Posted by : Harsh Meswania Sunday 24 November 2013

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી અમલદારો અને ખાનગી કંપનીના કામદારો માટે નિવૃત્તિનો સમય અને પેન્શનની ટકાવારી અમલી બનાવાઈ હતી.
 
રામાયણમાં એક પ્રસંગ છે. અયોધ્યાના રાજા દશરથ એક દિવસ દર્પણમાં જોઈ રહ્યાં હતા ત્યારે તેમને કાનના ઉપરના ભાગે શ્વેત થયેલા થોડા વાળ દેખાયા. સફેદ કેશ જોઈને તેમણે એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હવે અવધની રાજગાદી યુવાન થયેલા રાજકુમાર રામચંદ્રને સોંપી દેવી જોઈએ. નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા હોવાથી રાજગાદી પુત્રને સોંપી દેવાની પોતાની ઈચ્છા તેમણે ગુરુદેવ વશિષ્ઠને જણાવી. રાજ્યમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી અને નવા રાજા તરીકે રામનો રાજ્યાભિષેક કરવાની પણ તૈયારી કરી.

આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ તો આપણી પ્રાચીન વ્યવસ્થા હતી જે કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારની નિવૃત્તિનો સમયગાળો આપણા આ વાનપ્રસ્થાશ્રમની આસપાસનો જ છે. આપણે ત્યાં જ નહીં, પણ મહદ્દઅંશે સમગ્ર વિશ્વમાં રિટાયર્ડમેન્ટ માટેની પોલિસી ૫૦થી ૭૦ વર્ષ આસપાસ રાખવામાં આવી છે.
                                                                          * * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
શરીરમાં દમ હોય ત્યાં સુધી માણસ ખેતી કે ખેતમજૂરી કરતો રહેતો, પણ સૈન્યમાં કે રાજાઓની વહીવટી કચેરીઓમાં કામ કરતા લોકો પણ સામાન્ય રીતે શરીર કાર્યક્ષમ રહે ત્યાં સુધી કામમાં જોતરાયેલા રહેતા હતા.
બ્રિટને વર્ષો સુધી અલગ અલગ દેશમાં શાસન કર્યું હોવા છતાં તેના અધિકારીઓ કે કર્મચારીઓ માટે એક પણ પ્રકારની નિવૃત્તિ યોજના ઘડી ન હતી. નિવૃત્તિનો સમયગાળો અને નિવૃત્ત કર્મચારીને વળતર આપવા માટેનું યોગ્ય બંધારણ ઘડવાનો યશ જર્મનીને આપવો રહ્યો. આજે આખી દુનિયાની રિટાયર્ડમેન્ટ પોલિસી જર્મનીએ નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અનુસરે છે.
 
સંયુક્ત જર્મનીના પહેલા ચાન્સલર (જર્મનીમાં ચાન્સલર પાસે વડાપ્રધાન જેવી સત્તા હોય છે) ઓટો વૉન બિસ્માર્ક જર્મનીના એકીકરણ માટે જગતભરમાં વિખ્યાત છે. તેઓ તેમની આ સિદ્ધિ માટે જ વધુ જાણીતા છે, પરંતુ તેમના નામે અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ કામ નોંધાયેલું છે. તેઓ આધૂનિક રિટાયર્ડમેન્ટ પોલિસીના જનક કહેવાય છે. આખી જીંદગી નોકરીના નામે કરી દેનારા કર્મચારીઓના અંતિમ દિવસો સુખરૂપ પસાર થાય એવા મુખ્ય ઉદેશ્યથી બિસ્માર્કે નિવૃત્તિ નીતિનું ગઠન કર્યું હતું.
બિસ્માર્કને આ નિવૃત્તિ નીતિને અમલી બનાવવાનો વિચાર પોતાના ૬૫ વર્ષે આવ્યો હતો. બિસ્માર્કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને દેશના વયસ્ક લોકોને નિવૃત્તિ પેન્શન મળે એ માટેની વ્યવસ્થા કરી રાખી હતી. જર્મન લેખક ફેલિક્સ એકરમેને તેમના પુસ્તક 'અર્લી ન્યુ જર્મની'માં ઉલ્લેખ કર્યો છે તે મુજબ જર્મનીના રાજાએ અને સરકારે બિસ્માર્કની આ નીતિનો સ્વીકાર એટલા માટે પણ કરી લીધો હતો કે તે સમયે જર્મનીના કામદારોનું સરેરાશ આયુષ્ય જ માંડ ૬૦ વર્ષ હતું. એટલે બિસ્માર્કે નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અમલી બનાવાય તો પણ એવા કામદારો તો ગણ્યા ગાંઠયા મળે જેની ઉંમર ૬૫ વર્ષ ઉપરની હોય!
આમ છેક ૧૮૮૩થી નિવૃત્તિ નીતિને અમલી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ૧૮૮૯માં અમલી બનાવાઈ હતી. જોકે, જર્મનીએ શરૃઆતમાં થોડા વર્ષો સુધી નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શન માટેની ઉંમર ૭૦ વર્ષ રાખી હતી. પછીથી તેને ઘટાડીને ૬૫ કરી દેવામાં આવી હતી. ૧૯મી સદીમાં કામદારો-અમલદારો માટે લેવાયેલો આ સૌથી મોટો નિર્ણય હતો. જેની અસર દૂરગામી પડવાની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં નિવૃત્તિ નીતિ અમલી બનાવવામાં જર્મનીની આ પહેલ ખૂબ જ ઉપકારક નિવડવાની હતી.
 
જર્મનીએ કાયદાકીય દરજ્જો આપીને રિટાયર્ડમેન્ટ પોલિસીનું યોગ્ય ગઠન કર્યું એ પહેલા જોકે એક માણસ હતો જેણે કામદારોને નિવૃત્ત કરવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડના સુધારાવાદી કોટન મેથેરે ૧૮મી સદીના પ્રારંભે કામદારોએ ઉંમરના અમુક પડાવે રિટાયર્ડ થવું જોઈએ એવી ચળવળ ચલાવી હતી. એ પાછળ એમના બે તર્ક હતા. એક, જો જૂના કામદારો-અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની જગ્યાએ નવા ભણેલા-ગણેલા યુવાનોને તક મળે. બીજુ, અમુક ઉંમર પછી ભારેખમ અને ચિવટવાળુ કામ કરવામાં શરીરને ભારે શ્રમ પડે છે એટલે તેની કામ અને શરીર એમ બંને પર વિપરિત અસર થાય છે એટલે નિવૃત્ત થવાનો વિચાર બંને પક્ષે ફાયદાકારક નીવડશે.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
 
એક અમેરિકા આ બાબતે જર્મનીની લગોલગ ચાલતું હતું. ૧૮૫૦માં સ્થપાયેલી અમેરિકાની ધ અમેરિકન એક્સપ્રેસ કંપનીએ ૧૮૭૫માં કંપનીના કામદારો માટે નિવૃત્તિ પોલિસી ઘડી હતી. આ ખાનગી પોલિસી હતી એેટલે તેને સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં નથી આવતી, પરંતુ તેમાં એવી જોગવાઈ હતી કે કોઈ કર્મચારી મોટી ઉંમરે કામ કરવા સક્ષમ ન હોય તો તેને કંપની પેન્શન આપશે. આ પોલિસીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવામાં નહોતી આવી, પણ કંપનીના અધિકારીઓને એમ લાગે કે કર્મચારી કામ કરવા સક્ષમ નથી તો તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતો હતો.
એ પછી અમેરિકામાં ૧૯મી સદીના અંત સુધીમાં એટલે કે માત્ર ૨૫ જ વર્ષમાં બીજી ૧૩ ખાનગી કંપનીઓએ કર્મચારીઓ માટે નિવૃત્તિ પોલિસીને અમલી બનાવી હતી. અમેરિકન સરકારે તો એ પછી છેક ૧૯૩૫માં કાનૂન બનાવીને નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શનની ટકાવારી નક્કી કરી હતી. એ પાછળ અમેરિકાની વિવિધ ફેક્ટરીઓના માલિકો જવાબદાર હતા.
અમેરિકામાં તે સમયે ફેક્ટરીઓના માલિકો કર્મચારીઓને આ હકો આપવા કોઈ કાળે તૈયાર ન હતા અને એ કારણે મજબૂત ચળવળ છતાં કાયદાનું ગઠન મોડુ થયું. અમેરિકામાં આ પોલિસી આવે તે માટે ફિઝિશન અને મોર્ડન મેડિસિનના ફાધર ગણાતા વિલિયમ ઓસ્લરનું પ્રદાન અનેરું હતું. તેમણે કામદારોની તરફેણમાં નિવૃત્તિ પોલિસી આવે એ માટે મજબૂત લોબિંગ કર્યું હતું. તેમણે અમુક ઉંમરે શરીર કાર્યક્ષમ રહેતું નથી એવી થીઅરી રજૂ કરીને અમેરિકાના નેતાઓને આ વાત ગળે ઉતારી હતી.
                                                                          * * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે. 
ઉંમરનો પાછલો પડાવ ગર્વભેર વીતાવવા માટે નિવૃત્તિ અને વળતર લાકડીનું કામ કરે છે. નિવૃત્તિ સચિન તેંડુલકરની હોય કે પછી ૬૫ વર્ષે પહોંચેલા કોઈ સામાન્ય કર્મચારીની, બધા માટે તેનું ખાસ મહત્ત્વ હોય છે. ઢળતી ઉંમરે બિસ્માર્કે ચાતરેલા ચીલા પર આજે કેટલાય વયસ્કોને વિસામો મળી રહ્યો છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -