Posted by : Harsh Meswania Wednesday 19 January 2022



હર્ષ મેસવાણિયા


મુલાયમસિંહની બીજી પત્ની સાધનાના દીકરા પ્રતીકને અખિલેશ સ્વીકારવા તૈયાર નથી

########################

ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા જીમનો માલિક પ્રતીક લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ અપર્ણા ખૂબ જ મહાત્વાકાંક્ષી છે

########################

અપર્ણાએ ૨૦૧૧માં પ્રતીક સાથે લવમેરેજ કર્યા હતા

#########################

અખિલેશે પ્રતીકની મા સાધના સામે ૧૫ વર્ષ પહેલાં જે શરત રાખી હતી એ શરત જ હવે બળવાનું કારણ બની

###########################


મુલાયમસિંહ યાદવ. આ માણસનો એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સિક્કો ચાલતો હતો. કેન્દ્રમાં ઈન્દિરા-રાજીવ ગાંધીના યુગ પછી જે દૌર આવ્યો એમાં મુલાયમસિંહ યાદવનો પ્રભાવ અનોખો હતો. મુલાયમ વિરોધ કરે તો વડાપ્રધાન બનવાના સપના જોતાં ઉમેદવારો હાંસિયામાં ધકેલાઈ જતા અને મુલાયમનું સમર્થન હોય તો કેન્દ્રમાં સરકાર સ્ટેબલ રહેશે એવા મીડિયા અહેવાલો રજૂ થતાં. ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું રાજ્ય હોય, એમાં કોઈ નેતાનો આગવો પ્રભાવ હોય અને એની અસર કેન્દ્રમાં ન પડે એવું તો બને જ નહીં. કેન્દ્રમાં મુલાયમસિંહ યાદવની ૧૯૯૦થી ૨૦૧૦ સુધી મહત્વની અને ચાવીરૃપ ભૂમિકા હતી. રાજ્યમાં તો એને અવગણવાની ભૂલ એકેય વિરોધી પક્ષ કરી શકે તેમ ન હતો.
હજુ એક દશકા પહેલાં આવો પ્રભાવ ધરાવતા આ નેતાનો પરિવાર છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વેરવિખેર થઈ ગયો. સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંહ યાદવનો પડયો બોલ ઝીલાતો, પરંતુ અખિલેશ યાદવનો ઉદય થયો પછી મુલાયમ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા ગયા. મુલાયમના વિશ્વાસુ નેતાઓ પણ એક પછી એક સમાજવાદી પાર્ટીથી દૂર થવા લાગ્યા. મુલાયમને જેમના પર આંધળો ભરોસો જ નહીં, પણ ગુરૃર હતું એ શિવપાલ યાદવે બળવો કર્યો. શિવપાલને માંડ મનાવ્યા ત્યાં છોટી વહુ અપર્ણાએ બળવો કર્યો. અપર્ણાએ તો સમાજવાદી પાર્ટીના કટ્ટર હરિફ ભાજપના પક્ષે જ જઈને બેસવાનું પસંદ કર્યું. મુલાયમસિંહ યાદવનો પરિવાર વેરવિખેર થયાનો એ સૌથી સબળ પુરાવો મળ્યો. એના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે. નાની વહુને અન્યાય થયો છે એ મુદ્દો હવે આખી ચૂંટણી દરમિયાન અખિલેશ સામે ગાજતો રહેશે અને મતદારોની સહાનુભૂતિ અપર્ણાને મળે તે માટે કોઈ જ કસર છોડવામાં નહીં આવે.
પણ વાત અહીં સુધી કેમ પહોંચી? શું નેતાજી મુલાયમસિંહ યાદવે પરિવારમાં સુલેહ કરાવવાના પ્રયાસો નહીં કર્યા હોય? અપર્ણાને મનાવી લેવાની તૈયારી અખિલેશ યાદવે નહીં બતાવી હોય? અખિલેશ યાદવે નાના ભાઈ પ્રતીકને સમજાવીને પરિવારનો ઝઘડો ઠારવાની કોશિશ નહીં કરી હોય? સવાલો ઘણાં છે. બીજી તરફ તર્કો, ચર્ચાઓ અને વાતો ય ઘણી છે...
મુલાયમસિંહ યાદવે માલતી દેવી સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ યાદવ મુલાયમસિંહ-માલતી દેવીના સંતાન છે. અખિલેશનો જન્મ થયો એ વખતે માલતીદેવીને પ્રેગનેન્સીને લગતા કોમ્પ્લિકેશન્સ થયા અને તેઓ હંમેશા માટે અશક્ત, અસહાય થઈ ગયાં. બ્રેઈનડેડની સ્થિતિમાં જ માલતીદેવીનું ૨૦૦૩માં નિધન થયું. મુલાયમસિંહને ૧૯૮૦ના દશકા પછી સાધના ગુપ્તા સાથે સંબંધો શરૃ થયા હતા. સાધના ગુપ્તાએ મુલાયમસિંહ યાદવ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. પહેલી વખતના લગ્નના કારણે તેને એક દીકરો છે, જેનું નામ છે પ્રતીક. મુલાયમસિંહે સાધના સાથે લગ્ન કર્યા ત્યારે સાધનાએ પ્રતીકની જવાબદારી લેવાની શરત રાખી હતી, જે મુલાયમે માન્ય કરી હતી.
સાધના અને પ્રતીકનો મુલાયમના પરિવારમાં ભારે વિરોધ હતો. સાધનાના દીકરા પ્રતીકને યાદવ પરિવાર બાહરી માનતો હતો. ખાસ તો કાકા શિવપાલ અને અખિલેશ આ વિરોધમાં સૌથી અગ્રેસર હતા. એ સ્વાભાવિક પણ હતું. બંને પોતાને નેતાજીના રાજકીય વારસ માનતા હતા. રાતોરાત મુલાયમના નાના દીકરા તરીકે આવેલો પ્રતીક એમાં હિસ્સેદાર બને એ બેમાંથી એકેયને મંજૂર ન હતું. ૨૦૦૭માં અંતે પરિવારમાં સુલેહ થઈ. મુલાયમના પ્રયાસો પછી અખિલેશ સહિતના પરિવારે સાધનાના દીકરા પ્રતીકને પણ પરિવારમાં હિસ્સેદારી આપી. પરંતુ એ વખતે અખિલેશે સાધના સામે શરત રાખી હતી કે મુલાયમનો રાજકીય વારસો પ્રતીકને મળશે નહીં. પ્રતીકને લઈને એ સમયે ઉત્તર પ્રદેશમાં તરેહ તરેહની ચર્ચા થતી હતી. પ્રતીકે લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કર્યું. પ્રતીક ઉત્તર પ્રદેશના સૌથી મોટા અને હાઈપ્રોફાઈલ જીમનો માલિક છે. ખુદ બોડી બિલ્ડર તરીકે યુપીના યુવાનોમાં પોપ્યુલર છે, પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહે છે.
 


પ્રતીક અને અપર્ણાની લવસ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. અપર્ણા પ્રતીકની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ છે. અપર્ણાના પિતા અરવિંદસિંહ બિષ્ટ અને માતા અંબી બિષ્ટ સરકારી કર્મચારી છે. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી અપર્ણા અને પ્રતીક સ્કૂલમાં હતા ત્યારે જ એકબીજાને ઓળખતા હતા અને કોલેજમાં આવ્યા ત્યારે પ્રેમમાં પડયા. અપર્ણાએ બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેનો સિલેબસ તેને ભવિષ્યમાં રાજકારણમાં ન ખેંચી લાવે તો જ નવાઈ હતી. તેણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજનીતિ એવા વિષયમાં ડિગ્રી મેળવી છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી અપર્ણાએ ૨૦૧૦માં પ્રતીક સાથે સગાઈ કરી લીધી અને ૨૦૧૧માં બંનેના લગ્ન થયાં. શરૃઆતમાં અપર્ણાને લઈને પણ યાદવ પરિવારમાં થોડા મતભેદો હતા, પરંતુ પ્રતીકની મક્કમતા સામે આખરે મુલાયમ માન્યા અને અપર્ણા યાદવ પરિવારમાં વહુ બનીને આવી ગઈ.
 


એ સાથે જ મુલાયમના પરિવારમાં મતભેદોનો પાયો નખાઈ ગયો. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સમાજવાદી પાર્ટીમાં પહેલેથી જ સક્રિય હોવાથી અપર્ણા પણ રાજકારણમાં સક્રિય થવા ઈચ્છતી હતી. અખિલેશ યાદવ એવું બિલકુલ ઈચ્છતા ન હતા. સાધના સાથેની શરતને યાદ દેવડાવીને અખિલેશ નેતાજી ઉપર દબાણ લાવતા હતા. નેતાજીની સમજાવટથી દરેક વખતે મામલો થાળે પડી જતો હતો, પરંતુ ધીમે ધીમે આંતરિક વિખવાદ વધતો ચાલ્યો. શિવપાલ-અખિલેશના મતભેદ પ્રકરણ પછી અપર્ણાની સક્રિયતા વધી હતી. અપર્ણાને રોકવાના અનેક પ્રયાસો થયા હશે એ વાતનો અંદાજ અખિલેશના આ નિવેદનમાંથી મળે તેમ છેઃ 'નેતાજીએ અપર્ણાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં સફળતા ન મળી. અપર્ણાને તેમની ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે શુભેચ્છાઓ'. અખિલેશનો આ કટાક્ષ અને નિરાશા સમજી શકાય તેમ છે. સમાજવાદી પાર્ટીમાં મહિલા સંગઠનનો ચહેરો અખિલેશની પત્ની ડિમ્પલ છે. અપર્ણા સક્રિય થાય તો ડિમ્પલ-અપર્ણા વચ્ચે સ્પર્ધા શરૃ થાય તો એ અખિલેશ-ડિમ્પલ માટે મુશ્કેલી સર્જાઈ શકે. આવું ન થાય તે માટે અખિલેશે પ્રતીક-અપર્ણાને સમાજવાદી પાર્ટીથી દૂર રાખવાનું યોગ્ય માન્યું. પ્રતીકે શરતને માન્ય રાખીને લોપ્રોફાઈલ રહેવાનું સ્વીકાર્યું, પરંતુ અપર્ણા તેનાથી તદ્ન વિપરીત મિજાજ ધરાવે છે. વિદેશમાં ભણેલી અપર્ણા બોલ્ડ અને બિંદદાસ્ત છે. મહાત્વાકાંક્ષી પણ છે. ઉત્તર પ્રદેશના રાજકારણને જાણતા લોકોમાં એવી પણ ચર્ચા છે કે ડિમ્પલ કરતાં અપર્ણા વધારે સ્માર્ટ છે. સાસુ સાધના ગુપ્તાની સલાહથી અપર્ણા ક્યારની ય રાજકારણમાં પ્રવેશવા માગતી હતી. સાધનાએ એક ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપીને યાદવ પરિવારમાં ચર્ચા જગાવી હતી કે એ દિલથી ઈચ્છે છે કે પ્રતીક મોટાભાઈ અખિલેશની જેમ રાજકારણમાં આવે અને સફળ થાય. સાધનાએ તો એવો ય દાવો કર્યો હતો તે ખુદ એક સમયે રાજકારણમાં આવવા ઈચ્છતી હતી, પરંતુ મુલાયમની મંજૂરી ન હોવાથી એ સક્રિય થતી નથી. પ્રતીક અને અપર્ણા નેતાજી મુલાયમ સાથે પ્રચારમાં ઘણી વખત જોવા મળતા હતા, પણ 'હું રાજકારણમાં સક્રિય થઈશ નહીં'. એવું નિવેદન આપીને અત્યાર સુધી પ્રતીક દરેક અટકળોનો અંત લાવતો હતો.
 


પરંતુ તમામ અટકળોને ખોટી ઠેરવીને આખરે પ્રતીકની પત્ની અપર્ણાએ ભાજપનો હાથ પકડીને અખિલેશને ઝટકો આપ્યો છે. અપર્ણા ભાજપમાં જોડાઈ એ સાથે જ મુલાયમના પરિવારની એકતા માત્ર દેખાડાની હતી એવો પ્રચાર ભાજપે શરૃ કરી દીધો છે. અપર્ણાના નામે સહાનુભૂતિ મેળવવાની કોશિશ પણ ભાજપ જતી કરશે નહીં. પ્રતીક-અપર્ણા મુદ્દે અખિલેશ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરાયેલા રહેશે એમાં પણ બે મત નથી. અપર્ણા ભાજપમાં જોડાઈ તેને નગણ્ય ઘટના માનીને અખિલેશ યાદવ તેની ચર્ચા ટાળે છે. અખિલેશની ધારણા પ્રમાણે જ અપર્ણાનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે? કે પછી નાની વહુ સમાજવાદી પાર્ટીને નુકસાન પહોંચાડશે? આ સવાલોના જવાબો તો પરિણામના દિવસે જ મળશે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -