Posted by : Harsh Meswania Saturday 26 May 2012


આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯માં થયો હતો. તેઓ સ્વતંત્રતાની લડાઈમાં અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં જન્મેલા જવાહરલાલ નહેરુનું બાળપણ ખૂબ જ એશોઆરામમાં વીત્યું હતું. 
શાળાનું શિક્ષણ તેઓએ ઘરમાં જ મેળવ્યું હતું. તેમના શિક્ષણ માટે અંગ્રેજ અધ્યાપકોને રોકવામાં આવ્યા હતા. તે સમયે ભારતભરમાં વિખ્યાત વકીલ તરીકે ગણનાપાત્ર મોતીલાલ નહેરુ પોતાના પુત્રના અભ્યાસને ખાસ ગંભીરતાથી લેતા હતા, માટે જ ૧૪ વર્ષની ઉંમરે તેઓને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત આવેલા જવાહરલાલ નહેરુએ વકીલાત શરૃ કરી. 
આ સમયગાળામાં જ ભારતનું સ્વતંત્રતા અભિયાન વેગ પકડતું હતું અને શિક્ષિત યુવાનો તેમાં જોડાઈ રહ્યા હતા. ચાચા નહેરુ પણ તેમાં જોડાયા. દરમિયાન દિલ્હીમાં વસેલા અને મૂળ કાશ્મીરી પરિવારનાં કમલા કૌલ સાથે ૧૯૧૬માં લગ્ન થયાં. ૧૯૧૭માં ઇન્દિરા પ્રિયર્દિશનીનો જન્મ થયો, જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે ઓળખાયાં અને ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન પણ બન્યાં. 
ચાચા નહેરુ ગાંધીજીના વિશ્વાસપાત્ર બન્યા. યુવા કોંગ્રેસની આગેવાની તેઓએ સંભાળી. ત્યાર પછી તો ૧૯૨૯માં કોંગ્રેસના ઐતિહાસિક લાહોર અધિવેશનના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી અને આ અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. 
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુએ મળીને ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનેલા ચાચા નહેરુની ગણના તે સમયે વિશ્વમાં એક શક્તિશાળી રાજનેતા તરીકે થતી હતી. બિનજોડાણવાદની નીતિના કારણે અને પંચશીલના સિદ્ધાંતોના કારણે પણ પંડિત જવાહરલાલ નહેરુને હંમેશાં યાદ કરવામાં આવે છે. હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ ૨૭ મે, ૧૯૬૪માં થયું હતું.
 (સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -