Posted by : Harsh Meswania Sunday, 15 December 2019



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બારકોડને વિકસાવનારા એન્જિનિયર જ્યોર્જ લૌરેરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. જ્યોર્જે બારકોડની મેથડ એટલી સરળ બનાવી આપી કે તેનો ઈ-કોમર્સમાં છૂટથી થાય છે...

જ્યોર્જ લૌરેર.
સિલિકોન વેલીના યુવા ટેકનોક્રેટ્સને ટ્વીટરમાં ફોલો કરતી અમેરિકાની યંગ જનરેશન માટે ય આ નામ આજે અજાણ્યું છે. ૯૪ વર્ષના જ્યોર્જ લૌરેર આમેય છેલ્લાં ત્રણેક દશકાથી નિવૃત્ત જીવન વીતાવતા હતા એટલે તેમને નવી જનરેશન ન ઓળખે એ પણ સ્વાભાવિક છે, પરંતુ તેમની શોધને મોર્ડન જનરેશન બરાબર જાણે છે.
આજના યુગમાં એ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો છે, જેને આપણે બારકોડ કે પ્રોડક્ટ કોડ કહીએ છીએ. ઈ-કોમર્સની તો બારકોડ વગર કલ્પના જ થઈ શકે તેમ નથી. મોર્ડન ડેનું આખું ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ એના આધારે ઊભું છે.
યુનિવર્સલ પ્રોડક્ટ કોડ કે બારકોડની જરૂર દુનિયામાં દરરોજ ૬૦૦ કરોડ વખત પડે છે. મોટા મોલથી લઈને નાનકડી દુકાનમાં મળતી ચીજવસ્તુમાં ચીપકાવેલા સીધા-સપાટ યુનિવર્સલ પ્રોડક્ટ કોડને સ્કેન કરતા જોઈએ ત્યારે આપણને એવી કલ્પના તો ક્યાંથી આવે કે બારકોડમાં દેખાતી સીધી-સપાટ લીટીના ડેવલપરના નસીબમાં ઘણો સંઘર્ષ વેઠવાનું લખ્યું હતું.
                                                                              ***
૧૯૨૫માં ન્યૂયોર્કમાં જન્મેલા જ્યોર્જનું બાળપણ બાલ્ટિમોરમાં વીત્યું. તેમના પિતા અમેરિકન નેવીમાં એન્જિનિયર હતા. જ્યોર્જને પોલિયોનું નિદાન થયું પછી પરિવારની ચિંતા વધી ગઈ. તુરંત સારવાર શરૂ થઈ. સમયસર ઉપચાર થયો એટલે જ્યોર્જ પોલિયોમાંથી તો ઊભરી ગયા, પણ એ જ સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લૌરેર પરિવાર સખત આર્થિક તંગીમાંથી પસાર થતો હતો.

૧૬-૧૭ વર્ષના જ્યોર્જને વારંવાર એવું થયા કરતું કે તેની સારવારમાં ઘસાવાના કારણે જ પરિવારની આ હાલત થઈ છે. પરિવારને આર્થિક મદદ કરવાના હેતુથી ૧૭ વર્ષે જ્યોર્જ અમેરિકાની આર્મીમાં જોડાઈ ગયા.

વિશ્વયુદ્ધ પૂરું થયું પછી થોડાંક વર્ષો નાની-મોટી નોકરી કરી. ૧૯૫૦માં અધૂરો અભ્યાસ આગળ વધારવાની તક મળી. બચતમાંથી બે વર્ષનો ટેકનિકલ કોર્સ કરીને ટીવી અને રેડિયો રીપેરિંગ શીખી લીધું. એ વખતે ટેલિવિઝને અમેરિકન ઘરોમાં જગ્યા લેવાનું શરૂ કર્યું હતું એટલે તેના રીપેરિંગની ડિમાન્ડ હતી. જ્યોર્જ દિવસે સ્ટડી કરતા અને રાત્રે રેડિયો રીપેરિંગ કરતા. એમાંથી જે રકમ મળતી એનો ઘણો ખરો હિસ્સો ઘરે મોકલી દેતા.

તેમનું ટેકનિકલ નોલેજ જોઈને કોલેજના પ્રોફેસરે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફૂલટાઈમ કોર્સ કરવાની ભલામણ કરી, યોગ્ય માર્ગદર્શન આપ્યું. ૧૯૫૧માં તેમણે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તે સાથે જ એક સાધારણ મિકેનિક બનવા જઈ રહેલા છોકરાના કપાળમાં એકાએક યશની લકીર ઉપસી આવી.
ડિગ્રી મેળવી કે તરત વિખ્યાત કંપની આઈબીએમમાં નોકરી મળી ગઈ. જુનિયર એન્જિનિયર તરીકે જોડાયેલા જ્યોર્જે કંપનીમાં એક દશકા સુધી ધગશથી કામ કર્યું. નવા નવા પ્રોજેક્ટમાં તેનું અસરકારક કામ જોઈને કંપનીએ તેમને ૧૯૬૯માં સિનિયર એન્જિનિયર કમ વિજ્ઞાની તરીકે પ્રમોશન આપ્યું. સંશોધનો માટે જાણીતા કંપનીના યુનિટ રીસર્ચ ટ્રાએન્ગલ પાર્કમાં મોકલી દીધા. આ પ્રમોશને તેમના માટે સ્વતંત્ર રીતે સંશોધનો કરવાની દિશા ખોલી આપી.

એ અરસામાં અમેરિકામાં મોલકલ્ચર વિકસી રહ્યું હતું. નવી નવી રીટેઈલ કંપનીઓ માર્કેટ સર કરવા આવી રહી હતી. એવી જ એક મોલ કંપનીએ આઈબીએમને પ્રોડક્ટ કોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જ્યોર્જે બારકોડ ડેવલપ કરવાના થોડાક પ્રયોગો કર્યા હતા એ કંપનીના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હતું. રૂચિ પારખીને કંપનીએ આ કામ તેમને સોંપ્યું.
                                                                            ***
જ્યોર્જને આ કામ મળ્યું તેના દશકા પહેલાં આઈબીએમમાં જ કાર્યરત નોર્માન જોસેફ વૂડલેન્ડે બારકોડનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. ૧૯૫૨ વૂડલેન્ડે બારકોડની એક પેટન્ટ પણ રજિસ્ટર કરાવી હતી, પણ તેમાં ખામીઓ હોવાથી કમર્શિયલ ઉપયોગ શક્ય ન બન્યો.

જ્યોર્જે એ મેથડનો અભ્યાસ કર્યા પછી સાવ અલગ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ વિકસાવ્યો. અગાઉના બારકોડ પ્રિન્ટિંગ પછી કામ આપતા ન હતા, પરંતુ જ્યોર્જે બારકોડમાં ઊભી સીધી લીટીનો ઉપયોગ એવી રીતે કર્યો હતો કે તે પ્રિન્ટ થયા પછી પણ સ્કેન થતી હતી. બે વર્ષની મહેનત પછી ૧૯૭૨માં તેમણે યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ ઉચ્ચ અધિકારીઓ સામે રજૂ કર્યો. એક વર્ષ પછી આ બારકોડનો ઉપયોગ અનાજ-કરિયાણા અને ખાદ્ય પદાર્થોના પેકેટમાં થવા લાગ્યો.

જ્યોર્જ ૧૯૮૭માં નિવૃત્ત થયા ત્યાં સુધી આઈબીએમમાં જ કાર્યરત રહ્યા. એ દરમિયાન તેમણે ૨૫ જેટલાં સંશોધનો કર્યા. બધા જ સંશોધનો બારકોડ જેટલાં જાણીતાં ન હતાં, પરંતુ એમાંથી ઘણી શોધો એવી પણ હતી જે બારકોડની સિસ્ટમને વધારે સરળ બનાવતી હતી. બારકોડની સિસ્ટમેટિક એરર કરેક્શનની એક શોધ પણ તેમણે કરી હતી. આ પદ્ધતિ બારકોડની એરર જાતે શોધીને ઠીક કરી આપતી હતી.
                                                                          *** 
ઘણાં ઈતિહાસકારો તેમને બારકોડના ખરા શોધક તરીકે નવાજતા નથી ને નોર્માન જોસેફ વૂડલેન્ડને બારકોડની શોધનો ખરો યશ આપે છે. તેમ છતાં ઈતિહાસકારો કબૂલે છે કે વૂડલેન્ડની શોધ ખૂબ જ શરૂઆતી તબક્કાની હતી અને એમાં અપાર ખામીઓ હતી. જો એ ખામીઓ જ્યોર્જે દૂર કરીને તેના આધારે નવી જ સિસ્ટમ વિકસાવી ન હોત તો પ્રોડક્ટ કોડ વિકસતા વધારે સમય લાગ્યો હોત.

બારકોડના ડેવલપર તરીકે તેમને સૌથી વધારે સન્માન એટલે ય આપવામાં આવે છે કે તેમણે આ પદ્ધતિ લોકભોગ્ય બનાવવાની સાથે સાથે લગભગ એકાદ દશકા સુધી આ સિસ્ટમને ડેવલપર કરવામાં જ સમગ્ર ધ્યાન આપ્યું હતું. જ્યોર્જની ૨૫ જેટલી પેટન્ટમાંથી ૧૮-૨૦ પેટન્ટ્સ તો બારકોડ, બારકોડ રીડરને લગતી જ છે.

લોકભોગ્ય ટેકનોલોજીની વાત આવે ત્યારે બારકોડને ૫૦ આઈકોનિક મોમેન્ટ્સમાં સ્થાન મળે છે. ૫મી ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા જ્યોર્જ લૌરેરે એક વખત કહ્યું હતું : 
'મેં ૧૬-૧૭ વર્ષે નોકરી શરૂ કરી ત્યારે મારા જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય ન હતું. જેમાંથી વળતર મળે એ કામ કરીને આર્થિક સદ્ધર થવું એ જ મુખ્ય ધ્યેય હતું. ૩૫ વર્ષ સુધી જીવન દિશાહીન હતું. રેડિયો રીપેરિંગ કરીને ગુજરાન ચલાવવાનું મન મનાવી લીધું હતું. આટલા વર્ષો સુધી કોઈ મોટી મહાત્વાકાંક્ષા પણ પાળી ન હતી. શું ગમે છે એ પણ નક્કી ન હતું, મારી આસપાસ તેજસ્વી એન્જિનિયર્સને જોતો ત્યારે થતું કે એ બધાનું ધ્યેય પહેલેથી જ નક્કી હતું. જીવનની ચાલીસીમાં પણ મારા નામે એવી કોઈ મોટી સિદ્ધિ નોંધાઈ ન હતી. પણ આજની જનરેશને એક વાત યાદ રાખવી જોઈએ કે જે ઉંમરે કંઈ નવું કરવાની તક મળે ત્યારે એને ઝડપી લઈએ તો બે-ત્રણ વર્ષમાં પણ આખી જિંદગી યાદ રાખી શકાય એવું નોંધપાત્ર કામ કરી શકાય છે. યુવાનીમાં જ કિસ્મત ચમકે છે એવું કોણે કહ્યું?'
                                                                        ***

બારકોડ રીડર મશીન કોણે બનાવ્યું?

બર્નાર્ડ સિલ્વર અને નોર્માન જોસેફ વૂડલેન્ડે પહેલું સફળ બારકોડ રીડર બનાવ્યું હતું. ૧૯૪૯માં જ્યારે બંનેએ મળીને કામ શરૂ કર્યું ત્યારે બારકોડ મશીન બનાવવામાં તો સફળતા મળી હતી, પણ પ્રિન્ટ થયા પછી બારકોડ એમાં સ્કેન થતો ન હતો. એ સૌથી મોટી મુશ્કેલી હતી. ૧૯૫૧માં નોર્માન જોસેફે આઈબીએમમાં નોકરી શરૂ કરી તે પછી બારકોડ ઉપર વધારે સંશોધન કર્યું હતું, પરંતુ તેની ડિઝાઈનમાં બધું બરાબર હોવા છતાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડમાં ધારી સફળતા મળી નહી.
નોર્માન જોસેફ વૂડલેન્ડ
 તેણે જે મશીન બનાવ્યું હતું એ બરાબર કામ કરતું હતું. એ કોડને સ્કેન કર્યા પછી માહિતી બરાબર બતાવતું હતું, પરંતુ પ્રયોગમાં જે સક્સેસ મળી એવી પ્રેક્ટિકલ શક્ય ન બની. સિલ્બર અને નોર્માનની બારકોડ સિસ્ટમની પેટન્ટ માન્ય રાખવામાં આવી હતી. એ પછી આઈબીએમે આ મશીનના હકો ખરીદી લીધા. પછી તો એ જ પેટન્ટના આધારે બારકોડ મશીન વિકસ્યા હતા.
                                                                        ***

પહેલી વખત કોડ ક્યારે લાગ્યો હતો?

જ્યોર્જે પહેલી વખત યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ રજૂ કર્યો એના પહેલાં પ્રિન્ટ થયા પછી એ કોડ સ્કેન થતો ન હોવાથી જૂની બધી જ પેટન્ટ પ્રમાણેના બારકોડનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હતો. જનરલ મોટર્સે ૧૯૬૯માં નોર્માન જોસેફની સિસ્ટમ પ્રમાણે બારકોડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પહેલી કમર્શિયલ સક્સેસ માર્સ સુપરમાર્કેટને મળી હતી. ઓહિયાના મોલમાં વ્રિન્ગલી કંપનીના પેકેટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ ૧૯૭૩માં થયો હતો.

અમેરિકામાં બારકોડ રીડરની મદદથી પ્રોડક્ટનું બિલ બનાવવાની એ પહેલી ઘટના હતી. આ ઘટનાના એક દશકા પછી ૧૯૮૩ સુધીમાં અમેરિકાની ૩૫ ટકા નાની-મોટી દુકાનો અને મોલમાં બારકોડ સ્કેનરનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ફોર્મ્યુન મેગેઝિને ૨૦૦૪માં અંદાજ બાંધ્યો હતો કે વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓની ૮૦-૯૦ ટકા પ્રોડક્ટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ થાય છે.
                                                                     ***

બારકોડ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

મોટાભાગે પ્રોડક્ટની પાછળની તરફ પ્રિન્ટ થયેલી ઘાટી બ્લેક અને વ્હાઈટ ઊભી લીટી હોય છે તેને બારકોડ કહેવાય છે. બારકોડમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને બારકોડ સિમ્બોલોજી કહેેવાય છે. એમાં ૧૨ આંકડા ઉભી લીટીને એવી રીતે સેટ કરવામાં આવે છે કે એ કિંમત, મેન્યુફેક્ટર ડેટ, એક્સપાયરી ડેટ, ઉત્પાદક દેશ, પ્રોડક્ટનો જથ્થો જેવી માહિતી આ૫ે છે.

મોટાભાગના દેશોમાં પ્રોડક્ટ ઉપર આ કોડ જરૂરી બની ગયો છે. એમાં ય વૈશ્વિક માર્કેટને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કંપનીઓ માટે તો આ પ્રોડક્ટ કોડ કમ્પલસરી છે. બારકોડના કારણે ઓછી મહેનતે ભૂલ વગર કાઉન્ટિંગ થાય છે. પહેલાં પાંચ આંકડામાં કંપનીની ઓળખ હોય છે. એ પછીના પાંચ આંકડામાં પ્રોડક્ટની વિગત છૂપાયેલી હોય છે અને છેલ્લો અંક સ્કેનર મશીન માટે હોય છે. છેલ્લી લીટી અને છેલ્લો આંકડો સ્કેન બરાબર થયું કે નહીં એ કમ્પ્યુટરમાં બતાવે છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,134
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -