Posted by : Harsh Meswania Tuesday, 18 December 2012


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૧ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પૃથ્વી પર પ્રલય આવશે એવી એક માન્યતા ઘણા સમયથી પ્રવર્તતી હતી અને એમાં રોનાલ્ડ એમરિક દિર્ગ્દિશત ફિલ્મ '૨૦૧૨' રિલીઝ થઈ ત્યારથી લોકોની ધારણા થોડી વધુ બળવત્તર બની હતી. જોકે, આવી પ્રલયની ધારણાઓ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે અને આગળ પણ થતી રહેશે. દુનિયાને કશું જ નથી થયું અને ૨૧મી ડિસેમ્બરે પણ કંઈ જ નહીં થાય.

માયા કેલેન્ડર પર થોડો વધુ પડતો વિશ્વાસ રાખનારા લોકોનું માનવું છે કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ માયા કેલેન્ડરનો છેલ્લો દિવસ છે. આ પ્રલયમાંથી બચવા માટેના ઉપાયો પણ આવા લોકોએ ક્યારના શરૂ કર્યા છે. શું ખરેખર આ દિવસે પ્રલય થશે? કે પછી આ એકમાત્ર માન્યતા જ છે? આ અગાઉ પણ સદીઓથી પ્રલયની આવી અસંખ્ય ધારણાઓ થતી આવી છે અને તમામ ખોટી સાબિત થઈ ચૂકી છે,

૧૯મી સદીમાં કયામતની થયેલી ધારણાઓ
૧૯મી સદીની શરૂઆતમાં આવી કેટલીય ધારણાઓ થતી હતી કે હવે દુનિયાનો સમય પૂરો થઈ રહ્યો છે. એમાંથી કોઈકના તર્ક તરફ લોકોએ લક્ષ્ય આપ્યું તો કોઈકની વાતને હસી કાઢી. આવી જ મહત્ત્વની એક આગાહી ૧૮૦૯માં મેરી બેટમેન નામના ત્યારના બહુ આધારભૂત મનાતા ભવિષ્યવેત્તાએ કરી હતી. તેમના મતે એ વર્ષે પૃથ્વી પર ઈશ્વરનું આગમન થવાનું હતું અને એટલે દુનિયા નષ્ટ થઈ જવાની હતી. આ ધારણા પછીથી સદંતર ખોટી પડી હતી. ત્યાર પછી ૧૮૧૪માં જ્હોન સાઉથકોટ નામના એક અધ્યાત્મવાદીએ અને ૧૮૩૬માં જ્હોન વેસ્લી નામના માણસે વધુ એક ભવિષ્યકથન કર્યું હતું કે હવે દુનિયાનો અંત નક્કી છે. આ બંને આગાહીઓ પાયાવિહોણી ઠરી હતી.

ઈંગ્લેન્ડના એક ખેડૂત વિલિયમ મિલરે બાઇબલનાં થોડાં વર્ષોના અભ્યાસ પછી ધારણા કરી હતી કે ૨૩ એપ્રિલ, ૧૮૪૩નો દિવસ પૃથ્વીના પ્રલયનો દિવસ છે. એ જમાનામાં તેની આ વાત માનનારો બહુ મોટો વર્ગ હતો. પ્રલયની ધારણાને સ્વીકારતા આ વર્ગને મિલિરિટાઇસ તરીકે ઓળખવામાં આવતા હતા. લોકો આ આગાહીથી ખૂબ જ ડરી ગયા હતા પણ પછી એ દિવસે એવું કશું જ નહોતું બન્યું કે જેનાથી આ વાત સાચી સાબિત થાય!

૧૮૫૯માં થોમસ પાર્કર અને ૧૮૮૧માં સિમ્ટોન વગેરેએ કયામતની ધારણાઓ બાંધી હતી, પરંતુ એની ખાસ નોંધ લેવાઈ ન હતી. ત્યારપછી છેક ૧૮૯૧માં એક આગાહી થઈ હતી જેનાથી લોકોમાં ભયનું મોજું ફેલાયું હતું. જોસેફ સ્મિથે મર્મન ચર્ચની સ્થાપના કરી હતી અને ત્યાં આવતાં લોકોને તેણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે મહાવિનાશક પ્રલયમાં માનવસભ્યતાનો નાશ થશે. જોકે, આટ-આટલી ધારણાઓ છતાં ૧૯મી સદીમાં એવું કશું જ નહોતું થયું.

૨૦મી સદીમાં થયેલી વિનાશની નિષ્ફળ આગાહીઓ
૧૯૧૦માં કોઈકે એવું ગપ્પું ચલાવ્યું કે પૃથ્વીના પેટાળમાંથી એક ગેસ છૂટશે જેનાથી લોકો મૃત્યુ પામશે અને પૃથ્વી માનવસંસ્કૃતિ વિહીન થશે. ત્યારપછી વચ્ચે વિશ્વયુદ્ધના કારણે હોય કે અન્ય કોઈ કારણ હોય, થોડો વખત આવા આગાહીકર્તાઓએ આગાહી કરવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ડોરોથી માર્ટિન નામના એક અધ્યાત્મવાદીની ૨૧ ડિસેમ્બર,૧૯૫૪ના દિવસે મહાભયાનક પૂર આવશે અને એમાં દુનિયાભરના લોકો તણાઈ જશે એવી આગાહીથી લોકોમાં ફફડાટ ફેલાયા હતો.

૧૯૮૨માં એક ખગોળવિદ્ ક્રિસ્ટોફર રેપ્ચરે અવકાશી અથડામણની આગાહી કરી હતી. તેના મતે અવકાશમાં એવી ઉથલપાથલ મચવાની છે કે જેનાથી પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં આવી જશે અથવા તો પૃથ્વી નાશ પામશે. આ આગાહીને ગંભીરતાથી લેવાનું કારણ હતું અવકાશી અથડામણ. અત્યાર સુધીની આગાહીઓમાં ક્યાંક ને ક્યાંક ર્ધાિમક માન્યતા જવાબદાર હતી, પણ અહીં એમાં વૈજ્ઞાનિક તર્ક ભળ્યો હતો. આ અથડામણની ધારણા પણ અંતે ધ્વસ્ત થઈ. પછી તો ૧૯૯૭ અને ૧૯૯૯માં પણ આવી ર્ધાિમક માન્યતાઓના બળે એક બે આગાહીઓ થઈ હતી, પણ જેમ દરેક વખતે બને છે એમ આ આગાહીઓ પણ ખોટી પડી હતી.

આ પૃથ્વી પર અવકાશી આફતો, સુનામીનો ભય, ધરતીકંપનો ડર, અણુયુદ્ધનો ખતરો, કોઈક અજાણ્યા રોગના ઇન્ફેક્શનનો ઓથાર વગેરે અવારનવાર આવ્યા છે અને કદાચ આવતા રહેશે છતાં પૃથ્વીના પ્રલયની શક્યતા વૈજ્ઞાનિકો સતત નકારતા રહ્યા છે, કેમ કે પૃથ્વી આ પહેલાં જ આવી તો કેટલીય અથડામણની સાક્ષી રહી છે એટલે આવી કોઈ નાનકડી ઘટનાથી પૃથ્વી પર પ્રલય આવી જાય એ વાત માત્ર ભય ફેલાવી શકે, પણ સત્યથી વેગળી છે એ વાતના પુરાવા અને શીખ ભૂતકાળમાંથી મળી જ રહે છે.

નાસાની હૈયાધારણ
વિજ્ઞાન અને અવકાશની બાબતોમાં સૌથી ઓથેન્ટિક મનાતી સંસ્થા નાસાએ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પ્રલય આવશે એવી માન્યતાને પાયાવિહોણી ગણાવી છે. કોઈ સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થવાની બાબતને પ્રલય સાથે સંબંધ જોડવાની બાબતને હાસ્યાસ્પદ ગણાવીને નાસાએ પ્રલયની શક્યતાને ગંભીરતાથી ન લેવાની અપીલ કરી હતી. નાસાના મતે આ વર્ષે નથી સોલાર સુનામીનો ખતરો કે નથી અન્ય અવકાશી અથડામણોની શક્યતા. પૃથ્વીનું ૪૦૦ કરોડ વર્ષનું આયુષ્ય હજુ બાકી છે અને એ પહેલાં પ્રલય થવાની વાતમાં કોઈ જ દમ નથી એવી હૈયાધારણ પણ નાસા દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,134
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -