Archive for November 2013

...અને એ રીતે નિવૃત્તિનો સમયગાળો નક્કી થયો!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી અમલદારો અને ખાનગી કંપનીના કામદારો માટે નિવૃત્તિનો સમય અને પેન્શનની ટકાવારી અમલી બનાવાઈ હતી.
 
રામાયણમાં એક પ્રસંગ છે. અયોધ્યાના રાજા દશરથ એક દિવસ દર્પણમાં જોઈ રહ્યાં હતા ત્યારે તેમને કાનના ઉપરના ભાગે શ્વેત થયેલા થોડા વાળ દેખાયા. સફેદ કેશ જોઈને તેમણે એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હવે અવધની રાજગાદી યુવાન થયેલા રાજકુમાર રામચંદ્રને સોંપી દેવી જોઈએ. નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા હોવાથી રાજગાદી પુત્રને સોંપી દેવાની પોતાની ઈચ્છા તેમણે ગુરુદેવ વશિષ્ઠને જણાવી. રાજ્યમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી અને નવા રાજા તરીકે રામનો રાજ્યાભિષેક કરવાની પણ તૈયારી કરી.

આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ તો આપણી પ્રાચીન વ્યવસ્થા હતી જે કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારની નિવૃત્તિનો સમયગાળો આપણા આ વાનપ્રસ્થાશ્રમની આસપાસનો જ છે. આપણે ત્યાં જ નહીં, પણ મહદ્દઅંશે સમગ્ર વિશ્વમાં રિટાયર્ડમેન્ટ માટેની પોલિસી ૫૦થી ૭૦ વર્ષ આસપાસ રાખવામાં આવી છે.
                                                                          * * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
શરીરમાં દમ હોય ત્યાં સુધી માણસ ખેતી કે ખેતમજૂરી કરતો રહેતો, પણ સૈન્યમાં કે રાજાઓની વહીવટી કચેરીઓમાં કામ કરતા લોકો પણ સામાન્ય રીતે શરીર કાર્યક્ષમ રહે ત્યાં સુધી કામમાં જોતરાયેલા રહેતા હતા.
બ્રિટને વર્ષો સુધી અલગ અલગ દેશમાં શાસન કર્યું હોવા છતાં તેના અધિકારીઓ કે કર્મચારીઓ માટે એક પણ પ્રકારની નિવૃત્તિ યોજના ઘડી ન હતી. નિવૃત્તિનો સમયગાળો અને નિવૃત્ત કર્મચારીને વળતર આપવા માટેનું યોગ્ય બંધારણ ઘડવાનો યશ જર્મનીને આપવો રહ્યો. આજે આખી દુનિયાની રિટાયર્ડમેન્ટ પોલિસી જર્મનીએ નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અનુસરે છે.
 
સંયુક્ત જર્મનીના પહેલા ચાન્સલર (જર્મનીમાં ચાન્સલર પાસે વડાપ્રધાન જેવી સત્તા હોય છે) ઓટો વૉન બિસ્માર્ક જર્મનીના એકીકરણ માટે જગતભરમાં વિખ્યાત છે. તેઓ તેમની આ સિદ્ધિ માટે જ વધુ જાણીતા છે, પરંતુ તેમના નામે અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ કામ નોંધાયેલું છે. તેઓ આધૂનિક રિટાયર્ડમેન્ટ પોલિસીના જનક કહેવાય છે. આખી જીંદગી નોકરીના નામે કરી દેનારા કર્મચારીઓના અંતિમ દિવસો સુખરૂપ પસાર થાય એવા મુખ્ય ઉદેશ્યથી બિસ્માર્કે નિવૃત્તિ નીતિનું ગઠન કર્યું હતું.
બિસ્માર્કને આ નિવૃત્તિ નીતિને અમલી બનાવવાનો વિચાર પોતાના ૬૫ વર્ષે આવ્યો હતો. બિસ્માર્કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને દેશના વયસ્ક લોકોને નિવૃત્તિ પેન્શન મળે એ માટેની વ્યવસ્થા કરી રાખી હતી. જર્મન લેખક ફેલિક્સ એકરમેને તેમના પુસ્તક 'અર્લી ન્યુ જર્મની'માં ઉલ્લેખ કર્યો છે તે મુજબ જર્મનીના રાજાએ અને સરકારે બિસ્માર્કની આ નીતિનો સ્વીકાર એટલા માટે પણ કરી લીધો હતો કે તે સમયે જર્મનીના કામદારોનું સરેરાશ આયુષ્ય જ માંડ ૬૦ વર્ષ હતું. એટલે બિસ્માર્કે નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અમલી બનાવાય તો પણ એવા કામદારો તો ગણ્યા ગાંઠયા મળે જેની ઉંમર ૬૫ વર્ષ ઉપરની હોય!
આમ છેક ૧૮૮૩થી નિવૃત્તિ નીતિને અમલી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ૧૮૮૯માં અમલી બનાવાઈ હતી. જોકે, જર્મનીએ શરૃઆતમાં થોડા વર્ષો સુધી નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શન માટેની ઉંમર ૭૦ વર્ષ રાખી હતી. પછીથી તેને ઘટાડીને ૬૫ કરી દેવામાં આવી હતી. ૧૯મી સદીમાં કામદારો-અમલદારો માટે લેવાયેલો આ સૌથી મોટો નિર્ણય હતો. જેની અસર દૂરગામી પડવાની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં નિવૃત્તિ નીતિ અમલી બનાવવામાં જર્મનીની આ પહેલ ખૂબ જ ઉપકારક નિવડવાની હતી.
 
જર્મનીએ કાયદાકીય દરજ્જો આપીને રિટાયર્ડમેન્ટ પોલિસીનું યોગ્ય ગઠન કર્યું એ પહેલા જોકે એક માણસ હતો જેણે કામદારોને નિવૃત્ત કરવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડના સુધારાવાદી કોટન મેથેરે ૧૮મી સદીના પ્રારંભે કામદારોએ ઉંમરના અમુક પડાવે રિટાયર્ડ થવું જોઈએ એવી ચળવળ ચલાવી હતી. એ પાછળ એમના બે તર્ક હતા. એક, જો જૂના કામદારો-અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની જગ્યાએ નવા ભણેલા-ગણેલા યુવાનોને તક મળે. બીજુ, અમુક ઉંમર પછી ભારેખમ અને ચિવટવાળુ કામ કરવામાં શરીરને ભારે શ્રમ પડે છે એટલે તેની કામ અને શરીર એમ બંને પર વિપરિત અસર થાય છે એટલે નિવૃત્ત થવાનો વિચાર બંને પક્ષે ફાયદાકારક નીવડશે.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
 
એક અમેરિકા આ બાબતે જર્મનીની લગોલગ ચાલતું હતું. ૧૮૫૦માં સ્થપાયેલી અમેરિકાની ધ અમેરિકન એક્સપ્રેસ કંપનીએ ૧૮૭૫માં કંપનીના કામદારો માટે નિવૃત્તિ પોલિસી ઘડી હતી. આ ખાનગી પોલિસી હતી એેટલે તેને સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં નથી આવતી, પરંતુ તેમાં એવી જોગવાઈ હતી કે કોઈ કર્મચારી મોટી ઉંમરે કામ કરવા સક્ષમ ન હોય તો તેને કંપની પેન્શન આપશે. આ પોલિસીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવામાં નહોતી આવી, પણ કંપનીના અધિકારીઓને એમ લાગે કે કર્મચારી કામ કરવા સક્ષમ નથી તો તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતો હતો.
એ પછી અમેરિકામાં ૧૯મી સદીના અંત સુધીમાં એટલે કે માત્ર ૨૫ જ વર્ષમાં બીજી ૧૩ ખાનગી કંપનીઓએ કર્મચારીઓ માટે નિવૃત્તિ પોલિસીને અમલી બનાવી હતી. અમેરિકન સરકારે તો એ પછી છેક ૧૯૩૫માં કાનૂન બનાવીને નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શનની ટકાવારી નક્કી કરી હતી. એ પાછળ અમેરિકાની વિવિધ ફેક્ટરીઓના માલિકો જવાબદાર હતા.
અમેરિકામાં તે સમયે ફેક્ટરીઓના માલિકો કર્મચારીઓને આ હકો આપવા કોઈ કાળે તૈયાર ન હતા અને એ કારણે મજબૂત ચળવળ છતાં કાયદાનું ગઠન મોડુ થયું. અમેરિકામાં આ પોલિસી આવે તે માટે ફિઝિશન અને મોર્ડન મેડિસિનના ફાધર ગણાતા વિલિયમ ઓસ્લરનું પ્રદાન અનેરું હતું. તેમણે કામદારોની તરફેણમાં નિવૃત્તિ પોલિસી આવે એ માટે મજબૂત લોબિંગ કર્યું હતું. તેમણે અમુક ઉંમરે શરીર કાર્યક્ષમ રહેતું નથી એવી થીઅરી રજૂ કરીને અમેરિકાના નેતાઓને આ વાત ગળે ઉતારી હતી.
                                                                          * * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે. 
ઉંમરનો પાછલો પડાવ ગર્વભેર વીતાવવા માટે નિવૃત્તિ અને વળતર લાકડીનું કામ કરે છે. નિવૃત્તિ સચિન તેંડુલકરની હોય કે પછી ૬૫ વર્ષે પહોંચેલા કોઈ સામાન્ય કર્મચારીની, બધા માટે તેનું ખાસ મહત્ત્વ હોય છે. ઢળતી ઉંમરે બિસ્માર્કે ચાતરેલા ચીલા પર આજે કેટલાય વયસ્કોને વિસામો મળી રહ્યો છે.
Sunday 24 November 2013
Posted by Harsh Meswania
Tag :

સબ કુછ બિકતા હૈ, બસ દામ સહી હોના ચાહિએ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં થવાની છે. થોડા મહિનાઓ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની કવિતાની નિલામી થઈ હતી. દુનિયામાં એન્ટિક અને હિસ્ટોરિકલ ચીજ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા લોકો ઊંચી બોલી લગાવીને જે તે વસ્તુનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલીક એવી હરાજીઓની વાત કરીએ જેની બોલી સૌથી ઊંચી બોલાઈ હોય અને પછી એક રેકોર્ડ કાયમ થયો હોય...

રોમનકાળની મૂર્તિનો ૨૧મી સદીમાં પણ ચળકાટ
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.

૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.

એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.

મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.

એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.

બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.

કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.

પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.
Sunday 17 November 2013
Posted by Harsh Meswania
Tag :

એક ખોટા સ્પેલિંગની કિંમત કેટલી? ૪૦૦ કરોડ!

 
 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રોજ-બરોજની જરૂરીયાતના લખાણમાં સાવચેતી રાખવા છતાં કેટલીક ભૂલો થતી રહેતી હોય છે. નાના પાયે થતી ભૂલો એક હદથી વધારે નુકસાન નથી પહોંચાડતી, પણ મોટા પાયે થતી એકાદ ટચૂકડી સ્પેલિંગ એરર પણ કરોડો રૂપિયાના ખાડામાં ઉતારવા સક્ષમ હોય છે. અહીં આવી સ્પેલિંગ એરરની ઝલક મેળવી લઈએ....

 ૧૯૬૨માં નાસાના મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મરિનર-૧ને લોન્ચ કરવાની તૈયારી થઈ રહી હતી. બધી તૈયારીને આખરી ઓપ આપીને લોન્ચિંગ માટે ૨૨, જૂલાઈનો દિવસ પસંદ કરવામાં આવ્યો. અમેરિકાનું આ પહેલું આંતરગ્રહીય મિશન હતું એટલે તેના માટે ઉત્સુકતા પણ ખૂબ હતી. ઉત્સાહના અતિરેકમાં હોય કે પછી અન્ય કોઈ પણ કારણે આરોહણ વખતે કમ્પ્યુટરના ફોરટ્રન લેન્ગવેજના કોડમાં હાયફન (-) જેને ગુજરાતીમાં આપણે સંયોગચિન્હ કહીએ છીએ તે મૂકવાનું રહી ગયું હતું. એના કારણે થયું એવું કે મરિનર-૧ની આખી દિશા બદલાઈ ગઈ.
એક સંયોગચિન્હના કારણે અમેરિકાના મહાત્વાકાક્ષી અવકાશયાન પોતાના નક્કી કરેલા મુકામે જવાને બદલે નવા સરનામે જવા લાગ્યું. છેવટે થોડી મિનિટ્સ પછી આ પ્રોજેક્ટને અસફળ જાહેર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં એક હાયફનના કારણે નાસાને ૪૦૦ કરોડનો ચૂનો લાગી ગયો હતો.
આ કંઈ પહેલી સ્પેલિંગ મિસ્ટેક ન હતી. દુનિયાભરમાં આવી તો કંઈ કેટલીય સ્પેલિંગ મિસ્ટેક્સ ભૂતકાળમાં પણ થઈ છે. આ વાત માંડવાનું કારણ એ છે કે હમણાં થોડા દિવસો પહેલા વેટિકન સિટીએ આવી જ એક મોટી સ્પેલિંગ મિસ્ટેક કરી હતી.

વેટિકન સિટીએ મેડલ્સમાં જિસસનું નામ લિસસ કરી નાખ્યું!
પોપ ફ્રાન્સિસ વેટિકન સિટીમાં સર્વોચ્ચ પોપ બન્યા એની એક વર્ષની ઉજવણીના ભાગરૂપે વેટિકન સિટીએ રૂપકડાં મેડલ બનાવવાનું નક્કી કર્યું. મેડલ બનીને આવી પણ ગયા અને તેની વહેંચણી પણ શરૂ થઈ ગઈ. માત્ર ૪ મેડલ વધ્યા ત્યારે કોઈના ધ્યાનમાં આવ્યું કે મેડલમાં જિસસના સ્પેલિંગમાં Jને બદલે L છપાયો હોવાથી ઉચ્ચાર લિસસ થઈ ગયો છે ત્યારે તમામ મેડલ પાછા મેળવવા દોડધામ મચી ગઈ.

આ મેડલ ઈટાલિયન ટંકશાળામાં બનાવાયા હતા. વેટિકન સિટીએ ભૂલ ભરેલા મેડલ્સ પરત મેળવવાની જાહેરાત પણ કરી દીધી છે. મેડલમાં આવેલી સ્પેલિંગ એરરથી વેટિકન સિટીની તિજોરીને કેટલું નુકસાન થશે એની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ ૨૦૦ ગોલ્ડ કોઈન્સ, ૩,૦૦૦ સિલ્વર કોઈન્સ અને એટલા જ બીજા બ્રોન્ઝ કોઇન્સના નિર્માણમાં વેટિકન સિટીએ લાખો ડોલર્સનો ખર્ચ કર્યો હોય એ સ્વાભાવિક છે અને એટલે તિજોરી પર મોટો ભાર પણ આવશે જ એ નક્કી છે.

શેક્સપિયરની હેમલેટના ખૂબ લોકપ્રિય વાક્યમાં ભૂલ છપાઈ હતી
અંગ્રેજી સાહિત્યના મહાન લેખક શેક્સપિયરની બહુ જાણીતી કૃત્તિ હેમલેટનું 'to be or not to be' વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય વાક્ય કહેવાય છે, પણ ધારો કે કોઈ એમ કહે કે થોડા સમય પહેલા પ્રિન્ટ થયેલી હેમલેટની નવી આવૃત્તિમાં ત્રણ ત્રણ પ્રુફરિડર્સ હોવા છતાં આ વાક્ય ભૂલથી કંઈક આ રીતે 'to be or to be' છપાયું છે અને એટલે તેની નકલોને પાછી ખેંચવી પડે તો કેટલું આશ્ચર્ય થાય? કદાચ આ વાત કોઈ માનવા તૈયાર ન પણ થાય. જોકે, ખરેખર ૨૦૦૫માં આવું બન્યું હતું.

ડિગ્રીમાં અમેરિકન યુનિવર્સિટીએ પોતાના નામમાં જ ભૂલ કરી!
અમેરિકન યુનિવર્સિટી વિસ્કોન્સિને ૧૯૮૮માં વિદ્યાર્થીઓને માર્ક શીટ આપી ત્યારે Wisconsinને બદલે Wisconson છાપ્યું હતું. વળી આ વાતની છ માસ સુધી તો કોઈને ખબર પણ ન પડી. એક વિદ્યાર્થીના ધ્યાનમાં છેક ૬ માસ પછી આવ્યું કે પોતાની ડિગ્રીમાં યુનિવર્સિટીના નામમાં જ મિસ્ટેક છે એટલે તેણે યુનિવર્સિટીને જાણ કરી. પોતાની ગંભીર ભૂલ સમજાતા યુનિવર્સિટીએ તુરંત જ બધી માર્કશીટ પાછી મેળવીને ભૂલ સુધારી લીધી હતી.

ચિલીએ કરન્સીમાં દેશના નામમાં જ ગોટાળા છાપ્યો
દક્ષિણ અમેરિકી દેશ ચિલીએ પણ પોતાના દેશની કરન્સીમાં આવી જ એક મોટી ભૂલ ૨૦૦૮માં કરી હતી. આ ભૂલના કારણે ચિલીની તિજોરીને તો નુકસાન ખમવું જ પડયું હતું, સાથોસાથ કેટલા બધા કામદારોએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી. ચિલીની કરન્સી મુજબ ૫૦ પેસોના કોઇન્સ ૨૦૦૮ના વર્ષમાં બનાવવામાં આવ્યા હતા.

૧૫ લાખ કોઇન્સ બજારમાં મૂકી દીધા પછી ધ્યાનમાં આવ્યું કે તેમાં 'Chileને બદલે 'Chiie' છપાયું છે. એટલે કે Lની જગ્યાએ ભૂલથી I છાપી નાખવામાં આવ્યું હતું અને એના કારણે ચિલીનો ઉચ્ચાર ચીઈ જેવો કંઈક વિચિત્ર થઈ જતો હતો.
પોતાની કરન્સીમાં આવી ગંભીર ભૂલ કરનારા ચિલીની બેદરકારીની વિશ્વભરના અર્થશાસ્ત્રીઓએ ટીકા કરી હતી. દેશની કરન્સીમાં મોટી ભૂલ થયાની દુનિયામાં કદાચ આ સૌથી જાણીતી અને ગંભીર ભૂલ હતી.

અમેરિકાની ચૂંટણી વખતે જ બરાક ઓબામાના નામમાં છબરડો
૨૦૧૨માં અમેરિકામાં થયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ સ્પેલિંગની આવી જ એક મોટી ભૂલ સામે આવી હતી. ન્યુયોર્કના ઓનિડા વિસ્તારના મતદાતાઓ માટે તૈયાર કરાયેલા ૧,૩૦,૦૦૦ મતપત્રોમાં પ્રમુખપદના ઉમેદવાર બરાક ઓબામાના નામમાં C ન હતો. એટલે કે Barack Obamaની જગ્યાએ Barak Obama એવું લખવામાં આવ્યું હતું.
ચૂંટણીના બે દિવસ અગાઉ આ છબરડો ધ્યાનમાં આવ્યો હતો. જોકે, મતદાતાઓ સુધી આ પેપર્સ પહોંચ્યા ન હતા, પણ પછી તત્કાલ આ તમામ પેપર્સ નવા નામ સાથે છાપવામાં આવ્યા હતા. જવાબદાર લોકોને તરત જ ખૂલાસો પૂછવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ સ્પેલિંગ એરરમાં અમેરિકાને ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અમેરિકન ઈલેક્શન ઈતિહાસમાં આવેલી સ્પેલિંગની આ સૌથી મોટી એરર હતી. અગાઉ ક્યારેય પ્રમુખપદના ઉમેદાવારમાં નામની ભૂલ થયાનું બન્યું નથી.
 
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પુસ્તકમાં પણ હતી સ્પેલિંગ મિસ્ટેક
વિવિધ પ્રજાતિઓના ઉદ્ભવ વિશેનું ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસિસ'ના પ્રકાશક જોન મુરીએ પ્રથમ આવૃતિની ૧,૨૫૦ નકલ પ્રકાશિત કરી હતી. આ પુસ્તકની સૌપ્રથમ આવૃત્તિના ૨૦ નંબરના પેજ પર Speciesનો સ્પેલિંગ આ રીતે Speceies છાપવામાં આવ્યો હતો.
જોકે, હવે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ દૂર્લભ મનાય છે. સ્પેલિંગ એરરના આવા તો નાના-મોટા ગંભીર-રમૂજી કિસ્સા દુનિયાભરમાં નોંધાયેલા છે. જેમ કે, અમેરિકાના મિશિગનની એક શાળાએ રોડ પર પોતાની જાહેરાત લખી હતી. જાહેરાતમાં schoolના સ્પેલિંગને આખા રસ્તા પર પથરાય એટલું વિશાળ રીતે લખ્યું હતું, પણ Shcool આ રીતે વંચાતું હતું.
જોકે શાળા વતી એની ભૂલમાં કશો જ સુધારો કરવામાં આવ્યો ન હતો. સ્પેલિંગ કે જોડણીની ભૂલો ત્યારે જ કદાચ સારી રીતે સમજાય જ્યારે તેનાથી ખૂબ મોટું પરિણામ ભોગવવાનું આવે!

એક વખત ટેટુ આર્ટિસ્ટે એવું લખી નાખ્યું કે......
શરીર પર ટેટુ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે ત્યારે એક ટેટુ આર્ટિસ્ટની ગંભીર સ્પેલિંગ એરર પણ જાણવા જેવી છે. બે એક વર્ષ પહેલા શિકાગોમાં રહેતા મિશેલ ડુપલેસિસ નામના યુવાનને પોતાના શહેરનું નામ છાતી પર કોતરાવવાની ઈચ્છા થઈ. તેમણે ટેટુ આર્ટિસ્ટને જઈને ચેસ્ટ પર chi-Town લખી આપવા કહ્યું. પેલા ટેટુ આર્ટિસ્ટે chi-Tonw લખી નાખ્યું. વળી, આ ટેટુ એટલું મોટું હતું કે તેમાં હવે કશો ફેરફાર કરવાનો કોઈ જ મતલબ ન હતો. આખરે મિશેલ પાસે આ ખોટા નામ સાથે ફરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

શિકાગોમાં chi-Town નામના ટેટુનો કેઝ ખૂબ સામાન્ય છે એટલે બની શકે કે આર્ટિસ્ટ થોડા વધુ પડતા આત્મ વિશ્વાસમાં પણ રહ્યો હોય. કારણ જે હોય તે, પણ હવે મિશેલનું આ ટેટુ બધાથી અલગ તો ચોક્કસ પડી ગયું છે.
Sunday 10 November 2013
Posted by Harsh Meswania
Tag :

સોશ્યિલ એક્ટિવિસ્ટ :પરિવર્તનની ઝંખના હતી, પરલોક મળ્યું!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'શાહિદ'માં શાહિદ આઝમી નામના વકીલ-હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કેવા સંજોગોમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેનું ખૂબી પૂર્વક ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ પહેલો બનાવ નથી, અહીં થોડા એવા લોકોની વાત કરીએ કે જેમણે પોતાનો જીવ દઈને પણ સિસ્ટમ બદલવાની કોશિશ કરી હતી...
પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ 'સત્યાગ્રહ'માં દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન)નો એન્જિનિયર પુત્ર અખિલેશ (ઈન્દ્રનીલ સેનગુપ્તા) સરકારના બાંધકામ વિભાગમાં કામ કરે છે. અચાનક એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. હોનહાર સરકારી ઈજનેરનું અકાળે અવસાન થયું હોવાથી મિનિસ્ટર બલરામ સિંહ (મનોજ વાજપેયી) તેના પરિવારને સહાય આપવાની જાહેરાત કરે છે. સરકાર સહાય આપવામાં ઠાગા ઠૈયા કરે છે એટલે એ મામલે દ્વારકા આનંદ એક ઉચ્ચ અધિકારીને તમાચો મારે છે અને પછી માનવ (અજય દેવગન) સોશ્યિલ મીડિયાને બખૂબી પ્રયોજીને દ્વારકા આનંદને જેલમાંથી છોડાવે છે.
પછી તો ફિલ્મમાં બીજુ ઘણું બધુ બને છે, પણ એક મહત્ત્વની વાત માનવને એ ખબર પડે છે કે અખિલેશને માર્ગ અકસ્માતના બહાને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો, કારણ કે તેની ઈમાનદારી ભ્રષ્ટ અધિકારીઓની પ્રગતિ આડે આવતી હતી.
આ કહાની તો પૂરી ફિલ્મી છે, પરંતુ બિહારમાં આવી એક સાવ સાચુકલી ઘટના બની છે. એક ઈમાનદાર સરકારી ઈજનેર તેના જ ઉચ્ચ અધિકારીઓે અને સડક બાંધતા દલાલોની બેઇમાની સામે લડતો હતો. ભ્રષ્ટ સિસ્ટમની સામે પડેલા આ ઈજનેરનો અંજામ પણ એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યો હતો.
                                                                         * * *
સત્યેન્દ્ર દૂબે : ભ્રષ્ટાચારીઓના માર્ગમાં દિવાલ બનનારા ઓફિસર
વાત ૨૦૦૨ની છે. બિહારના સિવાન જિલ્લાના શાહપુર ગામમાં ઉછરેલો, કાનપુરની પ્રતિષ્ઠિત આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સિટિટયૂટ ઓફ ટેકનોલોજી)માંથી બી.ટેક અને આઈઆઈટી વારાણસીમાંથી એમ.ટેક થયેલો એક ૨૯ વર્ષનો યુવાન નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બિહારના કોડારમા જિલ્લામાં સહાયક પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાય છે.
યુવાને પોતાની નિગરાની હેઠળ ચાલતા દિલ્હી, અલ્હાબાદ, કાનપુર અને વારાણસીને જોડતા ૪૦૦ કરોડના ખર્ચે બની રહેલા રસ્તામાં કેવી લોલમલોલ ચાલે છે તે સાવ નજીકથી નિહાળ્યું. એક તરફ રસ્તો બને અને બીજી તરફ થોડા જ સમયમાં ખાડા પડી જાય! આવી સ્થિતિમાં આ નવનિયુક્ત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે રસ્તો ફરીથી બનાવવા કોન્ટ્રાક્ટરને ફરજ પાડી. તેણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતથી વાકેફ કર્યા, પણ તેની વાતને કાને ધરવાને બદલે થોડા જ સમયમાં તેની બદલી ગયા કરી દેવામાં આવી. ગયા પણ આવી જ હાલત હતી. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કંઈ ખાસ ઉકેલ ન મળતા તેણે વડાપ્રધાનને પત્ર લખ્યો એટલે હવે આ ઈજનેર ભ્રષ્ટ અધિકારીઓની નજરમાં બરાબર આવી ગયો.
બીજી તરફ તેના કામની કદર રૂપે ડિસેમ્બર ૨૦૦૩થી શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે તેની પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી અને એ સાથે જ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ શોભાવતા સ્થાપિત હિતોના પેટમાં તેલ રેડાયું. નવી જવાબદારી નિભાવે એ પહેલા જ ગયામાં ૨૭ નવેમ્બરે ગોલી મારીને આ યુવા હોનહાર-ઈમાનદાર ઈજનેરની હત્યા કરી નાખવામાં આવી.
આ કહાની સત્ય માટે લડત ચલાવતા બિહારના સત્યેન્દ્ર દૂબે નામના ઈજનેરની છે. દૂબેની હત્યાની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી હતી. તેમાં થોડા આરોપીઓને સજા પણ થઈ છે. જોકે, કાયમ ભારતમાં બને છે એવું આ કિસ્સામાં પણ બન્યું. નાની બે ત્રણ માછલીઓને જાળમાં ફસાવી લેવામાં આવી અને મોટા માથાઓ આબાદ બચી ગયા!
મંજુનાથ ષણમુગમ : ઓઇલ માફિયાઓ સામે આગ ઓકનારો યુવાન
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેના પર ફિલ્મ બનાવશે એ મંજુનાથ ષણમુગમ નામના ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના યુવા માર્કેટિંગ અધિકારીનો ગુનો એટલો કે તેણે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જિલ્લાના ઓઇલ માફિયાઓ સામે લડત શરૂ કરી હતી અને એટલે તેણે પોતાના જાનની આહૂતિ આપવી પડી.
લખનઉની ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ૨૦૦૫ના વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરીને મંજુનાથે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કારકિર્દી શરૃ કરી. પ્રારંભે જ મંજુનાથને ઓઇલ માફિયા વિરૃદ્ધ લડવાનું આવ્યું. તેની કામ કરવાની પદ્ધતિથી ઓઇલ માફિયાઓમાં પહેલાથી જ ફફડાટ ફેલાઈ ગયો હતો. ૧૯ નવેમ્બર, ૨૦૦૩ની રાત્રે એક પેટ્રોલપંપમાં તપાસ કરવા ગયા પછી તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા-ત્રીજા દિવસે ખૂબ જ ખરાબ રીતે મારીને ફેંકી દીધેલી તેની લાશ મળી હતી. ૬ ગોલી મારીને મંજુનાથની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપના માલિકના પુત્ર પવનકુમાર મિત્તલ અને તેના બીજા ૬ સાથીદારોએ મળીને મંજુનાથની હત્યા કર્યાનું કોર્ટમાં સાબિત થયું હતું અને પવનકુમારને ફાંસીની સજા ફટકારવામાં આવી. મંજુનાથના મર્ડરમાં ભાગીદાર અન્ય તમામ આરોપીઓને જેલની સજા કરવામાં આવી. હાઇકોર્ટે પવનકુમારની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી છે.
લખનઉ આઈઆઈટીના વિદ્યાર્થીઓએે મંજુનાથના નામ પરથી એક ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ સંસ્થા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા લોકોને પીઠબળ પુરું પાડવાનું કામ કરે છે. માત્ર ૨૭ વર્ષના આ યુવાને ઓઇલ ક્ષેત્રે ચાલતા તિકડમ સામે અવાજ ઉઠાવ્યો હતો એટલેે તેનો અવાજ હંમેશા માટે શાંત કરી દેવામાં આવ્યો હતો.

ડૉ. નરેન્દ્ર દાભોલકર : તાંત્રિકોના તંત્ર સામે તિખારો મૂકનારા તબીબ 
છેલ્લા ત્રણ દશકાથી મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા ડૉ. નરેન્દ્ર દાભોલકરની સંસ્થાની ૨૦૦ જેટલી શાખાઓ રાજ્યભરમાં ફેલાયેલી છે અને એના દ્વારા તેમણે ચમત્કારનો દાવો કરનારા કેટલાય કહેવાતા સિદ્ધોને ઉઘાડા કર્યા હતા. તેમણે ચમત્કારો પાછળનું સાયન્સ લોકો સુધી પહોંચાડયું હતું.
એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી તેઓ દર્દીના ડોક્ટર બનવાને બદલે સમાજના ડોક્ટર બની ગયા. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોના દુઃખ-દર્દ દૂર કરવાનો દાવો કરનારા ઢોંગી બાબાઓ અને તાંત્રિકોની ચૂંગાલમાં ફસાતા સમાજને સાચી સમજ આપવા માટે ડો. દાભોલકરે કામ શરૂ કર્યું. તેમના આ કામથી ઢોંગી તાંત્રિકોની ધીકતી દુકાનો બંધ થવા લાગી અને એટલે ડૉ. દાભોલકર અંધવિશ્વાસ ફેલાવતા તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.
તેમને ધમકીભર્યા પત્રો પણ મળ્યાં હતા કે આ પ્રવૃત્તિને વિરામ આપજો નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો! તાંત્રિકો ઉપરાંત મહારાષ્ટ્રના રૂઢિવાદીઓની નજરમાં પણ તેઓ આવી ચૂક્યા હતા. અંતે ૨૦ ઓક્ટોબર, ૨૦૧૩ની વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવારોએ બે ગોળી મારીને તેમની સરાજાહેર હત્યા કરી નાખી. અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાના પરિણામે ડો. દાભોલકરે જીવ આપી દીધો, પરંતુ ૩૦-૩૦ વર્ષ સુધી આવા તત્ત્વો સામે સંગીન લડત આપીને એક સજ્જડ દાખલો પણ બેસાડયો.

રેમકુમાર ઝા :
બાંધકામના બદમાશોની બદનજરનો શિકાર
ભ્રષ્ટાચાર-અત્યાચાર વિરોધી સમિતિના રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી પ્રેમકુમાર ઝા મહારાષ્ટ્રના બાંધકામ વિભાગમાં ચાલતા ગોટાળા સામે મેદાને પડયા હતા. બાંધકામ વિભાગના અધિકારીઓ અને વચેટિયાઓમાં તેના નામની ધાક હતી. ભ્રષ્ટાચાર રોકવાનું જે કામ સરકાર નહોતી કરી શકતી તે કામ પ્રેમકુમાર એકલા હાથે કરી રહ્યા હતા. ખાસ તો મુંબઈના વિરાર અને વસઈ વિસ્તારમાં ચાલતા કેટલાય બાંધકામોમાં થઈ રહેલી ગેરરીતિ તેમણે ઉઘાડી પાડી હતી.
એટલું જ નહીં, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ગેરકાયદે થઈ રહેલા બાંધકામોને પણ તેમણે પડકાર્યા હતા. થોડાં જ સમયમાં ખાનગી અને સરકારી એમ બંને ક્ષેત્રના ભ્રષ્ટ લોકોએ પ્રેમકુમારને દુશ્મન માની લીધા હતા. ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૩ના રોજ વિરાર પાસે રસ્તામાં પ્રેમકુમાર બાઇક પર જઈ રહ્યાં હતા ત્યારે તેમના માથામાં બૂલેટ ધરબી દઈને તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું.
કમનસીબી તો એ હતી કે પોલીસ કેસને રફેદફે કરવાની વેતરણમાં હતી. શરૂઆતમાં પોલીસ રજિસ્ટરમાં પ્રેમકુમારના મૃત્યુની અકસ્માત તરીકે નોંધ થઈ હતી. તેમના પરિવારે મર્ડર થયાની દહેશત વ્યક્ત કરી ત્યારે અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેમના માથામાંથી એક બૂલેટ મળી આવી ત્યારે છેક પોલીસે અંતે મર્ડરની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, હજુ પણ તેનું ખૂન કોણે કર્યું તે જાણવામાં પોલીસને સફળતા નથી મળી.
                                                                            * * *
આ તો નોંધપાત્ર અને જાણીતા કિસ્સાઓ છે. રસ્તાની બનાવટમાં, બાંધકામમાં, ઓઇલ ક્ષેત્રે અને ધાર્મિક અંધશ્રદ્ધા સામે લડતા એક્ટિવિસ્ટ ઉપરાંત દર વર્ષે આરટીઆઈ (રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ)નો ઉપયોગ કરનારા કેટલા બધા લોકો સામે કશીક મુશ્કેલી ખડી કરવામાં આવતી હોવાના ઘણાં બધા બનાવો બને છે.
એક સરકારી આંકડા પ્રમાણે આરટીઆઈનો કાયદો આવ્યા પછી આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરના દેશભરમાં ૨૫ કિસ્સા નોંધાયા છે. ગુજરાતમાં ૬ આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડર થયાનું કહેવાય છે. દેશભરમાં બહુ ગાજેલા અમિત જેઠવાના કેસમાં પણ થોડા થોડા સમયે નવા નવા ફણગા ફૂટતા રહે છે. આ બધામાં એક સામ્યતા છે કે બધાએ શાહિદ આઝમીની જેમ સિસ્ટમ સામે કે સ્થાપિત હિતો સામે પડવાની કિંમત પોતાની જાન આપીને ચૂકવી છે.
Sunday 3 November 2013
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -