Archive for February 2015

ગિનેસ રેકોર્ડ બૂકમાં બંધ થઈ જવાની ખ્વાહિશ!



ગિનેસના છ દાયકામાં કેટલાક એવો વિક્રમો પણ નોંધાયા કે જેની કલ્પના પણ ન થઈ શકે, તો કેટલાક પ્રથમ નજરે સાવ સાધારણ-સાદા લાગે એવા વિક્રમો રેકોર્ડ બૂકમાં સ્થાન પામ્યાં. એ વિક્રમોમાં ભારતનો ફાળો પણ ઘણો મોટો છે અને છેલ્લા વર્ષોમાં એ ફાળો નોંધાવવામાં આપણે વધુ મોકળું મન રાખ્યું છે!

૨૦૧૧માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારત સાથે એક અજબ યોગાનુયોગ સર્જાયો હતો. ભારતમાં વધતા જતાં વિક્રમોના ક્રેઝ વચ્ચે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એક પ્રતિનિધિ નિમવાની તજવીજ હાથ ધરી હતી. અસંખ્ય લોકો ગિનેસની લંડન ખાતેની હેડ ઓફિસનો સંપર્ક સાધવામાં મુશ્કેલી અનુભવતા હતા અને છતાં કોઈક રીતે સંપર્ક કરીને નવા નવા વિક્રમો દર્જ કરવા માટે ઉત્સાહ દાખવતા હતા. ભારતના વિકસતા જતાં મોટા માર્કેટને ધ્યાનમાં રાખીને અને અવારનવાર અવનવા વિક્રમોની શક્યતા સર્જાતી હોવાના કારણે એક ઓફિસ ભારતના કોઈ મોટા શહેરમાં સ્થાપવાની તાતી જરૃર વર્તાતી હતી, જેને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં એક ખાનગી કંપનીના વિક્રમ માટે ગિનેસની લંડન ઓફિસનો સંપર્ક કરનારા નિખિલ શુક્લાને પ્રતિનિધિ બનવાની ઓફર કરવામાં આવી. નિખિલે એ ઓફર સ્વીકારી એ સાથે જ સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારતમાં પ્રવેશ થયો.
આ ઘટનાના બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૧માં ૨૧ વર્ષનો એક ફૂટડો અંગ્રેજ યુવાન લંડનમાં અભ્યાસ કરીને બ્રિટનના તાબા હેઠળના ભારતમાં પોલીસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યો હતો. તેણે ભારતમાં દશકો પસાર કર્યો પછી સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ૧૯૨૧માં લંડન પરત ફરીને તેણે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સફળતા મળતી ગઈ એમ તેણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો. સમયાંતરે તેણે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની પણ સ્થાપના કરી હતી, જેણે આગામી વર્ષોમાં વિશ્વભરમાં રેકોર્ડ્સની બાબતમાં એક અનોખો રેકોર્ડ કાયમ કર્યો. ભારતમાં રહેનારા એ ગિનેસના સ્થાપકનું નામ હતું- સર હ્યુ કેમ્બલ બીવર.
બીવરના ભારત આવવાના બરાબર સૈકા પછી અનાયાસે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ભારતમાં સત્તાવાર ઓફિસ ખોલીને એશિયામાં જાપાન પછી ભારતને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઘટનાને સ્થાપક બીવરના ભારત આગમન સાથે ભલે કોઈ સીધો સંબંધ નથી, પણ ભારતમાં પ્રતિનિધિની નિમણૂંકની ઘટનાથી ગિનેસ સાથેનો ભારતનો નાતો વધુ ગહેરો થયો છે એ તો આંકડાઓ બયાઁ કરે છે.
અવનવા વિક્રમો માટેની વિશ્વભરમાંથી આવતી સરેરાશ ૧૦ અરજીઓ પૈકીની એક અરજી ભારતની હોય છે! ભારતમાંથી વિભિન્ન વિક્રમો માટે વર્ષે ૩,૦૦૦ દાવાઓ થાય છે. એટલે કે રજાઓના દિવસોને બાદ કરી દેવામાં આવે તો એક દિવસમાં ૧૦ નવા વિક્રમો માટે દાવો કરવામાં આવે છે. આ સંખ્યા ભારતને ત્રીજા નંબરનો સૌથી વધુ અરજીઓ મોકલતો દેશ બનાવવા માટે પૂરતી છે. ભારતથી આગળના ક્રમાંકે રહેલા અમેરિકા અને બ્રિટનનું સ્થાન પણ હવે તો જોખમમાં છે. જે રીતે આપણે ત્યાં અવનવા વિક્રમો માટેનો ક્રેઝ વધ્યો છે એટલે કદાચ આપણે એકાદ-બે વર્ષમાં સૌથી વધુ અરજી મોકલતો દેશ બની જઈએ તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય!
જોકે, એમાંથી બધા જ વિક્રમો દર્જ નથી થઈ જતાં. ઘણાં ખરાં પૂરાવાઓના અભાવે નોંધાતા નથી, તો ઘણા સ્હેજ માટે ચૂકી જતાં હોય છે. કેટલાકના પ્રયાસો એટલા કમનસીબ હોય છે કે અમુક વિક્રમનો પ્રયાસ ભારતમાં થયો હોય એના માત્ર થોડા દિવસો પહેલા જ એવો વિક્રમ નોંધાઈ ચૂક્યો હોય છે. અહીંથી અરજી તો સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસ પણ હાથ ધરાઈ ગઈ હોય, પરંતુ ૬ સપ્તાહ ચાલતી ચકાસણી પ્રક્રિયામાં ખબર પડે છે કે એવી જ બીજી અરજી માત્ર બે-પાંચ દિવસ પહેલા જ મળી ગઈ હોવાના કારણે પ્રથમને પ્રાથમિકતાના ન્યાયે ભારતની અરજી લાયક ઠરતી નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ૨૦૧૩ના એક સત્તાવાર સ્ટેટમેન્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિભિન્ન રેકોર્ડ નોંધાવવા માટેના દાવાઓમાં ૪૦૦ ગણો વધારો થયો છે અને એમાંથી રેકોર્ડ નોંધાવવાની ટકાવારીમાં પણ ૨૫૦ ગણો વધારો નોંધાયો છે.
વિક્રમોનો દાવો જ થાય છે એવું ય નથી. હવે તો સંખ્યાબંધ વિક્રમો નોંધાય પણ છે. ગિનેસ બૂકના અહેવાલ પ્રમાણે ભારતના દાવાઓમાંથી ૬૦-૭૦ ટકા દાવાઓ વિક્રમ સાબિત થઈ જાય છે. ઈન્ટરનેટના કારણે ક્યો વિક્રમ કોના નામે-ક્યારે નોંધાયો છે એ વિશે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરિણામે વિક્રમો માટે પ્રયાસ કરનારા પહેલાથી જ જાગૃત હોય છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડવાનો હોય તો તો ઘણી સરળતા રહે છે, પણ નવો રેકોર્ડ નોંધાવતી વખતે ય આવી માહિતી અસરકારક ભૂમિકા ભજવે છે.
એક બીજો ફરક એ આવ્યો છે કે એકાદ દશકા પહેલા ભારતની રેકોર્ડ બૂકમાં કોઈ રેકોર્ડને સ્થાન મળે એ પછી ગિનેસ માટે પ્રયાસો શરૃ થતાં હતાં. એટલે કે પ્રથમ ટાર્ગેટ ગિનેસ નહીં, પણ સ્થાનિક રેકોર્ડ બૂક્સ હતી. સ્થાનિક બૂકમાં સફળતા મળે પછી જ આગળનું લેવલ પાર કરીને ગિનેસ સુધી પહોંચવાનું વલણ હતું. એના બદલે હવે 'રેકોર્ડ મતલબ ગિનેસ' એવી સમજ વધુ મજબૂત બની ગઈ છે.
ભારતમાં ગૃપના વિક્રમો નોંધાવવા બહુ આસાન છે અને ગિનેસમાં નોંધાતા રેકોર્ડમાં નજર કરીએ તો એ વાત ધ્યાનાકર્ષક બની રહે છે. રાષ્ટ્રગીતનું સમુહગાયન, રાષ્ટ્રપિતાના લિબાસમાં બાળકોની રેલી, એક દિવસમાં ૨૫ લાખ લોકોની રેલવે મુસાફરી, એક સપ્તાહમાં લાખો નવા બેંક અકાઉન્ટ્સ, મેરેથોન, સાયકલ સ્પર્ધા...વગેરે ગૃપ રેકોર્ડ્સ બનાવવા ભારત માટે સરળ છે. અહીં સમુહ એકત્ર કરવાનું કામ આસાન હોવાના કારણે જ કદાચ આવા વિક્રમો આપણા નામે અઢળક નોંધાયા છે અને હજુ ય નોંધાઈ રહ્યાં છે.
ગિનેસ રેકોર્ડના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુક્લાએ એક વખત કહ્યું હતું ઃ ભારતમાં રેલવે ટિકિટથી લઈને પાર્કિંગ સુધી બધે જ સ્પર્ધાત્મક માહોલ છે. સંખ્યાબંધ લોકો એ આપણી શક્તિ છે અને એટલે જ રેકોર્ડ માટેનો અહીં અવકાશ છે, નવા નવા સમુહ વિક્રમો બને એવો સ્વાભાવિક માહોલ છે. કદાચ એટલે જ સંખ્યાને લગતા વિશ્વ વિક્રમો તોડવા ભારત માટે બીજા દેશોની તુલનાએ વધુ આસાન છે.
સામુહિક વિક્રમોની હરોળ થાય છે એ વાત સાચી, પણ સ્પર્ધા હોવાના કારણે જ અન્યથી અલગ પડી જવાનું સ્હેજ કપરું છે. વળી, ગિનેસનો રેકોર્ડ હોલ્ડર મીડિયા કવરેજ મેળવે છે, લોકોનું અટેન્શન મેળવે છે, ભારતના અસંખ્ય નાગરિકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી અનુભવે છે અને એટલે જ આપણે ત્યાં વ્યક્તિગત રેકોર્ડ નોંધાવવા માટે રેકોર્ડ બ્રેકિંગ યત્નો થતા રહે છે. ગિનેસ રેકોર્ડ પબ્લિકને પબ્લિસિટી અપાવી દે છે. વિશ્વભરમાં નોંધ લેવાતી હોવાના કારણે ય ગિનેસનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં ગિનેસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં મ્યુઝિયમ બન્યું છે અને એશિયામાં ગિનેસ રેકોર્ડે પ્રતિનિધિ નિમ્યો હોય એવો ભારત બીજો દેશ છે. આ જ બતાવે છે કે આપણે ગિનેસને ગંભીરતાથી લઈએ છીએ એટલી જ ગંભીરતાથી ગિનેસ આપણને પણ લે છે!

ભારત સ્થિત પ્રતિનિધિને ગિનેસ રેકોર્ડે કઈ રીતે પસંદ કર્યા?
નિખિલ શુક્લા ઘણી કંપનીઓમાં માર્કેટિંગની જવાબદારી નિભાવતા હતા. એવી જ એક જવાબદારીના ભાગરૃપે એક વખત તેણે લંડન સ્થિત ગિનેસ બૂક ઓફ રેકોર્ડની ઓફિસનો સંપર્ક કર્યો. વાસણ સાફ કરવાનું પ્રવાહી બનાવતી કંપનીએ એક જ બોટલમાં સૌથી વધુ પ્લેટ્સ સાફ કરી નાખવાનો દાવો કર્યો હતો. એ ખરેખર તો રેકોર્ડ કરતા પબ્લિસિટી સ્ટંટ વધુ હતો. ગિનેસને રસ પડયો અને પછી ચેન્નાઈમાં એ રેકોર્ડ પણ નોંધાયો. એ પછી નિખિલે ફિડબેક માટે ફરીથી ગિનેસનો સંપર્ક કર્યો ત્યારે લંડનની ઓફિસમાંથી ભારતમાં પ્રતિનિધિ નિમવાનો હોવાનું કહ્યું અને નિખિલને રસ હોય તો પણ વિચારીને જવાબ આપવાનું કહ્યું. નિખિલે પોતાના માર્કેટિંગના દૃષ્ટિકોણથી વિચારી જોયું અને તેને એમાં તકો પણ દેખાઈ. એમ ૨૦૧૧માં નિખિલને સત્તાવાર રીતે ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂંક મળી. 
ગિનેસના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુકલા

આજે ભારતના વિશાળ માર્કેટને અને રેકોર્ડની વેરાયટીને ધ્યાનમાં રાખીને ગિનેસે અલાયદી વેબસાઇટ બનાવી આપી છે. જેમાં ભારતના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મફતમાં દાવો કરી શકે છે અને કોઈ પણ નાનકડાં ગામડાંઓના દાવાઓને પણ ધ્યાનમાં લઈને નિખિલ સંપર્ક કરે છે અથવા તો રૃબરૃ જઈને તપાસ કરે છે. વળી, ગિનેસ બૂકની ગાઇડ લાઇન્સ પ્રમાણે ૬ સપ્તાહમાં કોઈ પણ દાવાને ખરો કે ખોટો સાબિત કરવો પડે છે એટલે અને ભારતમાં થતાં માતબર દાવાને જોતા નિખિલના ભાગે ઘણી કામગીરી આવે છે.
* વાનગી પ્રિય ભારતમાં વાનગીઓના ઘણા નાના-મોટા રેકોર્ડ નોંધાયા છે. એવો જ એક રેકોર્ડ કે દામોદરન નામના રસોઈયાએ દર્જ કર્યો હતો. તેણે ૨૪ કલાકમાં ૬૧૭ વાનગીઓ બનાવી હતી.
* આરૃષિ ભટનાગર નામની માત્ર આઠ વર્ષની બાળકી વિશ્વમાં સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ પેઇન્ટર છે અને તેના ૩૦૦૦ ચિત્રો પ્રદર્શિત થઈ ચૂક્યાં છે.
* ૧૩ આંકડાંઓનો ૨ સાથે માત્ર ૩૦ સેકન્ડમાં ગુણાકાર કરવાનો વિક્રમ શકુંતલા દેવીએ ૧૯૮૦માં કર્યો હતો અને એ પણ કમ્પ્યુટરે અચાનક આપેલા નંબરોની ગણતરી સેકન્ડોમાં કરવાનો પડકાર ઝીલ્યો હતો. શકુંતલા દેવીને હ્યુમન કેલક્યુલેટર તરીકે પણ નવાજવામાં આવ્યાં હતાં.
* કિશન શ્રીકાંત નામનો છોકરો જે હવે ૧૯ વર્ષનો છે, પણ તેણે ૨૦૦૬માં ફૂટપાથ નામની ફિલ્મ બનાવી ત્યારે તે માત્ર ૯ વર્ષનો હતો. એ સાથે જ તે દુનિયાનો સૌથી નાની વયે ફૂલલેન્થ ફિલ્મ ડિરેક્ટ કરવાનો ડિરેક્ટર બની ગયો હતો.
* ૫૪ લોકોએ નવેમ્બર-૨૦૧૦માં એક જ બાઇક પર બેસીને ૯૨૫ મીટરનું અંતર કાપ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
* ઈન્ડિયન આર્મીની એક ટૂકડીએ ૧૦ બાઇક ઉપર સવાર થઈને ૨૦૧ સૈનિકોએ પિરામિડ બનાવ્યો હતો અને ૨૦૦૧માં જયપુરમાં ૧૨૯ મીટરની દૂરી તય કરી હતી.
* ભારતના નામે ગૌરવપ્રદ રેકોર્ડ્સની સાથે સાથે બીજા એવા રેકોર્ડ પણ નોંધાયા છે જે ખરેખર આપણે ઈચ્છતા ન હોય અને એના માટે ગૌરવ પણ ન લઈ શકીએ. જેમ કે, સૌથી મોટા પ્રમાણમાં બાળમજૂરો ધરાવતો દેશ, સૌથી વધુ અભણ લોકો, અપૂરતા ખોરાકથી પીડાતા લોકો.
Sunday 8 February 2015
Posted by Harsh Meswania
Tag :

ડૂમ્સડે ક્લોક : સમય વર્તે સાવધાન!


૨૨ જાન્યુઆરીએ ડૂમ્સડે ક્લોક ૨૨મી વખત સેટ થઈ. એમાં રાતના ૧૨ વાગવામાં માત્ર ૩ મિનિટ બાકી છે. ૩૦ વર્ષ પછી ઘડિયાળ કયામતના સમયની આટલી નજીક પહોંચી છે, જે બતાવે છે કે વિશ્વ ભયાનક અરાજકતા તરફ ધકેલાઈ રહ્યું છે અને ગમે ત્યારે દુનિયાના ૧૨ વાગી શકે છે. આ કયામતનો સમય કલ્પનાઓના ઘોડાઓના આધારે નહીં, પણ સાયન્સની લગામ હાથમાં રાખીને નક્કી કરવામાં આવે છે...

બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલો કરીને અમેરિકાએ જાપાનને બેવળ વાળી દીધું ત્યારે દુનિયાને ખબર પડી કે યુદ્ધમાં આવા ભીષણ શસ્ત્રોનો હુમલો ય થઈ શકે છે અને દુનિયા પળવારમાં ખતમ પણ થઈ શકે છે. પરમાણુ શસ્ત્રની શોધ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થનારા સાયન્ટિસ્ટ-સંશોધકો માટે એ સમય વિચાર માંગી લે એવો હતો. જો ભવિષ્યમાં આવા જ ખતરનાક હુમલાઓ થતાં રહ્યાં તો દુનિયાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે એવા એંધાણ બીજા વિશ્વયુદ્ધમાં જ વર્તાઈ ગયા હતાં.
સંશોધન તો થઈ ગયું હતું, ભાથામાંથી તીર છૂટી ગયું હતું એટલે એ પાછું વળે એમ તો નહોતું. પણ જો એની માત્રા વધી જાય ત્યારે પ્રતીકાત્મક રીતે દુનિયાને એની ગંભીરતાનો અહેસાસ કરાવી શકાય તો કદાચ લાંબાં ગાળે એનું પરિણામ મળી શકે એ વિચાર સાથે કેટલાક વિજ્ઞાાનિકોએ ડૂમ્સડે ક્લોકની રચના કરી.એમાં રાતના ૧૨ વાગ્યાનો સમય સિમ્બોલિક રીતે દુનિયાનો કયામતનો સમય છે એમ ધારીને એની આસપાસ ઘડિયાળનો કાંટો સેટ કરવાનું નક્કી થયું. એવી ઘડિયાળ બનવા પાછળ વળી એ જ સાયન્સ જર્નલનું કવર પેજ જવાબદાર હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા-બ્રિટન અને કેનેડા દ્વારા અણુબોંબ બનાવવા માટે પ્રોજેક્ટ મેનહટ્ટન હાથ ધરાયો હતો. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર લેંગ્સડ્રોફ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેમણે જ પછીથી બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલ બનાવવામાં અગત્યનો રોલ પણ અદા કર્યો હતો. તેમના આર્ટિસ્ટ પત્ની માર્ટયલે એ સાયન્સ જર્નલનું ટાઇટલ પેજ બનાવ્યું એમાં સિમ્બોલિક રીતે તેમણે ૧૨ વાગ્યાને દુનિયાનો અંતિમ સમય બતાવીને તે વખત (૧૯૪૭)ની સ્થિતિ દુનિયા માટે ૧૨માં ૭ મિનિટ બાકી છે એવું પ્રતીકાત્મક રીતે બતાવ્યું હતું. વિનાશક શસ્ત્રોની લપેટમાં આવી ગયેલી દુનિયાને વારે-તહેવારે કશોક સંદેશો આપવાનું વિચારતા વિજ્ઞાાનિકોના એ ગૃપને પણ માર્ટયલનો વિચાર ગમી ગયો હતો એટલે પછીથી રાતના ૧૨ વાગ્યાને કયામતનો સમય ગણીને જ અત્યાર સુધીમાં ૨૨ વખત સમયને સેટ કરાયો છે.
બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલના
જૂન, 1947ના અંક માટે માર્ટયલ લેંગ્સડ્રોફે બનાવેલું કવર પેજ

ક્યારેક સમય ૧૨ની સાવ નજીક સરકી ગયો હોય, તો ક્યારેય ભયના વાદળ વિખેરાઈ જતા સમય રાતના ૧૨થી ઘણો દૂર સરકીને વિશ્વમાં બધુ હેમખેમ હોવાનો સંકેત પણ એ કાંટો આપતો રહે છે. શિકાગો યુનિવર્સિટીમાં બૂલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટની ઓફિસ છે. એ ઓફિસની દિવાલમાં ડૂમ્સડે ક્લોક લટકાવી રાખવામાં આવે છે. જે સતત દુનિયા કેટલી સલામત છે કે અસલામત છે એ બતાવતી રહે છે.
સમય જતાં અણુબોંબ, એવા જ બીજા વિનાશક શસ્ત્રો કે કેમિકલ વેપન્સ ઉપરાંતના પરિબળોને પણ ગણતરીમાં લેવામાં આવવા લાગ્યાં. જેમ કે, પર્યાવરણની બદલતી સ્થિતિ, પરમાણુ શક્તિનો વધતો ખતરો, વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના યુદ્ધો અને વિશ્વમાં પ્રભાવ પાડી શકતા દેશોમાં બદલતા રાજકીય સમીકરણો અને સૈન્યબળ અને સુરક્ષાનો અભ્યાસ કરીને વિશ્વમાં કેટલી અરાજકતા છે કે કેટલી શાંતિ છે એના આધારે ઘડિયાળ રાતના ૧૨ આસપાસ સેટ થતી રહે છે.
જોકે, ઘણી વખત ડૂમ્સડે ક્લોકની ટીકા પણ થઈ છે. સાયન્ટિસ્ટ દ્વારા કઈ રીતે રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય? પરમાણુ ખતરો અને મિસાઇલ પાવર ઉપર તો ઠીક છે કે વિજ્ઞાાનિકોની સમજ હોય અને એ ઉપરાંત પર્યાવરણની બાબતમાં પણ વિજ્ઞાાનિકો જાણકારી અંગે સવાલ ન ઉઠાવી શકાય પણ આતંકવાદી સંગઠનો વગેરેનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સામે વિજ્ઞાાનિકોનો ખૂલાસો એવો રહેતો આવ્યો છે કે જે તે વિષય માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને ઘડિયાળ વિશ્વમાં ભય ફેલાવવાનું કામ પણ નથી કરતી. એ તો સિમ્બોલિક રીતે જાગૃતિ ફેલાવવામાં કારણભૂત બને છે. ઘડિયાળનો કાંટો જ્યારે જ્યારે ૧૨ની સાવ નજીક આવી ગયો છે ત્યાર પછી કોઈક કારણોસર વિશ્વ શાંતિની નજીક આવ્યું છે અને ત્યાર પછી કાંટો ૧૨ની દૂર સરકતો રહ્યો છે.
આ ક્લોકના આંકડાંને ગંભીરતાથી લેવાનું એક કારણ સાયન્સ એન્ડ સિક્યુરિટી બોર્ડના વૈજ્ઞાાનિક સભ્યો ઉપરાંત સાયન્સના નોબેલ પ્રાઇઝ વિનર ૧૭ વિજ્ઞાાનિકોનું બનેલું બોર્ડ ઓફ સ્પોન્સર્સ છે. વિશ્વભરના ગણનાપાત્ર ૩૫-૪૦ સાયન્સ-ટેકનોલોજિ-સિક્યુરિટીના મહારથીઓના વિશ્લેષણના આધારે સમગ્ર મુલ્યાંકન થાય છે.
ઘડિયાળનો અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત પોઈન્ટ ૧૯૯૧માં સેટ કરવામાં આવ્યો હતો. અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા કોલ્ડવોરનો અંત આવ્યો ત્યારે ૧૯૯૧માં ઘડિયાળનો સમય ૧૧.૪૩ કરી દેવામાં આવ્યો હતો. રાતના ૧૨થી ૧૭ મિનિટ દૂરનો ઘડિયાળનો એ કાંટો  અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમયગાળો હતો. જોકે, એ સમયગાળો માત્ર ચાર વર્ષ ચાલ્યો હતો. ત્યાર બાદ ફરીથી દુનિયા સતત અરાજકતા તરફ ધકેલાતી જતી હોય એમ ઘડિયાળનો કાંટો રાતના ૧૨ની નજીક સરકતો રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શરૃ થયેલાં શીતયુદ્ધ દરમિયાન એક બીજાને પાછળ પાડી દેવા માટે ભયનજક સપાટી સુધી પહોંચવા લાગ્યું હતું. ત્યારે ૧૯૫૩માં ડૂમ્સડે ક્લોકનો સમય રાતના ૧૨ વાગ્યાથી માત્ર ૨ મિનિટ દૂર કરાયો હતો. એટલે કે જો આ સ્થિતિ રહી તો પૃથ્વીના ૧૨ વાગી શકે એવા સ્પષ્ટ ચિહ્નો જણાતા હતા, પણ ૧૯૬૦ સુધીમાં રાજકીય સ્થિતિ બદલાવા લાગી હતી એટલે ફરીથી કાંટો ૧૨થી ૭ મિનિટ દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.
સમયનો કાંટો ૧૨ વાગ્યાથી જેટલો દૂર એટલો ખતરો ઓછો અને કાંટો ૧૨ની નજીક પહોંચે એટલે દુનિયા જાણે વેન્ટિલેટર પર મૂકાય જાય છે- અલબત્ત સિમ્બોલિક રીતે જ! એમાં કયામતના દિવસની કપોળ-કલ્પિત આગાહીઓ નથી કરવામાં આવતી પણ દુનિયામાં ખતરો વધી રહ્યો હોવાની વિશ્લેષક એંધાણી બતાવવામાં આવે છે.

કાંટો ફેરવનારી ટીમમાં એક ભારતીય
વિજ્ઞાનીઓની વૈશ્વિક ટૂકડી ઘડિયાળનો સમય ક્યારે આગળ કે પાછળ કરવો એ નક્કી કરે છે. એ પેનલમાં ભારતીય સાયન્ટિસ્ટ અને દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ પણ છે. પ્રોફેસર રાજારમણે ૧૯૯૮માં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે અમેરિકા અને ભારતના પરમાણુ કરાર અંગેની દૂરગામી અસરોથી લઈને બંને દેશોના પરમાણુ સિક્યુરિટી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. ૧૯૩૯માં જન્મેલા પ્રોફેસર આર. રાજારમણે ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યા પછી ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ અને વિદેશી અનુભવનો લાભ આપ્યો હતો. તેઓ ડૂમ્સડે ક્લોકની પેનલના એક માત્ર ભારતીય સભ્ય છે. ક્લોકની કાર્યપદ્ધતિ વિશે પ્રોફેસર રાજારમણ સાથે થયેલી વાતચીતના અંશો...
પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ
ક્લોકનો સમય સેટ કરવાનો કોઈ ચોક્કસ સમય ખરો?
આમ તો દર વર્ષે બેઠક મળે છે અને એમાં વર્ષભરની વિશ્વની સ્થિતિ અંગે વિશ્લેષણ થાય છે, પણ દરેક વખતે જરૃર ન હોય તો ક્લોકમાં સમય ફેરફાર નથી કરાતો.

સમય આગળ પાછળ કઈ રીતે લઈ જવાય છે?
દર વર્ષે બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટની બેઠક મળે છે. સામયિકમાં વર્ષભર પબ્લિશ થતા વિચારો અને વિજ્ઞાાનની અલગ અલગ શાખાના નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાાનિકોના મતાનુસાર જે તે વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે ઘડિયાળના સમયને રાતના ૧૨ વાગ્યાની નજીક કે દૂર લઈ જવામાં આવે છે.

વિશ્વમાં ડૂમ્સડે ક્લોકના સમયની કેવી અસર થાય છે?
વિશ્વના ગણનાપાત્ર વિજ્ઞાાનિકો બૂલેટિન ઓફ એટોમિકને પોતાના વિચારો રજૂ કરતા રહે છે અને એના આધારે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. વિભિન્ન દેશોની સરકારો તેમની સુરક્ષા પોલિસીમાં ડૂમ્સડે ક્લોકના કારણે સીધો ફેરફાર કરતા હોય એને એની ક્રેડિટ આપતા હોય એવું તો ભાગ્યે જ બને છે, પણ આડકતરી અસર તો થાય છે. કેમ કે, ૧૨ વાગ્યાની સાવ નજીક આવેલો સમય દરેક વખતે દૂર જાય છે. પરિણામે કટોકટીની પરિસ્થિતિ પછી વિશ્વ વધુ સલામત થયું છે.

ડૂમ્સડે ક્લોક પાછળનો વિજ્ઞાાનિકોનો હેતુ શું છે?
ક્લોક આપણને જાતે વિનાશ ન નોતરવાની ચેતવણી આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શક્તિની ઘાતક અસરો જોયા પછી વિજ્ઞાાનિકોને અહેસાસ થયો હતો કે આ ભયંકર શક્તિ પૃથ્વીનો વિનાશ પણ નોતરી શકે છે. બ્રહ્માસ્ત્રની આધૂનિક આવૃત્તિ જેવા આ વિનાશક શસ્ત્રનો બેફામ ઉપયોગ થાય તો માનવજાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે વિજ્ઞાાનિકોએ મળીને બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પરમાણુ શક્તિના આધારે કયામતનો સમય કેટલો દૂર છે એનો સિમ્બોલિક સમય આપ્યો હતો. એ પછી સમયાંતરે એમાં પર્યાવરણ, આંતરિક યુદ્ધો અને એમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે.

ઘડિયાળના ફેરફારમાં ભારતનો ફાળો કેટલો?

૧૯૬૩માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૨ મિનિટ દૂર હતી. એ પછી વિશ્વમાં બનેલી વિવિધ ઘટનાઓના કારણે ૧૯૬૮માં ક્લોકને સેટ કરવામાં આવી ત્યારે રાતના ૧૨માં ૭ મિનિટનો જ ફાસલો રહ્યો હતો. એમાં ભારત-પાકિસ્તાના યુદ્ધનો ય ફાળો હતો. ૧૯૭૨માં ક્લોકનો સમય ૧૨ વાગ્યામાં ૧૨ મિનિટ ઓછો હતો અને ૧૯૭૪માં ક્લોકનો ટાઇમ ૧૨માં ૯ મિનિટ કમ હતો ત્યારે પણ એક કારણે ભારતનું પરમાણુ પરિક્ષણ હતું. ૧૯૯૫માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૪ મિનિટ દૂર હતી પણ જ્યારે ૧૯૯૮માં ક્લોકના કાંટો પાંચ મિનિટ નજીક આવીને ૧૨માં ૯ ઓછો રહ્યો ત્યારે એમાં ભારત અને પાકિસ્તાને ઉપરા છાપરી કરેલા પરમાણું પરિક્ષણો ય જવાબદાર હતા. ત્રણ વખત ડૂમ્સડે ક્લોકમાં સમય બદલવામાં ભારતનો ઉલ્લેખ થયો છે અને ત્રણેય વખત કાંટો ભયનજક સપાટીની નજીક આવ્યો હતો!
Sunday 1 February 2015
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -