Posted by : Harsh Meswania Saturday, 26 May 2012


આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯માં થયો હતો. તેઓ સ્વતંત્રતાની લડાઈમાં અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં જન્મેલા જવાહરલાલ નહેરુનું બાળપણ ખૂબ જ એશોઆરામમાં વીત્યું હતું. 
શાળાનું શિક્ષણ તેઓએ ઘરમાં જ મેળવ્યું હતું. તેમના શિક્ષણ માટે અંગ્રેજ અધ્યાપકોને રોકવામાં આવ્યા હતા. તે સમયે ભારતભરમાં વિખ્યાત વકીલ તરીકે ગણનાપાત્ર મોતીલાલ નહેરુ પોતાના પુત્રના અભ્યાસને ખાસ ગંભીરતાથી લેતા હતા, માટે જ ૧૪ વર્ષની ઉંમરે તેઓને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત આવેલા જવાહરલાલ નહેરુએ વકીલાત શરૃ કરી. 
આ સમયગાળામાં જ ભારતનું સ્વતંત્રતા અભિયાન વેગ પકડતું હતું અને શિક્ષિત યુવાનો તેમાં જોડાઈ રહ્યા હતા. ચાચા નહેરુ પણ તેમાં જોડાયા. દરમિયાન દિલ્હીમાં વસેલા અને મૂળ કાશ્મીરી પરિવારનાં કમલા કૌલ સાથે ૧૯૧૬માં લગ્ન થયાં. ૧૯૧૭માં ઇન્દિરા પ્રિયર્દિશનીનો જન્મ થયો, જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે ઓળખાયાં અને ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન પણ બન્યાં. 
ચાચા નહેરુ ગાંધીજીના વિશ્વાસપાત્ર બન્યા. યુવા કોંગ્રેસની આગેવાની તેઓએ સંભાળી. ત્યાર પછી તો ૧૯૨૯માં કોંગ્રેસના ઐતિહાસિક લાહોર અધિવેશનના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી અને આ અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. 
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુએ મળીને ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનેલા ચાચા નહેરુની ગણના તે સમયે વિશ્વમાં એક શક્તિશાળી રાજનેતા તરીકે થતી હતી. બિનજોડાણવાદની નીતિના કારણે અને પંચશીલના સિદ્ધાંતોના કારણે પણ પંડિત જવાહરલાલ નહેરુને હંમેશાં યાદ કરવામાં આવે છે. હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ ૨૭ મે, ૧૯૬૪માં થયું હતું.
 (સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,054
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -