Archive for October 2020

'વીગન' શબ્દ કેવી રીતે કોઈન થયો?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા 

 

આજે વર્લ્ડ વીગન ડે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય બચાવવાના ભાગરૂપે ૭૫ વર્ષ પહેલાં શરૂ થયેલો આ વિચાર દુનિયાભરમાં કોણે ફેલાવ્યો હતો?
 
વીગન.
આ શબ્દ હવે માત્ર આહારશૈલી નથી રહ્યો, પણ જીવનશૈલી બની ગયો છે. ૭૫ વર્ષ જૂનો આ શબ્દ દુનિયાભરમાં ફેલાયો છે. દિવસે દિવસે આ આહારશૈલી અપનાવતા લોકોની સંખ્યા વધી રહી છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે ત્યારે શાકાહાર અને વીગનની ફેવર કરનારો વર્ગ વધતો જાય છે.

શાકાહાર તો પ્રાચીન ભારતથી પ્રચલિત ખોરાક પદ્ધતિ છે. એમાં શાકભાજી, ફળો, દૂધ, મધ, અનાજની પ્રોડક્ટ ખાવામાં આવે છે, પણ વીગન ડિશમાં ડેરી પ્રોડક્ટનો સમાવેશ થતો નથી. આ પદ્ધતિ શાકાહારથી પ્રેરિત ખરી, પણ શાકાહારથી ઘણી અલગ છે. અમેરિકા-બ્રિટનમાં ઘણાં લોકો વીગન ડાએટમાં ઈંડાનો સમાવેશ પણ કરે છે. એવા લોકો માટે વળી 'ઓવો વેજીટેરિયન' શબ્દ પણ પ્રચલિત થયો છે. 'ઓવો' લેટિન શબ્દ છે અને તેનો અર્થ થાય છે ઈંડા. માંસ કે ડેરી પ્રોડક્ટ ન ખાતા લોકો પોષણ માટે શાકભાજી ઉપરાંત ઈંડા ખાતા હોય છે.

વીગનમાં દૂધ પ્રોડક્ટ ન હોય એટલે એના બદલે સોયામિલ્ક, કોકોનટમિલ્ક ઓપ્શનમાં હોય છે. વળી, વીગનમાં આલ્કોહોલની મનાઈ હોતી નથી. ભારતના શુદ્ધ શાકાહારના કન્સેપ્ટમાં દૂધ, મધ ઘી જેવી વસ્તુઓ સામેલ હોય છે, પણ ઈંડા અને આલ્કોહોલનો સમાવેશ થતો નથી. વીગનમાં પણ પછી તો ઘણાં પેટા વિભાગો પડ્યા છે. અલગ અલગ દેશ પ્રમાણે ડાએટમાં થોડાં ઘણાં ફેરફારો થતા રહે છે.
વેલ, ૧લી નવેમ્બરે દુનિયાભરમાં વીગન ડેની ઉજવણી થાય છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે મૂળ વેગનનો વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો અને એ વિચાર કોણે પ્રચલિત બનાવ્યો?
                                                                              ***
ડોનાલ્ડ વોટ્સનનું નામ વીગન આહારશૈલી અજમાવનારા માટેય ખાસ જાણીતું નથી. ૧૯૧૦માં બ્રિટનના યોર્કશાયરમાં તેનો જન્મ થયો હતો. ૧૪ વર્ષની વયે સ્કૂલનો અભ્યાસ છોડીને પરિવારના ધંધામાં જોડાયા. એનો મોટાભાગનો સમય કાકા જ્યોર્જની સાથે તેના ખેતરમાં વીતતો. ખેતરમાં ખેતીની સાથે સાથે એક તરફ ડૂક્કરોની કતલ કરીને માંસની નિકાસ થતી હતી.

વોટ્સનને ડૂક્કરોની કતલથી ભારે સૂગ ચડતી. તેને એ દૃશ્ય ભયાનક લાગતું. એ જ વર્ષે તેણે માંસ ખાવાનું બંધ કરી દીધું અને શાકાહાર શરૂ કર્યો. કેટલાય વર્ષો સુધી વોટ્સને દૂધ અને દૂધ પ્રોડક્ટ ખાવાનું ચાલુ રાખ્યું, પણ શાકાહારી બન્યાના ૧૫-૨૦ વર્ષ પછી તેણે દૂધ અને દૂધની પ્રોડક્ટ ખાવાનું પણ બંધ કર્યું. તેણે આટલા વર્ષોમાં નોંધ્યું કે દૂધાળા જાનવરોને દૂધ માટે નિચોવી લેવામાં આવે છે. પશુપાલન માત્ર દૂધ માટે થાય છે, એમાં પશુપાલક અને જાનવરો વચ્ચે કોઈ લાગણીનો તંતુ જોડાયેલો હોય એવું તેને લાગ્યું નહીં.

જે રીતે માંસ માટે પ્રાણીઓની કતલ થતી હતી એ જ રીતે દૂધ માટે પ્રાણીઓનું શોષણ થાય છે એવું તેને લાગવા માંડયું. ૧૯૪૦-૪૨ આસપાસ તેણે એ દિશામાં કંઈક નક્કર કામ કરવાનું વિચાર્યું. આમેય ૨૫-૨૭ વર્ષની વયથી લેસ્ટર વેજીટેરિયન સોસાયટીના સભ્ય તરીકે તે શાકાહારની હિમાયત કરતા હતા. માંસ ઉપરાંત દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ ન ખાવાથી ખરા અર્થમાં સજીવોનું ભલું થશે. દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ લોકો આરોગવાનું બંધ કરે તો દૂધ માટે પ્રાણીઓને દવાઓ આપવામાં આવે છે અને એ રીતે શોષણ થાય છે એ અટકશે એવું તેને લાગવા માંડયું.

એ સમયગાળામાં બ્રિટન સહિતના દેશોમાં વધારે દૂધ મેળવવા દૂધાળા પશુઓને દવાઓ આપવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જે પશુપાલકો દવાઓ આપતા ન હતા એ પણ દૂધ મેળવવા અવનવી તરકીબો કરતા હતા. માનવીનો દૂધ મેળવવાનો લોભ વધતો જતો હતો. યુરોપમાં દૂધનો બિઝનેસ પૂરજોશમાં થવા લાગ્યો હતો.

એવા સમયગાળામાં ડોનાલ્ડ વોટ્સને નવેમ્બર-૧૯૪૪માં લેસ્ટરમાં 'વીગન સોસાયટી'ની સ્થાપના કરી. એમાં વોટ્સનને પત્ની ડોરોથી અને અન્ય ચાર મિત્રોનો સહકાર મળ્યો. વોટ્સને 'વીગન' શબ્દનો પ્રચાર શરૂ કર્યો અને એ પાછળ રહેલો વિચાર અલગ અલગ અખબાર-સામયિકોના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કર્યો. વીગન સોસાયટીએ ૧૯૪૪માં જ 'ધ વીગન ન્યૂઝ' નામનું સામયિક (સંસ્થાનું મુખપત્ર) શરૂ કર્યું.

ડોનાલ્ડ વોટ્સન

'વીગન' શબ્દ આમ તો વેજીટેરિયનમાંથી ઉતરી આવ્યો હતો. Vegetarian શબ્દમાંથી શરૂઆતના ત્રણ અને છેલ્લાં બે શબ્દો લઈને Vegan શબ્દ બનાવાયો હતો. શરૂઆતમાં લોકો વેજીટેરિયન શબ્દના કારણે 'વીગન'ને 'વેજીન' કહેતા હતા.

વેજીટેરિયન કરતા કન્સેપ્ટ જુદો છે એ બતાવવા માટે ડોનાલ્ડ વોટ્સને એ શબ્દનો ઉચ્ચાર વીગન કર્યો હતો. એની સ્પષ્ટતા માટેય વોટ્સને સોસાયટીના મુખપત્ર 'વીગન ન્યૂઝ'માં અલગથી લેખ લખ્યો. એમાં વીગન શબ્દના ઉચ્ચારમાં 'જ' નહીં પણ 'ગ' છે એવું સમજાવ્યાં પછી વીગન અપનાવવા માટે કેવો આહાર કરવો જોઈએ તેની વિગતવાર સમજ પણ આપી હતી. એમાં માંસ ઉપરાંત દૂધ, દહીં, મધ જેવી ચીજવસ્તુઓ ન લેવાની ભલામણ હતી અને તેમના આ વિચાર પાછળ કયા પરિબળો જવાબદાર હતા અને તેનાથી લાંબાંગાળે સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર કેવી હકારાત્મક અસર થશે - તે પણ જણાવ્યું હતું.

શરૂઆતમાં વીગન એટલે ડેરી પ્રોડક્ટ સિવાયનું શાકાહારી ભોજન એવી વ્યાપક સમજ હતી. કેટલાંય વર્ષો સુધી એ જ માન્યતા રહી કે વીગન એટલે ખાવા-પીવામાં ડેરી પ્રોડક્ટ ન લેવી, પરંતુ વીગન સોસાયટીએ ૬૦ના દશકામાં એ વ્યાખ્યાને થોડી વધારે વિસ્તૃત કરી. પ્રાણીઓને લગતી કોઈ પ્રોડક્ટ ખાવી નહીં એમ કોઈ પ્રોડક્ટનો ઉપયોગ રોજિંદા જીવનમાં ન કરવો એ પણ વીગનિઝમ છે.

વીગન શબ્દ કોઈન કરવા માટે વોટ્સને ત્રણ દશકા સુધી મહેનત કરી. વીગનનો વિચાર સમજાવવા માટે તેણે રીતસર બ્રિટનના શાકાહારી વર્તુળમાં કેમ્પેઈન ચલાવીને તેમને વીગનિઝમ તરફ વાળ્યાં. ૧૯૮૦ પછી વીગનવાદ આહારશૈલી ઉપરાંત જીવનશૈલી બની ગયો. પ્રાણીજન્ય પ્રોડક્ટ આહારમાં ન સમાવવાની વાત પછી તો એક કદમ આગળ વધીને પ્રાણીજન્ય પ્રોડક્ટ ઉપયોગમાં ન લેવા સુધી પહોંચી ગઈ હતી એટલે વીગનીઝમને ફોલો કરતાં લોકો ઉન કે ચામડામાંથી બનેલી કોઈ જ ચીજવસ્તુઓ ઉપયોગમાં લેતા નથી.

વીગન ન્યૂઝમાં જ્યારે વીગન શબ્દ વિશે વોટ્સને પહેલો લેખ લખ્યો ત્યારે મેગેઝીનના માત્ર ૨૫ સબસ્ક્રાઈબર્સ હતા. આજે વીગનીઝમમાં વિશ્વાસ કરતાં લોકોની સંખ્યા લાખોમાં છે. અમેરિકામાં તો છેલ્લાં વર્ષોમાં ૩૦૦ ટકાની સરેરાશે વીગનીઝમનો ફેલાવો થયો હતો. રોગોથી બચવા માટે લોકો શાકાહારમાંથી જન્મેલા આ વિચાર તરફ આકર્ષાઈ રહ્યાં છે.

૧૯૪૪માં સ્થાપાયેલી વીગન સોસાયટીને જ્યારે ૧૯૯૪માં ૫૦ વર્ષ થયા ત્યારે પ્રથમ વખત વર્લ્ડ વીગન ડેનું સેલિબ્રેશન થયું હતું. ત્યારથી દર વર્ષે ૧લી નવેમ્બરે વીગનિઝમમાં માનતા લોકો વીગન ડેની ઉજવણી કરે છે.
વીગન શબ્દ અને વિચાર કોઈન કરનારા ડોનાલ્ડ વોટ્સનનું ૨૦૦૫માં ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. વોટ્સન પાછલી અવસ્થાએ ખૂબ તંદુરસ્ત હતા એટલે વિશ્વભરમાં વીગનિઝમનો સિમ્બોલ બની ગયા હતા. વીગનિઝમથી લાંબું અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકાય છે એવું તેમના સમર્થકો વોટ્સનનું ઉદાહરણ આપીને સમજાવતા હતા.
                                                                       ***
ભારતમાં શાકાહારનો વિચાર બહુ જ પ્રાચીન છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધકોને શાકાહારની હિમાયત થઈ છે. ભારતમાં શાકાહારને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યો એનાથી વધુ અહિંસા સાથે જોડવામાં આવ્યો હતો. તેના કારણે જ કદાચ આજેય ભારતમાં ૫૦ કરોડ કરતાં વધુ લોકો શાકાહારી છે.

ભારત સિવાય શાકાહારનો પહેલો વહેલો રેફરન્સ ગ્રીક ફિલોસોફર પાઈથાગોરસનો મળે છે. ઈ.સ. પૂર્વ ૫૦૦ આસપાસ પાઈથાગોરસે માનવ ઉપરાંત તે સિવાયના સજીવોમાં પરોપકાર હોવો જોઈએ એવો વિચાર રજૂ કરીને શાકાહારની હિમાયત કરી હતી.

વીગનનો વ્યાપ શાકાહાર જેટલો નથી. તેના ઘણાં કારણો છે. વીગનમાં દૂધ અને દૂધ પ્રોડક્ટ્સ ખવાતી નથી. દૂધના વિકલ્પ તરીકે સોયામિલ્કનો ઉપયોગ થાય છે, જે મોંઘુ છે. માંસાહાર ન કરતાં હોય એ લોકો માટે દૂધ ખૂબ જ ઉપયોગી છે. દૂધ કે દૂધ પ્રોડક્ટ વગર આપણે ત્યાં તો તહેવારોની ઉજવણી પણ શક્ય નથી.

દૂધાળુ પ્રાણીઓનું માત્ર દૂધ માટે શોષણ થતું જોઈને ડોનાલ્ડ વોટ્સનને વીગનનો વિચાર આવ્યો હતો, પરંતુ આપણે ત્યાં પશુપાલકોનો દૂધાળુ સજીવો સાથે લાગણીનો તંતુ જોડાયો છે. હવે જોકે દવાઓ આપીને દૂધ વધારવાની કવાયતો તો અહીં પણ થાય છે, છતાં સજીવો સાથે હૃદયથી જોડાણ હતું, આજેય છે. આપણે ત્યાં દૂધ વાછરડાંને ય અપાય છે.

ઈનફેક્ટ, પહેલાં દૂધ વાછરડાને મળે છે પછી આપણે આપણો હિસ્સો કાઢીએ છીએ. આપણે દૂધને પવિત્ર ગણીને ભગવાનના ભોગમાં સમાવીએ છીએ એટલે વીગન બનીને દૂધથી દૂર રહેવાનું આપણાં માટે અઘરું છે!

વેલ, વેજીટેરિયનમાંથી જ ઉદ્ભવેલા વીગનના નામે પણ જો દુનિયાના લોકો શાકાહાર તરફ વળતા હોય તો એ પૃથ્વીના હિતમાં હશે. ગ્લોબલ વોર્મિંગની આડઅસરોમાંથી નીકળવા માટે શાકાહાર એક ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે.


Saturday 31 October 2020
Posted by Harsh Meswania
Tag :

ટીઆરપી : 'આઉટડેટેડ' થઈ ગયેલી રેટિંગ સિસ્ટમને 'અપડેટ' કરવાની જરૂર!

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઓરિસેલિયો પેન્ટેડો નામનો એક રેડિયો બ્રોડકાસ્ટર હતો. બ્રાઝિલના સાઓ પાઓલોમાં એ કોસમોસ નામે એક રેડિયો સ્ટેશન ચલાવતો હતો. એ ૧૯૪૨નું વર્ષ હતું. ઓડિયન્સને શું ગમે છે તે જાણવા માટે પેન્ટેડોએ રીસર્ચ મેથોડોલોજીનો અભ્યાસ કરવાનું વિચાર્યું. સર્વે સેમ્પલિંગ ટેકનિકના પાયોનિયર અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપ પાસેથી તેણે પબ્લિક ઓપિનિયન મેથડ સમજી.

સેમ્પલના આધારે કેવી રીતે આખા જનસમુદાયનું માનસ કળી શકાય તે અંગે પાયાની ટેકનિક શીખ્યા પછી પેન્ટેડોએ રીઅલટાઈમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ શરૂ કરી. ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા એકઠો કરીને રેડિયોમાં લોકો શું સાંભળે છે એ પહેલી વખત પેન્ટેડોએ તેની સર્વિસના આધારે કહેવાનું શરૂ કર્યું. એમાં વળી ઓડિયન્સની ઉંમર, જાતિ વગેરેની પણ માહિતી એકઠી થતી હતી. 

આ સર્વિસ દુનિયાની પ્રથમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ હતી. એ પછી માધ્યમો ઘણાં બદલાયા પણ ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા અને મૂડ્સ જાણવા માટે જે ટેકનિક વપરાતી એનો ઘણો ખરો આધાર પેન્ટેડોની પબ્લિક ઓપિનિયન સર્વિસ પર હતો. પેન્ટોડોની પદ્ધતિ વળી અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપની સર્વે સેમ્પલિંગને આભારી હતી. આજેય પબ્લિક ઓપિનિયન માટે થતાં સર્વેક્ષણના બેઝિક્સમાં જ્યોર્જની ટેકનિકને જ ફોલો કરવામાં આવે છે.

૧૯૮૭માં પીપલ મીટર નામનું એક બોક્સ ટેલિવિઝનના ઓડિયન્સનો આંકડો જાણવા માટે પ્રયોજાવા લાગ્યું. નક્કી કરેલા ટેલિવિઝન સેટ સાથે સેમ્પલ સર્વે માટે બોક્સ જોડી દેવામાં આવતું. સૌથી પહેલું પીપલ બોક્સ બ્રિટિશ કંપની ઓડિટ્સ ઓફ ગ્રેટ બ્રિટને શોધ્યું હતું અને એ ફ્રિક્વન્સી આધારિત ડેટા આપતું હતું.

ડૉ. જિરાલ્ડ કોહેને એક રીસર્ચ પેપર તૈયાર કરીને આ બોક્સમાં ઓડિયો-વિડીયોના અવરોધ અંગે ધ્યાન દોર્યું. તેમની દલીલ હતી કે આ ટેકનિકમાં ઓડિયોની ક્વોલિટી જેટલી જોઈએ એટલી આવતી નથી. અમેરિકાની કન્ઝ્યુમર રીસર્ચ કંપની નેસ્લનમાં તેમણે એનું પ્રેઝન્ટેશન આપ્યું એ પછી વધારે સ્ટોંગ મીટરની બાબતે સંશોધનો થવા લાગ્યાં.

નેલ્સને નવેમ્બર-૧૯૮૮થી પોર્ટેબલ પીપલ મીટર (પીપીએમ)ના આધારે ઓડિયન્સનો ડેટા એકઠો કરવાનું શરૂ કર્યું. આ મીટર વધારે ચોકસાઈથી કામ કરતું હોવાનો દાવો થતો હતો. રેડિયો અને ટેલિવિઝનનો ડેટા એકઠો કરવામાં એ બોક્સ ખૂબ જ કારગત સાબિત થવા લાગ્યું હતું.

બસ, અહીંથી ટીઆરપીની ગેમ શરૂ થઈ. ઓરિસેલિયો પેન્ટેડોની પદ્ધતિ એ ટીઆરપીનો પાયો હતો. પીપલ મીટર આવ્યું ત્યારે ફાઈનલી ટીઆરપી નામની ઈમારત બની ગઈ હતી અને એ સાથે જ શરૂ થઈ ટીઆરપીને કંટ્રોલમાં લેવાની મથામણ.

ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ - ટીઆરપી ખરું જોતાં એક સર્વેક્ષણ પદ્ધતિ છે. સેમ્પલનું મોનિટરિંગ કરીને ઓડિયન્સનો મૂડ જણાવે છે. બધા એ જ પ્રોગ્રામ કે એ જ ચેનલ જુએ છે એ સચોટ રીતે કહી ન શકાય, પરંતુ એ જોતા હશે એવો અંદાજ લગાવી શકાય. મૂળ તો જાહેરખબરના જગતનો ઉદય થયો પછી કોની પાસે કેટલું ઓડિયન્સ છે એ જાણવા માટે કોઈક પદ્ધતિની જરૂર વર્તાતી હતી. તેના કારણે વિવિધ કન્ઝ્યુમર રીસર્ચ એજન્સીઓ માર્કેટમાં આવી અને ટીઆરપીના ડેટા આપવા લાગી. જાહેરાત આપનારી પાર્ટી જાણવા માગતી હોય કે સૌથી વધુ કઈ ચેનલ જોવાય છે. એ ચેનલમાં જાહેરાત અપાય તો ફિડબેક મળશે એ સાદું ગણિત જાણવાના હેતુથી એજન્સીઓના આંકડાં જોવાતા હતા. ધીમે ધીમે એ એજન્સીના ડેટા જ મેઈન ગેમ બની ગઈ.

ટીઆરપીની મુખ્ય બે પદ્ધતિ છે. નક્કી કરેલા હજારો ટીવી સેટમાં ડિવાઈસ લગાવી દેવામાં આવે છે અને એ ડિવાઈસ પ્રોગ્રામ્સનું રેકોર્ડિંગ કરીને ડેટા એકઠો કરે છે. ડેટાના આધારે રેટિંગ એજન્સી કયો પ્રોગ્રામ કેટલો જોવાયો એ જાહેર કરે છે. ડિવાઈસમાં સેમ્પલિંગનો હિસ્સો હોય એવા ફેમિલીના મેમ્બર્સની ઉંમર સહિતનો ડેટા પણ એકઠો થાય છે. આ એક રીત છે.

બીજી રીત છે પિક્ચર મેચિંગ ટેકનિક. એમાં ડિવાઈસ પ્રોગ્રામનો થોડો હિસ્સો રેકોર્ડ કરે છે. એ કોડના આધારે જે તે સમયે ક્યો પ્રોગ્રામ જોવાતો હતો એનું વિશ્લેષણ થાય છે. એક મિનિટ કરતાં વધારે દર્શક જે ચેનલ પર રહે એનો પણ એમાં ડેટા દર્જ થાય છે. એ પ્રમાણમાં સરળ રીત છે. એના ડિવાઈસનો ખર્ચ પણ ઓછો હોય છે એટલે મોટાભાગના દેશોમાં એ પદ્ધતિ પ્રચલિત છે. બેમાંથી એકેય એકદમ સચોટ નથી. બંનેના પ્લસ-માઈનસ છે.

એના માઈનસ પોઈન્ટ્સનો લાભ લઈને ટીઆરપીમાં ગરબડો થતી હોવાના આરોપો લાગતા રહે છે. કેટલાય દેશોમાં અગાઉ એવોય આરોપ લાગી ચૂક્યા છે કે જે ટેલિવિઝન સેટમાં ટીઆરપીનું બોક્સ લાગ્યું હોય એના માલિકોને ચોક્કસ ચેનલ જોવાની સૂચના અપાય છે. બદલામાં તેમને ગિફ્ટ્સ મળે છે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝ એજન્સીઝ પર પ્રભાવ પાડવા માટે ટીઆરપીના સેમ્પલ સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો અગાઉ ભારતમાં પણ ઉઠી છે. ટીવી ચેનલ્સ બે રીતે ટીઆરપીમાં છેડછાડ કરી શકે એવી શક્યતા છે. જો ચેનલને જાણ થાય કે કયા ઘરમાં ડિવાઈસ લાગ્યું છે તો પરિવાર પર એક યા બીજી રીતે પ્રભાવ પાડે છે. બીજો રસ્તો છે કેબલ ઓપરેટર્સ.

કેબલ ઓપરેટર ફ્રિકવન્સી બદલી નાખે ત્યારે પિક્ચર મેચિંગમાં ગરબડો થતી હોવાનું કહેવાય છે. કેબલ ઓપરેટર્સ પ્રાયોરિટી બદલે તો એના આધારે જે તે ચેનલ પહેલા કે પછી દેખાતી હોય છે.

કેબલ ઓપરેટર્સના નેટવર્કનો ફાયદો ટીઆરપીની તરફેણમાં કે વિરૂદ્ધમાં લેવાતો હોવાના આક્ષેપો એનડીટીવી જેવી ચેનલે થોડાં વર્ષ પહેલાં કર્યો હતો. ચેનલોની વ્યૂઅરશિપનો મુદ્દો ટ્રિકી છે. આટલી ટેકનોલોજી હોવા છતાં સેમ્પલના આધારે હજુય વ્યૂઅરશિપ નક્કી થાય છે એ જ આમ તો આશ્વર્યજનક છે.

ભારતમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ (બાર્ક) નામની સંસ્થા ટેલિવિઝન મેઝરમેન્ટની દેખરેખ રાખે છે. ૨૦૧૦માં બનેલી આ સંસ્થા વિશ્વની સૌથી મોટી ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ છે અને આધુનિક ટેકનિકથી વ્યૂઅરશિપ સર્વે કરતી હોવાનો દાવો કરે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ૮૩.૬ કરોડ કુલ ટેલિવિઝન વ્યૂઅર્સ છે. એ દર્શકોનો મૂડ પારખવા માટે બાર્ક બેરોમીટરથી ડેટા એકઠાં કરીને અહેવાલ રજૂ કરે છે. બાર્કે લગભગ ૪૦ હજાર ઘરમાં ડિવાઈસ લગાવ્યું છે. એના આધારે ૨૦ કરોડ લોકોની વ્યૂઅર પેટર્ન પર નજર રહે છે. ૨૦૧૫માં આ પરિવારોને કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ અંતર્ગત ૧૨ કેટેગરીમાં વહેંચ્યા હતા. એમાં શિક્ષણથી લઈને વયજૂથ સુધીની કેટગરીનો સમાવેશ કરાયો હતો.

થોડાં સમય પહેલાં ડેટાની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠયા હતા. બાર્કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ એજન્સીના કર્મચારીઓએ જ આંકડાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઈ હતી. ભારતની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ૭૯ હજાર કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આવડી મોટી ઈન્ડસ્ટ્રી હોય ત્યારે ટીઆરપી એજન્સીની જવાબદારી પણ વધારે મહત્વની બની જાય છે.  

મુંબઈ પોલીસે ફેક ટીઆરપીના મુદ્દે ત્રણ ચેનલો સામે તપાસ શરૂ કરી છે ત્યારથી ટીઆરપીની સિસ્ટમ ફરીથી ચર્ચાનો વિષય બની છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઓડિયન્સ મેઝરમેન્ટની આ પદ્ધતિની વ્યવહારુતા અંગે સવાલો થયા કરે છે. દુનિયાભરમાં ઘણી ચેનલોએ ટીઆરપીમાં ગરબડો થતી હોવાની સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. દુનિયાભરમાં એક કે બીજી રીતે પ્રાયોરિટી સેટ કરાવીને ચેનલને અપ કરાવીને દર્શકોના દિમાગમાં છવાઈ જવાની ગેમ ચાલે છે. ઘણી વખત ચેનલોની આંતરિક હરિફાઈના કારણે પણ ટીઆરપીની સિસ્ટમ સામે સવાલો ખડા થાય છે, તો ઘણી વાર ફરિયાદમાં દમ પણ હોય છે.

ત્રણેક દશકા પહેલાં જ્યારે આ પદ્ધતિ શરૂ થઈ ત્યારના અને આજના જમાનામાં ઘણું બદલાઈ ચૂક્યું છે. એ વખતે કેબલ ટેલિવિઝનનો યુગ હતો, જે પછી ડીટીએચ સુધી વિસ્તર્યો. ઈનફેક્ટ, હવે તો ટેલિવિઝનનું સ્થાન જ ઓટીટી પ્લેટફોર્મે લેવા માંડયું છે. જે ધારાવાહિક સીરિયલ અને ન્યૂઝ પ્રોગ્રામ્સ ટીવીમાં જોવાતા હતા એ ઓટીટી પ્લેટફોર્મમાં જોવાતા થયા છે.

ઓટીટી પ્લેટફોર્મમાં તો વ્યૂઝનો ડેટા સરળતાથી અવેલેબલ છે. ટીઆરપી અને જીઆરપીના વિશ્લેષણમાં અટવાઈ જવાને બદલે વ્યૂઝના આંકડાંનું સાદું ગણિત વધારે સહેલું છે. આ સ્થિતિમાં ટીઆરપી માપવાની જૂની-પૂરાણી પદ્ધતિ બદલ્યે જ છૂટકો છે! જો એવું થશે તો વ્યૂઅરશીપની વિશ્વસનીયતા વધશે. મેરિટના આધારે જ વ્યૂઅરશીપ મળતી હશે તો ટીઆરપીની સિસ્ટમ પર પણ લોકોને ભરોસો બેસશે.

જો ટીઆરપી એનાલિસિસની પદ્ધતિ વિશ્વસનીય બનાવવી હશે તો નવી રીતે મૂલ્યાંકન કરવું પડશે. નવી પદ્ધતિથી; નવા ઓડિયન્સનો મૂડ પારખવો પડશે, તો જ સચોટ લોકમિજાજ જાણવા મળે. નહીં તો લોકપ્રવાહ ઓટીટી જેવા અન્ય પ્રવાહમાં ભળી જશે, જ્યાં ટીઆરપીના મુદ્દા કરતાં વ્યૂઅરશીપનો આંકડો મહત્વનો હોય છે. એ આંકડો ય જોકે ખરીદી તો શકાય જ છે! એ રીતે તો કાગડા બધે જ કાળા છે અને રહેશે!

Friday 16 October 2020
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -