Archive for 2020

'વીગન' શબ્દ કેવી રીતે કોઈન થયો?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા 

 

આજે વર્લ્ડ વીગન ડે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય બચાવવાના ભાગરૂપે ૭૫ વર્ષ પહેલાં શરૂ થયેલો આ વિચાર દુનિયાભરમાં કોણે ફેલાવ્યો હતો?
 
વીગન.
આ શબ્દ હવે માત્ર આહારશૈલી નથી રહ્યો, પણ જીવનશૈલી બની ગયો છે. ૭૫ વર્ષ જૂનો આ શબ્દ દુનિયાભરમાં ફેલાયો છે. દિવસે દિવસે આ આહારશૈલી અપનાવતા લોકોની સંખ્યા વધી રહી છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે ત્યારે શાકાહાર અને વીગનની ફેવર કરનારો વર્ગ વધતો જાય છે.

શાકાહાર તો પ્રાચીન ભારતથી પ્રચલિત ખોરાક પદ્ધતિ છે. એમાં શાકભાજી, ફળો, દૂધ, મધ, અનાજની પ્રોડક્ટ ખાવામાં આવે છે, પણ વીગન ડિશમાં ડેરી પ્રોડક્ટનો સમાવેશ થતો નથી. આ પદ્ધતિ શાકાહારથી પ્રેરિત ખરી, પણ શાકાહારથી ઘણી અલગ છે. અમેરિકા-બ્રિટનમાં ઘણાં લોકો વીગન ડાએટમાં ઈંડાનો સમાવેશ પણ કરે છે. એવા લોકો માટે વળી 'ઓવો વેજીટેરિયન' શબ્દ પણ પ્રચલિત થયો છે. 'ઓવો' લેટિન શબ્દ છે અને તેનો અર્થ થાય છે ઈંડા. માંસ કે ડેરી પ્રોડક્ટ ન ખાતા લોકો પોષણ માટે શાકભાજી ઉપરાંત ઈંડા ખાતા હોય છે.

વીગનમાં દૂધ પ્રોડક્ટ ન હોય એટલે એના બદલે સોયામિલ્ક, કોકોનટમિલ્ક ઓપ્શનમાં હોય છે. વળી, વીગનમાં આલ્કોહોલની મનાઈ હોતી નથી. ભારતના શુદ્ધ શાકાહારના કન્સેપ્ટમાં દૂધ, મધ ઘી જેવી વસ્તુઓ સામેલ હોય છે, પણ ઈંડા અને આલ્કોહોલનો સમાવેશ થતો નથી. વીગનમાં પણ પછી તો ઘણાં પેટા વિભાગો પડ્યા છે. અલગ અલગ દેશ પ્રમાણે ડાએટમાં થોડાં ઘણાં ફેરફારો થતા રહે છે.
વેલ, ૧લી નવેમ્બરે દુનિયાભરમાં વીગન ડેની ઉજવણી થાય છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે મૂળ વેગનનો વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો અને એ વિચાર કોણે પ્રચલિત બનાવ્યો?
                                                                              ***
ડોનાલ્ડ વોટ્સનનું નામ વીગન આહારશૈલી અજમાવનારા માટેય ખાસ જાણીતું નથી. ૧૯૧૦માં બ્રિટનના યોર્કશાયરમાં તેનો જન્મ થયો હતો. ૧૪ વર્ષની વયે સ્કૂલનો અભ્યાસ છોડીને પરિવારના ધંધામાં જોડાયા. એનો મોટાભાગનો સમય કાકા જ્યોર્જની સાથે તેના ખેતરમાં વીતતો. ખેતરમાં ખેતીની સાથે સાથે એક તરફ ડૂક્કરોની કતલ કરીને માંસની નિકાસ થતી હતી.

વોટ્સનને ડૂક્કરોની કતલથી ભારે સૂગ ચડતી. તેને એ દૃશ્ય ભયાનક લાગતું. એ જ વર્ષે તેણે માંસ ખાવાનું બંધ કરી દીધું અને શાકાહાર શરૂ કર્યો. કેટલાય વર્ષો સુધી વોટ્સને દૂધ અને દૂધ પ્રોડક્ટ ખાવાનું ચાલુ રાખ્યું, પણ શાકાહારી બન્યાના ૧૫-૨૦ વર્ષ પછી તેણે દૂધ અને દૂધની પ્રોડક્ટ ખાવાનું પણ બંધ કર્યું. તેણે આટલા વર્ષોમાં નોંધ્યું કે દૂધાળા જાનવરોને દૂધ માટે નિચોવી લેવામાં આવે છે. પશુપાલન માત્ર દૂધ માટે થાય છે, એમાં પશુપાલક અને જાનવરો વચ્ચે કોઈ લાગણીનો તંતુ જોડાયેલો હોય એવું તેને લાગ્યું નહીં.

જે રીતે માંસ માટે પ્રાણીઓની કતલ થતી હતી એ જ રીતે દૂધ માટે પ્રાણીઓનું શોષણ થાય છે એવું તેને લાગવા માંડયું. ૧૯૪૦-૪૨ આસપાસ તેણે એ દિશામાં કંઈક નક્કર કામ કરવાનું વિચાર્યું. આમેય ૨૫-૨૭ વર્ષની વયથી લેસ્ટર વેજીટેરિયન સોસાયટીના સભ્ય તરીકે તે શાકાહારની હિમાયત કરતા હતા. માંસ ઉપરાંત દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ ન ખાવાથી ખરા અર્થમાં સજીવોનું ભલું થશે. દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ લોકો આરોગવાનું બંધ કરે તો દૂધ માટે પ્રાણીઓને દવાઓ આપવામાં આવે છે અને એ રીતે શોષણ થાય છે એ અટકશે એવું તેને લાગવા માંડયું.

એ સમયગાળામાં બ્રિટન સહિતના દેશોમાં વધારે દૂધ મેળવવા દૂધાળા પશુઓને દવાઓ આપવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જે પશુપાલકો દવાઓ આપતા ન હતા એ પણ દૂધ મેળવવા અવનવી તરકીબો કરતા હતા. માનવીનો દૂધ મેળવવાનો લોભ વધતો જતો હતો. યુરોપમાં દૂધનો બિઝનેસ પૂરજોશમાં થવા લાગ્યો હતો.

એવા સમયગાળામાં ડોનાલ્ડ વોટ્સને નવેમ્બર-૧૯૪૪માં લેસ્ટરમાં 'વીગન સોસાયટી'ની સ્થાપના કરી. એમાં વોટ્સનને પત્ની ડોરોથી અને અન્ય ચાર મિત્રોનો સહકાર મળ્યો. વોટ્સને 'વીગન' શબ્દનો પ્રચાર શરૂ કર્યો અને એ પાછળ રહેલો વિચાર અલગ અલગ અખબાર-સામયિકોના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કર્યો. વીગન સોસાયટીએ ૧૯૪૪માં જ 'ધ વીગન ન્યૂઝ' નામનું સામયિક (સંસ્થાનું મુખપત્ર) શરૂ કર્યું.

ડોનાલ્ડ વોટ્સન

'વીગન' શબ્દ આમ તો વેજીટેરિયનમાંથી ઉતરી આવ્યો હતો. Vegetarian શબ્દમાંથી શરૂઆતના ત્રણ અને છેલ્લાં બે શબ્દો લઈને Vegan શબ્દ બનાવાયો હતો. શરૂઆતમાં લોકો વેજીટેરિયન શબ્દના કારણે 'વીગન'ને 'વેજીન' કહેતા હતા.

વેજીટેરિયન કરતા કન્સેપ્ટ જુદો છે એ બતાવવા માટે ડોનાલ્ડ વોટ્સને એ શબ્દનો ઉચ્ચાર વીગન કર્યો હતો. એની સ્પષ્ટતા માટેય વોટ્સને સોસાયટીના મુખપત્ર 'વીગન ન્યૂઝ'માં અલગથી લેખ લખ્યો. એમાં વીગન શબ્દના ઉચ્ચારમાં 'જ' નહીં પણ 'ગ' છે એવું સમજાવ્યાં પછી વીગન અપનાવવા માટે કેવો આહાર કરવો જોઈએ તેની વિગતવાર સમજ પણ આપી હતી. એમાં માંસ ઉપરાંત દૂધ, દહીં, મધ જેવી ચીજવસ્તુઓ ન લેવાની ભલામણ હતી અને તેમના આ વિચાર પાછળ કયા પરિબળો જવાબદાર હતા અને તેનાથી લાંબાંગાળે સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર કેવી હકારાત્મક અસર થશે - તે પણ જણાવ્યું હતું.

શરૂઆતમાં વીગન એટલે ડેરી પ્રોડક્ટ સિવાયનું શાકાહારી ભોજન એવી વ્યાપક સમજ હતી. કેટલાંય વર્ષો સુધી એ જ માન્યતા રહી કે વીગન એટલે ખાવા-પીવામાં ડેરી પ્રોડક્ટ ન લેવી, પરંતુ વીગન સોસાયટીએ ૬૦ના દશકામાં એ વ્યાખ્યાને થોડી વધારે વિસ્તૃત કરી. પ્રાણીઓને લગતી કોઈ પ્રોડક્ટ ખાવી નહીં એમ કોઈ પ્રોડક્ટનો ઉપયોગ રોજિંદા જીવનમાં ન કરવો એ પણ વીગનિઝમ છે.

વીગન શબ્દ કોઈન કરવા માટે વોટ્સને ત્રણ દશકા સુધી મહેનત કરી. વીગનનો વિચાર સમજાવવા માટે તેણે રીતસર બ્રિટનના શાકાહારી વર્તુળમાં કેમ્પેઈન ચલાવીને તેમને વીગનિઝમ તરફ વાળ્યાં. ૧૯૮૦ પછી વીગનવાદ આહારશૈલી ઉપરાંત જીવનશૈલી બની ગયો. પ્રાણીજન્ય પ્રોડક્ટ આહારમાં ન સમાવવાની વાત પછી તો એક કદમ આગળ વધીને પ્રાણીજન્ય પ્રોડક્ટ ઉપયોગમાં ન લેવા સુધી પહોંચી ગઈ હતી એટલે વીગનીઝમને ફોલો કરતાં લોકો ઉન કે ચામડામાંથી બનેલી કોઈ જ ચીજવસ્તુઓ ઉપયોગમાં લેતા નથી.

વીગન ન્યૂઝમાં જ્યારે વીગન શબ્દ વિશે વોટ્સને પહેલો લેખ લખ્યો ત્યારે મેગેઝીનના માત્ર ૨૫ સબસ્ક્રાઈબર્સ હતા. આજે વીગનીઝમમાં વિશ્વાસ કરતાં લોકોની સંખ્યા લાખોમાં છે. અમેરિકામાં તો છેલ્લાં વર્ષોમાં ૩૦૦ ટકાની સરેરાશે વીગનીઝમનો ફેલાવો થયો હતો. રોગોથી બચવા માટે લોકો શાકાહારમાંથી જન્મેલા આ વિચાર તરફ આકર્ષાઈ રહ્યાં છે.

૧૯૪૪માં સ્થાપાયેલી વીગન સોસાયટીને જ્યારે ૧૯૯૪માં ૫૦ વર્ષ થયા ત્યારે પ્રથમ વખત વર્લ્ડ વીગન ડેનું સેલિબ્રેશન થયું હતું. ત્યારથી દર વર્ષે ૧લી નવેમ્બરે વીગનિઝમમાં માનતા લોકો વીગન ડેની ઉજવણી કરે છે.
વીગન શબ્દ અને વિચાર કોઈન કરનારા ડોનાલ્ડ વોટ્સનનું ૨૦૦૫માં ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. વોટ્સન પાછલી અવસ્થાએ ખૂબ તંદુરસ્ત હતા એટલે વિશ્વભરમાં વીગનિઝમનો સિમ્બોલ બની ગયા હતા. વીગનિઝમથી લાંબું અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકાય છે એવું તેમના સમર્થકો વોટ્સનનું ઉદાહરણ આપીને સમજાવતા હતા.
                                                                       ***
ભારતમાં શાકાહારનો વિચાર બહુ જ પ્રાચીન છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધકોને શાકાહારની હિમાયત થઈ છે. ભારતમાં શાકાહારને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યો એનાથી વધુ અહિંસા સાથે જોડવામાં આવ્યો હતો. તેના કારણે જ કદાચ આજેય ભારતમાં ૫૦ કરોડ કરતાં વધુ લોકો શાકાહારી છે.

ભારત સિવાય શાકાહારનો પહેલો વહેલો રેફરન્સ ગ્રીક ફિલોસોફર પાઈથાગોરસનો મળે છે. ઈ.સ. પૂર્વ ૫૦૦ આસપાસ પાઈથાગોરસે માનવ ઉપરાંત તે સિવાયના સજીવોમાં પરોપકાર હોવો જોઈએ એવો વિચાર રજૂ કરીને શાકાહારની હિમાયત કરી હતી.

વીગનનો વ્યાપ શાકાહાર જેટલો નથી. તેના ઘણાં કારણો છે. વીગનમાં દૂધ અને દૂધ પ્રોડક્ટ્સ ખવાતી નથી. દૂધના વિકલ્પ તરીકે સોયામિલ્કનો ઉપયોગ થાય છે, જે મોંઘુ છે. માંસાહાર ન કરતાં હોય એ લોકો માટે દૂધ ખૂબ જ ઉપયોગી છે. દૂધ કે દૂધ પ્રોડક્ટ વગર આપણે ત્યાં તો તહેવારોની ઉજવણી પણ શક્ય નથી.

દૂધાળુ પ્રાણીઓનું માત્ર દૂધ માટે શોષણ થતું જોઈને ડોનાલ્ડ વોટ્સનને વીગનનો વિચાર આવ્યો હતો, પરંતુ આપણે ત્યાં પશુપાલકોનો દૂધાળુ સજીવો સાથે લાગણીનો તંતુ જોડાયો છે. હવે જોકે દવાઓ આપીને દૂધ વધારવાની કવાયતો તો અહીં પણ થાય છે, છતાં સજીવો સાથે હૃદયથી જોડાણ હતું, આજેય છે. આપણે ત્યાં દૂધ વાછરડાંને ય અપાય છે.

ઈનફેક્ટ, પહેલાં દૂધ વાછરડાને મળે છે પછી આપણે આપણો હિસ્સો કાઢીએ છીએ. આપણે દૂધને પવિત્ર ગણીને ભગવાનના ભોગમાં સમાવીએ છીએ એટલે વીગન બનીને દૂધથી દૂર રહેવાનું આપણાં માટે અઘરું છે!

વેલ, વેજીટેરિયનમાંથી જ ઉદ્ભવેલા વીગનના નામે પણ જો દુનિયાના લોકો શાકાહાર તરફ વળતા હોય તો એ પૃથ્વીના હિતમાં હશે. ગ્લોબલ વોર્મિંગની આડઅસરોમાંથી નીકળવા માટે શાકાહાર એક ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે.


Saturday 31 October 2020
Posted by Harsh Meswania
Tag :

ટીઆરપી : 'આઉટડેટેડ' થઈ ગયેલી રેટિંગ સિસ્ટમને 'અપડેટ' કરવાની જરૂર!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઓરિસેલિયો પેન્ટેડો નામનો એક રેડિયો બ્રોડકાસ્ટર હતો. બ્રાઝિલના સાઓ પાઓલોમાં એ કોસમોસ નામે એક રેડિયો સ્ટેશન ચલાવતો હતો. એ ૧૯૪૨નું વર્ષ હતું. ઓડિયન્સને શું ગમે છે તે જાણવા માટે પેન્ટેડોએ રીસર્ચ મેથોડોલોજીનો અભ્યાસ કરવાનું વિચાર્યું. સર્વે સેમ્પલિંગ ટેકનિકના પાયોનિયર અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપ પાસેથી તેણે પબ્લિક ઓપિનિયન મેથડ સમજી.

સેમ્પલના આધારે કેવી રીતે આખા જનસમુદાયનું માનસ કળી શકાય તે અંગે પાયાની ટેકનિક શીખ્યા પછી પેન્ટેડોએ રીઅલટાઈમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ શરૂ કરી. ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા એકઠો કરીને રેડિયોમાં લોકો શું સાંભળે છે એ પહેલી વખત પેન્ટેડોએ તેની સર્વિસના આધારે કહેવાનું શરૂ કર્યું. એમાં વળી ઓડિયન્સની ઉંમર, જાતિ વગેરેની પણ માહિતી એકઠી થતી હતી. 

આ સર્વિસ દુનિયાની પ્રથમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ હતી. એ પછી માધ્યમો ઘણાં બદલાયા પણ ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા અને મૂડ્સ જાણવા માટે જે ટેકનિક વપરાતી એનો ઘણો ખરો આધાર પેન્ટેડોની પબ્લિક ઓપિનિયન સર્વિસ પર હતો. પેન્ટોડોની પદ્ધતિ વળી અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપની સર્વે સેમ્પલિંગને આભારી હતી. આજેય પબ્લિક ઓપિનિયન માટે થતાં સર્વેક્ષણના બેઝિક્સમાં જ્યોર્જની ટેકનિકને જ ફોલો કરવામાં આવે છે.

૧૯૮૭માં પીપલ મીટર નામનું એક બોક્સ ટેલિવિઝનના ઓડિયન્સનો આંકડો જાણવા માટે પ્રયોજાવા લાગ્યું. નક્કી કરેલા ટેલિવિઝન સેટ સાથે સેમ્પલ સર્વે માટે બોક્સ જોડી દેવામાં આવતું. સૌથી પહેલું પીપલ બોક્સ બ્રિટિશ કંપની ઓડિટ્સ ઓફ ગ્રેટ બ્રિટને શોધ્યું હતું અને એ ફ્રિક્વન્સી આધારિત ડેટા આપતું હતું.

ડૉ. જિરાલ્ડ કોહેને એક રીસર્ચ પેપર તૈયાર કરીને આ બોક્સમાં ઓડિયો-વિડીયોના અવરોધ અંગે ધ્યાન દોર્યું. તેમની દલીલ હતી કે આ ટેકનિકમાં ઓડિયોની ક્વોલિટી જેટલી જોઈએ એટલી આવતી નથી. અમેરિકાની કન્ઝ્યુમર રીસર્ચ કંપની નેસ્લનમાં તેમણે એનું પ્રેઝન્ટેશન આપ્યું એ પછી વધારે સ્ટોંગ મીટરની બાબતે સંશોધનો થવા લાગ્યાં.

નેલ્સને નવેમ્બર-૧૯૮૮થી પોર્ટેબલ પીપલ મીટર (પીપીએમ)ના આધારે ઓડિયન્સનો ડેટા એકઠો કરવાનું શરૂ કર્યું. આ મીટર વધારે ચોકસાઈથી કામ કરતું હોવાનો દાવો થતો હતો. રેડિયો અને ટેલિવિઝનનો ડેટા એકઠો કરવામાં એ બોક્સ ખૂબ જ કારગત સાબિત થવા લાગ્યું હતું.

બસ, અહીંથી ટીઆરપીની ગેમ શરૂ થઈ. ઓરિસેલિયો પેન્ટેડોની પદ્ધતિ એ ટીઆરપીનો પાયો હતો. પીપલ મીટર આવ્યું ત્યારે ફાઈનલી ટીઆરપી નામની ઈમારત બની ગઈ હતી અને એ સાથે જ શરૂ થઈ ટીઆરપીને કંટ્રોલમાં લેવાની મથામણ.

ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ - ટીઆરપી ખરું જોતાં એક સર્વેક્ષણ પદ્ધતિ છે. સેમ્પલનું મોનિટરિંગ કરીને ઓડિયન્સનો મૂડ જણાવે છે. બધા એ જ પ્રોગ્રામ કે એ જ ચેનલ જુએ છે એ સચોટ રીતે કહી ન શકાય, પરંતુ એ જોતા હશે એવો અંદાજ લગાવી શકાય. મૂળ તો જાહેરખબરના જગતનો ઉદય થયો પછી કોની પાસે કેટલું ઓડિયન્સ છે એ જાણવા માટે કોઈક પદ્ધતિની જરૂર વર્તાતી હતી. તેના કારણે વિવિધ કન્ઝ્યુમર રીસર્ચ એજન્સીઓ માર્કેટમાં આવી અને ટીઆરપીના ડેટા આપવા લાગી. જાહેરાત આપનારી પાર્ટી જાણવા માગતી હોય કે સૌથી વધુ કઈ ચેનલ જોવાય છે. એ ચેનલમાં જાહેરાત અપાય તો ફિડબેક મળશે એ સાદું ગણિત જાણવાના હેતુથી એજન્સીઓના આંકડાં જોવાતા હતા. ધીમે ધીમે એ એજન્સીના ડેટા જ મેઈન ગેમ બની ગઈ.

ટીઆરપીની મુખ્ય બે પદ્ધતિ છે. નક્કી કરેલા હજારો ટીવી સેટમાં ડિવાઈસ લગાવી દેવામાં આવે છે અને એ ડિવાઈસ પ્રોગ્રામ્સનું રેકોર્ડિંગ કરીને ડેટા એકઠો કરે છે. ડેટાના આધારે રેટિંગ એજન્સી કયો પ્રોગ્રામ કેટલો જોવાયો એ જાહેર કરે છે. ડિવાઈસમાં સેમ્પલિંગનો હિસ્સો હોય એવા ફેમિલીના મેમ્બર્સની ઉંમર સહિતનો ડેટા પણ એકઠો થાય છે. આ એક રીત છે.

બીજી રીત છે પિક્ચર મેચિંગ ટેકનિક. એમાં ડિવાઈસ પ્રોગ્રામનો થોડો હિસ્સો રેકોર્ડ કરે છે. એ કોડના આધારે જે તે સમયે ક્યો પ્રોગ્રામ જોવાતો હતો એનું વિશ્લેષણ થાય છે. એક મિનિટ કરતાં વધારે દર્શક જે ચેનલ પર રહે એનો પણ એમાં ડેટા દર્જ થાય છે. એ પ્રમાણમાં સરળ રીત છે. એના ડિવાઈસનો ખર્ચ પણ ઓછો હોય છે એટલે મોટાભાગના દેશોમાં એ પદ્ધતિ પ્રચલિત છે. બેમાંથી એકેય એકદમ સચોટ નથી. બંનેના પ્લસ-માઈનસ છે.

એના માઈનસ પોઈન્ટ્સનો લાભ લઈને ટીઆરપીમાં ગરબડો થતી હોવાના આરોપો લાગતા રહે છે. કેટલાય દેશોમાં અગાઉ એવોય આરોપ લાગી ચૂક્યા છે કે જે ટેલિવિઝન સેટમાં ટીઆરપીનું બોક્સ લાગ્યું હોય એના માલિકોને ચોક્કસ ચેનલ જોવાની સૂચના અપાય છે. બદલામાં તેમને ગિફ્ટ્સ મળે છે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝ એજન્સીઝ પર પ્રભાવ પાડવા માટે ટીઆરપીના સેમ્પલ સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો અગાઉ ભારતમાં પણ ઉઠી છે. ટીવી ચેનલ્સ બે રીતે ટીઆરપીમાં છેડછાડ કરી શકે એવી શક્યતા છે. જો ચેનલને જાણ થાય કે કયા ઘરમાં ડિવાઈસ લાગ્યું છે તો પરિવાર પર એક યા બીજી રીતે પ્રભાવ પાડે છે. બીજો રસ્તો છે કેબલ ઓપરેટર્સ.

કેબલ ઓપરેટર ફ્રિકવન્સી બદલી નાખે ત્યારે પિક્ચર મેચિંગમાં ગરબડો થતી હોવાનું કહેવાય છે. કેબલ ઓપરેટર્સ પ્રાયોરિટી બદલે તો એના આધારે જે તે ચેનલ પહેલા કે પછી દેખાતી હોય છે.

કેબલ ઓપરેટર્સના નેટવર્કનો ફાયદો ટીઆરપીની તરફેણમાં કે વિરૂદ્ધમાં લેવાતો હોવાના આક્ષેપો એનડીટીવી જેવી ચેનલે થોડાં વર્ષ પહેલાં કર્યો હતો. ચેનલોની વ્યૂઅરશિપનો મુદ્દો ટ્રિકી છે. આટલી ટેકનોલોજી હોવા છતાં સેમ્પલના આધારે હજુય વ્યૂઅરશિપ નક્કી થાય છે એ જ આમ તો આશ્વર્યજનક છે.

ભારતમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ (બાર્ક) નામની સંસ્થા ટેલિવિઝન મેઝરમેન્ટની દેખરેખ રાખે છે. ૨૦૧૦માં બનેલી આ સંસ્થા વિશ્વની સૌથી મોટી ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ છે અને આધુનિક ટેકનિકથી વ્યૂઅરશિપ સર્વે કરતી હોવાનો દાવો કરે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ૮૩.૬ કરોડ કુલ ટેલિવિઝન વ્યૂઅર્સ છે. એ દર્શકોનો મૂડ પારખવા માટે બાર્ક બેરોમીટરથી ડેટા એકઠાં કરીને અહેવાલ રજૂ કરે છે. બાર્કે લગભગ ૪૦ હજાર ઘરમાં ડિવાઈસ લગાવ્યું છે. એના આધારે ૨૦ કરોડ લોકોની વ્યૂઅર પેટર્ન પર નજર રહે છે. ૨૦૧૫માં આ પરિવારોને કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ અંતર્ગત ૧૨ કેટેગરીમાં વહેંચ્યા હતા. એમાં શિક્ષણથી લઈને વયજૂથ સુધીની કેટગરીનો સમાવેશ કરાયો હતો.

થોડાં સમય પહેલાં ડેટાની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠયા હતા. બાર્કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ એજન્સીના કર્મચારીઓએ જ આંકડાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઈ હતી. ભારતની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ૭૯ હજાર કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આવડી મોટી ઈન્ડસ્ટ્રી હોય ત્યારે ટીઆરપી એજન્સીની જવાબદારી પણ વધારે મહત્વની બની જાય છે.  

મુંબઈ પોલીસે ફેક ટીઆરપીના મુદ્દે ત્રણ ચેનલો સામે તપાસ શરૂ કરી છે ત્યારથી ટીઆરપીની સિસ્ટમ ફરીથી ચર્ચાનો વિષય બની છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઓડિયન્સ મેઝરમેન્ટની આ પદ્ધતિની વ્યવહારુતા અંગે સવાલો થયા કરે છે. દુનિયાભરમાં ઘણી ચેનલોએ ટીઆરપીમાં ગરબડો થતી હોવાની સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. દુનિયાભરમાં એક કે બીજી રીતે પ્રાયોરિટી સેટ કરાવીને ચેનલને અપ કરાવીને દર્શકોના દિમાગમાં છવાઈ જવાની ગેમ ચાલે છે. ઘણી વખત ચેનલોની આંતરિક હરિફાઈના કારણે પણ ટીઆરપીની સિસ્ટમ સામે સવાલો ખડા થાય છે, તો ઘણી વાર ફરિયાદમાં દમ પણ હોય છે.

ત્રણેક દશકા પહેલાં જ્યારે આ પદ્ધતિ શરૂ થઈ ત્યારના અને આજના જમાનામાં ઘણું બદલાઈ ચૂક્યું છે. એ વખતે કેબલ ટેલિવિઝનનો યુગ હતો, જે પછી ડીટીએચ સુધી વિસ્તર્યો. ઈનફેક્ટ, હવે તો ટેલિવિઝનનું સ્થાન જ ઓટીટી પ્લેટફોર્મે લેવા માંડયું છે. જે ધારાવાહિક સીરિયલ અને ન્યૂઝ પ્રોગ્રામ્સ ટીવીમાં જોવાતા હતા એ ઓટીટી પ્લેટફોર્મમાં જોવાતા થયા છે.

ઓટીટી પ્લેટફોર્મમાં તો વ્યૂઝનો ડેટા સરળતાથી અવેલેબલ છે. ટીઆરપી અને જીઆરપીના વિશ્લેષણમાં અટવાઈ જવાને બદલે વ્યૂઝના આંકડાંનું સાદું ગણિત વધારે સહેલું છે. આ સ્થિતિમાં ટીઆરપી માપવાની જૂની-પૂરાણી પદ્ધતિ બદલ્યે જ છૂટકો છે! જો એવું થશે તો વ્યૂઅરશીપની વિશ્વસનીયતા વધશે. મેરિટના આધારે જ વ્યૂઅરશીપ મળતી હશે તો ટીઆરપીની સિસ્ટમ પર પણ લોકોને ભરોસો બેસશે.

જો ટીઆરપી એનાલિસિસની પદ્ધતિ વિશ્વસનીય બનાવવી હશે તો નવી રીતે મૂલ્યાંકન કરવું પડશે. નવી પદ્ધતિથી; નવા ઓડિયન્સનો મૂડ પારખવો પડશે, તો જ સચોટ લોકમિજાજ જાણવા મળે. નહીં તો લોકપ્રવાહ ઓટીટી જેવા અન્ય પ્રવાહમાં ભળી જશે, જ્યાં ટીઆરપીના મુદ્દા કરતાં વ્યૂઅરશીપનો આંકડો મહત્વનો હોય છે. એ આંકડો ય જોકે ખરીદી તો શકાય જ છે! એ રીતે તો કાગડા બધે જ કાળા છે અને રહેશે!

Friday 16 October 2020
Posted by Harsh Meswania
Tag :

રસેલ કિયર્સ: ઈમેજ સ્કેનર અને પિક્સેલના ડેવલપર


સ્કેનરના ડેવલપર રસેલ કિયર્સના ત્રણ માસના દીકરાનો ફોટો 1957માં પ્રથમ વખત સ્કેન થયો હતો. એ ઓરિજિનલ ઈમેજ અમેરિકાના પોર્ટલેન્ડ આર્ટ મ્યુઝિયમમાં સાચવી રખાઈ છે.


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

પિક્સેલ અને ઈમેજ સ્કેનરના ડેવલપર કમ્પ્યુટર એન્જિનિયર રસેલ કિયર્સનું ઓગસ્ટ માસમાં ૯૧ વર્ષે નિધન થયું. તેમણે ૧૯૫૭માં દુનિયાનું પ્રથમ ડિજિટલ ઈમેજ સ્કેનર વિકસાવ્યું હતું

આજે એપ સ્ટોરમાં ઈમેજ સ્કેનરની એક શોધો ત્યાં અસંખ્ય એપ્સ અવેલેબલ છે. આપણાં ડોક્યુમેન્ટ્સને વધારે અસરકારક, વધારે સુવાચ્ય-સ્પષ્ટ બનાવવા માટે ઈમેજ સ્કેનર એપ ખૂબ જ ઉપયોગી થઈ પડી છે. જરૂરી સર્ટિફિકેટ્સથી લઈને જૂની તસવીરો, મહત્વના દસ્તાવેજો સ્માર્ટફોનના ઈમેજ સ્કેનરથી સારી કન્ડિશનમાં સાચવી શકાય છે. દસ્તાવેજોને કેવી રીતે, ક્યા ફોર્મેટમાં સાચવવા તેના પણ ઓપશન્સ એ ઈમેજ સ્કેનર્સમાં મળે છે.

આજે આટલી સરળતાથી આપણે દસ્તાવેજોને સ્કેન કરીને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકીએ છીએ એ પાછળ અસંખ્ય સંશોધકોની વર્ષોની મહેનત જવાબદાર છે. સ્માર્ટફોનમાં એક ફીચર એડ કરવાથી આપણે જે ટેકનોલોજી એક ક્લિકથી જ ખપમાં લઈ શકીએ છીએ એનો બેઝ બનાવવા પાછળ સંશોધકોએ કલાકોના કલાકો લેબમાં વીતાવ્યાં હતા. એવા જ એક સંશોધક હતા – રસેલ કિયર્સ.

******
રસેલના પેરેન્ટ્સ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયા અને હંગેરીથી અમેરિકામાં આવીને વસ્યા હતા. વિશ્વયુદ્ધ પછી તેમનો પરિવાર મેનહટ્ટનમાં સ્થાઈ થયો હતો. ૧૯૨૯માં મેનહટ્ટનમાં જ રસેલનો જન્મ થયો. ૧૯૫૦માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ૧૯૫૨માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. એમઆઈટીમાંથી ટેકનોલોજીમાં મહારત મેળવી કે તરત જ અમેરિકાના કમ્પ્યુટર પ્રોગ્રામમાં તક મળી.

અમેરિકન નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટાન્ડર્ડ સાથે જોડાઈને તેમણે કમ્પ્યુટર ટેકનોલોજીને લગતા સંશોધનો શરૂ કર્યાં. એ જ અરસામાં અમેરિકાએ ડોક્યુમેન્ટ્સની જાળવણી માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. રસેલ તેના લીડર બન્યા. જૂના દસ્તાવેજોને સાચવવામાં મદદ કરે એવી કોઈ સરળ ટેકનોલોજી એ વખતે ન હતી. કમ્પ્યુટર સાથે કનેક્ટ હોય એવા સ્કેનરની જરૂરિયાત વર્તાતી હતી.

સ્કેનરના પ્રયોગો ચાલતા હતા એ વખતે લેબમાં કામ કરી રહેલા રસેલ કિયર્સ

રસેલના નેતૃત્વમાં તેમની ટીમે એ દિશામાં મહેનત આદરી. એવું મશીન બનાવવાની મથામણ શરૂ થઈ કે જે દસ્તાવેજોને સ્કેન કરીને કમ્પ્યુટરમાં ઈમેજ સ્ટોર કરે. જે તસવીરો હાર્ડકોપી સ્વરૂપે હોય એને સ્કેન કરીને ડિજિટલ બનાવે એવું કોઈ ડિવાઈસ બન્યું છે કે નહીં તેની પણ તપાસ થઈ, પરંતુ એવું કોઈ મશીન મળ્યું નહીં. રસેલ કિયર્સે લેસરની મદદથી ડોક્યુમેન્ટ સ્કેન થાય એવું ઉપકરણ બનાવવા લેબમાં સમય વીતાવવા માંડયો. એ પહેલાં ઝેરોક્સની પ્રાથમિક તબક્કાની શોધ થઈ ચૂકી હતી, પરંતુ એ પ્રિન્ટ માટે જ ઉપયોગી હતું. તેનાથી ડિજિટલ ઈમેજ બનતી ન હતી.

રસેલે દિવસે ઓફિસના સ્ટાફને લીડ કરવાની સાથે સાથે રાતે સ્કેનર મશીનના પ્રયોગો આદર્યા. એક-દોઢ વર્ષ તેમણે ઓફિસમાં ૧૮-૧૮ કલાક કામ કર્યું. એક તબક્કો એવો પણ આવ્યો કે બીજા બધા પ્રોજેક્ટ્સને કારણે કામ સાવ અટકી પડયું. તેમણે કાબેલ સહાયક આર.બી થોમસનને કામ સોંપી દીધું. તેને ય પૂરેપૂરી સફળતા ન મળી એટલે થોડા સમયના અંતરાલ પછી તેમણે જ ફરીથી સંશોધન આગળ વધાર્યું. વિવિધ પ્રયોગોને અંતે ૧૯૫૬માં સફળતા મળી.

રસેલ કિયર્સે દુનિયાનું પ્રથમ ડિજિટલ સ્કેનર વિકસાવીને પહેલી ઈમેજ ૧૯૫૬માં સ્કેન કરી. મશીનમાં એવા સેન્સર્સ હતા કે જે ડોક્યુમેન્ટ્સને સુવાચ્ય બનાવીને જાળવી રાખવામાં મદદ કરતા હતા. ડોક્યુમેન્ટ્સને સ્કેન કરવાની સાથે સાથે તેની ડિજિટલ કોપી કમ્પ્યુટરમાં સ્ટોર થતી હતી. મશીન એટલું સરળ હતું કે બે જ બટન દબાવવાથી ઈમેજ સ્કેન થઈ શકતી હતી. ઈમેજ મૂક્યા પછી લાંબી પ્રોસેસ કરવાની રહેતી ન હતી તેના કારણે સમય બચતો હતો.

કમ્પ્યુટર સાથે કનેક્ટ હોય એવાં સ્કેનરમાંથી સ્કેન થયેલી પહેલી ઈમેજ ત્રણ મહિનાના બાળકની હતી. સ્કેનરના ડેવલપર રસેલ કિયર્સના ત્રણ માસના દીકરાનો ફોટો ૧૯૫૭માં સ્કેન થયો હતો અને એ ઈમેજનું માપ ૧૭૬ પિક્સેલ હતું.

એ ઐતિહાસિક ક્ષણ હતી. રસેલે પ્રયોગ માટે તેમનાં ત્રણ માસના દીકરાની ઈમેજ પસંદ કરી હતી. ઈમેજને સ્કેનરમાં મૂકીને ૧૭૬-૧૭૬ પિક્સેલની સ્કેન કોપી બનાવી હતી. એ દુનિયાની પ્રથમ ડિજિટલ સ્કેન ઈમેજ હતી. ૨૦૦૩માં તો લાઈફ મેગેઝિને દુનિયા બદલી નાખનારી ૧૦૦ ઈમેજની યાદી બહાર પાડી એમાં પણ એ તસવીરનો સમાવેશ કર્યો હતો.

******
એ ઈમેજ ખરેખર ગેમ ચેન્જર હતી. રસેલે માત્ર સ્કેનર મશીન જ બનાવ્યું ન હતું, પરંતુ પિક્સેલનું માપ પણ શોધી કાઢ્યું હતું. એક ડિજિટલ પિક્ચરમાં ક્યાં એલિમેન્ટ્સ હોય છે એ સૌપ્રથમ વખત રસેલ કિયર્સે સાયન્ટિફિક રીતે સાબિત કર્યું હતું. પિક્સેલની શોધ પણ ટેકનોલોજીમાં આગળ જતાં એટલી જ મહત્વની સાબિત થઈ હતી.

એ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર અસંખ્ય સંશોધકો માટે ક્રાંતિકારી સાબિત થઈ હતી. ઈમેજ સ્કેનરના ક્ષેત્રમાં એ પહેલું પગથિયું હતું. એ ક્ષેત્રે ઘણી ઉત્ક્રાંતિ થઈ. ડિજિટલ સ્કેનર પછી રોલર સ્કેનર, ૩જી સ્કેનર, હેન્ડ ડોક્યુમેન્ટ સ્કેનર અને સ્માર્ટફોન સ્કેનર સુધીની ક્રાંતિ પાછળ રસેલના સ્કેનરનો બેઝ જવાબદાર હતો. સેટેલાઈટ ઈમેજ, બારકોડ સ્કેનર વગેરે પણ રસેલના ચમત્કારિક આવિસ્કારને આભારી હતાં.

મોબાઈલ સ્કેનર એપની શરૂઆત ખરું જોતાં ૨૦૧૧માં થઈ હતી. અમેરિકન કંપનીએ સ્કેન નામની એપ ૨૦૧૧માં આપી હતી. એ જ વર્ષે ચીની કંપનીએ પણ કેમસ્કેનર એપ માર્કેટમાં મૂકી હતી. આ બંને એપથી મોબાઈલ સ્કેનરનો યુગ શરૂ થયો હતો.

ગોડફ્રે હોન્સફિલ્ડે મોર્ડન સીટી સ્કેનનો આવિસ્કાર કર્યો તેનું આંતરિક બંધારણ પણ રસેલના ઈમેજ સ્કેનર પર આધારિત હતું. ગોડફ્રેને ૧૯૭૯માં મેડિકલનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. રસેલને એવાં કોઈ ઈન્ટરનેશનલ લેવલના કે નેશનલ લેવલના પુરસ્કારો નહોતા મળ્યા એ જુદી વાત છે!

******
૯૧ વર્ષના રસેલ કિયર્સનું આ વર્ષે ઓગસ્ટ માસમાં ઓરેગોનના પોર્ટલેન્ડમાં નિધન થયું. કમ્પ્યુટર એન્જિનિયર રસેલે નિવૃત્તિ પછી થોડા વર્ષો ખાનગી કંપનીમાં એડવાઈઝર તરીકે કામ કર્યું હતું. સ્કેનર સંલગ્ન અસંખ્ય પ્રોડક્ટનો આધાર રસેલનું બનાવેલું પ્રથમ ડિજિટલ સ્કેનર હતું, પરંતુ રસેલ પોતે તેને શરૂઆતમાં એટલી કામની વસ્તુ ગણતા ન હતા! સ્માર્ટફોનમાં સરળતાથી ઉપયોગમાં લેવાતી સ્કેનર એપ્સ જોઈને પાછલી ઉંમરે એક વખત તેમણે કહ્યું હતુંઃ

‘મને શરૂઆતમાં એમ લાગતું હતું કે સ્કેનર અને પિક્સેલ ‘બેડ આઈડિયા’ છે. તેની શોધ ક્રાંતિકારી સાબિત થશે એની કલ્પના ન હતી, પરંતુ આજે અસંખ્ય યુઝર્સ એ જ મેથડથી બનેલી સ્કેનર એપનો ઉપયોગ કરે છે અને તેમને આ ટેકનિક રોજિંદા જીવનમાં ખૂબ જ ખપમાં આવી રહી છે એ જોઈને મને લાગે છે કે સ્કેનરનો વિચાર ‘ગૂડ આઈડિયા’ હતો’


ફોટોગ્રાફી પિક્સેલ શું છે?

મોર્ડન વર્લ્ડમાં વિવિધ પિક્સેલના માપ આપણાં કાને અથડાતા રહે છે. સ્માર્ટફોન કેમેરાની વાત નીકળે ત્યારે આપણે સૌપ્રથમ પિક્સેલનું માપ જાણીએ છીએ. કેટલાં પિક્સેલનો બેક કેમેરા છે? કેટલાં પિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે? પિક્સેલના માપથી સ્માર્ટફોનની વેલ્યૂ થાય છે. આ પિક્સેલ છે શું? દુનિયાને તેેનું માપ કાઢતાં કોણે શીખવ્યું?

પિક્સેલ વધુ હોય તો ફોટો સારો હોય, પિક્સેલ ઓછા હોય તો રીઝલ્ટ ફાટી જાય છે! રીઝલ્ટ ફાટી જાય છે એ નક્કી થાય છે ડોટ્સથી. બહુ નાના-નાના ડોટ્સથી એક સ્ક્રીન તૈયાર થાય છે. એ નાના-નાના ડોટ્સને પિક્સેલ કહેવાય છે. પિક્સેલને પિક્ચર એલિમેન્ટ્સ પણ કહેવાય છે. પિક્સેલ શબ્દ જ પિક્સ અને એલિમેન્ટ્સને ભેગા કરીને બનાવાયો છે.

આપણે એક શબ્દ રેઝોલ્યુશન પણ સાંભળીએ છીએ. એ રેઝોલ્યુશન પિક્સેલના આધારે નક્કી થાય છે. અસંખ્ય પિક્સેલ મળીને એક પિક્ચર બનાવે છે. કોઈ તસવીરમાં પિક્સેલ હોય છે એ સૌપ્રથમ રસેલ કિયર્સે શોધી કાઢ્યું.

પિક્સેલ અને મેગા પિક્સેલનું માપ કંઈક આવું છે: ૧૧૫૨ × ૮૬૪ = ૧૦ લાખ પિક્સેલ = ૧ મેગા પિક્સેલ.

૧૬૦૦ × ૧૨૦૦ = ૨૦ લાખ પિક્સેલ = ૨ મેગા પિક્સેલ.

રસેલ કિયર્સે જે ઈમેજનું માપ કાઢ્યું હતું એ બ્લેક એન્ડ વ્હાઈટ હતી. રંગીન પિક્સેલમાં ત્રણ રંગોનો સમાવેશ થાય છે. રેડ-ગ્રીન-બ્લુ. તેને ટેકનિકલ ભાષામાં આરજીબી પણ કહેવાય છે. તસવીરમાં આ રંગો ઓછા-વધુ કરવામાં આવે એ રીતે તેનો રંગ બદલે છે. ખાસ તો ઈમેજ પ્રિન્ટ કરવાની હોય ત્યારે આ રંગોની મેળવણી ખૂબ મહત્વની બની જાય છે.

પિક્સેલ અરેન્જમેન્ટ વખતે ડિસ્પ્લેમાં ઈંચ પ્રમાણે તેનું માપ નીકળે છે. સરેરાશ એક ઈંચમાં કેટલા પિક્સેલ હોય એના આધારે પિક્ચરની ક્વોલિટી નક્કી થાય છે. આપણે કોઈ મોબાઈલ કેમેરાનું રીઝલ્ટ ચેક કરવા સાદી રીતથી પિક્સેલ માપતા હોઈએ છીએ. સ્માર્ટફોનમાં કોઈ ઈમેજને થાય ત્યાં સુધી ઝૂમ કરીએ અને પછી જે ડોટ્સ દેખાવા માંડે એ પિક્સેલના ડોટ્સ છે. તેના આધારે કેમેરાની અને ઈમેજની ક્વોલિટી નક્કી થાય છે.

Sunday 30 August 2020
Posted by Harsh Meswania
Tag :

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસનો ચેપ કેટલો રોકી શકાય છે?

 

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેન્ડ સેનિટાઈઝર અને હેન્ડવોશ - આ વિષયમાં થોડાંક વર્ષોથી સંશોધકોને રસ પડયો છે. કેટલાંય સંશોધનો થયા છે અને હજુય થતાં રહે છે, જેમાં અલગ અલગ દાવા થઈ રહ્યાં છે. સાચું શું છે?

'માણસ સરેરાશ એક કલાકમાં ૨૩થી ૨૫ વખત ચહેરાને હાથ અડાડે છે'.

બિહેવિયર સાયન્સના એકથી વધુ અહેવાલોમાં આ દાવો થયો છે. આ પ્રકારનું પહેલું રીસર્ચપેપર ૨૦૦૮માં જર્નલ ઓફ ઑક્યુપેશનલ એન્ડ એન્વાયર્મેન્ટલ હાઈજીનમાં પબ્લિશ થયું હતું. એ અહેવાલ પ્રમાણે માણસ એક કલાકમાં ૨૦થી ૨૩ વખત ચહેરાને સ્પર્શે છે. પુરુષો કરતા સ્ત્રીઓ સરેરાશ ચારથી પાંચ વખત વધારે ચહેરો સ્પર્શે છે.

ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૬માં આવો જ અહેવાલ રજૂ કર્યો હતો, એમાં દાવો થયો હતો કે પુરુષો એક કલાકમાં સરેરાશ ૨૩ વખત ચહેરાને અડે છે, જ્યારે સ્ત્રીઓ એક કલાકમાં ૨૬ વખત મોં સ્પર્શે છે. એમાંથી ૩૬ ટકા હોંઠ, ૩૧ ટકા નાક, ૨૭ ટકા આંખનો સ્પર્શ થાય છે. કુલ સ્પર્શમાંથી છ ટકામાં મોંનો અન્ય હિસ્સો હોય છે. ૯૪ ટકા ટચ મોંના સેન્સિટિવ એરિયામાં થાય છે.

બિહેવિયર સાયન્સના ભાગરૂપે આવાં તો અનેક સંશોધનો એકાદ દશકામાં થયા છે. બધા રીસર્ચનું સરેરાશ પરિણામ કહે છે એમ આપણે એક કલાકમાં ૨૦થી ૨૫ મોં સાથે હાથનો સંપર્ક કરાવીએ છીએ.

માણસ શું કામ વારંવાર ચહેરા અને હાથનો સંપર્ક કરાવે છે? એ વિશેય સંશોધનો થયા છે. સંશોધકો કહે છે એમ એ માણસની જન્મજાત ટેવ છે અને તેનો સંબંધ ઈમોશન સાથે છે. એમાં પરિવર્તન લાવી શકાય તેમ નથી. તાલીમ આપીને ચોક્કસ કિસ્સામાં આદત છોડવી શકાય ખરી, પરંતુ જનસામાન્યમાં પરિવર્તન લાવવાનું કામ લગભગ અશક્ય છે. અમેરિકન મનોવિજ્ઞાની ડેચર કેલ્ટનર તો ત્યાં સુધી કહે છે કે મોં સ્પર્શ કરવાથી માણસને વારંવાર સુખદ અનુભવ થાય છે. શરીરમાં વહેતો હોર્મોનનો જથ્થો માણસને સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ માટે મજબૂર કરે છે!

માણસની આ આદત 'વાયરસ'ને એકદમ અનુકૂળ આવે છે. કોરોના જેવો વાયરસ માણસની આ સહજ ટેવનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને એટલે જ જ્યારે જ્યારે વાયરસ ફેલાય ત્યારે ત્યારે ચેપથી બચવા મોંનો સ્પર્શ ન કરવાની સલાહ અપાય છે. હાથ વારંવાર ધોવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં રહેવાની ભલામણ આ કોરોના વાયરસ વખતેય થઈ છે.

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસ ફેલાતો અટકે છે એવી એક વ્યાપક માન્યતા છે, તો બીજી તરફ હેન્ડ સેનિટાઈઝર હેન્ડવોશનો વિકલ્પ નથી એવોય દાવો રજૂ થતો રહે છે. હાથ ધોઈ શકાય તેમ ન હોય તો જ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો- એવી નસીહત પણ ઘણાં સંશોધકો આપે છે.

એવાં સંશોધનો વિશે જાણતા પહેલાં હેન્ડ સેનિટાઈઝર અંગે થોડું જાણવું જ્ઞાનવર્ધક થઈ પડશે!

***

સેનિટાઈઝરનો છૂટો-છવાયો ઉપયોગ થતો હોવાના પુરાવા આપણે છેક ૧૪મી સદી સુધી દોરી જાય છે. આલ્કોહોલનો હાથ સાફ કરવામાં ઉપયોગ થઈ શકે છે એ ૧૪મી સદીના લોકોય જાણતા હતા, પરંતુ આલ્કોહોલ બેઝ્ડ હોમમેઈડ સેનિટાઈઝરનો ઉપયોગ ૧૮મી સદીમાં થતો હોવાનું વિજ્ઞાનિકો માને છે.

દેખીતો વપરાશ ૧૯૭૦ના દશકાથી શરૂ થયો, જ્યારે કેલિફોર્નિયાની એક નર્સ નામે લુપ હર્નાન્ડિઝે આલ્કોહોલમાંથી જેલ બનાવીને પહેલી વખત આજના મોર્ડન હેન્ડ સેનિટાઈઝરના પૂર્વજનો પરિચય દુનિયાને કરાવ્યો હતો. તેની શોધ એ વખતે ખાસ નોંધપાત્ર બની નહીં. માર્કેટમાં વેલ્યૂ ન થઈ. લુપ હર્નાન્ડિઝ કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડની હોસ્પિટલમાં કામ કરતી હતી. એ હોસ્પિટલમાં દર્દીઓને તપાસતા પહેલાં ડોક્ટર્સ અને નર્સ લુપ હર્નાન્ડિઝે બનાવેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હતા. બીજી હોસ્પિટલોમાં પણ તેનો ઉપયોગ થોડો થોડો શરૂ થયો હતો.

૧૯૪૬માં સ્થપાયેલી સાબુ બનાવતી કંપની ગોજોએ ૧૯૮૮માં લુપ હર્નાન્ડિઝના હેન્ડ સેનિટાઈઝરમાં જરૂરી કમર્શિયલ સુધારા કરીને પહેલી વખત આ હાઈજિન પ્રોડક્ટ દમદાર માર્કેટિંગ સાથે માર્કેટમાં મૂકી. હેન્ડ સેનિટાઈઝરની આ પહેલી કમર્શિયલ સક્સેસ હતી. પ્યોરેલ નામથી રજૂ થયેલી પ્રોડક્ટ પછી તો ગોજો કંપનીની ઓળખ બની ગઈ. ફ્રેન્ડશિપ સાથે કનેક્ટ કરીને કંપનીએ આ પ્રોડક્ટમાંથી ખૂબ કમાણી કરી.

એ હેન્ડ સેનિટાઈઝરમાં ૭૦ ટકા ભાગ આલ્કોહોલનો હતો અને પાણી સહિતના અન્ય પદાર્થો ૩૦ ટકા હતાં. હાથમાં પ્યોરેલ લગાવવાથી નુકસાનકારક કીટાણુ ૭૦-૭૫ ટકા સુધી નાશ પામે છે એવી કંપનીની જાહેરાતો ખૂબ જ અસરકારક સાબિત થઈ. લુપ હર્નાન્ડિઝનું હેન્ડ સેનિટાઈઝર હોસ્પિટલો સુધી પહોંચ્યું હતું, પરંતુ પ્યોરેલે અમેરિકાના ઘર-ઘરમાં સ્થાન મેળવી લીધું. અમેરિકાની અસર હેઠળ પછી તો દુનિયાના ખૂણે ખૂણે તેની હાજરી દર્જ થઈ.

સમયાંતરે અઢળક કંપનીઓ હેન્ડ સેનિટાઈઝર લઈને આવી. થોડાં ઘણાં ફેરફાર સાથે માર્કેટમાં અપાર વૈવિધ્ય મળવા લાગ્યું, પરંતુ એ બધાનો મૂળ બેઝ આલ્કોહોલ હતો. છેલ્લાં એકાદ દશકાથી આલ્કોહોલ વગરના હેન્ડ સેનિટાઈઝર્સ માર્કેટમાં અવેલેબલ છે, પણ એની અસરકારકતા આલ્કોહોલિક એજન્ટ્સ ધરાવતા સેનિટાઈઝરની તુલનાએ ઘણી ઓછી છે. ફાર્મસી કંપનીઓની અનિવાર્ય પ્રોડક્ટ્સમાં સામેલ થઈને છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં હેન્ડ સેનિટાઈઝરે ગ્લોબલ માર્કેટ સર કરી લીધું છે.

હેન્ડ સેનિટાઈઝરનું ગ્લોબલ માર્કેટ ૨૦૧૭-૧૮માં ૨.૪ અબજ ડોલરનું હતું, જે વધીને ૨૦૨૦માં ૪.૬ અબજ ડોલર યાને ૪૬૦ કરોડ ડોલર થવાનો અંદાજ છે અને ૨૦૨૪-૨૫ આવતાં આવતાં તો એનો કુલ બિઝનેસ ૭.૭ અબજ ડોલર થઈ જશે. ૨૦૧૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈનમાં હેન્ડ સેનિટાઈઝરને જીવન જરૂરી મેડિકલ પ્રોડક્ટમાં સ્થાન મળ્યું પછીથી તેનો ફેલાવો વિકાસશીલ દેશોમાં પણ વધી ગયો હતો.

***

જે હેન્ડ સેનિટાઈઝરમાં ૬૦-૭૦ ટકા આલ્કોહોલિક એજન્ટ્સની હાજરી હોય એ કીટાણુ નાશ કરવા સક્ષમ હોય છે એવું સંશોધનો કહે છે. ૮૦-૯૦ ટકા સુધી આલ્કોહોલ હોય તો એની અસરકારકતા ઘણી વધી જાય છે. ૬૦-૭૦ ટકા આલ્કોહોલની હાજરી હોય એ હેન્ડ સેનિટાઈઝરનું પરિણામ એક તરફ અને બીજી તરફ સાબુથી હાથ ધોયા પછીના રીઝલ્ટની સરખામણી વારંવાર થાય છે.

જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ થોડાંક મહિના અગાઉ હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશિંગનું સંશોધન રજૂ કર્યું હતું. એ સંશોધન પ્રમાણે જે હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલની માત્રા ૭૦ ટકા હતી એ હાથમાં લગાવીને કેટલા ટકા જીવાણું નાશ પામે એ નોંધાયું હતું. બીજી તરફ સાધારણ સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોયા પછી હાથમાંથી કેટલાં કીટાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એના રીઝલ્ટમાં દાવો કરાયો હતો કે હાથમાં સેનિટાઈઝર લગાવાયા પછી પણ વાયરસ ચાર મિનિટ સુધી એક્ટિવ રહ્યો હતો. હાથ ધોયા પછી વાયરસ ૩૦ સેકન્ડમાં નાશ પામ્યો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ શ્રેણીબદ્ધ સંશોધનો થયા હતા. હેન્ડ સેનિટાઈઝર લગાવ્યા પછી કેટલી માત્રામાં કીટાણું નાશ પામે છે તે મપાયું હતું. ૧૦ સેકન્ડ હાથ ધોયા પછી કેટલાં જીવાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એ વખતે હેન્ડ સેનિટાઈઝરનો હાથ ઉપર રહ્યો હતો!

સંશોધકોએ નોંધ્યું કે ઓછામાં ઓછા ૨૦થી ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોવામાં આવે તો તેનું પરિણામ સેનિટાઈઝરની સરખામણીએ વધારે અસરકારક આવે છે. ૨૦-૩૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવાથી ૮૦-૮૫ ટકા સુધી કીટાણું નાશ પામ્યાં હતાં.

હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશને લગતાં સંશોધનોમાં જાપાનની યુનિવર્સિટીનું સંશોધન છેલ્લું મહત્વનું સંશોધન હતું. એ અગાઉ પણ અસંખ્ય સંશોધનો થાય છે. ન્યૂયોર્કના વિજ્ઞાની નિકેત સોનપલ કહે છે કે પાણી અને સાબુ અવેલેબલ ન હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોઈને કીટાણુંનો નાશ કરવાનો વિકલ્પ વધારે સારો.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ પણ ૨૦૧૭માં કહ્યું હતું કે સેનિટાઈઝર હાથમાં લગાવવાને બદલે હાથ ધોવાનો ઓપ્શન વધારે અસરકારક છે. ૭૦ ટકા આલ્કોહોલ હોય એવા સેનિટાઈઝરથી ૭૦ ટકા જીવાણું નાશ પામ્યા હતા, જ્યારે ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોયા પછી ૮૭ ટકા કીટાણુનો ખાતમો બોલ્યો હતો. 

ઈનશોર્ટ, સાબુમાં જે પદાર્થો હાજર હોય છે તે કીટાણું માટે વધારે ઘાતક સાબિત થાય છે. પાણી-સાબુની જોડી સેનિટાઈઝરની સરખામણીએ વધારે મજબૂત બનીને વાયરસનો સામનો કરે છે. સાયન્સ કહે છે કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ બિલકુલ અયોગ્ય નથી, પરંતુ જો સાબુથી હાથ ધોવાની સગવડ હોય તો પહેલો વિકલ્પ એ જ પસંદ કરવો જોઈએ. પાની કા કામ પાની હી કરતા હૈ!

-----------

હાથ ધોવામાં મહિલાઓ આગળ

થોમસ જેફરસન યુનિવર્સિટીના હેલ્થ વિભાગે હાથ ધોવાને લગતું એક સર્વેક્ષણ કર્યું હતું. એ સર્વેક્ષણ પ્રમાણે પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાથ વધુ સ્વચ્છ રાખે છે. સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું કે ઘરની સફાઈ, રસોઈ બનાવવી, બાળકને સાચવવું.. જેવાં કામ મહિલાઓ વધુ કરે છે. એટલે તેમને હાથ ધોવાની આદત પડી જાય છે. સર્વેક્ષણમાં સામે આવ્યું હતું કે ચેપ ન લાગે એ અંગે મહિલાઓ વધારે જાગૃત હોય છે.

પાલતુ સજીવો સાથે સમય વીતાવ્યા પછી, શાકભાજી સમાર્યા પછી, કિચન સાફ કર્યા પછી, ઉધરસ કે છીંક પછી પુરુષો હાથ ધોવાનું ભૂલી જાય છે. તેની સામે મહિલાઓમાં આ બધી એક્ટ પછી હાથ ધોવાનું પ્રમાણે ૮૦ ટકા જેટલું ઊંચું નોંધાયું હતું.

પેરિસમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ માર્કેટ રીસર્ચ એજન્સી આઈપીએસઓએસના અભ્યાસમાં પણ આવું જ કૈંક પરિણામ જોવા મળ્યું હતું. બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી ૧૦૦માંથી ૯૧ મહિલાઓ હેન્ડવૉશ કરતી હતી, એની સામે ૮૪ પુરુષો બાથરૂમમાંથી બહાર નીકળીને હાથ ધોવાનું યાદ રાખતા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ઘરે પહોંચ્યા પછી ૭૪ ટકા સ્ત્રીઓ પહેલું કામ હાથ ધોવાનું કરતી હતી. માત્ર ૬૫ ટકા પુરુષો જ બહારથી આવ્યા પછી હાથ સ્વચ્છ રાખતા હતા.

ચેપી રોગથી બચવા ચેતવણી વહેતી થઈ હોય ત્યારે હાથ ધોવાનો નિયમ પાળવામાં અને ચહેરાને ટચ ન કરવાની બાબતમાંં મહિલાઓ વધારે અવેર છે. સ્વીડિશ યુનિવર્સિટીના ત્રણેક વર્ષ જૂના સ્ટડીમાં આ દાવો થયો હતો. સ્ટડી પ્રમાણે ચેપી વાયરસનો ભય હોય ત્યારે ૧૦૦માંથી ૭૬ મહિલાઓ હેન્ડવૉશ અને મોં-નાક-આંખને સ્પર્શ ન કરવાની ગાઈડલાઈનનું પાલન કરે છે. સામે ૧૦૦માંથી માત્ર ૪૭ પુરુષો જ ચેપી વાયરસથી બચવાની ગાઈડલાઈન ફોલો કરે છે. બીજી રીતે કહીએ તો અત્યારે કોરોનાથી બચવા જે સૂચના અપાઈ છે એનું ૭૬ ટકા સ્ત્રીઓ અને ૪૭ ટકા પુરુષો પાલન કરે છે!

Saturday 21 March 2020
Posted by Harsh Meswania
Tag :

સાયન્સ બિહાઈન્ડ લવ : પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન હજુ તાજું જ છે, ત્યારે લવ વિશેના વૈજ્ઞાનિક તારણો જાણવા જેવાં છે. પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી એ રહસ્ય ઉકેલવા સતત સંશોધનો થઈ રહ્યાં છે..


વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો ગ્લોબલ ઉત્સવ. દુનિયાભરના લવબર્ડ્સ પ્રપોઝ કરવા આ દિવસની રાહ જુએ છે. બંને પક્ષે 'હા' હોય તો વેલેન્ટાઈન ડે જ દિવાળી-હોળી કે ન્યૂયર બની જાય છે! પ્રેમ વિશે દુનિયાભરમાં અપાર સાહિત્ય લખાય છે, બોલાય છે, ફિલ્મ-વેબસીરિઝ બને છે.
પ્રેમને સમજવા જેટલાં પ્રયાસો થાય એટલાં જ નવા નવા રહસ્યો ઘૂંટાતા રહે છે. એક તબક્કે લાગે કે હવે પ્રેમ વિશે આ તારણ આખરી હશે, ત્યાં કંઈક નવું તારણ આકાર લેવા માંડે છે. પ્રેમના અમુક કોયડા સદીઓ પછીય ઉકેલાયા નથી.
'પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?' એ કોયડો પણ માનવજાતને સદીઓથી મૂંઝવે છે. એ મુદ્દો 21મી સદીના વૈજ્ઞાનિકો માટે એટલો જ પેચીદો બન્યો છે.
                                                                      ***
કોઈ કહે છે પ્યાર દિલથી થાય છે. કોઈ કહે છે પ્યાર સંજોગથી થાય છે. વળી કોઈ કહે છે પ્રેમ દિમાગથી થાય છે. તો કોઈ કહે છે, પ્રેમ નસીબથી થાય છે. કોઈ તો એવી પણ દલીલ કરે છે કે પ્રેમ પાછળ ન તો દિલ જવાબદાર છે ન દિમાગ, એ તો વિજાતીય આકર્ષણના કારણે થાય છે!

લવની લાગણીને સમજવા આજનું વિજ્ઞાન પણ ઘણી મથામણો કરે છે. એવી જ મથામણ ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આદરી હતી. એમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં હતાં. મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ લવબર્ડ્સ ઉપર પડતી વિવિધ અસરો માપી હતી. પહેલી નજરે પ્રેમમાં પડી જનારા લવર્સના બિહેવિયરનું વિશ્લેષણ કરીને સંશોધકોએ કહ્યું હતું કે પ્રેમ દિલથી નહીં, દિમાગથી થાય છે!

'દિલ કી સુનો', 'દિલ સે પૂછો', 'તુમ્હારા દિલ કહે વો કરો!' પ્રકારની પ્રેમાળ શિખામણો વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીના મનોવિજ્ઞાનિકો કહે છે કે પ્રેમ થવા પાછળ દિલ નહીં, દિમાગ જવાબદાર છે. આવું કહેવા માટે એ વિજ્ઞાનીઓ પાસે એમના તારણો અને તર્કો હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડવાની શરૂઆત કરે છે ત્યારે એના મસ્તિસ્કમાં ડોપામાઈન, ઓક્સિટોસીન, એડ્રેનલિન, વેસોપ્રેસીન જેવાં 12 હોર્મોન્સનો જથ્થો વધી જાય છે. આ હોર્મોન્સ એને પ્રેમ કરવાનું બળ આપે છે.

પ્રેમમાં પડનારાને દુનિયા બદલાયેલી લાગે છે, ઉત્સાહવર્ધક અનુભવ થવા માંડે છે એ પાછળ પણ આ જ હોર્મોન્સ રીઝન બને છે. મનોવિજ્ઞાનિકોએ એવું પણ નિરીક્ષણ રજૂ કર્યું હતું કે આ એ સમય હોય છે જ્યારે માણસની ખરાબ લત છૂટી શકે છે. કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ દારૂ-સિગારેટની લત છોડાવવાનો યશ મેળવી જતી હશે!?

પ્રેમમાં શબ્દો ગળામાં જ અટકી જાય કે હૃદય જોર-જોરથી ધડકવા માંડે એ પાછળ પણ દિમાગ જ કારણભૂત છે. આ બધું થવા પાછળ એડ્રેનલિન હોર્મોન જવાબદાર હોય અને બધો જ દોષ દિલ ઉપર આવે છે. ખરેખર દિલ આમાં સાવ નિર્દોષ હોય છે! માણસ જેને લવ કરે એની જ કેર કેમ કરે છે? જવાબ છે - ઓક્સિટોસીન. આ હોર્મોનનો સ્ત્રાવ જેને જોઈને કે જેની સાથે રહેવાથી વધે એની કેર કરવાની ઈચ્છા વધે છે. એ જ હોર્મોન વધારે પડતી કેર કરાવે ત્યારે પ્રિયજન માટે માલિકીભાવ પણ જન્મે છે.

ડોપામાઈનનું લેવલ વધે તો મૂડ સરસ બને છે. એનું સ્તર વધે એટલે વ્યક્તિ વધારે રોમેન્ટિક બની જાય છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે 'લવબાઈટ્સ' પાછળ આ ડોપામાઈનની કરામત કારણભૂત છે! પાર્ટનરને હગ કરવું, કિસ કરવી, ભીંસી નાખવું... જેવી ફીલિંગ્સનો ઊભરો ડોપામાઈનનો જથ્થો પોતાની સાથે લાવે છે!

કોઈ સાથે આખી જિંદગી રહી શકાશે એ ભાવ વેસોપ્રેસિન હોર્મોનના કારણે જન્મે છે. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે ફેમિલી મેમ્બર્સને જોઈને આ હોર્મોનનો જથ્થો નિરંતર વધતો હોય છે એટલે જ માણસને પરિવાર સાથે રહેવું ગમે છે. કોઈ એક વ્યક્તિને પરિવાર અને પ્રિયજન માટે એકસરખો સ્ત્રાવ થાય તો બધા સાથે રહી શકે એવાં ચાન્સ ઉજળા, પરંતુ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફમાંથી કોઈ એકના દિમાગમાં બીજાના પરિવારને જોઈને જો વેસોપ્રેસિનનો જથ્થો ન વધે તો એ સહજીવન લાંબું ટકતું નથી.
                                                                     ***
ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જરા જુદી દિશામાં સંશોધન કર્યું હતું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એવી વ્યાપક માન્યતા છે, પરંતુ ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ થોડાંક મહિના પહેલાં આપેલું તારણ એવું હતું કે 35-40 વર્ષ પછી પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દિમાગમાં થતાં ફેરફારો માણસને પ્રેમ કરવા પ્રેરે છે. એ પછી અમુક વયે એવા રસાયણોનો જથ્થો ઘટી જાય છે એટલે જ લવમેરેજના અમુક વર્ષો પછી પ્રેમ ઓછો થઈ જવાની ફરિયાદો ઉઠે છે.

આ સંશોધનમાં તો એવુંય તારણ અપાયું હતું કે પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર નથી થતો, પરંતુ દિમાગમાં ફેરફાર એટલે પ્રેમ થાય છે! એનો સીધો અર્થ એટલો કે દિમાગ પ્રેમ કરવા તૈયાર હોય અને હોર્મોન્સનો જથ્થો વધે તો જ કોઈક વ્યક્તિ પહેલી નજરે ગમી જાય છે. અથવા તો ઘણાં સમયથી પરિચયમાં હોવા છતાં અમુક સમય પછી જ ફીલિંગ થાય છે.

આ માટે સંશોધકોએ એવાં યુવક-યુવતીઓના દિમાગનો અભ્યાસ કર્યો હતો કે જેમના જીવનમાં કોઈને કોઈ ગંભીર ઘટનાઓ બની હતી. એ ઘટનાઓના કારણે તેમને કોઈનાય પ્રેમમાં હોવાની ફીલિંગ થતી ન હતી, પણ પેલી ખરાબ ઘટનાઓનું સ્મરણ ઝાંખું થયું પછી તેમણે કોઈ માટે ફીલિંગ્સ હોવાનું સ્વીકાર્યું હતું.

આ બંને સંશોધનો એ તરફ ધ્યાન દોરે છે કે દિમાગમાં ફેરફાર થાય ત્યારે પ્રેમ થાય છે અને પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર થાય છે. દિલમાં જે અસર થાય છે તે દિમાગનું રીફ્લેક્શન માત્ર છે, સીધી રીતે દિલની એમાં કોઈ જ સંડોવણી નથી!
                                                                        ***
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ 2010માં એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો વિષય હતો, પ્રેમમાં સફળ થનારા લોકો જીવનમાં કેટલાં સફળ હોય છે? પ્રેમમાં સફળ થનારા સરેરાશ લોકો કરતા વધારે ક્રિએટિવ હોય છે? એવરેજ કરતા મજબૂત મનોબળ ધરાવતા હોય છે?

પાંચ વર્ષ લાંબાં સંશોધન પછી 25 પાનાનો જે અહેવાલ રજૂ થયો તેમાં રસપ્રદ તારણો નીકળ્યા હતા. પ્રેમમાં પડનારા શરૂઆતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોવા છતાં પ્રેમના કારણે તેના દિમાગમાં એવા રાસાયણિક ફેરફાર થાય છે કે જેથી આત્મવિશ્વાસ વધે છે. નવા સાહસો કરવાનું બળ વધે છે.

પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા લોકોમાં એકાગ્ર થવાની ક્ષમતા વિકસે છે. સંતૃપ્તિ અને આત્મવિશ્વાસના કારણે સફળ પ્રેમીઓમાં ક્રિએટિવિટી, મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ વિકસે છે. આ બાબતો તેમને પ્રોફેશ્નલ સફળતા તરફ દોરી જાય છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ પ્રેમમાં પડવાના સમય ઉપર સ્ટડી કર્યો હતો. પ્રથમ મુલાકાતની કઈ ક્ષણે પ્રેમના અંકુર ફૂટે છે? સંશોધકોએ વર્ષોના સંશોધન પછી તેનો જવાબ શોધી કાઢ્યો હતો કે પ્રથમ મુલાકાતની પહેલી ચાર મિનિટ પ્રેમ થવા કે ન થવા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આ ચાર મિનિટમાં બોડી લેંગ્વેજ, અવાજ અને દેખાવના આધારે બંને વ્યક્તિ પરસ્પર એકમેકને પસંદ કરે છે. બોડી લેંગ્વેજના આધારે 55 ટકા લોકો બીજાના પ્રેમમાં પડે છે. અવાજના આધારે પ્રેમમાં પડનારાની સંખ્યા 38 ટકા છે અને વિચારોના આધારે પ્રેમમાં પડતા લોકો માત્ર 7 ટકા છે.
                                                                           ***
આ બધા જ સ્ટડી હોર્મોન્સના આધારે થયા હતા. કોઈના પ્રેમમાં પડવું, પ્રેમમાં સફળ થવું, કઈ બાબતોથી આકર્ષાવું, કેર કરવી, સાથે રહેવું... જેવી મહત્વની બાબતો બને છે, એનાં બીજ દિમાગમાં રોપાય છે.

દિમાગમાં હાઈપોથેલેમસ, લિંબિંક સિસ્ટમ હોય છે. એમાં આ વિવિધ હોર્મોન્સ રહે છે. હોર્મોન્સનો જથ્થો વધે તે સાથે જ બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને છે. રક્તનું સર્ક્યુલેશન ઝડપી થાય એટલે હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે એટલે એ જોરજોરથી ધડકે. એ જોરજોરથી ધડકે એટલે આપણને લાગે કે પ્રેમમાં હૃદયની મહત્વની ભૂમિકા હશે, પરંતુ આખી વાત બને છે દિમાગમાં!
આપણી હિન્દી ફિલ્મના ગીતકારોએ ભલે આપણને રટ્ટો મરાવી દીધો છે કે પ્રેમ દિલથી થાય છે, પણ સાયન્સ કહે છે કે પ્રેમ દિમાગથી થાય છે.
                                                                         ***

બ્રેકઅપનું સાયન્સ!

દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે પણ ઉજવાય છે! પ્રેમીયુગલ વચ્ચે અણબનાવ થાય અને એકબીજાથી અલગ થવાની નોબત આવે એ સ્થિતિને વિશ્વભરની લગભગ તમામ ભાષામાં 'દિલ તૂટયું' એમ કહેવાય છે. બ્રેક-અપ થાય ત્યારે દિલ તૂટયું છે, એવું કહે છે. દિલ તૂટે છે એટલે કંઈ દિલ શરીરની બહાર આવીને વિખેરાઈ જતું નથી, પણ તેમ છતાં આ શબ્દપ્રયોગ દરેક ભાષાએ અપનાવ્યો છે.

એ શબ્દપ્રયોગને હવે સાયન્સનું સમર્થન મળ્યું છે. ટોરોન્ટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે પ્રેમીજનનો કાયમી વિરહ આવી પડે તે પછી હૃદયમાં જે પીડા ઉપડે છે તે ખરેખર કોઈ અંગ વિખેરાયું હોય એવી હોય છે.
બ્રેકઅપ પછી શરીરમાં થતાં ફેરફારો નોંધનારા સંશોધકો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે એ પીડા શરીરના કોઈ અંગ તૂટવાથી થતી હોય છે એવી જ હોય છે. શરીરના કોઈ અંગમાં તીર ભોંકાય કે સોંઈ ખોંસવામાં આવે અને જે દર્દ ઉપડે છે એવું જ દર્દ દિલમાં કોઈના વિરહથી ઉપડે છે. લાંબાં અભ્યાસના અંતે અવું અર્થઘટન થયું છે કે દિલ તૂટવું એ માત્ર રૂપક નથી.
Sunday 16 February 2020
Posted by Harsh Meswania
Tag :

માસ્કનું વર્ષે 5700 કરોડ ડોલરનું માર્કેટ


 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

કોરોનાના ડરથી માસ્કના માર્કેટમાં તેજી આવી  છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માસ્કના ભાવ વધી ગયા છે. અછત સર્જાવાના ડરે કેટલાય દેશોએ માસ્કની નિકાસ અટકાવી દીધી છે.


નેટફ્લિક્સની શરૂઆતમાં બહુ હિટ બનેલી વેબસીરિઝ 'હાઉસ ઓફ કાર્ડ્સ'નો એક ડાયલોગ છે : 'ડર એ દુનિયાનો સૌથી મોટો વેપાર છે. એ સત્તાધીશને પાવર આપે છે. ડરના વેપારમાં નિષ્ફળતા મળવાની શક્યતા બહુ જ ઓછી છે. ભય બતાવીને ભલભલું વેંચી શકાય છે. ભય જોઈને લોકો ન ગમતું બધું જ કરવા માંડે છે. શક્તિશાળી અને સમજદાર વેપારીને (વિશ્વના રાજકારણીઓને) ભયનો વેપાર ક્યારેય નિરાશ કરતો નથી'

વેલ, વિશ્વમાં અત્યારે આવો ભય કોરોનાના કારણે ફેલાયો છે. કોરોનાના ભયના કારણે મંદીમાં સપડાયેલા વૈશ્વિક માર્કેટમાં અચાનક હેલ્થ પ્રોડક્ટ્સના વેંચાણમાં તેજી આવી ગઈ છે. દુનિયાભરની ફાર્મા કંપનીઓની ફેક્ટરીઓ રાત-દિવસ ધમધમવા માંડી છે. કોરોના વાયરસ ચીનની બહાર નીકળી ચૂક્યો છે. ચીનનું જોયા પછી બીજા દેશો સાવચેત બની ગયા છે. ચીન જેવું ન થાય એ માટે દુનિયાભરમાં સાવધાનીના પગલાં લેવાનું શરૂ થઈ ચૂક્યું છે અને તેનો સૌથી વધુ ફાયદો હેલ્થ સેક્ટરને થઈ રહ્યો છે. ચીન સિવાય ભારત સહિતના ૧૫ દેશો ઉપર કોરોનાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.

આફતને અવસરમાં પલટાવી નાખવાની આવડત ધરાવતા વેપારીવૃત્તિના ઘણાં દેશોએ આનો ભરપૂર લાભ લેવાનું શરૂ પણ કરી દીધું છે. કોરોના વાયરસ સામે લડતા દેશોને જોઈએ એટલી માત્રામાં હેલ્થ પ્રોડક્ટ્સ આપવા મોટી ફાર્મા કંપનીઓએ કવાયત શરૂ કરી દીધી છે. કોરોનાના ભય હેઠળ વૈશ્વિક કંપનીઓને લાભ રળી આપતી આવી જ એક પ્રોડક્ટ છે - માસ્ક.
                                                                           ***
કોરોનાના કેર વચ્ચે દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ વધી ગઈ છે. ચીનમાં તો માસ્કની અછત સર્જાઈ ગઈ. એ અછત નિવારવા ચીને દક્ષિણ કોરિયા, જાપાન, હંગેરી, સિંગાપોર જેવા દેશો પાસેથી માસ્ક આયાત કરવા કવાયત શરૂ કરી હતી. અત્યારે ચીન ગમે એટલી મહેનત કરે તો પણ એક વખત વપરાશમાં લઈ શકાય એ પ્રકારના એક દિવસમાં ૨ કરોડ માસ્ક જ બનાવી શકે તેમ છે. કોરોનાથી બચવા માસ્ક એ પ્રાથમિક જરૂરિયાત છે.

ચીનની વસતિને ધ્યાનમાં રાખીને તેને કરોડોની સંખ્યામાં માસ્કની જરૂર પડશે. માસ્કની અછતથી લડવા ચીનની સરકારે મિત્ર રાષ્ટ્રોને માસ્કનું ડોનેશન કરવાની વિનંતી પણ કરી છે. અમેરિકન, યુરોપીયન કંપનીઓ પાસેથી માસ્કની મોટાપાયે ખરીદી કરવાની તૈયારી ચીનના હેલ્થ મિનિસ્ટરે બતાવી હતી.

અત્યારે ચીનને દરરોજ પાંચ કરોડ જેટલાં સર્જિકલ માસ્કની જરૂર છે. જેમ તેમ કરીને ૬૦-૭૦ ટકા જરૂરિયાતને અત્યારે તો પહોંચી વળાય છે, પરંતુ ૩૦ ટકા જરૂરિયાત પૂરી થતી ન હોવાથી ચીનના માર્કેટમાં માસ્કની પ્રાઈસમાં જબ્બર ઉછાળો આવ્યો છે. ભારતમાં પણ એન૯૫  પ્રકારના માસ્કની કિંમત વધી ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં એક માસ્કનો ભાવ ૨૫૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયા સુધી બોલાય છે. અગાઉ આવા માસ્કની કિંમત ૧૨૦થી ૧૫૦ રૂપિયા હતી.

કોરોનાનો સચોટ ઈલાજ હજુ શક્ય બન્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વાયરસથી બચવા વિશ્વને ચેતવ્યું પછી દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ એકાએક વધી ગઈ છે. ચીનમાં માસ્ક જેવી પ્રાથમિક પ્રોડક્ટની અછત સર્જાઈ એવી અછત અન્ય દેશો પોતાને ત્યાં ન સર્જાય તે માટે સાવધાન બની ચૂક્યા છે. અમેરિકા-ભારત જેવા દેશોએ તો ચીનમાં મોકલાતો માસ્કનો જથ્થો ઘટાડી નાખ્યો છે અને સ્થાનિક માર્કેટમાં પૂરતો જથ્થો મેઈનટેઈન થાય એ દિશામાં આયોજન શરૂ કર્યું છે.

કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી મહત્વનો ઉપાય હોવાથી અત્યારે માસ્કની ડિમાન્ડ વધી છે એ સાચું, પરંતુ તે સિવાય પણ માસ્કના માર્કેટમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ઉછાળો આવ્યો છે. દુનિયા ઉપર સતત નવા નવા વાયરસનો હુમલો થઈ રહ્યો છે. એમાં ય એક દશકામાં જ આટલા વાયરસનો ત્રાસ દુનિયાએ જોયો છે કે તેની સામે લડત આપવા સલામતીના ઉપાયો અજમાવવાની જાગૃતિ વધી. એના ભાગરૂપે છેલ્લાં એક દશકામાં સર્જિકલ માસ્ક યાને મેડિકલ માસ્કની જરૂરિયાત પણ અનેકગણી વધી ગઈ.
                                                                      ***
માસ્કનાં ઘણાં પ્રકારો છે. ખાસ પ્રકારના કપડાંમાંથી બનેલાં સાદા માસ્કથી લઈને ધુમ્મસથી બચાવતાં એન્ટી ફોગ માસ્ક, એન૯૫ માસ્ક અને ઓપરેશન દરમિયાન ડૉક્ટર્સ પહેરે છે તે સર્જિકલ માસ્ક. આ બધા માસ્કના અલગ અલગ પ્રકાર સામાન્ય રીતે સર્જિકલ માસ્કના નામે જ વધુ જાણીતા છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈન્સ્ટિટયૂટે જેને એન૯૫ નામ આપ્યું છે એ પ્રકારના માસ્ક વાયરસ સામે રક્ષણ આપે છે. એમાં ૯૫ ટકા સુધી કણો શુદ્ધ થવાની ક્ષમતા હોય છે એવો દાવો થાય છે.

અલગ અલગ દેશમાં માસ્કને લગતા ધારાધોરણ અલગ અલગ છે. અમેરિકામાં એન૯૫ માસ્કને વાયરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાનું સૂચન થાય છે. યુરોપમાં એવા જ માસ્કના માપદંડો અલગ છે. યુરોપમાં ત્રણ પ્રકારના આવા માસ્કને માન્યતા મળે છે. પહેલાં તબક્કાના માસ્કમાં ૮૦ ટકા, બીજા તબક્કાના માસ્કમાં ૯૪ ટકા, તેનાથી મોંઘા ત્રીજા તબક્કાના માસ્કમાં ૯૯ ટકા સુધી રજકણો શુદ્ધ થતાં હોવાનું સંશોધન થયું છે. એમાં પાછા લીકેજની શક્યતાના સંશોધનો ય થયા છે. પ્રથમ તબક્કાના માસ્કમાં ૨૨ ટકા સુધી લીકેજની શક્યતા છે. બીજામાં ૮ અને ત્રીજામાં માત્ર ૨ ટકા માસ્કમાં જ લીકેજ એટલે કે ખરાબીની શક્યતા છે.

છેલ્લાં એક દશકાથી માસ્કનું ગ્લોબલ માર્કેટ ૨૫થી ૩૫ ટકાની ઝડપે વિકસી રહ્યું છે. ૨૦૧૮માં માસ્કનું ગ્લોબલ માર્કેટ ૪૫૦૦ કરોડ ડોલર હોવાનો અંદાજ હતો. ૨૦૧૯માં એ માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરને પાર થઈ ગયું હતું. ૨૦૨૬ સુધીમાં બધા પ્રકારના માસ્કનું વૈશ્વિક માર્કેટ ૯૮૦૦ કરોડ ડોલર થઈ જશે. આગામી છ-સાત વર્ષમાં માસ્કનું માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરમાંથી ૧૦,૦૦૦ કરોડ ડોલર સુધી પહોંચી  જશે તે પાછળ ક્યા કારણો જવાબદાર હશે?
                                                                          ***
સાર્સ, મેર્સ, સ્વાઈન ફ્લુ, ઈબોલા, નિપાહ, નાઈલ જેવા અજાણ્યા વાયરસનો દુનિયાને ચેપ લાગ્યો હતો. વાયરસના મૂળિયા સુધી હજુ સુધી વિજ્ઞાાન પહોંચી શક્યું નથી. કેટલાંય નાના-મોટા અજાણ્યા વાયરસનું માનવજાત સાથે સહઅસ્તિત્વ રહ્યું છે. સંશોધકો તો એવો ય દાવો કરતા રહે છે કે વીતેલા દશકા કરતાં આવતા દશકામાં માણસજાતે વધુ શક્તિશાળી વાયરસ સાથે લડવાનું આવશે.

આ ભય માણસને સાવધાન રહેવા પ્રેરે છે. સાવધાની માટે શક્ય એટલાં બધા જ પ્રયાસો માણસ કરે છે. તેના ભાગરૂપે સૌથી શરૂઆતનો અને સૌથી મહત્વનો પ્રયાસ માસ્ક પહેરવાનો છે. માસ્કથી ઘણાંખરા નાના સંક્રમણથી પણ બચી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થાઓ માસ્ક પહેરવાની ભલામણ કરે છે. નાક-મોંથી શરીરમાં પ્રવેશતા વાયરસને અટકાવવાનાં વિવિધ સંસ્થાઓનાં કેમ્પેઈનના કારણે લોકોમાં અવેરનેસ આવી છે. એ અવેરનેસથી માસ્કની ડિમાન્ડ વધી છે.

૨૦૧૬માં થયેલા એક સર્વેક્ષણનું તારણ હતું એ પ્રમાણે આપણે સરેરાશ એક કલાકમાં આપણાં ચહેરાને ૨૩ વખત હાથ અડાડીએ છીએ. હાથ સ્વચ્છ રાખવામાં મોટાભાગના લોકો બેદરકાર છે. ૨૦૧૫ના એક સર્વેક્ષણમાં તો એવો ય દાવો થયો હતો કે લોકો સરેરાશ પાંચ-છ કલાકમાં એક વખત હાથ સાફ કરે છે. એનો અર્થ એ કે હાથ સ્વચ્છ રાખવાની બાબતમાં બેદરકારી સામાન્ય છે અને એ જ હાથ જો મોં-નાકના સંપર્કમાં આવે તો વાયરલની શક્યતા વધી જાય છે.

દરરોજ તો માસ્ક પહેરવાનું બધા માટે શક્ય નથી, પરંતુ આવા ભયાનક વાયરસના જોખમ વખતે માસ્ક પહેરવાથી ભીતિ ઓછી થતી હોય તો એ કરવું હિતાવહ છે. એન૯૫ જેવાં માસ્ક પહેરવાથી કોરોના જેવા વાયરસ સામે ૧૦૦ ટકા રક્ષણ તો નથી મળતું, પરંતુ જોખમ ઘણું ઘટી જાય છે એ નક્કી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ડોક્ટર્સ સૂચન કરે એ સમયગાળામાં માસ્ક પહેરવાથી જોખમ ૩૦-૪૦ ટકા ઘટી જાય છે.

વેલ, ડર દુનિયાનો સૌથી મોટો વેપાર હોય તો પણ સલામત રહેવા માટે થોડોક ખોટનો સોદો કરવો પડે તો કરી લેવો સારો! શું કહો છો?
                                                                          ***

માસ્ક વાયરસથી  બચાવે છે?

૨૦૦૮ સુધી વાયરસથી બચવા મેડિકલ માસ્ક કેટલાં કારગત નીવડે છે તે દિશામાં કોઈ જ નક્કર સંશોધનો થયા ન હતા. ૨૦૦૮માં પ્રથમ વખત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઈન્ફેક્શન ડિસીસમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એ અહેવાલમાં પહેલી વખત એવો દાવો થયો હતો કે માસ્ક પહેરવાથી વાયરસને દૂર રાખી શકાય છે. બાળકોને વાયરલ ઈન્ફેક્શન થાય એવા કિસ્સામાં માસ્ક પહેરાવવાથી ૮૦ ટકા સુધી જોખમ ઘટી જતું હતું.
મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૨માં એક સંશોધન કર્યું હતું. હોલમાં ઘણાં લોકો સાથે રહેતા એક ગ્રુપને માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી હતી. બીજા ગ્રુપને માસ્ક ન પહેરવાનું જણાવ્યું હતું. જેમણે ગ્રુપમાં હોય ત્યારે આઠેક કલાક સુધી માસ્ક પહેરી રાખ્યા હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી હતી. જેમણે માસ્ક પહેર્યા ન હતા એ લોકોએ વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ કરી હતી. સંશોધકો એવા તારણ સુધી પહોંચ્યા હતા કે વધારે લોકો સાથે પનારો પડતો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ.
                                                                              ***

સૌથી વધુ ઉપયોગ એશિયન દેશોમાં

દુનિયાના કુલ પ્રોડક્શનના ૭૦ ટકા માસ્ક એશિયન દેશોમાં વપરાય છે. માસ્કના ઉત્પાદનમાં દક્ષિણ કોરિયા આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઉપયોગમાં પણ દક્ષિણ કોરિયાના લોકો પહેલી હરોળમાં આવે છે. જાપાનમાં વન ટાઈમ યુઝ માસ્કનું મોટું માર્કેટ છે. હોસ્પિટલ્સ, લેબોરેટરી, કારખાનાઓમાં લોકો માસ્ક પહેરતા હોય છે, પરંતુ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોરમાં માસ્ક પહેરેલા લોકો પબ્લિક પ્લેસીસમાં પણ બધે ફરતા જોવા મળે છે.

હવાના પ્રદૂષણથી બચવા જાપાન-ચીન-દક્ષિણ કોરિયામાં લોકો દિવસભર માસ્ક પહેરી રાખે છે. જોકે, એ માસ્ક રજકણોથી રક્ષણ આપે એ પ્રકારના હોય છે. વાયરસથી રક્ષણ કરવા એન૯૫ પ્રકારના માસ્કની ભલામણ કરવામાં આવતી હોય છે. ધૂળ-રજકણોથી રક્ષણ આપતા સાદા માસ્ક સસ્તા હોય છે, જ્યારે વાયરસમાં પહેરવાની ભલામણ થાય છે એ માસ્કની કિંમત થોડી વધુ હોય છે.
વિજ્ઞાનિકોના મતે અમેરિકા-યુરોપ કરતા એશિયન દેશો વધારે ગીચ છે એટલે જાહેરમાં માસ્ક પહેરવાથી ઘણાં નાના-મોટા વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. એશિયન દેશો માસ્ક પહેરવામાં પણ આગળ છે અને પ્રોડક્શનમાં પણ એશિયન દેશોનો હિસ્સો ઘણો મોટો છે.
Sunday 9 February 2020
Posted by Harsh Meswania
Tag :

સોશિયલ મીડિયાના કારણે આપણું રીડિંગ કેટલું ઘટયું છે?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એટલે બધાનો એવરેજ રીડિંગ ટાઈમ ઘટી ગયો છે. કેટલો સમય ઘટયો છે? ૨૦-૨૫ વર્ષ પહેલાં લોકો કેટલું રીડિંગ કરતા હતા?

'ગેમ ઓફ થ્રોન્સ' સીરિઝ જેમની નોવેલ્સ પરથી પ્રેરિત છે એ લેખક જ્યોર્જ આર.આર. માર્ટિનનું ખૂબ જાણીતું વાક્ય છે : 'રીડર એક જ આયખામાં હજારો જિંદગી જીવી શકે છે, જે માણસ રીડિંગ કરતો નથી એ તેને મળેલી એક જ જિંદગી જીવે છે'.

અડધા દશકા પહેલાં પુસ્તકો માણસના જીવનનો અભિન્ન હિસ્સો હતાં. પુસ્તકો માણસને મિત્રની ખોટ પૂરી કરતા, હવે ફ્રેન્ડશીપ માટે સોશિયલ મીડિયા હાજરાહજૂર છે. એક અકાઉન્ટ ઓપેન કરીએ ત્યાં આખી દુનિયા ખુલી જાય છે! પ્રવાસમાં પુસ્તકો સાથે રાખવાથી લઈને તકિયા પાસે પુસ્તકો મૂકીને સૂઈ જવાનો એક જમાનો હતો.

પુસ્તકનું એ સ્થાન સ્માર્ટફોને લઈ લીધું તે પહેલાં એમાં થોડીક હિસ્સેદારી ફિલ્મ અને ટેલિવિઝનની પણ હતી. સિનેમાનો યુગ આવ્યો પછી પુસ્તકોનું વાચન થોડુંક ઘટયું હતું. સાહિત્યકૃતિનો આધાર લઈને ફિલ્મો બનતી થઈ પછી રીડિંગ મટિરિયલની ડિમાન્ડમાં થોડોક ઘટાડો આવ્યો હતો. પુસ્તકોના હિસ્સાનો થોડોક સમય ટેલિવિઝને લઈ લીધો પછી ય સારો એવો સમય માણસ પુસ્તકોને આપતો હતો.

વિદ્યાર્થીકાળમાં તો 'રીડિંગ' સૌથી મહત્વનો મુદ્દો હોય જ, પરંતુ એ પછી પણ રીડિંગ સાથે માણસ કનેક્ટ હતો. પુસ્તકો વાંચવા જેટલી નવરાશ ન હોય ત્યારે સારા વાચનની તલાશમાં માણસની આંખો અખબારો, સામયિકો ઉપર ફરી વળતી. મનગમતા વિષયો, પસંદીદા લેખકોની કલમ આ જ રીતે આપણાં સુધી પહોંચતી.

પરંતુ ૨૧મી સદીમાં સોશિયલ મીડિયાના યુગનો આરંભ થયો, તે સાથે જ રીડિંગ હેબિટ્સમાં પણ પરિવર્તન આવ્યું. ગમે એટલા સંશોધનો થાય, માણસના કલાકો વધારી શકવાના નથી! માનવજાત પાસે સિનેમા-ટેલિવિઝન-રેડિયો-સોશિયલ મીડિયાના જમાના પહેલાં ય ૨૪ કલાકો હતાં અને આજેય ૨૪ કલાક જ છે. ગમે એટલાં ડિવાઈસ આવે; ગમે એટલી ટેકનોલોજી આવે, આપણે એ બધું ૨૪ કલાકમાં જ મેનેજ કરવાનું છે એ નક્કી છે.

નવું જોવા-જાણવા, શીખવા-સમજવા માટે જૂનું મૂકવું પડે. આપણી પાસે એક તરફ ૨૧મી સદીનું સોશિયલ મીડિયા હતું અને બીજી તરફ સદીઓ જૂની રીડિંગ હેબિટ હતી. આપણે સોશિયલ મીડિયા માટે રીડિંગ હેબિટનો 'ભોગ' આપ્યો. સંશોધનો કહે છે કે ૨૧મી સદીના માણસની રીડિંગ હેબિટમાં ધરખમ પરિવર્તન આવી ચૂક્યું છે.
                                                                         ***
દુનિયાભરમાં બાળકો અને યુવાનોની ઘટતી વાચનક્ષમતા અંગે ચિંતા થઈ રહી છે. અમેરિકામાં ૨૦૧૬માં બાળકોની રીડિંગ હેબિટ પર એક સંશોધન થયું હતું. એમાં એક તારણ એવું આવ્યું હતું કે ૧૯૮૨ સુધી અમેરિકાના સરેરાશ ૫૬.૯૦ ટકા યુવાનો ૨૦-૨૨ વર્ષ સુધીમાં એક નવલકથા વાંચી લેતા હતા. ૨૦૧૫માં અમેરિકાના સરેરાશ ૪૩.૧ ટકા યુવાનો નવલકથા વાંચતા હતા.

ત્રણ દશકામાં ૨૦-૨૨ વર્ષ સુધીમાં એટલિસ્ટ એક નવલકથા વાંચી લેતા યુવાનોની સંખ્યામાં જો ૧૩ ટકાનો ઘટાડો થયો હોય તો એ બહુ મોટો ફરક ન કહેવાય. આટલા વર્ષોમાં આટલી ટેકનોલોજી વિકસી છતાં જો હજુય ૧૦૦માંથી ૪૩ યુવાનો જીવનની પચ્ચીસીમાં એક પુસ્તક વાંચી લેતા હોય તો એ સારી વાત કહેવાય, પરંતુ મુશ્કેલી અહીંથી શરૂ થઈ હતી.

૨૧મી સદીમાં જન્મેલી જનરેશન એનાથી ય ઓછું રીડિંગ કરે છે. યુએસ એકેડેમિક રીપોર્ટ્સના દાવા પ્રમાણે ૧૯૮૦ના દશકામાં ૧૬થી ૧૮ વર્ષના ૬૦ ટકા વિદ્યાર્થીઓ દરરોજ પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હતા, જેનો તેમના અભ્યાસક્રમ સાથે કોઈ સંબંધ ન હતો. શાળામાંથી સજેસ્ટ કરવામાં આવ્યું હોય પછી અભ્યાસક્રમ સિવાયનું વાચન કરતા વિદ્યાર્થીઓ એ દશકામાં ૮૦ ટકા હતા. જે ઘટીને ૨૦૧૬માં માત્ર ૧૬ ટકા થઈ ગયા હતા. ૨૦૧૬માં સ્કૂલ-કોલેજના રીડિંગ સિવાય પોતાના રસ ખાતર પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હોય એવા ૧૦૦માંથી માત્ર ૧૬ વિદ્યાર્થી હતા.

તો સ્કૂલ સિવાયના સમયમાં આ વિદ્યાર્થીઓ શું કરે છે?
જવાબ છે - મેસેજીસ. સોશિયલ મીડિયા.
એ જ અહેવાલ દાવો કરે છે કે ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ૨૪માંથી છ કલાક મેસેજીસની આપ-લે પાછળ ખર્ચે છે. એટલે તેમને વાચનની જરૂર વર્તાતી નથી. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ દુનિયાભરની નવી જનરેશનની રીડિંગ હેબિટ્સનો સ્ટડી કરનારા બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો ગયા વર્ષે એવાં તારણ પર આવ્યા હતા કે ૨૦મી સદીના છેલ્લા દશકાના અંતમાં કે ૨૧મી સદીમાં જન્મેલા ૮૦ ટકા વિદ્યાર્થીઓ માત્ર સ્ટડીમાં જરૂરી હોય એટલું જ રીડિંગ કરે છે.

અભ્યાસક્રમ સિવાયનું નવું જાણવાની જિજ્ઞાસા ઓડિયો-વિડીયો માધ્યમથી સંતોષે છે. ૧૦૦માંથી માત્ર ૧૨ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ ઉપરાંતના પુસ્તકો વાંચે છે. આઠ ટકા સ્ટૂડન્ટ્સ કોર્સ બહારનું રીડિંગ ઓનલાઈન કરે છે. આ અભ્યાસમાં વધારાના રીડિંગ મટિરિયલમાં પુસ્તકોનો જ સમાવેશ કરાયો હતો. અખબાર અને સામયિકોના વાચનને ધ્યાનમાં લેવાયું ન હતું.

બીજા એક સ્ટડીમાં એવો ય દાવો થયો હતો કે ૧૫થી ૩૫ વયની વયજૂથના ૪૮ ટકા યુવાનો અખબારો-સામયિકો વાંચીને દુનિયાથી માહિતગાર થાય છે. એ સ્ટડીમાં ૯૦ના દશકામાં જન્મેલા લોકોનો પણ સમાવેશ કરાયો હતો. 
                                                                         ***
રીડિંગ ઘટવાથી જે ભય સર્જાયો છે, એ છે - શબ્દો સાથે કામ પાર પાડવાની આપણી ઘટતી ક્ષમતા. ૨૧મી સદીમાં જન્મેલી જનરેશનની રીડિંગ હેબિટનો અભ્યાસ કર્યા પછી સંશોધકોએ એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં માણસની શબ્દો સાથે કામ લેવાની ક્ષમતા ઘણી ઘટી જશે!

મોર્ડન જનરેશન જે રીતે ઓછા શબ્દોથી ચલાવે છે, રીડિંગના અભાવે શબ્દભંડોળ ઓછું થઈ રહ્યું છે અને સિમ્બોલ્સથી કામ ચલાવવાનું વધ્યું છે - તે જોતાં ત્રણેક દશકામાં બોલચાલના કે સાધારણ લેખનના કેટલાય શબ્દો લુપ્ત થઈ જશે! એક ભાષામાંથી બીજી ભાષાનો શબ્દ સમજવા શબ્દકોશની જરૂર પડે છે. એના બદલે એકાદ દોઢ દશકા પછી એ જ ભાષાના અઘરા શબ્દો સમજવા માટે ડિક્શનરી જરૂરી બની જશે.

વેલ, આ આવનારા સમયનો અંદાજ છે. સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરવાથી રીડિંગ સ્પેસ ઘટી રહી હોવાની ચિંતા વારંવાર વ્યક્ત થતી રહે છે. સાદી સમજ છે, સોશિયલ મીડિયામાં સમય ખર્ચાય એટલે બીજે જે સમય આપવાનો હોય એ ઘટી જાય. નવી ટેકનોલોજીનું વિશ્વ નજર સામે હોય ત્યારે બે પૂઠાં વચ્ચેનું જગત જોવાની નવરાશ કાઢવી આમેય અઘરી છે.

પરંતુ ડિજિટલ પ્લેટફોર્મમાં ય રીડિંગનો પુરતો અવકાશ છે. વિકિપીડિયામાં જ અંગ્રેજી ભાષાના ૬૦ લાખ, જર્મનભાષાના ૨૩ લાખ આર્ટિકલ્સ અવેલેબલ છે. હિન્દી-ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પણ કેટલાય વિષયોની માહિતી સતત ઉમેરાઈ રહી છે. અપાર ઓથેન્ટિક વેબસાઈટ્સ છે, જે પુસ્તક હાથમાં રાખ્યા વગર પણ દુનિયાભરનું રીડિંગ મટિરિયલ આપણી આંખોને પીરસે છે.
ઈનશોર્ટ, રીડિંગ કરીશું તો ખજાનો અખૂટ છે, નહીં કરીએ તો શબ્દો ખૂટશે!
                                                                    ***

રીડિંગના અભાવે માણસનું શબ્દભંડોળ ખૂટી જશે!

વૉલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં દાવો થયો હતો કે અંગ્રેજી જાણનારા સરેરાશ માણસનું શબ્દભંડોળ ૨૦થી ૩૦ હજાર શબ્દોનું હોય છે. એટલે કે અંગ્રેજીભાષા જાણનારો સરેરાશ માણસ ૨૦-૩૦ હજાર શબ્દોનો અર્થ જાણે છે, લખી શકે છે, બોલી શકે છે. વિશ્વની અલગ અલગ ભાષા બોલતા લોકો ઉપર આ પ્રકારના સંશોધનો થયા છે. લખી ન શકતા લોકો પર પણ સંશોધનો થયા છે.
બધાના તારણ પ્રમાણે અત્યારે પૃથ્વી પર જીવતા લોકો સરેરાશ ૨૦ હજાર શબ્દોથી લઈને ૪૨ હજાર શબ્દો જાણે છે, બોલે છે, વપરાશમાં લઈ શકે છે. પરંતુ સંશોધકોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આગામી એક દશકામાં શબ્દભંડોળ ઘટીને ૧૧ હજારથી ૧૮ હજાર સુધી આવી જશે. અગાઉના દશકાઓની તુલનાએ ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ઓછા શબ્દો વાંચે છે. લખવાનું પણ ઓછું આવે છે. ઈમોટિકોન્સથી કામ ચાલી જાય છે એટલે ધીમે-ધીમે શબ્દોની ગરજ ઓછી થતી જશે. શબ્દો ઉપર સંકેતો ભારે પડશે.
                                                                   ***

જેટલો સમય સોશિયલ મીડિયામાં વધુ, એટલો રીડિંગમાં ઓછો?

વર્ડપ્રેસના એક ઓનલાઈન સર્વેક્ષણનું તારણ જાણવા જેવું છે. જે સ્ટૂડન્ટ્સ પાંચ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા, તે સપ્તાહમાં બે કલાક રીડિંગ કરતા હતા. સ્ટૂડન્ટ્સ છ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા તે સપ્તાહમાં દોઢ કલાક રીડિંગ પાછળ આપતા હતા. જે વિદ્યાર્થીઓ છ કલાક કરતા વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા કે સપ્તાહમાં ૧૫થી ૨૦ મિનિટનું રીડિંગ કરતા હતા.જે સ્ટૂડન્ટ્સ ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તે સપ્તાહમાં ત્રણ કલાક રીડિંગને આપી શકતા હતા.

જે વિદ્યાર્થીઓ પાંચ કલાક સોશિયલ મીડિયાને આપતા હતા એમાંથી ૬૧ ટકા વિદ્યાર્થીઓને વાચન દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં સંઘર્ષ કરવો પડતો હતો. જે વિદ્યાર્થીઓ છ કલાક કે તેનાથી વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા એમાંના ૯૧ ટકાને વાચનમાં ધ્યાન આપવામાં મહેનત પડતી હતી.
ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તેમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓએ શરૂઆતના એક કલાક દરમિયાન વાચનમાં ધ્યાન ન લાગતું હોવાની ફરિયાદ કરી હતી. ત્રણ કલાક જેટલો સમય સોશિયલ મીડિયામાં વીતાવનારા ૭૫ ટકા વિદ્યાર્થીઓએ રીડિંગમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તકલીફ ન હોવાનું જણાવ્યું હતું.
Sunday 2 February 2020
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -