Archive for July 2013

કન્યા કેળવણી માટે લડત આપતી : મલાલા યૂસુફઝઈ


કન્યા કેળવણી માટે જીવના જોખમે લડત આપીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારી ૧૬ વર્ષની બાળકી મલાલા ઝિયાઉદ્દીન યૂસુફઝઇના સન્માનમાં યુનાઇટેડ નેશન્સે મલાલાના જન્મદિવસ ૧૨મી જુલાઈને 'મલાલા દિન' તરીકે ઊજવ્યો હતો અને વિશ્વભરમાં બાળયુવા શિક્ષણમાં કાર્યરત બાળાઓને મલાલા એવોર્ડ પણ એનાયત કર્યા છે. નાની ઉંમરમાં નોંધપાત્ર કામગીરી કરનારી મલાલા વિશે થોડી વધુ જાણકારી

* મલાલાનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા ગામમાં થયો હતો. તેના પિતા ઝિયાઉદ્દીન પણ સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

* સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યાઓને અપાતા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો જેની સામે મલાલાએ અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચાર વિરુદ્ધ તેણે બીબીસીની ઉર્દૂ ન્યૂઝ સર્વિસ માટે ગુલ મકઈના તખલ્લુસ નામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી.

* ૧૩ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સ્વાત ખીણના મિંગોરા કસ્બામાં આવેલી સ્કૂલમાંથી મલાલા પાછી ફરતી હતી ત્યારે આતંકવાદીઓએ તેને ગોળીથી ઠાર કરવા હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં મલાલાને હાથ, ગરદન તથા કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. આ કટોકટીની પળોમાંથી ઊગરીને હવે તે ફરીથી કન્યા કેળવણીના કામમાં કાર્યરત થઈ ગઈ છે.

* ૨૦૦૯માં 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' મલાલા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી અને એના કારણે મલાલા વધુ જાણીતી બની હતી.

* પાકિસ્તાન સરકારે યુવા શાંતિ પુરસ્કાર આપીને મલાલાનું સન્માન કર્યું હતું. પાકિસ્તાનની એક સરકારી ગર્લ્સ સ્કૂલને પણ મલાલા યૂસુફઝઈ નામ આપવામાં આવ્યું છે.
* 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૨૦૧૩ના 'પર્સન ઓફ ધ યર'ના લિસ્ટમાં મલાલાનો સમાવેશ કર્યો હતો.

* જોકે, અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સામે મલાલા સહેજ માટે પર્સન ઓફ ધ યર બનતા રહી ગઈ હતી, પણ તે બીજા સ્થાને રહી હતી અને તેને ડોમિનેટ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી. એક શક્તિશાળી રાષ્ટ્રના શક્તિશાળી પ્રમુખ સાથે પર્સન ઓફ ધ યર બનવા માટે એક ૧૬ વર્ષની બાળકીની સ્પર્ધા થાય એ જ તેની સિદ્ધિ કહી શકાય. શાંતિના નોબેલ માટે પણ મલાલાનું નામ ચર્ચાયું હતું.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 27 July 2013
Posted by Harsh Meswania

હાર્ડ ડ્રાઇવ હિડન કરવાની સરળ રીત


કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરે હિડન કરવી હોય તો આ સરળ ટેકનિકથી છૂપાવી શકાય છે અને પછી જરૃર પડે ત્યારે તેને ફરી શો પણ કરી શકાય છે.

* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો. પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.

* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદ administrative templates પર ક્લિક કરો.

* ત્યાર પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windowsexplorer ને ખોલો.

* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની રહેશે.

* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.

* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે!

* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.
(સંદેશના કમ્પ્યુટર નોલેજ વિભાગમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફનો ધીકતો ધંધો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સેલિબ્રિટીના ઓટોગ્રાફ રૂબરૂ લેવાથી લઈને તેને ખરીદવા માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચવા સુધીની લોકોની ઘેલછા આખી દુનિયામાં જોવા મળે છે. લોકોની આ ઘેલછાનો ભરપૂર લાભ ઉઠાવીને રોકડી અંકે કરવા શક્ય એટલા તમામ પ્રયાસો થાય છે. એટલું જ નહીં, સેલિબ્રિટીના ફેક ઓટોગ્રાફનું બજાર પણ એટલું જ ગરમ રહેતું આવ્યું છે

ન્યૂયોર્કમાં થયેલી એક હરાજીમાં એક બાઇબલના લાખો રૂપિયા ઊપજ્યા. બાઇબલનાં આટલાં ઊંચાં મૂલ્ય પાછળનું કારણ એટલું જ હતું કે તેના પર મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનના હસ્તાક્ષર હતા. સેલિબ્રિટીના હસ્તાક્ષર હોય તો જે તે વસ્તુની કિંમત અનેક ગણી થઈ જતી હોય છે. અત્યારે તો વિશ્વભરમાં સેલિબ્રિટીના ઓટોગ્રાફનું પણ મોટું માર્કેટ અસ્તિત્વમાં આવ્યું છે. વર્ષેદહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર આ બિઝનેસમાં થાય છે. સેલિબ્રિટીના ઓટોગ્રાફનું તેના ફેન્સને મોટું વળગણ હોય છે અને તેનો ભરપૂર લાભ લઈને રોકડી રળી લેવામાં આવે છે. મજાની વાત તો એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સેલિબ્રિટીના બનાવટી ઓટોગ્રાફને વેચવાનો ધીકતો ધંધો શરૂ થયો છે અને એ પણ અસલી ઓટોગ્રાફને ટક્કર આપે એવી લહેજતથી ચાલી રહ્યો છે.

કયાં સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ ધૂમ વેચાય છે?
આપણે ત્યાં ઓટોગ્રાફ્સ પાછળ લોકો પાગલ તો છે જ, પણ અમેરિકા અને બ્રિટનની તુલનાએ લોકો ઓટોગ્રાફ ખરીદવા પાછળ સાવ પાગલપનની હદ નથી વટાવતા એટલે અહીં નકલી ઓટોગ્રાફનું દૂષણ પશ્ચિમની સરખામણીએ પ્રમાણમાં ઓછું છે. અમેરિકામાં લોકો ઓટોગ્રાફ ખરીદવા માટે પાણીની જેમ પૈસા આપે છે અને એટલે જ ઘણી બધી સાવચેતી છતાં છેતરાય છે. નકલી ઓટોગ્રાફ વિશે વધુ જાણતાં પહેલાં કયા સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ કરોડો રૂપિયામાં વેચાય છે એની થોડી જાણકારી મેળવી લઈએ. અમેરિકામાં ૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં સર્વાધિક લોકપ્રિય બનેલા સિંગર અને એક્ટર એલ્વિસ પ્રિસ્લીના ઓટોગ્રાફની એક જમાનામાં ખૂબ ડિમાન્ડ હતી. આ સિંગર ઓટોગ્રાફ આપવામાં આજના સેલિબ્રિટી જેટલા ઉદાર નહોતા એટલે ક્યારેક કોઈકને જ તેના હસ્તાક્ષર મળી શકતા હતા. એ સમયે તેના નકલી હસ્તાક્ષરો બજારમાં ખૂબ વેચાતા હતા. ૬૦નાં દાયકામાં એમના વતી એક આવા નકલી ઓટોગ્રાફ સામે સત્તાવાર ખુલાસો પણ કરાયો હતો. જોકે, ઓટોગ્રાફ કલેક્શનનો શોખ ધરાવતા શોખીનો માટે આજે પણ તેના ઓટોગ્રાફની કોપી ઓનલાઇન મળી રહે છે. અલબત્ત, તેના માટે ઓછામાં ઓછા ૨૦ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી તો રાખવી જ પડે!

ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ માનવી તરીકે ઇતિહાસમાં અમર થયેલા નીલ આર્મસ્ટ્રોંગનું ગત વર્ષે નિધન થયું એ પહેલાંથી જ તેમના ઓટોગ્રાફ્સનું ઓનલાઇન વેચાણ થતું હતું. તેમના અવસાન પછી અચાનક એ ઓટોગ્રાફના ભાવ આસમાને ચડી ગયા. આજે તેમનો ઓટોગ્રાફ ખરીદવો હોય અને એક લાખથી પાંચ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી હોય તો ઓનલાઇન ઉપલબ્ધ છે, પણ એ તમામ ઓટોગ્રાફ્સ ફેક હોવાનું વ્યાપકપણે કહેવાય છે. આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવ્યા બાદ પ્રથમ વખત ઓટોગ્રાફ આપ્યો હતો તે પોતાની પાસે હોવાનો એક દાવો થયો હતો અને એની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી હતી. જોકે, નીલ આર્મસ્ટ્રોંગના નજીકનાં સૂત્રો દ્વારા ૨૦૧૧માં એવો પણ ખુલાસો કરાયો હતો કે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવીને એવો કોઈ જ સ્પેશિયલ ઓટોગ્રાફ નહોતો આપ્યો. ઇવન આર્મસ્ટ્રોંગ પોતે ઓટોગ્રાફ આપવામાં એટલા ઉદાર ન હતા એટલે ઓનલાઇન આટલા બધા ઓટોગ્રાફ્સ જોઈને તો એમને ખુદને પણ આશ્ચર્ય થયા વગર ન રહે કે આ કયા કલાકારની કારીગરી છે!

માઇકલ જેક્શન એક એવું નામ હતું કે જેના ઓટોગ્રાફ્સની આજેય એટલી જ ડિમાન્ડ છે. ૨૦૦૯માં જ્યારે તેનું નિધન થયું ત્યારે અસલી અને નકલી એમ બંને પ્રકારના ઓટોગ્રાફ્સ માર્કેટમાં રાતોરાત ઉપલબ્ધ થઈ ગયા હતા. આવું જ મેરેલિન મનરોની બાબતમાં બન્યું હતું. ૧૯૬૨માં તેમના નિધન પછી તેમના ઓટોગ્રાફનું માર્કેટ એકાએક ઊંચું આવી ગયું હતું. એટલું જ નહીં, તેમના અવસાનને ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ તેમના ઓટોગ્રાફ ખરીદવા માટે ૪ લાખથી ૯ લાખ રૂપિયાની રકમ ખર્ચવાની તૈયારી રાખવી પડે છે અને એમાં કેટલા અસલી મળે છે અને કેટલા નકલી છે એનો ભેદ પારખવાનું કામ અતિ કપરું બન્યું છે. ડિઝનીલેન્ડના સ્થાપક વોલ્ટ ડિઝનીના હસ્તાક્ષરની પણ એટલી જ ડિમાન્ડ રહેતી આવી છે. તેમના ફેક ઓટોગ્રાફની કિંમત પણ એક લાખ રૂપિયા જેટલી બોલે છે. આ ઉપરાંત ટાઇગર વૂડ્સ, લિજેન્ડ બોક્સર મોહમ્મદ અલી, લિજેન્ડ ફૂટબોલર પેલે જેવા સેલિબ્રિટીઝના નકલી ઓટોગ્રાફ્સ એક લાખથી લઈને ૧૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમમાં વેચાય છે અને તેને ખરીદનારા પણ મળી જ રહે છે.

કઈ રીતે અને શું કામ ફેલાયું છે બનાવટી ઓટોગ્રાફનું બજાર
અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા કોઈ નામની આગળ અચાનક સ્વર્ગસ્થ લાગી જાય ત્યારે તેના ઓટોગ્રાફની વેલ્યૂ ખૂબ વધી જતી હોય છે. વળી, અછત હોય ત્યાં નકલખોરી પેસી જ જાય છે એ ન્યાયે ઓટોગ્રાફ્સની બનાવટ ચલણી બની જતી હોય છે. આ સિવાય જે સેલિબ્રિટી બહુ ડિમાન્ડમાં હોય ત્યારે તેના ઓટોગ્રાફને બનાવટી બનાવીને વેચવાનો ધંધો ધમધોકાર ચાલતો હોય છે. કોઈને પ્રશ્ન થાય કે એમાં કાયદેસરની કાર્યવાહી ન થઈ શકે? તો એનો જવાબ થોડો અઘરો છે. જે તે સેલિબ્રિટીએ ક્યારેક ને ક્યારેક તો પોતાના હસ્તાક્ષર કોઈને આપ્યા જ હોય છે અથવા તો કોઈક દસ્તાવેજોમાં પોતાની સહી કરી હોય છે. આ સહીનો ઉપયોગ કરીને ડુપ્લિકેશન કરવામાં આવતું હોય છે. હવે રહી વાત કાર્યવાહી કરવાની, તો એમાં એવો ખાસ અવકાશ એટલા માટે નથી રહેતો કે જે તે સેલિબ્રિટી પાસે એવા પુરાવાઓ ભાગ્યે જ મળે છે કે તેણે એ હસ્તાક્ષર નથી કર્યા એ સાબિત થઈ શકે અને બીજંુ કે ઓનલાઇન જ્યારે આવા ઓટોગ્રાફનું વેચાણ થતું હોય એમાં જે તે સેલિબ્રિટીને માથંુ મારવાનું યોગ્ય નથી લાગતું. હરાજીમાં બહુ મોટી રકમ સામે આવે અને એ જાહેર થાય તેવા કિસ્સામાં ક્યારેક આવા ફેક ઓટોગ્રાફ્સ સામે સેલિબ્રિટી કે પછી તેના વારસો બનાવટી હસ્તાક્ષર સામે લાલ આંખ કરતા હોય છે. આ સિવાયના કિસ્સાઓમાં નકલી ઓટોગ્રાફ બનાવીને પૈસા રળતી જમાત હંમેશાં બચી જાય છે.

નકલી ઓટોગ્રાફ બનાવવાની આખી જાળ ગૂંથાયેલી હોય છે. અંડરગ્રાઉન્ડ એક આખી એવી વ્યવસ્થા ચાલે છે કે જેમાં બનાવટી ઓટોગ્રાફ ક્રિએટ કરવાથી લઈને તેને વેચવા સુધીનું કામ એકદમ સ્માર્ટનેસથી થાય છે. ધારો કે વર્ષો પહેલાં લોકપ્રિય હોય એવી સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ બનાવવાના હોય તો એના માટે પહેલાં એ વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ કરેલી સાઇન શોધવામાં આવે છે. એ પછી તે સમયમાં વપરાતો હોય એવો કાગળ પસંદ કરવામાં આવે છે. ત્યાર બાદ જે તે ઓટોગ્રાફમાં મેચ થતી હોય એવી જ ઇન્ક પસંદ કરવા માટે એક્સપર્ટને રોકવામાં આવે છે. આટલું થયા પછી અદ્દલ સાઇન કરનારા માણસો પાસે એવો ઓટોગ્રાફ ક્રિએટ કરાવાય છે. જરૂરિયાત કરતાં વધુ કોપી બહાર ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી કોઈને એવો અણસાર ન આવે કે આટલી બધી કોપી આવી ક્યાંથી! કોઈ મોટી સેલિબ્રિટીના અચાનક અવસાન વખતે તો આ ધંધામાં સીઝન હોય છે. બેશક આ ધીકતો ધંધો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સેલિબ્રિટીના ઓટોગ્રાફ માટે લોકો આંધળી દોટ મૂકતા રહેશે! 
Tuesday 23 July 2013
Posted by Harsh Meswania

ભૌતિકશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની : ડૉ. યશપાલ


ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની પ્રોફેસર ડો. યશપાલને 2013માં ભારતનું બીજા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. ડો. યશપાલ માત્ર એક વિજ્ઞાની જ નથી, પરંતુ તે ઉચ્ચ દરજ્જાના શિક્ષણશાસ્ત્રી પણ છે. અહીં દેશના આ પ્રથમ હરોળના વિજ્ઞાની વિશે થોડું જાણીએ...

* ૨૬ નવેમ્બર, ૧૯૨૬ના રોજ અખંડ ભારતના ઝાંગમાં (અત્યારે પાકિસ્તાન) ડો. યશપાલનો જન્મ થયો હતો.
* ૧૯૪૯માં પંજાબ યુનિર્વિસટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ભૌતિકશાસ્ત્ર વિષયમાં જ પીએચ.ડી.ની પદવી પણ મેળવી હતી.
* પ્રોફેસર યશપાલે અંતરીક્ષ કિરણોના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે. તેમના સંશોધનપત્રોને ભારતનાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાન સામયિકોમાં સ્થાન મળતું રહ્યું છે. તેમના આ કોસમિક કિરણોની શોધને કારણે વિશ્વભરમાં તેમને સન્માન મળ્યું છે.
* કોમ્યુનિકેશન અને સંદેશાવ્યવહારની બાબતમાં તેમનું કાર્ય વ્યાપક અને વિશાળ માનવામાં આવે છે. જે સમયે ભારત આ ક્ષેત્રે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પ્રોફેસર યશપાલનાં સંશોધનો અગત્યનાં સાબિત થયાં હતાં.
* આધુનિક પ્રોદ્યોગિકી વિજ્ઞાન ક્ષેત્રે તેઓનું પ્રદાન નોંધપાત્ર માનવામાં આવે છે. ભારતને આ ક્ષેત્રે તેમનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મળતું રહ્યું છે.
* તેઓ ૨૦૦૭થી ૨૦૧૨ના વર્ષ દરમિયાન નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના કુલપતિ પદે કાર્યરત રહ્યા હતા.
* તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ચેરમેન તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂક્યા છે.
* વિજ્ઞાન અને વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવવાના તેમના સંગીન પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૧૯૭૬માં પદ્મભૂષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માન આપીને તેઓની સેવાની કદર કરી છે.
* 1980માં તેમણે અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.
* વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના ઉમદા પ્રયાસો બદલ 2009માં યુનેસ્કોએ ડૉ. યશપાલનું કલિંગ પ્રાઈઝથી સન્માન કર્યું હતું.
* બાળકોનો ભણતરનો ભાર હળવો કરવાના હિમાયતી અને આજીવન સાયન્સના શિક્ષણ ઉપર  ભાર મૂકનારા પ્રોફેસર યશપાલનું 24મી જુલાઈ 2017ના રોજ નોઈડામાં 90 વર્ષની વયે નિધન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 20 July 2013
Posted by Harsh Meswania

વિશ્વના ૬૦ જેટલા દેશોમાં મળી આવતો કીડો : લોકસ્ટ


આપણે ત્યાં ખેતરોમાં જેમ તીડ જોવા મળે છે તેમ તીડની જ જાતિનો એક કીડો એટલે લોકસ્ટ. આફ્રિકન દેશોમાં વધુ જોવા મળતો આ કીડો આમ તો વિશ્વના ૬૦ જેટલા દેશોમાંથી મળી આવે છે. ઊભા પાક માટે ખતરનાક સાબિત થઈ શકતા આ કીડા વિશે થોડી વધુ જાણકારી મેળવી લઈએ.

* લોકસ્ટ કીડાનું શારીરિક કદ એકદમ નાનકડું હોય છે. તેના શરીરનું વજન માંડ ૨ ગ્રામ જેટલું હોય છે અને તેનું કદ અડધા ઈંચથી વધુમાં વધુ ૩ ઈંચ સુધીનું નોંધાયું છે.

* આ કીડાનો મુખ્ય ખોરાક તેનાથી પણ નાનકડી જીવાત છે. આમ તો તે ખેતરમાં ઊભેલા પાકમાંથી ખોરાક શોધવાનું વધુ પસંદ કરે છે.

* અન્ય દેશો કરતાં આફ્રિકન દેશોમાં પાકને નુકસાન કરતાં પરિબળોમાં લોકસ્ટને વધુ જવાબદાર માનવામાં આવે છે.

* કીડાની આ પ્રજાતિ ગ્રૂપમાં જ જોવા મળે છે. તે કોઈ પાક પર ગ્રૂપમાં જ આક્રમણ કરે છે. એકલો કીડો એટલો શક્તિશાળી સાબિત થતો નથી, પણ સમૂહમાં તેની શક્તિ અનેક ગણી થઈ જતી હોવાથી ઊભા પાકને નુકસાન કરે છે.

* જોકે, છેલ્લાં થોડાં વર્ષોમાં જીવવિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે આ કીડાઓની સંખ્યામાં સતત ને સતત ઘટાડો થઈ રહ્યો છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

હેંગ થયેલા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો


કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એક સાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યુટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યુટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. 
આ સ્થિતિ નિવારવા માટે એક ટેકનિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યુટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.

* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ જ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.

* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESC એકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.

* આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.

* ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે, કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.
(સંદેશના કમ્પ્યુટર નોલેજ વિભાગમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

આયુષ્યનો મોટો ભાગ ભોજન શોધવામાં વીતાવતું સજીવ : વાલરસ



આર્કટિક મહાસાગર અને ઉત્તર ગોળાર્ધમાં વાલરસ નામનું અનોખુ સજીવ જોવા મળે છે. વાલરસ સમૂહમાં રહેવાનું પસંદ છે. વાલરસની કેટલીક લાક્ષણિકતાઓ રસપ્રદ છે.

* સસ્તન પ્રાણી વાલરસની લંબાઈ ૧૩ ફૂટ જેટલી હોય છે અને તેનું વજન અંદાજે ૨ ટન હોય છે.

* વાલરસ મૂછો અને દંતશૂળ ધરાવે છે. વાલરસના દંતશૂળની લંબાઈ ત્રણ ફૂટ હોય છે.

* વાલરસ સામાન્ય રીતે તેના લાંબા દાંતનો ઉપયોગ બરફ ખોદવા અને ક્યારેય પાણી પોતાનું શરીર ફસાઈ જાય ત્યારે શરીરને બહાર કાઢવા માટે કરે છે.

* માદા વાલરસ આશરે સવા વર્ષ પછી પોતાના બાળકને જન્મ આપે છે. નર અને માદા લગભગ ત્રણ વર્ષ સુધી તેની દેખભાળ કરે છે.

* આ સજીવ પોતાના આયુષ્યનો મહત્ત્વપૂર્ણ ભાગ ભોજનની તલાશમાં વતાવે છે. વાલરસ ભોજનમાં માછલી ખાવાનું વધારે પસંદ કરે છે. એ સિવાય પણ તે ઘણું બધું આરોગી શકવા સક્ષમ છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

ભારતનું ઐતિહાસિક શહેર : ઔરંગાબાદ

                                   (બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે)
પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક વારસાનેે જોવા-જાણવા-માણવા વર્ષભર શહેરની મુલાકાત કરતા રહે છે.

* બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો.

* અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે.

* બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.

* ૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે.

* ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Posted by Harsh Meswania
Tag :

દુનિયાભરની રખડપટ્ટી કરતો રિપોર્ટર : ટિનટિન



કાર્ટૂનિસ્ટ હર્જ દ્વારા નિર્મિત રિપોર્ટર ટિનટિન આમ તો મૂળે કોમિક કેરેક્ટર છે. ૧૯૨૯માં સૌપ્રથમ વખત કોમિક બુકરૂપે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, પછીથી તો તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને ટેલિવિઝન શ્રેણી સ્વરૂપે પણ જોવા મળ્યું છે.
(ટિનટિન કેરેક્ટરનું સર્જન કરનારા કાર્ટૂનિસ્ટ જ્યોર્જ પોસ્પર રેમી, જે હેર્જ નામથી ઓળખાતા હતા)
દૂબળું-પાતળું શરીર અને વાંકડિયા ગુચ્છાદાર વાળ તેની આગવી ઓળખ છે. તે એકદમ સાહસી રિપોર્ટર છે. દુનિયાભરની રઝળપાટ કરીને તે કશુંક નવું શોધી લાવે છે. તે દેખાવમાં પરાણે વહાલો લાગે એવો છે.
હંમેશાં સાથે રહેતા ડોગી સ્નોવી અને સતત નશામાં રહેતા કેપ્ટન હૈડોક સાથે મળીને તે દુનિયાની બૂરાઈઓ સામે લડત આપતો રહે છે.
મૂળે બેલ્જિયમના આ કેરેક્ટરની લોકચાહના દિવસે દિવસે વધતી જ રહી છે.
૮૦ વર્ષ પહેલાં નિર્માણ પામેલું આ પાત્ર આજે જગતની ૫૦ જેટલી ભાષાઓમાં પ્રસારિત થાય છે. એટલું જ નહીં એક અંદાજ પ્રમાણે દર વર્ષે ટિનટિનની ૩૦ લાખ કરતાં પણ વધારે કોમિક બુક્સ દુનિયાભરના બજારમાં વેચાય છે.



મહાન દિગ્દર્શક સ્ટિવન સ્પીલબર્ગે લોર્ડ ઓફ ધ રિંગના નિર્દેશક પીટર જેક્સન સાથે મળીને ગત વર્ષ 'ધ એડવેન્ચર ઓફ ટિનટિન સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન' નામની થ્રીડી ફિલ્મ બનાવી હતી, જે ખૂબ જ લોકપ્રિય રહી હતી.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

૭૭ વર્ષ બાદ પોતાના દેશને ગૌરવ અપાવનાર ખેલાડી : એન્ડી મરે


આ વર્ષે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના ખેલાડી એન્ડી મરેએ પ્રથમ ક્રમાંકિત ખેલાડી નોવાક યોકોવિચને હરાવીને ૭૭ વર્ષ બાદ પોતાના દેશને ટાઇટલ અપાવ્યું. અહીં પેશ છે પ્રતિભાશાળી ખેલાડી એન્ડી મરે વિશે થોડી જાણી-અજાણી વાતો

* એન્ડી મરેનો જન્મ ૧૫ મે, ૧૯૮૭માં સ્કોટલેન્ડમાં થયો હતો. તેના પિતાનું નામ વિલિયમ મરે છે અને માતાનું નામ જુડિથ મરે છે. તેની માતા સ્કોટલેન્ડનાં જાણીતાં ટેનિસ કોચ છે.

* શરૂઆતમાં એન્ડીએ રેન્જર ફૂટબોલ ક્લબમાં ફૂટબોલની તાલીમ મેળવી હતી. જોકે, પછીથી તેની માતાના પ્રોત્સાહનને કારણે તેણે ટેનિસમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હતું.

* એન્ડીએ પોતાનું પ્રથમ ટાઇટલ ૧૨ વર્ષની વયે જીત્યું હતું. પોતાની વયજૂથના એ ટાઇટલથી એન્ડીમાં ટેનિસ રમવાનો જુસ્સો વધ્યો હતો.

* તેની કારકિર્દીનો વળાંક ૨૦૦૪માં આવ્યો. તે વર્ષે તેણે જુનિયર સ્તરની યુ.એસ. ઓપન ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ તેની પસંદગી ડેવિસ કપ માટે થઈ હતી. જોકે, તેને એ વખતે ડેવિસ કપની એક પણ મેચમાં રમવા મળ્યું નહોતું.

* એ જ વર્ષે એન્ડી 'બીબીસી યંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર' બન્યો હતો. આ તેની લોકપ્રિયતાની શરૂઆત હતી.

* ૨૦૦૫થી તેની આંતરરાષ્ટ્રીય કરિયરનો પ્રારંભ થયો હતો. માત્ર બે જ વર્ષમાં એટલે કે ૨૦૦૭માં તેણે વિશ્વના ટોપ ટેન લિસ્ટમાં સ્થાન મેળવી લીધું હતું.

* તેનો સામનો શક્તિશાળી વિરોધી ખેલાડીઓ જેવા કે, નોવાક યોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નાડાલ સાથે થાય છે, એટલે તેને વિજેતા બનવાને બદલે હંમેશાં ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડે છે. ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં, ૨૦૦૮માં યુએસ ઓપનમાં અને ૨૦૧૨માં વિમ્બલ્ડનમાં તે ઉપવિજેતા બન્યો હતો.

* ૨૦૧૨નું વર્ષ તેના માટે વધુ શુકનિયાળ સાબિત થયું હતું. ૨૦૧૨માં તે યુએસ ઓપનમાં વિજેતા બન્યો હતો. ઉપરાંત લંડન ઓલિમ્પિક્સમાં તેણે રોજર ફેડરરને હરાવીને ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

એકલવ્ય દ્વારા બનેલું દ્રોણાચાર્ય મંદિર



તીર્થાટન - હર્ષ મેસવાણિયા

પાંડવ રાજકુમારોનો એક શ્વાન ભટકતો ભટકતો એક જંગલમાં ચાલ્યો ગયો. એક યુવાન ધર્નુવિદ્યા શીખી રહ્યો હતો ત્યાં પહોંચી ગયો અને જોર જોરથી ભસવા લાગ્યો. શ્વાનના ભસવાને કારણે યુવાનનું ધ્યાન ધર્નુવિદ્યા પરથી હટીને એ તરફ ગયું. શ્વાન હજુ પણ ભસી રહ્યો હતો એટલે પેલા યુવાને પોતાની ધર્નુવિદ્યાનો પ્રયોગ કરીને શ્વાનનું મોઢું એ રીતે સીવી લીધું કે એમાંથી અવાજ પણ ન નીકળી શકે અને મોં ખુલ્લું ને ખુલ્લં રહી જાય. શ્વાન ફરી પાંડવો જ્યાં શિક્ષા લઈ રહ્યાં હતા ત્યાં પહોંચી ગયો. શ્વાનનું મોં આ રીતે સીવેલું જોઈને ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો ખબર પડી કે એક ભીલ રાજકુમારે પોતાની ધર્નુવિદ્યાથી આ કૌવત કર્યું છે. તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એ ભીલ યુવાનને મળવા ગયા. તેમણે યુવાનને પૂછયું કે આવી વિદ્યા શીખવનારા તારા ગુરુ કોણ છે? જવાબમાં યુવાને ગુરુ દ્રોણને પોતાની સાથે આવવા વિનંતી કરી. આગળ એકલવ્ય અને પાછળ ગુરુ દ્રોણ. થોડી વારમાં એકલવ્યે ગુરુ દ્રોણને એક મુર્તિ સામે લાવીને ખડા કરી દીધા અને કહ્યું કે, આ છે મારા ગુરુ. દ્રોણાચાર્ય નવાઈ પામીને એકલવ્ય સામે જોવા લાગ્યા, કેમ કે એ મુર્તિ સ્વયં ગુરુ દ્રોણની જ હતી. એ યુવાન એટલે જગતનો મહાન શિષ્ય ગણાતો એકલવ્ય. પછીની કથા એવી છે કે ગુરુ દ્રોણાચાર્યે પોતાની ગુરુદક્ષિણારૂપે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો અને એકલવ્યે હસતાં હસતાં ગુરુ દ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી દીધો હતો. આ મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ છે કે જે જગ્યાએ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યની મુર્તિ બનાવી હતી અને જ્યાં ગુરુદક્ષિણારૂપે પોતાનો અંગૂઠો આપી દીધો હતો, એ સ્થળ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને દનકૌર તરીકે ઓળખાય છે. આજે અહીં એક દ્રોણાચાર્ય મંદિર છે. કૌરવો અને પાંડવોના ગુરુ તરીકે આપણી પૌરાણિક કથાઓમાં હંમેશાં યાદ કરાતા ગુરુ દ્રોણાચાર્યનું ભારતમાં સંભવતઃ એકમાત્ર મંદિર છે અને એ પણ એકલવ્યે બનાવ્યું હતું. અહીં ગુરુદ્રોણ એકલવ્યના ગુરુ તરીકે ઓળખાય છે અને આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે.
દ્રોણાચાર્ય મંદિર

દનકૌરના દ્રોણ મંદિરની વિશેષતા
દનકૌરનું નામ પહેલાં દ્રોણકૌર હતું. સમયાંતરે દ્રોણકૌરમાંથી અપભ્રંશ થઈને દનકૌર થઈ ગયું છે. મંદિરમાં ગુરુ દ્રોણની જે મુર્તિ છે તે એકલવ્યે બનાવેલી હોવાનું મનાય છે. મંદિરની એકદમ પાસે એક તળાવ છે. જે દ્રોણાચાર્ય તળાવ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ તળાવ એકલવ્યના સમયમાં પણ હતું. આ તળાવ આખું ભરાઈ જાય તોપણ એકાદ-બે કલાકમાં તે ખાલી થઈ જાય છે અને તેની સપાટી નીચેના સ્તર સુધી આવી જાય છે. શું કામ છલોછલ ભરાયેલું રહેતું નથી, તેનું કારણ કોઈને ખબર નથી. મંદિરની નજીક એક ઉદ્યાન છે, જેને એકલવ્ય ઉદ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. આ બગીચામાં એકલવ્યની પ્રતિમાં મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ગુરુ દ્રોણાચાર્ય ઉપરાંત બાંકે બિહારી, રાધાકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને રામદરબાર જેવાં નાનાં મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દર રવિવારે અહીં વિશેષ ગુરુપૂજાનું આયોજન કરવામાં આવે છે.
 એકલવ્ય મંદિર
એકલવ્યનું પણ એક મંદિર છે
હરિયાણાના ગુડગાંવની પાસે એક નાનકડું ગામ છે ખાંડસા. આ ગામમાં એકલવ્યનું નાનકડું મંદિર આવેલું છે. ભારતમાં એકલવ્યનું આ એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે આ ગામ પહેલાં ખાંડવ પ્રદેશના નામે ઓળખાતું હતું. ખાંડવ પ્રદેશમાં હિરણ્યધનુ નામના નિષાદ રાજા રાજ કરતા હતા. એકલવ્ય આ ભીલ રાજાનો પુત્ર હતો. ગુરુદ્રોણે માત્ર હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષણ આપવાનું કહ્યું એટલે એકલવ્યે દનકૌરમાં જઈને સ્વયં ધર્નુવિદ્યા શીખી હતી. એક માન્યતા પ્રમાણે આ મહાન શિષ્યની યાદમાં તેના નગરમાં તે વખતે એક પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે ત્યાં નાનકડું મંદિર ઊભું છે, જે મહાન શિષ્ય એકલવ્યની યાદ અપાવે છે.

(સંદેશની ગુરુપુર્ણિમા વિશેષ ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Thursday 18 July 2013
Posted by Harsh Meswania
Tag :

ડિઝનીલેન્ડ : ધ વર્લ્ડ બિયોન્ડ ડ્રીમ્સ




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજના દિવસે ૧૯૫૫માં સ્વપ્નનગરી ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. સ્વપ્નમાં પણ ભાગ્યે જ આવી શકે એવો વિચાર વોલ્ટ ડિઝનીને આવ્યો હતો અને એના ફળસ્વરૂપ વિશ્વને મળ્યું એક એવું ડ્રીમલેન્ડ કે જેમાં પ્રવેશ્યા પછી લોકો પોતાનાં તમામ દુઃખ, દર્દ ભૂલીને માત્ર સ્વપ્નમાં ખોવાઈ જવાનું પસંદ કરે છે

દુનિયામાં જ્યાં સુધી કલ્પનાને અવકાશ છે ત્યાં સુધી ડિઝનીલેન્ડને પૂરું થયેલું ન માનવું'. ડિઝનીલેન્ડની શરૂઆત વખતે વોલ્ટ ડિઝનીએ કહેલું આ વાક્ય ડ્રીમલેન્ડ ડિઝની માટે આજેય એટલું જ સાચું છે. આટલી સક્સેસ પછી પણ સતત નવું નવું ઉમેરાતું જાય છે અને એટલે જ વિશ્વમાં કેટલાય નવા થીમપાર્ક બન્યા હોવા છતાં ડિઝનીલેન્ડ અજોડ છે. આ ડ્રીમલેન્ડને આજે ૫૮ વર્ષ થયાં છે ત્યારે અહીં આ સ્વપ્ન નગરીની દુનિયામાં એક શાબ્દિક લટાર મારી લઈએ.


બે ગર્લ્સના કારણે મળ્યું ડ્રીમલેન્ડ
ડિઝનીલેન્ડ જેના મગજની ઉપજ છે એવા વોલ્ટ ડિઝની એટલે 'ધ વોલ્ટ ડિઝની કંપની'ના સહસ્થાપક. એનિમેશનની જ્યારે શરૂઆત હતી ત્યારે આ કંપનીએ એક એકથી ચડિયાતી એનિમેશન સિરીઝ બનાવીને નવો પથ કંડાર્યો હતો. વોલ્ટ ડિઝની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રોડયુસર, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર, વોઇસ એક્ટર સહિતની ઘણી બધી જવાબદારી નિભાવી જાણતા હતા. સ્વપ્નનગરી ડિઝનીલેન્ડ બેશક તેમના દિમાગમાં આવેલો એક અફલાતૂન આઇડિયા હતો, પણ એ આઇડિયા કેવી પરિસ્થિતિમાં ઝબક્યો હતો તે પણ એટલું જ રસપ્રદ છે.

વોલ્ટ દર રવિવારે પોતાની બંને દીકરીઓ ડાયના અને શેરોનને લોસ એન્જલસના ગ્રિફિથ પાર્કમાં લઈ જતા હતા. શરૂઆતમાં તો બંનેને મજા પડતી હતી, પણ પછી એકના એક મનોરંજનનાં સાધનોથી બંને કંટાળી ગઈ. તેમણે આ બાબતે વોલ્ટને મીઠી ફરિયાદ કરી. બીજું વોલ્ટના ધ્યાનમાં એ આવ્યું કે બાળકોને લઈને આ પાર્કમાં આવતાં મોટાભાગનાં પેરેન્ટ્સ સાવ બોરિંગ બની જતાં હતાં. વોલ્ટને એ વખતે મગજમાં એક અદ્ભુત વિચાર ઝબકી ગયો કે એક એવી જગ્યા તો બનાવવી જોઈએ કે જ્યાં બાળકોને સતત કશુંક નાવીન્ય સભર મનોરંજન મળે અને તેનાં પેરેન્ટ્સ પણ બાળકોની સાથે બાળક બનીને આનંદ માણી શકે. આ વિચાર કેટલાંય વર્ષો સુધી તેમના મગજમાં ચાલતો રહ્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે વાત ખાસ આગળ વધી નહીં. બીજી મુશ્કેલી હતી ફંડની. વોલ્ટ પાસે પૈસા અને પ્લેસ હોવા છતાં તેમને હતું કે આ પર્યાપ્ત નથી અને એટલે તેમણે એક બિઝનેસમેન જેવી કુનેહથી આનો રસ્તો કાઢયો.


ડિઝનીએ ફંડ માટે ફંડા બનાવ્યો!
૧૯૫૩ સુધી ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ ન થયો. અંતે વોલ્ટે સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટને પોતાના પ્રોજેક્ટને અનુરૂપ લોકેશન શોધવાનું કામ સોંપ્યું. ડ્રીમ પાર્ક માટે કેલિફોર્નિયાના એનાહેઇમને પસંદ કરવામાં આવ્યું. બીજું કામ હતું પૂરતા પૈસા એકઠા કરવાનું. ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થાય એવું એક પણ ઇન્વેસ્ટરને નહોતું લાગતું. એટલે જ કોઈ આ પ્રોજેક્ટમાં પૈસા લગાવવા તૈયાર થતું નહોતું. અંતે ડિઝનીએ નક્કી કર્યું કે પોતાની પાસે રહેલી એનિમેશનની તાકાતનો જ ઉપયોગ કરવો. વોલ્ટ ડિઝની એનિમેશન કંપનીએ એબીસી ટીવી ચેનલ માટે 'ડિઝનીલેન્ડ' નામે શ્રેણી બનાવવાની હતી. બદલામાં ચેનલે ડિઝનીના ડ્રીમલેન્ડ માટે અમુક રકમ આપવાની હતી. આ શો નવા નિર્માણ થનારા થીમ પાર્કનો પ્રિવ્યુ શો જેવો બની રહ્યો. ફંડનો પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે ૨૧ જુલાઈ, ૧૯૫૪ના રોજ શરૂ થયો ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ.

ઉતાવળે શરૂ થયેલા ડ્રીમલેન્ડનો પ્રથમ દિવસે જ ધબડકો
પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તેને પૂર્ણ કરવા માટે એક વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. એડવેન્ચરલેન્ડ, ફેન્ટસીલેન્ડ, ટુમોરોલેન્ડ જેવી અલગ અલગ થીમ બનાવવાની હોય ત્યારે આટલો સમય અપૂરતો હતો. સખત મહેનતના અંતે ૧૭ મિલિયન અમેરિકન ડોલર (આશરે ૧૦૦ કરોડ રૂપિયા)ના ખર્ચે એક વર્ષે પ્રોજેક્ટ પૂર્ણ થયો. એના ભવ્ય ઓપનિંગ માટે ૧૭ જુલાઈ, ૧૯૫૫ અને રવિવારનો દિવસ નક્કી કરાયો. આ દિવસ ડિઝનીલેન્ડના ઇતિહાસમાં બ્લેક સન્ડે તરીકે જાણીતો છે. આ પ્રોજેક્ટને સમાચાર માધ્યમોના કારણે પહેલાંથી ખાસ્સી પ્રસિદ્ધિ મળી ચૂકી હતી. એટલે ઓપનિંગ વખતે ૬,૦૦૦ મહેમાનોને નોતર્યા હતા એના બદલે ૩૦,૦૦૦ લોકો પ્રવેશદ્વાર સામે ઊભા હતા. પહેલા જ દિવસે અરાજકતા ફેલાઈ ગઈ. પાર્કનું તાપમાન વધી ગયું, વોટર ફાઉન્ટેનમાં છબરડા થયા, ગેસ લિક થવાની ઘટના બની. આના કારણે ડ્રીમલેન્ડને તે દિવસે બંધ કરવું પડયું. વળી, ડિઝનીલેન્ડનું ટીવી પ્રસારણ થયું હતું એટલે કેટલાક અમેરિકન્સે તો આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ફ્લોપ ગણાવી દીધો હતો. એમ કંઈ ફ્લોપમાં ખપી જાય તો તો વોલ્ટ ડિઝની શાના! ન કલ્પેલી ત્વરાએ એક જ દિવસમાં બધું સમારકામ કરાવીને બીજા દિવસે સત્તાવાર પબ્લિક માટે પાર્કને ખુલ્લો મૂકી દીધો. તે દિવસની ઘડી ને આજનો દિવસ કોઈ તેને ફ્લોપ કહેવાની હિંમત ન કરે તેવી કાળજી લેવાય છે. આજે તો ટોક્યો, પેરિસ, હોંગકોંગ સહિતનાં શહેરોમાં પણ ડિઝનીલેન્ડની મજા માણી શકાય છે અને દુનિયાના મોટાં શહેરોમાં આવા થીમ પાર્ક બને તેવું આયોજન પણ હાથ ધરવામાં આવે છે. ડ્રીમલેન્ડમાં વિચાર્યું હોય એથી વિશેષ મળતું હોવાની લાગણી દરેક વિઝિટર્સ વ્યક્ત કરે છે. ડિઝનીલેન્ડ માટે એક વખત વોલ્ટ ડિઝનીએ કહ્યું હતું કે, 'અહીં આવ્યા પછી મોટેરાઓ પોતાની ઉંમર ભૂલી જઈને બાળક થઈ શકે છે, તો બાળકો અને યુવાનો આ દુનિયાની પેલે પાર વિચારી શકવા સક્ષમ બને છે. હું આ ડ્રીમલેન્ડ એવા લોકોને સર્મિપત કરું છું કે જે નવું વિચારવા સતત પ્રયત્નશીલ છે અને જેની આંખો નવાં સ્વપ્ન જોવાની ખેવના રાખે છે.'


શા માટે આ ડ્રીમલેન્ડ અન્ય થીમ પાર્કથી ચડિયાતું સાબિત થતું રહ્યું છે?

* છેલ્લાં ૫૮ વર્ષમાં આશરે ૫૫ કરોડ લોકોએ ડ્રીમલેન્ડમાં એન્ટ્રી કરી છે. ૨૦૦૭માં સૌથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. આ એક જ વર્ષમાં દોઢ કરોડ મુલાકાતીઓ ડ્રીમલેન્ડમાં આવ્યા હતા.

* ડ્રીમલેન્ડની મુલાકાત કરનારા પ્રવાસીઓ વર્ષે ૩૦ ટન કચરો વેરે છે. જેની સફાઈ માટે ડિઝનીલેન્ડે ૨૦,૦૦૦ કર્મચારીઓને રોક્યા છે. એટલું જ નહીં અંદર થીમ પાર્કમાં સતત નવીનતા લાવવા માટે ૫૦૦ કલાકારો રાખવામાં આવ્યા છે.

* ડિઝનીલેન્ડના સહાયક સ્ટાફમાં એવા લોકો રાખવામાં આવ્યા છે જે અલગ અલગ દેશની સ્થાનિક ભાષા પણ જાણતા હોય. સ્ટાફમાં ૩૦ જેટલી ભાષા જાણી શકે તેવા લોકો છે જેમાં હિન્દીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

* અમેરિકાના સાત પ્રમુખોએ આ ડ્રીમલેન્ડની સત્તાવાર મુલાકાત કરી છે અને એ સિવાય વિદેશી મહેમાનો માટે અમેરિકન સરકાર ડિઝનીલેન્ડનો પ્રવાસ ગોઠવે છે.

* જ્યારે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ત્યારે ત્યાં પાંચ હોટેલ, બે મોટેલની હતી જેમાં ૮૭ રૂમ્સની વ્યવસ્થા હતી. આ સિવાય ત્યારે ૩૪ રેસ્ટોરાં હતી. આજે ડિઝનીલેન્ડના કારણે ત્યાં ૧૮,૦૦૦ રૂમ્સની સગવડ ધરાવતી ૧૫૦ હોટેલ્સ-મોટેલ્સ બની ગઈ છે અને ૪૫૦ રેસ્ટોરાં પણ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.
Tuesday 16 July 2013
Posted by Harsh Meswania

ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ


ગત માસમાં ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની ૧૨૦મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આંકડાશાસ્ત્રમાં તેમની આગવી સમજને કારણે તેમની અને ભારતની નોંધ તે સમયે વિશ્વભરમાં લેવાતી હતી. અહીં આઆંકડાશાસ્ત્રીના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ

* પ્રશાંત ચંદ્રનો જન્મ ૨૯ જૂન, ૧૮૯૩ના રોજ કલકત્તા (આજનું કોલકાતા) માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસની ગણના એ વખતે બંગાળના ધનવાન લોકોમાં થતી હતી.

* પ્રશાંતના જીવન ઘડતરમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો બહુ મોટો ફાળો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતનમાં જ લીધું હતું.

* પ્રશાંતને આંકડાશાસ્ત્રમાં રસ લેતા કરનાર તેના પ્રોફેસર બ્રિજેન્દ્રનાથ સીલ હતા. તેમણે પ્રશાંતની રુચિ જોઈને તેને આંકડાશાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.

* ૧૯૧૩ના વર્ષમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી.

* ૧૯૧૫માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈંગ્લેન્ડની સારી તક છોડીને પણ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા અને કલકત્તા પ્રેસિડેન્સી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દી આરંભી હતી. એ દરમિયાન જ તેમણે આંકડાશાસ્ત્રમાં ગહન અભ્યાસ કર્યો હતો.

* પ્રશાંત તેમના ત્રણ પ્રદાન માટે જગતભરમાં જાણીતા બન્યા હતા. 'મહાલનોબિસ દુરત્વ', 'વિશાળ પાયા પર થયેલા મહાલનોબિસ સેમ્પલ સર્વે' અને 'નમૂનાનું પરીક્ષણ તથા તેમનો સિદ્ધાંત અને વ્યવહાર' એવા નામે તેમણે આંકડાશાસ્ત્રમાં કરેલું કામ આજેય વિશ્વભરનાં આંકડાશાસ્ત્રનાં પુસ્તકોમાં સ્થાન પામે છે.

* 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ'ની રચના કરવામાં આવી ત્યારે પ્રશાંત મહાલનોબિસને તેના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા.

* આંકડાશાસ્ત્ર અને ગણિતમાં મહામૂલું પ્રદાન કરીને ભારતને જ નહીં પણ દુનિયાને સમૃદ્ધ વારસો આપનારા પ્રશાંતજીનું નિધન ૨૮ જૂન, ૧૯૭૨માં થયું હતું. તેમને ભારતીય આંકડાશાસ્ત્રના પિતામહ કહીને તેમનું સન્માન કરવામાં આવે છે. 

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 13 July 2013
Posted by Harsh Meswania

'ખાવું-પીવું અને સૂવું' એવા સૂત્રમાં માનતું કાર્ટૂન કેરેક્ટર : ગારફિલ્ડ


દુનિયાભરમાં સર્વાધિક લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર્સમાં સ્થાન પામતા તેમજ 'ખાવું-પીવું અને સૂવું' એવા સૂત્રમાં માનતા ગારફિલ્ડ નામના કાર્ટૂન કેરેક્ટરની રચના જિમ ડેવિસે કરી હતી. 
                                                     
                                                     ગારફિલ્ડના સર્જક જિમ ડેવિસ

ડેવિસને એવું કાર્ટૂન કેરેક્ટર ક્રિએટ કરવું હતું કે જેની સાથે સામાન્ય માણસ જલદીથી જોડાઈ શકે અને આ માટે તેમણે આ બિલાડાનું સર્જન કર્યું. પીળા રંગનું આ કાર્ટૂન કેરેક્ટર સમગ્ર વિશ્વની પ્રાદેશિક ભાષાઓમાં પોપ્યુલર રહ્યું છે.૧૯૭૮માં ગારફિલ્ડને એક કોમિક સ્ટ્રિપમાં સમાવવામાં આવ્યું. કોમિક સ્વરૂપે લોકપ્રિય બન્યા પછી ૧૯૮૨માં ગારફિલ્ડ પર 'હિઅર કમ્સ ગારફિલ્ડ' નામની એનિમેટેડ શ્રેણી પણ બનાવાઈ હતી. શરૂઆતમાં ગારફિલ્ડને કોઈ પસંદ કરતું નહોતું, પરંતુ ધીમે ધીમે તેનો અંદાજ અને તેની ખૂબીઓ લોકપ્રિય થવા લાગી.
ગારફિલ્ડની સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે. તે પોતાની હાજરજવાબીથી બધાની બોલતી બંધ કરી દે છે. આ અંદાજથી જ તે અન્ય કાર્ટૂન કેરેક્ટરથી અલગ તરી આવે છે. તે હંમેશાં પોતાના માલિકની સાથે ટેબલ પર ખાતાં-પીતાં નજરે ચડે છે. ખાવાનો અને ઊંઘવાનો તેને જબરો શોખ છે.
તેના જીવનનો ઉદ્દેશ ખરેખર તો આરામ કરવાનો અને ખાવાનો જ હોય છે. તેને અવનવી વાનગી આરોગવી હોય છે અને એટલે જ તે માલિક સાથે સારાસારી પણ રાખે છે. જોકે એ સિવાય તે પોતાના માલિકની હાંસી ઉડાવતો રહે છે. ગારફિલ્ડ પર ફિલ્મો પણ બની છે.

 (સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Posted by Harsh Meswania

લાપતા થયેલાં સેલિબ્રિટીની ગુમનામ દુનિયા


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૮ વર્ષ પહેલાં ગુમ થયેલી એક ટિચરની લાશ તેના જ ઘરની દીવાલમાંથી મળી આવી હતી. વર્ષેદહાડે ગુમ થવાના કેટલાય બનાવો બને છે અને તેનો પત્તો ક્યારેય મળતો નથી. ઉત્તરાખંડ દૂર્ઘટનામાં પણ હજુ અનેક લોકો લાપતા છે ત્યારે આપણે અહીં થોડાં એવાં જાણીતાં નામોની વાત કરીએ કે જે ગુમ થયા પછી ક્યારેય નથી મળ્યાં

વિશ્વમાં વર્ષે વીસેક લાખ લોકો અચાનક જ ગુમ થઈ જાય છે અને એમાંથી પાંચેક લાખ લોકોનો પછી ક્યારેય પત્તો લાગતો હોતો નથી. એમ કહેવાય છે કે દુનિયામાં એક દિવસમાં આશરે પાંચ હજાર લોકોનો મિસિંગ રિપોર્ટ નોંધાય છે. મેંગો પીપલ ખોવાઈ જાય અને એનું સરનામું આખી જિંદગી ન મળે એ થોડી અલગ બાબત છે અને જાહેરજીવનમાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં જાણીતું નામ હોય તેવા લોકો ખોવાઈ જાય અને ક્યારેય તેની ભાળ ન મળે એ પણ થોડી અલગ બાબત છે. આપણે ત્યાં આજ સુધી ભાળ ન મળી હોય એવી જાહેરજીવનની વ્યક્તિની વાત આવે એટલે લગભગ બધાં એક જ સૂરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ કહેશે. નેતાજીની જેમ જ જે તે વખતે જાણીતા બન્યા હોય અને અચાનક ગુમ થયા હોય એવા વિશ્વમાં કેટલા બધા કિસ્સા નોંધાયેલા છે.

અત્યારે આ વાત માંડવાનું કારણ એ છે કે ન્યૂ યોર્કમાં તેના પતિ સાથે રહેતી ૫૫ વર્ષની એક શિક્ષિકા જોઆન નિકોલ્સ ૧૯૮૫માં એક દિવસ અચાનક ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ તેનો મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો હતો. આ ઘટનાને ૨૮ વર્ષનાં વહાણાં વાઈ ગયાં બાદ એક દિવસ અચાનક પોલીસ પર એક કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે પોતે જે મકાન તોડી રહ્યો છે તેની દીવાલમાંથી એક માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ મકાન ૨૦૧૨માં અવસાન પામેલા જેમ્સ નિકોલ્સનું છે અને હાડપિંજર જેમ્સની ગુમ થયેલી પત્નીનું જ છે. જોકે, જોઆન નિકોલ્સ અંગે વધુ કોઈ માહિતી હવે પોલીસતપાસમાં નથી મળતી. નિકોલ્સ દંપતીને કોઈ જ વારસ નથી એટલે હવે જોઆનની દફનવિધિ સરકાર કરશે. ગુમ થયા પછી ક્યારેય કોઈ સગડ ન મળતા લોકોની તુલનાએ જોઆનના હાડપિંજરને દફનવિધિ નસીબ થશે એ રીતે તે થોડી નસીબદાર કહી શકાય. દુનિયાના ઘણાં જાણીતા કમભાગી લોકોનાં નસીબ જોઆન જેવાં પણ નથી હોતાં!

લુઇસ લી પ્રિન્સ : મોશન પિક્ચરના શોધક પછી ક્યારેય પિક્ચરમાં ન આવ્યા!

 સિનેમેટોગ્રાફીના જનક અને મોશન પિક્ચરના શોધક તરીકે ઓળખાતા લુઇસ બ્રધર્સ પૈકીના લુઇસ લી પ્રિન્સ પેરિસના એક ટ્રેનના પ્રવાસ દરમિયાન ૪૯ વર્ષની વયે ૧૮૯૦માં ગુમ થઈ ગયા હતા. એટલે સુધી કે તેમની સાથે તેમનો સામાન પણ ગુમ થઈ ગયો હતો. તે ગુમ કેમ થયા એ અંગે જાત-જાતની થિયરીઝ રજૂ થઈ હતી. કોઈ કહેતું કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તો વળી તેના મિત્રોનો દાવો હતો કે તેના પરિવારે જ તેનું ખૂન કરાવ્યું છે. કોઈક એમ પણ માનતું કે પૈસા માટે કોઈકે તેની હત્યા કરીને લાશ થાળે પાડી દીધી હતી, પણ સર્વસ્વીકૃત રીતે એમ માની લેવાયું હતું કે તેના હરીફોએ એ વખતે તેની હત્યા કરી નાખી હતી. મોશન પિક્ચરના શોધક ગુમ થયા પછી ક્યારેય ફરી વાર પિક્ચરમાં નથી આવ્યા!



રિચી એડવર્ડ : મ્યુઝિશિયનની કાર સ્યૂસાઇડ પોઈન્ટ પરથી મળી હતી

મેનિક સ્ટ્રીટ પ્રિચર્સ વેલ્સ અલ્ટરનેટિવ રોક બેન્ડ ગ્રૂપના સભ્ય અને નેવુંના દશકમાં ખૂબ લોકપ્રિય બનેલા અમેરિકન સિંગર-મ્યુઝિશિયન રિચી એડવર્ડ ૨૭ વર્ષની વયે ૧૯૯૫માં અચાનક ક્યાંક ગુમ થઈ ગયો. ૧૮ વર્ષથી તેની કોઈ જ ભાળ મળી નથી. તેની કાર એક કુખ્યાત સ્યૂસાઇડ પોઇન્ટ પરથી મળી આવી હતી, પણ તેની અન્ય કોઈ જ સામગ્રી મળી નહોતી. ત્યાર પછી આજ સુધી તેની ભાળ મળી નથી. જોકે, ૨૦૦૮માં તેને અંતે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.





એમીલિયા એરહાર્ટ : ઉડાન દરમિયાન જ આ વિમાનચાલક લાપતા!


પ્રસિદ્ધ અમેરિકન મહિલા પાઇલટ એમીલિયા એરહાર્ટ તેની સાહસિક ઉડાનો માટે જાણીતાં હતાં, પણ તે એટલાન્ટિક મહાસાગર એકલા હાથે પાર કરનારી પ્રથમ મહિલા તરીકે જગતભરમાં વધુ ઓળખાય છે. આ સાહસી મહિલા વિમાનચાલક ૧૯૩૭માં વિમાન સમેત પ્રશાંત મહાસાગરમાં હોવલેન્ડ ટાપુ આસપાસ ગુમ થઈ ગયાં હતાં. તેનું જીવન, તેની કારકિર્દી અને તેનું ગુમ થવું એ આજેય લોકોમાં રસનો વિષય રહ્યો છે. ભારે શોધખોળને અંતે ૧૯૩૯માં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

જિમ્મી હોફ્ફા : યુનિયન લીડરને માફિયાઓએ ગાયબ કરી દીધા!

જિમ્મી હોફ્ફા ૫૦-૬૦ના દાયકામાં અમેરિકાના શક્તિશાળી મજૂર નેતા હતા. તેને માફિયા સાથે સંબંધો હોવાની ચર્ચા ખૂબ ચાલી હતી. કહેવાય છે કે માફિયા સાથેના સંબંધો જ તેમને અંતે ભારે પડી ગયા. ૧૯૭૫ની ૩૦ જુલાઈએ બપોરે ૨ વાગ્યે તેઓ છેલ્લી વાર જાહેરમાં જોવા મળ્યા હતા. જિમ્મીએ તે દિવસે બપોરે એન્થોની જિઆક્લેન અને એન્થોની પ્રોવેન્ઝેનો નામના બે માફિયા નેતાઓ સાથે મિટિંગ નક્કી કરી હતી. નિયત સમયે મિટિંગ શરૂ તો થઈ હતી, પણ એ મિટિંગ ક્યારે પૂરી થઈ એની આજ સુધી કોઈને ખબર નથી. એ મિટિંગ પછી જિમ્મી હોફ્ફા ક્યાં ગયા એની પણ કોઈને જાણ નથી. સતત ૭ વર્ષની શોધખોળને અંતે તેમને ૩૦મી જુલાઈ, ૧૯૮૨ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જોસેફ ફોર્સ ક્રાર્ટર : આ જજના ગુમ થવા અંગે કોઈ જ જજમેન્ટ ન આવ્યું!


૧૯૩૦માં જ્યારે ન્યૂયોર્ક શહેરના જજ અચાનક ગુમ થઈ ગયા ત્યારે સમાચાર માધ્યમોથી લઈને શહેરના ખૂણે ખૂણે આ એક જ ચર્ચા થતી હતી. શહેરની આટલી વગદાર વ્યક્તિ આમ અચાનક શું કામ ગાયબ થઈ ગઈ અને કોણે ગાયબ કરી દીધી તે બધાં માટે રસનો અને કુતૂહલનો વિષય હતો. ગુમ થયા ત્યારે તે ૪૧ વર્ષના હતા અને વેકેશન પર જવાના હતા. ગુમ થયા એ પહેલાં તેમણે કોમેડી શો ડાન્સિંગ પાર્ટનર જોવા માટે એક ટિકિટ પણ બૂક કરાવી હતી. તેમણે શો જોયો કે કેમ તેની પણ કોઈને જાણ નથી. તેના ગુમ થયાનાં ૯ વર્ષ પછી તેને મૃત જાહેર કરાયા હતા. જોકે, તેમના ગુમ થવા અંગે કોઈ પાસે એક પણ પ્રકારનું જજમેન્ટ આજ સુધી નથી.

એક અભ્યાસ કહે છે કે અચાનક ગુમ થનારા લોકોમાં મોટા ભાગે માનસિક કારણ જવાબદાર હોય છે. માનસિક રોગી ક્યાંક ગાયબ થઈ જતા હોય છે અથવા તો માનસિક તાણના કારણે લોકો બધું છોડી દેતા હોવાનું બનતું હોય છે. આ સિવાય ઉત્તરાખંડ જેવી કુદરતી હોનારતોમાં અદૃશ્ય થઈ જતા લોકોનો ભાગ્યે જ ક્યારેય પત્તો મળતો હોય છે. આવા બનાવોને બાદ કરીએ તો અહીં ગુમ થયેલા બધા લોકો માનસિક બીમાર હોવાની શક્યતા સાવ નહીંવત્ છે અને તમામ જાહેરજીવનમાં પોતાના ક્ષેત્રમાં આગવી છાપ ધરાવતા હતા. એ ગુમ થયા પછી ન તો તેની કોઈ ચીજવસ્તુઓ મળી કે ન તો તેના મોતનું સાચં કારણ જાણવા મળ્યું. કદાચ એ જ કારણ હશે કે આટ-આટલાં વર્ષો વીત્યાં હોવા છતાં આ લોકો શું કામ ગુમ થયા અને કોણે ગુમ કર્યા તે પ્રશ્નો આજેય એટલા જ કુતૂહલનો વિષય રહ્યો છે.          
Wednesday 10 July 2013
Posted by Harsh Meswania

ભારતનો આક્રમક ઓપનર શિખર ધવન

ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનર શિખર ધવન વન ડે, ટેસ્ટ અને ટી-ટ્વેન્ટી એમ તમામ ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને હવે ભારતીય ટીમનો કાયમી સભ્ય બન્યો છે. 29 વર્ષના આ ખેલાડીએ 24 વર્ષે વન-ડેમાં અને 26 વર્ષે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી હતી. આક્રમક ઓપનર વિશે થોડું જાણી લઈએ...

* શિખર ધવનનો જન્મ ૫ ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે ૨૦૦૪માં દિલ્હી વતી રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

*  આ આક્રમક ડાબેરી બેટ્સમેન જરૂર પડયે રાઇટ આર્મ ઓફ બ્રેક બોલિંગ પણ કરી શકે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૩ વિકેટ મેળવી છે.

* શિખર ધવને ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા સામે રમીને વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ૨૦૧૧માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમીને તેણે ટી-૨૦ કરિયરનો પ્રારંભ કર્યો હતો.

* ઓસ્ટ્રેલિયા ધવન માટે શુકનિયાળ સાબિત થયું છે. ચાલુ વર્ષે માર્ચ માસમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં જ તેને પ્રથમ વખત તક આપવામાં આવી હતી. જેનો તેણે શાનદાર દેખાવ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

* આઈપીએલની વાત કરવામાં આવે તો ૨૦૦૮માં દિલ્હી ડેરડેવિલ્સે ધવનને કરારબદ્ધ કર્યા બાદ ૨૦૦૯-૧૦માં મુંબઈ સાથે તેણે કરાર કર્યો હતો. ૨૦૧૧-૧૨ના વર્ષમાં ડેક્કન ચાર્જર્સ માટે રમનારા ધવને આઈપીએલની છઠ્ઠી સીઝનમાં સનરાઇર્સ હૈદરાબાદ માટે રમવાનું પસંદ કર્યું હતું.
Saturday 6 July 2013
Posted by Harsh Meswania

કુદરતી સમૃદ્ધિ ધરાવતો પ્રદેશ આસામ


ભારતનાં સર્વાધિક સુંદર રાજ્યોમાં જેની ગણના થાય છે, તેવું આસામ પૂર્વોત્તરમાં સાંસ્કૃતિક, જૈવિક અને કુદરતી વિવિધતાના ખજાના સમાન પ્રદેશ છે. આસામમાં પ્રવેશ કરતાં જ દૂર દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા અને સુંદરતા વેરતી વન્ય જીવસૃષ્ટિ દૃષ્ટિગત થવા માંડે છે. આસામમાં અનેક લુપ્તપ્રાય વન્યજીવોની પ્રજાતિઓ અને સુંદર લાંબા દાંતવાળા હાથીઓના અવાજ વન્યજીવ પ્રેમીઓનાં હૃદયને સ્પર્શી જાય તેવા છે.

* આસામનું એક પર્વતીય સ્થળ હાફલાંગ સમુદ્રી તટથી ૬૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ પર્વતને આસામની મુખ્ય ભાષામાં સફેદ કીડીઓનો પહાડ કહેવામાં આવે છે. બે લાખ અલગ અલગ પ્રકારનાં ફૂલો માટે પણ હાફલાંગનો પહાડ વિશ્વવિખ્યાત છે.

* અનેક પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ અને પાઇનેપલ (અનાનસ), નાસપતી અને સંતરાં માટે પણ તે વિશેષ જાણીતો છે.

* આસામ અને મેઘાલયની સીમાઓ પર સ્થિત તેમજ હાફલાંગથી ૧૧૨ કિલોમીટર દૂર આવેલું ઉમારસંગો પર્વતીય સ્થળ ઉત્તરી કછાર પહાડી ક્ષેત્રની પ્રાકૃતિક પૃષ્ઠભૂમિથી સમૃદ્ધ છે. આ મનોરંજક યાત્રાનો આનંદ માણવા પર્યટકોએ જોવાઈના રસ્તે હાફલાંગની પહાડી ઉમારસંગોથી જઈ શકાય છે અને અહીંથી શિલાંગની પહાડીઓ તરફ પણ જઈ શકાય છે. ઉમારસંગો પાસે ચિકિત્સીય ગુણ ધરાવતું ગરમ પાણીનું ઝરણું પણ આવેલું છે.

* કાઝિરંગા નેશનલ પાર્ક આ રાજ્યની ઓળખ આપવા માટે પૂરતો છે. આ પાર્ક ૪૩૦ ચો.કિમીમાં ફેલાયેલો છે. કાઝિરંગા ખાસ કરીને ગેંડાઓ માટે વિશેષ જાણીતું છે. ઉપરાંત ૨૦૦૬થી કાઝિરંગા નેશનલ પાર્કને વાઘ અભયારણ્ય પણ જાહેર કરાયું છે. આ ઉદ્યાનમાં હાથી, જંગલી ભેંસ, સાબર-બારાસિંઘા જોવા મળે છે. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા કાઝિરંગા નેશનલ પાર્કને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યની તુલનામાં કાઝિરંગા નેશનલ પાર્કે વન્યજીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. અહીંયાં ઊંચા ઊંચા હાથી ઘાસ, પહોળાં પાંદડાં ધરાવતી વનસ્પતિઓ પણ જોવા મળે છે. ઉપરાંત, અહીં નાનાં તળાવો પણ આવેલાં છે.

* ૧૯૭૩માં માનસ ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યું હતું. તે કોકરાઝાર,બોગઈ ગામ, બારપેટાન, નાલબાડી, કામરૂપ અને દારાંગ જિલ્લામાં ફેલાયેલું છે. આ રિઝર્વમાં જે ૨૨ જીવ-જંતુઓની પ્રજાતિઓ મળી આવે છે તે વિશ્વમાં લુપ્તપ્રાય છે. ૧૯૮૫માં તેને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરાયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

મધુર ગીત ગાનારું અમેરિકન પક્ષી : રેન

અમેરિકાના કેરોલિનાનું નાનકડું પક્ષી રેન મધુર અવાજને કારણે જાણીતું છે. આ પક્ષી કેરોલિનાના વન્યપ્રદેશમાં રહેવાની સાથે સાથે માનવ વસાહતમાં પણ અનુકૂલન સાધી શકે છે. એટલું જ નહીં, નદીકાંઠાના પાણીવાળા પ્રદેશમાં પણ રહી શકે છે. કેરોલિનામાંથી મળી આવતું હોવાના કારણે તેને કેરોલિયન રેન પણ કહેવામાં આવે છે.

* રેન દેખાવમાં ચકલી જેવડું નાનકડું પક્ષી છે. તેના શરીરનું કદ ૫.૫ ઇંચ જેટલું હોય છે અને તેનું વજન માંડ વીસેક ગ્રામ જેવુ હોય છે.

* પક્ષીવિદના નોંધવા પ્રમાણે આ પક્ષીની ખાસિયત એ છે કે તે એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણેક હજાર વખત મીઠો અવાજ કાઢીને ગીત ગાય છે.

* આ પક્ષીની બીજી એક લાક્ષણિકતા એ છે કે તે હંમેશાં જોડીમાં રહેવાનું પસંદ કરે છે અને મોટા ભાગે જે નર-માદા સાથે જોડી બનાવે છે તે બંને પછી જીવનભર સાથે રહે છે. બંને મહેનત કરીને સંયુક્ત રીતે માળો બાંધે છે.
* વૃક્ષમાં રહેતી ઇયળો, કરોળિયા ઉપરાંત ફળો રેન પક્ષીનો મનગમતો ખોરાક છે.

* માદા રેન પક્ષી લગભગ ચાર ઈંડાં મૂકે છે અને બે સપ્તાહ સુધી તેનું સેવન કરે છે. નર રેન સેવન કરવામાં માદાને મદદરૂપ નથી બનતો, પણ બંનેની ખોરાકની જવાબદારી નિભાવે છે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે ત્યારબાદ બંને બે સપ્તાહ સુધી બચ્ચાંને ખોરાક આપે છે. બે સપ્તાહ બાદ બચ્ચાં જાતે જ માળામાંથી ઊડી જતાં હોય છે.

* આવું આ મીઠા અવાજવાળું પક્ષી અમેરિકાના કેરોલિના રાજ્યના સ્ટેટ બર્ડનો માનભર્યો દરજ્જો પણ ભોગવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

મ્યુઝિકલ ગ્રૂપનો સ્ટાર સિંગર : એલ્વિન સેવિલ


અમેરિકન એનિમેટેડ કાર્ટૂન સિરીઝ 'એલ્વિન એન્ડ ધ ચિપમન્ક'ની રચના ૧૯૫૮માં રોઝ બેગડાસારિયને કરી હતી. આ કાર્ટૂન શ્રેણીનાં પાત્રો મ્યુઝિકલ ગ્રૂપના સભ્યો છે અને એલ્વિન સેવિલ નામનો સસલો ગ્રૂપનો સ્ટાર સિંગર છે. 
'એલ્વિન એન્ડ ધ ચિપમન્ક' સિરીઝ પહેલાં 'ધ એલ્વિન શો'ના નામે ચાલતી હતી. પછીથી જ્યારે ફરી વાર તેને રજૂ કરવામાં આવી ત્યારે તેનું નામ 'એલ્વિન એન્ડ ધ ચિપમન્ક' કરી દેવામાં આવ્યું હતું. આ નામ અને આ સિરીઝ પછીથી અમેરિકામાં ૧૯૬૨ આસપાસના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. 
મ્યુઝિકની આ ટોળકીનું ગીત પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું. આ સિરીઝની લોકપ્રિયતામાં મ્યુઝિક ગ્રૂપના મુખ્ય કેરેક્ટર એલ્વિનના કેરેક્ટરનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. રેડ ટીશર્ટ, રેડ કેપ અને બ્રાઉન આંખો તેની ઓળખ બની ગયાં છે. 
એલ્વિનનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, પણ તે ચાર્મિંગ છે અને મ્યુઝિક તેનું પેશન છે. મ્યુઝિકમાં કે સિંગિંગમાં તે બાંધછોડ નથી કરતો.
શરૂઆતમાં માત્ર અમેરિકામાં જ જોવાતી આ સિરીઝને પછીથી દુનિયાભરના ચાહકો મળ્યા છે. એલ્વિનના સાથીદારોમાં સીમોન અને થિયોડોર મુખ્ય છે. આ સિવાય કાર્ટૂનમાં ગીત રાઇટર બનનારા ડેવિડ સેવિલનું પાત્ર પણ તેના આગવા અંદાજ માટે વખણાય છે. મ્યુઝિક માટે ધમાલ-મસ્તી કરતાં આ તમામ પાત્રો દરેક એપિસોડમાં દર્શકોને હસાવીને મનોરંજન પૂરું પાડે છે.
  (સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

બાળ હનુમાન મંદિરઃ જ્યાં હનુમાન ચાલીસાની રચના થઈ


તીર્થાટન - હર્ષ મેસવાણિયા

આપણા પાટનગર દિલ્હીના હૃદયસમા વિસ્તાર કનોટ પ્લેસમાં (જેને રાજીવ ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે) હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. દેશભરનાં હનુમાન મંદિરોમાં આ મંદિર થોડીક બાબતમાં અલગ છે. એટલે જ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. બાબા ખડકસિંહ માર્ગ પર સ્થિત આ પ્રાચીન બાળ હનુમાન મંદિર પાંડવોએ બંધાવ્યું હોવાનું મનાય છે. આ મંદિર દક્ષિણમુખી છે. એમ કહેવાય છે કે હનુમાનજીનું આટલું મોટું દક્ષિણમુખી મંદિર કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી.

પાંડવોએ મંદિર બધાવ્યું હતું.
પાંડવોએ તેમની રાજધાનીમાં પાંચ હનુમાન મંદિરો બંધાવ્યાં હતાં. તેમાંનું એક આ બાળહનુમાન મંદિર પણ હતું. એક કથા અનુસાર એક દિવસ ભીમ દ્રૌપદીને ખુશ કરવા માટે સ્વયં ફૂલ લેવા ગયો ત્યારે તેણે એક સ્વયંભૂ બહાર નીકળેલી બાળ હનુમાનજીની મુર્તિ જોઈ. પછી ભીમે વાયુપુત્ર હનુમાનજીની મુર્તિની પૂજા કરી અને સમયાંતરે આ મુર્તિ પર પાંડવોએ એક વિશાળ મંદિરનું નિર્માણ પણ કર્યું. જોકે, ભારતમાં વિદેશી આક્રમણખોરોએ જે મંદિરોને નુકસાન પહોંચાડયું તેનાથી આ મંદિર પણ બાકાત રહ્યું નહોતું. મજાની વાત એ છે કે સદીઓથી વિદેશી આક્રમણો સામે ઝીંક ઝીલવા છતાં હનુમાનજીની મુર્તિ ખંડિત નથી થઈ. મંદિરને ફરીથી બનાવવાનું શ્રેય મહારાજા માનસિંહ પ્રથમને મળે છે. તેમણે બાદશાહ અકબરના શાસનકાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી તેને ફરીથી વિસ્તાર કરવામાં અને સુધારાવધારા કરવામાં મહારાજા જયસિંહ દ્વિતીયનો અદ્વિતીય ફાળો હતો. જ્યારે જયસિંહ 'જંતરમંતર' બંધાવતા હતા તે દરમિયાન તેમણે આ મંદિરના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું.

સંત તુલસીદાસજીએ સ્તુતિરૂપે હનુમાન ચાલીસાની રચના કરી
'રામચરિત માનસ'ના રચયિતા સંત તુલસીદાસજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે આ મંદિરની ખ્યાતિ અને કથા સાંભળીને બાળ હનુમાનજીનાં દર્શન કરવા આવ્યા હતા. કહેવાય છે કે મંદિરનાં દર્શન કર્યાં પછી તેમણે આ બાળ હનુમાનજીની સ્તુતિરૂપે 'હનુમાન ચાલીસા'ની રચના કરી હતી. સંત તુલસીદાસજી દિલ્હી આવ્યા છે એ વાતના સમાચાર અકબર બાદશાહને મળ્યા એટલે તેમણે ગોસ્વામી તુલસીદાસજીને સન્માન સાથે રાજદરબારમાં આમંત્રિત કર્યા. તેમની સાથે સત્સંગથી ખુશ થઈને અકબરે તેમને કશીક ભેટ સ્વીકારવાની વિનંતી કરી. સંત તુલસીદાસજીએ ભેટ તો ન સ્વીકારી, પણ આગ્રહને વશ થઈને અકબરને કહ્યું કે, જો ખરેખર કશુંક આપવા માગતા હોય તો એવું કંઈક કરજો કે જેથી પ્રાચીન બાળહનુમાનજીના મંદિરનું રક્ષણ થાય. આ ઘટના પછી અકબરે મંદિરની ઉપર ઈસ્લામ ધર્મમાં પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું ચિહ્ન મુકાવ્યું કે જેથી અન્ય આક્રમણખોરો મંદિરને નુકસાન ન પહોંચાડે. એક કથા એવી પણ છે કે અકબરને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ માટે તેમની રાણીએ હનુમાનજીની બાધા રાખી હતી. હનુમાનજી તરફની શ્રદ્ધાના કારણે અકબરને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યાર પછી રાણીના કહેવાથી અકબરે ચંદ્રનું ચિહ્ન મૂકીને મંદિરને રક્ષણ આપ્યું હતું. કદાચ ભારતનું આ એકમાત્ર મંદિર હશે કે જેના પર ઓમ, કળશ કે ત્રિશૂલના સ્થાને ઈસ્લામ ધર્મનું પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું પ્રતીક મોજૂદ છે.

બાળ હનુમાન મંદિરની વિશેષતા
દિલ્હીના આ પ્રાચીન હનુમાન મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અવિરત મંત્રજાપના કારણે નોંધાયું છે. મંદિરના પરિસરમાં ૧ ઓગસ્ટ, ૧૯૬૪થી આજ સુધી એટલે કે છેલ્લાં ૪૯ વર્ષથી 'શ્રીરામ જય રામ જય જય રામ' ધૂનનો અવિરત જાપ કરવામાં આવે છે. કોઈ એક ધાર્મિક શ્લોકનો જાપ આટલાં વર્ષથી થાય છે તે પોતે જ એક વિક્રમ છે, જે ગિનીસ બુકમાં નોંધાયો છે.

શિલ્પકળાની દૃષ્ટિએ આ ભારતનું બેનમૂન મંદિર છે. તેનું વાસ્તુશિલ્પ વાલ્મીકિ રામાયણમાં વર્ણવાયેલી શિલ્પકળાને આધારે કંડારવામાં આવ્યું છે. મુખ્ય દરવાજાના સ્તંભો પર સંપૂર્ણ સુંદરકાંડની ચોપાઈઓ અંકિત કરવામાં આવી છે. મંદિરની અંદર હનુમાનજીના ઇષ્ટ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજીની પ્રતિમા રાખવામાં આવી છે. મંદિરની એક તરફ શનિદેવ છે તો બીજી તરફ પરિસરમાં જ ગણેશજી, લક્ષ્મીજી, દુર્ગા માતા અને મા સંતોષીની મુર્તિઓ પણ રાખવામાં આવી છે. આ મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને મોડી રાત સુધી ભક્તોની ભીડ રહે છે. એમાં પણ શનિવાર અને મંગળવારે મંદિરને ૨૪ કલાક ખુલ્લું રાખવામાં આવે છે.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Thursday 4 July 2013
Posted by Harsh Meswania
Tag :

પાસપોર્ટ : પ્રવાસી ડોક્યુમેન્ટથી લઈને સ્ટેટ્સ સિમ્બોલ સુધી


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પાસપોર્ટને લઈને થોડા થોડા સમયે કંઈ ને કંઈ બબાલ મચતી જ રહે છે. આંકડાઓ કહે છે કે હવે પાસપોર્ટ કઢાવવાની કતારો લાગે છે. વિદેશ જવું હોય કે ન જવું હોય પાસપોર્ટ કઢાવી રાખવો સારો એમ માનનારા લોકો વધતા જાય છે. પાસપોર્ટ સ્ટેટ્સ સિમ્બોલ પણ બનતો જાય છે. આજના યુવાનો આગોતરું આયોજન કરીને પાસપોર્ટ તો કઢાવી જ લે છે. ચાલો જાણીએ કે પાસપોર્ટ કઢાવવાની શરૂઆત ક્યારથી થઈ? પાસપોર્ટનાં ઈન્ટરનેશનલ ધારા-ધોરણો શું છે? અને ભારતમાં કેટલા પાસપોર્ટ ધારકો છે?

વિશ્વભરમાં મોસ્ટ વોન્ટેડ હોય એવો કોઈ મોટો ગુનેગાર પકડાય ત્યારે તેની પાસે જે ચીજવસ્તુઓની તપાસ થાય એમાં પાસપોર્ટને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. તેની પાસે કેટલા અને કયા દેશના પાસપોર્ટ છે તેના પરથી જે તે ગુનેગારના ગુનાઓનું પગેરું શોધવાની કોશિશ થતી હોય છે. પાસપોર્ટ વ્યક્તિનું નાગરિકત્વ સાબિત કરવાનું કામ કરે છે. પાસપોર્ટની જરૂરિયાત પણ એટલા માટે જ છે કે જ્યારે વિદેશનો પ્રવાસ ખેડવાનો હોય ત્યારે પાસપોર્ટ જે તે દેશના નાગરિક તરીકેની ઓળખ આપી દે છે. પાસપોર્ટ કઢાવવાનું કામ હવે પ્રમાણમાં સરળ થયું છે, પણ આજેય એમાં રહેલી વિગતોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે અને તેમાં કશીક ભૂલ જણાય તો એટલી જ ગંભીરતાથી પગલાં પણ ભરવામાં આવતાં હોય છે. આપણે પાસપોર્ટ વિશે કંઈ કેટલું વાંચતાં-સાંભળતાં હોઈએ છીએ, પણ પાસપોર્ટ વિશેની અમુક બાબતોથી કદાચ એટલા જ અજાણ હોઈએ છીએ.

ઈ.સ. પૂર્વે ૪૫૦ આસપાસ પહેલો પાસપોર્ટ ઈશ્યૂ થયો હતો!
જાણીને નવાઈ લાગે તેવી આ વાત ખરેખર સાચી છે. વિશ્વનો પ્રથમ પાસપોર્ટ કહેવાય એવો દસ્તાવેજ ઈ.સ. પૂર્વે ૪૫૦માં ર્પિસયાના રાજા અર્ટાક્ષરસેસ પ્રથમે તેમના પ્રવાસી નેહેમિયાહને જુડાહ (આજના ઈઝરાયેલનો પૌરાણિક પ્રદેશ) જવા માટે આપ્યો હતો. સાથે રાજાએ પોતાના પ્રવાસીની સુરક્ષા માટે વિનંતીના સૂરમાં લખ્યું હતું કે 'પ્રવાસીને માર્ગમાં અને પ્રવાસના વસવાટ દરમિયાન અડચણ ન આવે તેવી વ્યવસ્થા કરવા વિનંતી.' આ વિશ્વની પ્રથમ ઘટના હતી જ્યારે રાજાએ પોતાના નાગરિકના પ્રવાસની ચિંતા કરીને રાજ્ય વતી તેને દસ્તાવેજ આપ્યા હતા. આપણે ત્યાં પ્રાચીન કથાઓમાં ભ્રમણ કરતા રહેતા પ્રવાસીઓને આવા કોઈ દસ્તાવેજો મળ્યા હોવાનું નોંધાયું નથી. હા, દૂત તરીકે બીજા રાજ્યમાં જઈને સંદેશો મોકલાતો હતો, પણ એની સાથે આવા દસ્તાવેજો આપવામાં આવતા ન હતા એ રીતે જોઈએ તો સૌપ્રથમ પાસપોર્ટ ઈશ્યૂ કરવાનું શ્રેય ર્પિસયાને આપવું રહ્યું!

પાસપોર્ટને કાયદાનું સ્વરૂપ ક્યારથી મળ્યું?
પાસપોર્ટને કાયદાકીય સ્વરૂપ આપવાનું શ્રેય બ્રિટનને જાય છે. બ્રિટનના રાજા હેનરી પાંચમાને આજના મોડર્ન પાસપોર્ટના જનક તરીકેનું સન્માન પણ આપી શકાય. તેમણે ૧૪૧૪માં પોતાના દેશના નાગરિકોને અન્ય દેશમાં જવાના પરવાનારૂપે સંમતિપત્રક આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પરંતુ 'સુરક્ષિત અવરજવર' એવા નામ હેઠળ તેના રાજદરબારમાં તેનું વ્યવસ્થિત ફોર્મેટ પણ તૈયાર કરાયું. તેમાં બીજા રાષ્ટ્રને પોતાના નાગરિકને કોઈ મુશ્કેલી ન આવે તે માટેની રિક્વેસ્ટ કરવામાં આવતી હતી. બ્રિટન જ આ બાબતે પ્રથમ છે એનું કારણ એ હોઈ શકે કે ત્યારે બ્રિટનની અને યુરોપિયન પ્રજા જ દુનિયાભરના પ્રવાસ કરવાનું સાહસ ખેડતી હતી. દૂરના દેશમાં જઈને કશીક અણધારી મુસીબત આવી પડે તો પુરાવા તરીકે રાજાનું આ પ્રમાણપત્ર રજૂ કરીને મુશ્કેલીમાંથી ઉગરી શકાય એવા હેતુથી આવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ફ્રાન્સના રાજા લુઈસ ચૌદમાના શાસન દરમિયાન ૧૭મી સદીમાં યુરોપ આખામાં પાસપોર્ટની વ્યવસ્થા વધુ સ્વીકાર્ય બની હતી. તેમણે પોતાના દેશમાંથી બહાર જતા પ્રવાસીઓને દેશના દસ્તાવેજો સાથે રાખવાનો આગ્રહ કર્યો. બીજી તરફ અન્ય દેશમાંથી ફ્રાન્સમાં આવતા પ્રવાસીઓ પાસે પણ પાસપોર્ટ હોવો જોઈએ એવો આગ્રહ રાખ્યો. પરિણામે યુરોપિય દેશોએ એક-મેકના દેશમાં આવતા નાગરિકો માટે આ વ્યવસ્થા સ્વીકારી લીધી. એ જ સમયગાળામાં પાસપોર્ટ પર લખવામાં આવતા વિનંતીભર્યા સંદેશાઓ ખાસ નોંધપાત્ર બન્યા હતા. પોતાના નાગરિકોને અન્ય દેશમાં વ્યવસ્થિત સહકાર મળે તે માટે એક રાજા બીજા રાજાને એકદમ વિનમ્ર અરજ કરતા હતા.

નામ પાછળનો તર્ક
૧૬મી સદી સુધી આ દસ્તાવેજને કશું નામ આપવામાં આવ્યું નહોતું. ૧૫૪૦માં આવા દસ્તાવેજ માટે 'પાસપોર્ટ' એવો શબ્દપ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ નામ આપવા પાછળનો તર્ક પણ મજાનો હતો. તે વખતે અવરજવર દરિયાઈ માર્ગે જ થતી હતી. કોઈ દેશની દરિયાઈ સરહદને ઓળંગવા માટે ધીરે ધીરે આવા દસ્તાવેજ બતાવવાનું ચલણ વધી ગયું હતું. જે તે દેશના જરૂરી દસ્તાવેજો બતાવીને જ આગળ વધી શકાતું હતું. એટલે કે પોર્ટ પરથી પાસ થવા માટેના આ દસ્તાવેજને લોકો પાસપોર્ટ તરીકે ઓળખવા લાગ્યા. આ નામ પછીથી તમામ દેશોએ સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. આજે તો હવે પોર્ટ ઓળંગવાનો સવાલ નથી રહ્યો છતાં નામ તો પાસપોર્ટ જ રહી ગયું છે.

પાસપોર્ટને વૈશ્વિક સ્વીકૃતિ ૨૦મી સદીની શરૂઆતમાં મળી
૨૦મી સદીની શરૂઆત સુધી પાસપોર્ટની જરૂરિયાત સામાન્ય રીતે માલ-સામાનની હેરફેર કરતાં જહાજો વગેરેને વધુ પડતી હતી. સામાન્ય પ્રવાસીને પાસપોર્ટની ખાસ કશી જરૂર પડતી ન હતી. વળી, એ સમયે આજના જેટલા વિદેશી પ્રવાસીઓ પણ ન હતા, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પછી અચાનક જ પાસપોર્ટ ખૂબ જરૂરી દસ્તાવેજ બની ગયો. પ્રવાસી કયા દેશનો નાગરિક છે તે જાણવા માટે અને તે અનુસાર જ તેને પ્રવેશવા દેવો કે કેમ તે નક્કી થવા લાગ્યું એટલે પાસપોર્ટ વધુ ઈમ્પોર્ટન્ટ બની ગયો. ઈ.સ. ૧૯૧૫માં બ્રિટને પ્રથમ વાર એક નાગરિક માટે બે વર્ષની સમયમર્યાદાનો મોડર્ન દેખાવનો એક પેજનો પાસપોર્ટ ઈશ્યૂ કર્યો. ૧૯૨૦માં 'ધ લીગ ઓફ નેશન્સ ઈન્ટરનેશનલ કોન્ફરન્સે' બ્રિટિશ સ્ટાઇલનો પાસપોર્ટ કાઢવાનો તમામ દેશોને અનુરોધ કર્યો ત્યાર પછીનાં થોડાં જ વર્ષોમાં મોટા ભાગના દેશોએ બુક સ્ટાઇલનો પાસપોર્ટ માન્ય રાખી લીધો. હવે તો તમામ દેશોના પાસપોર્ટની સાઇઝ એક જ રાખવામાં આવી છે. પ્રથમ પેજ પરથી કે કલર પરથી ખબર પડે કે આ કયા દેશનો પાસપોર્ટ છે. બાકી સાઇઝ તો સર્વસ્વીકૃત રીતે ૪.૯૨૧ × ૩.૪૬૫ ઈંચ નક્કી કરવામાં આવી છે.

 નવી જનરેશન પાસપોર્ટને થોડું અલગ રીતે લે છે. ભલે બીજા દેશમાં પ્રવાસ ખેડવાનું નજીકના ભવિષ્યમાં કોઈ જ આયોજન ન હોય, પણ થોડો ખર્ચ કરીને પાસપોર્ટ કઢાવવાનું આજે સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. ઓળખી ન શકાય એવા અને વોન્ટેડ જેવા લાગતા ફોટોગ્રાફ્સવાળું આઈ.ડી. વોટરકાર્ડને પ્રૂફ તરીકે આપવા કરતાં આજે પાસપોર્ટને આઈ.ડી. પ્રૂફ બનાવવાનું વધુ ચલણી બનતું જાય છે.

ભારતમાં પાસપોર્ટ ધારકોની સંખ્યા
ભારત સરકારે ૨૦૧૨ના અંતે સત્તાવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશના ૫ કરોડ નાગરિકો પાસે પાસપોર્ટ છે. વિદેશ મંત્રાલયની ધારણા પ્રમાણે આગામી ૧૦ વર્ષમાં આ આંકડો બમણો થઈ જશે. ૪૦ વર્ષ પહેલાં દેશના ૪૦ હજાર નાગરિકો પાસપોર્ટ ધરાવતા હતા. છેલ્લાં વર્ષોમાં પાસપોર્ટ કઢાવનારાની સંખ્યા ખૂબ વધી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૧૧ દરમિયાન ભારતની ૩૭ જેટલી પાસપોર્ટ કચેરીઓમાંથી ૫૮ લાખ ૬૯ હજાર જેટલા પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. એ જ વર્ષમાં પાસપોર્ટ માટે ૧૦ લાખ અરજી પોસ્ટ દ્વારા મળી હતી. બધા મળીને એ વર્ષે ૭૩ લાખ પાસપોર્ટને માન્યતા આપવામાં આવી હતી. ૨૦૧૧ના એક જ વર્ષમાં નવા પાસપોર્ટ માટે ૬૦ લાખ અરજી આવી હતી એ પરથી જ કલ્પના કરી શકાય કે ભારતીયો પાસપોર્ટ કઢાવવાની બાબતને હવે કેટલું પ્રાધાન્ય આપતા થયા છે!
Wednesday 3 July 2013
Posted by Harsh Meswania

E-paper : Passport Article


Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -