે એવી ભરપૂર મનોરંજક ગેઇમ!
રૃબિકે સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તેણે એવી પઝલ બનાવી નાખી છે જે ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ બનવાની છે. પેઢીઓ સુધી તેની લોકપ્રિયતા અકબંધ રહેવાની છે. એટલું જ નહી, આ એક માત્ર પઝલના કારણે દુનિયા તેને અલગ માન-પાન આપશે. ત્યારે તેના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એ પઝલને નામ આપ્યુંઃ મેજિક ક્યુબ.
                                                                           * * *
ક્યુબની બનાવટ પછી જ્યારે વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેને પઝલ્સ ગણાવી ત્યારે રૃબિકને એ વાતનો અહેસાસ થયો કે થર્ડ ડાઇમેન્શનને સમજાવવા માટે જે સાધન બનાવ્યું છે એ ખરેખર તો એક પઝલ છે. પછી તેમણે ફરી વખત ક્યુબમાં થોડા ફેરફારો કર્યા અને તેને અલગ અલગ છ રંગોમાં વહેંચવાનું વિચાર્યું. એ પ્રમાણે તેમણે સફેદ, વાદળી, લીલો, લાલ, પીળો અને કેસરી રંગની મદદથી મેજિક ક્યુબની ૧૮ પટ્ટીઓ બનાવી. મેજિક ક્યુબમાં કુલ ૨૬ ચોકઠાં વાપરીને તેને પઝલ તરીકે રજૂ કરતા પહેલા રૃબિકે આ પઝલ ઉકેલવાનું કામ કરવાનું હતું. જેને પઝલ સ્વરૃપે રજૂ કરવા જઈ રહ્યા હોય અને તેનો ઉકેલ ન હોય તો એ પઝલ સફળ ન થઈ શકે એવું વિચારીને તેમણે એક મહિનાની સખત મહેનત પછી અઘરી પઝલ ઉકેલી કાઢી. હકારાત્મક પ્રતિભાવો પછી રૃબિકે ૧૯૭૫માં મેજિક ક્યુબના નામે તેની પેટર્ન રજીસ્ટર કરાવી લીધી હતી. રમકડાં બનાવતી હંગેરિયન કંપની પોલિટેકનિકા સાથે રૃબિકે કરાર કર્યા. ૧૯૭૭ના વર્ષમાં બુડાપેસ્ટની રમકડાંની દુકાનોમાં મેજિક ક્યુબને વેંચાણ માટે મૂકવામાં આવી. ધાર્યા કરતા વધુ હૂંફાળો પ્રતિસાદ મળ્યો એટલે કંપનીનો અને રૃબિકનો ઉત્સાહ બેવડાયો. ત્રણેક વર્ષમાં તો હંગેરીનું રમકડાં બજાર મેજિક ક્યુબથી ઉભરાઈ ગયું. ચોમેર મેજિક ક્યુબની બોલબાલા થવા માંડી. ત્યારે હંગેરીની વ્યાપાર નીતિ સામ્યવાદી હતી એટલે દેશની પ્રોડક્ટ બહાર મોકલી શકાય નહીં, પણ રૃબિકની આ મેજિક ક્યુબને વિદેશી માર્કેટ સર કરવાનો પરવાનો મળ્યો. ૧૯૭૯માં આઈડિયલ ટોય કંપની સાથે કરાર થયો. કંપનીએ વિદેશમાં સારો પ્રતિસાદ મેેળવવા માટે નામ બદલવાનું નક્કી કર્યું. કેમ કે, મેજિક ક્યુબ નામ જાદુ સાથે સંકળાઈ જાય તો બની શકે કે ધાર્યુ નિશાન પાર ન પણ પડે એવી એક દહેશત હતી. અંતે ઘણા બધા નામો વિચાર્યા પછી શોધકનું નામ પણ આવી જતું હોય એ રીતે 'રૃબિક્સ ક્યુબ' નામ અપાયું. રૃબિક્સ ક્યુબને વિશ્વભરમાં ફેલાવવાનો શ્રેય વળી એક બીજા ઉદ્યોગ સાહસિક ટોમ ક્રિમરને જાય છે. ટોમના મતે આ ક્યુબ ૨૦મી સદીનું ક્લાસિક રમકડું હતું અને એને સફળતા ન મળવાનો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. ટોમની વાત ખરેખર સાચી પણ હતી. ૧૯૮૨નું વર્ષ પૂરુ થયું ત્યારે વિદેશી માર્કેટના વેંચાણનું રિઝલ્ટ હતું-૧૦ કરોડ નકલ. કોઈ પઝલ વિશ્વ વ્યાપી બને એના બે જ વર્ષમાં તેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે ખરી? રૃબિક્સ ક્યુબની વાત થતી હોય તો આ સવાલનો જવાબ 'હા'માં આપવો રહ્યો. ૧૯૮૨માં પ્રથમ વખત રૃબિક્સ ક્યુબની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને રૃબિક્સ ક્યુબના વેચાણ જેટલી જ ધારી સફળતા મળી હતી. 
                                                                        * * *
'જો તમે જીજ્ઞાાસુ હશો તો તમારી આસપાસ ઘણી બધી પઝલ્સને શોધી શકશો, પણ જો તમે અદમ્ય ઈચ્છા શક્તિ ધરાવતા હશો તો પઝલ્સ શોધવાની સાથે સાથે તેના ઉકેલ સુધી પણ પહોંચી શકશો. પઝલ્સ અને તેના ઉકેલ સુધી પહોંચવાની જીજ્ઞાાસા જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલી વખતે નિર્ણયો લેવામાં અવશ્ય કામ આવે છે' પઝલ્સ સાથે જીવનની સરખામણી કરતા આ શબ્દો છે મેજિક ક્યુબના શોધક અને એક સમયે આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનિંગના પ્રોફેસર રહેલા આર્નો રૃબિકના. ૭૦ વર્ષના થવા આવેલા આર્નો હવે પ્રોફેસર નથી. તેમની આજની ઓળખ પઝલ્સ ડિઝાઇનર તરીકેની છે. જોકે, એને માત્ર પઝલ્સ ડિઝાઇનર કહેવા એ પણ આમ તો તેમની અધુરી ઓળખ લેખાશે. તેઓ બ્રિટનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેસ્ટિવલના એડવાઇઝર છે. તેમણે હંગેરિયન એન્જિનિયરિંગ એકેડમીનું પ્રમુખ પદ પણ શોભાવ્યુ છે. ગેઇમ્સ અને પઝલ્સના એક સામયિકના એડિટરની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. વીડિયો ગેઇમ્સ ક્રિએટ કરવાનું કામ તેઓ હવે વધુ કરે છે, પરંતુ આજેય તેમને રૃબિક્સ ક્યુબના શોધક તરીકે જ ઓળખવામાં આવે છે. રૃબિક્સ ક્યુબ એ આજ પર્યન્ત રૃબિકનું શ્રેષ્ઠ સર્જન બની રહ્યું છે.
રોબિક્સ ક્યુબના રેકોર્ડ્સ ૧૯ સેકન્ડથી ૫.૫૫!
૧૯૮૨માં યોજાયેલી ચેમ્પિયનશીપમાં જર્મનીના રોનાલ્ડ બ્રિકમેને માત્ર ૧૯ સેકન્ડમાં રોબિક્સ ક્યુબને ઉકેલીને નવો કિર્તીમાન સ્થાપિત કરી દીધો હતો. જોકે, એ જ વર્ષે બીજા એક ખેલાડી રોબર્ટ પેર્ગલે ૧૭ સેકન્ડમાં ઉકેલ લાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ રેકોર્ડ પછી ૨૦મી સદીના અંત સુધી અકબંધ રહ્યો હતો. ૨૦૦૩માં ફરીથી રોબિક્સ ક્યુબની પઝલ ઓછામાં ઓછી ચાલ અને ઓછી ઝડપે તોડવાના વિક્રમો સતત તૂટતા ગયા. અત્યારે આ વિક્રમ નેધરલેન્ડના મેલ્ટ્સ વોલ્કના નામે નોંધાયેલો છે. પણ ક્રિકેટમાં જે સ્થાન સચિનનું એવું જ સ્થાન રોબિક્સ ક્યુબની સ્પર્ધાઓમાં ઓસ્ટ્રેલિયાના ફેલિક્સ ઝેમ્બડેગ્સનું છે. ફેલિક્સે પોતાના જ વિક્રમો સતત છ વાર તોડયા છે. તેનો છેલ્લો વિક્રમ ૫.૬૬ સેકન્ડનો છે. એ રેકોર્ડ તેમણે ૨૦૧૧ના મેલબોર્ન વિન્ટર ઓપન વખતે કર્યો હતો. ૨૪ કલાકમાં રૃબિક્સ ક્યુબની કેટલી પઝલ્સ ઉકેલી શકાય? આનો જવાબ છે ૪૭૮૬. હંગેરીનો મિલાન બેટિક્સ ૨૦૦૮માં ૨૪ કલાક સુધી સતત ક્યુબ ઉકેલતો રહ્યો હતો અને છેલ્લે ગણતરી કરી ત્યારે આ આંકડો બહુ વિશાળ હતો.

ફિલ્મ સ્ટાર્સ અને રોબિક્સ ક્યુબ
હોલિવૂડ-બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં રોબિક્સ ક્યુબ પઝલ બતાવવામાં આવી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા ય છે જે ફિલ્મમાં જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ રોબિક્સ ક્યુબના ફેન હોય. આવું જ એક નામ એટલે આમિર ખાન. આમિરે એક વખત દાવો કર્યો હતો કે તે માત્ર ૨૮ સેકન્ડમાં જ પઝલ ઉકેલી શકે છે. એ પણ ક્યુબ સામે જોયા વગર જ! આમિરે ૧૬ વર્ષની વયે રોબિક્સ ક્યુબના વિશ્વ ચેમ્પિયન બનવાનું શમણું પણ જોયું હતું. આવા જ બીજા કલાકારો એટલે વિલ સ્મિથ અને જેક બ્લેક. તો યંગસ્ટર્સમાં લોકપ્રિય થયેલા સિંગર-ડાન્સર અને એક્ટર જસ્ટિન બીબર પણ નવરાસના સમયમાં ક્યુબ પર હાથ અજમાવે છે. નોટબૂક ફેમ કેનેડિયન એક્ટર રેયન ગોસ્લિંગે એક લાઇવ કાર્યક્રમમાં રોબિક્સ ક્યુબ પઝલ ઉકેલી આપી હતી.

Sunday, 27 April 2014
Posted by Harsh Meswania
Tag :

હરિફ અખબારને મળ્યાં છે સૌથી વધુ પુલિત્ઝર પ્રાઈઝ



આ વર્ષે ૯૮મા એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ. એક સમયે પુલિત્ઝરે જે અખબાર સામે બરાબરની સ્પર્ધા કરી હતી તે અખબારના નામે વધુ બે એવોર્ડ નોંધાયા. પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં સૌથી વધુ પ્રાઇઝ પુલિત્ઝરના હરિફ અખબારના નામે નોંધાયેલા છે.

એપ્રિલ ૧૯૯૫ની આ વાત છે. ન્યુ યોર્કની એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાં જોસેફ પુલિત્ઝર પોતાનો સામાન પેક કરી રહ્યાં છે. લેપટોપ, જરૃરી દસ્તાવેજ સહિતની બધી વસ્તુઓ બેગમાં મૂકીને તે ફરી એક વાર આખી ઓફિસને નિહાળે છે. ખાસ તો સામેની દિવાલમાં રાખવામાં આવેલી જોસેફ પુલિત્ઝરની આદમ કદની તસવીરને તે કેટલીય વાર સુધી તાકી રહે છે.  તેઓ ધીમે પગલે ઓફિસમાંથી બહાર નીકળે છે. પાછળ દરવાજો બંધ થયાનો અવાજ તેમને સંભળાય છે. એ સાથે જ તેમને એ વાત સમજાય ગઈ હતી કે હવે પત્રકારત્વમાં હંમેશા માટે તેમનો દરવાજો બંધ થઈ રહ્યો છે.

નીચે ઉતરીને તેઓ બિલ્ડિંગને થોડી વાર માટે જોઈ રહે છે. ત્યાર બાદ કારને ઘર તરફ હંકારી મૂકે છે. આ સાથે જ કારની ઝડપ કરતા અનેક ગણી ઝડપે તેમના દિમાગમાં વિચોરો ઘૂમરાવા લાગે છે. જાણે ૧૨૫ વર્ષનો ઈતિહાસ ફિલ્મની રીલની જેમ સામેથી પસાર થતો હોય એવું ય તેમને લાગે છે. પરિવારના અન્ય સભ્યો પાસેથી સાંભળેલી પરિવાર વિશેની એકાદ સૈકા પહેલાની વાતો તેમને યાદ આવવા લાગે છે. મીડિયામાં પુલિત્ઝરનો કેવો દબદબો હતો એના તો કેટલાય કિસ્સા તેમણે સાંભળ્યા હતા. હરિફોને હંફાવવા માટે જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વમાં ઘણા બધા નવા નવા પ્રયોગો કર્યા હતા. સંશોધનાત્મક પત્રકારત્વ, કોમિકથી લઈને કલર પ્રિન્ટિંગ સુધીનું કેટલું બધુ પુલિત્ઝરની પહેલને કારણે થયું હતું. તેમને એકાએક પુલિત્ઝરે ૧૮૭૨માં કરેલી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ની ડિલ યાદ આવી ગઈ. એ જ સેન્ટ લુઇસ પોસ્ટનેે પોતે બચાવી ન શક્યો એની ઉદાસી ફરી તેમના ચહેરા પર છવાઈ ગઈ. પરિવારની ૧૨૫ વર્ષની ઉજ્જવળ સિદ્ધિ પોતાનાથી અટકી જવાની છે એ વિચાર માત્ર તેમને અકળાવી જતો હતો. જોસેફ પુલિત્ઝરથી શરૃ થયેલી પરંપરા જોસેફ પુલિત્ઝર સુધી આવીને અટકી ગઈ એનો તેમને ભારોભાર ખેદ હતો.
                                                                     * * *
પોતાના પરિવારની મિલ્કત એવા અખબારી હકો ન સાચવી શકવાનો વસવસો વ્યક્ત કરનારા જોસેફ પુલિત્ઝર (તેઓ જોય પુલિત્ઝર તરીકે વધુ જાણીતા છે) એટલે પુલિત્ઝર પ્રાઇઝ જેમના નામે ચાલે છે એ જોસેફ પુલિત્ઝરના પ્રપૌત્ર. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ને ખરીદ્યાના એક દશકા બાદ તેમણે 'ન્યુ યોર્ક વર્લ્ડ' ખરીદ્યું હતું. જેના દ્વારા જોસેફ પુલિત્ઝરે અમેરિકી અખબાર જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. વાર્ષિક ૪૦,૦૦૦ ડોલરની ખોટમાં ચાલી રહેલા અખબારને ખરીદીને તેનું સરક્યુલેશન ૧૫,૦૦૦થી વધારીને ૬ લાખ સુધી લઈ જવાનું મુશ્કેલ કામ પુલિત્ઝરની આગવી અખબારી કુનેહને કારણે શક્ય બન્યું હતું. જેને ખરીદીને જોસેફ પુલિત્ઝરે અખબારી આલમમાં પગપેસારો કર્યો હતો તે અખબાર 'સેન્ટ લુઇસ પોસ્ટ'ના માલિકી હકો ૧૯૯૫માં પુલિત્ઝર પરિવાર પાસેથી વેંચાઈ ગયા ત્યારે પુલિત્ઝરના પ્રપૌત્ર જોસેફ પુલિત્ઝર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેમની અનિચ્છા છતાં અન્ય ડિરેક્ટર્સે કંપની લી એન્ટરપ્રાઇઝને વેંચી દીધી અને જોસેફ મૂક પ્રેક્ષક બની રહ્યા. આ ઘટનાનેે બે દશકા જેટલો સમય પસાર થયો હોવા છતાં આજે પણ જોયને એ વાતનું દુઃખ છે કે તે પોતાના પરિવારનો ઉજ્જળ ઈતિહાસ પોતાની પાસે ન રાખી શક્યા.
                                                                     * * *
જોસેફ પુલિત્ઝર- પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો માટે આ નામ જરા પણ અજાણ્યુ નથી. અમેરિકાના પત્રકારત્વ ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી નામ એટલે જોસેફ પુલિત્ઝર. જેમના પ્રયત્નો થકી પત્રકારત્વના અભ્યાસની શરૃઆત થઈ હતી એ જોસેફ પુલિત્ઝરની પત્રકારત્વમાં આગવી શાખ છે. પ્રકાશક-પત્રકાર અને વકીલ ઉપરાંત તેઓ એક ગણનાપાત્ર રાજનેતા પણ હતા. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી અને ઉજ્જળ હતી, પરંતુ તેમની ઓળખ તો ત્યારેય એક જર્નલિસ્ટ તરીકેની હતી અને આજેય તેમને પત્રકારત્વ ક્ષેત્રે આપેલા પ્રદાનના કારણે જ વધુ યાદ કરાય છે.
જોસેફ પુલિત્ઝરે કોલંબિયા યુનિવર્સિટીને ૧૮૯૨માં અનુદાન આપીને પત્રકારત્વની એક કોલેજ શરૃ કરવા જણાવ્યું હતું. વળી, પત્રકારત્વ ક્ષેત્રે અમિટ છાપ છોડતા અખબારો-પત્રકારો-કટાર લેખકો અને તંત્રીઓનું સન્માન થાય એ માટે એક પ્રાઇઝ આપવું જોઈએ અને એ માટે ય પૈસા તેમણે આપવાની તૈયારી બતાવી હતી. જોકે, કોલંબિયા યુનિવર્સિટીએ બે દશકા સુધી એ કામ ન કર્યું. જોસેફ પુલિત્ઝરે પોતાના વિલમાં યુનિવર્સિટીને ૨૦ લાખ ડોલરનું અનુદાન આપ્યું હતું. અંતે પુલિત્ઝરના નિધન પછી છેક ૧૯૧૨માં કોલંબિયા યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ જર્નલિઝમની શરૃઆત કરી હતી. પાંચ વર્ષ પછી ૧૯૧૭માં પત્રકારત્વ ક્ષેત્રે આગવી ભાત પાડતા કામની કદરરૃપે પુલિત્ઝર પ્રાઇઝ આપવાનું શરૃ થયું.
આજે આ એવોર્ડ ૨૧ કેટેગરીમાં એનાયત થાય છે. વિશ્વભરમાંથી ત્રણેક હજાર એન્ટ્રી મળે છે એમાંથી શોર્ટ લિસ્ટ થયા પછી અંતે જ્યુરી મેમ્બર્સ દરેક કેટેગરીમાં ત્રણ-ત્રણ ફાઇનાલિસ્ટ જાહેર કરે છે. જેમાંથી બોર્ડના ૨૦ સભ્યો વોટિંગ પદ્ધતિથી વિજેતા જાહેર કરે છે. એકદ-દોકલ વિવાદોને બાદ કરતા પત્રકારત્વ ક્ષેત્રે મળતા આ એવોર્ડને આજેય સર્વોપરી માનવામાં આવે છે. પબ્લિક સર્વિસ માટેનો એવોર્ડ અખબારને આપવામાં આવે છે અને એના માટે સૌથી મોટા પુરસ્કાર સ્વરૃપે ગોલ્ડ મેડલ એનાયત થાય છે. એ સિવાય ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ, નેશનલ રિપોર્ટિંગ, ઈન્ટરનેશનલ રિપોર્ટિંગ, એડિટોરિયલ રાઇટિંગ, લોકલ રિપોર્ટિંગ, બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી, ફિચર ફોટોગ્રાફી જેવું સન્માન મેળવવું એ અખબાર જગતમાં કામ કરતા દરેક માટે એક ગૌરવ ગણાય છે.
વિશ્વમાં ક્યાંય પણ કોઈ મોટા અખબારની ઓળખ તેના ફેલાવા ઉપરાંત પુલિત્ઝર પ્રાઇઝની સંખ્યાના આધારે થાય છે એ બાબત જ તેનું મહત્ત્વ પ્રસ્થાપિત કરી દે છે. પુલિત્ઝરનું એ સમયે સૌથી વધુ ફેલાવો અને લોકપ્રિયતા ધરાવતું અખબાર 'ન્યુ યોર્ક વર્લ્ડ'ને જેની સાથે સૌથી વધારે કટ્ટર સ્પર્ધા હતી એ 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ'ને પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં અલગ અલગ કેટેગરીના સૌથી વધુ ૧૧૨ પુલિત્ઝર મળ્યા છે. ત્યાર પછીના ક્રમે વોશિંગ્ટન પોસ્ટનું નામ આવે છે. વોશિગ્ટન પોસ્ટને ૪૭ પુલિત્ઝર પ્રાઇઝ મળ્યા છે. હરિફ અખબાર માટે પણ પૂર્વગ્રહ ન રાખે એ પુરસ્કાર વિશ્વમાં પ્રતિષ્ઠિત ન ગણાતો હોય તો જ નવાઈ!

ભારત અને પુલિત્ઝર પ્રાઇઝ
આ વખતે પુલિત્ઝર પ્રાઇઝ વિજેતાના લિસ્ટમાં એક નામ છે- વિજય સેષાદ્રી. બેંગ્લુરુમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા વિજય સેષાદ્રીને તેમના કાવ્યસંગ્રહ માટે પોએટ્રી કેટેગરીમાં વિજેતા જાહેર કરાયા છે. આ અગાઉ ચાર ભારતીયોના નામે પુલિત્ઝર નોંધાયેલા છે. સૌથી પહેલા ભારતીય એટલે ગોવિંદ બિહારીલાલ. અમેરિકા અભ્યાસ માટે ગયેલા ગોવિંદ સેનફ્રાન્સિસકો એક્ઝામિનરમાં સાયન્સ એડિટર બન્યા હતા. અમેરિકામાં સ્થાઈ થયેલા ગોવિંગ બિહારીલાલને ૧૯૩૭માં જર્નલિઝમ માટે પુલિત્ઝર અપાયો હતો. ઈન્ડિયન-અમેરિકન ઝુંપા લહેરીને ૨૦૦૦માં ફિક્શન કેટેગરીનો પુલિત્ઝર મળ્યો હતો. ભારતીય મૂળની જર્નલિસ્ટ ગીતા આનંદને ૨૦૦૩માં તેમના કામ માટે પુલિત્ઝર મળ્યું હતું. છેલ્લે ભારતીય મૂળના કેન્સર ફિજિશ્યન અને સંશોધક સિદ્ધાર્થ મુખર્જીને કેન્સર પરના તેમના એક પુસ્તક માટે ૨૦૧૧માં નોન ફિક્શન કેટેગરીમાં પુલિત્ઝર મળ્યો હતો.
Sunday, 20 April 2014
Posted by Harsh Meswania
Tag :

ગ્લેન ફોર્ડઃ મને કોઈ કહેશે, મેં શા માટે ૩૦ વર્ષ જેલમાં કાઢ્યા?


ક્યારેય ન કરેલા ગુના માટે આરોપીએ સજા ભોગવી લીધા પછી રિઓપન થયેલા કેસમાં કોર્ટે તેનો નિર્દોષ છૂટકારો કર્યો. આરોપીને આજીવન કારાવાસ થયો ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી. થોડા દિવસ પહેલા નિર્દોષ છૂટયો ત્યારે તે જીવનના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો હતો...

તેમાની નહોતો શકતો કે આજે તે ખરેખર મૂક્ત થઈ ગયો છે. હાઈ વે પરની એક રેસ્ટોરન્ટના પાર્કિગ ઝોનમાં તેની કાર આવીને ઊભી રહી. સાથે એક બે દોસ્તો ઉપરાંત તેનો વકીલ પણ હતો. આમ તો તેને ખૂલ્લી હવાની લહેરખીનો આનંદ માણવાની બહુ ઈચ્છા થતી હતી પણ અત્યારે તો સખત ભૂખ લાગી હોવાથી પહેલા કંઈક ખાવું છે એવું તેણે ત્યાંથી નીકળતી વખતે જ મિત્રોને કહી રાખ્યું હતું. કારમાંથી બાકીના બધા બહાર નીકળ્યા, પરંતુ તે ક્યાંય સુધી એમ જ બેસી રહ્યો. તેના બહાર નીકળવાની રાહ જોતા મિત્રોમાંથી એક જણે આવીને તેને ઢંઢોળ્યો ત્યારે તેને ભાન થયું કે તે મૂક્ત છે અને કોઈના ય હુકમ વગર પોતાની મેળે જીંદગી જીવી શકે છે. તેના કાન છેલ્લા ૩૦-૩૦ વર્ષથી સતત હુકમ સાંભળવા એવા તો ટેવાઈ ગયા હતા કે હવે તેને પોતાની મેળે કશું કરી શકાય એની કલ્પના પણ વધારે પડતી લાગતી હતી. તેનું શરીર આજ્ઞાા અને સૂચના મુજબ જ કામ કરી શકે છે એવું તેને લાગ્યું.
તે કારનો દરવાજો ખોલીને બહાર આવ્યો. જમવાનું આવ્યું ત્યાં સુધી બધાએ તેનું મન હળવું કરવા દેશ-દુનિયાની આડાઅવળી વાતો કરી. ડિસમાં મૂકાયેલા ફૂડમાંથી મેટલની ચમચી વડે તેણે પ્રથમ કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેણે છેલ્લે મેટલની ચમચીથી લગભગ ૩૦ વર્ષ પહેલા ખાધું હતું. એ સાથે જ ફરીથી તેના માનસપટ પર ભૂતકાળ તાજો થઈ ગયો. અત્યારે તે હોટેલમાં બેઠો હોવા છતાં તેનું ૬૪ વર્ષનું શરીર કૂદકો લગાવીને જાણે ૫ નવેમ્બર, ૧૯૮૩ના એ દિવસમાં પહોંચી ગયું. તેને લાગ્યું કે તેની સાથે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકોનો અવાજ એકાએક ધીમો થઈ ગયો છે અને પેલા પોલીસ અધિકારીનો કરડાકીભર્યો અવાજ તેના કાનમાં મોટેથી ગૂંજવા લાગ્યો છે...'અમને તો શંકા છે કે તેં જ એમને.....'
                                                                      * * *
'...પણ એવું તો બની જ કેવી રીતે શકે?' તેણે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો હોય એમ ધીમેકથી બબડયો. ઉતાવળા ડગલા ભરતો આવીને તે સીધો જ પોલીસ સ્ટેશનમાં અંદર ધસી ગયો. 'એક્સક્યુઝ મી સર! એમની સાથે આવું શી રીતે બન્યું અને કોણે કર્યું? આ બાબતે મને શું કામ બોલાવાયો છે?' તેણે હાજર પોલીસ અધિકારી સામે આશાભરી નજરે પ્રશ્ન કર્યો
'તું આટલા દિવસથી ક્યાં હતો? અમે તને જ શોધતા હતા' હાજર પોલીસ અધિકારીએ તેના તરફ સંદેહભરી નજરે જોયું.
'હું...હું... કેટલાક દિવસથી દૂરના વિસ્તારમાં કામ કરું છું અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું છે' તેણે થોથવાતા અવાજમાં જવાબ વાળ્યો. તેના ચહેરા પરની રેખાઓ અકારણ તંગ બની ગયેલી પોલીસ અધિકારીએ અનુભવી.
'કેટલા દિવસથી બહાર કામ કરે છે? તને આ ઘટનાની જાણ કઈ રીતે થઈ? તું એમને કેવી રીતે ઓળખતો હતો?' પોલીસ અધિકારીએ એક સામટા સવાલો કરીને તેને ગૂંચવી નાખ્યો.
'હું તેમને ત્યાં ક્યારેક ક્યારેક કામ કરતો હતો. એમને કામદારની જરૃર હોય અને મારી પાસે કામ ન હોય તો હું ઘણા દિવસો સુધી એમને ત્યાં કામ કરતો હતો' તેને સમજાતું નહોતું કે પોલીસ અધિકારીના કયા સવાલનો જવાબ કેવી રીતે આપવો. જે યાદ આવ્યું એ ઉત્તર વાળી દીધો.
'તું છેલ્લે એમને ક્યારે મળ્યો હતો?' પોલીસ અધિકારીએ નવો સવાલ કર્યો.
'છેલ્લે મેં એમને જોયા એને તો ઘણા દિવસો થઈ ગયા. હું એમને ક્યારે મળ્યો હતો એ મને ચોક્કસ યાદ નથી આવતું' જવાબ આપતી વખતે ય તેના મનમાં વિચાર ચાલતા હતા કે આ આખા મામલામાં પોલીસે તેને અહીં શું કામ બોલાવ્યો હશે?
'તો તારે યાદ કરવું પડશે? યાદ નથી એમ કહીને તું છટકી નહીં શકે' પોલીસ અધિકારીનો અવાજ થોડો મોટો અને સત્તાવાહી થયો.
'સર મારો વિશ્વાસ કરો! મને ખરેખર એ યાદ નથી કે હું એમને કેટલા દિવસ પહેલા મળ્યો હતો.' તેણે નરમાશથી પોલીસ ઓફિસરને ભરોસો અપાવવાની કોશિશ કરી.
'અમને તો શંકા છે કે તેં જ એમને.....' પોલીસ અધિકારી વાક્યને અધૂરું મૂકીને તેના ચહેરાને તાકી રહ્યાં.
'સ....ર...હું....એમને..કેવી...રીતે...' એ ફાટી આંખે પોલીસ અધિકારી સામે જોઈને તૂટક તૂટક શબ્દોમાં માંડ આટલું બોલી શક્યો.
'આમને આપણા મહેમાન બનાવો અને સારી રીતે ખાતિરદારી કરો' પોલીસ અધિકારીનો હુકમ છૂટયો અને એ સાથે જ બે પોલીસમેન તેને બાવડેથી ઝાલીને અંદર લઈ ગયા.
                                                                        * * *
૧૯૮૩માં લ્યુસિયાનાના શ્રેવપોર્ટમાં ઈસાડોર રોઝમેન નામના એક જ્વેલરીની હત્યા થઈ હતી. મહિનાઓ પછી હત્યાના ત્રણ કહેવાતા સાક્ષીઓ જેક અને હેનરી રોબિન્સન નામના બે ભાઈઓ અને જેકની ગર્લફ્રેન્ડ માર્વેલા બ્રાઉનના બયાનના આધારે પોલીસે ગ્લેન ફોર્ડને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન જારી કર્યું હતું. હત્યા સમયે ઘટના સ્થળેથી જોજનો દૂર કામ કરી રહેલો ગ્લેન ફોર્ડ પહેલા ઈસાડોરને ત્યાં કામ કરતો હતો. પોલીસનું તેડું આવ્યા પછી હાજર થયેલા ફોર્ડને પોલીસે એ જ સમયે અંદર કરી દીધો હતો. શંકા અને સાક્ષીઓના આધારે ૧૯૮૪માં લ્યુસિયાની કોર્ટે તેને મૃત્યુદંડની સજા આપી હતી. પછી ફોર્ડના વકીલની અરજી ગ્રાહ્ય રાખીને તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે, આરોપી ફોર્ડે ક્યારેય પોતાનો ગુનો કબૂલ કર્યો નહોતો.
છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકામાં આવા શંકાસ્પદ કેસને રિઓપન કરવાની ઝુંબેશ ચાલે છે એના ભાગરૃપે જ ફોર્ડની ફાઇલ પણ રિઓપન થઈ હતી. ૨૦૦૯માં ફરીથી આખા કેસનું બારિકાઈથી નિરિક્ષણ કરતા વકીલો પણ ચૌંકી ગયા હતા કે સાવ સ્પષ્ટ વાત હોવા છતાં ફોર્ડને સજા જ કેવી રીતે થઈ! સાક્ષીઓ પોતે જ શંકાના દાયરામાં હતા. એક પણ રીતે ફોર્ડે ગુનો કબૂલ નહોતો કર્યો. જે તે વખતે આ ઘટના માટે વપરાયેલા હથિયારો અને એ સમયે શંકાસ્પદ રીતે ઘટના સ્થળે કહેવાતી ફોર્ડની હાજરી વિશેના એક્સપર્ટના રિપોર્ટ્સ પણ એક તરફી હતા. પોલીસે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ સુદ્ધાં આરોપનામામાં જોડયો નહોતો. રિઓપન થયેલા કેસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે શ્વેત ન્યાયધીશોએ અશ્વેત ફોર્ડને પૂર્વગ્રહ રાખીને તેમ જ રોબિન્સન બ્રધર્સ સાથે સાંઠગાંઠ કરીને અપૂરતા પૂરાવાઓ હોવા છતાં તે સમયે મૃત્યુદંડ આપ્યો હતો. આ વાત સાબિત થયા પછી સફાયા જાગેલા ન્યાયતંત્રએ ફોર્ટને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો.
ફોર્ડ છેલ્લા ૩૦ વર્ષથી અંગોલા જેલમાં હતો. એમાં ય સાતેક વર્ષથી તો તે એકાંતવાસમાં જ રહેતો હતો. તેને નાનકડી કોટડી ફાળવી દેવામાં આવી હતી. તે દિવસ અને રાત એમાં જ પડયો રહેતો. એકલા રહેવાની આદત કેળવી ચૂકેલા ફોર્ડને આશા નહોતી કે તેને આમ અચાનક મૂક્ત કરી દેવામાં આવશે અને એ પણ નિર્દોષ. ફોર્ડ શરૃઆતમાં નિર્દોષ હોવાનું રટણ કર્યા રાખ્યું હતું, પરંતુ ત્યારે તેને સાંભળનારું કોઈ નહોતું. આજે હવે તેને આઝાદીનો શ્વાસ પણ અકળાવે છે. અચાનક આવી પડેલી મૂક્તિથી તે ચિંતિત છે. કેમ કે, હવે તેનું પહેલું કામ નોકરી મેળવવાનું અને રહેવા માટે ઘર શોધવાનું છે. ઘર તો કદાચ મળી ય જશે. પણ તેને અકળાવી જતો વિચાર એ છે કે જ્યાં કામ કરતો હતો એ માલિકની હત્યાના ગુનામાં ૩૦ વર્ષ જેલમાં કાપ્યા હોય એ માણસને નોકરીએ રાખશે કોણ? ફોર્ડના વકીલે 'અકારણ સજા કાપી હોવાના વળતર' માટે અરજી કરી છે. અમેરિકાના કાયદા પ્રમાણે સામાન્ય રીતે આવા ઓરોપીઓને વાર્ષિક ૨૫,૦૦૦ ડોલર (૧૫ લાખ રૃપિયા જેટલી રકમ)મળતા હોય છે. એ મળશે તો ફોર્ડ ઉંમરના છેલ્લા પડાવે કરોડપતિ બની જશે, પણ તેણે જેલમાં ગાળેલા મૂલ્યવાન ૩૦ વર્ષનું વળતર એ પૈસાથી ચૂકવી શકાશે ખરું?
Sunday, 13 April 2014
Posted by Harsh Meswania
Tag :

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં...




સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ગેટ પર ગેસ્ટને વેલકમ કરવાથી લઈને ટેબલ પર ખાવાનું પીરસવા કે બારમાં ડ્રિન્ક બનાવવા સુધીનું બધુ જ કામ જોડિયા ભાઈ-બહેનો કરે છે. દુનિયામાં એવી ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ છે જે તેની આવી એકાદ વિશેષતાના કારણે વિશ્વ વિખ્યાત બની હોય

ટ્વિન્સ રેસ્ટોરન્ટઃ ઉમ્મીદ સે દુગુના

૧૯૬૪માં બનેલી એક ફિલ્મ 'કિંગ્ડમ ઓફ ક્રુક્ડ મિરર' પરથી પ્રેરણા લઈને મોસ્કોના એલેક્સી ખોડોર્કોવસ્કીએ ટ્વિન્સ રેસ્ટોરન્ટનું નિર્માણ કર્યું છે. જેમાં બધું જ કામ ટ્વિન્સને સોંપવામાં આવે છે. ટેબલ દીઠ એક જોડીને ફાળવી દેવામાં આવે છે. રેસ્ટોરન્ટનું એક પણ કામ કોઈ એકને સોંપવામાં નથી આવતું અને આ જ તેની વિશેષતા બની ગઈ છે. તેના માલિકના કહેવા પ્રમાણે ટ્વિન્સને શોધવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, પણ દેશભરમાંથી સરખા દેખાતા ટ્વિન્સને સારું વળતર આપીને પણ નોકરીએ રાખી લેવામાં આવે છે. મુલાકાતીઓ રેસ્ટોરન્ટમાં ખાવાની લિજ્જત માણવા કરતા ટ્વિન્સની અનોખી સર્વિસ જોવા-માણવા માટે વધુ આવતા હોય છે. જોકે, ટ્વિન્સની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. અમેરિકાની લીસા ગેન્ઝ અને ડેબ્બી ગેન્ઝ નામની બે જોડિયા બહેનોએ અમેરિકન અભિનેતા ટોમ બેરેન્જર સાથે મળીને ૧૯૯૪માં ન્યૂયોર્કમાં ટ્વિનર્લી નામની રેસ્ટોરન્ટ શરૃ કરી હતી. જેમાં ૩૭ ટ્વિન્સ આજેય કામ કરી રહ્યાં છે.
 પાણીની વચ્ચે ખાણીની લહેજત
હિંદ મહાસાગરમાં આવેલા દ્વિપ માલદીવના રંગાલીમાં ઈથા (જેનો મતલબ થાય છે મોતીની માળા) નામની એક અંડરવોટર રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં પાણીની વચ્ચે અને સમૃદ્રી સજીવો ઉપરથી-આજુબાજુમાંથી પસાર થતાં હોય ત્યારે ખાણીનો લુફ્ત ઉઠાવી શકાય છે. આ રેસ્ટોરન્ટ સમુદ્રની સપાટીથી ૧૬ ફીટ નીચે બનાવવામાં આવી છે. ૨૦૦૫માં નિર્માણ પામેલી આ રેસ્ટોરન્ટ ૧૬ ફીટ પહોળી અને ૩૦ ફીટ લાંબી છે.તેમાં એક સમયે ૧૪ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. તેને દુનિયાની સૌ પ્રથમ અંડરવોટર રેસ્ટોરન્ટનું સન્માન મળ્યું છે. ઈથાની સફળતાથી પોરસાઈને પછી તો ફિજી, ઈઝરાયેલ, દૂબઈ, સ્વિડન અને સ્ટોકહોમમાં પણ પાણીની અંદર ખાણીની લહેજત માણી શકાય એવી અંડરવોટર રેસ્ટોરન્ટ બની છે.
બાર્બી ડોલ ખાણું પીરસે છે!

છેલ્લા સાડા પાંચ દાયકાથી ત્રણ-ચાર પેઢીમાં સતત લોકપ્રિય રહેલી ડોલ બાર્બીની લોકપ્રિયતા અંકે કરવા હવે તો સૌ કોઈ મેદાને પડયા છે. તાઈવાનમાં આવેલી એક રેસ્ટોરન્ટ પણ આ યાદીમાં સમાવી શકાય. હોટેલ કમ રેસ્ટોરન્ટનો અંદર અને બહારનો ગુલાબી રંગ તેને આસપાસની તમામ ઈમારતોથી અલગ તારવી દે છે. અંદર પ્રવેશ્યા પછી તેમાં વધુ એક ગુલાબી રંગ ઉમેરાય છે. બાર્બીના કટ આઉટ સાથેનું મેનુ કાર્ડ અને તે આપવા આવનારી ગર્લ પણ એ જ રંગના બાર્બીના લિબાસમાં સજ્જ હોય છે. તાઇવાનના આ બાર્બી કેફેનો આ હંમેશનો દેખાવ છે. ઊંચા દામ આપીને યુવતીઓને રેસ્ટોરન્ટમાં કામ આપવામાં આવે ત્યારે બાર્બી બનીને કામ કરવું એ તેની પ્રથમ શરત હોય છે.
સદ્ધર લોકો માટેની અદ્ધર રેસ્ટોરન્ટ
૧૬૦ ફીટ હવામાં અદ્ધર રહીને ભોજન લેવાનું સાહસ અને સગવડ હોય તો અમેરિકાની ડિનર વિથ સ્કાય એે સ્વપ્ન પૂરું કરે છે. ૨૨ લોકો એક સાથે બેસીને ભોજન લઈ શકે એ માટે ૨૦ ફીટ લાંબું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. અમેરિકાના અવકાશમાં આ પ્લેટફોર્મને ઉપર પહોંચાડયા પછી ભોજન પીરસવામાં આવે છે. ૨૨ મહેમાનો માટે ૮ સભ્યો બધી વ્યવસ્થાનો ઈંતઝામ કરે છે. જોકે, અવકાશમાં ભોજનનો આસ્વાદ માણવા નીકળેલા મોટાભાગના લોકો એટલી ઊંચાઈ પર ગયા પછી ખૂલ્લા પ્લેટફોર્મના કારણે ડરથી ભોજન લેવાનું જ માંડી વાળતા હોય છે. ભોજન માટે ૧૬૦ ફીટની ઊંચાઈએ ગયા પછી લગભગ ૮૦ ટકા લોકો જમ્યા વગર જ પાછા આવે છે!
સિક્રેટ એજન્ટ જ ભોજન મેળવી શકે!

અમેરિકન શહેર મિલવૌકીમાં સેફ હાઉસ નામે થોડી અલગ રેસ્ટોરન્ટ છે. એ એવી રેસ્ટોરન્ટ છે કે જેમાં પૂરતા નાણા ચૂકવ્યા હોવા છતાં પણ જો સિક્રેટ એજન્ટની જેમ કુશળતા બતાવીએ તો ભૂખ્યા પેટે પાછા ઘરે આવવું પડે. રેસ્ટોરન્ટનો દરવાજો ઓપન કરવાથી લઈને ટેબલ સુધી પહોંચવા માટે આખું સિક્રેટ મિશન પાર પાડવું પડે છે. દિમાગ પર જોર લગાવીને જાત-ભાતની પહેલી ઉકેલવી પડે છે. ઘણા લોકો મગજને કસવા માટે નિયમિત આ રેસ્ટોરન્ટની મુલાકાત કરતા રહે છે. અગાઉથી બુકિંગ કરાવ્યા પછી જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટના દરવાજા પાસે પહોંચે કે તરત તેના દિમાગની કસરત શરૃ થઈ જાય છે. ટેબલ સુધી પહોંચી જાય તો તેને ખાવાનું મળે છે. જો ન પહોંચે તો તેની પાસે ભૂખ્યા પેટે ઘરે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી હોતો.
જાદુગરો ખાવાનું પીરસે તો?
ન્યુયોર્કની ટ્રિબેકા રેસ્ટોરન્ટમાં ભોજન સાથે મેજિકનો આનંદ પણ ઉઠાવી શકાય છે. પીરસનારા બધાને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકને આશ્વર્ય થાય એવા મેજિકની સાથે ઓર્ડર મુજબનું ખાવા-પીવાનું મળે છે. ઘણી વખત ભયનું લખલખું પસાર થઈ જાય એવા જાદૂના ખેલ પણ ટેબલ પર ક્રિએટ કરવામાં આવે છે. ભોજનની ઉપર આગના ગોળા દેખાવા લાગે કે પાણીના ગ્લાસમાં અચાનક ઉપરથી પાણી ટપકે એ વાતની અહીં કોઈ નવાઈ નથી. જમવાનું પૂરું થાય એ પહેલા તો કંઈ કેટલું બધુ અણધાર્યું બની ચૂક્યું હોય છે એ જ આ રેસ્ટોરન્ટની ખાસિયત છે.
મંગળ ગ્રહ ઉપર ભોજન લેવું હોય તો....
મંગળ મિશનની થિમ પર ન્યુયોર્કમાં રેસ્ટોરન્ટ બનાવાઈ છે. મંગળ પર રહેતા માનવીઓની કલ્પના પરથી વેઇટર્સનો લિબાસ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને પ્લેટ સુધીનું બધુ જ મંગળ ગ્રહ પર હોય એની કલ્પનામાંથી વિકસાવાયું છે. મંગળ ગ્રહ પર ગયેલો માણસ જો ભૂખ્યો થયો હોય તો તેને મંગળવાસી કેવી રીતે માર્ગદર્શન આપે એ બાબતને નાટયાત્મક રીતે વણી લેવામાં આવી છે. સામાન્ય કરતા અલગ રીતે ઉચ્ચારો કરતા વેઇટર્સ મંગળ ગ્રહનું વાતાવરણ ક્રિએટ કરે છે.
થોડી વધુ વિચિત્ર રેસ્ટોરન્ટ!
નરભક્ષી રેસ્ટોરન્ટ. ન માનવામાં આવે એવા નામની જાપાન સ્થિત આ રેસ્ટોરન્ટમાં સ્ત્રીના શરીરના આકારમાં જાપાની ફૂડ પીરસવામાં આવે છે. એક પછી એક ભાગને ખાવાનું શરૃ થાય એટલે હ્યુમન બોડીમાંથી જે રીતે લોહી નીકળે એ રીતે જ સ્ત્રીના આકારની ફૂડ પ્લેટમાંથી રક્ત વહેવા લાગે છે. આવી જ બીજી વિચિત્ર રેસ્ટોરન્ટ તાઇવાનમાં આવેલી છે. હોસ્પિટલની થિમમાં બનેલી ડિનર ઈન અ હોસ્પિટલ નામની રેસ્ટોરન્ટમાં સુંદર યુવતીઓ નર્સના વેશમાં જમવાનું પીરસી જાય છે. હોસ્પિટલમાં હોય એવા સાધનોનો ઉપયોગ પીરસતી વખતે કરવામાં આવે છે. તાઇવાનમાં જ ટોઇલેટ રેસ્ટોરન્ટ પણ બની છે. બેસવા માટે ટોઇલેટસીટ જેવા આકારની બેઠક વ્યવસ્થા છે. એટલું જ નહીં, ખાવાનું પણ ટોઇલેટસીટ જેવા આકારની પ્લેટમાં જ આપવામાં આવે છે. વિશાળ બાથરૃમ જેવા આકારની આ રેસ્ટોરન્ટ તાઇવાનમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. એમ તો આ યાદીમાં ચીનની ડાર્ક રેસ્ટોરન્ટને પણ સમાવી શકાય. રેસ્ટોરન્ટના મુલાકાતીને અંધારિયા ઓરડામાં આંગળી પકડીને દોરી જવામાં આવે છે. ઘડિયાળ, મોબાઇલ ફોન વગેરે તો અગાઉથી લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ સરપ્રાઇઝ ફૂડ પીરસાય છે. ફૂડની સોડમ અને સ્વાદથી જ તેની ઓળખ કરવી પડે છે. એ રીતે ફૂડને ન ઓળખી શકનારા ઘણા મુલાકાતીઓને એ જ ખબર નથી હોતી કે તેને શું પીરસવામાં આવ્યું હતું!
Sunday, 6 April 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -