Posted by : Harsh Meswania Wednesday, 12 December 2012


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રાજકીય પક્ષ માટે તેનાં ચૂંટણી પ્રતીકો ખૂબ જ મહત્ત્વનાં હોય છે. જે તે પાર્ટીનું ચૂંટણી પ્રતીક પક્ષનો મિજાજ છતો કરે છે. એમાં પણ આપણા દેશમાં કે જ્યાં અસાક્ષર કે અલ્પસાક્ષર લોકોની સંખ્યા ઠીક ઠીક મોટી હોય ત્યારે તો પક્ષ માટે સિમ્બોલ જ તેની ઓળખ પ્રસ્થાપિત કરે છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અહીં પ્રસ્તુત છે પોલિટિકલ પાર્ટીઝના સિમ્બોલ્સ અંગે થોડી રસપ્રદ જાણકારી.

૧૯૬૮માં ઇલેક્શન કમિશને ખાસ ચૂંટણી પ્રતીકો અંગેના સુધારા કર્યા પછી આમાં વિશેષ ફેરફાર જણાયો છે. બાકી પહેલા મોટા ભાગના પક્ષો ફ્રી સિમ્બોલ રાખતા હતા. સ્થિતિ એવી હતી કે એક વાર પક્ષનું ચિહ્ન છત્રી હોય તો બીજી વખત એ જ પક્ષને એ ચિહ્ન ન પણ મળે અને એને બીજા કોઈક પ્રતીક પર પસંદગી ઉતારવી પડતી! આજે આશરે ૬૦૦ જેટલા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પક્ષોનું અસ્તિત્વ છે અને એમાંથી મોટાભાગના પક્ષોએ કાયમી ધોરણે પોતાનું પ્રતીક નક્કી કરી લીધું છે.

... તો આજે હાથી બીએસપીનું નહીં, પણ કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક હોત!
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે વર્ષો સુધી ગાય-વાછરડાનાં ચિહ્ન પર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસનું આજનું હાથનું પ્રતીક ૧૯૬૨ સુધી ફ્રી સિમ્બોલ હતું અને તે એક સમયે અકાલીદળનું સિમ્બોલ રહ્યું હતું.

સંસ્થા કોંગ્રેસથી અલગ થઈને ઇન્દિરા ગાંધીએ જ્યારે કોંગ્રેસ (આઈ) સ્થાપી ત્યારે ચૂંટણી પ્રતીકની ખોજ ચલાવી હતી. પત્રકાર અને લેખક રશિદ કિડવાઇના પુસ્તક '૨૪ અકબર રોડ'માં તેમણે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે અમુક રાજ્યોમાં નાનકડી ચૂંટણી વેળાએ કોંગ્રેસે હાથીને પણ સિમ્બોલ બનાવ્યો હતો. ૧૯૮૦ની ચૂંટણીઓ પહેલાં ઇન્દિરા ગાંધીએ ઘણા સિમ્બોલ્સ પર વિચાર્યા પછી અંતે હાથ અને હાથી એમ બેમાંથી કોઈ એકને પાર્ટીનું ચિહ્ન બનાવવાનું નક્કી કર્યું. એ દરમિયાન તેમણે કેરળના એક મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં એક હિન્દુ દેવતાના હાથની મુદ્રા તેમને ગમી ગઈ. એ મૂર્તિ પાછળનું લોજિક એવું હતું કે માણસના શરીરમાં હાથ એકમાત્ર એવું અંગ છે કે જેની તમામ આંગળીઓ એકસાથે કરવામાં આવે તો યુનિટી દર્શાવે છે અને જો ઉપર ઉઠાવવામાં આવે તો આશિર્વાદની મુદ્રા સર્જાય છે. આ વાતથી પ્રભાવિત થઈને ઇન્દિરા ગાંધીએ પક્ષ માટે જમણા હાથને ચૂંટણી પ્રતીક બનાવ્યું. હાથીના ચિહ્નને પછીથી ૧૯૮૪માં નવા ગઠિત થનારા બહુજન સમાજ પક્ષે (બીએસપી) પોતાના ચૂંટણી પ્રતીક તરીકે રિઝર્વ કરી લીધું. એ પાછળનો તર્ક રાજકીય નિષ્ણાત બદ્રી નારાયણે 'ધ મેકિંગ ઓફ ધ દલિત પબ્લિક ઇન નોર્થ ઇન્ડિયા' પુસ્તકમાં જણાવ્યો છે. પુસ્તકમાં લખ્યું છે એ મુજબ આઝાદી પછીનાં વર્ષોમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ નામના પક્ષનું અસ્તિત્વ હતું, જેનો સિમ્બોલ હાથી હતો એટલે બીએસપીએ ખૂબ ઝડપથી લોકો સ્વીકારી લે એવા એક તર્ક સાથે હાથીને ઇલેક્શન સિમ્બોલ તરીકે પસંદ કર્યો હતો. બીજું કારણ થોડું ધાર્મિક હતું. બૌદ્ધ ધર્મમાં હાથીને મહત્ત્વનું પ્રાણી ગણાવાયું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને બીએસપીએ હાથી પર પસંદગી ઉતારી હતી.

પક્ષના સિદ્ધાંતો અને ચૂંટણી પ્રતીકો
હિન્દુત્વની વિચારધારા સાથે શરૂ થયેલા ભારતીય જનતા પક્ષના પ્રતીક તરીકે કમળ જ વધુ યોગ્ય સિમ્બોલ રહે તે સ્વાભાવિક છે. કેમ કે, હિન્દુ દેવી-દેવતાઓનાં હાથમાં કમળ શોભા તરીકે રહે છે. વળી, ત્યારની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ કહેવાતું કે કમળ કાદવમાં ખીલે છે એટલે ભારતીય જનતા પક્ષ લોકો માટે કાદવમાં કમળની જેમ ખીલીને મજબૂત વિકલ્પ પૂરો પાડશે.

આ સિવાયનાં નોંધપાત્ર પ્રતીકોમાં શિવસેનાનું ધનુષ-બાણ આક્રમક મિજાજ અને હિન્દુત્વની વિચારધારા દર્શાવતું પ્રતીક છે. આ ઉપરાંત સાઇકલનો સિમ્બોલ ઉમેદવારો માટે હંમેશાં આકર્ષક રહ્યો છે. ભારતના ત્રણ-ત્રણ પ્રાદેશિક પક્ષોએ સાઇકલને ચૂંટણી પ્રતીક બનાવ્યું છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી, આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી અને જમ્મુ-કશ્મીરની નેશનલ પેન્થર પાર્ટીએ સાઇકલને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરી છે. મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને નાગાલેન્ડની પિપલ્સ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ છે. ચૂંટણી ચિહ્ન પસંદ કરવાની બાબતને મોટાભાગના પક્ષો ખૂબ જ ગંભીરતાથી લે છે અને પોતાના પક્ષની ઓળખ મુજબ જ ચૂંટણી ચિહ્ન રાખે છે. 

ચૂંટણી પંચ પાસે પ્રતીકો ખૂટી પડયાં
૧૯૯૬માં તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં મોડાકુરીચીની બેઠક પર ૧૦૩૩ ઉમેદવારો જંગે ચડયા. ચૂંટણીપંચ પાસે માત્ર ૩૫૦ જ ફ્રી સિમ્બોલ્સ હતા. પ્રતીકો ખૂટી પડતાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,129
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -