- Back to Home »
- World Window »
- ચીને પાકિસ્તાન-શ્રીલંકા-નેપાળની જેમ સોલોમનને પણ કંગાળ બનાવીને વશમાં લીધો
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
શ્રીલંકા-પાકિસ્તાન-નેપાળની જેમ ચીને ટાપુસમુહના દેશ સોલોમનને કંગાળ કરી દીધું અને હવે આર્થિક મદદના બહાને ટાપુઓ ઉપર કબજો જમાવવાનું શરૃ કર્યું છે. સોલોમનના ટાપુઓમાં ચીનની હાજરીથી પ્રશાંત ક્ષેત્રની શાંતિ ડહોળાશે
******************
તાઈવાન સાથે ગાઢ સંબંધો ધરાવતા સોલોમને ચીન સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા પછી દેશમાં ચીનના વિરોધમાં સતત હિંસા પણ થાય છે, છતાં સોલોમનના ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે ચીનને ૭૫ વર્ષના ભાડાપટ્ટે તુલાગી ટાપુ આપી દીધો
૧૫૬૮નું વર્ષ હતું. સ્પેનિશ દરિયાખેડૂ અલ્વારો ડી મેન્ડેના પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પહોંચ્યો. અહીં પહોંચનારો એ પહેલો યુરોપિયન હતો. અલ્વારોએ પ્રાચીન રાજા સોલોમનના નામ પરથી ટાપુનું નામ પાડયું - સોલોમન ટાપુઓ. એવું કહેવાય છે કે બાઈબલમાં ઓફિર નામના જે શહેરનો ઉલ્લેખ છે એ શહેર સોલોમન હોવાનું માનીને અલ્વારોએ એ નામ પાડયું હતું.
સમયાંતરે આ ટાપુઓ બ્રિટનના કબજામાં આવ્યા અને છેક ૧૯૭૮ સુધી એ બ્રિટિશ સોલોમન ટાપુઓ એવા નામથી ઓળખાતા. બ્રિટને આ ટાપુઓના દેશને સ્વતંત્ર કર્યો ત્યારથી બ્રિટિશ સોલોમન આઈસલેન્ડમાંથી બ્રિટિશ શબ્દ હટી ગયો અને સત્તાવાર સોલોમન આઈસલેન્ડ એવું નામ થયું.
સોલોમનના બંધારણમાં બ્રિટનનાં રાણી એલિઝાબેથનું આધિપત્ય સ્વીકારાયું છે, પરંતુ સત્તા વડાપ્રધાનના હાથમાં રહે છે. ગવર્નર જનરલનું બંધારણીય પદ અસ્તિત્વમાં છે, પણ ગવર્નરના હાથમાં મર્યાદિત સત્તા હોય છે. છ મોટા ટાપુઓ ને ૯૦૦ જેટલાં ટચૂકડા ટાપુઓનું સંચાલન ૫૦ સભ્યોની સંસદ તેમ જ વડાપ્રધાનના હાથમાં રહે છે. સાંસદોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
આ સોલોમન ટાપુઓમાં સતત રાજકીય અસ્થિરતા સર્જાતી રહે છે. સંસદમાં વારંવાર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાતો રહે છે. રાજકીય પક્ષો ખાસ સક્ષમ નથી. વારંવાર એકબીજા પક્ષોની સત્તા બદલતી રહે છે એટલે શાસકીય સ્થિરતા જણાતી નથી. સોલોમન ટાપુઓનું આમ બીજી રીતે ખાસ વૈશ્વિક રાજનીતિમાં મહત્વ નથી, પરંતુ મધદરિયે આવેલા આ ટાપુ દેશનું વ્યૂહાત્મક મહત્વ ચોક્કસ છે. બ્રિટને વર્ષો સુધી પ્રશાંત ક્ષેત્રના આ ટાપુઓને કબજામાં રાખીને તેનો વેપાર-સંરક્ષણ સહિતના વિવિધ હેતુઓથી તેનો ઉપયોગ કર્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી પણ આ ટાપુઓ ઉપર બ્રિટનનો ઘણો પ્રભાવ હતો. અમેરિકાએ પણ સોલોમનનું વ્યૂહાત્મક મહત્વ પારખીને તેની સાથે કરારો કર્યા હતા. સોલોમન ટાપુઓની આસપાસ અમેરિકાની હાજરી પણ નોંધાતી હતી. ચીને ઓશેનિયા તરીકે ઓળખાતા ભૌગોલિક વિસ્તારમાં પ્રભાવ પાથરવા રણનીતિ અમલમાં મૂકી અને ૨૦૧૫ પછી ચીનને એ રણનીતિનું પરિણામ પણ મળવા લાગ્યું.
સોલોમનને તાઈવાન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો હતા, પરંતુ ચીને એક પછી એક પાસા ફેંકીને સોલોમન-તાઈવાનના સંબંધો બગાડયા. સોલોમને ૨૦૧૯માં સત્તાવાર રીતે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પૂરા કર્યા અને ચીન સાથે જોડાણનો નવો અધ્યાય આરંભ્યો. સોલોમનના વર્તમાન વડાપ્રધાન માનાશેહ સોગાવરનું વલણ ચીન તરફી છે. તાઈવાને તો ત્યાં સુધી આરોપ મૂક્યો હતો કે ચીને સોલોમન સંસદમાં પૈસા વેરીને ચીન સાથે સંબંધો બનાવવા અને તાઈવાન સાથે સંબંધો કાપી નાખવાનો પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો.
એ ગાળામાં ચીન અને સોલોમન વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. ચીને સોલોમનનો તુલાગી ટાપુ ખરીદી દીધો હોવાનો દાવો એ સમયે થયો હતો. સોલોમન સરકારે ટાપુ ભાડે આપ્યાના અહેવાલો ૨૦૧૯માં આવ્યા ત્યારથી આ ટાપુ દેશમાં ઘણાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ૨૦૨૦માં તો પાટનગર હોનિયારામાં હિંસક પ્રદર્શનો થયા હતા. સોલોમનની સરકારને જે સમજાતું નથી તે સોલોમનના નાગરિકો સમજે છે. સોલોમનના નાગરિકોએ ચીનને વિસ્તારવાદી ગણાવીને સરકારને તાઈવાન સાથે સંબંધો ફરીથી સ્થાપવાની માગણી કરી હતી, પરંતુ ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે નિર્ણય બદલ્યો ન હતો.
બે અઢી વર્ષ પછી ફરીથી ચીન-સોલોમન વચ્ચે ડિફેન્સ ડીલ થયાની વિગતો સામે આવતા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે ચિંતા વ્યક્ત કરી છે. સોલોમન ટાપુઓમાં ચીનની હાજરી હોય તો તેની સૌથી વધુ અસર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને થાય. અત્યારે તો સોલોમનના વડાપ્રધાને એ કરાર અંગે ખાસ ફોડ પાડયો નથી. કરાર આંતરિક સુરક્ષા અને ટેકનોલોજી બાબતે એવું કહીને સોલોમન સરકારે તેને સામાન્ય બાબત ગણાવી છે અને અન્ય દેશો આંતરિક બાબતોમાં દખલ કરવાની કોશિશમાં છે એવું નિવેદન આપી દીધું હતું, પણ હકીકત કંઈક અલગ છે. ચીન-સોલોમન વચ્ચે સંરક્ષણ સોદો થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. તુલાગી ટાપુ તો ચીને ૭૫ વર્ષના ભાડાપટ્ટે લઈ લીધો છે. હવે ધીમે ધીમે ચીને ત્યાં ગતિવિધિ વધારી છે અને એ ગતિવિધિમાં હવે ચીનનું લશ્કર સામેલ થયું છે. ઓસ્ટ્રેલિયાના ગુપ્તચર વિભાગે અહેવાલ આપ્યો છે એ પ્રમાણે ચીનનું યુદ્ધજહાજ તુલાગી ટાપુ નજીક તૈનાત થઈ ગયું છે. જો એ દાવો સાચો હોય તો પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સલામતી માટે એ બાબત ખતરારૃપ બની જશે. અત્યારે એ ટાપુઓ નજીક શાંતિ છે. કોઈ લશ્કરી તંગદિલી નથી, પરંતુ ચીન વિશ્વમાં સર્વશક્તિમાન બનવાની મહાત્વાકાંક્ષા લઈને પ્રશાંત ક્ષેત્રમાં જ્યાં તક મળે ત્યાં લશ્કરી મથકો બનાવવાની પેરવીમાં હોવાથી ઓશેનિયાની શાંતિને ડહોળી રહ્યું છે.
જે રીતે ચીને શ્રીલંકા-નેપાળ-પાકિસ્તાન જેવા દેશોને એક યા બીજી રીતે આર્થિક બેહાલ બનાવીને પછી મદદના બહાને વશમાં લઈ લીધા છે એ જ સ્થિતિ સોલોમનની થઈ રહી છે. જેમ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીનના વિરોધમાં હિંસક દેખાવો સામાન્ય થઈ પડયા છે એમ સોલોમનના પાટનગર હોનિયારામાં ચીન વિરોધી દેખાવો કાયમના થઈ ગયા છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઈ છે કે સોલોમનની સરકાર, સોલોમનના નાગરિકો એ આગમાં દાઝી રહ્યા છે અને ચીન એ તાપણામાં રોટી શેકીને મિજબાની માણી રહ્યું છે.
તુલાગી ટાપુનો મલ્ટિપલ ઉપયોગ
ચીને જે તુલાગી ટાપુને ભાડે લીધો છે એ ટાપુમાં હવે ચીની કંપનીઓ વિવિધ એકમો બનાવશે. જેમાં મત્સ્ય ઉત્પાદન, નિકાસ, એરપોર્ટ, ઓઈલ અને ગેસની રિફાઈનરી વગેરેનો સમાવેશ થાય છે. અહેવાલોમાં દાવો થયો હતો કે ચીન તુલાગીને બેઝ બનાવીને તેનો વેપાર પણ વધારશે. ચીનથી તુલાગી અને ત્યાંથી પ્રશાંત ક્ષેત્રના અન્ય દેશોમાં પહોંચવાનું ચીનની સરકારે વિચાર્યું છે. તુલાગીમાં સ્થપાનારા ઉદ્યોગ એકમોના રક્ષણના નામે ચીન પહેલાં થોડાંક સૈનિકો ગોઠવશે અને એ પછી સૈન્ય વધારતું જશે. તુલાગી ટાપુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના કબજામાં હતો અને જાપાને તુલાગીના કાંઠે લશ્કરી મથક સ્થાપ્યું હતું.
ચીને આ પહેલાં વાનુઆતુમાં પણ લશ્કરી મથક સ્થાપ્યું હોવાનો દાવો થયો હતો. આ ઓશેનિયા દેશ સાથે ચીને આવી જ તરાહથી સંબંધો વિકસાવ્યા છે અને અત્યારે ચીની કંપનીઓ વાનુઆતુમાં આર્થિક રોકાણ કરી રહી છે. કિરિબાતી સાથે ચીનની વાટાઘાટો ચાલી રહી છે. પ્રશાંત ક્ષેત્રના એક પછી એક ટાપુઓમાં ચીન ગુપ્ત રીતે લશ્કરી મથકો બનાવી રહ્યું છે. ચીનની આ નીતિ વહેલામોડી વિશ્વશાંતિ માટે જોખમી બનશે.