Posted by : Harsh Meswania Sunday 11 May 2014


અત્યારે સેલ્ફીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધારો કે મહાભારતનું યુદ્ધ આજે ખેલાઈ રહ્યું હોત તો કુરુક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ઉભેલા અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સેલ્ફીના સંદર્ભમાં કેવા સંવાદો થયા હોત? કૃષ્ણ-અર્જુનના કાલ્પનિક સંવાદોની વચ્ચે સેલ્ફીની વાસ્તવિક વાતો....

'હે કેશવ! હું જોઈ રહ્યો છું કે આજકાલ ઘણા બધા લોકો એક યંત્રને પોતાના મુખારવિંદની સામે લઈ જઈને પછી હાસ્ય વેરે છે અને એ સાથે કશોક પ્રકાશ થાય છે. પછી એ યંત્રને હાથમાં લઈને ફરી વખત અકારણ હાસ્ય કરે છે. મેં સાંભળ્યું છે કે એને લોકો સેલ્ફી કહે છે. એ સેલ્ફીની ટ્વિટ થાય છે અને એફબી પોસ્ટ પણ થાય છે. એટલે હે ગોવિંદ મને આ સેલ્ફી, ટ્વિટર, એફબી, યુટયૂબ વગેરે વિશે વિસ્તારથી સમજાવીને મારા મનનું સમાધન કરો!' અર્જુને શ્રીકૃષ્ણના ચરણસ્પર્શ કરીને પૂછ્યુ.
જવાબમાં ભગવાને કહ્યું...
'હે પાર્થ! જો તારે આ બધા વિશે જાણવું હોય તો તો મારે તને આખી 'શ્રીમદ્ સોશ્યલ મીડિયા ગીતા' સમજાવવી પડે, પરંતુ તારી જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને હું તારા પહેલા પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી આપીશ.'
પછી શ્રીકૃષ્ણએ તેમના આગવા અંદાજમાં સેલ્ફી વિશે સમજાવવા માંડયું કે....
'હે પાર્થ, વર્ષો પહેલા જ્યારે લોકો પાસે કેમેરા હોવું એ લક્ઝરી કહેવાતી હતી. એ સમયે આખા પરિવારની તસવીર ખેંચાવવી એ ભવ્યતાનું પ્રતીક ગણાતું હતું. બધા એક સરખું સ્માઇલ આપીને ફોટો પડાવે અને પછી ઘરની દિવાલ પર એ તસવીરને મઢીને રાખે. હવે સેલ્ફી પણ વોલ પર જ મૂકવામાં આવે છે. ફરક એટલો પડયો છે કે એ વોલ ઘરની નહીં, ફેસબૂકની હોય છે.
'પણ પ્રભુ, મારો પ્રશ્ન તો સેલ્ફી વિશે હતો. કેમેરા વિશે તો હું જાણી ચૂક્યો છું. ક્ષમા કરશો ભગવાન પણ તમે કેમેરાની અને પરિવારની વાતોએ ચડી ગયા હોય એવું મને લાગ્યું એટલે વચ્ચે જ તમને અટકાવવા પડયા.
'હે કૌંતેય, જો તને કેમેરા વિશે જ્ઞાાત હોય તો હું સેલ્ફીની જ સીધી વાત કરી દઉં છું. વાત છે ઈ.સ. ૧૮૩૯ના વર્ષની. કેમેરાનો વિકાસ થઈ રહ્યો હતો એ દૌરમાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતો રોબર્ટ કોર્નેલિયસ નામનો કેમેરામેન ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ ઉત્સાહ બતાવતો. માણસના કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓના જુદા જુદા ખૂણેથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં તેને મજા પડતી. એ સમયે કેમેરા એટલા બધા વિકસિત નહોતા બન્યાં એટલે ક્લિક કર્યા પછી દ્રષ્ય કેમેરામાં મઢાઈ જાય એ બંને ઘટના વચ્ચે થોડીક પળો એમ જ વીતી જતી. એક દિવસ કેમેરાના અભ્યાસુ રોબર્ટને પ્રશ્ન થયો કે જો સામે કેમેરાને મૂકી દઈએ અને ક્લિક થાય એ પહેલા તેની સામે ગોઠવાઈ જઈએ તો શું થાય છે?
'તો પછી શું થયું હતું ભગવન!' અર્જુને ઉત્સુકતાથી પૂછી નાખ્યું અને ભગવાને અટક્યા વગર આગળ ચલાવ્યું...
'હે સવ્યસાચી, એ તસવીરકારે પોતાને થયેલા પ્રશ્ન પર પ્રયોગ કરવાનું નક્કી કર્યું અને એ સાથે તેનું નામ ફોટોગ્રાફીના ઈતિહાસમાં નોંધાઈ ગયું. રોબર્ટે પોતે ખેંચેલી તસવીરને પછીથી પ્રથમ સેલ્ફી તરીકે સન્માન મળ્યું.'
'હે યદુશ્રેષ્ઠ, તો પછી સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી જ કેમ વધ્યો છે? વચ્ચેના સમયગાળામાં સેલ્ફી ખેંચવાની પ્રથા નહોતી?'
'હા પાર્થ તારી વાત બિલકુલ સાચી છે. સેલ્ફીનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયમાં જ વધ્યો છે. સેલ્ફીની પ્રથા આ પહેલા આટલી બધી પ્રચલિત તો નહોતી, પણ છૂટાછવાયા થોડા બનાવો બન્યા છે ખરાં!' શ્રીકૃષ્ણ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ફરી આગળ બોલ્યા 'રશિયા દેશની એક રાજકુમારી હતી. પ્રિન્સેસ એનાસ્તારિયા એનું નામ'
'પણ મધુસૂદન મેં તો સાંભળ્યું છે કે એ વખતે તે માત્ર ૧૩ વર્ષની જ હતી અને આજના યંગસ્ટર્સ પળમાં જે કામ કરે છે તે કામ તેને ખૂબ અઘરું લાગ્યું હતું?' અર્જુને પોતાની પાસે એનાસ્તારિયાની જે જાણકારી હતા તે કહી દીધી.
'હે પાંડવ, તારી વાત એકદમ સાચી છે. એ વખતે ઉંમરના ૧૩ વર્ષના પડાવે પહોંચેલી એનાસ્તારિયાએ અરિસા સામે જોઈને પોતાનો સેલ્ફી ખેંચ્યો હતો. આજના યંગસ્ટર્સ જે રીતે ટ્વિટ કરીને કે પોસ્ટ કરીને પોતાના મિત્રોને સેલ્ફી પહોંચાડે છે એ જ રીતે એનાસ્તારિયાએ પોતાના મિત્રને એ તસવીર મોકલી હતી અને સાથે સાથે એમાં લખ્યું હતું કે ''આ તસવીર મેં અરિસામાં જોઈને મારી જાતે પાડી છે. આ કામ ખરેખર અઘરું છે. તસવીર પાડતી વખતે મારા હાથમાં કંપારી છૂટતી હતી''. મધુસૂદને પોતાની વર્ણન શક્તિથી આખુ દ્રષ્ય અર્જુન સામે ખડું કરી દીધું.
'ત્યાર બાદ એનો વ્યાપ કઈ રીતે વધ્યો એ જણાવવા પણ કૃપા કરો વાસુદેવ!' પાર્થે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણને કહ્યું.
'હે શ્રેષ્ઠ ધનુર્ધર, સેલ્ફીની શરૃઆત થઈ ચૂકી હતી, પરંતુ તેનો વ્યાપ થવાને હજુ ઘણી વાર હતી. ક્યારેક ક્યારેક લોકો છૂટાછવાયા સેલ્ફી પાડીને પોતાની યાદોને હંમેશા માટે અવિસ્મરણીય રાખવાનો પ્રયાસ કરતા હતા. તને યાદ છે પાર્થ હિમાલયની સર્વોચ્ચ ચોટી એવરેસ્ટ સર કરવા નીકળેલા એડમંડ હિલેરી અને તેનઝિંગ શેરપાનો કિસ્સો બહુ જાણીતો બન્યો હતો. એમ કહેવાય છે કે શેરપાને તસવીર પાડવાનો કોઈ જ અનુભવ નહોતો પરિણામે હિલેરી એવરેસ્ટની ચોટીએ પહોંચ્યા ત્યારની એક પણ તસવીર ઉપલબ્ધ નથી. કદાચ સેલ્ફીના ઓછા વ્યાપના કારણે હિલેરીને સેલ્ફી ખેંચવાનું સુજ્યું જ નહીં હોય. નહીંતર આજે તેમની તસવીરો પણ હોત. તું આ ઘટના પરથી પણ કલ્પના કરી શકે છે કે ૧૯૫૦-૬૦ના દશકા સુધી સેલ્ફીનો ક્રેઝ નહીં હોય!' કૃષ્ણએ સેલ્ફીના વ્યાપ પર જોરદાર ઉદાહરણ આપીને અર્જુનને વિચારતો કરી દીધો. ભગવાને આગળ કહ્યું, 'પાર્થ આ નશ્વર જગતમાં ઈન્ટરનેટની માયાજાળે વિસ્તાર વધાર્યો ત્યાર પછી ચેટમાં વેબકેમના કારણે સેલ્ફીને બળ મળ્યું હતું. જોકે, તેનો ખરો યશ તો આજકાલ મોબાઈલમાં આવતા શક્તિશાળી કેમેરાને ફાળે જ જાય છે. મોબાઇલના કેમેરા ઉપરાંત સોશ્યલ મીડિયાની ચોમેરથી જે રીતે ગૂંથણી થઈ છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં સેલ્ફી સેલ્ફી અને સેલ્ફીનો માહોલ છે. સેમસંગ નામની મોબાઈલ કંપનીએ એક સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મોબાઇલમાં ખેંચાતી ત્રણ તસવીરોમાંથી એક તસવીર સેલ્ફી હોય છે.' કૃષ્ણએ સેલ્ફીના ઈતિહાસથી વર્તમાન સુધીની શક્ય એટલી સફર પાર્થને કહી સંભળાવી.
'હે અંતર્યામી, અત્યારે પ્રતિદિન કેટલા સેલ્ફી પડતા હશે એનો કોઈ અંદાજ ખરો?' અર્જુને આટલી વાત સાંભળ્યા પછીય હરિ અનંત હરિ કથા અનંતાની જેમ સેલ્ફી અનંત સેલ્ફી કથા અનંતાના સંદર્ભમાં હજુય થોડાં સંદેહ સાથે શ્રીકૃષ્ણ સામે હાથ જોડેલી મુદ્રામાં પૂછી નાખ્યું.
'હે અર્જુન, આકાશ સામે જોઈને મને કહે કેટલા તારલા તને દેખાય છે?' આમ કહીને અત્યાર સુધી ઉત્તરો આપી રહેલા શ્રીકૃષ્ણએ સેલ્ફી પ્રકરણ આટોપવા આખરી પ્રશ્ન અર્જુનને જ કરી નાખ્યો.
'ભગવાન તમે ભૂલી ગયા છો કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યનારાયણ કૃપા વરસાવી રહ્યા છે?' અર્જુને ગૂંચવાઈને કહ્યું.
'દિવસે તારલા ગણવા શક્ય નથી એ જ રીતે સેલ્ફીનો આંકડો આપવો લગભગ લગભગ અશક્ય છે એટલે જ મેં તને એવું પૂછ્યું હતું.' શ્રીકૃષ્ણને અર્જુનના છેલ્લા સવાલનો જવાબ તાર્કિક રીતે વાળ્યો અને એ રીતે સેલ્ફી પ્રકરણનો પણ અંત આવ્યો!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -