- Back to Home »
- Biographical »
- તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા : નેતાજી
Posted by :
Harsh Meswania
Saturday 19 May 2012
નેતાજીના લાડકા નામથી જાણીતા સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટ્ટકમાં ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭માં થયો હતો. જાનકીનાથ બોઝ અને પ્રભાવતીદેવીના આ તેજસ્વી પુત્રએ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો હતો. પ્રથમ પ્રયત્ને ઇન્ડિયન સિવિલ ર્સિવસીસની અઘરી પરીક્ષા પણ પસાર કરી હતી.
જોકે, અંગ્રેજોની નીતિઓનો વિરોધ કરવા માટે આ નોકરી સ્વીકારી ન હતી અને આઝાદીની લડતમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. આ માટે ગાંધીજીને મળીને માર્ગદર્શન મેળવ્યા પછી તેમણે બંગાળમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવતા દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે મળીને કામ શરૂ કર્યું.
ત્યાર પછી તો સાઇમન કમિશનના વિરોધ વેળાએ બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું. આ પછી તેઓ અખિલ ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ બન્યા.
તેમની આ સફર છેક ભારતીય નેશનલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનવા સુધી રહી. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા નેતાજીને ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે પોતાની રીતે આઝાદીની ચળવળ આગળ ધપાવવાનું નક્કી કર્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નબળા પડી રહેલા બ્રિટનની નબળાઈઓનો ફાયદો મેળવવા માટે તેમણે જર્મની, રશિયા અને જાપાનનો પ્રવાસ કર્યો. આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા'નું સૂત્ર આપ્યું.
જોકે, તેઓ આ ચળવળમાં સફળ થાય એ પહેલાં ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે એક વિમાની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હોવાની જાહેરાત થઈ, પરંતુ તેમના મૃત્યુનું રહસ્ય આજેય અકબંધ છે. અલગ અલગ સમયે ભારતમાંથી ત્રણ-ત્રણ તપાસ પંચોની નિમણૂક થઈ છતાં નેતાજીના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)