Posted by : Harsh Meswania Friday 25 March 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

 

શ્રીલંકાએ ચીન પાસે ફરીથી મદદ મેળવવા રજૂઆત કરી છે, પરંતુ ચીને સરખો જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ઘેરું બનશે. તેની ભારતમાં અસર થશે. જોકે, ભારત પાસે શ્રીલંકાની આફતને અવસરમાં ફેરવવાની તક પણ રહેશે. શ્રીલંકા ઈચ્છે છે કે શ્રીલંકન બંદરોના વિકાસમાં ભારતનું રોકાણ મળે. જો એવું થાય તો શ્રીલંકા ઉપર ફરીથી ભારતનો પ્રભાવ વધી શકે છે


શ્રીલંકા ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે. એક લીટર દૂધ લેવું હોય તો એક હજાર રૂપિયા ખર્ચવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકો ભાગીને ભારત આવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો શ્રીલંકામાં હજુય આર્થિક સંકટ વધારે ઘેરું બનશે તો ભારતમાં શરણાર્થી કટોકટી સર્જાઈ શકે છે. ભારતના તમિલનાડુમાં શ્રીલંકાથી ભાગીને થોડાંક લોકો આવ્યા હતા. એ લોકોના દાવા પ્રમાણે શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ તો ક્યારની બની ગઈ છે, પરંતુ સ્થિતિ અસહ્ય બની ચૂકી છે.
શ્રીલંકાની આ સ્થિતિ માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ ચીન સૌથી વધુ જવાબદાર છે. શ્રીલંકા દેવામાં ડૂબી ગયું છે. વિદેશી કરજનું સ્તર ખૂબ જ વધી જતાં અર્થતંત્ર અસ્થિર થયું છે. વિદેશી હૂંડિયામણ નવેમ્બર-૨૦૨૧ પ્રમાણે માત્ર ૧.૬ અબજ ડોલરની ઐતિહાસિક નીચલી સપાટીએ હતું. બેરોજગારી વધી ગઈ છે, ફુગાવો બેકાબૂ બનતા મોંઘવારી ફાટી નીકળી છે. જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
ચીને શ્રીલંકાને દેવામાં ડૂબાડી દીધું છે. એકલા ચીનનું જ શ્રીલંકા ઉપર પાંચ અબજ ડોલર જેટલું કરજ છે. આટલું કરજ આપીને ચીને શ્રીલંકાના પોર્ટ શહેરોનો એક પછી એક કબજો લેવાનું ષડયંત્ર રચ્યું છે. શ્રીલંકાએ ભારત, જાપાન જેવા દેશો પાસેથી પણ આર્થિક મદદ લીધી છે, પરંતુ ભારત-જાપાને ચીન જેવી ચાલાકી વાપરી નથી. ચીન જે રીતે પાકિસ્તાનને કરજ આપીને પછી દરેક નિર્ણયોમાં પોતાનું ધાર્યું કરાવે છે એવું જ શ્રીલંકાની બાબતમાં પણ બનવા લાગ્યું છે.
એ સિવાયના કારણો પણ છે. ટૂરિઝમ સેક્ટરને કોરોનાના કારણે મોટો ફટકો પડયો. એ ક્ષેત્ર હજુ એમાંથી બહાર આવી શક્યું નથી. વિદેશી કરજના કારણે વિદેશી હૂંડિયામણનું તળિયું આવી ગયું છે, એટલે શ્રીલંકાની કરન્સીનું મૂલ્ય ગગડી ગયું છે. શ્રીલંકાની સરકારે થોડા સમય પહેલાં ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરી દીધી હતી અને તમામ ફર્ટિલાઈઝર્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એના કારણે કેમિકલ ઈન્ડસ્ટ્રી ભાંગી પડી. આ નિર્ણયથી શ્રીલંકાનું આખું કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થયું અને તેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડી. ઘઊં, ચોખા, દાળ વગેરેની ભારે અછત પ્રવર્તી રહી છે. આ અછતને પહોંચી વળવા શ્રીલંકાએ ફરીથી ૨.૫ અબજ ડોલરની મદદ ચીન પાસે માગી છે. ચીને મદદ આપવાની ખાસ તૈયારી બતાવી નથી એટલે શ્રીલંકા વધારે મુશ્કેલીમાં મૂકાયું છે.
શ્રીલંકાના આર્થિક સંકટની ભારત ઉપર તરત જ અસર થશે. જો શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ગહેરું બનશે તો ભારતમાં લાખો શરણાર્થીઓ આવી જશે અને તેનાથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં મુશ્કેલી ઉભી થશે. આ રાજ્યોમાં શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓ હજુય રહે છે. જો આ વખતે ફરીથી હજારો શરણાર્થીઓ આવે તો આ રાજ્યોના અર્થતંત્ર ઉપર પણ તેની અસર થયા વગર રહે નહીં.
જોકે, શ્રીલંકાની આ આફતને અવસરમાં ફેરવવાની ભારત પાસે તક છે. શ્રીલંકા ઈચ્છે છે કે ભારત શ્રીલંકાને મદદ કરે. શ્રીલંકામાં બંદરોના વિકાસનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ભારત પણ રોકાણ કરે. અત્યારે હંબનટોટામાં ચીને રોકાણ કર્યું છે અને આખા બંદરને વિકસિત કરવાના બહાને ભાડે લઈ લીધું છે. જો ભારતીય કંપનીઓ શ્રીલંકાના બંદરોના પ્રોજેક્ટમાં રોકાણ કરે તો શ્રીલંકામાં ચીનની સાથે સાથે ભારતનો પણ પ્રભાવ વધે. ભારતે આ પહેલાં ૫૦ કરોડ ડોલરનું કરજ શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાએ આ રકમમાંથી પેટ્રોલિયમ ખરીદ્યું હતું. ભારતના વિદેશમંત્રીએ જાન્યુઆરી માસમાં શ્રીલંકાના વિદેશમંત્રી તુલસી રાજપક્ષે સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એ વખતે ભારતે ૨.૪ અબજ ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. એનો ઉપયોગ શ્રીલંકા વેપાર માટે કરી શકે છે. ભારતે સાર્ક કરન્સી વિનિયમ અંતર્ગત શ્રીલંકાને ૪૦ કરોડ ડોલરની વધારાની મદદ પણ કરી હતી. આ મદદ કોરોના પછી આવેલી ગંભીર સ્થિતિ સામે લડવા માટે થઈ હતી. હજુ તો ગત સપ્તાહે જ આર્થિક સંકટ સામે ઝૂઝતા શ્રીલંકાને દવા, ખાદ્યાન્ન, જીવનજરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે ભારતે એક અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી. એ મદદ ભારતે આપેલા કુલ ૨.૪ અબજ ડોલરના રાહત પેકેજનો હિસ્સો હતી.
ચીન શ્રીલંકાના હંબનટોટા જેવા બંદરો ઉપર ગમે તેમ કરીને કબજો કરવા માગે છે. એવું કરીને ચીન ભવિષ્યમાં તેનો લશ્કરી ઉપયોગ કરવા ધારે છે. શ્રીલંકાના બંદરોનો કબજો લઈને ચીન હિંદ મહાસાગરમાં ભારત સામે પડકાર સર્જવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન હાજર હોય એ ભારત માટે ચિંતાનો વિષય છે. આ હંબનટોટા શ્રીલંકા પહેલાં ભારતને આપવા માગતું હતું, પરંતુ વાતચીત આગળ વધી નહીં અને એ દરમિયાન જ ચીને તક ઝડપી લીધી હતી. હવે શ્રીલંકાની આર્થિક કટોકટીના કારણે ભારત પાસેથી ફરીથી શ્રીલંકા ઉપર પ્રભાવ વધારવાનો મોકો સર્જાયો છે. ભારત શ્રીલંકાને મદદ કરે કે આર્થિક રોકાણ કરે તો તેનાથી બંને દેશોના સંબંધો મજબૂત બનશે. ભારત-શ્રીલંકાના સંબંધો પહેલેથી જ મજબૂત હતા. શ્રીલંકા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં ચીનનો પ્રભાવ ઘટે તો એ ભારતના ફાયદામાં રહેશે એ નક્કી છે.
 

શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓની ભારતના નાગરિકત્વ માટે માગણી

૧૯૮૦ના દશકામાં શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતના તટવર્તીય રાજ્યોમાં શરણાર્થી કટોકટી સર્જાઈ હતી. એ વખતે શ્રીલંકાથી તમિલનાડુમાં હજારો શરણાર્થીઓ આવી ગયા હતા. હજુય તમિલનાડુમાં ૧૦૭ કેમ્પોમાં ૬૦ હજાર જેટલા શરણાર્થીઓ રહે છે અને તે સિવાયના અન્ય ૩૦ હજાર શરણાર્થીઓ તમિલનાડુમાં શરણાર્થી કેમ્પોની બહાર રહે છે. સરકારી આંકડાં પ્રમાણે લગભગ ૮૦ હજાર જેટલા શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં રહે છે. ખાનગી અહેવાલો આ આંકડો ૯૩ હજાર હોવાનું કહે છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં મળીને આ આંકડો ઘણો મોટો હોવાનું કહેવાય છે. આ શ્રીલંકન શરણાર્થીઓ હવે ભારતનું નાગરિકત્વ મેળવવાની માગણી કરી રહ્યા છે. તેમની માગણી છે કે શ્રીલંકાની સરકાર તેમને પાછા ફરવાની પરવાનગી આપતી નથી. તેમની પાસે બે જ વિકલ્પ બચ્યા છે. ભારતમાં કાયમી વસવાટ કરવો, અથવા તો આપઘાત કરી લેવો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આ માગણી સાથે ૨૯ શ્રીલંકન તમિલ શરણાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ માગણી દિવસે દિવસે વધારે ઉગ્ર બનતી જતી હોવાથી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે.

 

{ 1 comments ... read them below or add one }

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -