Archive for May 2022

રીપાવર ઈયુ : ઉર્જામાં આત્મનિર્ભર બનવાની યુરોપના દેશોની મથામણ

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 


યુરોપના દેશોને રશિયન ગેસ વગર ચાલે તેમ નથી. યુરોપમાં રશિયાના ગેસની મોનોપોલી છે. આખું યુરોપ ઉર્જા બાબતે રશિયા પર નિર્ભર છે. એ નિર્ભરતા ઘટાડવા અને લાંબાંગાળે ઉર્જામાં આત્મનિર્ભર થવા માટે યુરોપિયન દેશોએ રિન્યૂએબલ એનર્જીનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોંચ કર્યો છે, જેને રીપાવર ઈયુ એવું નામ અપાયું છે


દરેક યુદ્ધ માનવજાતને ઊંડા જખ્મો આપે છે; એમ દરેક યુદ્ધ કોઈને કોઈ નવીનીકરણ માટે નિમિત્ત પણ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ શસ્ત્રોના નવીનીકરણ માટે કારણભૂત બન્યું. દુનિયાભરમાં ડિફેન્સ ક્ષેત્રનો અણધાર્યો વિકાસ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આર્મી ઉપરાંત નેવી અને એરફોર્સ જેવી નવી સૈન્યપાંખો ઉમેરાઈ. મહિલાઓ માટે ઘરની ચાર દીવાલોમાંથી બહાર જઈને કામ કરવાની તક સર્જાઈ. જે પુરુષો ઘાયલ થયા હતા, તેના સ્થાને કારખાનાઓમાં મહિલાઓને નોકરી મળતી થઈ. પૃથ્વીના નકશામાં થોડીક નવી રેખાઓ અંકાઈ.

બીજા વિશ્વયુદ્ધ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો. અમેરિકા-રશિયા એમ બે નવાં પાવરસેન્ટર અસ્તિત્વમાં આવ્યાં. અંતરિક્ષસ્પર્ધાના પરિણામે માણસ અવકાશમાં અને પછી ચંદ્રની ધરતી સુધી પહોંચ્યો. દુનિયાભરમાં વર્કકલ્ચર બદલાયું, શૈક્ષણિક માળખું બદલાયું. અંધારુ ગાયબ થયું; મીણબત્તી-દીવાઓનું સ્થાન રંગબેરંગી બલ્બોએ લીધું! દુનિયા રેડિયો-ટીવી-કમ્પ્યુટર્સના યુગમાં પ્રવેશી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી મહિલાઓને કારખાનાઓમાં કામ મળતું થયું હતું, તો બીજા વિશ્વયુદ્ધ પછી મહિલાઓને યુનિવર્સિટીઝમાં ઉચ્ચ શિક્ષણ મળતું થયું હતું.

દરેક યુદ્ધમાં કોઈ વિજેતા થાય છે, કોઈ પરાજિત થાય છે, પરંતુ નવો બોધપાઠ તો આખી માનવજાતને મળી જાય છે. એવો જ બોધપાઠ રશિયા-યુક્રેનના યુદ્ધમાંથી યુરોપિયન દેશોને મળ્યો છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી ૨૦મી સદીમાં આમૂલ પરિવર્તનો થયા હતા એમ ૨૧મી સદીમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ યુદ્ધે દુનિયાને રિન્યૂએબલ એનર્જીની અનિવાર્યતા અંગે વિચારતી કરી દીધી છે. યુરોપિયન સંઘે તો આ વિચારને 'રીપાવર ઈયુ (યુરોપિયન યુનિયન)'ના નામથી અમલમાં પણ મૂકી દીધો છે.

યુરોપના દેશો રશિયન ઉર્જા પર નિર્ભર છે. ૨૦૨૧માં યુરોપિયન સંઘના ૨૭ દેશોને રશિયાએ ૧૫૫ અબજ ક્યૂબિક મીટર ગેસનો પૂરવઠો આપ્યો હતો. રશિયા યુરોપિયન સંઘનું પાંચમું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર છે. યુરોપિયન સંઘે ૨૦૨૧માં ૧૧૭ અબજ ડોલરનો ગેસ રશિયા પાસેથી ખરીદ્યો હતો. માછલી, કાગળ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, દવાઓ, તમાકુ, સિગારેટ સહિતનું મળીને બંને પક્ષે અબજો ડોલરનો વેપાર છે. ૨૦૨૧માં બધુ મળીને યુરોપિયન સંઘે રશિયામાંથી ૧૭૦ અબજ ડોલરની આયાત કરી હતી. બીજી બધી ચીજવસ્તુઓ તો યુરોપને અન્ય દેશોમાંથી પણ મળી જાય, પણ ઉર્જાની આયાત અન્ય દેશોમાંથી કરવાનું યુરોપના દેશોને પરવડે તેમ નથી. અમેરિકા કે ખાડીના દેશોમાંથી યુરોપ સુધી ગેસ પહોંચાડવો મોંઘો પડે. તેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મોંઘુ પડે અને દરિયાઈ સુરક્ષાના પ્રશ્નોનો ખરા જ. દરિયામાં પોતાના વેપારી જહાજોની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરવી પડે અને તેનો ખર્ચ વધી જાય એ પણ અલગ. અત્યારે તો અમેરિકા જેવા સાથી દેશો સુરક્ષાની જવાબદારી સંભાળે છે, પરંતુ દરિયાઈ માર્ગે સતત યુરોપિયન સંઘના માલવાહક જહાજોની અવરજવર રહે તો કાયમી વ્યવસ્થા લાંબાંગાળે કરવી જરૂરી બની જાય. કદાચ એ જ કારણ હતું કે યુરોપિયન સંઘે અમેરિકા-રશિયાના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા હતા છતાં બંને પક્ષે સંબંધો સાચવી રાખ્યા હતા. રશિયન ગેસ પર નિર્ભરતા હોવાથી યુરોપના દેશો મોટાભાગે તટસ્થ વલણ દાખવતા અથવા તો સમાધાનકારી રસ્તો કાઢતા.

પણ આ વખતે રશિયા-યુક્રેનના યુદ્ધે બધાં સમીકરણો બદલી નાખ્યાં. યુરોપમાં રશિયાનો વિરોધ વધ્યો છે. રશિયામાંથી આયાત ઘટાડવાનું સરકારો પર ભારે દબાણ છે. યુરોપના ૮૫ ટકા લોકો માને છે કે યુરોપના દેશોએ રશિયા પર ગેસ-ઓઈલની નિર્ભરતા ઘટાડવી જોઈએ. યુરોપિયન નાગરિકોની એ વિચારધારામાંથી રિપાવર ઈયુનો જન્મ થયો છે. યુરોપના ૪૪ દેશોમાંથી યુરોપિયન સંઘમાં ૨૭ દેશો છે. એ ૨૭ દેશોએ હવે રશિયન ઉર્જાની નિર્ભરતામાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢ્યો છે. યુરોપિયન સંઘે 'રીપાવર ઈયુ'નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સૂલા વોન ડેર લેયેને પુનઃપ્રાપ્ય ઉર્જાના પ્રોજેક્ટનો લોંચ કરતા કહ્યું હતુંઃ 'આપણે ઉર્જા માટે બીજા દેશોના સહારે હતા, પરંતુ હવે એમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આપણે રશિયાના ઓઈલ-ગેસ-ઉર્જા વગર ચાલે તેમ નથી. ગયા વર્ષે આપણે રશિયાને એનર્જીના બદલામાં ૧૦૦ અબજ યુરો આપ્યા હતા. આપણે આ સ્થિતિ બદલવી પડશે. ૨૦૨૭ સુધીમાં એ નિર્ભરતા ઓછી કરવાનું આયોજન છે અને એ માટે યુરોપિયન સંઘ ૩૧૫ અબજ ડોલરનો 'રીપાવર ઈયુ' પ્રોજેક્ટ શરૂ કરશે.'

જરૂરિયાતમાંથી ૫૦ ટકા સુધીની એનર્જી આપબળે પ્રાપ્ત કરવાનું યુરોપિયન સંઘે નક્કી કર્યું છે. આ યોજના અંતર્ગત યુરોપિયન સંઘના દેશોમાં ૨૩ કરોડ ઘર ગ્રીન એનર્જીથી સજ્જ કરાશે. યુરોપના દેશોને હવે સમજાયું છે કે રશિયાનો ગેસ મોંઘો છે, બીજા દેશોમાંથી આયાત કરવાનું તો એનાથી ય મોંઘું પડશે. એટલે એનર્જીની બાબતે આત્મનિર્ભર થયા વગર છૂટકો નથી. આત્મનિર્ભરતા ગ્રીન એનર્જીથી જ આવી શકશે. ગ્રીન એનર્જી એટલે એવી ઉર્જા જે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી મેળવી શકાતી હોય.  સૂર્યપ્રકાશ. પાણી કે પવનચક્કી જેવા સ્ત્રોતમાંથી જેને મેળવી શકાય એવી ઉર્જાને ગ્રીન એનર્જી કહેવામાં આવે છે. રિન્યૂએબલ યાને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવામાં આવે તો એ પ્રમાણમાં સસ્તી છે. જેમ કે ઘરની ઉપર કે આસપાસ સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મેળવવા જે પેનલ ગોઠવવામાં આવે છે એ ટકાઉ અને સસ્તી ઉર્જા છે. તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. વળી, એના માટે બીજા કોઈ સોર્સ પર આધારિત રહેવું પડતું નથી. આ આત્મનિર્ભર ઉપાય યુરોપના દેશોએ અમલી બનાવ્યો છે.

યુરોપિયન સંઘે ઈયુ સેવ એનર્જી કમિશનની રચના કરી છે, જે લોકોને પાંચથી ૧૦ ટકા સુધી વીજળી બચાવવાની અપીલ કરે છે અને તેનાથી આગામી છ મહિનામાં રશિયામાંથી ગેસનો જે પૂરવઠો આયાત થાય છે તેમાં ૫થી ૭ ટકાનો ઘટાડો થાય એવી ગણતરી છે. ૨૦૨૭ સુધીમાં રશિયન ગેસનો પૂરવઠો ૫૦ ટકામાંથી ઘટાડીને ૨૫ ટકા સુધી લાવવાનું યુરોપિયન સંઘનું આયોજન છે અને એ માટે એક માત્ર ઉપાય છે રિન્યૂએબલ એનર્જી. દરેક ઘરમાં કુલ જરૂરિયાતની ૩૦થી ૪૦ ટકા વીજળી ઉત્પન્ન થવા લાગે તો જ ઓઈલ-ગેસની આયાત ઘટે તેમ છે. કોઈપણ ઘરમાં રાતોરાત સોલર પેનલ બેસાડીને ઉર્જા ઉત્પન્ન કરવાનું પણ કપરું છે. દરેકને એ પોષાય નહીં. જે વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ પૂરતો છે ત્યાંથી શરૂઆત કરવાનું ધારે છે.

એશિયન દેશોની જેમ યુરોપમાં સીધો સૂર્યનો પ્રકાશ પડતો નથી એટલે હાઈડ્રોજન સહિતના વિકલ્પો અંગે પણ વિચારાઈ રહ્યું છે. યુરોપિયન સંઘનો આ રીપાવર ઈયુનો પ્રોજેક્ટ દુનિયામાં ગ્રીન એનર્જી માટે નવી પ્રેરણા પૂરી પાડશે. ૨૧મી સદીમાં યુદ્ધ થાય અને પેટ્રોલિયમની અછત સર્જાય તો સ્થિતિ કેટલી બદલાઈ શકે છે તે રશિયા-યુક્રેનના યુદ્ધમાં દુનિયા જોઈ રહી છે. યુદ્ધના માહોલમાં જો ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ વિશ્વભરમાં હાથ ધરાશે તો ભવિષ્યમાં આ યુદ્ધ ઉર્જાની આત્મનિર્ભરતા માટે યાદ રખાતું હશે!

Friday 20 May 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનના વડાપ્રધાનો પહેલી સલામ સાઉદીમાં મારવા જાય છે તેના કારણો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

સાઉદી-પાકિસ્તાનની દોસ્તી સાડા સાત દશકા જૂની છે. બંને દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી હોવાથી દોસ્તી વર્ષોવર્ષ વધુ ગાઢ બની છે. પાકિસ્તાનને આર્થિક મદદ માટે સાઉદીની જરૂર છે, તો પાકિસ્તાન શિયા બહુમતી દેશ ઈરાન સાથે સરહદ ધરાવતું હોવાથી સાઉદીને વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનનો ખપ છે...


પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે સત્તા સંભાળી કે તરત જ સાઉદીનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન તરીકે શાહબાઝનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શાહબાઝ શરીફ સાથે આઠ અબજ ડોલરની આર્થિક સહાય માટે કરાર કર્યો હતો. આ સહાય હેઠળ પાકિસ્તાનને ઓઈલનો જથ્થો મળશે અને સાઉદીની કંપનીઓ પાકિસ્તાનમાં રોકાણ પણ કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનો આર્થિક મદદ મેળવવા મોટાભાગે સાઉદી અરેબિયાનો પ્રવાસ કરે છે. શાહબાઝનો પ્રથમ પ્રવાસ પણ એ જ હેતુથી યોજાયો હતો. વર્ષોથી પાકિસ્તાનના વડાપ્રધાનોએ સાઉદીને સૌથી પહેલી સલામ મારવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. ૨૦૧૮માં ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા કે બીજા જ મહિને સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે કુલ ૩૨ વિદેશયાત્રા કરી હતી, એમાંથી આઠ તો સાઉદીની છે. ઈમરાન સાઉદીની આઠમાંથી પાંચ મુલાકાતો આર્થિક મદદ મેળવવા માટે કરી હતી. ૧૯૭૦થી વણલખ્યો નિયમ થઈ ગયો છે કે પાકિસ્તાનના નેતાઓ ચૂંટાઈને પ્રથમ પ્રવાસ મોટાભાગે સાઉદીનો કરે છે. નવાઝ શરીફ વડાપ્રધાન હતા ત્યારે સાઉદી-પાકિસ્તાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં જ્યારે નવાઝ શરીફ પદભ્રષ્ટ થયા અને નવાઝ અને શાહબાઝ સામે કેસ ચાલતો હતો ત્યારે બંનેને સાઉદીએ જ રાજકીય શરણું આપ્યું હતું. તે એટલે સુધી કે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં ૨૦૦૦ના વર્ષ પછી ફાંસીએ લટકાવવાની પેરવી થતી હતી ત્યારે સાઉદીની દખલગીરીથી જ તેને માફી મળી હતી. સાઉદીએ નવાઝ શરીફ ૧૦ વર્ષ દેશબહાર રહેશે એ શરતે માફી અપાવી હતી. પાકિસ્તાનમાં સરકારો બદલાતી રહે છતાં સાઉદીનો પ્રભાવ ઘટતો નથી તેનો આ દાખલો હતો.

સાઉદી-પાકિસ્તાનના સંબંધો પાકિસ્તાનના અસ્તિત્વ સાથે જ શરૂ થયા હતા. ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (ઓઆઈસી)ની સ્થાપનામાં સાઉદી-પાકિસ્તાનની મહત્વની ભૂમિકા હતી. આ સંગઠનની રચના થઈ પછી સાઉદી-પાકિસ્તાન તેના લીડિંગ મેમ્બર્સ તરીકે ઉભરી આવ્યા હતા. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે સાઉદી એવો પ્રથમ દેશ હતો, જેણે પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કર્યું હતું. સાઉદીએ બાંગ્લાદેશની રચનાને અયોગ્ય ઠેરવીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો હતો. ૧૯૯૦-૧૯૯૧માં પર્સિયન ગલ્ફ વોર વખતે પાકિસ્તાને ઈસ્લામિક ધાર્મિક સ્થળોના રક્ષણના બહાને સાઉદીમાં લશ્કર મોકલ્યું હતું. સાઉદી-પાકિસ્તાન ઈસ્લામદેશોના ગોડફાધર બનવા ઈચ્છતા હોવાથી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકવાદીઓએ સત્તા હાથમાં લીધી ત્યારે સાઉદી-પાકિસ્તાન અને યુએઈ એ ત્રણ દેશો હતા, જેમણે તાલિબાનની શાસનનું સમર્થન કર્યું હતું. ૧૯૯૮માં નવાઝ શરીફે પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી ત્યારે અમેરિકા-બ્રિટન સહિતના દેશોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ સાઉદીએ સૌથી પહેલું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો તે બાબતે સાઉદીએ તો પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફની પીઠ થાબડી હતી. બીજા બધા દેશોએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હોવાથી સાઉદીએ પાકિસ્તાનને દરરોજ ૫૦ હજાર બેરલ ઓઈલ આપવાની જાહેરાત પણ કરી હતી.

સાઉદી-પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધો પણ ઘણાં મજબૂત છે. પાકિસ્તાન આર્થિક રીતે બદહાલ થઈ ચૂક્યું છે. વારંવાર વિદેશી આર્થિક સહાય માટે કોશિશ કરે છે. સૌથી વધુ સહાય સાઉદી અને ચીન કરે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ પાકિસ્તાનમાં ફ્રી ટ્રેડના કરાર અંતર્ગત ૨૦૦૬માં ૧૧ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. એ રોકાણ પાકિસ્તાનને અપાવવામાં સાઉદીની મહત્વની ભૂમિકા હતી. આર્થિક મદદના ભાગરૂપે સાઉદીએ ૪.૫ અબજ ડોલરની રોકડ સહાય કરી હતી. આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા પાકિસ્તાનમાં રોજગારી સર્જાય તે માટે સાઉદી અરેબિયાએ ૨૦૧૮માં ગ્વાદરમાં એક ઓઈલ રિફાઈનરી સ્થાપવાની જાહેરાત કરી હતી. એ રિફાઈનરી દરરોજ પાંચ લાખ બેરલનું ઉત્પાદન કરશે. ૨૦૧૯માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદીનો પ્રવાસ કર્યો ત્યારે સાઉદીએ આગામી દશકામાં ૨૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તે પછી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા અને ઓઈલ રિફાઈનરી સ્થાપવા માટે ૧૦ અબજ ડોલરનો કરાર કર્યો હતો. ઓક્ટોબર-૨૦૨૧માં પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરિ ફંડમાંથી આર્થિક સહાય ન મળી એટલે ફરીથી સાઉદી-ચીન સામે હાથ ફેલાવ્યા હતા. સાઉદીએ ૪.૨ અબજ ડોલરની સહાય આપી હતી.

સવાલ એ થાય કે સાઉદી પાકિસ્તાનની આટ-આટલી મદદ કેમ કરે છે? સાઉદીને શું ફાયદો મળે છે? સાઉદીને પાકિસ્તાનની વ્યૂહાત્મક જરૂરિયાત છે. શિયા બહુમતી ધરાવતા દેશ ઈરાન અને સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અરબ વર્લ્ડમાં પ્રભુત્વ સ્થાપવા આ બંને દેશો પ્રોક્સી વોર લડે છે. યમનમાં ચાલતું યુદ્ધ તેનું ઉદાહરણ છે. સાઉદીની જેમ પાકિસ્તાનમાં પણ સુન્ની મુસ્લિમોની બહુમતી છે. પાકિસ્તાનમાં ૯૦ ટકા સુન્ની મુસ્લિમો છે. સુન્ની બહુમતી હોવાથી બંને દેશો વચ્ચે નેચરલ જોડાણ છે. સાઉદી ઈચ્છે છે કે ઈરાન સામે જરૂર પડે ત્યારે પાકિસ્તાની લશ્કર મદદમાં ઉભું રહે. પાકિસ્તાન-ઈરાન વચ્ચે ૮૦૦-૯૦૦ કિલોમીટરની સરહદ છે. જો ભવિષ્યમાં ઈરાન-સાઉદી વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળે તો પાકિસ્તાનમાં લશ્કરી મથક બનાવીને યુદ્ધ લડી શકાય તેમ છે. પાકિસ્તાન સાઉદીનું સૌથી વિશ્વસનીય સાથી હોવાથી એ શક્ય છે. ઈરાન સાથે સરહદો ધરાવતા અન્ય દેશો સાથે સાઉદીને એટલા ગાઢ સંબંધો નથી, જેટલા પાકિસ્તાન સાથે છે. સમૃદ્ધ સાઉદી ગરીબ પાકિસ્તાનને આર્થિક મદદ કરીને તેની સરહદીનીતિ પ્રભાવિત કરે છે. ઘણાં વિદેશી નિષ્ણાતો તો એવોય દાવો કરે છે કે પાકિસ્તાન-સાઉદી વચ્ચે ઈરાન સરહદે લશ્કરી મથકનો ગુપ્ત સોદો પહેલાં જ થઈ ચૂક્યો છે. સાઉદી આટલી રકમ ખર્ચીને પાકિસ્તાનના લશ્કરને મજબૂત કરે છે. લશ્કરની કેટલીક ટૂકડીઓ સાઉદી માટે જ તૈયાર કરવામાં આવે છે અને તેને ઈરાન સરહદે તૈનાત કરાય છે.

લશ્કરી ઉપરાંત આર્થિક મદદના બદલામાં સાઉદી વ્યાજ મેળવે છે તે અલગ. સાઉદીએ પાકિસ્તાનને છેલ્લાં એક દશકામાં જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે એના પર ૩થી ૪ ટકા સુધી વ્યાજ વસૂલે છે. આ દાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના આર્થિક સલાહકાર રહી ચૂકેલા શૌકત તારિકે કર્યો હતો. વળી, સાઉદી પાકિસ્તાનમાં રોકાણ કરીને લાંબાંગાળાનો ફાયદો જુએ છે. પાકિસ્તાનમાં ૨૨-૨૩ કરોડની વસતિ છે. સાઉદીની કંપનીઓ પાકિસ્તાનને એક મોટા માર્કેટના સ્વરૂપમાં જુએ છે. વસતિની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે. સાઉદીના બિઝનેસમેન તેને સૌથી વધુ ગ્રાહકો ધરાવતો પાંચમો દેશ ગણે છે! પાકિસ્તાનની ખરીદશક્તિ વધવા લાગશે તો કલ્ચરલ અને ધાર્મિક સમાનતા હોવાથી સાઉદીની કંપનીઓને સૌથી વધુ ફાયદો થઈ શકે તેમ છે.

વેલ! વેલ! ચેકબુક ડિમ્લોમસીથી સાઉદીએ પાકિસ્તાનને વશમાં કર્યું છે તે પાછળનું એક અદૃષ્ય કારણ છે - પરમાણુ બોમ્બ. સાઉદી ભલે સમૃદ્ધ રાષ્ટ્ર છે, પરંતુ હજુ સુધી પરમાણુ શક્તિ વિકસાવી શક્યું નથી. પાકિસ્તાન પરમાણુ બોમ્બ ધરાવે છે, જે સાઉદીને પાકિસ્તાનની મદદ માટે પ્રેરે છે!

Friday 13 May 2022
Posted by Harsh Meswania

જમાલ ખાશોગીના કેસને રફેદફે કરવાની શરતે તુર્કી અને સાઉદીના સંબંધો સુધર્યા!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા



અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા તુર્કીમાં સાઉદીના દૂતાવાતમાં થઈ હતી. આ હત્યાનો કેસ તુર્કીમાં ચાલતો હતો. એ વખતે તુર્કી-સાઉદી અરબના રાજદ્વારી સંબંધો તંગ બની ગયા હતા. હવે બંને દેશો વચ્ચે સોદો થઈ ગયો છે. સાઉદી તુર્કીમાં રોકાણ કરશે અને તુર્કી તેના બદલામાં ખાશોગીનો કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરશે!


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપયાત્રા, રશિયન પ્રમુખની રહસ્યમય બીમારીની સારવાર, યુક્રેનને અમેરિકાની લશ્કરી મદદ, નાટોને રશિયાની ધમકી, ઈમરાન ખાન સામે તોળાતી ધરપકડની તલવાર, તાલિબાન અને પાકિસ્તાની લશ્કર વચ્ચે ઘર્ષણ, જેરૂસલેમમાં ઈઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈની પથ્થરબાજો વચ્ચે થયેલી હિંસા....

આ બધા ન્યૂઝ અપડેટ્સ વચ્ચે તુર્કીના પ્રમુખ રેચેપ તૈયબ એર્દોઆનનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ખાસ નોંધપાત્ર ન બન્યો. અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની ૨૦૧૮માં તુર્કી સ્થિત સાઉદીની દૂતાવાસમાં હત્યા થઈ પછી વૈશ્વિક દબાણ હેઠળ તુર્કીએ તપાસ હાથ ધરી હતી. એમાં એક પછી એક નવા નવા ધડાકા થતા હતા અને આરોપ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સુધી પહોંચ્યો. ખાશોગી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન સલમાનની રાજકીય-આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર હતા. અવારનવાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ', 'મિડલ ઈસ્ટ આય', અલ-અરબ ન્યૂઝ ચેનલમાં સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા હતા. સાઉદીની સરકાર સાથે ખાશોગીને વર્ષોથી ઘર્ષણ ચાલતું હતું. ૨૦૦૫માં તેમને સાઉદીના દબાણ હેઠળ દેશ છોડીને બ્રિટનમાં ભાગી જવું પડયું હતું. ૨૦૧૭માં અમેરિકાના નાગરિક બન્યા પછી ખાશોગીએ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં કામ શરૂ કર્યું હતું. મિડલ ઈસ્ટના નિષ્ણાત પત્રકાર કટારલેખક તરીકે ખાશોગી અવારનવાર સનીસનીખેજ અહેવાલો-લેખો લખતા હતા. સાઉદીના ક્રાઉન પ્રિન્સના ઈશારે ખાશોગીની હત્યા થઈ છે એવા આરોપ પછી તુર્કીમાં કેસ ચાલતો હતો. તેના કારણે તુર્કી-સાઉદીના વચ્ચે સંબંધો બગડયા હતા. રાજદ્વારી સંબંધો ઉત્તરોત્તર એટલા વણસ્યા કે એકબીજાના દેશોના નેતાઓ તો ઠીક વિદેશમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ પણ એક-બીજા દેશનો પ્રવાસ બંધ કરી દીધો હતો.

પરંતુ છેલ્લાં એક વર્ષથી બંને દેશોના સંબંધો સુધારવાની કોશિશો ચાલતી હતી. ખાશોગીના કેસથી જામી ગયેલો બરફ ઓગળવાની શરૂઆત થઈ ગયા વર્ષે મે મહિનામાં. મે-૨૦૨૧માં તુર્કીના વિદેશ મંત્રી મૌલુદ જાવેશ ઉગલુએ સાઉદીનો પ્રવાસ કર્યો હતો અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાનને મળીને સંબંધો સુધારવા રજૂઆત કરી હતી. એ પછી દ્વિપક્ષીય નિવેદનો આવ્યાં હતાં, જેમાં બંને દેશો આંતરિક સમસ્યા ઉકેલવાની દિશામાં કામ કરે છે એમ કહેવાયું હતું, પરંતુ પડદા પાછળ ખાશોગીનો કેસ સેટ થયો હતો. જમાલ ખાશોગીને ન્યાય મળે તે માટે સક્રિય પત્રકારોના સંગઠનો અને માનવ અધિકાર પંચોએ તે વખતે એવી દહેશત વ્યક્ત કરી હતી કે ખાશોગીના કેસની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે અને કેસ તુર્કીમાં ચાલવો જોઈએ. સાઉદીમાં કેસ ટ્રાન્સફર થશે તો ન્યાય નહીં મળે.

પણ સાઉદીની ડિમાન્ડ બહુ સ્પષ્ટ હતી. ખાશોગીનો કેસ સાઉદીમાં ચાલે તો જ વાત બને તેમ હતી. અમેરિકા કે બીજા કોઈ પણ દેશની દખલ વગર એમાં ધારણા પ્રમાણેનો ચુકાદો સાઉદી તો જ આપી શકે, જો કેસ તેમની કોર્ટમાં ચાલે! ક્રાઉન પ્રિન્સ બિન સલમાન સુધી ખાશોગીની હત્યાના છાંટા ઉડી ચૂક્યા હતા, હત્યામાં એની સંડોવણી ન ખૂલે તે માટે કેસ તુર્કીને બદલે સાઉદીમાં ચાલે તે જરૂરી નહીં, અનિવાર્ય હતું. સાઉદીના અધિકારીઓ અગાઉ પણ તુર્કીની સરકાર સામે કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરવાની રજૂઆત કરી ચૂક્યા હતા. બંને દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં એ જ મુદ્દો બંધ બારણે સેટ થયો હતો.

પછી આ વાતને એક વર્ષનો પડદો પાડી દેવાયો. ખાશોગીનો કેસ જેમ ચાલે છે તેમ ચાલતો રહ્યો. પણ તુર્કીના સરકારી વકીલની દલીલો કોર્ટમાં બદલાઈ ગઈ. તુર્કીની સરકારે કેસ સાઉદીમાં ચાલે એવી વકીલાત કરવા માંડી. હત્યામાં સંડોવાયેલા સાઉદીના નાગરિકો છે એટલે સાઉદીને તેમની રીતે કેસ ચલાવવાનો અધિકાર મળવો જોઈએ એવી દલીલો કોર્ટમાં રજૂ થવા માંડી. ખાશોગીની ગર્લફ્રેન્ડના વકીલે અને માનવ અધિકાર પંચોએ તુર્કીમાં કેસ ચલાવવાની ધારદાર દલીલો કરી છતાં નાટયાત્મક રીતે ગયા મહિને કોર્ટે ચુકાદો આપી દીધો. ખાશોગીનો કેસ હવે સાઉદીને ટ્રાન્સફર કરી દેવાશે. તુર્કીમાં કેસ ચાલશે નહીં. તુર્કીની તપાસ એજન્સીની એમાં હવે ખાસ ભૂમિકા રહેશે નહીં.

વર્ષ બે વર્ષમાં ખાશોગીના કેસનો વિંટો વાળી દેવાશે. હત્યામાં સંડોવાયેલા એક-બેને સજા પણ મળી જશે, પરંતુ અમેરિકન મીડિયા સાઉદીના ક્રાઉન પ્રિન્સ ઉપર આરોપ મૂકે છે એવું કંઈ થશે નહીં. તુર્કીની કોર્ટનો ચુકાદો આવ્યો તેના બરાબર એક મહિના પછી તુર્કીના પ્રમુખ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ એકબીજાને ગળે મળી રહ્યા હતા, સામ-સામે બેસીને ભોજન લઈ રહ્યા હતા. સાઉદી-તુર્કીના શાસકો વચ્ચે ૨૦૧૮ પછી આ પહેલી મુલાકાત હતી. બંને પક્ષે ઉમળકો દેખાતો હતો. બંને દેશોએ સ્કોર સેટ કરવામાં સફળતા મેળવી હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થતું હતું. સાઉદી ઈચ્છતું હતું કે ખાશોગીનો કેસ એના અંકુશમાં રહે. એર્દોઆન ઈચ્છે છે કે સાઉદી તુર્કીમાં આર્થિક રોકાણ કરે. તુર્કીનું અર્થતંત્ર મંદ પડયું છે. વિદેશી રોકાણ કે મોટી આર્થિક સહાય મળે તો તુર્કીમાં રોજગારીનું સર્જન થાય, મોંઘવારી અંકુશમાં આવે, અર્થતંત્ર ધમધમતું થાય.

...અને એર્દોઆને આ પગલું અત્યારે કેમ ભર્યું? એનો જવાબ છે ચૂંટણી. જી હા! દુનિયાભરનું રાજકારણ ચૂંટણીલક્ષી છે. ચૂંટણી આવે ત્યારે જેમ ભારતના નેતાઓ સક્રિય થાય છે એવું જ વિશ્વભરમાં છે. તુર્કીમાં ૨૦૨૩માં ચૂંટણી થશે. એર્દોઆને એમાં વિજય મેળવવો હશે તો આર્થિક સ્થિતિ બહેતર બનાવવી ફરજિયાત છે. લોકો મોંઘવારી-બેરોજગારીથી ત્રાસી ગયા છે. એક વર્ષમાં એ સ્થિતિ સુધરે તો એર્દોઆન ફરીથી ચૂંટાઈ શકે. ૨૦૧૮ની ચૂંટણીમાં એર્દોઆન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ તેમના પક્ષ એકેપીને બહુમતી મળી ન હતી. અત્યારે સંસદસભા ગઠબંધનથી ચાલે છે. એર્દોઆનની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ૨૦૧૯માં સ્થાનિક ચૂંટણી થઈ એમાં અંકારા અને ઈસ્તાંબુલમાં ૨૫ વર્ષ પછી એર્દોઆનની પાર્ટીનો પરાજય થયો. પાર્ટીનો વોટશેર ગગડી રહ્યો છે. ૨૦૧૭માં જનમતથી તુર્કીએ પાર્લામેન્ટરી સિસ્ટમ બદલી હતી અને તેને પ્રમુખ કેન્દ્રિત કરી હતી. એર્દોઆન ૨૦૦૩થી ૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા. ૨૦૧૪માં પ્રમુખ બન્યા પછી તેમણે ૨૦૧૭માં જનમત મેળવીને સંસદીય પદ્ધતિ બદલી નાખી છે. એ પ્રમાણે કોઈ નેતા વધુમાં વધુ બે વખત પ્રમુખપદે રહી શકે છે. તેનો અમલ એદોઆન સ્માર્ટલી ૨૦૧૮થી લાગુ પાડયો છે. એ પહેલાં એક વખત પ્રમુખ રહી ચૂક્યા છે. તે પહેલાં ૧૦ વર્ષથી વડાપ્રધાન હતા અને નવી જોગવાઈ લાગુ પડી પછી એક ટર્મ હજુ પ્રમુખ રહી શકે છે. ૬૮ વર્ષના એર્દોઆનની ૭૩ વર્ષે નિવૃત્ત થવાની યોજના છે. એ માટે ૨૦૨૩ની ચૂંટણીમાં વિજેતા બનવું પડે તમે છે. એ પહેલાં જેટલા મુદ્દા સરકારને કે પાર્ટીને કનડે છે તેનો નિવેડો લાવવો અનિવાર્ય છે અને તેના ભાગરૂપે એર્દોઆને સાઉદીની મુલાકાત કરીને ગલ્ફદેશો સાથે સંબંધો સુધારવાનું શરૂ કરી દીધું છે. પેટ્રોલિયમની બેશૂમાર સંપત્તિ ધરાવતી સાઉદીની સરકાર વાયદા પ્રમાણે રોકાણ કરશે તો એક વર્ષમાં તુર્કીની સ્થિતિ થોડી બહેતર બનશે.

..પણ બંને દેશોેના સમાધાન વચ્ચે એ હકીકત સ્વીકારવી પડશે કે વધુ એક વખત પત્રકાર જમાલ ખાશોગીની હત્યા થઈ છે!

Friday 6 May 2022
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -