Posted by : Harsh Meswania Wednesday 5 June 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ગીધ પ્રકૃતિની ખરેખરી સફાઈ કરી જાણે છે. જોકે, છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગુજરાત આ સજીવો માટે થોડાં વર્ષોથી સેફ ઝોન તરીકે ઉભર્યું છે

રામાયણમાં એક પ્રસંગ છે. સીતાજીનું હરણ કરીને રાવણ તેમને લંકા તરફ લઈ જતો હતો ત્યારે એક ગીધે સીતાજીને બચાવવા માટે બળવાન રાવણ સામે ઝીંક ઝીલી હતી. વૃદ્ધ થઈ ગયેલા એ ગીધનું નામ હતું જટાયુ. પછી તો રાવણ જટાયુની પાંખો કાપીને લંકા તરફ જતો રહ્યો હતો, પણ ભગવાન રામ જ્યારે અરણ્યમાં આવ્યા ત્યારે જટાયુએ સીતાજીની ભાળ આપી હતી અને પછી પ્રાણ છોડી દીધા હતા. ભગવાન રામે જટાયુની અંતિમવિધિ કરીને તેને સન્માન આપ્યું હતું. ભગવાન રામની કૃપાપાત્ર બનેલા આ ગીધના વંશજોનું છેલ્લા થોડા દશકાઓમાં મોટી સંખ્યામાં ક્રિયાકર્મ કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મૃત પશુઓનું માંસ આરોગીને વાતાવરણને દૂષિત થતું અટકાવનારાં ગીધોની ઘટતી જતી સંખ્યા આપણે અટકાવી નથી શક્યા! ૧૯૮૦ પછી ભારતમાં જ નહીં આખા એશિયામાં ગીધો ઘટવા લાગ્યાં છે. થોડા વધુ પ્રયાસો કરવામાં નહીં આવે તો કદાચ આ સજીવ માત્ર વાર્તાઓમાં અને તસવીરો જ જોવા મળશે!

ગીધ શું કામ ઘટી ગયાં, એની વાત કરતા પહેલાં ગીધની હાલની સ્થિતિ અંગે થોડું જાણી લઈએ. રોયલ સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ બર્ડ્સના એક અંદાજ મુજબ ૧૯૮૦માં ભારતમાં ૬ પ્રજાતિના મળીને ગીધની કુલ સંખ્યા આઠ કરોડ કરતાં પણ વધારે હતી. આજે આ સંખ્યા હજારોમાં આવીને પણ અટકી નથી, સતત ને સતત ઘટી રહી છે. માત્ર ત્રણ દશકામાં ગીધની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ૯૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. વિશ્વમાં કદાચ આ પ્રથમ એવું સજીવ હશે કે જે આટલી ઝડપથી લુપ્ત થવાની કગાર પર ઊભું છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં અત્યારે માત્ર ચાર હજાર ગીધ જ શેષ રહ્યાં છે. અલબત્ત, પાકિસ્તાન, ચીન સહિતના અન્ય એશિયન દેશોમાંથી થોડા માસ માટે ભારતનો પ્રવાસ ખેડતા ગીધની આમાં ગણતરી કરવામાં આવતી નથી.

ગીધ અચાનક ઘટી ગયાંનું કારણ?
૧૯૮૦ સુધી બધું બરાબર હતું એટલે એ તરફ તરત ધ્યાન ન પડયું, પણ '૯૦ના દશકમાં થયેલી ગણતરીઓ પરથી જાણવા મળ્યું કે એક જ દશકમાં આ સજીવોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. જંગલ વિસ્તારોમાંથી ગીધના થોડા મૃતદેહ મળવા લાગ્યા. સંશોધનને અંતે ખબર પડી કે જીવન માટે જરૃરી એવો આહાર જ અહીં મોતનું કારણ બની રહ્યો છે. આ સિવાય ગીધની પ્રકૃતિ પણ કંઈક અંશે એમાં જવાબદાર ઠરે છે.

• ખોરાકમાં અનાયાસે ઝેર ખાઈ બેસે છે : ૧૮ વર્ષ પહેલાં પક્ષીવિજ્ઞાનીઓએ જાણ્યું કે પાલતુ પશુઓને શરીરમાં સોજા આવી જાય ત્યારે અપાતી ડાઇક્લોફેનિક નામની દવામાં C22H3805નું રાસાયણિક બંધારણ હોય છે. આ રસાયણ પ્રાણી મરી જાય પછી પણ તેના શરીરમાં રહી જાય છે. ગીધ માટે આ ઝેરનું કામ કરે છે. આ દવાથી જે પ્રાણીની સારવાર કરવામાં આવી હોય અને તેનું માંસ ગીધ આરોગે એટલે તેનું મોત નિશ્ચિત થઈ જાય છે. જોવાની વાત એ છે કે ગીધના મોતનું મુખ્ય કારણ આશરે અઢારેક વર્ષ અગાઉ જ જાણવા મળી ગયું હોવા છતાં આ દવા પર સરકારે પ્રતિબંધ છેક પાંચેક વર્ષ પહેલાં જ મૂક્યો છે અને એમાંય આપણે ત્યાં જેમ બધી બાબતોમાં બને છે તેમ પ્રતિબંધ મૂકીને સરકાર રાહતનો શ્વાસ લઈ લે છે, અમલીકરણનો અભાવ આ બાબતેય ઊડીને આંખે વળગે છે.

• ગીધની પ્રજનનક્ષમતા : પક્ષીવિદેનું નિરીક્ષણ એવું છે કે જે સજીવની પ્રજનનક્ષમતા સ્ટ્રોંગ હોય અને એના પર આવી આફત આવી હોય તો એને ખૂબ ઝડપથી બચાવી શકાય છે, પણ ગીધની સંખ્યામાં તુરંત વધારો શક્ય નથી, એમાં ગીધની પ્રજનનક્ષમતા પણ કારણભૂત છે. નર અને માદાની એક જોડી વર્ષમાં સરેરાશ એક જ બચ્ચાને જન્મ આપવા સક્ષમ છે. એટલે ધારો કે ભારતમાં ચાર હજાર ગીધ હોય અને દરેક જોડી એક એક બચ્ચાને જન્મ આપે તો પણ વધારો તો માંડ બે હજારનો જ થઈ શકે. એમાં વળી સામાન્ય મૃત્યુદરને પણ ગણતરીમાં લેવો પડે. બીજું, કે ટોળામાં રહેવાનું પસંદ કરતા ગીધનું ખોરાક આરોગવાની આડઅસરથી મૃત્યુ નીપજે ત્યારે પણ સંખ્યા ટોળાંમાં જ હોય છે.

• ટોળામાં જવાનો સ્વભાવ : આપણે ત્યાં કહેવત છે કે 'એક કરતાં બે ભલા.' ગીધને આ કહેવત વધુ લાગુ પડે છે, કેમ કે ખોરાક માટે કે સ્થળાંતર માટે એકલા સફર ખેડવાને બદલે તે એકસામટાં નીકળી પડે છે. આ કારણે તેના પર ખતરો પણ એક સાથે આવે છે. જેમ કે, ડાઇક્લોફેનિક દવાથી સારવાર પામેલા કોઈ મૃત પ્રાણીનું માંસ સફરમાં નીકળેલાં બધાં ગીધ આરોગે છે એટલે બધાં પર સામૂહિક અસર થાય છે. ભારતમાં એવા તો કેટલાંય કિસ્સા નોંધાયેલા છે કે જેમાં ગીધના મૃતદેહ કોઈ એક જગ્યાએથી એકસામટા મળ્યા હોય.

મોડા પણ મક્કમ પ્રયાસો
૨૦૦૬માં કેન્દ્ર સરકારે વલ્ચર એક્શન પ્લાન અમલી બનાવ્યો હતો. જેમાં મુખ્યત્વે પાલતુ પ્રાણીઓની સારવારમાં ડાઈક્લોફેનિક દવાઓ વાપરવા પર પ્રતિબંધ મૂકવાનું મુખ્ય આયોજન હતું. આ દવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા પણ સૂચવવામાં આવી હતી. જોકે, પક્ષી નિષ્ણાતોએ એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે પ્રતિબંધ બાદ પ્રાણીઓ માટે ડાઇક્લોફેનિક દવાનું ઉત્પાદન બંધ જરૃર કરવામાં આવ્યું છે, પરંતુ હ્યુમન મેડિસિનમાં પણ તેનો સમાવેશ થાય છે. એટલે થાય છે એવું કે માણસના રોગોમાં કામ આવતી દવા આજેય પશુઓ માટે વાપરવામાં આવે છે અને સરવાળે ભોગવવાનું ગીધના ભાગે આવે છે! સારી વાત એ છે કે ભારતભરમાં અલગ અલગ સંસ્થાઓની ઝુંબેશના કારણે લોકો જાગૃત થયા છે. છેલ્લાં વર્ષોમાં ગીધને બચાવી લેવા ઘણાં બધા લોકોએ કમર કસી છે. એના પરિણામ સ્વરૃપ ગીધને માન-મરતબો અને સુરક્ષા બંને મળતાં થયાં છે. ગીધની છેલ્લી ગણતરીઓએ નવી આશા જન્માવી છે. મધ્યપ્રદેશના પન્ના અભયારણ્યમાં જ ૧૧૦૦ જેટલાં ગીધ હોવાનું નોંધાયું છે. વર્ષોથી થતો ઘટાડો કાબૂમાં આવ્યો છે અને ધીમી છતાં સંગીન ગતિએ વધારો થઈ રહ્યો છે. જો આ સ્થિતિમાં ઓટ આવશે તો કદાચ ભગવાન રામે તો એક ગીધની અંતિમક્રિયા કરી હતી, પણ આપણે તો આખી પ્રજાતિની કરવાનો વખત આવશે! આશા રાખીએ કે એવી સ્થિતિ ન આવે અને પ્રકૃતિના આ સુંદર પક્ષીનું અસ્તિત્વ નામશેષ નહીં થાય.

ગુજરાત : ગીધ માટે ઉભરી રહેલો નવો સેફ ઝોન
ગુજરાતમાં થોડીક સંસ્થાઓ આ માટે નક્કર પ્રયાસો કરી રહી છે, પણ મજાની વાત એ છે કે લોકો સ્વયંભૂ ગીધ બચાવવાના અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. ભાવનગર-અમરેલી જિલ્લામાં ગીધ બચાવો અભિયાનમાં કાર્યરત ઓનરરી વાઇલ્ડ લાઇફ વોર્ડન રુચિ દવેના જણાવ્યા પ્રમાણે તેઓ અને તેમની સાથે જોડાયેલા લોકોએ મળીને રાજુલા નજીકના આસરાણા ગામની પાસે એક વલ્ચર ફીડિંગ સાઇટ બનાવી છે જેમાં પશુપાલકો પોતાનાં મૃત પ્રાણીઓને ગીધના ખોરાક માટે દાનમાં આપી દે છે. એટલું જ નહીં પ્રાણીઓની સારવારમાં ડાઇક્લોફેનિક દવા ન વપરાય તેનું ધ્યાન પણ લોકો જ રાખવા લાગ્યા છે. આ સિવાય ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગીધ વસવાટ કરે છે એ બધે અલગ અલગ સંસ્થાઓ આ માટે કાર્યરત થઈ છે. જેનું પરિણામ ૨૦૧૨ની ગણતરીમાં દેખાયું હતું. ૨૦૧૦ની ગણતરી વખતે ૧૦૬૫ જેટલાં ગીધ

ગુજરાતમાં હતાં. જે બે વર્ષમાં ૩૬૧ જેટલાં વધીને કુલ સંખ્યા ૧૪૦૦ આસપાસ થવા જાય છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગીધની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક પણ સાઇટ પર ઘટાડો નોંધાયો નથી. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં બે વર્ષમાં ગીધની સંખ્યા આટલી વધી છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -