Posted by : Harsh Meswania Sunday 1 February 2015


૨૨ જાન્યુઆરીએ ડૂમ્સડે ક્લોક ૨૨મી વખત સેટ થઈ. એમાં રાતના ૧૨ વાગવામાં માત્ર ૩ મિનિટ બાકી છે. ૩૦ વર્ષ પછી ઘડિયાળ કયામતના સમયની આટલી નજીક પહોંચી છે, જે બતાવે છે કે વિશ્વ ભયાનક અરાજકતા તરફ ધકેલાઈ રહ્યું છે અને ગમે ત્યારે દુનિયાના ૧૨ વાગી શકે છે. આ કયામતનો સમય કલ્પનાઓના ઘોડાઓના આધારે નહીં, પણ સાયન્સની લગામ હાથમાં રાખીને નક્કી કરવામાં આવે છે...

બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલો કરીને અમેરિકાએ જાપાનને બેવળ વાળી દીધું ત્યારે દુનિયાને ખબર પડી કે યુદ્ધમાં આવા ભીષણ શસ્ત્રોનો હુમલો ય થઈ શકે છે અને દુનિયા પળવારમાં ખતમ પણ થઈ શકે છે. પરમાણુ શસ્ત્રની શોધ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થનારા સાયન્ટિસ્ટ-સંશોધકો માટે એ સમય વિચાર માંગી લે એવો હતો. જો ભવિષ્યમાં આવા જ ખતરનાક હુમલાઓ થતાં રહ્યાં તો દુનિયાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે એવા એંધાણ બીજા વિશ્વયુદ્ધમાં જ વર્તાઈ ગયા હતાં.
સંશોધન તો થઈ ગયું હતું, ભાથામાંથી તીર છૂટી ગયું હતું એટલે એ પાછું વળે એમ તો નહોતું. પણ જો એની માત્રા વધી જાય ત્યારે પ્રતીકાત્મક રીતે દુનિયાને એની ગંભીરતાનો અહેસાસ કરાવી શકાય તો કદાચ લાંબાં ગાળે એનું પરિણામ મળી શકે એ વિચાર સાથે કેટલાક વિજ્ઞાાનિકોએ ડૂમ્સડે ક્લોકની રચના કરી.એમાં રાતના ૧૨ વાગ્યાનો સમય સિમ્બોલિક રીતે દુનિયાનો કયામતનો સમય છે એમ ધારીને એની આસપાસ ઘડિયાળનો કાંટો સેટ કરવાનું નક્કી થયું. એવી ઘડિયાળ બનવા પાછળ વળી એ જ સાયન્સ જર્નલનું કવર પેજ જવાબદાર હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા-બ્રિટન અને કેનેડા દ્વારા અણુબોંબ બનાવવા માટે પ્રોજેક્ટ મેનહટ્ટન હાથ ધરાયો હતો. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એલેક્ઝાન્ડર લેંગ્સડ્રોફ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેમણે જ પછીથી બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલ બનાવવામાં અગત્યનો રોલ પણ અદા કર્યો હતો. તેમના આર્ટિસ્ટ પત્ની માર્ટયલે એ સાયન્સ જર્નલનું ટાઇટલ પેજ બનાવ્યું એમાં સિમ્બોલિક રીતે તેમણે ૧૨ વાગ્યાને દુનિયાનો અંતિમ સમય બતાવીને તે વખત (૧૯૪૭)ની સ્થિતિ દુનિયા માટે ૧૨માં ૭ મિનિટ બાકી છે એવું પ્રતીકાત્મક રીતે બતાવ્યું હતું. વિનાશક શસ્ત્રોની લપેટમાં આવી ગયેલી દુનિયાને વારે-તહેવારે કશોક સંદેશો આપવાનું વિચારતા વિજ્ઞાાનિકોના એ ગૃપને પણ માર્ટયલનો વિચાર ગમી ગયો હતો એટલે પછીથી રાતના ૧૨ વાગ્યાને કયામતનો સમય ગણીને જ અત્યાર સુધીમાં ૨૨ વખત સમયને સેટ કરાયો છે.
બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ જર્નલના
જૂન, 1947ના અંક માટે માર્ટયલ લેંગ્સડ્રોફે બનાવેલું કવર પેજ

ક્યારેક સમય ૧૨ની સાવ નજીક સરકી ગયો હોય, તો ક્યારેય ભયના વાદળ વિખેરાઈ જતા સમય રાતના ૧૨થી ઘણો દૂર સરકીને વિશ્વમાં બધુ હેમખેમ હોવાનો સંકેત પણ એ કાંટો આપતો રહે છે. શિકાગો યુનિવર્સિટીમાં બૂલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટની ઓફિસ છે. એ ઓફિસની દિવાલમાં ડૂમ્સડે ક્લોક લટકાવી રાખવામાં આવે છે. જે સતત દુનિયા કેટલી સલામત છે કે અસલામત છે એ બતાવતી રહે છે.
સમય જતાં અણુબોંબ, એવા જ બીજા વિનાશક શસ્ત્રો કે કેમિકલ વેપન્સ ઉપરાંતના પરિબળોને પણ ગણતરીમાં લેવામાં આવવા લાગ્યાં. જેમ કે, પર્યાવરણની બદલતી સ્થિતિ, પરમાણુ શક્તિનો વધતો ખતરો, વિશ્વના વિભિન્ન દેશો વચ્ચેના યુદ્ધો અને વિશ્વમાં પ્રભાવ પાડી શકતા દેશોમાં બદલતા રાજકીય સમીકરણો અને સૈન્યબળ અને સુરક્ષાનો અભ્યાસ કરીને વિશ્વમાં કેટલી અરાજકતા છે કે કેટલી શાંતિ છે એના આધારે ઘડિયાળ રાતના ૧૨ આસપાસ સેટ થતી રહે છે.
જોકે, ઘણી વખત ડૂમ્સડે ક્લોકની ટીકા પણ થઈ છે. સાયન્ટિસ્ટ દ્વારા કઈ રીતે રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય? પરમાણુ ખતરો અને મિસાઇલ પાવર ઉપર તો ઠીક છે કે વિજ્ઞાાનિકોની સમજ હોય અને એ ઉપરાંત પર્યાવરણની બાબતમાં પણ વિજ્ઞાાનિકો જાણકારી અંગે સવાલ ન ઉઠાવી શકાય પણ આતંકવાદી સંગઠનો વગેરેનો ઊંડો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સામે વિજ્ઞાાનિકોનો ખૂલાસો એવો રહેતો આવ્યો છે કે જે તે વિષય માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને ઘડિયાળ વિશ્વમાં ભય ફેલાવવાનું કામ પણ નથી કરતી. એ તો સિમ્બોલિક રીતે જાગૃતિ ફેલાવવામાં કારણભૂત બને છે. ઘડિયાળનો કાંટો જ્યારે જ્યારે ૧૨ની સાવ નજીક આવી ગયો છે ત્યાર પછી કોઈક કારણોસર વિશ્વ શાંતિની નજીક આવ્યું છે અને ત્યાર પછી કાંટો ૧૨ની દૂર સરકતો રહ્યો છે.
આ ક્લોકના આંકડાંને ગંભીરતાથી લેવાનું એક કારણ સાયન્સ એન્ડ સિક્યુરિટી બોર્ડના વૈજ્ઞાાનિક સભ્યો ઉપરાંત સાયન્સના નોબેલ પ્રાઇઝ વિનર ૧૭ વિજ્ઞાાનિકોનું બનેલું બોર્ડ ઓફ સ્પોન્સર્સ છે. વિશ્વભરના ગણનાપાત્ર ૩૫-૪૦ સાયન્સ-ટેકનોલોજિ-સિક્યુરિટીના મહારથીઓના વિશ્લેષણના આધારે સમગ્ર મુલ્યાંકન થાય છે.
ઘડિયાળનો અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત પોઈન્ટ ૧૯૯૧માં સેટ કરવામાં આવ્યો હતો. અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા કોલ્ડવોરનો અંત આવ્યો ત્યારે ૧૯૯૧માં ઘડિયાળનો સમય ૧૧.૪૩ કરી દેવામાં આવ્યો હતો. રાતના ૧૨થી ૧૭ મિનિટ દૂરનો ઘડિયાળનો એ કાંટો  અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમયગાળો હતો. જોકે, એ સમયગાળો માત્ર ચાર વર્ષ ચાલ્યો હતો. ત્યાર બાદ ફરીથી દુનિયા સતત અરાજકતા તરફ ધકેલાતી જતી હોય એમ ઘડિયાળનો કાંટો રાતના ૧૨ની નજીક સરકતો રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શરૃ થયેલાં શીતયુદ્ધ દરમિયાન એક બીજાને પાછળ પાડી દેવા માટે ભયનજક સપાટી સુધી પહોંચવા લાગ્યું હતું. ત્યારે ૧૯૫૩માં ડૂમ્સડે ક્લોકનો સમય રાતના ૧૨ વાગ્યાથી માત્ર ૨ મિનિટ દૂર કરાયો હતો. એટલે કે જો આ સ્થિતિ રહી તો પૃથ્વીના ૧૨ વાગી શકે એવા સ્પષ્ટ ચિહ્નો જણાતા હતા, પણ ૧૯૬૦ સુધીમાં રાજકીય સ્થિતિ બદલાવા લાગી હતી એટલે ફરીથી કાંટો ૧૨થી ૭ મિનિટ દૂર ખસેડી લેવામાં આવ્યો હતો.
સમયનો કાંટો ૧૨ વાગ્યાથી જેટલો દૂર એટલો ખતરો ઓછો અને કાંટો ૧૨ની નજીક પહોંચે એટલે દુનિયા જાણે વેન્ટિલેટર પર મૂકાય જાય છે- અલબત્ત સિમ્બોલિક રીતે જ! એમાં કયામતના દિવસની કપોળ-કલ્પિત આગાહીઓ નથી કરવામાં આવતી પણ દુનિયામાં ખતરો વધી રહ્યો હોવાની વિશ્લેષક એંધાણી બતાવવામાં આવે છે.

કાંટો ફેરવનારી ટીમમાં એક ભારતીય
વિજ્ઞાનીઓની વૈશ્વિક ટૂકડી ઘડિયાળનો સમય ક્યારે આગળ કે પાછળ કરવો એ નક્કી કરે છે. એ પેનલમાં ભારતીય સાયન્ટિસ્ટ અને દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ પણ છે. પ્રોફેસર રાજારમણે ૧૯૯૮માં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે અમેરિકા અને ભારતના પરમાણુ કરાર અંગેની દૂરગામી અસરોથી લઈને બંને દેશોના પરમાણુ સિક્યુરિટી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. ૧૯૩૯માં જન્મેલા પ્રોફેસર આર. રાજારમણે ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યા પછી ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ અને વિદેશી અનુભવનો લાભ આપ્યો હતો. તેઓ ડૂમ્સડે ક્લોકની પેનલના એક માત્ર ભારતીય સભ્ય છે. ક્લોકની કાર્યપદ્ધતિ વિશે પ્રોફેસર રાજારમણ સાથે થયેલી વાતચીતના અંશો...
પ્રોફેસર રમામૂર્તિ રાજારમણ
ક્લોકનો સમય સેટ કરવાનો કોઈ ચોક્કસ સમય ખરો?
આમ તો દર વર્ષે બેઠક મળે છે અને એમાં વર્ષભરની વિશ્વની સ્થિતિ અંગે વિશ્લેષણ થાય છે, પણ દરેક વખતે જરૃર ન હોય તો ક્લોકમાં સમય ફેરફાર નથી કરાતો.

સમય આગળ પાછળ કઈ રીતે લઈ જવાય છે?
દર વર્ષે બૂલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટની બેઠક મળે છે. સામયિકમાં વર્ષભર પબ્લિશ થતા વિચારો અને વિજ્ઞાાનની અલગ અલગ શાખાના નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાાનિકોના મતાનુસાર જે તે વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના આધારે ઘડિયાળના સમયને રાતના ૧૨ વાગ્યાની નજીક કે દૂર લઈ જવામાં આવે છે.

વિશ્વમાં ડૂમ્સડે ક્લોકના સમયની કેવી અસર થાય છે?
વિશ્વના ગણનાપાત્ર વિજ્ઞાાનિકો બૂલેટિન ઓફ એટોમિકને પોતાના વિચારો રજૂ કરતા રહે છે અને એના આધારે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. વિભિન્ન દેશોની સરકારો તેમની સુરક્ષા પોલિસીમાં ડૂમ્સડે ક્લોકના કારણે સીધો ફેરફાર કરતા હોય એને એની ક્રેડિટ આપતા હોય એવું તો ભાગ્યે જ બને છે, પણ આડકતરી અસર તો થાય છે. કેમ કે, ૧૨ વાગ્યાની સાવ નજીક આવેલો સમય દરેક વખતે દૂર જાય છે. પરિણામે કટોકટીની પરિસ્થિતિ પછી વિશ્વ વધુ સલામત થયું છે.

ડૂમ્સડે ક્લોક પાછળનો વિજ્ઞાાનિકોનો હેતુ શું છે?
ક્લોક આપણને જાતે વિનાશ ન નોતરવાની ચેતવણી આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શક્તિની ઘાતક અસરો જોયા પછી વિજ્ઞાાનિકોને અહેસાસ થયો હતો કે આ ભયંકર શક્તિ પૃથ્વીનો વિનાશ પણ નોતરી શકે છે. બ્રહ્માસ્ત્રની આધૂનિક આવૃત્તિ જેવા આ વિનાશક શસ્ત્રનો બેફામ ઉપયોગ થાય તો માનવજાતિનું અસ્તિત્વ મટી જાય. એટલે વિજ્ઞાાનિકોએ મળીને બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પરમાણુ શક્તિના આધારે કયામતનો સમય કેટલો દૂર છે એનો સિમ્બોલિક સમય આપ્યો હતો. એ પછી સમયાંતરે એમાં પર્યાવરણ, આંતરિક યુદ્ધો અને એમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે.

ઘડિયાળના ફેરફારમાં ભારતનો ફાળો કેટલો?

૧૯૬૩માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૨ મિનિટ દૂર હતી. એ પછી વિશ્વમાં બનેલી વિવિધ ઘટનાઓના કારણે ૧૯૬૮માં ક્લોકને સેટ કરવામાં આવી ત્યારે રાતના ૧૨માં ૭ મિનિટનો જ ફાસલો રહ્યો હતો. એમાં ભારત-પાકિસ્તાના યુદ્ધનો ય ફાળો હતો. ૧૯૭૨માં ક્લોકનો સમય ૧૨ વાગ્યામાં ૧૨ મિનિટ ઓછો હતો અને ૧૯૭૪માં ક્લોકનો ટાઇમ ૧૨માં ૯ મિનિટ કમ હતો ત્યારે પણ એક કારણે ભારતનું પરમાણુ પરિક્ષણ હતું. ૧૯૯૫માં ડૂમ્સડે ક્લોક ૧૨ વાગ્યાથી ૧૪ મિનિટ દૂર હતી પણ જ્યારે ૧૯૯૮માં ક્લોકના કાંટો પાંચ મિનિટ નજીક આવીને ૧૨માં ૯ ઓછો રહ્યો ત્યારે એમાં ભારત અને પાકિસ્તાને ઉપરા છાપરી કરેલા પરમાણું પરિક્ષણો ય જવાબદાર હતા. ત્રણ વખત ડૂમ્સડે ક્લોકમાં સમય બદલવામાં ભારતનો ઉલ્લેખ થયો છે અને ત્રણેય વખત કાંટો ભયનજક સપાટીની નજીક આવ્યો હતો!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -