Archive for 2011

દરરોજ ૨૦૦ વખત મોતને હાથતાળી આપે છે ૧૦૮



૨૯મી ઓગસ્ટ ૨૦૦૭થી ગુજરાતમાં દર્દીને કટોકટી સમયે પળતી હોસ્પિટલ પૂર્વેની સારવારનો નવો યુગ શરૃ થયો. કોલ કરો એટલે ગણતરીની મિનિટ્સમાં દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ આવી જાય અને હોસ્પિટલ સુધી દર્દી પહોંચે એ પહેલા જ પ્રાથમિક સારવાર પણ આ એમ્બ્યુલન્સમાં જ મળી જાય. વળી આ કોઈ પ્રાઈવેટ કંપનીની કોર્પોરેટ સ્ટાઈલથી પૈસા વસૂલીને મળતી સુવિધા નહોતી પરંતુ ગરીબ દર્ર્દીઓ વિનામૂલ્યે આ સવલતનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા હતી! માત્ર ફોન કરો, સાચુ લોકેશન કહો, દર્દી કહો અને દર્દીને આશ્વાસન આપો એટલી જ વારમાં એમ્બ્યુલન્સ તેની મેડીકલ ટીમ સાથે દર્દીની સામે આવીને ઉભી રહી હોય. ગુજરાતમાં અને ભારતમાં બધા જ કામ માટે રાહ જોઈને થાકતા પ્રજાજનો માટે આજ પર્યન્ત આ એક સર્વિસ સુખદ આશ્ચર્ય  બની રહી છે!!

યેસ! આપણે અહીં ટોલ ફ્રી નંબર ૧૦૮થી મળતી એમ્બ્યુલન્સ કમ મેડીકલ  સેવાની વાત માંડી છે! આ વાતને આગળ વધારતા પહેલા એ પણ જાણી લઈએ કે મોટા ભાગના ગુજરાતીઓ માને છે કે આ સુવિધા ગુજરાત સરકાર પૂરી પાડે છે તો આ અર્ધત્ય છે અને બીજુ કે આ એમ્બ્યુલન્સ કમ મેડીકલ સેવા ગુજરાત સિવાય પણ બીજા ૧૦ રાજ્યોમાં કાર્યરત છે. ૧૦૮ સેવા ગુજરાત સરકારના નામે ચડાવી દેવામાં પાવરધા પ્રસિધ્ધિ ભુખ્યા રાજકારણીઓ અને અમલદારોના કારણે ગુજરાતની જનતાને ભાગ્યે જ એ ખબર હશે કે ગુજરાત સરકાર તો આ સેવામાં ભાગીદાર છે અને પુરેપૂરો યશ લઈ શકે નહીં! જી.વી.કે. ઈ.એમ.આઈ. અને જે તે રાજ્ય સરકારનું સંયુક્ત સાહસ એટલે ૧૦૮. ગુજરાતમાં પણ આ સંસ્થા અને રાજ્ય સરકારની ભાગીદારીથી આમ જનતાને ૧૦૮ જેવી ગુણવત્તાસભર મેડીકલ સુવિધા મળી રહી છે. મજાની વાત એ છે કે ભારતના ૧૧ રાજ્યોમાં કાર્ય કરતી ૧૦૮ સેવાની સરાહના આરોગ્યની ચિંતા કરતી અમુક વૈશ્વિક સંસ્થાઓના તજજ્ઞોએ પણ કરી છે, અને સમગ્ર ભારતમાં આ સુવિધા લાગુ પાડવાનો મત પણ વ્યકત થયો છે. વિશ્વમાં માનવ આરોગ્યની ફીકરી કરતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો ભારત સરકાર આરોગ્યની બાબતમાં બેદરકાર  હોવાનો મત અવારનવાર વ્યકત કર્યો છે, પરંતુ એ હકીકતનો પણ સ્વીકાર કર્યો જ છે કે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવાના વિકાસ બાદ અમુક રાજ્યોની આરોગ્ય સુખાકારી વધુ સારી રીતે બહાર આવી રહી છે. ૧૦૮નો લાભ લઈને કટોકટી પળમાંથી ઉગરેલા દર્દીઓ જ સાચુ મૂલ્યાંકન કરી શકે અને એ જ સાચો મત  આપી શકે એ રીતે જોવામાં આવે તો આવો જ એક પ્રસંગ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે યોજાયો હતો. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોનનો ૧૦૮ લાભાર્થીઓનો સન્માન સમારોહ રાજકોટમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ખરેખરી જીવલેણ કટોકટીમાંથી ઉગરેલા ૧૧૦ લાભાર્થીઓએ ૧૦૮ની ખરા સમયની જરૃરીયાત અને વિશ્વસનીયતાની પ્રશંસા ખરા દિલથી કરી હતી.

 ૫૦૬ એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતના બધા જિલ્લાઓમાં કાર્યરત ૧૦૮ સેવા ગુજરાતની છ કરોડ ઉપરાંતની જનતાને કટોકટી વેળાની મેડીકલ સવલત પુરી પાડે છે. ત્રણ વર્ષ જેવા ટૂંકા ગાળામાં વિશ્વસનીયતા હાંસિલ કરવાની સાથે સાથે ૨૩ લાખથી પણ વધુ ઈમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. એટલું જ નહીં જીવલેણ પરિસ્થિતિમાં ૧,૧૫,૩૨૯ જિંદગીને ઉગારી લીધી છે. આજે ૧૦૮ પ્રતિદિન ૨૫૦૦ ઈમરજન્સી કોલને પ્રતિભાવ આપે છે જે પૈસા ૨૦૦ વ્યક્તિઓને સાચે જ મોતના મુખમાંથી આંચકી લે છે!

અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સમાં જ થઈ છે ૨૦ હજાર પ્રસુતિ
આ સેવા આશીર્વારૃપ બની હોય તો પ્રસુતિની બાબતમાં. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર હોય, બિસ્માર રસ્તા હોય, ધાર્યુ વાહન મળતુ ન હોય અને એમાંય હોસ્પિટલની સારવાર ૩૦ કે ૪૦ કિલોમીટરના અંતરે હોય ત્યારે દર્દીને અને ખાસ કરીને પ્રસુતાને હોસ્પિટલ સુધી પહોંચાડવી એ તો જેના પર વીતી ચૂકી હોય એ જ જાણે! આ સ્થિતિમાં ગણતરીની મિનિટસમાં પહોંચીને ૧૦૮ એમ્બ્યુલન્સે જે ક્રાંતિ સર્જી છે એ ખરેખર સરાહવા યોગ્ય છે. ગુજરાતની અનેક પ્રસુતા બહેનોની પીડા ઓછી કરવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો અનોખો ફાળો છે. ૧૦૮ સેવાના ઉદય પહેલા પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામનારી મહિલાઓ અને બાળકોના મૃત્યુ દરનો તફાવત ઉડીને આંખે વળગે એવડો મોટો હતો. આપણે ૧૦૮ સેવાની સૌરાષ્ટ્રભરના જિલ્લાઓની વિવિધ ઈમરજન્સી અંગેની સ્થિતિનો ચિતાર પણ મેળવીએ.

રાજકોટઃ જિલ્લાની ૩૮ લાખથી પણ વધુ જનતાને ૨૬ એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સેવા પુરી પાડવામાં આવે છે. એક લાખ એકતાલીસ હજારથી વધુ ઈમરજન્સીને પ્રતિસાદ આપીને રાજકોટ પંથકમાં ૧૦૮ દ્વારા ૭,૮૧૧ જીવલેણ પરિસ્થિતિમાં સપડાયેલા દર્દઓને નવજીવન મળ્યું છે. આડત્રીસ હજાર ઉપરાંત પ્રસુતિઓ વખતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળ્યો છે. એટલું જ નહીં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાને કટોકટી પળોની સારવાર આપવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કારગત નિવડી છે. આ ઉપરાંત હૃદયરોગ અને શ્વાસોચ્છાવાસની ગંભીર સ્થિતિ વેળાએ આ સુવિધા ૧૭ હજાર હૃદયને ધબકતા રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવીને યોગ્ય સમયે હોસ્પિટલની સારવાર અપાવી છે.

જૂનાગઢઃ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ૨૩ એમ્બ્યુલન્સ ૨૪ કલાકની સેવા પુરી પાડે છે. ત્રણ વર્ષમાં એક લાખ દર્દીઓને કટોકટીની ગંભીર સ્થિતિ વખતે ૧૦૮ એમ્બ્યુલન્સનો લાભ મળ્યો છે. જેમાં પ્રસુતિ સમયે એકતાલીસ હજાર, માર્ગ અકસ્માત વખતે તેર હજાર, જીવલેણ પરિસ્થિતિ વખતે પાંચ હજાર તેમજ હૃદયરોગ અને શ્વાસોચ્છવાસની બિમારી વખતે ૧૪ હજાર દર્દીઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ પંથક પ્રસુતિ વખતે ૧૦૮ નો લાભ મળવવામાં બીજા ક્રમાકે છે. આ વિસ્તારમાં પ્રસુતાઓની જિંદગી બચાવવા માટે ૧૦૮ સેવાનો લાભ લેવાની સવિશેષ જીગૃતિ જોવા મળી છે.

જામનગરઃ જામનગર જિલ્લાની ૨૧ લાખ જેટલી જનતાને ૧૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સેવા આપવામાં આવે રહી છે. અત્યાર સુધીમાં ૭૦ હજાર ઈમરજન્સીને પ્રતિસાદ સાંપડયો છે. ૨૩ હજાર પ્રસુતિ સંબંધિત, ૧૦ હજાર માર્ગ અકસ્માતનો ભોગ બનનારાઓએ ૧૦૮ સેવાનો લાભ લીધો છે તો વળી અન્ય દસ હજાર વ્યક્તિઓને ગંભીર જીવલેણ સ્થિતિ કે હૃદયની ગંભીર બિમારી વખતે આ એમ્બ્યુલન્સ મોતના મુખમાંથી પાછા ખેંચી લાવીને નવી જિંદગી આપવામાં સફળ છે.

પોરબંદરઃ પાંચ એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાની જનતાની સેવા કરી રહી છે. અત્યાર સુધીમાં પ્રસુતિ વખતે પાંચ હજાર માર્ગ અકસ્માત સમયે બે હજાર ઉપરાંત જીવલેણ પરિસ્થિતિ સમયે એક હજાર, જ્યારે હૃદયરોગ અને શ્વાસ સંબંધિત ગંભીર કટોકટી વખતે ત્રણ હજાર જિંદગી બચાવવાનું કાર્ય આ જિલ્લામાં ૧૦૮ સેવાએ કર્યું છે.

ભાવનગરઃ ભાવનગરમાં એક લાખ ઈમરજન્સી પ્રતિભાવ ૨૩ એમ્બ્યુલન્સ થકી મળી શક્યો છે. પ્રસુતિના તેતાલીસ હજાર કિસ્સાઓમાં ૧૦૮નો લાભ લેવાની જાગૃતિમાં ભાવનગર અવ્વલ સ્થાને રહે છે. પ્રસુતિ ઉપરાતં રોડ એક્સિડેન્ટ વખતે ચૌદ હજાર, ગંભીર પળો વખતે છ હજાર, હૃદયરોગ અને શ્વાસની બિમારી સમયે તેર હજાર ઈમરજન્સી આ મેડીકલ કમ એમ્બ્યુલન્સ સેવાએ નિવારી છે.

અમરેલીઃ અમરેલી પંથકમાં ૧૮ એમ્બ્યુલન્સ દ્વારા આશરે પંદર લાખ લોકોની સેવા કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં ૬૫ હજાર ઈમરજન્સીમાં ૧૦૮ની સેવા મળી રહી છે. જેમાં ત્રીસ હજાર તો માત્ર પ્રસુતિ વખતે જ મળી રહી છે. એટલે કે અડધો અડધ પ્રતિભાવ પ્રસુતિની ઈમરજન્સીને સાંપડયા છે. આ સિવાય આશરે ૧૦૮ હજાર પ્રતિસાદ માર્ગ અકસ્માત, હૃદયરોગ, શ્વાસોચ્છવાસ અને ગંભીર પરિસ્થિતિ વખતે ૧૦૮ સેવાએ આપ્યો છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૯ હજાર ઈમરજન્સી સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ બખૂબી સેવા પુરી પાડી છે. રોડ એક્સિડેન્ટમાં ૯ હજાર, પ્રસુતિમાં ૨૮ હજાર, હૃદયરોગમાં ૨ હજાર અને ગંભીર ક્ષણો વખતે બે હજાર પાંચસો જિંદગી ૧૦૮ એમ્બ્યુલન્સે આ જિલ્લામાં બચાવી છે. સુરેન્દ્રનગર પંથકમાં ૧૪ એમ્બ્યુલન્સ દ્વારા ૧૭ લાખ લોકોને સાંકળતી આ ઈમરજન્સી સેવા ખરેખર આશીર્વાદરૃપ બની રહી છે.
Monday 1 August 2011
Posted by Harsh Meswania
Tag :

હમ તો ઈસ આગ સે પહેલે હી જલ ગયે થે!


 બ્લુટૂથ - હર્ષ મેસવાણિયા
કચ્છમાં રાપર તાલુકાના લોઢાણી ગામના જબ્બરદાનભાઈ કેશવદાનભાઈ ગઢવી નામના ૫૦ વર્ષિય અરજદારે થોડા દિવસો પહેલા તંત્રની તાનાશાહીથી કંટાળીને મામલતદાર કચેરીના પટાંગણમાં જ જાત જલાવીને આત્મવિલોપન કર્યું. આપણું વહિવટી તંત્ર કેટલી જાડી ચામડીનું છે એ આ ઘટનાથી વધુ એક વાર સામે આવ્યું. કોઈ એક પ્રશ્નનો નિકાલ કરવા માટે અનેકવારની રજૂઆત પણ કારગત નિવડતી નથી અને છેલ્લે કાં તો અરજદાર એ પ્રશ્ન જ પડતો મુકી દે છે અથવા તો આ કિસ્સામાં જેમ બન્યું એમ તંત્રના જડ વલણ સામે વિરોધની ચરમ સીમારૃપ જાન સટોસટની બાજી ખેલવાનો વારો આવે છે! ન્યાય મેળવવા માટે લડત આપતા માણસે ખૂદની આહૂતિ આપવી પડે પછી કદાચ પ્રશ્નોના નિકાલ થઈ જાય તો પણ શું કામનુંસ્થળ પર જ સમસ્યાનો નિકાલ કરવાનું કહેતાં અને કામ કરતી સરકારનું ગાણું ગાતા નેતાઓ-અધિકારીઓના જડબા પર ઉંઘમાંથી જાગવા માટેનો આ કચકચતો તમાચો નથી તો બીજુ શું છે?

મૂળ લોઢાણીના વતની અને હાલ રાપર ખાતે રહેતાં જબ્બરદાન ગઢવીની વડીલોપાર્જીત જમીન ખોટા દસ્તાવેજો બનાવીને વેચી મારવામાં આવી હતી. આ માટે અનેકવારની ઉચ્ચ રજૂઆત પછી પરિણામ શૂન્ય રહેતાં અરજદારે માહિતી અધિકારના કાયદા હેઠળ આ અંગે માહિતી માંગી હતી. એક વર્ષ ઉપરાંતના સમયમાં વાંરવાર માહિતી આપવા રજૂઆતો કરવામાં આવી હતીપરંતુ તલાટી મંત્રીથી લઈ મામલતદાર સુધી ક્યાંય તેમની વાતને કાને ધરાઈ ન હતી. અંતે ગળે આવી ગયેલા અરજદારે મામલતદાર ક્ચેરીનાં પટાંગણમાં જ જીવતા સળગી જઈ તંત્રના આપખૂદશાહી વલણનો વિરોધ નોંધાવ્યો. આ ઘટનાથી તંત્ર સામે ફાટી નીકળેલા જનાક્રોષને ધ્યાનમાં લઈને તાકિદની અસરથી તલાટી મંત્રીને સસ્પેન્ડ કરાયા અને પી.આઈ.ની બદલીઓ કરવામાં આવી. કલેક્ટરડે.કલેક્ટર અને રાજ્યમંત્રી પરિવારજનોને સાંત્વના આપવા દોડી આવ્યા તેમજ જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવાની ખાતરી પણ આપી દીધી. જોકે, ખાત્રી આપેલું સાચુ પડે ત્યારે ખરું!
આ બનાવ અંગે અમે જબ્બરદાનભાઈના પરિવારજનો સાથે વાત કરી અને જે સુર ઉઠયો એ કંઈક આ પ્રકારનો હતો કે અમુક અધિકારીઓની બદલી કરવાથી કે સસ્પેન્ડ કરવાથી અમને ન્યાય નથી મળી જવાનોઅમારા પરિવારના સભ્યએ ન્યાય મેળવવા જાત જલાવી દીધી અને તો ય હજુ જે લડત ચાલતી હતી એનો ઉકેલ મળશે કે કેમ એ પ્રશ્ન તો સામે ઊભો જ છે. નવા આવનારા અધિકારીઓ અમારી વાત સાંભળશે એની શી ખાત્રી?
અરજદારના પરિવારજનોની આ દહેશત વાજબી પણ છે. માહિતી અધિકાર હેઠળ પણ એક-એક વર્ષથી માહિતી મળતી ન હોય ત્યારે પરિસ્થિતિની ગંભીરતા સમજાય એવી છે. અધિકારીઓની તબદિલીથી સિસ્ટમ બદલી નથી જવાની એ પણ એટલી જ સાચી વાત છેકારણ કે મૂળે તો આ અધિકારીઓની માનસિકતાનો મુદો છે.
એક બાજુથી સરકાર માહિતી અધિકારના કાયદાનો પ્રસાર પ્રચાર-કરવાની તરકીબો કરે છે અને બીજી બાજુ કોઈ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગે તો એની બૂરી વલે થાય છે. (અમિત જેઠવાનો કેસ હજુ તાજો જ છે!!) માહિતી અધિકાર તો જાણે કંઈ મોટો ગુનો કરતાં હોય એવી રીતે લેવો પડે છે. નાનકડા ગામડામાં કે નાના-નાના શહેરોમાં કોઈ વિષય પરત્વે માહિતી માંગનાર સામે અનેક સમસ્યા ખડી થાય છે.  ધણી વખત રાજકીય હેતું માટે આવુ કરતાં હોવાનું લેબલ લાગી જાય છે અથવા તો રાજકીય દબાણ આવવા લાગે. જાગરૃક નાગરિક તરીકે માહિતી મેળવવાનો એનો અધિકાર છે એવું નથી અધિકારીઓ સમજતા કે નથી નેતાઓ સમજતા! સાડા પાંચ કરોડની જનતા અડધી રાતે પણ દ્વાર ખટખટાવી શકે છે એમની જ સરકારના ધારાસભ્યોના કે અધિકારીઓના દ્વાર દિવસે ય ખટખટાવી નથી શકાતા!!
'જાગો ગ્રાહક જાગો'ના નારા લગાવતા અને માહિતી અધિકાર મેળવીને જાગ્રત નાગરિક બનોની વાતો કરતી સરકારે આ બધાની ભીતરમાં ચાલતા લોલંમલોલ સામે પ્રથમ કામ લેવું પડશે! બહારથી જેટલો પ્રચાર-પ્રસાર માહિતી અધિકારના કાયદાનો થાય છે એટલુ જ અંદર ખોખલુ વાતાવરણ છે. કાં તો માહિતી અપાતી નથી અથવા રાજકીય દબાણ કરવામાં આવે છે અને કાં તો પછી આટલી માહિતી જ ઉપલબ્ધ છેએવું કહીને અધુરી વિગતો આપી દેવાય છે.

આ કિસ્સો તો એટલા માટે સામે આવ્યા કે મામલતદાર ક્ચેરીએ આત્મ વિલોપન થયું, પરંતુ માહિતી અધિકાર હેઠળ કશીક માહિતી માંગ્યા પછી એ વાત જ પડતી મુકનારની સંખ્યા ખૂબ મોટી છે. આ કિસ્સામાં જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યો કે બદલીઓ કરી એ તો માત્ર નમૂનારૃપ છે. હકીકતે તો આવી જ એક જમાત વહિવટી તંત્રમાં છે. જે સરકારના તમામ લાભો લે છે અને તો ય ૨૦ ટકા કામ પણ નથી કરતાં. સરકાર દ્વારા ક્યાંય ખાત-મુર્હુત કરવાનું હોય કે સરકારી પ્રચારનો કાર્યક્રમ હોય તો હસતા મોઢે ફોટા ખેંચાવશે. બાકી આડા દિવસે કંઈક કામ માટે ક્ચેરીએ જતા અરજદારોના અનુભવો છે કે સરકારી કામ એક દિવસમાં તો ન જ પતે! વિદ્યાર્થીઓને ઉપયોગી ક્રિમિલિયર માટે પણ ત્રણ-ચાર દિવસની રાહ જોવી પડે એવી સ્થિતિ પ્રવર્તે છે. તમારૃ બધુ થઈ ગયુ છે બસ ખાલી સાહેબ રજા પર છે એટલે સહી નથી થઈ આવુ લગભગ ક્ચેરીઓમાં સાંભળવા મળે છે.
ઉપરોક્ત ખેડૂતનો કિસ્સો તલાટી મંત્રીના કારણે બન્યો હોવાનું ચર્ચાય છે અને એ માટે તલાટી મંત્રીને ફરજ પરથી બરતરફ પણ કરવામાં આવ્યા છે. તલાટી મંત્રીની બાબતમાં પણ દરેક જગ્યાએ સમાન સમસ્યાઓ સાંભળવા મળે. અમુક ગામડાઓમાં તો એક-એક સપ્તાહ સુધી તલાટી દેખા જ ન દે! કારણ કે એક તલાટી ઘણાં કિસ્સાઓમાં ત્રણ-ત્રણ ગામનો ચાર્જ સંભાળતા હોય અથવા તો ગ્રામ્ય પંથકમાં એ સ્થિતિ સ્વીકારી લેવામાં આવતી હોય છે. તલાટી મંત્રીની ગેરહાજરીના કારણે પોતાના કામો લોકો દિવસો સુધી મૂલત્વી રાખે છે. લોકો તેમના અધિકાર પ્રત્યે સભાન થાય એ જરૃરી છે જ પરંતુ એથી ય વધુ જરૃરી તો એવું વાતાવરણ નિર્માણ કરવાની છે. માન્યુ કે બધે જ સાવ આવી પરિસ્થિતિ નથી અને કામ કરતાં અધિકારીઓ છે જ પણ એનાથી સંતોષ લઈ લેવાથી સ્થિતિ ક્યારેય નહીં સુધરે. અધિકારીઓને કામ કરવાનું વેતન મળે છે અને એટલે કામ કરે છે એમાંય સરકાર કામ કરતી હોવાનો જશ ખાટે છે. જેટલી બડાશો કામ કરવામાં આવે છે એની હાંકવામાં આવે છે એટલું જ કામ લોકો અધિકારો ભોગવતા થાય એવો માહોલ બનાવવા માટે પણ થવું જોઈએ.
ટોન નિસિવ્ડ
ઓઈલ ડોને કહ્યું અધિકારી લોનાવણે રેડ પાડવા નહીં હપ્તો લેવો આવ્યાં હતા અને ચકમક ઝરતાં સળગાવી દીધા.!

નાયક નહીં ખલનાયક હૂ મૈ...
(‘અરસપરસ’ મેગેઝિનમાં પ્રકાશિત)
Tuesday 1 March 2011
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -