- Back to Home »
- World Window »
- રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!
ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...
અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈ
મુદ્ત હુઈ સોચા થા કી ઘર જાયેંગે એક દિન
દુનિયામાં કરોડો લોકોની આ સ્થિતિ છે. ઘણાં શરણાર્થીઓએ વતનમાં પાછા જવાની ઈચ્છા જ મૂકી દીધી છે. એમાં રશિયા-યુક્રેનના યુદ્ધે વધારો કર્યો છે. યુએનની રેફ્યુજી એજન્સીના દાવા પ્રમાણે યુક્રેન-રશિયાના યુદ્ધથી ૧૭ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકો યુદ્ધપ્રભાવિત વિસ્તારોમાં રહેતા હતા. બંને તરફના હુમલાથી બચવા માટે આવા લોકોએ વતન છોડીને સલામત સ્થળની ખોજ શરૂ કરી હતી. કેટલાક પાડોશી દેશોમાં પહોંચ્યા છે, તો કેટલાકે જે દેશમાં આશરો મળે ત્યાં જવા દોટ મૂકી છે.
૨૧મી સદીમાં પણ શરણાર્થીની કટોકટી નિવારી શકાઈ નથી. હજુ તો અફઘાનિસ્તાનની શરણાર્થી કટોકટીનો ઉકેલ આવ્યો ન હતો ત્યાં યુક્રેનના શરણાર્થીઓ ભટકતા થઈ ગયા છે. સીરિયા-નાઈજિરિયા, આફ્રિકન દેશોમાં તો એક-એક દશકાથી લોકો દર-દર ભટકી રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રીતે ઘરવિહોણા થઈને ભટકતું જીવન જીવવા મજબૂર બની જાય છે.
આમ તો વિશ્વમાં ખરેખર કેટલાં લોકો હોમલેસ છે તે કળવું મુશ્કેલ છે. ચોક્કસ આંકડો તો કદાચ ગણ્યા-ગાંઠયાં દેશો પાસેથી મળી શકે. સર્વે તો બધા દેશોમાં થાય છે, પણ કઠણાઈ એ છે કે સર્વેમાં સાચો આંકડો ક્યારેય મળતો નથી. આકાશમાં જોઈને બાળકો તારાની ગણતરી કરે અને પછી થોડીવારે થાકીને ગણતરી પડતી મૂકે એવું હોમલેસ પીપલના કિસ્સામાં પણ થાય છે. ગણતરી ક્યારેય પૂરી થતી નથી.
છતાંય વિવિધ સર્વેક્ષણો પરથી જે તારણ નીકળ્યું હતું એ પ્રમાણે વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ લોકો બેઘર છે. હેબિટેટ ફોર હ્મુમિનિટી નામની વૈશ્વિક સંસ્થાએ તો ૨૦૧૫માં આ આંકડો બહુ મોટો હોવાનું કહ્યું હતું. આ સંસ્થાના દાવા પ્રમાણે દુનિયામાં ૧૬૦ કરોડ લોકો બેઘર છે! પણ આ સંખ્યામાં રહેઠાંણની અપૂરતી સુવિધા ધરાવતા લોકોનો ય સમાવેશ થયો હતો. બીજા અર્થમાં કહીએ તો ક્યાંક ઝુંપડપટ્ટી બાંધીને રહેતા લોકોને પણ બેઘરની યાદીમાં સમાવ્યા હતાં અને એ સાચું ય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ય શબ્દશઃ બેઘર લોકો જેટલાં જ કમભાગી છે. પણ જેમને ઉપર આભ અને નીચે ધરતી જ છે એવા લોકો વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ હોવાના અંદાજ સાથે લગભગ તમામ સર્વેક્ષણો સહમત થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આવા બેઘર લોકો ગરીબ અને વિકાસશીલ દેશોના જ છે. વિકસિત દેશો જેને 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' કહીને ઉતારી પાડે છે એ એશિયા-આફ્રિકાના દેેશોમાં મોટાભાગના નિરાશ્રિતો હશે એવી ધારણાં એક ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય તેવું સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા દેશો એક કરોડ નિરાધારોનું રસ્તે રઝળવા માટેનું આશ્રયસ્થળ છે!
એકલા રશિયામાં જ ૫૦ લાખ બેઘર લોકો રહે છે. અમેરિકામાં ૬ લાખ, જર્મનીમાં ૯ લાખ, ફ્રાન્સમાં ૩ લાખ, ન્યૂઝીલેન્ડમાં ૫ લાખ જેટલા બેઘરો રહે છે. આ સંખ્યા થોડાં વર્ષ પહેલાંના સર્વેક્ષણોના આધારે છે. એ પછી આ બધા દેશોઓ આપમેળે ક્યાં તો સર્વેક્ષણો કર્યા જ નથી, અથવા તો હોશિયારીપૂર્વક આંકડો બહુ ઓછો બતાવ્યો છે!
વિશ્વમાં સૌથી વધુ ૨.૪૫ કરોડ જેટલાં નિરાશ્રિતો એકલાં નાઈજિરિયામાં રહે છે. સાઉથ આફ્રિકામાં ૭૦ લાખ, ઝિમ્બામ્બેમાં ૧૨ લાખ, ઈન્ડોનેશિયામાં ૩૦ લાખ, હોન્ડુરાસમાં ૧૦ લાખ જેટલા હોમલેસ પીપલ રહેતા હોવાનો અંદાજ છે. ચીનમાં તો આવા કોઈ સર્વેક્ષણો થતાં નથી, પણ વિવિધ સંસ્થાઓએ અખબારી અહેવાલોના આધારે અંદાજ કાઢ્યો હતો એ પ્રમાણે ૨૦૧૧માં ચીનમાં લગભગ ૨૫ લાખ લોકો નિરાશ્રિત હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોનો તો આંકડો જ ઉપલબ્ધ નથી. પણ આ દેશોમાં ૭૦ લાખથી ૧ કરોડ લોકો આશ્રય વિહોણા હોવાનું મનાય છે. ભારતમાં પણ ૧૮ લાખ જેટલાં લોકો બેઘર હોવાનું અહેવાલોમાં કહેવાતું આવે છે.
આ આંકડાંમાં હવે યુક્રેન-રશિયાના વધુ ૧૭થી ૨૦ લાખ કમભાગી લોકોનો સમાવેશ થયો છે. યુએનના હાઈકમિશ્નરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું એ પછી તુરંત શરણાર્થીઓની સંખ્યા વધવા માંડી હતી. બે સપ્તાહમાં જ એ આંકડો ૧૭ લાખને પાર પહોંચી ગયો હતો. યુક્રેનમાંથી ભટકીને સાતથી આઠ લાખ લોકો પોલેન્ડમાં આવી ગયા હતા. હંગેરીમાં દોઢ લાખ યુક્રેની નાગરિકો પહોંચ્યા હતા, તો સામ-સામા ફાયરિંગથી જીવ બચાવીને બે લાખ જેટલાં લોકો સ્લોવાકિયા આવી ગયા હતા. યુએને તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી હતી કે જો બંને દેશો કટોકટી ચાલતી રહેશે તો ૪૦ લાખ લોકો શરણાર્થી બની જશે. પાડોશી દેશોની સરહદમાં પ્રવેશવા માટે ૧૦-૧૦ કિલોમીટરની લાંબી લાઈન લગાવીને લોકો ઉભા રહી ગયા છે.
૨૧મી સદી માહિતીની સદી છે, ટેકનોલોજીની સદી છે, સુખ-સુવિધા-સગવડની સદી છે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની સદી છે. સાયન્સની સદી છે, છતાં શરણાર્થી કટોકટી દિવસે દિવસે વકરતી જાય છે. બ્રહ્માંડના ખૂણે ખૂણે હાજરી નોંધાવવા બેતાબ માનવજાત એ માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ૨૧મી સદીના બબ્બે દશકા વીતી જવા છતાં આપણે કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન અને માથે સુરક્ષિત છત, ઘરમાં પીવાનું પાણી, સૂવા માટે સગવડભર્યો બેડ આપી શકવા સક્ષમ બન્યા નથી એ કમનસીબી ગણાવી જોઈએ.
કોરોનાની મહામારીએ એક કરોડ લોકોને સ્થળાંતર માટે મજબૂર બનાવ્યા
કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં એક કરોડ કરતાં વધુ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. કોરોના મહામારી ત્રાટકી ત્યારે શહેરો-કસ્બાઓમાં રહેતા લાખો લોકોએ છેવાડાંના ગામડાંમાં જઈને રહેવા મજબૂર બનવું પડયું હતું. આમેય હિંસા અને કુદરતી આફતોના કારણે દુનિયામાં ચાર કરોડ લોકો પોતાના દેશમાં જ વિસ્થાપિત થઈને જીવન જીવે છે. દુનિયામાં સરેરાશ ૯૫ લોકોમાંથી એક વ્યક્તિ રેફ્યુજી છે અથવા સ્થળાંતર કરીને પોતાના વતનથી દૂર ક્યાંક રહેવું પડે છે. ૮૬ ટકા શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં રહે છે.
2018 થી 2020 દરમિયાન 10 લાખ બાળકો રેફ્યુજી કેમ્પમાં જન્મ્યા
ઉપર આભ ને નીચે જમીન હોય એવી સ્થિતિમાં રહેતા લોકોના કમભાગી બાળકો એક પણ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય એવી સ્થિતિ પણ સર્જાય છે. વિવિધ દેશોમાંથી ભાગીને કોઈ બીજા જ દેશના શરણાર્થી કેમ્પોમાં રહેતા પેરેન્ટ્સને ત્યાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લગભગ ૧૦ લાખ બાળકોનો જન્મ થયો હતો. એમાંથી અડધો અડધ બાળકોને શાળા નસીબ થતી નથી. એમનું જીવન પણ તેમના માતા-પિતાની જેમ યાતનામાં જ વીતે છે.