Archive for December 2012

૨૧ ડિસેમ્બરે પ્રલય થશે? આ આગાહી પહેલી નથી અને છેલ્લી પણ નહીં હોય!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૧ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પૃથ્વી પર પ્રલય આવશે એવી એક માન્યતા ઘણા સમયથી પ્રવર્તતી હતી અને એમાં રોનાલ્ડ એમરિક દિર્ગ્દિશત ફિલ્મ '૨૦૧૨' રિલીઝ થઈ ત્યારથી લોકોની ધારણા થોડી વધુ બળવત્તર બની હતી. જોકે, આવી પ્રલયની ધારણાઓ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે અને આગળ પણ થતી રહેશે. દુનિયાને કશું જ નથી થયું અને ૨૧મી ડિસેમ્બરે પણ કંઈ જ નહીં થાય.

માયા કેલેન્ડર પર થોડો વધુ પડતો વિશ્વાસ રાખનારા લોકોનું માનવું છે કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ માયા કેલેન્ડરનો છેલ્લો દિવસ છે. આ પ્રલયમાંથી બચવા માટેના ઉપાયો પણ આવા લોકોએ ક્યારના શરૂ કર્યા છે. શું ખરેખર આ દિવસે પ્રલય થશે? કે પછી આ એકમાત્ર માન્યતા જ છે? આ અગાઉ પણ સદીઓથી પ્રલયની આવી અસંખ્ય ધારણાઓ થતી આવી છે અને તમામ ખોટી સાબિત થઈ ચૂકી છે,

૧૯મી સદીમાં કયામતની થયેલી ધારણાઓ
૧૯મી સદીની શરૂઆતમાં આવી કેટલીય ધારણાઓ થતી હતી કે હવે દુનિયાનો સમય પૂરો થઈ રહ્યો છે. એમાંથી કોઈકના તર્ક તરફ લોકોએ લક્ષ્ય આપ્યું તો કોઈકની વાતને હસી કાઢી. આવી જ મહત્ત્વની એક આગાહી ૧૮૦૯માં મેરી બેટમેન નામના ત્યારના બહુ આધારભૂત મનાતા ભવિષ્યવેત્તાએ કરી હતી. તેમના મતે એ વર્ષે પૃથ્વી પર ઈશ્વરનું આગમન થવાનું હતું અને એટલે દુનિયા નષ્ટ થઈ જવાની હતી. આ ધારણા પછીથી સદંતર ખોટી પડી હતી. ત્યાર પછી ૧૮૧૪માં જ્હોન સાઉથકોટ નામના એક અધ્યાત્મવાદીએ અને ૧૮૩૬માં જ્હોન વેસ્લી નામના માણસે વધુ એક ભવિષ્યકથન કર્યું હતું કે હવે દુનિયાનો અંત નક્કી છે. આ બંને આગાહીઓ પાયાવિહોણી ઠરી હતી.

ઈંગ્લેન્ડના એક ખેડૂત વિલિયમ મિલરે બાઇબલનાં થોડાં વર્ષોના અભ્યાસ પછી ધારણા કરી હતી કે ૨૩ એપ્રિલ, ૧૮૪૩નો દિવસ પૃથ્વીના પ્રલયનો દિવસ છે. એ જમાનામાં તેની આ વાત માનનારો બહુ મોટો વર્ગ હતો. પ્રલયની ધારણાને સ્વીકારતા આ વર્ગને મિલિરિટાઇસ તરીકે ઓળખવામાં આવતા હતા. લોકો આ આગાહીથી ખૂબ જ ડરી ગયા હતા પણ પછી એ દિવસે એવું કશું જ નહોતું બન્યું કે જેનાથી આ વાત સાચી સાબિત થાય!

૧૮૫૯માં થોમસ પાર્કર અને ૧૮૮૧માં સિમ્ટોન વગેરેએ કયામતની ધારણાઓ બાંધી હતી, પરંતુ એની ખાસ નોંધ લેવાઈ ન હતી. ત્યારપછી છેક ૧૮૯૧માં એક આગાહી થઈ હતી જેનાથી લોકોમાં ભયનું મોજું ફેલાયું હતું. જોસેફ સ્મિથે મર્મન ચર્ચની સ્થાપના કરી હતી અને ત્યાં આવતાં લોકોને તેણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે મહાવિનાશક પ્રલયમાં માનવસભ્યતાનો નાશ થશે. જોકે, આટ-આટલી ધારણાઓ છતાં ૧૯મી સદીમાં એવું કશું જ નહોતું થયું.

૨૦મી સદીમાં થયેલી વિનાશની નિષ્ફળ આગાહીઓ
૧૯૧૦માં કોઈકે એવું ગપ્પું ચલાવ્યું કે પૃથ્વીના પેટાળમાંથી એક ગેસ છૂટશે જેનાથી લોકો મૃત્યુ પામશે અને પૃથ્વી માનવસંસ્કૃતિ વિહીન થશે. ત્યારપછી વચ્ચે વિશ્વયુદ્ધના કારણે હોય કે અન્ય કોઈ કારણ હોય, થોડો વખત આવા આગાહીકર્તાઓએ આગાહી કરવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ડોરોથી માર્ટિન નામના એક અધ્યાત્મવાદીની ૨૧ ડિસેમ્બર,૧૯૫૪ના દિવસે મહાભયાનક પૂર આવશે અને એમાં દુનિયાભરના લોકો તણાઈ જશે એવી આગાહીથી લોકોમાં ફફડાટ ફેલાયા હતો.

૧૯૮૨માં એક ખગોળવિદ્ ક્રિસ્ટોફર રેપ્ચરે અવકાશી અથડામણની આગાહી કરી હતી. તેના મતે અવકાશમાં એવી ઉથલપાથલ મચવાની છે કે જેનાથી પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં આવી જશે અથવા તો પૃથ્વી નાશ પામશે. આ આગાહીને ગંભીરતાથી લેવાનું કારણ હતું અવકાશી અથડામણ. અત્યાર સુધીની આગાહીઓમાં ક્યાંક ને ક્યાંક ર્ધાિમક માન્યતા જવાબદાર હતી, પણ અહીં એમાં વૈજ્ઞાનિક તર્ક ભળ્યો હતો. આ અથડામણની ધારણા પણ અંતે ધ્વસ્ત થઈ. પછી તો ૧૯૯૭ અને ૧૯૯૯માં પણ આવી ર્ધાિમક માન્યતાઓના બળે એક બે આગાહીઓ થઈ હતી, પણ જેમ દરેક વખતે બને છે એમ આ આગાહીઓ પણ ખોટી પડી હતી.

આ પૃથ્વી પર અવકાશી આફતો, સુનામીનો ભય, ધરતીકંપનો ડર, અણુયુદ્ધનો ખતરો, કોઈક અજાણ્યા રોગના ઇન્ફેક્શનનો ઓથાર વગેરે અવારનવાર આવ્યા છે અને કદાચ આવતા રહેશે છતાં પૃથ્વીના પ્રલયની શક્યતા વૈજ્ઞાનિકો સતત નકારતા રહ્યા છે, કેમ કે પૃથ્વી આ પહેલાં જ આવી તો કેટલીય અથડામણની સાક્ષી રહી છે એટલે આવી કોઈ નાનકડી ઘટનાથી પૃથ્વી પર પ્રલય આવી જાય એ વાત માત્ર ભય ફેલાવી શકે, પણ સત્યથી વેગળી છે એ વાતના પુરાવા અને શીખ ભૂતકાળમાંથી મળી જ રહે છે.

નાસાની હૈયાધારણ
વિજ્ઞાન અને અવકાશની બાબતોમાં સૌથી ઓથેન્ટિક મનાતી સંસ્થા નાસાએ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પ્રલય આવશે એવી માન્યતાને પાયાવિહોણી ગણાવી છે. કોઈ સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થવાની બાબતને પ્રલય સાથે સંબંધ જોડવાની બાબતને હાસ્યાસ્પદ ગણાવીને નાસાએ પ્રલયની શક્યતાને ગંભીરતાથી ન લેવાની અપીલ કરી હતી. નાસાના મતે આ વર્ષે નથી સોલાર સુનામીનો ખતરો કે નથી અન્ય અવકાશી અથડામણોની શક્યતા. પૃથ્વીનું ૪૦૦ કરોડ વર્ષનું આયુષ્ય હજુ બાકી છે અને એ પહેલાં પ્રલય થવાની વાતમાં કોઈ જ દમ નથી એવી હૈયાધારણ પણ નાસા દ્વારા આપવામાં આવી છે.
Tuesday 18 December 2012
Posted by Harsh Meswania

ઈલેક્શન સિમ્બોલ્સ: પક્ષનો મિજાજ બતાવીને મત મેળવી આપતા સૈનિકો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રાજકીય પક્ષ માટે તેનાં ચૂંટણી પ્રતીકો ખૂબ જ મહત્ત્વનાં હોય છે. જે તે પાર્ટીનું ચૂંટણી પ્રતીક પક્ષનો મિજાજ છતો કરે છે. એમાં પણ આપણા દેશમાં કે જ્યાં અસાક્ષર કે અલ્પસાક્ષર લોકોની સંખ્યા ઠીક ઠીક મોટી હોય ત્યારે તો પક્ષ માટે સિમ્બોલ જ તેની ઓળખ પ્રસ્થાપિત કરે છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અહીં પ્રસ્તુત છે પોલિટિકલ પાર્ટીઝના સિમ્બોલ્સ અંગે થોડી રસપ્રદ જાણકારી.

૧૯૬૮માં ઇલેક્શન કમિશને ખાસ ચૂંટણી પ્રતીકો અંગેના સુધારા કર્યા પછી આમાં વિશેષ ફેરફાર જણાયો છે. બાકી પહેલા મોટા ભાગના પક્ષો ફ્રી સિમ્બોલ રાખતા હતા. સ્થિતિ એવી હતી કે એક વાર પક્ષનું ચિહ્ન છત્રી હોય તો બીજી વખત એ જ પક્ષને એ ચિહ્ન ન પણ મળે અને એને બીજા કોઈક પ્રતીક પર પસંદગી ઉતારવી પડતી! આજે આશરે ૬૦૦ જેટલા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પક્ષોનું અસ્તિત્વ છે અને એમાંથી મોટાભાગના પક્ષોએ કાયમી ધોરણે પોતાનું પ્રતીક નક્કી કરી લીધું છે.

... તો આજે હાથી બીએસપીનું નહીં, પણ કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક હોત!
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે વર્ષો સુધી ગાય-વાછરડાનાં ચિહ્ન પર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસનું આજનું હાથનું પ્રતીક ૧૯૬૨ સુધી ફ્રી સિમ્બોલ હતું અને તે એક સમયે અકાલીદળનું સિમ્બોલ રહ્યું હતું.

સંસ્થા કોંગ્રેસથી અલગ થઈને ઇન્દિરા ગાંધીએ જ્યારે કોંગ્રેસ (આઈ) સ્થાપી ત્યારે ચૂંટણી પ્રતીકની ખોજ ચલાવી હતી. પત્રકાર અને લેખક રશિદ કિડવાઇના પુસ્તક '૨૪ અકબર રોડ'માં તેમણે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે અમુક રાજ્યોમાં નાનકડી ચૂંટણી વેળાએ કોંગ્રેસે હાથીને પણ સિમ્બોલ બનાવ્યો હતો. ૧૯૮૦ની ચૂંટણીઓ પહેલાં ઇન્દિરા ગાંધીએ ઘણા સિમ્બોલ્સ પર વિચાર્યા પછી અંતે હાથ અને હાથી એમ બેમાંથી કોઈ એકને પાર્ટીનું ચિહ્ન બનાવવાનું નક્કી કર્યું. એ દરમિયાન તેમણે કેરળના એક મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં એક હિન્દુ દેવતાના હાથની મુદ્રા તેમને ગમી ગઈ. એ મૂર્તિ પાછળનું લોજિક એવું હતું કે માણસના શરીરમાં હાથ એકમાત્ર એવું અંગ છે કે જેની તમામ આંગળીઓ એકસાથે કરવામાં આવે તો યુનિટી દર્શાવે છે અને જો ઉપર ઉઠાવવામાં આવે તો આશિર્વાદની મુદ્રા સર્જાય છે. આ વાતથી પ્રભાવિત થઈને ઇન્દિરા ગાંધીએ પક્ષ માટે જમણા હાથને ચૂંટણી પ્રતીક બનાવ્યું. હાથીના ચિહ્નને પછીથી ૧૯૮૪માં નવા ગઠિત થનારા બહુજન સમાજ પક્ષે (બીએસપી) પોતાના ચૂંટણી પ્રતીક તરીકે રિઝર્વ કરી લીધું. એ પાછળનો તર્ક રાજકીય નિષ્ણાત બદ્રી નારાયણે 'ધ મેકિંગ ઓફ ધ દલિત પબ્લિક ઇન નોર્થ ઇન્ડિયા' પુસ્તકમાં જણાવ્યો છે. પુસ્તકમાં લખ્યું છે એ મુજબ આઝાદી પછીનાં વર્ષોમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ નામના પક્ષનું અસ્તિત્વ હતું, જેનો સિમ્બોલ હાથી હતો એટલે બીએસપીએ ખૂબ ઝડપથી લોકો સ્વીકારી લે એવા એક તર્ક સાથે હાથીને ઇલેક્શન સિમ્બોલ તરીકે પસંદ કર્યો હતો. બીજું કારણ થોડું ધાર્મિક હતું. બૌદ્ધ ધર્મમાં હાથીને મહત્ત્વનું પ્રાણી ગણાવાયું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને બીએસપીએ હાથી પર પસંદગી ઉતારી હતી.

પક્ષના સિદ્ધાંતો અને ચૂંટણી પ્રતીકો
હિન્દુત્વની વિચારધારા સાથે શરૂ થયેલા ભારતીય જનતા પક્ષના પ્રતીક તરીકે કમળ જ વધુ યોગ્ય સિમ્બોલ રહે તે સ્વાભાવિક છે. કેમ કે, હિન્દુ દેવી-દેવતાઓનાં હાથમાં કમળ શોભા તરીકે રહે છે. વળી, ત્યારની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ કહેવાતું કે કમળ કાદવમાં ખીલે છે એટલે ભારતીય જનતા પક્ષ લોકો માટે કાદવમાં કમળની જેમ ખીલીને મજબૂત વિકલ્પ પૂરો પાડશે.

આ સિવાયનાં નોંધપાત્ર પ્રતીકોમાં શિવસેનાનું ધનુષ-બાણ આક્રમક મિજાજ અને હિન્દુત્વની વિચારધારા દર્શાવતું પ્રતીક છે. આ ઉપરાંત સાઇકલનો સિમ્બોલ ઉમેદવારો માટે હંમેશાં આકર્ષક રહ્યો છે. ભારતના ત્રણ-ત્રણ પ્રાદેશિક પક્ષોએ સાઇકલને ચૂંટણી પ્રતીક બનાવ્યું છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી, આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી અને જમ્મુ-કશ્મીરની નેશનલ પેન્થર પાર્ટીએ સાઇકલને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરી છે. મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને નાગાલેન્ડની પિપલ્સ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ છે. ચૂંટણી ચિહ્ન પસંદ કરવાની બાબતને મોટાભાગના પક્ષો ખૂબ જ ગંભીરતાથી લે છે અને પોતાના પક્ષની ઓળખ મુજબ જ ચૂંટણી ચિહ્ન રાખે છે. 

ચૂંટણી પંચ પાસે પ્રતીકો ખૂટી પડયાં
૧૯૯૬માં તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં મોડાકુરીચીની બેઠક પર ૧૦૩૩ ઉમેદવારો જંગે ચડયા. ચૂંટણીપંચ પાસે માત્ર ૩૫૦ જ ફ્રી સિમ્બોલ્સ હતા. પ્રતીકો ખૂટી પડતાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી!
Wednesday 12 December 2012
Posted by Harsh Meswania

વિશ્વભરમાં થઈ રહ્યો છે ઈવીએમનો વ્યાપક ઉપયોગ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇવીએમનો ઉપયોગ થશે. મતદારો હવે એનાથી ટેવાઈ ગયા છે. પહેલાં કાગળના બેલેટપેપર પર હાથેથી નિશાની કરી મતદાન બોક્ષમાં ગડી વાળીને નાખવા પડતાં. બેલેટ પેપર ગણતરી કરી પરિણામ જાહેર કરતા પરિણામ આવતા ઘણીવખત બેથી ત્રણ દિવસ નીકળી જતા, જ્યારે ઈવીએમમાં બટન દબાવતાં જ મત નોંધાય છે ને મતગણતરીના દિવસે બપોર સુધીમાં તો પરિણામો જાહેર થઈ જાય છે. વિવાદી અને ફેરમતગણતરીના કંટાળાજનક બનાવો ઈવીએમથી મોટેભાગે ઘટયા છે. આપણે ત્યાં પરંપરાગત મતકેન્દ્રોમાં ઈવીએમ દ્વારા મત આપવાનું ચલણ છે પણ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ઘેર બેઠાં કે દુનિયાના કોઈ પણ ખૂણેથી ઇન્ટરનેટ દ્વારા મત આપવાનું ચલણ હજુ સ્વીકૃત થયું નથી. અમેરિકા ને યુરોપના દેશો ખાસ કરીને ઇસ્ટીવિયામાં ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ વધુ વ્યાપક ને પ્રચલિત છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિના ઉદ્ભવ, એના વિકાસ અને તેના પ્રકારની વિગતો જાણવા જેવી છે...

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સંક્ષિપ્ત ઈતિહાસ
ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે વિજાણુ મતદાન. ઇલેક્ટ્રોનિક વોટિંગ ટેક્નોલોજીમાં કાર્ડ્સ ઓપ્ટિકલ સ્કેન વોટિંગ સિસ્ટમનો તેમજ વોટિંગ કિઓસ્ક સીધા જ મતદાનનું રેર્કોડિંગ કરતી ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો (ડીઆરઈ) સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં મતદાન એક સ્થળેથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર ટેલિફોનથી તેમજ ખાનગી કોમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ થકી થાય છે. એકંદરે ઇ-વોટિંગના બે મુખ્ય પ્રકાર ગણવામાં આવ્યા છે. પ્રથમ પ્રકારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) જે મતદાન કેન્દ્ર પર ગોઠવાયું હોય ત્યાં સરકારના પ્રતિનિધિઓ કે સ્વતંત્ર ચૂંટણી આયોગના પ્રતિનિધિઓ દ્વારા ઇ-વોટિંગનું રૂબરૂમાં સુપરવિઝન કરવામાં આવે છે.

બીજો પ્રકાર રિમોટ ઇ-વોટિંગનો છે, કે જેમાં મતદાતા પોતાના તાબા ક્ષેત્રમાંથી, પોતાના પર્સનલ કોમ્પ્યુટરમાંથી કે મોબાઈલ ફોનથી કે ટેલિવિઝન પરથી ઇન્ટરનેટના માધ્યમથી ઇ-વોટિંગ કરે છે એમાં સરકારી પ્રતિનિધિઓ કે ચૂંટણીપંચના પ્રતિનિધિઓ રૂબરૂમાં એનું સુપરવિઝન કરતા હોતા નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગનો ફાયદો એ છે કે એમાં મતપત્રકોની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે અને વિકલાંગ મતદારો બહુ સરળતાથી મતદાન કરી શકે છે. જો કે અમેરિકામાં એવો વિરોધ ઊઠયો હતો કે ડીઆરઈ પ્રકારના ઇલેક્ટ્રોનિક વોટિંગમાં ઇલેક્ટ્રોનિક ઠગાઈ, છેતરપિંડી થવાની પણ શક્યતા રહે છે.

મતદારો માટેની આ ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિ ૧૯૬૦થી અમલમાં આવી છે. જ્યારે અમેરિકામાં પંચ કાર્ડની પદ્ધતિનો પ્રારંભ થયો હતો. અમેરિકામાં ૧૯૬૪માં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ૭ રાજ્યોએ પંચ કાર્ડ સિસ્ટમ અપનાવતા એનો વ્યાપક ઉપયોગ થયો હતો. એ પછી ઓપ્ટિકલ સ્કેન વોટિંગની નવી સિસ્ટમ આવી. મતપત્રક પર મતદાતાની નિશાની કોમ્પ્યુટર દ્વારા ગણવામાં આવે છે.

ડીઆરઆઈ વોટિંગ મશીન મતદાતાના મતોને એકત્ર કરીને એક જ મશીનમાં કોષ્ટકમાં ગોઠવે છે. આ પ્રકારનાં વોટિંગ મશીન બ્રાઝિલ અને ભારતમાં તમામ ચૂંટણીઓમાં તેમજ વેનેઝુએલા અને અમેરિકામાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. નેધરલેન્ડમાં આ મશીનો ચૂંટણીમાં વ્યાપકપણે વપરાયાં હતાં પણ લોકોના વિરોધને કારણે એનો ઉપયોગ પડતો મુકાયો હતો. જો કે ઇન્ટરનેટ આધારિત રિમોટ વોટિંગ સિસ્ટમને યુકે, ઇસ્ટોનિયા, અને સ્વિટ્ઝરલેન્ડમાં સરકારી ચૂંટણીઓ તેમજ લોકમત માટે જ્યારે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે કેનેડામાં અને પક્ષની પ્રાઈમરી ચૂંટણીઓ માટે અમેરિકા અને ફ્રાન્સમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત

ઇ-વોટિંગ માટે હાઈ બોન્ડ સિસ્ટમ પણ છે કે જેમાં ડીઆરઈ જેવી ટચ સ્ક્રીન સિસ્ટમવાળા ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કિગ મશીનનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ પ્રિન્ટ કરવા માટે સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. એમાં મતગણનાના કોષ્ટક માટે અલગ મશીન વપરાય છે.

કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ
આ પ્રક્રિયાને ડોક્યુમેન્ટ બેલેટ વોટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં કાગળ પર છપાયેલાં મતપત્રકો મતદાન માટે વપરાય છે અને હાથેથી એની ગણતરી થાય છે. એમાંથી કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉદ્ભવ થયો હતો. આ પદ્ધતિમાં કાગળનાં મતપત્રકો હાથેથી નિશાની કરીને નાખવામાં આવે છે પણ એની ગણતરી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરાય છે. આ સિસ્ટમમાં પંચ કાર્ડ વોટિંગ અને માર્ક સેન્સનો તથા બાદમાં ડિજિટલ પેન વોટિંગ સિસ્ટમનો આવિષ્કાર થયો, પરંતુ તાજેતરમાં જ આ સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કર (ઇબીએમ)નો સમાવેશ કરાયો છે. જેમાં મતદાતાને ઇલેક્ટ્રોનિક ઇનપુટ ડિવાઈસના ઉપયોગથી પસંદગીની તક મળે છે. આ ટચ સ્ક્રીન સિસ્ટમ ડીઆરઈ જેવી જ છે.

ડીઆરઈ વોટિંગ સિસ્ટમ
પબ્લિક નેટવર્ક ડીઆરઈ વોટિંગ સિસ્ટમ એ એવી ચૂંટણી પદ્ધતિ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક મતપત્રકનો ઉપયોગ થાય છે. જેમાં પડેલા મતને મતકેન્દ્ર પરથી પબ્લિક નેટવર્કના અન્ય દૂરના સ્થળે ટ્રાન્સમીટ) મોકલવામાં આવે છે. આ રીતે નોંધાયેલા મતોને આખા દિવસ દરમિયાન કે વોટિંગ સમાપ્ત થયે બૂથ પરથી અન્ય સ્થળે બેચવાઈઝ મોકલાય છે. આ પદ્ધતિમાં ઇન્ટરનેટ દ્વારા થયેલા વોટિંગ અને ટેલિફોન દ્વારા થયેલા વોટિંગનો સમાવેશ થાય છે. જાહેર નેટવર્કમાં ડીઆરઈ વોટિંગ સિસ્ટમમાં કેન્દ્રિયકૃત મતગણના પદ્ધતિનો ઉપયોગ થાય છે. જુદાં જુદાં મતકેન્દ્રો પરથી ટ્રાન્સમીટ થઈ આવેલા મતોને મધ્યસ્થ કેન્દ્રમાં ડિજિટલ પદ્ધતિથી કોષ્ટકમાં ગોઠવાય છે.

ઇન્ટરનેટ વોટિંગમાં દૂર દૂર છૂટાછવાયા રહેલા ઇન્ટરનેટની ફેસિલિટી ધરાવતાં કમ્પ્યુટરો દ્વારા વોટિંગ કરવામાં આવે છે અથવા તો ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ ધરાવતાં પરંપરાગત મતદાનકેન્દ્રો પરથી ઇન્ટરનેટ વોટિંગ થઈ શકે છે. કોર્પોરેટ હાઉસો અને વ્યાપારગૃહો કે અન્ય કંપનીઓ, સંગઠનો, સંસ્થાઓમાં બોર્ડ મેમ્બરો તેમજ હોદ્દેદારોની ચૂંટણી માટે કે પ્રોક્સી ઈલેક્શન માટે આ ઇન્ટરનેટ વોટિંગ પદ્ધતિ વપરાય છે. ઘણા આધુનિક દેશોમાં ખાનગી ધોરણે બિનસરકારી હેતુ માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

તે અમેરિકા, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ઇસ્ટોનિયામાં આ ઇન્ટરનેટ વોટિંગનો જાહેરમાં સરકારી હેતુ માટે ઉપયોગ થાય છે જ્યાં સ્થાનિક લોકમત માટે એ સ્વીકૃત પદ્ધતિ છે. આ દેશોમાં મતદારને ઇલેક્ટ્રોનિક મતદાનપત્રક સુધી પહોંચવા માટે પાસવર્ડ અપાય છે. ઇસ્ટોનિયામાં મતદારો ઇન્ટરનેટ દ્વારા સ્થાનિક તેમજ સંસદની ચૂંટણીમાં મત આપે છે. યુરોપિયન યુનિયનના અન્ય કોઈ દેશ કરતાં ઇસ્ટોનિયામાં આ ચલણ વધારે છે. એનું કારણ એ છે કે ઇસ્ટોનિયાના નાગરિકોને કોમ્પ્યુટર દ્વારા વાંચી શકાય એવું માઈક્રોચીપ આધારિત નેશનલ આઈડેન્ટિટી કાર્ડ અપાય છે. આ કાર્ડના આધારે તેઓ ઓનલાઈન મતપત્રકમાં મતદાન કરી શકે છે. આ માટે મતદાર પાસે એક કોમ્પ્યુટર, આઈ.ડી. કાર્ડ અને તેના પિન નંબર હોવા જોઈએ, તો તેઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી મતદાન કરી શકે છે. ઇસ્ટોનિયા મતદારો એડવાન્સ વોટિંગના દિવસોમાં જ ઇ-વોટિંગ કરી શકે છે. જ્યારે મતદાનના દિવસે તો મતદારે મતદાન કેન્દ્ર પર રૂબરૂ જઈ કાગળનું મતપત્રક માર્ક કરવું પડે છે.

ઈ-વોટિંગનો પ્રથમ પ્રયોગ ગુજરાતમાં થયો
સમગ્ર ભારતમાં પહેલી જ વાર ગુજરાતમાં ભારે ક્રાંતિકારી પ્રયોગરૂપે શાંત રીતે ઇન્ટરનેટ આધારિત ઇ-વોટિંગનો અમલ દાખલ કરાયો હતો એ માટે ૨૦૧૦ના જાન્યુઆરી મહિનામાં આ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે રાજ્યના તત્કાલીન ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે આ કાર્ય હાથ ધર્યું હતું. નિષ્ક્રિય કે ઉદાસીન લોકો ઘેર કે ઓફિસમાં બેઠા બેઠા મતદાન કરવા પ્રેરાય તે માટે તેમણે આ પહેલ કરી હતી. યુરોપના ઇસ્ટોનિયા સિવાયના પશ્ચિમમાં ટેક્નોલોજીમાં એડવાન્સ દેશોમાં પણ ઇ વોટિંગ બહુ પ્રચલિત થયું નથી એ બહુ આશ્ચર્યની વાત છે.

ગુજરાતમાં ઇ-વોટિંગ માટે કે.સી. કપૂરે પ્રયાસો હાથ ધરી ૩૦ સરકારી સચિવોનું એક ટાસ્કફોર્સ રચી, ગુજરાત ઇન્ફર્મેટિકલ લિ. ને સલાહકાર ને ટીસીએલને સોફ્ટવેર સપ્લાયર તરીકે પસંદ કર્યા. વડોદરાની એક ઇન્ફર્મેશન સિક્યુરિટી એજન્સીનો પણ ટીમમાં સમાવેશ કરાયો. ગાંધીનગરમાં તમામ વોર્ડનું બાયોમેટ્રિક્સ ડેટા સેન્ટર સ્થપાયું. સચિવાલયના ૯મા માળે આવેલા ડેટા સેન્ટરમાં ૩૨ સર્વર છે. મતદારયાદી પર જેનું નામ દેખાય તે વ્યક્તિ ઇ-વોટિંગ કરી શકે છે. એ માટે મતદારે રાજ્ય ચૂંટણીપંચને ઓનલાઈન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે જેમાં મોબાઈલ નંબર ને કોમ્પ્યુટરની વિગતો આપવાની રહે છે. ત્યાર પછી મતદારને રજિસ્ટ્રેશન આઈન્ડેન્ટિંગ અને ટેમ્પરરી પાસવર્ડ ઇ-મેઈલ એસએમએસથી મોકલાય છે.

આ માટે મતદારે પોતાની આઈડેન્ટિટી ૭ દિવસમાં એક્ટિવેટ કરી દેવી પડે છે. બોગસ મતદાન અટકાવવા ચૂંટણીપંચ મતદાનના દિવસે નવો પાસવર્ડ મોકલે છે જેના દ્વારા મતદાર વેબસાઈટ સાથે લોગઓન થઈ શકે છે અને મત આપી શકે છે. ઓક્ટોબર ૧૦, ૨૦૧૦માં સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને અમદાવાદની મ્યુનિ. ચૂંટણીઓમાં ઇ-વોટિંગનો પ્રથમ ઉપયોગ થયો હતો. જો કે ચિત્ર બહુ નિરાશાજનક રહ્યું, કેમ કે ૮૬.૧૦ લાખ રજિસ્ટર્ડ મતદારો પૈકી ત્યારે માત્ર ૧૮૩ મતદારોએ ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. એ પછી ચૂંટણીપંચે એપ્રિલ ૨૦૧૧માં ગાંધીનગર મ્યુ. ચૂંટણીમાં ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. જો કે ૬૭૦ રજિસ્ટર્ડ મતદાતા પૈકી ૫૦૦ જણાએ એનો ઉપયોગ કર્યો હતો. આ બાબતો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે ઇસ્ટોવિયા જેવું ઇ-વોટિંગ પ્રચલિત બનાવવા હજુ આપણે ત્યાં ઘણો અવકાશ છે.
Posted by Harsh Meswania

આરોપ ભલેને સાબિત થતાં જવાબ તો તૈયાર જ છે!



(સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિની વિશેષ કોલમમાં પબ્લિશ થયેલો આર્ટિકલ)
જાહેરજીવનની વ્યક્તિઓને અને વિવાદને ખૂબ નજીકનો સંબંધ રહેતો આવ્યો છે. જાહેરજીવન સાથે સંકળાયેલી હોવાથી તેના વિવાદની નોંધ પણ ગંભીરતાથી લેવામાં આવતી હોય છે અને વળી, વિરોધીઓના ટાર્ગેટ પર હોવાથી સ્વાભાવિક રીતે જ જે તે સેલિબ્રિટી વિવાદમાંથી જલદી બહાર નીકળી જવાનું વધુ મુનાસિબ માને છે. અહીં એવી જાહેરજીવનની વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જે કોઈ ને કોઈ વિવાદમાં સપડાયા હતા અને એમાંથી બહાર નીકળવા માટે તેણે પોતે નિર્દોષ હોવાનાં નિવેદનો આપ્યાં હતાં. કોઈએ તેના પર લાગેલા ગંભીર આક્ષેપને ષડયંત્ર ગણાવ્યું હતું, તો કોઈએ ભૂલથી આવું વર્તન થઈ ગયું છે તેમ કહીને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. ગમે તેમ કરીને બહાના બાજી કરવા છતાં પણ અંતે આ તમામ જાહેરજીવનની વ્યક્તિઓ પર આક્ષેપો હોવાનું ક્યાંકને ક્યાંક પૂરવાર પણ થયું હતું. વિવાદમાંથી હેમખેમ પાર ઊતરવા માટે અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોએ મારેલા હવાતિયા અને નિવેદનો અહીં પ્રસ્તુત છે.

એ. રાજા, રોબોર્ટ વાડ્રા
નહેરુ-ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર અરવિંદ કેજરીવાલ દ્વારા મૂકવામાં આવેલા ગંભીર આક્ષેપો પછી તેને નિર્દોષ ઠેરવવા માટે સરકારના જ અમુક પ્રધાનોએ બીડં ઝડપ્યું હતું અને આગળ પડતો ભાગ ભજવ્યો હતો. દિગ્વિજય સિંહના પ્રયત્નોને અંતે વાડ્રાનું ચેપ્ટર જોકે હાલ પૂરતું બંધ જરૂર થયું છે. આ અગાઉ પણ યુપીએ સરકારના પૂર્વ ટેલિકોમ મંત્રી રાજા પર ટેલિકોમ કૌભાંડના ગંભીર આક્ષેપો થયા હતા ત્યારે આ જ રીતે તેને બચાવવા માટે એક આખી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ખુદ રાજાએ પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપ બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે

૨-જીની ફાળવણીમાં વડાપ્રધાન અને નાણામંત્રીનો પણ હાથ હતો. સમગ્ર પ્રક્રિયા તેમની નજર તળે જ થઈ હતી. ભારતની જ જાહેરજીવનની વ્યક્તિઓ આવા નિવેદનો કરીને છટકી જવાની કોશિશ કરે છે એવું નથી. કાગડા બધે જ કાળા છે એ ન્યાયે વિશ્વભરની ખૂબ જાણીતી અને વગદાર વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો થયા બાદ તેમણે અલગ-અલગ પ્રકારનાં કારણો આપતાં નિવેદનો આપીને ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી છે.

લાન્સ આર્મસ્ટ્રોંગ
કેન્સરમાંથી સાજા થયેલા સાઇકલિંગ લિજેન્ડ લાન્સ આર્મસ્ટોંગ વિશ્વભરમાં મક્કમ મનોબળનો પર્યાય ગણાતા હતા. તેમના પર ડોપિંગનો આરોપ મુકાયો ત્યારે રમતજગતમાં ખળભળાટ મચી ગયો હતો. તેમના પર આરોપ હતો કે કેન્સરમાંથી સાજા થયા બાદ ૧૯૯૮ પછી ફરીથી તેણે જેટલાં ટાઇટલ મેળવ્યાં હતાં, એ તમામ ડોપિંગના કારણે મળ્યાં હતા. કેન્સરની ગંભીર માંદગીમાંથી સાજા થયા પછી તેમણે જીતવા માટે ડ્રગ્સનો સહારો લીધો હોવાનો આક્ષેપ તેમના પર થયો હતો.

મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી
ફ્રાન્સના એક મેગેઝિને આર્મસ્ટોંગ પર આરોપ મૂક્યો હતો કે ૧૯૯૯માં ફ્રાન્સમાં યોજાયેલી સ્પર્ધામાં આર્મસ્ટોંગે પ્રતિબંધિત દવાઓનું સેવન કર્યું હતું. જે સામે લાન્સ આર્મસ્ટોંગે પ્રતિ નિવેદન આપ્યું હતું કે, "મેગેઝિને તેના આર્ટિકલમાં રજૂ કરેલા સાયન્ટિફિક કારણો ધડ-માથા વગરનાં છે. હું આ પહેલાં પણ કહી ચૂક્યો છું અને ફરી કહેવા માંગું છું કે મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી." જોકે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિ ડોપિંગ એજન્સી સામેની લડત બાદ આર્મસ્ટોંગને ૧૯૯૮ પછીનાં તમામ ટાઇટલ પરત આપવાની ફરજ પડી હતી.

બિલ ક્લિન્ટન
બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં કામ કરતી મોનિકા લેવિન્સ્કી સાથેના તેમના અફેરે વિશ્વ આખામાં ખૂબ ચર્ચા જગાવી હતી. ૧૯૯૮માં કેનેથ સ્ટાર નામની કાઉન્સિલે આ પ્રકરણને જગજાહેર કર્યું હતું. આ ઘટનાથી બિલ ક્લિન્ટનની જાહેર પ્રતિભા પર બહુ મોટી અસર થઈ હતી. વિશ્વભરના રાજનેતાઓએ પણ આ મુદે્ ક્લિન્ટ પર નિશાન સાધ્યુ હતું. આ પ્રકરણ બહુ ગાજ્યં. પછી તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને ખુલાસો આપ્યો હતો.

મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો પાયાવિહોણા
જાન્યુઆરી ૧૯૯૮માં બિલ ક્લિન્ટને આ પ્રકરણના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે, "મારે મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને આ વાતમાં કોઈ જ તથ્ય નથી." ત્યાર પછી જુલાઈ ૧૯૯૮માં પુરાવારૂપે મોનિકા લેવિન્સ્કીએ બિલ ક્લિન્ટન સાથે જાતીય સંબંધ બાંધતી વખતે પહેરેલાં કપડાંને પુરાવારૂપે રજૂ કર્યાં હતાં. એ પછીના એક મહિના બાદ કમિટી સમક્ષ બિલ ક્લિન્ટને મોનિકા સાથેના જાતીય સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું.

શેન વોર્ન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને લિજેન્ડ સ્પિનર શેન વોર્ન પર ડોપિંગનો ગંભીર આક્ષેપ ૨૦૦૩માં મુકાયો હતો. ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં વિશ્વ કપ યોજાવાનો હતો, એ પહેલાં થયેલા ખેલાડીઓના ડોપિંગ ટેસ્ટમાં શેન વોર્નનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ક્રિકેટના બોલને કોઈ જાદુગરની માફક ટર્ન કરાવી શકતા આ સ્પિનર બોલર સામે પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પર ચોમેરથી દબાણ લાવવામાં આવ્યં હતું. આ મામલે શેન વોર્નની ટીકા પણ ખૂબ થઈ હતી.

મારી માતાએ આપેલી ગોળીઓનું જ હું સેવન કરું છું
શેન વોર્ન પર ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમણે ખુલાસો આપ્યો હતો કે, "મારો આત્મવિશ્વાસ વધે એ માટે મારી માતાએ આપેલી પ્રવાહી જેવી ગોળીઓનું જ હું સેવન કરું છું, એ ડ્રગ કઈ રીતે હોઈ શકે?" વોર્ને એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, તે રાત્રે મેં ખૂબ વાઇન પીધો હતો અને પછી સૂતા પહેલાં ગોળીઓ ગળી ગયો હતો. કદાચ આ બંને વસ્તુઓ ભેગી થઈ હોવાથી મારો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હશે." જોકે, એ પછી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે શેન વોર્ન પર એક વર્ષનો પ્રતિબંધ મૂકયો હતો.

આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર
કેલિફોર્નિયાના પૂર્વ ગર્વનર અને એક્ટર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરને મે ૨૦૧૧માં તેના ઘરની નોકરાણી સાથેના સંબંધથી એક બાળક હોવાની વાત બહાર આવતાં કેલિફોર્નિયાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ૯ મે, ૨૦૧૧ના દિવસે તેની પત્ની મારિયા શરીવેર ૨૫ વર્ષના લગ્નજીવન પછી આર્નોલ્ડ સાથે છેડો ફાડીને બ્રેન્ડવૂડ મેન્શનમાંથી દૂર રહેવા જતી રહી હતી. આ ઘટનાને લોસ એન્જલસ ટાઇમ્સમાં છપાયા પછી આર્નોલ્ડે તેનો લેખિતમાં ખુલાસો પણ આપ્યો હતો.

મારા અફેરની વાત મેં મારી પત્નીને જણાવી જ હતી!
આર્નોલ્ડે તેના લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું કેલિફોર્નિયાનો ગર્વનર હતો ત્યારે લગભગ એક દશકા પહેલાં જ એક વાર મેં આ બાબતે મારી પત્નીને બધી વાત જણાવી દીધી હતી.' આર્નોલ્ડના આ ખુલાસા પછી અભિનેત્રી બ્રિટની નેલ્સને પણ દાવો કર્યો હતો કે, 'આર્નોલ્ડને મારિયા સાથે સંબંધો હતા, તે દરમિયાન જ તેને પણ આર્નોલ્ડ સાથે સંબંધો હતા.' અભિનેત્રીના આ આરોપનો આર્નોલ્ડે કશો જ જવાબ આપ્યો નહોતો. આ ઘટના પછી આર્નોલ્ડનું લગ્નજીવન ડામાડોળ થયું હતું.

પાકિસ્તાની ખેલાડીઓ
આક્ષેપ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ૨૦૧૦માં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો ત્યારે સમાચાર માધ્યમોએ એવો ગંભીર આક્ષેપ કર્યો કે સલમાન બટ્ટ, મોહંમદ આસિફ અને મોહંમદ આમિર સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. આ આક્ષેપો બાદ ક્રિકેટ જગત પર એક દશકા પછી ફરીથી મેચ ફિક્સિંગના ઓછાયા પડયા હતા.

આ અમારા વિરુદ્ધનું કાવતરું છે
આરોપ પછી આ ત્રણેય ક્રિકેટરનું રિએક્શન અલગ અલગ અને શંકાસ્પદ હતું. આસિફ અને બટ્ટે પોતાનાં નિવેદનોમાં જણાવ્યું હતું કે અમે નિર્દોષ છીએ અને અમને ફસાવવામાં આવી રહ્યા છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની તરફેણ કરતા કહ્યું કે, આ પાકિસ્તાનના ક્રિકેટરોને બદનામ કરવાનું ષડયંત્ર છે. જોકે, એક માત્ર આમિરે તે વખતે મૌન સેવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ મેચ ફિક્સિંગમાં ક્યાંકને ક્યાંક ભાગ ભજવ્યો હોવાનું પુરવાર થતાં ત્રણેયની ક્રિકેટ કારકિર્દી પર મોટી અસર થઈ હતી.
Wednesday 5 December 2012
Posted by Harsh Meswania

નવરાશની પળોને હળવાશમાં ફેરવી દેતી વીડિયો ગેઇમ્સ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે ગેઇમ્સ ન હોય એવો એક પણ મોબાઇલ કે કમ્પ્યુટર શોધવાનું કામ લગભગ અશક્ય બન્યું છે. અવનવી ગેઇમ્સ હાથવગી થઈ છે. ગેઇમિંગની દુનિયા હવે ખૂબ જ વિસ્તરી ગઈ છે. પ્રથમ કમર્શિયલ કહી શકાય તેવી 'પોંગ ગેઇમ'ને થોડા દિવસ પહેલાં ૪૦ વર્ષ થયાં. 'પોંગ ગેઇમ' ભલે કમર્શિયલ રીતે પ્રથમ ગેઇમ હતી, પણ એ પહેલાંના બે દશકાથી એ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ શરૂઆત તો થઈ જ ગઈ હતી

વીડિયો ગેઇમ નવરાશની પળોને હળવાશની ક્ષણો બનાવી દે છે. આ બિઝનેસ આજે ૨૫૦૦ કરોડ ડોલરને આંબી ગયો છે. અમેરિકા અને યુરોપના કુલ કમ્પ્યુટર-સ્માર્ટફોન યુઝર્સમાંથી ૭૦ ટકા લોકો ગેઇમ્સ રમવાનું પસંદ કરે છે. આ ગેઇમ્સની દુનિયાનો આવિષ્કાર આમ તો ૪૦-૫૦ના દશકમાં થયો હતો પણ તેણે ખરી લોકપ્રિયતા બે દાયકા પછી મેળવી હતી. વીડિયો ગેઇમ જ્યારથી કમ્પ્યુટરમાં અને સ્માર્ટ ફોનમાં અવેલેબલ થઈ પછીથી તેની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત ને સતત ઉપર જ ચડતો રહ્યો છે.

કઈ રીતે થઈ હતી શરૂઆત?
૧૯૪૦-૪૭ની વચ્ચે થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકને 'કેથડ રે ટયૂબ અમુસમેન્ટ ડિવાઇસ વીડિયો ગેઇમ બનાવી હતી, પણ એ બહુ જ પ્રાથમિક તબક્કાની હોવાથી લોકપ્રિયતા મેળવી શકવાનો સવાલ જ ઊભો થતો નહોતો.

૧૯૪૯-૫૦માં ચાર્લી એડમ નામના કમ્પ્યુટર ઈજનેરે બાઉન્સિંગ બોલ નામની ગેઇમ બનાવીને એક ડગલું આગળ વધાર્યું. જોકે, આ ગેઇમ પણ લોકભોગ્ય બની નહીં. ત્યાર પછી ક્રિસ્ટોફર સ્ટ્રેચી, એ.એસ ડગ્લાસ વગેરેએ આ ક્ષેત્રે નાના-મોટું ખેડાણ કર્યું. આ દરમિયાન બૂકહેવેનની નેશનલ લેબોરેટરીમાં એક મહત્ત્વપૂર્ણ ગેઇમનું સોફ્ટવેર તૈયાર થઈ રહ્યું હતું. વિલિયમ હિજિન્બોથમે ટેનિસ ફોર ટુ નામની વીડિયો ગેઇમ તૈયાર કરી હતી. એ ગેઇમના ક્રિએટરે પછીથી પોન્ગ ગેઇમ બનાવીને ગેમિંગ ક્ષેત્રે એક નવું પ્રકરણ લખ્યું હતું જે ખૂબ જ દૂરગામી અસર ઉપજાવનારું રહ્યું હતું.

પોન્ગ ગેઇમઃ સ્ટાર્ટ ધ ગેઇમ
કમ્પ્યુટરના ક્રમિક વિકાસને જેમ જનરેશન પ્રમાણે વહેંચવામાં આવ્યો છે. એ જ રીતે ગેઇમ્સના ક્રમિક ડેવલપમેન્ટને પણ જનરેશન મુજબ જ વહેંચવામાં આવ્યો છે. ૧૯૬૭ પછી આ ક્ષેત્રે જે વિકાસ થયો તેને પ્રથમ જનરેશન કહેવામાં આવે છે. જર્મન-અમેરિકન રાફ બિઅરને પાયોનિયર ઓફ ધ ગેઇમ ગણવામાં આવે છે. રાફ બિઅર અને તેની ટીમે 'બ્રાઉન બોક્ષ' નામની વીડિયો ગેઇમની રચના કરી હતી. તેમનું આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાય છે, પણ લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો વિલિયમ હિજિન્બોથમ આ બાબતે તમામ લેવલ પાર કરનારા પ્રથમ ખેલાડી કહી શકાય. ૨૯ નવેમ્બર, ૧૯૭૨ના દિવસે વિલિયમ હિજિન્બોથમે પોન્ગ ગેઇમને સૌપ્રથમ વખત રજૂ કરી ત્યારે તરત જ આ ગેઇમ લોકપ્રિયતાને વરી. અત્યાર સુધી આવેલી તમામ ગેઇમ્સ એકતરફી જ રમી શકાતી હતી, પણ આ ગેઇમમાં બંને તરફનું સંતુલન કરી શકાતું હતું. એટલે કે ગેઇમ રમનાર પોતે જ બટનની મદદથી બંને તરફ પર કાબૂ કરી શકે એવો આ સોફ્ટવેર હતું. આ પ્રયોગથી ગેઇમિંગ ક્ષેત્રે ક્રાંતિ થઈ ગઈ. ત્યારબાદની મોટાભાગની વીડિયો ગેઇમ્સની મેથડ પોન્ગ ગેઇમ પરથી ક્યાંક ને ક્યાંક પ્રભાવિત રહી છે. કદાચ એટલે જ ગેઇમ્સ જગતની ખરી શરૂઆત ૪૦ વર્ષ પહેલાં થઈ હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય.

...અને એક પછી એક લેવલ પાર થતાં જ રહ્યાં!
૧૯૭૮થી ૧૯૮૬ સુધીના સમયગાળાને ગેઇમ્સ ક્ષેત્રના વિકાસનો ગોલ્ડન પિરિયડ ગણવામાં આવ્યો છે. આ સમયમાં એક્શન, એડવેન્ચર, કાર-બાઇક રેસિંગ, ફાઇટ ગેઇમ્સ, શૂટિંગ, રિધમ, રન એન્ડ ગન, સહિતની અલગ અલગ થીમવાળી અઢળક ગેઇમ્સની વિશાળ દુનિયા ખડી થઈ રહી હતી. ગેઇમિંગ જગતમાં આ પિરિયડને સેકન્ડ જનરેશન નામ આપવામાં આવ્યું છે. ત્યારપછી ૧૯૮૩થી ૧૯૯૫ સુધીનો સમયગાળો આવ્યો જેને થર્ડ જનરેશન નામ મળ્યું અને આજે આપણે અઢળક વેબસાઇટ્સ પર બીજા ગેઇમ્સ પ્લેયરની સાથે જે ઓનલાઇન ગેઇમ્સ રમીએ છીએ એનો પાયો આ ટાઇમમાં નખાયો. ૧૯૯૯ સુધીમાં તો ગેઇમ્સની દુનિયા મસમોટી થઈ ગઈ હતી, કેમ કે ઈન્ટરનેટનો આવિષ્કાર થવાથી હવે ગેઇમ્સ રમવાનું વધુ સરળ બન્યું હતું. આ તબક્કો એટલે ફોર્થ જનરેશન.ફોર્થ જનરેશન સુધી આ થોડી ધીમી ગતિએ પણ પાયાની કામગીરી થઈ હતી. ત્યાર પછી તો જાણે પ્રતિદિન કશુંક નવું નવું આવવા લાગ્યું હતું. શરૂઆતમાં ગેઇમ્સની દુનિયાને માત્ર બે ઘડી રમત ગણતા લોકો પણ હવે તેમાંથી રોકડા કેમ રળી શકાશે એનો વિચાર કરતા થયા હતા. અત્યારે જે લેવલ ચાલે છે તેને એઇટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો ૩ડી અને પ્લેસ્ટેશન વિસ્ટા સહિત આ સફર લંબાઈ છે. પોન્ગથી શરૂ થયેલી આ યાત્રા આજે ૪૦ વર્ષોમાં આઠ જનરેશન ઓળંગીને સતત નવો નવો લિબાશ ધારણ કરે છે, પણ તેનાં મૂળિયાં તો હજુ પેલી પ્રથમ એન્ટરટેઇન ગેઇમ પોન્ગ સુધી લંબાયાં છે. પ્રારંભના ક્રિએટર્સે પાયો મજબૂત તૈયાર કર્યો હતો કદાચ એટલે જ આજે ઈમારત બુલંદ છે!
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -