Archive for February 2020

સાયન્સ બિહાઈન્ડ લવ : પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન હજુ તાજું જ છે, ત્યારે લવ વિશેના વૈજ્ઞાનિક તારણો જાણવા જેવાં છે. પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી એ રહસ્ય ઉકેલવા સતત સંશોધનો થઈ રહ્યાં છે..


વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો ગ્લોબલ ઉત્સવ. દુનિયાભરના લવબર્ડ્સ પ્રપોઝ કરવા આ દિવસની રાહ જુએ છે. બંને પક્ષે 'હા' હોય તો વેલેન્ટાઈન ડે જ દિવાળી-હોળી કે ન્યૂયર બની જાય છે! પ્રેમ વિશે દુનિયાભરમાં અપાર સાહિત્ય લખાય છે, બોલાય છે, ફિલ્મ-વેબસીરિઝ બને છે.
પ્રેમને સમજવા જેટલાં પ્રયાસો થાય એટલાં જ નવા નવા રહસ્યો ઘૂંટાતા રહે છે. એક તબક્કે લાગે કે હવે પ્રેમ વિશે આ તારણ આખરી હશે, ત્યાં કંઈક નવું તારણ આકાર લેવા માંડે છે. પ્રેમના અમુક કોયડા સદીઓ પછીય ઉકેલાયા નથી.
'પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?' એ કોયડો પણ માનવજાતને સદીઓથી મૂંઝવે છે. એ મુદ્દો 21મી સદીના વૈજ્ઞાનિકો માટે એટલો જ પેચીદો બન્યો છે.
                                                                      ***
કોઈ કહે છે પ્યાર દિલથી થાય છે. કોઈ કહે છે પ્યાર સંજોગથી થાય છે. વળી કોઈ કહે છે પ્રેમ દિમાગથી થાય છે. તો કોઈ કહે છે, પ્રેમ નસીબથી થાય છે. કોઈ તો એવી પણ દલીલ કરે છે કે પ્રેમ પાછળ ન તો દિલ જવાબદાર છે ન દિમાગ, એ તો વિજાતીય આકર્ષણના કારણે થાય છે!

લવની લાગણીને સમજવા આજનું વિજ્ઞાન પણ ઘણી મથામણો કરે છે. એવી જ મથામણ ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આદરી હતી. એમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં હતાં. મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ લવબર્ડ્સ ઉપર પડતી વિવિધ અસરો માપી હતી. પહેલી નજરે પ્રેમમાં પડી જનારા લવર્સના બિહેવિયરનું વિશ્લેષણ કરીને સંશોધકોએ કહ્યું હતું કે પ્રેમ દિલથી નહીં, દિમાગથી થાય છે!

'દિલ કી સુનો', 'દિલ સે પૂછો', 'તુમ્હારા દિલ કહે વો કરો!' પ્રકારની પ્રેમાળ શિખામણો વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીના મનોવિજ્ઞાનિકો કહે છે કે પ્રેમ થવા પાછળ દિલ નહીં, દિમાગ જવાબદાર છે. આવું કહેવા માટે એ વિજ્ઞાનીઓ પાસે એમના તારણો અને તર્કો હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડવાની શરૂઆત કરે છે ત્યારે એના મસ્તિસ્કમાં ડોપામાઈન, ઓક્સિટોસીન, એડ્રેનલિન, વેસોપ્રેસીન જેવાં 12 હોર્મોન્સનો જથ્થો વધી જાય છે. આ હોર્મોન્સ એને પ્રેમ કરવાનું બળ આપે છે.

પ્રેમમાં પડનારાને દુનિયા બદલાયેલી લાગે છે, ઉત્સાહવર્ધક અનુભવ થવા માંડે છે એ પાછળ પણ આ જ હોર્મોન્સ રીઝન બને છે. મનોવિજ્ઞાનિકોએ એવું પણ નિરીક્ષણ રજૂ કર્યું હતું કે આ એ સમય હોય છે જ્યારે માણસની ખરાબ લત છૂટી શકે છે. કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ દારૂ-સિગારેટની લત છોડાવવાનો યશ મેળવી જતી હશે!?

પ્રેમમાં શબ્દો ગળામાં જ અટકી જાય કે હૃદય જોર-જોરથી ધડકવા માંડે એ પાછળ પણ દિમાગ જ કારણભૂત છે. આ બધું થવા પાછળ એડ્રેનલિન હોર્મોન જવાબદાર હોય અને બધો જ દોષ દિલ ઉપર આવે છે. ખરેખર દિલ આમાં સાવ નિર્દોષ હોય છે! માણસ જેને લવ કરે એની જ કેર કેમ કરે છે? જવાબ છે - ઓક્સિટોસીન. આ હોર્મોનનો સ્ત્રાવ જેને જોઈને કે જેની સાથે રહેવાથી વધે એની કેર કરવાની ઈચ્છા વધે છે. એ જ હોર્મોન વધારે પડતી કેર કરાવે ત્યારે પ્રિયજન માટે માલિકીભાવ પણ જન્મે છે.

ડોપામાઈનનું લેવલ વધે તો મૂડ સરસ બને છે. એનું સ્તર વધે એટલે વ્યક્તિ વધારે રોમેન્ટિક બની જાય છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે 'લવબાઈટ્સ' પાછળ આ ડોપામાઈનની કરામત કારણભૂત છે! પાર્ટનરને હગ કરવું, કિસ કરવી, ભીંસી નાખવું... જેવી ફીલિંગ્સનો ઊભરો ડોપામાઈનનો જથ્થો પોતાની સાથે લાવે છે!

કોઈ સાથે આખી જિંદગી રહી શકાશે એ ભાવ વેસોપ્રેસિન હોર્મોનના કારણે જન્મે છે. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે ફેમિલી મેમ્બર્સને જોઈને આ હોર્મોનનો જથ્થો નિરંતર વધતો હોય છે એટલે જ માણસને પરિવાર સાથે રહેવું ગમે છે. કોઈ એક વ્યક્તિને પરિવાર અને પ્રિયજન માટે એકસરખો સ્ત્રાવ થાય તો બધા સાથે રહી શકે એવાં ચાન્સ ઉજળા, પરંતુ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફમાંથી કોઈ એકના દિમાગમાં બીજાના પરિવારને જોઈને જો વેસોપ્રેસિનનો જથ્થો ન વધે તો એ સહજીવન લાંબું ટકતું નથી.
                                                                     ***
ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જરા જુદી દિશામાં સંશોધન કર્યું હતું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એવી વ્યાપક માન્યતા છે, પરંતુ ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ થોડાંક મહિના પહેલાં આપેલું તારણ એવું હતું કે 35-40 વર્ષ પછી પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દિમાગમાં થતાં ફેરફારો માણસને પ્રેમ કરવા પ્રેરે છે. એ પછી અમુક વયે એવા રસાયણોનો જથ્થો ઘટી જાય છે એટલે જ લવમેરેજના અમુક વર્ષો પછી પ્રેમ ઓછો થઈ જવાની ફરિયાદો ઉઠે છે.

આ સંશોધનમાં તો એવુંય તારણ અપાયું હતું કે પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર નથી થતો, પરંતુ દિમાગમાં ફેરફાર એટલે પ્રેમ થાય છે! એનો સીધો અર્થ એટલો કે દિમાગ પ્રેમ કરવા તૈયાર હોય અને હોર્મોન્સનો જથ્થો વધે તો જ કોઈક વ્યક્તિ પહેલી નજરે ગમી જાય છે. અથવા તો ઘણાં સમયથી પરિચયમાં હોવા છતાં અમુક સમય પછી જ ફીલિંગ થાય છે.

આ માટે સંશોધકોએ એવાં યુવક-યુવતીઓના દિમાગનો અભ્યાસ કર્યો હતો કે જેમના જીવનમાં કોઈને કોઈ ગંભીર ઘટનાઓ બની હતી. એ ઘટનાઓના કારણે તેમને કોઈનાય પ્રેમમાં હોવાની ફીલિંગ થતી ન હતી, પણ પેલી ખરાબ ઘટનાઓનું સ્મરણ ઝાંખું થયું પછી તેમણે કોઈ માટે ફીલિંગ્સ હોવાનું સ્વીકાર્યું હતું.

આ બંને સંશોધનો એ તરફ ધ્યાન દોરે છે કે દિમાગમાં ફેરફાર થાય ત્યારે પ્રેમ થાય છે અને પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર થાય છે. દિલમાં જે અસર થાય છે તે દિમાગનું રીફ્લેક્શન માત્ર છે, સીધી રીતે દિલની એમાં કોઈ જ સંડોવણી નથી!
                                                                        ***
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ 2010માં એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો વિષય હતો, પ્રેમમાં સફળ થનારા લોકો જીવનમાં કેટલાં સફળ હોય છે? પ્રેમમાં સફળ થનારા સરેરાશ લોકો કરતા વધારે ક્રિએટિવ હોય છે? એવરેજ કરતા મજબૂત મનોબળ ધરાવતા હોય છે?

પાંચ વર્ષ લાંબાં સંશોધન પછી 25 પાનાનો જે અહેવાલ રજૂ થયો તેમાં રસપ્રદ તારણો નીકળ્યા હતા. પ્રેમમાં પડનારા શરૂઆતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોવા છતાં પ્રેમના કારણે તેના દિમાગમાં એવા રાસાયણિક ફેરફાર થાય છે કે જેથી આત્મવિશ્વાસ વધે છે. નવા સાહસો કરવાનું બળ વધે છે.

પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા લોકોમાં એકાગ્ર થવાની ક્ષમતા વિકસે છે. સંતૃપ્તિ અને આત્મવિશ્વાસના કારણે સફળ પ્રેમીઓમાં ક્રિએટિવિટી, મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ વિકસે છે. આ બાબતો તેમને પ્રોફેશ્નલ સફળતા તરફ દોરી જાય છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ પ્રેમમાં પડવાના સમય ઉપર સ્ટડી કર્યો હતો. પ્રથમ મુલાકાતની કઈ ક્ષણે પ્રેમના અંકુર ફૂટે છે? સંશોધકોએ વર્ષોના સંશોધન પછી તેનો જવાબ શોધી કાઢ્યો હતો કે પ્રથમ મુલાકાતની પહેલી ચાર મિનિટ પ્રેમ થવા કે ન થવા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આ ચાર મિનિટમાં બોડી લેંગ્વેજ, અવાજ અને દેખાવના આધારે બંને વ્યક્તિ પરસ્પર એકમેકને પસંદ કરે છે. બોડી લેંગ્વેજના આધારે 55 ટકા લોકો બીજાના પ્રેમમાં પડે છે. અવાજના આધારે પ્રેમમાં પડનારાની સંખ્યા 38 ટકા છે અને વિચારોના આધારે પ્રેમમાં પડતા લોકો માત્ર 7 ટકા છે.
                                                                           ***
આ બધા જ સ્ટડી હોર્મોન્સના આધારે થયા હતા. કોઈના પ્રેમમાં પડવું, પ્રેમમાં સફળ થવું, કઈ બાબતોથી આકર્ષાવું, કેર કરવી, સાથે રહેવું... જેવી મહત્વની બાબતો બને છે, એનાં બીજ દિમાગમાં રોપાય છે.

દિમાગમાં હાઈપોથેલેમસ, લિંબિંક સિસ્ટમ હોય છે. એમાં આ વિવિધ હોર્મોન્સ રહે છે. હોર્મોન્સનો જથ્થો વધે તે સાથે જ બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને છે. રક્તનું સર્ક્યુલેશન ઝડપી થાય એટલે હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે એટલે એ જોરજોરથી ધડકે. એ જોરજોરથી ધડકે એટલે આપણને લાગે કે પ્રેમમાં હૃદયની મહત્વની ભૂમિકા હશે, પરંતુ આખી વાત બને છે દિમાગમાં!
આપણી હિન્દી ફિલ્મના ગીતકારોએ ભલે આપણને રટ્ટો મરાવી દીધો છે કે પ્રેમ દિલથી થાય છે, પણ સાયન્સ કહે છે કે પ્રેમ દિમાગથી થાય છે.
                                                                         ***

બ્રેકઅપનું સાયન્સ!

દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે પણ ઉજવાય છે! પ્રેમીયુગલ વચ્ચે અણબનાવ થાય અને એકબીજાથી અલગ થવાની નોબત આવે એ સ્થિતિને વિશ્વભરની લગભગ તમામ ભાષામાં 'દિલ તૂટયું' એમ કહેવાય છે. બ્રેક-અપ થાય ત્યારે દિલ તૂટયું છે, એવું કહે છે. દિલ તૂટે છે એટલે કંઈ દિલ શરીરની બહાર આવીને વિખેરાઈ જતું નથી, પણ તેમ છતાં આ શબ્દપ્રયોગ દરેક ભાષાએ અપનાવ્યો છે.

એ શબ્દપ્રયોગને હવે સાયન્સનું સમર્થન મળ્યું છે. ટોરોન્ટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે પ્રેમીજનનો કાયમી વિરહ આવી પડે તે પછી હૃદયમાં જે પીડા ઉપડે છે તે ખરેખર કોઈ અંગ વિખેરાયું હોય એવી હોય છે.
બ્રેકઅપ પછી શરીરમાં થતાં ફેરફારો નોંધનારા સંશોધકો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે એ પીડા શરીરના કોઈ અંગ તૂટવાથી થતી હોય છે એવી જ હોય છે. શરીરના કોઈ અંગમાં તીર ભોંકાય કે સોંઈ ખોંસવામાં આવે અને જે દર્દ ઉપડે છે એવું જ દર્દ દિલમાં કોઈના વિરહથી ઉપડે છે. લાંબાં અભ્યાસના અંતે અવું અર્થઘટન થયું છે કે દિલ તૂટવું એ માત્ર રૂપક નથી.
Sunday 16 February 2020
Posted by Harsh Meswania
Tag :

માસ્કનું વર્ષે 5700 કરોડ ડોલરનું માર્કેટ


 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

કોરોનાના ડરથી માસ્કના માર્કેટમાં તેજી આવી  છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માસ્કના ભાવ વધી ગયા છે. અછત સર્જાવાના ડરે કેટલાય દેશોએ માસ્કની નિકાસ અટકાવી દીધી છે.


નેટફ્લિક્સની શરૂઆતમાં બહુ હિટ બનેલી વેબસીરિઝ 'હાઉસ ઓફ કાર્ડ્સ'નો એક ડાયલોગ છે : 'ડર એ દુનિયાનો સૌથી મોટો વેપાર છે. એ સત્તાધીશને પાવર આપે છે. ડરના વેપારમાં નિષ્ફળતા મળવાની શક્યતા બહુ જ ઓછી છે. ભય બતાવીને ભલભલું વેંચી શકાય છે. ભય જોઈને લોકો ન ગમતું બધું જ કરવા માંડે છે. શક્તિશાળી અને સમજદાર વેપારીને (વિશ્વના રાજકારણીઓને) ભયનો વેપાર ક્યારેય નિરાશ કરતો નથી'

વેલ, વિશ્વમાં અત્યારે આવો ભય કોરોનાના કારણે ફેલાયો છે. કોરોનાના ભયના કારણે મંદીમાં સપડાયેલા વૈશ્વિક માર્કેટમાં અચાનક હેલ્થ પ્રોડક્ટ્સના વેંચાણમાં તેજી આવી ગઈ છે. દુનિયાભરની ફાર્મા કંપનીઓની ફેક્ટરીઓ રાત-દિવસ ધમધમવા માંડી છે. કોરોના વાયરસ ચીનની બહાર નીકળી ચૂક્યો છે. ચીનનું જોયા પછી બીજા દેશો સાવચેત બની ગયા છે. ચીન જેવું ન થાય એ માટે દુનિયાભરમાં સાવધાનીના પગલાં લેવાનું શરૂ થઈ ચૂક્યું છે અને તેનો સૌથી વધુ ફાયદો હેલ્થ સેક્ટરને થઈ રહ્યો છે. ચીન સિવાય ભારત સહિતના ૧૫ દેશો ઉપર કોરોનાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.

આફતને અવસરમાં પલટાવી નાખવાની આવડત ધરાવતા વેપારીવૃત્તિના ઘણાં દેશોએ આનો ભરપૂર લાભ લેવાનું શરૂ પણ કરી દીધું છે. કોરોના વાયરસ સામે લડતા દેશોને જોઈએ એટલી માત્રામાં હેલ્થ પ્રોડક્ટ્સ આપવા મોટી ફાર્મા કંપનીઓએ કવાયત શરૂ કરી દીધી છે. કોરોનાના ભય હેઠળ વૈશ્વિક કંપનીઓને લાભ રળી આપતી આવી જ એક પ્રોડક્ટ છે - માસ્ક.
                                                                           ***
કોરોનાના કેર વચ્ચે દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ વધી ગઈ છે. ચીનમાં તો માસ્કની અછત સર્જાઈ ગઈ. એ અછત નિવારવા ચીને દક્ષિણ કોરિયા, જાપાન, હંગેરી, સિંગાપોર જેવા દેશો પાસેથી માસ્ક આયાત કરવા કવાયત શરૂ કરી હતી. અત્યારે ચીન ગમે એટલી મહેનત કરે તો પણ એક વખત વપરાશમાં લઈ શકાય એ પ્રકારના એક દિવસમાં ૨ કરોડ માસ્ક જ બનાવી શકે તેમ છે. કોરોનાથી બચવા માસ્ક એ પ્રાથમિક જરૂરિયાત છે.

ચીનની વસતિને ધ્યાનમાં રાખીને તેને કરોડોની સંખ્યામાં માસ્કની જરૂર પડશે. માસ્કની અછતથી લડવા ચીનની સરકારે મિત્ર રાષ્ટ્રોને માસ્કનું ડોનેશન કરવાની વિનંતી પણ કરી છે. અમેરિકન, યુરોપીયન કંપનીઓ પાસેથી માસ્કની મોટાપાયે ખરીદી કરવાની તૈયારી ચીનના હેલ્થ મિનિસ્ટરે બતાવી હતી.

અત્યારે ચીનને દરરોજ પાંચ કરોડ જેટલાં સર્જિકલ માસ્કની જરૂર છે. જેમ તેમ કરીને ૬૦-૭૦ ટકા જરૂરિયાતને અત્યારે તો પહોંચી વળાય છે, પરંતુ ૩૦ ટકા જરૂરિયાત પૂરી થતી ન હોવાથી ચીનના માર્કેટમાં માસ્કની પ્રાઈસમાં જબ્બર ઉછાળો આવ્યો છે. ભારતમાં પણ એન૯૫  પ્રકારના માસ્કની કિંમત વધી ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં એક માસ્કનો ભાવ ૨૫૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયા સુધી બોલાય છે. અગાઉ આવા માસ્કની કિંમત ૧૨૦થી ૧૫૦ રૂપિયા હતી.

કોરોનાનો સચોટ ઈલાજ હજુ શક્ય બન્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વાયરસથી બચવા વિશ્વને ચેતવ્યું પછી દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ એકાએક વધી ગઈ છે. ચીનમાં માસ્ક જેવી પ્રાથમિક પ્રોડક્ટની અછત સર્જાઈ એવી અછત અન્ય દેશો પોતાને ત્યાં ન સર્જાય તે માટે સાવધાન બની ચૂક્યા છે. અમેરિકા-ભારત જેવા દેશોએ તો ચીનમાં મોકલાતો માસ્કનો જથ્થો ઘટાડી નાખ્યો છે અને સ્થાનિક માર્કેટમાં પૂરતો જથ્થો મેઈનટેઈન થાય એ દિશામાં આયોજન શરૂ કર્યું છે.

કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી મહત્વનો ઉપાય હોવાથી અત્યારે માસ્કની ડિમાન્ડ વધી છે એ સાચું, પરંતુ તે સિવાય પણ માસ્કના માર્કેટમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ઉછાળો આવ્યો છે. દુનિયા ઉપર સતત નવા નવા વાયરસનો હુમલો થઈ રહ્યો છે. એમાં ય એક દશકામાં જ આટલા વાયરસનો ત્રાસ દુનિયાએ જોયો છે કે તેની સામે લડત આપવા સલામતીના ઉપાયો અજમાવવાની જાગૃતિ વધી. એના ભાગરૂપે છેલ્લાં એક દશકામાં સર્જિકલ માસ્ક યાને મેડિકલ માસ્કની જરૂરિયાત પણ અનેકગણી વધી ગઈ.
                                                                      ***
માસ્કનાં ઘણાં પ્રકારો છે. ખાસ પ્રકારના કપડાંમાંથી બનેલાં સાદા માસ્કથી લઈને ધુમ્મસથી બચાવતાં એન્ટી ફોગ માસ્ક, એન૯૫ માસ્ક અને ઓપરેશન દરમિયાન ડૉક્ટર્સ પહેરે છે તે સર્જિકલ માસ્ક. આ બધા માસ્કના અલગ અલગ પ્રકાર સામાન્ય રીતે સર્જિકલ માસ્કના નામે જ વધુ જાણીતા છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈન્સ્ટિટયૂટે જેને એન૯૫ નામ આપ્યું છે એ પ્રકારના માસ્ક વાયરસ સામે રક્ષણ આપે છે. એમાં ૯૫ ટકા સુધી કણો શુદ્ધ થવાની ક્ષમતા હોય છે એવો દાવો થાય છે.

અલગ અલગ દેશમાં માસ્કને લગતા ધારાધોરણ અલગ અલગ છે. અમેરિકામાં એન૯૫ માસ્કને વાયરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાનું સૂચન થાય છે. યુરોપમાં એવા જ માસ્કના માપદંડો અલગ છે. યુરોપમાં ત્રણ પ્રકારના આવા માસ્કને માન્યતા મળે છે. પહેલાં તબક્કાના માસ્કમાં ૮૦ ટકા, બીજા તબક્કાના માસ્કમાં ૯૪ ટકા, તેનાથી મોંઘા ત્રીજા તબક્કાના માસ્કમાં ૯૯ ટકા સુધી રજકણો શુદ્ધ થતાં હોવાનું સંશોધન થયું છે. એમાં પાછા લીકેજની શક્યતાના સંશોધનો ય થયા છે. પ્રથમ તબક્કાના માસ્કમાં ૨૨ ટકા સુધી લીકેજની શક્યતા છે. બીજામાં ૮ અને ત્રીજામાં માત્ર ૨ ટકા માસ્કમાં જ લીકેજ એટલે કે ખરાબીની શક્યતા છે.

છેલ્લાં એક દશકાથી માસ્કનું ગ્લોબલ માર્કેટ ૨૫થી ૩૫ ટકાની ઝડપે વિકસી રહ્યું છે. ૨૦૧૮માં માસ્કનું ગ્લોબલ માર્કેટ ૪૫૦૦ કરોડ ડોલર હોવાનો અંદાજ હતો. ૨૦૧૯માં એ માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરને પાર થઈ ગયું હતું. ૨૦૨૬ સુધીમાં બધા પ્રકારના માસ્કનું વૈશ્વિક માર્કેટ ૯૮૦૦ કરોડ ડોલર થઈ જશે. આગામી છ-સાત વર્ષમાં માસ્કનું માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરમાંથી ૧૦,૦૦૦ કરોડ ડોલર સુધી પહોંચી  જશે તે પાછળ ક્યા કારણો જવાબદાર હશે?
                                                                          ***
સાર્સ, મેર્સ, સ્વાઈન ફ્લુ, ઈબોલા, નિપાહ, નાઈલ જેવા અજાણ્યા વાયરસનો દુનિયાને ચેપ લાગ્યો હતો. વાયરસના મૂળિયા સુધી હજુ સુધી વિજ્ઞાાન પહોંચી શક્યું નથી. કેટલાંય નાના-મોટા અજાણ્યા વાયરસનું માનવજાત સાથે સહઅસ્તિત્વ રહ્યું છે. સંશોધકો તો એવો ય દાવો કરતા રહે છે કે વીતેલા દશકા કરતાં આવતા દશકામાં માણસજાતે વધુ શક્તિશાળી વાયરસ સાથે લડવાનું આવશે.

આ ભય માણસને સાવધાન રહેવા પ્રેરે છે. સાવધાની માટે શક્ય એટલાં બધા જ પ્રયાસો માણસ કરે છે. તેના ભાગરૂપે સૌથી શરૂઆતનો અને સૌથી મહત્વનો પ્રયાસ માસ્ક પહેરવાનો છે. માસ્કથી ઘણાંખરા નાના સંક્રમણથી પણ બચી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થાઓ માસ્ક પહેરવાની ભલામણ કરે છે. નાક-મોંથી શરીરમાં પ્રવેશતા વાયરસને અટકાવવાનાં વિવિધ સંસ્થાઓનાં કેમ્પેઈનના કારણે લોકોમાં અવેરનેસ આવી છે. એ અવેરનેસથી માસ્કની ડિમાન્ડ વધી છે.

૨૦૧૬માં થયેલા એક સર્વેક્ષણનું તારણ હતું એ પ્રમાણે આપણે સરેરાશ એક કલાકમાં આપણાં ચહેરાને ૨૩ વખત હાથ અડાડીએ છીએ. હાથ સ્વચ્છ રાખવામાં મોટાભાગના લોકો બેદરકાર છે. ૨૦૧૫ના એક સર્વેક્ષણમાં તો એવો ય દાવો થયો હતો કે લોકો સરેરાશ પાંચ-છ કલાકમાં એક વખત હાથ સાફ કરે છે. એનો અર્થ એ કે હાથ સ્વચ્છ રાખવાની બાબતમાં બેદરકારી સામાન્ય છે અને એ જ હાથ જો મોં-નાકના સંપર્કમાં આવે તો વાયરલની શક્યતા વધી જાય છે.

દરરોજ તો માસ્ક પહેરવાનું બધા માટે શક્ય નથી, પરંતુ આવા ભયાનક વાયરસના જોખમ વખતે માસ્ક પહેરવાથી ભીતિ ઓછી થતી હોય તો એ કરવું હિતાવહ છે. એન૯૫ જેવાં માસ્ક પહેરવાથી કોરોના જેવા વાયરસ સામે ૧૦૦ ટકા રક્ષણ તો નથી મળતું, પરંતુ જોખમ ઘણું ઘટી જાય છે એ નક્કી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ડોક્ટર્સ સૂચન કરે એ સમયગાળામાં માસ્ક પહેરવાથી જોખમ ૩૦-૪૦ ટકા ઘટી જાય છે.

વેલ, ડર દુનિયાનો સૌથી મોટો વેપાર હોય તો પણ સલામત રહેવા માટે થોડોક ખોટનો સોદો કરવો પડે તો કરી લેવો સારો! શું કહો છો?
                                                                          ***

માસ્ક વાયરસથી  બચાવે છે?

૨૦૦૮ સુધી વાયરસથી બચવા મેડિકલ માસ્ક કેટલાં કારગત નીવડે છે તે દિશામાં કોઈ જ નક્કર સંશોધનો થયા ન હતા. ૨૦૦૮માં પ્રથમ વખત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઈન્ફેક્શન ડિસીસમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એ અહેવાલમાં પહેલી વખત એવો દાવો થયો હતો કે માસ્ક પહેરવાથી વાયરસને દૂર રાખી શકાય છે. બાળકોને વાયરલ ઈન્ફેક્શન થાય એવા કિસ્સામાં માસ્ક પહેરાવવાથી ૮૦ ટકા સુધી જોખમ ઘટી જતું હતું.
મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૨માં એક સંશોધન કર્યું હતું. હોલમાં ઘણાં લોકો સાથે રહેતા એક ગ્રુપને માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી હતી. બીજા ગ્રુપને માસ્ક ન પહેરવાનું જણાવ્યું હતું. જેમણે ગ્રુપમાં હોય ત્યારે આઠેક કલાક સુધી માસ્ક પહેરી રાખ્યા હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી હતી. જેમણે માસ્ક પહેર્યા ન હતા એ લોકોએ વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ કરી હતી. સંશોધકો એવા તારણ સુધી પહોંચ્યા હતા કે વધારે લોકો સાથે પનારો પડતો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ.
                                                                              ***

સૌથી વધુ ઉપયોગ એશિયન દેશોમાં

દુનિયાના કુલ પ્રોડક્શનના ૭૦ ટકા માસ્ક એશિયન દેશોમાં વપરાય છે. માસ્કના ઉત્પાદનમાં દક્ષિણ કોરિયા આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઉપયોગમાં પણ દક્ષિણ કોરિયાના લોકો પહેલી હરોળમાં આવે છે. જાપાનમાં વન ટાઈમ યુઝ માસ્કનું મોટું માર્કેટ છે. હોસ્પિટલ્સ, લેબોરેટરી, કારખાનાઓમાં લોકો માસ્ક પહેરતા હોય છે, પરંતુ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોરમાં માસ્ક પહેરેલા લોકો પબ્લિક પ્લેસીસમાં પણ બધે ફરતા જોવા મળે છે.

હવાના પ્રદૂષણથી બચવા જાપાન-ચીન-દક્ષિણ કોરિયામાં લોકો દિવસભર માસ્ક પહેરી રાખે છે. જોકે, એ માસ્ક રજકણોથી રક્ષણ આપે એ પ્રકારના હોય છે. વાયરસથી રક્ષણ કરવા એન૯૫ પ્રકારના માસ્કની ભલામણ કરવામાં આવતી હોય છે. ધૂળ-રજકણોથી રક્ષણ આપતા સાદા માસ્ક સસ્તા હોય છે, જ્યારે વાયરસમાં પહેરવાની ભલામણ થાય છે એ માસ્કની કિંમત થોડી વધુ હોય છે.
વિજ્ઞાનિકોના મતે અમેરિકા-યુરોપ કરતા એશિયન દેશો વધારે ગીચ છે એટલે જાહેરમાં માસ્ક પહેરવાથી ઘણાં નાના-મોટા વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. એશિયન દેશો માસ્ક પહેરવામાં પણ આગળ છે અને પ્રોડક્શનમાં પણ એશિયન દેશોનો હિસ્સો ઘણો મોટો છે.
Sunday 9 February 2020
Posted by Harsh Meswania
Tag :

સોશિયલ મીડિયાના કારણે આપણું રીડિંગ કેટલું ઘટયું છે?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એટલે બધાનો એવરેજ રીડિંગ ટાઈમ ઘટી ગયો છે. કેટલો સમય ઘટયો છે? ૨૦-૨૫ વર્ષ પહેલાં લોકો કેટલું રીડિંગ કરતા હતા?

'ગેમ ઓફ થ્રોન્સ' સીરિઝ જેમની નોવેલ્સ પરથી પ્રેરિત છે એ લેખક જ્યોર્જ આર.આર. માર્ટિનનું ખૂબ જાણીતું વાક્ય છે : 'રીડર એક જ આયખામાં હજારો જિંદગી જીવી શકે છે, જે માણસ રીડિંગ કરતો નથી એ તેને મળેલી એક જ જિંદગી જીવે છે'.

અડધા દશકા પહેલાં પુસ્તકો માણસના જીવનનો અભિન્ન હિસ્સો હતાં. પુસ્તકો માણસને મિત્રની ખોટ પૂરી કરતા, હવે ફ્રેન્ડશીપ માટે સોશિયલ મીડિયા હાજરાહજૂર છે. એક અકાઉન્ટ ઓપેન કરીએ ત્યાં આખી દુનિયા ખુલી જાય છે! પ્રવાસમાં પુસ્તકો સાથે રાખવાથી લઈને તકિયા પાસે પુસ્તકો મૂકીને સૂઈ જવાનો એક જમાનો હતો.

પુસ્તકનું એ સ્થાન સ્માર્ટફોને લઈ લીધું તે પહેલાં એમાં થોડીક હિસ્સેદારી ફિલ્મ અને ટેલિવિઝનની પણ હતી. સિનેમાનો યુગ આવ્યો પછી પુસ્તકોનું વાચન થોડુંક ઘટયું હતું. સાહિત્યકૃતિનો આધાર લઈને ફિલ્મો બનતી થઈ પછી રીડિંગ મટિરિયલની ડિમાન્ડમાં થોડોક ઘટાડો આવ્યો હતો. પુસ્તકોના હિસ્સાનો થોડોક સમય ટેલિવિઝને લઈ લીધો પછી ય સારો એવો સમય માણસ પુસ્તકોને આપતો હતો.

વિદ્યાર્થીકાળમાં તો 'રીડિંગ' સૌથી મહત્વનો મુદ્દો હોય જ, પરંતુ એ પછી પણ રીડિંગ સાથે માણસ કનેક્ટ હતો. પુસ્તકો વાંચવા જેટલી નવરાશ ન હોય ત્યારે સારા વાચનની તલાશમાં માણસની આંખો અખબારો, સામયિકો ઉપર ફરી વળતી. મનગમતા વિષયો, પસંદીદા લેખકોની કલમ આ જ રીતે આપણાં સુધી પહોંચતી.

પરંતુ ૨૧મી સદીમાં સોશિયલ મીડિયાના યુગનો આરંભ થયો, તે સાથે જ રીડિંગ હેબિટ્સમાં પણ પરિવર્તન આવ્યું. ગમે એટલા સંશોધનો થાય, માણસના કલાકો વધારી શકવાના નથી! માનવજાત પાસે સિનેમા-ટેલિવિઝન-રેડિયો-સોશિયલ મીડિયાના જમાના પહેલાં ય ૨૪ કલાકો હતાં અને આજેય ૨૪ કલાક જ છે. ગમે એટલાં ડિવાઈસ આવે; ગમે એટલી ટેકનોલોજી આવે, આપણે એ બધું ૨૪ કલાકમાં જ મેનેજ કરવાનું છે એ નક્કી છે.

નવું જોવા-જાણવા, શીખવા-સમજવા માટે જૂનું મૂકવું પડે. આપણી પાસે એક તરફ ૨૧મી સદીનું સોશિયલ મીડિયા હતું અને બીજી તરફ સદીઓ જૂની રીડિંગ હેબિટ હતી. આપણે સોશિયલ મીડિયા માટે રીડિંગ હેબિટનો 'ભોગ' આપ્યો. સંશોધનો કહે છે કે ૨૧મી સદીના માણસની રીડિંગ હેબિટમાં ધરખમ પરિવર્તન આવી ચૂક્યું છે.
                                                                         ***
દુનિયાભરમાં બાળકો અને યુવાનોની ઘટતી વાચનક્ષમતા અંગે ચિંતા થઈ રહી છે. અમેરિકામાં ૨૦૧૬માં બાળકોની રીડિંગ હેબિટ પર એક સંશોધન થયું હતું. એમાં એક તારણ એવું આવ્યું હતું કે ૧૯૮૨ સુધી અમેરિકાના સરેરાશ ૫૬.૯૦ ટકા યુવાનો ૨૦-૨૨ વર્ષ સુધીમાં એક નવલકથા વાંચી લેતા હતા. ૨૦૧૫માં અમેરિકાના સરેરાશ ૪૩.૧ ટકા યુવાનો નવલકથા વાંચતા હતા.

ત્રણ દશકામાં ૨૦-૨૨ વર્ષ સુધીમાં એટલિસ્ટ એક નવલકથા વાંચી લેતા યુવાનોની સંખ્યામાં જો ૧૩ ટકાનો ઘટાડો થયો હોય તો એ બહુ મોટો ફરક ન કહેવાય. આટલા વર્ષોમાં આટલી ટેકનોલોજી વિકસી છતાં જો હજુય ૧૦૦માંથી ૪૩ યુવાનો જીવનની પચ્ચીસીમાં એક પુસ્તક વાંચી લેતા હોય તો એ સારી વાત કહેવાય, પરંતુ મુશ્કેલી અહીંથી શરૂ થઈ હતી.

૨૧મી સદીમાં જન્મેલી જનરેશન એનાથી ય ઓછું રીડિંગ કરે છે. યુએસ એકેડેમિક રીપોર્ટ્સના દાવા પ્રમાણે ૧૯૮૦ના દશકામાં ૧૬થી ૧૮ વર્ષના ૬૦ ટકા વિદ્યાર્થીઓ દરરોજ પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હતા, જેનો તેમના અભ્યાસક્રમ સાથે કોઈ સંબંધ ન હતો. શાળામાંથી સજેસ્ટ કરવામાં આવ્યું હોય પછી અભ્યાસક્રમ સિવાયનું વાચન કરતા વિદ્યાર્થીઓ એ દશકામાં ૮૦ ટકા હતા. જે ઘટીને ૨૦૧૬માં માત્ર ૧૬ ટકા થઈ ગયા હતા. ૨૦૧૬માં સ્કૂલ-કોલેજના રીડિંગ સિવાય પોતાના રસ ખાતર પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હોય એવા ૧૦૦માંથી માત્ર ૧૬ વિદ્યાર્થી હતા.

તો સ્કૂલ સિવાયના સમયમાં આ વિદ્યાર્થીઓ શું કરે છે?
જવાબ છે - મેસેજીસ. સોશિયલ મીડિયા.
એ જ અહેવાલ દાવો કરે છે કે ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ૨૪માંથી છ કલાક મેસેજીસની આપ-લે પાછળ ખર્ચે છે. એટલે તેમને વાચનની જરૂર વર્તાતી નથી. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ દુનિયાભરની નવી જનરેશનની રીડિંગ હેબિટ્સનો સ્ટડી કરનારા બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો ગયા વર્ષે એવાં તારણ પર આવ્યા હતા કે ૨૦મી સદીના છેલ્લા દશકાના અંતમાં કે ૨૧મી સદીમાં જન્મેલા ૮૦ ટકા વિદ્યાર્થીઓ માત્ર સ્ટડીમાં જરૂરી હોય એટલું જ રીડિંગ કરે છે.

અભ્યાસક્રમ સિવાયનું નવું જાણવાની જિજ્ઞાસા ઓડિયો-વિડીયો માધ્યમથી સંતોષે છે. ૧૦૦માંથી માત્ર ૧૨ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ ઉપરાંતના પુસ્તકો વાંચે છે. આઠ ટકા સ્ટૂડન્ટ્સ કોર્સ બહારનું રીડિંગ ઓનલાઈન કરે છે. આ અભ્યાસમાં વધારાના રીડિંગ મટિરિયલમાં પુસ્તકોનો જ સમાવેશ કરાયો હતો. અખબાર અને સામયિકોના વાચનને ધ્યાનમાં લેવાયું ન હતું.

બીજા એક સ્ટડીમાં એવો ય દાવો થયો હતો કે ૧૫થી ૩૫ વયની વયજૂથના ૪૮ ટકા યુવાનો અખબારો-સામયિકો વાંચીને દુનિયાથી માહિતગાર થાય છે. એ સ્ટડીમાં ૯૦ના દશકામાં જન્મેલા લોકોનો પણ સમાવેશ કરાયો હતો. 
                                                                         ***
રીડિંગ ઘટવાથી જે ભય સર્જાયો છે, એ છે - શબ્દો સાથે કામ પાર પાડવાની આપણી ઘટતી ક્ષમતા. ૨૧મી સદીમાં જન્મેલી જનરેશનની રીડિંગ હેબિટનો અભ્યાસ કર્યા પછી સંશોધકોએ એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં માણસની શબ્દો સાથે કામ લેવાની ક્ષમતા ઘણી ઘટી જશે!

મોર્ડન જનરેશન જે રીતે ઓછા શબ્દોથી ચલાવે છે, રીડિંગના અભાવે શબ્દભંડોળ ઓછું થઈ રહ્યું છે અને સિમ્બોલ્સથી કામ ચલાવવાનું વધ્યું છે - તે જોતાં ત્રણેક દશકામાં બોલચાલના કે સાધારણ લેખનના કેટલાય શબ્દો લુપ્ત થઈ જશે! એક ભાષામાંથી બીજી ભાષાનો શબ્દ સમજવા શબ્દકોશની જરૂર પડે છે. એના બદલે એકાદ દોઢ દશકા પછી એ જ ભાષાના અઘરા શબ્દો સમજવા માટે ડિક્શનરી જરૂરી બની જશે.

વેલ, આ આવનારા સમયનો અંદાજ છે. સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરવાથી રીડિંગ સ્પેસ ઘટી રહી હોવાની ચિંતા વારંવાર વ્યક્ત થતી રહે છે. સાદી સમજ છે, સોશિયલ મીડિયામાં સમય ખર્ચાય એટલે બીજે જે સમય આપવાનો હોય એ ઘટી જાય. નવી ટેકનોલોજીનું વિશ્વ નજર સામે હોય ત્યારે બે પૂઠાં વચ્ચેનું જગત જોવાની નવરાશ કાઢવી આમેય અઘરી છે.

પરંતુ ડિજિટલ પ્લેટફોર્મમાં ય રીડિંગનો પુરતો અવકાશ છે. વિકિપીડિયામાં જ અંગ્રેજી ભાષાના ૬૦ લાખ, જર્મનભાષાના ૨૩ લાખ આર્ટિકલ્સ અવેલેબલ છે. હિન્દી-ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પણ કેટલાય વિષયોની માહિતી સતત ઉમેરાઈ રહી છે. અપાર ઓથેન્ટિક વેબસાઈટ્સ છે, જે પુસ્તક હાથમાં રાખ્યા વગર પણ દુનિયાભરનું રીડિંગ મટિરિયલ આપણી આંખોને પીરસે છે.
ઈનશોર્ટ, રીડિંગ કરીશું તો ખજાનો અખૂટ છે, નહીં કરીએ તો શબ્દો ખૂટશે!
                                                                    ***

રીડિંગના અભાવે માણસનું શબ્દભંડોળ ખૂટી જશે!

વૉલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં દાવો થયો હતો કે અંગ્રેજી જાણનારા સરેરાશ માણસનું શબ્દભંડોળ ૨૦થી ૩૦ હજાર શબ્દોનું હોય છે. એટલે કે અંગ્રેજીભાષા જાણનારો સરેરાશ માણસ ૨૦-૩૦ હજાર શબ્દોનો અર્થ જાણે છે, લખી શકે છે, બોલી શકે છે. વિશ્વની અલગ અલગ ભાષા બોલતા લોકો ઉપર આ પ્રકારના સંશોધનો થયા છે. લખી ન શકતા લોકો પર પણ સંશોધનો થયા છે.
બધાના તારણ પ્રમાણે અત્યારે પૃથ્વી પર જીવતા લોકો સરેરાશ ૨૦ હજાર શબ્દોથી લઈને ૪૨ હજાર શબ્દો જાણે છે, બોલે છે, વપરાશમાં લઈ શકે છે. પરંતુ સંશોધકોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આગામી એક દશકામાં શબ્દભંડોળ ઘટીને ૧૧ હજારથી ૧૮ હજાર સુધી આવી જશે. અગાઉના દશકાઓની તુલનાએ ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ઓછા શબ્દો વાંચે છે. લખવાનું પણ ઓછું આવે છે. ઈમોટિકોન્સથી કામ ચાલી જાય છે એટલે ધીમે-ધીમે શબ્દોની ગરજ ઓછી થતી જશે. શબ્દો ઉપર સંકેતો ભારે પડશે.
                                                                   ***

જેટલો સમય સોશિયલ મીડિયામાં વધુ, એટલો રીડિંગમાં ઓછો?

વર્ડપ્રેસના એક ઓનલાઈન સર્વેક્ષણનું તારણ જાણવા જેવું છે. જે સ્ટૂડન્ટ્સ પાંચ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા, તે સપ્તાહમાં બે કલાક રીડિંગ કરતા હતા. સ્ટૂડન્ટ્સ છ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા તે સપ્તાહમાં દોઢ કલાક રીડિંગ પાછળ આપતા હતા. જે વિદ્યાર્થીઓ છ કલાક કરતા વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા કે સપ્તાહમાં ૧૫થી ૨૦ મિનિટનું રીડિંગ કરતા હતા.જે સ્ટૂડન્ટ્સ ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તે સપ્તાહમાં ત્રણ કલાક રીડિંગને આપી શકતા હતા.

જે વિદ્યાર્થીઓ પાંચ કલાક સોશિયલ મીડિયાને આપતા હતા એમાંથી ૬૧ ટકા વિદ્યાર્થીઓને વાચન દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં સંઘર્ષ કરવો પડતો હતો. જે વિદ્યાર્થીઓ છ કલાક કે તેનાથી વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા એમાંના ૯૧ ટકાને વાચનમાં ધ્યાન આપવામાં મહેનત પડતી હતી.
ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તેમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓએ શરૂઆતના એક કલાક દરમિયાન વાચનમાં ધ્યાન ન લાગતું હોવાની ફરિયાદ કરી હતી. ત્રણ કલાક જેટલો સમય સોશિયલ મીડિયામાં વીતાવનારા ૭૫ ટકા વિદ્યાર્થીઓએ રીડિંગમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તકલીફ ન હોવાનું જણાવ્યું હતું.
Sunday 2 February 2020
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -