- Back to Home »
- Travel »
- કુદરતી સૌંદર્યનો અખૂટ ભંડાર : નેપાળ
Posted by :
Harsh Meswania
Saturday 5 May 2012
હિમાલયની ગોદમાં આવેલો નાનકડો દેશ નેપાળ આખી દુનિયામાં તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. તાજી હવા લેવા અને પ્રાકૃતિક સૌંદર્યની મજા લૂંટવા માટે વિશ્વભરમાંથી સહેલાણીઓ નેપાળ જાય છે. નેપાળનું સુંદર વાતાવરણ કોઈ પણને ત્યાં જકડી રાખે છે. અસંખ્ય પર્વતો, હરિયાળાં જંગલો અને નદીઓથી સમૃદ્ધ દેશ પર્યટકોને પરાણે ગમી જાય તેવો છે.
નેપાળનું કુદરતી સૌંદર્ય આંખોને ગમી જાય છે. વળી ત્યાં કોતરણીવાળાં મંદિરો, સ્તૂપો, પેંગોડા અને અન્ય આસ્થાનાં સ્થાનોની મુલાકાત પ્રતિવર્ષ અસંખ્ય સહેલાણીઓ લે છે. નેપાળમાં ઐતિહાસિક ઇમારતો હોવાની સાથે સાથે વિશ્વનું ૮૮૪૮ મીટર ઊંચું શિખર એવરેસ્ટ પણ છે, જે જોવાનો અનોખો અનુભવ થાય છે. વિશ્વના ૧૦ મોટા પર્વતો પૈકી ૮ પર્વતો તો એકલા નેપાળમાં જ છે. એવરેસ્ટ ઉપરાંત કાંચનજંઘા, લાહોત્સ, મકાલુ જેવા શિખરો પણ દુનિયાભરમાં વિખ્યાત છે. પશુપતિનાથ મંદિર કાઠમંડુમાં આવેલું છે જે બાગમતી નદીના તટ પર સ્થિત છે. આ મંદિરે હંમેશાં ભાવિકોની ભીડ રહે છે. વિશાળ જગ્યામાં પથરાયેલા ભગવાન શિવના મંદિર સિવાય પણ અહીં બીજાં જોવા જેવાં મંદિરો આવેલાં છે.
વળી, કાઠમંડુમાં જ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા બે મુખ્ય સ્તૂપ છે. એટલું જ નહીં, ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની પણ નેપાળમાં જ આવેલું છે. આ જગ્યા ભારત અને નેપાળની સરહદ પાસે આવેલી છે. નેપાળના પોખરાને ઝરણાંઓનું શહેર કહેવામાં આવે છે. આ શહેરમાં કુલ આઠ ઝરણાં છે. ગંડકી નામની નદીમાં બોટિંગ કરી શકાતું હોવાથી બોટિંગનો આનંદ પણ ઉઠાવી શકાય. નેપાળમાં મનોકામના દેવીનું મંદિર છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં માનતા માનવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે. નેપાળ પ્રકૃતિના ખોળામાં આવેલો ટચૂકડો પણ મનોરમ્ય દેશ છે. વળી ભારતીયો માટે નેપાળમાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી એટલે આપણે સરળતાથી નેપાળમાં ફરી શકીએ છીએ. નેપાળમાં પર્યટન ઉદ્યોગ જ આમ જોઈએ તો મુખ્ય આવક તરીકે છેલ્લા થોડાં વર્ષોમાં ઉભર્યો છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)