તોશાખાનાઃ દરબારી સોગાતોનો રસપ્રદ નજારો


નિવૃત્ત થયેલા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પ્રધાનમંત્રી નિવાસ છોડતા પહેલા તેમને મળેલી કેટલીક ગિફ્ટ્સ તોશાખાનામાં જમા કરાવી દીધી. આપણાં તોશાખાનામાં શું શું પડયું છે? કોણે કઈ વસ્તુ આપી છે? તોશાખાનામાં જમા થતી સોગાતોનું લાંબાંગાળે શું કરવામાં આવે છે?

વિદેશમંત્રાલયની રખેવાળી હેઠળ દિલ્હીની ઈમારતના ત્રણ ઓરડાંમાં વિવિધ મૂલ્યવાન વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવી છે. જે તે વસ્તુ ક્યાંથી-ક્યારે-કોણે-કોને આપી હતી તેની વિગતો પણ સાથે જ લખવામાં આવી છે. બહાર શોકેસમાં સમાવી શકાય એનાથી ઘણી વધારે વસ્તુઓ હાજર છે, પણ જગ્યાના અભાવે કેટલીક મહત્ત્વની વસ્તુઓને જ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રશિયાના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિને આપેલું રશિયન રાજા ઝાર નિકોલસ બીજાનું પેઇન્ટિંગ અને તેમણે ૧૮૯૦-૯૧માં કરેલી ભારતયાત્રાની વિગતો તેમજ ૧૬મી સદીમાં ભારતમાં ચલણી હોય એવા સિક્કાઓ પણ અહીં જોવા મળે છે. તો ભૂતાનના રાજાએ આપેલું લગભગ દોઢેક લાખ રૃપિયાની કિંમતનું ૪૦ ઈંચનું એલસીડી ટીવી પણ એ જ ઓરડાંમાં રખાયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આપેલું કાર્પેટ, ગલ્ફમાંથી મળેલી બ્રાન્ડેડ ઘડિયાળ અને સોનાનો નેકલેસ. આ અને આવી લગભગ એકાદ હજાર મૂલ્યવાન ચીજ-વસ્તુઓનો ખજાનો અહીં રાખવામાં આવ્યો છે. આ ઓરડાંઓને તોશાખાના તરીકે ઓળખવામાં આવે છે.
રાજાશાહીમાં એક બહુ પ્રચલિત રિવાજ હતો કે રાજા-મહારાજને મળવા માટે કોઈ અન્ય દેશના રાજા-મહારાજા આવે અથવા તો કોઈ સંદેશો મોકલાવે ત્યારે સાથે નજરાણામાં રાજાને ગમતો ઉપહાર પણ મોકલાવે. રાજાને ઉપહાર બહુ પસંદ આવી જાય તો ઉપહાર સાથે મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી મળી જાય એવો સ્પષ્ટ આશય ઉપહાર આપવા પાછળનો હતો. રાજાશાહીમાં રાજા-મહારાજાઓને મળતા નજરાણાનું નવું સ્વરૃપ એટલે લોકશાહીમાં મંત્રી-અધિકારીઓને મળતી વિવિધ પ્રકારની સોગાતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી કે અધિકારીઓ બીજા દેશની મુલાકાતે જાય અથવા અન્ય દેશના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી વગેરે આપણા દેશની મુલાકાતે આવે ત્યારે ભેટની આપ-લે થતી હોય છે. આપણે ઘણી વખત વાંચતા-સાંભળતા પણ હોઈએ છીએ કે અમુક દેશના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને ત્યાંની બહુ પ્રચલિત વસ્તુ ભેટમાં આપી અને સામે ભારતના વડાપ્રધાને પણ ભારતની ઓળખ સમી અમુક વસ્તુ તેમને ભેટ ધરી. આ ભેટની આપ-લે તેમના ખાનગી સંબંધોને કારણે નથી થતી, પણ એક-મેકના દેશના પ્રતિનિધિ તરીકે થાય છે એટલે તેમને મળેલી ગિફ્ટ પર પણ તેમનો અધિકાર હોતો નથી એ સ્વાભાવિક વાત છે.
સામાન્ય લોકોને મળતી ગિફ્ટમાં અને દેશના સત્તાધીશોને મળતી ગિફ્ટમાં ફરક એટલો છે કે લોકોને મળેલી ગિફ્ટ તેમની પોતાની છે જ્યારે સત્તાધીશોને સત્તાવાર મળેલી ગિફ્ટ દેશની છે. એટલે આ ગિફ્ટને લઈને એક કાયદો બન્યો છે એ મુજબ દેશના નેતા-અધિકારીઓને તેમની સત્તાવાર વિદેશ મુલાકાત વખતે મળતી સોગાતો અને ભારતમાં વિદેશી મહેમાનોની સત્તાવાર મુલાકાત વખતે મળતી સોગાતો જે-તે નેતા કે અધિકારીઓ પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે એ ગિફ્ટ્સ તોશાખામાં જમા કરાવવી પડે છે. પણ એ ગિફ્ટ પોતાની પાસે રાખવા માટે ય કાયદામાં જોગવાઈ છે.
                                                                        ***
નિવૃત્ત થયેલા વડાપ્રધાને પોતાને મળેલી સોગાતોમાંથી કેટલીક વસ્તુઓ પોતાની પાસે રાખી હતી. ૨૫૦૦ રૃપિયાની કિંમતનો એક ક્રોકરી સેટ તેમણે પોતાની પાસે રાખ્યો હતો. ૪૬૦૦ રૃપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતું કાર્પેટ, ૩ હજારની કિંમતનો એક મેટાલિક સેટ, ૪૮૦૦ રૃપિયાનો વૂડન સેટ અને એના જેટલી જ કિંમતનો શોપીસ. મનમોહન સિંહે આઠ-દસ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી અને એ તમામની કિંમત માંડ પાંચ હજાર થવા જતી હતી. એક રીતે પોતાને સત્તાવાર મળેલી ગિફ્ટ્સ મનમોહન સિંહ પોતાની પાસે રાખી શકે નહીં, પણ તેમ છતાં તેમણે આ સોગાતો પોતાની પાસે રાખી હતી અને તેનો એક પણ રૃપિયો તેમણે તોશાખાનાને ચૂકવવાનો થતો નથી. આવું કેમ?
જવાબ થોડો વિસ્તારથી સમજવો પડે તેમ છે. કાયદાની જોગવાઈ છે એ મુજબ ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારીને જે તે ગિફ્ટ પોતાની પાસે રાખવી હોય તો તેની માર્કેટ પ્રાઇઝ તોશાખાનાને આપી દેવાની હોય છે. એના માટે તેને ૩૦ દિવસનો વિચારવાનો સમય પણ આપવામાં આવે છે. તોશાખાનાની ગિફ્ટને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક એવી ગિફ્ટ કે જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે કે અમૂલ્ય ગિફ્ટ. જ્યારે બીજા પ્રકારમાં એવી ગિફ્ટનો સમાવેશ કરાયો છે જેની બજાર કિંમત નક્કી કરી શકાય છે. જેની માર્કેટ વેલ્યુ નક્કી કરી શકાતી હોય એવી વસ્તુઓ ગિફ્ટ મેળવનારા પોતાની પાસે રાખી શકે છે. ધારો કે અમેરિકા ચંદ્રની માટી આપણા વડાપ્રધાનને ભેટ આપે તો તે એની કોઈ કિંમત આંકી શકાય નહીં એટલે તે તોશાખાનાની શાન બની રહે છે, પણ જો બ્રાન્ડેડ ઘડિયાળ કે જ્વેલરી આપે તો તેની કિંમત આંકી શકાય છે એટલે તેની બજાર કિંમત ચૂકવીને ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. અથવા લાંબાંગાળે હરાજી થાય ત્યારે પણ આવી ચીજ-વસ્તુઓને વેંચવા કાઢવામાં આવે છે. 
આવી જ રીતે બે દશકા પહેલા એક હરાજીમાં તોશાખાનાની ઘણી ખરી વસ્તુઓ વેંચી નાખવામાં આવી હતી. હવે ફરીથી એકાદ હજાર વસ્તુઓ એકઠી થઈ છે. ગત વર્ષે તોશાખાનામાં જમા થયેલી ગિફ્ટમાં સૌથી વધુ ૫૪ ગિફ્ટ મનમોહન સિંહે જમા કરાવી હતી. ત્યાર બાદ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો ક્રમ આવતો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ૧૦ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ૯ અને પી. ચિદમ્બરમ્ે ૭ ગિફ્ટ જમા કરાવી હતી. દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે ૨૦૧૧માં આરટીઆઈથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 'ઘણા ખરા મંત્રીઓ-અધિકારીઓ ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી. કેબિનેટના ટોચના ૧૨-૧૫ મંત્રીઓને બાદ કરતા બાકીના બધા પોતાને મળેલી ગિફ્ટની નોંધ સુદ્ધાં તોશાખાનામાં નથી કરાવતા.'
હવે પ્રશ્ન એ થાય કે તો શું મનમોહન સિંહે પોતાની પાસે  અમુક ઉપહાર રાખીને કાયદાનો ભંગ કર્યો છે? જવાબ છે ના. કારણ કે, કાયદામાં એક એવી જોગવાઈ પણ છે કે કેબિનેટ મિનિસ્ટર્સને મળેલી પાંચ હજારથી ઓછી કિંમતની ગિફ્ટ્સ તોશાખાનાને કશું જ ચૂકવ્યા વગર તે પોતાની પાસે રાખી શકે છે, પણ હા, તોશાખાનામાં એક વખત એ ગિફ્ટ જમા તો કરાવવી જ પડે છે. અધિકારીઓ માટે આ મર્યાદા ત્રણ હજાર રૃપિયાની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મોટા ભાગના અધિકારીઓ ત્રણ હજારથી નીચેની ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી અને નેતાઓ પણ પાંચ હજારથી નીચેની ગિફ્ટ ભાગ્યે જ તોશાખાનામાં આપે છે.' લાખો-કરોડોના કૌભાંડો કરતા નેતાઓ પાંચ હજારની મામૂલી રકમનો ઉપહાર સેરવી લેવાનું  પણ ચૂકતા નથી એ કેવું વિચિત્ર કહેવાય!

ભારત-પાકિસ્તાન વચ્ચે વાટકી વહેવાર!
અમુક સિઝનમાં એકમેકથી દૂર રહેતા સગાંઓ એકબીજાને ખાસ વાનગીઓ મોકલતા હોય છે. આવું જ નેતાઓ પણ કરતા હોય છે. સામાન્ય રીતે સત્તાવાર ગિફ્ટ્સમાં દેશની ઓળખ સમી કોઈ વસ્તુ જ અપાતી હોય છે, પણ ઘણી વખત અપવાદરૃપ કિસ્સાઓમાં દેશના ફળો કે વાનગી પણ મોકલાતી હોય છે. ભારતને પોતાના પાડોશી પાકિસ્તાન સાથે પણ આવો જ વાનગીનો વાટકી વહેવાર છે. ૨૦૦૨માં પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર મંત્રણા માટે આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પાકિસ્તાનથી પ્રખ્યાત કેરી લઈ આવ્યા હતા. એ કેરીના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ કેરી તો નહોતી આપી, પણ પછી એ કેરીનો બદલો વાળતા હોય એમ વાજપેયીના અનુગામી વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૧૦માં યુસુફ રઝા ગિલાની માટે ૨૦ કિલોનું કેરીનું બોક્સ પાકિસ્તાન મોકલ્યું હતું.
Sunday, 25 May 2014
Posted by Harsh Meswania
Tag :

સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતા!


અત્યારે સેલ્ફીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધારો કે મહાભારતનું યુદ્ધ આજે ખેલાઈ રહ્યું હોત તો કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ઉભેલા અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સેલ્ફીના સંદર્ભમાં કેવા સંવાદો થયા હોત? કૃષ્ણ-અર્જુનના કાલ્પનિક સંવાદોની વચ્ચે સેલ્ફીની વાસ્તવિક વાતો....

'હે કેશવ! હું જોઈ રહ્યો છું કે આજકાલ ઘણા બધા લોકો એક યંત્રને પોતાના મુખારવિંદની સામે લઈ જઈને પછી હાસ્ય વેરે છે અને એ સાથે કશોક પ્રકાશ થાય છે. પછી એ યંત્રને હાથમાં લઈને ફરી વખત અકારણ હાસ્ય કરે છે. મેં સાંભળ્યું છે કે એને લોકો સેલ્ફી કહે છે. એ સેલ્ફીની ટ્વિટ થાય છે અને એફબી પોસ્ટ પણ થાય છે. એટલે હે ગોવિંદ મને આ સેલ્ફી, ટ્વિટર, એફબી, યુટયૂબ વગેરે વિશે વિસ્તારથી સમજાવીને મારા મનનું સમાધન કરો!' અર્જુને શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કરીને પૂછ્યુ.
જવાબમાં ભગવાને કહ્યું...
'હે પાર્થ! જો તારે આ બધા વિશે જાણવું હોય તો તો મારે તને આખી 'શ્રીમદ્ સોશ્યલ મીડિયા ગીતા' સમજાવવી પડે, પરંતુ તારી જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને હું તારા પહેલા પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી આપીશ.'
પછી શ્રીકૃષ્ણએ તેમના આગવા અંદાજમાં સેલ્ફી વિશે સમજાવવા માંડયું કે....
'હે પાર્થ, વર્ષો પહેલા જ્યારે લોકો પાસે કેમેરા હોવું એ લક્ઝરી કહેવાતી હતી. એ સમયે આખા પરિવારની તસવીર ખેંચાવવી એ ભવ્યતાનું પ્રતીક ગણાતું હતું. બધા એક સરખું સ્માઇલ આપીને ફોટો પડાવે અને પછી ઘરની દિવાલ પર એ તસવીરને મઢીને રાખે. હવે સેલ્ફી પણ વોલ પર જ મૂકવામાં આવે છે. ફરક એટલો પડયો છે કે એ વોલ ઘરની નહીં, ફેસબૂકની હોય છે.
'પણ પ્રભુ, મારો પ્રશ્ન તો સેલ્ફી વિશે હતો. કેમેરા વિશે તો હું જાણી ચૂક્યો છું. ક્ષમા કરશો ભગવાન પણ તમે કેમેરાની અને પરિવારની વાતોએ ચડી ગયા હોય એવું મને લાગ્યું એટલે વચ્ચે જ તમને અટકાવવા પડયા.
'હે કૌંતેય, જો તને કેમેરા વિશે જ્ઞાાત હોય તો હું સેલ્ફીની જ સીધી વાત કરી દઉં છું. વાત છે ઈ.સ. ૧૮૩૯ના વર્ષની. કેમેરાનો વિકાસ થઈ રહ્યો હતો એ દૌરમાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો રોબર્ટ કોર્નેલિયસ નામનો કેમેરામેન ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ ઉત્સાહ બતાવતો. માણસના કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓના જુદા જુદા ખૂણેથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં તેને મજા પડતી. એ સમયે કેમેરા એટલા બધા વિકસિત નહોતા બન્યાં એટલે ક્લિક કર્યા પછી દ્રષ્ય કેમેરામાં મઢાઈ જાય એ બંને ઘટના વચ્ચે થોડીક પળો એમ જ વીતી જતી. એક દિવસ કેમેરાના અભ્યાસુ રોબર્ટને પ્રશ્ન થયો કે જો સામે કેમેરાને મૂકી દઈએ અને ક્લિક થાય એ પહેલા તેની સામે ગોઠવાઈ જઈએ તો શું થાય છે?
'તો પછી શું થયું હતું ભગવન!' અર્જુને ઉત્સુકતાથી પૂછી નાખ્યું અને ભગવાને અટક્યા વગર આગળ ચલાવ્યું...
'હે સવ્યસાચી, એ તસવીરકારે પોતાને થયેલા પ્રશ્ન પર પ્રયોગ કરવાનું નક્કી કર્યું અને એ સાથે તેનું નામ ફોટોગ્રાફીના ઈતિહાસમાં નોંધાઈ ગયું. રોબર્ટે પોતે ખેંચેલી તસવીરને પછીથી પ્રથમ સેલ્ફી તરીકે સન્માન મળ્યું.'
'હે યદુશ્રેષ્ઠ, તો પછી સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી જ કેમ વધ્યો છે? વચ્ચેના સમયગાળામાં સેલ્ફી ખેંચવાની પ્રથા નહોતી?'
'હા પાર્થ તારી વાત બિલકુલ સાચી છે. સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયમાં જ વધ્યો છે. સેલ્ફીની પ્રથા આ પહેલા આટલી બધી પ્રચલિત તો નહોતી, પણ છૂટાછવાયા થોડા બનાવો બન્યા છે ખરાં!' શ્રીકૃષ્ણ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ફરી આગળ બોલ્યા 'રશિયા દેશની એક રાજકુમારી હતી. પ્રિન્સેસ એનાસ્તારિયા એનું નામ'
'પણ મધુસૂદન મેં તો સાંભળ્યું છે કે એ વખતે તે માત્ર ૧૩ વર્ષની જ હતી અને આજના યંગસ્ટર્સ પળમાં જે કામ કરે છે તે કામ તેને ખૂબ અઘરું લાગ્યું હતું?' અર્જુને પોતાની પાસે એનાસ્તારિયાની જે જાણકારી હતા તે કહી દીધી.
'હે પાંડવ, તારી વાત એકદમ સાચી છે. એ વખતે ઉંમરના ૧૩ વર્ષના પડાવે પહોંચેલી એનાસ્તારિયાએ અરિસા સામે જોઈને પોતાનો સેલ્ફી ખેંચ્યો હતો. આજના યંગસ્ટર્સ જે રીતે ટ્વિટ કરીને કે પોસ્ટ કરીને પોતાના મિત્રોને સેલ્ફી પહોંચાડે છે એ જ રીતે એનાસ્તારિયાએ પોતાના મિત્રને એ તસવીર મોકલી હતી અને સાથે સાથે એમાં લખ્યું હતું કે ''આ તસવીર મેં અરિસામાં જોઈને મારી જાતે પાડી છે. આ કામ ખરેખર અઘરું છે. તસવીર પાડતી વખતે મારા હાથમાં કંપારી છૂટતી હતી''. મધુસૂદને પોતાની વર્ણન શક્તિથી આખુ દ્રષ્ય અર્જુન સામે ખડું કરી દીધું.
'ત્યાર બાદ એનો વ્યાપ કઈ રીતે વધ્યો એ જણાવવા પણ કૃપા કરો વાસુદેવ!' પાર્થે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણને કહ્યું.
'હે શ્રેષ્ઠ ધનુર્ધર, સેલ્ફીની શરૃઆત થઈ ચૂકી હતી, પરંતુ તેનો વ્યાપ થવાને હજુ ઘણી વાર હતી. ક્યારેક ક્યારેક લોકો છૂટાછવાયા સેલ્ફી પાડીને પોતાની યાદોને હંમેશા માટે અવિસ્મરણીય રાખવાનો પ્રયાસ કરતા હતા. તને યાદ છે પાર્થ હિમાલયની સર્વોચ્ચ ચોટી એવરેસ્ટ સર કરવા નીકળેલા એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપાનો કિસ્સો બહુ જાણીતો બન્યો હતો. એમ કહેવાય છે કે શેરપાને તસવીર પાડવાનો કોઈ જ અનુભવ નહોતો પરિણામે હિલેરી એવરેસ્ટની ચોટીએ પહોંચ્યા ત્યારની એક પણ તસવીર ઉપલબ્ધ નથી. કદાચ સેલ્ફીના ઓછા વ્યાપના કારણે હિલેરીને સેલ્ફી ખેંચવાનું સુજ્યું જ નહીં હોય. નહીંતર આજે તેમની તસવીરો પણ હોત. તું આ ઘટના પરથી પણ કલ્પના કરી શકે છે કે ૧૯૫૦-૬૦ના દશકા સુધી સેલ્ફીનો ક્રેઝ નહીં હોય!' કૃષ્ણએ સેલ્ફીના વ્યાપ પર જોરદાર ઉદાહરણ આપીને અર્જુનને વિચારતો કરી દીધો. ભગવાને આગળ કહ્યું, 'પાર્થ આ નશ્વર જગતમાં ઈન્ટરનેટની માયાજાળે વિસ્તાર વધાર્યો ત્યાર પછી ચેટમાં વેબકેમના કારણે સેલ્ફીને બળ મળ્યું હતું. જોકે, તેનો ખરો યશ તો આજકાલ મોબાઈલમાં આવતા શક્તિશાળી કેમેરાને ફાળે જ જાય છે. મોબાઇલના કેમેરા ઉપરાંત સોશ્યલ મીડિયાની ચોમેરથી જે રીતે ગૂંથણી થઈ છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં સેલ્ફી સેલ્ફી અને સેલ્ફીનો માહોલ છે. સેમસંગ નામની મોબાઈલ કંપનીએ એક સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલમાં ખેંચાતી ત્રણ તસવીરોમાંથી એક તસવીર સેલ્ફી હોય છે.' કૃષ્ણએ સેલ્ફીના ઈતિહાસથી વર્તમાન સુધીની શક્ય એટલી સફર પાર્થને કહી સંભળાવી.
'હે અંતર્યામી, અત્યારે પ્રતિદિન કેટલા સેલ્ફી પડતા હશે એનો કોઈ અંદાજ ખરો?' અર્જુને આટલી વાત સાંભળ્યા પછીય હરિ અનંત હરિ કથા અનંતાની જેમ સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતાના સંદર્ભમાં હજુય થોડાં સંદેહ સાથે શ્રીકૃષ્ણ સામે હાથ જોડેલી મુદ્રામાં પૂછી નાખ્યું.
'હે અર્જુન, આકાશ સામે જોઈને મને કહે કેટલા તારલા તને દેખાય છે?' આમ કહીને અત્યાર સુધી ઉત્તરો આપી રહેલા શ્રીકૃષ્ણએ સેલ્ફી પ્રકરણ આટોપવા આખરી પ્રશ્ન અર્જુનને જ કરી નાખ્યો.
'ભગવાન તમે ભૂલી ગયા છો કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યનારાયણ કૃપા વરસાવી રહ્યા છે?' અર્જુને ગૂંચવાઈને કહ્યું.
'દિવસે તારલા ગણવા શક્ય નથી એ જ રીતે સેલ્ફીનો આંકડો આપવો લગભગ લગભગ અશક્ય છે એટલે જ મેં તને એવું પૂછ્યું હતું.' શ્રીકૃષ્ણને અર્જુનના છેલ્લા સવાલનો જવાબ તાર્કિક રીતે વાળ્યો અને એ રીતે સેલ્ફી પ્રકરણનો પણ અંત આવ્યો!
Sunday, 11 May 2014
Posted by Harsh Meswania
Tag :

સુપર શેરપાઃ એક પા બધા, બીજી પા અપા


એવરેસ્ટ આરોહણની સિઝન શરૃ થઈ ત્યાં જ એક સાથે ૧૬ શેરપાના મોત થયા છે. સુરક્ષા સહિતની વિભિન્ન બાબતો પર શેરપાઓએ સજીરકાર સામે મોરચો માંડયો છે. જેમાં શેરપાના હકો માટે ખોંખારીનું બોલનારું એક નામ એટલે અપા શેરપા. આ એ જ અપા છે જેના નામે સૌથી વધુ ૨૧ વખત એવરેસ્ટ સર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે.

ખેલ-કૂદની ઉંમરે તેના પર પરિવારની બધી જ જવાબદારી આવી ગઈ હતી. તે સમજણો થયો ત્યારે જ તેને ખબર પડી ગઈ હતી કે ત્રણ ભાઈઓ-બે બહેનો અને વિધવા માતાની જવાબદારી તેના શિરે આવી પડી છે. ૧૨ વર્ષની વયે તેણે શાળાનો અભ્યાસ પડતો મૂકી દીધો. જે મળે એ તમામ ગજા બહારના કામો પણ કરવા લાગ્યો. એવરેસ્ટની તળેટીમાં આવેલું થેમ ગામ તેનું વતન. ત્યાં ખેતી કરી શકાય એવી તેના પૂર્વજોની થોડી જમીન પણ હતી. મજૂરી કરવા ઉપરાંત તે થોડો ઘણો સમય ખેતી કરવામાં પણ વિતાવતો હતો. તે ૨૪-૨૫ વર્ષનો હતો તે સમયગાળામાં એવરેસ્ટ આરોહણ માટે વિશ્વભરમાંથી સાહસિકોના ધાડા હિમાલયની તળેટીમાં આવવા લાગ્યા હતા. તેને હવે મજૂરી માટે ક્યાંય ભટકવાની જરૃર નહોતી. કેમ કે, સાહસિકો સાથે જતા શેરપાઓને સામાન થોડે ઉપર સુધી પહોંચાડવા માટે મજૂરોની ખપ રહેતી.
તે પર્વતારોહણ માટે આવતા સાહસિકોના કૂલી કમ કિચનબોયની જવાબદારી ઉપાડી લેતો અને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતો. એ દરમિયાન પોતે જ્યાં રહેતો હતો તે થેમ ગામમાં ભયંકર પૂર પ્રપાત થયો, જેમાં તેના ખેતરની સ્થિતિ હતી ન હતી જેવી થઈ ગઈ. તે ખૂબ નાસીપાસ થઈ ગયો. તેણે વિચાર્યુ હતું કે સમય મળ્યે ખેતી કરવા તરફ વધુ ધ્યાન આપીને ખેડૂત બની જઈશ, પણ કિસ્મતે કરવટ બદલી હતી. ૧૨ વર્ષનો હતો ત્યારે જીવનનો એક મોડ આવ્યો હતો અને હવે ૨૪ વર્ષનો થયો ત્યારે બીજો મોડ આવ્યો. પર્વતારોહણમાંથી જે મળે તે કમાણી રળવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હોય એવું તેને લાગ્યું.
તેણે એવરેસ્ટ આરોહણ કરવા જતા ગાઇડ શેરપાઓ પાસેથી એવરેસ્ટ ચડવાની બધી બારિકાઈ શીખવા માંડી. પોતે પણ હિમાલયની ગોદમાં તો ઉછર્યો જ હતો એટલે હિમાલયના મિજાજનો તેને બરાબર પરિચય હતો. વળી, તે છેલ્લા કેટલાક વર્ષોથી સાહસિકોના કૂલીની જવાબદારી તો ઉપાડતો હતો એટલે એ રીતે એવરેસ્ટના શિખરો સાથે નાતો બંધાયો હતો. નીચેના શિખરો સુધી સામાન મૂકવા જતી વખતે તેને કેટલી ય વાર વિચાર આવ્યો હતો કે જો એવરેસ્ટ શિખર સુધી પહોંચવાનું થાય તો વળતર સારું મળે અને જેના ખોળામાં ઉછર્યો છે તેની સૌથી ઊંચી ચોટીએ એક વખત પહોંચવું તો છે જ. તેણે સાથી શેરપાઓ પાસેથી સાંભળ્યું હતું એ પ્રમાણે એવરેસ્ટ દુનિયાનું સર્વોચ્ચ શિખર હતું અને એટલે જ વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને એવરેસ્ટ સર કરવા એડી-ચોટીનું જોર લગાવતા હતા. તેણે મનોમન નિર્ધાર કર્યો કે હવે તો એવરેસ્ટ પહોંચ્યે જ પાર!
                                                                         * * *૧૯૯૦ સુધીમાં તો તેણે એવરેસ્ટ સર કરવાના ચાર-ચાર પ્રયાસ કરી જોયા હતા. તેને તમામ પ્રયાસોમાં નિષ્ફળતા મળી. એક-બે નજીકના મિત્રોએ તો તેને થોડા વર્ષોના વિરામ પછી પ્રયત્ન કરવાની સલાહ આપી. જોકે, તેણે હવે મનોમન નક્કી નાખ્યું હતું કે એવરેસ્ટ તો સર કરવો જ પડશે, વળતર અને સાહસ બંને માટે. ૧૯૯૦માં ન્યુઝિલેન્ડની એક ટીમને શેરપાની જરૃર હતી. સિઝન પૂરબહારમાં ખિલી હતી એટલે શેરપા મળવા મુશ્કેલ હતી. એ ટીમમાં વળી પ્રથમ એવરેસ્ટ આરોહકનું સન્માન મેળવનારા એડમંડ હિલેરીના પુત્ર પિટર હિલેરી પણ હતા. બીજા શેરપાની વ્યવસ્થા ન થતાં અંતે ચાર નિષ્ફળ પ્રયાસો છતાં આ શેરપા પર પસંદગી ઉતારાઈ. એ સાથે જ શરૃ થઈ તેની ઐતિહાસિક સાહસ સફર.
એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ.... આ આંકડો તો પછી ખૂબ નાનકડો થવા લાગ્યો. ૧૯૯૦ પછીનું એક પણ વર્ષ એવું ન હોય કે જેમાં આ શેરપાએ એવરેસ્ટ આરોહણ ન કર્યું હોય. પછી તો તેનું નામ જ સુપર શેરપા પડી ગયું. એવરેસ્ટ આરોહણ તેના ડાબા હાથનો ખેલ થઈ ગયો હતો. જેના નામે સૌથી વધુ એવરેસ્ટ ચડવાનો વિશ્વ વિક્રમ બોલે છે એ સુપર શેરપા એટલે અપા શેરપા.
૧૯૯૦થી લઈને ૨૦૧૧ સુધીમાં અપા શેરપાએ ૧૯૯૬ અને ૨૦૦૧ને બાદ કરતા દર વર્ષે એવરેસ્ટના ઊંચા શિખરે પગ મૂક્યો હતો. ૧૯૯૨માં તો બબ્બે વખત એવરેસ્ટની સર્વોચ્ચ ચોટીએ પહોંચ્યા હતા. વચ્ચેના સમયગાળામાં ઘણા વર્ષો એવા ય હતા જેમાં અપાની ટીમે વચ્ચેથી જ પ્રવાસને પડતો મૂકવો પડયો હોય. નહીંતર આ આંકડો કદાચ હજુય મોટો હોત. છેલ્લે તો એવું થઈ ગયું હતું કે પોતે જ પોતાના પૂરાણા રેકોર્ડ્સ ધ્વસ્ત કરીને નવા આયામો સ્થાપિત કરે. જેમ કે, ૧૯૯૦થી ૧૯૯૫ સુધીમાં લગલગાટ સાત વખત એવરેસ્ટ સર કરવાનો વિક્રમ પછીથી તેમણે જ તોડયો. ૨૦૦૨થી ૨૦૧૧ દરમિયાન તે સતત ૧૦ વખત એવરેસ્ટ ઉપર પહોચ્યા હતા. એ વખતે તેમણે પોતાનો વિક્રમ જ તોડયો હતો. એ જ રીતે ૨૦૧૧માં જ્યારે ૨૧મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે ય પોતાની સામે જ સ્પર્ધા કરીને પોતે વિક્રમ નોંધાવ્યો હતો. તેમના રેકોર્ડનું મૂલ્ય એટલા માટે વધી જાય છે કે તેમણે માત્ર રેકોર્ડ નોંધાવવા માટે જ પ્રયાસો નથી કર્યા, પણ શેરપાઓને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે એમાંય તેમનો નોધપાત્ર પ્રદાન છે. હિમાલયના શિખરો પર વધી રહેલો કચરો સાફ કરવાની દરકાર પણ તેમણે કરી છે. અને હવે શેરપાઓના હકો માટે પણ તેમણે પોતાનો સ્પષ્ટ મત ખોંખારીને રજૂ કર્યો છે. જેના કારણે સરકારે પગલા ભરવાની તૈયારી દર્શાવી છે.
                                                                       * * *
'એવરેસ્ટ અને શેરપાઓના કારણે નેપાળની વિશ્વભરમાં ઓળખ છે. બીજા દેશોના લોકો માટે નેપાળ એટલે શેરપાઓનો દેશ, નેપાળ એટલે જગતનું ઉન્નત મસ્તક ધરાવતો દેશ. પરંતુ દેશમાં ખરેખર તો શેરપાઓની હાલત ગંભીર છે. જેના પર વિશ્વાસ મૂકીને દુનિયાના ખૂણે ખૂણેથી સાહસિકો નેપાળમાં આવે છે એ શેરપાઓનો દેશમાં કંઈ જ આધાર નથી. યાત્રા દરમિયાન અવારનવાર નડતા અકસ્માત પછી ન તો તેના પરિવારજનોને મોતનું સરખું વળતર મળે છે કે ન તો અન્ય સુરક્ષા કવચ. આરોહણ કરવા નીકળ્યા પછી ઘરે ન પહોંચે ત્યાં સુધી પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે. રસ્તામાં ગમે ત્યારે ગમે એવી દૂર્ઘટના બની શકે છે. હું આ દૂર્ઘટનાથી હચમચી ગયો છું. એક સાથે ૧૬ સાહસિકોના મોત થયા હોય એવું આજ સુધી બન્યું હોવાનું મને યાદ નથી. શેરપા પાસે આવકનો બીજો કોઈ જ મોટો સ્ત્રોત નથી એટલે સરકારે શેરપાની સુરક્ષા-વીમો-આરોગ્ય ઉપરાંત તેના પરિવાર વિશે પણ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.'
અપા શેરપાએ નેપાળ સરકાર સામે શેરપાઓની તરફેણમાં આવો અભિપ્રાય આપ્યો એટલે વિશ્વભરના મીડિયાએ તેની નોંધ લીધી. જેના કારણે નેપાળ સરકાર પર દબાણ વધ્યું છે. અપાના ઉદાહરણો આપતી નેપાળ સરકાર શેરપાઓ માટે ઉદાહરણીય કશુંક કરે છે કે કેમ એ જોવાનું રહેશે!
અપાએ આ વખતે શેરપાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. અગાઉ હિમાલયના શિખરો ઉપર સાહસિકો દ્વારા થઈ રહેલા કચરા માટે ય તેમણે ઝુંબેશ કરી હતી. તેઓએ પોતાની ટીમ સાથે પાંચ ટન કચરો એકઠો કરીને શિખરોની સફાઈ આદરી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે એવરેસ્ટના શિખરો પર પડતી વિપરિત અસર ખાળવા પણ તેઓ હંમેશા પ્રયત્નરત રહ્યા છે. પહેલા કામ મેળવવા સાહસ ખેડયું હતું. હવે શિખરોના પ્રેમ માટે સાહસ ખેડી રહ્યાં છે.
Sunday, 4 May 2014
Posted by Harsh Meswania
Tag :

રૂબિક્સ ક્યુબ : શોધકની જાણ બહાર સર્જાયેલી પઝલ!


વિશ્વભરમાં વિખ્યાત થયેલી રૂબિક્સ ક્યુબ પઝલની શોધને આ મહિને ૪૦ વર્ષ થયા. ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ ગણાયેલી રૂબિક્સ ક્યુબની શોધ અને તેના વ્યાપની કહાની પણ પઝલ જેટલી જ રોચક છે...

આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનનું ભણાવતો ૩૦ વર્ષનો પ્રોફેસર આર્નો રૃબિક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને ઘરેડથી ચીલો ચાતરીને નવી રીતે વાતને સમજાવવાની કોશિશ કરતો. હંગેરિયન ઈજનેર પિતા અને ચિત્રકાર-કવયિત્રી માતાના સંતાન એવા આર્નોને માતા-પિતાના કોમ્બો જેવું આર્ટિસ્ટિક અને પ્રાયોગિક દિમાગ મળ્યું હતું. જેનો ઉપયોગ તે પોતાના પ્રોફેશનમાં બરાબર કરતો હતો. એ એવું માનતો કે સિલેબસનો અભ્યાસ તો પરીક્ષા પૂરતો જ ખપમાં આવશે, પરંતુ સિલેબલ ઉપરાંતની બાબતો જો વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે દિમાગમાં ઉતારાશે તો અભ્યાસ પછી પણ જીવનભર કોઈ પણ ક્ષેત્રમાં ગૂંચવણ વખતે તરત જ તેમાંથી કંઈક રસ્તો મેળવી શકાશે.
થોડા દિવસોથી તે વિદ્યાર્થીઓને થર્ડ ડાઇમેન્શનનો ખયાલ સમજાવતો હતો. અલગ અલગ ઉદાહરણો આપીને આર્કિટેકમાં તેનું શું મહત્ત્વ છે તે સ્પષ્ટ કરવા મથતો હતો. એમાં તેણે પોતાના આર્કિટેક-આર્ટિસ્ટિક દિમાગને કામે લગાડયું. પોતાના અભ્યાસકાળ દરમિયાન તે શીખ્યો હતો કે ઓબ્જેક્ટ અને સ્પેસ એકમેકના પૂરક છે અને તેનું સંયોજન કશુંક નવુ આપી શકવા સક્ષમ છે. થોડા દિવસો સતત એ વિચાર તેના દિમાગમાં ધૂમરાયા કર્યો. અંતે એક દિવસ થર્ડ ડાઇમેન્શનને બરાબર સમજાવી શકાય એવું એક સાધન બનાવવાનો તેને વિચાર આવ્યો. કોલેજના પિરિયડને બાદ કરતા તે દિવસ અને રાત એ સાધન બનાવવા મચી પડયો. તેને એવું સમતોલ સપાટ ચોકઠું બનાવવું હતું જે બધી બાજુથી ફેરવી શકાય. આર્કિટેક હોવાના નાતે રૃબિકનો બીજો એક આશય એ હતો કે સ્થાપત્યના નિર્માણ વખતે જો કશી ગરબડ થાય તો ઈમારતને પાયામાંથી બદલવા કરતા જે ભાગ ખામીયૂક્ત છે એને હટાવીને બાકીની ઈમારતનું નિર્માણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે એ વાત પણ પોતાના આ હલનચલન થઈ શકતા નાનકડા સાધનથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય. એને ધીરે ધીરે એ પણ સમજાયુ કે વિચારને મૂર્તિમંત સ્વરૃપ આપવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ છે.
તેને પોતાના વિચાર મુજબનું લાકડાનું ચોકઠું બનાવવામાં બીજા એક મિત્રની મદદ મળી. થોડા દિવસ પછી એક એવું ચોકઠું તૈયાર કરવામાં તેને સફળતા મળી જે જાદૂઈ અસર કરતું હતું. ઉપરના કે નીચેના ભાગને ફેરવ્યા પછી ઊભી ગમે તે એક હરોળને ફેરવવી હોય તો ફેરવી શકાતી હતી. વિદ્યાર્થીઓ સામે લાકડાના રંગ વગરના એ ચોકઠાંને રજૂ કરવામાં આવ્યું. રૃબિકને જેમાં થર્ડ ડાઇમેન્શન અને ઈમારતના ક્ષતિગ્રસ્ત ભાગને અલગ કરવાની વાત દેખાતી હતી એ બાજુ પર રહી ગઈ! તેના સ્ટૂડન્ટ્સને એમાં આવું કશું જ નહોતું દેખાતું. એ બધા માટે તો આ એક જાદૂઈ પઝલ હતી, કલાકો સુધી થાક ન લાગે એવી ભરપૂર મનોરંજક ગેઇમ!
રૃબિકે સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તેણે એવી પઝલ બનાવી નાખી છે જે ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ બનવાની છે. પેઢીઓ સુધી તેની લોકપ્રિયતા અકબંધ રહેવાની છે. એટલું જ નહી, આ એક માત્ર પઝલના કારણે દુનિયા તેને અલગ માન-પાન આપશે. ત્યારે તેના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એ પઝલને નામ આપ્યુંઃ મેજિક ક્યુબ.
                                                                           * * *
ક્યુબની બનાવટ પછી જ્યારે વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેને પઝલ્સ ગણાવી ત્યારે રૃબિકને એ વાતનો અહેસાસ થયો કે થર્ડ ડાઇમેન્શનને સમજાવવા માટે જે સાધન બનાવ્યું છે એ ખરેખર તો એક પઝલ છે. પછી તેમણે ફરી વખત ક્યુબમાં થોડા ફેરફારો કર્યા અને તેને અલગ અલગ છ રંગોમાં વહેંચવાનું વિચાર્યું. એ પ્રમાણે તેમણે સફેદ, વાદળી, લીલો, લાલ, પીળો અને કેસરી રંગની મદદથી મેજિક ક્યુબની ૧૮ પટ્ટીઓ બનાવી. મેજિક ક્યુબમાં કુલ ૨૬ ચોકઠાં વાપરીને તેને પઝલ તરીકે રજૂ કરતા પહેલા રૃબિકે આ પઝલ ઉકેલવાનું કામ કરવાનું હતું. જેને પઝલ સ્વરૃપે રજૂ કરવા જઈ રહ્યા હોય અને તેનો ઉકેલ ન હોય તો એ પઝલ સફળ ન થઈ શકે એવું વિચારીને તેમણે એક મહિનાની સખત મહેનત પછી અઘરી પઝલ ઉકેલી કાઢી. હકારાત્મક પ્રતિભાવો પછી રૃબિકે ૧૯૭૫માં મેજિક ક્યુબના નામે તેની પેટર્ન રજીસ્ટર કરાવી લીધી હતી. રમકડાં બનાવતી હંગેરિયન કંપની પોલિટેકનિકા સાથે રૃબિકે કરાર કર્યા. ૧૯૭૭ના વર્ષમાં બુડાપેસ્ટની રમકડાંની દુકાનોમાં મેજિક ક્યુબને વેંચાણ માટે મૂકવામાં આવી. ધાર્યા કરતા વધુ હૂંફાળો પ્રતિસાદ મળ્યો એટલે કંપનીનો અને રૃબિકનો ઉત્સાહ બેવડાયો. ત્રણેક વર્ષમાં તો હંગેરીનું રમકડાં બજાર મેજિક ક્યુબથી ઉભરાઈ ગયું. ચોમેર મેજિક ક્યુબની બોલબાલા થવા માંડી. ત્યારે હંગેરીની વ્યાપાર નીતિ સામ્યવાદી હતી એટલે દેશની પ્રોડક્ટ બહાર મોકલી શકાય નહીં, પણ રૃબિકની આ મેજિક ક્યુબને વિદેશી માર્કેટ સર કરવાનો પરવાનો મળ્યો. ૧૯૭૯માં આઈડિયલ ટોય કંપની સાથે કરાર થયો. કંપનીએ વિદેશમાં સારો પ્રતિસાદ મેેળવવા માટે નામ બદલવાનું નક્કી કર્યું. કેમ કે, મેજિક ક્યુબ નામ જાદુ સાથે સંકળાઈ જાય તો બની શકે કે ધાર્યુ નિશાન પાર ન પણ પડે એવી એક દહેશત હતી. અંતે ઘણા બધા નામો વિચાર્યા પછી શોધકનું નામ પણ આવી જતું હોય એ રીતે 'રૃબિક્સ ક્યુબ' નામ અપાયું. રૃબિક્સ ક્યુબને વિશ્વભરમાં ફેલાવવાનો શ્રેય વળી એક બીજા ઉદ્યોગ સાહસિક ટોમ ક્રિમરને જાય છે. ટોમના મતે આ ક્યુબ ૨૦મી સદીનું ક્લાસિક રમકડું હતું અને એને સફળતા ન મળવાનો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. ટોમની વાત ખરેખર સાચી પણ હતી. ૧૯૮૨નું વર્ષ પૂરુ થયું ત્યારે વિદેશી માર્કેટના વેંચાણનું રિઝલ્ટ હતું-૧૦ કરોડ નકલ. કોઈ પઝલ વિશ્વ વ્યાપી બને એના બે જ વર્ષમાં તેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે ખરી? રૃબિક્સ ક્યુબની વાત થતી હોય તો આ સવાલનો જવાબ 'હા'માં આપવો રહ્યો. ૧૯૮૨માં પ્રથમ વખત રૃબિક્સ ક્યુબની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને રૃબિક્સ ક્યુબના વેચાણ જેટલી જ ધારી સફળતા મળી હતી. 
                                                                        * * *
'જો તમે જીજ્ઞાાસુ હશો તો તમારી આસપાસ ઘણી બધી પઝલ્સને શોધી શકશો, પણ જો તમે અદમ્ય ઈચ્છા શક્તિ ધરાવતા હશો તો પઝલ્સ શોધવાની સાથે સાથે તેના ઉકેલ સુધી પણ પહોંચી શકશો. પઝલ્સ અને તેના ઉકેલ સુધી પહોંચવાની જીજ્ઞાાસા જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલી વખતે નિર્ણયો લેવામાં અવશ્ય કામ આવે છે' પઝલ્સ સાથે જીવનની સરખામણી કરતા આ શબ્દો છે મેજિક ક્યુબના શોધક અને એક સમયે આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનિંગના પ્રોફેસર રહેલા આર્નો રૃબિકના. ૭૦ વર્ષના થવા આવેલા આર્નો હવે પ્રોફેસર નથી. તેમની આજની ઓળખ પઝલ્સ ડિઝાઇનર તરીકેની છે. જોકે, એને માત્ર પઝલ્સ ડિઝાઇનર કહેવા એ પણ આમ તો તેમની અધુરી ઓળખ લેખાશે. તેઓ બ્રિટનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેસ્ટિવલના એડવાઇઝર છે. તેમણે હંગેરિયન એન્જિનિયરિંગ એકેડમીનું પ્રમુખ પદ પણ શોભાવ્યુ છે. ગેઇમ્સ અને પઝલ્સના એક સામયિકના એડિટરની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. વીડિયો ગેઇમ્સ ક્રિએટ કરવાનું કામ તેઓ હવે વધુ કરે છે, પરંતુ આજેય તેમને રૃબિક્સ ક્યુબના શોધક તરીકે જ ઓળખવામાં આવે છે. રૃબિક્સ ક્યુબ એ આજ પર્યન્ત રૃબિકનું શ્રેષ્ઠ સર્જન બની રહ્યું છે.
રોબિક્સ ક્યુબના રેકોર્ડ્સ ૧૯ સેકન્ડથી ૫.૫૫!
૧૯૮૨માં યોજાયેલી ચેમ્પિયનશીપમાં જર્મનીના રોનાલ્ડ બ્રિકમેને માત્ર ૧૯ સેકન્ડમાં રોબિક્સ ક્યુબને ઉકેલીને નવો કિર્તીમાન સ્થાપિત કરી દીધો હતો. જોકે, એ જ વર્ષે બીજા એક ખેલાડી રોબર્ટ પેર્ગલે ૧૭ સેકન્ડમાં ઉકેલ લાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ રેકોર્ડ પછી ૨૦મી સદીના અંત સુધી અકબંધ રહ્યો હતો. ૨૦૦૩માં ફરીથી રોબિક્સ ક્યુબની પઝલ ઓછામાં ઓછી ચાલ અને ઓછી ઝડપે તોડવાના વિક્રમો સતત તૂટતા ગયા. અત્યારે આ વિક્રમ નેધરલેન્ડના મેલ્ટ્સ વોલ્કના નામે નોંધાયેલો છે. પણ ક્રિકેટમાં જે સ્થાન સચિનનું એવું જ સ્થાન રોબિક્સ ક્યુબની સ્પર્ધાઓમાં ઓસ્ટ્રેલિયાના ફેલિક્સ ઝેમ્બડેગ્સનું છે. ફેલિક્સે પોતાના જ વિક્રમો સતત છ વાર તોડયા છે. તેનો છેલ્લો વિક્રમ ૫.૬૬ સેકન્ડનો છે. એ રેકોર્ડ તેમણે ૨૦૧૧ના મેલબોર્ન વિન્ટર ઓપન વખતે કર્યો હતો. ૨૪ કલાકમાં રૃબિક્સ ક્યુબની કેટલી પઝલ્સ ઉકેલી શકાય? આનો જવાબ છે ૪૭૮૬. હંગેરીનો મિલાન બેટિક્સ ૨૦૦૮માં ૨૪ કલાક સુધી સતત ક્યુબ ઉકેલતો રહ્યો હતો અને છેલ્લે ગણતરી કરી ત્યારે આ આંકડો બહુ વિશાળ હતો.

ફિલ્મ સ્ટાર્સ અને રોબિક્સ ક્યુબ
હોલિવૂડ-બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં રોબિક્સ ક્યુબ પઝલ બતાવવામાં આવી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા ય છે જે ફિલ્મમાં જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ રોબિક્સ ક્યુબના ફેન હોય. આવું જ એક નામ એટલે આમિર ખાન. આમિરે એક વખત દાવો કર્યો હતો કે તે માત્ર ૨૮ સેકન્ડમાં જ પઝલ ઉકેલી શકે છે. એ પણ ક્યુબ સામે જોયા વગર જ! આમિરે ૧૬ વર્ષની વયે રોબિક્સ ક્યુબના વિશ્વ ચેમ્પિયન બનવાનું શમણું પણ જોયું હતું. આવા જ બીજા કલાકારો એટલે વિલ સ્મિથ અને જેક બ્લેક. તો યંગસ્ટર્સમાં લોકપ્રિય થયેલા સિંગર-ડાન્સર અને એક્ટર જસ્ટિન બીબર પણ નવરાસના સમયમાં ક્યુબ પર હાથ અજમાવે છે. નોટબૂક ફેમ કેનેડિયન એક્ટર રેયન ગોસ્લિંગે એક લાઇવ કાર્યક્રમમાં રોબિક્સ ક્યુબ પઝલ ઉકેલી આપી હતી.

Sunday, 27 April 2014
Posted by Harsh Meswania
Tag :

હરિફ અખબારને મળ્યાં છે સૌથી વધુ પુલિત્ઝર પ્રાઈઝ



આ વર્ષે ૯૮મા એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ. એક સમયે પુલિત્ઝરે જે અખબાર સામે બરાબરની સ્પર્ધા કરી હતી તે અખબારના નામે વધુ બે એવોર્ડ નોંધાયા. પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં સૌથી વધુ પ્રાઇઝ પુલિત્ઝરના હરિફ અખબારના નામે નોંધાયેલા છે.

એપ્રિલ ૧૯૯૫ની આ વાત છે. ન્યુ યોર્કની એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાં જોસેફ પુલિત્ઝર પોતાનો સામાન પેક કરી રહ્યાં છે. લેપટોપ, જરૃરી દસ્તાવેજ સહિતની બધી વસ્તુઓ બેગમાં મૂકીને તે ફરી એક વાર આખી ઓફિસને નિહાળે છે. ખાસ તો સામેની દિવાલમાં રાખવામાં આવેલી જોસેફ પુલિત્ઝરની આદમ કદની તસવીરને તે કેટલીય વાર સુધી તાકી રહે છે.  તેઓ ધીમે પગલે ઓફિસમાંથી બહાર નીકળે છે. પાછળ દરવાજો બંધ થયાનો અવાજ તેમને સંભળાય છે. એ સાથે જ તેમને એ વાત સમજાય ગઈ હતી કે હવે પત્રકારત્વમાં હંમેશા માટે તેમનો દરવાજો બંધ થઈ રહ્યો છે.

નીચે ઉતરીને તેઓ બિલ્ડિંગને થોડી વાર માટે જોઈ રહે છે. ત્યાર બાદ કારને ઘર તરફ હંકારી મૂકે છે. આ સાથે જ કારની ઝડપ કરતા અનેક ગણી ઝડપે તેમના દિમાગમાં વિચોરો ઘૂમરાવા લાગે છે. જાણે ૧૨૫ વર્ષનો ઈતિહાસ ફિલ્મની રીલની જેમ સામેથી પસાર થતો હોય એવું ય તેમને લાગે છે. પરિવારના અન્ય સભ્યો પાસેથી સાંભળેલી પરિવાર વિશેની એકાદ સૈકા પહેલાની વાતો તેમને યાદ આવવા લાગે છે. મીડિયામાં પુલિત્ઝરનો કેવો દબદબો હતો એના તો કેટલાય કિસ્સા તેમણે સાંભળ્યા હતા. હરિફોને હંફાવવા માટે જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વમાં ઘણા બધા નવા નવા પ્રયોગો કર્યા હતા. સંશોધનાત્મક પત્રકારત્વ, કોમિકથી લઈને કલર પ્રિન્ટિંગ સુધીનું કેટલું બધુ પુલિત્ઝરની પહેલને કારણે થયું હતું. તેમને એકાએક પુલિત્ઝરે ૧૮૭૨માં કરેલી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ની ડિલ યાદ આવી ગઈ. એ જ સેન્ટ લુઇસ પોસ્ટનેે પોતે બચાવી ન શક્યો એની ઉદાસી ફરી તેમના ચહેરા પર છવાઈ ગઈ. પરિવારની ૧૨૫ વર્ષની ઉજ્જવળ સિદ્ધિ પોતાનાથી અટકી જવાની છે એ વિચાર માત્ર તેમને અકળાવી જતો હતો. જોસેફ પુલિત્ઝરથી શરૃ થયેલી પરંપરા જોસેફ પુલિત્ઝર સુધી આવીને અટકી ગઈ એનો તેમને ભારોભાર ખેદ હતો.
                                                                     * * *
પોતાના પરિવારની મિલ્કત એવા અખબારી હકો ન સાચવી શકવાનો વસવસો વ્યક્ત કરનારા જોસેફ પુલિત્ઝર (તેઓ જોય પુલિત્ઝર તરીકે વધુ જાણીતા છે) એટલે પુલિત્ઝર પ્રાઇઝ જેમના નામે ચાલે છે એ જોસેફ પુલિત્ઝરના પ્રપૌત્ર. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ને ખરીદ્યાના એક દશકા બાદ તેમણે 'ન્યુ યોર્ક વર્લ્ડ' ખરીદ્યું હતું. જેના દ્વારા જોસેફ પુલિત્ઝરે અમેરિકી અખબાર જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. વાર્ષિક ૪૦,૦૦૦ ડોલરની ખોટમાં ચાલી રહેલા અખબારને ખરીદીને તેનું સરક્યુલેશન ૧૫,૦૦૦થી વધારીને ૬ લાખ સુધી લઈ જવાનું મુશ્કેલ કામ પુલિત્ઝરની આગવી અખબારી કુનેહને કારણે શક્ય બન્યું હતું. જેને ખરીદીને જોસેફ પુલિત્ઝરે અખબારી આલમમાં પગપેસારો કર્યો હતો તે અખબાર 'સેન્ટ લુઇસ પોસ્ટ'ના માલિકી હકો ૧૯૯૫માં પુલિત્ઝર પરિવાર પાસેથી વેંચાઈ ગયા ત્યારે પુલિત્ઝરના પ્રપૌત્ર જોસેફ પુલિત્ઝર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેમની અનિચ્છા છતાં અન્ય ડિરેક્ટર્સે કંપની લી એન્ટરપ્રાઇઝને વેંચી દીધી અને જોસેફ મૂક પ્રેક્ષક બની રહ્યા. આ ઘટનાનેે બે દશકા જેટલો સમય પસાર થયો હોવા છતાં આજે પણ જોયને એ વાતનું દુઃખ છે કે તે પોતાના પરિવારનો ઉજ્જળ ઈતિહાસ પોતાની પાસે ન રાખી શક્યા.
                                                                     * * *
જોસેફ પુલિત્ઝર- પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો માટે આ નામ જરા પણ અજાણ્યુ નથી. અમેરિકાના પત્રકારત્વ ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી નામ એટલે જોસેફ પુલિત્ઝર. જેમના પ્રયત્નો થકી પત્રકારત્વના અભ્યાસની શરૃઆત થઈ હતી એ જોસેફ પુલિત્ઝરની પત્રકારત્વમાં આગવી શાખ છે. પ્રકાશક-પત્રકાર અને વકીલ ઉપરાંત તેઓ એક ગણનાપાત્ર રાજનેતા પણ હતા. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી અને ઉજ્જળ હતી, પરંતુ તેમની ઓળખ તો ત્યારેય એક જર્નલિસ્ટ તરીકેની હતી અને આજેય તેમને પત્રકારત્વ ક્ષેત્રે આપેલા પ્રદાનના કારણે જ વધુ યાદ કરાય છે.
જોસેફ પુલિત્ઝરે કોલંબિયા યુનિવર્સિટીને ૧૮૯૨માં અનુદાન આપીને પત્રકારત્વની એક કોલેજ શરૃ કરવા જણાવ્યું હતું. વળી, પત્રકારત્વ ક્ષેત્રે અમિટ છાપ છોડતા અખબારો-પત્રકારો-કટાર લેખકો અને તંત્રીઓનું સન્માન થાય એ માટે એક પ્રાઇઝ આપવું જોઈએ અને એ માટે ય પૈસા તેમણે આપવાની તૈયારી બતાવી હતી. જોકે, કોલંબિયા યુનિવર્સિટીએ બે દશકા સુધી એ કામ ન કર્યું. જોસેફ પુલિત્ઝરે પોતાના વિલમાં યુનિવર્સિટીને ૨૦ લાખ ડોલરનું અનુદાન આપ્યું હતું. અંતે પુલિત્ઝરના નિધન પછી છેક ૧૯૧૨માં કોલંબિયા યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ જર્નલિઝમની શરૃઆત કરી હતી. પાંચ વર્ષ પછી ૧૯૧૭માં પત્રકારત્વ ક્ષેત્રે આગવી ભાત પાડતા કામની કદરરૃપે પુલિત્ઝર પ્રાઇઝ આપવાનું શરૃ થયું.
આજે આ એવોર્ડ ૨૧ કેટેગરીમાં એનાયત થાય છે. વિશ્વભરમાંથી ત્રણેક હજાર એન્ટ્રી મળે છે એમાંથી શોર્ટ લિસ્ટ થયા પછી અંતે જ્યુરી મેમ્બર્સ દરેક કેટેગરીમાં ત્રણ-ત્રણ ફાઇનાલિસ્ટ જાહેર કરે છે. જેમાંથી બોર્ડના ૨૦ સભ્યો વોટિંગ પદ્ધતિથી વિજેતા જાહેર કરે છે. એકદ-દોકલ વિવાદોને બાદ કરતા પત્રકારત્વ ક્ષેત્રે મળતા આ એવોર્ડને આજેય સર્વોપરી માનવામાં આવે છે. પબ્લિક સર્વિસ માટેનો એવોર્ડ અખબારને આપવામાં આવે છે અને એના માટે સૌથી મોટા પુરસ્કાર સ્વરૃપે ગોલ્ડ મેડલ એનાયત થાય છે. એ સિવાય ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ, નેશનલ રિપોર્ટિંગ, ઈન્ટરનેશનલ રિપોર્ટિંગ, એડિટોરિયલ રાઇટિંગ, લોકલ રિપોર્ટિંગ, બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી, ફિચર ફોટોગ્રાફી જેવું સન્માન મેળવવું એ અખબાર જગતમાં કામ કરતા દરેક માટે એક ગૌરવ ગણાય છે.
વિશ્વમાં ક્યાંય પણ કોઈ મોટા અખબારની ઓળખ તેના ફેલાવા ઉપરાંત પુલિત્ઝર પ્રાઇઝની સંખ્યાના આધારે થાય છે એ બાબત જ તેનું મહત્ત્વ પ્રસ્થાપિત કરી દે છે. પુલિત્ઝરનું એ સમયે સૌથી વધુ ફેલાવો અને લોકપ્રિયતા ધરાવતું અખબાર 'ન્યુ યોર્ક વર્લ્ડ'ને જેની સાથે સૌથી વધારે કટ્ટર સ્પર્ધા હતી એ 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ'ને પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં અલગ અલગ કેટેગરીના સૌથી વધુ ૧૧૨ પુલિત્ઝર મળ્યા છે. ત્યાર પછીના ક્રમે વોશિંગ્ટન પોસ્ટનું નામ આવે છે. વોશિગ્ટન પોસ્ટને ૪૭ પુલિત્ઝર પ્રાઇઝ મળ્યા છે. હરિફ અખબાર માટે પણ પૂર્વગ્રહ ન રાખે એ પુરસ્કાર વિશ્વમાં પ્રતિષ્ઠિત ન ગણાતો હોય તો જ નવાઈ!

ભારત અને પુલિત્ઝર પ્રાઇઝ
આ વખતે પુલિત્ઝર પ્રાઇઝ વિજેતાના લિસ્ટમાં એક નામ છે- વિજય સેષાદ્રી. બેંગ્લુરુમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા વિજય સેષાદ્રીને તેમના કાવ્યસંગ્રહ માટે પોએટ્રી કેટેગરીમાં વિજેતા જાહેર કરાયા છે. આ અગાઉ ચાર ભારતીયોના નામે પુલિત્ઝર નોંધાયેલા છે. સૌથી પહેલા ભારતીય એટલે ગોવિંદ બિહારીલાલ. અમેરિકા અભ્યાસ માટે ગયેલા ગોવિંદ સેનફ્રાન્સિસકો એક્ઝામિનરમાં સાયન્સ એડિટર બન્યા હતા. અમેરિકામાં સ્થાઈ થયેલા ગોવિંગ બિહારીલાલને ૧૯૩૭માં જર્નલિઝમ માટે પુલિત્ઝર અપાયો હતો. ઈન્ડિયન-અમેરિકન ઝુંપા લહેરીને ૨૦૦૦માં ફિક્શન કેટેગરીનો પુલિત્ઝર મળ્યો હતો. ભારતીય મૂળની જર્નલિસ્ટ ગીતા આનંદને ૨૦૦૩માં તેમના કામ માટે પુલિત્ઝર મળ્યું હતું. છેલ્લે ભારતીય મૂળના કેન્સર ફિજિશ્યન અને સંશોધક સિદ્ધાર્થ મુખર્જીને કેન્સર પરના તેમના એક પુસ્તક માટે ૨૦૧૧માં નોન ફિક્શન કેટેગરીમાં પુલિત્ઝર મળ્યો હતો.
Sunday, 20 April 2014
Posted by Harsh Meswania
Tag :

ગ્લેન ફોર્ડઃ મને કોઈ કહેશે, મેં શા માટે ૩૦ વર્ષ જેલમાં કાઢ્યા?


ક્યારેય ન કરેલા ગુના માટે આરોપીએ સજા ભોગવી લીધા પછી રિઓપન થયેલા કેસમાં કોર્ટે તેનો નિર્દોષ છૂટકારો કર્યો. આરોપીને આજીવન કારાવાસ થયો ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી. થોડા દિવસ પહેલા નિર્દોષ છૂટયો ત્યારે તે જીવનના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો હતો...

તેમાની નહોતો શકતો કે આજે તે ખરેખર મૂક્ત થઈ ગયો છે. હાઈ વે પરની એક રેસ્ટોરન્ટના પાર્કિગ ઝોનમાં તેની કાર આવીને ઊભી રહી. સાથે એક બે દોસ્તો ઉપરાંત તેનો વકીલ પણ હતો. આમ તો તેને ખૂલ્લી હવાની લહેરખીનો આનંદ માણવાની બહુ ઈચ્છા થતી હતી પણ અત્યારે તો સખત ભૂખ લાગી હોવાથી પહેલા કંઈક ખાવું છે એવું તેણે ત્યાંથી નીકળતી વખતે જ મિત્રોને કહી રાખ્યું હતું. કારમાંથી બાકીના બધા બહાર નીકળ્યા, પરંતુ તે ક્યાંય સુધી એમ જ બેસી રહ્યો. તેના બહાર નીકળવાની રાહ જોતા મિત્રોમાંથી એક જણે આવીને તેને ઢંઢોળ્યો ત્યારે તેને ભાન થયું કે તે મૂક્ત છે અને કોઈના ય હુકમ વગર પોતાની મેળે જીંદગી જીવી શકે છે. તેના કાન છેલ્લા ૩૦-૩૦ વર્ષથી સતત હુકમ સાંભળવા એવા તો ટેવાઈ ગયા હતા કે હવે તેને પોતાની મેળે કશું કરી શકાય એની કલ્પના પણ વધારે પડતી લાગતી હતી. તેનું શરીર આજ્ઞાા અને સૂચના મુજબ જ કામ કરી શકે છે એવું તેને લાગ્યું.
તે કારનો દરવાજો ખોલીને બહાર આવ્યો. જમવાનું આવ્યું ત્યાં સુધી બધાએ તેનું મન હળવું કરવા દેશ-દુનિયાની આડાઅવળી વાતો કરી. ડિસમાં મૂકાયેલા ફૂડમાંથી મેટલની ચમચી વડે તેણે પ્રથમ કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેણે છેલ્લે મેટલની ચમચીથી લગભગ ૩૦ વર્ષ પહેલા ખાધું હતું. એ સાથે જ ફરીથી તેના માનસપટ પર ભૂતકાળ તાજો થઈ ગયો. અત્યારે તે હોટેલમાં બેઠો હોવા છતાં તેનું ૬૪ વર્ષનું શરીર કૂદકો લગાવીને જાણે ૫ નવેમ્બર, ૧૯૮૩ના એ દિવસમાં પહોંચી ગયું. તેને લાગ્યું કે તેની સાથે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકોનો અવાજ એકાએક ધીમો થઈ ગયો છે અને પેલા પોલીસ અધિકારીનો કરડાકીભર્યો અવાજ તેના કાનમાં મોટેથી ગૂંજવા લાગ્યો છે...'અમને તો શંકા છે કે તેં જ એમને.....'
                                                                      * * *
'...પણ એવું તો બની જ કેવી રીતે શકે?' તેણે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો હોય એમ ધીમેકથી બબડયો. ઉતાવળા ડગલા ભરતો આવીને તે સીધો જ પોલીસ સ્ટેશનમાં અંદર ધસી ગયો. 'એક્સક્યુઝ મી સર! એમની સાથે આવું શી રીતે બન્યું અને કોણે કર્યું? આ બાબતે મને શું કામ બોલાવાયો છે?' તેણે હાજર પોલીસ અધિકારી સામે આશાભરી નજરે પ્રશ્ન કર્યો
'તું આટલા દિવસથી ક્યાં હતો? અમે તને જ શોધતા હતા' હાજર પોલીસ અધિકારીએ તેના તરફ સંદેહભરી નજરે જોયું.
'હું...હું... કેટલાક દિવસથી દૂરના વિસ્તારમાં કામ કરું છું અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું છે' તેણે થોથવાતા અવાજમાં જવાબ વાળ્યો. તેના ચહેરા પરની રેખાઓ અકારણ તંગ બની ગયેલી પોલીસ અધિકારીએ અનુભવી.
'કેટલા દિવસથી બહાર કામ કરે છે? તને આ ઘટનાની જાણ કઈ રીતે થઈ? તું એમને કેવી રીતે ઓળખતો હતો?' પોલીસ અધિકારીએ એક સામટા સવાલો કરીને તેને ગૂંચવી નાખ્યો.
'હું તેમને ત્યાં ક્યારેક ક્યારેક કામ કરતો હતો. એમને કામદારની જરૃર હોય અને મારી પાસે કામ ન હોય તો હું ઘણા દિવસો સુધી એમને ત્યાં કામ કરતો હતો' તેને સમજાતું નહોતું કે પોલીસ અધિકારીના કયા સવાલનો જવાબ કેવી રીતે આપવો. જે યાદ આવ્યું એ ઉત્તર વાળી દીધો.
'તું છેલ્લે એમને ક્યારે મળ્યો હતો?' પોલીસ અધિકારીએ નવો સવાલ કર્યો.
'છેલ્લે મેં એમને જોયા એને તો ઘણા દિવસો થઈ ગયા. હું એમને ક્યારે મળ્યો હતો એ મને ચોક્કસ યાદ નથી આવતું' જવાબ આપતી વખતે ય તેના મનમાં વિચાર ચાલતા હતા કે આ આખા મામલામાં પોલીસે તેને અહીં શું કામ બોલાવ્યો હશે?
'તો તારે યાદ કરવું પડશે? યાદ નથી એમ કહીને તું છટકી નહીં શકે' પોલીસ અધિકારીનો અવાજ થોડો મોટો અને સત્તાવાહી થયો.
'સર મારો વિશ્વાસ કરો! મને ખરેખર એ યાદ નથી કે હું એમને કેટલા દિવસ પહેલા મળ્યો હતો.' તેણે નરમાશથી પોલીસ ઓફિસરને ભરોસો અપાવવાની કોશિશ કરી.
'અમને તો શંકા છે કે તેં જ એમને.....' પોલીસ અધિકારી વાક્યને અધૂરું મૂકીને તેના ચહેરાને તાકી રહ્યાં.
'સ....ર...હું....એમને..કેવી...રીતે...' એ ફાટી આંખે પોલીસ અધિકારી સામે જોઈને તૂટક તૂટક શબ્દોમાં માંડ આટલું બોલી શક્યો.
'આમને આપણા મહેમાન બનાવો અને સારી રીતે ખાતિરદારી કરો' પોલીસ અધિકારીનો હુકમ છૂટયો અને એ સાથે જ બે પોલીસમેન તેને બાવડેથી ઝાલીને અંદર લઈ ગયા.
                                                                        * * *
૧૯૮૩માં લ્યુસિયાનાના શ્રેવપોર્ટમાં ઈસાડોર રોઝમેન નામના એક જ્વેલરીની હત્યા થઈ હતી. મહિનાઓ પછી હત્યાના ત્રણ કહેવાતા સાક્ષીઓ જેક અને હેનરી રોબિન્સન નામના બે ભાઈઓ અને જેકની ગર્લફ્રેન્ડ માર્વેલા બ્રાઉનના બયાનના આધારે પોલીસે ગ્લેન ફોર્ડને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન જારી કર્યું હતું. હત્યા સમયે ઘટના સ્થળેથી જોજનો દૂર કામ કરી રહેલો ગ્લેન ફોર્ડ પહેલા ઈસાડોરને ત્યાં કામ કરતો હતો. પોલીસનું તેડું આવ્યા પછી હાજર થયેલા ફોર્ડને પોલીસે એ જ સમયે અંદર કરી દીધો હતો. શંકા અને સાક્ષીઓના આધારે ૧૯૮૪માં લ્યુસિયાની કોર્ટે તેને મૃત્યુદંડની સજા આપી હતી. પછી ફોર્ડના વકીલની અરજી ગ્રાહ્ય રાખીને તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે, આરોપી ફોર્ડે ક્યારેય પોતાનો ગુનો કબૂલ કર્યો નહોતો.
છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકામાં આવા શંકાસ્પદ કેસને રિઓપન કરવાની ઝુંબેશ ચાલે છે એના ભાગરૃપે જ ફોર્ડની ફાઇલ પણ રિઓપન થઈ હતી. ૨૦૦૯માં ફરીથી આખા કેસનું બારિકાઈથી નિરિક્ષણ કરતા વકીલો પણ ચૌંકી ગયા હતા કે સાવ સ્પષ્ટ વાત હોવા છતાં ફોર્ડને સજા જ કેવી રીતે થઈ! સાક્ષીઓ પોતે જ શંકાના દાયરામાં હતા. એક પણ રીતે ફોર્ડે ગુનો કબૂલ નહોતો કર્યો. જે તે વખતે આ ઘટના માટે વપરાયેલા હથિયારો અને એ સમયે શંકાસ્પદ રીતે ઘટના સ્થળે કહેવાતી ફોર્ડની હાજરી વિશેના એક્સપર્ટના રિપોર્ટ્સ પણ એક તરફી હતા. પોલીસે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ સુદ્ધાં આરોપનામામાં જોડયો નહોતો. રિઓપન થયેલા કેસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે શ્વેત ન્યાયધીશોએ અશ્વેત ફોર્ડને પૂર્વગ્રહ રાખીને તેમ જ રોબિન્સન બ્રધર્સ સાથે સાંઠગાંઠ કરીને અપૂરતા પૂરાવાઓ હોવા છતાં તે સમયે મૃત્યુદંડ આપ્યો હતો. આ વાત સાબિત થયા પછી સફાયા જાગેલા ન્યાયતંત્રએ ફોર્ટને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો.
ફોર્ડ છેલ્લા ૩૦ વર્ષથી અંગોલા જેલમાં હતો. એમાં ય સાતેક વર્ષથી તો તે એકાંતવાસમાં જ રહેતો હતો. તેને નાનકડી કોટડી ફાળવી દેવામાં આવી હતી. તે દિવસ અને રાત એમાં જ પડયો રહેતો. એકલા રહેવાની આદત કેળવી ચૂકેલા ફોર્ડને આશા નહોતી કે તેને આમ અચાનક મૂક્ત કરી દેવામાં આવશે અને એ પણ નિર્દોષ. ફોર્ડ શરૃઆતમાં નિર્દોષ હોવાનું રટણ કર્યા રાખ્યું હતું, પરંતુ ત્યારે તેને સાંભળનારું કોઈ નહોતું. આજે હવે તેને આઝાદીનો શ્વાસ પણ અકળાવે છે. અચાનક આવી પડેલી મૂક્તિથી તે ચિંતિત છે. કેમ કે, હવે તેનું પહેલું કામ નોકરી મેળવવાનું અને રહેવા માટે ઘર શોધવાનું છે. ઘર તો કદાચ મળી ય જશે. પણ તેને અકળાવી જતો વિચાર એ છે કે જ્યાં કામ કરતો હતો એ માલિકની હત્યાના ગુનામાં ૩૦ વર્ષ જેલમાં કાપ્યા હોય એ માણસને નોકરીએ રાખશે કોણ? ફોર્ડના વકીલે 'અકારણ સજા કાપી હોવાના વળતર' માટે અરજી કરી છે. અમેરિકાના કાયદા પ્રમાણે સામાન્ય રીતે આવા ઓરોપીઓને વાર્ષિક ૨૫,૦૦૦ ડોલર (૧૫ લાખ રૃપિયા જેટલી રકમ)મળતા હોય છે. એ મળશે તો ફોર્ડ ઉંમરના છેલ્લા પડાવે કરોડપતિ બની જશે, પણ તેણે જેલમાં ગાળેલા મૂલ્યવાન ૩૦ વર્ષનું વળતર એ પૈસાથી ચૂકવી શકાશે ખરું?
Sunday, 13 April 2014
Posted by Harsh Meswania
Tag :

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં...




સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ગેટ પર ગેસ્ટને વેલકમ કરવાથી લઈને ટેબલ પર ખાવાનું પીરસવા કે બારમાં ડ્રિન્ક બનાવવા સુધીનું બધુ જ કામ જોડિયા ભાઈ-બહેનો કરે છે. દુનિયામાં એવી ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ છે જે તેની આવી એકાદ વિશેષતાના કારણે વિશ્વ વિખ્યાત બની હોય

ટ્વિન્સ રેસ્ટોરન્ટઃ ઉમ્મીદ સે દુગુના

૧૯૬૪માં બનેલી એક ફિલ્મ 'કિંગ્ડમ ઓફ ક્રુક્ડ મિરર' પરથી પ્રેરણા લઈને મોસ્કોના એલેક્સી ખોડોર્કોવસ્કીએ ટ્વિન્સ રેસ્ટોરન્ટનું નિર્માણ કર્યું છે. જેમાં બધું જ કામ ટ્વિન્સને સોંપવામાં આવે છે. ટેબલ દીઠ એક જોડીને ફાળવી દેવામાં આવે છે. રેસ્ટોરન્ટનું એક પણ કામ કોઈ એકને સોંપવામાં નથી આવતું અને આ જ તેની વિશેષતા બની ગઈ છે. તેના માલિકના કહેવા પ્રમાણે ટ્વિન્સને શોધવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, પણ દેશભરમાંથી સરખા દેખાતા ટ્વિન્સને સારું વળતર આપીને પણ નોકરીએ રાખી લેવામાં આવે છે. મુલાકાતીઓ રેસ્ટોરન્ટમાં ખાવાની લિજ્જત માણવા કરતા ટ્વિન્સની અનોખી સર્વિસ જોવા-માણવા માટે વધુ આવતા હોય છે. જોકે, ટ્વિન્સની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. અમેરિકાની લીસા ગેન્ઝ અને ડેબ્બી ગેન્ઝ નામની બે જોડિયા બહેનોએ અમેરિકન અભિનેતા ટોમ બેરેન્જર સાથે મળીને ૧૯૯૪માં ન્યૂયોર્કમાં ટ્વિનર્લી નામની રેસ્ટોરન્ટ શરૃ કરી હતી. જેમાં ૩૭ ટ્વિન્સ આજેય કામ કરી રહ્યાં છે.
 પાણીની વચ્ચે ખાણીની લહેજત
હિંદ મહાસાગરમાં આવેલા દ્વિપ માલદીવના રંગાલીમાં ઈથા (જેનો મતલબ થાય છે મોતીની માળા) નામની એક અંડરવોટર રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં પાણીની વચ્ચે અને સમૃદ્રી સજીવો ઉપરથી-આજુબાજુમાંથી પસાર થતાં હોય ત્યારે ખાણીનો લુફ્ત ઉઠાવી શકાય છે. આ રેસ્ટોરન્ટ સમુદ્રની સપાટીથી ૧૬ ફીટ નીચે બનાવવામાં આવી છે. ૨૦૦૫માં નિર્માણ પામેલી આ રેસ્ટોરન્ટ ૧૬ ફીટ પહોળી અને ૩૦ ફીટ લાંબી છે.તેમાં એક સમયે ૧૪ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. તેને દુનિયાની સૌ પ્રથમ અંડરવોટર રેસ્ટોરન્ટનું સન્માન મળ્યું છે. ઈથાની સફળતાથી પોરસાઈને પછી તો ફિજી, ઈઝરાયેલ, દૂબઈ, સ્વિડન અને સ્ટોકહોમમાં પણ પાણીની અંદર ખાણીની લહેજત માણી શકાય એવી અંડરવોટર રેસ્ટોરન્ટ બની છે.
બાર્બી ડોલ ખાણું પીરસે છે!

છેલ્લા સાડા પાંચ દાયકાથી ત્રણ-ચાર પેઢીમાં સતત લોકપ્રિય રહેલી ડોલ બાર્બીની લોકપ્રિયતા અંકે કરવા હવે તો સૌ કોઈ મેદાને પડયા છે. તાઈવાનમાં આવેલી એક રેસ્ટોરન્ટ પણ આ યાદીમાં સમાવી શકાય. હોટેલ કમ રેસ્ટોરન્ટનો અંદર અને બહારનો ગુલાબી રંગ તેને આસપાસની તમામ ઈમારતોથી અલગ તારવી દે છે. અંદર પ્રવેશ્યા પછી તેમાં વધુ એક ગુલાબી રંગ ઉમેરાય છે. બાર્બીના કટ આઉટ સાથેનું મેનુ કાર્ડ અને તે આપવા આવનારી ગર્લ પણ એ જ રંગના બાર્બીના લિબાસમાં સજ્જ હોય છે. તાઇવાનના આ બાર્બી કેફેનો આ હંમેશનો દેખાવ છે. ઊંચા દામ આપીને યુવતીઓને રેસ્ટોરન્ટમાં કામ આપવામાં આવે ત્યારે બાર્બી બનીને કામ કરવું એ તેની પ્રથમ શરત હોય છે.
સદ્ધર લોકો માટેની અદ્ધર રેસ્ટોરન્ટ
૧૬૦ ફીટ હવામાં અદ્ધર રહીને ભોજન લેવાનું સાહસ અને સગવડ હોય તો અમેરિકાની ડિનર વિથ સ્કાય એે સ્વપ્ન પૂરું કરે છે. ૨૨ લોકો એક સાથે બેસીને ભોજન લઈ શકે એ માટે ૨૦ ફીટ લાંબું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. અમેરિકાના અવકાશમાં આ પ્લેટફોર્મને ઉપર પહોંચાડયા પછી ભોજન પીરસવામાં આવે છે. ૨૨ મહેમાનો માટે ૮ સભ્યો બધી વ્યવસ્થાનો ઈંતઝામ કરે છે. જોકે, અવકાશમાં ભોજનનો આસ્વાદ માણવા નીકળેલા મોટાભાગના લોકો એટલી ઊંચાઈ પર ગયા પછી ખૂલ્લા પ્લેટફોર્મના કારણે ડરથી ભોજન લેવાનું જ માંડી વાળતા હોય છે. ભોજન માટે ૧૬૦ ફીટની ઊંચાઈએ ગયા પછી લગભગ ૮૦ ટકા લોકો જમ્યા વગર જ પાછા આવે છે!
સિક્રેટ એજન્ટ જ ભોજન મેળવી શકે!

અમેરિકન શહેર મિલવૌકીમાં સેફ હાઉસ નામે થોડી અલગ રેસ્ટોરન્ટ છે. એ એવી રેસ્ટોરન્ટ છે કે જેમાં પૂરતા નાણા ચૂકવ્યા હોવા છતાં પણ જો સિક્રેટ એજન્ટની જેમ કુશળતા બતાવીએ તો ભૂખ્યા પેટે પાછા ઘરે આવવું પડે. રેસ્ટોરન્ટનો દરવાજો ઓપન કરવાથી લઈને ટેબલ સુધી પહોંચવા માટે આખું સિક્રેટ મિશન પાર પાડવું પડે છે. દિમાગ પર જોર લગાવીને જાત-ભાતની પહેલી ઉકેલવી પડે છે. ઘણા લોકો મગજને કસવા માટે નિયમિત આ રેસ્ટોરન્ટની મુલાકાત કરતા રહે છે. અગાઉથી બુકિંગ કરાવ્યા પછી જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટના દરવાજા પાસે પહોંચે કે તરત તેના દિમાગની કસરત શરૃ થઈ જાય છે. ટેબલ સુધી પહોંચી જાય તો તેને ખાવાનું મળે છે. જો ન પહોંચે તો તેની પાસે ભૂખ્યા પેટે ઘરે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી હોતો.
જાદુગરો ખાવાનું પીરસે તો?
ન્યુયોર્કની ટ્રિબેકા રેસ્ટોરન્ટમાં ભોજન સાથે મેજિકનો આનંદ પણ ઉઠાવી શકાય છે. પીરસનારા બધાને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકને આશ્વર્ય થાય એવા મેજિકની સાથે ઓર્ડર મુજબનું ખાવા-પીવાનું મળે છે. ઘણી વખત ભયનું લખલખું પસાર થઈ જાય એવા જાદૂના ખેલ પણ ટેબલ પર ક્રિએટ કરવામાં આવે છે. ભોજનની ઉપર આગના ગોળા દેખાવા લાગે કે પાણીના ગ્લાસમાં અચાનક ઉપરથી પાણી ટપકે એ વાતની અહીં કોઈ નવાઈ નથી. જમવાનું પૂરું થાય એ પહેલા તો કંઈ કેટલું બધુ અણધાર્યું બની ચૂક્યું હોય છે એ જ આ રેસ્ટોરન્ટની ખાસિયત છે.
મંગળ ગ્રહ ઉપર ભોજન લેવું હોય તો....
મંગળ મિશનની થિમ પર ન્યુયોર્કમાં રેસ્ટોરન્ટ બનાવાઈ છે. મંગળ પર રહેતા માનવીઓની કલ્પના પરથી વેઇટર્સનો લિબાસ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને પ્લેટ સુધીનું બધુ જ મંગળ ગ્રહ પર હોય એની કલ્પનામાંથી વિકસાવાયું છે. મંગળ ગ્રહ પર ગયેલો માણસ જો ભૂખ્યો થયો હોય તો તેને મંગળવાસી કેવી રીતે માર્ગદર્શન આપે એ બાબતને નાટયાત્મક રીતે વણી લેવામાં આવી છે. સામાન્ય કરતા અલગ રીતે ઉચ્ચારો કરતા વેઇટર્સ મંગળ ગ્રહનું વાતાવરણ ક્રિએટ કરે છે.
થોડી વધુ વિચિત્ર રેસ્ટોરન્ટ!
નરભક્ષી રેસ્ટોરન્ટ. ન માનવામાં આવે એવા નામની જાપાન સ્થિત આ રેસ્ટોરન્ટમાં સ્ત્રીના શરીરના આકારમાં જાપાની ફૂડ પીરસવામાં આવે છે. એક પછી એક ભાગને ખાવાનું શરૃ થાય એટલે હ્યુમન બોડીમાંથી જે રીતે લોહી નીકળે એ રીતે જ સ્ત્રીના આકારની ફૂડ પ્લેટમાંથી રક્ત વહેવા લાગે છે. આવી જ બીજી વિચિત્ર રેસ્ટોરન્ટ તાઇવાનમાં આવેલી છે. હોસ્પિટલની થિમમાં બનેલી ડિનર ઈન અ હોસ્પિટલ નામની રેસ્ટોરન્ટમાં સુંદર યુવતીઓ નર્સના વેશમાં જમવાનું પીરસી જાય છે. હોસ્પિટલમાં હોય એવા સાધનોનો ઉપયોગ પીરસતી વખતે કરવામાં આવે છે. તાઇવાનમાં જ ટોઇલેટ રેસ્ટોરન્ટ પણ બની છે. બેસવા માટે ટોઇલેટસીટ જેવા આકારની બેઠક વ્યવસ્થા છે. એટલું જ નહીં, ખાવાનું પણ ટોઇલેટસીટ જેવા આકારની પ્લેટમાં જ આપવામાં આવે છે. વિશાળ બાથરૃમ જેવા આકારની આ રેસ્ટોરન્ટ તાઇવાનમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. એમ તો આ યાદીમાં ચીનની ડાર્ક રેસ્ટોરન્ટને પણ સમાવી શકાય. રેસ્ટોરન્ટના મુલાકાતીને અંધારિયા ઓરડામાં આંગળી પકડીને દોરી જવામાં આવે છે. ઘડિયાળ, મોબાઇલ ફોન વગેરે તો અગાઉથી લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ સરપ્રાઇઝ ફૂડ પીરસાય છે. ફૂડની સોડમ અને સ્વાદથી જ તેની ઓળખ કરવી પડે છે. એ રીતે ફૂડને ન ઓળખી શકનારા ઘણા મુલાકાતીઓને એ જ ખબર નથી હોતી કે તેને શું પીરસવામાં આવ્યું હતું!
Sunday, 6 April 2014
Posted by Harsh Meswania
Tag :

મારી ભિક્ષુક થવાની કહાની કોણ માનશે?



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
 
સાઉદી અરબમાં ઈશા નામની ભિક્ષાવૃત્તિ કરતી ૧૦૦ વર્ષની મહિલા ૬ કરોડની સંપત્તિ છોડીને મૃત્યુ પામી. તેણે બધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એક માણસ એવો ય છે જેની સંપત્તિ ૨૫ કરોડ રૃપિયા છે. ૯૯ વર્ષની વયે પણ તે ભિક્ષાવૃત્તિ કરે છે. કારણ કે...
ન્યુયોર્કના  અનાથાલયમાં રહેતો એક બાળક બીજા બધા બાળકોનું અને અનાથાલયના સ્ટાફનું ભારે મનોરંજન કરી જાણે. બીજા લોકોના ચાળા પાડવાથી લઈને પોતાનું કશુંક નવું બનાવેલું તે રજૂ કરીને વાહ વાહી લૂંટતો રહે. તેની મનોરંજનની આ આવડતના કારણે તે અનાથાલયમાં બધાનો વ્હાલો થઈ ગયો. પછી તો તેને આ આવડતના જોરે થોડી ઘણી કમાણી કરતા ય આવડી ગયું. અનાથાલયની આસપાસના વિસ્તારમાં ફરીને પોતાની કળા રજૂ કરે અને એમાંથી બે પૈસાની કમાણી રળીને નાના મોટા મોજ-શોખ પૂરા કરે. ભાઈબંધોેને પણ ખાવા-પીવાની લહેજત માણવાનું આમંત્રણ આપે અને એ રીતે જીવનનો આનંદ માણે. પરંતુ તેણે પોતાની એક વાત કોઈને વર્ષો સુધી ન જણાવી કે તે અનાથ નથી. તેના માતા-પિતા બુ્રકલિનમાં દારૃણ ગરીબીમાં સબડતા હતા એટલે તેને અહીં મૂકી દેવામાં આવ્યો હતો. થોડો વધુ સમજણો થયો એટલે તેણે અનાથાલયને અલવિદા કહી દીધું અને લોસ એન્જલસમાં આવી ચડયો. એ સમય હતો ૧૯૩૦ આસપાસનો. ત્યારે અમેરિકા 'ધ ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખાતી આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યું હતું. તેણે જાતે લોસ એન્જલસની શાળામાં પ્રવેશ મેળવ્યો. સાથે સાથે નાના મોટા મજૂરી કામ કરીને ગુજારો કર્યો. વળી, પોતાની મનોરંજનની આવડતનો ઉપયોગ પણ કરતો રહેતો.
૮-૧૦ વર્ષ લોસ એન્જલસમાં ગાળ્યા પછી તે ફરીથી ન્યુયોર્ક પાછો ફર્યો. મ્યુઝિકલ કોમેડી શો બનાવતા એક થિયેટરમાં તેણે લેખનની નોકરી મેળવી લીધી. નાટકો ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને ત્યાર બાદ ફિલ્મનું ક્ષેત્ર પણ સર કર્યું. માત્ર લેખનમાં જ નહીં, કોમેડી એક્ટર તરીકે ય ખ્યાતિ મેળવી. પાંચ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા જ્યોર્જ કાર્લિનથી લઈને લિજેન્ડરી ડિરેક્ટર વૂડી એલન સાથે તેણે કામ કર્યું. તેણે ક્રિએટ કરેલા પાત્રો ય ચિર સ્મરણીય બન્યા. કોમેડીમાં તેમનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે- ડબલ ટોક કોમેડી. એક જ શબ્દ કે વાક્યના બે મતલબ કાઢીને દર્શકોને ગૂંચવી દેવાની જે તરકીબ ફિલ્મમાં હવે બહુ અખત્યાર થાય છે તેના વાહક આ લેખક-કોમેડિયન છે. અનાથાલયમાં રહેતો એ છોકરો અને પછી એક્ટર-ફિલ્મ લેખક બનીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનારો કલાકાર એટલે ઈરવિન કરી. આજે આ ઈરવિન કરી શું કરે છે? જવાબમાં કોઈ એમ કહે કે ભિક્ષાવૃત્તિ તો? તો તરત જ વિચાર આવે કે ઘણા બધા કલાકાર-કસબીઓ સાથે બને છે એવું ઈરવિન સાથે પણ બન્યું હશે. જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા આ કલાકાર પાસે કદાચ મુફલિસીમાં ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચ્યો હોય એવી અટકળ પણ સ્હેજે બંધાય જાય. લેકિન, કિંતુ, પરંતુ... ઈરવિનના કિસ્સામાં વાત થોડી નોખી છે. એ ભિક્ષાવૃત્તિ કરે છે કારણ કે.....
***
મેનહટનના પૂર્વ ભાગમાં એક ભિક્ષુક ખોડંગાતા પગલે વાહન ચાલકો પાસે આવીને મામૂલી રોકડ રકમ માટે કાકલૂદી કરે છે. અમુક વાહન ચાલકો તેની સામુ જોવાનું સુદ્ધા ટાળે છે. અમુકને તેના ચહેરા પર વર્તાતી વયના કારણે કરૃણા ઉપજે છે એટલે જે હાથ લાગે એ રકમ આપી દે છે. બદલામાં ભિક્ષુક તેની તરફ અખબાર લંબાવે છે. કોઈક વાહન ચાલક તેની પાસેથી અખબાર લઈ લે છે. કોઈ એમ જ હાથ ઊંચો કરીને જતા રહે છે. ભિક્ષુક 'થેન્ક યુ', 'ગોડ બ્લેસ યુ' કહીને આભારની લાગણી જતાવે છે. અહીંથી દરરોજ પસાર થતાં લોકો તેને બરાબર ઓળખે છે. કેમ કે, તે આ જ વિસ્તારમાં છેલ્લા સત્તરેક વર્ષથી આ કામ કરે છે. ભિક્ષાવૃત્તિથી તેને દિવસના લગભગ ૧૦૦ ડોલર તો મળી જ રહે છે. ક્યારેક દિવસ બહુ સારો જાય તો ૨૫૦ ડોલર પણ એકઠાં થઈ જાય છે. ઘણી વખત અજાણ્યા રાહદારીઓને ય તેનો ચહેરો જાણીતો લાગે છે. પણ રાહદારીઓ એવું ધારી લે છે કે કદાચ બીજે ક્યાંક તેને જોયો હશે. એવું તો કોણ માને કે તે સ્ટેજ પરના કાર્યક્રમને જીવંત કરી શકતો ખૂબ જ સારો કલાકાર, એક જમાનાનો ગણનાપાત્ર અભિનેતા અને કોેમેડીના લેખનમાં અનોખી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારો લેખક ઉપરાંત સામાજિક કાર્યકર અને ડાબેરી વિચારધારાને વરેલો સંનિષ્ઠ રાજકીય કાર્યકર પણ રહી ચૂક્યો છે!
ઉંમરના ૯૯ વર્ષના પડાવે પહોંચેલા ઈરવિન કરીને આમ જોઈએ તો આ રીતે ભિક્ષુકની જિંદગી જીવવાની કોઈ જ જરૃરીયાત નથી. તેમની પાસે ૨૧ કરોડની કિંમતનું પોતાનું એક ભવ્ય મકાન છે. એ સિવાયની તેમની પાસે ત્રણ-ચાર કરોડની સંપત્તિ પણ છે. નોકર-ચાકર રાખીને ઘરમાં આરામ ફરમાવે એટલો ખર્ચ તેમને પરવડી શકે તેમ છે. છતાં તેમને આ રીતે હવે માફક આવી ગયું છે. એની પાછળ ઈરવિનનો એક હેતુ છે. જે તેમને સતત ભિક્ષાવૃત્તિ કરવા પ્રેરે છે. તેમની નેમ છે કે દવાના અભાવે બાળકોના અપમૃત્યુ થાય છે એ સ્થિતિમાં જો થોડો ઘણો ફરક પોતાના કારણે પડે તો જીવનનો છેલ્લો પડાવ સાર્થક થયો લેખાશે. દિવસ દરમિયાન મળેલી ભિક્ષાનો ઈરવિનના ચોપડે પાક્કો હિસાબ હોય છે. સાંજે ઘરે પહોંચે કે પહેલું કામ રોકડ ગણીને તેની નોંધ ટપકાવવાનું કરે છે. ઈરવિને એવી વ્યવસ્થા ગોઠવી રાખી છે કે દરરોજ એકત્ર થયેલી રકમ મોડી રાત સુધીમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થા સુધી પહોંચી જાય છે. ઈરવિન ભિક્ષાવૃત્તિ કરી રહ્યાં છે એ વાતની જાણ તેમણે જાતે કરી ત્યાં સુધી કોઈને ય ખબર નહોતી કે એક જમાનાનો એક્ટર-પોલિટિશ્યન અને લેખક મેનહટનના રસ્તા પર ફરીને ભિખ માંગી રહ્યો છે. ન્યુયોર્કના અગ્રણી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સને ઈરવિને તેમના ઘરે બોલાવીને પોતાના જીવન અંગે જાણકારી આપી ત્યારે દુનિયાને ખબર પડી કે ઈરવિન અત્યારે શું કરી રહ્યાં છે અને શું કામ કરી રહ્યાં છે!

ઈરવિન કરીએ ન્યુયોર્ક ટાઇમ્સને મુલાકાતમાં જણાવ્યું તે પ્રમાણે તેમણે ઘણા કારણોથી આ કામ પસંદ કર્યું હતું. તેમનું બાળપણ દારૃણ ગરીબીમાં વિત્યું હતું એનો રંજ દૌલત-શોહરત કમાવા છતાં દિલમાંથી જતો નહોતો. ઈરવિનના માતા-પિતા પાસે પોતાના સંતાનને ખવડાવવાના પૈસા ય નહોતા, તો પછી દવાના તો ક્યાંથી હોય! બિમારી વખતે કોઈ જ ઈલાજ વગર બેસી રહેવું પડતું અને તબિયત એની જાતે સારી ન થાય ત્યાં સુધી એ જ રીતે દર્દમાં કણસતા રહીને દિવસો પસાર કરવા પડતા. પોતાની જેમ આ સ્થિતિ અન્ય ગરીબ બાળકોને ન ભોગવવી પડે એવા આશયથી તેમણે પોતાના છેલ્લા વર્ષો બાળકોના સ્વાસ્થ્ય માટે ખર્ચી દીધા. બીજુ એક કારણ તેમણે આપ્યું કે તેમની પત્નીના અવસાન પછી તેમને એકલતા સાલતી હતી. એકલતામાંથી ઉભરવા માટે આ રસ્તો વધુ યોગ્ય લાગ્યો. દિવસભર રઝળપાટ રહે એટલે ઘરે જવાનો તો સવાલ રહેતો નહોતો. વળી, દિવસભરના થાકના કારણે રાત પણ સારી ઊંઘમાં વીતી જતી હતી. તેમને એવું પૂછાયુ કે તમે તો પૈસાપાત્ર માણસ હોવા ઉપરાંત એક કલાકાર છો એટલે ભિક્ષાવૃત્તિ સિવાય પણ પૈસા એકઠાં કરીને બાળકોના આરોગ્ય માટે કેમ કામ ન કર્યું? ઉત્તરમાં ૯૯ વર્ષેય ભિખ માંગવાનું ખરૃ કારણ છતું કરતા ઈરવિન કરીએ કહ્યું કે 'દુનિયાના દૌલતમંદ લોકો અઢળક રકમ દાનમાં આપતા હોય છે. એમાં ય ગરીબીમાંથી ધનવાન બનેલા લોકો દાનની સરવાણી વહેતી કરતા પણ ખચકાતા નથી હોતા. પરંતુ મારા માટે આ વિકલ્પ ખૂબ જ મહત્ત્વનો હતો. કારણ કે, હું મારા બાળપણના ગરીબીના દિવસો ક્યારેય ભૂલી નથી શક્યો... કારણ કે, હું અન્ય ઘણાં ગરીબ બાળકોની જેમ બાળપણમાં ભિખારી બનતા બનતા રહી ગયો હતો... કારણ કે, હું ભિખ માંગીને જરૃરતમંદ બાળકોમાંથી કોઈ એકને પણ ભિક્ષુક બનતો અટકાવીશ તો મારું આયખું સફળ થયું માનીશ!'
૩૧મી માર્ચ, ૧૯૧૪માં જન્મેલા ઈરવિન કરી આવતી કાલે શતાયુ થશે...

Sunday, 30 March 2014
Posted by Harsh Meswania
Tag :

આજે પણ ૨૧ લાખ ગુલામોનું અસ્તિત્વ છે?



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

છેક ૨૦મી સદીની શરૃઆતના દશકાઓ સુધી ગુલામી પ્રથા પૂરજોશમાં ચાલતી હતી. હમણાં થયેલા અભ્યાસના તારણો તો એમ પણ કહે છે કે આજેય દુનિયામાં ૨૧ લાખ ગુલામો વેઠ કરી રહ્યાં છે.

ખુશહાલજીવન જીવતા એક અશ્વેતને પકડીને ગુલામ બનાવી દેવાય છે. તે કંઈ સમજે વિચારે એ પહેલા તો તેના પર ગુલામ હોવાનું લેબલ લાગી જાય છે. તે એ વાતથી પણ અજાણ છે કે તેને કઈ રીતે અને શું કામ ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યારે તે કઈ જગ્યાએ છે એ વાતની પણ તેને કંઈ જ ખબર નથી. તેને તો બસ માલિકનું સોંપાયેલું કામ થાક્યા વગર કરી આપવાનું છે. દિવસે જ નહીં, જો માલિકનો હુકમ છૂટે તો મધરાતે પણ કામ માટે તૈયાર રહેવાનું છે. પોતાના પર અન્યાય થાય તો મૂંગા મોઢે સહેવાનો છે, પરંતુ જો બીજા ગુલામોની તરફેણ ભૂલથી પણ થાય તો તેને મરણતોલ માર પડશે એની યે તેને ધીરે ધીરે ખબર પડી જાય છે. તેને પોતાના કોઈ જ વિચારો વ્યક્ત કરવાની પરવાનગી નથી. તેને માલિક સામે એક પણ પ્રકારની દલીલ કરવાની છૂટ નથી. જે મળે એ ખાવાનું છે અને જ્યાં-જેવી જગ્યા મળે એમાં રહેવાનું છે. આવી યાતનામાં તે બાર બાર વર્ષ કાઢે છે. વર્ષોની ગુલામી ભોગવ્યા પછી એક દિવસ તે મૂક્ત થઈને તેના પરિવારને મળે છે. ઇન શોર્ટ, અન્ય કમભાગી ગુલામો કરતા તે થોડો નસીબદાર છે. તેના જીવનમાં ફિલ્મમાં હોય એવો હેપ્પી એન્ડ આવે છે.

મૂક્ત થયા પછી જેણે આ યાતના ભોગવી છે એ માણસ સોલોમન નોર્થપે '૧૨ યર્સ અ સ્લેવ' નામે પોતાના સંસ્મરણો  લખ્યા હતા. દોઢેક સૈકા પછી ૨૦૧૩માં આ સત્યઘટના આધારિત '૧૨ યર્સ અ સ્લેવ' નામથી ફિલ્મ બને છે અને તેને આ વર્ષનો શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ પણ એનાયત કરાયો છે. એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને પોતાના ભાવનાત્મક વકતવ્યમાં કહ્યું કે '....દુનિયાભરમાં આજેય ગુલામીમાં સબડતા ૨૧ લાખ લોકોને હું આ એવોર્ડ અર્પણ કરું છું.' સ્ટીવનું આ વાક્ય સાંભળતાની સાથે જ આપણને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આજેય ૨૧ લાખ લોકો ગુલામ છે? શું ખરેખર સ્ટીવની વાત સાચી છે? ૨૧મી સદીમાં પણ ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે ખરી?
* * *
૧૯૪૮માં વિશ્વ માનવ અધિકાર સમિતિએ ગુલામીપ્રથાને માનવ જાતિ સામે થતો અમાનવીય અત્યાચાર ગણાવીને તેના પર વિશ્વભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ જ રીતે ૧૯૫૬માં યુએન(યુનાઇટેડ નેશન્સ) દ્વારા ગુલામીપ્રથા જગતભરમાં સંપૂર્ણપણે નાબુદ કર્યા પછી પણ આફ્રિકાના મોરિટેનિયામાં છેક ૨૦મી સદીના અંત ભાગ સુધી ગુલામોનું ખરીદ-વેંચાણ થતું હતું. ૧૯૮૧માં મોરિટેનિયાએ ગુલામીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જોકે, ગુલામી કરાવનારા વિરુદ્ધ ત્યાં કોઈ મજબૂત કાનૂન વર્ષો સુધી નહોતો લાગુ કરાયો. ગુલામીપ્રથા સામે મોરિટેનિયામાં કાયદો તો છેક ૨૦૦૭માં પસાર થયો હતો. એ રીતે જોઈએ તો ૩૩ વર્ષ પહેલા સત્તાવાર રીતે જગતભરમાંથી ગુલામીપ્રથા નાબુદ થઈ કહેવાય.
તેમ છતાં ઓક્ટોબર, ૨૦૧૩માં લંડનમાં રહેતા આઝમ ખાન નામના માણસને ૨૦ વર્ષની યુવતી પાસે ગુલામી કરાવવાના ગુના માટે ૧૨ વર્ષની કેદ થઈ. વેઠ કરાવવા ઉપરાંત આઝમ ખાને તે યુવતીનું જાતીય શોષણ પણ કર્યું હતું. પાકિસ્તાનથી ખરીદવામાં આવેલી આ યુવતી ઈંગ્લીશ ભાષા જાણતી ન હોવાથી વર્ષો સુધી તેણે ગુલામી વેઠવી પડી હતી. અંતે આઝમ ખાનનો ભાંડો ફૂટયો હતો. કારણ કે, લંડન પોલીસે 'ઓપરેશન નેટવિંગ' શરૃ કર્યું હતું. જેમાં ગુલામો રાખતા આઝમ ખાન જેવા માલિકોને ભીંસમાં લેવાના હતા. પોલીસે લગભગ દોઢેક વર્ષમાં ૨,૨૫૫ કેસ શોધી કાઢ્યા. જેમાંથી ૭૭૮ સામે તો ગુલામી કરાવવાના પુરતા પૂરાવાઓ પણ મળ્યા હતા. આ વાત તો માત્ર એક લંડન શહેરની જ છે. જો એક માત્ર શહેરમાંથી ગુલામોની આટલી મોટી સંખ્યા મળી આવતી હોય તો વિશ્વમાં એ આંકડો કેટલો મોટો હોઈ શકે?
* * *
'૧૨ યર્સ અ સ્લેવ'ના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને ઓસ્કરની આભારવિધિમાં જે વાક્ય ઉચ્ચાર્યું હતું તે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના છેલ્લા દસ વર્ષના આંકડાને ધ્યાનમાં રાખીને બોલવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કેટલા ગુલામો છે એની વાત કરતા પહેલા અત્યારે ગુલામીની વ્યાખ્યા કેવી છે એ વિશે પણ થોડું જાણવું જરૃરી છે. ગુલામીની સદીઓ પહેલાની વ્યાખ્યા જેવી જ આજે પણ સ્થિતિ છે કે પછી તેમાં કશો ફરક પડયો છે? જવાબ છે- આંશિક ફરક પડયો છે. એકાદ સદી પહેલા ગુલામોની હરાજી થતી હતી કે જાહેરમાં શરીર પર કોરડા ફટકારવામાં આવતા હતા સાવ એવી સ્થિતિ આજે નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે ગુલામીપ્રથા નથી! હવે ગુલામીની વ્યાખ્યા થોડી બદલાઈ ગઈ છે, પણ ગુલામી તો ગુલામી જ છે. આજે ગુલામીની નવી પરિભાષા એટલે માલિકો દ્વારા ઓછા વળતરથી લેવાતું વધુ કામ. માત્ર કોરડા ફટકારવાની યાતનાને બાદ કરતા લગભગ ઘણી ખરી સ્થિતિ એક સરખી છે. જેમ ગુલામોની દલીલો સાંભળવાનો ધારો એ સમયે નહોતો એમ આજેય નથી. એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યા વગર જો મુંગા મોઢે માલિકનું કામ ન થાય તો સજા સ્વીકારવા તૈયાર રહેવું પડે છે. ક્યારેક દિવસો સુધી ખોરાક ન મળે, તો ક્યારેક રાતની કડકડતી ઠંડીમાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સુવાની જફરજ પાડવામાં આવે! ક્યારેક યુવાન મહિલા ગુલામનું માલિક દ્વારા જાતીય શોષણ પણ થાય. તો કોઈક વખત સખત કામનો બોજ તેના શિરે નાખી દેવામાં આવતો હોય છે.
હવે ગુલામોને જીવનભર માટે ખરીદવામાં નથી આવતા, પરંતુ કરારના નામે વર્ષો સુધી તેના કાંડા કાપી લેવાય છે. અમુક નક્કી કરેલી રકમ આપ્યા બાદ લાંબાં ગાળા સુધી તેની પાસે બેહિસાબ કામ લેવામાં આવે છે. ક્યારેક આખો પરિવાર પારાવાર ગરીબીના કારણે પૈસાની લાલચમાં આવીને આવા જોખમી કરાર કરી નાખે છે, તો ક્યારેક નજીવી રકમ માટે ઘરના સભ્યો દ્વારા જ બાળકોને વેંચી દેવામાં આવે છે. પહેલા ગુલામોના દસ્તાવેજો સાચવીને તેને પૂરાવા રૃપે રજૂ કરવામાં આવતા હતા. એના બદલે હવે આ આખું તંત્ર જ એવી રીતે ચાલે છે કે કોઈ જ પૂરાવાની જરૃર નથી હોતી! 'ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ'ના કહેવા પ્રમાણે તો આજે વિશ્વમાં ૨૯ લાખ લોકો ગુલામી વેઠી રહ્યાં છે અને એમાંથી અડધો અડધ તો એકલા એશિયામાં છે. આ સંસ્થાના દાવા પ્રમાણે તો એશિયામાં સૌથી વધુ ગુલામો ભારતમાં છે. આપણા દેશમાં ૨૦મી સદીના અંત ભાગમાં ૧૫ લાખ લોકો ગુલામો હતા. જેમાં દેહ વ્યાપારમાં ધકેલાતી યુવતીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. ભારતમાં ગુલામી અંગેની વિદેશી એજન્સીઓની દ્રષ્ટિ પ્રમાણે ખેત મજૂરી માટે ૧૦ વર્ષ કે ૧૫ વર્ષ માટે રખાતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. આવા મજૂરોને ફરજીયાત નક્કી કરેલા સમય માટે તેના માલિકનું કામ કરવું પડતું હોય છે. એક વખત કરાર થયા પછી મજૂરો પાસે કોઈ જ વિકલ્પ બચતો હોતો નથી.
યુનિવર્સિટી ઓફ હૂલમાં કન્ટેમ્પરરી સ્લેવરી વિષયના પ્રોફેસર કેવિન બેલ્સના અભ્યાસ મુજબ દેહ વ્યાપાર ઉપરાંત માછીમારી ક્ષેત્રે અને કોલસાની ખાણોમાં કામ કરવા માટે સૌથી વધુ ગુલામોને કામે લગાડાય છે. અલગ અલગ અભ્યાસમાં ૧૬૨ દેશોમાં ગુલામીપ્રથા આજેય જોવા મળી છે. ચીન, પાકિસ્તાન, નાઇજેરિયા અને ભારતમાં સૌથી વધુ ગુલામો હોવાનું કહેવાય છે. હૈયાતી અને મોરિટેનિયામાં તો કુલ વસ્તી જેટલા જ બીજા ગુલામો છે એવો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. વિકસિત કહેવાતા દેશો- અમેરિકામાં ૬૦,૦૦૦, બ્રિટનમાં ૫,૦૦૦  ગુલામો નોંધાયા છે. અચ્છા, અહીં કદાચ એવો પ્રશ્ન થાય કે અત્યારે વિશ્વમાં ગુલામોના ભાવ શું ચાલે છે? જવાબમાં ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સનું માનીએ તો એક ગુલામ ૫૦થી ૬૦ હજાર ડોલર ખર્ચીને ખરીદી શકાય છે! એટલે કે એક માણસના આખા આયખાની કિંમત ૩૦થી ૩૫ લાખ રૃપિયા..

Sunday, 23 March 2014
Posted by Harsh Meswania
Tag :

હેપી બર્થ ડે બાર્બી : મૈં હી મૈં હૂઁ, દૂસરા કોઈ કહાઁ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સદા યૌવનનું વરદાન ધરાવતી ડોલ બાર્બી બાલ-વૃદ્ધ, યુવક-યુવતીઓ.. એમ સૌ કોઈમાં લોકપ્રિય છે. આખા જગતની લાડલી બાર્બી ડોલ આજે ૫૫મો બર્થ ડે ઉજવી રહી છે.

એ આજે જોતજાતામાં ૫૫ વર્ષની થઈ ગઈ છે. આટલા વર્ષોમાં તે ઘણી બધી બદલાઈ ગઈ હોવા છતાં તેણે લોકપ્રિયતા અકબંધ રાખી છે. તેનું નામ પડતા ઉંમરના વાનપ્રસ્થાશ્રમમાં  પહોંચેલા વડીલના ચશ્માધારી ચહેરા પર માયાળુ સ્મિત ફરકી જાય છે, તો પાંચ-સાત વર્ષના થયેલા બાળકો તેનું નામ લેતાની સાથે જ ગેલમાં આવી જાય છે. તેનો મરતબો સેલિબ્રિટીથી જરાય ઉતરતો નથી. અથવા કહો કે તેણે છેલ્લા ૫૫ વર્ષથી સેલિબ્રિટી જેવો દરજ્જો ભોગવ્યો છે. તે ઉંમરથી ભલે વનમાં પ્રવેશી હોય, પરંતુ તેના દેખાવમાં હંમેશા તાજગી રહી છે. ક્યાંય ઉંમર જરા પણ કળાતી નથી. ઉલ્ટાનું તેના દેખાવમાં વધુ નિખાર આવ્યો છે. કોઈ સદાબહાર કહેવાતી અભિનેત્રીને પણ શરમાવે એવી લોકચાહના તેણે પાંચેક દાયકાથી જાળવી જ નથી રાખી, પણ એમાં સતત વધારો ય કર્યો છે. હવે તો એ ઓનલાઇન ગેઇમ્સમાં પણ છવાયેલી રહે છે. તે જ્યારે પ્રથમ વખત જાહેરમાં દેખાઈ ત્યારે તેણે વ્હાઇટ-બ્લેક રંગના ઝિબ્રાપટ્ટા ધરાવતું સ્વિમસૂટ પહેર્યું હતું એટલે તેની સામે ઘણાં લોકોએ વાંધો ય ઉઠાવ્યો હતો. અવારનવાર તેના પર આરોપ લાગતા રહે છે કે તે યુવતીઓને ગેરમાર્ગે દોરે એવા વસ્ત્રો પહેરે છે. જોકે, તેની લોકચાહના સામે આ વાંધો લાંબો સમય ટકી નથી શકતો. તે છેલ્લા સાડા ચાર દાયકાથી કેન કાર્સન સાથે રિલેશનશીપમાં છે. ૨૦૦૪માં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાય જશે એવી સંભાવના વ્યક્ત થઈ હતી, પણ તમામ અટકળોને ફગાવી દઈને અદ્લ સેલિબ્રિટી અદામાં બંનેએ ફરીથી પેચ-અપ કરી લીધું હતું. તેના પર અલગ અલગ સમયે વાર્તાઓ પણ લખાઈ છે. આટલા વર્ષેય તે હાઇસ્કૂલમાં જ ભણી રહી છે! તેની પાસે જુદી જુદી કંપનીઓની પાંચ-છ કાર છે, જે તે મરજી મુજબ ગમે ત્યાં હંકારી જાય છે. વળી, વધુ એક મજાની વાત એ છે કે તેની પાસે એરલાઇન્સનું લાયસન્સ પણ છે. ૨૧ ડોગ, ૬ કેટ અને એક ઘોડા સહિત ૫૦ પેટ્સ ધરાવતી ૫૫ વર્ષની આ હાઇસ્કૂલ ગર્લનું નામ છે-બાર્બરા મિલિસેન્ટ રોબર્ટ્સ ઉર્ફે બાર્બી.
***
અમેરિકાની મેટલ ટોય કંપનીના સહસ્થાપક ઇલિયટ નામના બિઝનેસમેનની પત્ની રૃથ હેન્ડલર તેના બે બાળકો સાથે ૧૯૫૬ના વર્ષમાં વિશ્વ પ્રવાસ કરી રહી હતી. એ દરમિયાન જર્મનીમાં તેણે એક થોડી નવા દેખાવની ઢીંગલી જોઈ. જર્મનીમાં તે બાઇલ્ડ લિલિના નામે ઓળખાતી હતી. તેના બાળકોને એ ખૂબ જ પસંદ આવી ગઈ હતી. રૃથને પણ તેમાં રસ પડયો. વળી, એ હંમેશા જોતી રહેતી કે તેની પુત્રી બાર્બરા જાડા કાગળમાંથી બનેલી ઢીંગલીઓ સાથે જ્યારે પણ રમતી ત્યારે તેને આધૂનિક કપડા પહેરાવીને શણગારવાનો પ્રયાસ કરતી હતી. બાર્બરાના નાનાભાઈ કેનેથને પણ આધૂનિક કપડાથી શણગારેલી ઢીંગલી બહુ ગમતી. બાર્બરાની ઢીંગલી માટે બંને ભાઈ-બહેનમાં રીતસરની લડાઈ જામી પડતી. જર્મનીમાં લિલિ ડોલને જોઈને રૃથ હેન્ડલરને વિચાર આવ્યો કે અમેરિકામાં એક એવી ડોલ હોવી જોઈએ જે પરંપરાગત ઢીંગલીઓ કરતા બહુ જ મોર્ડન હોય અને તેનો દેખાવ એટલો બધો મોહક હોવો જોઈએ કે ખરીદ્યે જ છૂટકો થાય! તેણે પોતાને આવેલો વિચાર બિઝનેસમેન પતિ ઇલિયટને કરી. ઇલિયટને રૃથના આઇડિયામાં દમ લાગ્યો એટલે એ કામ તેણે રૃથ પર છોડવાનું નક્કી કર્યું. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સહમતિ જતાવી એટલે કામ આગળ વધ્યું. ડોલનો દેખાવ કેવો હશે? તેના કેવા પ્રકારના કપડા પહેરાવવામાં આવશે? તેના વાળ કેવા રંગના હશે? વગેરે બાબતોમાં બે વર્ષ જેટલો સમય લાગ્યો. રૃથ હેન્ડલરની બે વર્ષની મહેનત બાદ અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેસ્ટિવલમાં ૯મી માર્ચ, ૧૯૫૯ના રોજ તેને પ્રથમ વખત પ્રદર્શનમાં મૂકવામાં આવી. એ સાથે જ રમકડાંના ક્ષેત્રમાં એક નવું પ્રકરણ આલેખાયું. જેનું નામ હતુંઃ બાર્બી ડોલ. રૃથની પુત્રી બાર્બરાના નામ પરથી તેને બાર્બી એવું ટચૂંકડુ નામ આપવામાં આવ્યું હતું. ડોલના થોડાં એડલ્ટ દેખાવને કારણે ધીમા સૂરે વિરોધ પણ ઉઠયો હતો. જોકે, ઝડપથી વધતી જતી લોકપ્રિયતા સામે વિરોધ બહુ ટક્યો નહીં. અમેરિકામાં ચોમેર બાર્બી ડોલ બાર્બી ડોલ થવા લાગ્યું હતું. બાર્બીની લોકપ્રિયતામાં પેલી જર્મન ડોલ બાઇલ્ડ લિલિએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વાત જાણે એમ હતી કે મેટલ ટોય કંપનીએ ૧૯૬૪માં જર્મન ડોલ બાઇલ્ડ લિલિના હકો મેળવી લીધા  અને પછી તેનું ઉત્પાદન સદંતર બંધ કરી દીધુ. કારણ કે કંપની ઈચ્છતી હતી કે બાર્બી સામે મજબૂત સ્પર્ધા પૂરી પાડે એવી એક પણ ડોલ માર્કેટમાં હોવી ન જોઈએ!
***
બાર્બી અમેરિકન માર્કેટમાં ઉપલબ્ધ બની ત્યારથી જ તેણે એક હથ્થું શાસન ભોગવવાનું શરૃ કરી દીધું હતું. તેને ટિનએજ ફેશન મોડેલ માનવામાં આવવા લાગી હતી. અમેરિકાની આ ડોલનું પ્રથમ વખત ઉત્પાદન જાપાનમાં થયું હતું. ડોલને પ્રદર્શનમાં મૂકાઈ એ જ વર્ષે કંપનીના દાવા પ્રમાણે ૩,૫૦,૦૦૦ બાર્બીનું વેંચાણ થયું હતું. બાર્બીને વ્યૂહ રચના મુજબ માર્કેટ સર કરવા મૂકાઈ હતી. રમકડાં ક્ષેત્રમાં આ એક માત્ર એવી ડોલ હતી કે તેની કમર્શિયલ જાહેરાત પણ કરવામાં આવી હતી. બાળકો માટેની કોઈ પ્રોડક્ટની ટેલિવિઝન જાહેરાત થઈ હોય એવી પણ બાર્બી પ્રથમ પ્રોડક્ટ હતી.

બાર્બીના ડ્રેસિંગ માટે આજે કંપની પાસે ૭૦ ફેશન ડિઝાઇનર છે અને દરેક પાસે પોતાની ટીમ છે, જે આગામી સમયમાં માર્કેટમાં આવી રહેલી બાર્બી માટે વર્તમાન ટ્રેન્ડ મુજબ કપડાની પસંદગી કરે છે. બાર્બી અત્યાર સુધીમાં સ્કૂલ ટિચરથી લઈને ડોક્ટર, બિઝનેસ એક્ઝિક્યુટિવ, અવકાશયાત્રી જેવા કેટ-કેટલા લિબાસમાં આવી ચૂકી છે. સીધું જોતી અને લાંબાં વાળ ધરાવતી બાર્બી ૧૯૯૨માં માર્કેટમાં મૂકાઈ હતી, જે આજ સુધીમાં બાર્બીનું સૌથી વધુ વેંચાયેલું મોડેલ છે. કંપનીએ એક વખત માર્કેટ રિસર્ચ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે વિશ્વભરમાં એક લાખ ગ્રાહકો એવા છે કે જે બાર્બીનું દરેક મોડેલ ખરીદી લે છે અને તેની પાસે છેક ૧૯૫૯થી લઈને ૫૫ વર્ષમાં આવેલા બાર્બીના બધા જ રૃપ રંગ, કદ-કાઠીના મોડેલ ઉપલબ્ધ છે. અમેરિકામાં ૪૫ ટકા લોકો વર્ષે બાર્બી પાછળ ૬૦ હજાર રૃપિયાનો ખર્ચ કરે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં પ્રતિ સેકન્ડ ૩ બાર્બી વેંચાય જાય છે. આવી લોકપ્રિયતાની કોને ઈર્ષા ન આવે?!

બાર્બીની કિંમત બરાબર એક ભારતીયનો પગાર!

અમેરિકન અને યુરોપિયન માર્કેટ સર કર્યા પછી કંપનીની નજર એશિયાઈ દેશો પર ઠરી. ખાસ કરીને ભારત-ચીન અને જાપાન. ૧૯૮૦માં ભારતીય માર્કેટમાં બાર્બી ડોલનું આગમન થયું ત્યારે તેની કિંમત હતી ૨૩૬ રૃપિયા. એ સમયે નોકરી કરતા સરેરાશ ભારતીયનો એક માસનો પગાર માંડ ૨૦૦ રૃપિયા થવા જતો હતો. ત્યારે આ ડોલ લેવા માટે તેને આખો પગાર ખર્ચવો પડે એવી સ્થિતિ હતી. એટલે કે શરૃઆતમાં આ ઢિંગલીનો સંગાથ માત્ર ધનવાનોના સંતાનો જ માણી શકે એવી સ્થિતિ હતી. પશ્ચિમી પોશાકમાં જ સજ્જ બાર્બી ભારતમાં ખાસ ન સ્વીકારાતાં સમય જતાં બાર્બીએ ભારતીય પોશાકમાં ઢિંગલીઓ પણ માર્કેટમાં મુકવાનું શરૃ કર્યુ (બાજુની તસવીર). પ્રારંભના વર્ષોમાં બાર્બીની સૌથી વધુ ખપત સ્વિડનમાં થતી હતી. આજેય એમ મનાય છે કે સ્વિડનની કુલ જનસંખ્યા કરતા પણ વધારે બાર્બી ત્યાં વેંચાઈ ગઈ છે. જોકે, બાર્બીનું વિશાળ માર્કેટ તો આજેય અમેરિકા અને યુરોપમાં જ છે. ૨૦૦૭માં થયેલા એક સર્વે મુજબ અમેરિકાની ૩થી ૧૦ વર્ષની છોકરી પાસે એવરેજ ૮ બાર્બી ડોલ હોય છે.


Sunday, 9 March 2014
Posted by Harsh Meswania
Tag :

સેલિબ્રિટીના દેખાવની નકલઃ અહો રૃપમ, અહો ક્રેઝમ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

સેલિબ્રિટીના ફેન્સ પહેરવેશથી લઈને હેર સ્ટાઇલ સુધી નકલ કરતા હોય છે, પણ થોડાંક વધુ ક્રેઝી ફેન્સ એથીય આગળ વધીને પ્લાસ્ટિક સર્જરી જેવો જોખમી અને ખર્ચાળ માર્ગ અપનાવતા પણ ખચકાતા નથી. ઘેલછા ઓગળ્યા પછી પસ્તાવો વ્યક્ત કરનારા ફેન્સની પણ કમી નથી.

'મને એનો બેબી ફેસ બહુ ગમ્યો હતો અને એટલે જ કદાચ હું તેના જેવા દેખાવની મથામણ કરી રહ્યો હતો. પણ હવે મને લાગે છે કે મેં જે ઘેલછા પાછળ પાંચ વર્ષ જેવો અમૂલ્ય સમય અને એક લાખ ડોલર (૬૨ લાખ રૃપિયા) જેવી માતબર રકમ ખર્ચી નાખી એ બધું જ વ્યર્થ છે. આજે મને મારા એ વર્તન પર પારાવાર પસ્તાવો થાય છે. ઈશ્વરે આપેલા મારા દેખાવની મેં કદર ન કરી જેનો આજે મને અગણિત અફસોસ છે. ઈશ્વરે બધાને પોતાનો આગવો દેખાવ અને સ્વભાવ આપ્યા છે એની સાચી કદર કદાચ મને હવે થઈ રહી છે. હું લાખ પ્રયાસો કરીશ છતાં હું તેના જેવો નહીં જ દેખાઈ શકીશ એ વાત છેક હવે મને સમજાઈ ગઈ છે, પરંતુ મારી કમનસીબી એ છે કે હવે મારી આ સમજણનો કશો જ અર્થ રહ્યો પણ નથી'
આ શબ્દો છે જસ્ટિન બિબરના ક્રેઝી ફેન ટોબી શેલ્ડનના. જર્મનીમાં જન્મેલો અને અમેરિકામાં રહેતો ટોબી શેલ્ડન અત્યારે ૩૩ વર્ષનો છે અને વ્યવસાયે ગીતકાર છે. ૨૦૦૮ના વર્ષમાં જ્યારે જસ્ટિન બિબર અચાનક લાઇમલાઇટમાં આવ્યો ત્યારે થોડા જસ્ટિન જેવા દેખાતા ટોબીને તેના મિત્રોએ પાનો ચડાવ્યો કે તેનો દેખાવ ઝડપથી લોકપ્રિય થઈ રહેલા કેનેડિયન પોપસ્ટાર જસ્ટિન બિબરને ઘણો ખરો મળતો આવે છે, જો તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાના દેખાવને વધુ નિખારે તો અદ્લ બિબર જેવો દેખાશે. ટોબીના મનમાં આ વાત ઊંડે સુધી ઘર કરી ગઈ. તેણે ધીમે ધીમે પૈસા એકઠાં કર્યા અને પાંચ વર્ષમાં એક પછી એક એવી ૧૦૦ જેટલી સર્જરી કરાવી નાખી. ગત ઓક્ટોબર માસમાં પ્રથમ વખત તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પછીનો પોતાનો ચહેરો મીડિયા સામે રજૂ કર્યો હતો. જોકે, આટલી સર્જરી છતાં ટોબીને બિબર જેવો દેખાવ તો મળ્યો, પણ તેની ઘેલછાના કારણે સમાચાર માધ્યમોમાં સ્થાન જરૃર મળ્યું! તેની આ ઘેલછાની ચોમેર ટીકા થઈ. ખૂદ બિબરે ય તેના પર મજાક કરી. ટોબીને આટલા મહિના પછી ખરેખર અહેસાસ થયો એટલે હમણાં એક અમેરિકન ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પોતાની ઘેલછા માટે અફસોસ જતાવ્યો. કોઈ સ્ટાર પાછળ ક્રેઝી થઈને પ્લાસ્ટિક સર્જરીનો જોખમી માર્ગ પસંદ કરનારો ટોબી પ્રથમ ફેન નથી. અગાઉ પણ ઘણા લોકો પોતાના મનભાવન સેલિબ્રિટી માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂક્યા છે અને ટોબીની માફક જ પસ્તાવો પણ વ્યક્ત કરી ચૂક્યાં છે.
***
માઇકલ જેક્સન જેવા લુક માટે એક જમાનામાં યંગસ્ટર્સ બધુ જ કરી છૂટવા તૈયાર થઈ જતાં હતા. જ્યારે તેનો સિતારો બૂલંદ હતો ત્યારે તેના જેવી હેર સ્ટાઇલ અને પહેરવેશની આંધળી નકલ આખા વિશ્વના યુવાનો કરતા હતા. પછી તો માઇકલ જેક્સને જ એટલી બધી સર્જરી કરાવી કે તેનાથી તેનો દેખાવ સમૂળગો બદલાઈ ગયો. છેલ્લા વર્ષોમાં માઇકલ જેક્સનનો દેખાવ એકદમ વિચિત્ર થઈ ગયો હતો, પણ તેના જેવો દેખાવ ધરાવતી એક મહિલાનું માનીએ તો તે આજે લાખો રૃપિયા રળે છે. કારણ કે, તે માઇકલ જેક્સન જેવો દેખાવ ધરાવે છે અને એ પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી! મિકી જે નામની એક મહિલાએ વીસેક લાખ રૃપિયાનો ખર્ચ કરીને પોતાને માઇકલ જેક્સન જેવો દેખાવ આપ્યો હતો. મિકીનો દાવો છે કે તેને માઇકલ જેવો દેખાવ ફળ્યો છે. તેણે અત્યાર સુધીમાં માઇકલના હમશકલ તરીકે એકાદ કરોડ રૃપિયાની કમાણી કરી લીધી છે. જોકે, મિકી પર એવી રમૂજ થાય છે કે વાળ વધારી દેવાથી અને જેક્સન જેવો પહેરવેશ ધારણ કરી લેવા માત્રથી માઇકલ જેક્સન દેખાવું શક્ય નથી. માઇકલ જેક્સનનો દેખાવ મિકીને પૈસા રળી આપતો હોવા છતાં એક કાર્યક્રમમાં તેણે પ્લાસ્ટિક સર્જરીના પોતાના નિર્ણય અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું 'મારા અગાઉના દેખાવને પાછો લાવવા માંગુ છું, પણ હવે એ મારા હાથમાં નથી રહ્યું!'

કેનેડિયન એક્ટર, ડિરેક્ટર, રાઇટર રેયન ગોસ્લિંગ જેવા દેખાવ માટે એક ક્રેઝી ફેન નામે નિકોલસ રેયને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરીનો માર્ગ લીધો હતો. ગાલ, નાક, કપાળ અને હોઠની સર્જરી કરાવ્યા પછી નિકોલસની તત્કાલ પ્રતિક્રિયા હતી કે 'મારી પ્લાસ્ટિક સર્જરીના પરિણામથી હું ખુશ છું. મને લાગે છે કે કદાચ હું હવે અભિનેતા રેયન ગોસ્લિંગ જેવો લાગું છું' પણ થોડા વખતમાં રેયન ગોસ્લિંગ જેવા દેખાવનો નશો ઉતર્યો પછી નિકોલસે પોતાની પ્લાસ્ટિક સર્જરીના નિર્ણય માટે ટોબી શેલ્ડનની જેમ જ પારાવાર પસ્તાવો વ્યક્ત કર્યો હતો. આવા જ બીજા ક્રેઝી ફેન્સની યાદીમાં ચીનની ૨૧ વર્ષની યુવતી ઝિઓકિંગનો સમાવેશ પણ થાય છે. તેણે જેસિકા આલ્બા જેવા દેખાવ માટે સતત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ઝિઓકિંગને જેસિકા જેવું દેખાવું ગમતું હતું એટલા માટે તેણે પ્લાસ્ટિક સર્જરીનું જોખમ નહોતું ઉઠાવ્યું, પણ પોતાના બોયફ્રેન્ડને જેસિકા ગમતી હતી એટલે આ પગલું ભર્યું હતું! નાડિયા સુલેમાન નામની એક મોડેલ પોતાને એન્જેલિના જોલી માને છે! તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને હોઠને ખાસ જોલીના હોઠ જેવો આકાર અપાવ્યો છે. આવો જ પ્રયાસ લિજન્ડે લોહાન જેવા દેખાવ માટે તેની જ સાવકી બહેન એસ્લે હોર્ન કરી ચૂકી છે. જોકે, હોર્નના મતે તે લોહાન કરતા વધુ સુંદર છે એટલે તેને એવા કોઈ જ પ્રયત્નની જરૃર નથી!
***
'મને આશા છે કે હું લીસા કોનેલનો સંપર્ક કરી શકીશ. તે મારા જેવા દેખાવ માટે પ્રયાસ કરી રહી છે તે મેં જાણ્યું. મારે લીસાને માત્ર એટલું જ કહેવું છે કે તે ખૂબ જ સુંદર છે અને તેણે મારા જેવા બનવાની જરાય જરૃર નથી' કેન્સરથી પીડિત ચાહક લીસા કોનેલે પોતાની અંતિમ ઈચ્છા એવી વ્યક્ત કરી હતી કે તેને મરતા પહેલા ડેમી મૂરે જેવું સુંદર દેખાવું છે અને એ વાતની જાણ જ્યારે ડેમીને થઈ ત્યારે ઉપરોક્ત શબ્દો લીસા માટે કહ્યાં હતા. છતાં, ૨૯ વર્ષની લીસાએ ડેમી મૂરે જેવા દેખાવ માટેની હઠ પૂરી કરી હતી અને પ્લાસ્ટિક સર્જરી પાછળ લગભગ ૪૨ લાખ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. લીસાએ તેના હોઠ, નાક અને કપાળની સર્જરી કરાવી હતી. કેન્સર પીડિત હોવા છતાં લીસાએ પ્લાસ્ટિક સર્જરી સહન કરી હતી અને છતાં તેને ડેમી મૂરે જેવા દેખાવનું પ્રમાણપત્ર મળ્યું નહોતું. જેનો તેને હંમેશા વસવસો રહ્યો.

કોમિક પાત્ર જેવા દેખાવ માટે પણ  ઘેલછા

સામાન્ય રીતે મનપસંદ સેલિબ્રિટી જેવા દેખાવ માટે યંગસ્ટર્સ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતા હોય છે, પરંતુ કોમિક પાત્ર જેવા લુક માટે એક દાદીએ ૧૧ લાખ રૃપિયા ખર્ચીને પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો. એનિટી એડવર્ડ નામના ૫૭ વર્ષના બ્રિટિશ મહિલાએ જેસિકા રોબિટ કોમિક કેરેક્ટર જેવા વાળ, હોઠ અને નાક બનાવવા માટે આટલી મોટી વયે પણ પ્રયાસ કર્યો હતો. કોમિક કેરેક્ટર સુપરમેન જેવા દેખાવ માટે હર્બટ ચિવેઝ નામના યુવકે ૧૩ સર્જરી કરાવી હતી. જોકે, હર્બટની સુપરમેન જેવા બનવાની મુરાદ પૂરી થઈ ન હોવાનું તેણે પછીથી સ્વીકાર્યું હતું અને એવા ભેજાગેપ ખયાલ માટે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

Sunday, 2 March 2014
Posted by Harsh Meswania
Tag :

અસલને આંટે એવી નકલની હાટ



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

અમેરિકાએ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં અગ્રેસર હોય એવા માર્કેટની એક યાદી જાહેર કરી છે, જેમાં ભારતના દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદના છ કાળા બજાર પણ સામેલ છે. અસલી પ્રોડક્ટ સામે કસોકસ સ્પર્ધા આપતી ભારતીય પાઇરસી બજારમાં શું વેંચાય છે?

બારસેલોના ફૂટબોલ ક્લબના ઓરિજિનલ ટ્રેક સુટની કીંમત આમ તો આઠેક હજાર રૃપિયા જેવી થવા જાય છે, પણ એ જ ટ્રેક સુટ ભારતના આ માર્કેટમાં માત્ર બસ્સો-પાંચસો રૃપિયામાં મળી જાય છે. એપલ આઇફોન ૫-સી ખરીદવા પાછળ ઓછામાં ઓછા ૩૫ હજાર ખર્ચવા પડે, પરંતુ આ માર્કેટમાં એ ફોન માત્ર સાડા ચાર કે પાંચ હજારમાં મેળવી શકાય છે. તો ૨૩ હજાર રૃપિયામાં પડતો સેમસંગ ગેલેક્સી એસ-૩ ત્રણ હજારમાં મળી જાય એવી પણ વ્યવસ્થા છે. પાંચેક હજારમાં મળતી કોઈક પરદેશી બ્રાન્ડની લેપટોપ બેગની કીંમત માત્ર પાંચસો રૃપિયા છે. આવી તો કેટલી બધી બ્રાન્ડ ટેગ ધરાવતી વસ્તુઓ કપડા, જૂતા, સૌંદર્ય પ્રસાધનોની ભિન્ન ભિન્ન પ્રોડક્ટ વગેરે સાવ બ્રાન્ડ ન્યુ હોવા છતાં ધારણા બહારની ઓછી પ્રાઇસમાં ખરીદી શકાય છે. પ્રથમ નજરે ઓળખી ન શકાય, પણ ખરેખર જો જાણકારની નજરે આ પ્રોડક્ટ ચડે તો એ ઓળખી શકે કે આ બધી જ વસ્તુઓ નકલી છે, ઓરિજિનલ વસ્તુઓની બેઠી કાર્બન કોપી છે, મોટાભાગની પ્રોડક્ટ મેઇડ ઇન ચાઇના છે. આ વાત છેઃ દિલ્હીના ગફાર માર્કેટની. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે બહાર પાડેલી વિશ્વની ૩૦ પાઇરસી બજારની યાદીમાં ગફાર માર્કેટનો પણ સમાવેશ થયો છે. રિપોર્ટમાં ભારત છ માર્કેટ સાથે પ્રથમ ક્રમ શોભાવે છે! ભારતીય યાદીમાં ગફાર માર્કેટનો બીજો નંબર છે. પ્રથમ ક્રમાંકે છે દિલ્હીનું નહેરુ પ્લેસ માર્કેટ.

નહેરુ પ્લેસ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં વર્ષોથી કુખ્યાત છે. તેનો વ્યાપ માત્ર પાટનગર દિલ્હી પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં વેંચાતા નકલી સોફ્ટવેર-પ્રોગ્રામ્સ અને ફિલ્મ સીડી-ડીવીડી પાછળ નહેરુ પ્લેસ જવાબદાર છે અને ભારતમાં અમેરિકન સોફ્ટવેર તેમજ મ્યુઝિક-ફિલ્મની ઓરિજિનલ સીડી-ડીવીડીના વેંચાણમાં મોટો ફટકો પડયો હોવાનું એક કારણ નહેરુ પ્લેસ છે એવું યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એજન્સી બહુ દ્રઢપણે માને છે. અમેરિકન એજન્સીની વાત ઘણે ખરે અંશે સાચી ય છે. પાઇરેટેડ સોફ્ટવેર સાવ નજીવા દરે નહેરુ પ્લેસમાંથી હાથવગા કરી શકાય છે. સો-બસ્સો કે ત્રણસો રૃપિયામાં જે અંગ્રેજી ફિલ્મોની અસલી ડી-વીડી બજારમાં મળતી હોય છે એ અહીં માત્ર ૧૦ રૃપિયામાં પણ મળે છે. હાર્ડ ડિસ્કથી માંડીને પ્રિન્ટર, સ્કેનર અને લેપટોપ સુધીની બ્રાન્ડેડ સામગ્રી ધારણા કરતા કિફાયતી કીંમતે મળે છે. ઘણા બધા દુકાનદારો જાલી પ્રોડક્ટ વેંચતી વખતે પણ છ માસનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે માર્કેટની વિશ્વસનિયતા પણ જળવાઈ રહી છે. કદાચ એટલે જ ગ્રાહકો જાણતા હોવા છતાં નકલી હાર્ડવેર-સોફ્ટવેર નહેરુ પ્લેસમાંથી ખરીદવાનું પસંદ કરે છે. જોકે, નહેરુ પ્લેસને અમેરિકન એજન્સી જેટલું બદનામ કરી રહ્યું છે એટલું બધું ખરેખર બદનામ પણ નથી. ભારતની ઘણી બધી ખ્યાતનામ આઈટી કંપનીઓની હેડ ઓફિસનું કાયમી સરનામુ નહેરુ પ્લેસ બન્યું છે. તો ફેબ્રિક્સ અને ટેક્સટાઇલ માટે પણ નહેરુ પ્લેસની પાટનગરમાં આગવી ઓળખ છે.
દિલ્હીની જેમ જ ભારતના આર્થિક પાટનગર સમા મુંબઈના પણ બે માર્કેટ પાઇરસી માટે જગ કુખ્યાત છે. મનિષ માર્કેટ અને લેમિંગ્ટન રોડ. આ બજારો થોડા વધુ ઓર્ગેનાઇઝ્ડ છે. જ્યારે પોલીસ રેઇડ પડે ત્યારે સામાનનો જથ્થો ક્યાં ગૂમ થઈ જાય છે તેનું હજુ સુધી કોઈ જ પગેરુ નથી મળ્યું. પોલીસ જાય કે તરત ક્યાંકથી પાછો બધો જ જથ્થો બજારમાં ઠલવાઈ જાય છે. નહેરુ પ્લેસની જેમ આ બંને બજારો ય સોફ્ટવેર અને નકલી સીડી-ડીવીડીનું વિશાળ વેંચાણ ધરાવે છે. મનિષ માર્કેટ ચાઇના પ્રોડક્ટના વેંચાણ માટે પણ એટલું જ કુખ્યાત છે. એમપી-થ્રી પ્લેયર, એલસીડી સ્ક્રીન, ફેન્સી લાઇટિંગ્સ, કેમેરા જેવી અઢળક વસ્તુઓ મનિષ માર્કેટમાંથી ગ્રાહકોને વિશાળ રેન્જમાં મળી રહે છે. વળી, હેન્ડફ્રી, બ્લુટૂથ, મેમરી કાર્ડ, સ્માર્ટફોનના સ્ક્રીન ગાર્ડ જેવી પ્રમાણમાં ઓછી કીંમતની ચીજ-વસ્તુઓની ડિમાન્ડ ખૂબ રહે છે અને મનિષ માર્કેટ ગ્રાહકોની આ ડિમાન્ડને બરાબર પોષે છે.
હૈદરાબાદના ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજાર પણ અમેરિકાની કાળી યાદીમાં સામેલ છે. કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના વેંચાણ માટે વિખ્યાત આ માર્કેટમાં પાઇરેટેડ હાર્ડવેર-સોફ્ટવેરનું મોટાપાયે વેંચાણ થાય છે. દિલ્હીના નહેરુ પ્લેસની જેમ જ ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજારમાં ઘણા દુકાનદારો પોતાની નકલી પ્રોડક્ટમાં કસ્ટમરને છ માસથી લઈને એક વર્ષ સુધીનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે એ રીતે ગ્રાહકો લોભાઈ જાય છે. જોકે, ચીનોય ટ્રેડ સેન્ટર કે હોંગકોંગ બજારમાં જાલી ચીજ-વસ્તુઓ વેંચતા વેપારીઓ ગ્રાહકોને વોરન્ટી કાર્ડ આપવાને બદલે કાચી ચીઠ્ઠી આપી દેતા હોય છે.
ભારત પછી ચીન પોતાના પાંચ નકલી માર્કેટ સાથે આ યાદીમાં બીજા ક્રમાંકે છે. ઈન્ડોનેસિયામાં પણ સોફ્ટવેર અને હાર્ડવેરનું મોટું નકલી માર્કેટ ધ્યાનમાં આવ્યું છે. આમ તો આખા વિશ્વમાં અલગ અલગ ચીજ-વસ્તુઓનું ફરેબી માર્કેટ ઉપલબ્ધ છે, પણ એશિયામાં ભયનજક રીતે વધતા પાઇરેટેડ માર્કેટ સામે અમેરિકા વિશ્વ વ્યાપાર સંઘમાં ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં જણાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભારતીય સરકાર આ નકલી માર્કેટ સામે લાલ આંખ કરે છે કે કેમ?
Sunday, 23 February 2014
Posted by Harsh Meswania
Tag :

૧૯૮૬: રૃકી રૃકી સી જિંદગી


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
બાળકોને ગેજેટ્સના આદી બનતા કેમ અટકાવવા? એ સવાલનો જવાબ શોધવા એક માતા-પિતા જાણે આજે પણ૧૯૮૬નું વર્ષ ચાલતુ હોય એ રીતે જ જીવન જીવે છે. તેમની જીવનશૈલી ત્યાં જ રોકાઈ ગઈ છે

'બેટા હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું, તારે સાથે આવવું છે?' એક પિતા તેના પાંચ વર્ષના બાળકને ખૂબ પ્રેમ પૂર્વક પૂછે છે.
'ના, મને ઘરની બહાર જવાની જરાય ઈચ્છા નથી' બાળકે પિતા સામે જોયા વગર જ ઉત્તર આપ્યો.
'પણ બેટા હું જ્યાં જઈ રહ્યો છું એ જગ્યા ખૂબ જ સુંદર છે, તેં એવી જગ્યા ક્યારેય નહીં જોઈ હોય' પિતા તેના પુત્રને સાથે લઈ જવા માટે મનાવવાની પૂરી કોશિશ કરતા હોય એવી રીતે કહે છે.
'ઓકેય ડેડ, પણ મેં કહ્યુંને કે મારે ઘરની બહાર ફરવા જવામાં ટાઇમપાસ નથી કરવો' પુત્રએ થોડા અણગમા સાથે પિતા સામે જોઈને કહ્યું.
'ફાઇન પણ તો અહીં શું કરીશ? એના કરતા મારી સાથે ચાલ તને યાદગાર પ્રવાસનો અનુભવ થશે, ત્યાં કેટલાં બધા પ્રાણી-પક્ષીઓ સાથે તને ગમ્મત કરવા મળશે' પિતાએ ફરી વખત લાગણીસહ પુત્રને સાથે લઈ જવાની વાતને દોહરાવી.
'હું અહીં મારા આઇપેડ સાથે સમય પસાર કરીશ' પુત્રએ પિતાની સાથે ન જવાનું મજબૂત કારણ રજૂ કરી દીધું.
 સામાન્ય રીતે જ્યારે નાનકડા પુત્ર સાથે પિતાને આવો વાર્તાલાપ થાય ત્યારે આટલેથી વાત પૂરી થઈ જતી હોય છે, પરંતુ અહીં આ વાત પિતાના મનમાં અંદર સુધી ખટકી ગઈ. પિતાને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. પિતા બહાર જતા હોય અને તેને સાથે ન લઈ જાય ત્યારે જે રીતે જીદ પકડીને ગમે તેમ કરીને સાથે જતો એ દિવસો સ્મૃતિપટ પર તાજા થઈ ગયા. તેને લાગ્યું કે આજની આ ટેકનોલોજી બાળકોને ઘરની બહારની સુંદર દુનિયા સાથે તાદામ્ય સાધવામાં બાધારૃપ બની રહી છે. પણ તો એનું કરવું શું? એ બરાબર વિચારે ચડયો. આ વાત તેણે તેની પત્નીને પણ કરી. પતિ-પત્ની બંને એક વાતે સહમત થયા કે આ અત્યાધૂનિક ગેજેટ્સ આપણા બાળકોનું બાળપણ ઝૂંટવી રહ્યાં છે. એના માટે કશુંક કરવું જોઈએ. વિચારતા વિચારતા બંનેને ઉકેલ મળી ગયો. ઉકેલ કંઈક એવો હતો કે બાળકોને આધૂનિક ઉપકરણોનું વળગણ ન થાય એની ખાસ તકેદારી રાખવી. ઘરમાં નવા ગેજેટ્સ ન ખરીદવા. બંને પતિ-પત્નીએ બાળકો સાથે સમય પસાર કરવો. પ્રકૃતિ સાથે બાળકોનો પરિચય કરાવવો. સૌથી મહત્ત્વની વાતઃ પોતે જે પરિસ્થિતિમાં મોટા થયા હતા એ જ સમયગાળામાં જઈને બાળકોને કેળવવા. એ પણ ટાઇમ મશીનની મદદ વગર!
* * *
સ્થળ: કેનેડાના ગુએલ્ફ નામના ટાઉનમાં આવેલું એક નાનકડું પણ સુઘડ ઘર
સમય: ફેબુ્રઆરી, ૨૦૧૪
ઘરમાં થઈ રહેલી પ્રવૃત્તિ: એક પાંચેક વર્ષનો છોકરો, બે વર્ષની છોકરી અને તેના માતા-પિતા ઘરમાં બેસીને કશીક રમૂજ કર્યા પછી હસી રહ્યાં છે. ચારેયના હસવાના અવાજના ઘરમાં પડઘા પડી રહ્યાં છે.
ઘરનો માહોલ: ઘરમાં જૂના મોડેલનું ટેલિવિઝન છે, છતાં કેબલની સવલત નથી. વીડિયો જોઈ શકાય એવી પ્રાથમિક સુવિધા છે ખરી, પરંતુ ઘરમાં ડીવીડીનો અવશેષ પણ જોવા નથી મળતો. બાળકો માટે વીડિયો ગેઇમ્સ છે, પણ એક્સબોક્સીસ નથી. ઘરના એક ખૂણામાં ટેબલ પર લેન્ડલાઇન ફોન છે, પણ ક્યાંય સ્માર્ટફોન નથી દેખાતો. કમ્પ્યુટર રાખવાના એક ટેબલ પર ફેક્સ મશીન ગોઠવેલું પડયું છે. બાળકોના મનોરંજન માટે અલગ અલગ ચિત્રવાર્તાઓનો ખજાનો તૈનાત કરાયો છે. એની બરાબર પાસે પુસ્તકોનો કબાટ રખાયો છે. એ કબાટમાં સ્થાન પામનારા પુસ્તકોની લાયકાત એ હતી કે એ તમામ ૨૭ વર્ષ પહેલા કે એનાથી પણ જૂના સમયમાં પ્રકાશિત થયેલા હતા. 

પરિવારના એકેય સભ્યને ઈન્ટરનેટ સાથે દૂર સુધી કોઈ કનેક્શન હોય એવું જરાય નથી લાગતું. ફેસબૂક-ટ્વિટરની તો કલ્પના પણ વધુ પડતી છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો તેની પાસેથી મોબાઇલ લઈને એક પેટીમાં મૂકી દેવામાં આવે છે. જતી વખતે એ મોબાઇલ મુલાકાતીને પરત કરી દેવાય છે. ઘરમાં આવનારા મહેમાનોને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવે છે કે તાજેતરની કોઈ ઘટનાઓનો ઉલ્લેખ સુદ્ધા ન કરવો. અખબારોમાં છપાયેલા સમાચારોની કોઈ ચર્ચા ન કરવી. દિવાલ પર ૧૯૮૬નું કેલેન્ડર લટકતું જોઈ શકાય છે.
* * *
આ વાત છે કેનેડાના ગુએલ્ફમાં રહેતા ચાર સભ્યોના એક પરિવારની. પરિવારના મોભી બ્લેઇર મેકમિલન અને તેની પત્ની મોર્ગન છેલ્લા છ માસથી પાંચ વર્ષના પુત્ર ટ્રેય અને બે વર્ષની પુત્રી ડેન્ટોન સાથે ૧૯૮૬ના વર્ષ મુજબની જીવન શૈલીથી જીવન વિતાવી રહ્યાં છે. અત્યાધૂનિક ગેજેટ્સના આદી બની રહેલા બાળકોને પ્રકૃતિના ખોળામાં ઉછેરવાના હેતુથી બંનેએ જ્યારે આ રાહ પકડયો ત્યારે પરિવારજનો અને મિત્રોએ તેના નિર્ણયની તીખી ટીકા કરી હતી. મેકમિલન દંપતીને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા હતા. નજીકના મિત્રોએ સલાહ આપી હતી કે માત્ર બાળકોનું વિચારીને પોતાની કારકિર્દી દાવ પર ન લગાવાય. પરિવારના સભ્યોએ બ્લેઇરને આર્થિક સંકળામણનો ભોગ બનવું પડશે એવી ચેતવણી આપી હતી. કેટલાકે તો એવી અટકળ પણ બાંધી લીધી હતી કે 'છોને હમણાં આ રીતે રહેતા, થોડા દિવસોમાં સાન ઠેકાણે આવી જશે એટલે બધુ રાબેતા મુજબ જ કરવા લાગશે' એ વાતને આજ કાલ કરતા આ મહિનામાં છ માસ જેટલો સમય વીતી ગયો છે.
છ માસ પછી મેકમિલન દંપતીએ પોતાના અનુભવો વિશે હમણાં જાહેરમાં વાત કરી હતી. છ મહિના પછી તેમને લાગે છે કે તેમણે લીધેલો એ નિર્ણય યોગ્ય જ હતો. કેમ કે, ભૂતકાળ પ્રમાણેની પ્રથા મુજબ જીવવું એ ૧૯૮૬ના વર્ષનું કેલેન્ડર દિવાલ પર લટકાવી દેવા જેટલું સરળ કાર્ય નહોતું. ડગલે ને પગલે પડકારો હતા અને પડકારોમાંથી જીવનના કંઈ કેટલાય નવા પાઠ શીખવા મળ્યા. નાનકડાં બાળકોને થોડા સમયમાં જે ગેજેટ્સની આદત પડી ગઈ હતી તે ભૂલાવવા જેટલું જ કે કદાચ એથીય વધુ અઘરું પોતાને પડેલી વર્ષોથી પડેલી આધૂનિક ઉપકરણો વાપરવાની ટેવ ભૂલાવવાનું કામ હતું, જેમાં મેકમિલન દંપતી ખરા ઉતર્યા. શરૃઆતમાં બાળકોની ગેજેટ્સ વાપરવાની જીદને હકારાત્મક રીતે પુસ્તકો વાંચવા કે બીજી પ્રવૃત્તિ કરવા તરફ વાળી. બીજી તરફ કપડા પહેરવાની સ્ટાઇલ કે ઈવન હેરસ્ટાઇલ સુદ્ધા ૧૯૮૬ અનુસાર કરી. પછીના પડકારોમાં આર્થિક પાસુ ઉમેરાયું. આધૂનિક ઉપકરણો સાથે કે આજની દુનિયા સાથે સંપર્ક ન રહે તો સ્વાભાવિક રીતે જ રોજગારીની સમસ્યા વિકરાળ બની જાય. બ્લેઇર મેકમિલને બાળકો ખાતર પોતાનો જામી રહેલો બિઝનેસ કોરાણે મૂકી દીધો હતો. જોકે, બાળકોના બાળપણને યાદગાર બનાવવા મથતા આ દંપતીએ આર્થિક સમસ્યાને કૂનેહપૂર્વક ઉકેલી લીધી. સાદાઈથી થઈ શકે એવા નાના મોટા કામો શરૃ રાખ્યા. સામે ઈન્ટરનેટ રિચાર્જ-મોબાઇલ ટોકટાઇમ રિચાર્જ અને મલ્ટીપ્લેક્સ સિનેમાનો ખર્ચ ઘટયો હતો એટલે એ રીતે થોડી રાહત પણ હતી. આધૂનિક કહી શકાય એવી એક જ વસ્તુ પાસે રાખી છે-૨૦૧૦ના મોડેલની કાર. જેમાં ચારેય જણા અવારનવાર દૂર સુધી પ્રકૃતિની નિશ્રામાં ફરવા નીકળી પડે છે. હવે તો ટ્રેય અને ડેન્ટોન પ્રાણી-પક્ષીઓ વિશે પુસ્તકોમાં અઢળક વાંચી લે છે અને પછી થોડા થોડા દિવસે ક્યાંક જંગલ જેવા પ્રદેશમાં પ્રાણીઓ પાસે જવાની જીદ પકડે છે. મેકમિલન દંપતી હસતા મોઢે બાળકોની એ જીદને પોષે છે. એ માત્ર બાળકોની જીદને જ નથી પોષતા, પણ તેના બાળપણને પોષે છે, કદાચ પોતાના બાળપણને પણ પોષે છે. છ માસ પછી મેકમિલન દંપતીને થોડા રસપ્રદ પ્રશ્નો પૂછાયા હતા. એમાંનો એક પ્રશ્ન હતો કે આ રીતે ક્યાં સુધી ચલાવશો? એમનો જવાબ હતો કે એ નક્કી નથી કર્યું. કદાચ એક વર્ષ, બે વર્ષ કે પાંચ વર્ષ. બીજો પ્રશ્ન હતોઃ તમે ૧૯૮૬નું વર્ષ જ કેમ પસંદ કર્યું? આ જવાબમાં છૂપાયું હતું તેમના આ અનોખા સાહસનું રહસ્ય. તેમણે કહ્યું હતું કે 'અમારા બંનેનો જન્મ ૧૯૮૬માં થયો છે. એટલે અમે એ વર્ષ પસંદ કર્યું છે. અમે અમારા બાળકોનું બાળપણ ગેજેટ્સથી દૂર જઈને ખીલવવા માંગીએ છીએ એ પાછળ થોડો અમારો પણ સ્વાર્થ હશે. આ દિવસોમાં કદાચ અમે અમારું બાળપણ શોધીએ છીએ. અમે એ પણ શોધીએ છીએ કે અમારા માતા-પિતાએ અમારો ઉછેર કેવી પરિસ્થિતિમા કર્યો હશે. કદાચ અમારી આ જર્નીમાં અમને અને બાળકોને બંનેને પોત-પોતાનું બાળપણ મળી જાય!'

Sunday, 16 February 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -