Posted by : Harsh Meswania Sunday 3 November 2013



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'શાહિદ'માં શાહિદ આઝમી નામના વકીલ-હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કેવા સંજોગોમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેનું ખૂબી પૂર્વક ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ પહેલો બનાવ નથી, અહીં થોડા એવા લોકોની વાત કરીએ કે જેમણે પોતાનો જીવ દઈને પણ સિસ્ટમ બદલવાની કોશિશ કરી હતી...
પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ 'સત્યાગ્રહ'માં દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન)નો એન્જિનિયર પુત્ર અખિલેશ (ઈન્દ્રનીલ સેનગુપ્તા) સરકારના બાંધકામ વિભાગમાં કામ કરે છે. અચાનક એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. હોનહાર સરકારી ઈજનેરનું અકાળે અવસાન થયું હોવાથી મિનિસ્ટર બલરામ સિંહ (મનોજ વાજપેયી) તેના પરિવારને સહાય આપવાની જાહેરાત કરે છે. સરકાર સહાય આપવામાં ઠાગા ઠૈયા કરે છે એટલે એ મામલે દ્વારકા આનંદ એક ઉચ્ચ અધિકારીને તમાચો મારે છે અને પછી માનવ (અજય દેવગન) સોશ્યિલ મીડિયાને બખૂબી પ્રયોજીને દ્વારકા આનંદને જેલમાંથી છોડાવે છે.
પછી તો ફિલ્મમાં બીજુ ઘણું બધુ બને છે, પણ એક મહત્ત્વની વાત માનવને એ ખબર પડે છે કે અખિલેશને માર્ગ અકસ્માતના બહાને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો, કારણ કે તેની ઈમાનદારી ભ્રષ્ટ અધિકારીઓની પ્રગતિ આડે આવતી હતી.
આ કહાની તો પૂરી ફિલ્મી છે, પરંતુ બિહારમાં આવી એક સાવ સાચુકલી ઘટના બની છે. એક ઈમાનદાર સરકારી ઈજનેર તેના જ ઉચ્ચ અધિકારીઓે અને સડક બાંધતા દલાલોની બેઇમાની સામે લડતો હતો. ભ્રષ્ટ સિસ્ટમની સામે પડેલા આ ઈજનેરનો અંજામ પણ એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યો હતો.
                                                                         * * *
સત્યેન્દ્ર દૂબે : ભ્રષ્ટાચારીઓના માર્ગમાં દિવાલ બનનારા ઓફિસર
વાત ૨૦૦૨ની છે. બિહારના સિવાન જિલ્લાના શાહપુર ગામમાં ઉછરેલો, કાનપુરની પ્રતિષ્ઠિત આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સિટિટયૂટ ઓફ ટેકનોલોજી)માંથી બી.ટેક અને આઈઆઈટી વારાણસીમાંથી એમ.ટેક થયેલો એક ૨૯ વર્ષનો યુવાન નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બિહારના કોડારમા જિલ્લામાં સહાયક પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાય છે.
યુવાને પોતાની નિગરાની હેઠળ ચાલતા દિલ્હી, અલ્હાબાદ, કાનપુર અને વારાણસીને જોડતા ૪૦૦ કરોડના ખર્ચે બની રહેલા રસ્તામાં કેવી લોલમલોલ ચાલે છે તે સાવ નજીકથી નિહાળ્યું. એક તરફ રસ્તો બને અને બીજી તરફ થોડા જ સમયમાં ખાડા પડી જાય! આવી સ્થિતિમાં આ નવનિયુક્ત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે રસ્તો ફરીથી બનાવવા કોન્ટ્રાક્ટરને ફરજ પાડી. તેણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતથી વાકેફ કર્યા, પણ તેની વાતને કાને ધરવાને બદલે થોડા જ સમયમાં તેની બદલી ગયા કરી દેવામાં આવી. ગયા પણ આવી જ હાલત હતી. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કંઈ ખાસ ઉકેલ ન મળતા તેણે વડાપ્રધાનને પત્ર લખ્યો એટલે હવે આ ઈજનેર ભ્રષ્ટ અધિકારીઓની નજરમાં બરાબર આવી ગયો.
બીજી તરફ તેના કામની કદર રૂપે ડિસેમ્બર ૨૦૦૩થી શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે તેની પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી અને એ સાથે જ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ શોભાવતા સ્થાપિત હિતોના પેટમાં તેલ રેડાયું. નવી જવાબદારી નિભાવે એ પહેલા જ ગયામાં ૨૭ નવેમ્બરે ગોલી મારીને આ યુવા હોનહાર-ઈમાનદાર ઈજનેરની હત્યા કરી નાખવામાં આવી.
આ કહાની સત્ય માટે લડત ચલાવતા બિહારના સત્યેન્દ્ર દૂબે નામના ઈજનેરની છે. દૂબેની હત્યાની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી હતી. તેમાં થોડા આરોપીઓને સજા પણ થઈ છે. જોકે, કાયમ ભારતમાં બને છે એવું આ કિસ્સામાં પણ બન્યું. નાની બે ત્રણ માછલીઓને જાળમાં ફસાવી લેવામાં આવી અને મોટા માથાઓ આબાદ બચી ગયા!
મંજુનાથ ષણમુગમ : ઓઇલ માફિયાઓ સામે આગ ઓકનારો યુવાન
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેના પર ફિલ્મ બનાવશે એ મંજુનાથ ષણમુગમ નામના ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના યુવા માર્કેટિંગ અધિકારીનો ગુનો એટલો કે તેણે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જિલ્લાના ઓઇલ માફિયાઓ સામે લડત શરૂ કરી હતી અને એટલે તેણે પોતાના જાનની આહૂતિ આપવી પડી.
લખનઉની ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ૨૦૦૫ના વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરીને મંજુનાથે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કારકિર્દી શરૃ કરી. પ્રારંભે જ મંજુનાથને ઓઇલ માફિયા વિરૃદ્ધ લડવાનું આવ્યું. તેની કામ કરવાની પદ્ધતિથી ઓઇલ માફિયાઓમાં પહેલાથી જ ફફડાટ ફેલાઈ ગયો હતો. ૧૯ નવેમ્બર, ૨૦૦૩ની રાત્રે એક પેટ્રોલપંપમાં તપાસ કરવા ગયા પછી તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા-ત્રીજા દિવસે ખૂબ જ ખરાબ રીતે મારીને ફેંકી દીધેલી તેની લાશ મળી હતી. ૬ ગોલી મારીને મંજુનાથની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપના માલિકના પુત્ર પવનકુમાર મિત્તલ અને તેના બીજા ૬ સાથીદારોએ મળીને મંજુનાથની હત્યા કર્યાનું કોર્ટમાં સાબિત થયું હતું અને પવનકુમારને ફાંસીની સજા ફટકારવામાં આવી. મંજુનાથના મર્ડરમાં ભાગીદાર અન્ય તમામ આરોપીઓને જેલની સજા કરવામાં આવી. હાઇકોર્ટે પવનકુમારની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી છે.
લખનઉ આઈઆઈટીના વિદ્યાર્થીઓએે મંજુનાથના નામ પરથી એક ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ સંસ્થા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા લોકોને પીઠબળ પુરું પાડવાનું કામ કરે છે. માત્ર ૨૭ વર્ષના આ યુવાને ઓઇલ ક્ષેત્રે ચાલતા તિકડમ સામે અવાજ ઉઠાવ્યો હતો એટલેે તેનો અવાજ હંમેશા માટે શાંત કરી દેવામાં આવ્યો હતો.

ડૉ. નરેન્દ્ર દાભોલકર : તાંત્રિકોના તંત્ર સામે તિખારો મૂકનારા તબીબ 
છેલ્લા ત્રણ દશકાથી મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા ડૉ. નરેન્દ્ર દાભોલકરની સંસ્થાની ૨૦૦ જેટલી શાખાઓ રાજ્યભરમાં ફેલાયેલી છે અને એના દ્વારા તેમણે ચમત્કારનો દાવો કરનારા કેટલાય કહેવાતા સિદ્ધોને ઉઘાડા કર્યા હતા. તેમણે ચમત્કારો પાછળનું સાયન્સ લોકો સુધી પહોંચાડયું હતું.
એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી તેઓ દર્દીના ડોક્ટર બનવાને બદલે સમાજના ડોક્ટર બની ગયા. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોના દુઃખ-દર્દ દૂર કરવાનો દાવો કરનારા ઢોંગી બાબાઓ અને તાંત્રિકોની ચૂંગાલમાં ફસાતા સમાજને સાચી સમજ આપવા માટે ડો. દાભોલકરે કામ શરૂ કર્યું. તેમના આ કામથી ઢોંગી તાંત્રિકોની ધીકતી દુકાનો બંધ થવા લાગી અને એટલે ડૉ. દાભોલકર અંધવિશ્વાસ ફેલાવતા તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.
તેમને ધમકીભર્યા પત્રો પણ મળ્યાં હતા કે આ પ્રવૃત્તિને વિરામ આપજો નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો! તાંત્રિકો ઉપરાંત મહારાષ્ટ્રના રૂઢિવાદીઓની નજરમાં પણ તેઓ આવી ચૂક્યા હતા. અંતે ૨૦ ઓક્ટોબર, ૨૦૧૩ની વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવારોએ બે ગોળી મારીને તેમની સરાજાહેર હત્યા કરી નાખી. અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાના પરિણામે ડો. દાભોલકરે જીવ આપી દીધો, પરંતુ ૩૦-૩૦ વર્ષ સુધી આવા તત્ત્વો સામે સંગીન લડત આપીને એક સજ્જડ દાખલો પણ બેસાડયો.

રેમકુમાર ઝા :
બાંધકામના બદમાશોની બદનજરનો શિકાર
ભ્રષ્ટાચાર-અત્યાચાર વિરોધી સમિતિના રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી પ્રેમકુમાર ઝા મહારાષ્ટ્રના બાંધકામ વિભાગમાં ચાલતા ગોટાળા સામે મેદાને પડયા હતા. બાંધકામ વિભાગના અધિકારીઓ અને વચેટિયાઓમાં તેના નામની ધાક હતી. ભ્રષ્ટાચાર રોકવાનું જે કામ સરકાર નહોતી કરી શકતી તે કામ પ્રેમકુમાર એકલા હાથે કરી રહ્યા હતા. ખાસ તો મુંબઈના વિરાર અને વસઈ વિસ્તારમાં ચાલતા કેટલાય બાંધકામોમાં થઈ રહેલી ગેરરીતિ તેમણે ઉઘાડી પાડી હતી.
એટલું જ નહીં, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ગેરકાયદે થઈ રહેલા બાંધકામોને પણ તેમણે પડકાર્યા હતા. થોડાં જ સમયમાં ખાનગી અને સરકારી એમ બંને ક્ષેત્રના ભ્રષ્ટ લોકોએ પ્રેમકુમારને દુશ્મન માની લીધા હતા. ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૩ના રોજ વિરાર પાસે રસ્તામાં પ્રેમકુમાર બાઇક પર જઈ રહ્યાં હતા ત્યારે તેમના માથામાં બૂલેટ ધરબી દઈને તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું.
કમનસીબી તો એ હતી કે પોલીસ કેસને રફેદફે કરવાની વેતરણમાં હતી. શરૂઆતમાં પોલીસ રજિસ્ટરમાં પ્રેમકુમારના મૃત્યુની અકસ્માત તરીકે નોંધ થઈ હતી. તેમના પરિવારે મર્ડર થયાની દહેશત વ્યક્ત કરી ત્યારે અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેમના માથામાંથી એક બૂલેટ મળી આવી ત્યારે છેક પોલીસે અંતે મર્ડરની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, હજુ પણ તેનું ખૂન કોણે કર્યું તે જાણવામાં પોલીસને સફળતા નથી મળી.
                                                                            * * *
આ તો નોંધપાત્ર અને જાણીતા કિસ્સાઓ છે. રસ્તાની બનાવટમાં, બાંધકામમાં, ઓઇલ ક્ષેત્રે અને ધાર્મિક અંધશ્રદ્ધા સામે લડતા એક્ટિવિસ્ટ ઉપરાંત દર વર્ષે આરટીઆઈ (રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ)નો ઉપયોગ કરનારા કેટલા બધા લોકો સામે કશીક મુશ્કેલી ખડી કરવામાં આવતી હોવાના ઘણાં બધા બનાવો બને છે.
એક સરકારી આંકડા પ્રમાણે આરટીઆઈનો કાયદો આવ્યા પછી આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરના દેશભરમાં ૨૫ કિસ્સા નોંધાયા છે. ગુજરાતમાં ૬ આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડર થયાનું કહેવાય છે. દેશભરમાં બહુ ગાજેલા અમિત જેઠવાના કેસમાં પણ થોડા થોડા સમયે નવા નવા ફણગા ફૂટતા રહે છે. આ બધામાં એક સામ્યતા છે કે બધાએ શાહિદ આઝમીની જેમ સિસ્ટમ સામે કે સ્થાપિત હિતો સામે પડવાની કિંમત પોતાની જાન આપીને ચૂકવી છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -