Posted by : Harsh Meswania Sunday, 10 December 2017

રજાના દિવસે થોડા કલાકો વધારે ઊંઘ કરીને લોકો થાક ઉતારવાનો કીમિયો અજમાવતા હોય છે, પરંતુ ખરેખર એ કીમિયો કારગત નીવડી શકે ખરો?

૨૧મી સદીમાં કોઈને પાછળ રહેવું પોષાય તેમ નથી, એટલે દરેક ક્ષેત્રમાં શરૃ થઈ છે - આકરી સ્પર્ધા, સ્પર્ધાના કારણે કર્મચારીઓ ઉપર વધતું કામનું ભારણ, કામના ભારણના કારણે વધતો માનસિક તણાવ અને માનસિક તણાવને કારણે સતત મહેસૂસ થતો થાક. આ આજની ફાસ્ટ લાઈફનો ચિતાર છે. ઈન્ટરનેટ ફોર-જીની સ્પીડે ચાલે છે અને લાઈફ એનાથી ય વધુ ફાઈવ-જીની ઝડપે ભાગે છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે.  અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
                                                                                              (10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,168
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -