Archive for May 2014

તોશાખાનાઃ દરબારી સોગાતોનો રસપ્રદ નજારો


નિવૃત્ત થયેલા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પ્રધાનમંત્રી નિવાસ છોડતા પહેલા તેમને મળેલી કેટલીક ગિફ્ટ્સ તોશાખાનામાં જમા કરાવી દીધી. આપણાં તોશાખાનામાં શું શું પડયું છે? કોણે કઈ વસ્તુ આપી છે? તોશાખાનામાં જમા થતી સોગાતોનું લાંબાંગાળે શું કરવામાં આવે છે?

વિદેશમંત્રાલયની રખેવાળી હેઠળ દિલ્હીની ઈમારતના ત્રણ ઓરડાંમાં વિવિધ મૂલ્યવાન વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવી છે. જે તે વસ્તુ ક્યાંથી-ક્યારે-કોણે-કોને આપી હતી તેની વિગતો પણ સાથે જ લખવામાં આવી છે. બહાર શોકેસમાં સમાવી શકાય એનાથી ઘણી વધારે વસ્તુઓ હાજર છે, પણ જગ્યાના અભાવે કેટલીક મહત્ત્વની વસ્તુઓને જ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રશિયાના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિને આપેલું રશિયન રાજા ઝાર નિકોલસ બીજાનું પેઇન્ટિંગ અને તેમણે ૧૮૯૦-૯૧માં કરેલી ભારતયાત્રાની વિગતો તેમજ ૧૬મી સદીમાં ભારતમાં ચલણી હોય એવા સિક્કાઓ પણ અહીં જોવા મળે છે. તો ભૂતાનના રાજાએ આપેલું લગભગ દોઢેક લાખ રૃપિયાની કિંમતનું ૪૦ ઈંચનું એલસીડી ટીવી પણ એ જ ઓરડાંમાં રખાયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આપેલું કાર્પેટ, ગલ્ફમાંથી મળેલી બ્રાન્ડેડ ઘડિયાળ અને સોનાનો નેકલેસ. આ અને આવી લગભગ એકાદ હજાર મૂલ્યવાન ચીજ-વસ્તુઓનો ખજાનો અહીં રાખવામાં આવ્યો છે. આ ઓરડાંઓને તોશાખાના તરીકે ઓળખવામાં આવે છે.
રાજાશાહીમાં એક બહુ પ્રચલિત રિવાજ હતો કે રાજા-મહારાજને મળવા માટે કોઈ અન્ય દેશના રાજા-મહારાજા આવે અથવા તો કોઈ સંદેશો મોકલાવે ત્યારે સાથે નજરાણામાં રાજાને ગમતો ઉપહાર પણ મોકલાવે. રાજાને ઉપહાર બહુ પસંદ આવી જાય તો ઉપહાર સાથે મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી મળી જાય એવો સ્પષ્ટ આશય ઉપહાર આપવા પાછળનો હતો. રાજાશાહીમાં રાજા-મહારાજાઓને મળતા નજરાણાનું નવું સ્વરૃપ એટલે લોકશાહીમાં મંત્રી-અધિકારીઓને મળતી વિવિધ પ્રકારની સોગાતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી કે અધિકારીઓ બીજા દેશની મુલાકાતે જાય અથવા અન્ય દેશના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી વગેરે આપણા દેશની મુલાકાતે આવે ત્યારે ભેટની આપ-લે થતી હોય છે. આપણે ઘણી વખત વાંચતા-સાંભળતા પણ હોઈએ છીએ કે અમુક દેશના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને ત્યાંની બહુ પ્રચલિત વસ્તુ ભેટમાં આપી અને સામે ભારતના વડાપ્રધાને પણ ભારતની ઓળખ સમી અમુક વસ્તુ તેમને ભેટ ધરી. આ ભેટની આપ-લે તેમના ખાનગી સંબંધોને કારણે નથી થતી, પણ એક-મેકના દેશના પ્રતિનિધિ તરીકે થાય છે એટલે તેમને મળેલી ગિફ્ટ પર પણ તેમનો અધિકાર હોતો નથી એ સ્વાભાવિક વાત છે.
સામાન્ય લોકોને મળતી ગિફ્ટમાં અને દેશના સત્તાધીશોને મળતી ગિફ્ટમાં ફરક એટલો છે કે લોકોને મળેલી ગિફ્ટ તેમની પોતાની છે જ્યારે સત્તાધીશોને સત્તાવાર મળેલી ગિફ્ટ દેશની છે. એટલે આ ગિફ્ટને લઈને એક કાયદો બન્યો છે એ મુજબ દેશના નેતા-અધિકારીઓને તેમની સત્તાવાર વિદેશ મુલાકાત વખતે મળતી સોગાતો અને ભારતમાં વિદેશી મહેમાનોની સત્તાવાર મુલાકાત વખતે મળતી સોગાતો જે-તે નેતા કે અધિકારીઓ પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે એ ગિફ્ટ્સ તોશાખામાં જમા કરાવવી પડે છે. પણ એ ગિફ્ટ પોતાની પાસે રાખવા માટે ય કાયદામાં જોગવાઈ છે.
                                                                        ***
નિવૃત્ત થયેલા વડાપ્રધાને પોતાને મળેલી સોગાતોમાંથી કેટલીક વસ્તુઓ પોતાની પાસે રાખી હતી. ૨૫૦૦ રૃપિયાની કિંમતનો એક ક્રોકરી સેટ તેમણે પોતાની પાસે રાખ્યો હતો. ૪૬૦૦ રૃપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતું કાર્પેટ, ૩ હજારની કિંમતનો એક મેટાલિક સેટ, ૪૮૦૦ રૃપિયાનો વૂડન સેટ અને એના જેટલી જ કિંમતનો શોપીસ. મનમોહન સિંહે આઠ-દસ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી અને એ તમામની કિંમત માંડ પાંચ હજાર થવા જતી હતી. એક રીતે પોતાને સત્તાવાર મળેલી ગિફ્ટ્સ મનમોહન સિંહ પોતાની પાસે રાખી શકે નહીં, પણ તેમ છતાં તેમણે આ સોગાતો પોતાની પાસે રાખી હતી અને તેનો એક પણ રૃપિયો તેમણે તોશાખાનાને ચૂકવવાનો થતો નથી. આવું કેમ?
જવાબ થોડો વિસ્તારથી સમજવો પડે તેમ છે. કાયદાની જોગવાઈ છે એ મુજબ ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારીને જે તે ગિફ્ટ પોતાની પાસે રાખવી હોય તો તેની માર્કેટ પ્રાઇઝ તોશાખાનાને આપી દેવાની હોય છે. એના માટે તેને ૩૦ દિવસનો વિચારવાનો સમય પણ આપવામાં આવે છે. તોશાખાનાની ગિફ્ટને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક એવી ગિફ્ટ કે જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે કે અમૂલ્ય ગિફ્ટ. જ્યારે બીજા પ્રકારમાં એવી ગિફ્ટનો સમાવેશ કરાયો છે જેની બજાર કિંમત નક્કી કરી શકાય છે. જેની માર્કેટ વેલ્યુ નક્કી કરી શકાતી હોય એવી વસ્તુઓ ગિફ્ટ મેળવનારા પોતાની પાસે રાખી શકે છે. ધારો કે અમેરિકા ચંદ્રની માટી આપણા વડાપ્રધાનને ભેટ આપે તો તે એની કોઈ કિંમત આંકી શકાય નહીં એટલે તે તોશાખાનાની શાન બની રહે છે, પણ જો બ્રાન્ડેડ ઘડિયાળ કે જ્વેલરી આપે તો તેની કિંમત આંકી શકાય છે એટલે તેની બજાર કિંમત ચૂકવીને ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. અથવા લાંબાંગાળે હરાજી થાય ત્યારે પણ આવી ચીજ-વસ્તુઓને વેંચવા કાઢવામાં આવે છે. 
આવી જ રીતે બે દશકા પહેલા એક હરાજીમાં તોશાખાનાની ઘણી ખરી વસ્તુઓ વેંચી નાખવામાં આવી હતી. હવે ફરીથી એકાદ હજાર વસ્તુઓ એકઠી થઈ છે. ગત વર્ષે તોશાખાનામાં જમા થયેલી ગિફ્ટમાં સૌથી વધુ ૫૪ ગિફ્ટ મનમોહન સિંહે જમા કરાવી હતી. ત્યાર બાદ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો ક્રમ આવતો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ૧૦ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ૯ અને પી. ચિદમ્બરમ્ે ૭ ગિફ્ટ જમા કરાવી હતી. દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે ૨૦૧૧માં આરટીઆઈથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 'ઘણા ખરા મંત્રીઓ-અધિકારીઓ ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી. કેબિનેટના ટોચના ૧૨-૧૫ મંત્રીઓને બાદ કરતા બાકીના બધા પોતાને મળેલી ગિફ્ટની નોંધ સુદ્ધાં તોશાખાનામાં નથી કરાવતા.'
હવે પ્રશ્ન એ થાય કે તો શું મનમોહન સિંહે પોતાની પાસે  અમુક ઉપહાર રાખીને કાયદાનો ભંગ કર્યો છે? જવાબ છે ના. કારણ કે, કાયદામાં એક એવી જોગવાઈ પણ છે કે કેબિનેટ મિનિસ્ટર્સને મળેલી પાંચ હજારથી ઓછી કિંમતની ગિફ્ટ્સ તોશાખાનાને કશું જ ચૂકવ્યા વગર તે પોતાની પાસે રાખી શકે છે, પણ હા, તોશાખાનામાં એક વખત એ ગિફ્ટ જમા તો કરાવવી જ પડે છે. અધિકારીઓ માટે આ મર્યાદા ત્રણ હજાર રૃપિયાની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મોટા ભાગના અધિકારીઓ ત્રણ હજારથી નીચેની ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી અને નેતાઓ પણ પાંચ હજારથી નીચેની ગિફ્ટ ભાગ્યે જ તોશાખાનામાં આપે છે.' લાખો-કરોડોના કૌભાંડો કરતા નેતાઓ પાંચ હજારની મામૂલી રકમનો ઉપહાર સેરવી લેવાનું  પણ ચૂકતા નથી એ કેવું વિચિત્ર કહેવાય!

ભારત-પાકિસ્તાન વચ્ચે વાટકી વહેવાર!
અમુક સિઝનમાં એકમેકથી દૂર રહેતા સગાંઓ એકબીજાને ખાસ વાનગીઓ મોકલતા હોય છે. આવું જ નેતાઓ પણ કરતા હોય છે. સામાન્ય રીતે સત્તાવાર ગિફ્ટ્સમાં દેશની ઓળખ સમી કોઈ વસ્તુ જ અપાતી હોય છે, પણ ઘણી વખત અપવાદરૃપ કિસ્સાઓમાં દેશના ફળો કે વાનગી પણ મોકલાતી હોય છે. ભારતને પોતાના પાડોશી પાકિસ્તાન સાથે પણ આવો જ વાનગીનો વાટકી વહેવાર છે. ૨૦૦૨માં પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર મંત્રણા માટે આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પાકિસ્તાનથી પ્રખ્યાત કેરી લઈ આવ્યા હતા. એ કેરીના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ કેરી તો નહોતી આપી, પણ પછી એ કેરીનો બદલો વાળતા હોય એમ વાજપેયીના અનુગામી વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૧૦માં યુસુફ રઝા ગિલાની માટે ૨૦ કિલોનું કેરીનું બોક્સ પાકિસ્તાન મોકલ્યું હતું.
Sunday 25 May 2014
Posted by Harsh Meswania
Tag :

સામાન્ય રીતે અસામાન્ય લાગે એવા સંગ્રહાલયો

૧૮ મે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે

 બેંગ્લુરુનું બ્રેઇન મ્યુઝિયમ
માણસ શા માટે પ્રેમમાં પડે છે? અમુક લોકોને સંગીત-આર્ટ-લેખનમાં તો અમુકને સાહસ-સાયન્સ-સાયકોલોજીમાં જ શા માટે રસ પડે છે? એવા તમામ જવાબો શોધવા માટે પુસ્તકો ન વાંચવા હોય અને છતાં જાણકારી મેળવવી હોય તો બેંગ્લુરુના બ્રેઇન મ્યુઝિયમની મુલાકાત લેવી પડે. માણસના મગજનો અભ્યાસ કરીને તેની વર્તુણૂંક પર પ્રકાશ પાડવાના આશયથી જે સંશોધનો થાય છે તેનો વિગતવાર ચિતાર આ મ્યુઝિયમમાં આપવામાં આવ્યો છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ દ્વારા સંચાલિત આ સંગ્રહાલયમાં મગજના લગભગ ૬૦૦ ભાગ સાચવી રાખવામાં આવ્યા છે. દેશભરમાં થતાં દેહદાનમાંથી પ્રાપ્ત કરેલા મગજના ભાગો પર સંશોધન થયા પછી તેને અહીં મૂકી રાખવામાં આવ્યાં છે.

અંતિમયાત્રા વાહક મ્યુઝિયમ
બાર્સિલોનામાં એક યુનિક મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમમાં અલગ અલગ પ્રકારના અંતિમયાત્રા વાહકોને સાચવવામાં આવ્યા છે. અંતિમ સંસ્કારમાં વપરાતા વાહનો અમુક સમય પછી નિવૃત્ત થઈ જતાં હોય છે. એ વાહનોને આ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવે છે અને તેની યોગ્ય પણ લેવામાં આવે છે. સામાન્ય માન્યતા મુજબ આવી બાબતોને જોવાનો લોકોનો ઉમળકો હોતો નથી, પરંતુ આ મ્યુઝિયમની મુલાકાતે સતત મુલાકાતીઓ આવતા રહે છે.અહીં  છેક ૧૮મી સદીથી લઈને આજ સુધી અલગ અલગ પ્રકારના વિશ્વભરમાં વપરાતા વાહનોને એકઠાં કરીને પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

બેડ આર્ટ મ્યુઝિયમ
ખ્યાતનામ ચિત્રોને પ્રદર્શનમાં રાખ્યાં હોય એવા તો વિશ્વભરમાં સંખ્યાબંધ સંગ્રહાલયો જોવા મળે છે, પરંતુ ખરાબ ચિત્રો પ્રદર્શનમાં મૂકાયા હોવાનું ક્યારેય સાંભળ્યું છે? અમેરિકાના બોસ્ટનમાં બેડ આર્ટ મ્યુઝિયમ નામે એક સંગ્રહાલય છે. જેમાં ખ્યાતનામ કે ઉભરતા ચિત્રકારોએ પોતાના ચિત્રમાં જે ભૂલ રાખી દીધી હોય એવા ચિત્રોને શોધીને તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કલર કોમ્બિનેશનમાં મોટી ક્ષતિ રહી ગઈ હોય કે આંખ-કાન-નાકના વળાંકો આપવામાં ભૂલ રહી ગઈ હોય એવા ચિત્રો અહીં લોકભોગ્ય બનાવાયા છે. એટલું જ નહીં, બેડ આર્ટ મ્યુઝિયમના મુલાકાતીને ઈચ્છા થાય કે કોઈ ક્ષતિગ્રસ્ત પેઇન્ટિંગ ઘરે લઈ જવું છે તો તેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે.

ચીનનો નળસંગ્રહ
કાળઝાળ ઉનાળામાં પાણીના સંગ્રહની ચિંતા હોય એ સ્વાભાવિક છે, પણ નળનો તો વળી સંગ્રહ શું કરવાનો? પરંતુ ચીનના બીજિંગમાં એક મ્યુઝિયમ છે જેમાં વિવિધ પ્રકારના નળનો સંગ્રહ કરાયો છે. નળનો ઈતિહાસ અને ચીનમાં કઈ રીતે તેનો વિકાસ થયો તેની વિગતો પણ આ સંગ્રહાલયમાં સચિત્ર આપવામાં આવી છે. પહેલા કેવા નળ હતા અને તેમાં સતત બદલાવ આવ્યા બાદ વિશ્વમાં કેવા કેવા નળ બનવા લાગ્યા તેના તમામ નમૂના આ મ્યુઝિયમમાં ક્રમશઃ ગોઠવાયા છે. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈક નવી ભાતનો નળ જોવા મળે કે તરત જ મ્યુઝિયમના સંચાલકો તેને અહીં સ્થાન મળે એ માટે પ્રયાસો હાથ ધરી દે છે. સંભવતઃ આ વિશ્વનો એક માત્ર નળ સંગ્રહાલય છે.

શ્વાન-પટ્ટાનું સંગ્રહ સ્થાન!
પાલતું ડોગના ગળામાં ફેન્સી પટ્ટો બાંધવાનો ક્રેઝ વધ્યો છે. જેવી પરદેશી નસલનો ડોગ હોય એને શોભે એવો જ પટ્ટો પણ ગળે લગાડાતો હોય છે. આવા જ અલગ અલગ આકારના અને પ્રકારના પટ્ટાઓનો સંગ્રહ ઈંગ્લેન્ડના કેન્ટમાં કરવામાં આવ્યો છે. પાંચમાં સૈકામાં શ્વાનના ડોગમાં બંધાતા પટ્ટાઓથી લઈને ૨૧મી સદીના લેટેસ્ટમાં લેટેસ્ટ પટ્ટાઓ કેન્ટના આ મ્યુઝિયમમાં સમાવાયા છે. ક્યાં દેશમાં ક્યારે, કેવા પટ્ટાઓનો વ્યાપ હતો તેની પણ વિસ્તૃત વિગત આપીને સંગ્રહાલયને ડોગ-પટ્ટાઓની માહિતીથી સજ્જ કરવામાં આવ્યું છે. વળી, કઈ જાતિના શ્વાનને બરાબર કાબૂમાં રાખવા માટે કેવો પટ્ટો વધુ સારો રહેશે એની સલાહનું સાયન્સ પણ પટ્ટાઓની જોડે જ લટકાવવામાં આવે છે!

ટોઇલેટ મ્યુઝિયમનું સરનામુ દિલ્હી!
ભારતમાં આજેય મોટો વર્ગ ખૂલ્લામાં કુદરતી હાજતે જાય છે, પરંતુ ટોઇલેટ મ્યુઝિયમની બાબતમાં ભારતનો પહેલો નંબર આવે છે. દિલ્હીમાં ૧૯૯૨માં જ સુલભ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઇલેટ બનાવાયું હતું. જેનો આશય હતો કે લોકો પોતાના ઘરમાં ટોઇલેટ બનાવીને વ્યવસ્થા ઊભી કરે. ટોઇલેટને લગતા પુસ્તકોનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. લોકો તેનો યોગ્ય અને સમજદારી પૂર્વકનો ઉપયોગ કરે એ માટે માહિતગાર કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ આ મ્યુઝિયમ બનાવવાનો હેતુ ગામડાંના લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો, પરંતુ હવે દેશના લોકો કરતા વિદેશી પર્યટકો ખાસ આ મ્યુઝિયમની મુલાકાત કરતા થયા છે. તેને દુનિયાના એક માત્ર ટોઇલેટ મ્યુઝિયમ તરીકેનું સન્માન પણ મળે છે.

સંઘર્યા હેર કામ આવે!
વાળનો તો કંઈ સંઘરો હોય! એવો વિચાર આવે એ પહેલા જાણી લેવા જેવું ખરું કે તૂર્કીમાં એક મ્યુઝિયમ બન્યું છે જેમાં મહિલાઓના માથાના હેરનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લગભગ ૧૬ હજાર અલગ અલગ પ્રકારના અને રંગના વાળના ગુચ્છાને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમની બીજી ખાસિયત એ છે કે વાળનો તમામ જથ્થો મહિલાઓ પાસેથી એકત્ર કરવામાં આવ્યો છે. હવે મ્યુઝિયમના સંચાલકોએ નવી પહેલ કરી છે કે જે મહિલા આ હેર સંગ્રહાલયની મુલાકાતે આવે એના હેરનું સેમ્પલ લઈ લેવામાં આવે છે. પછી જે તે મહિલાનું નામ અને દેશના નામ સાથે મ્યુઝિયમમાં તે સેમ્પલનો સમાવેશ કરવામાં આવે છે.

સોલ્ટ એન્ડ પીપર શેકર મ્યુઝિયમ
નમક રાખવાની અને મરીનો પાવડર રાખવાની નાની નાની ડબ્બીઓ હોય એના મ્યુઝિયમની કલ્પના થઈ શકે ખરી? અમેરિકાના ગેટલિનબર્ગમાં આવું જ એક સંગ્રહાલય બન્યું છે. જેમાં વિશ્વભરમાંથી સોલ્ટ અને પીપર શેકર એકઠાં કરીને મૂકવામાં આવ્યાં છે. વિભિન્ન આકારની નાની-મોટી ડબ્બીઓ અને તે ક્યાં દેશમાં વપરાય છે. શરૃઆતમાં નમક માટેની ડબ્બીઓ કેવી હતી તેનો ઈતિહાસ પણ મ્યુઝિયમમાં સામેલ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમમાં લગભગ ૨૨ હજાર સેટ રાખવામાં આવ્યા છે. ગેટલિનબર્ગની મુલાકાતે આવનારા પ્રવાસીઓ અચૂક આ સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે.
Sunday 18 May 2014
Posted by Harsh Meswania
Tag :

સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતા!


અત્યારે સેલ્ફીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધારો કે મહાભારતનું યુદ્ધ આજે ખેલાઈ રહ્યું હોત તો કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ઉભેલા અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સેલ્ફીના સંદર્ભમાં કેવા સંવાદો થયા હોત? કૃષ્ણ-અર્જુનના કાલ્પનિક સંવાદોની વચ્ચે સેલ્ફીની વાસ્તવિક વાતો....

'હે કેશવ! હું જોઈ રહ્યો છું કે આજકાલ ઘણા બધા લોકો એક યંત્રને પોતાના મુખારવિંદની સામે લઈ જઈને પછી હાસ્ય વેરે છે અને એ સાથે કશોક પ્રકાશ થાય છે. પછી એ યંત્રને હાથમાં લઈને ફરી વખત અકારણ હાસ્ય કરે છે. મેં સાંભળ્યું છે કે એને લોકો સેલ્ફી કહે છે. એ સેલ્ફીની ટ્વિટ થાય છે અને એફબી પોસ્ટ પણ થાય છે. એટલે હે ગોવિંદ મને આ સેલ્ફી, ટ્વિટર, એફબી, યુટયૂબ વગેરે વિશે વિસ્તારથી સમજાવીને મારા મનનું સમાધન કરો!' અર્જુને શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કરીને પૂછ્યુ.
જવાબમાં ભગવાને કહ્યું...
'હે પાર્થ! જો તારે આ બધા વિશે જાણવું હોય તો તો મારે તને આખી 'શ્રીમદ્ સોશ્યલ મીડિયા ગીતા' સમજાવવી પડે, પરંતુ તારી જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને હું તારા પહેલા પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી આપીશ.'
પછી શ્રીકૃષ્ણએ તેમના આગવા અંદાજમાં સેલ્ફી વિશે સમજાવવા માંડયું કે....
'હે પાર્થ, વર્ષો પહેલા જ્યારે લોકો પાસે કેમેરા હોવું એ લક્ઝરી કહેવાતી હતી. એ સમયે આખા પરિવારની તસવીર ખેંચાવવી એ ભવ્યતાનું પ્રતીક ગણાતું હતું. બધા એક સરખું સ્માઇલ આપીને ફોટો પડાવે અને પછી ઘરની દિવાલ પર એ તસવીરને મઢીને રાખે. હવે સેલ્ફી પણ વોલ પર જ મૂકવામાં આવે છે. ફરક એટલો પડયો છે કે એ વોલ ઘરની નહીં, ફેસબૂકની હોય છે.
'પણ પ્રભુ, મારો પ્રશ્ન તો સેલ્ફી વિશે હતો. કેમેરા વિશે તો હું જાણી ચૂક્યો છું. ક્ષમા કરશો ભગવાન પણ તમે કેમેરાની અને પરિવારની વાતોએ ચડી ગયા હોય એવું મને લાગ્યું એટલે વચ્ચે જ તમને અટકાવવા પડયા.
'હે કૌંતેય, જો તને કેમેરા વિશે જ્ઞાાત હોય તો હું સેલ્ફીની જ સીધી વાત કરી દઉં છું. વાત છે ઈ.સ. ૧૮૩૯ના વર્ષની. કેમેરાનો વિકાસ થઈ રહ્યો હતો એ દૌરમાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો રોબર્ટ કોર્નેલિયસ નામનો કેમેરામેન ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ ઉત્સાહ બતાવતો. માણસના કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓના જુદા જુદા ખૂણેથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં તેને મજા પડતી. એ સમયે કેમેરા એટલા બધા વિકસિત નહોતા બન્યાં એટલે ક્લિક કર્યા પછી દ્રષ્ય કેમેરામાં મઢાઈ જાય એ બંને ઘટના વચ્ચે થોડીક પળો એમ જ વીતી જતી. એક દિવસ કેમેરાના અભ્યાસુ રોબર્ટને પ્રશ્ન થયો કે જો સામે કેમેરાને મૂકી દઈએ અને ક્લિક થાય એ પહેલા તેની સામે ગોઠવાઈ જઈએ તો શું થાય છે?
'તો પછી શું થયું હતું ભગવન!' અર્જુને ઉત્સુકતાથી પૂછી નાખ્યું અને ભગવાને અટક્યા વગર આગળ ચલાવ્યું...
'હે સવ્યસાચી, એ તસવીરકારે પોતાને થયેલા પ્રશ્ન પર પ્રયોગ કરવાનું નક્કી કર્યું અને એ સાથે તેનું નામ ફોટોગ્રાફીના ઈતિહાસમાં નોંધાઈ ગયું. રોબર્ટે પોતે ખેંચેલી તસવીરને પછીથી પ્રથમ સેલ્ફી તરીકે સન્માન મળ્યું.'
'હે યદુશ્રેષ્ઠ, તો પછી સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી જ કેમ વધ્યો છે? વચ્ચેના સમયગાળામાં સેલ્ફી ખેંચવાની પ્રથા નહોતી?'
'હા પાર્થ તારી વાત બિલકુલ સાચી છે. સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયમાં જ વધ્યો છે. સેલ્ફીની પ્રથા આ પહેલા આટલી બધી પ્રચલિત તો નહોતી, પણ છૂટાછવાયા થોડા બનાવો બન્યા છે ખરાં!' શ્રીકૃષ્ણ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ફરી આગળ બોલ્યા 'રશિયા દેશની એક રાજકુમારી હતી. પ્રિન્સેસ એનાસ્તારિયા એનું નામ'
'પણ મધુસૂદન મેં તો સાંભળ્યું છે કે એ વખતે તે માત્ર ૧૩ વર્ષની જ હતી અને આજના યંગસ્ટર્સ પળમાં જે કામ કરે છે તે કામ તેને ખૂબ અઘરું લાગ્યું હતું?' અર્જુને પોતાની પાસે એનાસ્તારિયાની જે જાણકારી હતા તે કહી દીધી.
'હે પાંડવ, તારી વાત એકદમ સાચી છે. એ વખતે ઉંમરના ૧૩ વર્ષના પડાવે પહોંચેલી એનાસ્તારિયાએ અરિસા સામે જોઈને પોતાનો સેલ્ફી ખેંચ્યો હતો. આજના યંગસ્ટર્સ જે રીતે ટ્વિટ કરીને કે પોસ્ટ કરીને પોતાના મિત્રોને સેલ્ફી પહોંચાડે છે એ જ રીતે એનાસ્તારિયાએ પોતાના મિત્રને એ તસવીર મોકલી હતી અને સાથે સાથે એમાં લખ્યું હતું કે ''આ તસવીર મેં અરિસામાં જોઈને મારી જાતે પાડી છે. આ કામ ખરેખર અઘરું છે. તસવીર પાડતી વખતે મારા હાથમાં કંપારી છૂટતી હતી''. મધુસૂદને પોતાની વર્ણન શક્તિથી આખુ દ્રષ્ય અર્જુન સામે ખડું કરી દીધું.
'ત્યાર બાદ એનો વ્યાપ કઈ રીતે વધ્યો એ જણાવવા પણ કૃપા કરો વાસુદેવ!' પાર્થે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણને કહ્યું.
'હે શ્રેષ્ઠ ધનુર્ધર, સેલ્ફીની શરૃઆત થઈ ચૂકી હતી, પરંતુ તેનો વ્યાપ થવાને હજુ ઘણી વાર હતી. ક્યારેક ક્યારેક લોકો છૂટાછવાયા સેલ્ફી પાડીને પોતાની યાદોને હંમેશા માટે અવિસ્મરણીય રાખવાનો પ્રયાસ કરતા હતા. તને યાદ છે પાર્થ હિમાલયની સર્વોચ્ચ ચોટી એવરેસ્ટ સર કરવા નીકળેલા એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપાનો કિસ્સો બહુ જાણીતો બન્યો હતો. એમ કહેવાય છે કે શેરપાને તસવીર પાડવાનો કોઈ જ અનુભવ નહોતો પરિણામે હિલેરી એવરેસ્ટની ચોટીએ પહોંચ્યા ત્યારની એક પણ તસવીર ઉપલબ્ધ નથી. કદાચ સેલ્ફીના ઓછા વ્યાપના કારણે હિલેરીને સેલ્ફી ખેંચવાનું સુજ્યું જ નહીં હોય. નહીંતર આજે તેમની તસવીરો પણ હોત. તું આ ઘટના પરથી પણ કલ્પના કરી શકે છે કે ૧૯૫૦-૬૦ના દશકા સુધી સેલ્ફીનો ક્રેઝ નહીં હોય!' કૃષ્ણએ સેલ્ફીના વ્યાપ પર જોરદાર ઉદાહરણ આપીને અર્જુનને વિચારતો કરી દીધો. ભગવાને આગળ કહ્યું, 'પાર્થ આ નશ્વર જગતમાં ઈન્ટરનેટની માયાજાળે વિસ્તાર વધાર્યો ત્યાર પછી ચેટમાં વેબકેમના કારણે સેલ્ફીને બળ મળ્યું હતું. જોકે, તેનો ખરો યશ તો આજકાલ મોબાઈલમાં આવતા શક્તિશાળી કેમેરાને ફાળે જ જાય છે. મોબાઇલના કેમેરા ઉપરાંત સોશ્યલ મીડિયાની ચોમેરથી જે રીતે ગૂંથણી થઈ છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં સેલ્ફી સેલ્ફી અને સેલ્ફીનો માહોલ છે. સેમસંગ નામની મોબાઈલ કંપનીએ એક સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલમાં ખેંચાતી ત્રણ તસવીરોમાંથી એક તસવીર સેલ્ફી હોય છે.' કૃષ્ણએ સેલ્ફીના ઈતિહાસથી વર્તમાન સુધીની શક્ય એટલી સફર પાર્થને કહી સંભળાવી.
'હે અંતર્યામી, અત્યારે પ્રતિદિન કેટલા સેલ્ફી પડતા હશે એનો કોઈ અંદાજ ખરો?' અર્જુને આટલી વાત સાંભળ્યા પછીય હરિ અનંત હરિ કથા અનંતાની જેમ સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતાના સંદર્ભમાં હજુય થોડાં સંદેહ સાથે શ્રીકૃષ્ણ સામે હાથ જોડેલી મુદ્રામાં પૂછી નાખ્યું.
'હે અર્જુન, આકાશ સામે જોઈને મને કહે કેટલા તારલા તને દેખાય છે?' આમ કહીને અત્યાર સુધી ઉત્તરો આપી રહેલા શ્રીકૃષ્ણએ સેલ્ફી પ્રકરણ આટોપવા આખરી પ્રશ્ન અર્જુનને જ કરી નાખ્યો.
'ભગવાન તમે ભૂલી ગયા છો કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યનારાયણ કૃપા વરસાવી રહ્યા છે?' અર્જુને ગૂંચવાઈને કહ્યું.
'દિવસે તારલા ગણવા શક્ય નથી એ જ રીતે સેલ્ફીનો આંકડો આપવો લગભગ લગભગ અશક્ય છે એટલે જ મેં તને એવું પૂછ્યું હતું.' શ્રીકૃષ્ણને અર્જુનના છેલ્લા સવાલનો જવાબ તાર્કિક રીતે વાળ્યો અને એ રીતે સેલ્ફી પ્રકરણનો પણ અંત આવ્યો!
Sunday 11 May 2014
Posted by Harsh Meswania
Tag :

સુપર શેરપાઃ એક પા બધા, બીજી પા અપા


એવરેસ્ટ આરોહણની સિઝન શરૃ થઈ ત્યાં જ એક સાથે ૧૬ શેરપાના મોત થયા છે. સુરક્ષા સહિતની વિભિન્ન બાબતો પર શેરપાઓએ સજીરકાર સામે મોરચો માંડયો છે. જેમાં શેરપાના હકો માટે ખોંખારીનું બોલનારું એક નામ એટલે અપા શેરપા. આ એ જ અપા છે જેના નામે સૌથી વધુ ૨૧ વખત એવરેસ્ટ સર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે.

ખેલ-કૂદની ઉંમરે તેના પર પરિવારની બધી જ જવાબદારી આવી ગઈ હતી. તે સમજણો થયો ત્યારે જ તેને ખબર પડી ગઈ હતી કે ત્રણ ભાઈઓ-બે બહેનો અને વિધવા માતાની જવાબદારી તેના શિરે આવી પડી છે. ૧૨ વર્ષની વયે તેણે શાળાનો અભ્યાસ પડતો મૂકી દીધો. જે મળે એ તમામ ગજા બહારના કામો પણ કરવા લાગ્યો. એવરેસ્ટની તળેટીમાં આવેલું થેમ ગામ તેનું વતન. ત્યાં ખેતી કરી શકાય એવી તેના પૂર્વજોની થોડી જમીન પણ હતી. મજૂરી કરવા ઉપરાંત તે થોડો ઘણો સમય ખેતી કરવામાં પણ વિતાવતો હતો. તે ૨૪-૨૫ વર્ષનો હતો તે સમયગાળામાં એવરેસ્ટ આરોહણ માટે વિશ્વભરમાંથી સાહસિકોના ધાડા હિમાલયની તળેટીમાં આવવા લાગ્યા હતા. તેને હવે મજૂરી માટે ક્યાંય ભટકવાની જરૃર નહોતી. કેમ કે, સાહસિકો સાથે જતા શેરપાઓને સામાન થોડે ઉપર સુધી પહોંચાડવા માટે મજૂરોની ખપ રહેતી.
તે પર્વતારોહણ માટે આવતા સાહસિકોના કૂલી કમ કિચનબોયની જવાબદારી ઉપાડી લેતો અને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતો. એ દરમિયાન પોતે જ્યાં રહેતો હતો તે થેમ ગામમાં ભયંકર પૂર પ્રપાત થયો, જેમાં તેના ખેતરની સ્થિતિ હતી ન હતી જેવી થઈ ગઈ. તે ખૂબ નાસીપાસ થઈ ગયો. તેણે વિચાર્યુ હતું કે સમય મળ્યે ખેતી કરવા તરફ વધુ ધ્યાન આપીને ખેડૂત બની જઈશ, પણ કિસ્મતે કરવટ બદલી હતી. ૧૨ વર્ષનો હતો ત્યારે જીવનનો એક મોડ આવ્યો હતો અને હવે ૨૪ વર્ષનો થયો ત્યારે બીજો મોડ આવ્યો. પર્વતારોહણમાંથી જે મળે તે કમાણી રળવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હોય એવું તેને લાગ્યું.
તેણે એવરેસ્ટ આરોહણ કરવા જતા ગાઇડ શેરપાઓ પાસેથી એવરેસ્ટ ચડવાની બધી બારિકાઈ શીખવા માંડી. પોતે પણ હિમાલયની ગોદમાં તો ઉછર્યો જ હતો એટલે હિમાલયના મિજાજનો તેને બરાબર પરિચય હતો. વળી, તે છેલ્લા કેટલાક વર્ષોથી સાહસિકોના કૂલીની જવાબદારી તો ઉપાડતો હતો એટલે એ રીતે એવરેસ્ટના શિખરો સાથે નાતો બંધાયો હતો. નીચેના શિખરો સુધી સામાન મૂકવા જતી વખતે તેને કેટલી ય વાર વિચાર આવ્યો હતો કે જો એવરેસ્ટ શિખર સુધી પહોંચવાનું થાય તો વળતર સારું મળે અને જેના ખોળામાં ઉછર્યો છે તેની સૌથી ઊંચી ચોટીએ એક વખત પહોંચવું તો છે જ. તેણે સાથી શેરપાઓ પાસેથી સાંભળ્યું હતું એ પ્રમાણે એવરેસ્ટ દુનિયાનું સર્વોચ્ચ શિખર હતું અને એટલે જ વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને એવરેસ્ટ સર કરવા એડી-ચોટીનું જોર લગાવતા હતા. તેણે મનોમન નિર્ધાર કર્યો કે હવે તો એવરેસ્ટ પહોંચ્યે જ પાર!
                                                                         * * *૧૯૯૦ સુધીમાં તો તેણે એવરેસ્ટ સર કરવાના ચાર-ચાર પ્રયાસ કરી જોયા હતા. તેને તમામ પ્રયાસોમાં નિષ્ફળતા મળી. એક-બે નજીકના મિત્રોએ તો તેને થોડા વર્ષોના વિરામ પછી પ્રયત્ન કરવાની સલાહ આપી. જોકે, તેણે હવે મનોમન નક્કી નાખ્યું હતું કે એવરેસ્ટ તો સર કરવો જ પડશે, વળતર અને સાહસ બંને માટે. ૧૯૯૦માં ન્યુઝિલેન્ડની એક ટીમને શેરપાની જરૃર હતી. સિઝન પૂરબહારમાં ખિલી હતી એટલે શેરપા મળવા મુશ્કેલ હતી. એ ટીમમાં વળી પ્રથમ એવરેસ્ટ આરોહકનું સન્માન મેળવનારા એડમંડ હિલેરીના પુત્ર પિટર હિલેરી પણ હતા. બીજા શેરપાની વ્યવસ્થા ન થતાં અંતે ચાર નિષ્ફળ પ્રયાસો છતાં આ શેરપા પર પસંદગી ઉતારાઈ. એ સાથે જ શરૃ થઈ તેની ઐતિહાસિક સાહસ સફર.
એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ.... આ આંકડો તો પછી ખૂબ નાનકડો થવા લાગ્યો. ૧૯૯૦ પછીનું એક પણ વર્ષ એવું ન હોય કે જેમાં આ શેરપાએ એવરેસ્ટ આરોહણ ન કર્યું હોય. પછી તો તેનું નામ જ સુપર શેરપા પડી ગયું. એવરેસ્ટ આરોહણ તેના ડાબા હાથનો ખેલ થઈ ગયો હતો. જેના નામે સૌથી વધુ એવરેસ્ટ ચડવાનો વિશ્વ વિક્રમ બોલે છે એ સુપર શેરપા એટલે અપા શેરપા.
૧૯૯૦થી લઈને ૨૦૧૧ સુધીમાં અપા શેરપાએ ૧૯૯૬ અને ૨૦૦૧ને બાદ કરતા દર વર્ષે એવરેસ્ટના ઊંચા શિખરે પગ મૂક્યો હતો. ૧૯૯૨માં તો બબ્બે વખત એવરેસ્ટની સર્વોચ્ચ ચોટીએ પહોંચ્યા હતા. વચ્ચેના સમયગાળામાં ઘણા વર્ષો એવા ય હતા જેમાં અપાની ટીમે વચ્ચેથી જ પ્રવાસને પડતો મૂકવો પડયો હોય. નહીંતર આ આંકડો કદાચ હજુય મોટો હોત. છેલ્લે તો એવું થઈ ગયું હતું કે પોતે જ પોતાના પૂરાણા રેકોર્ડ્સ ધ્વસ્ત કરીને નવા આયામો સ્થાપિત કરે. જેમ કે, ૧૯૯૦થી ૧૯૯૫ સુધીમાં લગલગાટ સાત વખત એવરેસ્ટ સર કરવાનો વિક્રમ પછીથી તેમણે જ તોડયો. ૨૦૦૨થી ૨૦૧૧ દરમિયાન તે સતત ૧૦ વખત એવરેસ્ટ ઉપર પહોચ્યા હતા. એ વખતે તેમણે પોતાનો વિક્રમ જ તોડયો હતો. એ જ રીતે ૨૦૧૧માં જ્યારે ૨૧મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે ય પોતાની સામે જ સ્પર્ધા કરીને પોતે વિક્રમ નોંધાવ્યો હતો. તેમના રેકોર્ડનું મૂલ્ય એટલા માટે વધી જાય છે કે તેમણે માત્ર રેકોર્ડ નોંધાવવા માટે જ પ્રયાસો નથી કર્યા, પણ શેરપાઓને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે એમાંય તેમનો નોધપાત્ર પ્રદાન છે. હિમાલયના શિખરો પર વધી રહેલો કચરો સાફ કરવાની દરકાર પણ તેમણે કરી છે. અને હવે શેરપાઓના હકો માટે પણ તેમણે પોતાનો સ્પષ્ટ મત ખોંખારીને રજૂ કર્યો છે. જેના કારણે સરકારે પગલા ભરવાની તૈયારી દર્શાવી છે.
                                                                       * * *
'એવરેસ્ટ અને શેરપાઓના કારણે નેપાળની વિશ્વભરમાં ઓળખ છે. બીજા દેશોના લોકો માટે નેપાળ એટલે શેરપાઓનો દેશ, નેપાળ એટલે જગતનું ઉન્નત મસ્તક ધરાવતો દેશ. પરંતુ દેશમાં ખરેખર તો શેરપાઓની હાલત ગંભીર છે. જેના પર વિશ્વાસ મૂકીને દુનિયાના ખૂણે ખૂણેથી સાહસિકો નેપાળમાં આવે છે એ શેરપાઓનો દેશમાં કંઈ જ આધાર નથી. યાત્રા દરમિયાન અવારનવાર નડતા અકસ્માત પછી ન તો તેના પરિવારજનોને મોતનું સરખું વળતર મળે છે કે ન તો અન્ય સુરક્ષા કવચ. આરોહણ કરવા નીકળ્યા પછી ઘરે ન પહોંચે ત્યાં સુધી પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટેલા રહે છે. રસ્તામાં ગમે ત્યારે ગમે એવી દૂર્ઘટના બની શકે છે. હું આ દૂર્ઘટનાથી હચમચી ગયો છું. એક સાથે ૧૬ સાહસિકોના મોત થયા હોય એવું આજ સુધી બન્યું હોવાનું મને યાદ નથી. શેરપા પાસે આવકનો બીજો કોઈ જ મોટો સ્ત્રોત નથી એટલે સરકારે શેરપાની સુરક્ષા-વીમો-આરોગ્ય ઉપરાંત તેના પરિવાર વિશે પણ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.'
અપા શેરપાએ નેપાળ સરકાર સામે શેરપાઓની તરફેણમાં આવો અભિપ્રાય આપ્યો એટલે વિશ્વભરના મીડિયાએ તેની નોંધ લીધી. જેના કારણે નેપાળ સરકાર પર દબાણ વધ્યું છે. અપાના ઉદાહરણો આપતી નેપાળ સરકાર શેરપાઓ માટે ઉદાહરણીય કશુંક કરે છે કે કેમ એ જોવાનું રહેશે!
અપાએ આ વખતે શેરપાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. અગાઉ હિમાલયના શિખરો ઉપર સાહસિકો દ્વારા થઈ રહેલા કચરા માટે ય તેમણે ઝુંબેશ કરી હતી. તેઓએ પોતાની ટીમ સાથે પાંચ ટન કચરો એકઠો કરીને શિખરોની સફાઈ આદરી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે એવરેસ્ટના શિખરો પર પડતી વિપરિત અસર ખાળવા પણ તેઓ હંમેશા પ્રયત્નરત રહ્યા છે. પહેલા કામ મેળવવા સાહસ ખેડયું હતું. હવે શિખરોના પ્રેમ માટે સાહસ ખેડી રહ્યાં છે.
Sunday 4 May 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -