Archive for January 2022

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થી પછી આખરે રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ઘટે એવો સંકેત મળ્યો છે. રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો વધાર્યા એ પછી અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનના સૈનિકોની તૈનાતી પૂર્વી યુરોપમાં વધી હતી. તેના કારણે મહાયુદ્ધની ભીતિ વ્યક્ત થતી હતી

 

 વિશ્વયુદ્ધ એક નાનકડી ઘટનામાંથી સર્જાઈ શકે છે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યાએ પ્રથમ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો હતો. ને જર્મનીએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો તેનાથી બીજું વિશ્વયુદ્ધ સર્જાયું હતું. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલીથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા હતા. યુક્રેન ઉપર રશિયા હુમલો કરશે તો અમેરિકા યુક્રેનની મદદ કરશે એવી અમેરિકન સરકારની જાહેરાત પછી ત્રીજા વિશ્વયુદ્ધની ભીતિ વ્યક્ત થવા લાગી હતી અને એમાંથી રસ્તો કાઢવા ઘણાં દેશો સક્રિય થયા હતા.
આમ તો વિશ્વયુદ્ધનો ખતરો છેલ્લાં એક દશકાથી મંડરાતો રહે છે. ચીન-અમેરિકા વચ્ચે તંગદિલીના એકથી વધુ કારણો છે. દક્ષિણ ચીની સમુદ્રથી લઈને તાઈવાન અને ટ્રેડવોર સહિતના મુદ્દે અમેરિકા-ચીન અનેક વખત સામ-સામે આવી ચૂક્યા છે. ચીન તો સતત પાડોશી દેશોને છંછેડતું રહે છે. ભારત-ચીન વચ્ચે પણ લદાખ સરહદનો વિવાદ હજુ ઉકેલાયો નથી. અમેરિકા-ઈરાન અને અમેરિકા-ઉત્તર કોરિયા જેવા દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદો પણ સપાટી ઉપર આવતા રહે છે, પરંતુ યુક્રેન-રશિયાના મોરચે અચાનક જે ઘટનાઓ આકાર પામી તેનાથી મહાયુદ્ધનો ખતરો વધી ગયો હતો.
બાલ્ટિક સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનનું લશ્કર તૈનાત થઈ ગયું હતું. યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોની તૈનાતી એક તરફ વધતી જતી હતી. બીજી તરફ રશિયાએ યુક્રેન સરહદે લાખો સૈનિકો ગોઠવી દીધા હતા. રશિયા અમેરિકાને છેલ્લાં બે-ત્રણ મહિનામાં બે-ત્રણ વખત યુક્રેન કટોકટી નિવારવા રજૂઆત કરી ચૂક્યું છે. રશિયાની માગણી એવી હતી કે નાટોનું સૈન્ય તેમની સરહદોની આસપાસ હશે એ બિલકુલ સ્વીકારી લેવાશે નહીં. રશિયાએ તેને પોતાના દેશ માટે ખતરો ગણાવ્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શબ્દો ચોર્યા વગર નવેમ્બરમાં કહ્યું હતુંઃ રશિયા અમેરિકા માટે ખતરો બનીને સૈન્ય તૈનાત કરી રહ્યું નથી, પરંતુ નાટોનું નેતૃત્વ લઈને અમેરિકન સૈન્ય રશિયાના બારણે ટકોરા મારી રહ્યું છે. આ સ્થિતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. રશિયન નાગરિકો ઉપર હુમલાનું જોખમ કાયમ મંડરાતું રહે તે અયોગ્ય છે. સરકાર રશિયન નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેના માટે જે કંઈ પગલાં ભરવા પડશે તે ભરશે.
નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ૩૦ સભ્યદેશો છે. સંગઠનમાં ૨૭ દેશો યુરોપના છે. યુક્રેન નાટોનું સમર્થક છે અને ટૂંક સમયમાં નાટો સાથે જોડાશે. અત્યારે રશિયાની છ ટકા સરહદ નાટોના સમર્થક કે સભ્ય દેશો સાથે જોડાય છે. રશિયાને મૂળ ખતરો આ છે. નાટો સંગઠનમાં જોડાયેલા પાડોશી દેશોને સાધીને અમેરિકા એક પછી એક સરહદે નાટોના નેજા હેઠળ પોતાનું સૈન્ય અને હથિયારો સુરક્ષાના નામે ગોઠવે તો ભવિષ્યમાં સતત હુમલાનું જોખમ મંડરાતું રહે. આ સ્થિતિ ન સર્જાય તે માટે રશિયા નાટોની હાજરીનો વિરોધ કરે છે.
યુક્રેનના બહાને અમેરિકા રશિયા ઉપર ભીંસ વધારતું રહે છે, જેનો રશિયન પ્રમુખે સખ્ત વિરોધ કર્યો અને તેના કારણે મહાયુદ્ધની દહેશત સર્જાઈ હતી. છેલ્લાં બે વિશ્વયુદ્ધ આ જ પેટર્નથી સર્જાયા હતા. કોઈ બે કે ત્રણ દેશો વચ્ચે ઘર્ષણ થાય અને પછી એમાં અન્ય દેશો જોડાતા જાય. ધીમે ધીમે દુનિયાભરના મહત્વના દેશો યુદ્ધમાં જોતરાઈ એટલે વિશ્વયુદ્ધ ફાટી નીકળે. બીજા બધા દેશોના ઘર્ષણ કરતા રશિયા-યુક્રેનની કટોકટીમાં આ પેટર્ન વધારે જોવા મળી રહી છે. નાટોના સંગઠનનું નેતૃત્વ અમેરિકા કરે છે એટલે નાટોના દેશો એમાં જોતરાઈ જાય. સ્થિતિ વણસે તો યુદ્ધ માટે ભરાઈ રહેલું ચીન રશિયાની પડખે ઉભું રહે. એને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની હાજરી ખટકી રહી છે. એટલે એ અમેરિકા સામે ઘર્ષણમાં ઉતરે. બાલ્ટિક દેશો - લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયાને પણ પોતાના બચાવમાં યુદ્ધમાં જોડરાવું પડે. ચીન અને રશિયાના સમર્થક દેશો પણ એક પછી એક યુદ્ધમાં ઉતરે. યુદ્ધમાં ન ઉતરે એવી સ્થિતિમાં વિવિધ કરારોના કારણે તેમના લશ્કરી મથકોનો ઉપયોગ થાય. સરવાળે દુનિયાભરમાં તેની અસર થાય. દુનિયા યુદ્ધમાં ધકેલાય તો કોરોના મહામારી વચ્ચે નવેસરથી જગતના લોકોએ સંઘર્ષ કરવો પડે. વિશ્વમાં અરાજકતા સર્જાઈ જાય અને તેનાથી અબજો રૃપિયાની ખૂંવારી થાય એ અલગ.
આ સ્થિતિને કોઈ પણ રીતે ઠંડી પાડવા ફ્રાન્સ-જર્મનીએ પ્રયાસો આદર્યા હતા. એ પ્રયાસોને હાલ પૂરતી સફળતા મળી છે. પેરિસમાં થયેલી બેઠકમાં યુક્રેન અને રશિયા યુદ્ધવિરામ માટે સહમત થયા છે. ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે આઠ કલાક સુધી વિવિધ મુદ્દે ચર્ચા ચાલી હતી. કાયમી ઉકેલ માટે બંને દેશો એક મહિના પછી મળવા માટે સહમત પણ થયા છે. હાલ પૂરતો બંને દેશો વચ્ચે બિનશરતી શસ્ત્રવિરામ જાહેર થયો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ તેને બહુ જ મહત્વનું પગલું ગણાવીને બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજા તબક્કાની બેઠક હવે જર્મનીના બર્લિનમાં થશે. ૨૦૧૯ પછી પ્રથમ વખત રશિયા-યુક્રેને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. હજુય બંને દેશો સરહદે શસ્ત્રવિરામનું પાલન કરશે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

યુક્રેન-રશિયાની લશ્કરી શક્તિ

રશિયા

30 લાખ સૈનિકો       
1500 લડાકુ વિમાનો

12,500 ટેન્ક

30,100 બુલેટપ્રૂફ વાહનો

540 હેલિકોપ્ટર્સ

યુક્રેન

11 લાખ સૈનિકો

100 લડાકુ વિમાનો

2600 ટેન્ક

12,300 બુલેટપ્રૂફ વાહનો

35 લશ્કરી હેલિકોપ્ટર્સ


ક્રીમિયા : રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ

સંયુક્ત રશિયાનું વિભાજન થયું ત્યારે ક્રીમિયા ટાપુનો કબજો યુક્રેનને મળ્યો હતો. આ ટાપુ રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ છે. ક્રીમિયા પર રશિયા અને યુક્રેન બંને દાવો કરતા હતા. એ મુદ્દે વર્ષો સુધી વાટાઘાટો ચાલી હતી. ૨૦૦૩માં બંને દેશો વચ્ચે સંધિ થઈ હતી. ત્યારથી વિવાદ થાળે પડયો હોય એવું લાગતું હતું, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ૨૦૧૦ પછી ફરીથી એ મુદ્દે આક્રમક વલણ બતાવ્યું હતું. ૨૦૧૪માં યુક્રેનના યુદ્ધજહાજો ઉપર હુમલો કરીને રશિયાએ ક્રીમિયાનો કબજો લીધો હતો. એટલું જ નહીં, ક્રીમિયાની સ્ટેટ કાઉન્સિલે રશિયાના ઈશારે મતદાન કરીને રશિયામાં જોડાણને સત્તાવાર સમર્થન પણ આપ્યું હતું. રશિયાએ સ્ટેટ કાઉન્સિલની રચના કરીને રિપબ્લિક ઓફ ક્રીમિયાના વડા તરીકે રશિયન રાજકારણી સર્ગેઈ અક્યોનોવની નિમણૂક કરી હતી. યુક્રેને તેનો વૈશ્વિક સ્તરે વિરોધ કર્યો હતો. ૧૯૯૧થી ૨૦૧૪ સુધી યુક્રેન સંલગ્ન રહેલા આ ટાપુનો કબજો કરારનો ભંગ કરીને રશિયા એક હુમલાથી પડાવી લે તેને અમેરિકા સહિતના ઘણાં દેશોએ ગેરવાજબી ગણાવ્યો હતો. અમેરિકા સહિતના ઘણાં નાટોના દેશો એ મુદ્દે યુક્રેનને સમર્થન આપે છે, પરંતુ રશિયા તેને આંતરિક મુદ્દો ગણાવે છે. રશિયાની દલીલ એવી છે કે ક્રીમિયામાં સત્તાવાર રીતે કાયદો પસાર થયો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રશિયા સાથેનું જોડાણ મંજૂર રાખ્યું છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી બંને દેશો વચ્ચે સરહદે તંગદિલી સર્જાતી રહે છે. બંને દેશોના સૈનિકો સતત એકબીજાની સરહદમાં ઘૂસણખોરી કરતા રહે છે. એકાદ વર્ષ પહેલાં યુક્રેને ક્રીમિયાના કાંઠેથી રશિયાની એક નાવ કબજે કરી લીધી હતી. એ પછી બંને દેશો વચ્ચે નવેસરથી વિવાદ શરૃ થયો હતો. આ ઘટના પછી રશિયાએ યુક્રેનના બંદરેથી નીકળતા જહાજોની નિગરાની શરૃ કરી હતી. તેનો યુક્રેને વિરોધ કર્યો હતો. રશિયા વારંવાર યુક્રેન પર ગેરકાયદે જળસીમા ઓળંગવાનો આરોપ લગાવે છે. યુક્રેન તેને પોતાનો અધિકાર ગણાવે છે. ટૂંકમાં, એક ટાપુના કબજાના વિવાદે વિશ્વને મહાયુદ્ધના આરે ઊભું રાખી દીધું છે.

Thursday 27 January 2022
Posted by Harsh Meswania

ભાજપમાં પ્રવેશેલી મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા કોણ છે?



હર્ષ મેસવાણિયા


મુલાયમસિંહની બીજી પત્ની સાધનાના દીકરા પ્રતીકને અખિલેશ સ્વીકારવા તૈયાર નથી

########################

ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા જીમનો માલિક પ્રતીક લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ અપર્ણા ખૂબ જ મહાત્વાકાંક્ષી છે

########################

અપર્ણાએ ૨૦૧૧માં પ્રતીક સાથે લવમેરેજ કર્યા હતા

#########################

અખિલેશે પ્રતીકની મા સાધના સામે ૧૫ વર્ષ પહેલાં જે શરત રાખી હતી એ શરત જ હવે બળવાનું કારણ બની

###########################


મુલાયમસિંહ યાદવ. આ માણસનો એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સિક્કો ચાલતો હતો. કેન્દ્રમાં ઈન્દિરા-રાજીવ ગાંધીના યુગ પછી જે દૌર આવ્યો એમાં મુલાયમસિંહ યાદવનો પ્રભાવ અનોખો હતો. મુલાયમ વિરોધ કરે તો વડાપ્રધાન બનવાના સપના જોતાં ઉમેદવારો હાંસિયામાં ધકેલાઈ જતા અને મુલાયમનું સમર્થન હોય તો કેન્દ્રમાં સરકાર સ્ટેબલ રહેશે એવા મીડિયા અહેવાલો રજૂ થતાં. ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું રાજ્ય હોય, એમાં કોઈ નેતાનો આગવો પ્રભાવ હોય અને એની અસર કેન્દ્રમાં ન પડે એવું તો બને જ નહીં. કેન્દ્રમાં મુલાયમસિંહ યાદવની ૧૯૯૦થી ૨૦૧૦ સુધી મહત્વની અને ચાવીરૃપ ભૂમિકા હતી. રાજ્યમાં તો એને અવગણવાની ભૂલ એકેય વિરોધી પક્ષ કરી શકે તેમ ન હતો.
હજુ એક દશકા પહેલાં આવો પ્રભાવ ધરાવતા આ નેતાનો પરિવાર છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વેરવિખેર થઈ ગયો. સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંહ યાદવનો પડયો બોલ ઝીલાતો, પરંતુ અખિલેશ યાદવનો ઉદય થયો પછી મુલાયમ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા ગયા. મુલાયમના વિશ્વાસુ નેતાઓ પણ એક પછી એક સમાજવાદી પાર્ટીથી દૂર થવા લાગ્યા. મુલાયમને જેમના પર આંધળો ભરોસો જ નહીં, પણ ગુરૃર હતું એ શિવપાલ યાદવે બળવો કર્યો. શિવપાલને માંડ મનાવ્યા ત્યાં છોટી વહુ અપર્ણાએ બળવો કર્યો. અપર્ણાએ તો સમાજવાદી પાર્ટીના કટ્ટર હરિફ ભાજપના પક્ષે જ જઈને બેસવાનું પસંદ કર્યું. મુલાયમસિંહ યાદવનો પરિવાર વેરવિખેર થયાનો એ સૌથી સબળ પુરાવો મળ્યો. એના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે. નાની વહુને અન્યાય થયો છે એ મુદ્દો હવે આખી ચૂંટણી દરમિયાન અખિલેશ સામે ગાજતો રહેશે અને મતદારોની સહાનુભૂતિ અપર્ણાને મળે તે માટે કોઈ જ કસર છોડવામાં નહીં આવે.
પણ વાત અહીં સુધી કેમ પહોંચી? શું નેતાજી મુલાયમસિંહ યાદવે પરિવારમાં સુલેહ કરાવવાના પ્રયાસો નહીં કર્યા હોય? અપર્ણાને મનાવી લેવાની તૈયારી અખિલેશ યાદવે નહીં બતાવી હોય? અખિલેશ યાદવે નાના ભાઈ પ્રતીકને સમજાવીને પરિવારનો ઝઘડો ઠારવાની કોશિશ નહીં કરી હોય? સવાલો ઘણાં છે. બીજી તરફ તર્કો, ચર્ચાઓ અને વાતો ય ઘણી છે...
મુલાયમસિંહ યાદવે માલતી દેવી સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ યાદવ મુલાયમસિંહ-માલતી દેવીના સંતાન છે. અખિલેશનો જન્મ થયો એ વખતે માલતીદેવીને પ્રેગનેન્સીને લગતા કોમ્પ્લિકેશન્સ થયા અને તેઓ હંમેશા માટે અશક્ત, અસહાય થઈ ગયાં. બ્રેઈનડેડની સ્થિતિમાં જ માલતીદેવીનું ૨૦૦૩માં નિધન થયું. મુલાયમસિંહને ૧૯૮૦ના દશકા પછી સાધના ગુપ્તા સાથે સંબંધો શરૃ થયા હતા. સાધના ગુપ્તાએ મુલાયમસિંહ યાદવ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. પહેલી વખતના લગ્નના કારણે તેને એક દીકરો છે, જેનું નામ છે પ્રતીક. મુલાયમસિંહે સાધના સાથે લગ્ન કર્યા ત્યારે સાધનાએ પ્રતીકની જવાબદારી લેવાની શરત રાખી હતી, જે મુલાયમે માન્ય કરી હતી.
સાધના અને પ્રતીકનો મુલાયમના પરિવારમાં ભારે વિરોધ હતો. સાધનાના દીકરા પ્રતીકને યાદવ પરિવાર બાહરી માનતો હતો. ખાસ તો કાકા શિવપાલ અને અખિલેશ આ વિરોધમાં સૌથી અગ્રેસર હતા. એ સ્વાભાવિક પણ હતું. બંને પોતાને નેતાજીના રાજકીય વારસ માનતા હતા. રાતોરાત મુલાયમના નાના દીકરા તરીકે આવેલો પ્રતીક એમાં હિસ્સેદાર બને એ બેમાંથી એકેયને મંજૂર ન હતું. ૨૦૦૭માં અંતે પરિવારમાં સુલેહ થઈ. મુલાયમના પ્રયાસો પછી અખિલેશ સહિતના પરિવારે સાધનાના દીકરા પ્રતીકને પણ પરિવારમાં હિસ્સેદારી આપી. પરંતુ એ વખતે અખિલેશે સાધના સામે શરત રાખી હતી કે મુલાયમનો રાજકીય વારસો પ્રતીકને મળશે નહીં. પ્રતીકને લઈને એ સમયે ઉત્તર પ્રદેશમાં તરેહ તરેહની ચર્ચા થતી હતી. પ્રતીકે લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કર્યું. પ્રતીક ઉત્તર પ્રદેશના સૌથી મોટા અને હાઈપ્રોફાઈલ જીમનો માલિક છે. ખુદ બોડી બિલ્ડર તરીકે યુપીના યુવાનોમાં પોપ્યુલર છે, પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહે છે.
 


પ્રતીક અને અપર્ણાની લવસ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. અપર્ણા પ્રતીકની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ છે. અપર્ણાના પિતા અરવિંદસિંહ બિષ્ટ અને માતા અંબી બિષ્ટ સરકારી કર્મચારી છે. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી અપર્ણા અને પ્રતીક સ્કૂલમાં હતા ત્યારે જ એકબીજાને ઓળખતા હતા અને કોલેજમાં આવ્યા ત્યારે પ્રેમમાં પડયા. અપર્ણાએ બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેનો સિલેબસ તેને ભવિષ્યમાં રાજકારણમાં ન ખેંચી લાવે તો જ નવાઈ હતી. તેણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજનીતિ એવા વિષયમાં ડિગ્રી મેળવી છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી અપર્ણાએ ૨૦૧૦માં પ્રતીક સાથે સગાઈ કરી લીધી અને ૨૦૧૧માં બંનેના લગ્ન થયાં. શરૃઆતમાં અપર્ણાને લઈને પણ યાદવ પરિવારમાં થોડા મતભેદો હતા, પરંતુ પ્રતીકની મક્કમતા સામે આખરે મુલાયમ માન્યા અને અપર્ણા યાદવ પરિવારમાં વહુ બનીને આવી ગઈ.
 


એ સાથે જ મુલાયમના પરિવારમાં મતભેદોનો પાયો નખાઈ ગયો. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સમાજવાદી પાર્ટીમાં પહેલેથી જ સક્રિય હોવાથી અપર્ણા પણ રાજકારણમાં સક્રિય થવા ઈચ્છતી હતી. અખિલેશ યાદવ એવું બિલકુલ ઈચ્છતા ન હતા. સાધના સાથેની શરતને યાદ દેવડાવીને અખિલેશ નેતાજી ઉપર દબાણ લાવતા હતા. નેતાજીની સમજાવટથી દરેક વખતે મામલો થાળે પડી જતો હતો, પરંતુ ધીમે ધીમે આંતરિક વિખવાદ વધતો ચાલ્યો. શિવપાલ-અખિલેશના મતભેદ પ્રકરણ પછી અપર્ણાની સક્રિયતા વધી હતી. અપર્ણાને રોકવાના અનેક પ્રયાસો થયા હશે એ વાતનો અંદાજ અખિલેશના આ નિવેદનમાંથી મળે તેમ છેઃ 'નેતાજીએ અપર્ણાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં સફળતા ન મળી. અપર્ણાને તેમની ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે શુભેચ્છાઓ'. અખિલેશનો આ કટાક્ષ અને નિરાશા સમજી શકાય તેમ છે. સમાજવાદી પાર્ટીમાં મહિલા સંગઠનનો ચહેરો અખિલેશની પત્ની ડિમ્પલ છે. અપર્ણા સક્રિય થાય તો ડિમ્પલ-અપર્ણા વચ્ચે સ્પર્ધા શરૃ થાય તો એ અખિલેશ-ડિમ્પલ માટે મુશ્કેલી સર્જાઈ શકે. આવું ન થાય તે માટે અખિલેશે પ્રતીક-અપર્ણાને સમાજવાદી પાર્ટીથી દૂર રાખવાનું યોગ્ય માન્યું. પ્રતીકે શરતને માન્ય રાખીને લોપ્રોફાઈલ રહેવાનું સ્વીકાર્યું, પરંતુ અપર્ણા તેનાથી તદ્ન વિપરીત મિજાજ ધરાવે છે. વિદેશમાં ભણેલી અપર્ણા બોલ્ડ અને બિંદદાસ્ત છે. મહાત્વાકાંક્ષી પણ છે. ઉત્તર પ્રદેશના રાજકારણને જાણતા લોકોમાં એવી પણ ચર્ચા છે કે ડિમ્પલ કરતાં અપર્ણા વધારે સ્માર્ટ છે. સાસુ સાધના ગુપ્તાની સલાહથી અપર્ણા ક્યારની ય રાજકારણમાં પ્રવેશવા માગતી હતી. સાધનાએ એક ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપીને યાદવ પરિવારમાં ચર્ચા જગાવી હતી કે એ દિલથી ઈચ્છે છે કે પ્રતીક મોટાભાઈ અખિલેશની જેમ રાજકારણમાં આવે અને સફળ થાય. સાધનાએ તો એવો ય દાવો કર્યો હતો તે ખુદ એક સમયે રાજકારણમાં આવવા ઈચ્છતી હતી, પરંતુ મુલાયમની મંજૂરી ન હોવાથી એ સક્રિય થતી નથી. પ્રતીક અને અપર્ણા નેતાજી મુલાયમ સાથે પ્રચારમાં ઘણી વખત જોવા મળતા હતા, પણ 'હું રાજકારણમાં સક્રિય થઈશ નહીં'. એવું નિવેદન આપીને અત્યાર સુધી પ્રતીક દરેક અટકળોનો અંત લાવતો હતો.
 


પરંતુ તમામ અટકળોને ખોટી ઠેરવીને આખરે પ્રતીકની પત્ની અપર્ણાએ ભાજપનો હાથ પકડીને અખિલેશને ઝટકો આપ્યો છે. અપર્ણા ભાજપમાં જોડાઈ એ સાથે જ મુલાયમના પરિવારની એકતા માત્ર દેખાડાની હતી એવો પ્રચાર ભાજપે શરૃ કરી દીધો છે. અપર્ણાના નામે સહાનુભૂતિ મેળવવાની કોશિશ પણ ભાજપ જતી કરશે નહીં. પ્રતીક-અપર્ણા મુદ્દે અખિલેશ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરાયેલા રહેશે એમાં પણ બે મત નથી. અપર્ણા ભાજપમાં જોડાઈ તેને નગણ્ય ઘટના માનીને અખિલેશ યાદવ તેની ચર્ચા ટાળે છે. અખિલેશની ધારણા પ્રમાણે જ અપર્ણાનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે? કે પછી નાની વહુ સમાજવાદી પાર્ટીને નુકસાન પહોંચાડશે? આ સવાલોના જવાબો તો પરિણામના દિવસે જ મળશે.

Wednesday 19 January 2022
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -