Archive for February 2022

 યુક્રેન કટોકટી : રશિયા પર ભારત આર્થિક-સંરક્ષણ ક્ષેત્રના પ્રતિબંધ મૂકે તે માટે અમેરિકા-યુરોપનું દબાણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને આર્થિક બાબતોમાં અસર પડયા વગર રહેશે નહીં


યુદ્ધસ્ય કથાઃ રમ્યાઃ. કહે છે, યુદ્ધની કથાઓ રમ્ય-મનોહર હોય છે, પરંતુ યુદ્ધ સ્વયં ક્યારેય મનોહર હોતું નથી. યુદ્ધ કાયમ ખુવારી લઈને જ આવે છે. કોઈપણ યુદ્ધ તેની અસર છોડયા વગર જતું નથી. એવી જ અસર હવે દુનિયાએ ભોગવવાની આવી છે.

અમેરિકાની વારંવારની ચેતવણીઓને અવગણીને આખરે રશિયાએ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી કરી દીધી છે. યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ થયાના દાવા વચ્ચે નાટો સંગઠન સક્રિય બન્યું છે. યુક્રેનના સમર્થનમાં આવવાની અગાઉથી જાહેરાત કરનારા નાટોનું સૈન્ય મેદાનમાં ઉતર્યું કે તરત આ જંગ યુક્રેન-રશિયાનો રહેશે નહીં, અમેરિકા-રશિયાનો જંગ બની જશે. આવી સ્થિતિમાં દુનિયાભરમાં વત્તા-ઓછા અંશે તેની અસર પડવાની શક્યતા છે અને એમાં ભારત પણ બાકાત રહેશે નહીં.

ભારતે વધુ એક વખત નેહરુની બિનજોડાણવાદની નીતિ અપનાવ્યે છૂટકો છે. કારણ કે ભારતને રશિયા અને અમેરિકા બંને સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધો છે. રશિયા સાથે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે ભારત છેલ્લા ૬૦ વર્ષથી કરાર કરતું આવ્યું છે. તો અમેરિકા સાથેના સંરક્ષણ સંબંધો છેલ્લાં દોઢ-બે દશકાથી વધ્યા છે. અમેરિકા-ભારતના સંબંધો પણ આર્થિક, સંરક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રમાં મજબૂત છે. જો ભારત સ્પષ્ટ રીતે કોઈ એક દેશનું સમર્થન કરવાની ભૂલ કરે તો લાંબાંગાળે તમામ ક્ષેત્રમાં તેની અસર થયા વગર ન રહે. અમેરિકા ભલે જગત જમાદાર છે, પરંતુ આપણે તો રશિયા વગર પણ ચાલે તેમ નથી. ભારતના ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ રશિયાના સહયોગથી ચાલે છે. અમેરિકા જ્યારે ભારતને અમુક સંરક્ષણ સામગ્રી આપતું ન હતું ત્યારે રશિયાએ આપવાની પહેલ કરી હતી. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ પણ રશિયાએ આપી છે.

ભારતની સરકાર આ મુદ્દે બિનજોડાણવાદની નીતિ અપનાવીને તટસ્થ રહેશે તો ય અમેરિકા અને યુરોપિયન સંઘના દબાણથી બચવાનું કામ કૂનેહથી કરવું પડશે. ભારત જેવા જે મહત્વના દેશો છે તેમનો સીધો નહીં તો આડકતરો ટેકો લઈને અમેરિકા રશિયા ઉપર હાથ ઉપર રાખવાની પેરવી કરશે. અમેરિકા વધુ એક વખત એ સિદ્ધ કરવાની કોશિશ કરશે કે આજેય અમેરિકાના સમર્થનમાં દુનિયાભરના દેશો ઉભા રહ્યા છે. એવું કરવા માટે અમેરિકા ભારત જેવા તટસ્થ દેશોને એમ તો નહીં કહે કે તમે ય સૈન્ય મોકલો, પરંતુ બીજી રીતે દબાણ લઈ આવશે. રશિયાની આક્રમકતાને ઓછી કરવા માટે પાઠ ભણાવવો જરૂરી છે અને એના માટે પ્રતિબંધો મૂકવા જરૂરી છે - એવી દલીલ કરીને અમેરિકા પ્રતિબંધો મૂકશે.

અમેરિકાના નેતૃત્વમાં નાટોને દેશો રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લાગુ પાડશે. તે અંતર્ગત રશિયા સાથે સંરક્ષણ અને આર્થિક સોદા અટવાઈ પડશે. રશિયામાંથી આયાત ઓછી કરીને તેને આર્થિક ફટકો પાડવાનું અમેરિકાનું પહેલું લક્ષ્ય છે. એવું કરવા માટે ભારત ઉપર વહેલા મોડું દબાણ આવશે. દોસ્તીની દુહાઈ આપીને અમેરિકા-બ્રિટન-યુરોપિયન સંઘ ભારત સમક્ષ રશિયા ઉપર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરશે.

એમાં સૌથી પહેલા હશે સંરક્ષણ સોદો. આમેય ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો થયો તે અમેરિકાને ક્યાયનો ખટકે છે. અત્યારે તો જેમ તેમ કરીને ભારતે અમેરિકાને એસ-૪૦૦ની જરૂરિયાત વિશે સમજાવીને વાત ટાળી હતી, પરંતુ અમેરિકા તેનું મહત્વ સાબિત કરવા વચ્ચે વચ્ચે દાણો દબાવી જાણે છે. થોડા મહિના પહેલાં જ્યારે ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન શરૂ કર્યું ત્યારે અમેરિકાનું નિવેદન આવ્યું હતું કે હજુ અમેરિકન સરકારે ભારત સામે આ સોદા બદલ પ્રતિબંધ મૂકવાનું સાવ માંડી વાળ્યું નથી. એ અંગે વિચારણા ચાલે છે.

હવે જ્યારે યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ત્યારે ભારત ઉપર વધુ એક વખત દબાણ થશે. ઈરાન-અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા અને ઈરાને ન્યૂક્લિયર બનાવવા માટે બેફામ યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવા માંડયો ત્યાર અમેરિકાએ ભારત ઉપર દબાણ કર્યું હતું કે ભારતની સરકાર ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરી દે. ભારતે એ દબાણમાં આવીને થોડી બ્રેક પણ લગાવી હતી. અદ્લ એ જ તર્જ ઉપર અમેરિકા ભારતને દબાણ કરશે કે રશિયા ઉપર પ્રતિબંધો લાગુ કરો. ભારત એવું કરે તો એમાં રશિયાને તો નુકસાન ખરું જ, પરંતુ ભારતને પણ ફટકો પડયા વગર ન રહે.

ભારત-રશિયાના ડિફેન્સ સોદાઓમાં લાંબાંગાળાની અસરો પડે. ઘણાં કરારો ઘોંચમાં પડી જાય. રશિયા-યુક્રેનની કટોકટીના પગલે રશિયા ઉપર પ્રતિબંધ મૂકાવવાનું શરૂ થશે કે તરત જ ખનિજતેલના ભાવ એકાએક વધી જશે. તેની સીધી અસર ભારતને થશે. ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ખનિજતેલ આયાત કરનારો દેશ છે. ભારતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયે પહોંચી ચૂક્યું છે ત્યારે હવે જો ક્રૂડના બેરલના ભાવ વધે તો ભાવવધારો કાબૂ બહાર પહોંચી જાય. પેટ્રોલિયમના ભાવ વધે તે સાથે જ ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ઔર મોંઘું થાય. એની સાથે સાથે અનાજ કરિયાણું પણ મોંઘું થાય. ટ્રાન્સપોર્ટેશન સાથે જેને સીધો સંબંધ છે એવી શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થોડો વધારે ભાવવધારો ઝીંકાશે.

રાહત એ વાતે છે કે ભારત એ સિવાયની ચીજવસ્તુઓ રશિયાથી આયાત નથી કરતું. ભારત-રશિયા વચ્ચે નિયમિત આયાત-નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના એક્સપોર્ટમાં રશિયાની હિસ્સેદારી માત્ર ૦.૮ ટકા છે. તો ભારતના ઈમ્પોર્ટમાં પણ રશિયાની હિસ્સેદારી ૧.૫ ટકાથી વધારે નથી. ૨૦૨૦-૨૧માં ભારતે રશિયાને ૨.૬ અબજ ડોલરની નિકાસ કરી હતી અને ૫.૫ અબજ ડોલરની આયાત કરી હતી. તેના કારણે ચીજવસ્તુઓની અછતનો મુદ્દો સર્જાય એવી શક્યતા બહુ જ ઓછી છે.

પરંતુ હા, ભારતને અમેરિકા-યુરોપિયન દેશો સાથે મોટાપાયે આર્થિક વહેવારો છે. જો અમેરિકા અને યુરોપિયન સંઘ ભારત ઉપર એમ દબાણ લાવે કે રશિયા સાથે સંબંધો કાપી નાખો નહીંતર યુરોપ-અમેરિકા સાથેના સંબંધો ઉપર આયાત-નિકાસમાં અસર થશે તો ભારતને મુશ્કેલીમાં મૂકાવું પડે. એમ ન થાય તો ય ભારતમાં આ યુદ્ધની અસર પડયા વગર ન રહે. આ યુદ્ધથી યુરોપમાં આર્થિક-રાજકીય કટોકટી સર્જાય તો તેની સીધી અસર ભારતના આયાત-નિકાસ પર પડશે.

અમેરિકા-રશિયાના ઘર્ષણથી ચીનને ફાયદો

 
કોરોના મહામારી પછી દુનિયાભરમાં ચીન વિલન બની ગયું હતું. દુનિયાભર આખી ચીનની અવળચંડાઈ સામે અમેરિકાના સમર્થનમાં દેખાતી હતી. ચીન-અમેરિકાની ટ્રેડવોરથી ચીનની સરકારી કંપનીઓને મોટો ફટકો પડયો હતો. ચીને ઘણું માર્કેટ ગુમાવવું પડયું હતું. પરંતુ હવે દુનિયાને (ખાસ તો અમેરિકા અને નાટોને) રશિયા નામનો નવો વિલન મળી ગયો છે. ચીન આ ઘર્ષણનો લાભ લઈને આર્થિક પગપેસારો વધારશે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉઈઘુર મુસ્લિમો, વેપારમાં અસમાનતા, દક્ષિણ ચીની સમુદ્ર, માનવ અધિકારો જેવા મુદ્દે ચીનને ઘેરવાની અમેરિકાની નીતિ હતી, પરંતુ હવે રશિયા કેન્દ્ર સ્થાને આવી ગયું હોવાથી ચીન આ બંને દેશોની લડાઈમાં ચુપચાપ પોતાની શક્તિ-સામર્થ્ય વધારવામાં પડી ગયું છે.
Friday 25 February 2022
Posted by Harsh Meswania

નેપાળ : અમેરિકા-ચીનની પાવરગેમનો શિકાર બનેલો દેશ

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા




નેપાળમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ ચીનના હિતો જાળવવા કેટલીય નેપાળની પાર્ટીઓ સક્રિય થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ નિર્ણય લેવા માટે 10 દિવસનો સમય આપીને વડાપ્રધાન પર દબાણ વધાર્યું છે

 મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન. જ્યોર્જ બુશે અમેરિકાની આ એજન્સીની સ્થાપના ૨૦૦૪માં કરી હતી. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે સેતુ રચાય તે માટે આ એજન્સી બની હોવાનું એ વખતે જ્યોર્જ બુશે કહ્યું હતું. એ એજન્સીના માધ્યમથી અમેરિકાએ ગરીબ દેશોને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. વિકાસ સાધવા માગતા દેશો જો અમેરિકાએ નક્કી કરેલા માપદંડોમાં બંધ બેસે તો તેમને રસ્તા બાંધવા કે વીજ ઉત્પાદન કરવામાં અમેરિકા કરશે એવી જાહેરાત થઈ હતી. એ માટે પહેલા વર્ષે જ અમેરિકન કોંગ્રેસે ૬૫ કરોડ ડોલરનું ફંડ ફાળવ્યું હતું. આ એજન્સીની સ્થપના થઈ તેના પહેલા જ વર્ષે ૧૭ દેશો એ ગ્રાન્ટ મેળવવા માન્ય ઠર્યા હતા. જોકે, વિવિધ પ્રક્રિયા ચાલતી રહી એટલે ૨૦૦૬ સુધી એકેય દેશને ગ્રાન્ટ મળી ન હતી. માડાગાસ્કર અને હોન્ડુરાસ આ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવનારા પ્રથમ બે દેશો બન્યા હતા. ગરીબ-અમીર દેશો વચ્ચે સેતુ બનાવવાના ભાગરૂપે શરૂ થયેલી આ એજન્સીના માધ્યમથી અમેરિકાનો મૂળ હેતુ આવા દેશો ઉપર પ્રભાવ વધારવાનો હતો. ખાસ તો રશિયા- ચીનના વધતા પ્રભાવ વચ્ચે અમેરિકાએ જગત જમાદારી જાળવી રાખવા માટે આ ગ્રાન્ટ શરૂ કરી હતી.


આ ગ્રાન્ટ મેળવવા ૨૦ માપદંડો બનાવવામાં આવ્યા છે. એમાંથી જેટલા માપદંડોનું પાલન વધારે થતું હોય એ દેશને ગ્રાન્ટ માટે માન્ય ગણવામાં આવે છે. નાનકડા દેશોને મૂળભૂત સુવિધા વિકસાવવા માટે આ રકમ મળે છે. ૬૦થી ૭૦ રકમ અમેરિકા આપે છે અને તે સિવાયની રકમ જે તે દેશની સરકાર પ્રોજેક્ટ માટે ફાળવે છે. ૨૦૧૭માં નેપાળ રસ્તા બાંધવા અને વીજ ઉત્પાદન કરવાના હેતુ માટે ગ્રાન્ટ મેળવવા યોગ્ય ઠર્યું હતું. મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના માપદંડોમાં ખરો ઉતરનારો નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો. અમેરિકાએ નેપાળને ૫૦ કરોડ ડોલરની રકમ આપવાની તૈયારી બતાવી હતી. એ પછી નેપાળની રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ એટલે કોર્પોરેશન સાથેનો કરાર લટકી ગયો.

હવે અમેરિકાએ નેપાળની સરકાર સામે નવી ડેડલાઈન મૂકી હોવાથી નેપાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્રાન્ટની રકમ મેળવવી હોય તો ૨૮મી ફેબુ્રઆરી સુધીમાં નેપાળની સંસદ એને મંજૂરી આપે નહીંતર કરાર રદ્ ઠરાવીશું એવું નિવેદન મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના પ્રમુખે આપ્યું તે પછી નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સક્રિય બન્યા છે, પણ વડાપ્રધાનની સક્રિયતા ચીની સમર્થક નેતાઓને ખૂંચી છે. જો નેપાળ અમેરિકાની આ સહાય મેળવે તો એનો પ્રભાવ વધે. એવું થાય તે ચીનને બિલકુલ માન્ય નથી. ચીનની દોરવણીથી નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિરોધ શરૂ કર્યો છે. તેના પગલે પગલે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના સહયોગી નેતાઓ - પુષ્પ કમલ દહલ અને માધવ નેપાલે પણ આ કરાર સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.

 

૨૮ મી ફેબુ્રઆરી પહેલાં નેપાળની સંસદમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના કરારને મંજૂર કરવા માટે વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ગઠબંધન સહયોગીઓ પુષ્પ કમલ દહલ અને માધવ નેપાળ સાથે બેઠક કરી હતી. બંને નેપાળની સંસદમાં સમર્થન આપીને આ કરાર મંજૂર કરાવે તેવી માગણી શેર બહાદુરે મૂકી હતી, પરંતુ સહયોગી પાર્ટીના નેતાઓ એ બાબતે આડા ફાટયા છે. ગઠબંધન સહયોગીએ વડાપ્રધાનને એવું સૂચન કર્યું કે અમેરિકા પાસેથી વધુ છ મહિનાનો સમય મેળવવો જોઈએ. પરંતુ અમેરિકા એવી રજૂઆત માન્ય કરશે નહીં એ સમજતા શેર બહાદુરે નેપાળના વિકાસ માટે આ કરારને મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો.

50 કરોડ ડોલરની આ રકમમાં નેપાળ 10.3 કરોડ ડોલરની રકમ ઉમેરાશે અને એ ફંડમાંથી નેપાળમાં પાવર ટ્રાન્સમિશન લાઈન નાખવાની સાથે સાથે ૩૦૦કિલોમીટરના હાઈ-વે અપડેટ થઈ જશે. આગામી ચૂંટણી પહેલાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની નેપાળના વડાપ્રધાનની ગણતરી છે. આ ગ્રાન્ટથી અમેરિકા-નેપાળ વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. ભવિષ્યમાં અમેરિકા સાથે બીજા આર્થિક કરારો કરવાનું સરળ બનશે. અમેરિકા-નેપાળના કરારો થાય તો ચીનનો પ્રભાવ ઘટે. કેપી શર્મા ઓલી ચીન સમર્થક નેતા છે. ઓલી વડાપ્રધાન હતા ત્યારે ચીનના ઈશારે ભારત-નેપાળના સંબંધો પણ બગડયા હતા. ભારતના ઘણાં ગામડાંને નેપાળે એનો હિસ્સો ગણાવીને વિવાદ સર્જ્યો હતો. એ પછી નેપાળમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. ઓલી નેપાળમાં અમેરિકા-ભારતનો પ્રભાવ વધારવાની તરફેણમાં નથી. એટલે જ ચીનના ઈશારે અમેરિકાના આ કરારનો પણ વિરોધ શરૃ થયો છે. ચીન સમર્થિત અન્ય નેતાઓ પણ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીનો વિરોધ કરવા માંડયા છે.

ચીન નેપાળને ગળી જવાની વેતરણમાં છે. સતત આર્થિક બોજમાં દબાવીને નેપાળને આધિન કરવા ઈચ્છતા ચીન માટે અમેરિકાનો આ કરાર અવરોધ સર્જી શકે છે. એક વખત અમેરિકા-નેપાળના સંબંધો મજબૂત બને તો ભારત-નેપાળના સંબંધો ઉપર તેની અસર પડયા વગર રહે નહીં. ચીન આવી સ્થિતિ આવવા દેવા ઈચ્છતું ન હોવાથી અત્યારે નેપાળના નેતાઓને અંદરો અંદર લડાવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડન નેપાળમાં પ્રભાવ પાથરીને ચીનનું નાક દબાવવા માગે છે એટલે અમેરિકાએ ચાર વર્ષ પહેલાં થયેલા કરારની ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરી છે. ચીન અમેરિકાની ચાલને બરાબર સમજે છે એટલે ઓલી સહિતના સમર્થક નેતાઓના જોરે મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની ફાઈલને કચરાપેટીમાં પધરાવી દેવા માગે છે. પણ એ બંનેની પાવરગેમમાં નેપાળ બરાબર સપડાઈ ગયું છે. શેર 'બહાદુર' સાબિત થશે કે પાંજરે પૂરાશે એ જોવું રહ્યું!

વર્લ્ડ અપડેટ

યુક્રેન-રશિયા કટોકટી વચ્ચે નાટોમાં સામેલ થવા બાબતે યુક્રેનના પ્રમુખ જનમત સંગ્રહ કરાવવાની તૈયારીમાં

રશિયાના સમર્થક દેશ બેલારૃસે અણુ બોમ્બની ધમકી આપી હતી. બેલારૃસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકોએ કહ્યું હતું કે જો અમારા ઉપર ખતરો આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરીશું

બ્રાઝીલમાં પૂરપ્રકોપ પછી જમીન ધસી પડવાની ઘટનાઓમાં ૧૦૦નાં મોત, ૫૦૦ લોકો બેઘર થયા

કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ગયો હોવાનો દાવો બ્રિટનના નિષ્ણાતોએ કર્યો હતો. બ્રિટનમાં નવા વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ નોંધાયો હોવાનો દાવો થયો હતો.

દુનિયામાં પ્રથમ વખત એચઆઈવી સંક્રમિત મહિલાનો ઈલાજ થયો. અમેરિકાના તબીબોએ સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટથી સારવાર કરી.
Friday 18 February 2022
Posted by Harsh Meswania

 નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ : યુક્રેન-રશિયા સંઘર્ષનું મૂળ કારણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી ગેસનો પૂરવઠો શરૂ થાય તો યુરોપ ઉપર રશિયાનું પ્રભુત્વ વધી જાય અને અમેરિકાની પક્કડ ઢીલી પડી જાય

 

'કમ ટુ ધ પોઈન્ટ'. આપણે સાધારણ વાતચીતમાં આવું કહેતા હોઈએ છીએ. 'આડા-અવળી વાતોને બદલે ફટાફટ મુદ્દા પર આવી જા!' આવું સાધારણ વાતચીતમાં જેટલી સરળતાથી કહી શકાય છે એટલી સરળતાથી વૈશ્વિક કૂટનીતિમાં કહી શકાતું નથી. કેટલાય મહિનાઓ સુધી આડા-અવળા મુદ્દા ઉઠાવ્યા પછી ઘણી વખત મૂળ મુદ્દાની ચર્ચા થતી હોય છે. રશિયા-યુક્રેન કટોકટીમાં મહિનાઓથી નાટો, રશિયાની લશ્કરી તૈનાતી, ક્રીમિયાના કબજાનો જૂનો ઝઘડો સહિતના જુદા-જુદા વિષયોની ચર્ચા થતી હતી, હવે બધા પક્ષો પોઈન્ટ ઉપર આવતા જાય છે. એ ટોકિંગ પોઈન્ટ છે - નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન.
અમેરિકા-યુક્રેનના પેટમાં દુઃખાવાનું કારણ આ ગેસ પાઈપલાઈન છે. એ સિવાયના મુદ્દા પણ સંઘર્ષ પાછળ જવાબદાર છે જ, પરંતુ એ બધા ગૌણ છે. 

વાત એમ છે કે રશિયાની સરકારી કંપની ગાઝપ્રોમે ૧૯૯૭માં રશિયાથી જર્મની સુધી કુદરતી ગેસ પહોંચાડવા માટે પાઈપલાઈનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પ્રોજેક્ટમાં જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા સહિતના દેશોની કંપનીઓ પણ સહભાગી બની હતી. એને નામ અપાયું નોર્ડ સ્ટ્રીમ-૧ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ. ૨૦૧૨થી આ ગેસ પાઈપલાઈન ધમધમતી થઈ ગઈ અને તેના વાટે ગેસ રશિયાથી જર્મની પહોંચવા માંડયો. જર્મની ઉપરાંત યુરોપમાં પણ આ પાઈપલાઈનના માધ્યમથી ગેસ પહોંચતો હતો. એની સફળતા જોઈને રશિયાએ બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેને નામ આપ્યું : નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન. આ પાઈપલાઈનમાંથી વર્ષે ૧૧૦ અબજ મેટ્રિક ટન ગેસની નિકાસ થઈ શકે તેમ છે. ૨૦૨૦ સુધીમાં એ ધમધમતી થાય તેમ હતી, પરંતુ વિવિધ કારણોથી યુરોપના દેશમાંથી જરૂરી પરવાનગી અટકી જતાં તે હજુ સુધી કાર્યરત થઈ નથી.

 

બાલ્ટિક સમુદ્રના તળિયે રશિયાએ  બિછાવેલી ગેસની બંને પાઈપલાઈનનો નકશો

પ્રોજેક્ટમાં રશિયા-જર્મની-ફ્રાન્સ-ઓસ્ટ્રિયાની કંપનીઓ જોડાયેલી છે તો પછી યુક્રેન અમેરિકાને શું પેટમાં દુઃખે છે? સવાલનો જવાબ વિસ્તારથી સમજીએ. આ ગેસની પાઈપલાઈનથી રશિયા ગેસની નિકાસમાં આત્મનિર્ભર બની ગયું છે. અગાઉ રશિયાથી ગેસની નિકાસ થતી એ યુક્રેન અને પોલેન્ડમાંથી થતી હતી. તેના કારણે આ દેશોને ટ્રાન્ઝિટ ફી પેટે માતબર રકમ મળતી હતી. ખાસ તો યુક્રેનને હજુય ગેસની નિકાસ બદલ બે અબજ ડોલરની ટ્રાન્ઝિટ ફી મળે છે.

રશિયાએ યુક્રેન-પોલેન્ડને બાયપાસ કરવા માટે બાલ્ટિક સમુદ્રનો માર્ગ પસંદ કર્યો. રશિયાના બે અલગ અલગ સ્થળો - વાયબોર્ગ અને ઉસ્ટલુગાથી જર્મનીના ગ્રીફ્સવાલ્ડ સુધી મધદરિયે બિછાવેલી પાઈપલાઈન મારફતે ગેસનો વિપુલ જથ્થો પહોંચે છે. જો બીજી પાઈપલાઈન કાર્યરત થઈ જાય તો રશિયાને યુક્રેન-પોલેન્ડના માર્ગની જરૂર ન પડે. તેની સાથે સાથે તેનો પ્રભાવ યુરોપમાં વધવા માંડે. યુક્રેન-પોલેન્ડને ટ્રાન્ઝિટ ફી ગુમાવવી પડે એનું દુઃખ છે અને અમેરિકાને પેટમાં દુઃખે છે રશિયાના વધતા પ્રભાવથી.

યુરોપમાં રશિયાથી પહોંચતા કુદરતી ગેસની ડિમાન્ડ છે. નોર્વેમાંથી પણ કુદરતી ગેસ યુરોપના દેશોને મળે છે, પરંતુ નોર્વે આખા યુરોપને પૂરો થઈ શકે એટલો જથ્થો આપી શકે તેમ નથી. યુરોપના દેશોને રશિયન ગેસ ઉપર આધાર રાખવા સિવાય કોઈ છૂટકો નથી. મધ્ય-પૂર્વ, એશિયા-અમેરિકાથી આવતો ગેસ મોંઘો પડે.

આ ગેસનો પ્રોજેક્ટ રશિયાની વિદેશનીતિનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. રશિયા આનાથી આર્થિક ઉપરાંત વિદેશી સંબંધો પણ મજબૂત કરવા ધારે છે. નોર્ડ સ્ટ્રીમ-૧થી તેને એમાં ઘણી સફળતા પણ મળી છે. અબજો ડોલરની ટ્રાન્ઝિટ ફી પ્રથમ પ્રોજેક્ટથી બચી ગઈ છે. આગામી પ્રોજેક્ટથી યુક્રેન-પોલેન્ડને આપવી પડતી ટ્રાન્ઝિટ ફી બચી જાય તો રશિયા યુરોપને સસ્તો ગેસ આપી શકે. અથવા આગામી દશકામાં જે સંભવિત ભાવવધારો છે તે ટાળી શકાય. એવું થાય તો રશિયા યુરોપના દેશો માટે જરૂરી દેશ બની જાય. અમેરિકા સાથેના સંરક્ષણ સોદાથી લઈને વિદેશ નીતિ સુધીમાં રશિયા યુરોપના દેશો પર સીધો કે આડકતરો પ્રભાવ પાડી શકે. રશિયા યુરોપના દેશોને સાધીને અમેરિકાના નેતૃત્વમાં સર્જાયેલા નાટો સામે નવી ધરી સર્જી શકે. ખાસ તો જર્મની અને ફ્રાન્સને પોતાની તરફ કરીને અમેરિકા-બ્રિટનના ગઠબંધન ઉપર ભારે પડી શકે.

જગત જમાદાર થઈને ફરતા અમેરિકાનો પ્રભાવ યુરોપમાં ઓછો થઈ જાય તો લાંબાંગાળે ઘણી બધી બાબતોમાં એની અસર થાય. શસ્ત્રોનું વેંચાણ ઘટી જાય. અમેરિકાની વિવિધ નિકાસો ઉપર તેની અસર થાય. અમેરિકા સામે રશિયા-ચીનની જોડી ભારે પડવા માંડે અને અમેરિકા એ સ્થિતિ ન સર્જાય તે માટે યુક્રેનના મુદ્દે રશિયાને દાબમાં લેવા ધારે છે. ગેસના મુદ્દાને સીધો ઉઠાવે તો ફ્રાન્સ-જર્મની જેવા દેશોનું સમર્થન ન મળે, પરંતુ યુક્રેનની અખંડિતતાના નામે અમેરિકા યુરોપના દેશોનું અને ખાસ તો નાટોના સભ્ય દેશોનું સમર્થન મેળવી શકે તેમ છે. યુક્રેન-રશિયા વચ્ચે ક્રીમિયાના મુદ્દે તો સંઘર્ષ ચાલતો જ હતો. એમાં રશિયાએ નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ આગળ વધાર્યો એટલે યુક્રેન વધુ નારાજ થયું. નારાજ યુક્રેનને પોતાની તરફ વાળવા અમેરિકાએ તેને નાટોમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. યુરોપિયન સંઘનો ભાગ રહેલું યુક્રેન નાટોમાં જોડાય તો સભ્ય દેશની સુરક્ષાના બહાને અમેરિકાની આગેવાનીમાં નાટોનું સૈન્ય રશિયાની સરહદે ખડકાયેલું રહે અને રશિયાને સતત ઉભડક જીવે રહેવું પડે. એવું ન થાય તે માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અમેરિકા સામે તેનો ઉગ્ર વિરોધ ઉઠાવી રહ્યા છે. જો નાટોનું સૈન્ય પૂર્વ સોવિયેટ દેશોમાં તૈનાત રહેશે તો પોતાના નાગરિકોની સુરક્ષા માટે રશિયા પગલાં ભરશે એવી ધમકી પછી અમેરિકાએ પણ આક્રમક નિવેદનો શરૂ કર્યા અને સ્થિતિ વધુને વધુ તંગ બની ગઈ.

જોવાની વાત એ છે કે અમેરિકા જેટલી ઝડપથી નિવેદનો આપે છે એટલી ઝડપથી રશિયાએ બાજી ખોલી નથી. પુતિને એક તરફ યુદ્ધનો ભય જાળવી રાખીને ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીથી શાંતિમંત્રણા પણ ચાલુ રાખી છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્લોઝના ખભે બંદૂક રાખીને અમેરિકન પ્રમુખ જો બાઈડને રશિયાને નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી જોઈ, પરંતુ ઓલાફ સ્લોઝ ધારણા કરતા વધુ ચાલાક નીકળ્યા. તેમણે રશિયાને ધમકી તો આપી, પણ એમાં નોર્ડ સ્ટ્રીમનો ઉલ્લેખ ટાળ્યો. જર્મની-ફ્રાન્સ જેવા દેશો બરાબર સમજે છે કે રશિયન ગેસ તેમના માટે ખૂબ જ જરૂરી છે. રશિયાએ એક ડગલું આગળ ચાલીને પહેલેથી જ ગેસના જથ્થાની નિકાસ ઘટાડી દીધી છે અને ભાવમાં પણ થોડોક વધારો કર્યો છે. એવું કરીને રશિયાએ યુરોપના દેશોને સંકેત આપ્યો છે કે ગેસની પાઈપલાઈન રશિયાના નાકે દબાવીને ભીંસ વધારશો તો આઘાત સામે પ્રત્યાઘાત પણ ઝીલવો પડશે.

વેલ, તો મૂળ સવાલ એ છે હવે શું થશે? યુક્રેનને નાટોનું સભ્ય ન બનાવવાની રશિયાની શરતો પૂરેપૂરી તો સ્વીકારી લેવાશે નહીં, પરંતુ થોડા વર્ષો માટે ટાળી દેવાશે. સામે રશિયા યુક્રેન સરહદેથી સૈન્ય પાછું ખેંચી લેશે. નાટોની ઘૂસણખોરી અટકી જશે. ગેસનો અમુક જથ્થો યુક્રેનના માર્ગે જર્મની પહોંચશે એટલે ટ્રાન્ઝિટ ફી મળતી રહેશે. બધું થાળે પડતા કદાચ સમય લાગશે, પરંતુ યુદ્ધ નહીં થાય એ નક્કી છે. એ બધા વચ્ચે થોડાક સમય બાદ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન શરૂ થઈ જશે. સરવાળે, આ વખતે રશિયાની નહીં, પરંતુ અમેરિકાની પીછેહઠ થાય એવી પૂરી શક્યતા છે.


Friday 11 February 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનને નાકે દમ લાવી દેનારી બલોચ આર્મી ફરીથી આક્રમક બની

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

બલૂચિસ્તાન બળવાખોરોના હુમલામાં 100 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઈકોનોમિક કોરિડોરના મુદ્દે બલૂચિસ્તાનમાં ધીમે ધીમે આંદોલન વધુ આક્રમક બનવા લાગ્યું છે. બલૂચિસ્તાનના નાગરિકોનું દેખીતું શોષણ હવે રોષ બનીને ભભૂકી રહ્યો છે


અખંડ ભારતમાંથી અલગ થયા બાદ પાકિસ્તાનના શાસકોએ અમુક ચોક્કસ વિસ્તારોમાં અત્યારો શરૂ કર્યા હતા. એમાં પૂર્વ પાકિસ્તાન અને બલૂચિસ્તાન મુખ્ય હતા. ભેદભાવ અને અત્યાચારોથી ત્રસ્ત પાકિસ્તાનના આ વિસ્તારોમાં જૂલ્મી શાસકોનો વિરોધ ૧૯૬૦ પછી વધ્યો હતો. એક તરફ પૂર્વ પાકિસ્તાનના લોકોએ બાંગ્લાદેશની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું હતું. એ જ અરસામાં બલૂચિસ્તાનમાં પણ એવી જ માગણી સાથે ૧૯૬૪માં બલોચ લિબરેશન આર્મીની રચના થઈ હતી. જે કામ બાંગ્લાદેશની આઝાદી માટે મુઝિબૂર રહેમાને કર્યું હતું. એ જ કામ બલૂચિસ્તાનની આઝાદીની માગણી સાથે ખૈર બખ્શ મિરીની આગેવાનીમાં બલોચ લિબરેશન આર્મીની સ્થાપના થઈ હતી. સરમુખ્તયાર અયુબ ખાનના શાસનકાળ દરમિયાન બલૂચિસ્તાનના મિરી જનજાતિના વિસ્તારમાં ઓઈલ અને ગેસ મેળવવા પાકિસ્તાની આર્મીએ અત્યાચારો શરૂ કર્યા અને એ જનજાતિના લોકોને તેમના મૂળ નિવાસ સ્થાનેથી ખસેડવા મજબૂર કર્યા. એ ઘટનાથી બલૂચભાષી લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે નફરતનું વાવેતર થયું.

બલૂચિસ્તાનના લોકોની ચળવળ વિશે વાત આગળ વધારતા પહેલાં આ સંગઠનના વડાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ખૈર બખ્શ મિરી બલૂચિસ્તાનની બેઠક પરથી ૧૯૭૦માં ચૂંટાયા હતા, પરંતુ એ પછી સરકારે તેમને નિશાન બનાવતા એ અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી બલોચ આર્મીનું સંચાલન કરતા હતા. વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા પછી રશિયાના સમર્થનથી અફઘાનિસ્તાનમાં મોહમ્મદ નાઝીબુલ્લાહની સરકાર બની ત્યારબાદ ખૈર બખ્શ મિરી પાકિસ્તાનમાં આવ્યા હતા. ૨૦૧૪માં પાકિસ્તાનમાં જ તેમનું નિધન થયું હતું. જોકે, આ સંગઠન તેમના દીકરાઓની દોરવણીથી ચાલે છે. ખૈર બખ્શ પછી બલોચ લિબરેશન આર્મીની જવાબદારી તેમના બીજા નંબરના દીકરા બલાચ મિરીએ સંભાળી હતી. બલાચ મિરીનું ૨૦૦૭માં નાટોની એરસ્ટ્રાઈકમાં મોત થયું પછી તેનાથી નાનાભાઈ હૈયરબેર મિરીએ આઝાદીની ચળવળને આગળ વધારી છે.

પાકિસ્તાનના અત્યાચારી શાસકોએ બલૂચિસ્તાનના લોકોને સતત નિશાન બનાવ્યા. જેમ બાંગ્લાદેશમાં રહેતા લોકોની સાંસ્કૃતિક ઓળખ નાબુદ કરવા અત્યાચારો થયા એવા જ અત્યાચારો બલૂચિસ્તાનમાં પણ થયા. બલૂચિસ્તાનમાં બલૂચ નાગરિકો મૂળ નિવાસી છે. આ લોકો પાકિસ્તાન કરતાં ભિન્ન સાંસ્કૃતિ-સામાજિક ઓળખ ધરાવે છે. પાકિસ્તાને એને મિટાવવાની કોશિશ કરી ત્યારથી બલૂચ લોકોએ આઝાદીની ચળવળ આદરી. પોતાના અધિકારો માટે બલૂચ લોકોએ ૧૯૭૦ પછી સરકાર સામે બાંયો ચડાવી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ જે રીતે પાકિસ્તાનના જૂલ્મી શાસકો સામે લડીને આઝાદી મેળવી એવી જ રીતે બલૂચિસ્તાનના લોકોએ પણ લડત ચલાવીને આઝાદી મેળવવાની કોશિશ કરી જોઈ, પરંતુ પાકિસ્તાને બલૂચ નાગરિકોના પ્રયાસોને કચડી નાખ્યા. પૂર્વ પાકિસ્તાન સાથે ભૌગોલિક અંતર હતું તે ઉપરાંત ભારતની ઈન્દિરા સરકારની સક્રિય નીતિના કારણે બાંગ્લાદેશના નાગરિકોની ચળવળ સફળ થઈ એવી સફળતા બલૂચિસ્તાનના નાગરિકોને ન મળી. પરંતુ બલોચ નાગરિકોએ હાથમાં હાથ નાખીને બેસી રહેવાને બદલે પ્રયાસો હજુ સુધી ચાલુ રાખ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ૨૦૦૦ કરતાં વધુ લડવૈયાઓ આજેય એ લડત ચલાવી રહ્યા છે.

બાંગ્લાદેશ આઝાદ થયું પછી પાકિસ્તાનના શાસકોએ થોડો વખત બલૂચ આંદોલનને ઠારવાના પ્રયાસો પણ કર્યા. ઝીયાઉલ હકના સમયગાળામાં બલૂચ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી અને થોડો વખત મામલો શાંત પણ રહ્યો, પણ થોડાં વર્ષોમાં ફરીથી પાકિસ્તાનના ઝૂલ્મી શાસકોએ બલૂચ નાગરિકો સાથ ભેદભાવ શરૂ કર્યો. પાકિસ્તાની આર્મીએ આખા વિસ્તારમાં ત્રાસ વર્તાવ્યો. ૨૦૦૦ના વર્ષમાં પરવેઝ મુશર્રફે બલૂચ નાગરિકોને નેતા ખૈર બખ્શ મિરીની એક હુમલાના ષડયંત્રના આરોપમાં ધરપકડ કરી પછી આંદોલન ફરીથી તીવ્ર બન્યું. પાકિસ્તાની સરકારે આ આંદોલનકારી સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે. સંગઠનના હિંસક વિરોધના મુદ્દા આગળ ધરીને પાકિસ્તાને આ સંગઠન ઉપર યુરોપીયન સંઘ, અમેરિકામાં પણ પ્રતિબંધ મૂકાવ્યો છે.

પણ પાકિસ્તાન આ વિસ્તારમાં બલોચ લોકો પર જે અત્યાચાર કરે છે તેની કોઈ જ નોંધ લેવાતી નથી. પાકિસ્તાન આર્મી આ વિસ્તારમાં અમાનૂષી અત્યારો કરે છે. પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનના મૂળ નિવાસીઓની દીકરીઓ ઉપર સામુહિક બળાત્કારો કરે છે અને બલોચ આર્મી સાથે જોડાયેલા હોવાના મુદ્દે અનેક યુવાનોને રાતોરાત ઉઠાવી જાય છે. આ યુવાનોને મહિનાઓ સુધી ગુમ કરી દે છે. આતંકવાદનું લેબલ મારીને તેમને મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવે છે.

બલૂચિસ્તાનના નાગરિકોને સાંસ્કૃતિક અને સામાજિક રીતે અન્યાય કરવાની સાથે સાથે પાકિસ્તાનની સરકારો તેમને સરકારી નોકરીઓમાં પણ સમાન અધિકારોથી વંચિત રાખે છે. તેમની સાથે સતત એક નહીં તો બીજા મુદ્દે ભેદભાવ થાય છે. ન્યાય મળવાની અપેક્ષા તો ક્યારની બલોચ લોકોએ છોડી દીધી હતી. આખરે તેમણે પણ હિંસાનો માર્ગ અપનાવ્યો. હિંસાની એ આગ માત્ર બલૂચિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની સૈનિકો સુધી સીમિત ન રહેતાં હવે આખા પાકિસ્તાનમાં ફેલાઈ ચૂકી છે. સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ ઝંખતા આ નાગરિકો હવે ઘાયલ થયેલા સિંહની જેમ પાકિસ્તાન આખામાં હાહાકાર મચાવે છે. બલોચ લિબરેશન આર્મીએ છેલ્લાં કેટલાય વર્ષોથી વધુ આક્રમક બનીને હુમલા કર્યા છે. તાજેતરમાં બલૂચિસ્તાનના પાંજગુર અને નૂશકી વિસ્તારોમાં તૈનાત પાક. સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. એ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો બલોચ આર્મીએ કર્યો હતો. જોકે, પાકિસ્તાને હુમલો નિષ્ફળ બનાવ્યાનું નિવેદન આપીને ચાર બલૂચી આતંકવાદીઓને ઠાર કર્યાનો વળતો દાવો કર્યો હતો.

બલૂચિસ્તાનમાં ચીનની હાજરથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેમના હકનું ચીન લઈ જાય છે એવો આરોપ લગાવીને બલૂચ નાગરિકોએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ચીનના પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને નોકરીએ રાખવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હવે હિંસામાં પરિણમ્યું છે. કોઈ પણ માગણી કે રજૂઆત માટે હિંસાનો માર્ગ યોગ્ય તો નથી જ, પરંતુ પાકિસ્તાની લશ્કરના અમાનૂષી ત્રાસ સામે બીજો કોઈ વિકલ્પ ન રહેતાં બલોચ આર્મીએ એ જ રસ્તો પકડીને પાકિસ્તાનને નાકે દામ લાવી દીધો છે.

વર્લ્ડ અપડેટ

- હાઈપરસોનિક એરક્રાફ્ટમાં માતબર ખર્ચ કરીને ચીન અમેરિકાથી આગળ વધવાની પેરવીમાં છે. ચીનની સ્પેસ ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીએ ૨૦૨૪ સુધીમાં હાઈપરસોનિક વિમાન બનાવી લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વિમાન એક કલાકમાં ચીનથી અમેરિકાના ન્યૂયોર્ક સુધી પહોંચી શકવા સક્ષમ હશે.

- રશિયાના લડાકુ વિમાનો સ્કોટલેન્ડ નજીક પહોંચી ગયાનો દાવો બ્રિટને કર્યો હતો. યુક્રેનની સરહદે નાટો સૈન્ય આગળ વધી રહ્યું હોવાના દાવા વચ્ચે રશિયાએ પરમાણુ હુમલો કરી શકવા સક્ષમ ટીયુ-૯૫ બોમ્બર વિમાનને બ્રિટિશ સરહદની નજીક ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

- કોરોના વેક્સિન લેવાનો ઈનકાર કરનારા અમેરિકન સૈનિકો સામે કાર્યવાહી થશે. અમેરિકન આર્મીના ૩૩૦૦ સૈનિકોએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો હતો. એ પછી સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ તેમને નોટિસ પાઠવી છે. આર્મી, નેવી અને એરફોર્સના આ જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો.

- ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન તેની ફઈ સાથે જોવા મળ્યા હતા. કિમ જોંગ ઉને જ તેના ફુઆની ૨૦૧૩માં હત્યા કરાવી હતી. એ પછી પ્રથમ વખત ફઈને સાથે રાખીને કિમ પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

- શિકાગોના ૪૪ વર્ષના કેવિન દુગરે એક હત્યાના આરોપમાં ૧૭ વર્ષ જેલમાં પસાર કર્યા બાદ એ નિર્દોષ ઠર્યો હતો. તેના જોડિયા ભાઈ કાર્લ સ્મિથે સ્વીકાર્યું હતું કે કેવિન પર જે હત્યાનો આરોપ છે તે હત્યા ખરેખર તો તેણે કરી હતી. તેના ભાઈની કબૂલાત પછી કેવિનની માફી સાથે અમેરિકન સરકારે તેને મુક્ત કર્યો હતો.

Friday 4 February 2022
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -