રીપાવર ઈયુ : ઉર્જામાં આત્મનિર્ભર બનવાની યુરોપના દેશોની મથામણ

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 


યુરોપના દેશોને રશિયન ગેસ વગર ચાલે તેમ નથી. યુરોપમાં રશિયાના ગેસની મોનોપોલી છે. આખું યુરોપ ઉર્જા બાબતે રશિયા પર નિર્ભર છે. એ નિર્ભરતા ઘટાડવા અને લાંબાંગાળે ઉર્જામાં આત્મનિર્ભર થવા માટે યુરોપિયન દેશોએ રિન્યૂએબલ એનર્જીનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોંચ કર્યો છે, જેને રીપાવર ઈયુ એવું નામ અપાયું છે


દરેક યુદ્ધ માનવજાતને ઊંડા જખ્મો આપે છે; એમ દરેક યુદ્ધ કોઈને કોઈ નવીનીકરણ માટે નિમિત્ત પણ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ શસ્ત્રોના નવીનીકરણ માટે કારણભૂત બન્યું. દુનિયાભરમાં ડિફેન્સ ક્ષેત્રનો અણધાર્યો વિકાસ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આર્મી ઉપરાંત નેવી અને એરફોર્સ જેવી નવી સૈન્યપાંખો ઉમેરાઈ. મહિલાઓ માટે ઘરની ચાર દીવાલોમાંથી બહાર જઈને કામ કરવાની તક સર્જાઈ. જે પુરુષો ઘાયલ થયા હતા, તેના સ્થાને કારખાનાઓમાં મહિલાઓને નોકરી મળતી થઈ. પૃથ્વીના નકશામાં થોડીક નવી રેખાઓ અંકાઈ.

બીજા વિશ્વયુદ્ધ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો. અમેરિકા-રશિયા એમ બે નવાં પાવરસેન્ટર અસ્તિત્વમાં આવ્યાં. અંતરિક્ષસ્પર્ધાના પરિણામે માણસ અવકાશમાં અને પછી ચંદ્રની ધરતી સુધી પહોંચ્યો. દુનિયાભરમાં વર્કકલ્ચર બદલાયું, શૈક્ષણિક માળખું બદલાયું. અંધારુ ગાયબ થયું; મીણબત્તી-દીવાઓનું સ્થાન રંગબેરંગી બલ્બોએ લીધું! દુનિયા રેડિયો-ટીવી-કમ્પ્યુટર્સના યુગમાં પ્રવેશી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી મહિલાઓને કારખાનાઓમાં કામ મળતું થયું હતું, તો બીજા વિશ્વયુદ્ધ પછી મહિલાઓને યુનિવર્સિટીઝમાં ઉચ્ચ શિક્ષણ મળતું થયું હતું.

દરેક યુદ્ધમાં કોઈ વિજેતા થાય છે, કોઈ પરાજિત થાય છે, પરંતુ નવો બોધપાઠ તો આખી માનવજાતને મળી જાય છે. એવો જ બોધપાઠ રશિયા-યુક્રેનના યુદ્ધમાંથી યુરોપિયન દેશોને મળ્યો છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી ૨૦મી સદીમાં આમૂલ પરિવર્તનો થયા હતા એમ ૨૧મી સદીમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ યુદ્ધે દુનિયાને રિન્યૂએબલ એનર્જીની અનિવાર્યતા અંગે વિચારતી કરી દીધી છે. યુરોપિયન સંઘે તો આ વિચારને 'રીપાવર ઈયુ (યુરોપિયન યુનિયન)'ના નામથી અમલમાં પણ મૂકી દીધો છે.

યુરોપના દેશો રશિયન ઉર્જા પર નિર્ભર છે. ૨૦૨૧માં યુરોપિયન સંઘના ૨૭ દેશોને રશિયાએ ૧૫૫ અબજ ક્યૂબિક મીટર ગેસનો પૂરવઠો આપ્યો હતો. રશિયા યુરોપિયન સંઘનું પાંચમું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર છે. યુરોપિયન સંઘે ૨૦૨૧માં ૧૧૭ અબજ ડોલરનો ગેસ રશિયા પાસેથી ખરીદ્યો હતો. માછલી, કાગળ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, દવાઓ, તમાકુ, સિગારેટ સહિતનું મળીને બંને પક્ષે અબજો ડોલરનો વેપાર છે. ૨૦૨૧માં બધુ મળીને યુરોપિયન સંઘે રશિયામાંથી ૧૭૦ અબજ ડોલરની આયાત કરી હતી. બીજી બધી ચીજવસ્તુઓ તો યુરોપને અન્ય દેશોમાંથી પણ મળી જાય, પણ ઉર્જાની આયાત અન્ય દેશોમાંથી કરવાનું યુરોપના દેશોને પરવડે તેમ નથી. અમેરિકા કે ખાડીના દેશોમાંથી યુરોપ સુધી ગેસ પહોંચાડવો મોંઘો પડે. તેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મોંઘુ પડે અને દરિયાઈ સુરક્ષાના પ્રશ્નોનો ખરા જ. દરિયામાં પોતાના વેપારી જહાજોની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરવી પડે અને તેનો ખર્ચ વધી જાય એ પણ અલગ. અત્યારે તો અમેરિકા જેવા સાથી દેશો સુરક્ષાની જવાબદારી સંભાળે છે, પરંતુ દરિયાઈ માર્ગે સતત યુરોપિયન સંઘના માલવાહક જહાજોની અવરજવર રહે તો કાયમી વ્યવસ્થા લાંબાંગાળે કરવી જરૂરી બની જાય. કદાચ એ જ કારણ હતું કે યુરોપિયન સંઘે અમેરિકા-રશિયાના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા હતા છતાં બંને પક્ષે સંબંધો સાચવી રાખ્યા હતા. રશિયન ગેસ પર નિર્ભરતા હોવાથી યુરોપના દેશો મોટાભાગે તટસ્થ વલણ દાખવતા અથવા તો સમાધાનકારી રસ્તો કાઢતા.

પણ આ વખતે રશિયા-યુક્રેનના યુદ્ધે બધાં સમીકરણો બદલી નાખ્યાં. યુરોપમાં રશિયાનો વિરોધ વધ્યો છે. રશિયામાંથી આયાત ઘટાડવાનું સરકારો પર ભારે દબાણ છે. યુરોપના ૮૫ ટકા લોકો માને છે કે યુરોપના દેશોએ રશિયા પર ગેસ-ઓઈલની નિર્ભરતા ઘટાડવી જોઈએ. યુરોપિયન નાગરિકોની એ વિચારધારામાંથી રિપાવર ઈયુનો જન્મ થયો છે. યુરોપના ૪૪ દેશોમાંથી યુરોપિયન સંઘમાં ૨૭ દેશો છે. એ ૨૭ દેશોએ હવે રશિયન ઉર્જાની નિર્ભરતામાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢ્યો છે. યુરોપિયન સંઘે 'રીપાવર ઈયુ'નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સૂલા વોન ડેર લેયેને પુનઃપ્રાપ્ય ઉર્જાના પ્રોજેક્ટનો લોંચ કરતા કહ્યું હતુંઃ 'આપણે ઉર્જા માટે બીજા દેશોના સહારે હતા, પરંતુ હવે એમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આપણે રશિયાના ઓઈલ-ગેસ-ઉર્જા વગર ચાલે તેમ નથી. ગયા વર્ષે આપણે રશિયાને એનર્જીના બદલામાં ૧૦૦ અબજ યુરો આપ્યા હતા. આપણે આ સ્થિતિ બદલવી પડશે. ૨૦૨૭ સુધીમાં એ નિર્ભરતા ઓછી કરવાનું આયોજન છે અને એ માટે યુરોપિયન સંઘ ૩૧૫ અબજ ડોલરનો 'રીપાવર ઈયુ' પ્રોજેક્ટ શરૂ કરશે.'

જરૂરિયાતમાંથી ૫૦ ટકા સુધીની એનર્જી આપબળે પ્રાપ્ત કરવાનું યુરોપિયન સંઘે નક્કી કર્યું છે. આ યોજના અંતર્ગત યુરોપિયન સંઘના દેશોમાં ૨૩ કરોડ ઘર ગ્રીન એનર્જીથી સજ્જ કરાશે. યુરોપના દેશોને હવે સમજાયું છે કે રશિયાનો ગેસ મોંઘો છે, બીજા દેશોમાંથી આયાત કરવાનું તો એનાથી ય મોંઘું પડશે. એટલે એનર્જીની બાબતે આત્મનિર્ભર થયા વગર છૂટકો નથી. આત્મનિર્ભરતા ગ્રીન એનર્જીથી જ આવી શકશે. ગ્રીન એનર્જી એટલે એવી ઉર્જા જે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી મેળવી શકાતી હોય.  સૂર્યપ્રકાશ. પાણી કે પવનચક્કી જેવા સ્ત્રોતમાંથી જેને મેળવી શકાય એવી ઉર્જાને ગ્રીન એનર્જી કહેવામાં આવે છે. રિન્યૂએબલ યાને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવામાં આવે તો એ પ્રમાણમાં સસ્તી છે. જેમ કે ઘરની ઉપર કે આસપાસ સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મેળવવા જે પેનલ ગોઠવવામાં આવે છે એ ટકાઉ અને સસ્તી ઉર્જા છે. તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. વળી, એના માટે બીજા કોઈ સોર્સ પર આધારિત રહેવું પડતું નથી. આ આત્મનિર્ભર ઉપાય યુરોપના દેશોએ અમલી બનાવ્યો છે.

યુરોપિયન સંઘે ઈયુ સેવ એનર્જી કમિશનની રચના કરી છે, જે લોકોને પાંચથી ૧૦ ટકા સુધી વીજળી બચાવવાની અપીલ કરે છે અને તેનાથી આગામી છ મહિનામાં રશિયામાંથી ગેસનો જે પૂરવઠો આયાત થાય છે તેમાં ૫થી ૭ ટકાનો ઘટાડો થાય એવી ગણતરી છે. ૨૦૨૭ સુધીમાં રશિયન ગેસનો પૂરવઠો ૫૦ ટકામાંથી ઘટાડીને ૨૫ ટકા સુધી લાવવાનું યુરોપિયન સંઘનું આયોજન છે અને એ માટે એક માત્ર ઉપાય છે રિન્યૂએબલ એનર્જી. દરેક ઘરમાં કુલ જરૂરિયાતની ૩૦થી ૪૦ ટકા વીજળી ઉત્પન્ન થવા લાગે તો જ ઓઈલ-ગેસની આયાત ઘટે તેમ છે. કોઈપણ ઘરમાં રાતોરાત સોલર પેનલ બેસાડીને ઉર્જા ઉત્પન્ન કરવાનું પણ કપરું છે. દરેકને એ પોષાય નહીં. જે વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ પૂરતો છે ત્યાંથી શરૂઆત કરવાનું ધારે છે.

એશિયન દેશોની જેમ યુરોપમાં સીધો સૂર્યનો પ્રકાશ પડતો નથી એટલે હાઈડ્રોજન સહિતના વિકલ્પો અંગે પણ વિચારાઈ રહ્યું છે. યુરોપિયન સંઘનો આ રીપાવર ઈયુનો પ્રોજેક્ટ દુનિયામાં ગ્રીન એનર્જી માટે નવી પ્રેરણા પૂરી પાડશે. ૨૧મી સદીમાં યુદ્ધ થાય અને પેટ્રોલિયમની અછત સર્જાય તો સ્થિતિ કેટલી બદલાઈ શકે છે તે રશિયા-યુક્રેનના યુદ્ધમાં દુનિયા જોઈ રહી છે. યુદ્ધના માહોલમાં જો ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ વિશ્વભરમાં હાથ ધરાશે તો ભવિષ્યમાં આ યુદ્ધ ઉર્જાની આત્મનિર્ભરતા માટે યાદ રખાતું હશે!

Friday 20 May 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનના વડાપ્રધાનો પહેલી સલામ સાઉદીમાં મારવા જાય છે તેના કારણો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

સાઉદી-પાકિસ્તાનની દોસ્તી સાડા સાત દશકા જૂની છે. બંને દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી હોવાથી દોસ્તી વર્ષોવર્ષ વધુ ગાઢ બની છે. પાકિસ્તાનને આર્થિક મદદ માટે સાઉદીની જરૂર છે, તો પાકિસ્તાન શિયા બહુમતી દેશ ઈરાન સાથે સરહદ ધરાવતું હોવાથી સાઉદીને વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનનો ખપ છે...


પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે સત્તા સંભાળી કે તરત જ સાઉદીનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન તરીકે શાહબાઝનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શાહબાઝ શરીફ સાથે આઠ અબજ ડોલરની આર્થિક સહાય માટે કરાર કર્યો હતો. આ સહાય હેઠળ પાકિસ્તાનને ઓઈલનો જથ્થો મળશે અને સાઉદીની કંપનીઓ પાકિસ્તાનમાં રોકાણ પણ કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનો આર્થિક મદદ મેળવવા મોટાભાગે સાઉદી અરેબિયાનો પ્રવાસ કરે છે. શાહબાઝનો પ્રથમ પ્રવાસ પણ એ જ હેતુથી યોજાયો હતો. વર્ષોથી પાકિસ્તાનના વડાપ્રધાનોએ સાઉદીને સૌથી પહેલી સલામ મારવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. ૨૦૧૮માં ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા કે બીજા જ મહિને સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે કુલ ૩૨ વિદેશયાત્રા કરી હતી, એમાંથી આઠ તો સાઉદીની છે. ઈમરાન સાઉદીની આઠમાંથી પાંચ મુલાકાતો આર્થિક મદદ મેળવવા માટે કરી હતી. ૧૯૭૦થી વણલખ્યો નિયમ થઈ ગયો છે કે પાકિસ્તાનના નેતાઓ ચૂંટાઈને પ્રથમ પ્રવાસ મોટાભાગે સાઉદીનો કરે છે. નવાઝ શરીફ વડાપ્રધાન હતા ત્યારે સાઉદી-પાકિસ્તાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં જ્યારે નવાઝ શરીફ પદભ્રષ્ટ થયા અને નવાઝ અને શાહબાઝ સામે કેસ ચાલતો હતો ત્યારે બંનેને સાઉદીએ જ રાજકીય શરણું આપ્યું હતું. તે એટલે સુધી કે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં ૨૦૦૦ના વર્ષ પછી ફાંસીએ લટકાવવાની પેરવી થતી હતી ત્યારે સાઉદીની દખલગીરીથી જ તેને માફી મળી હતી. સાઉદીએ નવાઝ શરીફ ૧૦ વર્ષ દેશબહાર રહેશે એ શરતે માફી અપાવી હતી. પાકિસ્તાનમાં સરકારો બદલાતી રહે છતાં સાઉદીનો પ્રભાવ ઘટતો નથી તેનો આ દાખલો હતો.

સાઉદી-પાકિસ્તાનના સંબંધો પાકિસ્તાનના અસ્તિત્વ સાથે જ શરૂ થયા હતા. ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (ઓઆઈસી)ની સ્થાપનામાં સાઉદી-પાકિસ્તાનની મહત્વની ભૂમિકા હતી. આ સંગઠનની રચના થઈ પછી સાઉદી-પાકિસ્તાન તેના લીડિંગ મેમ્બર્સ તરીકે ઉભરી આવ્યા હતા. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે સાઉદી એવો પ્રથમ દેશ હતો, જેણે પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કર્યું હતું. સાઉદીએ બાંગ્લાદેશની રચનાને અયોગ્ય ઠેરવીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો હતો. ૧૯૯૦-૧૯૯૧માં પર્સિયન ગલ્ફ વોર વખતે પાકિસ્તાને ઈસ્લામિક ધાર્મિક સ્થળોના રક્ષણના બહાને સાઉદીમાં લશ્કર મોકલ્યું હતું. સાઉદી-પાકિસ્તાન ઈસ્લામદેશોના ગોડફાધર બનવા ઈચ્છતા હોવાથી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકવાદીઓએ સત્તા હાથમાં લીધી ત્યારે સાઉદી-પાકિસ્તાન અને યુએઈ એ ત્રણ દેશો હતા, જેમણે તાલિબાનની શાસનનું સમર્થન કર્યું હતું. ૧૯૯૮માં નવાઝ શરીફે પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી ત્યારે અમેરિકા-બ્રિટન સહિતના દેશોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ સાઉદીએ સૌથી પહેલું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો તે બાબતે સાઉદીએ તો પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફની પીઠ થાબડી હતી. બીજા બધા દેશોએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હોવાથી સાઉદીએ પાકિસ્તાનને દરરોજ ૫૦ હજાર બેરલ ઓઈલ આપવાની જાહેરાત પણ કરી હતી.

સાઉદી-પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધો પણ ઘણાં મજબૂત છે. પાકિસ્તાન આર્થિક રીતે બદહાલ થઈ ચૂક્યું છે. વારંવાર વિદેશી આર્થિક સહાય માટે કોશિશ કરે છે. સૌથી વધુ સહાય સાઉદી અને ચીન કરે છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ પાકિસ્તાનમાં ફ્રી ટ્રેડના કરાર અંતર્ગત ૨૦૦૬માં ૧૧ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. એ રોકાણ પાકિસ્તાનને અપાવવામાં સાઉદીની મહત્વની ભૂમિકા હતી. આર્થિક મદદના ભાગરૂપે સાઉદીએ ૪.૫ અબજ ડોલરની રોકડ સહાય કરી હતી. આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા પાકિસ્તાનમાં રોજગારી સર્જાય તે માટે સાઉદી અરેબિયાએ ૨૦૧૮માં ગ્વાદરમાં એક ઓઈલ રિફાઈનરી સ્થાપવાની જાહેરાત કરી હતી. એ રિફાઈનરી દરરોજ પાંચ લાખ બેરલનું ઉત્પાદન કરશે. ૨૦૧૯માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદીનો પ્રવાસ કર્યો ત્યારે સાઉદીએ આગામી દશકામાં ૨૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તે પછી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા અને ઓઈલ રિફાઈનરી સ્થાપવા માટે ૧૦ અબજ ડોલરનો કરાર કર્યો હતો. ઓક્ટોબર-૨૦૨૧માં પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરિ ફંડમાંથી આર્થિક સહાય ન મળી એટલે ફરીથી સાઉદી-ચીન સામે હાથ ફેલાવ્યા હતા. સાઉદીએ ૪.૨ અબજ ડોલરની સહાય આપી હતી.

સવાલ એ થાય કે સાઉદી પાકિસ્તાનની આટ-આટલી મદદ કેમ કરે છે? સાઉદીને શું ફાયદો મળે છે? સાઉદીને પાકિસ્તાનની વ્યૂહાત્મક જરૂરિયાત છે. શિયા બહુમતી ધરાવતા દેશ ઈરાન અને સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અરબ વર્લ્ડમાં પ્રભુત્વ સ્થાપવા આ બંને દેશો પ્રોક્સી વોર લડે છે. યમનમાં ચાલતું યુદ્ધ તેનું ઉદાહરણ છે. સાઉદીની જેમ પાકિસ્તાનમાં પણ સુન્ની મુસ્લિમોની બહુમતી છે. પાકિસ્તાનમાં ૯૦ ટકા સુન્ની મુસ્લિમો છે. સુન્ની બહુમતી હોવાથી બંને દેશો વચ્ચે નેચરલ જોડાણ છે. સાઉદી ઈચ્છે છે કે ઈરાન સામે જરૂર પડે ત્યારે પાકિસ્તાની લશ્કર મદદમાં ઉભું રહે. પાકિસ્તાન-ઈરાન વચ્ચે ૮૦૦-૯૦૦ કિલોમીટરની સરહદ છે. જો ભવિષ્યમાં ઈરાન-સાઉદી વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળે તો પાકિસ્તાનમાં લશ્કરી મથક બનાવીને યુદ્ધ લડી શકાય તેમ છે. પાકિસ્તાન સાઉદીનું સૌથી વિશ્વસનીય સાથી હોવાથી એ શક્ય છે. ઈરાન સાથે સરહદો ધરાવતા અન્ય દેશો સાથે સાઉદીને એટલા ગાઢ સંબંધો નથી, જેટલા પાકિસ્તાન સાથે છે. સમૃદ્ધ સાઉદી ગરીબ પાકિસ્તાનને આર્થિક મદદ કરીને તેની સરહદીનીતિ પ્રભાવિત કરે છે. ઘણાં વિદેશી નિષ્ણાતો તો એવોય દાવો કરે છે કે પાકિસ્તાન-સાઉદી વચ્ચે ઈરાન સરહદે લશ્કરી મથકનો ગુપ્ત સોદો પહેલાં જ થઈ ચૂક્યો છે. સાઉદી આટલી રકમ ખર્ચીને પાકિસ્તાનના લશ્કરને મજબૂત કરે છે. લશ્કરની કેટલીક ટૂકડીઓ સાઉદી માટે જ તૈયાર કરવામાં આવે છે અને તેને ઈરાન સરહદે તૈનાત કરાય છે.

લશ્કરી ઉપરાંત આર્થિક મદદના બદલામાં સાઉદી વ્યાજ મેળવે છે તે અલગ. સાઉદીએ પાકિસ્તાનને છેલ્લાં એક દશકામાં જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે એના પર ૩થી ૪ ટકા સુધી વ્યાજ વસૂલે છે. આ દાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના આર્થિક સલાહકાર રહી ચૂકેલા શૌકત તારિકે કર્યો હતો. વળી, સાઉદી પાકિસ્તાનમાં રોકાણ કરીને લાંબાંગાળાનો ફાયદો જુએ છે. પાકિસ્તાનમાં ૨૨-૨૩ કરોડની વસતિ છે. સાઉદીની કંપનીઓ પાકિસ્તાનને એક મોટા માર્કેટના સ્વરૂપમાં જુએ છે. વસતિની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે. સાઉદીના બિઝનેસમેન તેને સૌથી વધુ ગ્રાહકો ધરાવતો પાંચમો દેશ ગણે છે! પાકિસ્તાનની ખરીદશક્તિ વધવા લાગશે તો કલ્ચરલ અને ધાર્મિક સમાનતા હોવાથી સાઉદીની કંપનીઓને સૌથી વધુ ફાયદો થઈ શકે તેમ છે.

વેલ! વેલ! ચેકબુક ડિમ્લોમસીથી સાઉદીએ પાકિસ્તાનને વશમાં કર્યું છે તે પાછળનું એક અદૃષ્ય કારણ છે - પરમાણુ બોમ્બ. સાઉદી ભલે સમૃદ્ધ રાષ્ટ્ર છે, પરંતુ હજુ સુધી પરમાણુ શક્તિ વિકસાવી શક્યું નથી. પાકિસ્તાન પરમાણુ બોમ્બ ધરાવે છે, જે સાઉદીને પાકિસ્તાનની મદદ માટે પ્રેરે છે!

Friday 13 May 2022
Posted by Harsh Meswania

જમાલ ખાશોગીના કેસને રફેદફે કરવાની શરતે તુર્કી અને સાઉદીના સંબંધો સુધર્યા!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા



અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા તુર્કીમાં સાઉદીના દૂતાવાતમાં થઈ હતી. આ હત્યાનો કેસ તુર્કીમાં ચાલતો હતો. એ વખતે તુર્કી-સાઉદી અરબના રાજદ્વારી સંબંધો તંગ બની ગયા હતા. હવે બંને દેશો વચ્ચે સોદો થઈ ગયો છે. સાઉદી તુર્કીમાં રોકાણ કરશે અને તુર્કી તેના બદલામાં ખાશોગીનો કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરશે!


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપયાત્રા, રશિયન પ્રમુખની રહસ્યમય બીમારીની સારવાર, યુક્રેનને અમેરિકાની લશ્કરી મદદ, નાટોને રશિયાની ધમકી, ઈમરાન ખાન સામે તોળાતી ધરપકડની તલવાર, તાલિબાન અને પાકિસ્તાની લશ્કર વચ્ચે ઘર્ષણ, જેરૂસલેમમાં ઈઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈની પથ્થરબાજો વચ્ચે થયેલી હિંસા....

આ બધા ન્યૂઝ અપડેટ્સ વચ્ચે તુર્કીના પ્રમુખ રેચેપ તૈયબ એર્દોઆનનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ખાસ નોંધપાત્ર ન બન્યો. અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગીની ૨૦૧૮માં તુર્કી સ્થિત સાઉદીની દૂતાવાસમાં હત્યા થઈ પછી વૈશ્વિક દબાણ હેઠળ તુર્કીએ તપાસ હાથ ધરી હતી. એમાં એક પછી એક નવા નવા ધડાકા થતા હતા અને આરોપ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સુધી પહોંચ્યો. ખાશોગી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન સલમાનની રાજકીય-આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર હતા. અવારનવાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ', 'મિડલ ઈસ્ટ આય', અલ-અરબ ન્યૂઝ ચેનલમાં સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા હતા. સાઉદીની સરકાર સાથે ખાશોગીને વર્ષોથી ઘર્ષણ ચાલતું હતું. ૨૦૦૫માં તેમને સાઉદીના દબાણ હેઠળ દેશ છોડીને બ્રિટનમાં ભાગી જવું પડયું હતું. ૨૦૧૭માં અમેરિકાના નાગરિક બન્યા પછી ખાશોગીએ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં કામ શરૂ કર્યું હતું. મિડલ ઈસ્ટના નિષ્ણાત પત્રકાર કટારલેખક તરીકે ખાશોગી અવારનવાર સનીસનીખેજ અહેવાલો-લેખો લખતા હતા. સાઉદીના ક્રાઉન પ્રિન્સના ઈશારે ખાશોગીની હત્યા થઈ છે એવા આરોપ પછી તુર્કીમાં કેસ ચાલતો હતો. તેના કારણે તુર્કી-સાઉદીના વચ્ચે સંબંધો બગડયા હતા. રાજદ્વારી સંબંધો ઉત્તરોત્તર એટલા વણસ્યા કે એકબીજાના દેશોના નેતાઓ તો ઠીક વિદેશમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ પણ એક-બીજા દેશનો પ્રવાસ બંધ કરી દીધો હતો.

પરંતુ છેલ્લાં એક વર્ષથી બંને દેશોના સંબંધો સુધારવાની કોશિશો ચાલતી હતી. ખાશોગીના કેસથી જામી ગયેલો બરફ ઓગળવાની શરૂઆત થઈ ગયા વર્ષે મે મહિનામાં. મે-૨૦૨૧માં તુર્કીના વિદેશ મંત્રી મૌલુદ જાવેશ ઉગલુએ સાઉદીનો પ્રવાસ કર્યો હતો અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાનને મળીને સંબંધો સુધારવા રજૂઆત કરી હતી. એ પછી દ્વિપક્ષીય નિવેદનો આવ્યાં હતાં, જેમાં બંને દેશો આંતરિક સમસ્યા ઉકેલવાની દિશામાં કામ કરે છે એમ કહેવાયું હતું, પરંતુ પડદા પાછળ ખાશોગીનો કેસ સેટ થયો હતો. જમાલ ખાશોગીને ન્યાય મળે તે માટે સક્રિય પત્રકારોના સંગઠનો અને માનવ અધિકાર પંચોએ તે વખતે એવી દહેશત વ્યક્ત કરી હતી કે ખાશોગીના કેસની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે અને કેસ તુર્કીમાં ચાલવો જોઈએ. સાઉદીમાં કેસ ટ્રાન્સફર થશે તો ન્યાય નહીં મળે.

પણ સાઉદીની ડિમાન્ડ બહુ સ્પષ્ટ હતી. ખાશોગીનો કેસ સાઉદીમાં ચાલે તો જ વાત બને તેમ હતી. અમેરિકા કે બીજા કોઈ પણ દેશની દખલ વગર એમાં ધારણા પ્રમાણેનો ચુકાદો સાઉદી તો જ આપી શકે, જો કેસ તેમની કોર્ટમાં ચાલે! ક્રાઉન પ્રિન્સ બિન સલમાન સુધી ખાશોગીની હત્યાના છાંટા ઉડી ચૂક્યા હતા, હત્યામાં એની સંડોવણી ન ખૂલે તે માટે કેસ તુર્કીને બદલે સાઉદીમાં ચાલે તે જરૂરી નહીં, અનિવાર્ય હતું. સાઉદીના અધિકારીઓ અગાઉ પણ તુર્કીની સરકાર સામે કેસ સાઉદીમાં ટ્રાન્સફર કરવાની રજૂઆત કરી ચૂક્યા હતા. બંને દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં એ જ મુદ્દો બંધ બારણે સેટ થયો હતો.

પછી આ વાતને એક વર્ષનો પડદો પાડી દેવાયો. ખાશોગીનો કેસ જેમ ચાલે છે તેમ ચાલતો રહ્યો. પણ તુર્કીના સરકારી વકીલની દલીલો કોર્ટમાં બદલાઈ ગઈ. તુર્કીની સરકારે કેસ સાઉદીમાં ચાલે એવી વકીલાત કરવા માંડી. હત્યામાં સંડોવાયેલા સાઉદીના નાગરિકો છે એટલે સાઉદીને તેમની રીતે કેસ ચલાવવાનો અધિકાર મળવો જોઈએ એવી દલીલો કોર્ટમાં રજૂ થવા માંડી. ખાશોગીની ગર્લફ્રેન્ડના વકીલે અને માનવ અધિકાર પંચોએ તુર્કીમાં કેસ ચલાવવાની ધારદાર દલીલો કરી છતાં નાટયાત્મક રીતે ગયા મહિને કોર્ટે ચુકાદો આપી દીધો. ખાશોગીનો કેસ હવે સાઉદીને ટ્રાન્સફર કરી દેવાશે. તુર્કીમાં કેસ ચાલશે નહીં. તુર્કીની તપાસ એજન્સીની એમાં હવે ખાસ ભૂમિકા રહેશે નહીં.

વર્ષ બે વર્ષમાં ખાશોગીના કેસનો વિંટો વાળી દેવાશે. હત્યામાં સંડોવાયેલા એક-બેને સજા પણ મળી જશે, પરંતુ અમેરિકન મીડિયા સાઉદીના ક્રાઉન પ્રિન્સ ઉપર આરોપ મૂકે છે એવું કંઈ થશે નહીં. તુર્કીની કોર્ટનો ચુકાદો આવ્યો તેના બરાબર એક મહિના પછી તુર્કીના પ્રમુખ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ એકબીજાને ગળે મળી રહ્યા હતા, સામ-સામે બેસીને ભોજન લઈ રહ્યા હતા. સાઉદી-તુર્કીના શાસકો વચ્ચે ૨૦૧૮ પછી આ પહેલી મુલાકાત હતી. બંને પક્ષે ઉમળકો દેખાતો હતો. બંને દેશોએ સ્કોર સેટ કરવામાં સફળતા મેળવી હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થતું હતું. સાઉદી ઈચ્છતું હતું કે ખાશોગીનો કેસ એના અંકુશમાં રહે. એર્દોઆન ઈચ્છે છે કે સાઉદી તુર્કીમાં આર્થિક રોકાણ કરે. તુર્કીનું અર્થતંત્ર મંદ પડયું છે. વિદેશી રોકાણ કે મોટી આર્થિક સહાય મળે તો તુર્કીમાં રોજગારીનું સર્જન થાય, મોંઘવારી અંકુશમાં આવે, અર્થતંત્ર ધમધમતું થાય.

...અને એર્દોઆને આ પગલું અત્યારે કેમ ભર્યું? એનો જવાબ છે ચૂંટણી. જી હા! દુનિયાભરનું રાજકારણ ચૂંટણીલક્ષી છે. ચૂંટણી આવે ત્યારે જેમ ભારતના નેતાઓ સક્રિય થાય છે એવું જ વિશ્વભરમાં છે. તુર્કીમાં ૨૦૨૩માં ચૂંટણી થશે. એર્દોઆને એમાં વિજય મેળવવો હશે તો આર્થિક સ્થિતિ બહેતર બનાવવી ફરજિયાત છે. લોકો મોંઘવારી-બેરોજગારીથી ત્રાસી ગયા છે. એક વર્ષમાં એ સ્થિતિ સુધરે તો એર્દોઆન ફરીથી ચૂંટાઈ શકે. ૨૦૧૮ની ચૂંટણીમાં એર્દોઆન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ તેમના પક્ષ એકેપીને બહુમતી મળી ન હતી. અત્યારે સંસદસભા ગઠબંધનથી ચાલે છે. એર્દોઆનની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ૨૦૧૯માં સ્થાનિક ચૂંટણી થઈ એમાં અંકારા અને ઈસ્તાંબુલમાં ૨૫ વર્ષ પછી એર્દોઆનની પાર્ટીનો પરાજય થયો. પાર્ટીનો વોટશેર ગગડી રહ્યો છે. ૨૦૧૭માં જનમતથી તુર્કીએ પાર્લામેન્ટરી સિસ્ટમ બદલી હતી અને તેને પ્રમુખ કેન્દ્રિત કરી હતી. એર્દોઆન ૨૦૦૩થી ૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા. ૨૦૧૪માં પ્રમુખ બન્યા પછી તેમણે ૨૦૧૭માં જનમત મેળવીને સંસદીય પદ્ધતિ બદલી નાખી છે. એ પ્રમાણે કોઈ નેતા વધુમાં વધુ બે વખત પ્રમુખપદે રહી શકે છે. તેનો અમલ એદોઆન સ્માર્ટલી ૨૦૧૮થી લાગુ પાડયો છે. એ પહેલાં એક વખત પ્રમુખ રહી ચૂક્યા છે. તે પહેલાં ૧૦ વર્ષથી વડાપ્રધાન હતા અને નવી જોગવાઈ લાગુ પડી પછી એક ટર્મ હજુ પ્રમુખ રહી શકે છે. ૬૮ વર્ષના એર્દોઆનની ૭૩ વર્ષે નિવૃત્ત થવાની યોજના છે. એ માટે ૨૦૨૩ની ચૂંટણીમાં વિજેતા બનવું પડે તમે છે. એ પહેલાં જેટલા મુદ્દા સરકારને કે પાર્ટીને કનડે છે તેનો નિવેડો લાવવો અનિવાર્ય છે અને તેના ભાગરૂપે એર્દોઆને સાઉદીની મુલાકાત કરીને ગલ્ફદેશો સાથે સંબંધો સુધારવાનું શરૂ કરી દીધું છે. પેટ્રોલિયમની બેશૂમાર સંપત્તિ ધરાવતી સાઉદીની સરકાર વાયદા પ્રમાણે રોકાણ કરશે તો એક વર્ષમાં તુર્કીની સ્થિતિ થોડી બહેતર બનશે.

..પણ બંને દેશોેના સમાધાન વચ્ચે એ હકીકત સ્વીકારવી પડશે કે વધુ એક વખત પત્રકાર જમાલ ખાશોગીની હત્યા થઈ છે!

Friday 6 May 2022
Posted by Harsh Meswania

ઈમેન્યુઅલ મેક્રોં : એવા નસીબદાર રાજનેતા જેમણે પ્રમુખપદ સિવાય ક્યાંય પાંચ વર્ષ કામ કર્યું નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ઈમેન્યુઅલ મેક્રોંની ડ્રીમ જર્ની.

 

ઈમેન્યુઅલ મેક્રોં. આ માણસની કારકિર્દીનો ગ્રાફ ફિલ્મની સ્ટોરી જેવો અણધાર્યો છે. ફ્રાન્સના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો તેજસ્વી છોકરો પેરિસની જગવિખ્યાત સાયન્સ ઈન્સ્ટિટયૂટ ઈએએસમાં પ્રવેશ ન મળવાના કારણે પેરિસ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ડિગ્રી મેળવે છે. ૨૧-૨૨ વર્ષની ઉંમરે ફ્રાન્સના જાણીતા ફિલોસોફર પૌલ રિકોનરના સહાયક બનીને મેગેઝીનનું સંપાદન સંભાળે છે. પબ્લિક અફેર્સમાં માસ્ટર્સ કર્યા બાદ ૨૬ વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને સરકારના નાણામંત્રાલય હેઠળ આવતા ઓડિટ વિભાગમાં અધિકારી બને છે. ૨૯મા વર્ષે ફ્રાન્સની ટોચની મહિલા સાહસિક લોરેન્સ પ્રિસોટ તેમની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ ઓફર કરે છે, પરંતુ એ નકારીને મેક્રોં ૩૧મા વર્ષે સરકારી નોકરી મૂકીને ઈન્વેસ્ટમેન્ટ બેંકર બની જાય છે.

રોથ્સચિલ્ડ એન્ડ કંપનીમાં તોતિંગ પગારની નોકરી કરે છે અને ત્રણ જ વર્ષમાં ૩૦ લાખ ડોલરની કમાણીથી ધનવાન યુવાનોના લિસ્ટમાં નામ નોંધાવે છે. ત્રણેક વર્ષમાં એ નોકરી છોડીને મલ્ટિનેશનલ કંપની અવરિલના સીઈઓ ફિલિપી ટિલોસના સલાહકાર બને છે. સાથે સાથે એ જ અરસામાં રાજકીય સક્રિયતા પણ વધારે છે. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્સિકો ઓલાન્દેથી પ્રભાવિત થઈને સોશિયલિસ્ટ પાર્ટીમાં જોડાય જાય છે. ખાનગી નોકરીઓ દરમિયાન રાજકીય મહાત્વાકાંક્ષા જાહેર કરીને સોશિયલિસ્ટ પાર્ટીમાંથી સાંસદની ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે, પરંતુ પાર્ટીએ ઉમેદવાર ન બનાવ્યા એટલે ખાનગી નોકરી ચાલુ રાખે છે.

૨૦૧૨માં સોશિયલિસ્ટ પાર્ટીના ફ્રાન્સિકો ઓલાન્દે પ્રમુખ બન્યા. ઓલાન્દેની સરકારમાં ઈમાન્યુઅલ મેક્રોંને અર્થતંત્ર અને ઉદ્યોગમંત્રીની જવાબદારી મળી ત્યારે તેમની ઉંમર માત્ર ૩૭ વર્ષ હતી. એ વખતે મેક્રોં ફ્રાન્સની સરકારમાં સૌથી યુવા મંત્રી હતા. તેમણે ફ્રાન્સના ઈન્ડસ્ટ્રિયલ કલ્ચરમાં ઘણાં પરિવર્તનો કયાંર્. સપ્તાહમાં કામના ૩૭ કલાકમાંથી ૩૫ કલાક કરવા ઉપરાંત બિઝનેસ-ફ્રેન્ડલી રિફોર્મ્સ પણ લાવ્યા. તેમનું યુરોપિયન સંઘ તરફી સ્પષ્ટ વલણ હોવાથી ફ્રાન્સમાં તેમની લોકપ્રિયતા વધતી જતી હતી. ૨૦૧૫માં તેમણે જાહેરાત કરી કે એ હવે સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય નથી, સ્વતંત્ર રાજકારણી છે. તેમણે એ અરસામાં સ્વતંત્ર વિચારધારા વિકસાવવા તરફ ધ્યાન આપ્યું.  ટીવી શો કરીને લોકોના ઓપિનિયન મેળવ્યા. ફ્રાન્સના મીડિયાએ મેક્રોંને દેશનું ભવિષ્ય ગણાવ્યું અને તેમની અર્થતંત્રની સૂઝના વખાણ થવા લાગ્યા. મેક્રોંએ માત્ર ૩૮-૩૯ વર્ષની વયે એક અઠંગ રાજકારણીની જેમ એ ઇમેજનો બરાબર ફાયદો મેળવ્યો અને ૨૦૧૬માં જમણેરી-ડાબેરી કરતાં અલગ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા ધ વર્કિંગ રિપબ્લિક પક્ષની સ્થાપના કરી. ફ્રેન્ચ ઉચ્ચાર પ્રમાણે લારેમ નામનો આ પક્ષ જોતજોતામાં આખા ફ્રાન્સમાં લોકપ્રિય થઈ ગયો. ૨૦૧૭માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી નેતાઓની વચ્ચે મોડર્ન વિચારધારા ધરાવતા ૪૦ વર્ષના યુવા નેતા ઈમાન્યુઅલ મેક્રોં ૬૬ ટકા મતો મેળવીને પ્રમુખ બન્યા.

...અને એ રીતે મધ્યમવર્ગમાં જન્મેલો તેજસ્વી છોકરો એક દશકામાં સરકારી અધિકારીમાંથી આખા દેશનો પ્રમુખ બની ગયો. વચ્ચેના સમયગાળામાં ઘણી નાની-મોટી જવાબદારીઓ નિભાવી એ અલગ. અગાઉ કહ્યું તેમ, કોઈ ફિલ્મની સ્ટોરી હોય એવી મેક્રોંની કારકિર્દી છે. જાણે એક ડ્રીમ જર્ની! સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ડ્રીમ જર્ની.

યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની આવડતે આ માણસને દેશનો સર્વોચ્ચ હોદ્દો એક વખત નહીં બે વખત અપાવ્યો છે. પ્રમુખપદ સિવાય કોઈ કામ મેક્રોંએ લગલગાટ પાંચ વર્ષ નથી કર્યું! ફ્રાન્સના મતદારોએ એક વખતની તેમની પ્રશંસનીય કામગીરી પછી હવે બીજી વખત પણ પ્રમુખપદનો કાર્યભાર આપ્યો છે, પરંતુ આગામી પાંચ વર્ષ ફ્રાન્સના પ્રમુખ માટે પડકારભર્યા રહેશે. પહેલો પડકાર તો બે મહિના પછી આવતી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં જ સર્જાશે. જો વિપક્ષો ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં બહુમતી મેળવશે તો આગામી પાંચ વર્ષ સુધી સંસદીય કાર્યવાહીમાં અવરોધો આવશે. ખાસ તો મેક્રોં જે મહાત્ત્વાકાંક્ષી બિલ પસાર કરીને આર્થિક નીતિમાં પરિવર્તન કરવા ધારે છે એમાં મોટો ફટકો પડી શકે છે. મેક્રોં માટે આ સૌથી પહેલો અને મહત્વનો પડકાર રહેશે. ૨૦૧૭માં ફ્રાન્સના નાગરિકોએ સંપૂર્ણ પરિવર્તનનો નારો સ્વીકારીને પ્રમુખપદ ઉપરાંત નેશનલ એસેમ્બલીમાં પણ તેમના પક્ષને વિજેતા બનાવ્યો હતો. ફ્રાન્સની રાજનીતિ છેલ્લાં ઘણાં દશકાઓથી ડાબેરી કે જમણેરી વિચારધારા વચ્ચે કેન્દ્રિત થઈ ગઈ હતી. જનતા એમાં પરિવર્તન ઈચ્છતી હતી. નાગરિકોની નાડ પારખીને મેક્રોંએ નહીં જમણેરી, નહીં ડાબેરી એવી મધ્યવર્તી પ્રગતિશીલ વિચારધારા અમલી બનાવી. એમાં ધાર્મિક સહિષ્ણુતા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હતી.

યંગ જનરેશનને મેક્રોંની લિબરલ નીતિ માફક આવે છે. વળી, મેક્રોંની આર્થિક વિચારધારા પ્રો-ઈયુ રહી છે. યુરોપિયન સંઘ સાથે ખભેખભો મિલાવીને ફ્રાન્સનો વિકાસ થાય એવી આર્થિક નીતિની તેમણે પહેલેથી જ તરફેણ કરી છે. તેમના એ વલણથી ફ્રાન્સનું સ્થાન યુરોપિયન સંઘમાં વધારે મજબૂત થયું છે, વધારે સન્માનીય બન્યું છે. બીજી વખત પ્રમુખ બનેલા મેક્રોં પણ યુરોપિયન સંઘમાં વધારે શક્તિશાળી બન્યા છે. યુરોપિયન સંઘના સીનિયર નેતા હોવાથી હવે પાંચ વર્ષ તેઓ માર્ગદર્શક-સંચાલકની ભૂમિકા ભજવશે. અત્યાર સુધી યુરોપિયન સંઘમાં જર્મનીના એન્જેલા મર્કેલનો દબદબો હતો, તેમના નિર્ણયોનો, નીતિઓનો પ્રભાવ હતો. મર્કેલના રાજકીય સન્યાસ પછી હવે એક રીતે મેક્રોંના હાથમાં યુરોપિયન સંઘની બાગડોર રહેશે. ફ્રાન્સનું અર્થતંત્ર મજબૂત બનાવવાની સાથે સાથે મેક્રોંના ખભે યુરોપિયન યુનિયનને એકજૂટ રાખીને આર્થિક મજબૂતી તરફ દોરી જવાની જવાબદારી પણ રહેશે.

મેક્રોંના વિજયથી ભારતને ફાયદો થશે

ઈમેન્યુઅલ મેક્રોં ફરીથી ફ્રાન્સના પ્રમુખ બન્યા તે ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. મોદી-મેક્રોં વચ્ચે વ્યક્તિગત ટયુનિંગ બહેતર હોવાથી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારત-ફ્રાન્સના આર્થિક-લશ્કરી સંબંધો મજબૂત બન્યા છે. મેક્રોંના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સે યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની માગણીને હંમેશા સમર્થન આપ્યું છે. ભારત-ફ્રાન્સના આર્થિક સંબંધો વધારે બહેતર બન્યા છે. અત્યારે દ્વિપક્ષીય વેપાર ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ યુરોનો છે અને ૨૦૨૫ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૫૦૦ કરોડ યુરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સંરક્ષણ, અંતરિક્ષ, ટેકનોલોજી સહિતના કેટલાય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધ્યો છે. ભારતમાં ફ્રાન્સની એક હજાર કરતાં વધુ કંપનીઓ કાર્યરત છે અને તેમનો વેપાર ૨૦૦૦ કરોડ ડોલરનો છે. મેક્રોં ઉદાર આર્થિક નીતિની તરફેણ કરતા હોવાથી ભારતીય કંપનીઓ માટે ફ્રાન્સમાં રોકાણની નવી તકો સર્જાશે. ભારત આગામી એક દશકામાં યુરોપમાં આર્થિક-સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રનો સહકાર વધારવા ધારે છે અને એમાં ફ્રાન્સ ખૂબ મહત્ત્વનું સાથીદાર બનશે. મેક્રોંની ઉદારવાદી, મધ્યવર્તી, પ્રગતિશીલ નીતિ ભારતને વધુ માફક આવશે.

Friday 29 April 2022
Posted by Harsh Meswania

કુર્દિસ્તાન : તુર્કી, ઈરાન, ઈરાક અને સીરિયા વચ્ચે આવેલા જમીનના ટૂકડા માટે જામેલો જંગ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો સામે આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં 44-45 વર્ષથી સશસ્ત્ર લડત ચલાવતા આ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે, પણ એ જ અમેરિકાએ એક સદી પહેલાં કુર્દિસ્તાનને માન્યતા આપવાની પેશકશ કરી હતી. પરંતુ તુર્કીના પ્રથમ પ્રમુખ મુસ્તફા કમાલ પાશાએ એવો કમાલનો પાસો ફેંક્યો કે....


ઓસ્માન ગાઝી પ્રથમ અને મુસ્તફા કમાલ પાશા. આ બે નામોની વચ્ચે ઑટોમન સામ્રાજ્યના ઉદય અને પતનની કથા લખાયેલી છે. એ કથામાં આવતા બે મહત્ત્વના કિરદાર એટલે તુર્કો અને કુર્દો. ઓસ્માન નામના તુર્ક લડવૈયાએ ૧૨૮૦ આસપાસ આજના તુર્કીમાં આવેલા બર્સ શહેરનો કબજો લીધો અને ત્યાં એક નાનકડા રાજ્યનો પાયો નાખ્યો. સદીઓ સુધી એ રાજ્યના સીમાડા વિસ્તરતા રહ્યા. ઓસ્માનના વંશજો પછીથી ઑટોમનના નામથી ઓળખાયા અને એ સામ્રાજ્ય પણ ઓસ્માનનું અપભ્રંશ થઈને ઑટોમન સામ્રાજ્ય કહેવાયું. ૧૩મી ૧૪મી સદીમાં આ વંશના રાજવીઓએ એક પછી એક લડાઈઓ જીતીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એ સમયે તુર્ક જાતિ ૨૨ જૂથમાં વહેંચાયેલી હતી. ઑટોમન સામ્રાજ્યના રાજાઓએ નાનાં નાનાં તુર્કમાન રાજ્યોને જીતી લઈને ઑટોમનમાં ભેળવી દીધા.

૧૪૫૩માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પૂર્વમાં આ રાજ્યની આણ છેક યૂફ્રેટીસ નદી સુધી વર્તાવા લાગી. ૧૬મી સદીમાં આખો બાલ્કન પ્રદેશ, મધ્ય યુરોપના હંગેરી સહિતના પ્રદેશો, મધ્યપૂર્વના ઘણાં વિસ્તારો અને ઉત્તર આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર ઑટોમન સામ્રાજ્યનો ધ્વજ ફરકવા લાગ્યો. ૧૬મી સદીનો ઉત્તરાર્ધ ઑટોમન સામ્રાજ્યનો સુવર્ણયુગ ગણાયો. ૧૭મી સદીમાં ધીમે પગલે સામ્રાજ્યની પડતી શરૂ થઈ. ૧૮મી સદીમાં યુરોપમાં પીછેહઠ થઈ. ઉત્તરમાં કાળા સમુદ્ર સુધીના પ્રદેશો તુર્ક ઑટોમને ગુમાવ્યા. ઑટોમનના રાજાઓની પક્કડ ખૂબ ઢીલી પડી ગઈ. ૨૦મી સદીની શરૂઆતમાં યંગ ટર્ક રિવોલ્યુશન થયું. એ સમયગાળામાં ઑટોમન રાજવીઓને બંધારણીય હોદ્દો મળ્યો, પરંતુ સત્તામાં કાપ મૂકાયો. ઑટોમન સામ્રાજ્યને બચાવવાનો આ છેલ્લો પ્રયાસ હતો. એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, એમાં ઑટોમન સામ્રાજ્યને મોટો ફટકો પડયો. ઑટોમને આરબપ્રાંતો સહિતના ઘણા વિસ્તારો ગુમાવ્યા. ૬૫૦ વર્ષના ઑટોમન સામ્રાજ્ય પર છેલ્લો મરણતોલ ફટકો મારનારનું નામ હતું - મુસ્તફા કમાલ પાશા.

પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મુસ્તફા કમાલ પાશાની આગેવાનીમાં તુર્કોએ સ્વતંત્રતાની લડાઈ ચાલુ રાખી. બ્રિટન-રશિયાના સમર્થનથી ૧૯૨૦માં તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી બની. ૧૯૨૦માં ઑટોમન સામ્રાજ્ય અને વિશ્વયુદ્ધના સાથી દેશો વચ્ચે સમજૂતી થઈ. એમાં તુર્કીની સાથે કુર્દિસ્તાનને માન્યતા આપવાનો પ્રસ્તાવ હતો. વૂડ્રો વિલ્સનની અમેરિકન સરકારે પણ એ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પરંતુ મુસ્તફા કમાલ પાશાએ તુર્કીને બ્રિટિશ અને પશ્વિમી રંગે રંગવાની ખાતરી આપીને ૧૯૨૩માં નવો કરાર કર્યો, જેમાંથી કુર્દિસ્તાનનો કક્કો જ કાઢી નાખ્યો. અમેરિકામાં પણ વૂડ્રો વિલ્સનની ટર્મ પૂરી થતાં રિપબ્લિકન પાર્ટીના વોરેન હાર્કિંગ સત્તામાં આવ્યા હતા અને તેમને વૂડ્રોની જૂની પૉલિસીને બદલે નવી પૉલિસીમાં વધુ રસ પડયો. ઑટોમન સામ્રાજ્યમાંથી તુર્કોની જેમ કુર્દોને હિસ્સો આપવાની જે વર્ષોની માગણી હતી એ બાજુમાં રહી ગઈ અને ૧૯૨૩માં તુર્કી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું.

એ પળે જ કુર્દ જાતિમાં અસંતોષ ફાટી નીકળ્યો. મુસ્તફા કમાલ પાશાએ બ્રિટન, અમેરિકા, ઈટાલી, ગ્રીસ ઉપરાંત ઈરાનનું સમર્થન મેળવીને વૈશ્વિક રાજનીતિમાં તુર્ક પ્રદેશને મોર્ડન બનાવવાના નામે એવો કમાલનો પાસો ફેંક્યો કે કુર્દિસ્તાન માટે જે સંભવિત પ્રદેશ ફાળવવાનો હતો એ તુર્કીને મળી ગયો. આ નિર્ણયથી નારાજ થયેલા કુર્દ લડવૈયાઓએ એકથી વધુ વખત બળવો કર્યો. પરંતુ મુસ્તફા કમાલ પાશાની સરકારે દરેક બળવાને ડામી દીધો. તુર્કીના એ પછીના નેતાઓએ પણ આવા બળવા સફળ થવા દીધા નહીં. વીસેક વર્ષ સુધી આ લડાઈઓ ચાલી, પરંતુ ખાસ સફળતા ન મળી એટલે ધીમે ધીમે કુર્દિસ્તાનની માગણી ભૂલાવા લાગી. કૂર્દ લોકોએ તુર્કી, ઈરાન, ઈરાક, સીરિયામાં લઘુમતી જાતિ તરીકે રહેવાનું સ્વીકારી લીધું. બરાબર એ જ ગાળામાં ૧૯૪૯માં કુર્દ કોમમાં એક નેતાનો જન્મ થયો. જે કુર્દિસ્તાનના આંદોલનને નવો વેગ આપવામાં નિમિત્ત બનવાનો હતો. એ નેતા એટલે અબ્દુલ્લા ઓકાલન.

***

કુર્દિસ્તાન. આ પ્રદેશનું આમ દુનિયાના નકશામાં કોઈ અસ્તિત્વ નથી. એનું અસ્તિત્ત્વ છે તો કુર્દ લોકોની માગણીઓમાં, એના કલ્ચરમાં, એના ઈતિહાસમાં, એની વાર્તાઓમાં. ઑટોમન સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ ખીલતો હતો ત્યારે એને ટક્કર આપે એવું પાડોશી રાજ્ય હતું પર્શિયા એટલે કે ઈરાન. ૧૬મી સદીથી લઈને ૧૯મી સદી સુધીમાં ઑટોમન અને પર્શિયા (ઈરાન) વચ્ચે કેટલાંય યુદ્ધો થયાં હતાં. યુદ્ધ પછી કોઈ એકની હાર થતી, કોઈ એકની જીત થતી. કરારો થતાં, કરારો તૂટતાં અને ફરી યુદ્ધો થતાં. એ દરમિયાન પર્શિયા (ઈરાન) અને ઑટોમન (ખાસ તો આજનું તુર્કી)ની વચ્ચે એક બફર ઝોન હતો. એમાં બિનતુર્ક અને બિનપર્શિયન લોકો રહેતા હતા, જે કુર્દથી ઓળખાતા હતા. તુર્ક અને પર્શિયન લોકો વચ્ચે સંઘર્ષ ઓછા થાય તે માટે બંને સામ્રાજ્યના રાજાઓને આ બફરઝોન માફક આવતો હતો. કુર્દ લોકો બંને સાથે સંતુલન સાધીને રહેતા હતા.

કુર્દો ઈસ્લામધર્મી બન્યા તે પહેલાં યઝીદીધર્મ પણ પાળતા હતા અને પારસીધર્મી પણ હતા. ઈતિહાસકારો તો આ કુર્દ લોકોના મૂળિયા આર્યજાતિમાં હોવાનો ઉલ્લેખ પણ કરે છે. ૧૧મી સદીનો વિદ્વાન ભાષાવિદ્ મહમૂદ અલ-કાશગરીએ તેની નોંધોમાં પહેલી વખત કુર્દ કોમનો ઉલ્લેખ કર્યો હતો. એક સમયે આ કોમ ઑટોમનના રાજાઓ માટે લડતી હતી. ઑટોમનમાં કુર્દ નામની એક સૈન્ય ટુકડી પણ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કિસ્તાનની માગણી ઉઠી એ જ ગાળામાં ૧૯૧૫ આસપાસ કુર્દોએ અલગ કુર્દિસ્તાનની માગણી કરી. મુસ્તફા કમાલ પાશાની વ્યૂહરચના સામે કુર્દ લડવૈયાઓનું ચાલ્યું નહીં અને તેમને સ્વતંત્ર રાષ્ટ્રથી વંચિત રહેવું પડયું એનો ડંખ કુર્દ લોકોમાં સતત રહેતો હતો. અબ્દુલ ઓકાલને ૧૯૭૮માં તુર્કીમાં કુર્દિશ વર્કર્સ પાર્ટીની સ્થાપના કરી અને કુર્દિસ્તાનની માગણીને નવેસરથી બળ આપ્યું. તુર્કી ઉપરાંત ઈરાન, ઈરાક અને સીરિયામાં રહેતા કુર્દ જાતિના લોકોએ મળીને પૃથ્વીના નકશામાં પૂર્વી ઈરાક, દક્ષિણ તૂર્કી, પૂર્વોત્તર સીરિયા, ઉત્તર-પશ્વિમી ઈરાન અને દક્ષિણ-પશ્વિમી આર્મેનિયાની વચ્ચેના પ્રદેશને કુર્દિસ્તાન જાહેર કરવાની માગણી કરી. એ જંગ હજુય ચાલે છે. ક્યારેક આ લડાઈ આક્રમક બને છે, તો ક્યારેક તેની ગતિ મંદ પડી જાય છે.

ગલ્ફવોર વખતે સદામ હુસેને કુર્દોની કત્લેઆમ કરી હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ પણ કુર્દો ઉપર અસંખ્ય હુમલા કર્યા છે. કુર્દિસ્તાનની માગણી માટે ચાલતી લડાઈમાં અત્યાર સુધીમાં ૫૦ હજાર જેટલા કુર્દ લડવૈયાઓ માર્યા ગયા છે. આંદોલનકારીઓના નેતા અબ્દુલ ઓકાલન તુર્કીની જેલમાં છેલ્લાં ૨૦-૨૨ વર્ષથી બંધ છે. ઈરાકની વસતિમાં ૨૦ ટકા કુર્દો છે અને ઉત્તરી ઈરાકના ત્રણ પ્રાંતોમાં કુર્દોની બહુમતી છે. એ ત્રણ પ્રાંતોને કુર્દ સ્ટેટ તરીકે માન્યતા મળી છે. ત્રણેય સ્ટેટ મળીને કુર્દિસ્તાન રિજનલ સરકાર ચલાવે છે. તુર્કી, ઈરાક, ઈરાન, સીરિયા વચ્ચેના ભાગમાં જુદું કુર્દિસ્તાન રાષ્ટ્ર મળે તે માટે કુર્દિસ્તાન રિજનલ સરકાર અવારનવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ય રજૂઆતો કરે છે.

સાડા ચારથી પાંચ કરોડની વસતી ધરાવતા કુર્દોની કેટલીય સંસ્થાઓ આતંકી સંગઠન જાહેર થઈ છે. કુર્દ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે. તુર્કીમાં તો છેક હમણાં સુધી કુર્દ ભાષા બોલવા પર પ્રતિબંધ હતો, કુર્દ લોકોને પરંપરાગત પોશાક પહેરવાની પણ મનાઈ હતી. તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો ઉપર એર સ્ટ્રાઈક અને જમીની હુમલા કર્યાની જાહેરાત આ સપ્તાહે કરી છે. ઑટોમન ઈતિહાસના બે મહત્તવનાં 'કિરદાર'માંથી તુર્કોએ સામ્રાજ્યની વિરાસત મેળવીને સદીઓથી ચાલતી લડાઈમાં વધુ એક વખત કુર્દો ઉપર સર્વોપરિતા સાબિત કરી, પરંતુ કુર્દોએ પણ સદીઓથી હથિયાર મૂક્યા નથી. 'પેશમર્ગા' કુર્દો ઈરાક-સીરિયામાં રહીને તુર્કો સામે લડી રહ્યા છે અને પેશમર્ગાનો તો અર્થ થાય છે - એ લોકો જે મોતનો સામનો કરે છે!


Friday 22 April 2022
Posted by Harsh Meswania

ભારત-રશિયાના સંબંધો સ્વીકારવા સિવાય અમેરિકા પાસે બીજો વિકલ્પ નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 


ભારત-રશિયાના રાજદ્વારી સંબંધોને એપ્રિલ-૨૦૨૨માં ૭૫ વર્ષ થયા

**********************

ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. એટલે કે ભારતને અમેરિકા-રશિયા બંને વગર ચાલે તેમ નથી. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલશે નહીં. આ જ કારણ છે કે ભારત-રશિયાના સંબંધો મજબૂત થાય તે અમેરિકા ઈચ્છતું નથી છતાં સીધી દખલ દેવાનું પણ ટાળે છે

***********************


એપ્રિલ-૧૯૪૭માં ભારત-રશિયા વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધો શરૂ થયા હતા. રશિયન રાજદૂત કિરીલ નોવીકોવની દિલ્હીમાં રશિયન રાજદૂત તરીકે નિમણૂક થઈ એ સાથે જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો આરંભ થયો હતો. રશિયાએ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા ત્યારે ભારત-રશિયાના સંબંધોને ૭૦ વર્ષ થયા તેની ઉજવણી પણ કરી હતી. આ વર્ષે ભારત-રશિયાના સંબંધોને ૭૫ વર્ષ થયા છે. એક તરફ રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં રશિયા અને રશિયન પ્રમુખ પુતિન દુનિયાભરમાં વિલન બનીને ઉભર્યા છે. બરાબર એ જ સમયે ભારત-રશિયાના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે એક ટ્વીટ કરીને બંને દેશોના સંબંધોને ૭૫ વર્ષ પૂરા થયાની જાણકારી પણ આપી હતી.

અમેરિકા-યુરોપ સમર્થિત દેશો રશિયાના નેતાઓને આવકાર આપે એવી પરિસ્થિતિ નથી. રશિયાના નેતાઓ જો કોઈ દેશની મુલાકાત કરે તો એ દેશ દુનિયાની આંખે ચડે એવી સ્થિતિ વચ્ચે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતમાં આવી ગયા. ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની જાહેરાત કરી એ સાથે જ અમેરિકાના કાન સરવા થયા. એક તરફ ભારત રશિયાના વિદેશમંત્રીને આવકાર આપે છે, બીજી તરફ ભારતના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રી અમેરિકાની મુલાકાત પણ કરે છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે લાંબી ટેલિફોનિક ચર્ચા કરે છે. ને બીજી તરફ નરેન્દ્ર મોદી-બાઈડન વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ પણ થાય છે. અમેરિકા ભારતને વ્યૂહાત્મક અને વિશ્વાસુ ભાગીદાર ગણાવે છે. અમેરિકન અધિકારીઓ એમ પણ કહે છે કે રશિયા-ભારતના સંબંધોમાં અમેરિકા દખલ કરશે નહીં. એ ભારતની આંતરિક બાબત છે. બીજી તરફ અમેરિકાના જ સત્તાપક્ષના સાંસદો રશિયા સાથે સંરક્ષણ સોદા કરવા બદલ ભારત ઉપર આકરા પ્રતિબંધોની ભલામણો સંસદગૃહમાં રજૂ કરે છે. અમેરિકન અધિકારીઓ ભારત ઉપર પ્રતિબંધો મૂકવાની બાબતે વિચારણા ચાલે છે એવા નિવેદનો પણ થોડા થોડા સમયે વહેતા કરે છે.

આ નિવેદનોથી એવું કહી શકાય કે અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે? ના. બિલકુલ નહીં. આ નિવેદનો અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલન બરાબર થાય છે તેનો પુરાવો છે! ભારત-રશિયાના સંબંધો મુદ્દે અમેરિકાના વિરોધાભાસી નિવેદનો એ કોઈ સંકલનના અભાવનું પરિણામ નથી, એ ભારત તરફની અમેરિકાની વિદેશનીતિનો એક ભાગ છે. અમેરિકાએ બહુ જ વિચારીને અમલી બનાવેલી વ્યૂહરચના છે.

અમેરિકા ઈચ્છતું નથી કે ભારત-રશિયાના રાજદ્વારી સંબંધો ખૂબ ગહેરા થાય. ચીનનો ડર બતાવીને, સંરક્ષણ-વેપારના પ્રતિબંધોનો ભય દેખાડીને, યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અપાવવાનું ગાજર લટકાવીને, ભરોસેમંદ સાથીદારના નિવેદનોથી પંપાળીને અમેરિકા હંમેશા એ પેરવીમાં રહે છે કે ભારત રશિયા સાથેના સંબંધો માપમાં રાખે. ભારત ચીનની જેમ રશિયાનું સાવ નજીકનું સાથી બની જાય તો લાંબાંગાળે મુશ્કેલી સર્જાય એ અમેરિકા બરાબર સમજે છે. ભારતને જે સમયે, જેવી રીતે સમજાવી શકાય તેમ હોય એવી રીતે સમજાવીને અમેરિકા રશિયાથી દૂર રાખવાની કોશિશ કરે છે. ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તે વખતે અમેરિકાએ એ સોદો રદ્ કરવાના ઘણાં પ્રયાસો કર્યા. ભારત ઉપર પ્રતિબંધની ધમકીઓ પણ આપી, છતાં ભારતે એ સોદો પાર પાડયો એટલે અમેરિકાએ સ્વીકારી લીધું. રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ આપવાની જાહેરાત કરી એ વખતે તો અમેરિકાએ રીતસર ધમકી આપી હતી કે ચીન સાથે યુદ્ધ થશે તો રશિયા બચાવવા નહીં આવે, અમેરિકા જ મદદ કરશે. ક્રૂડ ખરીદવા ભારત મક્કમ રહ્યું એટલે અમેરિકાએ ઢીલ આપી દેવી પડી.

અહીં સવાલ એ થાય કે અમેરિકા આવું શું કામ કરે છે? રશિયા પર પ્રતિબંધ છતાં ભારત સંરક્ષણ અને વેપારના સોદા કરે છે તો પછી ભારત પર સીધો પ્રતિબંધ લાગુ પાડીને જગત જમાદારીનો પાવર બતાવવાને બદલે અમેરિકાએ કેમ આવી નરમ-ગરમ નીતિ અપનાવે છે?

જવાબ છે ઃ ચીન-વેપાર-આઈટી ટેકનોલોજી-સંરક્ષણ સોદા. અમેરિકા ભારત-રશિયાના સંબંધોના નામે જો કોઈ આક્રમક પગલું ભરે તો ભારત-રશિયા-ચીનની ધરી શકે છે. અમેરિકાની વિવિધ ડિફેન્સ થિંક ટેન્ક છેલ્લાં પાંચ વર્ષથી ગાજી ગાજીને કહે છે કે રશિયા કરતા અમેરિકાને સૌથી વધુ ખતરો ચીનનો છે. ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકા ભારત સાથે સંબંધો મજબૂત બનાવીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પક્કડ મજબૂત બનાવવા માગે છે. ચીનને કાઉન્ટર કરવા જ અમેરિકા-ભારત-ઓસ્ટ્રેલિયા-જાપાનનું ક્વાડ સંગઠન રચાયું હતું. ૨૦૦૭માં બનેલું આ સંગઠન છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જ વધુ સક્રિય બન્યું છે. ચીનનો પ્રભાવ જેમ તેમ વધતો જાય છે તેમ તેમ અમેરિકા તેની પક્કડ પણ મજબૂત બનાવવા પ્રયાસો કરે છે. ચીન સાથે લાંબી સરહદ ધરાવતા ભારત સાથે સંરક્ષણ સંબંધો હોય તો જરૂર પડયે ચીનનું નાક દબાવી શકાય એવી અમેરિકાની ગણતરી છે.

બીજું કારણ બંને દેશો વચ્ચેનો વેપાર છે. અમેરિકા-ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૧૩ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોમાં દર વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાય છે. એક કારણ ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી છે. અમેરિકાની સૌથી વિશાળ આઈટી ઈન્ડસ્ટ્રી ભારતીય આઈટી કંપનીઓ અને ભારતીય આઈટી નિષ્ણાતો પર નિર્ભર છે. ચીને અમેરિકાને જવાબ આપવા આઈટી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કર્યો છે અને ભારતીય નિષ્ણાતોને મોટા પગારની ઓફર કરે છે. અમેરિકામાં જઈને કારકિર્દી બનાવવાનું આકર્ષણ હોવા છતાં હવે ભારતના આઈટી નિષ્ણાતો ચીની કંપનીઓના પ્રસ્તાવો સ્વીકારતા થયા છે. જો ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી ચીન તરફી થઈ જાય તો અમેરિકાની મોનોપોલી તૂટી જવાનો ભય પણ ખરો.

ભારતને ગમે તેમ કરીને સાચવવાનું એક મહત્વનું કારણ છે - સંરક્ષણ સોદા. ભારતમાં અમેરિકન ડિફેન્સ કંપનીઓ રોકાણ કરવા માગે છે. અમેરિકા સૌથી મોટો સંરક્ષણ નિકાસકાર દેશ છે અને ભારત સૌથી મોટો ખરીદદાર દેશ છે. છેલ્લાં એકાદ-દોઢ દશકાથી ભારત-અમેરિકા વચ્ચે ડિફેન્સ સોદા વધ્યા છે. રશિયા ઉપરાંત હવે ભારતે અમેરિકા સાથે પણ અબજો ડોલરના સંરક્ષણ સોદા પાર પાડયા છે. અમેરિકા હથિયારોના સૌથી મોટા ગ્રાહકને ગુમાવવા માગતું નથી.

ટૂંકમાં, ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલે તેમ નથી. અમેરિકાને ભારત સાથે વેપાર વગર ચાલે તેમ નથી. અમેરિકા ભારત-રશિયાના સંબંધો તરફ નરમ-ગરમ રહે છે તે પાછળ એક લાંબું વિચારીને અમલી બનાવેલી વિદેશનીતિ જવાબદાર છે.

Friday 15 April 2022
Posted by Harsh Meswania

સોશિયલ મીડિયાના બિઝનેસમાં ઈલોન મસ્કની એન્ટ્રી થતાં હરીફાઈ રસપ્રદ બનશે

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


દુનિયાના પહેલા નંબરના ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સત્તાવાર રીતે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં એન્ટ્રી લીધી છે. વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં ઝડપભેર રોકાણ કરી રહેલા ઈલોન મસ્ક સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવાથી નવાં સમીકરણો રચાશે

**********************

ઈલોન મસ્કે અગાઉ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં તે બાબતે ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું, એમાં ઘણાં યુઝર્સે ટ્વિટરને જ ખરીદીને એમાં સુધારા-વધારાની સલાહ આપી હતી. કદાચ મસ્કે એ સલાહ ગંભીરતાથી લઈને ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદ્યો લાગે છે!

***********************


૨૬૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઈલોન મસ્કે ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદીને બોર્ડમાં એન્ટ્રી લીધી છે. ઈલોન મસ્કે ટ્વિટરમાં એન્ટ્રી લીધી તેની ઘણી દૂરગામી અસરો થશે. દુનિયાભરના રોકાણકારો ટ્વિટર તરફ વળશે. યુઝર્સનો અવાજ બનીને મસ્ક ટ્વિટરમાં આવ્યા હોય એવી છાપ અત્યારે તો પડી છે. મસ્ક જ્યાં રોકાણ કરે ત્યાં દુનિયાભરના રોકાણકારો નાણા રોકે છે. ટેસ્લાના વાર્ષિક સરવૈયામાં દુનિયાને જાણ થઈ કે મસ્કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તો ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી થઈ તેનાથી સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે ચાલતી હરીફાઈ વધારે રસપ્રદ બનશે.

ઈલોન મસ્ક નવી જનરેશનમાં બેહદ પોપ્યુલર છે. ટ્વિટરમાં જ તેના આઠેક કરોડ ફોલોઅર્સ છે. ટ્વિટરના બોર્ડમાં સામેલ નહોતા થયા તે પહેલાંથી જ મસ્ક ટ્વિટરમાં ખૂબ એક્ટિવ છે. કેટલીય નવી જાહેરાતો તેમણે ટ્વિટરના માધ્યમથી કરી છે. તેમણે થોડા મહિના પહેલાં ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું. નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં? તે બાબતે તેમણે લોકોની સલાહ લીધી હતી. એ વખતે ઘણાં યુઝર્સે મસ્કને સલાહ આપી હતી કે ટ્વિટર ખરીદી લો અને એમાં જે જરૂરી લાગે તે સુધારા કરી નાખો! કદાચ મસ્કે એ સલાહને ગંભીરતાથી લીધી લાગે છે. ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો તે ગાળામાં જ મસ્કે બીજું એક સર્વેક્ષણ પણ ટ્વિટરમાં કરાવ્યું હતું, એમાં ટ્વિટર યુઝર ફ્રેન્ડલી છે કે નહીં તે પૂછવામાં આવ્યું હતું અને સાથે સાથે ઉમેર્યું હતું કે આ સર્વેક્ષણમાં બહુ જ ધ્યાનથી જ જવાબ આપજો, તેની દૂરગામી અસરો થશે.

મસ્ક ટ્વિટરના યુઝર તરીકે અગાઉ એડિટ બટનની ભલામણ કરી ચૂક્યા છે. ટ્વિટરમાં એક વખત ટ્વીટ્સ થાય પછી તેને એડિટ કરી શકાતી નથી. ફેસબુક એડિટની સુવિધા આપે છે. ટ્વિટરમાં એડિટ બટનની માગણી ઘણા વખતથી થાય છે. ટ્વીટ્સમાં કંઈ ભૂલ રહી જાય કે બીજું કંઈ પણ હોય, ટ્વીટ ડિલિટ જ કરવી પડે છે. એ જ ટ્વીટમાં કંઈ સુધારો અથવા સ્પષ્ટતા ઉમેરવી હોય તો બીજી ટ્વીટ કરવી પડે છે. આ માગણી ઉપરાંત શબ્દોની મર્યાદા વધારવાથી લઈને બધા જ યુઝર્સને વીડિયો-વોઈસની મર્યાદા વધારીને એક સરખી આપવાની ડિમાન્ડ થાય છે. આ બાબતો ઈલોન મસ્કની એન્ટ્રી પછી કદાચ બદલાઈ જશે. મસ્ક ખુદ ટ્વિટરમાં એડિટ બટનની તરફેણમાં છે. યુઝર્સના વોઈસ તરીકે મસ્કે જ્યારે ટ્વિટર બોર્ડમાં પ્રવેશ કર્યો છે ત્યારે એડિટ બટન ઉમેરાય એવી શક્યતા તો પહેલાં જ દિવસથી વ્યક્ત થઈ રહી છે. તે ઉપરાંત મસ્ક ટ્વિટરની ટીકા એ વાતે કરતા કે ટ્વિટર ફ્રી સ્પીચના ધોરણોનું પાલન કરતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે વખતે મસ્કે તેમને ય તેમની વાત મૂકવાનો અધિકાર છે એવો મત વ્યક્ત કર્યો હતો. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સ્થાપક જેક ડોર્સીએ મસ્કના સૂચનોને ગંભીરતાથી લેવાના સંકેતો આપ્યા છે. તેના પરથી અટકળો શરૂ થઈ છે કે મસ્ક ઘણાં ફેરફારો કરીને ટ્વિટરને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ બનશે.

મસ્કના કારણે સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે હરીફાઈ રસપ્રદ બનશે. ફેસબુક ટ્વિટરની સરખામણીમાં ઘણી મોટી કંપની છે. ફેસબુકે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ખરીદીને સોશિયલ મીડિયામાં તેનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. એક્ટિવ યુઝર્સની બાબતે પણ ફેસબુક ક્યાંય આગળ છે. મન્થલી ફેસબુક યુઝર્સનો આંકડો ૨૮૦ કરોડ છે. જ્યારે ટ્વિટરના ડેઈલી એક્ટિવ યુઝર્સ ૨૧ કરોડ જેટલાં છે. મન્થલી એક્ટિવ યુઝર્સનો આંકડો ૩૫ કરોડથી વધારે નથી. આવા સંજોગોમાં ટ્વિટરે ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયામાં પ્રભાવ જાળવી રાખવા માટે પ્રયાસો કરવા જરૂરી છે, એ પ્રયાસોના ભાગરૂપે જ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ઈલોન મસ્કની એન્ટ્રી કરાવી છે. ડોર્સીના આ એક જ પગલાંથી સોશિયલ મીડિયામાં સમીકરણો બદલાઈ જશે.

મસ્ક જેવા દુનિયાના નંબર-વન ઉદ્યોગપતિની ટ્વિટરમાં એન્ટ્રી થાય તો તેનાથી ફેસબુક પણ ચેતી જશે. જેક ડોર્સી ફેસબુકનો જેટલો વિરોધ નથી કરતાં એટલો વિરોધ મસ્ક કરે છે. મસ્કની આ આક્રમકતા ફેસબુકને લાંબાંગાળે ભારે પડશે નહીં એ જોવું રસપ્રદ થઈ પડશે.

માર્ક-મસ્ક વચ્ચે અણબનાવ

ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક વચ્ચે અણબનાવ જૂનો છે. ૨૦૧૬માં સ્પેસએક્સના રોકેટે ભૂલથી ફેસબુકના સેટેલાઈટને તોડી પાડયો હતો ત્યારે બંને વચ્ચે ચકમક ઝર્યા હતા. માર્ક ઝકરબર્ગે તે બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ઝકરબર્ગે કહ્યું હતું કે સ્પેસએક્સ તો નિષ્ફળ જાય એમાં ખાસ નવાઈ નથી, પરંતુ મારો સેટેલાઈટ તોડી પાડયો તે ઘણાં ઉદ્યોગ સાહસિકોને ઈન્ટરનેટ આપતો હતો. એ પછી મસ્કે વળતો જવાબ આપીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે મફતમાં તેમને સેટેલાઈટ લોચિંગની સુવિધા આપી હતી, પણ એ નિર્ણય ભૂલ ભરેલો હતો. ૨૦૧૭માં બંને વચ્ચ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મુદ્દે દલીલો થઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ખાસ તો વર્ચ્યુઅલ રિયાલિટી બાબતે ઈલોન મસ્કે ટ્વિટરમાં ફેસબુકની ટીકા કરી હતી.


તે વખતે ઝકરબર્ગે જવાબમાં મસ્કના વલણની ઝાટકણી કાઢી હતી. બંને વચ્ચેનો અણબનાવ વધારે લાઉડ થયો હતો ૨૦૧૮માં, જ્યારે ફેસબુક સામે યુરોપિયન સંઘે પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બ્રિટિશ એનાલિટિકાનો વિવાદ સર્જાયો હતો. એ વખતે મસ્કે ટેસ્લાના બધા જ ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યા હતા. તેની જાહેરાત ટ્વિટરમાં કરી હતી. મસ્કે ટ્વિટરમાં લખ્યું હતું કે આ નિર્ણય રાજકીય નથી. મને ફેસબુક ગમતું નથી એટલે મેં ડિલિટ કરી નાખ્યું. મસ્કે તે પછીના વર્ષોમાં ફેસબુક ડિલિટ કરવાની ટ્વિટરમાં ઝુંબેશ ચલાવી હતી. એમાંય કેપિટલ હિલ્સમાં હિંસા થઈ ને ફેસબુક પોસ્ટની ભૂમિકા સામે આવી ત્યારે મસ્કે એ ઝુંબેશ આક્રમક કરી દીધી હતી. ફેસબુક નફરત ફેલાવતી પોસ્ટને ઉત્તેજન આપે છે.

પોતાના ફાયદા માટે આવી પોસ્ટને વધારે રીચ અપાવે છે ત્યાં સુધીના આરોપો મસ્કે મૂક્યા હતા. મસ્કે તો વોટ્સએપને બદલે સિગ્નલ વાપરવાની ભલામણ ટ્વિટરના યુઝર્સને કરી હતી. ફેસબુકના માર્ક ઝકરબર્ગે મસ્કના આ વલણની ઝાટકણી કાઢવાની સાથે સાથે જેફ બેઝોસ સાથે પણ દોસ્તી બનાવી લીધી છે. એક સમયે જેફ બેઝોસ ઝકરબર્ગની કટાક્ષમાં ટીકા કરતા હતા, પણ હવે હરીફના હરીફો દોસ્ત બન્યા હોવાથી જ ફેસબુકે મેટાવર્સની જાહેરાત કરી તે પહેલાં સેટેલાઈટ ઈન્ટરનેટનો આખો પ્રોજેક્ટ બેઝોસને આપી દીધો હતો. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી આ બંને માટે પણ મહત્વની બની રહેશે.

Friday 8 April 2022
Posted by Harsh Meswania

ચીને પાકિસ્તાન-શ્રીલંકા-નેપાળની જેમ સોલોમનને પણ કંગાળ બનાવીને વશમાં લીધો

 


 

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

શ્રીલંકા-પાકિસ્તાન-નેપાળની જેમ ચીને ટાપુસમુહના દેશ સોલોમનને કંગાળ કરી દીધું અને હવે આર્થિક મદદના બહાને ટાપુઓ ઉપર કબજો જમાવવાનું શરૃ કર્યું છે. સોલોમનના ટાપુઓમાં ચીનની હાજરીથી પ્રશાંત ક્ષેત્રની શાંતિ ડહોળાશે

******************

તાઈવાન સાથે ગાઢ સંબંધો ધરાવતા સોલોમને ચીન સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા પછી દેશમાં ચીનના વિરોધમાં સતત હિંસા પણ થાય છે, છતાં સોલોમનના ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે ચીનને ૭૫ વર્ષના ભાડાપટ્ટે તુલાગી ટાપુ આપી દીધો


૧૫૬૮નું વર્ષ હતું. સ્પેનિશ દરિયાખેડૂ અલ્વારો ડી મેન્ડેના પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પહોંચ્યો. અહીં પહોંચનારો એ પહેલો યુરોપિયન હતો. અલ્વારોએ પ્રાચીન રાજા સોલોમનના નામ પરથી ટાપુનું નામ પાડયું - સોલોમન ટાપુઓ. એવું કહેવાય છે કે બાઈબલમાં ઓફિર નામના જે શહેરનો ઉલ્લેખ છે એ શહેર સોલોમન હોવાનું માનીને અલ્વારોએ એ નામ પાડયું હતું.
સમયાંતરે આ ટાપુઓ બ્રિટનના કબજામાં આવ્યા અને છેક ૧૯૭૮ સુધી એ બ્રિટિશ સોલોમન ટાપુઓ એવા નામથી ઓળખાતા. બ્રિટને આ ટાપુઓના દેશને સ્વતંત્ર કર્યો ત્યારથી બ્રિટિશ સોલોમન આઈસલેન્ડમાંથી બ્રિટિશ શબ્દ હટી ગયો અને સત્તાવાર સોલોમન આઈસલેન્ડ એવું નામ થયું.
સોલોમનના બંધારણમાં બ્રિટનનાં રાણી એલિઝાબેથનું આધિપત્ય સ્વીકારાયું છે, પરંતુ સત્તા વડાપ્રધાનના હાથમાં રહે છે. ગવર્નર જનરલનું બંધારણીય પદ અસ્તિત્વમાં છે, પણ ગવર્નરના હાથમાં મર્યાદિત સત્તા હોય છે. છ મોટા ટાપુઓ ને ૯૦૦ જેટલાં ટચૂકડા ટાપુઓનું સંચાલન ૫૦ સભ્યોની સંસદ તેમ જ વડાપ્રધાનના હાથમાં રહે છે. સાંસદોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
આ સોલોમન ટાપુઓમાં સતત રાજકીય અસ્થિરતા સર્જાતી રહે છે. સંસદમાં વારંવાર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાતો રહે છે. રાજકીય પક્ષો ખાસ સક્ષમ નથી. વારંવાર એકબીજા પક્ષોની સત્તા બદલતી રહે છે એટલે શાસકીય સ્થિરતા જણાતી નથી. સોલોમન ટાપુઓનું આમ બીજી રીતે ખાસ વૈશ્વિક રાજનીતિમાં મહત્વ નથી, પરંતુ મધદરિયે આવેલા આ ટાપુ દેશનું વ્યૂહાત્મક મહત્વ ચોક્કસ છે. બ્રિટને વર્ષો સુધી પ્રશાંત ક્ષેત્રના આ ટાપુઓને કબજામાં રાખીને તેનો વેપાર-સંરક્ષણ સહિતના વિવિધ હેતુઓથી તેનો ઉપયોગ કર્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી પણ આ ટાપુઓ ઉપર બ્રિટનનો ઘણો પ્રભાવ હતો. અમેરિકાએ પણ સોલોમનનું વ્યૂહાત્મક મહત્વ પારખીને તેની સાથે કરારો કર્યા હતા. સોલોમન ટાપુઓની આસપાસ અમેરિકાની હાજરી પણ નોંધાતી હતી. ચીને ઓશેનિયા તરીકે ઓળખાતા ભૌગોલિક વિસ્તારમાં પ્રભાવ પાથરવા રણનીતિ અમલમાં મૂકી અને ૨૦૧૫ પછી ચીનને એ રણનીતિનું પરિણામ પણ મળવા લાગ્યું.
સોલોમનને તાઈવાન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો હતા, પરંતુ ચીને એક પછી એક પાસા ફેંકીને સોલોમન-તાઈવાનના સંબંધો બગાડયા. સોલોમને ૨૦૧૯માં સત્તાવાર રીતે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પૂરા કર્યા અને ચીન સાથે જોડાણનો નવો અધ્યાય આરંભ્યો. સોલોમનના વર્તમાન વડાપ્રધાન માનાશેહ સોગાવરનું વલણ ચીન તરફી છે. તાઈવાને તો ત્યાં સુધી આરોપ મૂક્યો હતો કે ચીને સોલોમન સંસદમાં પૈસા વેરીને ચીન સાથે સંબંધો બનાવવા અને તાઈવાન સાથે સંબંધો કાપી નાખવાનો પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો.
એ ગાળામાં ચીન અને સોલોમન વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. ચીને સોલોમનનો તુલાગી ટાપુ ખરીદી દીધો હોવાનો દાવો એ સમયે થયો હતો. સોલોમન સરકારે ટાપુ ભાડે આપ્યાના અહેવાલો ૨૦૧૯માં આવ્યા ત્યારથી આ ટાપુ દેશમાં ઘણાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ૨૦૨૦માં તો પાટનગર હોનિયારામાં હિંસક પ્રદર્શનો થયા હતા. સોલોમનની સરકારને જે સમજાતું નથી તે સોલોમનના નાગરિકો સમજે છે. સોલોમનના નાગરિકોએ ચીનને વિસ્તારવાદી ગણાવીને સરકારને તાઈવાન સાથે સંબંધો ફરીથી સ્થાપવાની માગણી કરી હતી, પરંતુ ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે નિર્ણય બદલ્યો ન હતો.
બે અઢી વર્ષ પછી ફરીથી ચીન-સોલોમન વચ્ચે ડિફેન્સ ડીલ થયાની વિગતો સામે આવતા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે ચિંતા વ્યક્ત કરી છે. સોલોમન ટાપુઓમાં ચીનની હાજરી હોય તો તેની સૌથી વધુ અસર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને થાય. અત્યારે તો સોલોમનના વડાપ્રધાને એ કરાર અંગે ખાસ ફોડ પાડયો નથી. કરાર આંતરિક સુરક્ષા અને ટેકનોલોજી બાબતે એવું કહીને સોલોમન સરકારે તેને સામાન્ય બાબત ગણાવી છે અને અન્ય દેશો આંતરિક બાબતોમાં દખલ કરવાની કોશિશમાં છે એવું નિવેદન આપી દીધું હતું, પણ હકીકત કંઈક અલગ છે. ચીન-સોલોમન વચ્ચે સંરક્ષણ સોદો થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. તુલાગી ટાપુ તો ચીને ૭૫ વર્ષના ભાડાપટ્ટે લઈ લીધો છે. હવે ધીમે ધીમે ચીને ત્યાં ગતિવિધિ વધારી છે અને એ ગતિવિધિમાં હવે ચીનનું લશ્કર સામેલ થયું છે. ઓસ્ટ્રેલિયાના ગુપ્તચર વિભાગે અહેવાલ આપ્યો છે એ પ્રમાણે ચીનનું યુદ્ધજહાજ તુલાગી ટાપુ નજીક તૈનાત થઈ ગયું છે. જો એ દાવો સાચો હોય તો પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સલામતી માટે એ બાબત ખતરારૃપ બની જશે. અત્યારે એ ટાપુઓ નજીક શાંતિ છે. કોઈ લશ્કરી તંગદિલી નથી, પરંતુ ચીન વિશ્વમાં સર્વશક્તિમાન બનવાની મહાત્વાકાંક્ષા લઈને પ્રશાંત ક્ષેત્રમાં જ્યાં તક મળે ત્યાં લશ્કરી મથકો બનાવવાની પેરવીમાં હોવાથી ઓશેનિયાની શાંતિને ડહોળી રહ્યું છે.
જે રીતે ચીને શ્રીલંકા-નેપાળ-પાકિસ્તાન જેવા દેશોને એક યા બીજી રીતે આર્થિક બેહાલ બનાવીને પછી મદદના બહાને વશમાં લઈ લીધા છે એ જ સ્થિતિ સોલોમનની થઈ રહી છે. જેમ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીનના વિરોધમાં હિંસક દેખાવો સામાન્ય થઈ પડયા છે એમ સોલોમનના પાટનગર હોનિયારામાં ચીન વિરોધી દેખાવો કાયમના થઈ ગયા છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઈ છે કે સોલોમનની સરકાર, સોલોમનના નાગરિકો એ આગમાં દાઝી રહ્યા છે અને ચીન એ તાપણામાં રોટી શેકીને મિજબાની માણી રહ્યું છે.
 

તુલાગી ટાપુનો મલ્ટિપલ ઉપયોગ

ચીને જે તુલાગી ટાપુને ભાડે લીધો છે એ ટાપુમાં હવે ચીની કંપનીઓ વિવિધ એકમો બનાવશે. જેમાં મત્સ્ય ઉત્પાદન, નિકાસ, એરપોર્ટ, ઓઈલ અને ગેસની રિફાઈનરી વગેરેનો સમાવેશ થાય છે. અહેવાલોમાં દાવો થયો હતો કે ચીન તુલાગીને બેઝ બનાવીને તેનો વેપાર પણ વધારશે. ચીનથી તુલાગી અને ત્યાંથી પ્રશાંત ક્ષેત્રના અન્ય દેશોમાં પહોંચવાનું ચીનની સરકારે વિચાર્યું છે. તુલાગીમાં સ્થપાનારા ઉદ્યોગ એકમોના રક્ષણના નામે ચીન પહેલાં થોડાંક સૈનિકો ગોઠવશે અને એ પછી સૈન્ય વધારતું જશે. તુલાગી ટાપુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના કબજામાં હતો અને જાપાને તુલાગીના કાંઠે લશ્કરી મથક સ્થાપ્યું હતું.

 

ચીને આ પહેલાં વાનુઆતુમાં પણ લશ્કરી મથક સ્થાપ્યું હોવાનો દાવો થયો હતો. આ ઓશેનિયા દેશ સાથે ચીને આવી જ તરાહથી સંબંધો વિકસાવ્યા છે અને અત્યારે ચીની કંપનીઓ વાનુઆતુમાં આર્થિક રોકાણ કરી રહી છે. કિરિબાતી સાથે ચીનની વાટાઘાટો ચાલી રહી છે. પ્રશાંત ક્ષેત્રના એક પછી એક ટાપુઓમાં ચીન ગુપ્ત રીતે લશ્કરી મથકો બનાવી રહ્યું છે. ચીનની આ નીતિ વહેલામોડી વિશ્વશાંતિ માટે જોખમી બનશે.





Friday 1 April 2022
Posted by Harsh Meswania

શ્રીલંકામાં આર્થિક કટોકટી : ભારત પાસે 'આફત'ને 'અવસર'માં બદલવાનો મોકો!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

 

શ્રીલંકાએ ચીન પાસે ફરીથી મદદ મેળવવા રજૂઆત કરી છે, પરંતુ ચીને સરખો જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ઘેરું બનશે. તેની ભારતમાં અસર થશે. જોકે, ભારત પાસે શ્રીલંકાની આફતને અવસરમાં ફેરવવાની તક પણ રહેશે. શ્રીલંકા ઈચ્છે છે કે શ્રીલંકન બંદરોના વિકાસમાં ભારતનું રોકાણ મળે. જો એવું થાય તો શ્રીલંકા ઉપર ફરીથી ભારતનો પ્રભાવ વધી શકે છે


શ્રીલંકા ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે. એક લીટર દૂધ લેવું હોય તો એક હજાર રૂપિયા ખર્ચવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકો ભાગીને ભારત આવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો શ્રીલંકામાં હજુય આર્થિક સંકટ વધારે ઘેરું બનશે તો ભારતમાં શરણાર્થી કટોકટી સર્જાઈ શકે છે. ભારતના તમિલનાડુમાં શ્રીલંકાથી ભાગીને થોડાંક લોકો આવ્યા હતા. એ લોકોના દાવા પ્રમાણે શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ તો ક્યારની બની ગઈ છે, પરંતુ સ્થિતિ અસહ્ય બની ચૂકી છે.
શ્રીલંકાની આ સ્થિતિ માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ ચીન સૌથી વધુ જવાબદાર છે. શ્રીલંકા દેવામાં ડૂબી ગયું છે. વિદેશી કરજનું સ્તર ખૂબ જ વધી જતાં અર્થતંત્ર અસ્થિર થયું છે. વિદેશી હૂંડિયામણ નવેમ્બર-૨૦૨૧ પ્રમાણે માત્ર ૧.૬ અબજ ડોલરની ઐતિહાસિક નીચલી સપાટીએ હતું. બેરોજગારી વધી ગઈ છે, ફુગાવો બેકાબૂ બનતા મોંઘવારી ફાટી નીકળી છે. જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
ચીને શ્રીલંકાને દેવામાં ડૂબાડી દીધું છે. એકલા ચીનનું જ શ્રીલંકા ઉપર પાંચ અબજ ડોલર જેટલું કરજ છે. આટલું કરજ આપીને ચીને શ્રીલંકાના પોર્ટ શહેરોનો એક પછી એક કબજો લેવાનું ષડયંત્ર રચ્યું છે. શ્રીલંકાએ ભારત, જાપાન જેવા દેશો પાસેથી પણ આર્થિક મદદ લીધી છે, પરંતુ ભારત-જાપાને ચીન જેવી ચાલાકી વાપરી નથી. ચીન જે રીતે પાકિસ્તાનને કરજ આપીને પછી દરેક નિર્ણયોમાં પોતાનું ધાર્યું કરાવે છે એવું જ શ્રીલંકાની બાબતમાં પણ બનવા લાગ્યું છે.
એ સિવાયના કારણો પણ છે. ટૂરિઝમ સેક્ટરને કોરોનાના કારણે મોટો ફટકો પડયો. એ ક્ષેત્ર હજુ એમાંથી બહાર આવી શક્યું નથી. વિદેશી કરજના કારણે વિદેશી હૂંડિયામણનું તળિયું આવી ગયું છે, એટલે શ્રીલંકાની કરન્સીનું મૂલ્ય ગગડી ગયું છે. શ્રીલંકાની સરકારે થોડા સમય પહેલાં ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરી દીધી હતી અને તમામ ફર્ટિલાઈઝર્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એના કારણે કેમિકલ ઈન્ડસ્ટ્રી ભાંગી પડી. આ નિર્ણયથી શ્રીલંકાનું આખું કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થયું અને તેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડી. ઘઊં, ચોખા, દાળ વગેરેની ભારે અછત પ્રવર્તી રહી છે. આ અછતને પહોંચી વળવા શ્રીલંકાએ ફરીથી ૨.૫ અબજ ડોલરની મદદ ચીન પાસે માગી છે. ચીને મદદ આપવાની ખાસ તૈયારી બતાવી નથી એટલે શ્રીલંકા વધારે મુશ્કેલીમાં મૂકાયું છે.
શ્રીલંકાના આર્થિક સંકટની ભારત ઉપર તરત જ અસર થશે. જો શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ગહેરું બનશે તો ભારતમાં લાખો શરણાર્થીઓ આવી જશે અને તેનાથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં મુશ્કેલી ઉભી થશે. આ રાજ્યોમાં શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓ હજુય રહે છે. જો આ વખતે ફરીથી હજારો શરણાર્થીઓ આવે તો આ રાજ્યોના અર્થતંત્ર ઉપર પણ તેની અસર થયા વગર રહે નહીં.
જોકે, શ્રીલંકાની આ આફતને અવસરમાં ફેરવવાની ભારત પાસે તક છે. શ્રીલંકા ઈચ્છે છે કે ભારત શ્રીલંકાને મદદ કરે. શ્રીલંકામાં બંદરોના વિકાસનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ભારત પણ રોકાણ કરે. અત્યારે હંબનટોટામાં ચીને રોકાણ કર્યું છે અને આખા બંદરને વિકસિત કરવાના બહાને ભાડે લઈ લીધું છે. જો ભારતીય કંપનીઓ શ્રીલંકાના બંદરોના પ્રોજેક્ટમાં રોકાણ કરે તો શ્રીલંકામાં ચીનની સાથે સાથે ભારતનો પણ પ્રભાવ વધે. ભારતે આ પહેલાં ૫૦ કરોડ ડોલરનું કરજ શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાએ આ રકમમાંથી પેટ્રોલિયમ ખરીદ્યું હતું. ભારતના વિદેશમંત્રીએ જાન્યુઆરી માસમાં શ્રીલંકાના વિદેશમંત્રી તુલસી રાજપક્ષે સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એ વખતે ભારતે ૨.૪ અબજ ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. એનો ઉપયોગ શ્રીલંકા વેપાર માટે કરી શકે છે. ભારતે સાર્ક કરન્સી વિનિયમ અંતર્ગત શ્રીલંકાને ૪૦ કરોડ ડોલરની વધારાની મદદ પણ કરી હતી. આ મદદ કોરોના પછી આવેલી ગંભીર સ્થિતિ સામે લડવા માટે થઈ હતી. હજુ તો ગત સપ્તાહે જ આર્થિક સંકટ સામે ઝૂઝતા શ્રીલંકાને દવા, ખાદ્યાન્ન, જીવનજરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે ભારતે એક અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી. એ મદદ ભારતે આપેલા કુલ ૨.૪ અબજ ડોલરના રાહત પેકેજનો હિસ્સો હતી.
ચીન શ્રીલંકાના હંબનટોટા જેવા બંદરો ઉપર ગમે તેમ કરીને કબજો કરવા માગે છે. એવું કરીને ચીન ભવિષ્યમાં તેનો લશ્કરી ઉપયોગ કરવા ધારે છે. શ્રીલંકાના બંદરોનો કબજો લઈને ચીન હિંદ મહાસાગરમાં ભારત સામે પડકાર સર્જવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન હાજર હોય એ ભારત માટે ચિંતાનો વિષય છે. આ હંબનટોટા શ્રીલંકા પહેલાં ભારતને આપવા માગતું હતું, પરંતુ વાતચીત આગળ વધી નહીં અને એ દરમિયાન જ ચીને તક ઝડપી લીધી હતી. હવે શ્રીલંકાની આર્થિક કટોકટીના કારણે ભારત પાસેથી ફરીથી શ્રીલંકા ઉપર પ્રભાવ વધારવાનો મોકો સર્જાયો છે. ભારત શ્રીલંકાને મદદ કરે કે આર્થિક રોકાણ કરે તો તેનાથી બંને દેશોના સંબંધો મજબૂત બનશે. ભારત-શ્રીલંકાના સંબંધો પહેલેથી જ મજબૂત હતા. શ્રીલંકા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં ચીનનો પ્રભાવ ઘટે તો એ ભારતના ફાયદામાં રહેશે એ નક્કી છે.
 

શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓની ભારતના નાગરિકત્વ માટે માગણી

૧૯૮૦ના દશકામાં શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતના તટવર્તીય રાજ્યોમાં શરણાર્થી કટોકટી સર્જાઈ હતી. એ વખતે શ્રીલંકાથી તમિલનાડુમાં હજારો શરણાર્થીઓ આવી ગયા હતા. હજુય તમિલનાડુમાં ૧૦૭ કેમ્પોમાં ૬૦ હજાર જેટલા શરણાર્થીઓ રહે છે અને તે સિવાયના અન્ય ૩૦ હજાર શરણાર્થીઓ તમિલનાડુમાં શરણાર્થી કેમ્પોની બહાર રહે છે. સરકારી આંકડાં પ્રમાણે લગભગ ૮૦ હજાર જેટલા શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં રહે છે. ખાનગી અહેવાલો આ આંકડો ૯૩ હજાર હોવાનું કહે છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં મળીને આ આંકડો ઘણો મોટો હોવાનું કહેવાય છે. આ શ્રીલંકન શરણાર્થીઓ હવે ભારતનું નાગરિકત્વ મેળવવાની માગણી કરી રહ્યા છે. તેમની માગણી છે કે શ્રીલંકાની સરકાર તેમને પાછા ફરવાની પરવાનગી આપતી નથી. તેમની પાસે બે જ વિકલ્પ બચ્યા છે. ભારતમાં કાયમી વસવાટ કરવો, અથવા તો આપઘાત કરી લેવો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આ માગણી સાથે ૨૯ શ્રીલંકન તમિલ શરણાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ માગણી દિવસે દિવસે વધારે ઉગ્ર બનતી જતી હોવાથી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે.

 

Friday 25 March 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનમાં એકેય વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી


પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વધુ એક વડાપ્રધાન કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ પદભ્રષ્ટ થઈને ઘરભેગા થવાની તૈયારીમાં છે. વિપક્ષોએ અગાઉ પણ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એ વખતે જેમ તેમ કરીને ઈમરાને ખુરશી બચાવી લીધી હતી. હવે ફરીથી વિપક્ષો એકઠા થયા છે અને આ વખતે પૂરી તૈયારી સાથે ઈમરાનને પદભ્રષ્ટ કરવા મેદાને પડયા છે.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે વડાપ્રધાન બન્યા હતા અને ૧૬ ઓક્ટોબર, ૧૯૫૧ સુધી વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન હતા ત્યારે જ લિયાકત અલીની હત્યા થઈ હતી. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન ટર્મ પૂરી શક્યા ન હતા, એ સિલસિલો પછી તેમના અનુગામી બધા જ વડાપ્રધાનોના કિસ્સામાં દોહરાતો આવ્યો છે. બીજા વડાપ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનને બે વર્ષ પછી ગવર્નર જનરલે (ત્યારે પાકિસ્તાનમાં પ્રમુખપદને બદલે ગવર્નર જનરલની પોસ્ટને બધા પાવર્સ મળ્યા હતા.

ચાર ગવર્નર જનરલ પછી એ પોસ્ટને નાબુદ કરીને પ્રમુખપદની પોસ્ટ ઉભી કરાઈ હતી.) બરતરફ કરી દીધા હતા. તે પછી ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન મુહમ્મદ અલી બોગરા વડાપ્રધાન રહ્યા હતા. તેમને તત્કાલિન ગવર્નર જનરલ ગુલામ મોહમ્મદે પસંદ કર્યા હતા. ગુલામ મોહમ્મદ સારવાર લેવા વિદેશ ગયા ત્યારે તેમણે ઈસ્કંદર મિર્ઝાને એક્ટિંગ ગવર્નર જનરલ બનાવ્યા. ઈસ્કંદરે સત્તા સંભાળી તે સાથે જ ગુલામ હૈદર અને બોગરા બંનેને બરતરફ કરી દીધા અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એ પછી ચૌધરી મોહમ્મદ, હુસૈન શાહીદ, ઈબ્રાહિમ ઈસ્માઈલ, ફિરોઝ ખાન સહિત ચારેક વડાપ્રધાનો ત્રણ વર્ષના ગાળામાં બદલાઈ ગયા. એ પછી અયુબ ખાનનું લશ્કરી શાસન આવ્યું એટલે વડાપ્રધાનની નિમણૂક જ બંધ થઈ ગઈ.

૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ ચાલતો હતો એ વખતે મૂળ બંગાળી મુસ્લિમ નુરુલ અમીનને વડાપ્રધાન બનાવાયા, પરંતુ યુદ્ધમાં પરાજય થયો એટલે અમીન માત્ર ૧૩ દિવસ જ વડાપ્રધાનપદે રહી શક્યા. ૧૯૭૩માં યુસુફ ખાને સત્તા છોડવી પડી. લોકજુવાળ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો તરફી હતો. ભુટ્ટો ૧૯૭૩થી ૧૯૭૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા, પરંતુ ટર્મ પૂરી થાય તે પહેલાં ૧૯૭૭માં જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી શાસન લાગુ કરીને ભુટ્ટોને ફાંસી આપી દીધી. વળી, થોડા વર્ષો વડાપ્રધાનનું પદ નાબુદ થઈ ગયું. ૧૯૮૫માં મોહમ્મદ ખાન જુનેજો વડાપ્રધાન બન્યા, પરંતુ ત્રણ વર્ષ પછી પ્રમુખ ઝીયા ઉલ હક સાથે સંઘર્ષ થતાં સત્તા છોડવી પડી.

૧૯૮૮માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. સૌથી યુવા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બનાવનારા બેનઝીર ભુટ્ટોએ ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. બે અઢી વર્ષમાં જ પ્રમુખ ગુલામ ખાન સાથે સંઘર્ષ થયો અને ભ્રષ્ટાચારના આરોપમાં સરકારને બરતરફ કરવામાં આવી. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી વડાપ્રધાન રહેલા નવાઝ શરિફનો પણ એવો જ અંજામ આવ્યો. નવાઝનો કાર્યકાળ પણ ગુલામ હૈદરે જ અધવચ્ચે પૂરો કરી દીધો.

૧૯૯૩ની ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટોને ફરીથી બહુમતી મળી, બીજી વખત વડાપ્રધાન બનેલા બેનઝીર ભુટ્ટોની બીજી ટર્મ ત્રણ વર્ષ અને ૧૭ દિવસમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સમેટાઈ ગઈ. વળી, નવાઝ શરિફ વડાપ્રધાન બન્યા, પણ કાર્યકાળ બે વર્ષનો જ રહ્યો. પરવેઝ મુશરર્ફે સત્તા હાથમાં લઈ લીધી. ઝફરુલ્લા જમાલી, સૌજત હુસૈન, શૌકત અઝીઝ જેવા ત્રણ વડાપ્રધાનો ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન બદલાયા. એક પણ પીએમની ટર્મ પૂરી ન થઈ. યુસુફ રઝા ગિલાની ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન વડાપ્રધાનપદે રહ્યા, પરંતુ એની હાલત પણ પૂરોગામી જેવી જ થઈ. ટર્મ પૂરી થાય પહેલાં જ સુપ્રીમ કોર્ટના આદેશથી પદ છોડવું પડયું.

૨૦૧૩માં નવાઝ શરિફ ભારે બહુમતીથી ત્રીજી વખત ચૂંટાયા. એ વખતે નક્કી લાગતું હતું કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ટર્મ પૂરી કરતા નથી એ સિલસિલો અટકશે, પરંતુ નાટયાત્મક રીતે ઘટનાક્રમ બદલાયો.૨૦૧૭માં પનામા પેપર્સમાં શરિફનું નામ ખુલ્યું અને મુદ્દો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટેનવાઝની બરતરફીનો આદેશ આપ્યો. એ પછી શાહિદ અબ્બાસીએ ૩૦૦ દિવસ સુધી પીએમપદનો કાર્યભાર સંભાળ્યો. ૨૦૧૮ની ચૂંટણીમાં ઈમરાન ખાનને જનાદેશ મળ્યો. ઈમરાન ખાન વડાપ્રધાનપદે ત્રણ વર્ષ અને ૨૧૧ દિવસ પૂરા કરી ચૂક્યા છે, પરંતુ હવે એના કાર્યકાળમાં દિવસો ગણાઈ રહ્યા હોવાનું કહેવાય છે. એક-બે વખત ઈમરાન ઉપરથી ઘાત ટળી ગઈ હતી, પણ આ વખતે તેમની હાલત પણ પૂરોગામી વડાપ્રધાનો જેવી થાય એવી શક્યતા નકારી શકાતી નથી.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન ૨૨મા વડાપ્રધાન છે. અગાઉના તમામ ૨૧ વડાપ્રધાનોએ અધવચ્ચે કાર્યકાળ અધૂરો મૂકવો પડયો છે અથવા તો અધવચ્ચેથી કાર્યકાળ શરૂ કરવો પડયો છે. એક પણ વડાપ્રધાને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. વડાપ્રધાન ગમે તેવી લોકપ્રિયતા મેળવીને પૂર્ણ બહુમતીથી ચૂંટાયા હોવા છતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગયાના એકથી વધુ ઉદાહરણો પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં નોંધાયા છે.

રસપ્રદ વાત છે કે વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી. તેના પરથી અંદાજ લગાવી શકાય કે પાકિસ્તાનમાં કેવી રાજકીય અસ્થિરતા રહેતી આવી છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પછી ઈમરાન ખાનથી પરિવર્તન આવશે - એના પર નજર રહેશે.

...તો ઈમરાન ખાનની સરકાર પડી જશે!

મોંઘવારી, બેરોજગારી, આર્થિક તંગદિલી જેવા વિવિધ મુદ્દે ઘેરાયેલા ઈમરાન ખાન હવે ચૂંટણીમાં ગરબડીના મુદ્દે પણ ઘેરાયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરીયમ નવાઝે ઈમરાન ખાન સામે ચૂંટણીપંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઈમરાન ખાને છૂટથી સરકારી સંસાધનોનો દૂરૂપયોગ કર્યો હોવાનો આરોપ મૂકીને વિપક્ષોએ ચૂંટણીપંચને ઈમરાન ખાન સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

બીજી તરફ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ તો રજૂ થઈ ચૂક્યો છે. એ મુદ્દે આવતા સપ્તાહે સંસદગૃહમાં વોટિંગ થશે. એમાં વળી, પાકિસ્તાની સેનાના વડા કમર બાજવાએ તટસ્થ રહેવાની જાહેરાત કરીને ઈમરાન ખાનની મુશ્કેલી વધારી દીધી છે. અગાઉ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો ત્યારે ઈમરાન ખાનની સરકારે વિશ્વાસનો મત સાબિત કરી દીધો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ઈમરાન ખાનની સરકારમાં ભાગીદાર એવા ત્રણ પક્ષોએ વિપક્ષ સાથે હાથ મિલાવી લીધો છે. એ ત્રણ પક્ષોના કુલ ૨૦ સાંસદો છે. તે સિવાય નીચલા ગૃહમાં પૂર્વ વડાપ્રધાનો નવાઝ શરિફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષનું સંખ્યાબળ ૧૬૩ થવા જાય છે. ઈમરાન ખાનની સરકાર દાવો કરે છે કે તેમની પાસે ૧૭૯નું સંખ્યાબળ છે, પરંતુ અત્યારે એ ઘટીને ૧૬૨નું થઈ ગયાનો વળતો દાવો થઈ રહ્યો છે. ઈમરાન ખાનની સમર્થક પાર્ટીઓ બીએપી, એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂએ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી, તેનાથી પાકિસ્તાનના પીએમની ચિંતા વધી ગઈ છે.

Friday 18 March 2022
Posted by Harsh Meswania

રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 



ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!


ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...

અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈ
મુદ્ત હુઈ સોચા થા કી ઘર જાયેંગે એક દિન


દુનિયામાં કરોડો લોકોની આ સ્થિતિ છે. ઘણાં શરણાર્થીઓએ વતનમાં પાછા જવાની ઈચ્છા જ મૂકી દીધી છે. એમાં રશિયા-યુક્રેનના યુદ્ધે વધારો કર્યો છે. યુએનની રેફ્યુજી એજન્સીના દાવા પ્રમાણે યુક્રેન-રશિયાના યુદ્ધથી ૧૭ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકો યુદ્ધપ્રભાવિત વિસ્તારોમાં રહેતા હતા. બંને તરફના હુમલાથી બચવા માટે આવા લોકોએ વતન છોડીને સલામત સ્થળની ખોજ શરૂ કરી હતી. કેટલાક પાડોશી દેશોમાં પહોંચ્યા છે, તો કેટલાકે જે દેશમાં આશરો મળે ત્યાં જવા દોટ મૂકી છે.

૨૧મી સદીમાં પણ શરણાર્થીની કટોકટી નિવારી શકાઈ નથી. હજુ તો અફઘાનિસ્તાનની શરણાર્થી કટોકટીનો ઉકેલ આવ્યો ન હતો ત્યાં યુક્રેનના શરણાર્થીઓ ભટકતા થઈ ગયા છે. સીરિયા-નાઈજિરિયા, આફ્રિકન દેશોમાં તો એક-એક દશકાથી લોકો દર-દર ભટકી રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રીતે ઘરવિહોણા થઈને ભટકતું જીવન જીવવા મજબૂર બની જાય છે.

આમ તો વિશ્વમાં ખરેખર કેટલાં લોકો હોમલેસ છે તે કળવું મુશ્કેલ છે. ચોક્કસ આંકડો તો કદાચ ગણ્યા-ગાંઠયાં દેશો પાસેથી મળી શકે. સર્વે તો બધા દેશોમાં થાય છે, પણ કઠણાઈ એ છે કે સર્વેમાં સાચો આંકડો ક્યારેય મળતો નથી. આકાશમાં જોઈને બાળકો તારાની ગણતરી કરે અને પછી થોડીવારે થાકીને ગણતરી પડતી મૂકે એવું હોમલેસ પીપલના કિસ્સામાં પણ થાય છે. ગણતરી ક્યારેય પૂરી થતી નથી.

છતાંય વિવિધ સર્વેક્ષણો પરથી જે તારણ નીકળ્યું હતું એ પ્રમાણે વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ લોકો બેઘર છે. હેબિટેટ ફોર હ્મુમિનિટી નામની વૈશ્વિક સંસ્થાએ તો ૨૦૧૫માં આ આંકડો બહુ મોટો હોવાનું કહ્યું હતું. આ સંસ્થાના દાવા પ્રમાણે દુનિયામાં ૧૬૦ કરોડ લોકો બેઘર છે! પણ આ સંખ્યામાં રહેઠાંણની અપૂરતી સુવિધા ધરાવતા લોકોનો ય સમાવેશ થયો હતો. બીજા અર્થમાં કહીએ તો ક્યાંક ઝુંપડપટ્ટી બાંધીને રહેતા લોકોને પણ બેઘરની યાદીમાં સમાવ્યા હતાં અને એ સાચું ય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ય શબ્દશઃ બેઘર લોકો જેટલાં જ કમભાગી છે. પણ જેમને ઉપર આભ અને નીચે ધરતી જ છે એવા લોકો વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ હોવાના અંદાજ સાથે લગભગ તમામ સર્વેક્ષણો સહમત થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આવા બેઘર લોકો ગરીબ અને વિકાસશીલ દેશોના જ છે. વિકસિત દેશો જેને 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' કહીને ઉતારી પાડે છે એ એશિયા-આફ્રિકાના દેેશોમાં મોટાભાગના નિરાશ્રિતો હશે એવી ધારણાં એક ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય તેવું સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા દેશો એક કરોડ નિરાધારોનું રસ્તે રઝળવા માટેનું આશ્રયસ્થળ છે!

એકલા રશિયામાં જ ૫૦ લાખ બેઘર લોકો રહે છે. અમેરિકામાં ૬ લાખ, જર્મનીમાં ૯ લાખ, ફ્રાન્સમાં ૩ લાખ, ન્યૂઝીલેન્ડમાં ૫ લાખ જેટલા બેઘરો રહે છે. આ સંખ્યા થોડાં વર્ષ પહેલાંના સર્વેક્ષણોના આધારે છે. એ પછી આ બધા દેશોઓ આપમેળે ક્યાં તો સર્વેક્ષણો કર્યા જ નથી, અથવા તો હોશિયારીપૂર્વક આંકડો બહુ ઓછો બતાવ્યો છે!

વિશ્વમાં સૌથી વધુ ૨.૪૫ કરોડ જેટલાં નિરાશ્રિતો એકલાં નાઈજિરિયામાં રહે છે. સાઉથ આફ્રિકામાં ૭૦ લાખ, ઝિમ્બામ્બેમાં ૧૨ લાખ, ઈન્ડોનેશિયામાં ૩૦ લાખ, હોન્ડુરાસમાં ૧૦ લાખ જેટલા હોમલેસ પીપલ રહેતા હોવાનો અંદાજ છે. ચીનમાં તો આવા કોઈ સર્વેક્ષણો થતાં નથી, પણ વિવિધ સંસ્થાઓએ અખબારી અહેવાલોના આધારે અંદાજ કાઢ્યો હતો એ પ્રમાણે ૨૦૧૧માં ચીનમાં લગભગ ૨૫ લાખ લોકો નિરાશ્રિત હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોનો તો આંકડો જ ઉપલબ્ધ નથી. પણ આ દેશોમાં ૭૦ લાખથી ૧ કરોડ લોકો આશ્રય વિહોણા હોવાનું મનાય છે. ભારતમાં પણ ૧૮ લાખ જેટલાં લોકો બેઘર હોવાનું અહેવાલોમાં કહેવાતું આવે છે.

આ આંકડાંમાં હવે યુક્રેન-રશિયાના વધુ ૧૭થી ૨૦ લાખ કમભાગી લોકોનો સમાવેશ થયો છે. યુએનના હાઈકમિશ્નરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું એ પછી તુરંત શરણાર્થીઓની સંખ્યા વધવા માંડી હતી. બે સપ્તાહમાં જ એ આંકડો ૧૭ લાખને પાર પહોંચી ગયો હતો. યુક્રેનમાંથી ભટકીને સાતથી આઠ લાખ લોકો પોલેન્ડમાં આવી ગયા હતા. હંગેરીમાં દોઢ લાખ યુક્રેની નાગરિકો પહોંચ્યા હતા, તો સામ-સામા ફાયરિંગથી જીવ બચાવીને બે લાખ જેટલાં લોકો સ્લોવાકિયા આવી ગયા હતા. યુએને તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી હતી કે જો બંને દેશો કટોકટી ચાલતી રહેશે તો ૪૦ લાખ લોકો શરણાર્થી બની જશે. પાડોશી દેશોની સરહદમાં પ્રવેશવા માટે ૧૦-૧૦ કિલોમીટરની લાંબી લાઈન લગાવીને લોકો ઉભા રહી ગયા છે.

૨૧મી સદી માહિતીની સદી છે, ટેકનોલોજીની સદી છે, સુખ-સુવિધા-સગવડની સદી છે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની સદી છે. સાયન્સની સદી છે, છતાં શરણાર્થી કટોકટી દિવસે દિવસે વકરતી જાય છે. બ્રહ્માંડના ખૂણે ખૂણે હાજરી નોંધાવવા બેતાબ માનવજાત એ માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ૨૧મી સદીના બબ્બે દશકા વીતી જવા છતાં આપણે કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન અને માથે સુરક્ષિત છત, ઘરમાં પીવાનું પાણી, સૂવા માટે સગવડભર્યો બેડ આપી શકવા સક્ષમ બન્યા નથી એ કમનસીબી ગણાવી જોઈએ.

કોરોનાની મહામારીએ એક કરોડ લોકોને સ્થળાંતર માટે મજબૂર બનાવ્યા

કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં એક કરોડ કરતાં વધુ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. કોરોના મહામારી ત્રાટકી ત્યારે શહેરો-કસ્બાઓમાં રહેતા લાખો લોકોએ છેવાડાંના ગામડાંમાં જઈને રહેવા મજબૂર બનવું પડયું હતું. આમેય હિંસા અને કુદરતી આફતોના કારણે દુનિયામાં ચાર કરોડ લોકો પોતાના દેશમાં જ વિસ્થાપિત થઈને જીવન જીવે છે. દુનિયામાં સરેરાશ ૯૫ લોકોમાંથી એક વ્યક્તિ રેફ્યુજી છે અથવા સ્થળાંતર કરીને પોતાના વતનથી દૂર ક્યાંક રહેવું પડે છે. ૮૬ ટકા શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં રહે છે.

2018 થી 2020 દરમિયાન 10 લાખ બાળકો રેફ્યુજી કેમ્પમાં જન્મ્યા

ઉપર આભ ને નીચે જમીન હોય એવી સ્થિતિમાં રહેતા લોકોના કમભાગી બાળકો એક પણ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય એવી સ્થિતિ પણ સર્જાય છે. વિવિધ દેશોમાંથી ભાગીને કોઈ બીજા જ દેશના શરણાર્થી કેમ્પોમાં રહેતા પેરેન્ટ્સને ત્યાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લગભગ ૧૦ લાખ બાળકોનો જન્મ થયો હતો. એમાંથી અડધો અડધ બાળકોને શાળા નસીબ થતી નથી. એમનું જીવન પણ તેમના માતા-પિતાની જેમ યાતનામાં જ વીતે છે.

Friday 11 March 2022
Posted by Harsh Meswania

અમેરિકાની ઘટતી સૈન્ય સક્રિયતા તાઈવાન ગળી જવામાં ચીનને મદદ કરશે!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


યુક્રેન-રશિયાના યુદ્ધ પહેલાં અમેરિકા જેવું ગાજતું હતું એવું વરસ્યું નહીં. સૈન્યશક્તિ, કૂટનીતિ કે આર્થિક પ્રતિબંધો જેવા શસ્ત્રો અમેરિકાએ ઉગામ્યા છતાં રશિયા ઉપર તેની અસર ન થઈ. એ પછી હવે જિનપિંગ તાઈવાનને ગળી જાય તો નવાઈ નહીં રહે.

 

વિદેશનીતિમાં હોંકારા-પડકારા કરવા, ગર્ભિત ધમકીઓ આપવી, ચિમકીભર્યા નિવેદનો વહેતા કરવા, પ્રતિબંધોની વાતો વહેતી કરવી, તંગદિલી વચ્ચે સંવાદ સાધવાની ઈચ્છા જાહેર કરવી, સંવાદ ચાલતો હોય ત્યારે એક બીજા દેશનું નાક દબાવવા ઉશ્કેરણીજનક બયાન રજૂ કરવા, હરિફ દેશના હરિફ સાથે સોદા પાર પાડવા, એ દેશ સાથે મજબૂત સંગઠન કરવું, લશ્કરી કવાયત હાથ ધરવી વગેરેનું ખૂબ મહત્વ છે. એમાં મૂકાયેલા સંકેતનો અભ્યાસ કરીને વિદેશનીતિમાં સામ-સામી રણનીતિ ઘડાતી હોય છે. અમેરિકાને એમાં સારી ફાવટ છે. કોલ્ડવોરના સમયે હોંકારા-પડકારા કરીને જ આમ તો અમેરિકાએ રશિયાને પરાસ્ત કર્યું હતું. દુશ્મન દેશના સમર્થક એવા કોઈ નાના દેશમાં એક નહીં તો બીજી રીતે સૈન્ય ઉતારીને સૌથી મોટા દુશ્મન દેશને મેસેજ આપવો એ અમેરિકાની પદ્ધતિ રહી છે. શક્તિશાળી સૈન્યનું શક્તિપ્રદર્શન કરીને અમેરિકા ધાર્યા નિશાન પાર પાડતું આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક પ્રમુખો બદલાયા છતાં અમેરિકાની વિદેશનીતિમાં ધરમૂળથી કહેવાય એવા ફેરફારો બહુ થયા નથી.

 

પરંતુ છેલ્લાં થોડા સમયમાં જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તે હવે અમેરિકાના આધિપત્ય બાબતે ફેરવિચારણા કરવા પ્રેરે છે. અમેરિકા હોંકારા-પડકારા કરીને કામ કઢાવી જાણે છે તે જગજાહેર થઈ ચૂક્યું છે. વૈશ્વિક સંસ્થાઓને માતબર ફંડિંગ આપીને પોતાની તરફેણમાં લાવવાની અમેરિકાની વ્યૂહરચના હવે અછતી રહી નથી. ઈનફેક્ટ, ચીન અદ્લ એ જ સ્ટ્રેટેજી અજમાવતું થઈ ગયું છે. કોરોના મહામારી વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વલણ ચીન તરફ નરમ રહેતું હતું તેનું એક કારણ ચીનની ફંડિંગ સ્ટ્રેટેજી હતી, જે અમેરિકા પાસેથી કોપી-પેસ્ટ થઈ હતી! અમેરિકાની મોનોપોલી હવે છ-સાત દશકામાં પૂરી થઈ હોય એવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્યને પાછું બોલાવાયું ત્યારે જ વિશ્વભરના નિષ્ણાતોએ એ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો હતો. યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકાના નેતૃત્વમાં નાટોના સૈન્યની સક્રિયતા વખતે એવી ધારણા હતી કે અમેરિકા યુક્રેનને બચાવવા ખરેખર આક્રમક બનશે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ નોતરશે. પરંતુ રશિયાએ હુમલા શરૂ કર્યા ત્યારે અમેરિકાએ ધમકીઓ આપીને કામ ચલાવ્યું. યુક્રેનને રશિયા પાયમાલ કરવા જાણે એકલું મૂકી દીધું. અમેરિકાના ભરોસે યુક્રેને રશિયા સામે લડવાની તૈયારી બતાવી હતી, પરંતુ રશિયાને એક પણ રીતે દબાવવામાં અમેરિકાને સફળતા ન મળી. માત્ર ઠાલી ધમકીઓ આપીને કામ કઢાવી લેવાનો અમેરિકાનો વ્યૂહ ખુલ્લો તો પડયો જ, બેઅસર ય સાબિત થયો.

 

અમેરિકાના વાદળો માત્ર ગર્જના કરશે, વરસશે નહીં એ જોયાં પછી રશિયા તો આક્રમક બન્યું જ બન્યું, ચીન પણ સક્રિય થયું છે. યુક્રેન-રશિયાની આખી સ્થિતિના આધારે, એ જ પદ્ધતિથી ચીન તાઈવાન ઉપર હુમલો કરીને ચીનનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની તૈયારીમાં પડી ગયું  છે. દુનિયાનું ધ્યાન રશિયા-યુક્રેન કટોકટી ઉપર મંડાયેલું હોવાથી ચીન-તાઈવાનની ગતિવિધિ ખાસ નજરે ચડતી નથી. અવારનવાર તાઈવાનની વાયુસીમામાં ઘૂસી જતાં ચીનના યુદ્ધવિમાનો ગમે ત્યારે તાઈવાનના એકાદ શહેરને નિશાન બનાવી શકે છે. યુક્રેન તો હજુય મોટો દેશ છે અને લડત આપી શકવાની સ્થિતિમાં છે. તાઈવાન-ચીનના કિસ્સામાં તો એવી શક્યતા જ ઓછી છે. તાઈવાનનું ચીનને લડત આપવાનું કોઈ જ ગજુ નથી. ચીને યુદ્ધજહાજોનો કાફલો પણ તાઈવાનની જળસીમા નજીક ગોઠવીને રાખ્યો છે. તાઈવાને અનેક વખત એવી દહેશત વ્યક્ત કરી છે કે ચીન ગમે ત્યારે હુમલો કરી શકે છે. ચીનની છેલ્લાં થોડા દિવસની ગતિવિધિના આધારે ફરીથી એ ભીતિ ઉપસી છે. આ સપ્તાહે ચીનના નવ યુદ્ધવિમાનોનો કાફલો તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસ્યો હતો. શક્તિપ્રદર્શન કરીને એ કાફલો પાછો ફર્યો હતો.

 

એ ઘટનાના થોડા દિવસ પછી ચીન તરફથી ફુગ્ગા ઉડતા ઉડતા તાઈવાનમાં આવી પહોંચ્યા હતા. એ લશ્કરી ફુગ્ગાઓ હવામાનનો અભ્યાસ કરી રહ્યા હોવાનો દાવો થયો હતો, પરંતુ ફુગ્ગાના આધારે એક મેપ બનતો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. યુક્રેન-રશિયાના કિસ્સામાં અમેરિકાની ખાસ અસર વર્તાઈ નહીં એ સમજ્યા પછી ચીને તાઈવાન નજીક સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે. યુક્રેન મુદ્દે રશિયાને સમર્થન આપીને ચીન તાઈવાનના કેસમાં રશિયાનું સમર્થન મેળવશે. અમેરિકાના ઠાલા હોંકારા-પડકારા કરીને ડરાવશે, કોઈ એક્શન લેશે નહીં એ માન્યતા યુક્રેન-રશિયા કટોકટીમાં વધુ સ્ટ્રોંગ બની છે. ચીન તેનો ફાયદો ઉઠાવવા બેતાબ છે.


અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનની ચર્ચા શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન સાથે ઝંપલાવવા માગે છે એટલે પ્રમુખપદની ચૂંટણી હાર્યા પછી ય બાઈડનની નીતિની ટીકા કરતા રહે છે. બાઈડનની વિદેશનીતિને ભૂલભરેલી ગણાવીને ટ્રમ્પે એકથી વધુ વખત ઝાટકણી કાઢી છે. અફઘાનિસ્તાનમાંથી સૈન્યને પાછું ખેંચવાના બાઈડનના નિર્ણયની પણ ટ્રમ્પે ટીકા કરી હતી. યુક્રેન-રશિયાના મુદ્દે અમેરિકાએ માત્ર ગર્જના કરી તેને ટ્રમ્પે ખૂબ જ આઘાતજનક ગણાવીને બાઈડનને વિદેશનીતિમાં, કૂટનીતિમાં સરિયામ નિષ્ફળ ગણાવ્યા હતા. અમેરિકાએ નાટોના સૈન્યને એક્ટિવ કરવાની જરૂર હતી એમ માનતા ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડને અફઘાનિસ્તાન અને યુક્રેનના કેસમાં પીછેહઠ કરીને અમેરિકાનું આધિપત્ય ઓછું કર્યું છે. પૂર્વ પ્રમુખના કહેવા પ્રમાણે યુક્રેન-રશિયાના કેસને જોયા પછી ચાલાક જિનપિંગ તાઈવાન ઉપર હુમલો કરશે અને યુક્રેન-રશિયાને ટાંકીને વિશ્વને એમાં દખલગીરી કરતા અટકાવશે. ટ્રમ્પે કહ્યુંઃ ચીનના ચાલાક પ્રમુખ જિનપિંગ બધુ જ જોઈ રહ્યા છે. ચીનના પ્રમુખ તો યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકા બેઅસર દેખાયું તેનાથી ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. અમેરિકાનું શાસન બેવકૂફ લોકોના હાથમાં હોવાથી તાઈવાનના સાર્વભૌમત્વ સામે પડકાર ખડો થયો છે.

 

ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરના વિદેશનીતિના નિષ્ણાતો તાઈવાન ચીનના હુમલાનો ભોગ બનશે એવી દહેશત વ્યક્ત કરવા લાગ્યા છે. આ બંનેનું જોઈને બીજા દેશો પણ આવું કરતા થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!

વર્લ્ડ અપડેટ

- યુક્રેન ઉપર રશિયાના હુમલા પછી એપલ, નેટફ્લિક્સ, ગૂગલ જેવી ટોચની કંપનીઓએ રશિયામાં સર્વિસ બંધ કરી હતી. વિશ્વભરની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ આ રીતે રશિયા ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી.

- યુક્રેન-રશિયા કટોકટીના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. ભાવ કાબૂમાં રહે તે માટે અમેરિકા ત્રણ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ દુનિયાને આપશે. એમાં ૩૦ દેશોનો સહકાર મળશે.

- વર્લ્ડ બેંકે રશિયા અને બેલારૂસના બધા જ પ્રોજેક્ટને રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. યુક્રેન ઉપર થયેલા હુમલાના વિરોધમાં વર્લ્ડ બેંકે આ પગલું ભર્યું હતું.

- ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. અમેરિકાએ શરૂઆતથી જ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો એ પછી અમેરિકાને વધુ એક બહાનુ મળી ગયું છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના અધિકારીઓ છૂટાછવાયા નિવેદનો આપીને કહી રહ્યા છે કે અમેરિકા ભારત ઉપર પ્રતિબંધ મૂકશે.

Friday 4 March 2022
Posted by Harsh Meswania

 યુક્રેન કટોકટી : રશિયા પર ભારત આર્થિક-સંરક્ષણ ક્ષેત્રના પ્રતિબંધ મૂકે તે માટે અમેરિકા-યુરોપનું દબાણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને આર્થિક બાબતોમાં અસર પડયા વગર રહેશે નહીં


યુદ્ધસ્ય કથાઃ રમ્યાઃ. કહે છે, યુદ્ધની કથાઓ રમ્ય-મનોહર હોય છે, પરંતુ યુદ્ધ સ્વયં ક્યારેય મનોહર હોતું નથી. યુદ્ધ કાયમ ખુવારી લઈને જ આવે છે. કોઈપણ યુદ્ધ તેની અસર છોડયા વગર જતું નથી. એવી જ અસર હવે દુનિયાએ ભોગવવાની આવી છે.

અમેરિકાની વારંવારની ચેતવણીઓને અવગણીને આખરે રશિયાએ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી કરી દીધી છે. યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ થયાના દાવા વચ્ચે નાટો સંગઠન સક્રિય બન્યું છે. યુક્રેનના સમર્થનમાં આવવાની અગાઉથી જાહેરાત કરનારા નાટોનું સૈન્ય મેદાનમાં ઉતર્યું કે તરત આ જંગ યુક્રેન-રશિયાનો રહેશે નહીં, અમેરિકા-રશિયાનો જંગ બની જશે. આવી સ્થિતિમાં દુનિયાભરમાં વત્તા-ઓછા અંશે તેની અસર પડવાની શક્યતા છે અને એમાં ભારત પણ બાકાત રહેશે નહીં.

ભારતે વધુ એક વખત નેહરુની બિનજોડાણવાદની નીતિ અપનાવ્યે છૂટકો છે. કારણ કે ભારતને રશિયા અને અમેરિકા બંને સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધો છે. રશિયા સાથે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે ભારત છેલ્લા ૬૦ વર્ષથી કરાર કરતું આવ્યું છે. તો અમેરિકા સાથેના સંરક્ષણ સંબંધો છેલ્લાં દોઢ-બે દશકાથી વધ્યા છે. અમેરિકા-ભારતના સંબંધો પણ આર્થિક, સંરક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રમાં મજબૂત છે. જો ભારત સ્પષ્ટ રીતે કોઈ એક દેશનું સમર્થન કરવાની ભૂલ કરે તો લાંબાંગાળે તમામ ક્ષેત્રમાં તેની અસર થયા વગર ન રહે. અમેરિકા ભલે જગત જમાદાર છે, પરંતુ આપણે તો રશિયા વગર પણ ચાલે તેમ નથી. ભારતના ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ રશિયાના સહયોગથી ચાલે છે. અમેરિકા જ્યારે ભારતને અમુક સંરક્ષણ સામગ્રી આપતું ન હતું ત્યારે રશિયાએ આપવાની પહેલ કરી હતી. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ પણ રશિયાએ આપી છે.

ભારતની સરકાર આ મુદ્દે બિનજોડાણવાદની નીતિ અપનાવીને તટસ્થ રહેશે તો ય અમેરિકા અને યુરોપિયન સંઘના દબાણથી બચવાનું કામ કૂનેહથી કરવું પડશે. ભારત જેવા જે મહત્વના દેશો છે તેમનો સીધો નહીં તો આડકતરો ટેકો લઈને અમેરિકા રશિયા ઉપર હાથ ઉપર રાખવાની પેરવી કરશે. અમેરિકા વધુ એક વખત એ સિદ્ધ કરવાની કોશિશ કરશે કે આજેય અમેરિકાના સમર્થનમાં દુનિયાભરના દેશો ઉભા રહ્યા છે. એવું કરવા માટે અમેરિકા ભારત જેવા તટસ્થ દેશોને એમ તો નહીં કહે કે તમે ય સૈન્ય મોકલો, પરંતુ બીજી રીતે દબાણ લઈ આવશે. રશિયાની આક્રમકતાને ઓછી કરવા માટે પાઠ ભણાવવો જરૂરી છે અને એના માટે પ્રતિબંધો મૂકવા જરૂરી છે - એવી દલીલ કરીને અમેરિકા પ્રતિબંધો મૂકશે.

અમેરિકાના નેતૃત્વમાં નાટોને દેશો રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લાગુ પાડશે. તે અંતર્ગત રશિયા સાથે સંરક્ષણ અને આર્થિક સોદા અટવાઈ પડશે. રશિયામાંથી આયાત ઓછી કરીને તેને આર્થિક ફટકો પાડવાનું અમેરિકાનું પહેલું લક્ષ્ય છે. એવું કરવા માટે ભારત ઉપર વહેલા મોડું દબાણ આવશે. દોસ્તીની દુહાઈ આપીને અમેરિકા-બ્રિટન-યુરોપિયન સંઘ ભારત સમક્ષ રશિયા ઉપર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરશે.

એમાં સૌથી પહેલા હશે સંરક્ષણ સોદો. આમેય ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો થયો તે અમેરિકાને ક્યાયનો ખટકે છે. અત્યારે તો જેમ તેમ કરીને ભારતે અમેરિકાને એસ-૪૦૦ની જરૂરિયાત વિશે સમજાવીને વાત ટાળી હતી, પરંતુ અમેરિકા તેનું મહત્વ સાબિત કરવા વચ્ચે વચ્ચે દાણો દબાવી જાણે છે. થોડા મહિના પહેલાં જ્યારે ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન શરૂ કર્યું ત્યારે અમેરિકાનું નિવેદન આવ્યું હતું કે હજુ અમેરિકન સરકારે ભારત સામે આ સોદા બદલ પ્રતિબંધ મૂકવાનું સાવ માંડી વાળ્યું નથી. એ અંગે વિચારણા ચાલે છે.

હવે જ્યારે યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ત્યારે ભારત ઉપર વધુ એક વખત દબાણ થશે. ઈરાન-અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા અને ઈરાને ન્યૂક્લિયર બનાવવા માટે બેફામ યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવા માંડયો ત્યાર અમેરિકાએ ભારત ઉપર દબાણ કર્યું હતું કે ભારતની સરકાર ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરી દે. ભારતે એ દબાણમાં આવીને થોડી બ્રેક પણ લગાવી હતી. અદ્લ એ જ તર્જ ઉપર અમેરિકા ભારતને દબાણ કરશે કે રશિયા ઉપર પ્રતિબંધો લાગુ કરો. ભારત એવું કરે તો એમાં રશિયાને તો નુકસાન ખરું જ, પરંતુ ભારતને પણ ફટકો પડયા વગર ન રહે.

ભારત-રશિયાના ડિફેન્સ સોદાઓમાં લાંબાંગાળાની અસરો પડે. ઘણાં કરારો ઘોંચમાં પડી જાય. રશિયા-યુક્રેનની કટોકટીના પગલે રશિયા ઉપર પ્રતિબંધ મૂકાવવાનું શરૂ થશે કે તરત જ ખનિજતેલના ભાવ એકાએક વધી જશે. તેની સીધી અસર ભારતને થશે. ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ખનિજતેલ આયાત કરનારો દેશ છે. ભારતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયે પહોંચી ચૂક્યું છે ત્યારે હવે જો ક્રૂડના બેરલના ભાવ વધે તો ભાવવધારો કાબૂ બહાર પહોંચી જાય. પેટ્રોલિયમના ભાવ વધે તે સાથે જ ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ઔર મોંઘું થાય. એની સાથે સાથે અનાજ કરિયાણું પણ મોંઘું થાય. ટ્રાન્સપોર્ટેશન સાથે જેને સીધો સંબંધ છે એવી શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થોડો વધારે ભાવવધારો ઝીંકાશે.

રાહત એ વાતે છે કે ભારત એ સિવાયની ચીજવસ્તુઓ રશિયાથી આયાત નથી કરતું. ભારત-રશિયા વચ્ચે નિયમિત આયાત-નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના એક્સપોર્ટમાં રશિયાની હિસ્સેદારી માત્ર ૦.૮ ટકા છે. તો ભારતના ઈમ્પોર્ટમાં પણ રશિયાની હિસ્સેદારી ૧.૫ ટકાથી વધારે નથી. ૨૦૨૦-૨૧માં ભારતે રશિયાને ૨.૬ અબજ ડોલરની નિકાસ કરી હતી અને ૫.૫ અબજ ડોલરની આયાત કરી હતી. તેના કારણે ચીજવસ્તુઓની અછતનો મુદ્દો સર્જાય એવી શક્યતા બહુ જ ઓછી છે.

પરંતુ હા, ભારતને અમેરિકા-યુરોપિયન દેશો સાથે મોટાપાયે આર્થિક વહેવારો છે. જો અમેરિકા અને યુરોપિયન સંઘ ભારત ઉપર એમ દબાણ લાવે કે રશિયા સાથે સંબંધો કાપી નાખો નહીંતર યુરોપ-અમેરિકા સાથેના સંબંધો ઉપર આયાત-નિકાસમાં અસર થશે તો ભારતને મુશ્કેલીમાં મૂકાવું પડે. એમ ન થાય તો ય ભારતમાં આ યુદ્ધની અસર પડયા વગર ન રહે. આ યુદ્ધથી યુરોપમાં આર્થિક-રાજકીય કટોકટી સર્જાય તો તેની સીધી અસર ભારતના આયાત-નિકાસ પર પડશે.

અમેરિકા-રશિયાના ઘર્ષણથી ચીનને ફાયદો

 
કોરોના મહામારી પછી દુનિયાભરમાં ચીન વિલન બની ગયું હતું. દુનિયાભર આખી ચીનની અવળચંડાઈ સામે અમેરિકાના સમર્થનમાં દેખાતી હતી. ચીન-અમેરિકાની ટ્રેડવોરથી ચીનની સરકારી કંપનીઓને મોટો ફટકો પડયો હતો. ચીને ઘણું માર્કેટ ગુમાવવું પડયું હતું. પરંતુ હવે દુનિયાને (ખાસ તો અમેરિકા અને નાટોને) રશિયા નામનો નવો વિલન મળી ગયો છે. ચીન આ ઘર્ષણનો લાભ લઈને આર્થિક પગપેસારો વધારશે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉઈઘુર મુસ્લિમો, વેપારમાં અસમાનતા, દક્ષિણ ચીની સમુદ્ર, માનવ અધિકારો જેવા મુદ્દે ચીનને ઘેરવાની અમેરિકાની નીતિ હતી, પરંતુ હવે રશિયા કેન્દ્ર સ્થાને આવી ગયું હોવાથી ચીન આ બંને દેશોની લડાઈમાં ચુપચાપ પોતાની શક્તિ-સામર્થ્ય વધારવામાં પડી ગયું છે.
Friday 25 February 2022
Posted by Harsh Meswania

નેપાળ : અમેરિકા-ચીનની પાવરગેમનો શિકાર બનેલો દેશ

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા




નેપાળમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ ચીનના હિતો જાળવવા કેટલીય નેપાળની પાર્ટીઓ સક્રિય થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ નિર્ણય લેવા માટે 10 દિવસનો સમય આપીને વડાપ્રધાન પર દબાણ વધાર્યું છે

 મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન. જ્યોર્જ બુશે અમેરિકાની આ એજન્સીની સ્થાપના ૨૦૦૪માં કરી હતી. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે સેતુ રચાય તે માટે આ એજન્સી બની હોવાનું એ વખતે જ્યોર્જ બુશે કહ્યું હતું. એ એજન્સીના માધ્યમથી અમેરિકાએ ગરીબ દેશોને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. વિકાસ સાધવા માગતા દેશો જો અમેરિકાએ નક્કી કરેલા માપદંડોમાં બંધ બેસે તો તેમને રસ્તા બાંધવા કે વીજ ઉત્પાદન કરવામાં અમેરિકા કરશે એવી જાહેરાત થઈ હતી. એ માટે પહેલા વર્ષે જ અમેરિકન કોંગ્રેસે ૬૫ કરોડ ડોલરનું ફંડ ફાળવ્યું હતું. આ એજન્સીની સ્થપના થઈ તેના પહેલા જ વર્ષે ૧૭ દેશો એ ગ્રાન્ટ મેળવવા માન્ય ઠર્યા હતા. જોકે, વિવિધ પ્રક્રિયા ચાલતી રહી એટલે ૨૦૦૬ સુધી એકેય દેશને ગ્રાન્ટ મળી ન હતી. માડાગાસ્કર અને હોન્ડુરાસ આ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવનારા પ્રથમ બે દેશો બન્યા હતા. ગરીબ-અમીર દેશો વચ્ચે સેતુ બનાવવાના ભાગરૂપે શરૂ થયેલી આ એજન્સીના માધ્યમથી અમેરિકાનો મૂળ હેતુ આવા દેશો ઉપર પ્રભાવ વધારવાનો હતો. ખાસ તો રશિયા- ચીનના વધતા પ્રભાવ વચ્ચે અમેરિકાએ જગત જમાદારી જાળવી રાખવા માટે આ ગ્રાન્ટ શરૂ કરી હતી.


આ ગ્રાન્ટ મેળવવા ૨૦ માપદંડો બનાવવામાં આવ્યા છે. એમાંથી જેટલા માપદંડોનું પાલન વધારે થતું હોય એ દેશને ગ્રાન્ટ માટે માન્ય ગણવામાં આવે છે. નાનકડા દેશોને મૂળભૂત સુવિધા વિકસાવવા માટે આ રકમ મળે છે. ૬૦થી ૭૦ રકમ અમેરિકા આપે છે અને તે સિવાયની રકમ જે તે દેશની સરકાર પ્રોજેક્ટ માટે ફાળવે છે. ૨૦૧૭માં નેપાળ રસ્તા બાંધવા અને વીજ ઉત્પાદન કરવાના હેતુ માટે ગ્રાન્ટ મેળવવા યોગ્ય ઠર્યું હતું. મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના માપદંડોમાં ખરો ઉતરનારો નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો. અમેરિકાએ નેપાળને ૫૦ કરોડ ડોલરની રકમ આપવાની તૈયારી બતાવી હતી. એ પછી નેપાળની રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ એટલે કોર્પોરેશન સાથેનો કરાર લટકી ગયો.

હવે અમેરિકાએ નેપાળની સરકાર સામે નવી ડેડલાઈન મૂકી હોવાથી નેપાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્રાન્ટની રકમ મેળવવી હોય તો ૨૮મી ફેબુ્રઆરી સુધીમાં નેપાળની સંસદ એને મંજૂરી આપે નહીંતર કરાર રદ્ ઠરાવીશું એવું નિવેદન મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના પ્રમુખે આપ્યું તે પછી નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સક્રિય બન્યા છે, પણ વડાપ્રધાનની સક્રિયતા ચીની સમર્થક નેતાઓને ખૂંચી છે. જો નેપાળ અમેરિકાની આ સહાય મેળવે તો એનો પ્રભાવ વધે. એવું થાય તે ચીનને બિલકુલ માન્ય નથી. ચીનની દોરવણીથી નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિરોધ શરૂ કર્યો છે. તેના પગલે પગલે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના સહયોગી નેતાઓ - પુષ્પ કમલ દહલ અને માધવ નેપાલે પણ આ કરાર સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.

 

૨૮ મી ફેબુ્રઆરી પહેલાં નેપાળની સંસદમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના કરારને મંજૂર કરવા માટે વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ગઠબંધન સહયોગીઓ પુષ્પ કમલ દહલ અને માધવ નેપાળ સાથે બેઠક કરી હતી. બંને નેપાળની સંસદમાં સમર્થન આપીને આ કરાર મંજૂર કરાવે તેવી માગણી શેર બહાદુરે મૂકી હતી, પરંતુ સહયોગી પાર્ટીના નેતાઓ એ બાબતે આડા ફાટયા છે. ગઠબંધન સહયોગીએ વડાપ્રધાનને એવું સૂચન કર્યું કે અમેરિકા પાસેથી વધુ છ મહિનાનો સમય મેળવવો જોઈએ. પરંતુ અમેરિકા એવી રજૂઆત માન્ય કરશે નહીં એ સમજતા શેર બહાદુરે નેપાળના વિકાસ માટે આ કરારને મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો.

50 કરોડ ડોલરની આ રકમમાં નેપાળ 10.3 કરોડ ડોલરની રકમ ઉમેરાશે અને એ ફંડમાંથી નેપાળમાં પાવર ટ્રાન્સમિશન લાઈન નાખવાની સાથે સાથે ૩૦૦કિલોમીટરના હાઈ-વે અપડેટ થઈ જશે. આગામી ચૂંટણી પહેલાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની નેપાળના વડાપ્રધાનની ગણતરી છે. આ ગ્રાન્ટથી અમેરિકા-નેપાળ વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. ભવિષ્યમાં અમેરિકા સાથે બીજા આર્થિક કરારો કરવાનું સરળ બનશે. અમેરિકા-નેપાળના કરારો થાય તો ચીનનો પ્રભાવ ઘટે. કેપી શર્મા ઓલી ચીન સમર્થક નેતા છે. ઓલી વડાપ્રધાન હતા ત્યારે ચીનના ઈશારે ભારત-નેપાળના સંબંધો પણ બગડયા હતા. ભારતના ઘણાં ગામડાંને નેપાળે એનો હિસ્સો ગણાવીને વિવાદ સર્જ્યો હતો. એ પછી નેપાળમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. ઓલી નેપાળમાં અમેરિકા-ભારતનો પ્રભાવ વધારવાની તરફેણમાં નથી. એટલે જ ચીનના ઈશારે અમેરિકાના આ કરારનો પણ વિરોધ શરૃ થયો છે. ચીન સમર્થિત અન્ય નેતાઓ પણ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીનો વિરોધ કરવા માંડયા છે.

ચીન નેપાળને ગળી જવાની વેતરણમાં છે. સતત આર્થિક બોજમાં દબાવીને નેપાળને આધિન કરવા ઈચ્છતા ચીન માટે અમેરિકાનો આ કરાર અવરોધ સર્જી શકે છે. એક વખત અમેરિકા-નેપાળના સંબંધો મજબૂત બને તો ભારત-નેપાળના સંબંધો ઉપર તેની અસર પડયા વગર રહે નહીં. ચીન આવી સ્થિતિ આવવા દેવા ઈચ્છતું ન હોવાથી અત્યારે નેપાળના નેતાઓને અંદરો અંદર લડાવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડન નેપાળમાં પ્રભાવ પાથરીને ચીનનું નાક દબાવવા માગે છે એટલે અમેરિકાએ ચાર વર્ષ પહેલાં થયેલા કરારની ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરી છે. ચીન અમેરિકાની ચાલને બરાબર સમજે છે એટલે ઓલી સહિતના સમર્થક નેતાઓના જોરે મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની ફાઈલને કચરાપેટીમાં પધરાવી દેવા માગે છે. પણ એ બંનેની પાવરગેમમાં નેપાળ બરાબર સપડાઈ ગયું છે. શેર 'બહાદુર' સાબિત થશે કે પાંજરે પૂરાશે એ જોવું રહ્યું!

વર્લ્ડ અપડેટ

યુક્રેન-રશિયા કટોકટી વચ્ચે નાટોમાં સામેલ થવા બાબતે યુક્રેનના પ્રમુખ જનમત સંગ્રહ કરાવવાની તૈયારીમાં

રશિયાના સમર્થક દેશ બેલારૃસે અણુ બોમ્બની ધમકી આપી હતી. બેલારૃસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકોએ કહ્યું હતું કે જો અમારા ઉપર ખતરો આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરીશું

બ્રાઝીલમાં પૂરપ્રકોપ પછી જમીન ધસી પડવાની ઘટનાઓમાં ૧૦૦નાં મોત, ૫૦૦ લોકો બેઘર થયા

કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ગયો હોવાનો દાવો બ્રિટનના નિષ્ણાતોએ કર્યો હતો. બ્રિટનમાં નવા વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ નોંધાયો હોવાનો દાવો થયો હતો.

દુનિયામાં પ્રથમ વખત એચઆઈવી સંક્રમિત મહિલાનો ઈલાજ થયો. અમેરિકાના તબીબોએ સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટથી સારવાર કરી.
Friday 18 February 2022
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -