Posted by : Harsh Meswania Wednesday, 19 June 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા.

૨૧મી જૂને 'વર્લ્ડ મ્યુઝિક ડે' છે. સંગીતને અને માણસને અતૂટ નાતો છે. એમાં પણ લોકસંગીત જે તે સમાજ કે સંસ્કૃતિની ઓળખ વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. ગુજરાત લોકસંગીત અને લોકવાદ્યોની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે, પણ હવે દિવસે દિવસે લોકસંગીત-લોકવાદ્યો તરફની લોકોની રુચિ ઘટી રહી છે. અહીં આપણે કચ્છના વિસરાતાં જતાં સુરીલાં લોકવાદ્ય મોરચંગ વિશે થોડી વાતો કરીએ

લોકવાદ્યો અને લોકસંગીતની બાબતમાં આપણે ત્યાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. અમુક લોકવાદ્યો જે તે પ્રદેશની ઓળખ સમા હોય છે. કચ્છની ઓળખ આપતું આવું જ એક વિસરાતું લોકવાદ્ય એટલે મોરચંગ. મોર જેવો આકાર હોવાથી તેને મોરચંગ કહેવામાં આવે છે. કચ્છના માલધારીઓ તેને ટૂંકમાં ચંગ કહે છે.

ગુજરાતમાં તેને મોરચંદ પણ કહે છે. છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં વાંસમાંથી બનતા મોરચંગને ઘોઘરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં મોરશીંગ કે મુરઝાંગ કહેવામાં આવે છે. કચ્છનું આ લોકવાદ્ય વિશ્વભરમાં લોકપ્રિય છે. ભલે નામ બદલાઈ જતું હશે, થોડો આકાર અને દેખાવ પણ બદલાઈ જતો હશે, પરંતુ સૂર તો એ જ રહે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં મોરચંગનાં એક હજાર જેટલાં નામો મળે છે. એક સમયે મોરચંગ કચ્છના માલધારીઓનું પ્રિય વાદ્ય ગણાતું હતું. મોરચંગને એકાંત સાથે સંબંધ છે અને એટલે જ તેને એકલતાના વાદ્ય તરીકે વધુ ઓળખવામાં આવે છે. વગડો, એકલતા અને મોરચંગ એકબીજાના પૂરક બની જતા હતા. લોકસાહિત્યકાર મંગલ રાઠોડના માનવા પ્રમાણે મોરચંગ બે કામ સરસ રીતે કરે છે. એક વાતાવરણને સૂરમય બનાવી દે છે અને બીજું લોકસંગીતમાં જેને ખાલીજગ્યા (લોકગીતોમાં બે કડી વચ્ચે આવતી જગ્યા) કહે છે એને એ ભરી દે છે. જોકે, ગુજરાતમાં હવે મોરચંગની સુરાવલી રેલાવનારા કલાકારો ગણ્યાગાંઠયા જ રહ્યાં છે.

આંગળીના વેઢા પણ વધી પડે એટલા જ બચ્યા છે મોરચંગના કલાકારો
મોરચંગમાંથી સૂર રેલાવી શકતા કલાકારોની વાત કરવાની હોય તો માંડ પાંચ-છ નામ લઈ શકાય એવી સ્થિતિ છે. ભારતભરમાં મોરચંગના કાર્યક્રમો આપતા કલાકાર ઉમેશ જડિયાના જણાવવા પ્રમાણે મોરચંગ સારી રીતે વગાડી શકતા છએક કલાકારો છે. જેમાં ઉમેશભાઈ ઉપરાંત સામતભાઈ સાજણ પઠાણ, મુસા ગુલામ જત, મકબ હાસન જત, ભગુભાઈ ભીલ અને ઈસ્માઇલ જતને મુખ્ય ગણાવી શકાય. બાકીના થોડા એવા લોકો પણ છે જે અત્યારે શીખી રહ્યાં હોય. લોકો મોરચંગ શીખવામાં ઉમળકો દાખવતા ન હોવાનાં ઘણાં કારણો છે. એક તો આ વાદ્ય સરળતાથી શીખી શકાતું નથી. શીખવામાં અને વગાડવામાં જોખમ છે. મોરચંગ વગાડવાનું કઠિન એટલા માટે છે કે તેનાથી શ્વાસની બીમારી થઈ શકે છે. આ ઉપરાંત ફેફસાં અને ગળામાં પણ તેનાથી અસર થાય છે. ક્યારેક હોઠ, દાંત અને જીભમાં ઈજા થઈ શકે છે તો ક્યારેક મૂછો કપાઈ જાય છે. બીજું કે પહેલાં માલધારીઓ પશુધન લઈને વગડામાં જતા ત્યારે સાથે મોરચંગ રાખતા અને એ તેનું મનોરંજનનું સાધન બની રહેતું. એની સામે અત્યારે એવી નવરાશ જ મળવી મુશ્કેલ છે. જોકે, જેમ વગાડનારા ઘટયા છે એમ બનાવનારા પણ ઘટયા છે.

કચ્છમાં મોરચંગ બનાવનારા માત્ર બે કારીગરો
કચ્છમાં વલીમામદ અને અંજિયાના જુમા લુહાર નામના બે કારીગરો અત્યારે મોરચંગ બનાવવામાં માહેર ગણાય છે. સામાન્ય રીતે આ વાદ્ય ૫૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનું મળી રહે છે. માલધારીઓ પોતાના શોખ માટે એમાં કંઈક નવું ઉમેરે તો એ મુજબ તેની કિંમત વધતી રહે છે. મોરચંગ લોખંડ, સ્ટીલ અને પિત્તળમાંથી પણ બને છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જે મોરચંગ વગાડે છે તે વાંસમાંથી બને છે. બે-ત્રણ ઈંચથી લઈને એક મીટર સુધીનાં મોરચંગ બને છે. મોરચંગમાં જિહ્વા બેસાડતી વખતે કારીગરની કુશળતાનો ક્યાસ નીકળી જાય છે. ચોક્કસ માપ લીધા પછી જિહ્વાને ભઠ્ઠીમાં ગરમ કર્યા બાદ ટીપીને મોરચંગમાં બેસાડવાની હોય છે. મોરચંગ બની જાય ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવે છે. જેમાં કારીગરના દાંતની મજબૂતીની પરીક્ષા થાય છે. તેના પરીક્ષણ વખતે કંકુ-ચોખાનો ચાંલ્લો કરવાનો રિવાજ છે.

ઘાટ ઘડયા પછી નામરૂપ જૂજવાં, પણ છે તો બધે મોરચંગનો જ જાદુ
ગુજરાતમાં મોરચંગની ઓળખ કચ્છી લોકવાદ્ય તરીકેની રહી છે, પણ આમ તો આ વાદ્ય આખા ભારતમાં લોકપ્રિય રહ્યું છે. કચ્છથી લઈને છેક પાકિસ્તાનના સિંધ સુધીના રણ પ્રદેશમાં આ વાદ્યમાંથી સૂરો રેલાતા રહ્યા છે. આ ઉપરાંત પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળ સુધી અલગ અલગ નામે આ વાદ્ય લોકસંગીતમાં ભાગીદાર બન્યું છે. જાણીતા સંગીતકાર અને કચ્છના કલાકારો સાથે લાંબો વખત કામ કરનારા દેવલભાઈ મહેતાના જણાવવા પ્રમાણે આ માત્ર કચ્છનું જ લોકવાદ્ય નથી, પણ જુદા જુદા દેશોના સંગીતમાં તે મહત્ત્વનું રહ્યું છે. તેમના માનવા પ્રમાણે આ વાદ્ય કચ્છમાંથી કે ઈવન સિંધ પ્રદેશમાંથી ઉદ્ભવ્યું છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. યુરોપ અને અમેરિકન દેશોમાં મોરચંગ લોકસંગીતનું અગત્યનું વાદ્ય છે. અલબત્ત, ત્યાં તે 'જો હાર્પ'ના નામે ઓળખાય છે. મોંગોલિયા, ચીન, જાપાન, ઈરાન, થાઈલેન્ડ જેવા દેશોના લોકસંગીતમાં તેનો વિશિષ્ટ વાદ્ય તરીકે ઉપયોગ થાય છે. મોંગોલિયાની મોંગ જાતિમાં મૃત્યુ વખતે મોરચંગવાદન થાય છે. તો ઈન્ડોનેશિયા, બાલી, જાવા અને સુમાત્રાના આદિવાસીઓ કબ્રસ્તાન બનાવવા ફાળો એકત્ર કરવા માટે મોરચંગમાંથી સુરાવલીઓ રેલાવે છે. એટલું જ નહીં પોતાના વિશેષ ઉત્સવો વખતે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ મોરચંગના તાલે આ આદિવાસીઓ નૃત્ય કરે છે. મોંગોલિયાની આદિવાસી મહિલાઓ તો વાદ્યની મદદ વગર મોં અને આંગળીઓની કરામત કરીને મોરચંગ જેવો અવાજ કાઢી શકે છે. આ રીતે અવાજ કાઢવાનું કામ ખૂબ જ કષ્ટદાયક હોય છે. કહેવાય છે કે કચ્છના ઈશાકભાઈ નામના એક કલાકાર આવી જ રીતે વાદ્ય વિના ગળામાંથી અદ્લ આવો જ અવાજ કાઢી શકતા હતા.

નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મોરચંગ મહોત્સવ દર ત્રણ વર્ષે યોજાય છે. જેમાં દુનિયાના ગણનાપાત્ર મોરચંગ કલાકારો સૂર રેલાવે છે તો 'તુવા'માં આ વાદ્ય રાષ્ટ્રીય વાદ્ય તરીકેનો માન-મોભો ધરાવે છે. આપણે ત્યાં ભલે આ કલા, કલાકારો અને વાદ્ય બધું લુપ્ત થઈ રહ્યું છે, પણ દુનિયા આખીમાં આ વિશિષ્ટ વાદ્ય મોરચંગની કળા હજુ જીવે છે.
 કલાકાર ઉમેશ જડિયા

{ 1 comments ... read them below or add one }

  1. શું આપ કલાકાર કે કલાગુરુ છો ?
    શું આપ ગાયક, સંગીત, ચિત્રકલા કે અન્ય કલા ના જાણકાર છો ?
    શું આપ આપની કલા ના કદરદાનોની શોધમાં છો ?
    શું આપ ભારતીય કલા અને કલાકારો ના સમૂહ માટે ની યોગ્ય Website ની શોધ માં છો
    તો ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ આપને માટે જ છે.

    ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ શું છે ?
    ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ એ સંગીતકલા , ચિત્રકલા, ગીતકારો, મહેદી કલા, કે અન્ય કલા માં રુચિ ધરાવતાં કલાકારો માટેની Website છે. ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટનો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે. ભારતમાં શરૂ થયેલી ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટની પ્રવૃત્તિઓ અત્યારે વિસ્તરીને ભારત તથા વિદેશમાં યુ.એસ.એ,યુ.કે.,ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે.આજના Internet ના આધુનિક યુગ માં જો કોઈ ને ભારતીય કલાકારોની કે કલાની માહિતી અથવાતો કાર્યક્રમો ની માહિતી જોઈતી હોય તો શું ને તે કયાથી મળે...? ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ નો ખ્ય ઉદેશ ભારતીય કલા અને કલાકારો ના સમૂહની માહીતી Internet ઉપર મળી રહે તેમજ કલાકારો ને યોગ્ય પ્લેટફૉર્મ મળી રહે તેજ છે.
    અમારો મુખીય હેતુ ભારતીય કલા/કલાકારો ના સમુદાય ને દેશ તથા વિદેશ માં ઉજળી તક મળી રહે અને તેમની માહિતી વિદેશ માં રહેલા કલાપ્રેમીઓ સુધી પહોચે
    આપ સૌને ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ માં જોડાવા હાર્દિક આમંત્રણ છે.
    ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ મા જોડાવા માટે અહી કિલક કરો

    ૩,0૦,૦૦૦ થી પણ વધુ દર્શકગણ ધરાવતું
    145 થી પણ વધુ દેશોમાં પ્રચલિત
    640 થી વધુ ભારતીય શહેરો માં જોવાય છે
    550 થી પણ વધુ ભારતીય કલાઓનો સમુહ
    વિસરાતી જતી કલા અને કલાકારોને બચાવવાનો પ્રયાસ
    જે કલાકાર પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ મુકવા આતુર છે.
    જે કલાકાર પોતાની કલાને લઈને દર્શકો નો " વાહ વાહ " નો ઉદૂગાર સંભાળવા તરસી રહ્યો છે
    એવા કલાકરોને અમે આવકારીએ છીએ
    જો આપ આપની અમૂલ્ય ને અદભૂત કળા ને દુનિયા સમક્ષ પ્રસિદ્ધ કરવા માંગતા હો તો અમને જણાવો
    ભારતના કલાકારો પોતાની કલાની માહિતી Indian Art And Artists ઉપર FREE
    માં મૂકી શકે છે
    જો આપ Internet ના આધુનિક જમાનામાં આગળ વધવા માગતાં હો તો આપની વિશેષતાઓની માહિતી સાથે સંપર્ક કરો:
    www.indianartandartists.com

    ReplyDelete

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -