Posted by : Harsh Meswania Wednesday, 3 April 2013



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાતને ૧૬૬૦ કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો અને ફળ્યો પણ છે. બે દિવસ પછી ૫ચમી એપ્રિલે નેશનલ મેરિટાઇમ ડે ઊજવાશે ત્યારે આપણે ગુજરાતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો ધરાવતા માછીમારી વ્યવસાયની અને માછીમારોના જીવનની ખારી-મીઠી વાતો જાણીએ

૫ એપ્રિલ, ૧૯૧૯ના રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશનના પ્રથમ વહાણ 'લોયલ્ટી'એ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો તેની યાદમાં આ દિવસને ૧૯૬૪થી નેશનલ મેરિટાઇમ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતના માછીમાર ઉદ્યોગની વાત કરવામાં આવે તો આજે એક સૈકા જેટલા સમયગાળામાં આ ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતને એશિયાના અન્ય દેશો હંફાવી શકે તેમ નથી. વિશ્વના કુલ મત્સ્ય ઉત્પાદનમાં ભારત સન્માનનીય સ્થાન ધરાવે છે. ભારતમાંથી મળી આવતી માછલીઓની ડિમાન્ડ વિદેશમાં પણ રહે છે. ભારતની ઈકોનોમીમાં માછીમારી ઉદ્યોગનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, આ ક્ષેત્રે હજુ વધુ અવકાશ છે અને આટઆટલી યોજનાઓ પછી પણ સમસ્યાનો મહાસાગર એટલી જ તીવ્રતાથી ઘુઘવાટા મારે છે.

ગુજરાત અને માછીમારીઃ સંબંધ જૂનો, સમસ્યાઓ નવી
ગુજરાતના સાગરખેડૂતો વર્ષે આશરે બે લાખ ટન માછલીનું ઉત્પાદન કરે છે અને અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. ગુજરાતમાં પાંચેક સ્થળોએ મત્સ્ય ઉત્પાદન થાય છે. વેરાવળ, પોરબંદર, માંગરોળ ઉપરાંત અન્ય બે-ત્રણ નાના એકમોની મળીને બધી નિકાસ પીપાવાવ પોર્ટ પરથી કરવામાં આવે છે. આ તમામમાં વેરાવળ બંદર એકલાનું ૮૦ ટકા ઉત્પાદન છે. વેરાવળમાં ૬૦ ફેક્ટરીઝ છે કે જેમાં માછલીનું પ્રોસેસિંગ થાય છે. પોરબંદરમાં ૮ અને માંગરોળમાં ૪ પ્રોસેસિંગ ફેક્ટરીઝ છે. એટલે કે મત્સ્ય ઉત્પાદનમાં વેરાવળ સૌથી મોખરે છે. વેરાવળ અને આસપાસના વિસ્તારના ૬૦ હજાર લોકો સીધી અથવા આડકતરી રીતે માછીમારી પર નભે છે. વેરાવળસ્થિત મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં નોંધાયેલા આંકડા પ્રમાણે ૧૦૭૮૩ લોકો માછીમારી કરવા દરિયાની ખેપ કરે છે. વેરાવળના યુનિટથી જ ૮થી ૯ હજાર કન્ટેનર માછલીની નિકાસ કરવામાં આવે છે.

માછીમારીને લગતી સમસ્યાઓની વાત કરવામાં આવે તો એમાં પ્રથમ વિલનનું નામ છે - પાકિસ્તાન. પાકિસ્તાનના હાથમાં આપણા માછીમારો પકડાઈ જાય છે. પછી થોડા સમયના જેલવાસ બાદ છૂટી તો જાય છે, પણ બોટ પરત આપવાની કોઈ જ વિધિ થતી નથી એટલે ભારત આવ્યા પછી ફરીથી આજીવિકા માટે નવા પ્રયાસો કરવા પડે છે. પાકિસ્તાનમાં જઈ ચડવાના ડરને કારણે હવે માછીમારો સ્થાનિક માછીમારી જ કરે છે, પરિણામે તેની અસર મત્સ્ય ઉત્પાદનમાં પણ પડે છે. આ અંગે વાત કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર જિજ્ઞોશભાઈ વિસાવાડિયાએ જણાવ્યું હતું કે અત્યારે પાકિસ્તાનના કબજામાં ૭૫૦ જેટલી બોટ છે. એક બોટની કિંમત ત્રીસેક લાખ રૂપિયા ગણીએ તો આ રકમ બે અબજ રૂપિયા જેટલી થવા જાય છે. આ પછીનું મોટું પરિબળ એટલે ગંદકી અને પ્રદૂષણ. દરિયાકાંઠાનાં કારખાનાંઓનું દૂષિત પાણી સીધું જ દરિયામાં ભળે છે એટલે દરિયાઈ સજીવો પર જોખમ વધી જાય છે. દૂષિત પાણીના કારણે દરિયાઈ સપાટીના ૨૦-૩૦ કિલોમીટરના વિસ્તારમાં તો માછલીઓ મળતી જ નથી એટલે માછીમારોને દૂરના અંતરની સફર ખેડવી પડે છે.

માછીમારીમાં ઉપલબ્ધ બની રહી છે નવી ટેક્નિક
પહેલાં માછીમારો માછલી પકડવા માટે ડાયમંડ કણની જાળનો ઉપયોગ કરતા હતા. જેમાં નાની-મોટી બધી જ માછલીઓ જાળમાં ફસાઈ જતી હતી. પરિણામે એવું થતું હતું કે માછલીની સંખ્યા સતત ઘટી જતી હતી. એને બદલે હવે ૪૦ એમ.એમ.ની ચોરસ કણની જાળનો ઉપયોગ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ જાળમાંથી નાનકડી માછલીઓ મુક્ત થઈ જાય છે અને એ રીતે માછલીઓની સંખ્યા બેલેન્સ રહી શકે છે. આ સિવાય જો બોટ દરિયામાં જ થોડા દિવસો વધુ રહે તો ત્યાં માછલીઓ વધારે સમય સુધી સચવાય તેવાં અત્યાધુનિક બોક્સ ઉપલબ્ધ થયાં છે. પ્રોસેસિંગ કરતાં કારખાનાંઓમાં પણ નવી ટેક્નિક્સ આવી ગઈ છે. થોડાં વર્ષો પહેલાં માછલીને માઇનસ ૧૮ ડિગ્રી તાપમાનમાં ફ્રીઝ કરવા માટે ૬-૮ કલાક લાગતા હતા, એના બદલે હવે માત્ર ૨૦ જ મિનિટ્સમાં આ પ્રોસેસ થઈ જાય છે.


માછીમારોની લાઇફ સ્ટાઇલઃ જોખમ વધુ, વળતર ઓછું!
મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉમેશ ગોહેલે માછીમારોની લાઇફ સ્ટાઇલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અન્ય નોકરી-ધંધા કરતાં માછીમારની જિંદગી ઘણી બધી રીતે પડકારજનક છે. પાકિસ્તાન જેવા દુશ્મન દેશની જેલમાં જવા સિવાય પણ ઘણા પડકારોનો સામનો માછીમારો કરે છે. દરિયાની એક સફર માટે ઓછામાં ઓછા મહિનામાં વીસેક દિવસ તો પરિવારથી દૂર રહેવું જ પડે છે. વળી, બધા લોકો પાસે પોતાના પરિવારની બોટ હોતી નથી એટલે બીજાની બોટ પર રોજમદાર તરીકે જ મોટાભાગે કામ કરવાનું આવે છે. એટલે નવી સફર ક્યારે શરૂ થાય એનું કશું જ નક્કી હોતું નથી. ઘણી વખત માત્ર થોડા કલાકોમાં જ નવી સફરે ઊપડવું પડતું હોય છે. ધારો કે એક પરિવારના ત્રણેક સભ્યો આ રીતે અલગ અલગ બોટમાં કામ કરતા હોય તો શક્ય છે કે એ ત્રણેય એક વર્ષ સુધી મળી ન પણ શકે! નવેક માસ દરિયામાં રહ્યા બાદ ચોમાસાના ત્રણેક માસ દરમિયાન ઘરે રહેવાનું બનતું હોય છે. આ વિશે વાત કરતા એક માછીમારે કહ્યું કે જે જહાજ અમને નવ-દસ મહિના સાચવે એને એ ત્રણ માસ દરમિયાન સાચવવાની અમારી પણ ફરજ છે એટલે એ ગાળામાં જહાજની મરામત કરાવવાની જિમ્મેદારી પણ આ માછીમારો નિભાવે છે. સરકારના દાવા પ્રમાણે માછીમારી ઉદ્યોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એટલે આપણને સહેજેય થાય કે જેના ખભા પર આ આખો ઉદ્યોગ નભે છે એવા માછીમારોને તો સારું એવું વળતર મળતું હશે, પણ ખરેખર એવું નથી! પોતાના જીવના જોખમે દરિયામાં જતા માછીમારોને વળતર પેટે મહિનાના ચાર-પાંચ હજાર રૂપિયા મળે છે. અનિલ જુંગી નામના માછીમારે આ અંગે કહ્યું હતું કે, સૌથી વધુ પગાર જહાજના ટંડેલને અને સહટંડેલને મળે છે. ટંડેલને ૧૫ હજાર અને સહટંડેલને ૧૦ હજાર જેવી રકમ મળે છે. વર્ષોના અનુભવ પછી ટંડેલને મળતી આ રકમ ખૂબ જ ઓછી કહી શકાય. અન્ય ઉદ્યોગોની જેમ આ વિશાળ મત્સ્ય ઉદ્યોગ પણ ધીરે ધીરે સ્થાપિત હિતોના સકંજામાં આવી ગયો હોવાની લાગણી માછીમારોએ વ્યક્ત કરી હતી.

લુપ્ત થતી મોંઘેરી માછલીઓને બચાવવી જરૂરી
રત્નાકરના પેટાળમાંથી અવનવી માછલીઓની અસંખ્ય પ્રજાતિઓ મળી આવે છે. માછલીઓની ખાસિયતો પ્રમાણે તેનું વળતર પણ મળે છે. ગુજરાતમાં આશરે અલગ અલગ ૭૦થી ૮૦ જાતની માછલીઓ મળી આવે છે. જેમાંથી અમુક માછલીઓની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે. દરિયામાં વધતી જતી ગંદકીને કારણે માછલીઓ લાંબું જીવતી નથી. વળી, મોંઘેરી માછલીઓના ભાવ વધુ મળતા હોવાથી માછીમારો તેને પકડવાની લાલચ રોકી શકતા નથી અને એ રીતે લોબસ્ટર, કોમ્પ્રેસ, રાણી ફિશ જેવી પ્રજાતિની માછલીઓની સંખ્યા ખૂબ જ ઘટવા લાગી છે. લોબસ્ટર માછલીના એક કિલોનો ભાવ એક હજાર રૂપિયા જેટલો હોય છે, તો કોમ્પ્રેસ ૭૦૦ રૂપિયે કિલો ખપે છે. ટોંટણ, જિંગા અને રાણી ફિશનું પણ સારું એવું વળતર મળી રહે છે. એટલે જો આવી થોડી માછલીઓ પણ મળી જાય તો દરિયાનો ફેરો સફળ થઈ જાય છે. આ મોંઘેરી માછલીઓ જે વિસ્તારમાંથી વધારે માત્રામાં મળતી હોય ત્યાંથી વધુ ને વધુ તેને પકડી લેવામાં આવે છે. પરિણામે તેની સંખ્યામાં વધારો થઈ શકતો નથી. એટલે હવે આમાંની અમુક માછલીઓ તો ક્યારેક જ જાળમાં આવે છે!


Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,214
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -