Posted by : Harsh Meswania Thursday 4 July 2013


તીર્થાટન - હર્ષ મેસવાણિયા

આપણા પાટનગર દિલ્હીના હૃદયસમા વિસ્તાર કનોટ પ્લેસમાં (જેને રાજીવ ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે) હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. દેશભરનાં હનુમાન મંદિરોમાં આ મંદિર થોડીક બાબતમાં અલગ છે. એટલે જ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. બાબા ખડકસિંહ માર્ગ પર સ્થિત આ પ્રાચીન બાળ હનુમાન મંદિર પાંડવોએ બંધાવ્યું હોવાનું મનાય છે. આ મંદિર દક્ષિણમુખી છે. એમ કહેવાય છે કે હનુમાનજીનું આટલું મોટું દક્ષિણમુખી મંદિર કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી.

પાંડવોએ મંદિર બધાવ્યું હતું.
પાંડવોએ તેમની રાજધાનીમાં પાંચ હનુમાન મંદિરો બંધાવ્યાં હતાં. તેમાંનું એક આ બાળહનુમાન મંદિર પણ હતું. એક કથા અનુસાર એક દિવસ ભીમ દ્રૌપદીને ખુશ કરવા માટે સ્વયં ફૂલ લેવા ગયો ત્યારે તેણે એક સ્વયંભૂ બહાર નીકળેલી બાળ હનુમાનજીની મુર્તિ જોઈ. પછી ભીમે વાયુપુત્ર હનુમાનજીની મુર્તિની પૂજા કરી અને સમયાંતરે આ મુર્તિ પર પાંડવોએ એક વિશાળ મંદિરનું નિર્માણ પણ કર્યું. જોકે, ભારતમાં વિદેશી આક્રમણખોરોએ જે મંદિરોને નુકસાન પહોંચાડયું તેનાથી આ મંદિર પણ બાકાત રહ્યું નહોતું. મજાની વાત એ છે કે સદીઓથી વિદેશી આક્રમણો સામે ઝીંક ઝીલવા છતાં હનુમાનજીની મુર્તિ ખંડિત નથી થઈ. મંદિરને ફરીથી બનાવવાનું શ્રેય મહારાજા માનસિંહ પ્રથમને મળે છે. તેમણે બાદશાહ અકબરના શાસનકાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી તેને ફરીથી વિસ્તાર કરવામાં અને સુધારાવધારા કરવામાં મહારાજા જયસિંહ દ્વિતીયનો અદ્વિતીય ફાળો હતો. જ્યારે જયસિંહ 'જંતરમંતર' બંધાવતા હતા તે દરમિયાન તેમણે આ મંદિરના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું.

સંત તુલસીદાસજીએ સ્તુતિરૂપે હનુમાન ચાલીસાની રચના કરી
'રામચરિત માનસ'ના રચયિતા સંત તુલસીદાસજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે આ મંદિરની ખ્યાતિ અને કથા સાંભળીને બાળ હનુમાનજીનાં દર્શન કરવા આવ્યા હતા. કહેવાય છે કે મંદિરનાં દર્શન કર્યાં પછી તેમણે આ બાળ હનુમાનજીની સ્તુતિરૂપે 'હનુમાન ચાલીસા'ની રચના કરી હતી. સંત તુલસીદાસજી દિલ્હી આવ્યા છે એ વાતના સમાચાર અકબર બાદશાહને મળ્યા એટલે તેમણે ગોસ્વામી તુલસીદાસજીને સન્માન સાથે રાજદરબારમાં આમંત્રિત કર્યા. તેમની સાથે સત્સંગથી ખુશ થઈને અકબરે તેમને કશીક ભેટ સ્વીકારવાની વિનંતી કરી. સંત તુલસીદાસજીએ ભેટ તો ન સ્વીકારી, પણ આગ્રહને વશ થઈને અકબરને કહ્યું કે, જો ખરેખર કશુંક આપવા માગતા હોય તો એવું કંઈક કરજો કે જેથી પ્રાચીન બાળહનુમાનજીના મંદિરનું રક્ષણ થાય. આ ઘટના પછી અકબરે મંદિરની ઉપર ઈસ્લામ ધર્મમાં પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું ચિહ્ન મુકાવ્યું કે જેથી અન્ય આક્રમણખોરો મંદિરને નુકસાન ન પહોંચાડે. એક કથા એવી પણ છે કે અકબરને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ માટે તેમની રાણીએ હનુમાનજીની બાધા રાખી હતી. હનુમાનજી તરફની શ્રદ્ધાના કારણે અકબરને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યાર પછી રાણીના કહેવાથી અકબરે ચંદ્રનું ચિહ્ન મૂકીને મંદિરને રક્ષણ આપ્યું હતું. કદાચ ભારતનું આ એકમાત્ર મંદિર હશે કે જેના પર ઓમ, કળશ કે ત્રિશૂલના સ્થાને ઈસ્લામ ધર્મનું પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું પ્રતીક મોજૂદ છે.

બાળ હનુમાન મંદિરની વિશેષતા
દિલ્હીના આ પ્રાચીન હનુમાન મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અવિરત મંત્રજાપના કારણે નોંધાયું છે. મંદિરના પરિસરમાં ૧ ઓગસ્ટ, ૧૯૬૪થી આજ સુધી એટલે કે છેલ્લાં ૪૯ વર્ષથી 'શ્રીરામ જય રામ જય જય રામ' ધૂનનો અવિરત જાપ કરવામાં આવે છે. કોઈ એક ધાર્મિક શ્લોકનો જાપ આટલાં વર્ષથી થાય છે તે પોતે જ એક વિક્રમ છે, જે ગિનીસ બુકમાં નોંધાયો છે.

શિલ્પકળાની દૃષ્ટિએ આ ભારતનું બેનમૂન મંદિર છે. તેનું વાસ્તુશિલ્પ વાલ્મીકિ રામાયણમાં વર્ણવાયેલી શિલ્પકળાને આધારે કંડારવામાં આવ્યું છે. મુખ્ય દરવાજાના સ્તંભો પર સંપૂર્ણ સુંદરકાંડની ચોપાઈઓ અંકિત કરવામાં આવી છે. મંદિરની અંદર હનુમાનજીના ઇષ્ટ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજીની પ્રતિમા રાખવામાં આવી છે. મંદિરની એક તરફ શનિદેવ છે તો બીજી તરફ પરિસરમાં જ ગણેશજી, લક્ષ્મીજી, દુર્ગા માતા અને મા સંતોષીની મુર્તિઓ પણ રાખવામાં આવી છે. આ મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને મોડી રાત સુધી ભક્તોની ભીડ રહે છે. એમાં પણ શનિવાર અને મંગળવારે મંદિરને ૨૪ કલાક ખુલ્લું રાખવામાં આવે છે.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -