Archive for 2019

મ્યુઝિક : એમાં શબ્દોની સમજ ગૌણ છે, એ ખેલ તો છે લાગણીનો!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

ધનુષનું 'રાઉડી બેબી' ૨૦૧૯માં ભારતનું સૌથી વધુ જોવાયેલું સોંગ હતું. શબ્દો ન સમજાય છતાં લોકો સંગીતના તાલે ઝૂમે છે એ પાછળ ક્યુ પરિબળ જવાબદાર છે?


૭૨૫,૫૨૭,૮૬૬
ધનુષનું 'રાઉડી બેબી' સોંગ યુટયૂબમાં આટલી વખત જોવાઈ ચૂક્યું છે અને એના વ્યૂઝનો આંકડો સતત વધતો રહે છે. 'રાઉડી બેબી' ૨૦૧૯ના વર્ષનો ભારતનો મોસ્ટ વ્યૂડ વિડીયો છે. વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલા વિડીયોમાં તેનો ક્રમ સાતમો છે. 'મોસ્ટ સ્ટ્રીમ્ડ ઈન્ડિયન સોંગ્સ ઓફ ઓલટાઈમ'ના લિસ્ટમાં પણ તેનો સમાવેશ થયો છે.

ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ ૬૩ કરોડ હોવાનો અંદાજ છે. તેનો અર્થ એ કે સરેરાશ બધા જ ઈન્ટરનેટ યુઝર્સે એક વખત આ સોંગ જોયું હોય તો ય બીજા ૧૦ કરોડ વ્યૂઝ વધારે મળ્યા છે. બીજો અર્થ એ પણ થાય કે વિદેશી યુઝર્સે પણ આ સોંગ જોયું હશે. દેશભરના યુઝર્સની પસંદ બનેલું આ સોંગ હિન્દી કે અંગ્રેજી ભાષામાં નથી, તમિલભાષામાં છે.

૨૦૧૮ના નવેમ્બરમાં રીલિઝ થયેલી ફિલ્મ Maari-2ના આ સોંગે ૨૦૧૯માં ધમાકો બોલાવ્યો. ધનુષ અને એસ. પીલ્લવી પર ગીત ફિલ્માવાયું છે. ધનુષે લખીને અવાજ પણ આપ્યો છે. મ્યુઝિક યુવાન શંકર રાજાએ આપ્યું છે. પ્રભુદેવાની કોરિયોગ્રાફી છે. ફિલ્મ તો બહુ ચાલી નહોતી, પણ એક જ સોંગે બધુ જ ભરપાઈ કરી દીધું.

વેલ, સોંગ તમિલભાષામાં છે તો ય દેશભરના યુઝર્સની પહેલી પસંદ કેમ બન્યું હશે? દુનિયાભરમાં કેવી રીતે જોવાયું હશે? એમાં ભાષાનો અવરોધ કેમ ન નડયો?
                                                                       ***
પૃથ્વી વૈવિધ્ય સભર છે. પહેરવેશથી લઈને ખોરાક અને ગીત-સંગીતથી લઈને સાહિત્યસર્જનમાં અપાર વૈવિધ્ય છે. એની પાછળ પ્રાકૃતિક વિવિધતા જવાબદાર છે. રણપ્રદેશમાં રહેતા લોકોની સંસ્કૃતિ, ગીત-સંગીત સાહિત્યમાં તેનો પડઘો પડે છે. તો પહાડીઓ વચ્ચે ઉછરેલી પ્રજાના ગીત-સંગીત, રહેણીકરણીમાં એની અસર વર્તાય છે. મેદાની પ્રદેશોની રીત-ભાત વળી એ બંનેથી અલગ. એમાં પાછા શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગો તો ખરા જ. જ્ઞાાતિગત વૈવિધ્ય ય ખરું. આ બધાની અસર લોકગીતો, સાહિત્યમાં પડતી રહે છે. લાંબાંગાળે આ અસર જે તે પ્રદેશની ઓળખ બની જાય છે.

સાહિત્ય અને ગીત-સંગીતમાં સ્પષ્ટ ફરક વર્તાતો હોય છે. કચ્છના લોકગીતો અને તેને ગાવાની રીત અલગ હોય, એમ સૌરાષ્ટ્રની વળી તેનાથી જુદી. હવે તો એક બીજાની સંસ્કૃતિ સમજવા માટે સભાન પ્રયાસો થાય છે. દેશો ડિપ્લોમસીના ભાગરૂપે કલ્ચરલ કેન્દ્રો શરૂ કરવા લાગ્યા છે.

પણ જ્યારે આ બધું નહોતું ત્યારે એક બીજાને સમજવા માટે બે બાબતો કોમન હતી - સંકેત અને સંગીત. પ્રાચીન સમયમાં યુદ્ધોથી લઈને સુલેહ સુધીની બાબતો સંકેતથી સમજાવાતી. ચિહ્ન દોરીને કે પછી ઈશારા કરીને એકબીજાની ભાષા ન જાણતા લોકો કોમ્યુનિકેશન કરી લેતા.

એવું જ બીજું માધ્યમ હતું સંગીત. પ્રેમ કે વિરહનું ગીત ક્યાંક કોઈએ શરૂ કર્યું હોય તો શબ્દો ન સમજાતા હોવા છતાં તેમાં રહેલો ભાવ ઓળખાઈ જતો હતો. આજેય ઓળખાય જાય છે.

માનવમન, સંસ્કૃતિના આવા ઊંડાણો માપવા જાત-ભાતના સંશોધનો થતાં રહે છે. એવું જ સંશોધન સંગીતના વૈવિધ્યને સમજવા માટે જગવિખ્યાત હાર્વર્ડ યુનિવસટીએ કર્યું હતું. કોઈ જુદા જ દેશનું સંગીત કોઈ જુદી જ પરિસ્થિતિમાં ઉછરેલા માણસને સંભળાવવામાં આવ્યું ત્યારે એમાંથી રસપ્રદ અવલોકનો સામે આવ્યાં હતાં.
                                                                      ***
હાર્વર્ડ યુનિવસટીએ ૬૦ દેશોને આવરીને એક મ્યુઝિકલ સંશોધન હાથ ધર્યું હતું. આ દેશોના ઈન્ટરનેટ યુઝર્સને કોઈ જ હિન્ટ આપ્યા વગર વિવિધ મૂડ્સના ૧૪ સેકેન્ડના ટૂકડાં સંભળાવવામાં આવ્યા ને તેમને પૂછવામાં આવ્યું કે આ સોંગ કઈ લાગણી વ્યક્ત કરે છે? સેમ્પલ સોંગમાં સ્પેનના કોઈ ખૂણાના ખેડૂતોનું લોકગીત પણ હોય, ભારતના રાજસ્થાનમાં સદીઓથી ગણગણાતું એકાદ ગીત ય હોય, અમેરિકાના છેવાડાના કોઈ ટાપુનું ગીત પણ હોય અને આફ્રિકાના આદિવાસીઓના પરંપરાગત ગીતો ય હોય. પ્રેમ-વિરહ-દર્દ-ઉત્સવ, સવાર-મધ્યાહન-સાંજ-રાતના મૂડ્સને ધ્યાનમાં રાખીને ગીતો પસંદ થયા હતા. આ ગીતોના ટૂકડા વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સને સંભળાવવામાં આવ્યાં.

દુનિયાએ ન સાંભળ્યા હોય એવાં પરંપરાગત લોકગીતોનો એમાં સમાવેશ એટલે વધારે કરાયો હતો તેનાથી સામાન્ય રીતે લોકો જાણકાર ન હોય એટલે રીઝલ્ટ વધુ ઓથેન્ટિક મળે. સેમ્પલમાં અવાજ સાથેના ગીતો ય હતા, તો માત્ર ઈન્સ્ટ્રુમેન્ટ્ની ધૂન પણ હતી. ઘણાં ખરા સેમ્પલ સોંગ લોકવાદ્યોના હતા. અવાજ તો હોય નહીં અને એમાં વળી જાણીતું કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ પણ ન હોય. અજાણ્યું વાદ્ય હોય, અજાણી ધૂન ને અજાણ્યો યુઝર. આ ધૂનો પસંદ કરવા માટે પણ હાર્વર્ડે લાંબી પ્રક્રિયા કરી હતી. દુનિયાભરના ૨૬,૦૦૦ એક્સપર્ટ્સને આ ધૂનો સંભળાવાઈ હતી અને તેમના ઓપિનિયન પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

યુઝર સોંગ સાંભળવાનું શરૂ કરે પછીની ૧ મિનિટમાં તેણે જવાબ આપી દેવાનો હતો. છ સિમ્પલ સવાલો પૂછવામાં આવ્યા હતા. એમાં એવા સવાલો પૂછાયા હતા કે આ નૃત્ય સોંગ છે કે પ્રેમ વ્યક્ત કરતું ગીત છે? ધૂન સાંભળીને ક્યા સમયે સાંભળવું વધારે યોગ્ય લાગે છે, સવારે-બપોરે-સાંજે કે રાતે? ૧ મિનિટથી વધારે સમય લેનારા યુઝર્સનો જવાબ રીસર્ચમાં માન્ય રખાતો ન હતો. એ ધૂન માટે યુઝર પોતાની મેળે કંઈ પણ રીસર્ચ કરે એવો સ્કોપ જ અપાયો ન હતો.

એના જવાબો મેળવીને સંશોધકોને અપાર આશ્વર્ય થયું. સંશોધકો એ બાબત વિચારવા મજબૂર બની ગયા કે દેશ, સંસ્કૃતિ, ભાષા, માહોલ વચ્ચે ભિન્નતા છતાં એક કડી આખી માનવજાતિને જોડી રાખતી હતી અને એ કડીનું નામ હતું- ફીલિંગ-લાગણી-મનોભાવ.

એ લાગણી વ્યક્ત કરવા માટે જ્યાં ભાષાનું કામ પૂરું થઈ જાય ત્યાંથી ધ્વનિ એનું કામ શરૂ કરે છે. અવાજ કે ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કેવી લાગણી વહી રહી છે એ તુરંત વિશ્વભરના લાગણીશીલ માણસોએ પકડી પાડયું!

સંશોધનમાં જોડાયેલા લોકોએ એટલે સુધી વિગતો આપી કે વિશ્વભરના ડાન્સ સોંગ એક સરખા છે - ફાસ્ટ. જગતભરના પ્રેમ-વિરહ-દર્દીલા સોંગ એક સરખા છે - મેલોડિયસ છતાં ધીમા. આફ્રિકાના આદિવાસીઓના નૃત્ય સોંગ પણ રિધમેટિક જ હોય છે ને અમેરિકાના ડિસ્કોથેકમાં ચાલતા સોંગ્સ પણ. ભારતના રણોમાં ગવાતા દર્દીલા સોંગ પણ ધીમા ને લાંબાં ઢાળે ગવાતા હોય છે તો યુરોપના વિરહી ગીત પણ એ જ તર્જથી ગવાય છે. ઉલ્લાસ-ઉમંગના ગીતો હંમેશા તાજગીસભર અનુભવ કરાવે છે.

હાર્વર્ડના સંશોધકોએ તેમની શાખ પ્રમાણે જ આ સંશોધન પછી એને લગતાં ફેક્ટ્સ જોડયા અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. જેમાં એવો નિચોડ કાઢવામાં આવ્યો હતો કે સંગીત એ માનવજાતને પ્રકૃતિએ આપેલી બહુમૂલ્ય ભેટ છે. જુદી-જુદી ઘટનાઓ પછી અનુભવાતી ફીલિંગ્સ અને અસાધારણ પરિસ્થિતિમાં થતું વિશિષ્ટ બિહેવિયર દુનિયાભરના લોકોને એક તાંતણે બાંધે છે.

આ પરિણામો સંશોધકો માટે એટલે ય આશ્વર્યજનક હતા કે એવી સ્ટ્રોંગ માન્યતા છે કે સંસ્કૃતિ-દેશકાળ-સ્થળના આધારે ગીતો સર્જાય છે અને એ ગીતો જે તે સ્થળ-પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ સંશોધને એ વ્યાખ્યા નવેસરથી બનાવવી પડે એવાં પરિણામો આપ્યાં હતાં.
                                                                              ***
સિંહે શિકાર કર્યો હશે અને કોઈ હરણે મરણચીસ પાડી હશે એમાંથી દર્દ જન્મ્યુ હશે અને એ દર્દમાંથી જન્મ્યા હશે દર્દીલા ગીતો. વિશ્વભરની સંસ્કૃતિમાં શિકાર-પરાક્રમ-મરણચીસનો આ ઘટનાક્રમ વણાયેલો છે એટલે તમામ સંગીતમાં એની અસર વર્તાઈ હશે! એ જ રીતે મોરે આનંદનું નૃત્ય કર્યુ હશે એમાંથી નૃત્ય-ઉત્સવના ગીતો બન્યા હશે. સારસ બેલડીએ પ્રેમ કર્યો હશે એમાંથી પ્રેમના ગીતો બન્યા હશે. સંશોધકોએ તારવ્યું હતું કે કલ્ચરલ ડિફરન્સ છતાં સંગીતનું બેઝિક્સ સ્ટ્રક્ચર બધે જ એકસરખું છે.

દેશકાળ પ્રમાણે ગીતોના શબ્દો, કથાઓ બદલાઈ હશે, પણ સંગીતના કારણે દિલમાં જે અસર વર્તાય છે એ હજુ ય એક સરખી છે. આ ખૂબીઓ જ સંગીતને ભાષાના સીમાડાથી પર કરી દે છે.

કદાચ એટલે જ ધનુષનું તમિલ સોંગ દેશભરમાં એક વર્ષ કરતા વધુ સમયથી ધૂમ મચાવે છે, કદાચ આ જ બેઝિક્સે સ્પેનિશ સોંગ ડિસ્પેસિતોને ૨૦૧૭માં અબજો વ્યૂઝ અપાવ્યા હશે. કદાચ એટલે જ ગંગનમ સ્ટાઈલે ૨૦૧૨માં ગામ ગજવ્યું હશે, કદાચ એ જ કારણ હશે કે ૨૦૧૨માં જ આવેલું ધનુષનું કોલાવેરી ડી ભારતીયો રાતોરાત ગણગણવા લાગ્યા હશે. કદાચ એ જ કારણે ૨૦૧૮માં પ્રિયા પ્રકાશના નખરાળા નૈન રજૂ કરતું ગીત માનિક્ય મલારયા પુર્વી દેશભરમાં વાયરલ થયું હશે. વાત જ્યારે સંગીતની હોય છે ત્યારે ભાષાના સીમાડાં પળવારમાં ઓગળી જાય છે.

કલ્ચરલ ડિફરન્સ, પહેરવેશ-ખોરાકમાં અપાર તફાવત છતાં માણસની મૂળ લાગણી સદીઓ પછી ય બદલાતી નથી, એનો પરિચય સંગીતના માધ્યમથી બરાબર મેળવી શકાય છે. કોઈપણ સોંગ સાંભળવાથી ભલે એના શબ્દો સમજમાં ન આવે તો ય તેનો મૂડ પારખવાની સમજ માણસમાં જન્મજાત છે.
                                                                        ***

ગીતના મૂડથી આપણો મૂડ બદલાય છે

હાર્વર્ડ યુનિવર્સિટીના જ સંશોધનનું તારણ નીકળ્યું હતું કે માણસ જેવાં સોંગ સાંભળે છે એવો મૂડ બને છે. પ્રેમગીતો સાંભળ્યાની એક કલાક પછી લોકોએ તેમના પાર્ટનર પ્રત્યે વધુ લાગણીનો અનુભવ કર્યો હતો. તો કોઈ જ કારણ વગર સેડ સોંગ સાંભળ્યા પછી કોઈ જ કારણ વગર લોકો સેન્ટી થઈ ગયા હતા!

દર્દનો અનુભવ કરી રહેલાં થોડાંક લોકોને નૃત્યગીતો સંભળાવ્યાની મિનિટો પછી તેમનો દુ:ખનો અનુભવ ઘટયો હતો અને એમાંથી અડધો અડધે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિપ્રેશનનો ભોગ બનેલાને લાગણીથી છલકાતાં લોકગીતોની ધૂન સંભળાવી તો તેમનામાં ઉત્સાહ વર્તાયો હતો. ભારતીય શાસ્ત્રીય રાગો પણ સાંભળનારા ઉપર આવી જ ગહેરી અસર કરે છે.
Sunday 22 December 2019
Posted by Harsh Meswania
Tag :

જ્યોર્જ લૌરેર : ઈ-કોમર્સનો 'આધાર' બનેલાં બારકોડનો 'આધાર'



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બારકોડને વિકસાવનારા એન્જિનિયર જ્યોર્જ લૌરેરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. જ્યોર્જે બારકોડની મેથડ એટલી સરળ બનાવી આપી કે તેનો ઈ-કોમર્સમાં છૂટથી થાય છે...

જ્યોર્જ લૌરેર.
સિલિકોન વેલીના યુવા ટેકનોક્રેટ્સને ટ્વીટરમાં ફોલો કરતી અમેરિકાની યંગ જનરેશન માટે ય આ નામ આજે અજાણ્યું છે. ૯૪ વર્ષના જ્યોર્જ લૌરેર આમેય છેલ્લાં ત્રણેક દશકાથી નિવૃત્ત જીવન વીતાવતા હતા એટલે તેમને નવી જનરેશન ન ઓળખે એ પણ સ્વાભાવિક છે, પરંતુ તેમની શોધને મોર્ડન જનરેશન બરાબર જાણે છે.
આજના યુગમાં એ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો છે, જેને આપણે બારકોડ કે પ્રોડક્ટ કોડ કહીએ છીએ. ઈ-કોમર્સની તો બારકોડ વગર કલ્પના જ થઈ શકે તેમ નથી. મોર્ડન ડેનું આખું ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ એના આધારે ઊભું છે.
યુનિવર્સલ પ્રોડક્ટ કોડ કે બારકોડની જરૂર દુનિયામાં દરરોજ ૬૦૦ કરોડ વખત પડે છે. મોટા મોલથી લઈને નાનકડી દુકાનમાં મળતી ચીજવસ્તુમાં ચીપકાવેલા સીધા-સપાટ યુનિવર્સલ પ્રોડક્ટ કોડને સ્કેન કરતા જોઈએ ત્યારે આપણને એવી કલ્પના તો ક્યાંથી આવે કે બારકોડમાં દેખાતી સીધી-સપાટ લીટીના ડેવલપરના નસીબમાં ઘણો સંઘર્ષ વેઠવાનું લખ્યું હતું.
                                                                              ***
૧૯૨૫માં ન્યૂયોર્કમાં જન્મેલા જ્યોર્જનું બાળપણ બાલ્ટિમોરમાં વીત્યું. તેમના પિતા અમેરિકન નેવીમાં એન્જિનિયર હતા. જ્યોર્જને પોલિયોનું નિદાન થયું પછી પરિવારની ચિંતા વધી ગઈ. તુરંત સારવાર શરૂ થઈ. સમયસર ઉપચાર થયો એટલે જ્યોર્જ પોલિયોમાંથી તો ઊભરી ગયા, પણ એ જ સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લૌરેર પરિવાર સખત આર્થિક તંગીમાંથી પસાર થતો હતો.

૧૬-૧૭ વર્ષના જ્યોર્જને વારંવાર એવું થયા કરતું કે તેની સારવારમાં ઘસાવાના કારણે જ પરિવારની આ હાલત થઈ છે. પરિવારને આર્થિક મદદ કરવાના હેતુથી ૧૭ વર્ષે જ્યોર્જ અમેરિકાની આર્મીમાં જોડાઈ ગયા.

વિશ્વયુદ્ધ પૂરું થયું પછી થોડાંક વર્ષો નાની-મોટી નોકરી કરી. ૧૯૫૦માં અધૂરો અભ્યાસ આગળ વધારવાની તક મળી. બચતમાંથી બે વર્ષનો ટેકનિકલ કોર્સ કરીને ટીવી અને રેડિયો રીપેરિંગ શીખી લીધું. એ વખતે ટેલિવિઝને અમેરિકન ઘરોમાં જગ્યા લેવાનું શરૂ કર્યું હતું એટલે તેના રીપેરિંગની ડિમાન્ડ હતી. જ્યોર્જ દિવસે સ્ટડી કરતા અને રાત્રે રેડિયો રીપેરિંગ કરતા. એમાંથી જે રકમ મળતી એનો ઘણો ખરો હિસ્સો ઘરે મોકલી દેતા.

તેમનું ટેકનિકલ નોલેજ જોઈને કોલેજના પ્રોફેસરે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફૂલટાઈમ કોર્સ કરવાની ભલામણ કરી, યોગ્ય માર્ગદર્શન આપ્યું. ૧૯૫૧માં તેમણે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તે સાથે જ એક સાધારણ મિકેનિક બનવા જઈ રહેલા છોકરાના કપાળમાં એકાએક યશની લકીર ઉપસી આવી.
ડિગ્રી મેળવી કે તરત વિખ્યાત કંપની આઈબીએમમાં નોકરી મળી ગઈ. જુનિયર એન્જિનિયર તરીકે જોડાયેલા જ્યોર્જે કંપનીમાં એક દશકા સુધી ધગશથી કામ કર્યું. નવા નવા પ્રોજેક્ટમાં તેનું અસરકારક કામ જોઈને કંપનીએ તેમને ૧૯૬૯માં સિનિયર એન્જિનિયર કમ વિજ્ઞાની તરીકે પ્રમોશન આપ્યું. સંશોધનો માટે જાણીતા કંપનીના યુનિટ રીસર્ચ ટ્રાએન્ગલ પાર્કમાં મોકલી દીધા. આ પ્રમોશને તેમના માટે સ્વતંત્ર રીતે સંશોધનો કરવાની દિશા ખોલી આપી.

એ અરસામાં અમેરિકામાં મોલકલ્ચર વિકસી રહ્યું હતું. નવી નવી રીટેઈલ કંપનીઓ માર્કેટ સર કરવા આવી રહી હતી. એવી જ એક મોલ કંપનીએ આઈબીએમને પ્રોડક્ટ કોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જ્યોર્જે બારકોડ ડેવલપ કરવાના થોડાક પ્રયોગો કર્યા હતા એ કંપનીના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હતું. રૂચિ પારખીને કંપનીએ આ કામ તેમને સોંપ્યું.
                                                                            ***
જ્યોર્જને આ કામ મળ્યું તેના દશકા પહેલાં આઈબીએમમાં જ કાર્યરત નોર્માન જોસેફ વૂડલેન્ડે બારકોડનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. ૧૯૫૨ વૂડલેન્ડે બારકોડની એક પેટન્ટ પણ રજિસ્ટર કરાવી હતી, પણ તેમાં ખામીઓ હોવાથી કમર્શિયલ ઉપયોગ શક્ય ન બન્યો.

જ્યોર્જે એ મેથડનો અભ્યાસ કર્યા પછી સાવ અલગ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ વિકસાવ્યો. અગાઉના બારકોડ પ્રિન્ટિંગ પછી કામ આપતા ન હતા, પરંતુ જ્યોર્જે બારકોડમાં ઊભી સીધી લીટીનો ઉપયોગ એવી રીતે કર્યો હતો કે તે પ્રિન્ટ થયા પછી પણ સ્કેન થતી હતી. બે વર્ષની મહેનત પછી ૧૯૭૨માં તેમણે યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ ઉચ્ચ અધિકારીઓ સામે રજૂ કર્યો. એક વર્ષ પછી આ બારકોડનો ઉપયોગ અનાજ-કરિયાણા અને ખાદ્ય પદાર્થોના પેકેટમાં થવા લાગ્યો.

જ્યોર્જ ૧૯૮૭માં નિવૃત્ત થયા ત્યાં સુધી આઈબીએમમાં જ કાર્યરત રહ્યા. એ દરમિયાન તેમણે ૨૫ જેટલાં સંશોધનો કર્યા. બધા જ સંશોધનો બારકોડ જેટલાં જાણીતાં ન હતાં, પરંતુ એમાંથી ઘણી શોધો એવી પણ હતી જે બારકોડની સિસ્ટમને વધારે સરળ બનાવતી હતી. બારકોડની સિસ્ટમેટિક એરર કરેક્શનની એક શોધ પણ તેમણે કરી હતી. આ પદ્ધતિ બારકોડની એરર જાતે શોધીને ઠીક કરી આપતી હતી.
                                                                          *** 
ઘણાં ઈતિહાસકારો તેમને બારકોડના ખરા શોધક તરીકે નવાજતા નથી ને નોર્માન જોસેફ વૂડલેન્ડને બારકોડની શોધનો ખરો યશ આપે છે. તેમ છતાં ઈતિહાસકારો કબૂલે છે કે વૂડલેન્ડની શોધ ખૂબ જ શરૂઆતી તબક્કાની હતી અને એમાં અપાર ખામીઓ હતી. જો એ ખામીઓ જ્યોર્જે દૂર કરીને તેના આધારે નવી જ સિસ્ટમ વિકસાવી ન હોત તો પ્રોડક્ટ કોડ વિકસતા વધારે સમય લાગ્યો હોત.

બારકોડના ડેવલપર તરીકે તેમને સૌથી વધારે સન્માન એટલે ય આપવામાં આવે છે કે તેમણે આ પદ્ધતિ લોકભોગ્ય બનાવવાની સાથે સાથે લગભગ એકાદ દશકા સુધી આ સિસ્ટમને ડેવલપર કરવામાં જ સમગ્ર ધ્યાન આપ્યું હતું. જ્યોર્જની ૨૫ જેટલી પેટન્ટમાંથી ૧૮-૨૦ પેટન્ટ્સ તો બારકોડ, બારકોડ રીડરને લગતી જ છે.

લોકભોગ્ય ટેકનોલોજીની વાત આવે ત્યારે બારકોડને ૫૦ આઈકોનિક મોમેન્ટ્સમાં સ્થાન મળે છે. ૫મી ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા જ્યોર્જ લૌરેરે એક વખત કહ્યું હતું : 
'મેં ૧૬-૧૭ વર્ષે નોકરી શરૂ કરી ત્યારે મારા જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય ન હતું. જેમાંથી વળતર મળે એ કામ કરીને આર્થિક સદ્ધર થવું એ જ મુખ્ય ધ્યેય હતું. ૩૫ વર્ષ સુધી જીવન દિશાહીન હતું. રેડિયો રીપેરિંગ કરીને ગુજરાન ચલાવવાનું મન મનાવી લીધું હતું. આટલા વર્ષો સુધી કોઈ મોટી મહાત્વાકાંક્ષા પણ પાળી ન હતી. શું ગમે છે એ પણ નક્કી ન હતું, મારી આસપાસ તેજસ્વી એન્જિનિયર્સને જોતો ત્યારે થતું કે એ બધાનું ધ્યેય પહેલેથી જ નક્કી હતું. જીવનની ચાલીસીમાં પણ મારા નામે એવી કોઈ મોટી સિદ્ધિ નોંધાઈ ન હતી. પણ આજની જનરેશને એક વાત યાદ રાખવી જોઈએ કે જે ઉંમરે કંઈ નવું કરવાની તક મળે ત્યારે એને ઝડપી લઈએ તો બે-ત્રણ વર્ષમાં પણ આખી જિંદગી યાદ રાખી શકાય એવું નોંધપાત્ર કામ કરી શકાય છે. યુવાનીમાં જ કિસ્મત ચમકે છે એવું કોણે કહ્યું?'
                                                                        ***

બારકોડ રીડર મશીન કોણે બનાવ્યું?

બર્નાર્ડ સિલ્વર અને નોર્માન જોસેફ વૂડલેન્ડે પહેલું સફળ બારકોડ રીડર બનાવ્યું હતું. ૧૯૪૯માં જ્યારે બંનેએ મળીને કામ શરૂ કર્યું ત્યારે બારકોડ મશીન બનાવવામાં તો સફળતા મળી હતી, પણ પ્રિન્ટ થયા પછી બારકોડ એમાં સ્કેન થતો ન હતો. એ સૌથી મોટી મુશ્કેલી હતી. ૧૯૫૧માં નોર્માન જોસેફે આઈબીએમમાં નોકરી શરૂ કરી તે પછી બારકોડ ઉપર વધારે સંશોધન કર્યું હતું, પરંતુ તેની ડિઝાઈનમાં બધું બરાબર હોવા છતાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડમાં ધારી સફળતા મળી નહી.
નોર્માન જોસેફ વૂડલેન્ડ
 તેણે જે મશીન બનાવ્યું હતું એ બરાબર કામ કરતું હતું. એ કોડને સ્કેન કર્યા પછી માહિતી બરાબર બતાવતું હતું, પરંતુ પ્રયોગમાં જે સક્સેસ મળી એવી પ્રેક્ટિકલ શક્ય ન બની. સિલ્બર અને નોર્માનની બારકોડ સિસ્ટમની પેટન્ટ માન્ય રાખવામાં આવી હતી. એ પછી આઈબીએમે આ મશીનના હકો ખરીદી લીધા. પછી તો એ જ પેટન્ટના આધારે બારકોડ મશીન વિકસ્યા હતા.
                                                                        ***

પહેલી વખત કોડ ક્યારે લાગ્યો હતો?

જ્યોર્જે પહેલી વખત યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ રજૂ કર્યો એના પહેલાં પ્રિન્ટ થયા પછી એ કોડ સ્કેન થતો ન હોવાથી જૂની બધી જ પેટન્ટ પ્રમાણેના બારકોડનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હતો. જનરલ મોટર્સે ૧૯૬૯માં નોર્માન જોસેફની સિસ્ટમ પ્રમાણે બારકોડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પહેલી કમર્શિયલ સક્સેસ માર્સ સુપરમાર્કેટને મળી હતી. ઓહિયાના મોલમાં વ્રિન્ગલી કંપનીના પેકેટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ ૧૯૭૩માં થયો હતો.

અમેરિકામાં બારકોડ રીડરની મદદથી પ્રોડક્ટનું બિલ બનાવવાની એ પહેલી ઘટના હતી. આ ઘટનાના એક દશકા પછી ૧૯૮૩ સુધીમાં અમેરિકાની ૩૫ ટકા નાની-મોટી દુકાનો અને મોલમાં બારકોડ સ્કેનરનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ફોર્મ્યુન મેગેઝિને ૨૦૦૪માં અંદાજ બાંધ્યો હતો કે વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓની ૮૦-૯૦ ટકા પ્રોડક્ટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ થાય છે.
                                                                     ***

બારકોડ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

મોટાભાગે પ્રોડક્ટની પાછળની તરફ પ્રિન્ટ થયેલી ઘાટી બ્લેક અને વ્હાઈટ ઊભી લીટી હોય છે તેને બારકોડ કહેવાય છે. બારકોડમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને બારકોડ સિમ્બોલોજી કહેેવાય છે. એમાં ૧૨ આંકડા ઉભી લીટીને એવી રીતે સેટ કરવામાં આવે છે કે એ કિંમત, મેન્યુફેક્ટર ડેટ, એક્સપાયરી ડેટ, ઉત્પાદક દેશ, પ્રોડક્ટનો જથ્થો જેવી માહિતી આ૫ે છે.

મોટાભાગના દેશોમાં પ્રોડક્ટ ઉપર આ કોડ જરૂરી બની ગયો છે. એમાં ય વૈશ્વિક માર્કેટને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કંપનીઓ માટે તો આ પ્રોડક્ટ કોડ કમ્પલસરી છે. બારકોડના કારણે ઓછી મહેનતે ભૂલ વગર કાઉન્ટિંગ થાય છે. પહેલાં પાંચ આંકડામાં કંપનીની ઓળખ હોય છે. એ પછીના પાંચ આંકડામાં પ્રોડક્ટની વિગત છૂપાયેલી હોય છે અને છેલ્લો અંક સ્કેનર મશીન માટે હોય છે. છેલ્લી લીટી અને છેલ્લો આંકડો સ્કેન બરાબર થયું કે નહીં એ કમ્પ્યુટરમાં બતાવે છે.

Sunday 15 December 2019
Posted by Harsh Meswania
Tag :

યોદ્ધાનું હેલ્મેટ બાઈકચાલકના માથે ક્યારથી આવ્યું?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેલ્મેટ સદીઓથી યોદ્ધાઓના માથે શોભતું હતું. ચારેક દશકાથી હેલ્મેટે બાઈકચાલકોના માથે જગ્યા લીધી, પણ આમ જુઓ તો બાઈક અને હેલ્મેટનું જોડાણ સાવ નવું ય નથી!

યુદ્ધોમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત ક્યારથી થઈ હશે, તેના વિશે અપાર મતમતાંતરો છે. ઈ.સ. પૂર્વ ૯૦૦ આસપાસના સમયગાળામાં સૈનિકો હેલ્મેટ પહેરીને જંગે ચડતા હોવાના પુરાવા સંશોધકોએ એકઠાં કર્યા છે. બાલ્ટિમોરમાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક સૈનિકો જે હેલ્મેટ પહેરતાં હતા, એ હેલ્મેટ પ્રદર્શનમાં પણ મૂકાયું છે. ઈ.સ. પૂર્વ ૧૫૦૦-૧૬૦૦ આસપાસ તો રાજાઓ અને સેનાપતિઓ હાથીદાંતમાંથી બનેલા હેલ્મેટ પહેરતા હોવાના દસ્તાવેજો પણ શોધી કાઢવામાં આવ્યાં છે.

ત્રણ, સાડા ત્રણ હજાર વર્ષથી સૈનિકો-સેનાપતિઓ-રાજાઓ પોતાની ક્ષમતા અને જરૂરિયાત પ્રમાણેના હેલ્મેટ પહેરતાં હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ભીંતચિત્રો, ચિન્હોનો અભ્યાસ કરનારા સંશોધકોએ તો એનાથી ય અગાઉ છેક ઈ.સ. પૂર્વ ૨૨મી ૨૩મી સદીમાં પણ યુદ્ધ કે રાજદરબારના ખાસ અવસરો વખતે હેલ્મેટ પહેરાતા હોવાનો અંદાજ બાંધ્યો છે. લોખંડ-પિત્તળ ઉપરાંત ચામડાંમાંથી બનેલાં હેલ્મેટ સૈનિકો-સેનાપતિઓ પહેરતા હતા.
2600 વર્ષ જૂનું આ પિત્તળનું હેલ્મેટ ઈઝરાયેલની હાઈફાની ખાડીમાંથી 2007માં મળી આવ્યું હતું

દુનિયાભરના સૈનિકો આજેય જરૂરિયાત અને વાતાવરણને અનુરૂપ હેલ્મેટ પહેરે છે. યુદ્ધના હેલ્મેટની ડિઝાઈન-આકાર અલગ હોય છે. એને સામાન્ય રીતે કોમ્બેટ હેલ્મેટ કહેવામાં આવે છે. બાઈકચાલકના હેલ્મેટ કરતા એ ઘણાં અલગ હોય છે. સદીઓ સુધી હેલ્મેટ માત્ર સૈનિકોના ખપમાં જ આવતાં રહ્યાં.

૧૮મી સદીમાં શિકારીઓ હેલ્મેટ પહેરવા લાગ્યા હતા. કારખાનાઓમાં ય સલામતી માટે ટોપી જેવડાં આકારના અને વજનમાં હળવા હેલ્મેટ ૧૯મી સદીના છેલ્લાં દશકામાં મજૂરોને અપાતા. બરાબર એ જ અરસામાં મોટરસાઈકલની શોધ થઈ. ૧૮૭૦ આસપાસથી શરૂ થયેલાં મોટરસાઈકલ બનાવવાના છૂટાછવાયા પ્રયોગોને આખરે ૧૮૮૫ પછી ધારણા પ્રમાણેની સફળતા મળવા લાગી. ૧૯મી સદીના અંતમાં મોટરસાઈકલનું કમર્શિયલ મોડેલ ઉપલબ્ધ બન્યું, પણ ત્યારે હજુ મોટરસાઈકલ સવારના માથામાં હેલ્મેટનો વજન આવવાને થોડાંક દશકાની વાર હતી!
                                                                    ***
૧૯૦૭માં ઈંગ્લેન્ડમાં પહેલો મોટર રેસિંગ ટ્રેક બન્યો. બ્રુકલેન્ડ્સ નામના આ ટ્રેકમાં મોટરસાઈકલ સવારો વચ્ચે હોડ જામતી. એનું આકર્ષણ દુનિયાભરના બાઈકચાલકોને રહેતું. વર્લ્ડ રેકોર્ડ સર્જાતા હતા એટલે મીડિયામાં પણ આ સ્પર્ધાને સારી એવી પ્રસિદ્ધિ મળતી. જ્યોર્જ સ્ટેન્લી નામના બ્રિટિશ મોટરસાઈકલ ચાલકે એક કલાકમાં ૯૭ કિલોમીટરનું અંતર પૂરું કરીને ૧૯૧૨માં ઈતિહાસ સર્જ્યો. એના બીજા જ વર્ષે એક કલાકમાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપવાનો વિક્રમ પેર્સી લેમ્બર્ટ નામના સાહસિકે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ્સ પછી બ્રુકલેન્ડ્સની સ્પર્ધા જગવિખ્યાત થઈ ચૂકી હતી.

ક્યારેક ક્યારેક ટ્રેક ઉપર બાઈક ચાલકો વચ્ચે નાની-મોટી ટક્કર પણ થતી. માથામાં ગંભીર ઈજા થયાના બનાવો બહુ બનતા, પરંતુ એનો તત્કાલ ઉપાય કરવાનું કોઈએ વિચાર્યું નહી. ૧૯૧૪ની રેસ વખતે બાઈકચાલકો ટકરાયા. બે-ત્રણ ચાલકોને માથામાં ગંભીર ઈજા થઈ. સારવાર માટે ડૉક્ટરને હાજર રાખવામાં આવતા. એ વખતે મેડિકલ ઓફિસર તરીકે ડૉ. એરિક ગાર્ડનર ત્યાં હાજર હતા. અગાઉ પણ ડૉ. એરિકે આ રેસમાં મેડિકલ ઓફિસર તરીકે હાજરી આપી હતી અને ત્યારે ય સ્પર્ધકોની ટક્કરમાં મોટાભાગે માથામાં ઈજા થતી હોવાનું નોંધ્યું હતું.

ડૉ. એરિકે એનો કંઈક કાયમી ઉપાય કરવાનું વિચાર્યું. મોટરસાઈકલના હેલ્મેટની ડિઝાઈન અને હેલ્મેટ પહેરવાથી સ્પર્ધકોને થનારા ફાયદાની રૂપરેખા ડૉ. એરિકે બ્રિટનના ઓટો-સાઈકલ યુનિયન સમક્ષ રજૂ કરી. જેમ નવી બાબતમાં થાય એમ પહેલાં તો આ રૂપરેખાને નકારી દેવામાં આવી. હેલ્મેટની કોઈ જ જરૂરિયાત ન હોવાનું સભ્યોએ કહ્યું. અમુક સભ્યોએ તો ડૉ. એરિકને સલાહ આપી - 'જેટલું કામ સોંપવામાં આવે છે એટલું જ કામ કરો. વધારાના કામનું કોઈ જ વળતર આપવામાં આવશે નહીં, એટલે મહેનત ન કરો!'

પણ રહી રહીને સેફ્ટીનો મુદ્દો ધ્યાનમાં આવતા થોડાંક દિવસ પછી યુનિયને ફરીથી ડૉ. એરિકને મળવા બોલાવ્યાં. તેમની ડિઝાઈન પ્રમાણે હેલ્મેટ તૈયાર થયાં અને મોટરસાઈકલની ટૂરિસ્ટ ટ્રોફીની (ટીટી) સ્પર્ધામાં બધા જ સ્પર્ધકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દીધા. એ સાથે જ મોટરસાઈકલ ચાલકોના માથાનો ભાર વધી ગયો, પરંતુ આયોજકો માટે સ્પર્ધકોની સેફ્ટીનો ભાર હળવોફૂલ થઈ ગયો. યોદ્ધાના માથા ઉપરથી હેલ્મેટને બાઈકચાલકના માથામાં પહેરાવનારા ડો. એરિકનું બ્રિટિશ ઓટો સાઈકલ યુનિયને સન્માન કર્યું.

૧૯૦૭માં શરૂ થયેલા ટ્રેકમાં દર વર્ષે સ્પર્ધકોને ઈજા થતી. ઘણાં બાઈકચાલકોને માથામાં ગંભીર ઈજાઓ થતી અને પછી હંમેશા માટે મોટરસાઈકલ ટ્રેક છોડી દેવો પડતો. બે-ત્રણ બનાવો દર વર્ષે બનતા, પણ ૨૦૧૪ની ટૂરિસ્ટ ટ્રોફીમાં એકાદ સ્પર્ધકને માત્ર જરા સરખી ઈજા થઈ હતી. કોઈને ય ગંભીર ઈજા થઈ ન હતી અને એમાં ય માથામાં વાગ્યું હોય એવો એકેય સ્પર્ધક એ ટૂર્નામેન્ટમાં નોંધાયો ન હતો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે મોટરસાઈકલ સ્પર્ધા તો ૧૯૨૦ સુધી બંધ રહી, પરંતુ મોટરસાઈકલ ચાલકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ થોડી થોડી આવવા માંડી હતી.
                                                                     ***
૧૯૩૫માં બ્રિટનમાં બનેલી એક ઘટનાએ જાણે હેલ્મેટ પહેરવાનું વાતાવરણ સર્જી દીધું. બ્રિટનના ખૂબ જાણીતા લશ્કરી અધિકારી, પુરાતત્વવિદ્, લશ્કરી વ્યૂહરચનાકાર, ડિપ્લોમેટ, લેખક જેવી અનેકાનેક ઓળખ ધરાવતા થોમસ લોરેન્સ મોટરસાઈકલ ચલાવીને જતા હતા. એ વખતે બે બાળકો વચ્ચે પડયા. બાળકોને બચાવવા જતાં લોરેન્સ બાઈક સાથે ખાડામાં જઈ પડયા.

તુરંત સારવાર તો મળી ગઈ, પણ માથામાં ગંભીર ઈજા થઈ. કોમામાં સરી પડયા પછી એકાદ સપ્તાહમાં મૃત્યુ પામ્યા. તેમણે હેલ્મેટ પહેર્યું હોત તો બચી ગયા હોત એવું ડોક્ટરનું નિવેદન રજૂ થયું પછી તો જાણે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવો માહોલ સર્જાયો. તેમની સારવાર કરનારા ડોક્ટર હ્યુ કેર્ન્સે આ ઘટના પછી હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા બાઈકચાલકો વિશે એ જ વર્ષે વિગતવાર સંશોધન હાથ ધર્યું.

મોટરસાઈકલ અને હેલ્મેટને લગતું એ દુનિયાનું પહેલું સંશોધન હતું. એમાં તેમણે ભારે મહેનત કરીને અકસ્માત દરમિયાન હેલ્મેટ પહેરવાના કારણે માથામાં ઓછી ઈજા થઈ હોવાથી જેમના જીવ બચી ગયા હતા, એવા લોકોનો આંકડો આપ્યો અને તેમનું નિરીક્ષણ પણ રજૂ કર્યું. આ ઘટના પછી બ્રિટિશ સરકારે સૈનિકો માટે તેમ જ નાગરિકો માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની ભલામણ કરી અને હળવાં નિયમો પણ ઘડ્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં પણ સૈનિકો અને નાગરિકોની સેફ્ટીને લગતાં સંશોધનો થયાં. મોટરસાઈકલનો વધતો વ્યાપ અને અકસ્માતોનું પ્રમાણ જોઈને અમેરિકાના ઘણાં રાજ્યોમાં હેલ્મેટ પહેરવાની ભલામણો કરવામાં આવી. એ વખતે આજની તુલનાએ કાર અને ટ્રકનું પ્રમાણ ઘણું ઓછું હતું એટલે બાઈકને ટક્કર લાગવાના બનાવો ઘણાં ઓછા હતા. પરંતુ ૧૯૬૦ પછી એકાએક બાઈકના અકસ્માતો વધી ગયા.

અમેરિકાના ઘણાં રાજ્યોમાં મોટરસાઈકલ ચાલકે હેલ્મેટ પહેરવાનો કાયદો બન્યો. હેલ્મેટ પહેરવાની ભલામણ કરનારા બ્રિટને તો છેક ૧૯૮૫માં ફરજિયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો. ૧૯૮૦ પછી યુરોપના ઘણાં દેશોમાં હેલ્મેટનો કાયદો અમલી બન્યો હતો. ૧૯૯૩માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ બાઈકચાલક માટે હેલ્મેટ ફરજિયાત કરાયું હતું.

પણ હકીકત એ છે કે ચીન, જાપાન, ફ્રાન્સ, રશિયા સહિતના મોટાભાગના દેશોમાં હેલ્મેટનો કાયદો ૨૧મી સદીની શરૂઆતમાં ઘડાયો હતો. 'સેફ્ટી માટે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ' એવી ભલામણની લગભગ એક સદી પછી દુનિયામાં માંડ હેલ્મેટનો કાયદો અમલી બન્યો છે. એમાંય અસરકારક રીતે કાયદાનું પાલન કરતા દેશો તો માંડ ૨૦ ટકા જ છે. સેફ્ટીના કાયદામાં છટકબારીઓ શોધતા નાગરિકો માત્ર ભારતમાં જ છે એવું નથી, જગતભરમાં છે; બહુમતીમાં છે!
                                                                     ***

માથાની ઈજા ૭૦ ટકા ઘટે છે

શરૂઆતમાં લેધર અને લાકડામાંથી બનેલું હેલ્મેટ બાઈકચાલકો પહેરતા હતા. એવું જ હેલ્મેટ સાઈકલની રેસમાં પણ ખેલાડીઓ પહેરતા હતા. ત્યારે આજના જેવા રોડ ન હતા એટલે વાહનની ટક્કરથી જ બચવાનો સવાલ હતો. આજે વાહનની ટક્કર ઉપરાંત મજબૂત રોડ સાથે ટકરાવ થવાથી પણ બચવાનું હોવાથી સ્ટ્રોંગ મટિરિયલની જરૂર પડે છે.

૭૦ના દશકા સુધી હેલ્મેટ સોફ્ટ લેધર મટિરિયલમાંથી જ બનતા હતા. મેટલનો ઉપયોગ તે પછી શરૂ થયો. ૧૯૮૦ પછી હેલ્મેટની ડિમાન્ડ વધી એટલે કંપનીઓ પણ વધી. આંતરિક સ્પર્ધાના કારણે ગ્રાહકોને સારું મટિરિયલ મળવા લાગ્યું હતું. દરેક દેશમાં હેલ્મેટ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ બનાવાયા છે. આપણાં દેશમાં ચાલતા હોય એવા મટિરિયલમાંથી બનેલું હેલ્મેટ બીજા દેશમાં ન પણ ચાલે એવું ય શક્ય છે.

એકથી વધારે સંશોધનો કહે છે કે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાથી માથાની ઈજાનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી જાય છે અને માર્ગ અકસ્માત પછી મોતનું જોખમ ૪૨ ટકા સુધી ઓછું થઈ જાય છે. અકસ્માતનો ભોગ બનનારા બાઈકચાલકોમાંથી ૩૩ ટકાના નાક હેલ્મેટના કારણે સલામત રહે છે.

                                                          ***

બાઈસિકલ હેલ્મેટ

સૈનિક અને બાઈકચાલકના હેલ્મેટ કરતા બાઈસિકલ હેલ્મેટ અલગ મટિરિયલમાંથી, જુદી રીતે બને છે. બાઈસિકલ શારીરિક એક્ટિવિટીના ભાગરૂપે થાય છે. પરિવહનના હેતુથી તેનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ થતો હોવાથી તેમાં બાઈકની તુલનાએ હાઈવે પર અકસ્માતનો ખતરો ઓછો છે.

સાઈકલ સવાર માટેના હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો હિસ્સો ઢંકાય એવડાં જ હોય છે. ચહેરા અને કાનથી નીચેનો હિસ્સો ખુલ્લો રહે છે. અમેરિકામાં સાઈકલચાલકના હેલ્મેટ પોપ્યુલર થયા હતા. સાઈકલ રેસિંગની સ્પર્ધામાં સ્પર્ધકો હેલ્મેટ પહેરતા પણ ફિટનેસ એક્ટિવિટીના કારણે સાઈકલ ચલાવતા લોકો ખાસ હેલ્મેટ પહેરવાનો ઉમળકો બતાવતા ન હતા. આપણે ત્યાં તો હજુય એવો ઉમળકો જોવા મળતો નથી. અમેરિકન કંપની બેલ સ્પોર્ટ્સે ૧૯૯૧માં સાઈકલચાલકો માટેના હેલ્મેટની આખી રેન્જ ઉપલબ્ધ કરાવી હતી તે પછી વજનમાં હળવા બાઈસિકલ હેલ્મેટ વધારે લોકપ્રિય થયા હતા.

આ કંપનીએ જ પછી બાળકો માટેની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવી હતી. બાળકોની સેફ્ટી માટે ૧૯૯૫ પછી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ બાઈસિકલ હેલ્મેટની કેમ્પેઈન ચલાવી હતી, જેના કારણે સાઈકલના વેંચાણ સાથે હેલ્મેટ્સ પણ ફરજિયાત આવતાં થયાં હતા. અમેરિકા ઉપરાંત ઘણાં યુરોપિયન દેશોમાં પણ બાઈકચાલક માટે જેમ હેલ્મેટના નિયમો છે, એમ બાઈસિકલ ચાલકો માટે ય હેલ્મેટના નિયમો ઘડાયા છે.
Sunday 8 December 2019
Posted by Harsh Meswania
Tag :

500 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતું SPG હવે માત્ર PM મોદીને જ સુરક્ષાકવચ આપશે


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા


ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા ક્યા નિયમોના આધારે મળતી હતી? કેન્દ્ર સરકારે એસપીજીમાં શું સુધારા કરવા ઈચ્છે છે? પહેલાં આ સ્પેશિયલ યુનિટના નિયમો કેવાં હતાં?


૧૯૮૧નું વર્ષ હતું. વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત જણાતી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પેશિયલ ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સમક્ષ મૂક્યો. ૧૯૮૦ સુધી વડાપ્રધાનોની સુરક્ષા દિલ્હી પોલીસ જ કરતી હતી. ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસનું એક વિશેષ યુનિટ બન્યું હતું, જે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા સંભાળતું હતું. ૧૯૮૧માં આઈબીના પ્રસ્તાવ પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના થઈ. આ નવા યુનિટે વડાપ્રધાનની સુરક્ષા સંભાળવાનું શરૂ કર્યું.

૧૯૮૪માં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એ પછી ફરીથી વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનની સુરક્ષાને લઈને ચર્ચા થઈ. સાંસદોએ અલગથી ટીમ બનાવવાની માગણી કરી. ગૃહ મંત્રાલયે ૧૯૮૫માં બિરબલનાથ કમિટીની રચના કરી અને વિગતવાર અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો. કમિટીએ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ રચવાની ભલામણ કરી. ભલામણને કેબિનેટની મંજૂરી મળી એટલે રાષ્ટ્રપતિએ ૮૧૯ તાલીમબદ્ધ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) બનાવ્યું. કેબિનેટ સેક્રેટરીને આ યુનિટની રખેવાળી સોંપી.

શરૂઆતમાં ૧૯૮૫થી ૧૯૮૮ સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે આ વિશેષ ગ્રુપને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. વડાપ્રધાન ડોમેસ્ટિક ટૂરમાં હોય તો સ્થાનિક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષા એજન્સીઓની પણ જવાબદારી રહેતી. સ્પેશિયલ યુનિટને વિશેષ પાવર આપતી ગાઈડલાઈન તૈયાર થઈ.

એજ અરસામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનું નવું નામકરણ થયું; 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' - એસપીજી.
                                                                             ***
નવા રચાયેલા એસપીજીએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સુરક્ષાની જવાબદારી સંભાળીને સર્વિસની શરૂઆત કરી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ વારંવાર રાજીવ ગાંધી ઉપર હુમલાની ભીતિ વ્યક્ત કરી હતી એટલે એસપીજી સામે વધારે પડકાર ખડો થયો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાનપદે ન રહ્યા એ પછી પણ તેમના પર હુમલાની દહેશત વ્યક્ત થતી હતી. ધમકીઓ મળતી હતી, પરંતુ એસપીજીએ પૂર્વ વડાપ્રધાનને સુરક્ષા આપવાની જોગવાઈ ન હોવાથી એ દિશામાં વિચાર્યું નહીં. રાજીવ ગાંધીને મળેલું એસપીજીનું કવર ૧૯૮૯માં હટી ગયું.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ પછી સંસદગૃહમાં એ મુદ્દો ઉઠ્યો. જો એસપીજીનું કવર હોત તો હુમલાખોરો રાજીવ ગાંધી સુધી પહોંચ્યા ન હોત એવી દલીલ થઈ. સરકારે એસપીજી એક્ટ પસાર કરીને ગ્રુપને વધારે પાવર આપ્યો, વધારે બજેટ ફાળવ્યું અને સંખ્યાબળ પણ વધાર્યું.

રાજીવ ગાંધીની હત્યા થઈ તે સંદર્ભમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારને એસપીજીના જવાનો જ સુરક્ષા આપે એવી જોગવાઈ પણ એ સુધારા વખતે કરવામાં આવી. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૩માં પણ એમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની સુરક્ષાને લગતાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને ૧૦ વર્ષ સુધી એસપીજી કવચ મળે એવી જોગવાઈ હતી. પછી તો એ સમયગાળો વધ્યો. એ જોગવાઈના ભાગરૂપે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને એસપીજીનું સુરક્ષાકવચ મળતું હતું. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ગાંધી પરિવારની સુરક્ષાનો સંવેદનશીલ મુદ્દો ધ્યાનમાં રાખીને તેમનું એસપીજી કવચ યથાવત રાખવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના પરિવારને પણ એસપીજી સુરક્ષાકવચ મળતું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં તેમને ઝેડ પ્લસ સુરક્ષા સરકારે આપી હતી.

ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા તો થોડા સમય પહેલાં જ હટાવી દેવામાં આવી હતી. તેના બદલે ગૃહ મંત્રાલયે તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી) દ્વારા મળતી ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કરી હતી. ઝેડ પ્લસ સુરક્ષામાં ફરક એ પડી જાય કે તેમાં એનએસજીના ૧૦ કમાન્ડો હોય છે, ૪૫ પોલીસ જવાનો કે સીઆરપીએફના જવાનો એ સુરક્ષાગ્રુપમાં સામેલ કરવામાં આવે છે. એની તુલનામાં એસપીજી ઘણું સ્ટ્રોંગ સુરક્ષાકવચ છે.

કાયદામાં સુધારો કરીને સરકારે માત્ર વડાપ્રધાનની સુરક્ષા જ એસપીજીને સોંપી છે. વડાપ્રધાનપદેથી હટ્યા પછી માત્ર વડાપ્રધાનને પાંચ વર્ષ માટે એસપીજીની સુરક્ષા મળશે. એનો અર્થ એ કે એસપીજી બિલમાં સંશોધન પછી હવે માત્ર વડાપ્રધાન મોદીને જ આ સુરક્ષાકવચ મળશે. મનમોહન સિંહ મે-૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા તે હિસાબે પૂર્વ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો વીતી ચૂક્યો હોવાથી તેમનું એસપીજી સુરક્ષાકવચ સપ્ટેમ્બરમાં જ હટાવી દેવાયું છે.

પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા પાછળ એનડીએ સરકારની દલીલ એવી છે કે એસપીજીનું ગઠન માત્ર વડાપ્રધાનોની સુરક્ષા માટે જ થયું હતું. દેશ પાસે એવી સુરક્ષા એજન્સીઓ છે જ કે જે પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને સુરક્ષા આપી શકે તેમ છે. જો એસપીજીનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવે તો વડાપ્રધાનને વધારે સારી સુરક્ષા આપવાનો ઉદેશ્ય પૂરો થશે. એનાથી એસપીજી વધારે પ્રભાવી બનશે. ગૃહમંત્રીએ સંકેત આપ્યો હતો એ પ્રમાણે હવે કદાચ એસપીજીને વધારે આધુનિક બનાવીને તેનું બજેટ પણ વધારાશે.
વેલ, અત્યારે એસપીજીનું બજેટ કેટલું છે? આજની તારીખે આ સુરક્ષાકવચ કેટલું પ્રભાવી છે?
                                                                   ***
આ સ્પેશિયલ ગ્રુપ પાછળ સરકાર ૫૩૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. અત્યારે આ ગ્રુપમાં ૪૦૦૦ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કાર્યરત છે. એસપીજીની ટીમ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. સ્નાઈપર્સ, બોમ્બ ડિએક્ટિવની તાલીમ પામેલા અધિકારીઓ સુરક્ષા વખતે પડછાયાની જેમ સાથે રહે છે. નાઈટ વિઝનના ચશ્માથી લઈને ખાસ પ્રકારની રાઈફલ્સથી આ કમાન્ડોને સજ્જ રાખવામાં આવે છે. એસપીજીના કાફલામાં બીએમડબલ્યુ-૭ સીરિઝની ગાડીઓ, રેન્જ રોવર્સ, મર્સિડિસ, ટોયોટા જેવી આધુનિક કારનો સમાવેશ થાય છે.

નવી જોગવાઈ પછી ફરક એ પડશે કે હવે એસપીજીના ૪૦૦૦ જેટલાં તાલીમબદ્ધ જવાનોની એક માત્ર જવાબદારી હશે - વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા. અગાઉ પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારોને પણ સુરક્ષાકવચ આપવાનું હતું એટલે જવાબદારી વિભાજિત થતી હતી. હવે આ ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જ રહેશે.

વેલ વેલ, આટલું બજેટ અને આટલાં આધુનિક ઉપકરણો પછી પણ સરકારને લાગે છે કે એસપીજીને વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે, તો એ સરકાર છે, ધારે તે કરી શકે છે! આપ ઔર હમ હોતે કૌન હૈ બિચ મેં બોલને વાલે?
                                                                        ***

રાજ્યસભા-લોકસભામાં માર્શલની શું ભૂમિકા હોય છે?

રાજ્યસભા-લોકસભામાં માર્શલના બદલાયેલા યુનિફોર્મ મુદ્દે વિરોધ થયો. લશ્કરના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ પણ નૌકાદળના અધિકારીઓના ડ્રેસ જેવાં લાગતા એ પોશાકનો વિરોધ કર્યો. લશ્કરની ઓળખ જેવો યુનિફોર્મ માર્શલને આપવો ન જોઈએ એવી સાંસદોની રજૂઆત પછી આખરે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ યુનિફોર્મની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.

સંસદના ૨૫૦મા સત્રમાં માર્શલનો યુનિફોર્મ બદલવામાં આવ્યો હતો. ઓલિવ ગ્રીન રંગની બંધ ગળાની સફારી અને સૈન્ય અધિકારીના યુનિફોર્મમાં હોય એવી પિંક પટ્ટીવાળી કેપનો યુનિફોર્મ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન સાથે વિચાર-વિમર્શ પછી સચિવાલયની સમિતિએ ફાઈનલ કર્યો હતો. અગાઉ આ માર્શલ પરંપરાગત સફેદ પોશાક પહેરતા હતા અને માથે સાફો ધારણ કરતા હતા.

નવેસરથી રીવ્યૂના આદેશ પછી માર્શલનો યુનિફોર્મ ફરીથી બદલાયો હતો. વિવાદ પછી સપ્તાહની શરૂઆતમાં માર્શલ બંધ ગળાના જોધપુરી  સૂટમાં જોવા મળ્યા હતા. સંસદગૃહના રેકોર્ડ પ્રમાણે ૧૯૫૦માં માર્શલના યુનિફોર્મનો નિયમ બનાવાયો હતો અને તે પછી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ડ્રેસકોડ બદલવાની માગણી માર્શલોએ કરી હતી. માગણી સ્વીકારીને યુનિફોર્મ ચેન્જ કરાયો હતો.

લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિની મદદમાં, સુરક્ષામાં તૈનાત માર્શલ પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસનો ભાગ છે. આર્ટિકલ ૯૮ની જોગવાઈ પ્રમાણે સંસદગૃહને અલગથી સ્ટાફ ફાળવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આ માર્શલ્સ ગૃહના સભાપતિની સુરક્ષા સંભાળે છે.

સભાપતિની ડાબી તરફ માર્શલ હોય છે અને જમણી તરફ મદદનીશ માર્શલ સેવા આપે છે. કોની જગ્યાં ક્યાં હોય છે એ પણ નિયમ પ્રમાણે નક્કી જ હોય છે. સભાપતિ જ્યાં સુધી સંસદના પરિસરમાં હોય ત્યાં સુધી તેમની સુરક્ષા, મદદની જવાબદારી માર્શલના શિરે હોય છે. સંસદના બંને ગૃહોના સુરક્ષા અધિકારીઓને સંસદ પરિસરની જરૂરિયાત મુજબ વિશેષ તાલીમ આપવામાં આવે છે, પરંતુ માર્શલને તો એનાથી ય અલગ અને ખાસ ટ્રેનિંગ મળે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે સભાપતિના આદેશ પ્રમાણે ગૃહમાં ધમાલ મચાવતા સભ્યોને બહાર કાઢવાનું કામ આ માર્શલ કરે છે, પરંતુ એ સિવાયના ઘણાં કાર્યો માર્શલને કરવાના હોય છે. સભ્યોને બહાર લઈ જવાનું કામ તો વોર્ડ અધિકારીઓને પણ સોંપવામાં આવે છે. ધાંધલ-ધમાલ વખતે કોઈ સભ્ય સ્પીકર સુધી ન પહોંચે તે માર્શલે જોવાનું હોય છે.

માર્શલ પાસે સંસદીય પ્રક્રિયાને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. સંસદમાં ઉગ્ર ચર્ચા થાય ત્યારે કે વચ્ચે બીજા સભ્યો બોલવાની પરવાનગી માગે ત્યારે માર્શલના આ જ્ઞાનની પણ કસોટી થાય છે. સંસદગૃહમાં રખાયેલા ચિત્રોની સંભાળ પણ માર્શલના કાર્યક્ષેત્રમાં આવે છે. સભાપતિ સુધી પહોંચતા ચા-કોફી પણ માર્શલની નિગરાનીમાંથી જ પસાર થાય છે. બીજી રીતે કહીએ તો સ્પીકર અને સભાપતિ સંસદ પરિસરમાં હોય ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી માર્શલની હોય છે. બંને માર્શલને ખરા અર્થમાં સભાપતિના બંને હાથ બનીને સંસદગૃહમાં કામગીરી કરવાની તાલીમ મળે છે.
Sunday 1 December 2019
Posted by Harsh Meswania
Tag :

જલેબી : બધા વ્યંજનો સાથે 'ગઠબંધન' કરી શકતી વાનગી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

આમ જુઓ તો જલેબી અદ્લ રાજકારણીઓ જેવી છે. એનું ગઠબંધન ગમે તેની સાથે શક્ય છે. ફાફડા, સમોસા, પૌંઆ, રબડી એમ બધા જોડે જલેબી જોડી જમાવી જાણે છે!


જલેબી રાજકારણીઓ જેવી છે. અલગ અલગ સ્થળે જુદાં જુદાં સાથીઓ સાથે ગઠબંધન કરી જાણે છે. જ્યાં જેની લોકપ્રિયતા હોય ત્યાં એની સાથે હળી-ભળી જાય છે! ગુજરાતમાં ફાફડા-ગાંઠિયાની વગ પારખીને અતૂટ દોસ્તી કરી લીધી. મધ્યપ્રદેશમાં કચોરી-પૌંઆની પોપ્યુલારિટી જોઈને એની સાથે મિત્રાચારી કરી લીધી. બિહારમાં દૂધના ગ્લાસ સાથે જોડી જમાવી. ઉત્તર પ્રદેશમાં સમાસા અને રબડી સાથે મિત્રતા કરી લીધી ને નોર્થઈસ્ટમાં કઢી-ભાત સાથે ગઠબંધનની જરૂર જણાઈ તો એ ય સુપેરે પાર પાડ્યું.

આ વાનગી એવી ગળચટ્ટી કે એક વખત પ્રભાવમાં આવ્યાં એટલે પત્યું! રાજકારણીઓનાં વાયદાઓ જેવો જ એનો ય સ્વભાવ. દરેક વખતે વાયદો પૂરો ન થાય પછી ચૂંટણી પહેલાં નિર્ધાર કરો કે હવે આ વખતે તો એવા કોઈ વાયદામાં આવવું જ નથી. ને તો ય નવા વાયદામાં આવ્યા વિના ન રહેવાય. એમ ભરપેટ જલેબી ખાધા પછી તો એમ જ થાય કે હવે એક કટકો પણ વધારે ખાવો નથી, પણ ફરી વખત જુઓ કે તરત જ પેટમાં જગ્યા કરવી પડે!

જલેબી રાજકારણીઓ જેવી ગૂંચવણવાળી પણ ખરી જ ને! જેમ આટલાં ગરબડ ગોટાળા છતાં રાજકારણીઓ દરેક વખતે મત મેળવી શકે છે એમ દેખાવમાં આટ-આટલી ગૂંચ હોવા છતાં જલેબી સ્વાદરસિયાઓનો પ્રેમ મેળવવામાં ક્યારેય પાછળ રહેતી નથી. સદીઓથી સ્વાદપ્રિય જનતાની જીભે વળગી છે.

જલેબી રાજકારણીઓ જેવી છે - એમ કહીએ તો એમાં જલેબીને દુ:ખ લાગી શકે! આ કમ્પેરીઝનથી રાજકારણીઓએ દુ:ખ લગાડવા જેવું નથી, ઉલ્ટુ હરખાવા જેવું ખરું. જલેબી જેવી ગળચટ્ટી વાનગી સાથે તુલના થાય એનાથી વિશેષ તો રાજકારણીઓએ અપેક્ષા ન જ રાખવી જોઈએ.

આવી આ જલેબી હમણાં અચાનક રાજકારણીઓની હડફેટે ચડી ગઈ. ગૌતમ ગંભીરે જલેબીની આંગળી પકડીને તેને દિલ્હીના પ્રદૂષણનો પરિચય કરાવ્યો એ વાત અને પછી ટ્રોલર્સ અને ગંભીર વચ્ચે થોડાં દિવસ સામ-સામું ટ્વિટર યુદ્ધ થયું એ વાત હવે બીજા ટ્વિટર ટ્રેન્ડ્સમાં પાછળ ધકેલાઈ ચૂકી છે.
વાત એવી હતી કે ગૌતમ ગંભીરે દિલ્હીના પ્રદૂષણ નિવારણની મીટિંગમાં જવાને બદલે ઈન્દૌર જઈને જલેબી ખાધી. ગૌતમ ગંભીર સામે વાંધો કાઢનારા લોકોનો મુદ્દો ખાલી એટલો જ હતો કે જો જલેબી જ ખાવી હતી તો દિલ્હીમાં ક્યાં નહોતી મળતી? એના માટે ઈન્દૌર સુધી ધક્કો ખાવાની શી જરૂર હતી? આવી સરકારી મીટિંગોમાં તો ૫૨-૫૬ જાતના પકવાનો ય જમાડાતા હોય છે ત્યારે જો ગંભીરે જરાક સરખીય હિન્ટ આપી હોત તો જલેબીની ય વ્યવસ્થા થઈ જ જાત. અરે, સાંસદો માટે તો સરકાર ઈન્દૌરથી ય જલેબી મંગાવી આપત. ગંભીરે દિલ્હીના પ્રદૂષણની ચર્ચા કરવા હાજરી આપી હોત તો જલેબીની જલેબી ય ખવાઈ જાત અને કામનું કામ પણ થઈ જાત!

એનીવે, એ બધી વાતો વચ્ચે થોડીક વાતો તો જલેબીની ય થઈ શકે એમ છે. વાતો કરવા જેવો લાંબો ઈતિહાસ જલેબીએ એના ગુંચળાઓમાં સાચવી રાખ્યો છે!
                                                                           ***
જલેબી એશિયન મૂળની મીઠાઈ છે એ વાત નક્કી છે, પણ એના ઉદ્ગમ સ્થાન વિશે કોઈ ચોક્કસ રેકોર્ડ મળતો નથી. મોટાભાગના ફૂડ એક્સપર્ટ્સ માને છે કે નામ પરથી તેનો ઉદ્ભવ ઈરાનમાં થયો હશે. જલેબી શબ્દ પર્સિયન હોવાનું અમેરિકન ઈતિહાસ એર્નેસ્ટ હમ્વીએ નોંધ્યું છે. અરેબિકમાં ઝુલાબિયા અને ફારસીમાં ઝોલબિયાના નામથી જલેબીના ઘણાં ઉલ્લેખો મળે છે.

જલેબીનો જૂનામાં જૂનો રેફરન્સ ૧૦મી સદી સુધીનો મળે છે. ઈબ્ન સૈયર અલ વારેક નામના રસોઈકળા નિષ્ણાતે ૧૦મી સદીમાં લખેલી અરેબિક વાનગી બુકમાં ઝુલુબિયા મીઠાઈનો ઉલ્લેખ કર્યો છે. સૌથી વધારે સ્વીકૃત અને આજની જલેબીની વ્યાખ્યામાં ફિટ બેસે એવો ઉલ્લેખ મુહમ્મદ બિન હસન અલ-બગદાદી નામના અરેબિક કમ્પાઈલરે કર્યો હતો. 'વાનગીઓનું પુસ્તક' એવાં એરિબક નામના એ પુસ્તકમાં ૨૬૦ રેસિપીનો સમાવેશ થયો હતો, જેમાં જલેબીની બે-ત્રણ પ્રકારની બનાવટ વિશે વિગતવાર લખાયું હતું.

વિદેશી આક્રમણખોરો અને વેપારીઓએ જલેબીનો પરિચય ભારતને કરાવ્યો એ સમયગાળો હતો લગભગ ૧૫મી સદીનો. ભારતમાં એનું નામ પડ્યું કુંડલિકા. એક નામકરણ જલવલ્લિકા પણ નોંધાયું. ૧૪૫૦ના પ્રિયમકર્ણપકથા નામના જૈન ગ્રંથમાં જલેબીનો ઉલ્લેખ ઈતિહાસકારોએ શોધી કાઢ્યો છે. ૧૬મી સદીના સંસ્કૃતના ગ્રંથોમાં પણ જલેબીની રેસિપી આપવામાં આવી છે. તેનો અર્થ એ કે ૧૬મી સદી આવતાં આવતાં જલેબી ભારતીયોના દાઢે વળગી ચૂકી હતી.

એ પછી બધી વાનગીઓનું જે રીતે મૌલિક ઉમેરણોથી ભારતીયકરણ થયું એવું જલેબીનું ય થયું. ભારતમાં જલેબીની બનાવટમાં થોડાક તફાવતો આવ્યાં. આપણે આપણાં સ્વાદ પ્રમાણે ફેરફારો કરીને જલેબીને વધારે ગળચટ્ટી, વધારે કરકરી બનાવી. એકાદ-દોઢ સદીમાં એવો સમય આવી ગયો કે મૂળ રેસિપીને બદલે આપણી જલેબી જ દુનિયામાં વધારે વિખ્યાત થઈ ગઈ. અંગ્રેજોએ ભારતીય છાંટની જલેબીને વિદેશમાં પહોંચાડી. પછી તો ભારતીયો ય દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યા અને એમણે પણ જલેબીને લોકપ્રિય બનાવી.

ભારતના અપાર વૈવિધ્યમાં જલેબી એકાકાર થઈ ગઈ. ગઠબંધન કરવાની તેની આવડત તો સદીઓ જૂની હતી જ, એમાં ભારતની વાનગીઓ અને સ્વાદપ્રેમી ભારતીયોની જીભે તેને બહુ મદદ કરી. આમ તો ભારતના રોજિંદા ખોરાકમાં જલેબીને સ્થાન મળ્યું છે, પણ દશેરા, રક્ષાબંધન, દિવાળીમાં અલગ અલગ પ્રદેશમાં તેની હાજરી અનિવાર્ય થઈ પડી છે. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં રમઝાન દરમિયાન ભૂખ્યાને જલેબી ખવડાવવાની પરંપરા બની ગઈ છે.

નેપાળ, શ્રીલંકા, ભૂતાનમાં તો તેની હાજરી અવશ્ય જોવા મળે, પણ ઝલેબિયા નામથી આપણી જલેબી અલ્જિરિયા, ટયુનિશિયા, લિબિયા, મોરોક્કો સુધી પહોંચી ગઈ છે. તેના સ્વરૂપમાં થોડાં-ઘણાં ફેરફાર કરીને ય જલેબી જેવી જ વાનગીઓ ભારતીય ઉપખંડમાં અને તેની બહાર અસ્તિત્વમાં આવી છે.
                                                                              ***
વેલ, જલેબીની આપણે રાજકારણીઓ સાથે કમ્પેરીઝન કરી એ એના બાહ્ય દેખાવ અને ગુણધર્મ પૂરતી, બાકી જીભને મધુરો ટેસ્ટ કરાવતી આ વાનગી આંટીઘૂંટી છતાં મીઠાશ આપી શકાય છે, નરમ રહી શકાય છે, બધા સાથે હળી-ભળી શકાય છે - એવી પ્રેરણા રાજકારણીઓને ય આપી જાય છે. દેશની સૌથી મધુર પાંચ વાનગીનું લિસ્ટ બને તો જલેબી ટોપ-૩માં આવે. એમ તો એનો કલર હજુ રાજકારણીઓની ઝપટે ચડ્યો નથી, નહીંતર એને ય કોમવાદી રંગ લાગી શકે ખરો. ભારતના ટ્રોલર્સનું ભલું પૂછવું! શું કહો છો?
                                                                              ***

હેલ્થની રીતે એક દિવસમાં કેટલી જલેબી ખાઈ શકાય?

જલેબી ખાવાના શોખીનો તો ડિશ ભરીને ય જલેબી ઝાપટી શકે છે. જલેબી ખાવાની ક્ષમતા ભૂખ અને પસંદ ઉપર આધારિત છે. જલેબી કેટલી ખાઈ શકાય એના કરતા મહત્વનું એ છે કે કેટલી ખાવી જોઈએ? કેટલી જલેબી ખાવી જોઈએ એનો જવાબ મેળવવા માટે કેટલું ગળપણ શરીરને એક દિવસમાં આપવું જોઈએ એ જાણવું જરૂરી છે. શરીરવિજ્ઞાન કહે છે કે દિવસમાં ૫થી ૮ ટી સ્પૂન જેટલી ખાંડ-સાકર ખોરાકમાં લઈ શકાય.

કુલ ગળપણ ૭૬ ગ્રામ લઈ શકાય, જે બીજા બધા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે એટલે ખાંડનું પ્રમાણ ૮ ટીસ્પૂનથી વધારે ન હોવું જોઈએ. તે હિસાબે ભારતમાં મળતી જલેબીના આકાર-ગળપણનો અંદાજ લગાવીને સંશોધકો સરેરાશ એક-દોઢ જલેબી ખાવાની સલાહ આપે છે. સપ્તાહમાં એકાદ વખત નાસ્તામાં જલેબી ખાતા લોકો વધારે આરોગી જાય તો બહુ વાંધો આવતા નથી, પણ દરરોજ એકથી વધુ જલેબી આરોગી જતાં લોકોને સંશોધકો કંટ્રોલ કરવાની સલાહ આપે છે.
                                                                           ***

જલેબી કા જલવા: ૩૭ કિલોની એક જલેબીને ગિનેસ બુકમાં સ્થાન

જલેબી એશિયા ઉપરાંત દુનિયાના ઘણાં દેશોમાં ખવાતી વાનગી છે, પણ ભારતમાં તેનો દમામ અલગ છે. જલેબીએ ભારતીયોના હૃદયમાં, અથવા એમ કહો કે ભારતીયોના જઠરમાં આગવું સ્થાન મેળવ્યું છે. રેકોર્ડ્સ પણ ભારતના નામે જ બોલે છે. ૨૦૦૮માં મેઘાલયમાં સૌથી મોટી જલેબીનો વિક્રમ નોંધાયો હતો. મેઘાલય ટૂરિઝમ ડેવલપમેન્ટના ફેસ્ટિવલમાં છ ફૂટ વ્યાસ ધરાવતી જલેબી બનાવાઈ હતી, જેને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું. એ રેકોર્ડ ૨૦૧૫માં તૂટ્યો હતો.
મુંબઈની સંસ્કૃતિ રેસ્ટોરન્ટના ૧૨ રસોઈયાની ટીમે સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરની હાજરીમાં ૨જી મે, ૨૦૧૫ના દિવસે ૩૭ કિલોની એક જલેબી બનાવીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું હતું. આ જલેબીને તૈયાર થતાં ત્રણ કલાક ૪૮ મિનિટ લાગ્યાં હતા. નવ મીટરનો વ્યાસ ધરાવતી આ જલેબી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જલેબી બનાવવાનું નક્કી કર્યું અને જલેબી બની ગઈ એવું નહોતું, જલેબી મેકર્સે ૧૦૦ દિવસ સુધી તેની પ્રેક્ટિસ કરી હતી અને છેલ્લાં દિવસોમાં તો એની પાછળ ૨૦-૨૦ કલાકની મહેનત કરી હતી. ભારતમાં વારે-તહેવારે જલેબી ખાવાની સ્પર્ધાઓ પણ યોજાતી રહે છે.
Sunday 24 November 2019
Posted by Harsh Meswania
Tag :

હાઉસ પ્લાન્ટ : પર્યાવરણને બચાવવાના નામે વિકસી રહેલો બિઝનેસ

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દેશના મોટા શહેરોમાં હવા પ્રદૂષણના ભય વચ્ચે ઈન્ડોર પ્લાન્ટ્સની ભલામણ થઈ રહી છે. શું હાઉસ પ્લાન્ટ્સથી આપણી આસપાસની હવા તાજી થઈ શકે? વિજ્ઞાન શું કહે છે?


 
પાટનગર દિલ્હી સહિત ભારતના તમામ મોટા શહેરો પ્રદૂષણના દલ-દલમાં ફસાઈ ચૂક્યા છે. મોટા શહેરોની હવામાં ઝેર ભળી ચૂક્યું છે અને ઘણાં પ્રયાસો છતાં એ ઝેર ઓછું થતું નથી. પ્રદૂષણ, ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણ બચાવવાની વાત આવે ત્યારે માણસને સૌથી પહેલો વિચાર વૃક્ષારોપણનો જ આવે છે.

દુનિયાભરમાં વૃક્ષારોપણ થાય છે, પરંતુ મુશ્કેલી એ છે કે ૨૧મી સદીના માણસ પાસે વૃક્ષારોપણનો જેટલો સમય છે એટલો વૃક્ષ ઉછેરવાનો સમય નથી. વર્ષમાં સતત થતાં વૃક્ષારોપણનો આંકડો જોઈને તો સહેજેય થાય કે એકાદ-બે દશકામાં પૃથ્વીનો ગોળો હરિયાળો થઈ જશે, પણ એવું થતું નથી. વૃક્ષારોપણ નિબંધો, ચિંતનશિબિરો અને ફોટોસેશનમાંથી આગળ વધી શકતું નથી એ હકીકત છે. આંખ ઠરે એવાં અપવાદો જરૂર છે, પણ એની સંખ્યા એટલી મોટી ય નથી.

પ્રદૂષણ રોકવા માટે માણસને એકમાત્ર હાથવગો ઉપાય વૃક્ષારોપણનો દેખાય છે, પણ વિશ્વનો દરેક માણસ ઈચ્છે તો ય એનો અમલ કરી શકે તેમ નથી. વૃક્ષારોપણ માટે જમીન ક્યાં? જ્યાં જમીન છે ત્યાં વૃક્ષો ઉછેરી શકાય એટલું પાણી નથી. શહેરીજનોની તો મુશ્કેલી જ એ છે કે વૃક્ષારોપણ કરવું હોય તો પણ કરે ક્યાં? એ માટે જગ્યા કોણ આપે?

જગ્યા નથી એટલે વૃક્ષારોપણ કે વૃક્ષોના ઉછેરની ઈચ્છા ત્યાં જ શમાવી દેવી પડે છે. એનો ય શાણા માણસોએ ઉપાય શોધી કાઢ્યો! એ ઉપાયનું નામ છે - ઈન્ડોર પ્લાન્ટ.

જગ્યા નથી? વાંધો નહીં. ઘરમાં જેટલી જગ્યા છે એટલામાં, નાનકડાં રોપાને ઉછેરો અને પર્યાવરણ બચાવવામાં સહભાગી બનો! વિજ્ઞાાનિકોના પ્રારંભિક સંશોધનોમાં જણાયું કે હાઉસ પ્લાન્ટ્સ પણ પ્રદૂષિત હવાને સ્વચ્છ કરવા સક્ષમ છે ત્યારથી હાઉસ પ્લાન્ટ્સનો બિઝનેસ ઝડપભેર વિકસી રહ્યો છે.
                                                                      ***
નાસાના વિજ્ઞાનિકોએ ૧૯૮૯માં ઈન્ડોર પ્લાન્ટને લગતું સંશોધન હાથ ધર્યું હતું. સંશોધન પછી ૧૪ પાનાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. સંશોધનમાં પહેલી નજરે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સથી પ્રદૂષિત હવા સ્વચ્છ થાય છે. તારણ સાચું ય હતું.

બે ફૂટની એક કેબિનમાં વિજ્ઞાનિકોએ ઈન્ડોર પ્લાન્ટ મૂકીને ૨૪ કલાક દરમિયાન એ કેબિનની હવામાં થતાં ફેરફાર નોંધ્યા હતા. એ નાનકડી કેબિનમાં ટ્રાઈક્લોરોથિલીન, ફાર્મલ્ડિહાઈડ જેવા કેમિકલ્સ ભેળવવામાં આવ્યાં હતાં. ૨૪ કલાક પછી એ પ્રદૂષિત હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો હતો.

એ સંશોધનમાં ત્રણેક પ્રકારના પ્રદૂષણ અંગે સંશોધન થયું હતું અને તારણ આપવામાં આવ્યું હતું કે ઈન્ડોર પ્લાન્ટથી ઓરડાનું વાતાવરણ સ્વચ્છ થાય છે. ટેકનિકલી સંશોધન એકદમ સાચું જ હતું, પરંતુ એ માત્ર બે-ત્રણ ફૂટ નાનકડી કેબિનમાં બે-ત્રણ પ્રકારના પ્રદૂષિત વાયુ ઉપર જ થયું હતું. મોટાપાયે તેની સફળતા માપવામાં આવી ન હતી.

પણ એ સંશોધનને ભારે વાહવાહી મળી. એના જેવા બીજા સંશોધનો થયા. સ્વાભાવિક રીતે જ વૃક્ષોમાં હવા શુદ્ધિકરણનો જે ગુણ હોય એ તેની અસર બતાવ્યા વગર ન રહે એટલે ઓરડાની પ્રદૂષિત હવા થોડી-ઘણી સ્વચ્છ થયા વગર ન રહે. પણ આ નિયમ બધે જ અપ્લાય થઈ શકે તેમ ન હતો. ઘરનું વાતાવરણ પેલી પ્રયોગમાં લીધેલી કેબિન કરતા અલગ હોય છે. ઘરમાં રસોડાંના ગેસથી લઈને બીજા લિક્વિડ વપરાતા હોય એ સિવાય પણ બહારની હવા સતત અંદર પ્રવેશતી રહે છે. ૨૪ કલાકમાં એક વખત પ્રદૂષિત હવા ઉમેરીને થયેલો પ્રયોગ સામાન્ય ઘરોમાં એટલો અસરકારક નીવડી શકે નહીં.
 
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ ૨૦૦૬માં ઈન્ડોર પ્લાન્ટ અને એર પ્રદૂષણનું સંશોધન કર્યું હતું. એ પ્રયોગ મોટાપાયે થયો હતો. એમાં ઓફિસથી લઈને મોટા હોલમાં પણ પ્રયોગો થયા હતા. બદલાતી હવામાં ફિલ્ટર પ્લાન્ટ કેવાં અસરકારક રહે છે તેનું નિરીક્ષણ કર્યા પછી જણાયું કે જેટલી ધારણાં હતી એટલું પરિણામ મળતું નથી.

એકને બદલે ચાર કે છ પ્લાન્ટ ઉછેર્યા પછી ય હવા ધાર્યા પ્રમાણે શુદ્ધ થતી ન હતી. નેશનલ જ્યોગ્રાફિકે ઈન્ડોર પ્લાન્ટ અને પ્રદૂષિત હવા ઉપર એક અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એમાં ય સ્પષ્ટતા કરવામાં આવી કે એક-બે પ્લાન્ટ્સથી ઘરની હવા શુદ્ધ થતી નથી. થોડોક ફેરફાર થાય છે, પણ દિલ્હી જેવાં પ્રદૂષિત શહેરમાં આવા પ્લાન્ટ્સ બેઅસર ઠરે છે.

પરંતુ ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સની અસરકારકતા અંગે કોઈ ચોક્કસ તારણ આવે તે પહેલાં તો એનો બિઝનેસ પૂરબહારમાં ધમધમવા લાગ્યો હતો.
                                                                     ***
૨૦૦૬-૦૭માં ભારતમાં ૧.૪૪ લાખ હેક્ટર જમીન ઈન્ડોર પ્લાન્ટ્સના બિઝનેસ માટે ખપમાં લેવાતી હતી. એટલે કે ઈન્ડોર પ્લાન્ટ્સ વેંચતા ખેડૂતો કે નર્સરીમાં આટલી જમીનમાં પ્લાન્ટ તૈયાર કરવાની કામગીરી થતી હતી. ૨૦૧૮માં એ જમીન વધીને ૨.૫ લાખ હેક્ટર થઈ હતી. એક દશકામાં ઈન્ડોર પ્લાન્ટ્સ તૈયાર કરતી જમીનમાં એક લાખ હેક્ટરનો વધારો થયો હતો.

દેશમાં આ બિઝનેસ કેટલાં કરોડનો છે, તેનો ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે, પણ અમેરિકામાં ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટના બિઝનેસનો ડેટા તૈયાર થાય છે, એ પ્રમાણે અમેરિકનો હાઉસ પ્લાન્ટ્સ પાછળ વર્ષે ૧.૭ અબજ ડોલરની રકમ ખર્ચે છે. બ્રિટનમાં પણ આ બિઝનેસ એક અબજ પાઉન્ડનો હોવાનો અંદાજ છે.

યુરોપિયન દેશોમાં હાઉસ પ્લાન્ટનો બિઝનેસ અઢી અબજ કરતાં ય વધારે હોવાનો દાવો થાય છે. એશિયન દેશોમાં તેનું ચલણ છેલ્લાં દોઢ-બે દશકાથી જ વધ્યું છે. એક અંદાજ એવો છે કે એશિયામાં આ બિઝનેસ ૨૦૨૪ સુધીમાં ત્રણ ગણો વધી જશે.
 
પ્રદૂષણ વધ્યું છે તેમ પ્રદૂષણ અટકાવવાની જાગૃતિ પણ વધી છે. લોકો તેના ઉપાયો પાછળ ખર્ચ કરતા થયા છે. લોકો જાતે આવડે એવા વિકલ્પો અજમાવતા થયા છે. હાઉસ પ્લાન્ટ્સની ખાસિયત એ છે કે તેમાં ઓછી મહેનતે, ઓછાં ખર્ચે, ઓછી જગ્યામાં પર્યાવરણ બચાવવાના પગલાં ભર્યાનું આશ્વાસન લઈ શકાય છે એટલે હાઉસ પ્લાન્ટ્સનો બિઝનેસ આગામી વર્ષોમાં અનેક ગણો વધશે એ નક્કી છે.

ઘરનું આંતરિક બંધારણ, સભ્યો, વપરાશ, વિસ્તાર વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને વિદેશમાં સલાહકારોની સલાહ મેળવવાનો ય ટ્રેન્ડ શરૂ થયો છે. થોડીક ફી લઈને ઓનલાઈન જ ઘરનો ફોટો અને વિગત જોઈને ઘરમાં ક્યા પ્લાન્ટ્સ ઉપયોગી રહેશે તેની સલાહ આપવાનો ટ્રેન્ડ ભારતમાં ય વહેલોમોડો શરૂ થશે એ પણ પાક્કું છે.
                                                                             ***
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ બે-એક વર્ષ પહેલાં હાઉસ પ્લાન્ટ્સને લગતો એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં જણાયું હતું કે જે શહેરીજનોના ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ્સ હતા, એવાં લોકો ઈન્ડોર પ્લાન્ટ્સ વગર રહેતા લોકોની તુલનાએ વધારે તાજગી અનુભવતા હતા. ઈન્ડોર પ્લાન્ટ્સ ધરાવતા ૪૭ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ઘરમાં પ્રવેશતી વખતે હવામાં મીઠી સુગંધ અનુભવાતી હતી. ઈન્ડોર પ્લાન્ટસ નહોતા એ પહેલાં આઠ-નવ કલાક પછી ફરીથી ઘરમાં પ્રવેશતી વખતે એવો અનુભવ થતો ન હતો.

વેલ, આ ઈન્ડોર પ્લાન્ટ્સ આપણી ધારણા પ્રમાણે શુદ્ધ હવા કરી શકવા સમક્ષ નથી એમ વિજ્ઞાન કહે છે, પરંતુ એનો અર્થ એવો ય નથી કે તે સાવ બેઅસર છે. વૃક્ષારોપણના વિકલ્પ તરીકે ઈન્ડોર પ્લાન્ટ્સ કામ કરી શકે તેમ નથી, પરંતુ તેની સારી અસર ઘરમાં થાય છે તે નકારી શકાય નહીં.

માનવજાતે બેજવાબદારીથી વર્તીને બધા જ પ્રકારનું પ્રદૂષણ વધાર્યું છે અને પછી પર્યાવરણ બચાવવાની જવાબદારી આવે ત્યારે જે સરળ ઉપાય છે તેના ઉપર આપણે પસંદગી ઉતારીએ છીએ. વૃક્ષ વાવવાં માટે જગ્યા નથી, જગ્યા હોય તો એ ઉછેરવા સુધીની ધીરજ નથી. વૃક્ષારોપણની મહેનતને બદલે આપણે નાજુક ઈન્ડોર પ્લાન્ટ્સ ઉપર પ્રદૂષણ શુદ્ધ કરવાનો બધો જ ભાર મૂકી દઈએ છીએ.

ઈન્ડોર પ્લાન્ટ્સની ક્ષમતાના પ્રમાણમાં તેની પાસેથી રખાતી અપેક્ષા ઘણી ઊંચી છે એટલે સરવાળે એ બેઅસર ઠરે છે, પરંતુ આટલી ઊંચી અપેક્ષા રાખ્યા વગર બે-ત્રણ પ્લાન્ટ્સ ઘરમાં ઉછેરી શકીએ તો એ આપણે કેળવેલી સારી આદત તો ચોક્કસ ગણાશે.
                                                                     ***

લોકોની પસંદ બનેલાં ઈન્ડોર પ્લાન્ટ્સ

ગૂગલ ટ્રેન્ડનો પાંચ વર્ષનો ડેટા કહે છે એમ ઈન્ડોર પ્લાન્ટ્સની જાણકારી મેળવવાનો, સર્ચ કરવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. સરેરાશ એક મહિનામાં ઈન્ડોર પ્લાન્ટ સર્ચ કરનારાનું પ્રમાણ છેલ્લાં પાંચ વર્ષમાં એક હજાર યુઝર્સે પાંચમાંથી ૭૬ થયું છે. એનો અર્થ એ કે પાંચ વર્ષ પહેલાં ગૂગલમાં એક હજાર યુઝર્સમાંથી મહિનામાં માત્ર પાંચ લોકો ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ એવું સર્ચ કરતા હતા, તેના બદલે હવે એ સંખ્યા એક હજાર યુઝર્સે ૭૬ની થઈ ગઈ છે. ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનો ટ્રેન્ડ કેટલો વધી ગયો છે તે આ સર્ચ ટ્રેન્ડ પરથી કલ્પી શકાય છે.
દુનિયામાં જે ઈન્ડોર પ્લાન્ટ્સની સૌથી વધુ ડિમાન્ડ રહે છે એમાં ઈંગ્લિશ આઈવી, રેડ પામ, ચાઈનીઝ એવરગ્રીન તરીકે ઓળખાતી એગ્લાઓનીમા નામની વનસ્પતિ, ડ્રેગન ટ્રી, લોરેન્ટી, પીસ લીલી, સ્પાઈડર પ્લાન્ટ વગેરે મુખ્ય છે. આ બધા પ્લાન્ટ્સથી હવા થોડી-ઘણી શુદ્ધ થતી હોવાની સાબિતી અલગ અલગ નાના-મોટા સંશોધનોમાં થઈ ચૂકી છે.
 
ભારતમાં વિવિધ પ્રકારના ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનું ઓનલાઈન-ઓફલાઈન ધૂમ વેંચાણ થાય છે. દિલ્હી જેવાં શહેરોમાં ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનું વેંચાણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં દોઢ ગણું થઈ ચૂક્યું છે. ભારતમાં ઓનલાઈન તો હાઉસ પ્લાન્ટ્સ અસંખ્ય વેરાયટીમાં માત્ર ૧૦૦-૨૦૦ રૂપિયાથી શરૂ કરીને ભાવ ૨૦-૨૫ હજાર સુધી પહોંચે છે! હાઉસ પ્લાન્ટ્સનો ટ્રેન્ડ ન હતો ત્યારે ય આપણે ત્યાં હાઉસ પ્લાન્ટ્સ તરીકે તુલસીના છોડને ઉછેરવાનું ચલણ હતું. તુલસીના ગુણો વિશે ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. એક તુલસીનો રોપ ઉછેરીએ તો ય ઘર-બાલ્કનીની શોભા અને તાજગી બંને વધે છે.
Sunday 17 November 2019
Posted by Harsh Meswania
Tag :

નવી ટ્રાફિક ટેકનોલોજી દુનિયાના રસ્તાઓને સલામત બનાવશે



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.


'લોકશાહી પ્રક્રિયા અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘણું સામ્ય છે, દરેક વખતે લોકોને લાગે કે હવે વાંધો નહીં આવે અને ત્યાં ફરીથી એ જ સમસ્યા શરૂ થઈ જાય છે!'

સાઉથ આફ્રિકન લેખિકા લોરેન બ્યુક્સનું આ સ્માર્ટ ક્વોટ દુનિયાભરના ટ્રાફિક નિયમનને એક સરખી રીતે લાગું પડે છે. એક ટ્રાફિક જામમાં ફસાયા પછી માંડ એવી ધરપત બેસે કે હવે વાંધો નહીં આવે, ત્યાં વધુ એક ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ છીએ. લોકશાહીમાં એક પક્ષથી કંટાળીને બીજા પક્ષને ખોબલે ખોબલે મત આપ્યાં પછી ય દુનિયાભરના નાગરિકોને લગભગ આવી જ ફીલિંગ આવે છે. બીજો પક્ષ પણ ફરીથી એની એ સમસ્યામાં સપડાવે છે.

ટ્રાફિકની સમસ્યા દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો બનતો જાય છે અને તેના ઉપાયો શોધવા માટે વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સચોટ ઈલાજ મળતો નથી. વિજ્ઞાન-ટેકનોલોજીએ આપણી લાઈફસ્ટાઈલ સદંતર ચેન્જ કરી નાખી છે. એ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે એવી આશા દર વર્ષે ઉજળી બનતી જાય છે. થોડાંક વર્ષોથી થયેલાં સંશોધનોએ ફરીથી નવી આશા જન્માવી છે.
                                                                             ***

સ્માર્ટ સિગ્નલ : સમય બચાવતી સિસ્ટમ

અત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઈમર સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક તરફનું સિગ્નલ ૨૦થી ૩૦ સેકન્ટ માટે ઓપન થાય છે, પરંતુ હવે ઘણાં નાના શહેરોમાં સ્માર્ટ સિગ્નલના પ્રયોગો શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલવામાં આવે છે.
જે તરફથી વધારે વાહનો આવવા માંડે એ તરફના સિગ્નલનો સમયગાળો વધી જાય અને જે તરફથી ઓછા વાહનો આવતા હોય એ તરફના સિગ્નલનો સમયગાળો ઘટી જાય. એના કારણે આગળના રસ્તાઓમાં ટ્રાફિક વધતો નથી. એના માટે કેમેરાની એક આખી ચેનલ ગોઠવીને તેના ડેટાનું ઓટોએનાલિસિસ થતું રહે છે.

મોડી રાત્રે મોટાં શહેરોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે એક તરફનું સિગ્નલ ચાલુ હોય તો ય વાહનો નથી હોતા અને એ જ વખતે બીજી તરફનું સિગ્નલ બંધ હોય એટલે કારણ વગર વાહનચાલકોને રોકાઈ રહેવું પડે છે. ઓટો સિસ્ટમ સેટ થયેલી હોવાથી તેમાં તુરંત ફેરફાર થતો નથી, પણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના આધારે જો ડેટા એનાલિસિસ થાય તો વધારે ટ્રાફિક ધરાવતા ટ્રાફિક પોઈન્ટ ઉપર આપમેળે વાહનચાલકોને ગ્રીન સિગ્નલ મળી રહે છે. તેના કારણે સમયનો પણ બચાવ થાય છે અને ટ્રાફિક પણ નિયમત થાય છે.

વળી, ટ્રાફિક પોઈન્ટ ઉપર એવી ગ્રીન-રેડ નિશાની પણ દેખાશે કે જેના આધારે ઓછા ટ્રાફિકવાળો રૂટ પસંદ કરી શકાય. કઈ તરફ જવાય અને કઈ તરફ ન જવાય એ નિર્દેશ ટ્રાફિક પોઈન્ટ પરથી જ મળી રહેશે. તેનાથી કદાચ નિયત અંતરે પહોંચતા સરવાળે અડધો કિલોમીટર કે કિલોમીટરનો ફરક પડતો હશે, પરંતુ સરવાળે સમય પણ ઘણો બચી જશે.
                                                                              ***

રોડ-વે લાઈન: રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી

નેધરલેન્ડમાં ચાલતા સ્માર્ટહાઈવે નામના એક પ્રોજેક્ટમાં સંશોધકોએ સ્માર્ટ રોડલાઈન વિકસાવી છે. જ્યાં ડીવાઈડર નથી હોતું ત્યાં સફેદ-પીળાં ચળકતા પટ્ટા પાડીને માર્ગના બે ભાગ પાડવામાં આવે છે. બંને બાજુ જ્યાં રોડ પૂરો થતો હોય છે ત્યાં પણ એવા પટ્ટાથી રસ્તાની મર્યાદા પૂરી થતી હોવાનું સૂચન કરવામાં આવે છે. રોડ માર્કિંગની આ સિસ્ટમમાં સંશોધકોએ થોડીક સ્માર્ટનેસ ઉમેરી છે.
એવી સ્માર્ટ રોડ-વે લાઈન બનાવવામાં સંશોધકોને સફળતા મળી છે કે જે અત્યારની તુલનાએ બહુ ઝડપથી નજરે ચડશે અને વાહનનું પૈડું જેવું વચ્ચેની કે સાઈડની લાઈન ક્રોસ કરશે કે તુરંત સિગ્નલ આપશે. કારની સ્ક્રીનમાં સીટબેલ્ટનો એલાર્મ આવે છે એ જ રીતે લાઈન ક્રોસનો એલાર્મ બતાવશે. સંશોધકોને આશા છે કે લાઈન ક્રોસ કરીને રસ્તાની નીચે ઉતરી જવાના બનાવો આ સ્માર્ટ માર્કિંગથી અટકી જશે.
                                                                               ***

સ્માર્ટ લાઈટ્સ : વીજળીની અછત સામે લડતી ટેકનિક

આજેય અસંખ્ય શહેરોમાં વીજળી અછત હોવાથી હાઈવે લાઈટ્સ બંધ હોય છે. વાહન ચાલકોને રસ્તામાં લાઈટ્સ મળી રહે તે માટે નેધરલેન્ડમાં જ સફળ પ્રયોગો થયાં છે. લાઈટ્સના થાંભલા સાથે એવાં સેન્સર્સ ગોઠવવામાં આવ્યાં છે કે દૂરથી વાહન આવતું જણાય તો લાઈટ ચાલુ થઈ જાય છે. પછી વાહન આવતાં બંધ થાય તો લાઈટ પણ બંધ પડી જાય છે.

વળી, એ લાઈટ્સ થાંભલાની ચારે બાજુ લગાવેલાં પંખાથી ચાલે છે. હવાથી પંખા ફરે અને પંખાથી વીજળી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. જ્યાંથી ઓછા વાહનો પસાર થતાં હોય એવા રસ્તાઓ ઉપર આ ઓટોમેટિક રોડ લાઈટ્સ ઉપયોગી થશે.
                                                                             ***

લીડાર ગન: સ્પીડનો સ્પીડથી અંદાજ મારતી સિસ્ટમ

સ્પીડ માપવા માટે કેમેરા બેઝ્ડ રડાર સિસ્ટમનો ઉપયોગ અત્યાર સુધી થતો આવે છે. હવે ઘણી ટ્રાફિક ફોર્સે લીડાર યાને લાઈટ ડિટેક્શન એન્ડ રેન્ગિંગ ગનનો ઉપયોગ શરૂ કર્યો છે. તેનાથી વાહનની સ્પીડનો અંદાજ કાચી સેકન્ડમાં આવી જાય છે અને વળી તેનો ઉપયોગ બહુ જ સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. લેસરનો શેરડો મારો કે તરત જ આવતા-જતા વાહનની સ્પીડનો આંકડો સ્ક્રીનમાં શો થવા માંડે છે.
ભારતમાં આ સ્પીડ ગનનો ઉપયોગ મર્યાદિત શહેરોમાં પ્રયોગ પૂરતો છૂટોછવાયો થયો છે. ડીઆરડીઓએ સ્વદેશી સિસ્ટમ બનાવવામાં સફળતા મેળવી છે એટલે થોડાંક સમયમાં દેશભરમાં તેનો ઉપયોગ થશે.

ગુજરાત ટ્રાફિક પોલીસને થોડા વખત પહેલાં જ પાંચ સ્પીડ ગન ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનો બહોળો ઉપયોગ થશે એવો સંકેત સરકારે આપ્યો હતો. આ સ્પીડ ગન સરળ અને અસરકારક હોવાથી સ્પીડ લિમિટના નિયમનું પાલન કરાવવામાં બહુ જ કારગત નીવડશે.

                                                                                ***

રોંગ વે ડિટેક્શન સિસ્ટમ

રોંગમાં વાહન ચલાવીને પોતે જોખમમાં પડવું અને બીજાને ય ખતરામાં નાખવા, એ આપણાં દેશની કોમન પ્રોબ્લમ છે. વિદેશમાં પણ ઉતાવળા વાહન ચાલકો આકરા દંડ-સજાની જોગવાઈ છતાં રોંગમાં વાહન ચલાવવાનું જોખમ લેતા હોય છે. એવા વાહન ચાલકોને ઝડપી લેવા માટે ફ્લોરિડાના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે રોંગ વે ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે. એને રોંગ વે એલર્ટ સિસ્ટમ પણ કહે છે.
આ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય અકસ્માતો અટકાવી શકાશે એવો દાવો થાય છે, પણ તેને ઉપયોગમાં લેવામાં હજુ ઘણી એરર્સ દૂર કરવી પડશે. આ ટેકનોલોજી એવી રીતે કામ કરે છે કે રોડ પર ગોઠવાયેલા સેન્સર એક તરફ જતાં વાહનની ગતિ નોંધે છે. જેવું કોઈ વાહન એ રોડ ઉપર અવળી દિશામાં ગતિ કરે કે તુરંત એલર્ટ આપે છે, પરંતુ વાહન રીવર્સમાં લેતી વખતે પણ આ ટેકનોલોજી એલર્ટ આપે છે.

રોંગ વે એલર્ટ માટે એવાં ય પ્રયોગો થઈ રહ્યાં છે કે ક્લાઉડની મદદથી વાહન રોંગમાં જાય છે તેનો અંદાજ લગાવીને વાહનચાલકના રજિસ્ટર નંબરમાં મેસેજ જાય છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ કાર સિવાયના વાહનોમાં લાગુ પાડવી અઘરી છે. ટ્રક-એટોરિક્ષા-બસ જેવા કેટલાય વાહનોમાં એવી સિસ્ટમ જ હોતી નથી કે તેને વોર્ન કરી શકાય.
                                                                          ***
દુનિયાભરના ટ્રાફિક કંટ્રોલ એક્સપર્ટ્સ એકી અવાજે કહે છે કે અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક કંટ્રોલ માટે સ્માર્ટ હાઈવે બનાવવાની ખાસ જરૂર છે. જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે તેને નવી ટેકનોલોજીથી અપગ્રેડ કરી દેવામાં આવે તો દુનિયામાં ૫૦ ટકા અકસ્માતો ઘટી જાય તેમ છે. ટ્રાફિક જામની સમસ્યા ૬૦ ટકા સુધી ઘટી જાય તેમ છે.

વ્હિકલ ટુ વ્હિકલ કોમ્યુનિકેશન ટેકનોલોજી, વ્હિકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્માર્ટ કોરિડોર જેવા કેટલાક નવા વિચારોને ધ્યાનમાં રાખીને નવી નવી ફ્યુચર ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે. આ સંશોધનોએ આશા જગાવી છે કે એકાદ દશકામાં ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી હળવી થઈ જશે.

જે દેશોમાં નવી ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે ત્યાં ૫-૧૦ વર્ષમાં એ ખપમાં પણ આવતી થઈ જશે. ભારત જેવાં દેશો પાસે ત્રણ વિકલ્પો બચશે. એક, જૂની-પૂરાણી સિસ્ટમ પ્રમાણે ચલાવવું અને ટ્રાફિકની સમસ્યાને જેમ છે તેમ રહેવા દેવી. બીજું, જે દેશોમાં સંશોધનો થયા છે તેની પાસેથી સિસ્ટમ ખરીદીને એનો અમલ કરાવવો. ત્રીજું, દેશમાં જ એવાં સંશોધનો થાય તે માટેના પ્રયાસો અત્યારથી જ હાથ ધરવા.

દેશમાં થતાં સંશોધનોના પરિણામો કદાચ તરત નહીં મળે પરંતુ એકાદ દશકામાં એવી કે એનાથી ય ચડિયાતી ટ્રાફિક ટેકનોલોજી દેશી સંશોધકો બનાવી આપશે. પહેલી નજરે હસી કાઢવા જેવું સંશોધન જણાય તો ય જો એને પૂરતું ફંડ ને યોગ્ય પ્રોત્સાહન મળે તો કદાચ એ જ તુક્કો તીર પણ બની શકે.
Sunday 10 November 2019
Posted by Harsh Meswania
Tag :

હાથે લખેલાં પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્માર્ટફોન સ્ટીકર્સે લઈ લીધું!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દિવાળી-બેસતા વર્ષેની શુભેચ્છા પાઠવવા સ્ટીકર્સની આપ-લે મોટા પ્રમાણમાં થઈ. આ સ્ટીકર્સનો પ્રયોગ મેસેજિંગ એપમાં કોણે સફળ બનાવ્યો એ પણ જાણવા જેવું ખરું!


'Happy New'
'નૂતન વર્ષાભિનંદન'
'સાલ મુબારક'
આવાં સ્ટીકર્સની નવાં વર્ષે ભારે પ્રમાણમાં આપ-લે થઈ હશે. રાઈટ? દિવાળી-નૂતન વર્ષના સ્ટીકર્સનું વોટ્સએપમાં જાણે પૂર આવ્યું હશે!

સ્ટીકર્સ ક્રિએટ કરવાનું ઈઝી થયું હોવાથી ઘણાં મૌલિક સ્ટીકર્સ પણ જોવા મળ્યાં. નવાં વર્ષે તૈયાર સ્ટીકર્સ ફોરવર્ડ કરવાને બદલે ઘણાં સ્નેહીજનો-દોસ્તોએ જાતે બનાવેલાં, અલગ પ્રકારના સ્ટીકર્સ સર્જીને ખાસ પ્રકારે શુભેચ્છાઓ પાઠવી હશે.

વોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતની બધી જ પોપ્યુલર મેસેજિંગ એપ્સ સ્ટીકર્સની સર્વિસ આપે છે. પહેલાં માત્ર ઈમોજીની જ સુવિધા હતી, પણ પછી નવીનતા માટે જીઆઈએફ ફાઈલ અને સ્ટીકર્સ પણ એડ થયાં. હવે જેના વગર મેસેજ એપની કલ્પના પણ મુશ્કેલ છે, એવી આ સર્વિસ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? ઈમોજીના બંચમાં આવતા વિવિધ ફેસ એક્સપ્રેશનથી સંતોષ ન માનીને હટકે આપવાની પહેલ ક્યારે થઈ હતી?
                                                                           ***
ફેસબુકે લાઈક સાથે પ્રેમ, નિરાશા, હાસ્ય, ગુસ્સો જેવી ફીલિંગ્સને રિએક્શન બટનમાં ઉમેર્યા તે પહેલાં ઈમોટિકોન્સ વોટ્સએપમાં પોપ્યુલર થઈ ચૂક્યા હતા. શરૂઆતમાં ડઝનેક ઈમોજીથી કામ ચાલતું હતું, પણ પછી વિશ્વભરના ક્રિએટિવ ક્રિએટર્સ વચ્ચે મેસેજ એપ્સમાં નવું આપવાની હોડ જામી એના પરિણામે કંઈ કેટલીય ફીલિગ્સ વ્યક્ત કરતા ઈમોજી આપણાં સ્માર્ટફોનમાં જોવા મળવા લાગ્યાં. મેસેજિંગ એપમાં ઈમોટિકોન્સની અપાર નવીનતા આવી ગઈ પછી યુઝર્સ ફરી કંઈક નવું ઈચ્છતા હતા.

બરાબર એ જ અરસામાં સાઉથ કોરિયન કંપની નેવર કોર્પોરેશને 'લાઈન'ની શરૂઆત કરી. એપ ડેવલપર્સે લાઈનમાં પ્રથમ વખત નવીનતા ઉમેરવા માટે સ્ટીકર્સ આપ્યાં. શરૂઆતમાં તો યુઝર્સને સ્ટીકર્સ અને ઈમોજી વચ્ચે બહુ ફરક ન દેખાયો. ઈમોજી પોસ્ટ કરતી વખતે સાઈઝમાં બહુ નાનકડાં દેખાતા હતા, જ્યારે સ્ટીકર્સ દેખાવમાં તરત ધ્યાન ખેંચે એવા હતા.

આ જ કંપનીએ જાપાનના યુઝર્સને ધ્યાનમાં રાખીને ટૉક નામની એપ લોંચ કરી. જાપાન જેના માટે જગ વિખ્યાત છે એ એનિમેશન આર્ટવર્કની છાંટ ઉમેરીને એ એપ માટે અલગથી સ્ટીકર્સ સર્જવામાં આવ્યાં. અગાઉ જેમણે સ્ટીકર્સ બનાવ્યા હતા એ જ સેમ ડીઝાઈનર્સેની ટીમે ફરીથી જાપાનને ધ્યાનમાં રાખીને સ્ટીકર્સ બનાવ્યા હતા, પણ તેમાં પહેલી વખત જે ખામી રહી ગઈ હતી એ સુધારી લેવામાં આવી હતી.
આ સ્ટીકર્સ વધારે આકર્ષક વધારે પોપ્યુલર થયાં. જાપાની બોયનું સ્ટીકર્સ તો એ એપની ઓળખ બની ગયું. ૨૦૧૫ પછી સ્ટીકર્સની પોપ્યુલારિટી એટલી વધી ગઈ કે દરેક એપ્સમાં એની હાજરી લગભગ ફરજિયાત થઈ ગઈ. મોટાભાગની મેસેજિંગ એપ્સે થોડાં ઘણાં ફેરફાર કરીને સ્ટીકર્સ સમાવ્યાં.

૨૦૧૭માં કંપનીના બીબાંઢાળ સ્ટીકર્સને બદલે જાતે સ્ટીકર્સ બનાવી શકાય એ દિશામાં કામ શરૂ થયું. ફોટામાં ફેરફાર કરીને થોડાંક શબ્દોમાં મનગમતા શુભેચ્છા સંદેશા આપી શકાય એવી પહેલ થઈ. સ્વીફ્ટ મીડિયાએ એ જ વર્ષે અલગ અલગ કંપની માટે પ્રોફેશનલ ધોરણે ડિમાન્ડ પ્રમાણેના સ્ટીકર્સ બનાવી આપવાનું શરૂ કર્યું. જેમ કે કોઈ લેખકનું પુસ્તક કે કોઈ સિંગરનો એલ્બમ લોંચ થવાનો હોય તો એના સ્ટીકર્સ તૈયાર કરાતા અને એ સ્ટીકર્સથી મેસેજિંગ એપ્સમાં પ્રમોશન થતું.

આ ઘટનાએ સ્ટીકર્સની દુનિયામાં ક્રાંતિ કરી દીધી. અત્યાર સુધી ઈમોજીસના ફોર્મેટમાં કેદ રહેલી સ્ટીકર્સની દુનિયા અચાનક કસ્ટમાઈઝ થઈ ગઈ. સ્વીફ્ટમાંથી પ્રેરણા લઈને કેટલાંય યંગ ડેવલપર્સે એવી એપ્સ જ સર્જી દીધી કે જેમાં યુઝર ધારે એવાં સ્ટીકર્સ બનાવી શકે. ફોટોઝમાંથી સ્ટીકર્સ બનતા થયાં પછી તો રમૂજી સ્ટીકર્સ બનાવવા માટે ય મોકળું મેદાન થયું. દેશ-દુનિયામાં બનતી ઘટનાઓના સ્ટીકર્સ પણ ફની નોટ સાથે તુરંત બની જતાં હોવાથી એનું ફોરવર્ડનું પ્રમાણ પણ દુનિયાભરમાં વધ્યું છે.

ઈંગ્લીશ સિવાયની ભાષાઓમાં સ્ટીકર્સ બનાવવાની મોકળાશ મળી પછી બધી જ ભાષાઓના યુઝર્સ પોત-પોતાની ભાષામાં સ્ટીકર્સ બનાવતા થયાં. હવે તો બ્રાન્ડિંગના હેતુથી ય સ્ટીકર્સનો ઉપયોગ થાય છે. બર્થ-ડેથી લઈને મેરેજ એનિવર્સરી સુધીનાં પ્રસંગોમાં ફોટા સાથે મેસેજ લખીને જાતે સર્જેલા સ્ટીકર્સ મોકલવાનું દુનિયાભરના યુઝર્સ પસંદ કરતા થયા છે, તે એટલી હદે કે હવે ઈમોજી કરતા સ્ટીકર્સ વધુ ફોરવર્ડ થાય છે.
                                                                               ***
અત્યારે ૨૦૦૦ કરતાં વધારે પેઈડ સ્ટીકર્સ પેક અવેલેબલ છે અને એમાંથી ૧૮૦૦ જેટલાં ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વળતર આપીને ય સ્ટીકર્સ ખરીદતા લોકો વધતા જાય છે. ૫૦૦ કરતા વધુ એપ્સ જાતે સ્ટીકર્સ બનાવવાની સુવિધા આપે છે. એક સર્વેક્ષણમાં દાવો થયો હતો એ પ્રમાણે કુલ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૪૮ ટકા યુઝર્સ દરરોજ સ્ટીકર્સનો ઉપયોગ કરે છે.

વિવિધ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૩૨ ટકા યુઝર્સ વીકમાં એક વખત જાતે સ્ટીકર્સ બનાવે છે. ૩૯ પ્રતિશત યુઝર્સ વારે-તહેવારે સ્ટીકર્સ બનાવવાની મહેનત કરે છે અને વારે-તહેવારે ૭૦ ટકા યુઝર્સ સ્ટીકર્સ ફોરવર્ડ કરે છે. મેસેજિંગ એપ્સના ૮૭ ટકા યુઝર્સ તહેવારોમાં સ્ટીકર્સ રીસીવ કરે છે.
વેલ, દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં તમારો સમાવેશ ૭૦ ટકામાં થતો હતો કે ૯૦ ટકામાં?

તહેવારોમાં મીઠાઈ, રંગોળી, નવાં કપડાં વગેરેનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ હવે સ્ટીકર્સ, જીઆઈએફ, ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનું ય છે. અગાઉની જનરેશનને તહેવારોમાં સ્નેહીજનોના હાથે લખેલા રંગ-બેરંગી પોસ્ટકાર્ડ મળે એની રાહ રહેતી. પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્ટીકર્સે લઈ લીધું છે ત્યારથી હવે કોઈએ ખંતપૂર્વક બનાવેલા સ્ટીકર્સની પ્રતીક્ષા રહે છે.
                                                                     ***

GIF : ઈ-ગ્રીટિંગ્સમાં ટ્રેન્ડ સેટર

વોટ્સએપ-ફેસબુકમાં જીઆઈએફ ફાઈલ ફોરવર્ડ કરવાનો ટ્રેન્ડ પણ પેરેલલ ખૂબ ચાલી રહ્યો છે. કેટલીય એપ્સ હવે જીઆઈએફ બનાવવાની પણ સગવડ આપે છે. તેની મદદથી બનેલી જીઆઈએફ તહેવારોમાં શુભેચ્છા પાઠવવામાં વધારે ફોરવર્ડ થાય છે. આ ફાઈલ ફોર્મેટ વિકસાવવાનો યશ સોફ્ટવેર એન્જિનિયર સ્ટીવ વિલ્હિટને મળે છે.

૧૯૮૭માં સ્ટીવે એક ઈમેજમાં ૮ બિટ પર પિક્સેલની ક્ષમતા ધરાવતું ગ્રાફિક ફોર્મેટ બનાવ્યું, જેને ગ્રાફિક્સ ઈન્ટરચેન્જ ફોર્મેટ એવું નામ આપ્યું. એનિમેશન સપૉર્ટેડ આ ઈમેજ ફાઈલ GIFના ટૂંકા નામે જાણીતી બની. એક તસવીર નહીં, પણ ૭-૮ તસવીરોની સિકવન્સથી મોશન GIF ફાઈલ ક્રિએટ થતી હતી. આ ઈમેજનું સ્વરૂપ મોશન હોવાથી એ નાનકડા વીડિયોની ગરજ સારતી હતી.

સ્ટીવે પહેલી GIF ફાઈલ બનાવવા માટે ઉડતા વિમાનની તસવીરો પસંદ કરી હતી. એ તસવીરોને કમ્પ્રેશ કરીને વિમાન ઉડતું હોય એવો આભાસ સર્જ્યો હતો. એ જોઈને તેમના સહકર્મચારીઓ થોડીવાર તો માની નહોતા શકતા કે સ્ટીવને આવી ગ્રાફિક ઈમેજ બનાવવામાં ખરેખર સફળતા મળી ગઈ છે.

આ શોધ પછી કમ્પ્યુ-સર્વમાં સ્ટીવ વિલ્હિટ ઈન્ફર્મેશન મેનેજર બન્યા હતા. સ્ટીવે એ પછી વેબચેટ સોફ્ટવેર વિકસાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. ૯૦ના દશકામાં ઓનલાઈન વેબચેટ સર્વિસ વિકસી રહી હતી ત્યારે સ્ટીવ અને તેની ટીમે કમ્પ્યુ-સર્વ માટે યુઝર્સની તસવીર દેખાય એવું વેબચેટ મોડેલ ડેવલપ કર્યું હતું.
                                                                                ***

ઈ-ગ્રીટિંગ કાર્ડ્સ

પરંપરાગત પ્રિન્ટેડ ગ્રીટિંગ કાર્ડ્સને ઈ-કાર્ડ ફોર્મેટ બનાવીને આપણાં સ્માર્ટફોનમાં લાવવાનું કામ અમેરિકન એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈનર જૂડિથ ડોનાથે કર્યું હતું.

જૂડિથ ડોનાથે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (મીટ)માં મીડિયા આર્ટમાં માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો ત્યારે એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈન કરતી વખતે ડોક્યુમેન્ટના ઈ-ફોર્મેટનું કામ ખંતથી ઉપાડયું હતું. ક્રિસમસ-નવા વર્ષનો તહેવાર નજીક આવી રહ્યો હતો ત્યારે તેને ઈન્ટરનેટના માધ્યમથી શુભેચ્છા સંદેશો પાઠવવાનો વિચાર આવ્યો અને એમાંથી જન્મ થયો ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનો.

તેણે ડિસેમ્બર ૧૯૯૪માં 'ધ ઈલેક્ટ્રિક પોસ્ટકાર્ડ' નામની વેબસાઈટ બનાવી. વેબસાઈટમાં અઢળક ગ્રીટિંગ કાર્ડ્સ મૂક્યાં. વેબસાઈટની મુલાકાત લેનારાને વિખ્યાત પેઈન્ટિંગ્સની ફોટોકોપી, જાણીતા ફોટોગ્રાફરની પ્રકૃત્તિની તસવીરો, પોસ્ટકાર્ડ વગેરે ડાઉનલોડ કરવાની સવલત આપવામાં આવી હતી. યુઝર્સે કોઈ એક ગ્રીટિંગકાર્ડ પસંદ કરવાનું રહેતું. ગ્રીટિંગકાર્ડ પસંદ થઈ જાય એટલે તેમાં કંઈક મેસેજ લખવો હોય તો લખી શકાતો અને પછી જે તે વ્યક્તિને ઈ-મેઈલ કરીને ઈ-ગ્રીટિંગકાર્ડથી શુભેચ્છા પાઠવી શકાતી.

પહેલા વર્ષે તો 'મીટ'માં લાઈન લાગી ગઈ. અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા દરેકને આ નવો અનુભવ કરવો હતો એટલે એ વર્ષે અંદરો અંદર પણ ઈ-કાર્ડ્સની આપ-લે થઈ. પણ એ દિવસોમાં સ્પીડ એટલી ધીમી હતી કે દિવસના માંડ ૧૦ કે ૧૫ ઈ-કાર્ડ્સ એટેચ થઈને સેન્ડ થતાં હતાં.

બીજા વર્ષે ટેકનોલોજી વિકસી હતી અને જૂડિથે વેબસાઈટમાં પણ જરૂરી ફેરફાર કર્યા એટલે ઈ-કાર્ડ્સ મોકલવાની ઝડપ ઘણી વધી હતી. ૧૯૯૬ના ક્રિસમસ-નવા વર્ષ દરમિયાન ૧૯-૨૦ હજાર ઈ-ગ્રીટિંગ કાર્ડ્સની આપ-લે થઈ હતી. એ ટ્રેન્ડ પછી વર્ષભર ચાલ્યો હતો. વેલેન્ટાઈન્સ ડે, ફ્રેન્ડશિપ ડે મળીને એ વર્ષે ૧૭ લાખ ઈ-કાર્ડ્સ યુઝર્સે મોકલ્યા હતા.

પછી તો ઈ-ગ્રીટિંગકાર્ડ્સના ફોર્મેટમાં સતત પરિવર્તન આવતું રહ્યું. જેપીજી ફોર્મેટ પછી સ્માર્ટફોનની સાથે વીડિયો ગ્રીટિંગ મેસેજીસની લોકપ્રિયતા પણ વધી. જીઆઈએફ અને સ્ટીકર્સ પણ એક રીતે તો જૂડિથના ઈ-ગ્રીટિંગ્સનું જ એક્સટેન્શન છે!
Sunday 3 November 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -