Archive for March 2022

શ્રીલંકામાં આર્થિક કટોકટી : ભારત પાસે 'આફત'ને 'અવસર'માં બદલવાનો મોકો!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

 

શ્રીલંકાએ ચીન પાસે ફરીથી મદદ મેળવવા રજૂઆત કરી છે, પરંતુ ચીને સરખો જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ઘેરું બનશે. તેની ભારતમાં અસર થશે. જોકે, ભારત પાસે શ્રીલંકાની આફતને અવસરમાં ફેરવવાની તક પણ રહેશે. શ્રીલંકા ઈચ્છે છે કે શ્રીલંકન બંદરોના વિકાસમાં ભારતનું રોકાણ મળે. જો એવું થાય તો શ્રીલંકા ઉપર ફરીથી ભારતનો પ્રભાવ વધી શકે છે


શ્રીલંકા ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે. એક લીટર દૂધ લેવું હોય તો એક હજાર રૂપિયા ખર્ચવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકો ભાગીને ભારત આવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો શ્રીલંકામાં હજુય આર્થિક સંકટ વધારે ઘેરું બનશે તો ભારતમાં શરણાર્થી કટોકટી સર્જાઈ શકે છે. ભારતના તમિલનાડુમાં શ્રીલંકાથી ભાગીને થોડાંક લોકો આવ્યા હતા. એ લોકોના દાવા પ્રમાણે શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ તો ક્યારની બની ગઈ છે, પરંતુ સ્થિતિ અસહ્ય બની ચૂકી છે.
શ્રીલંકાની આ સ્થિતિ માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ ચીન સૌથી વધુ જવાબદાર છે. શ્રીલંકા દેવામાં ડૂબી ગયું છે. વિદેશી કરજનું સ્તર ખૂબ જ વધી જતાં અર્થતંત્ર અસ્થિર થયું છે. વિદેશી હૂંડિયામણ નવેમ્બર-૨૦૨૧ પ્રમાણે માત્ર ૧.૬ અબજ ડોલરની ઐતિહાસિક નીચલી સપાટીએ હતું. બેરોજગારી વધી ગઈ છે, ફુગાવો બેકાબૂ બનતા મોંઘવારી ફાટી નીકળી છે. જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
ચીને શ્રીલંકાને દેવામાં ડૂબાડી દીધું છે. એકલા ચીનનું જ શ્રીલંકા ઉપર પાંચ અબજ ડોલર જેટલું કરજ છે. આટલું કરજ આપીને ચીને શ્રીલંકાના પોર્ટ શહેરોનો એક પછી એક કબજો લેવાનું ષડયંત્ર રચ્યું છે. શ્રીલંકાએ ભારત, જાપાન જેવા દેશો પાસેથી પણ આર્થિક મદદ લીધી છે, પરંતુ ભારત-જાપાને ચીન જેવી ચાલાકી વાપરી નથી. ચીન જે રીતે પાકિસ્તાનને કરજ આપીને પછી દરેક નિર્ણયોમાં પોતાનું ધાર્યું કરાવે છે એવું જ શ્રીલંકાની બાબતમાં પણ બનવા લાગ્યું છે.
એ સિવાયના કારણો પણ છે. ટૂરિઝમ સેક્ટરને કોરોનાના કારણે મોટો ફટકો પડયો. એ ક્ષેત્ર હજુ એમાંથી બહાર આવી શક્યું નથી. વિદેશી કરજના કારણે વિદેશી હૂંડિયામણનું તળિયું આવી ગયું છે, એટલે શ્રીલંકાની કરન્સીનું મૂલ્ય ગગડી ગયું છે. શ્રીલંકાની સરકારે થોડા સમય પહેલાં ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરી દીધી હતી અને તમામ ફર્ટિલાઈઝર્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એના કારણે કેમિકલ ઈન્ડસ્ટ્રી ભાંગી પડી. આ નિર્ણયથી શ્રીલંકાનું આખું કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થયું અને તેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડી. ઘઊં, ચોખા, દાળ વગેરેની ભારે અછત પ્રવર્તી રહી છે. આ અછતને પહોંચી વળવા શ્રીલંકાએ ફરીથી ૨.૫ અબજ ડોલરની મદદ ચીન પાસે માગી છે. ચીને મદદ આપવાની ખાસ તૈયારી બતાવી નથી એટલે શ્રીલંકા વધારે મુશ્કેલીમાં મૂકાયું છે.
શ્રીલંકાના આર્થિક સંકટની ભારત ઉપર તરત જ અસર થશે. જો શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ગહેરું બનશે તો ભારતમાં લાખો શરણાર્થીઓ આવી જશે અને તેનાથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં મુશ્કેલી ઉભી થશે. આ રાજ્યોમાં શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓ હજુય રહે છે. જો આ વખતે ફરીથી હજારો શરણાર્થીઓ આવે તો આ રાજ્યોના અર્થતંત્ર ઉપર પણ તેની અસર થયા વગર રહે નહીં.
જોકે, શ્રીલંકાની આ આફતને અવસરમાં ફેરવવાની ભારત પાસે તક છે. શ્રીલંકા ઈચ્છે છે કે ભારત શ્રીલંકાને મદદ કરે. શ્રીલંકામાં બંદરોના વિકાસનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ભારત પણ રોકાણ કરે. અત્યારે હંબનટોટામાં ચીને રોકાણ કર્યું છે અને આખા બંદરને વિકસિત કરવાના બહાને ભાડે લઈ લીધું છે. જો ભારતીય કંપનીઓ શ્રીલંકાના બંદરોના પ્રોજેક્ટમાં રોકાણ કરે તો શ્રીલંકામાં ચીનની સાથે સાથે ભારતનો પણ પ્રભાવ વધે. ભારતે આ પહેલાં ૫૦ કરોડ ડોલરનું કરજ શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાએ આ રકમમાંથી પેટ્રોલિયમ ખરીદ્યું હતું. ભારતના વિદેશમંત્રીએ જાન્યુઆરી માસમાં શ્રીલંકાના વિદેશમંત્રી તુલસી રાજપક્ષે સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એ વખતે ભારતે ૨.૪ અબજ ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. એનો ઉપયોગ શ્રીલંકા વેપાર માટે કરી શકે છે. ભારતે સાર્ક કરન્સી વિનિયમ અંતર્ગત શ્રીલંકાને ૪૦ કરોડ ડોલરની વધારાની મદદ પણ કરી હતી. આ મદદ કોરોના પછી આવેલી ગંભીર સ્થિતિ સામે લડવા માટે થઈ હતી. હજુ તો ગત સપ્તાહે જ આર્થિક સંકટ સામે ઝૂઝતા શ્રીલંકાને દવા, ખાદ્યાન્ન, જીવનજરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે ભારતે એક અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી. એ મદદ ભારતે આપેલા કુલ ૨.૪ અબજ ડોલરના રાહત પેકેજનો હિસ્સો હતી.
ચીન શ્રીલંકાના હંબનટોટા જેવા બંદરો ઉપર ગમે તેમ કરીને કબજો કરવા માગે છે. એવું કરીને ચીન ભવિષ્યમાં તેનો લશ્કરી ઉપયોગ કરવા ધારે છે. શ્રીલંકાના બંદરોનો કબજો લઈને ચીન હિંદ મહાસાગરમાં ભારત સામે પડકાર સર્જવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન હાજર હોય એ ભારત માટે ચિંતાનો વિષય છે. આ હંબનટોટા શ્રીલંકા પહેલાં ભારતને આપવા માગતું હતું, પરંતુ વાતચીત આગળ વધી નહીં અને એ દરમિયાન જ ચીને તક ઝડપી લીધી હતી. હવે શ્રીલંકાની આર્થિક કટોકટીના કારણે ભારત પાસેથી ફરીથી શ્રીલંકા ઉપર પ્રભાવ વધારવાનો મોકો સર્જાયો છે. ભારત શ્રીલંકાને મદદ કરે કે આર્થિક રોકાણ કરે તો તેનાથી બંને દેશોના સંબંધો મજબૂત બનશે. ભારત-શ્રીલંકાના સંબંધો પહેલેથી જ મજબૂત હતા. શ્રીલંકા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં ચીનનો પ્રભાવ ઘટે તો એ ભારતના ફાયદામાં રહેશે એ નક્કી છે.
 

શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓની ભારતના નાગરિકત્વ માટે માગણી

૧૯૮૦ના દશકામાં શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતના તટવર્તીય રાજ્યોમાં શરણાર્થી કટોકટી સર્જાઈ હતી. એ વખતે શ્રીલંકાથી તમિલનાડુમાં હજારો શરણાર્થીઓ આવી ગયા હતા. હજુય તમિલનાડુમાં ૧૦૭ કેમ્પોમાં ૬૦ હજાર જેટલા શરણાર્થીઓ રહે છે અને તે સિવાયના અન્ય ૩૦ હજાર શરણાર્થીઓ તમિલનાડુમાં શરણાર્થી કેમ્પોની બહાર રહે છે. સરકારી આંકડાં પ્રમાણે લગભગ ૮૦ હજાર જેટલા શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં રહે છે. ખાનગી અહેવાલો આ આંકડો ૯૩ હજાર હોવાનું કહે છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં મળીને આ આંકડો ઘણો મોટો હોવાનું કહેવાય છે. આ શ્રીલંકન શરણાર્થીઓ હવે ભારતનું નાગરિકત્વ મેળવવાની માગણી કરી રહ્યા છે. તેમની માગણી છે કે શ્રીલંકાની સરકાર તેમને પાછા ફરવાની પરવાનગી આપતી નથી. તેમની પાસે બે જ વિકલ્પ બચ્યા છે. ભારતમાં કાયમી વસવાટ કરવો, અથવા તો આપઘાત કરી લેવો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આ માગણી સાથે ૨૯ શ્રીલંકન તમિલ શરણાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ માગણી દિવસે દિવસે વધારે ઉગ્ર બનતી જતી હોવાથી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે.

 

Friday 25 March 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનમાં એકેય વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી


પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વધુ એક વડાપ્રધાન કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ પદભ્રષ્ટ થઈને ઘરભેગા થવાની તૈયારીમાં છે. વિપક્ષોએ અગાઉ પણ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એ વખતે જેમ તેમ કરીને ઈમરાને ખુરશી બચાવી લીધી હતી. હવે ફરીથી વિપક્ષો એકઠા થયા છે અને આ વખતે પૂરી તૈયારી સાથે ઈમરાનને પદભ્રષ્ટ કરવા મેદાને પડયા છે.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે વડાપ્રધાન બન્યા હતા અને ૧૬ ઓક્ટોબર, ૧૯૫૧ સુધી વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન હતા ત્યારે જ લિયાકત અલીની હત્યા થઈ હતી. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન ટર્મ પૂરી શક્યા ન હતા, એ સિલસિલો પછી તેમના અનુગામી બધા જ વડાપ્રધાનોના કિસ્સામાં દોહરાતો આવ્યો છે. બીજા વડાપ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનને બે વર્ષ પછી ગવર્નર જનરલે (ત્યારે પાકિસ્તાનમાં પ્રમુખપદને બદલે ગવર્નર જનરલની પોસ્ટને બધા પાવર્સ મળ્યા હતા.

ચાર ગવર્નર જનરલ પછી એ પોસ્ટને નાબુદ કરીને પ્રમુખપદની પોસ્ટ ઉભી કરાઈ હતી.) બરતરફ કરી દીધા હતા. તે પછી ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન મુહમ્મદ અલી બોગરા વડાપ્રધાન રહ્યા હતા. તેમને તત્કાલિન ગવર્નર જનરલ ગુલામ મોહમ્મદે પસંદ કર્યા હતા. ગુલામ મોહમ્મદ સારવાર લેવા વિદેશ ગયા ત્યારે તેમણે ઈસ્કંદર મિર્ઝાને એક્ટિંગ ગવર્નર જનરલ બનાવ્યા. ઈસ્કંદરે સત્તા સંભાળી તે સાથે જ ગુલામ હૈદર અને બોગરા બંનેને બરતરફ કરી દીધા અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એ પછી ચૌધરી મોહમ્મદ, હુસૈન શાહીદ, ઈબ્રાહિમ ઈસ્માઈલ, ફિરોઝ ખાન સહિત ચારેક વડાપ્રધાનો ત્રણ વર્ષના ગાળામાં બદલાઈ ગયા. એ પછી અયુબ ખાનનું લશ્કરી શાસન આવ્યું એટલે વડાપ્રધાનની નિમણૂક જ બંધ થઈ ગઈ.

૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ ચાલતો હતો એ વખતે મૂળ બંગાળી મુસ્લિમ નુરુલ અમીનને વડાપ્રધાન બનાવાયા, પરંતુ યુદ્ધમાં પરાજય થયો એટલે અમીન માત્ર ૧૩ દિવસ જ વડાપ્રધાનપદે રહી શક્યા. ૧૯૭૩માં યુસુફ ખાને સત્તા છોડવી પડી. લોકજુવાળ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો તરફી હતો. ભુટ્ટો ૧૯૭૩થી ૧૯૭૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા, પરંતુ ટર્મ પૂરી થાય તે પહેલાં ૧૯૭૭માં જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી શાસન લાગુ કરીને ભુટ્ટોને ફાંસી આપી દીધી. વળી, થોડા વર્ષો વડાપ્રધાનનું પદ નાબુદ થઈ ગયું. ૧૯૮૫માં મોહમ્મદ ખાન જુનેજો વડાપ્રધાન બન્યા, પરંતુ ત્રણ વર્ષ પછી પ્રમુખ ઝીયા ઉલ હક સાથે સંઘર્ષ થતાં સત્તા છોડવી પડી.

૧૯૮૮માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. સૌથી યુવા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બનાવનારા બેનઝીર ભુટ્ટોએ ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. બે અઢી વર્ષમાં જ પ્રમુખ ગુલામ ખાન સાથે સંઘર્ષ થયો અને ભ્રષ્ટાચારના આરોપમાં સરકારને બરતરફ કરવામાં આવી. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી વડાપ્રધાન રહેલા નવાઝ શરિફનો પણ એવો જ અંજામ આવ્યો. નવાઝનો કાર્યકાળ પણ ગુલામ હૈદરે જ અધવચ્ચે પૂરો કરી દીધો.

૧૯૯૩ની ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટોને ફરીથી બહુમતી મળી, બીજી વખત વડાપ્રધાન બનેલા બેનઝીર ભુટ્ટોની બીજી ટર્મ ત્રણ વર્ષ અને ૧૭ દિવસમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સમેટાઈ ગઈ. વળી, નવાઝ શરિફ વડાપ્રધાન બન્યા, પણ કાર્યકાળ બે વર્ષનો જ રહ્યો. પરવેઝ મુશરર્ફે સત્તા હાથમાં લઈ લીધી. ઝફરુલ્લા જમાલી, સૌજત હુસૈન, શૌકત અઝીઝ જેવા ત્રણ વડાપ્રધાનો ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન બદલાયા. એક પણ પીએમની ટર્મ પૂરી ન થઈ. યુસુફ રઝા ગિલાની ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન વડાપ્રધાનપદે રહ્યા, પરંતુ એની હાલત પણ પૂરોગામી જેવી જ થઈ. ટર્મ પૂરી થાય પહેલાં જ સુપ્રીમ કોર્ટના આદેશથી પદ છોડવું પડયું.

૨૦૧૩માં નવાઝ શરિફ ભારે બહુમતીથી ત્રીજી વખત ચૂંટાયા. એ વખતે નક્કી લાગતું હતું કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ટર્મ પૂરી કરતા નથી એ સિલસિલો અટકશે, પરંતુ નાટયાત્મક રીતે ઘટનાક્રમ બદલાયો.૨૦૧૭માં પનામા પેપર્સમાં શરિફનું નામ ખુલ્યું અને મુદ્દો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટેનવાઝની બરતરફીનો આદેશ આપ્યો. એ પછી શાહિદ અબ્બાસીએ ૩૦૦ દિવસ સુધી પીએમપદનો કાર્યભાર સંભાળ્યો. ૨૦૧૮ની ચૂંટણીમાં ઈમરાન ખાનને જનાદેશ મળ્યો. ઈમરાન ખાન વડાપ્રધાનપદે ત્રણ વર્ષ અને ૨૧૧ દિવસ પૂરા કરી ચૂક્યા છે, પરંતુ હવે એના કાર્યકાળમાં દિવસો ગણાઈ રહ્યા હોવાનું કહેવાય છે. એક-બે વખત ઈમરાન ઉપરથી ઘાત ટળી ગઈ હતી, પણ આ વખતે તેમની હાલત પણ પૂરોગામી વડાપ્રધાનો જેવી થાય એવી શક્યતા નકારી શકાતી નથી.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન ૨૨મા વડાપ્રધાન છે. અગાઉના તમામ ૨૧ વડાપ્રધાનોએ અધવચ્ચે કાર્યકાળ અધૂરો મૂકવો પડયો છે અથવા તો અધવચ્ચેથી કાર્યકાળ શરૂ કરવો પડયો છે. એક પણ વડાપ્રધાને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. વડાપ્રધાન ગમે તેવી લોકપ્રિયતા મેળવીને પૂર્ણ બહુમતીથી ચૂંટાયા હોવા છતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગયાના એકથી વધુ ઉદાહરણો પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં નોંધાયા છે.

રસપ્રદ વાત છે કે વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી. તેના પરથી અંદાજ લગાવી શકાય કે પાકિસ્તાનમાં કેવી રાજકીય અસ્થિરતા રહેતી આવી છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પછી ઈમરાન ખાનથી પરિવર્તન આવશે - એના પર નજર રહેશે.

...તો ઈમરાન ખાનની સરકાર પડી જશે!

મોંઘવારી, બેરોજગારી, આર્થિક તંગદિલી જેવા વિવિધ મુદ્દે ઘેરાયેલા ઈમરાન ખાન હવે ચૂંટણીમાં ગરબડીના મુદ્દે પણ ઘેરાયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરીયમ નવાઝે ઈમરાન ખાન સામે ચૂંટણીપંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઈમરાન ખાને છૂટથી સરકારી સંસાધનોનો દૂરૂપયોગ કર્યો હોવાનો આરોપ મૂકીને વિપક્ષોએ ચૂંટણીપંચને ઈમરાન ખાન સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

બીજી તરફ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ તો રજૂ થઈ ચૂક્યો છે. એ મુદ્દે આવતા સપ્તાહે સંસદગૃહમાં વોટિંગ થશે. એમાં વળી, પાકિસ્તાની સેનાના વડા કમર બાજવાએ તટસ્થ રહેવાની જાહેરાત કરીને ઈમરાન ખાનની મુશ્કેલી વધારી દીધી છે. અગાઉ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો ત્યારે ઈમરાન ખાનની સરકારે વિશ્વાસનો મત સાબિત કરી દીધો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ઈમરાન ખાનની સરકારમાં ભાગીદાર એવા ત્રણ પક્ષોએ વિપક્ષ સાથે હાથ મિલાવી લીધો છે. એ ત્રણ પક્ષોના કુલ ૨૦ સાંસદો છે. તે સિવાય નીચલા ગૃહમાં પૂર્વ વડાપ્રધાનો નવાઝ શરિફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષનું સંખ્યાબળ ૧૬૩ થવા જાય છે. ઈમરાન ખાનની સરકાર દાવો કરે છે કે તેમની પાસે ૧૭૯નું સંખ્યાબળ છે, પરંતુ અત્યારે એ ઘટીને ૧૬૨નું થઈ ગયાનો વળતો દાવો થઈ રહ્યો છે. ઈમરાન ખાનની સમર્થક પાર્ટીઓ બીએપી, એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂએ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી, તેનાથી પાકિસ્તાનના પીએમની ચિંતા વધી ગઈ છે.

Friday 18 March 2022
Posted by Harsh Meswania

રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 



ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!


ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...

અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈ
મુદ્ત હુઈ સોચા થા કી ઘર જાયેંગે એક દિન


દુનિયામાં કરોડો લોકોની આ સ્થિતિ છે. ઘણાં શરણાર્થીઓએ વતનમાં પાછા જવાની ઈચ્છા જ મૂકી દીધી છે. એમાં રશિયા-યુક્રેનના યુદ્ધે વધારો કર્યો છે. યુએનની રેફ્યુજી એજન્સીના દાવા પ્રમાણે યુક્રેન-રશિયાના યુદ્ધથી ૧૭ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકો યુદ્ધપ્રભાવિત વિસ્તારોમાં રહેતા હતા. બંને તરફના હુમલાથી બચવા માટે આવા લોકોએ વતન છોડીને સલામત સ્થળની ખોજ શરૂ કરી હતી. કેટલાક પાડોશી દેશોમાં પહોંચ્યા છે, તો કેટલાકે જે દેશમાં આશરો મળે ત્યાં જવા દોટ મૂકી છે.

૨૧મી સદીમાં પણ શરણાર્થીની કટોકટી નિવારી શકાઈ નથી. હજુ તો અફઘાનિસ્તાનની શરણાર્થી કટોકટીનો ઉકેલ આવ્યો ન હતો ત્યાં યુક્રેનના શરણાર્થીઓ ભટકતા થઈ ગયા છે. સીરિયા-નાઈજિરિયા, આફ્રિકન દેશોમાં તો એક-એક દશકાથી લોકો દર-દર ભટકી રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રીતે ઘરવિહોણા થઈને ભટકતું જીવન જીવવા મજબૂર બની જાય છે.

આમ તો વિશ્વમાં ખરેખર કેટલાં લોકો હોમલેસ છે તે કળવું મુશ્કેલ છે. ચોક્કસ આંકડો તો કદાચ ગણ્યા-ગાંઠયાં દેશો પાસેથી મળી શકે. સર્વે તો બધા દેશોમાં થાય છે, પણ કઠણાઈ એ છે કે સર્વેમાં સાચો આંકડો ક્યારેય મળતો નથી. આકાશમાં જોઈને બાળકો તારાની ગણતરી કરે અને પછી થોડીવારે થાકીને ગણતરી પડતી મૂકે એવું હોમલેસ પીપલના કિસ્સામાં પણ થાય છે. ગણતરી ક્યારેય પૂરી થતી નથી.

છતાંય વિવિધ સર્વેક્ષણો પરથી જે તારણ નીકળ્યું હતું એ પ્રમાણે વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ લોકો બેઘર છે. હેબિટેટ ફોર હ્મુમિનિટી નામની વૈશ્વિક સંસ્થાએ તો ૨૦૧૫માં આ આંકડો બહુ મોટો હોવાનું કહ્યું હતું. આ સંસ્થાના દાવા પ્રમાણે દુનિયામાં ૧૬૦ કરોડ લોકો બેઘર છે! પણ આ સંખ્યામાં રહેઠાંણની અપૂરતી સુવિધા ધરાવતા લોકોનો ય સમાવેશ થયો હતો. બીજા અર્થમાં કહીએ તો ક્યાંક ઝુંપડપટ્ટી બાંધીને રહેતા લોકોને પણ બેઘરની યાદીમાં સમાવ્યા હતાં અને એ સાચું ય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ય શબ્દશઃ બેઘર લોકો જેટલાં જ કમભાગી છે. પણ જેમને ઉપર આભ અને નીચે ધરતી જ છે એવા લોકો વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ હોવાના અંદાજ સાથે લગભગ તમામ સર્વેક્ષણો સહમત થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આવા બેઘર લોકો ગરીબ અને વિકાસશીલ દેશોના જ છે. વિકસિત દેશો જેને 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' કહીને ઉતારી પાડે છે એ એશિયા-આફ્રિકાના દેેશોમાં મોટાભાગના નિરાશ્રિતો હશે એવી ધારણાં એક ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય તેવું સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા દેશો એક કરોડ નિરાધારોનું રસ્તે રઝળવા માટેનું આશ્રયસ્થળ છે!

એકલા રશિયામાં જ ૫૦ લાખ બેઘર લોકો રહે છે. અમેરિકામાં ૬ લાખ, જર્મનીમાં ૯ લાખ, ફ્રાન્સમાં ૩ લાખ, ન્યૂઝીલેન્ડમાં ૫ લાખ જેટલા બેઘરો રહે છે. આ સંખ્યા થોડાં વર્ષ પહેલાંના સર્વેક્ષણોના આધારે છે. એ પછી આ બધા દેશોઓ આપમેળે ક્યાં તો સર્વેક્ષણો કર્યા જ નથી, અથવા તો હોશિયારીપૂર્વક આંકડો બહુ ઓછો બતાવ્યો છે!

વિશ્વમાં સૌથી વધુ ૨.૪૫ કરોડ જેટલાં નિરાશ્રિતો એકલાં નાઈજિરિયામાં રહે છે. સાઉથ આફ્રિકામાં ૭૦ લાખ, ઝિમ્બામ્બેમાં ૧૨ લાખ, ઈન્ડોનેશિયામાં ૩૦ લાખ, હોન્ડુરાસમાં ૧૦ લાખ જેટલા હોમલેસ પીપલ રહેતા હોવાનો અંદાજ છે. ચીનમાં તો આવા કોઈ સર્વેક્ષણો થતાં નથી, પણ વિવિધ સંસ્થાઓએ અખબારી અહેવાલોના આધારે અંદાજ કાઢ્યો હતો એ પ્રમાણે ૨૦૧૧માં ચીનમાં લગભગ ૨૫ લાખ લોકો નિરાશ્રિત હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોનો તો આંકડો જ ઉપલબ્ધ નથી. પણ આ દેશોમાં ૭૦ લાખથી ૧ કરોડ લોકો આશ્રય વિહોણા હોવાનું મનાય છે. ભારતમાં પણ ૧૮ લાખ જેટલાં લોકો બેઘર હોવાનું અહેવાલોમાં કહેવાતું આવે છે.

આ આંકડાંમાં હવે યુક્રેન-રશિયાના વધુ ૧૭થી ૨૦ લાખ કમભાગી લોકોનો સમાવેશ થયો છે. યુએનના હાઈકમિશ્નરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું એ પછી તુરંત શરણાર્થીઓની સંખ્યા વધવા માંડી હતી. બે સપ્તાહમાં જ એ આંકડો ૧૭ લાખને પાર પહોંચી ગયો હતો. યુક્રેનમાંથી ભટકીને સાતથી આઠ લાખ લોકો પોલેન્ડમાં આવી ગયા હતા. હંગેરીમાં દોઢ લાખ યુક્રેની નાગરિકો પહોંચ્યા હતા, તો સામ-સામા ફાયરિંગથી જીવ બચાવીને બે લાખ જેટલાં લોકો સ્લોવાકિયા આવી ગયા હતા. યુએને તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી હતી કે જો બંને દેશો કટોકટી ચાલતી રહેશે તો ૪૦ લાખ લોકો શરણાર્થી બની જશે. પાડોશી દેશોની સરહદમાં પ્રવેશવા માટે ૧૦-૧૦ કિલોમીટરની લાંબી લાઈન લગાવીને લોકો ઉભા રહી ગયા છે.

૨૧મી સદી માહિતીની સદી છે, ટેકનોલોજીની સદી છે, સુખ-સુવિધા-સગવડની સદી છે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની સદી છે. સાયન્સની સદી છે, છતાં શરણાર્થી કટોકટી દિવસે દિવસે વકરતી જાય છે. બ્રહ્માંડના ખૂણે ખૂણે હાજરી નોંધાવવા બેતાબ માનવજાત એ માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ૨૧મી સદીના બબ્બે દશકા વીતી જવા છતાં આપણે કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન અને માથે સુરક્ષિત છત, ઘરમાં પીવાનું પાણી, સૂવા માટે સગવડભર્યો બેડ આપી શકવા સક્ષમ બન્યા નથી એ કમનસીબી ગણાવી જોઈએ.

કોરોનાની મહામારીએ એક કરોડ લોકોને સ્થળાંતર માટે મજબૂર બનાવ્યા

કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં એક કરોડ કરતાં વધુ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. કોરોના મહામારી ત્રાટકી ત્યારે શહેરો-કસ્બાઓમાં રહેતા લાખો લોકોએ છેવાડાંના ગામડાંમાં જઈને રહેવા મજબૂર બનવું પડયું હતું. આમેય હિંસા અને કુદરતી આફતોના કારણે દુનિયામાં ચાર કરોડ લોકો પોતાના દેશમાં જ વિસ્થાપિત થઈને જીવન જીવે છે. દુનિયામાં સરેરાશ ૯૫ લોકોમાંથી એક વ્યક્તિ રેફ્યુજી છે અથવા સ્થળાંતર કરીને પોતાના વતનથી દૂર ક્યાંક રહેવું પડે છે. ૮૬ ટકા શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં રહે છે.

2018 થી 2020 દરમિયાન 10 લાખ બાળકો રેફ્યુજી કેમ્પમાં જન્મ્યા

ઉપર આભ ને નીચે જમીન હોય એવી સ્થિતિમાં રહેતા લોકોના કમભાગી બાળકો એક પણ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય એવી સ્થિતિ પણ સર્જાય છે. વિવિધ દેશોમાંથી ભાગીને કોઈ બીજા જ દેશના શરણાર્થી કેમ્પોમાં રહેતા પેરેન્ટ્સને ત્યાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લગભગ ૧૦ લાખ બાળકોનો જન્મ થયો હતો. એમાંથી અડધો અડધ બાળકોને શાળા નસીબ થતી નથી. એમનું જીવન પણ તેમના માતા-પિતાની જેમ યાતનામાં જ વીતે છે.

Friday 11 March 2022
Posted by Harsh Meswania

અમેરિકાની ઘટતી સૈન્ય સક્રિયતા તાઈવાન ગળી જવામાં ચીનને મદદ કરશે!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


યુક્રેન-રશિયાના યુદ્ધ પહેલાં અમેરિકા જેવું ગાજતું હતું એવું વરસ્યું નહીં. સૈન્યશક્તિ, કૂટનીતિ કે આર્થિક પ્રતિબંધો જેવા શસ્ત્રો અમેરિકાએ ઉગામ્યા છતાં રશિયા ઉપર તેની અસર ન થઈ. એ પછી હવે જિનપિંગ તાઈવાનને ગળી જાય તો નવાઈ નહીં રહે.

 

વિદેશનીતિમાં હોંકારા-પડકારા કરવા, ગર્ભિત ધમકીઓ આપવી, ચિમકીભર્યા નિવેદનો વહેતા કરવા, પ્રતિબંધોની વાતો વહેતી કરવી, તંગદિલી વચ્ચે સંવાદ સાધવાની ઈચ્છા જાહેર કરવી, સંવાદ ચાલતો હોય ત્યારે એક બીજા દેશનું નાક દબાવવા ઉશ્કેરણીજનક બયાન રજૂ કરવા, હરિફ દેશના હરિફ સાથે સોદા પાર પાડવા, એ દેશ સાથે મજબૂત સંગઠન કરવું, લશ્કરી કવાયત હાથ ધરવી વગેરેનું ખૂબ મહત્વ છે. એમાં મૂકાયેલા સંકેતનો અભ્યાસ કરીને વિદેશનીતિમાં સામ-સામી રણનીતિ ઘડાતી હોય છે. અમેરિકાને એમાં સારી ફાવટ છે. કોલ્ડવોરના સમયે હોંકારા-પડકારા કરીને જ આમ તો અમેરિકાએ રશિયાને પરાસ્ત કર્યું હતું. દુશ્મન દેશના સમર્થક એવા કોઈ નાના દેશમાં એક નહીં તો બીજી રીતે સૈન્ય ઉતારીને સૌથી મોટા દુશ્મન દેશને મેસેજ આપવો એ અમેરિકાની પદ્ધતિ રહી છે. શક્તિશાળી સૈન્યનું શક્તિપ્રદર્શન કરીને અમેરિકા ધાર્યા નિશાન પાર પાડતું આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક પ્રમુખો બદલાયા છતાં અમેરિકાની વિદેશનીતિમાં ધરમૂળથી કહેવાય એવા ફેરફારો બહુ થયા નથી.

 

પરંતુ છેલ્લાં થોડા સમયમાં જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તે હવે અમેરિકાના આધિપત્ય બાબતે ફેરવિચારણા કરવા પ્રેરે છે. અમેરિકા હોંકારા-પડકારા કરીને કામ કઢાવી જાણે છે તે જગજાહેર થઈ ચૂક્યું છે. વૈશ્વિક સંસ્થાઓને માતબર ફંડિંગ આપીને પોતાની તરફેણમાં લાવવાની અમેરિકાની વ્યૂહરચના હવે અછતી રહી નથી. ઈનફેક્ટ, ચીન અદ્લ એ જ સ્ટ્રેટેજી અજમાવતું થઈ ગયું છે. કોરોના મહામારી વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વલણ ચીન તરફ નરમ રહેતું હતું તેનું એક કારણ ચીનની ફંડિંગ સ્ટ્રેટેજી હતી, જે અમેરિકા પાસેથી કોપી-પેસ્ટ થઈ હતી! અમેરિકાની મોનોપોલી હવે છ-સાત દશકામાં પૂરી થઈ હોય એવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્યને પાછું બોલાવાયું ત્યારે જ વિશ્વભરના નિષ્ણાતોએ એ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો હતો. યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકાના નેતૃત્વમાં નાટોના સૈન્યની સક્રિયતા વખતે એવી ધારણા હતી કે અમેરિકા યુક્રેનને બચાવવા ખરેખર આક્રમક બનશે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ નોતરશે. પરંતુ રશિયાએ હુમલા શરૂ કર્યા ત્યારે અમેરિકાએ ધમકીઓ આપીને કામ ચલાવ્યું. યુક્રેનને રશિયા પાયમાલ કરવા જાણે એકલું મૂકી દીધું. અમેરિકાના ભરોસે યુક્રેને રશિયા સામે લડવાની તૈયારી બતાવી હતી, પરંતુ રશિયાને એક પણ રીતે દબાવવામાં અમેરિકાને સફળતા ન મળી. માત્ર ઠાલી ધમકીઓ આપીને કામ કઢાવી લેવાનો અમેરિકાનો વ્યૂહ ખુલ્લો તો પડયો જ, બેઅસર ય સાબિત થયો.

 

અમેરિકાના વાદળો માત્ર ગર્જના કરશે, વરસશે નહીં એ જોયાં પછી રશિયા તો આક્રમક બન્યું જ બન્યું, ચીન પણ સક્રિય થયું છે. યુક્રેન-રશિયાની આખી સ્થિતિના આધારે, એ જ પદ્ધતિથી ચીન તાઈવાન ઉપર હુમલો કરીને ચીનનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની તૈયારીમાં પડી ગયું  છે. દુનિયાનું ધ્યાન રશિયા-યુક્રેન કટોકટી ઉપર મંડાયેલું હોવાથી ચીન-તાઈવાનની ગતિવિધિ ખાસ નજરે ચડતી નથી. અવારનવાર તાઈવાનની વાયુસીમામાં ઘૂસી જતાં ચીનના યુદ્ધવિમાનો ગમે ત્યારે તાઈવાનના એકાદ શહેરને નિશાન બનાવી શકે છે. યુક્રેન તો હજુય મોટો દેશ છે અને લડત આપી શકવાની સ્થિતિમાં છે. તાઈવાન-ચીનના કિસ્સામાં તો એવી શક્યતા જ ઓછી છે. તાઈવાનનું ચીનને લડત આપવાનું કોઈ જ ગજુ નથી. ચીને યુદ્ધજહાજોનો કાફલો પણ તાઈવાનની જળસીમા નજીક ગોઠવીને રાખ્યો છે. તાઈવાને અનેક વખત એવી દહેશત વ્યક્ત કરી છે કે ચીન ગમે ત્યારે હુમલો કરી શકે છે. ચીનની છેલ્લાં થોડા દિવસની ગતિવિધિના આધારે ફરીથી એ ભીતિ ઉપસી છે. આ સપ્તાહે ચીનના નવ યુદ્ધવિમાનોનો કાફલો તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસ્યો હતો. શક્તિપ્રદર્શન કરીને એ કાફલો પાછો ફર્યો હતો.

 

એ ઘટનાના થોડા દિવસ પછી ચીન તરફથી ફુગ્ગા ઉડતા ઉડતા તાઈવાનમાં આવી પહોંચ્યા હતા. એ લશ્કરી ફુગ્ગાઓ હવામાનનો અભ્યાસ કરી રહ્યા હોવાનો દાવો થયો હતો, પરંતુ ફુગ્ગાના આધારે એક મેપ બનતો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. યુક્રેન-રશિયાના કિસ્સામાં અમેરિકાની ખાસ અસર વર્તાઈ નહીં એ સમજ્યા પછી ચીને તાઈવાન નજીક સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે. યુક્રેન મુદ્દે રશિયાને સમર્થન આપીને ચીન તાઈવાનના કેસમાં રશિયાનું સમર્થન મેળવશે. અમેરિકાના ઠાલા હોંકારા-પડકારા કરીને ડરાવશે, કોઈ એક્શન લેશે નહીં એ માન્યતા યુક્રેન-રશિયા કટોકટીમાં વધુ સ્ટ્રોંગ બની છે. ચીન તેનો ફાયદો ઉઠાવવા બેતાબ છે.


અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનની ચર્ચા શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન સાથે ઝંપલાવવા માગે છે એટલે પ્રમુખપદની ચૂંટણી હાર્યા પછી ય બાઈડનની નીતિની ટીકા કરતા રહે છે. બાઈડનની વિદેશનીતિને ભૂલભરેલી ગણાવીને ટ્રમ્પે એકથી વધુ વખત ઝાટકણી કાઢી છે. અફઘાનિસ્તાનમાંથી સૈન્યને પાછું ખેંચવાના બાઈડનના નિર્ણયની પણ ટ્રમ્પે ટીકા કરી હતી. યુક્રેન-રશિયાના મુદ્દે અમેરિકાએ માત્ર ગર્જના કરી તેને ટ્રમ્પે ખૂબ જ આઘાતજનક ગણાવીને બાઈડનને વિદેશનીતિમાં, કૂટનીતિમાં સરિયામ નિષ્ફળ ગણાવ્યા હતા. અમેરિકાએ નાટોના સૈન્યને એક્ટિવ કરવાની જરૂર હતી એમ માનતા ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડને અફઘાનિસ્તાન અને યુક્રેનના કેસમાં પીછેહઠ કરીને અમેરિકાનું આધિપત્ય ઓછું કર્યું છે. પૂર્વ પ્રમુખના કહેવા પ્રમાણે યુક્રેન-રશિયાના કેસને જોયા પછી ચાલાક જિનપિંગ તાઈવાન ઉપર હુમલો કરશે અને યુક્રેન-રશિયાને ટાંકીને વિશ્વને એમાં દખલગીરી કરતા અટકાવશે. ટ્રમ્પે કહ્યુંઃ ચીનના ચાલાક પ્રમુખ જિનપિંગ બધુ જ જોઈ રહ્યા છે. ચીનના પ્રમુખ તો યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકા બેઅસર દેખાયું તેનાથી ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. અમેરિકાનું શાસન બેવકૂફ લોકોના હાથમાં હોવાથી તાઈવાનના સાર્વભૌમત્વ સામે પડકાર ખડો થયો છે.

 

ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરના વિદેશનીતિના નિષ્ણાતો તાઈવાન ચીનના હુમલાનો ભોગ બનશે એવી દહેશત વ્યક્ત કરવા લાગ્યા છે. આ બંનેનું જોઈને બીજા દેશો પણ આવું કરતા થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!

વર્લ્ડ અપડેટ

- યુક્રેન ઉપર રશિયાના હુમલા પછી એપલ, નેટફ્લિક્સ, ગૂગલ જેવી ટોચની કંપનીઓએ રશિયામાં સર્વિસ બંધ કરી હતી. વિશ્વભરની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ આ રીતે રશિયા ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી.

- યુક્રેન-રશિયા કટોકટીના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. ભાવ કાબૂમાં રહે તે માટે અમેરિકા ત્રણ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ દુનિયાને આપશે. એમાં ૩૦ દેશોનો સહકાર મળશે.

- વર્લ્ડ બેંકે રશિયા અને બેલારૂસના બધા જ પ્રોજેક્ટને રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. યુક્રેન ઉપર થયેલા હુમલાના વિરોધમાં વર્લ્ડ બેંકે આ પગલું ભર્યું હતું.

- ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. અમેરિકાએ શરૂઆતથી જ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો એ પછી અમેરિકાને વધુ એક બહાનુ મળી ગયું છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના અધિકારીઓ છૂટાછવાયા નિવેદનો આપીને કહી રહ્યા છે કે અમેરિકા ભારત ઉપર પ્રતિબંધ મૂકશે.

Friday 4 March 2022
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -