- Back to Home »
- World Window »
- પાકિસ્તાનને નાકે દમ લાવી દેનારી બલોચ આર્મી ફરીથી આક્રમક બની
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
બલૂચિસ્તાન બળવાખોરોના હુમલામાં 100 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઈકોનોમિક કોરિડોરના મુદ્દે બલૂચિસ્તાનમાં ધીમે ધીમે આંદોલન વધુ આક્રમક બનવા લાગ્યું છે. બલૂચિસ્તાનના નાગરિકોનું દેખીતું શોષણ હવે રોષ બનીને ભભૂકી રહ્યો છે
અખંડ ભારતમાંથી અલગ થયા બાદ પાકિસ્તાનના શાસકોએ અમુક ચોક્કસ વિસ્તારોમાં અત્યારો શરૂ કર્યા હતા. એમાં પૂર્વ પાકિસ્તાન અને બલૂચિસ્તાન મુખ્ય હતા. ભેદભાવ અને અત્યાચારોથી ત્રસ્ત પાકિસ્તાનના આ વિસ્તારોમાં જૂલ્મી શાસકોનો વિરોધ ૧૯૬૦ પછી વધ્યો હતો. એક તરફ પૂર્વ પાકિસ્તાનના લોકોએ બાંગ્લાદેશની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું હતું. એ જ અરસામાં બલૂચિસ્તાનમાં પણ એવી જ માગણી સાથે ૧૯૬૪માં બલોચ લિબરેશન આર્મીની રચના થઈ હતી. જે કામ બાંગ્લાદેશની આઝાદી માટે મુઝિબૂર રહેમાને કર્યું હતું. એ જ કામ બલૂચિસ્તાનની આઝાદીની માગણી સાથે ખૈર બખ્શ મિરીની આગેવાનીમાં બલોચ લિબરેશન આર્મીની સ્થાપના થઈ હતી. સરમુખ્તયાર અયુબ ખાનના શાસનકાળ દરમિયાન બલૂચિસ્તાનના મિરી જનજાતિના વિસ્તારમાં ઓઈલ અને ગેસ મેળવવા પાકિસ્તાની આર્મીએ અત્યાચારો શરૂ કર્યા અને એ જનજાતિના લોકોને તેમના મૂળ નિવાસ સ્થાનેથી ખસેડવા મજબૂર કર્યા. એ ઘટનાથી બલૂચભાષી લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે નફરતનું વાવેતર થયું.
બલૂચિસ્તાનના લોકોની ચળવળ વિશે વાત આગળ વધારતા પહેલાં આ સંગઠનના વડાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ખૈર બખ્શ મિરી બલૂચિસ્તાનની બેઠક પરથી ૧૯૭૦માં ચૂંટાયા હતા, પરંતુ એ પછી સરકારે તેમને નિશાન બનાવતા એ અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી બલોચ આર્મીનું સંચાલન કરતા હતા. વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા પછી રશિયાના સમર્થનથી અફઘાનિસ્તાનમાં મોહમ્મદ નાઝીબુલ્લાહની સરકાર બની ત્યારબાદ ખૈર બખ્શ મિરી પાકિસ્તાનમાં આવ્યા હતા. ૨૦૧૪માં પાકિસ્તાનમાં જ તેમનું નિધન થયું હતું. જોકે, આ સંગઠન તેમના દીકરાઓની દોરવણીથી ચાલે છે. ખૈર બખ્શ પછી બલોચ લિબરેશન આર્મીની જવાબદારી તેમના બીજા નંબરના દીકરા બલાચ મિરીએ સંભાળી હતી. બલાચ મિરીનું ૨૦૦૭માં નાટોની એરસ્ટ્રાઈકમાં મોત થયું પછી તેનાથી નાનાભાઈ હૈયરબેર મિરીએ આઝાદીની ચળવળને આગળ વધારી છે.
પાકિસ્તાનના અત્યાચારી શાસકોએ બલૂચિસ્તાનના લોકોને સતત નિશાન બનાવ્યા. જેમ બાંગ્લાદેશમાં રહેતા લોકોની સાંસ્કૃતિક ઓળખ નાબુદ કરવા અત્યાચારો થયા એવા જ અત્યાચારો બલૂચિસ્તાનમાં પણ થયા. બલૂચિસ્તાનમાં બલૂચ નાગરિકો મૂળ નિવાસી છે. આ લોકો પાકિસ્તાન કરતાં ભિન્ન સાંસ્કૃતિ-સામાજિક ઓળખ ધરાવે છે. પાકિસ્તાને એને મિટાવવાની કોશિશ કરી ત્યારથી બલૂચ લોકોએ આઝાદીની ચળવળ આદરી. પોતાના અધિકારો માટે બલૂચ લોકોએ ૧૯૭૦ પછી સરકાર સામે બાંયો ચડાવી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ જે રીતે પાકિસ્તાનના જૂલ્મી શાસકો સામે લડીને આઝાદી મેળવી એવી જ રીતે બલૂચિસ્તાનના લોકોએ પણ લડત ચલાવીને આઝાદી મેળવવાની કોશિશ કરી જોઈ, પરંતુ પાકિસ્તાને બલૂચ નાગરિકોના પ્રયાસોને કચડી નાખ્યા. પૂર્વ પાકિસ્તાન સાથે ભૌગોલિક અંતર હતું તે ઉપરાંત ભારતની ઈન્દિરા સરકારની સક્રિય નીતિના કારણે બાંગ્લાદેશના નાગરિકોની ચળવળ સફળ થઈ એવી સફળતા બલૂચિસ્તાનના નાગરિકોને ન મળી. પરંતુ બલોચ નાગરિકોએ હાથમાં હાથ નાખીને બેસી રહેવાને બદલે પ્રયાસો હજુ સુધી ચાલુ રાખ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ૨૦૦૦ કરતાં વધુ લડવૈયાઓ આજેય એ લડત ચલાવી રહ્યા છે.
બાંગ્લાદેશ આઝાદ થયું પછી પાકિસ્તાનના શાસકોએ થોડો વખત બલૂચ આંદોલનને ઠારવાના પ્રયાસો પણ કર્યા. ઝીયાઉલ હકના સમયગાળામાં બલૂચ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી અને થોડો વખત મામલો શાંત પણ રહ્યો, પણ થોડાં વર્ષોમાં ફરીથી પાકિસ્તાનના ઝૂલ્મી શાસકોએ બલૂચ નાગરિકો સાથ ભેદભાવ શરૂ કર્યો. પાકિસ્તાની આર્મીએ આખા વિસ્તારમાં ત્રાસ વર્તાવ્યો. ૨૦૦૦ના વર્ષમાં પરવેઝ મુશર્રફે બલૂચ નાગરિકોને નેતા ખૈર બખ્શ મિરીની એક હુમલાના ષડયંત્રના આરોપમાં ધરપકડ કરી પછી આંદોલન ફરીથી તીવ્ર બન્યું. પાકિસ્તાની સરકારે આ આંદોલનકારી સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે. સંગઠનના હિંસક વિરોધના મુદ્દા આગળ ધરીને પાકિસ્તાને આ સંગઠન ઉપર યુરોપીયન સંઘ, અમેરિકામાં પણ પ્રતિબંધ મૂકાવ્યો છે.
પણ પાકિસ્તાન આ વિસ્તારમાં બલોચ લોકો પર જે અત્યાચાર કરે છે તેની કોઈ જ નોંધ લેવાતી નથી. પાકિસ્તાન આર્મી આ વિસ્તારમાં અમાનૂષી અત્યારો કરે છે. પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનના મૂળ નિવાસીઓની દીકરીઓ ઉપર સામુહિક બળાત્કારો કરે છે અને બલોચ આર્મી સાથે જોડાયેલા હોવાના મુદ્દે અનેક યુવાનોને રાતોરાત ઉઠાવી જાય છે. આ યુવાનોને મહિનાઓ સુધી ગુમ કરી દે છે. આતંકવાદનું લેબલ મારીને તેમને મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવે છે.
બલૂચિસ્તાનના નાગરિકોને સાંસ્કૃતિક અને સામાજિક રીતે અન્યાય કરવાની સાથે સાથે પાકિસ્તાનની સરકારો તેમને સરકારી નોકરીઓમાં પણ સમાન અધિકારોથી વંચિત રાખે છે. તેમની સાથે સતત એક નહીં તો બીજા મુદ્દે ભેદભાવ થાય છે. ન્યાય મળવાની અપેક્ષા તો ક્યારની બલોચ લોકોએ છોડી દીધી હતી. આખરે તેમણે પણ હિંસાનો માર્ગ અપનાવ્યો. હિંસાની એ આગ માત્ર બલૂચિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની સૈનિકો સુધી સીમિત ન રહેતાં હવે આખા પાકિસ્તાનમાં ફેલાઈ ચૂકી છે. સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ ઝંખતા આ નાગરિકો હવે ઘાયલ થયેલા સિંહની જેમ પાકિસ્તાન આખામાં હાહાકાર મચાવે છે. બલોચ લિબરેશન આર્મીએ છેલ્લાં કેટલાય વર્ષોથી વધુ આક્રમક બનીને હુમલા કર્યા છે. તાજેતરમાં બલૂચિસ્તાનના પાંજગુર અને નૂશકી વિસ્તારોમાં તૈનાત પાક. સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. એ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો બલોચ આર્મીએ કર્યો હતો. જોકે, પાકિસ્તાને હુમલો નિષ્ફળ બનાવ્યાનું નિવેદન આપીને ચાર બલૂચી આતંકવાદીઓને ઠાર કર્યાનો વળતો દાવો કર્યો હતો.
બલૂચિસ્તાનમાં ચીનની હાજરથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેમના હકનું ચીન લઈ જાય છે એવો આરોપ લગાવીને બલૂચ નાગરિકોએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ચીનના પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને નોકરીએ રાખવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હવે હિંસામાં પરિણમ્યું છે. કોઈ પણ માગણી કે રજૂઆત માટે હિંસાનો માર્ગ યોગ્ય તો નથી જ, પરંતુ પાકિસ્તાની લશ્કરના અમાનૂષી ત્રાસ સામે બીજો કોઈ વિકલ્પ ન રહેતાં બલોચ આર્મીએ એ જ રસ્તો પકડીને પાકિસ્તાનને નાકે દામ લાવી દીધો છે.
વર્લ્ડ અપડેટ
- હાઈપરસોનિક એરક્રાફ્ટમાં માતબર ખર્ચ કરીને ચીન અમેરિકાથી આગળ વધવાની પેરવીમાં છે. ચીનની સ્પેસ ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીએ ૨૦૨૪ સુધીમાં હાઈપરસોનિક વિમાન બનાવી લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વિમાન એક કલાકમાં ચીનથી અમેરિકાના ન્યૂયોર્ક સુધી પહોંચી શકવા સક્ષમ હશે.
- રશિયાના લડાકુ વિમાનો સ્કોટલેન્ડ નજીક પહોંચી ગયાનો દાવો બ્રિટને કર્યો હતો. યુક્રેનની સરહદે નાટો સૈન્ય આગળ વધી રહ્યું હોવાના દાવા વચ્ચે રશિયાએ પરમાણુ હુમલો કરી શકવા સક્ષમ ટીયુ-૯૫ બોમ્બર વિમાનને બ્રિટિશ સરહદની નજીક ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
- કોરોના વેક્સિન લેવાનો ઈનકાર કરનારા અમેરિકન સૈનિકો સામે કાર્યવાહી થશે. અમેરિકન આર્મીના ૩૩૦૦ સૈનિકોએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો હતો. એ પછી સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ તેમને નોટિસ પાઠવી છે. આર્મી, નેવી અને એરફોર્સના આ જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો.
- ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન તેની ફઈ સાથે જોવા મળ્યા હતા. કિમ જોંગ ઉને જ તેના ફુઆની ૨૦૧૩માં હત્યા કરાવી હતી. એ પછી પ્રથમ વખત ફઈને સાથે રાખીને કિમ પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
- શિકાગોના ૪૪ વર્ષના કેવિન દુગરે એક હત્યાના આરોપમાં ૧૭ વર્ષ જેલમાં પસાર કર્યા બાદ એ નિર્દોષ ઠર્યો હતો. તેના જોડિયા ભાઈ કાર્લ સ્મિથે સ્વીકાર્યું હતું કે કેવિન પર જે હત્યાનો આરોપ છે તે હત્યા ખરેખર તો તેણે કરી હતી. તેના ભાઈની કબૂલાત પછી કેવિનની માફી સાથે અમેરિકન સરકારે તેને મુક્ત કર્યો હતો.