Posted by : Harsh Meswania Sunday 28 September 2014

- ભારતમાં ૨૦ લાખ નાગરિકો ખાનગી શસ્ત્રોનું લાઈસન્સ ધરાવે છે!

સમાજમાં વટ પાડી દેવા શસ્ત્રો રાખતા લોકોની સંખ્યાનો આંકડો દેશમાં ભયજનક રીતે વધી રહ્યો છે. પોલીસ ફોર્સની સંખ્યા માંડ ૧૬ લાખ છે જ્યારે સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો એનાથી વધારે હોય એ દેશના અમન અને વ્યવસ્થાપન માટે જોખમી કહેવાય...

દેશભરમાં  છેલ્લા ચાર વર્ષોમાં ૭૦૦ આરટીઆઈ માત્ર ખાનગી શસ્ત્રોના લાઇસન્સનો આંકડો મેળવવા માટે થઈ છે. એમાંથી મોટા ભાગના એક્ટિવિસ્ટને સંતોષકારક જવાબ આપવામાં રાજ્ય સરકારો અને જેની નિગરાની હેઠળ આ બધુ આવે છે એ ખૂદ ભારતનું ગૃહ મંત્રાલય ઉણું ઉતર્યું છે. દેશના એક અંગ્રેજી અખબારે એકાદ વર્ષ પહેલા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલા લોકો પાસે ખાનગી શસ્ત્રોના પરવાના છે એનો અહેવાલ ગૃહ મંત્રાલય પાસે માંગ્યો ત્યારે ગૃહ મંત્રાલયે હાથ ઊંચા કરીને રાજ્ય સરકારો પાસેથી આંકડો મેળવવાની ભલામણ કરી હતી. રાજ્ય સરકારો પાસે ય ચોક્કસ આંકડો ન હતો એટલે દેશની મોટાભાગની રાજ્ય સરકારોએ સોગંધનામુ કરાવીને અંદાજિત સંખ્યા જણાવી હતી. આટ-આટલી આરટીઆઈ અને વિવિધ પ્રયાસો પછી પણ સરકાર પાસેથી ચોક્કસ આંકડો તો નથી જ જાણી શકાયો, પણ છતાંય જે છૂટા છવાયા અહેવાલો મળ્યા એ દેશની શાંતિ માટે ખતરાની સાયરન સમાન બની રહ્યા છે.
બધા પરથી એક નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં ૨૦ લાખ લોકો ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધરાવે છે. સત્તાવાર આંકડો આટલો હોય એનો અર્થ એવો થયો કે એનાથી બમણા-ત્રણ-ચાર કે પાંચ ગણા લોકો પાસે પરવાના વગરના શસ્ત્રો હોવાનો સંભવ છે.
હમણાં આ સંખ્યાને સદ્ભાગ્યે હાઇકોર્ટની એક ભલામણને કારણે વધુ બળ મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની અરાજકતાને ધ્યાનમાં રાખીને સરકારને રાજ્યમાં ખાનગી શસ્ત્રોના લાયસન્સ ધારકોની સંખ્યા જણાવવા કહ્યું હતું. જો સરકાર પાસે આંકડો ઉપલબ્ધ ન હોય તો તેનો તાકીદે અહેવાલ તૈયાર કરવાનો હુકમ પણ કર્યો હતો એટલે અંતે ઉત્તર પ્રદેશની સરકારે આઈઆઈએમ લખનૌને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. અહેવાલનો આંકડો સરકાર માટે ય ધારણા કરતા ઘણો મોટો હતો.
ઉત્તર પ્રદેશની પોલીસ પાસે અઢી લાખ હથિયારો છે. જ્યારે નાગરિકો પાસે ૧૧ લાખ લેટેસ્ટ બંદૂકો છે. શસ્ત્રોના પરવાના ધારકોની સંખ્યા પ્રમાણે ભારતના ૫૦ શહેરોનું લિસ્ટ પણ પેલા અહેવાલમાં આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૧ શહેરો એકલા ઉત્તર પ્રદેશના છે. લખનૌમાં સૌથી વધુ ૪૮, ૪૩૬ ખાનગી શસ્ત્રોના પરવાના અપાયા છે અને હજુ ય ૫૦ હજાર અરજી તો પેન્ડિંગ રખાઈ છે. આ યાદીમાં બીજા નંબરે રહેલા પંજાબના ૧૧ શહેરો ટોપ ૫૦ના લિસ્ટમાં છે.
પોલીસ કરતા વધુ શસ્ત્રો નાગરિકો પાસે હોય એ સ્થિતિ લાંબાં ગાળાની શાંતિ માટે જોખમી છે. જો પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થાય તો પોલીસ પાસે નથી એવા અત્યાધૂનિક શસ્ત્રો નાગરિકો પાસે હોવાના કારણે મામલો થાળે પડવાને બદલે વધારે ગંભીર બની શકે છે. શસ્ત્રોનો સામ સામો પ્રયોગ થાય તો કેટલી અને કેવી હિંસા થઈ શકે એની કલ્પના કરવી અઘરી નથી. હાઈકોર્ટે ગંભીરતા પારખીને આ બાબતે સરકાર પાસે ખૂલાસો પૂછ્યો છે.
માત્ર યુપીમાં જ આ હાલત છે એવું નથી, દેશભરમાં બહુધા આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ૨૦૧૩ મુજબ દેશમાં કુલ પોલીસ ફોર્સનો આંકડો ૧૬ લાખ છે. એટલે કે એક લાખ નાગરિકોની સુરક્ષા માટે ૧૩૦ પોલીસ જવાનો ઉપલબ્ધ છે. એમાં વળી, ઈન્ડિયાના સ્પેશ્યલ પીપલ્સ (નેતા-અભિનેતા-સરકારી બાબૂઓ-સામાજિક કાર્યકરો વગેરે વગેરે)માટે ખડેપગે રખાતી પોલીસને બાદ કરીએ તો આંકડો વધુ નીચો આવી જાય. આવી દયનીય હાલત વચ્ચે સુરક્ષાના કારણોથી સરકારે આખા ભારતમાં ૨૦ લાખ નાગરિકોને શસ્ત્રોના પરવાના આપ્યા છે. પરવાનાની બીજી બાજુ એ છે કે એનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને છાકો પાડી દેવા માટે વધુ થાય છે. ભાજપ-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી-બસપા-એનસીપી જેવા રાજકીય પક્ષોના કાર્યકરો પાસે જ પોતાની સુરક્ષા (સુરક્ષા માટે શસ્ત્રો રાખનારાઓ પાછા દેશની સુરક્ષાના ઠાલા વચનોની લ્હાણી કરતા હોય!) માટે પરવાના મેળવેલી બંદૂકોની સંખ્યા ૮થી ૧૦ લાખ થવા જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે આમ જનતા અને મતદારો ઉપર રોફ જમાવવા માટે! એકચ્યુઅલી કેટલા નાગરિકો પાસે હથિયાર છે એ ખૂદ સરકારને ખબર ન હોય ત્યારે ખરી મુશ્કેલી ચૂંટણીઓ વખતે થાય છે. ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ હથિયાર ધારકોને શસ્ત્રો જમા કરાવવાનું ફરમાન છોડે છે. એ ફરમાનનો અમલ કરવાનું કામ પોલીસનું છે. હવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બે કારણોથી બને છે. એક તો પોલીસનું પોતાનું અપર્યાપ્ત સંખ્યાબળ અને બીજું, ચોક્કસ આંકડાઓનો અભાવ. જ્યારે સ્પષ્ટ રીતે ખબર જ નથી કે કોની પાસે શસ્ત્રોનો પરવાનો છે ત્યારે પોલીસ કરે પણ શું?! 'છીંડે ચડે એ ચોર'ના ન્યાયે જેની પાસેથી શસ્ત્રો બરામદ થાય એ લેવાના બાકીના હરિવાલા!
ક્રાઇમમાં લાઇસન્સ ધારક શસ્ત્રોનો બહોળો ઉપયોગ એ તેની બીજી ગંભીર અસર. એનો એક નાનકડો દાખલોઃ ૨૦૧૨માં ભારતમાં ૭૦ હજાર હત્યા થઈ હતી. એમાંથી ૪૨,૯૨૩ હત્યા લાઇસન્સ ધારકોના બંદૂકના નાળચે કરાઈ હતી. ઘણા કેસમાં લાઇસન્સ ધારકની સીધી સંકોવણી ન હોય, છતાં એના શસ્ત્રના પરવાનાથી કોઈકની પરલોકની ટિકિટ ફાટી હોય! વળી, આ સંખ્યા ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહી છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૫,૦૦૦ હત્યા પાછળ પરવાનાવાળી બંદૂક વપરાઈ હતી જેની તુલનાએ છેલ્લા એક દશકામાં આ આંકડો ૧૦ હજાર જેટલો વધ્યો છે. એમાં ય વળી ઈજા પામનારા લોકોની ગણના અલગથી કરવી પડે તેમ છે. ૨૦૦૮માં લાઈસન્સના શસ્ત્રોથી દેશમાં ૬,૫૦૦ નાગરિકોને ઈજા થઈ હતી.
આઈઆઈએમ દ્વારા કેટલાક સૂચનો અહેવાલમાં અપાયા છે. એ મુજબ આ ગંભીર સ્થિતિ ટાળવા માટે એવા શસ્ત્રો અપાય કે જેનાથી જીવલેણ હુમલો ન થઈ શકે, પણ આત્મ સુરક્ષા સંભવ બને, નાગરિકો પાસે પોલીસથી ઓછા શસ્ત્રો હોય એની અહેવાલ દ્વારા સતત નિગરાની રાખવી, સુરક્ષાનો મુદ્દો પૂરો થાય એટલે જરૃર પડયે જે તે વ્યક્તિનું લાઇસન્સ રદ્ કરવું, શસ્ત્ર લાઈસન્સ ધારકો પોલીસની નજર તળે રહે અને આસપાસના પોલીસ મથકોમાં અમુક સમયે સખત હાજરી નોંધાવવી જ પડે એવો કડક નિયમ હોય, તો શસ્ત્ર રાખવાનો ક્રેઝ ઘણે ખરે અંશે ટાળી શકાશે.
આ સૂચનો ઉપર એક સંસ્થાએ લોકમત પણ મેળવ્યો હતો. જેને ખરેખર આમ આદમી કહી શકાય એવા લોકોઃ દુકાનદારો, રોજમદાર-ખાનગી-સરકારી કર્મચારીઓ વગેરેનો એક જ સૂર હતો કે જેની પાસે શસ્ત્રોનું લાઈસન્સ છે એ રોફ જમાવવા માટે જ તેનો ઉપયોગ કરે છે. જો સુરક્ષાનો જ મુદ્દો હોય તો પછી દરરોજ શસ્ત્રોનો દેખાડો કરવાની ક્યાં જરૃર છે? એવો અણિદાર સવાર પણ લોકોએ ઉઠાવ્યો હતો.
મોટાભાગના ખાનગી શસ્ત્રના પરવાનેદારો બેલ્ટમાં બંદૂક ખોંસીને દેખાડો કરતા હોય છે. જરૃર પડયે અમુક પ્રસંગે એકાદ ફાયરિંગ પણ કરી લેતા હોય એ નફામાં! ફાયરિંગનો રિપોર્ટ ભલે સ્થાનિક પોલીસને આપવાનો થતો હોય, પણ જ્યારે સ્થાનિક પોલીસ સાથે જ સેટિંગ હોય ત્યારે છાકો પાડી દેતા ધડાકાને રોકે પણ કોણ?

ગુજરાતમાં ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધારકો કેટલા?

 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કેટલા નાગરિકો પાસે ખાનગી શસ્ત્રનો પરવાનો છે એવો પ્રશ્ન સરકારને પૂછ્યો હતો. ગૃહમંત્રાલયનો વિશેષ હવાલો સંભાળતા હોવાથી મોદીએ જ તેમનો ઉત્તર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૮-૧૦ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં ૨૪૮૪ પરવાના અપાયા હતા. સૌથી વધારે ખાનગી શસ્ત્ર લાઇસન્સ ધરાવતો જિલ્લો સુરત હતો અને અહિંસના પૂજારી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ૬૪ લોકોએ આત્મરક્ષા કાજે લાઈસન્સ મેળવ્યા હતાં! જોકે, ત્યારે સરકાર પાસે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, આણંદ, જામનગર, પંચમહાલ અને નવસારીના આંકડા ઉપલબ્ધ ન હતા એટલે કદાચ આંકડો વધારે મોટો પણ હોઈ શકે! 

ખાનગી શસ્ત્રોના પરવાનામાં ભારત બીજા નંબરે

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક વિશ્વ વ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૭૮ દેશોના આંકડા મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભારત ખાનગી શસ્ત્રોનો પરવાનો આપવામાં બીજા નંબરે છે. ૧૩૬ કરોડની વસતી ધરાવતા દેશ ચીનમાં ખાનગી શસ્ત્ર ધારકો માત્ર ૬.૮ લાખ છે. જાપાને તો એનાથી ય ઓછા લાઇસન્સ ઈસ્યુ કર્યા છે. જાપાનમાં માંડ ૪ લોકો પાસે ખાનગી શસ્ત્ર રાખવાની પરમિટ છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ૧.૮૫ લાખ લોકો સત્તાવાર રીતે શસ્ત્રો ધરાવે છે. જોકે, બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં સરકારની મીઠી નજર હેઠળ બિન સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો આંખો પહોળી થઈ જાય એવડો મોટો છે. ઈન્ડોેનેસિયાની આબાદી ૨૫ કરોડ છે અને ત્યાં ખાનગી શસ્ત્રોના ૩૪ હજાર લાઇસન્સ ધારકો છે. છેલ્લે ૨૦૧૨માં ન્યુયોર્કમાં મળેલી એક બેઠકમાં ખાનગી શસ્ત્રોના નિયંત્રણ પર બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. નાગરિકો પાસે ઓછામાં ઓછા શસ્ત્રો હોય એવો બધા દેશોના પ્રતિનિધિઓએ નિર્ધાર કર્યો હતો, પણ ભારતે એ સંમતિપત્રકમાં હસ્તાક્ષર કર્યા ન હતા. અહીં આપણા ખંધા રાજકારણીઓનો ધંધો જ આવા શસ્ત્રો પર ચાલતો હોય ત્યારે એના પર પાબંદી લગાવવાનું કેમ પરવડે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -