Archive for 2015

ગિનેસ રેકોર્ડ બૂકમાં બંધ થઈ જવાની ખ્વાહિશ!



ગિનેસના છ દાયકામાં કેટલાક એવો વિક્રમો પણ નોંધાયા કે જેની કલ્પના પણ ન થઈ શકે, તો કેટલાક પ્રથમ નજરે સાવ સાધારણ-સાદા લાગે એવા વિક્રમો રેકોર્ડ બૂકમાં સ્થાન પામ્યાં. એ વિક્રમોમાં ભારતનો ફાળો પણ ઘણો મોટો છે અને છેલ્લા વર્ષોમાં એ ફાળો નોંધાવવામાં આપણે વધુ મોકળું મન રાખ્યું છે!

૨૦૧૧માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારત સાથે એક અજબ યોગાનુયોગ સર્જાયો હતો. ભારતમાં વધતા જતાં વિક્રમોના ક્રેઝ વચ્ચે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એક પ્રતિનિધિ નિમવાની તજવીજ હાથ ધરી હતી. અસંખ્ય લોકો ગિનેસની લંડન ખાતેની હેડ ઓફિસનો સંપર્ક સાધવામાં મુશ્કેલી અનુભવતા હતા અને છતાં કોઈક રીતે સંપર્ક કરીને નવા નવા વિક્રમો દર્જ કરવા માટે ઉત્સાહ દાખવતા હતા. ભારતના વિકસતા જતાં મોટા માર્કેટને ધ્યાનમાં રાખીને અને અવારનવાર અવનવા વિક્રમોની શક્યતા સર્જાતી હોવાના કારણે એક ઓફિસ ભારતના કોઈ મોટા શહેરમાં સ્થાપવાની તાતી જરૃર વર્તાતી હતી, જેને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં એક ખાનગી કંપનીના વિક્રમ માટે ગિનેસની લંડન ઓફિસનો સંપર્ક કરનારા નિખિલ શુક્લાને પ્રતિનિધિ બનવાની ઓફર કરવામાં આવી. નિખિલે એ ઓફર સ્વીકારી એ સાથે જ સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારતમાં પ્રવેશ થયો.
આ ઘટનાના બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૧માં ૨૧ વર્ષનો એક ફૂટડો અંગ્રેજ યુવાન લંડનમાં અભ્યાસ કરીને બ્રિટનના તાબા હેઠળના ભારતમાં પોલીસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યો હતો. તેણે ભારતમાં દશકો પસાર કર્યો પછી સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ૧૯૨૧માં લંડન પરત ફરીને તેણે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સફળતા મળતી ગઈ એમ તેણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો. સમયાંતરે તેણે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની પણ સ્થાપના કરી હતી, જેણે આગામી વર્ષોમાં વિશ્વભરમાં રેકોર્ડ્સની બાબતમાં એક અનોખો રેકોર્ડ કાયમ કર્યો. ભારતમાં રહેનારા એ ગિનેસના સ્થાપકનું નામ હતું- સર હ્યુ કેમ્બલ બીવર.
બીવરના ભારત આવવાના બરાબર સૈકા પછી અનાયાસે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ભારતમાં સત્તાવાર ઓફિસ ખોલીને એશિયામાં જાપાન પછી ભારતને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઘટનાને સ્થાપક બીવરના ભારત આગમન સાથે ભલે કોઈ સીધો સંબંધ નથી, પણ ભારતમાં પ્રતિનિધિની નિમણૂંકની ઘટનાથી ગિનેસ સાથેનો ભારતનો નાતો વધુ ગહેરો થયો છે એ તો આંકડાઓ બયાઁ કરે છે.
અવનવા વિક્રમો માટેની વિશ્વભરમાંથી આવતી સરેરાશ ૧૦ અરજીઓ પૈકીની એક અરજી ભારતની હોય છે! ભારતમાંથી વિભિન્ન વિક્રમો માટે વર્ષે ૩,૦૦૦ દાવાઓ થાય છે. એટલે કે રજાઓના દિવસોને બાદ કરી દેવામાં આવે તો એક દિવસમાં ૧૦ નવા વિક્રમો માટે દાવો કરવામાં આવે છે. આ સંખ્યા ભારતને ત્રીજા નંબરનો સૌથી વધુ અરજીઓ મોકલતો દેશ બનાવવા માટે પૂરતી છે. ભારતથી આગળના ક્રમાંકે રહેલા અમેરિકા અને બ્રિટનનું સ્થાન પણ હવે તો જોખમમાં છે. જે રીતે આપણે ત્યાં અવનવા વિક્રમો માટેનો ક્રેઝ વધ્યો છે એટલે કદાચ આપણે એકાદ-બે વર્ષમાં સૌથી વધુ અરજી મોકલતો દેશ બની જઈએ તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય!
જોકે, એમાંથી બધા જ વિક્રમો દર્જ નથી થઈ જતાં. ઘણાં ખરાં પૂરાવાઓના અભાવે નોંધાતા નથી, તો ઘણા સ્હેજ માટે ચૂકી જતાં હોય છે. કેટલાકના પ્રયાસો એટલા કમનસીબ હોય છે કે અમુક વિક્રમનો પ્રયાસ ભારતમાં થયો હોય એના માત્ર થોડા દિવસો પહેલા જ એવો વિક્રમ નોંધાઈ ચૂક્યો હોય છે. અહીંથી અરજી તો સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસ પણ હાથ ધરાઈ ગઈ હોય, પરંતુ ૬ સપ્તાહ ચાલતી ચકાસણી પ્રક્રિયામાં ખબર પડે છે કે એવી જ બીજી અરજી માત્ર બે-પાંચ દિવસ પહેલા જ મળી ગઈ હોવાના કારણે પ્રથમને પ્રાથમિકતાના ન્યાયે ભારતની અરજી લાયક ઠરતી નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ૨૦૧૩ના એક સત્તાવાર સ્ટેટમેન્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિભિન્ન રેકોર્ડ નોંધાવવા માટેના દાવાઓમાં ૪૦૦ ગણો વધારો થયો છે અને એમાંથી રેકોર્ડ નોંધાવવાની ટકાવારીમાં પણ ૨૫૦ ગણો વધારો નોંધાયો છે.
વિક્રમોનો દાવો જ થાય છે એવું ય નથી. હવે તો સંખ્યાબંધ વિક્રમો નોંધાય પણ છે. ગિનેસ બૂકના અહેવાલ પ્રમાણે ભારતના દાવાઓમાંથી ૬૦-૭૦ ટકા દાવાઓ વિક્રમ સાબિત થઈ જાય છે. ઈન્ટરનેટના કારણે ક્યો વિક્રમ કોના નામે-ક્યારે નોંધાયો છે એ વિશે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરિણામે વિક્રમો માટે પ્રયાસ કરનારા પહેલાથી જ જાગૃત હોય છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડવાનો હોય તો તો ઘણી સરળતા રહે છે, પણ નવો રેકોર્ડ નોંધાવતી વખતે ય આવી માહિતી અસરકારક ભૂમિકા ભજવે છે.
એક બીજો ફરક એ આવ્યો છે કે એકાદ દશકા પહેલા ભારતની રેકોર્ડ બૂકમાં કોઈ રેકોર્ડને સ્થાન મળે એ પછી ગિનેસ માટે પ્રયાસો શરૃ થતાં હતાં. એટલે કે પ્રથમ ટાર્ગેટ ગિનેસ નહીં, પણ સ્થાનિક રેકોર્ડ બૂક્સ હતી. સ્થાનિક બૂકમાં સફળતા મળે પછી જ આગળનું લેવલ પાર કરીને ગિનેસ સુધી પહોંચવાનું વલણ હતું. એના બદલે હવે 'રેકોર્ડ મતલબ ગિનેસ' એવી સમજ વધુ મજબૂત બની ગઈ છે.
ભારતમાં ગૃપના વિક્રમો નોંધાવવા બહુ આસાન છે અને ગિનેસમાં નોંધાતા રેકોર્ડમાં નજર કરીએ તો એ વાત ધ્યાનાકર્ષક બની રહે છે. રાષ્ટ્રગીતનું સમુહગાયન, રાષ્ટ્રપિતાના લિબાસમાં બાળકોની રેલી, એક દિવસમાં ૨૫ લાખ લોકોની રેલવે મુસાફરી, એક સપ્તાહમાં લાખો નવા બેંક અકાઉન્ટ્સ, મેરેથોન, સાયકલ સ્પર્ધા...વગેરે ગૃપ રેકોર્ડ્સ બનાવવા ભારત માટે સરળ છે. અહીં સમુહ એકત્ર કરવાનું કામ આસાન હોવાના કારણે જ કદાચ આવા વિક્રમો આપણા નામે અઢળક નોંધાયા છે અને હજુ ય નોંધાઈ રહ્યાં છે.
ગિનેસ રેકોર્ડના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુક્લાએ એક વખત કહ્યું હતું ઃ ભારતમાં રેલવે ટિકિટથી લઈને પાર્કિંગ સુધી બધે જ સ્પર્ધાત્મક માહોલ છે. સંખ્યાબંધ લોકો એ આપણી શક્તિ છે અને એટલે જ રેકોર્ડ માટેનો અહીં અવકાશ છે, નવા નવા સમુહ વિક્રમો બને એવો સ્વાભાવિક માહોલ છે. કદાચ એટલે જ સંખ્યાને લગતા વિશ્વ વિક્રમો તોડવા ભારત માટે બીજા દેશોની તુલનાએ વધુ આસાન છે.
સામુહિક વિક્રમોની હરોળ થાય છે એ વાત સાચી, પણ સ્પર્ધા હોવાના કારણે જ અન્યથી અલગ પડી જવાનું સ્હેજ કપરું છે. વળી, ગિનેસનો રેકોર્ડ હોલ્ડર મીડિયા કવરેજ મેળવે છે, લોકોનું અટેન્શન મેળવે છે, ભારતના અસંખ્ય નાગરિકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી અનુભવે છે અને એટલે જ આપણે ત્યાં વ્યક્તિગત રેકોર્ડ નોંધાવવા માટે રેકોર્ડ બ્રેકિંગ યત્નો થતા રહે છે. ગિનેસ રેકોર્ડ પબ્લિકને પબ્લિસિટી અપાવી દે છે. વિશ્વભરમાં નોંધ લેવાતી હોવાના કારણે ય ગિનેસનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં ગિનેસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં મ્યુઝિયમ બન્યું છે અને એશિયામાં ગિનેસ રેકોર્ડે પ્રતિનિધિ નિમ્યો હોય એવો ભારત બીજો દેશ છે. આ જ બતાવે છે કે આપણે ગિનેસને ગંભીરતાથી લઈએ છીએ એટલી જ ગંભીરતાથી ગિનેસ આપણને પણ લે છે!

ભારત સ્થિત પ્રતિનિધિને ગિનેસ રેકોર્ડે કઈ રીતે પસંદ કર્યા?
નિખિલ શુક્લા ઘણી કંપનીઓમાં માર્કેટિંગની જવાબદારી નિભાવતા હતા. એવી જ એક જવાબદારીના ભાગરૃપે એક વખત તેણે લંડન સ્થિત ગિનેસ બૂક ઓફ રેકોર્ડની ઓફિસનો સંપર્ક કર્યો. વાસણ સાફ કરવાનું પ્રવાહી બનાવતી કંપનીએ એક જ બોટલમાં સૌથી વધુ પ્લેટ્સ સાફ કરી નાખવાનો દાવો કર્યો હતો. એ ખરેખર તો રેકોર્ડ કરતા પબ્લિસિટી સ્ટંટ વધુ હતો. ગિનેસને રસ પડયો અને પછી ચેન્નાઈમાં એ રેકોર્ડ પણ નોંધાયો. એ પછી નિખિલે ફિડબેક માટે ફરીથી ગિનેસનો સંપર્ક કર્યો ત્યારે લંડનની ઓફિસમાંથી ભારતમાં પ્રતિનિધિ નિમવાનો હોવાનું કહ્યું અને નિખિલને રસ હોય તો પણ વિચારીને જવાબ આપવાનું કહ્યું. નિખિલે પોતાના માર્કેટિંગના દૃષ્ટિકોણથી વિચારી જોયું અને તેને એમાં તકો પણ દેખાઈ. એમ ૨૦૧૧માં નિખિલને સત્તાવાર રીતે ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂંક મળી. 
ગિનેસના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુકલા

આજે ભારતના વિશાળ માર્કેટને અને રેકોર્ડની વેરાયટીને ધ્યાનમાં રાખીને ગિનેસે અલાયદી વેબસાઇટ બનાવી આપી છે. જેમાં ભારતના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મફતમાં દાવો કરી શકે છે અને કોઈ પણ નાનકડાં ગામડાંઓના દાવાઓને પણ ધ્યાનમાં લઈને નિખિલ સંપર્ક કરે છે અથવા તો રૃબરૃ જઈને તપાસ કરે છે. વળી, ગિનેસ બૂકની ગાઇડ લાઇન્સ પ્રમાણે ૬ સપ્તાહમાં કોઈ પણ દાવાને ખરો કે ખોટો સાબિત કરવો પડે છે એટલે અને ભારતમાં થતાં માતબર દાવાને જોતા નિખિલના ભાગે ઘણી કામગીરી આવે છે.
* વાનગી પ્રિય ભારતમાં વાનગીઓના ઘણા નાના-મોટા રેકોર્ડ નોંધાયા છે. એવો જ એક રેકોર્ડ કે દામોદરન નામના રસોઈયાએ દર્જ કર્યો હતો. તેણે ૨૪ કલાકમાં ૬૧૭ વાનગીઓ બનાવી હતી.
* આરૃષિ ભટનાગર નામની માત્ર આઠ વર્ષની બાળકી વિશ્વમાં સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ પેઇન્ટર છે અને તેના ૩૦૦૦ ચિત્રો પ્રદર્શિત થઈ ચૂક્યાં છે.
* ૧૩ આંકડાંઓનો ૨ સાથે માત્ર ૩૦ સેકન્ડમાં ગુણાકાર કરવાનો વિક્રમ શકુંતલા દેવીએ ૧૯૮૦માં કર્યો હતો અને એ પણ કમ્પ્યુટરે અચાનક આપેલા નંબરોની ગણતરી સેકન્ડોમાં કરવાનો પડકાર ઝીલ્યો હતો. શકુંતલા દેવીને હ્યુમન કેલક્યુલેટર તરીકે પણ નવાજવામાં આવ્યાં હતાં.
* કિશન શ્રીકાંત નામનો છોકરો જે હવે ૧૯ વર્ષનો છે, પણ તેણે ૨૦૦૬માં ફૂટપાથ નામની ફિલ્મ બનાવી ત્યારે તે માત્ર ૯ વર્ષનો હતો. એ સાથે જ તે દુનિયાનો સૌથી નાની વયે ફૂલલેન્થ ફિલ્મ ડિરેક્ટ કરવાનો ડિરેક્ટર બની ગયો હતો.
* ૫૪ લોકોએ નવેમ્બર-૨૦૧૦માં એક જ બાઇક પર બેસીને ૯૨૫ મીટરનું અંતર કાપ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
* ઈન્ડિયન આર્મીની એક ટૂકડીએ ૧૦ બાઇક ઉપર સવાર થઈને ૨૦૧ સૈનિકોએ પિરામિડ બનાવ્યો હતો અને ૨૦૦૧માં જયપુરમાં ૧૨૯ મીટરની દૂરી તય કરી હતી.
* ભારતના નામે ગૌરવપ્રદ રેકોર્ડ્સની સાથે સાથે બીજા એવા રેકોર્ડ પણ નોંધાયા છે જે ખરેખર આપણે ઈચ્છતા ન હોય અને એના માટે ગૌરવ પણ ન લઈ શકીએ. જેમ કે, સૌથી મોટા પ્રમાણમાં બાળમજૂરો ધરાવતો દેશ, સૌથી વધુ અભણ લોકો, અપૂરતા ખોરાકથી પીડાતા લોકો.
Sunday 8 February 2015
Posted by Harsh Meswania
Tag :

ડૂમ્સડે ક્લોક : સમય વર્તે સાવધાન!


૨૨ જાન્યુઆરીએ ડૂમ્સડે ક્લોક ૨૨મી વખત સેટ થઈ. એમાં રાતના ૧૨ વાગવામાં માત્ર ૩ મિનિટ બાકી છે. ૩૦ વર્ષ પછી ઘડિયાળ કયામતના સમયની આટલી નજીક પહોંચી છે, જે બતાવે છે કે વિશ્વ ભયાનક અરાજકતા તરફ ધકેલાઈ રહ્યું છે અને ગમે ત્યારે દુનિયાના ૧૨ વાગી શકે છે. આ કયામતનો સમય કલ્પનાઓના ઘોડાઓના આધારે નહીં, પણ સાયન્સની લગામ હાથમાં રાખીને નક્કી કરવામાં આવે છે...

બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલો કરીને અમેરિકાએ જાપાનને બેવળ વાળી દીધું ત્યારે દુનિયાને ખબર પડી કે યુદ્ધમાં આવા ભીષણ શસ્ત્રોનો હુમલો ય થઈ શકે છે અને દુનિયા પળવારમાં ખતમ પણ થઈ શકે છે. પરમાણુ શસ્ત્રની શોધ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થનારા સાયન્ટિસ્ટ-સંશોધકો માટે એ સમય વિચાર માંગી લે એવો હતો. જો ભવિષ્યમાં આવા જ ખતરનાક હુમલાઓ થતાં રહ્યાં તો દુનિયાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે એવા એંધાણ બીજા વિશ્વયુદ્ધમાં જ વર્તાઈ ગયા હતાં.
સંશોધન તો થઈ ગયું હતું, ભાથામાંથી તીર છૂટી ગયું હતું એટલે એ પાછું વળે એમ તો નહોતું. પણ જો એની માત્રા વધી જાય ત્યારે પ્રતીકાત્મક રીતે દુનિયાને એની ગંભીરતાનો અહેસાસ કરાવી શકાય તો કદાચ લાંબાં ગાળે એનું પરિણામ મળી શકે એ વિચાર સાથે કેટલાક વિજ્ઞાાનિકોએ ડૂમ્સડે ક્લોકની રચના કરી.એમાં રાતના ૧૨ વાગ્યાનો સમય સિમ્બોલિક રીતે દુનિયાનો કયામતનો સમય છે એમ ધારીને એની આસપાસ ઘડિયાળનો કાંટો સેટ કરવાનું નક્કી થયું. એવી ઘડિયાળ બનવા પાછળ વળી એ જ સાયન્સ જર્નલનું કવર પેજ જવાબદાર હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા-બ્રિટન અને કેનેડા દ્વારા અણુબોંબ બનાવવા માટે પ્રોજેક્ટ મેનહટ્ટન હાથ ધરાયો હતો. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર લેંગ્સડ્રોફ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેમણે જ પછીથી બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલ બનાવવામાં અગત્યનો રોલ પણ અદા કર્યો હતો. તેમના આર્ટિસ્ટ પત્ની માર્ટયલે એ સાયન્સ જર્નલનું ટાઇટલ પેજ બનાવ્યું એમાં સિમ્બોલિક રીતે તેમણે ૧૨ વાગ્યાને દુનિયાનો અંતિમ સમય બતાવીને તે વખત (૧૯૪૭)ની સ્થિતિ દુનિયા માટે ૧૨માં ૭ મિનિટ બાકી છે એવું પ્રતીકાત્મક રીતે બતાવ્યું હતું. વિનાશક શસ્ત્રોની લપેટમાં આવી ગયેલી દુનિયાને વારે-તહેવારે કશોક સંદેશો આપવાનું વિચારતા વિજ્ઞાાનિકોના એ ગૃપને પણ માર્ટયલનો વિચાર ગમી ગયો હતો એટલે પછીથી રાતના ૧૨ વાગ્યાને કયામતનો સમય ગણીને જ અત્યાર સુધીમાં ૨૨ વખત સમયને સેટ કરાયો છે.
બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલના
જૂન, 1947ના અંક માટે માર્ટયલ લેંગ્સડ્રોફે બનાવેલું કવર પેજ

ક્યારેક સમય ૧૨ની સાવ નજીક સરકી ગયો હોય, તો ક્યારેય ભયના વાદળ વિખેરાઈ જતા સમય રાતના ૧૨થી ઘણો દૂર સરકીને વિશ્વમાં બધુ હેમખેમ હોવાનો સંકેત પણ એ કાંટો આપતો રહે છે. શિકાગો યુનિવર્સિટીમાં બૂલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટની ઓફિસ છે. એ ઓફિસની દિવાલમાં ડૂમ્સડે ક્લોક લટકાવી રાખવામાં આવે છે. જે સતત દુનિયા કેટલી સલામત છે કે અસલામત છે એ બતાવતી રહે છે.
સમય જતાં અણુબોંબ, એવા જ બીજા વિનાશક શસ્ત્રો કે કેમિકલ વેપન્સ ઉપરાંતના પરિબળોને પણ ગણતરીમાં લેવામાં આવવા લાગ્યાં. જેમ કે, પર્યાવરણની બદલતી સ્થિતિ, પરમાણુ શક્તિનો વધતો ખતરો, વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના યુદ્ધો અને વિશ્વમાં પ્રભાવ પાડી શકતા દેશોમાં બદલતા રાજકીય સમીકરણો અને સૈન્યબળ અને સુરક્ષાનો અભ્યાસ કરીને વિશ્વમાં કેટલી અરાજકતા છે કે કેટલી શાંતિ છે એના આધારે ઘડિયાળ રાતના ૧૨ આસપાસ સેટ થતી રહે છે.
જોકે, ઘણી વખત ડૂમ્સડે ક્લોકની ટીકા પણ થઈ છે. સાયન્ટિસ્ટ દ્વારા કઈ રીતે રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય? પરમાણુ ખતરો અને મિસાઇલ પાવર ઉપર તો ઠીક છે કે વિજ્ઞાાનિકોની સમજ હોય અને એ ઉપરાંત પર્યાવરણની બાબતમાં પણ વિજ્ઞાાનિકો જાણકારી અંગે સવાલ ન ઉઠાવી શકાય પણ આતંકવાદી સંગઠનો વગેરેનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સામે વિજ્ઞાાનિકોનો ખૂલાસો એવો રહેતો આવ્યો છે કે જે તે વિષય માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને ઘડિયાળ વિશ્વમાં ભય ફેલાવવાનું કામ પણ નથી કરતી. એ તો સિમ્બોલિક રીતે જાગૃતિ ફેલાવવામાં કારણભૂત બને છે. ઘડિયાળનો કાંટો જ્યારે જ્યારે ૧૨ની સાવ નજીક આવી ગયો છે ત્યાર પછી કોઈક કારણોસર વિશ્વ શાંતિની નજીક આવ્યું છે અને ત્યાર પછી કાંટો ૧૨ની દૂર સરકતો રહ્યો છે.
આ ક્લોકના આંકડાંને ગંભીરતાથી લેવાનું એક કારણ સાયન્સ એન્ડ સિક્યુરિટી બોર્ડના વૈજ્ઞાાનિક સભ્યો ઉપરાંત સાયન્સના નોબેલ પ્રાઇઝ વિનર ૧૭ વિજ્ઞાાનિકોનું બનેલું બોર્ડ ઓફ સ્પોન્સર્સ છે. વિશ્વભરના ગણનાપાત્ર ૩૫-૪૦ સાયન્સ-ટેકનોલોજિ-સિક્યુરિટીના મહારથીઓના વિશ્લેષણના આધારે સમગ્ર મુલ્યાંકન થાય છે.
ઘડિયાળનો અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત પોઈન્ટ ૧૯૯૧માં સેટ કરવામાં આવ્યો હતો. અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા કોલ્ડવોરનો અંત આવ્યો ત્યારે ૧૯૯૧માં ઘડિયાળનો સમય ૧૧.૪૩ કરી દેવામાં આવ્યો હતો. રાતના ૧૨થી ૧૭ મિનિટ દૂરનો ઘડિયાળનો એ કાંટો  અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમયગાળો હતો. જોકે, એ સમયગાળો માત્ર ચાર વર્ષ ચાલ્યો હતો. ત્યાર બાદ ફરીથી દુનિયા સતત અરાજકતા તરફ ધકેલાતી જતી હોય એમ ઘડિયાળનો કાંટો રાતના ૧૨ની નજીક સરકતો રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શરૃ થયેલાં શીતયુદ્ધ દરમિયાન એક બીજાને પાછળ પાડી દેવા માટે ભયનજક સપાટી સુધી પહોંચવા લાગ્યું હતું. ત્યારે ૧૯૫૩માં ડૂમ્સડે ક્લોકનો સમય રાતના ૧૨ વાગ્યાથી માત્ર ૨ મિનિટ દૂર કરાયો હતો. એટલે કે જો આ સ્થિતિ રહી તો પૃથ્વીના ૧૨ વાગી શકે એવા સ્પષ્ટ ચિહ્નો જણાતા હતા, પણ ૧૯૬૦ સુધીમાં રાજકીય સ્થિતિ બદલાવા લાગી હતી એટલે ફરીથી કાંટો ૧૨થી ૭ મિનિટ દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.
સમયનો કાંટો ૧૨ વાગ્યાથી જેટલો દૂર એટલો ખતરો ઓછો અને કાંટો ૧૨ની નજીક પહોંચે એટલે દુનિયા જાણે વેન્ટિલેટર પર મૂકાય જાય છે- અલબત્ત સિમ્બોલિક રીતે જ! એમાં કયામતના દિવસની કપોળ-કલ્પિત આગાહીઓ નથી કરવામાં આવતી પણ દુનિયામાં ખતરો વધી રહ્યો હોવાની વિશ્લેષક એંધાણી બતાવવામાં આવે છે.

કાંટો ફેરવનારી ટીમમાં એક ભારતીય
વિજ્ઞાનીઓની વૈશ્વિક ટૂકડી ઘડિયાળનો સમય ક્યારે આગળ કે પાછળ કરવો એ નક્કી કરે છે. એ પેનલમાં ભારતીય સાયન્ટિસ્ટ અને દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ પણ છે. પ્રોફેસર રાજારમણે ૧૯૯૮માં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે અમેરિકા અને ભારતના પરમાણુ કરાર અંગેની દૂરગામી અસરોથી લઈને બંને દેશોના પરમાણુ સિક્યુરિટી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. ૧૯૩૯માં જન્મેલા પ્રોફેસર આર. રાજારમણે ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યા પછી ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ અને વિદેશી અનુભવનો લાભ આપ્યો હતો. તેઓ ડૂમ્સડે ક્લોકની પેનલના એક માત્ર ભારતીય સભ્ય છે. ક્લોકની કાર્યપદ્ધતિ વિશે પ્રોફેસર રાજારમણ સાથે થયેલી વાતચીતના અંશો...
પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ
ક્લોકનો સમય સેટ કરવાનો કોઈ ચોક્કસ સમય ખરો?
આમ તો દર વર્ષે બેઠક મળે છે અને એમાં વર્ષભરની વિશ્વની સ્થિતિ અંગે વિશ્લેષણ થાય છે, પણ દરેક વખતે જરૃર ન હોય તો ક્લોકમાં સમય ફેરફાર નથી કરાતો.

સમય આગળ પાછળ કઈ રીતે લઈ જવાય છે?
દર વર્ષે બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટની બેઠક મળે છે. સામયિકમાં વર્ષભર પબ્લિશ થતા વિચારો અને વિજ્ઞાાનની અલગ અલગ શાખાના નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાાનિકોના મતાનુસાર જે તે વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે ઘડિયાળના સમયને રાતના ૧૨ વાગ્યાની નજીક કે દૂર લઈ જવામાં આવે છે.

વિશ્વમાં ડૂમ્સડે ક્લોકના સમયની કેવી અસર થાય છે?
વિશ્વના ગણનાપાત્ર વિજ્ઞાાનિકો બૂલેટિન ઓફ એટોમિકને પોતાના વિચારો રજૂ કરતા રહે છે અને એના આધારે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. વિભિન્ન દેશોની સરકારો તેમની સુરક્ષા પોલિસીમાં ડૂમ્સડે ક્લોકના કારણે સીધો ફેરફાર કરતા હોય એને એની ક્રેડિટ આપતા હોય એવું તો ભાગ્યે જ બને છે, પણ આડકતરી અસર તો થાય છે. કેમ કે, ૧૨ વાગ્યાની સાવ નજીક આવેલો સમય દરેક વખતે દૂર જાય છે. પરિણામે કટોકટીની પરિસ્થિતિ પછી વિશ્વ વધુ સલામત થયું છે.

ડૂમ્સડે ક્લોક પાછળનો વિજ્ઞાાનિકોનો હેતુ શું છે?
ક્લોક આપણને જાતે વિનાશ ન નોતરવાની ચેતવણી આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શક્તિની ઘાતક અસરો જોયા પછી વિજ્ઞાાનિકોને અહેસાસ થયો હતો કે આ ભયંકર શક્તિ પૃથ્વીનો વિનાશ પણ નોતરી શકે છે. બ્રહ્માસ્ત્રની આધૂનિક આવૃત્તિ જેવા આ વિનાશક શસ્ત્રનો બેફામ ઉપયોગ થાય તો માનવજાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે વિજ્ઞાાનિકોએ મળીને બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પરમાણુ શક્તિના આધારે કયામતનો સમય કેટલો દૂર છે એનો સિમ્બોલિક સમય આપ્યો હતો. એ પછી સમયાંતરે એમાં પર્યાવરણ, આંતરિક યુદ્ધો અને એમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે.

ઘડિયાળના ફેરફારમાં ભારતનો ફાળો કેટલો?

૧૯૬૩માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૨ મિનિટ દૂર હતી. એ પછી વિશ્વમાં બનેલી વિવિધ ઘટનાઓના કારણે ૧૯૬૮માં ક્લોકને સેટ કરવામાં આવી ત્યારે રાતના ૧૨માં ૭ મિનિટનો જ ફાસલો રહ્યો હતો. એમાં ભારત-પાકિસ્તાના યુદ્ધનો ય ફાળો હતો. ૧૯૭૨માં ક્લોકનો સમય ૧૨ વાગ્યામાં ૧૨ મિનિટ ઓછો હતો અને ૧૯૭૪માં ક્લોકનો ટાઇમ ૧૨માં ૯ મિનિટ કમ હતો ત્યારે પણ એક કારણે ભારતનું પરમાણુ પરિક્ષણ હતું. ૧૯૯૫માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૪ મિનિટ દૂર હતી પણ જ્યારે ૧૯૯૮માં ક્લોકના કાંટો પાંચ મિનિટ નજીક આવીને ૧૨માં ૯ ઓછો રહ્યો ત્યારે એમાં ભારત અને પાકિસ્તાને ઉપરા છાપરી કરેલા પરમાણું પરિક્ષણો ય જવાબદાર હતા. ત્રણ વખત ડૂમ્સડે ક્લોકમાં સમય બદલવામાં ભારતનો ઉલ્લેખ થયો છે અને ત્રણેય વખત કાંટો ભયનજક સપાટીની નજીક આવ્યો હતો!
Sunday 1 February 2015
Posted by Harsh Meswania
Tag :

ટેલિપ્રોમ્પ્ટર : નેતાઓના છટાદાર વકતવ્ય પાછળનું ત્રીજું નેત્ર



વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્ટ ટેલિપ્રોમ્પ્ટરની મદદથી છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપીને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપકરણ ખરેખર તો નાટકોના અભિનેતાઓ લાંબાં સંવાદો ભૂલ વગર બોલી શકે એ માટે ડિઝાઇન થયું હતું

અમેરિકન ટેલિવિઝન-સ્ટેજ એક્ટર ફ્રેડ બાર્ટનને વિચાર આવ્યો કે જો ડાયલોગ્સ ગોખવાને બદલે સામે ટેલિવિઝનની સ્ક્રીન જેવી કોઈ વ્યવસ્થા હોય અને એમાં ડાયલોગ્સ લખાયેલાં હોય તો એક્ટરનું કામ કેટલું સરળ થઈ જાય? એણે પોતાની લાગણી ઈલેક્ટ્રિકલ ઈજનેર મિત્ર હ્યુબર્ટ સ્ક્લાફ્લાય સામે વ્યક્ત કરી અને એવું કશુંક સાધન બનાવી દેવા કહ્યું. હ્યુબર્ટે એમાં જરૃરી સાધનો માટેનું બજેટ માગ્યું. બજેટ આપવાની તૈયારી એ બંનેના બિઝનેસમેન મિત્ર ઈરવિન બર્લિને બતાવી અને કામ શરૃ થયું.
વર્ષ-બે વર્ષની મહેનત પછી અંતે હ્યુબર્ટે એક ડિઝાઇન તૈયાર કરી નાખી. જેમાં ટેલિવિઝન જેવી દેખાતી સ્ક્રીનમાં જરૃરી લખાણ ફરતું રહે અને જેને વાંચવાનું છે એ સામે જોઈને સરળતાથી વાંચી શકે એવી ટેકનિક વિકસાવાઈ હતી. બિઝનેસમેન મિત્ર ઈરવિનને એ ડિવાઇઝમાં ભરપૂર શક્યતાઓ દેખાતી હતી એટલે તેણે એની પેટર્ન રજિસ્ટર કરાવી નાખવાની ભલામણ કરી, સાથે સાથે એમાં કોઈ મોટા રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્કને જોડવાનો પ્લાન પણ બનાવ્યો. કારણ કે, એ દિવસોમાં ન્યૂઝ રીડરને ટેબલ પર જોઈને વાંચવું પડતું હતું અથવા તો સમાચાર ગોખવા પડતા હતાં, જેમાં ભૂલો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હતી.
ટેલિવિઝનમાં ટૂંકાગાળામાં વધુ કામ કરવાનું હોય એટલે મીડિયા પર્સન્સ માટે બધુ યાદ રાખવું મુશ્કેલ હોય. એ સ્થિતિમાં નવા વિકસતા જતાં ટેલિવિઝન ન્યૂઝના ફિલ્ડમાં કમાણી કરવાના હેતુથી ટેલિપ્રોમ્પ્ટરના બિઝનેસમાં વિશાળ તકો છે એમ ઇરવિનનું માનવું હતું. અમેરિકાનું કોઈ મોટું નેટવર્ક એ ડિવાઇઝમાં રોકાણ કરે તો કંઈક વાત બને એમ હતી.
ડિઝાઇન લઈને ત્રણેય મિત્રોએ અમેરિકાના બે વિશાળ રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્ક- સીબીએસ કોર્પોરેશન અને ટેલિવિઝન તેમ જ ફિલ્મમાં મોટું નામ ગણાવા લાગેલા ફોક્સ સ્ટૂડિયોનો સંપર્ક કર્યો. બેમાંથી એકેયને એમાં રોકાણ કરવાનું યોગ્ય ન લાગ્યું. નિરાશ થવાના બદલે અંતે ત્રણેયે હિંમત કરીને કંપની બનાવવાનું નક્કી કર્યું. કંપનીનું નામ રાખ્યું- ટેલિપ્રોમ્પ્ટર. જે પછીથી કંપનીનું જ નહીં, પણ એ સાધનનું જ બ્રાન્ડનેઇમ બની ગયું.
ટેલિપ્રોમ્પ્ટર નામ રાખવા પાછળનો તર્ક કંઈક આવો હતો- ટેલિવિઝનની સ્ક્રીન જેવો દેખાવ હોવાના કારણે આગળનું નામ તો સ્વાભાવિક રીતે જ ટેલિ રાખ્યું, પરંતુ પાછળ ઉમેરાયેલા પ્રોમ્પ્ટરનો અર્થ - 'નાટક દરમિયાન સંવાદો યાદ કરાવનાર સહાયક' એવો થતો હતો. એ રીતે સંવાદો યાદ કરાવનારા સહાયક તરીકે 'ટેલિપ્રોમ્પ્ટર'ને અમેરિકન બજારમાં પ્રવેશ કરાવાયો ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સંવાદો યાદ કરાવવાના હેતુ સાથે ઉપલબ્ધ થયેલું આ સાધન વિશ્વભરના નેતાઓના લાંબાં ભાષણો પણ ગોખી મારશે! પછીથી એ કંપનીએ વિશાળ ટેલિવિઝન નેટવર્ક બનીને ત્રણેય શોધક-સાહસિકોને અઢળક નાણાં ય રળી આપ્યાં.
                                                                              * * *
ટેલિપ્રોમ્પ્ટરનો સૌપ્રથમ ઉપયોગ ધ 'ફર્સ્ટ હન્ડ્રેડ યર્સ' નામના નાટકમાં થયો હતો. ન્યૂઝમાં પહેલી વખત ઉપયોગ ૧૯૫૩માં લુસી બેલ અને ડેસી અર્નાસ નામના પ્રોગ્રામ સંચાલકોએ કર્યો હતો. સીબીએસ કોર્પોરેશનના પ્રોડયુસર ડોન હેવિટને જ્યારે પેલા ત્રણ સંશોધકોએ એ ડિવાઇઝના ઉપયોગની વાત કરી ત્યારે તેણે પોતાના વિખ્યાત એન્કર ડગ્લાસ એડવર્ડ સાથે ઓળખાણ કરાવીને કહ્યું હતું કે અમારો એન્કર બ્રેઇલ લિપિ જાણે છે, એટલે એને કેમેરા સામે નજર રાખતી વખતે ટેબલ પર નીચે જોવાની જરૃર નથી. એટલે જ અમારે તમારા ડિવાઇઝની પણ જરૃર નહીં પડે. જોકે, ડોન હેવિટે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર એક જ દશકામાં જગતભરની સમાચાર ચેનલ્સની ટેલિપ્રોમ્પ્ટર વગર કલ્પના પણ નહીં થાય! આજેય વિશ્વની એકેય ન્યૂઝ ચેનલ ટેલિપ્રોમ્પ્ટર વગર શક્ય જ નથી! હવે સમાચાર ચેનલ શરૃ કરતી વખતે પાયાના સાધન તરીકે ટેલિપ્રોમ્પ્ટરની ગણના કરવી અનિવાર્ય છે.
ન્યૂઝ માટેના ટેલિપ્રોમ્પ્ટરની ડિઝાઇન બનાવવાનો યશ જેસ ઓપનહેમરને મળે છે. તેણે ટેલિપ્રોમ્પ્ટરની સાથે જ કેમેરા લેન્સ ગોઠવી દીધો હતો એટલે ન્યૂઝ રીડર માટે તેનો ઉપયોગ બહુ જ સરળ બની જાય છે. એનાથી કેમેરા સામે જોઈને ન્યૂઝ રીડ થઈ રહ્યાંનો આબાદ આભાસ ઉભો થાય છે.
જોકે, એ સમયે ટેલિપ્રોમ્પ્ટર ખરીદવાનો ઉમળકો ભાગ્યે જ કોઈ દાખવતા હતા. નાટક સાથે જોડાયેલાં હોય અથવા તો ટેલિપ્રોમ્પ્ટરને ભાડે આપવાનો નવો બિઝનેસ કરતાં હોય એ જ ખરીદવાનો ઉત્સાહ બતાવતા! ૫૦'ના દશકામાં એનું એક કલાકનું ભાડું ૧૫૦૦ રૃપિયા કરતા પણ વધારે હતું. કોર્પોરેટ કંપનીના કાર્યક્રમોમાં કે રાજકીય સંમેલનોમાં ટેલિપ્રોમ્પ્ટર ભાડે લેવામાં આવતું હતું. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરની લોકપ્રિયતા સિદ્ધ કરે એવો રસપ્રદ કિસ્સો બન્યો હતો.
૧૯૨૯-૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા અને ૮૦ વર્ષની વયે પહોંચેલા હર્બર્ટ હૂવરે ૧૯૫૨માં શિકાગોમાં યોજાયેલા રિપબ્લિક પાર્ટીના એક સંમેલનને સંબોધવા માટે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું. હૂવરે સ્હેજપણ અકળાયા વગર ટેલિપ્રોમ્પ્ટર ફરીથી ચાલું કરવાની પોતાના સહાયકોને સૂચના આપી અને એટલી વાર સુધી શાંતિથી રાહ જોઈ. એ ઘટનાએ ટેલિવિઝન અને અખબારોમાં સ્થાન મેળવ્યું. જેના કારણે અખબારો-સામયિકો-ન્યૂઝ ચેનલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર કઈ રીતે કામ કરે છે એની સમજૂતિઓ પણ આપવામાં આવી; લોકોને આ નવા ડિવાઇઝનો પરિચય મળ્યો. એ ઘટનાએ એકાએક ટેલિપ્રોમ્પ્ટરની માર્કેટ વેલ્યુ વધારી દીધી. વળી, એ જ સમયગાળામાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિક નેતા અને પછીથી અમેરિકાના ૩૪મા પ્રમુખ બનેલા ડ્વાઇટ એસનહૂવરે પણ પોતાના પ્રચાર ઝુંબેશમાં વ્યાપકપણે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી.
ડ્વાઇટ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા; જેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી-ખાનગી કાર્યક્રમોમાં ટેલિપ્રોમ્પ્ટરની મહત્તમ મદદ લીધી હતી. એ સિલસિલો છેક બરેક ઓબામા સુધી લંબાયો છે. ડ્વાઇનના અનુગામી જ્હોન એફ કેનેડી મહત્ત્વની સરકારી જાહેરાત વખતે આ ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એમના અનુગામી પ્રેસિડેન્ટ એલ.બી. જ્હોનસને સિવિલ રાઇટ્સ એક્ટ ૧૯૬૪ની જાહેરાત કરતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી. રોનાલ્ડ રેગન એક સાથે બબ્બે સ્ક્રીન રાખતા હતા. એ ઉપરાંત કાગળ ઉપર મહત્ત્વની નોંધ ટપકાવીને પણ સાથે રાખવાનું ચૂકતા નહોતા! બુશ પિતા-પુત્રમાં સિનિયર જ્યોર્જ બુશને ટેલિપ્રોમ્પ્ટર વધુ સગવડતાભર્યું લાગતું હતું. એમની તુલનાએ ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશ બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળતા હતા; તેઓ ટેલિપ્રોમ્પટરની મદદ માત્ર મુદ્દા જોવા માટે જ કરતા હતા. અમેરિકાના મોટા ભાગના નેતાઓ પોતાના ભાષણમાં છબરડાં ખાળવા માટે ટેલિપ્રોમ્પ્ટરને સાથે રાખે છે. વર્તમાન પ્રમુખ ઓબામા તો આ સાધનના કારણે એટલા બધા ટીકાપાત્ર બન્યા છે કે હવે તો જોક ફરતા થયા છે કે ઓબામા પત્ની મિશેલ સાથે વાત કરતી વખતે ય ટેલિપ્રોમ્પ્ટર રાખે છે!
ઓબામાના પગલે ચાલીને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન બન્યા પછી; ખાસ તો ઈંગ્લીશમાં ભાષણ આપતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવા માંડી છે. પીએસએલવીના લોચિંગ વખતે જુલાઈમાં મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત
ટેલિપ્રોમ્પ્ટરની મદદથી અંગ્રેજીમાં વકતવ્ય આપ્યું હતું. એ પછી ફરીથી સપ્ટેમ્બર માસમાં મંગળયાનની સફળતા વખતે ઈસરોમાં પ્રવચન કર્યું ત્યારે ટેલિપ્રોમ્પ્ટરનો સાથ મેળવ્યો હતો. અમેરિકાની મુલાકાત વખતે હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં જે પાંચ-સાત વકતવ્યો આપવાના થયા એમાં તેમણે એકાદ-બે વખત આ ટેકનોલોજિની મદદ લીધી હતી. મોદી સામાન્ય રીતે બે સ્ક્રીનની મદદ લેતા હોય છે અને એની ગોઠવણ એવી રીતે કરાવે છે કે ટેલિવિઝનના દર્શકો એ સ્ક્રીન જોઈ શકતાં નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમને છટાદાર રીતે અંગ્રેજી બોલતા જોઈને કોણે વિચાર્યુ હોય કે એ કમાલ તો ટેલિપ્રોમ્પ્ટરનો છે?
છબરડાં ખાળવા માટે ઉપયોગ થાય તો ટીકા ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વટ પાડવા માટે ટેલિપ્રોમ્પ્ટર ઉપયોગમાં લેવાય અને વળી એ વાત ગોપનીય રહે એ માટે સભાન રીતે પ્રયાસ થાય તો ટીકાપાત્ર ન બને તો જ નવાઈ! આ બાબતે પણ ઓબામાના પગલે ચાલવા જેવું ખરું, વધી વધીને ઓબામાની જેમ કાર્ટૂન ફરતા થશે તો એ પણ દેશવાસીઓના મનોરંજન માટે જ હશેને!

ટેલિપ્રોમ્પ્ટરના શોધકે છેક  ૬૦ વર્ષે તેનો ઉપયોગ કર્યો!
ટેલિપ્રોમ્પ્ટરની શોધ સાથે ત્રણ સંશોધકો જોડાયેલા છે. એમાંથી ફ્રેડ બાર્ટર એક્ટર હતા. તેમને એની જરૃર ક્યારેય પડી નહોતી. ઈરવિન બર્લિન મીડિયા સાથે જોડાયેલા હતા અને કેબલ ટેલિવિઝનના સ્થાપક હતા, તેને ય પોતાના માટે ક્યારેય ટેલિપ્રોમ્પ્ટના ઉપયોગની જરૃર જણાઈ નહોતી. 
ત્રીજા અને સૌથી મહત્ત્વના ભાગીદાર એવા હ્યુબર્ટ સ્ક્લાફ્લાયને છેક ૨૦૦૮માં ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવી પડી હતી. જ્યારે તેમનો વિસમી સદીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું એ પ્રસંગે બોલવાનું થયું ત્યારે છેક ૨૦૦૮માં પ્રથમ વખત તેમણે પોતાની શોધ એવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કર્યો હતો. શોધક પોતાની શોધનો લાભ લે એ પહેલા તો વિશ્વભરની ટેલિવિઝન ચેનલોથી લઈને દુનિયાભરના રાજકારણીઓ છૂટથી તેનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. ડગલેને પગલે રાજકીય નેતાઓથી લઈને સિંગર માઇલી સાયરસ સુધી ઉપયોગી થઈ પડેલું ટેલિપ્રોમ્પ્ટર તેના ત્રણ શોધકોમાંથી એકને માત્ર એક વખત ખપમાં આવ્યું હતું!
Sunday 18 January 2015
Posted by Harsh Meswania
Tag :

ડૉ.વસંત ગોવારિકર : મૌસમને 'વસંત' આપનારા વિજ્ઞાની


ભારતના શરૃઆતી અવકાશ પ્રોગ્રામ્સમાં પાયાની ભૂમિકા ભજવનારા વિજ્ઞાની વસંત ગોવારિકર ભારતના મોર્ડન મોનસૂન મોડેલના જનક કહેવાય છે. વિદેશની લોભામણી તકો છોડીને વતનમાં વસંત ખીલાવવા પાછા આવી ગયેલા આ વિજ્ઞાનીએ સાયન્સ-ટેકનોલોજિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ય નોંધપાત્ર કામગીરી કરી છે
૧૯૪૪નું એ વર્ષ હતું. અંગ્રેજો ભારત છોડીને જતાં રહે એ માટે આખો દેશ એકી અવાજે નારો લગાવતો હતો. ગાંધીજી ચરખાના દોરા વાટે આખા દેશને એકસૂત્રતાના તાંતણે બાંધી રહ્યા હતા ત્યારે એક ૧૧ વર્ષનો છોકરો મુગ્ધ આંખે દેશમાં ચાલી રહેલી આઝાદીની ચળવળના પ્રતીક સમાં ચરખાને તાકી રહ્યો હતો. આઝાદીની ચળવળમાં જોડાયેલાં નાના-મોટા તમામ લોકો યથાયોગ્ય સમય કાઢીને ચરખો કાંતતા હતાં એટલે કોઈ કિશોર આ રીતે ચરખો જૂએ તો સ્વાભાવિક છે કે એને ય એ કળા શીખવી હોય, પરંતુ અહીં આ કિશોરના મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હતાં. એણે વિચાર્યું કે ચરખો જાતે ફરે એવી કશીક ગોઠવણ થાય તો ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે. ચરખો કાંતવાનું શીખવાની ઉંમરે એ કિશોર ચરખો બનાવતા શીખતો હતો એ જોઈને તેની ઉંમરના તરુણો મશ્કરી ય કરતા હતા. 'પહેલા ચરખો કાંતતા શીખી જા, પછી બનાવવાનું વિચારજે..' એવા વાક્યો તેના માટે લગભગ દરરોજના થઈ ગયાં હતાં. થોડા વખતની મહેનત પછી તેણે ગાંધીજી પાસે હતો એવો જ ચરખો બનાવી નાખ્યો, પણ ફરક એટલો હતો કે આપમેળે ફરે એવી તરકીબ તેણે અજમાવી હતી. એમાં રૃ કાંતતી વખતે દોરો પણ ખૂબ લાંબો નીકળતો હતો. લાકડાંની કશીક ગોઠવણથી તેણે એવું કશુંક કર્યું હતું કે એક વખત ચક્ર ફેરવી દીધા પછી ધીમે ધીમે ચરખો આપબળે ચાલતો રહેતો હતો.
એ ચરખો તેણે ગાંધીજીને બતાવવા માટે સાચવી રાખ્યો. દિલ લગાવીને કરેલું પોતાનું કામ ગાંધીજીને બતાવવાની હઠ પકડીને બેઠેલા કિશોરની ઇચ્છાશક્તિ પારખીને કોઈ વડીલે પૂણે ગાંધીજી આવ્યા ત્યારે મળવાનું પણ ગોઠવી આપ્યું.
મહાદેવભાઈ દેસાઈ એ કિશોરને ગાંધીજી પાસે લઈ ગયા. અબાલ-વૃદ્ધ સૌને સહજ રીતે મળતા ગાંધીજી પેલા કિશોરને મળ્યા ત્યારે કિશોરે ઘણા દિવસોની મહેનત પછી બનાવેલો પોતાનો અનોખો ચરખો બતાવ્યો. પહેલી નજરે ગાંધીજીને એ સાધારણ ચરખા જેવો જ લાગ્યો, પણ પછી જ્યારે એ છોકરાએ તળપદી મરાઠી ભાષામાં ગાંધીજીને સમજાવતા જઈને ચરખો કઈ રીતે કામ કરે છે એ બતાવ્યું ત્યારે ગાંધીજીએ પીઠ થાબડીને તેની પ્રશંસા કરી. મહાદેવભાઈને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું કે જો આવા આપબળે ચાલતાં ચરખા હોય તો કેટલાય કિશોર એમાંથી ખાદી વણી શકે. વળી, જે એક હાથે જ કામ કરી શકે તેમ છે એને ય આ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
ગાંધીજીના આટલા શબ્દો પેલા કિશોરને પોરસ ચડાવવા માટે પૂરતાં હતાં. કેમ કે, એને કંઈ આખી જિંદગી ચરખો બનાવવામાં કાઢવાની નહોતી, સમયાંતરે ચરખાની જરૃરીયાત તો મર્યાદિત થવાની હતી. પણ યંત્રો સાથે રચનાત્મક રીતે કામ કરવાની કુશળતા ધરાવતો કિશોર કદાચ ગાંધીજીની પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને જ આવી ટેકનિકલ પ્રવૃત્તિ તરફ વળ્યો અને પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત સાચી પાડતો હોય એમ પોતાના ટેકનિકલ નોલેજના કારણે જ વર્ષો પછી એ કિશોર ભારતને અવકાશ સુધી પહોંચાડવામાં ભાગીદાર થયો!
                                                                               * * *
૨ જાન્યુઆરીએ ૮૧ વર્ષના વિજ્ઞાની ડૉ. વસંત ગોવારિકરનું નિધન થયું. જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? ભારત આવનારા અમેરિકન પ્રમુખ બરેક ઓબામા શું ખાશે અને ક્યાં જશે? પીકેના વિરોધમાં કોણે શું કહ્યું? આયોજન પંચનું નવું નામકરણ કેમ થયું? પોરબંદરના દરિયામાં જે ભેદી બોટને આગ લાગી એમાં આતંકવાદીઓ હતા કે બીજુ કોઈ...? વગેરે વગેરે ઘટનાઓમાં વસંત ગોવારિકરના નિધનની નોંધ ભાગ્યે જ લેવામાં આવી. ગોવારિકરને ભારતના મોર્ડન મોન્સૂન મોડેલના જનક કહેવાય છે. ગોવારિકરને મોટાભાગે એના માટે જ યાદ કરાય છે, પણ ખરેખર તો એ એની અધૂરી ઓળખ આપી કહેવાય. કેમ કે, તેમણે એ સિવાય એવા કેટલાય કાર્યો કર્યા છે; જેના માટે તેમને યાદ કરવા પડે.
૧૯૩૩માં પૂણેમાં જન્મેલા વસંત ગોવારિકરે કોલ્હાપુરમાં બીએસસીનો અભ્યાસ પૂરો કરીને પારિવારિક જરૃરીયાતના કારણે નોકરી કરવા માંડી, પણ હજુયે તેને આગળનો અભ્યાસ પૂરો કરવો હતો. આર્થિક જરૃરિયાતના કારણે નોકરી મૂકી શકાય તેમ ન હતી અને નોકરીના કારણે કોલેજમાં જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું એ સમયે લગભગ અશક્ય જેવું હતું. તેમણે વચ્ચેનો માર્ગ કાઢીને પાર્ટ ટાઇમ નોકરી કરી અને બાકીના સમયમાં એમએસસી પૂરું કર્યું. એ અરસામાં જ બ્રિટન જઈને ભણવાની તક મળી ગઈ. ૫૦-૬૦ના દશકામાં તેમણે પ્રો. એફ.એચ. ગાર્નરના માર્ગદર્શનમાં માત્ર બે વર્ષમાં પીએચ.ડી કર્યું અને એણે જેના પર કામ કર્યું હતું એ તરલ પદાર્થ અને ઘન પદાર્થના વિશ્લેષણને બ્રિટનની ઘણી બધી યુનિવર્સિટીઝના સિલેબસમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં, કેેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ગણનાપાત્ર યુનિવર્સિટીઝ કે જ્યાં એમની વયના યુવાનો એડમિશન મેળવવાનું શમણું સેવતા; ત્યાં આ ૨૮ વર્ષના વિદ્વાન યુવાન પરીક્ષક બની ગયા.
વિદેશી ટેલેન્ટને મોકળા મને આવકારતા અમેરિકાએ ગોવારિકર માટે દ્વાર ખોલ્યાં. મિસાઇલ ક્ષેત્રના સંશોધન માટે ગોવારિકરને અમેરિકાનું ઈજન મળ્યું. ઓક્સફર્ડ-કેમ્બ્રિજમાં ભણતી ટેલેન્ટની પરીક્ષા લઈ શકે એવો ટેલેન્ટેડ યુવક હોય, બ્રિટનની કોલેજોમાં વિદ્યાર્થીઓ તેની થિયરીનો અભ્યાસ કરતા હોય, ૧૯૬૫ આસપાસનો સમય હોય, અવકાશ વિજ્ઞાનમાં અમેરિકાનું આધિપત્ય સિદ્ધ થવું થવું હોય ત્યારે; અમેરિકાનું આમંત્રણ ન સ્વીકારવાની હિંમત કોણ કરે?
પણ એ હિંમત વસંત ગોવારિકરે કરી. સામાન્ય રીતે આપણા ઘણા બધા વિજ્ઞાનિકો-સંશોધકોની બાબતમાં બન્યું છે એમ લગભગ આવી તક ભાગ્યે જ કોઈ જતી કરે. ભારત હજુ તો પ્રાથમિક સવલતોની બાબતમાં સંઘર્ષ કરતું હોય ત્યારે અવકાશ વિજ્ઞાનનું વિચારવાની ફુરસત કોને હોય? નવા નવા આઝાદ થયેલા દેશ સામે ગરીબી-બેકારી-ભૂખમરો જેવી વિકરાળ સમસ્યાઓ મોં ખોલીને ઉભી હોય ત્યારે વિજ્ઞાનના સંશોધન માટે સરકાર પૈસા આપશે એવી અપેક્ષા પણ વધારે પડતી હતી. એટલે ભારત જેવા દેશોના સંશોધકો માટે અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં કે જ્યાં ખરેખર તક હતી અને નામ-દામ બંને મળી શકે એમ હતા; ત્યાં રહીને કામ કરવું વધુ સગવડભર્યું હતું.
જોકે, ભારતમાં અવકાશ વિજ્ઞાનને ગંભીરતાથી લઈને સ્પેસ પ્રોગ્રામ ચલાવનારા વિક્રમ સારાભાઈ જેવા વિચક્ષણ વિજ્ઞાની પણ હતા અને એમના પ્રયાસોથી જ વસંત ગોવારિકર બધી વિદેશી તકો જતી કરીને ભારત પાછા ફર્યા. વૈચારિક રીતે સજ્જ થઈને આવેલા ગોવારિકરે વિક્રમભાઈ સાથે મળીને ભારતના અવકાશ કાર્યક્રમો માટે કામ શરૃ કર્યું. જે આગળ જતાં ગોવારિકરની જ હયાતીમાં મંગળ સુધી પહોંચવાનું હતું!
થુમ્બામાં ૧૯૬૫માં પહેલું સાયન્સ અને ટેકનોલોજિ સેન્ટર બન્યું ત્યારથી જ ગોવારિકર એ સેન્ટર સાથે જોડાયેલા હતા. મિસાઇલમાં વિશેષ કુશળતા ધરાવતા હોવાના કારણે ગોવારિકરની નિગરાની હેઠળ વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ્સ ચાલતાં હતાં. એમાંનો એક એટલે પ્રારંભિક અને સૌથી પાયાનો ગણાય એવો એસએલવી-૩ રોહિણી. ૧૯૮૩માં ભારતીય સેટેલાઇટ એસએલવી-૩ રોહિણીએ ઓરબિટ સુધીની સફર તય કરી ત્યારે થુમ્બાના ચીફ વસંત ગોવારિકર હતા. અવકાશમાં ભારતની હાજરી નોંધાવવાના આ મહત્ત્વપૂર્ણ કામના તેઓ સુકાની હતા એટલે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના એ કામની સરાહના કરીને સન્માનિત કર્યા હતા. આજે આપણે અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીની જેમ વટથી મંગળ સુધી પહોંચી ગયા છે એટલે કદાચ ઉપગ્રહ-પરિક્ષણના એ શરૃઆતી પ્રોગ્રામ્સ અંગે વિચારવાની જરૃરીયાત નહીં પડતી હોય, પરંતુ બૂલંદ ઈમારતના પાયાનું કામ હંમેશા વધારે અઘરું હોય એ રીતે જોઈએે તો ગોવારિકરના માર્ગદર્શનમાં થયેલું એ કામ પાયાનું હતું-ઐતિહાસિક હતું.
વચ્ચે થોડો વખત તેમણે દેશના સાયન્સ અને ટેકનોલોજિ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી જાણી. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ગોવારિકરને વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમ્યા હતા. બે વર્ષ વડાપ્રધાનના સલાહકાર રહ્યા એ અરસામાં તેમણે વિજ્ઞાન વિભાગને પ્રમાણસરનું બજેટ ફાળવવાથી લઈને સાયન્સ-ટેકનોલોજિના સંશોધકો માટે અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું.
વિજ્ઞાનની પોતાની આટલા વર્ષોની યાત્રાને શબ્દસ્થ કરીને તેમણે 'વિજ્ઞાનયાત્રી' નામે આત્મકથા લખી. જેના માટે તેઓ વધુ જાણીતા છે એ મોનસૂન મોડેલ ઉપર 'આઈ પ્રિડિક્ટ' નામે પુસ્તક લખ્યું. મૂળે સંશોધનનો જીવ એટલે ફરીથી સંશોધન તરફ વળ્યા. ૮૦ વર્ષે ય તેઓ એન્સાઇક્લોપીડિયા ઓફ ફર્ટિલાઇઝર નામના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા; જેમાં તેમણે કેમિકલના ૪,૫૦૦ કરતાં વધારે બંધારણની વિગતે સમજ આપી છે. જે નિસંદેહ એ ક્ષેત્રના સંશોધકો માટે દિશાનિર્દેશ કરશે.
સાયન્સ ઉપરાંત શિક્ષણમાં પણ તેમણે એટલું જ કામ કર્યું છે. પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અભ્યાસક્રમોને વધુ જીવંત બનાવવાનું કાર્ય તેમણે ઉપાડયું હતું. પાર્ટ ટાઇમ નોકરી કરીને પોતે ભણ્યા હતા. એ બાબતને બરાબર યાદ રાખીને તેમણે જરૃરતમંદ વિદ્યાર્થીઓ નોકરી કરતાં કરતાં ભણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરી હતી.
ઓટોમેટિક ચરખો બનાવીને જે કિશોરે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા એ જ કિશોરે પછી વિજ્ઞાની તરીકે સેટેલાઇટ દ્વારા ઓટોમેટિક ટેલિવિઝન પ્રસારણ કરાવ્યું હતું, ટેકનોલોજિની મદદથી દેશને વિભિન્ન રીતે ઓટોમેટિક ચાલતો જોયો હતો. ભારત મંગળ સુધી પહોંચ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમે એક એક ઉપગ્રહ છોડતી વખતે મંગળ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું હતું. દેશના સંશોધકોની અથાક મહેનતના કારણે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જ સંશોધકો ભારતનું સમાનવ અવકાશયાન પણ અવકાશ સુધી પહોંચાડશે એમાં બેમત નથી'.
ભારતના મધ્યમવર્ગીય પરિવારના કોઈ પણ ભણેલા-ગણેલા યુવાનને લોભાવી શકે એવી વિદેશી તકો જતી કરીને; સાયન્સના સંશોધનમાં પા-પા પગલી ભરતા પોતાના દેશ માટે પરત આવી ગયેલા વસંત ગોવારિકરે જો વિદેશમાં કામ કર્યું હોત તો ભારતે તેમનું આટલું જ સન્માન કર્યું હોત? કે ભારતીય મૂળના વિજ્ઞાની તરીકે આપણે તેમના પર ઓવારી ગયા હોત?
Sunday 11 January 2015
Posted by Harsh Meswania
Tag :

આંખ ગુમાવી, આવડત નહીં!



બ્રેઇલ લિપિથી વિશ્વભરના અંધજનોને રોશની પ્રદાન કરનારા લુઇસ બ્રેઇલના જન્મદિને (૪ જાન્યુઆરી, વિશ્વ અંધત્વ દિન) આ વિશેષ સન્માન તેમના માનમાં અપાય છે ત્યારે અહીં કેટલાક ઓછા જાણીતાં નેત્રહિનોની વાત કરીએ કે જેમણે પ્રજ્ઞાને ચક્ષુ બનાવીને અસંભવ જણાતું કામ કરી દેખાડયું!
આંખ ન હોવા છતાં પોતાના કામથી રોશની ફેલાવી ગયેલાં લોકોની વાત આવે એટલે સામાન્ય રીતે હેલન કેલર અને જેના નામ પરથી વિશ્વ અંધત્વ દિનની ઉજવણી થાય છે એ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનું સ્મરણ કરાય છે. બહુ બહુ તો હેલન કેલર પહેલાના હેલર કેલર તરીકે જાણીતાં અને અંધ-બધિર હોવા છતાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવનારી પ્રથમ મહિલા લૌરા બ્રિડમેનને યાદ કરી લેવાય છે, પણ એ સિવાયના કેટલાક એવા ઉદાહરણો પણ છે જે ઓછા જાણીતા છે, પરંતુ તેમના પ્રદાનને જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આંખ હોવા છતાં અઘરું લાગે એ કામ આ નેત્રહિનોએ પોતાની આવડતના જોરે કરી બતાવ્યું. નેત્રહિનો માટે તો એ પ્રેરણારૃપ છે જ છે, પરંતુ દેખતા માટે જ આ પ્રજ્ઞાાચક્ષુઓએ દાખલો બેસાડયો છે.

હેરિટ ટયૂબમેન : ગુલામોને અંધકારમાંથી બહાર કાઢ્યા
૧૮૨૦માં જન્મેલી હેરિટ ટયૂબમેન બાળવયે જ ગુલામીમાં સપડાઈ ગઈ હતી. એમાંયે ટિનએજમાં પ્રવેશે એ પહેલા તો માથામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં તેમણે આંખો પણ ગુમાવી દીધી હતી. જોકે, આંખ ગુમાવી છતાં દૃષ્ટિ નહોતી ગુમાવી એટલે ગુલામીની યાતનામાં સબડતી વખતે જ તેમણે બીજા ગુલામોને ખાસ તો અશ્વેત ગુલામોને આ પીડાદાયક જિંદગીમાંથી બહાર કાઢવાનો મનોમન નિર્ધાર કરી નાખ્યો હતો. તેમણે કેટલાય ગુલામોને ભાગવામાં મદદ કરીને સલામત જગ્યા સુધી પહોંચાડયા હતા. હેરિટે લગભગ ૫૦૦ જેટલાં ગુલામોને આઝાદીનો શ્વાસ લેવડાવ્યો હતો અને સાથે સાથે રહેવા-ખાવા-પીવા સહિતની બધી જ સવલતો આપબળે આપી હતી. જીવનના અંતિમ બે દાયકા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને કેળવણી માટે ફાળવ્યા હતાં. ૧૯૧૩માં જ્યારે વિશ્વમાંથી ગુલામી નાબૂદ થવાની અણી પર હતી ત્યારે ચહેરા ઉપર સંતોષની રેખા સાથે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

જેમ્સ હોલમેન : આંખ વગર પણ દુનિયા જોનારા સાહસિક!

બ્રેઇલ લિપિના શોધક લુઇસના જન્મના ૨૩ વર્ષ અગાઉ ૧૭૮૬માં જન્મેલા જેમ્સ હોલમેનને વિશ્વના પ્રથમ નેત્રહિન પ્રવાસીનું બિરુંદ આપવું પડે. જેમ્સ જન્મથી અંધ નહોતા. એક અકસ્માતના કારણે બીમારીમાં સપડાયા અને પછી હંમેશા માટે આંખની રોશની ગુમાવી દીધી. આંખનો ઉજાસ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં અંધકારને પ્રવેશવા ન દીધો. તેમણે જીવન પોતાની જીદથી યાદગાર બનાવ્યું. ભર યુવાનીમાં આંખ ખોયા પછી જો તેમણે ધાર્યુ હોત તો ઘરમાં બેસીને આરામથી નોકર-ચાકર વચ્ચે જિંદગી પસાર કરી શક્યા હોત એટલા સમૃદ્ધ પરિવારમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ બેસીને બોરિંગ જીવન પસાર કરવા કરતા તેમણે જિંદગીને અજમાવી લેવાનું વધુ યોગ્ય માન્યું અને એના પરિણામે તેમણે ૧૮૧૯માં ગ્રાન્ડ ટૂર નામે પ્રવાસ આરંભ્યો. ફ્રાન્સ, ઈટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં રખડપટ્ટી કરીને તેમણે જીવનમાં યાદગાર અનુભવોનું ભાથું બાંધ્યુ અને પછી પોતાના પ્રવાસ વર્ણનો દુનિયા સમક્ષ રજૂ પણ કર્યાં. એ જ રીતે બીજો પ્રવાસ થયો. પ્રવાસો થતાં ગયા અને ભાથુ બંધાતું ગયુ. ૧૮૩૫માં તેમણે પોતાના દુનિયાભરના પ્રવાસને ચાર વોલ્યુમમાં પ્રગટ કર્યો અને એ સાથે એક નેત્રહિન દ્વારા દુનિયાને દુનિયાનો પરિચય મળ્યો. આજે પોણા બે શૈકા પછી પણ તેમને પ્રથમ નેત્રહિન ટ્રાવેલર તરીકે યાદ કરીને ઉદાહરણો આપવા પડે એવું કામ તેઓ આંખની રોશની ગુમાવી દીધા પછી કરી ગયા!

જ્હોન બ્રેમ્બલિટ : રંગવિહિન જીવન છતાં 'રંગ'રસિયો

૩૦ વર્ષના આ ચિત્રકારનો રંગ સાથે દરરોજનો પનારો પડયો છે. પણ આમ જૂઓ તો તેની આંખો માત્ર અંધકાર જ જોઈ શકે છે. દુનિયા આખી તેના ચિત્રો જોઈને દંગ રહી જાય છે, પણ આ કમનસીબ ચિત્રકાર પોતાના જ દોરેલા ચિત્રોને જોઈ શકતો નથી, છતાં તેને એનો કોઈ જ વસવસો નથી. કહે છે ને કે નેત્રહિનને મનની આંખો હોય છે એમ આ ચિત્રકાર મનની આંખોથી પોતાની કલ્પનાને રંગો આપે છે. ચિત્રોમાં રંગો પૂરવાની તેની કૂનેહ દાદ માંગી લે એવી છે. તે સફેદ અને કાળા રંગો હાથવગા રાખે છે. પોતાની કલ્પના પ્રમાણે ચિત્રમાં જે રંગ પૂરવો હોય એ મુજબ બંને રંગોનું મિક્ષણ કરીને તેમાંથી જાતે રંગ બનાવીને ચિત્રમાં પૂરી દે છે. બધુ જ કામ પીંછીથી અને સ્પર્શથી કરે છે. દેખતા માટે ય પેઇન્ટિંગ ખરેખર અઘરી કળા છે ત્યારે આ તો આંખ વગર સર્જાતી કળા છે, કેટલું અઘરું કામ હશે એ તો માત્ર કલ્પના જ થઈ શકે. આપણે જે વાત કલ્પી પણ નથી શકતા એને આ રંગરસિયો પોતાની કલ્પનાથી સાકાર પણ કરી બતાવે છે.

માર્ક એન્ટોની : મનની આંખોથી કાર ચલાવતો સારથી

૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માર્ક એન્ટોનીએ જે પરાક્રમ બતાવ્યું એનાથી બધા દંગ રહી ગયા. તે રાતોરાત સમાચાર માધ્યમોમાં ચમકી ગયો. તેણે અંધ હોવા છતાં એક પણ ગફલત વગર ટેકનોલોજિની મદદ લઈને કાર ચલાવી જાણી. ડ્રાઇવિંગ વખતે તેનું પરફેક્શન એટલું બધું જોરદાર હતું કે પહેલી નજરે કોઈ માની ન શકે કે એક નેત્રહિન માણસ કાર ચલાવી રહ્યો છે. માર્કની આ કુશળતા સાબિત થઈ પછી અમેરિકાના નેશનલ બ્લાઇન્ડ ફેડરેશને તેની સાથે મળીને સલામત ડ્રાઇવિંગનો કાર્યક્રમ હાથ ધર્યો જેને અમેરિકામાં વ્યાપક સફળતા મળી. સગી આંખોએ જોવા છતાં ડ્રાઇવિંગના નિયમોને નેવે મૂકી દેનારા લોકોને જ્યારે એક નેત્રહિન કુશળ સારથી સલામત ડ્રાઇવિંગના સૂચનો આપે ત્યારે રસપૂર્વક સાંભળવામાં રસ પડે એ સ્વાભાવિક છે!

ડેરેક રેબેલો : ભગવાન ભરોસે સાગર સામે ઝઝુમતો સાહસી

ડેરેલ રેબેલોને જન્મજાત જ ખામીયુક્ત દૃષ્ટિ મળી હતી. ઉંમર વધતી ગઈ એમ એમ આંખની રોશની ઓછી થતી ગઈ. જોકે, તેની અંદરનો સાહસવીર સતત કશુંક કરી છૂટવા આળસ મરડીને તેને જગાડતો હતો. ૩ વર્ષનો હતો ત્યારે જ તેણે સાગર ઉપર ચાલવાનું શમણું આંખમાં આંજી લીધું હતું એટલે પોતાનું તૂટી રહેલું સ્વપ્ન એને કોઈ કાળે મંજૂર ન હતું. બબ્બે આંખોએ પણ જે કામ કપરું છે એ કામ આંખોમાં અંધકાર ઓઢીને કરવાનું હતું એટલે વિશેષ કુશળતા જરૃરી હતી. અથાક પ્રયાસો પછી આખરે તેણે એમાં મહારથ મેળવી લીધી. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે ધસમસતા દરિયાના મોજા સામે કઈ રીતે કામ પાર પાડે છે? જવાબમાં આ ૨૦ વર્ષનો છોકરો કહે છે : 'બધા કરે છે એ જ મેથડથી હું પણ આ કામ કરું છું, પરંતુ ફરક એટલો છે કે મારી રીત થોડી અલગ છે. આંખોના ઊંડાણમાં પણ બીજી આંખો હોય છે અને એટલે જ હું આ મુશ્કેલ લાગતું કામ આસાનીથી કરી શકુ છું.' ડેરેકને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા છે અને એ બહુ દ્રઢતાપૂર્વક માને છે કે તેની એક ઈન્દ્રિય ભગવાને ભલે પાછી લઈ લીધી પણ એના બદલામાં થોકબંધ હિંમતનું ભાથું બાંધી આપ્યું છે.

પેટ એકર્ટ : કેમેરાને આંખ બનાવી નાખનારા તસવીરકાર

પેટ એકર્ટ મૂળે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. અકસ્માતે આંખ ગુમાવી દીધા પછી તેમણે કેમેરાની આંખને પોતાની આંખ બનાવી દીધી. આંખ હોવા છતાં કેમેરાની આંખ પાસેથી કામ લેવું એના માટે કુશળતા હોવી ઘટે. જ્યારે પેટ એકર્ટેને તો આંખ સિવાય જ કેમેરા પાસેથી કામ કઢાવવાનું હતું. એમણે આ કામ માટે તત્પરતા બતાવી અને ધીરે ધીરે સફળતા પણ મળી. સ્માર્ટફોનના યુગમાં વાતે વાતે કેમેરાની ક્લિક કરવી સાવ સહજ બાબત છે ત્યારે એકર્ટ એક એક તસવીર માટે પૂરતું હોમવર્ક કરે છે. અવાજ અને સ્પર્શની મદદથી તે જગ્યા કે વ્યક્તિનું અંતર જૂએ છે અને એના આધારે પોતાનો કેમેરા ગોઠવે છે. જરૃર જણાય તો લાઇટ્સની વ્યવસ્થા પણ જાતે કરે છે. બરાબર ગોઠવણ થઈ રહે પછી જ એ ક્લિક કરે છે. તેમણે તેની ફોટોગ્રાફી માટે એક વખત કહ્યું હતું  : 'હું નેત્રહિન થયો ત્યાં સુધી ફોટોગ્રાફીને ગંભીરતાથી લેતો ન હતો, પરંતુ આંખ ગુમાવ્યા પછી મને કેમેરાની આંખનું મૂલ્ય વધુ સમજાયું છે અને હવે હું ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયો છું. મારી તસવીરના કોઈ વખાણ કરે ત્યારે મને એમ થાય છે કે જાણે એ તસવીર હું મારી આંખોથી જોઈ રહ્યો છું'

માર્લા રેન્યન : ઓલિમ્પિક્સની પ્રથમ મહિલા નેત્રહિન એથ્લેટ

વિશ્વ અંધત્વ દિન સાથે જન્મદિવસનો યોગાનુયોગ ધરાવતી અમેરિકન મહિલા એથ્લેટ માર્લા રેન્યન જગતની પ્રથમ નેત્રહિન એથ્લેટ છે જેણે ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય. તેમણે મહિલાઓની પાંચ હજાર મીટર દોડ સ્પર્ધામાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. લોંગ જમ્પથી લઈને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર સુધીની સ્પર્ધાઓમાં તેના ગોલ્ડ મેડલ બોલે છે. ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી ઓલિમ્પિક ગેઇમ્સમાં ૧૫૦૦ મીટરમાં ભાગીદાર બનીને તેણે વિશ્વ સમક્ષ પોતાની નોંધ લેવડાવી. રેન્યનને માત્ર એથ્લેટ કહેવી એ તેની અધૂરી ઓળખ થઈ કહેવાય. કેમ કે, માસ્ટર્સ ડિગ્રી મેળવીને તેણે એકેડમિક કાબેલિયત પણ પૂરવાર કરી છે અને સાથે સાથે તે પબ્લિક સ્પીકર પણ છે. માત્ર નેત્રહિન લોકો માટે જ પ્રવચનો કરે છે એવું નથી. એ સિવાયના લોકો પણ તેના વકતવ્યથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. આ ઉપરાંત લેખન દ્વારા તે પોતાની સફળતા શેર કરતી રહે છે. એટલે એથ્લેટ ઉપરાંત લેખિકા, પબ્લિક સ્પીકર જેવી કેટલીય ઓળખ તેના નામની આગળ જોડાયેલી છે.
Sunday 4 January 2015
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -