Archive for January 2019

કવિ દલપતરામ : ગુજરાતી ભાષાના 'દિલ'માં વસેલા 'રામ'

કવિ દલપતરામ
 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.

વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.

સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.

એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.

દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.

ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.

દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.

ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.

એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.

ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'

દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
કવિ નર્મદ
નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું :
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'

દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'

 દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.

'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.

બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.

પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.

'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'

દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.

લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.

દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'

એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'
Sunday 20 January 2019
Posted by Harsh Meswania
Tag :

સ્લિપ ઓફ ટંગ: ગલતી સે મિસ્ટેક ક્યોં હોતી હૈ?



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મીડિયા સામે જીભ લપસી તેનો વિડીયો બહુ વાયરલ થયો. આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. આવું શું કામ બને છે? વિજ્ઞાન શું કહે છે?

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે  સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.

પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.

એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!

આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'

એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.

માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!

વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.

વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
પરંતુ આવું કેમ થાય છે? વિજ્ઞાન શું કહે છે?
                                                                  ***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.

એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.

રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.

ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!

અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.

ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.

બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
                                                                         ***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.

તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.

સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.

વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
કૌન-સી બાત કહાઁ; કૈસે કહી જાતી હૈ
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!
Sunday 13 January 2019
Posted by Harsh Meswania
Tag :

રેઈનહોલ્ડ અને આર્વેડ: એન્ટાર્કટિકાની આરપાર નીકળનારા સાહસિકો


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૧૯૮૯-૯૦માં ૯૨ દિવસનો સંઘર્ષ ખેડીને રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સ નામના બે સાહસિકોએ સૌપ્રથમ વખત પગપાળા એન્ટાર્કટિકા પાર કરીને વિક્રમ સર્જ્યો હતો

૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
એ દિવસે એન્ટાર્કટિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ દર્જ થયો હતો. પ્રથમ વખત બે સાહસિકો પગપાળા યાત્રા કરીને એન્ટાર્કટિકામાં સાઉથ પોલ સુધી પહોંચ્યા હતા. એ પહેલાં ય ઘણાં સાહસિકોએ એન્ટાર્કટિકામાં વિજયી ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો હતો. બંનેએ પહેલી વખત પગપાળા એટલે કે સ્કીઈંગ કરીને સાઉથ પોલ સુધીની સફર પૂરી કરી હતી.

૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.

૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.

આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'

સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.

પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
                                                                            ***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.

પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
સાઉથ પોલ સુધીની સાહસયાત્રા કરીને રેકોર્ડ સર્જનારા સાહસિકો - આર્વેડ ફૂક્સ અને રેઈનહોલ્ડ મેસનર

એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.

એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
                                                                            ***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.

૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
ગિનેસ બુકમાં નવ-નવ રેકોર્ડ ધરાવતા રેઈનહોલ્ડ મેસનર

સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.

અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.

રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.

જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.

રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.

સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'
Sunday 6 January 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -