Posted by : Harsh Meswania Sunday 11 January 2015


ભારતના શરૃઆતી અવકાશ પ્રોગ્રામ્સમાં પાયાની ભૂમિકા ભજવનારા વિજ્ઞાની વસંત ગોવારિકર ભારતના મોર્ડન મોનસૂન મોડેલના જનક કહેવાય છે. વિદેશની લોભામણી તકો છોડીને વતનમાં વસંત ખીલાવવા પાછા આવી ગયેલા આ વિજ્ઞાનીએ સાયન્સ-ટેકનોલોજિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ય નોંધપાત્ર કામગીરી કરી છે
૧૯૪૪નું એ વર્ષ હતું. અંગ્રેજો ભારત છોડીને જતાં રહે એ માટે આખો દેશ એકી અવાજે નારો લગાવતો હતો. ગાંધીજી ચરખાના દોરા વાટે આખા દેશને એકસૂત્રતાના તાંતણે બાંધી રહ્યા હતા ત્યારે એક ૧૧ વર્ષનો છોકરો મુગ્ધ આંખે દેશમાં ચાલી રહેલી આઝાદીની ચળવળના પ્રતીક સમાં ચરખાને તાકી રહ્યો હતો. આઝાદીની ચળવળમાં જોડાયેલાં નાના-મોટા તમામ લોકો યથાયોગ્ય સમય કાઢીને ચરખો કાંતતા હતાં એટલે કોઈ કિશોર આ રીતે ચરખો જૂએ તો સ્વાભાવિક છે કે એને ય એ કળા શીખવી હોય, પરંતુ અહીં આ કિશોરના મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હતાં. એણે વિચાર્યું કે ચરખો જાતે ફરે એવી કશીક ગોઠવણ થાય તો ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે. ચરખો કાંતવાનું શીખવાની ઉંમરે એ કિશોર ચરખો બનાવતા શીખતો હતો એ જોઈને તેની ઉંમરના તરુણો મશ્કરી ય કરતા હતા. 'પહેલા ચરખો કાંતતા શીખી જા, પછી બનાવવાનું વિચારજે..' એવા વાક્યો તેના માટે લગભગ દરરોજના થઈ ગયાં હતાં. થોડા વખતની મહેનત પછી તેણે ગાંધીજી પાસે હતો એવો જ ચરખો બનાવી નાખ્યો, પણ ફરક એટલો હતો કે આપમેળે ફરે એવી તરકીબ તેણે અજમાવી હતી. એમાં રૃ કાંતતી વખતે દોરો પણ ખૂબ લાંબો નીકળતો હતો. લાકડાંની કશીક ગોઠવણથી તેણે એવું કશુંક કર્યું હતું કે એક વખત ચક્ર ફેરવી દીધા પછી ધીમે ધીમે ચરખો આપબળે ચાલતો રહેતો હતો.
એ ચરખો તેણે ગાંધીજીને બતાવવા માટે સાચવી રાખ્યો. દિલ લગાવીને કરેલું પોતાનું કામ ગાંધીજીને બતાવવાની હઠ પકડીને બેઠેલા કિશોરની ઇચ્છાશક્તિ પારખીને કોઈ વડીલે પૂણે ગાંધીજી આવ્યા ત્યારે મળવાનું પણ ગોઠવી આપ્યું.
મહાદેવભાઈ દેસાઈ એ કિશોરને ગાંધીજી પાસે લઈ ગયા. અબાલ-વૃદ્ધ સૌને સહજ રીતે મળતા ગાંધીજી પેલા કિશોરને મળ્યા ત્યારે કિશોરે ઘણા દિવસોની મહેનત પછી બનાવેલો પોતાનો અનોખો ચરખો બતાવ્યો. પહેલી નજરે ગાંધીજીને એ સાધારણ ચરખા જેવો જ લાગ્યો, પણ પછી જ્યારે એ છોકરાએ તળપદી મરાઠી ભાષામાં ગાંધીજીને સમજાવતા જઈને ચરખો કઈ રીતે કામ કરે છે એ બતાવ્યું ત્યારે ગાંધીજીએ પીઠ થાબડીને તેની પ્રશંસા કરી. મહાદેવભાઈને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું કે જો આવા આપબળે ચાલતાં ચરખા હોય તો કેટલાય કિશોર એમાંથી ખાદી વણી શકે. વળી, જે એક હાથે જ કામ કરી શકે તેમ છે એને ય આ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
ગાંધીજીના આટલા શબ્દો પેલા કિશોરને પોરસ ચડાવવા માટે પૂરતાં હતાં. કેમ કે, એને કંઈ આખી જિંદગી ચરખો બનાવવામાં કાઢવાની નહોતી, સમયાંતરે ચરખાની જરૃરીયાત તો મર્યાદિત થવાની હતી. પણ યંત્રો સાથે રચનાત્મક રીતે કામ કરવાની કુશળતા ધરાવતો કિશોર કદાચ ગાંધીજીની પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને જ આવી ટેકનિકલ પ્રવૃત્તિ તરફ વળ્યો અને પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત સાચી પાડતો હોય એમ પોતાના ટેકનિકલ નોલેજના કારણે જ વર્ષો પછી એ કિશોર ભારતને અવકાશ સુધી પહોંચાડવામાં ભાગીદાર થયો!
                                                                               * * *
૨ જાન્યુઆરીએ ૮૧ વર્ષના વિજ્ઞાની ડૉ. વસંત ગોવારિકરનું નિધન થયું. જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? ભારત આવનારા અમેરિકન પ્રમુખ બરેક ઓબામા શું ખાશે અને ક્યાં જશે? પીકેના વિરોધમાં કોણે શું કહ્યું? આયોજન પંચનું નવું નામકરણ કેમ થયું? પોરબંદરના દરિયામાં જે ભેદી બોટને આગ લાગી એમાં આતંકવાદીઓ હતા કે બીજુ કોઈ...? વગેરે વગેરે ઘટનાઓમાં વસંત ગોવારિકરના નિધનની નોંધ ભાગ્યે જ લેવામાં આવી. ગોવારિકરને ભારતના મોર્ડન મોન્સૂન મોડેલના જનક કહેવાય છે. ગોવારિકરને મોટાભાગે એના માટે જ યાદ કરાય છે, પણ ખરેખર તો એ એની અધૂરી ઓળખ આપી કહેવાય. કેમ કે, તેમણે એ સિવાય એવા કેટલાય કાર્યો કર્યા છે; જેના માટે તેમને યાદ કરવા પડે.
૧૯૩૩માં પૂણેમાં જન્મેલા વસંત ગોવારિકરે કોલ્હાપુરમાં બીએસસીનો અભ્યાસ પૂરો કરીને પારિવારિક જરૃરીયાતના કારણે નોકરી કરવા માંડી, પણ હજુયે તેને આગળનો અભ્યાસ પૂરો કરવો હતો. આર્થિક જરૃરિયાતના કારણે નોકરી મૂકી શકાય તેમ ન હતી અને નોકરીના કારણે કોલેજમાં જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું એ સમયે લગભગ અશક્ય જેવું હતું. તેમણે વચ્ચેનો માર્ગ કાઢીને પાર્ટ ટાઇમ નોકરી કરી અને બાકીના સમયમાં એમએસસી પૂરું કર્યું. એ અરસામાં જ બ્રિટન જઈને ભણવાની તક મળી ગઈ. ૫૦-૬૦ના દશકામાં તેમણે પ્રો. એફ.એચ. ગાર્નરના માર્ગદર્શનમાં માત્ર બે વર્ષમાં પીએચ.ડી કર્યું અને એણે જેના પર કામ કર્યું હતું એ તરલ પદાર્થ અને ઘન પદાર્થના વિશ્લેષણને બ્રિટનની ઘણી બધી યુનિવર્સિટીઝના સિલેબસમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં, કેેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ગણનાપાત્ર યુનિવર્સિટીઝ કે જ્યાં એમની વયના યુવાનો એડમિશન મેળવવાનું શમણું સેવતા; ત્યાં આ ૨૮ વર્ષના વિદ્વાન યુવાન પરીક્ષક બની ગયા.
વિદેશી ટેલેન્ટને મોકળા મને આવકારતા અમેરિકાએ ગોવારિકર માટે દ્વાર ખોલ્યાં. મિસાઇલ ક્ષેત્રના સંશોધન માટે ગોવારિકરને અમેરિકાનું ઈજન મળ્યું. ઓક્સફર્ડ-કેમ્બ્રિજમાં ભણતી ટેલેન્ટની પરીક્ષા લઈ શકે એવો ટેલેન્ટેડ યુવક હોય, બ્રિટનની કોલેજોમાં વિદ્યાર્થીઓ તેની થિયરીનો અભ્યાસ કરતા હોય, ૧૯૬૫ આસપાસનો સમય હોય, અવકાશ વિજ્ઞાનમાં અમેરિકાનું આધિપત્ય સિદ્ધ થવું થવું હોય ત્યારે; અમેરિકાનું આમંત્રણ ન સ્વીકારવાની હિંમત કોણ કરે?
પણ એ હિંમત વસંત ગોવારિકરે કરી. સામાન્ય રીતે આપણા ઘણા બધા વિજ્ઞાનિકો-સંશોધકોની બાબતમાં બન્યું છે એમ લગભગ આવી તક ભાગ્યે જ કોઈ જતી કરે. ભારત હજુ તો પ્રાથમિક સવલતોની બાબતમાં સંઘર્ષ કરતું હોય ત્યારે અવકાશ વિજ્ઞાનનું વિચારવાની ફુરસત કોને હોય? નવા નવા આઝાદ થયેલા દેશ સામે ગરીબી-બેકારી-ભૂખમરો જેવી વિકરાળ સમસ્યાઓ મોં ખોલીને ઉભી હોય ત્યારે વિજ્ઞાનના સંશોધન માટે સરકાર પૈસા આપશે એવી અપેક્ષા પણ વધારે પડતી હતી. એટલે ભારત જેવા દેશોના સંશોધકો માટે અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં કે જ્યાં ખરેખર તક હતી અને નામ-દામ બંને મળી શકે એમ હતા; ત્યાં રહીને કામ કરવું વધુ સગવડભર્યું હતું.
જોકે, ભારતમાં અવકાશ વિજ્ઞાનને ગંભીરતાથી લઈને સ્પેસ પ્રોગ્રામ ચલાવનારા વિક્રમ સારાભાઈ જેવા વિચક્ષણ વિજ્ઞાની પણ હતા અને એમના પ્રયાસોથી જ વસંત ગોવારિકર બધી વિદેશી તકો જતી કરીને ભારત પાછા ફર્યા. વૈચારિક રીતે સજ્જ થઈને આવેલા ગોવારિકરે વિક્રમભાઈ સાથે મળીને ભારતના અવકાશ કાર્યક્રમો માટે કામ શરૃ કર્યું. જે આગળ જતાં ગોવારિકરની જ હયાતીમાં મંગળ સુધી પહોંચવાનું હતું!
થુમ્બામાં ૧૯૬૫માં પહેલું સાયન્સ અને ટેકનોલોજિ સેન્ટર બન્યું ત્યારથી જ ગોવારિકર એ સેન્ટર સાથે જોડાયેલા હતા. મિસાઇલમાં વિશેષ કુશળતા ધરાવતા હોવાના કારણે ગોવારિકરની નિગરાની હેઠળ વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ્સ ચાલતાં હતાં. એમાંનો એક એટલે પ્રારંભિક અને સૌથી પાયાનો ગણાય એવો એસએલવી-૩ રોહિણી. ૧૯૮૩માં ભારતીય સેટેલાઇટ એસએલવી-૩ રોહિણીએ ઓરબિટ સુધીની સફર તય કરી ત્યારે થુમ્બાના ચીફ વસંત ગોવારિકર હતા. અવકાશમાં ભારતની હાજરી નોંધાવવાના આ મહત્ત્વપૂર્ણ કામના તેઓ સુકાની હતા એટલે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના એ કામની સરાહના કરીને સન્માનિત કર્યા હતા. આજે આપણે અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીની જેમ વટથી મંગળ સુધી પહોંચી ગયા છે એટલે કદાચ ઉપગ્રહ-પરિક્ષણના એ શરૃઆતી પ્રોગ્રામ્સ અંગે વિચારવાની જરૃરીયાત નહીં પડતી હોય, પરંતુ બૂલંદ ઈમારતના પાયાનું કામ હંમેશા વધારે અઘરું હોય એ રીતે જોઈએે તો ગોવારિકરના માર્ગદર્શનમાં થયેલું એ કામ પાયાનું હતું-ઐતિહાસિક હતું.
વચ્ચે થોડો વખત તેમણે દેશના સાયન્સ અને ટેકનોલોજિ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી જાણી. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ગોવારિકરને વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમ્યા હતા. બે વર્ષ વડાપ્રધાનના સલાહકાર રહ્યા એ અરસામાં તેમણે વિજ્ઞાન વિભાગને પ્રમાણસરનું બજેટ ફાળવવાથી લઈને સાયન્સ-ટેકનોલોજિના સંશોધકો માટે અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું.
વિજ્ઞાનની પોતાની આટલા વર્ષોની યાત્રાને શબ્દસ્થ કરીને તેમણે 'વિજ્ઞાનયાત્રી' નામે આત્મકથા લખી. જેના માટે તેઓ વધુ જાણીતા છે એ મોનસૂન મોડેલ ઉપર 'આઈ પ્રિડિક્ટ' નામે પુસ્તક લખ્યું. મૂળે સંશોધનનો જીવ એટલે ફરીથી સંશોધન તરફ વળ્યા. ૮૦ વર્ષે ય તેઓ એન્સાઇક્લોપીડિયા ઓફ ફર્ટિલાઇઝર નામના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા; જેમાં તેમણે કેમિકલના ૪,૫૦૦ કરતાં વધારે બંધારણની વિગતે સમજ આપી છે. જે નિસંદેહ એ ક્ષેત્રના સંશોધકો માટે દિશાનિર્દેશ કરશે.
સાયન્સ ઉપરાંત શિક્ષણમાં પણ તેમણે એટલું જ કામ કર્યું છે. પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અભ્યાસક્રમોને વધુ જીવંત બનાવવાનું કાર્ય તેમણે ઉપાડયું હતું. પાર્ટ ટાઇમ નોકરી કરીને પોતે ભણ્યા હતા. એ બાબતને બરાબર યાદ રાખીને તેમણે જરૃરતમંદ વિદ્યાર્થીઓ નોકરી કરતાં કરતાં ભણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરી હતી.
ઓટોમેટિક ચરખો બનાવીને જે કિશોરે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા એ જ કિશોરે પછી વિજ્ઞાની તરીકે સેટેલાઇટ દ્વારા ઓટોમેટિક ટેલિવિઝન પ્રસારણ કરાવ્યું હતું, ટેકનોલોજિની મદદથી દેશને વિભિન્ન રીતે ઓટોમેટિક ચાલતો જોયો હતો. ભારત મંગળ સુધી પહોંચ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમે એક એક ઉપગ્રહ છોડતી વખતે મંગળ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું હતું. દેશના સંશોધકોની અથાક મહેનતના કારણે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જ સંશોધકો ભારતનું સમાનવ અવકાશયાન પણ અવકાશ સુધી પહોંચાડશે એમાં બેમત નથી'.
ભારતના મધ્યમવર્ગીય પરિવારના કોઈ પણ ભણેલા-ગણેલા યુવાનને લોભાવી શકે એવી વિદેશી તકો જતી કરીને; સાયન્સના સંશોધનમાં પા-પા પગલી ભરતા પોતાના દેશ માટે પરત આવી ગયેલા વસંત ગોવારિકરે જો વિદેશમાં કામ કર્યું હોત તો ભારતે તેમનું આટલું જ સન્માન કર્યું હોત? કે ભારતીય મૂળના વિજ્ઞાની તરીકે આપણે તેમના પર ઓવારી ગયા હોત?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -